અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાં ક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.
રવીન્દ્ર પારેખ

શું જાણું? – મકરંદ દવે

શું રે થયું છે મને, હું રે શું જાણું?
મને વ્હાલું લાગે છે તારું મુખ;
જોઉં, જોઉં, જોઉં, તોય જોતાં ધરાઉં ના,
ભવભવની હાય, બળી ભૂખ.

ક્યાં રે ઊગ્યો ને ક્યાં આથમ્યો રે દંન મારો,
ક્યાં રે ઢળી મધરાત ?
તારી તે મૂરતિને કે’તાં ને કે’તાં મારી
પૂરી ન થાય હજી વાત.

કોક કોક વાર તારી કાયા અલોપ બને,
કોક વાર બાહુમાં કેદ;
જોગ ને વિજોગ હવે ક્યાં રે જોખાવું મારાં
નેણાં ભૂલી ગયાં ભેદ.

આ રે અવતાર ભલે વાદળિયો વહી જતો,
કેવાં તે સુખ ને દુઃખ ?
આખો જનમારો તને આંખોમાં રાખું,
મને વ્હાલું લાગે છે તારું મુખ.

– મકરંદ દવે

 

જાણે રાધા અને મીરાંના મનની વાત…….

2 Comments »

  1. pragnajuvyas said,

    July 20, 2020 @ 10:03 AM

    યાદ આવે આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર નંદીગ્રામમાથી સાંઇ મકરંદ દવેની અનુભિતી વાણીમા રાધા અને મીરાંના મનની વાતનુ ગુંજન
    આખો જનમારો તને આંખોમાં રાખું,
    મને વ્હાલું લાગે છે તારું મુખ.
    ધન્ય ધન્ય

  2. વિવેક said,

    July 21, 2020 @ 1:22 AM

    કેવું મજાનું ગીત!

    જન્મારા આખામાં આવું એક ગીત પણ રચી શકાય તો જન્મારો સફળ ગણું…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment