તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.
અંકિત ત્રિવેદી

અધૂરું કતલખાનું – ‘જલન’ માતરી

એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.

એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.

મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ સાગરમાં ભળી ઊંડાણ જોવાનું હતું.

હું જ નીરખતો હતો એ વાત હું ભૂલી ગયો,
મારા મનથી પાપ મારાં કોણ જોવાનું હતું?

એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું !

અર્થ એનો એ નથી હું પણ ‘જલન’ તરસ્યા કરું,
ઝાંઝવાંઓને તો જીવનભર તરસવાનું હતું.

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’, જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.

-‘જલન’ માતરી

જલનસાહેબની ગઝલ હંમેશ સોંસરવી જ હોય….દરેક શેર જિંદગીની કહાની છે. બીજો શેર જુઓ – ‘ અધૂરું કતલખાનું ‘…… અર્થાત માનવી પૂરો ગરદને માર્યો નથી જાતો પણ ટળવળતો છોડી દેવામાં આવે છે. અહીં જાલિમ કોણ છે તે અધ્યાહાર છે – ખુદાનો એ ખેલ છે કે પછી માનવસમૂહ એ કરે છે તે સમજવું આપણા પર છોડાયું છે. બુદ્ધિ આપી, કલ્પનાશક્તિ આપી, ઝંખના આપી અને ખુદાએ માણસને ચિરતૃષ્ણાના દરિયે ફંગોળી દીધો….

Leave a Comment