અન્યને કલમ મળી, તને ગઝલ મળી;
બસ કવિ! હવે બીજું કશું ન જોઈએ
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

જગન રેપ કર – ઉત્પલ વી.બી. (મરાઠી) (અનુ.: રાજુલ ભાનુશાલી)

જગન રેપ કર.
આવું જગનને કોઈ કહેતું નથી.
જગન જાતે જ રેપ કરે છે.

શાળાએ ગયેલો, ન ગયેલો, એમબીએ થયેલો, ન થયેલો, ફેસબુક પર હોય એવો જગન, ફેસબુક પર ન હોય તેવો જગન.. જગનના આવા ઘણાય પ્રકાર છે.
એ બધા જ રેપ કરી જાણે છે.

જગન બાકીના સમયે કદાચ સારા માણસોમાં ગણાતો હશે.
પણ તે કમળા પર નજર રાખે છે, અને મોકો મળતાં જ એને પીંખી નાખે છે.
છેલ્લે ઘાતકી રીતથી મારી પણ નાખે છે.
જગન ખરાબ છે. અત્યંત ખરાબ.

એ બધા ખરાબ જગનોમાંથી એક કેસ આ જગનનો છે.
આ કેસમાંના જગનને બીજા જગનોની જેમ જ પંદર-સોળ વર્ષે પહેલીવાર ઇરેક્શન થયું.
કમળાને ઋતુસ્ત્રાવ શરૂ થયો એના બે’એક વર્ષ પછી.

ઇરેક્શન થાય ત્યારે શું કરવું જોઈએ તે જગનને એના માતાપિતાએ સમજાવ્યું નહોતું.
કારણ એમને એવી વાતો કરતાં સંકોચ થતો હતો.
કમળાને માસિક આવ્યું કે તરત માએ એને શું કરવું અને કેમ કરવું એ સમજાવ્યું.
પણ જગનને ઇરેક્શન થાય ત્યારે શું કરવું એ તેના પિતા સમજાવતા નથી.
કારણ એમને પણ કોઈએ સમજાવ્યું નહોતું.

પિતાના પિતાએ એકવાર એમને ઉઘાડી સ્ત્રીઓના ફોટાવાળું પુસ્તક વાંચતા પકડી પાડેલા પછી ખૂબ માર મારેલો.
પણ ઇરેક્શનનું શું કરવું એ સમજાવ્યું નહોતું.
પિતાએ પોતે ત્રીસેક વર્ષ પહેલા હેલનને નાચતી જોઈને હસ્તમૈથુન કરેલું.

હવે તો નાચની પણ ખૂબ પ્રગતિ થઈ ગઈ છે.
જગનની સામે ઘણી સ્ત્રીઓ નાચે છે. મલ્લિકા, મુન્ની, શીલા વગેરે વગેરે..

કેમેરો એ નાચનારીઓના અંગેઅંગ પર ફરી વળતો હોય છે.
કારણ એનેય ખબર છે કે જગનને આવું બધું જોવાનું ગમશે.
અને કેમેરા પાછળની વ્યક્તિઓને મળશે પૈસા. અઢળક પૈસા.
આવા અનેક જગન તૈયાર કરવા એ જ એમનો ધ્યેય છે.
હશે.

વાંક જગનનો છે.
તે પછી હસ્તમૈથુન કરે છે.

એકવાર મા જોઈ ગઈ અને એણે જગનના પિતાને કહી દીધું.
પિતાએ આ વાત માટે નાનપણમાં ઢોરમાર ખાધો હતો.
એટલે-
એમણે જગનને પણ ઢોરમાર માર્યો.
પણ માર ખાવાથી ઇરેક્શન અટકતા નથી.
એટલે જ જગન ફરી નાચ જુએ છે, ઉઘાડી સ્ત્રીઓના ફોટા આવતા હોય એવા પુસ્તકો વાંચે છે, બ્લુ ફિલ્મ જુએ છે.
અને,
હસ્તમૈથુન કરે છે.

આપણી પરંપરાઓ બહુ જ ઉમદા છે.
એમનો જયજયકાર થજો.

પરંપરા આપણને શીખવે છે કે લગ્ન પહેલા સંભોગ વર્જ્ય છે.
લગ્ન સુધી ધીરજ ધરવી અને પછી બધી જ કસર એકસાથે પૂરી કરી લેવી. એમાં જરાય વાંધો નથી.
એટલે કે લગ્નની પ્રથમ રાત્રિએ ભલે નવવધુને તકલીફ થાય, પીડા થાય.. કશો વાંધો નહીં!
પણ ત્યાં સુધી સ્ત્રીનું કૌમાર્ય અખંડ રહેવું જોઈએ.
જગન લગ્ન થાય ત્યાં સુધી નગ્ન સ્ત્રીઓના ફોટા જોતો બેસી રહે છે.

આમ તો પેલા પુસ્તકોમાં જેમના નગ્ન ફોટા છપાતા એ સ્ત્રીઓને ખરાબ ગણવામાં આવતી.
કારણ એ બધીઓ જગનને બગાડે છે
પણ જગનને તો એ બધીઓ બહુ જ ગમે.
એમના કારણે જ તો એને પોતાના ઇરેક્શનથી છૂટકારો મળે છે અને થોડા દિવસ સુધી રાહત થઈ જાય છે.

ફક્ત થોડાક દિવસ –
કાયમ માટે એવું થતું નથી.
પછી એક તબક્કે જગનને થાય છે કે હવે તો સ્ત્રી જોઈએ જ..
અને એ પેલી કમળાને ‘સ્ત્રી’ તરીકે જોતો થઈ જાય છે.

આખરે એક દિવસ કમળાને ઝડપી લે છે.
જગનનું રુપાંતર જાનવરમાં થઈ જાય છે.
દુર્ભાગ્યે જગન પુરુષ છે.

આપણી સંસ્કૃતિએ ઘણી પ્રગતિ કરી છે, પણ હજુ એની પાસે ઇરેક્શનનું શું કરવું એનો ઉત્તર નથી.
આ બધા અનુત્તર ઇરેક્શન સાથે એને પિતૃસત્તાકપણાનું શિક્ષણ મળે છે!

એટલે કે પિતા કુટુંબપ્રમુખ છે.
માનું સ્થાન એમની પાછળ.

જગન, તું છોકરો છે.
છોકરીની જેમ રડે છે શું?
જગન, જા જઈને તારા ભાઈબંધો જોડે રમ જોઈએ. અહિં છોકરીઓ વચ્ચે શું કરે છે!
જગન, છોકરીઓ તો ક્રિકેટમાં ચીયર ગર્લ્સ બને, રમે તો છોકરાઓ જ!
જગન, અહિં રસોડામાં શું લેવા ગુડાણો છે? રાંધવાનું કામ તારું નહીં.
તારે તો પ્લંબિંગ બ્લંબિંગ જેવું કશું શીખવું જોઈએ.
જગન, સ્ત્રીઓની બુદ્ધિ પાનીએ હોય છે, એ ઘરે રહે તે જ સારું.
જગન, તું મર્દ છે.
ખરી મર્દાનગી સ્ત્રીને જીતવામાં છે.
વગેરે..વગેરે..

એક તો આ ઇરેક્શન, અને એની ઉપર આ પિતૃસત્તાકપણાનું ઇંજેક્શન.
જગન છેક બગડી ગયો છે.
એનું હિંસકપણું જાનવરને પણ સારા કહેવડાવે એટલું વકરી ગયું છે.

કમળાના મૃત્યુ પછી એની સખીઓ, એના માતાપિતા, આપણી પરંપરા બધાનો રોષ હદ બહાર વધી ગયો છે.
જગનને ફાંસી થવી જોઈએ એવી સહુની માંગણી છે.
ખરી વાત, જગનને ફાંસી થવી જ જોઈએ.
ફાંસી આપ્યા પછી જગન મરી જશે.
પણ,
એની અંદરનો નર બાકી રહી જશે.

કારણ નર અને માદા ક્યારેય મર્યા નથી અને ક્યારેય મરશે પણ નહીં.
નર ફરીથી હસ્તમૈથુન કરતાં કરતાં પિતૃસત્તાકપણાનું ઇંજેક્શન લઈને મોટો થશે
અને,
માદા અનંતકાળ સુધી જેમ વાટ જોતી આવી છે એમ હજુ અનંતકાળ સુધી જોતી રહેશે.
શુભ સંભોગની.

– ઉત્પલ વી.બી. (મરાઠી)
(ગુજરાતી અનુવાદ: રાજુલ ભાનુશાલી)

આવી કવિતા આપણામાંથી કોઈએ ભાગ્યે જ વાંચી હશે. આ કવિતા બળાત્કારના મૂળ સુધીની યાત્રા છે. આ કવિતા આપણને બળાત્કારીઓના મનોપ્રદેશની જુગુપ્સાપ્રેરક મુસાફરીએ લઈ જાય છે. સભ્ય સમાજના સભ્ય નાગરિકો માટે આ કવિતા કદાચ ‘ખરાબ’ સાહિત્યનો ઉત્તમ દાખલો છે. પ્રતિબંધ પણ મૂકી શકાય. હસ્તમૈથુન અને ઇરેક્શન જેવા શબ્દો આ કવિતામાં ચણા-મમરાની જેમ વેરાયેલા છે પણ આપણે ત્યાં આટલા બધા બળાત્કાર કેમ થાય છે એની માનસિકતા અહીં સુપેરે છતી થાય છે.

જગન આ કવિતાનો નાયક છે પણ કવિ કાવ્યારંભે જ સ્પષ્ટ કરી દે છે કે આ જગન આપણામાંથી કોઈપણ હોઈ શકે છે. દીકરીને પહેલવહેલી વાર માસિક આવે ત્યારે જે રીતે અભણ મા પણ એને ‘શું કરવું-શું ન કરવું’ની સમજ આપે છે, એ રીતે દીકરાને પહેલીવાર ઇરેક્શન થાય, કે વીર્યપાત થાય ત્યારે શું કરવું એની સમજ આપણે ત્યાં હજારમાંથી એકાદ પિતા પણ માંડ આપતા હશે, કેમકે એમને પણ એમના પિતાએ આવું કોઈ જ્ઞાન આપ્યું નથી. ઊલટું દીકરો પૉર્નોગ્રાફી જોતો કે હસ્તમૈથુન કરતો પકડાઈ જાય તો જઘન્ય અપરાધ કરી નાંખ્યો હોય એમ એની અભૂતપૂર્વ ધોલાઈ કરવામાં આવે છે, જેના પરિણામે પૉર્નોગ્રાફી, હસ્તમૈથુન, સ્વપ્નદોષ વગેરે મહાઅપરાધ હોવાની વાત મનમાં ઘર કરી જાય છે, પણ જીવનમાંથી દૂર કરી શકાતી નથી.

ટૂંકમાં, જે મનોવૃત્તિ ભૂખ-તરસ-ઊંઘ જેટલી જ સાહજિક છે, એનું અકુદરતી દમન કરવાની કોશિશ સ્ત્રીઓ પર બળાત્કારના સ્વરૂપે વમન પામે છે. ખજૂરાહો અને કામસૂત્રના દેશમાં સંસ્કૃતિ અને સભ્યતાના નામે જે દંભ વકર્યો છે, એના પરિપાકરૂપે આજે ભારતમાં લગભગ દર પંદર મિનિટે કોઈ એક ખૂણામાં કોઈ એક સ્ત્રી બળાત્કારનો ભોગ બને છે, અને આ આંકડો તો સરકારી દફ્તરે નોંધાયેલો આંકડો છે. મોટા ભાગની સ્ત્રીઓ ફરિયાદ કરતી નથી એટલે સાચો આંકડો કેટલો મોટો હશે એની માત્ર કલ્પના જ કરી શકાય.

આ કવિતાનો અનુવાદ કરવાનું હિંમતભર્યું કામ એક કવયિત્રીએ કર્યું છે એ વાત પણ નોંધવા જેવી છે. આ બહાદુરી બદલ કવયિત્રી અઢળક અભિનંદનના હકદાર છે. ખાસ્સી લાંબી હોવાથી મૂળ મરાઠી કવિતા કમેન્ટ તરીકે નીચે મૂકી છે.

Comments (25)

બરડ-ક્યાંક બરછટ-જરી કૈંક કરડો- મનોજ ખંડેરિયા

બરડ-ક્યાંક બરછટ-જરી કૈંક કરડો-
અમે લાગણીના ચહેરે ઉઝરડો !

ખુલાં દ્વાર તો વાસી દીધા પછી પણ –
સહન થાય છે એની ક્યાં ઝીણી તરડો ?

સતત આર ખૂંચે છે એની રગેરગ,
હજી લોહીમાં એક ફરતો ભમરડો

અમે કોઈ અજગરની અંદર વસેલાં,
પળેપળ રહ્યો રોજ ગુંગળાવી ભરડો

હતું એક કાગળ નીચે લોહ-ચુંબક,
કલમ એના ખેંચાણે લેતી ચકરડો

-મનોજ ખંડેરિયા

 

ઝીણી તરડો…….. કેવી ખૂબીથી બયાન થયું છે !!!!!

Comments (2)

અમને તો ફીરકી ને માંજાના કોડ – મુકેશ જોષી

અમને તો ફીરકી ને માંજાના કોડ
તમે દીધો અવતાર કાં પતંગનો
આમ પળપળમાં તૂટતા સંબંધનો

છાતીના ચાર કોશ છેદીને ભાયગની રેખા શી દોર તમે બાંધો
આંચકાઓ આપીને આયખાને ચીરો ને થીગડાનું નામ દઈ સાંધો

અણદીઠા સરનામે મોકલો ને
ટેકો તો ડગમગતા વાયરાના સ્કંધનો
અહીં પળપળમાં તૂટતા સંબંધનો

સૂરજના આંગણમાં અંગોને ઓગાળી જાતને રાખ લગી બાળવી
આકાશે થંભે ના એકાદું પંખી, આ આંખોને ક્યાં જઈ પલાળવી

પળપળમાં જીવનનાં વહેણ ફરી જાય
જેમ રસ્તો બદલાય કોઈ અંધનો
અહીં પળપળમાં તૂટતા સંબંધનો

– મુકેશ જોષી

 

વધુ તો શું બોલવું……..

Comments (4)

तवक्को – मिर्ज़ा ग़ालिब

जब तवक्को ही उठ गयी ग़ालिब
क्यों किसी का गिला करे कोई

– मिर्ज़ा ग़ालिब

[ तवक्को = અપેક્ષા ]

કોઈ શેર આખી ગઝલને ભારે હોય છે, આ શેર આખા ગ્રંથને ભારે છે. આ નિરાશાનો ભાવ વ્યક્ત કરતો શેર નથી, આ એક નકરી શૂન્યતાને વ્યક્ત કરે છે. અહીં આગળ-પાછળ-ઉપર-નીચે કશું જ બચ્યું નથી. પ્રકાશ તો નથી જ નથી….પણ અંધારું સુદ્ધા નથી.

Comments (3)

(દુર્લભ કિસ) – મેહુલ પટેલ ‘ઈશ’

ઈશ્વરે આપેલી દુર્લભ કિસ છે.
શાયરી તો કુદરતી બક્ષિસ છે.

તારી પાસે છે જે તકલાદી ગઝલ ,
મારી પાસે એનો માસ્ટર પીસ છે.

મારી ગઝલો ફક્ત ગઝલો ક્યાં છે દોસ્ત
છંદમાં ઢાળી દીધેલી ચીસ છે.

હું તને આજેય ભુલ્યો છું જ નહીં,
તારા પ્રત્યે આજે પણ બહુ રીસ છે.

માત્ર એક બે છે અહીં ગાલિબ -મરીઝ
શાયરો તો એકસો છવ્વીસ છે !

-ઈશ

એક માસ્ટર પીસવાળો શેર માસ્ટર પીસ બનતાં બનતાં રહી ગયો, બાકી આખી ગઝલ માસ્ટરપીસ થઈ છે.

Comments (3)

(બહુ સતાવે છે) – સંદીપ પૂજારા

રહી રહીને આ સચ્ચાઈ બહુ સતાવે છે
કરે છે એથી વધુ વ્હાલ સૌ જતાવે છે

ભલે એ હાર અને જીત બેઉ લાવે છે
છતાંય યુદ્ધ મને મારી સાથે ફાવે છે

જીવી રહ્યા છે જગતમાં હજી ઘણા શંકર
હસીને ઝેર રિવાજોનું ગટગટાવે છે

ઝડપથી મારું હૃદય હૃષ્ટપુષ્ટ થઈ જાશે
સવાર-સાંજ કોઈના સ્મરણને ધાવે છે

વિચારું છું કે તડીપારની સજા આપું
અમુક ઇચ્છાને, આતંક જે મચાવે છે

જો કોઈ મારી તરસ વિશે પૂછે તો કહું કે
છે માત્ર તન અહીં મારુ ને મન તળાવે છે

– સંદીપ પૂજારા

કેવી મજાની રચના! દરેક શેર ધીમેધીમે મમળાવવા જેવા થયા છે…

Comments (6)

હજુ – મયંક ઓઝા

જોઈ રહી છે જર્જરિત ભીંતો હજુ,
ઓલવાતો કેમ ના દીવો હજુ?

એક પડછાયો હજુ અથડાય છે,
કોણ કરતું હોય છે પીછો હજુ?

આ.. તો ટેવાઈ ગયો છે ઓરડો,
ક્યાં થયો છે દૂર ખાલીપો હજુ?

સાવ ક્યાં ભૂતકાળને ભૂલાય છે?
કો’ક દિ’ સંભળાય છે ચીસો હજુ.

હર વખત બસ, હું જ બાજી હારતો,
કોણ ચીપે એમ ગંજીફો હજુ?

કેમ પીવામાં કરું જલ્દી મરીઝ?
જિંદગીનો રસ તો છે ફીકો હજુ.

એ કળી તો ફૂલ થઈ કરમાઈ ગઈ,
ડાળ પર ઝૂલે છે રાજીપો હજુ.

– મયંક ઓઝા

‘સ્મિતા પારેખ’પારિતોષિક, ૨૦૧૯: કવિતા વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતા કૃતિ…

મુક્ત કાફિયા છે, પદઅન્વય ક્યાંક-ક્યાંક નબળો છે પણ સરળ ભાષામાં ટૂંકીટચ રદીફને સાતેય શેરમાં ન્યાયપૂર્વક નિભાવવામાં આવી છે અને લગભગ દરેક શેર મનનીય થયો છે, એ ન્યાયે લગભગ સવાસો કૃતિઓને હંફાવીને આ ગઝલ પ્રથમ ક્રમે વિજેતા નિવડી છે. કવિશ્રીને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…

Comments (3)

समझौता – सिराज फ़ैसल ख़ान

बहुत पुरानी कोई उदासी
बदन खंडर में पड़ी हुई है
ज़हन के ताक़ों में कितनी यादों की अब भी कालिख जमी हुई है

है दर्द कोई रगों में बहता ख़मोश जैसे

हैं अश्क़ कुछ जो तलाशते हैं
बहाने आँखों से झाँकने के

हैं ज़ख़्म कुछ बे-क़रार रहते हैं जैसे खुलने को हर घड़ी ये

कमाल ये है
सजा के इक
झूटी मुस्कुराहट
मैं हर अज़ीयत दबा गया हूँ
सभी को लगता है ठीक है सब
नए मरासिम बना के ख़ुश हूँ…..

कहाँ मैं जाऊं
कि सारी चीज़ों से,
हर जगह से तो उसकी यादें जुड़ी हुई हैं
ये बेड़ियां तो हमारे पैरों में जाने कब से पड़ी हुई हैं

वो बाद मुद्दत के अब भी इतना भरा है मुझमें
बग़ैर उसके तो इस शहर का
हर एक रस्ता
तमाम गलियाँ
बज़ार कैफ़े
नज़र में जैसे
सुई की मानिंद चुभ रहे हैं…

वही थियेटर है
कार्नर की वही दो सीटें,
है फ़िल्म पर्दे पे कॉमेडी इक,
सभी तमाशाई एक लय में
ख़ुशी में डूबे हुए ठहाके लगा रहे हैं,
जगह पे उसकी
हमारे पहलू में शख़्स बैठा हुआ है कोई
हमारे काँधे पे उसका सर है
हम अपने अंदर सिसक रहे हैं…………!!

-सिराज फ़ैसल ख़ान

નઝ્મના શીર્ષકમાં જ અર્થ અભિપ્રેત છે…..

Comments (1)

રાણી -પાબ્લો નેરુદા (અનુવાદ: વિવેક મનહર ટેલર)

મેં તારું નામ રાણી રાખ્યું છે.
તારા કરતાંય વધુ ઊંચી, વધુ ઊંચી સ્ત્રીઓ છે.
તારા કરતાંય વધુ શુદ્ધ, વધુ શુદ્ધ સ્ત્રીઓ છે.
તારા કરતાંય વધુ મનોરમ્ય, વધુ મનોરમ્ય સ્ત્રીઓ છે.

પણ તું રાણી છે.

જ્યારે તું શેરીઓમાં થઈ ગુજરે છે
કોઈ તને ઓળખતું નથી.
તારો હીરાનો તાજ કોઈને દેખાતો નથી, કોઈ જોતું નથી
એ લાલ સ્વર્ણિમ જાજમ
જેના પર થઈને તું પસાર થાય છે,
એ અવિદ્યમાન જાજમ.

અને જ્યારે તું આવે છે
સમસ્ત નદીઓ રણકી ઊઠે છે
મારા શરીરમાં, ઘંટડીઓ
આકાશ હચમચાવે છે,
અને એક સ્તોત્ર વિશ્વને ભરી દે છે.

કેવળ તું અને હું,
કેવળ તું અને હું, મારા પ્યાર,
સાંભળ આને.

-પાબ્લો નેરુદા (સ્પેનિશ)
(અંગ્રેજી અનુવાદ: ડોનાલ્ડ ડી. વૉલ્શ)
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

*

પ્રેમમાં પ્રિય પાત્રથી વધીને કંઈ નથી. પ્રિય પાત્રથી વધારે ચડિયાતી અનેક વ્યક્તિઓ દુનિયામાં વસતી હોવા છતાંય પ્રિયજન ચડિયાતાંઓથીય ચડિયાતું લાગે છે એ પ્રેમનાં ચશ્માંની અસર છે. પ્રેમી માટે એની પ્રેમિકા માથે હીરાજડિત તાજ પહેરીને લાલ જાજમ પરથી પસાર થતી મહારાણીથી સહેજેય કમ નથી. પ્રેયસીની ઉપસ્થિતિથી પ્રેમીનું આખું તંત્ર રણઝણ થઈ ઊઠે છે, આખી દુનિયા જાણે સ્તોત્રોચ્ચારથી ભરાઈ આવે છે. પ્રેમના સરવાળામાં બે જણ સિવાય બીજું કશું બચતું કે રહેતું નથી. માત્ર એક-મેકના દિલને સાંભળવાનું રહે છે…

*
The Queen

I have named you queen.
There are taller ones than you, taller.
There are purer ones than you, purer.
There are lovelier than you, lovelier.

But you are the queen.

When you go through the streets
no one recognizes you.
No one sees your crystal crown, no one looks
at the carpet of red gold
that you tread as you pass,
the nonexistent carpet.

And when you appear
all the rivers sound
in my body, bells
shake the sky,
and a hymn fills the world.

Only you and I,
only you and I, my love,
listen to it.

– Pablo Neruda
(translated from original Spanish by Donald D. Walsh)

Comments (5)

ઓછા ના થયા – વ્રજેશ મિસ્ત્રી

દૃશ્યના વિસ્તાર ઓછા ના થયા,
પાંપણોના ભાર ઓછા ના થયા.

છેવટે દરિયાય મીઠા થઈ ગયા;
આંસુઓના ખાર ઓછા ના થયા.

ના ઘટ્યા દળ એમના તલભાર પણ,
કે સ્મરણ તલભાર ઓછા ના થયા.

રાતભર આંખો ઉલેચી તોય પણ;
ભીતરે અંધાર ઓછા ના થયા.

ભીડની વચ્ચે મૂકી’તી જાત મેં,
તોય આ સુનકાર ઓછા ના થયા.

– વ્રજેશ મિસ્ત્રી

પાંચેય શેર મજાના થયા છે. કવિએ રદીફ ખૂબ સરસ રીતે નિભાવી છે. ચોથા શેરમાં ‘તોય પણ’માં ‘ય’ અથવા’પણ’ -બેમાંથી એકનો પ્રયોગ ટાળી શકાયો હોત તો રચના ભાષાદોષમુક્ત થઈ શકી હોત.

Comments (4)

ગુરુવંદના – કિશોર બારોટ

ગુરુવર તમને વંદન
હું ઓરસિયો પથ્થરનો ને તમે ઘસાતું ચંદન

આંખો આપી, પાંખો આપી ને આપ્યું આકાશ
ચકલીમાંથી ગરુડ થવાનો જન્માવ્યો વિશ્વાસ
વ્હેમ, ભીરુતા, આળસ, અડચણ કાપ્યાં સઘળાં બંધન
ગુરુવર તમને વંદન

અહમ્ પરમના છેડા સાંધ્યા, તાણી બાંધ્યા તાર
મને તુંબડામાંથી દીધો તંબૂરનો અવતાર
રોમરોમથી નાદ બ્રહ્મનું ગૂંજ્યું રણઝણ ગુંજન
ગુરુવર તમને વંદન

– કિશોર બારોટ

કેવા સરળ શબ્દોમાં કેવી ઉમદા ગુરુવંદના! અદભુત!!

Comments (7)

તારાઓ – સૌમ્ય જોશી

સવારસાંજ સૈકાઓ વીંઝાય છે મારામાં
મારી મુઠ્ઠીમાં મારો મુઠ્ઠીભર ઈતિહાસ હોય છે દિવસે
પણ રાત્રે તો પ્રકાશવર્ષો હોય છે મારી પાસે
સાવ આથમી ગયા પછી પણ સૂરજ આઠ મિનિટ સળગ્યા કરે છે મારી બાજુમાં
ને પછી,
મારી થોડી થોડી ઘેરાયેલી
ઝીણી ઝીણી આંખોમાં,
હળુહળુ ડગ માંડે છે મનવન્તરો.
રાત પડી હોય ભલે હમણાં જ પણ હોય છે એ મનવન્તરો પુરાણી.
મારી નાની અમથી તારીખોની આંખો પહોળી થઈ જાય છે.
ત્રણસો પાંસઠ દિવસનું મારું વજનિયું માપી જ નથી શકતું રાતોને,
કારણ કે કંઈ કેટલાય તારાઓનો યુગોપુરાણો ઈતિહાસ આવીઆવીને અથડાતો હોય છે મારા વર્તમાન સાથે,
રોજ રાત્રે
આદ્રનો પેલો ગુલાબી તારો કલ્પો પહેલાં નીકળી ગયો’તો મને મળવા માટે,
પણ મારી આંખમાં આંખ ટમટમાવી શક્યો છેક આજે.
છેક આજે થઈ શક્યું એની સાથે તારામૈત્રક,
સપ્તર્ષિનું પેલું ઝૂમખું એકબીજાથી કંઈકેટલાય અંતરે પણ એકસાથે આવીને બેસી જાય છે મારી તાણેલી ચાદરમાં,
વારતા સાંભળવા બેઠેલાં ચાર ટાબરિયાંની જેમ.
ને વારતા કહેવા બેઠેલો હું સાવ યુનિવર્સલ થઈ જાઉં છું.
ચીબરી, તમરો, ઘુવડ, ચાણક્ય ને ઈસુનાં હાલરડાં સંભળાવી દઉં છું એમને.
એમની ઝોળીમાં મારા વર્તમાનથી માંડીને મારા નજીવા અતીત સુધીનું બધું જ ભરી દઉં છું.
ને વર્ષોના પ્રવાસથી થાકેલા તારા,
મારા ધોળાધબ ધાબળામાં,
એમનો લાં…બો ઈતિહાસ છુપાવીને ટૂંટિયું વાળી દે છે મારામાં.

– સૌમ્ય જોશી

 

 

હું સચેતન છું,તો સમય છે.

મારુ ચેતન ઓલવશે-સમય નહિ રહે.

Comments (4)

જતાં પહેલાં-નિકોનાર પારા

Before I go
I’m supposed to get a last wish:
Generous reader
burn this book
It’s not at all what I wanted to say
Though it was written in blood
It’s not what I wanted to say.
No lot could be sadder than mine
I was defeated by my own shadow:
My words took vengeance on me.
Forgive me, reader, good reader
If I cannot leave you
With a warm embrace, I leave you
With a forced and sad smile.
Maybe that’s all I am
But listen to my last word:
I take back everything I’ve said.
With the greatest bitterness in the world
I take back everything I’ve said.

– Nicanor Parra [translated by Miller Williams]

*જતાં પહેલાં-

જતાં પહેલાં
મારી છેલ્લી ઈચ્છા
પરિપૂર્ણ થવી જ જોઈએ:
ઉદાર વાચક,
આ પુસ્તકને સળગાવી દેજે.
મારે જે કહેવું હતું
તેમાંનું કશું જ એમાં નથી;
એ રક્તથી આલેખાયું હતું
તે છતાંયે
મારે જે કહેવું હતું
તે એમાં જરાયે નથી.

મારા કરતાં કોઈનું ભાગ્ય
વધારે વિષાદભર્યું નહીં હોય!
મારા જ પડછાયાથી
મારો પરાજય થયો હતો:
શબ્દો મારા પર વેર વાળતા હતા!

ક્ષમા કરજે મને વાચક, સહ્રદય વાચક!
જો હું તને કોઈ શ્રધ્ધાપૂર્ણ સંકેત
આપ્યા વિના તારી વિદાય લેતો હોઉં તો!
હું તો તારાથી છૂટો પડું છું,
મુખ પર એક બળજબરીથી આણેલા
અવસાદભર્યા સ્મિત સાથે!

કદાચ હું એવો જ હોઈશ
પણ મારા છેલ્લા શબ્દને સાંભળતો જા:
મેં જે કંઈ કહ્યું છે તે બધુંય
હું પાછું ખેંચી લઉં છું-
વિશ્વની સમગ્ર કડવાશથી
મેં જે કંઈ કહ્યું છે તે બધુંયે
હું પાછું ખેંચી લઉં છું

– નિકોનાર પારા [અનુવાદ : કંચન પારેખ ]

આ લાગણી અમુક સર્જકોને થતી હોય છે. મૂળ મુદ્દો એ છે કે સર્જક જે અનુભવે તે આલેખે…તે સર્જક પૂરતું સત્ય હોય – તેથી જ જિબ્રાને કહ્યું છે – ” એમ ન કહો કે મને સત્ય મળ્યું છે-એમ કહો કે મને એક સત્ય મળ્યું છે “. સર્જકની ચેતના, તેની પ્રજ્ઞા, તેની અનુભૂતિ અનન્ય હોવી સ્વાભાવિક છે.

[ કાવ્ય-અનુવાદ-સૌજન્ય :- ડૉ નેહલ વૈદ્ય – inmymindinmyheart.com ]

Comments (1)

ગુલાબ લાલ, લાલ – રોબર્ટ બર્ન્સ (અનુ. વિવેક મનહર ટેલર)

રે! મારો પ્રેમ છે ગુલાબ લાલ, લાલ સમ,
તાજું જે ખીલ્યું જૂનમાં,
રે! મારો પ્રેમ જાણે સંગીતની સરગમ,
બજે જે મીઠી સૂરમાં.

છોરી! તું જેટલી છે સુંદર ને ગોરી,
હું એટલો પ્રેમમાં ગરક:
ને તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો સાગર થાય સૂકાભટ:

છો સાગર થાય સૂકાભટ ને, મારી વહાલી,
સૂર્ય સંગ પહાડ પીગળી જાય:
તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો જીવનરેત સરકી જાય.

ને અલવિદા, ઓ મારી એકમાત્ર પ્રિયા !
ને અલવિદા, બસ, થોડી વાર!
ને હું પાછો ફરી આવીશ, મારી પ્રિયા,
ભલે જોજન હો દસ હજાર.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

પ્રેમમાં અતિશયોક્તિ એ આપણી અનિવાર્યતા છે. આજપર્યંતના પ્રેમીઓએ પ્રેમિકાઓને આપેલા વચન મુજબ જો આકાશમાંથી ચાંદ-તારા તોડી શકાયા હોત તો આકાશ ચાંદ-તારા વગરનું હોત. પણ, પ્રેમ આંખોને સ્વપ્નો જોતાં શીખવે છે. પ્રેમ અસંભવના ફેફસાંમાં સંભવિતતાના વિશ્વાસનો પ્રાણવાયુ પૂરો પાડે છે. પ્રેમમાં અકલ્પનીય પણ હાથવગું લાગે છે અને ઝાંઝવાથી પણ યુગયુગોની તૃષા છીપે છે.

પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે ટહુકો ડૉટ કોમની મુલાકાત લેવા વિનંતી છે.

*

A red, red rose

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

Comments (2)

સાક્ષીભાવ – પ્રદીપ ‘સુમિરન’

આવનારો શ્વાસ ક્યાં લઈ જાય, કૈં નક્કી નહીં,
મૃત્યુ ક્યારે કયા બહાને થાય, કૈં નક્કી નહીં!

ભાવ સાક્ષીનો લઈ, જોતા રહીએ જે થાય તે,
કિન્તુ, એવું કેટલી પળ થાય, કૈં નક્કી નહીં!

ખૂલવાની જેમ થાવું બંધ- ઘટના રોજની-
ભીંત, ક્યારે બારણું થઈ જાય, કૈં નક્કી નહીં!

આપણે વ્યાખ્યા કરીને ખુશ રહીએ એટલું,
શું જડે, ને શું અહીં ખોવાય, કૈં નક્કી નહીં!

મેઘધનુષો આભમાંથી વીણવાના ખેલમાં-
હાથની હિનાનું શું થાય, કૈં નક્કી નહીં!

લઈ ફરે છે ધૂપદાની, કૈંક છાયાઓ અહીં,
ધૂપ એમાં થાય કે ના થાય, કૈં નક્કી નહીં!

– પ્રદીપ ‘સુમિરન’

કાફિયાઓની બાબતમાં કવિએ પ્રમાણમાં ખાસ્સી આળસ સેવી હોવા છતાં મસ્ત મજાની ગઝલ લખાઈ પણ જાય, કૈં નક્કી નહીં!

Comments (6)

પ્રશ્નો – જુગલ દરજી

ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગારના પ્રશ્નો,
અરીસો પૂછશે તમને અરીસા બહારના પ્રશ્નો.

તમે સંબંધના છેડે મૂક્યા તકરારના પ્રશ્નો,
અને મેં સાચવી રાખ્યા છે પહેલીવારના પ્રશ્નો.

વધુ શ્રદ્ધા જ કાળી રાતનું કારણ બની ગઈ છે,
અમે દીવા ઉપર છોડ્યા હતા અંધારના પ્રશ્નો

કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ તત્વે
પ્રથમ તો એને પણ ઉઠ્યા હશે આકારના પ્રશ્નો.

કરે છે અર્થ એનો શું, એ સામા પક્ષ પર નિર્ભર,
આ તારી આંખ પણ જાણે કોઈ અખબારના પ્રશ્નો.

હતા માટી અને માટી જ થઈને રહી જશે અંતે,
ચડ્યા છે ચાકડા ઉપર જે આ કુંભારના પ્રશ્નો.

પછી જે આવશે એ, સત્ય કેવળ સત્ય હોવાનું,
પ્રથમ પીવાડ અમને દોસ્ત પહેલી ધારના પ્રશ્નો.

– જુગલ દરજી

સાદ્યંત સુંદર રચના. કવિને જન્મેલા પ્રશ્નો આપણને વિચારતા કરી મૂકે છે…

Comments (13)

વિપ્રલબ્ધા ગઝલ – જવાહર બક્ષી

એક ભ્રમનો આશરો હતો …. એ પણ તૂટી ગયો
પગરવ બીજા બધાયના હું ઓળખી ગયો

ઘટના વિના પસાર થયો આજનો દિવસ
સૂરજ ફરી ઊગ્યો ને ફરી આથમી ગયો

આજે ફરીથી શક્યતાનું ઘર બળી ગયું
મનને મનાવવા ફરી અવસર મળી ગયો

બીજું તો ખાસ નોંધવા જેવું થયું નથી
હું બારણાં સુધી જઈ…..પાછો વળી ગયો

મારાથી આજ તારી પ્રતીક્ષા થઈ નહીં
મારો વિષાદ જાણે કે શ્રદ્ધા બની ગયો

– જવાહર બક્ષી

[ વિપ્રલબ્ધા = અષ્ટનાયિકાઓમાંની એક નાયિકા ]

પ્રત્યેક શેર બળકટ…..જેમ જેમ ગઝલ આગળ વધે છે તેમ તેમ એક ઘેરી ઉદાસીનો સામો બંધાતો જાય છે…

Comments (4)

આ પા મેવાડ….. – ભગવતીકુમાર શર્મા

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

– ભગવતીકુમાર શર્મા

 

ઘણા વખતે આ ગીત ફરી વાંચ્યું, મન તરબતર થઇ જાય કાયમ. પરંપરાગત વિષય તેમ જ બાંધણી પણ જૂનવાણી પરંતુ ગીતમાં એક અજબ ઊંડાણ છે…સમજાવવું અઘરું છે-અનુભવવું પડે…..

 

 

Comments (1)

બદલે – ડૉ.મનોજ જોશી ‘મન’

પરિસ્થિતિ તો હજાર બદલે;
ન વેદનાઓ લગાર બદલે.

તું જેમ બખ્તર ધરાર બદલે,
ક્ષણોય એમ જ પ્રહાર બદલે.

‘હ’કાર બદલે; ‘ન’કાર બદલે,
‘હું’કારનો બસ પ્રકાર બદલે.

જનમથી રાતે સૂતાં રહો છો;
તો આમ ક્યાંથી સવાર બદલે!

સળંગ બદલે મૂળેથી માણસ;
જરાક એ જો વિચાર બદલે.

કદાચ બદલે તો રીત બદલે,
મરણ ન તિથિ, ન વાર બદલે.

યુગોયુગોથી જીવે પ્રતીક્ષા;
બસ આંખ, રસ્તો કે દ્વાર બદલે.

– ડૉ.મનોજ જોશી ‘મન’

દેખાવમાં ટૂંકી ટચરક પણ નિભાવવી દોહ્યલી થઈ પડે એવી ‘બદલે’ સાતે-સાત શેરમાં કેવી બ-ખૂબી નિભાવી છે તે જુઓ… બધા જ શેર વિચારણીય થયા છે.

 

Comments (4)

આવે તો સ્હેવું – રવીન્દ્ર પારેખ

દુઃખ આવે તો સ્હેવું, મનવા, દુઃખ આવે તો સ્હેવું…
કોઈ નથી લેનારું એને તેથી તારે લેવું…

કોઈ નથી લેવા રાજી તો દુઃખને ક્યાં જઈ નાખું?
એને પણ તો થાય ને થોડું જીવે, ભલે ન આખું,
તું ના હો તો કોણ છે એનું, ક્યાં જઈ એણે રે’વું?

તારું પણ તો ખરું છે મનવા, સુખ પાછળ દોડે છે,
સુખ તો એનું છે જે જગમાં રહીને જગ છોડે છે,
કહે, તને આ સુખ ને દુઃખમાંથી મારે શું દેવું?

મનવા, તું આંખો માંગે ને આંસુની ના પાડે?
બીજ વગર શું જગમાં કોઈ આખું ઝાડ ઉગાડે?
દુઃખ જો દરિયો હોય તો એમાં બની શકે તો વ્હેવું…

– રવીન્દ્ર પારેખ

દુઃખ વિશે આપણે ઘણું ગાયું છે… ‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે જડિયાં’, થી લઈને ‘ભાઈ રે! આપણાં દુઃખનું તે કેટલું જોર’ સુધી આપણી દુઃખ વિશેની સમ્યક ભાવના વિસ્તરી છે. પણ એ છતાંય દુઃખથી ભાગવું એ જ આપણો સ્વ-ભાવ છે. અહીં કવિ જરા અલગ જ પ્રકારની વાત કરે છે. એ દુઃખ સાથે સમભાવ રાખવાથી બે કદમ આગળ વધીને એને વધાવી લેવાની હિમાકત કરે છે. નવી વાત છે પણ વાત છે દમદાર…

Comments (6)

હાજર છે – જયંત ડાંગોદરા

પટોળામાં ભરેલી ભાત જેવી રાત હાજર છે,
ત્વચામાં કંઈક ગમતા સ્પર્શનો વૃત્તાંત હાજર છે.

તમારી હાજરી વિના સતત એવું થયા કરતું,
બધાની હાજરી વચ્ચે સતત એકાંત હાજર છે.

નયનમાં ઘેન છે ઘેઘૂર ગળતી રાતના જેવું,
અને સામે લચેલું એક પારિજાત હાજર છે.

પછી આરાધના સઘળીય મેં પડતી મૂકી દીધી,
તમોને જોઈ લાગ્યું કે ખુદાની જાત હાજર છે.

જરા શી આંખ મીંચું ત્યાં જ વચ્ચેથી હટે પડદો,
પછી એવું સતત લાગ્યા કરે, સક્ષાત્ હાજર છે.

– જયંત ડાંગોદરા

‘જરા હટ કે’ બયાનીસભર ગઝલ…

Comments (3)

ચાલુ છું…. – ‘રુસ્વા’ મઝલૂમી

છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલુ છું,
બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઈશારે ચાલુ છું.

જીવનનો ખરો લ્હાવો છે, અહીં સાગરની ગહનતામાં આવો,
મોજાંઓ કહે છે પોકારી હું જયારે કિનારે ચાલુ છું.

પ્રત્યેક વિસામો ચાહે છે, આ મારી સફર થંભી જાયે,
સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલુ છું.

ધબકાર નથી આ હૈયાનો, કોઈનો મભમ સંદેશો છે,
હું એના સહારે બોલું છું, એના જ ઈશારે ચાલુ છું.

થાકીને લોથ થયો છું, પણ કયારેય નથી બેઠો ‘રુસ્વા’
આ ગર્વ નથી ગૌરવ છે, હું મારા વિચારે ચાલુ છું.

– ‘રુસ્વા’ મઝલૂમી

Comments (1)

ત્રણ પ્રતિજ્ઞાઓ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

હું બુદ્ધને શરણે નહીં જાઉં
બુદ્ધ મને મારાં દુઃખોનું ભાન કરાવે છે
હું અ-બુધને શરણે જઈશ
એ મને મારા સુખનો ખ્યાલ આપશે

હું ધર્મને શરણે નહીં જાઉં
ધર્મ જાતજાતનું ભૂસું ભરી
મને ભારેખમ બનાવે છે
હું અ-ધર્મને શરણે જઈશ
એ મને હળવો ફૂલ રાખશે

હું સંઘને શરણે નહીં જાઉં
સંઘ મારી વાણીને છિનવી લેશે
હું જંગને શરણે જઈશ
જંગમાં મારું પોતાનું શસ્ત્ર, પોતાનો હોંકારો હશે.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

बुद्धं शरणं गच्छामि
धम्मं शरणं गच्छामि
संघं शरणं गच्छामि

બૌદ્ધ ધર્મના ત્રણ મુખ્ય સિદ્ધાંત. કવિ આ ત્રણ સિદ્ધાંતોની જમીન પર ઊભા રહીને આજના માનવની માનસિકતાનો યથાર્થ ચિતાર આપે છે.

Comments (2)

દુઃસ્વપ્ન – મણિલાલ હ. પટેલ

ગામ પાછું સપનામાં આવ્યું છે:
હવડ કૂવામાંથી નીકળેલી રાતે
મૂઠ મારીને ગામને પથ્થર કરી દીધું છે
અંધારાએ મારી આંગળી પકડી લીધી છે
હાથમાં દીવા લઈને પાદરના વડ નીચે
રાતીપીળી બાંધણી પ્હેરી જોગણીઓ રમે છે…

આંબલીના પોલા થડમાંથી, સજીધજીને
વરણાગી વંતરી બ્હાર નીકળી છે
પડછાયા એનો પ્હેરો ભરે છે
સન્નાટો શેરીમાં સભા ભરીને બેઠો છે
મકાનો આંખો મીંચીને જોઈ રહ્યાં છે…

વચલા ફળિયાના પીપળ-ચોરે
દેવલોક પામેલા ભાભાઓ
પડછાયા પ્હેરીને ગુપચુપ બેઠા છે
જાવલી ડાકણ કોઈનું કાળજુ રાંધીને
હમણાં જ ખાવા બેઠી છે…

રમજુડા ભૂવાએ ધૂણીધૂણીને છેવટે
લંગડા ભૂતને ગાગરમાં પૂર્યું છે
અંધારું મને નેળિયા બહાર લાવે છે
કાળો પાડો મુખીનું ખેતર ચરે છે
ઘોડાના ડાબલા ગાજે છે – અચાનક
ગામ છેવાડે કોઈ મરણ-પોક મૂકે છે
હું જાગી જાઉં છું: પરસેવે રેબઝેબ

– મણિલાલ હ. પટેલ

ગામનો આદમી ગામ છોડીને શરે આવી જાય ત્યારે શરીર જ શહેરમાં આવે છે, એનો જીવ તો ગામમાં જ રહી જાય છે પાછળ. પણ આજે પરિસ્થિતિ એવી છે કે આખેઆખા ગામડાં શહેરમાં ઠલવાવા માંડ્યા છે. ગામના કૂવા હવડ થઈ ગયા છે ને શેરીઓમાં સન્નાટો ફેલાઈ વળ્યો છે. મકાનોના દરવાજા હવે કાયમ માટે બંધ રહે છે અને પીપળાના ચોરા પર કદાચ દેવલોક થયેલા વડવાઓ આવે તો આવે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે… ગામડું હવે દુઃસ્વપ્ન બનીને સતાવે નહીં તો જ નવાઈ…

Comments (2)

તમે નથી તો…! – ભાનુપ્રસાદ પુરાણી

તમે નથી તો, નથી જિંદગી જીવવા જેવી!
તમે નથી તો, દિલની વાતો કોને કહેવી?
તમે નથી તો, આંબાડાળે કોયલ ક્યાંથી ટહુકે?
તમે નથી તો, વનવગડામાં મયૂર ક્યાંથી ગહેંકે?

તમે નથી તો છોડ હિજરાતા કરે છે બાગના,
તમે નથી તો ફૂલ બધાં ઝૂર્યાં કરે છે ત્યારનાં
‘તમે ખરા છો! સાવ ભૂલકણા’ કોણ બોલશે?
‘જો જો પાછા મોડા પડતા!’ કોણ ટોકશે?

તમે તમારી આંખે સૂરજ ઢાળી દઈને-
કો’ક અજાણી આંખોને અજવાળાં દીધાં!
તમે અચાનક ‘આવું’ કહીને અનંત વાટે ચાલ્યાં,
ભૂલી ગયાં શું કોલ, આપણે બંધ બારણે લીધાં?

તમે નથી તો’આવું’ એવો કોણ પાડશે ટહુકો?
તમે નથી તોય અમ અંતરમાં ધૂપસળી શાં મહેંકો.

– ભાનુપ્રસાદ પુરાણી

એકાદા અપવાદને બાદ કરતાં ચુસ્ત પ્રાસ સાથેનું લયબદ્ધ સૉનેટ. જીવનસંગિની જીવનપથમાં નાયકને એકલો છોડીને, ચક્ષુદાન કરીને કોઈક અજાણી આંખોને અજવાળાં દઈને ચાલી નીકળ્યાં બાદની નાયકની મનોદશા અહીં સુપેરે ઉજાગર થઈ છે. ‘તમે નથી તો’ની પુનરોક્તિ મૃતકની ગેરહાજરીની તીવ્રતાનો અને નાયકના જીવનમાં વ્યાપ્ત ખાલીપાના આયામનો પણ ગુણાકાર કરે છે.

Comments (5)

સૂફીનામા : ૦૭ : જો તુમ તોડો, પિયા! – મીરાંબાઈ

જો તુમ તોડો, પિયા! મૈં નહિ તોડું,
તો સોં પ્રીત તોડ, મૈં! કૌન સંગ જોડું?

તુમ ભયે તરુવર, મૈં ભઈ પંખિયા,
તુમ ભયે સરોવર, મૈં તેરી મછિયા.

તુમ ભયે ગિરિવર, મૈં ભઈ મોરા,
તુમ ભયે ચંદા, મૈં ભઈ ચકોરા.

તુમ ભયે મોતી હમ ભયે ધાગા;
તુમ ભયે સોના, હમ ભયે સોહાગા.

મીરાં કહે: પ્રભુ! વ્રજ કે વાસી!
તુમ મેરે ઠાકુર, મૈં તેરી દાસી.

– મીરાં

ઈસ્લામિક રહસ્યવાદ તસવ્વુફ તરીકે ઓળખાય છે. અરબી ભાષામાં તસવ્વુફ એટલે ઊનના વસ્ત્રો પહેરવાં. એ જમાનામાં મુસ્લિમ દરવેશો ઊનના વસ્ત્રો પહેરતાં હતાં એ પરથી આ શબ્દ ઊતરી આવ્યો હોઈ શકે. ઓગણીસમી સદીના પ્રારંભમાં પાશ્ચાત્ય જગતે તસવ્વુફને ‘સૂફી’ નામથી ઓળખવાનું શરૂ કર્યું. સૂફી શબ્દ ‘સૂફ’ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પણ ઊન થાય છે. સૂફીવાદનો ઇતિહાસ મહંમદ પયગંબર સુધી લંબાયેલો છે, પણ આજે જેને આપણે ખરા અર્થમાં સૂફીવાદ કહીએ છીએ એની શરૂઆત સાતમી-આઠમી સદીમાં થઈ હતી. મુસ્લિમોએ જેને સૂફીવાદ કહ્યો, એ આપણી સંસ્કૃતિમાં પ્રેમલક્ષણા ભક્તિના નામે સદીઓથી પ્રચલિત હતો જ. આપણે ત્યાં શ્રીમદ્ ભાગવતમાં પણ કૃષ્ણ તરફની ગોપીઓની આસક્તિ પ્રકટ થઈ જ છે. નરસિંહના પ્રભાતિયાંઓ અને મીરાંના પદોમાં પણ આ પ્રેમલક્ષણા ભક્તિ જોવા મળે છે. ઈસ્લામિક સૂફીવાદથી સાવ અણજાણ આપણી ભોમકા પરના ભક્તકવિઓએ પણ ઈશ્વરને પોતાની માશૂકા-માશૂક ગણીને, પોતાની જાત એને અર્પણ કરી દેવાની તત્પરતામાં જીવનનું સાફલ્ય સમજ્યું હતું.

મીરાંબાઈનું આ લોકપ્રિય પદ લતા મંગેશકરે અમર કરી દીધું છે, પણ એ બાદ કરતાં કવિતાની દૃષ્ટિએ એને મૂલવીએ તો આ રચના આત્મસમર્પણની શ્રેષ્ઠતમ કવિતાઓમાંની એક છે.

Comments (1)

સૂફીનામા : ૦૬ : વ્હાલમ! આવો મારે ઘેર – કબીર

વ્હાલમ! આવો મારે ઘેર રે,
તમ બિન દુઃખી તન ઢેર રે.

સૌ કહે હું નારી તારી,
મને જ આ સંદેહ રે;
એક મેક થઈએ, સંગ ન સૂઈએ
ત્યાં લગી કેવો સ્નેહ રે?

અન્ન ન ભાવે, ઊંઘ ન આવે,
ઘર વન ધરે ન ધીર રે,
જેમ કામીને કામિની પ્યારી
જેમ તરસ્યાને નીર રે.

છે કોઈ એવો પરોપકારી
પ્રિયને કહી સંભળાવે રે,
‘કબીર’ હવે બેહાલ થયા છે
વણદેખ્યે જીવ જાવે રે.

– કબીર
(અનુ.: વિવેક મનહર ટેલર)

સૂફીવાદ અથવા તસવ્વુફ શબ્દ બોલતાંની સાથે આપણી નજર સામે માથે ઊંચી સફેદ ટોપી અને શરીરે લાંબો-ખુલતો સફેદ ચોગો પહેરીને નિજાનંદમાં ગોળ ગોળ ફર્યે રાખતા દરવેશની છબી આવી ઊભે. અથવા આબિદા પરવીન, નુસરત ફતેહ અલી ખાન જેવા ગાયકોનું સ્મરણ થાય. સાહિત્યમાં થોડોઘણો પણ રસ હોય એની નજર સામે અમીર ખુશરો, રૂમી, ગુલામ ફરીદ, મન્સુર, રાબિયા જેવા કવિઓ તરવરી ઊઠે. માન્યું કે પ્રવર્તમાન સૂફીવાદના મૂળ ઈસ્લામમાં પડેલાં છે અને સૂફી કલામ મુસ્લિમ ધર્મમાંથી લંબાયેલી ડાળ છે, પણ ભારતીય સાહિત્યનો ઇતિહાસ ચકાસીએ તો આપણે ત્યાં ઘણાં કવિઓની કલમ સૂફીવાદની વિચારધારાને મળતી આવે છે.

સૂફી વિચારધારાના મુખ્ય સિદ્ધાંત આ મુજબ છે:

૧) રુઢિચુસ્ત ઈસ્લામ ધર્મ બાહ્યાચાર અને ધાર્મિક વિધિઓના આંધળા પાલનનું સમર્થન કરે છે, જ્યારે સૂફી દરવેશ આંતરિક આંતરિક શુદ્ધિની આરત રાખે છે.
૨) સૂફી દરવેશ ઈશ્વરને પોતાની માશૂકા ગણે છે અને માશૂક તરીકે એને ભજીને એની સાથે એકાકાર થવાની ઝંખના ધરાવે છે.
૩) પ્રેમ અને સમર્પણ ઈશ્વર સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે.
૪) સૂફીવાદમાં સૌથી ઊંચુ સ્થાન ગુરુ (મુર્શીદ/પીર)નું છે.
૫) સમર્પણ નમાઝ અને રોજાથીય ઊંચું સ્થાન ધરાવે છે.
૬) સૂફીવાદ જાતિ વ્યવસ્થામાં માનતો નથી.
૭) સૂફીવાદ સાદા-સરળ જીવનનો હિમાયતી છે.

આપણે ત્યાં જયદેવ, વલ્લભાચાર્ય, આણ્ડાળ, વિદ્યાપતિ, કબીર, લાલ દીદ, નરસિંહ, મીરાં જેવા અનેકાનેક કવિઓ થઈ ગયા છે, જેમની રચનાઓ અને જીવનશૈલીમાં આ તમામ સિદ્ધાંતો વણાયેલા જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે ઈસ્લામિક દેશોમાં અને આપણે ત્યાં સૂફીવાદી ભક્તિવિચારધારાઓનો સમાંતરે અને સ્વતંત્રપણે વિકાસ થયો છે.

કબીરની આ રચનામાંથી પણ સૂફીના ઊંડા પડઘા ઊઠતા સંભળાય છે. પ્રભુને વહાલમ કહીને એ ઘરે બોલાવે છે, કેમ કે એના વિના આ કાયા દુઃખી દુઃખી છે. લોકોના કહેવા મુજબ કબીર ઈશ્વરની પત્ની છે પણ કબીરને આ વાત પર શંકા છે કેમ કે જ્યાં સુધી બે જણ એક ન થાય, સાથે એક સેજ પર સૂઈ ન જાય ત્યાં સુધી સ્નેહસંબંધ વળી કેવો? કેવી ચતુરાઈથી ઈશ્વરને પોતાને એકરૂપ કરી દેવા માટે કબીર ઉકસાવે છે! પ્રભુના પ્રેમમાં નથી અન્ન ભાવતું, નથી ઊંઘ આવતી, ઘરમાં રહે કે વનમાં, ધીરજ ખૂટી રહી છે અને જેમ કામીને સ્ત્રી પ્યારી હોય અને તરસ્યાને પાણી, બરાબર એ જ તીવ્રતાથી કબીરને પ્રભુની આરત છે. હવે તો કોઈ પરોપકારી મળે અને ઈશ્વરને કબીરના બેહાલ હાલની વાત કહી સંભળાવે તો ઠીક, બાકી કબીરના પ્રાણ પ્રભુદર્શન ન થવાના લઈને નીકળવા પર છે.

*

बालम आवो हमारे गेह रे,
तुम बिन दुखिया देह रे।

सब कोई कहै तुम्हारी नारी
मो कों यह संदेह रे;
इक मिक होये सेज न सोये
तब लग कैसो स्नेह रे।

अन्न न भावै नींद न आवै
गृह बन धरै न धीर रे,
ज्यों कामी को कामिनी प्यारी
ज्यों प्यासे को नीर रे।

है कोई ऐसा पर-उपकारी
पिय से कहै सुनाय रे,
अब तो बेहाल ‘कबीर’ भये हैं
बिन देखे जिया जाय रे।

– कबीर

Comments (5)

સૂફીનામા : ૦૫ : ઓળખ, તિલક- બધુ છીનવ્યું રે -અમીર ખુશરો

મારી છબી બનાવીને હું જો પિયાની પાસે ગઈ,
એની છબી જોઈને હું તો મારી ભૂલી જ ગઈ.

ઓળખ, તિલક- બધુ છીનવ્યું રે, આંખમાં આંખ પરોવીને,
વાત નટખટ (હલકી) કહી દીધી રે, આંખમાં આંખ પરોવીને.

વારિ વારિ જાઉં હું તો તને રંગ-રસિયા,
તારા જ રંગે રંગી રે, આંખમાં આંખ પરોવીને.

પ્રેમ-ભઠ્ઠીનો રસ પાઈને, મતવારી કરી દીધી રે,
આંખમાં આંખ પરોવીને.

ગોરા ગોરા હાથ અને લીલી લીલી બંગડી,
હાથ પકડીને ઘરમાં ખેંચી રે, આંખમાં આંખ પરોવીને.

‘ખુશરો’ ‘નિજામ’ ને વારી વારી જાયે,
મને સોહાગણ કરી દીધી રે, આંખમાં આંખ પરોવીને.

-અમીર ખુશરો (અનુવાદઃ મોના નાયક ‘ઊર્મિ’)

ફારસીના જ્ઞાતા, ઉત્તમ શાયર અને ઇતિહાસકાર અમીર ખુશરો દહેલવી, ઇ.સ. ૧૨૫૩થી ૧૩૨૫ દરમિયાનના સમયના કવિ, સંગીતકાર, સંશોધક, તત્ત્વજ્ઞાની અને ભાષાશાસ્ત્રી ગણાય છે. ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખયાલની રચનાની શરૂઆત કરવાનો યશ અમીર ખુશરોને ફાળે જાય છે. તેમણે ધ્રુપદમાં સુધારા કરીને તેમાં પર્શિયન મેલડીઝ અને તાલ ઉમેરીને ખયાલની રચના કરી હતી. સામાન્ય રીતે જોઇએ તો ખયાલ મૂળ તો કવ્વાલીમાંથી ઊભર્યો છે, જેને તેમણે ભજનરૂપે પણ રચના કરીને ગાયો હતો. તેઓ પર્શિયન ભાષામાં તથા હિન્દવીમાં કવિતાઓ લખતા. પાછળથી તેઓ હિન્દી અને ઉર્દૂમાં લખતા થયા હતા. ઉપરાંત તેઓ અરેબિક ભાષા પણ જાણતા. તેમની મોટા ભાગની કવિતાઓ આજે પણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં બંદીશો તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેમની ગઝલો ગઝલગાયકો ગાય છે. તેઓ ઉર્દૂ ભાષાના સ્થાપક હતા અને પ્રથમ ઉર્દૂ કવિ પણ હતા. તેમને કવ્વાલીના જનક કહેવાય છે. કવ્વાલી એ ભારતીય સૂફીઓનું ભક્તિસંગીત ગણાય છે. તેમણે શાસ્ત્રીય સંગીતમાં તરાનાનો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત રિધમિક રીતે કમ્પોઝ કર્યા હતા. ભારતીય તબલાની શોધ પણ તેમણે કરી હતી. તેમણે સંગીતની સાથે માર્શલ આર્ટસ અને ઘોડેસવારી પણ શીખ્યા હતા. ખુશરો દિલ્હીના અલ્લાઉદ્દીન ખીલજીથી ગયાસુદ્દીન તઘલખ સુધીના સાત રાજાઓના દરબારમાં જાણીતા સંગીતકાર હતા.

અમીર ખુશરો કોમીએકતા, હિન્દુ-મુસ્લિમ સંવાદિતા, સામાજીક જોડાણ અને સાંપ્રદાયિક એકતાનું પ્રતિક ગણાય છે. અમીર ખુશરોએ ભારતીય સંસ્કૃતિના સદ્‌ભાવનાના મૂલ્યોને “ખિદમત-એ-ખલ્ક” એટલેકે માનવતાની સેવાથી આગળ વધાવ્યો છે. તેમણે “સુલ્હ-એ-કુલ” પ્રથા એટલે કે સમાધાનની પ્રથાની પણ શરૂઆત કરી જેના અનુસાર ઈશ્વર એ લોકોનું દામન થામે છે જે માનવતા માટે તેનાથી પ્રેમ કરે છે અને તેથી જ સમગ્ર માનવતા તેનાથી પ્રેમ કરે છે. આજના સમયમાં અમીર ખુશરોની નજ્મો-કવિતા અને શિક્ષાઓ કોમી એકતા, સહનશીલતા, આધ્યાત્મિકતાને મજબૂત કરવા ઉપયોગી બને છે.

ખુશરો સૂફી વિચારના ચિશ્તી પરંપરાના જાણીતા સંત હઝરત મુહંમદ નિઝામુદ્દીન ઓલિયાના વિચારોથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બની ગયા, જે તેમના આધ્યાત્મિક ગુરુ પણ હતા. પાંચ હજાર દોહા અને શાયરીનાં પાંચ પુસ્તકો લખનાર અમીર ખુસરોની રચનાઓમાં સૂફી વિચારોનો અર્ક માણવા મળે છે. તેમના ગુરુ નિઝામુદ્દીન ઓલિયાના અવસાનના સમાચાર તેમને ઘણા મોડા મળેલા અને સમાચાર મળતાં જ અમીર ખુસરો તેમની દરગાહ પર જઇ ચોધાર આંસુએ રડેલા અને ત્યારે તેમની અંદરનો કવિ બોલી ઊઠેલો,

‘ખુસરો રૈન સોહાગ કી, જાગી પી કે સંગ
તન મોરો મન પિઉ કો, દાઉ ભયે એક સંગ
ગોરી સોવે સેજ પર, મુખ પર ડારે કેસ
ચલ ખુસરો ઘર અપને, રૈન ભઈ ચહું દેસ’

આ દોહા સાથે ખુસરો ગુરુની મઝાર પાસે બેભાન થઈ ગયેલા. આવા ગહન વિચારને સરળ શબ્દોમાં સાકાર કરનાર ખુસરોની પ્રખ્યાત રચનાઓમાં ‘ખ્જૈન- અલ -ફતહ’ અને ‘તારીખ-એ – અલાય’ છે. જ્યારે ઐતિહાસિક રચનાઓમાં ‘નૂહ સિફિર’ અને ‘તુગલખનામ’ જાણીતી છે. ઈ .સ. ૧૩૨૫માં તેમનું અવસાન થયું. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમને તેમના ગુરુ નિઝામુદ્દીન ઓલિયાની કબર પાસે જ દફ્નાવાવમાં આવ્યા.

Source: WikiPedia અને અન્ય

*
अपनी छवि बनाय के जो मैं पी के पास गई
जब छवि देखी पीहू की तो अपनी भूल गई

छाप तिलक सब छीनी रे मोसे नैनाँ मिलाय के
बात अधम कह दीन्हीं रे मोसे नैनाँ मिलाय के

बल-बल जाऊँ मैं तोरे रंग-रेजवा
अपनी सी रंग दीन्हीं रे मोसे नैनाँ मिलाइ के

प्रेम-भटी का मदवा पिलाय के मतवारी कर दीन्हीं रे
मोसे नैनाँ मिलाइ के

गोरी गोरी बइयाँ हरी हरी चूड़ियाँ
बईयाँ पकर धर लीन्हीं रे मोसे नैनाँ मिलाय के

‘ख़ुसरव’ ‘निजाम’ के बल-बल जइए
मोहे सुहागन कीन्हीं रे मोसे नैनाँ मिलाइ के

Comments (4)

સૂફીનામા : ૦૪ : પ્રેમમાં – ફરીદુદ્દીન અટ્ટાર

પ્રેમમાં યુવાન અને વૃદ્ધ એક સમાન છે
પ્રેમમા ખોટ અને નફો એક સમાન છે
પ્રેમમાં દુનિયાના બધા રંગ એક સમાન છે
પ્રેમમાં વસંત અને પાનખર એક સમાન છે
પ્રેમમાં ઊંચું અને નીચું એક સમાન છે
પ્રેમમાં ધરતી અને સ્વર્ગ એક સમાન છે
પ્રેમનું સ્થાનક વર્તુળાકાર છે
એના પરનું દરેક બિંદુ એક સમાન છે
પ્રિયતમનું વ્હાલ ને આક્રોશ એક સમાન છે
પ્રેમની પરંપરામાં મૃત્યુ ને અમરત્વ એક સમાન છે

-ફરીદુદ્દીન અટ્ટાર

પ્રેમ માત્ર સાધન નથી સાધ્ય છે: આ જરા જેટલા વિચારમાં આખી દુનિયાને ક્ષણાર્ધમાં સરળ કરી નાખવાની તાકાત છે.

Comments (2)

સૂફીનામા : ૦3: ખાલી શ્વાસ – રૂમી

ન ઇસાઇ કે યહૂદી કે મુસ્લિમ,
ન હિન્દૂ કે સૂફી કે ઝેન.
ન કોઈ ધર્મ કે ન કોઈ સંસ્કૃતિ.

ન હું પૂર્વથી કે પશ્ચિમથી.
ન સાગરમાંથી કે ન ધરતી પરથી,
ન પાર્થિવ કે ન અપાર્થિવ,
નથી બન્યો હું તત્વોથી.

હું હોવામાં નથી.
હું નથી આ દુનિયાનો કે નથી બાજુની દુનિયાનો,
નથી હું આદમ-ઇવથી જન્મ્યો કે સ્વર્ગથી ઉતારી આવ્યો.

મારું સ્થાન સ્થાનરહિત છે, પગેરાવિહીન પગેરું .
ન આત્મા ન શરીર.

હું મારા પ્રિયતમનો છું ને જોયા છે એમાં
બે જગતને એક થઇ જતા જેને હું પોકારું છું અને જાણું છું.
એ જ પહેલો અને છેલ્લો, એ જ બાહરનો અને અંદરનો,
ખાલી એ શ્વાસ લેતો માનવ.

– રૂમી (કોલમેન બાર્કસના અનુવાદના આધારે)

સૂફીવાદની વાત નીકળે તો પહેલો રૂમી યાદ આવે. એની રહસ્યવાદી કવિતાઓ આજે લગભગ હજાર વર્ષ પછી પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. એની હજારો કવિતાઓ છે અને એકે એક ઉમદા છે.

સુફીમાર્ગમાં ‘ફિત્ર’ની વાત છે. ફિત્ર એટલે નિર્દોષ અને નિર્મળ સ્થિતિ. દરેક માનવ જન્મે આ જ સ્થિતિમાં હોય છે. સંસારના રંગે ના રંગાય ત્યાં સુધી. બીજે બધે વાત છે વધારે જ્ઞાન મેળવીને આગળ જવાની, અહીં વાત છે બિનજરૂરી આવરણો ઉતારીને શુદ્ધ થવાની. બધું પોતાની અંદર છે જ. માત્ર શોધવાની જ વાર છે.

અહીં રૂમી પોતાની જાતને એક પછી એક આવરણમાંથી મુક્ત કરતા જાય છે. પોતાના પરથી જાણે એક પછી એક ‘લેબલ’ ઉખાડતા જતા હોય એમ. કવિને ધર્મ કે સંસ્કૃતિ ખપતા નથી. નથી એમને શરીરનો ભાર ખપતો. પોતાના અસ્તિત્વનું પોત કવિને એટલું પાતળું કરી દેવું છે કે એ શબ્દ વાપરે છે – ‘સ્થાનરહિત સ્થાન’ અને ‘પગેરાવિહીન પગેરું.’ કવિ આત્મા અને શરીર બંનેથી આગળ વધી જવા માંગે છે. એમનુ ગંતવ્ય છે પ્રિયતમ. પોતાના પ્રિયતમમાં એમને બંને જહાન એક થતા દેખાય છે. છેલ્લે રહી જાય છે ખાલી એક શ્વાસ લેતો માનવ. કોઈની પણ આટલી ઓળખાણ પર્યાપ્ત હોય છે. એનાથી વધારેના કોઈ પણ આવરણો આખરે તો અડચણ જ બની રહેતા હોય છે.

Comments (2)

સૂફીનામા : ૦૨ : અનાયાસે – મન્સૂર

I do not cease swimming
in the seas of love,
rising with the wave,
then descending;
now the wave sustains me,
and then I sink beneath it;
love bears me away
where there is no longer any shore.

Al Hallaj Mansoor

પ્રેમસિંધુઓ મહીં
તરવું બંધ કરતો નથી.
ઉપર જતો મોજા સાથે,
પછી નીચે.
હમણા મોજું મને ટકાવે છે
ને પછી હું એની નીચે ડૂબું છું.
કિનારાના તો ઓછાયામાત્રથી
પ્રેમ મને આઘો રાખે છે.

– મન્સૂર

આ મારો સૌથી પ્રિય માથાનો ફરેલો સૂફી છે. અંગત રીતે મને આ સંત સૌથી હિમતવાન અને નીડર લાગે છે. એને સત્ય સિવાય કશાનો ખપ પણ નહોતો અને ખોફ પણ નહોતો. એ સારી પેઠે જાણતો હતો કે એના વિચારો પ્રગટ કરવાનો અર્થ શું હતો અને અંત શું હતો,છતાં એણે ડંકાની ચોટ પર એલાન કરેલું – ‘ અનલહક ‘ – અર્થાત ‘ હું જ સત્ય છું ‘ – બીજા શબ્દોમાં – “અહં બ્રહ્માસ્મિ”…… રૂઢિચૂસ્તો આ ગુસ્તાખી માટે એના એક પછી એક અંગો છેદતા ગયા અને તેને પોતાનો અભિપ્રાય બદલવાનો મોકો આપતા ગયા, પણ તે ટસનો મસ ન થયો. અંતે ગળા પર તલવાર મૂકાઈ ત્યારે પણ એનો સૂર દ્રઢ રહ્યો. તેની હત્યા આખા ઇસ્લામને હચમચાવી ગઈ. હૃદયથી બધા જ એની સામે નતમસ્તક થયા. ખાનગીમાં તે ઇસ્લામનો મહાનાયક કહેવાયો.

કાવ્ય સરળ છે…..જયારે કર્તા અદ્રશ્ય થાય છે ત્યારે જે રહી જાય છે તે છે અદ્વૈત….. આ જ વાત જિબ્રાન,રવીન્દ્રનાથ અને જે.કૃષ્ણમૂર્તિ ભિન્નભિન્ન શબ્દોમાં કહે છે…..

Comments (2)

સૂફીનામા : ૦૧ : વાસ્તવિકતા – રાબિયા

પ્રેમમાં કશું જ હોતું નથી હ્ર્દય-હૃદય વચ્ચે.
વાણી જન્મે છે વિરહમાંથી,
હૂબહૂ વર્ણન જન્મે છે સાચા સ્વાદમાંથી.
જે ચાખી ચૂક્યો છે, તે જાણકાર;
જે માત્ર વર્ણવે તે ખોટ્ટાડો.
જે હજરાહજૂર થતા તમારું અસ્તિત્વ જ નામશેષ થઈ જાય
તેનું મૂળ સ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી જ શકો ?
વળી તમારું અસ્તિત્વ હજુ જેના સ્વ માં છે (તેનું મૂળસ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી શકો) ?
વળી જે તમારી યાત્રાની નિશાનીરૂપે જીવંત છે (તેનું મૂળસ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી શકો) ?

– રાબિયા

In love, nothing exists between heart and heart.
Speech is born out of longing,
True description from the real taste.
The one who tastes, knows;
the one who explains, lies.
How can you describe the true form of Something
In whose presence you are blotted out?
And in whose being you still exist?
And who lives as a sign for your journey?

-Rabia al-Adawiyya

મંદિરમાં જેમ ગર્ભગૃહ, મહાભારતમાં જેમ ગીતા તેમ ઇસ્લામમાં સૂફી. ઉત્તમ ઉદાહરણ આપવું હોય તો જે સ્થાન ઝેનનું બૌદ્ધપંથમાં છે તે જ સ્થાન સૂફીનું ઇસ્લામમાં છે. ઇસ્લામનો પાયો અદ્વૈત નથી. સૂફીમાં અદ્વૈતનો ઈશારો છે. ‘અનલહક’ એ અદ્વૈતનો ઉદ્દગાર છે. અદ્વૈતની ઉદ્દઘોષણા છે. સૂફીની કોઈ સ્પષ્ટ મર્યાદિત વ્યાખ્યા નથી. ઈશ્વરને પ્રિયતમ સ્વરૂપે અનુભવવો, માશૂક સરીખો સંવાદ સાધવો, સખાભાવે ઝઘડવું-રૂઠવું-રીઝવું… આ બધા સૂફીના સ્વભાવ-સ્વરૂપ. જયારે કોઈક સાધક ઈશ્વરના પ્રચલિત ખ્યાલને વીંધીને ઈશ્વર-તત્વનું ચિંતન કરે ત્યારે તે સૂફી-ભોમકામાં પદાર્પણ કરે. જલાલુદ્દીન રૂમીએ સૂફી પરંપરામાં એવું મોટું સિમાચિહ્ન સર્જ્યું છે કે ત્યાર બાદના તમામ સૂફીપરંપરાના સર્જનો એ જ માપદંડે મપાય છે. અસંખ્ય સાધકોએ આ પરંપરામાં અદભૂત સર્જન આપ્યા છે.

પ્રસ્તુત રચના એક લાક્ષણિક સૂફી કાવ્ય છે- સંપૂર્ણપણે અદ્વૈતનું ગાન !! એક ગુલામડી તરીકે યુવાન થનાર બહેન ઇસ્લામની પૂજ્ય સંત બને છે સાતમી સદીના અતિરૂઢીચૂસ્ત સમાજમાં. તેઓએ પરમતત્વને આત્મસાત કર્યું હતું, અને સ્પષ્ટ કહે છે કે “પ્રેમમાં કશું જ હોતું નથી હ્ર્દય-હૃદય વચ્ચે” – દ્વંદ્વ શમે છે ત્યારે પ્રેમ જ રહી જાય છે, બીજું કશું હોતું નથી. કિરણ અને સૂર્ય અલગ નથી, બૂંદ અને મોજું અને સાગર અલગ નથી. અલગતાની જનની ભ્રમણા છે. ઈશ્વરને શોધવો નરી મૂર્ખતા છે.

Comments (2)

આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ

લયસ્તરો દ્રારા કવિતાના આનંદનો ગુલાલ કરવાના ઉદ્યમને આજે 15 વરસ પુરા થાય છે. કવિતાની હુંફમાં આટલો પસાર કરવાનો અવસર થયો એ ઈશ્વરનો ઉપકાર જ ગણાય. આ અવસરે હું લયસ્તરોની ટીમ – મોના, તીર્થેશ, વિવેક અને મારા – તરફથી સઘળા કવિઓ, સ્નેહીજનો અને વાચકોનો આભાર માનું છું.

મા ગુજરાતીને ઇન્ટરનેટ પર પ્રસરતી જોવાનો આનંદ બહુ મોટો છે. ગુજરાતી કવિતા રોજે રોજ બદલાઈ રહી છે અને વિસ્તરી રહી છે. વધુને વધુ લોકો પોતાના સાંસ્કૃતિક (અને સાહિત્યિક) મૂળિયાંની શોધમાં ગુજરાતી ભાષા તરફ પાછા ફરી રહ્યા છે. ગુજરાતી સાહિત્ય, નાટકો, ફિલ્મો બધું ઓસરવાને બદલે ઉભરાતું જાય છે. ઉમદા કામ કરવા સક્ષમ એવું નવું લોહી ગુજરાતી ભાષાપ્રવાહમાં ઉમેરાતું જાય છે. આ બધું એક ચમત્કારથી ઓછું નથી.

દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ કંઈક નવું કરીને ઉજવવાનો ક્રમ અમે આ વખતે પણ ચાલુ રાખીશું. આવતું અઠવાડિયું આપણે સૂફી કવિતાઓની સાથે પસાર કરીશું. એનો પહેલો મણકો આવતી કાલે આવશે. તો આજે શું? આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ નિમિત્તે હું તમારી સાથે કવિતાની મને ગમતી પંદર વ્યાખ્યાઓ રજુ કરું છું, ‘કવિતા એટલે શું?’ એ અનુત્તરણીય પ્રશ્નનો જવાબ શોધવામાં એ હાથવાગી થશે એવી આશા સાથે 🙂

કવિતા માનવીનો પોતાના હોવાપણાની સામેનો વિદ્રોહ છે. – જેમ્સ બ્રાન્ચ કાબેલ

કવિતા એક પડઘો છે જે એક પડછાયાને નાચવા માટે આમંત્રિત કરે છે. – કાર્લ સેન્ડબર્ગ

જે અનુવાદમાં ખોવાઈ જાય છે એ કવિતા હોય છે. – રોબર્ટ ફ્રોસ્ટ

કવિતા એટલે હકીકતની વ્યાખ્યા. – ઇડિથ સીટવેલ

કવિતા કે ગીત એ તમે સમજી શકો એવી ચીજ નથી, એ એવી ચીજ છે જે તમને સમજી શકે છે. – વિન્ની ધ પૂ(એ.એ. મિલ્ને)

કવિતા એ રોજનીશી છે જમીન પર રહેતા જળચરોની, જે હવામાં ઉડવાની ઈચ્છા રાખે છે. – કાર્લ સેન્ડબર્ગ

ખરી કવિતા એ જે સમજાતા પહેલા જ સમજાઈ જાય. – ટી. એસ. ઇલિયટ

કવિતા અવાજના આશીર્વાદથી જન્મેલું ચિત્ર છે. – સિમોનિડીસ

કવિતા મૌનનું અનાથ બાળક છે જેને શબ્દોએ દત્તક લીધેલું છે. – ચાર્લ્સ સિમિક

મારું માથું કોઈએ વાઢી લીધું હોય એવું લાગે, ત્યારે હું માનું કે એ કવિતા છે. – એમિલી ડીકીનસન

કવિતા એ જિંદગીનો પુરાવો છે. એ બળતી જિંદગીની ખરતી રાખ માત્ર છે. – લેનાર્ડ કોહન

જીવનમાં યાદ રાખવા જેવું જે કશું છે એ કવિતા છે. – વિલિયમ હાઝલીટ

કવિતા એ સુખ અને સત્યનું ચોખટુ બેસાડવાની કળા છે. – સેમ્યુઅલ જ્હોનસન

કવિતા એટલે જિંદગીને ગળચીથી પકડી લેવાની કરામત. – રોબર્ટ ફ્રોસ્ટ

કવિતા એટલે આત્માની માતૃભાષા. – ઉમાશંકર જોશી

લોહીનું  શ્યાહી  માં  રૂપાંતર  એટલે  કવિતા. – હરીન્દ્ર  દવે (આભાર: કેતન યાજ્ઞિક)

Comments (54)

રિસામણે બેઠેલ સ્ત્રીનું ગીત – દક્ષા બી. સંઘવી

સાવે ચૂપચાપ અમે તૂટેલું સાંધ્યું ને
આંસુડે અણગમતું ધોયું
ખૂણે ને ખાંચરેથી મોતીડાં વીણ્યાં ને
એક દોરે ફેર બધું પ્રોવ્યું

મનગમતા ઘાટ અમે કે’દુના ગાળ્યા હવે ક્યો તો આ પંડને ઓગાળિયે
ઇચ્છાયું કે’દુની ફીંડલું વાળી અમે મૂકી દીધી છે ઊંચે માળિયે
ફૂલ જેમ રાખવા કોલ દઈ દલડાંને
સાંઠકડી જેમ તમે તોડ્યું

સહેજે ખખડેલ બે’ક વાસણને ફટ્ટ લઈ દઈ દીધું અથડામણનું નામ
ચીતર્યા તમે રે આ રાઈના પહાડ નીચે દટ્ટણ થ્યાં સમણાનાં ગામ
ઊંચી ગઢરાંગના ડાંગરાની જેમ તમે
એકવાર નીચે ન જોયું

રાત ક્યો તો રાત તમે અંધારી રાત ને દંન ક્યો તો દંન અમે ભાળિયે
લોકલાજ-કામકાજ અળગાં મેલીને અમે વાટ જોઈ ઊભા’તાં જાળિયે
રસ્તો તાકીને થયા ફરફોલા આંખમાં ને
પોતીકું ભાન અમે ખોયું.

– દક્ષા બી. સંઘવી

કચ્છના કવયિત્રીની કલમેથી શબ્દ નહીં, લોહીના આંસુ ટપકી રહ્યાં છે. મનના માણીગરથી રિસાઈને બેઠેલી સ્ત્રીની વેદનાનું આ ગાન છે. સ્ત્રી તૂટેલું સાંધે છે, ને આંસુથી ધોઈને સંબંધને સાફ કરે છે અને ખૂણેખાંચરેથી સંબંધની બચી રહેલી જણસને એકઠી કરીને એક દોરમાં પરોવી સંસારની માળા ગૂંથવાની કોશિશ કરે છે, પણ આ બધું એ સાવ જ ચૂપચાપ કરે છે. ‘સાવે ચૂપચાપ’થી થતો ગીતનો ઉપાડ દઝાડે છે. મનગમતી વસ્તુઓ તો ત્યજી જ દીધી છે, હવે ‘સ્વામી’ કહે તો જાતને પણ એ ઓગાળવા તૈયાર છે. ઇચ્છાઓ પણ માળિયે ચડાવી દીધી છે પણ ફરિયાદ એક જ છે કે જે દિલને ફૂલની જેમ સાચવવાનું વચન આપ્યું હતું એ સાંઠકડીની જેમ તોડી નાંખ્યું છે. ગીત આગળ વધે છે એમ વેદનાની પરાકાષ્ઠા પણ આગળ વધે છે….

Comments (5)

જ્યારે આપણી પાસે જે કંઈ છે એ માત્ર આપવું જ હોય… – આલ્બર્ટો રિયોસ (અનુ. વિવેક મનહર ટેલર)

.                                      એક નદી એની મુસાફરી
.                                      આગળનીને આપતી જાય છે.

આપણે આપીએ છીએ કેમકે કોઈકે આપણને આપ્યું છે.
આપણે આપીએ છીએ કેમકે કોઈકે આપણને આપ્યું નથી.

આપણે આપીએ છીએ કેમકે આપવાથી આપણે બદલાયા છીએ.
આપણે આપીએ છીએ કેમકે આપવાથી આપણે બદલાઈ શકીએ છીએ.

આપવાથી આપણને સારું લાગે છે,
આપવાથી આપણે ઘાયલ પણ થઈએ છીએ-

આપવુંના ઘણા ચહેરા છે: એ બુલંદ છે અને શાંત પણ,
મોટો છે, હાલાંકિ નાનો પણ, લાકડામાં ખૂંપેલો હીરો.

એની વાર્તા જૂની છે, કથાવસ્ર્તુ અને પાનાં પણ ઘસાયેલાં,
તોય આ પુસ્તક આપણે, કોઈ પણ રીતે, ફરી-ફરીને વાંચીએ છીએ:

આપવું એટલે, પહેલવહેલીવાર અને દર વખતે, હાથોહાથ,
હું તમને અને તમે મને.

તમે મને ભૂરો આપો છું અને હું તમને પીળો.
સરવાળે આપણે મહજ લીલા છીએ. તમે મને આપ્યું

એ જે તમારી પાસે નહોતું, અને મેં તમને આપ્યું
જે મારે આપવું જોઈતું હતું- સરવાળે, આપણે સર્જ્યું

કંઈક મોટું આ નાનકડા તફાવતોમાંથી.

– આલ્બર્ટો રિયોસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

આજે ‘થેન્ક્સગિવિંગ ડે’ નિમિત્તે એક રચના એ સંદર્ભમાં. રચના સરળ છે અને સહજ પણ એટલે વધારાની ટિપ્પણીની જરૂર જણાતી નથી… ‘આપવું’ જ આ વિશ્વને વધુ અર્થસભર બનાવે છે, અને આપણા જીવવાને વધુ જીવનસભર પણ!

*

When Giving Is All We Have

.                                      One river gives
.                                      Its journey to the next.

We give because someone gave to us.
We give because nobody gave to us.

We give because giving has changed us.
We give because giving could have changed us.

We have been better for it,
We have been wounded by it—

Giving has many faces: It is loud and quiet,
Big, though small, diamond in wood-nails.

Its story is old, the plot worn and the pages too,
But we read this book, anyway, over and again:

Giving is, first and every time, hand to hand,
Mine to yours, yours to mine.

You gave me blue and I gave you yellow.
Together we are simple green. You gave me

What you did not have, and I gave you
What I had to give—together, we made

Something greater from the difference.

– Alberto Ríos

Comments

કાંકરી ફેંકે – રવિ દવે ‘પ્રત્યક્ષ’

ગરજ પતે ને મને એમ હરઘડી ફેંકે,
બળ્યા પછી કોઈ જાણે દીવાસળી ફેંકે.

એ એમ તાકીને ફેંકે નજર અમારા પર,
નિશાન રાખી કોઈ જેમ કાંકરી ફેંકે.

નહીં સમાવી શકું મારા ખોરડે એને,
કહો બધાને ઉદાસી ના ઘર ભણી ફેંકે.

હતાશ થઈને કદી બાળ ફેંકે દફ્તરને,
કે એવી રીતે કોઈ ક્યાંથી જિંદગી ફેંકે?

નસીબ ફેંકે તો સમજી શકાય છે, મિત્રો
પણ આદમીને અહી જોને આદમી ફેંકે.

– રવિ દવે ‘પ્રત્યક્ષ’

સરળ ભાષામાં સ્પર્શી જાય એવી વાત… વાત તો એની એ એ જ છે પણ કલ્પનો અને અભિવ્યક્તિનું નાવીન્ય સ્પર્શી જાય છે.

Comments (3)

I have no name – Jiddu Krishnamurti

I have no name,
I am as the fresh breeze of the mountains.
I have no shelter;
I am as the wandering waters.
I have no sanctuary, like the dark gods;
Nor am I in the shadow of deep temples.
I have no sacred books;
Nor am I well-seasoned in tradition.
I am not in the incense
Mounting on the high altars,
Nor in the pomp of ceremonies.
I am neither in the graven image,
Nor in the rich chant of a melodious voice.
I am not bound by theories,
Nor corrupted by beliefs.
I am not held in the bondage of religions,
Nor in the pious agony of their priests.
I am not entrapped by philosophies,
Nor held in the power of their sects.
I am neither low nor high,
I am the worshipper and the worshipped.
I am free.
My song is the song of the river
Calling for the open seas,
Wandering, wandering,
I am Life.
I have no name,
I am as the fresh breeze of the mountains.

-Jiddu Krishnamurti

ઋષિવચન છે આ !! Lao Tsu ની વાણી હોય એવું લાગે !! આ કાવ્ય વિષે ઘણુંબધું લખી શકાય….પુસ્તકો ભરી શકાય, પણ ખરી રીતે તો કાવ્ય મનનનું કાવ્ય છે,વર્ણનનું નહિ. સરળ શબ્દોમાં બધું ઘણું ભાંગીતોડી નાખ્યું છે….રૂઢિગત ધર્મ, ઈશ્વરનો વ્યાપક ખ્યાલ, security ની ભ્રામક માન્યતા…..ઘણુંબધું !!! રહી જાય છે આ પળ અને આ પળના આપણે……I am free…..- આ ઉદ્દઘોષ કરવો એ સામાન્ય માનવીનું ગજું નથી.

Comments (2)

(નહિ કરે) – હેમેન શાહ

કાનને એ આંખ આડા નહિ કરે,
આવશે આંસુ, અખાડા નહિ કરે.

કાવ્ય વાંચીને તમે સમજી જજો,
એ કવિ જખ્મો ઉઘાડા નહિ કરે.

ધીમું બળશે, પણ ખબર પડશે નહીં,
આ હૃદય છે, એ ધુમાડા નહિ કરે.

આપશે સસ્તામાં એ બીજું ભલે,
પણ ખુમારીમાં ઘટાડા નહિ કરે.

સાંભળો, ના સાંભળો, પરવા નથી,
દાદ માટે ધમપછાડા નહિ કરે.

– હેમેન શાહ

‘આંખ આડા કાન કરવા’ની કહેતીને પ્રયોજીને કવિ કેવો મસ્ત મત્લા આપે છે! અને માત્ર મત્લા જ શા માટે, આખી ગઝલ જ શાનદાર જાનદાર થઈ છે… વાહ!

Comments (2)

મનહરા! – મનહર મોદી

સાચેસાચું બોલ, મનહરા!
મણનું મોઢું ખોલ, મનહરા!

જીવતર કાણી ડોલ, મનહરા!
ખાવા લાગે ઝોલ, મનહરા!

અજવાળું અણમોલ, મનહરા!
પોતાને તું તોલ, મનહરા!

સુખને દુઃખથી ફોલ, મનહરા!
મોંઘા એના મોલ, મનહરા!

મીઠું મીઠું બોલ, મનહરા!
ઈશ્વરનું ઘર ખોલ, મનહરા!

– મનહર મોદી

ટૂંકી ટચ બહેરમાં જાતને સંબોધીને ચુસ્ત કાફિયા સાથેની આખેઆખી મત્લા ગઝલ… કવિકર્મની સાચી કસોટી… પણ મનહર મોદી એટલે સો ટચનું સોનું… બધા જ શેર ગમી જાય એવા…

Comments (1)

(જીવે છે) – ડૉ. મનોજ જોશી ‘મન’

કિનારેથી અંદર કૂદેલા જીવે છે,
જીવન, દિલના દરિયે ડૂબેલા જીવે છે.

ખરું છે કે સંબંધ નકરૂં કળણ છે,
ને એ પણ ખરું છે ખૂંપેલા જીવે છે !

કહ્યું માર્ગને ચોંટી બેઠેલા સૌએ,
ખરેખર તો રસ્તો ભૂલેલા જીવે છે!

સતત કાંટા સાથે ફરે તે મરે છે,
ને ઘડિયાળમાંથી છૂટેલા જીવે છે.

પસીનો લૂછી કાળ હાંફીને બોલ્યો !
જીવે છે અણીના ચૂકેલા જીવે છે.

– ડૉ. મનોજ જોશી ‘મન’

જામનગરના તબીબ-કવિમિત્ર આ સાથે એમનો બીજો ગઝલ સંગ્રહ ‘ઘડીક ઝળહળ, ઘડીક ઝાંખું’ લઈને ઉપસ્થિત થયા છે. લયસ્તરોના આંગણે કવિ અને સંગ્રહ-બંનેનું સહૃદય સ્વાગત છે…

પ્રમાણમાં કઠિન કહી શકાય એવા કાફિયા અને નિભાવવી અઘરી થઈ પડે એવી રદીફ સાથેની એક મજાની ગઝલ સંગ્રહમાંથી માણીએ.

Comments (2)

મેશ જોઈ મેં રાતી – રાવજી પટેલ

મેશ જોઈ મેં રાતી
મઘમઘ મેશ જોઈ મેં રાતી
મખમલના જલમાં મધરાતે એક પરી જોઈ ન્હાતી!
મેશ જોઈ મેં રાતી

આંખ ભૂલી ગૈ આંખપણું ને આંગળીઓથી દીઠી.
કમખામાંની રાત ખોલી દઈ હથેલીઓથી પીધી!
શમણાંને છુટ્ટાં મેલીને હીરની દોરી ગાતી
મેશ જોઈ મેં રાતી

પગનું એક હલેસું વાગે મસ્તક લસરક વ્હેતું ;
મોરલીઓનો શ્વાસ ઉપરથી સર્યો જતો’તો સેતુ.
મણિ ચૂસતો નાગ, નાગની ફેણ મને કૈં પાતી!
મેશ જોઈ મેં રાતી

– રાવજી પટેલ

 

ભાવાર્થ પકડાતો નથી. સૌ વાચકોને અભિપ્રાય આપવા આમંત્રણ….

Comments (2)

શ્રાવણની સાંજનો તડકો – પ્રિયકાન્ત મણિયાર

શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં,
જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં.

આવ્યા અતિથિ હો દૂરના કો દેશથી એવો સમીર તો ચૂપ,
તોય રે લજાઈને ક્યાંકથી રે આવતાં મંજરીનાં મ્હેક મ્હેક રૂપ;
સૂરને આલાપતી ઘડીઓ ઘેરાય ઘેરાય શું વાંસળીને વેહ કોક કોકમાં.
શ્રાવણની સાંજનો…..

આથમણા આભમાં કોઈ જાણે રેલતું અંતરના તેજનો સોહાગ,
વાદળની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે અનંગનો બાગ;
રજનીના રંગનો અણસારો આવતો આભના રાતા હિંગળોકમાં…
શ્રાવણની સાંજનો……

– પ્રિયકાન્ત મણિયાર

 

પ્રિયકાન્ત નઝકાતના કવિ છે, શબ્દેશબ્દે નમણાશ ટપકે…..વિષય સરળ-સહજ હોય, પણ માવજત અદભૂત હોય. બારીક કારીગરીથી કાવ્ય કંડાર્યું હોય….

Comments (2)

ગતિ-સ્થિતિ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

બહુ બહુ બહુ પાંખો ફરકાવી ફરકાવી ફરકાવીને
રંગો રંગો રંગો ઉડાડી ઉડાડી ઉડાડીને
ઘાસિયાં મેદાનો પર મંડરાઈ મંડરાઈ મંડરાઈને
ફૂલ ફૂલ ફૂલ પર બેસણાં કરી કરી કરીને
સુગંધોને પી પી પીને
આકંઠ ધરાઈ ધરાઈ ધરાઈને
કર્યો છે તરબોળ તરતો તરતો તરતો મારો સમય!

બહુ થયું

હું હવે ઉફરો માર્ગ લેવા ધારું છું
હું ફરી કોશેટાની ઇચ્છા રાખું છું
ફરી કોશેટામાં ભરાઈ
ફરી ઇયળ બની
અંતે
ફરી ઈંડું થઈ ફૂટી જવા ચાહું છું.
હું ગતિ નહીં, હવે સ્થિતિની શોધમાં છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

મનુષ્યનો સ્વભાવ છે કે જે મળે એની આરત મરી પરવારે. નાનાં હોઈએ ત્યારે ઝડપથી મોટા થઈ જવાનું મન હોય ને મોટા થઈ જઈએ તો ઉમર કેમ છૂપાવવી એની સમસ્યા. પોતાની થાળીમાં ગમે એટલો મીઠો લાડુ કેમ ન હોય, પારકે ભાણે જ એ મોટો લાગશે.

પતંગિયા જેવી રંગીન અને મુક્ત જિંદગીથી નાયક વાજ આવી ગયો છે. એ આ સતત ગતિમય જિંદગીના સ્થાને હવે સ્થિતિમય શાંત જીવન ઝંખે છે. પહેલી સાત પંક્તિઓમાં દસ શબ્દોને ત્રેવડાવીને કવિએ પતંગિયાની પાંખોના ફફડાટને કેવો અદભુત રીતે ચાક્ષુષ કરી આપ્યો છે! સાત-સાત પંક્તિના બે અંતરાની વચ્ચે નાનું અમથું વાક્ય -‘બહુ થયું’- જાણે મિજાગરાનું કામ કરતી હોય એમ અચાનક આ ફૂદકફૂદક ગતિને અચાનક શાંત-સ્થિર કરી દે છે. હવે કોઈશબ્દ ત્રેવડાતો નથી. આ સાત પંક્તિઓમાં ‘હું’ત્રણવાર અને ‘ફરી’ ચાર વાર આવે છે પણ હવે આ પુનરાવર્તન શાંત દૃઢોક્તિનો અહેસાસ કરાવે છે.

અને હા, આ કવિતાને જરા આડી કરીને જુઓ તો! પતંગિયાનો આકાર દેખાય છે?

Comments (3)

(વધારે) – ભાવેશ ભટ્ટ

મળ્યું છે જે કૈં વેદનાથી વધારે
છે સોહામણું એ કલાથી વધારે

અગર જો સજાથી મળ્યું કૈંક ઓછું
થયું છે કશું તો ગુનાથી વધારે

ધર્યો વેશ ભગવો પછી આ દશા છે
ફરકતા રહે છે ધજાથી વધારે

તમે માર્ગ બદલો નહીં એને જોઈ
નથી માગતો કૈં દુઆથી વધારે

કશે પણ ગયા ના, જરા પણ હલ્યા ના
છતાં થાક લાગ્યો હવાથી વધારે

મળ્યો દંડ એનો પછી કોડિયાને
જરા ઝળહળાયું દીવાથી વધારે

બધી વાત અંગત ફકત બે જણાની
બધાને છે રસ બે જણાથી વધારે

– ભાવેશ ભટ્ટ

નવી કલમની મજા એ છે કે એ સરળ ભાષામાં સચોટ વાત કરી શકે છે. આ ગઝલ માણો અને પ્રમાણો…

Comments

લાઈબ્રેરી – અજય સરવૈયા

લાઈબ્રેરીમાં
તમે જો ખોવાઈ જાઓ
તો જ્યાં હો ત્યાં જ ઊભા રહેવું,
સહેજ આસપાસના રેક તપાસવા.
(આ ઘટના જનરલી રેકની આસપાસ જ બનતી હોય છે.)
આમ તો કોઈને પૂછવાની કે
બોલાવવાની જરૂર નથી હોતી.
સાંજે લાઇટો બંધ કરતી વખતે
કોઈ તમારા નામની બૂમ નહીં પાડે.
દરવાજા બંધ કરતી વખતે પણ નહીં.
લાઈબ્રેરીમાં ખોવાવું ને
પુસ્તકમાં ખોવાવું એમાં તાત્ત્વિક ભેદ છે
એવું કેટલાક માને છે,
તમે પુસ્તકમાં ખોવાયા હો તો
જેમના તેમ પાછા નથી ફરતા.
ખોવાવું એ એટલી વ્યગ્ર કરનારી બાબત નથી
જેટલી કે જેમના તેમ પાછા નહીં ફરી શકવું.
બીજી કઈ રીતે કહું?
એટલે કે પાછા ફરનારા ખોવાયેલા જ હોય છે.

– અજય સરવૈયા

કવિતા જે તે સમયના સમાજનો અરીસો હોય છે. આ કવિતાની ભાષા જુઓ. એના શીર્ષક માટે કવિએ ભૂંસાઈ ગયેલ પુસ્તકાલય કે વાંચનાલય શબ્દ વાપરવાના બદલે લાઈબ્રેરી શબ્દ પ્રયોજવું જ યોગ્ય ગણ્યું છે. (એ વાત અલગ છે કે હવે તો લાઈબ્રેરી પોતે જ ભૂંસાવાના આરે છે!) એ જ રીતે લાઇટનું બહુવચન લાઇટ્સના બદલે લાઇટો પણ સાંપ્રત ગુજરાતીનો આયનો છે.

લાઈબ્રેરી હોય કે પુસ્તક, એમાં પ્રવેશનાર પ્રવેશતી વખતે જેવા હોય છે એવાને એવા કદી પરત ફરી શકતા નથી એ હકીકત કવિએ બ-ખૂબી રજૂ કરી છે…

Comments (3)

વાળની ગૂંચ – મનીષા જોષી

સોનાની વેણીથી મારા વાળ સજાવતા
સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા.
તું રક્તપીતિયો રોગી હોય તો પણ આવ.
એક કાંસકો લઈને મારા વાળ ઓળ.
હું તને ગંગામાં સ્નાન કરાવીશ.
ચંદનના લાકડા પર સૂવડાવીને
શુદ્ધ ઘીનો અગ્નિદાહ આપીશ.
તારા માટે વિલાપ કરીશ.
શ્વેત વસ્ત્રો પહેરીશ.
જમીન પર સૂઈશ.
પરપુરુષના ઓછાયાથી પણ દૂર રહીશ.
મારે હવે કોઈ પુરુષને પ્રેમ નથી કરવો.
કોઈ પુત્રને જન્મ નથી આપવો.
કોઈ પિતાને પ્રણામ નથી કરવાં.
જો તું મારા વાળની ગૂંચ ઉકેલી શકે તો
મારે મરી જવું છે.
ક્યારેય જન્મી જ ન હોઉં એવી રીતે.
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે.
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ.

– મનીષા જોષી

‘ उनको खुदा मिले है खुदा की जिन्हे तलाश, मुज़को तो बस इक ज़लक मेरे दिलदारकी मिले…… ‘

Comments

तुम्हारे पाँव के नीचे कोई ज़मीन नहीं – दुष्यंत कुमार

तुम्हारे पाँव के नीचे कोई ज़मीन नहीं
कमाल ये है कि फिर भी तुम्हें यक़ीन नहीं

मैं बेपनाह अँधेरों को सुब्ह कैसे कहूँ
मैं इन नज़ारों का अँधा तमाशबीन नहीं

तेरी ज़ुबान है झूठी ज्म्हूरियत की तरह
तू एक ज़लील-सी गाली से बेहतरीन नहीं

तुम्हीं से प्यार जतायें तुम्हीं को खा जाएँ
अदीब यों तो सियासी हैं पर कमीन नहीं

तुझे क़सम है ख़ुदी को बहुत हलाक न कर
तु इस मशीन का पुर्ज़ा है तू मशीन नहीं

बहुत मशहूर है आएँ ज़रूर आप यहाँ
ये मुल्क देखने लायक़ तो है हसीन नहीं

ज़रा-सा तौर-तरीक़ों में हेर-फेर करो
तुम्हारे हाथ में कालर हो, आस्तीन नहीं

-दुष्यंत कुमार

 

એ વાતે પૂરો સભાન છું કે કવિતાની સરખામણી તાર્કિક નથી હોતી, પણ મારાથી મનોમન સરખામણી થઇ તો જાય જ છે…. હિન્દી-ઉર્દૂ કાવ્યમાં જે વિષયનું વૈવિધ્ય હોય છે અને રચનાઓમાં જે ઊંડાણ હોય છે તે અનોખું જ હોય છે. પ્રસ્તુત રચના સરળ છે, પણ તેની વેધકતા-ઇન્ટેન્સિટી તો જુઓ !!!

Comments

કોઈ લખો કાગળ તો – ભાનુપ્રસાદ પંડ્યા

તમને લાગી ઠેસ, અમોને ફૂલ અડ્યાનો કંપ !
વાટ વચાળે બેઠાં પલ બે, થયો નજરનો સંપ !

થયો નજરનો સંપ અને આ વાટ ધસી થઈ ઝરણું !
અમે મટ્યા પથ્થર ને તરવા લાગ્યા થઈને તરણું !

હતા અમે મુકામ ભારનો એ ય જવાયું ભૂલી !
ભીંતે હોત ચણાયા ને અહી રહ્યાં લહરમાં ઝૂલી !

રહ્યાં લહરમાં ઝૂલી અમને સપને આવ્યા સિન્ધુ !
જોયું તો ના નીર અહીં સથવારે નભ ને ઈન્દુ !

અમને લાગી ઠેસ અમે ના મળશું કોઈ મુકામે !
કોઈ લખો કાગળ તો લખજો ‘વહી ગયાં’ ને સરનામે !

– ભાનુપ્રસાદ પંડ્યા

Time-tested!

Comments (2)

એવા હાલ પર આવી ગયા – અનિલ ચાવડા

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં.

એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયા.

– અનિલ ચાવડા

Comments (3)

મરવું – ઉદયન ઠક્કર

કોઈએ કહ્યું છે:
માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
મરણ સાથે.
આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે?
કે લગ્નની ભયંકરતા તરફ?

‘ મરવું’ માંથી વાસ આવે છે
બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની,
કોહવાતા લાકડાની,
મરઘાના ખાતરની,
વરસોથી ન ખૂલેલા, હવડ, હવાબારી વગરના
સંબંધની,
‘લોટામાં ચાર પાન મૂકો સાહે…બ, કાંઠલે દોરો બાંધો,
હવે શ્રીફળ પધરાવો, ચાર બાજુએ ચાર ચાંદલા કરો,
અક્ષત લગાડો, હાથમાં ચકીને ત્રણ વખત માથે અડાડો,
કુંભે વરુણમાવાહયામિ સ્થાપયા…મિ…’–ની વાસ આવે છે ‘મરવું’ માંથી.

કૂંપળમાંથી કોલસો
વ્હેલમાંથી તેલ
—કેવા કેવા વેશ કાઢે છે, આ ‘મરવું’

ફ્રાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું,
પારધીવાળાઓએ અંગૂઠે વીંધ્યું,
ગ્રીસવાળાઓએ પ્યાલી પાઈ,
યહૂદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું,
તોયે સાલું હેં હેં કરતું ઊભું જ છે, અમર,
આ ‘મરવું’

જોઈએ ત્યારે મારું વા’લું ન મળે,
આડે હાથે મુકાઈ જાય.
ગોતો કેરોસીનના બળબળતા ઉજાસમાં,
રેલવેના આટેપાટે,
છલકાવો ટીક-ટ્વેન્ટી ઓન ધ રોક્સ,
એકવીસ માળ બાવીસ વાર ચડો
ને ઊતરો,
પણ ગુમ
‘ઠીક ત્યારે, જેવી હરિ ઇચ્છા’ કહીને મન મનાવી લો
ત્યાં જ હસતું હસતું
તમારી બગલમાં સોપારીની જેમ ઊપસી આવે
અને પૂછે,
‘હાઉક! મને ગોતતા હતા?’

– ઉદયન ઠક્કર

માવજત તો જુઓ !!!!!

Comments (1)