આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.
મનહરલાલ ચોક્સી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
November 2, 2019 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
કહ્યું ‘તું કે જશો નૈં આમ સ્મરણોની ગલીમાંથી,
ધધખતા તાપમાં આવી ગયાને ચાંદનીમાંથી?
તમે દીધેલ આંસુને ય શાહી ઠાઠથી રાખ્યાં,
ન ઉતરવા દીધાં નીચે નયનની પાલખીમાંથી.
હૃદય કાઢી ન લીધું હોય! એવું કેમ વર્તે છે?
ફકત વીંટી જ તો કાઢી છે તારી આંગળીમાંથી!
ચડ્યો હું ઝાડ ઉપર દીકરીના કાતરા માટે,
ને મારું બાળપણ પડઘાયું આખી આંબલીમાંથી.
ફકત વ્હેંચાય છે બેચાર જણમાં ફૂલના ઢગલા,
પડે છે ભાગ આખ્ખા દેશનો એક પાંખડીમાંથી.
– અનિલ ચાવડા
અનિલ ચાવડા કદાચ આજની પેઢીના કવિઓમાં લયસ્તરોનો સૌથી ચહીતો કવિ છે. લયસ્તરો પર એની રચનાઓની સંખ્યા જોઈએ તો એમ લાગે કે એક નાનકડો કાવ્યસંગ્રહ જ આખો અહીં હાજર છીએ. આ સંગ્રહમાં આજે વળી એક રચનાનો ઉમેરો કરીએ…
Permalink
November 1, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
પૂછ્યું એણે એક એવું પલાખું,
ભાખું તોયે વેણ હું શુંય ભાખું!
માણ્યું તેમાં મોણ તે શીદ નાખું,
દેખ્યું પેખ્યું જેમનું તેમ દાખું!
સ્વપ્ને જોઉં, તે વળી સ્હેજ ચાખું,
ભૂલી જાઉં, યાદ હું કૈં ન રાખું!
ગ્રીવા ધોળી તે પરે રમ્ય લાખું,
જોતી કેવું મર્મીલું ને મલાખું!
આવો, આવો, ના કદી દ્વાર વાખું,
ખુલ્લું રાખું સર્વદા ગેહ આખું!
– રાજેન્દ્ર શુક્લ
રા.શુ.ની કવિતા ગુજરાતી ગઝલમાં એક અલગ જ ચીલો ચાતરે છે. અન્ય કવિઓને ભારે થઈ પડે અને માંડ હાથ લાગે એવા કાફિયાઓનો ઢગલો લઈને આખેઆખી મત્લાગઝલ લખવી એમને સાવ સહજ છે. ભૂલાતી જતી ગુજરાતીના કેટલાક શબ્દોના અર્થ જાણી લીધા બાદ આ કવિતા અને ભાવકની વચ્ચે આવવું યોગ્ય જણાતું નથી.
પલાખું – આંકના ઘડિયાનો/પાડાનો પ્રશ્ન
ભાખવું – ભવિષ્યકથન કરવું
પેખ્યું – જોવું, દેખવું
દાખવું – દેખાડવું (દાખું – વગડાવવું)
ગ્રીવા – ડોકી
લાખું – શરીર ઉપરનું લાખના રંગનું નાનું મોટું ચકદા જેવું ચિહ્ન કે ડાઘ
મલાખું – બાડું
વાખું – બંધ કરવું ગેહ – ઘર
Permalink
October 31, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત ભટ્ટ 'પવન'
આજે પાછી સદગત થઈ ગઈ,
ઇચ્છાની આ આદત થઈ ગઈ.
એની સાથે રહેવા માટે
નિષ્ફળતા પણ સંમત થઈ ગઈ.
દુઃખોની જે ઢગલી કીધી;
એ પણ પળમાં પર્વત થઈ ગઈ.
તારી-મારી જૂની વાતો;
બસ, ઓચિંતી સાંપ્રત થઈ ગઈ.
ચર્ચાની વચ્ચે-વચ્ચે પણ
થોડી ચર્ચા અંગત થઈ ગઈ.
બાપા જલ્દી મૃત્યુ પામ્યા!
કન્યા જલ્દી ઓરત થઈ ગઈ.
શ્વાસો લેવાનું મેં છોડ્યું;
તે દા’ડાથી રાહત થઈ ગઈ.
– ભરત ભટ્ટ ‘પવન’
સરળ. સહજ.
Permalink
October 23, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
તિમિર ને તેજનું આ તલમલાતું છળ ઊઘડે
હું આંખ બંધ કરું ને બધાં પડળ ઊઘડે
અનર્થલોકનાં અગણિત ભુવન ને સ્થળ ઊઘડે
શબ્દ પડે ને ગગન સામટું સકળ ઊઘડે
સમયની પાર બીડેલી મિલનની પળ ઊઘડે
યુગોથી જીવમાં થીજેલ કૈં વમળ ઊઘડે
નદી તળાવ સમુદ્રોનાં તળ અતળ ઊઘડે
તમારાં પગલાં પડે ને સમસ્ત જળ ઊઘડે
સુગંધ શ્વાસનાં દ્વારે અડે… ને કળ ઊઘડે
અમારા સ્પર્શમહલમાં સહસ્ત્રદળ ઊઘડે
– જવાહર બક્ષી
Permalink
October 22, 2019 at 2:29 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગીત
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?
ધોધમાર ચોમાસું ખાબકે ને તોય પછી પથ્થરની આંખો ભીંજાય શું?
અધકચરા માળાને છોડી જાય પંખી તો
વસમું બહુ લાગે છે ડાળને!
એમ કર્યો દૂર તમે જીવનથી જાણે કોઈ
ભોજનમાં આવેલા વાળને!
હોઠે લગાડવાની વાંસળીને પથ્થર પર પટકી પટકીને તોડાય શું?
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?
માથા પછાડતા આ દરિયાના કાંઠે હું
જોઉં છું દૂર જતી નાવને,
ઊછળતાં મોજાંના ઘૂઘવાટા વચ્ચે ક્યાં
સાંભળશે એ મારું, “આવને!”
જળમાં જળ ભેળવીને જાય નદી ચાલી તો પાછળ જઈ શકશે તળાવ શું?
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?
– અનિલ ચાવડા
રામબાણ વાગ્યા રે હોય તે જાણે….
Permalink
October 19, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત ભટ્ટ 'પવન'
મીઠી મજાની કાલ સુધી તો હતી નજર;
આજે જ કેમ સાફ નથી લાગતી નજર?
ક્યારેક વીંટળાઈ જઈ વેલ થઈ જતી,
ક્યારેક આરપાર મને વીંધતી નજર.
આંખોને ફૂટી પાંખ, ચમત્કાર થઈ ગયો,
મારી ઉપર તો નાખ જરા ઊડતી નજર.
તેથી જ આજકાલ બળે છે ત્વચા ઘણી;
રાખો છો, દોસ્ત! કેમ તમે ચાંપતી નજર?
નજરોની ચાલ જોઈ ‘પવન’ દંગ થઈ ગયો,
થઈ જાય સ્થિર તોય સતત દોડતી નજર.
– ભરત ભટ્ટ ‘પવન’
નજરને કેન્દ્રમાં રાખીને કવિ એક અદભુત રચના લઈ આવ્યા છે. ઊડતી નજર, ચાંપતી નજર જેવા રુઢિપ્રયોગ એવી સહજતાથી ગઝલમાં વણી લેવાયા છે કે વાહ કહી ઊઠવાનું મન થાય. એમાંય મક્તામાં સ્થિર દેખાતી હોવા છતાં દોડતી નજરની લક્ષણિકતા કવિએ જે બખૂબી ઝાલી છે, એ સિફત બહુ ઓછાને હસ્તગત હોય છે.
Permalink
October 18, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રમણીક અગ્રાવત
સ્વભાવનાં વહેણમાં
સુકાન, હલેસાં કે લંગરવિહોણી નાવ લઈ
ઝંપલાવ્યું છે.
પવન કહે એ પથ
મોજાંની મરજી એ દિશા
નીકળી પડ્યા લઈ પાણીનો રથ.
દોરડાનો એક પુરાણો ટુકડો
જરઠ વાંસનો સાથ.
…આ ગઈ ગઈ- પડે સામટી ફાળ
ત્યાં તો, ત્યાં તો સાંકડમૂકડ ક્ષણ વચાળ
મળે આછેરી ભાળ!
સરસર સરસર કપાય સમય
હવા બજાવે મીંઢાં મનને :
ક્યાં, ક્યે છેડે જઈશું,
કોણ હશે રાહ જોતું? ક્યાં ક્યાં-
કઈ ભૂમિ પર હશે ઉતરાણ?
હમણાં કંઈ કશી ના જાણ…
‘સમાલ, સમાલ બેલી’
પવન પાતળો રવ ઊઠે
ને રહી જાય!
– રમણીક અગ્રાવત
વાત તો મુસાફરીની છે પણ આ મુસાફરી દુનિયામાં, દુનિયાએ પ્રશસ્ત કરેલા માર્ગો કે મુકામોની નથી. અહીં વાત છે સહજ થવાની. પોતે જે છે, એને યથાતથ સ્વીકારવાની અને સ્વ-સ્વીકૃતિમાં રહેલા જોખમો ખેડવાની તૈયારીની. સુકાન, હલેસાં અને લંગર વગરની નૌકા લઈને સ્વભાવના વહેણમાં ઝંપલાવવાનું છે. સ્વભાવ જેમ વહે એમ વહેવાનું છે. એકવાર સ્વ-ભાવમાં કૂદકો દીધો પછી પવન અને પાણી જેમ દોરે ને જ્યાં દોરે તેમ ને ત્યાં દોરાવાનું. ક્યાં જવાનું છે, ક્યાં પહોંચીશું, કોઈ રાહ જોતું હશે કે કેમ આવા કોઈપણ પ્રશ્નોની તમા રાખ્યા વિના આપણે જેવા છીએ તેવા જ રહીને દુનિયામાંથી પસાર થવાનું છે. પવનથીય પાતળો આત્માનો અવાજ વચ્ચે વચ્ચે સંભાળવાનું કહેતો રહે એ સાંભળીને બસ વહ્યે રાખવાનું છે… આ છે ખરી મુસાફરી.
આમ તો અછાંદસ રચના છે પણ કવિએ પંક્તિએ-પંક્તિએ વહેણની જેમ બદલાયે રાખતો લય અને પ્રાસ ઝાલી રાખ્યા હોવાથી આ મુસાફરીનું સંગીત અનુભવી કાનોમાં રણક્યા વિના નથી રહેતું.
Permalink
October 17, 2019 at 2:15 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ઊર્મિકાવ્ય
૧.
આજની છે ઘડી રળિયામણી, કે વગડામાં
કીર,કોયલ,કપિ,મૃગ,મોર બધાં અધ્ધરશ્વાસ!
ગોઠડી એક પછી એક નવી માંડે વ્યાસ
૨.
“સુન્દ-ઉપસુન્દ અસુર ભાઈ હતા,બન્નેમાં
એવો તો સંપ હતો,હેત કરી નવરાવે,
એકબીજાને વળી તાણ કરી ખવરાવે
જેઠનો માસ હતો,લૂ કહે કે મારું કામ!
ટેકરે આવી ચડ્યા, વિંધ્ય અચલ જેનું નામ,
વાયુનું વાળુ ને પાણીનું શિરામણ કરતા
શિખરે ઊભા રહી નામ રટણ પણ કરતા
ઇન્દ્રને ફાળ પડી ફાળ ભરીને આવ્યા,
– સ્વર્ગ છે ગપ,અને વૈકુંઠ શું છે? મોટું ગપ!
ખાઓ,પીઓ ને કરો લ્હેર,મૂકો તપની લપ!
પાંચ-દસ સુંદરી આપી ને સુરા યે રસબસ
એકના બે ન થયા કે ન થયા ટસથી મસ…
બ્રહ્મા પ્રકટ્યા તે પળે વાયુની ડૂંટીમાંથી!
– માગી લો,માગી લો,જે જોઈએ તે માગી લો!
સુન્દ-ઉપસુન્દે તો માગ્યું કે અમર થઈ જઈએ!
– ના હોં, એ તો ન મળે,બીજું કશું પણ માગો!
હાથમાં હાથ પરોવીને કહ્યું બન્નેએ:
– એકબીજાથી જ મરીએ,ન કોઈ ત્રીજાથી!
– ‘ઠીક,’ બ્રહ્માએ કહ્યું સમજી વિચારીને, ‘ભલે!’ ”
૩.
સરવા કાનેથી કથા સાંભળીને શુક પૂછે:
– ને પછી શું?ને પછી શું?ને પછી શું?ને પછી…
૪.
“ધોડતા,ધરણીને ધમરોળતા ભાઈ,ભાઈ!
પળમાં સિંહ થતા વ્યાઘ્ર,તપસ્વીઓને
દાઢમાં રાખતા,દેવોને દબાવી દેતા
રાજવીઓને કચડ ખાતા ભચડ યક્ષોને”
૫.
પાંખ ફેલાવીને ચકરાઈ રહ્યાં છે ગીધો
૬.
“હાવરાબાવરા દેવો ગયા બ્રહ્મા પાસે
વિશ્વકર્માએ તો તિલ તિલ લઈને રત્નોથી
રૂપના પાતળા પર્યાય સમી એક કન્યા
રચી નવરાશથી, ને એને કહ્યું: હે ભદ્રા,
સુન્દ-
ઉપસુન્દ સમીપે જઈને ફૂટ પડાવ!
કહ્યું કન્યાએ, ‘પિતાજી,હું જરા પરકમ્મા
દેવતાઓની કરી લઉં…’ ને એ ફરવા માંડી
જોતાંજોતાં વળી એને વળી જોતાંજોતાં
શિવ ચતુર્મુખ થયા છે,એવું પુરાણો કહે છે”
૭.
આંખને કાણી કરીને કોઈ બગલો બોલ્યો:
– વાત તો સાચી કે ભગવાન બધું જુએ છે
૮.
“મ્હેકની જેમ પવનમાં એ મરકતી આવી
અડખે પડખેથી સરકતી ને થરકતી આવી
ઝાલ્યો કર એકે,ઝુંટાઝૂંટ થઈ,બીજાએ
ઝપઝપાઝપ ત્યાં થયા ખાંડા-ખડગના ઝટકા
ભલ્લ,ભાલોડાં,ભમરભાલા,ગદાના ભટકા
જોતજોતાંમાં અસુર બેલડી કટકે કટકા”
૯.
પશુ-પંખીથી અલગ બેસી રહેલો માણસ
ધાર કાઢી રહ્યો છે ધીરે ધીરે છૂરાની:
– કોણ આ સુન્દ હતો?ધ્યાન નહોતું મારું…
પશુ ને પંખી સહુ તાકી રહે માણસને
– અને ઉપસુન્દ વળી કોણ હતો,એ ક્હેશો?
પશુ ને પંખી સહુ તાકી રહે માણસને
– ઉદયન ઠક્કર
————
સંદર્ભ: મહાભારત,આદિપર્વ
મહાભારતના આદિપર્વમાં સુન્દ અને ઉપસુન્દ બે ભાઈઓની ઉપકથા આવે છે. બંને ભાઈઓ… સૉરી, વાર્તા તો કવિએ કવિતામાં આખી કહી જ દીધી છે, એટલે એ હું નહીં કહું. માત્ર સૃષ્ટિની તમામ સુંદર વસ્તુઓ પાસેથી તલ-તલભાર સૌંદર્ય લઈને બ્રહ્માએ વિશ્વકર્મા કને જે સુંદરીનું સર્જન કરાવ્યું એનું નામ તિલોત્તમા હતું એટલી હકીકત હું ઉમેરી દઉં છું. ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા ખેડાતા ગઝલનો છંદ લઈને કવિએ મીની-ખંડકાવ્ય રચ્યું છે, અને એને નવ ખંડોમાં વહેંચી દીધું છે. માત્ર એક પંક્તિથી લઈને ઓગણીસ પંક્તિઓ સુધીની અનિયત પંક્તિસંખ્યા આ ખંડોમાં જોવા મળે છે.
મહાભારતની આ ઉપકથા શું આ બે ભાઈઓના મૃત્યુ સાથે સાચે જ પૂરી થઈ ગઈ હતી? કે સુન્દ અને ઉપસુન્દ કદી મર્યા જ નથી? આપણે બસ, આ જ સમજવાનું છે,…
Permalink
October 16, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું,
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું.
નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન-રાત લઈ દરવાજે ઉભો છું.
તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઉભો છું.
ઉભો દ્વારે શીશુભોળો દયામય મંદિર ખોલો,
બચેલાં શ્વાસની સોગાત લઈ દરવાજે ઉભો છું.
– મનોજ ખંડેરિયા
હું તો મક્તાથી જ ઘાયલ થઇ ગ્યો…..
Permalink
October 15, 2019 at 8:27 AM by તીર્થેશ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી ;
પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !
રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ?
સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી !
ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની ;
અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ?
જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને,
સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !
ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !
ઉડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !
ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !
– શેખાદમ આબુવાલા
જો શેખાદમ હયાત હોતે તો આજે તેઓ 90 પૂરા કરતે ! મને નાનપણથી જ ગમતા આ શાયર…..ઘણા શાસ્ત્રીય કસબીઓ તેઓને બહુ મહત્વ નથી આપતા પણ મને તો કાયમ તેઓ ગમતા જ રહ્યા છે.
Permalink
October 12, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિનોદ માણેક 'ચાતક'
ન ચર્ચા, ન ચોવટ, ન વાતો કરી છે
નીરવ મૌનની એ ક્ષણો આકરી છે.
ન અફવા, ન બણગા, ન ખોટું કહીશું
જરા સત્ય બોલ્યું, જુબાં પણ ડરી છે.
ન દિવસે, ન માસે, ન વર્ષે મળી તું
ફકત તું મળે એ ક્ષણો કરગરી છે.
ન વર્ષા, ન ઝરમર, ન ફોરાં, કશું ના
છતાં આભમાં સપ્ત રંગી પરી છે.
ન શબ્દો, ન છંદો, ન શેરો સમજતા
તમારી કૃપા કાવ્ય થૈ અવતરી છે.
– વિનોદ માણેક ‘ચાતક’
ગીત જે રીતે ધ્રુવપંક્તિ પકડીને વર્તુળાકાર ગતિ કરે એ જ રીતે પાંચેય શેરના ઉલા મિસરામાં ત્રણ નકાર પકડીને આગળ વધતી આ ગઝલ કેવી મજાની થઈ છે! હા, બીજા શેરમાં કથન થોડું ખટકે છે એ નિવારી શકાયું હોત તો સારી ગઝલ ઉમદા ગઝલ બની હોત.
Permalink
October 11, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
પ્રથમ છોડ રૂપે ઉગાડે છે કોઈ
પછી મૂળસોતી ઉખાડે છે કોઈ!
જો દરિયે ડૂબું, કોઈ આવી ઉગારે
ને રણ ચીતરું તો ડૂબાડે છે કોઈ!
પ્રતીક્ષામાં તારી થયા કાન આંખો
સતત લાગતું કે કમાડે છે કોઈ !
વહી જાય મન મારું મૂષકની માફક
મધુરી-શી બંસી વગાડે છે કોઈ !
થયો સ્પર્શ ત્યાં કેવી ખીલી ઉઠી છે!
કે ‘શબનમ’ ને ફૂલો અડાડે છે કોઈ.
– શબનમ
કલાપીની અમર પંક્તિ -‘જે પોષતું એ મારતું, એવો દીસે ક્રમ કુદરતી’- યાદ આવી જાય એવો મજાનો મત્લા. પણ ખરી મજા તો પ્રિયજનની પ્રતીક્ષામાં કમાડે ટકોરાના ભણકારા સાંભળતા કાન આંખનું કામ કરતા થઈ ગયા હોવાનો જે ઇન્દ્રિયવ્યુત્યય કવયિત્રી લઈ આવ્યાં છે એમાં છે. વાંસળીવાળાની ધૂન પર મદહોશ થઈ દોરાતા ઉંદરોની વાર્તા યાદ કરાવતો શેર તો સ-રસ જ થયો છે, પણ મક્તા તો ભઈ, વાહ! આમ તો ફૂલ પર ઝાકળ હોય એટલે ઝાકળ ફૂલોને અડતી હોય એવું આપણને લાગે પણ તિર્યક દૃષ્ટિએ જગત જુએ નહીં એ કવિ શાનો? અહીં ફૂલને ઝાકળ નહીં, ઝાકળને ફૂલ કોઈક અડાડી રહ્યું છે અને ફૂલના બદલે ઝાકળ ખીલી ઊઠ્યું છે, સૉરી ‘શબનમ’ ખીલી ઊઠી છે!! પોતાના નામનો કેવો અર્થસભર અને ચપોચપ પ્રયોગ!
Permalink
October 10, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હિરેન ગઢવી
જે ક્ષણ સમય નવાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
મન મોહતા અવાજે ધ્રિબાંગ ઢોલ બાજે.
ધ્રિબાંગ ઢોલ બાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
ઘૂંઘટમાં ફૂલ લાજે ધ્રિબાંગ ઢોલ બાજે.
ના જાણું કોના કાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
અંતરમાં મારા આજે ધ્રિબાંગ ઢોલ બાજે.
હાલત નથી એ દિલની ઉજવે પ્રસંગ કોઈ,
શું થાય ! લોક લાજે ધ્રિબાંગ ઢોલ બાજે.
કોઈના આંખે આંસુ, કોઈને મસ્તી મોઘમ,
આ કેવા રે મિજાજે ધ્રિબાંગ ઢોલ બાજે !
જીવ્યો છે ભવ્ય જીવન સાબિત થઈ રહ્યું છે,
જો ! રંકના જનાજે ધ્રિબાંગ ઢોલ બાજે.
એ નાદ એ હદે આ માનસ ઉપર છે હાવી,
લાગે બધાય સાજે ધ્રિબાંગ ઢોલ બાજે.
– હિરેન ગઢવી
નાદસૌંદર્ય કવિતાનું અભિન્ન અંગ છે. નરસિંહ મહેતાના ઝૂલણા છંદમાંથી શ્રીકૃષ્ણ ઝૂલે ઝૂલતા હોય એવું સંગીત સંભળાય છે તો કાન્તના ‘સાગર અને શશીનો ઝૂલણા દરિયાના મોજાંની આવ-જાનું સંગીત તાદૃશ કરી આપે છે. શ્રીધરાણીના ‘ભરતી’ કાવ્યમાં સમુદ્રમાંથી ઊઠતા મોજાંઓ હજારો ઘોડાઓ કૂચે ચડ્યા હોય એવો નાદ જન્માવી અવનિ-આભને ભરી દે છે. હિરેન ગઢવીની આ ગઝલમાંથી એ જ રીતે ધ્રિબાંગ ધમ ધ્રિબાંગ ધમ ઢોલ બાજતો ન સંભળાય તો કહેજો…
Permalink
October 9, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
આજ હું ઉદાસ નથી થાતો, કે કાલના
જુવાનિયાની આંખ ન્હોય ભીની,
આજની આ વેદના વરાળ સમી, એટલે જ
યાદ કરું વારતા પછીની.
આ તને આશ્લેષે લીધી
ને ભીંસ એની આવનારી સદીઓમાં
કેટલાંય જોબનઘેલાંને મૂંઝવશે :
બદલાતી દુનિયાના પલટાતા વહેણે
સાવ ઓચિંતાં બોલાયાં નેહનાં બે વેણ,
સદા એવાં ને એવાં રહી તરશે.
કડવાં આ પાંદડાં તો આવશે જશે
ને હશે લીમડાની છાંય મ્હેકભીની.
ઝેરની પિયાલી કદી પીધી મીરાંએ
હવે તારે ને મારે
એ જીરવી જવાનું ભાગ્ય આવશે,
રડવાનું એટલું આસાન
અને આંખને તો જળની માયા છે ખૂબ
તોય, કહે, હસવાનું ફાવશે ?
ગંગાજમુનામાં ભળે ત્રીજો પ્રવાહ
કદી સાંભળી તેં વાત એ નદીની ?
– હરીન્દ્ર દવે
પ્રેમની ભાષા કાલાતીત છે…..
Permalink
October 8, 2019 at 8:20 AM by તીર્થેશ · Filed under ગીત, સિતાંશુ યશશ્ચંદ્ર
લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
રામે શબરીને કહેવડાવ્યું : હવે અવાયું તો આવીશ.
શબરીએ સાંભળ્યા બોલ,
ત્યારે ભીલડાંના ગામમાં વાગતા’તા ફાગણ મહિનાના ઢોલ.
મોટા મોટા ઢોલ બજે ત્યાં કોને કાને પડે
શબરીની છાતીનો સૂનકાર? બોલ્યા વિના દડદડે.
અવાજનાં લીલાંછમ વન તો એય ને લાંબાં ઝૂલે
સૂનકારની લાતીઓનાં તાળાં ચાવીથીયે ના ખૂલે. [ લાતી = કોઠી ]
એ લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
શબરીએ રામને કહેવડાવ્યું : રામજી, સામો લેવા ના’વીશ.
પણ વનમાંથી કંઈ લાતીઓ નથી થાતી રાતોરાત,
આ આખ્યાનમાં માંડી છે એ સુકાવાની વાત.
પહેલાં તો સુકાઈ ગઈ છાલ, પછી સુકાયો ગરભ,
કોઈએ પણ જોયું નહીં એ અરધાં બોરાં તરફ.
સમાચાર સાંભળ્યા પછી હળવે હળવે એ બાઈ
ચાખી રાખેલાં બોરને પોતે જ ચગળી ચગળી ખાય.
બે’ક ખાધાં. પછી ખવાય નંઈ, જાણે ચારે ખૂણે પેટ,
શબરી સોચે છે, આ છે તો મીઠાં, પણ હવે કોને આપું ભેટ?
કડવો તો કે લીમડો, મીઠું તો કે મધ,
ડાળ તો કાપી એક જ ને લાતીઓ ઊભી થઈ આડેધડ.
ડાળી તો એક એવો રસ્તો કે ભાઈ વળતો ઢળતો વધે,
અંત અટકી જાય અચાનક ને પહોંચાડે બધે.
ભીલ બાઈનો કાળો હાથ એક ડાળખા પેઠે ઊંચકાયો,
એને છેડે અમળાયેલાં આંગળાં પાનખરનો પ્રશ્ન પુછાયો.
બૂઢાપામાં બાઈ કાંપતી, જાણે કોઈ બોરડી ખંખેરતું,
આખું ઘટાટોપ ટપોટપ ફળ વેરતું.
નીચું મોં કરી બેઠી શબરી, ખોળામાં ઢગલો બોર,
એની આંખોમાં એવો તો ભાર કે ઊંચકતી નથી એકે કોર.
બોરાં ઝૂલતાં બોરડી, આંસુ ઝૂલતાં આંખ,
હવે સવાદ હું નહીં કહું રામજી, તારે ચાખવું હોય તો ચાખ.
અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ,
જેવો પેલો રામ અમર તેવી અમર શબરીયે આપ.
– સિતાંશુ યશશ્ચંદ્ર
ધીમી ગતિએ આગળ વધતું માવજતથી ગૂંથવામાં આવેલું નાજુક ગીત…..સંદેશ સ્પષ્ટ છે, માવજત મોહક છે.
Permalink
October 5, 2019 at 1:20 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
છે આકરા પ્રહાર પણ જવાબ આપવો નથી,
નથી સ્વીકારી હાર પણ જવાબ આપવો નથી.
મલમ લગાવશું નહીં આ ઘાવ તાજો રાખશું,
છે તીર આરપાર પણ જવાબ આપવો નથી.
જવાબ આપીએ નહીં, હા! એ સ્વંય જવાબ છે,
કરી દીધો છે વાર પણ જવાબ આપવો નથી.
સમય જરૂર આવશે સમય જવાબ આપશે,
ઘસીશું શબ્દ ધાર પણ જવાબ આપવો નથી.
જો એક મારશું તો દસ ઉભા થશે એ રાવણો
ટકી જશું ધરાર પણ જવાબ આપવો નથી.
– પારુલ ખખ્ખર
‘જવાબ આપવો નથી’નો ટંકાર કરતાં-કરતાં કવયિત્રી જવાબના કેવા તાતા તીર ચલાવે છે એ જુઓ…
Permalink
October 4, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
શ્રદ્ધા બિચારી-બાપડી થઈને ઉભી રહી,
શંકા હતી તે ખાતરી થઈને ઉભી રહી.
પંપાળ્યે રાખી પ્રેમથી તો કદ વધી ગયું,
ચપટીક ચિંતા, ગાંસડી થઈને ઉભી રહી.
તપતા રહ્યા તે આખરે પાક્કા બની ગયા,
તકલીફ એવી તાવડી થઈને ઉભી રહી.
વાંચ્યું’તું ખૂબ તક વિશે,પણ ના કળી શક્યા,
પહેલી હતી તે આખરી થઈને ઉભી રહી.
છે ભૂલ એનું નામ ! એ ભૂલ્યા’તાં આપણે,
એની હતી એ આપણી થઈને ઉભી રહી.
– ડૉ.મનોજ જોશી ‘મન’
મત્લા જ ‘મન’ જીતી લે એવો બળકટ થયો છે. સાવ સાચી વાત. આજે આપણે જે યુગમાં જીવી રહ્યાં છીએ, એમાં શ્રદ્ધા સાવ બિચારી ને બાપડી બનીને રહી ગઈ છે ને શંકા હિમાલય જેવું નક્કર સત્ય બની ગઈ છે. બીજા શેરમાં ‘ચિંતા બડી અભાગની’ની વાત કવિ કેવી અલગ રીતે રજૂ કરે છે! સમય પર ત્યાગ ન કરીએ અને પંપાળીએ તો ચપટીભર ચિંતા ગાંસડી બની જઈ આપણને કચડી નાંખવામાં વાર નથી લગાડતી. ને તકલીફની તાવી પર જે તપ્યે રાખે એ પાકા બની જાય છે એ વાત પણ સ-રસ. જો કે તાવડીના સ્થાને નિંભાડો કે ભઠ્ઠી શબ્દ વધુ અપેક્ષિત લાગે છે. તક અને ભૂલ વિશેના શેર પણ આસ્વાદ્ય થયા છે.
Permalink
October 3, 2019 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગીત, રૂપસિંહ વાઘસિંહ રાઠોડ
(‘આંધળી માનો કાગળ’ એ જાણીતી રચનાના ઢાળે)
ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્યલી લાગે!
મૂડી ઝાઝી ને મજૂરી ઝાઝી, ઝાઝેરાં માથે રણ;
મજૂરી કરીને જાત પાડે તોયે કોઠી ન ભાળે કણ! – ખેડૂતની.
બી જોઈતું ને, બળદ જોઈતા, જોઈતું ઝાઝું ઘાસ;
મેઘરાજા જો માન માગે તો પડતો ઝાઝો ત્રાસ. – ખેડૂતની.
ખેડી-ખેડીને ઘણા વાવ્યા, વર્ષા આવી ધાઈ;
કિંતુ એટલે અન્ન ના ઊછરે, સાંભળ ને મુજ ભાઈ? – ખેડૂતની.
ઊધઈ સૂકવે છોડવા ઝાઝા ખેડુ શું રાખે ખંત?
ઊગતા છોડવા આરોગીને સમાધિ લેતા સંત. – ખેડૂતની.
ઈયળ પડે ને ખપરાં પડે, ગેરુયે રંગે ધાન;
હિમોકાકોએ દયા કરે તો ખેડૂત ભાળે ધાન. – ખેડૂતની.
રોઝ, શિયાળવાં, વાંદરાં, મોર ને બાકી રહેલામાં ચોર;
એ સઘળાંથી ખાતાં બચેલું ખેડૂતને કર હોય. – ખેડૂતની.
વાઢી-લણી અને ખળામાં લાવી અનાજ લેવાતે દિન;
ભાંડ, ભવાયા, મીર, ભંગી અને ઢેઢની લે આશિષ. – ખેડૂતની.
અનાજ લાવી ઘરમાં નાખ્યું ઘણી ઉમેદો સાથ;
બીજે દહાડે લેણદારો સૌ આવિયા ચોપડા સાથ. – ખેડૂતની.
વેરો-વાઘોટી માગતો મ્હેતો, લેણાં માગતો શેઠ;
ખેડુ દિલમાં ઘણું દુભાયે, શાને ભરાશે પેટ? – ખેડૂતની.
– રૂપસિંહ વાઘસિંહ રાઠોડ
લગભગ સાઠ વર્ષ પહેલાં માત્ર સાત ચોપડી ભણેલા એક ખેડૂતકવિએ લખેલું આ કાવ્ય આજે પણ એટલું જ તાજું લાગે છે. કવિતામાંથી પસાર થતી વખતે કાવ્યપદાર્થ પ્રમાણમાં ઓછો હોવાનું અનુભવાય પણ ઓછું ભણેલા કવિની કુદરત અને સમાજ –બંને તરફની ઝીણવટભરી અને સચોટ અવલોકન શક્તિ આ કાવ્યને બાજુએ મૂકવા દેતી નથી.
દર વર્ષે આપઘાત કરનાર ખેડૂતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એ હકીકત એ વાતની સાબિતી છે કે ખેડૂતની દશા આજની તારીખે પણ બહુ સુધરી નથી. ખેડૂતના નસીબે મજૂરી જ વધુ લખી છે. ખેતી માટે બી, બળદ, ઘાસ – એક તરફ આ સાધનો ટાંચા પડે છે તો બીજી તરફ વર્ષારાણી પર આધાર રાખવો પડે છે. વરસાદ ઠીક થાય તોય ઊધઈ અને ઊગતા છોડમાં પડતી કાતરાની જીવાત (સમાધિ લેતા સંત)નો ત્રાસ. હિમવર્ષાથી બચી જવાય તો પશુપક્ષીઓ અને ચોરોની પળોજણ માથે ઊભી જ હોય. એ બધામાંથી બચાવીને કંઈક હાથ લાગે એમાંથી ભાંડ, ભવાયા, મીર, ભંગી, ઢેઢને ભાગ આપવો પડે. આટલું પત્યું નથી કે લેણદારો આવી ઊભા રહે, મહેતો વેરો ઊઘરાવવા આવી ચડે અને શેઠની ઊઘરાણી પણ માથે ઊભી જ રહે છે. ખેડૂતના પોતાના પેટ-પરિવાર માટે કંઈ બચશે ખરું?
Permalink
October 2, 2019 at 3:38 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, સુન્દરમ

(શિખરિણી)
અહો ગાંધી ! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને !
ગયા- ના રોકાયા વચન ‘જઉં છું’ એય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા !
તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિરચવા શાંતિસદન:
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.
ઢળ્યા એ સંગ્રામે ! પ્રભુ થકી જ આ ત્રાણ ઊતર્યું ?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની ?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ ?
હજી રોતી પૃથ્વી : પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો ! તેં રુદનને
વધાર્યાં. ક્યારે યે રુદન સ્મિતમાં ના પલટશે ?
કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે ?
(અનુષ્ટુપ)
પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય આનંદનો ઘટ
અક્ષુણ્ણ ધરતીતીરે પ્રગટાવ, મહા નટ !
– સુન્દરમ્
(૧૫-૦૨-૧૯૪૮)
આ અવનિ પર ગાંધીજીએ પ્રથમ શ્વાસ લીધો એને આજે ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં. દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીના અવસાનના પંદર દિવસ પછી લખાયેલું આ કાવ્ય આપ સહુ માટે રજૂ કરીએ છીએ..
કળી ન શકાય એવી સફર સાધીને ગાંધી તો ચાલતા થયા પણ આ શાંતિપ્રિય વ્યક્તિની ગેરહાજરીના કારણે જે આંધી સર્જાય, એ એમની શાંતિપ્રિયતાથી શું વિપરિત નહોતી? શું એ ગાંધીને છાજે ખરું? જાઉં છું એવું કહેવાય એ રોકાયા નહીં, ને ઘડીભર તો પૃથ્વીનું હૈયું પણ સ્થિર થઈ ગયું. અજાતશત્રુ ગાંધીજીની શત્રુતા દુનિયાભરની શત્રુતાની સામે હતી. દુનિયામાંથી વેરભાવ મિટાવી દુનિયાને પ્રણયની વેદી બનાવવી એ એમની એકમાત્ર ઇચ્છા હતી. અને આ સંગ્રામમાં તેઓ માત્ર પ્રભુનામનું કવચ પહેરીને કૂદી પડ્યા હતા. ગાંધી-સાધી અને આંધીનો આંતર્પ્રાસ રચનાને બળકટતા આપે છે.
ત્રણ ગોળી સનન કરતી વીંધી ગઈ, એ બતાવવા કવિએ વાપરેલ ત્રણ અક્ષરનો સ-ન-ન ત્રણ ગોળીઓ જેવો ભાસે છે. આ કવિકર્મની કમાલ છે. ‘અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ’ –અહીં પણ જે નાદસૌંદર્ય જન્મ્યું છે એ કાવ્યની કરુણાને વધુ ઘેરી બનાવે છે. પૃથ્વી પરનાં સૌ રુદન દૂર કરી શકે એ પહેલાં જ ગાંધી વિદાય થયા એટલે રુદન ઓર વધી ગયાં. કાવ્યાંતે કવિ આ મહા નટને અરજી કરે છે કે એના સત્ય અને આનંદનો ઘડુલો ધરતીના કાંઠે પ્રગટાવે… એની અનુપસ્થિતિમાં એણે કરેલા કાર્યો અને એણે ચીંધેલા માર્ગે ચાલીને આપણે પરમ શાંતિ અને ચરમ આનંદની પ્રાપ્તિ કરીએ…
Permalink
October 2, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
હથેલીઓમાં ફૂલ હોય ને તોય લાગતું; જાણે અંતર
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!
હું ને તું ના કાંઠા તોડી એક થઈને વહીએ આપણ
પ્રથમ મિલનના મૌનને તોડી, કહેવું છે તે કહીએ આપણ
સ્નેહ જીવનમાં અહમ્ આપણો ઓગળી રહેશે નિત્ય નિરંતર
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!
મળવાની મોસમ છલકી છે, શાને અળગાં રહીએ આપણ?
ફૂલ પાંખડીનું અંતર પણ, શાને સ્હેજે સહીએ આપણ?
શ્વાસ શ્વાસમાં ગૂંજી રહ્યો છે આઠ અક્ષરનો મીઠો મંતર
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!
એકમેકને ચાહીએ એવું, ગગન ધરા થઈ, બેઉ આપણ
બંને તરસ્યા, બંને વરસ્યા, ભીંજવતા ભીંજાયા આપણ
વરસીને પણ કોરાં રહીએ એવું તે કૈં હોય સદંતર?
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!
– તુષાર શુક્લ
મુગ્ધતા પછીની અવસ્થાનું કાવ્ય જાણે કે…..
Permalink
October 1, 2019 at 9:50 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
તારી ચોકલેટી ઇચ્છા પર મારો મુકામ
થાક જીવતરનો સ્હેજ હું ઉતારું
તારી એ ચાખેલી ચ્યુઇંગમને ચગળીને
તરફડતા દિવસોને કાઢું
એક ચ્યુઇંગમ પર જાતને જિવાડું
ચ્યુઇંગમનાં નારંગી મોસંબી અજવાળાં
મારે અંધાર સમે ટેકો
ચ્યુઇંગમથી અળગી હું જાત કરું લાગે કે
આત્માને ખોળિયાથી ફેંક્યો
રૅપરમાં વીંટેલી ચ્યુઇંગમની જેમ
મારા શ્વાસ તને ક્યાંથી વીંટાળું…એક ચ્યુંઇગમ
ચ્યુઇંગમના રસ્તા કે તારી એ યાદો કે
મારી આ લાગણી ના ખૂટે
ભીતરમાં જેમ તને મમળાવું એમ મારી
એક નસ તંગ થઈ તૂટે
ચ્યુઇંગમની જેમ તને ચાખીચાખીને
આંખ શબરીની જેમ હું પલાળું…એક ચ્યુંઇગમ
અહીં સહુકોઈ પોતાની ચ્યુઇંગમ મમળાવે
ને સહુકોઈ એના બંધાણી
ચ્યુઇંગમ એ કાંઈ નથી બીજું કે
યાદ કોક આવે ને લાવી દે પાણી
ચ્યુઇંગમ તો ચોંટે પણ જન્મારો જેનામાં
ચોંટે એ ક્યાંથી ઉખાડું…એક ચ્યુંઇગમ
– મુકેશ જોષી
વિષયનું નાવીન્ય જ માત્ર મહત્વનું નથી, આવા અઘરા વિષય ઉપર અર્થગંભીર વાત કરવી એ સિદ્ધહસ્તતાની નિશાની છે….છેલ્લા અંતરામાં કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ થઇ જાય છે….
Permalink
September 28, 2019 at 12:30 AM by વિવેક · Filed under કિશોર જીકાદરા, ગઝલ
તેં સીવેલા સંબંધોને આજે પણ પહેરું છું વટથી,
દિલ દઈને લીધેલા ટાંકા એમ નથી કૈં તૂટતા ઝટથી.
આવી રીતે ધોળે દિવસે પડછાયો થૈ સાથે ના ફર,
ઈર્ષ્યા થાશે સૂરજને પણ, તારી મારી આ ઘરવટથી.
સઘળી વાતે સુખ છે કિન્તુ, નાની સરખી મુશ્કેલી છે,
ઘર છે મારું આ કાંઠે ને પ્રીત કરી છે સામા તટથી.
કૂવાકાંઠો પડખે છે પણ બેડું તોય રહ્યું છે ખાલી,
લેણાદેણી ક્યાં છે મારે એક ટકો પણ આ પનઘટથી?
અટકાવું તો ખિન્ન થશે ને ધમકાવું તો ઓર વટકશે,
કામ ખરેખર લેવું પડશે ઇચ્છા સાથે સમજાવટથી.
તારી જેમ નથી વેડફતો, ગમ્મે ત્યારે માગી જોજે,
આંસુના પ્રત્યેક ટીપાંનો, રાખું છું હિસાબ ચીવટથી.
વરસાદી ત્રમઝટમાં કેવો કોરોકટ્ટ રહ્યો છું આજે?
પૂરેપૂરો પલળી ગ્યો’તો, તે દિવસે ઝીણી વાછટથી.
ડાળી પરથી પાન ખર્યું તો એનો શો અફસોસ કરું હું,
ફૂટવાની છે કૂંપળ પાછીએ, એજ જગ્યાએ કાલ ઊલટથી.
જ્યારે ત્યારે તરભેટા પર લાવીને એ છોડી દે છે,
ઈશ્વરથી બહુ દૂર થયો છું, ઈશ્વરની આવી ખટપટથી.
– કિશોર જીકાદરા
નવરત્ન જેવા નવ શેર! એક-એક શેર પર સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય એવા… ગુજરાતી ગઝલમાં ઓછા પ્રયોજાતા કાફિયાઓની ગૂંથણી કરીને કવિએ ગજબ કરામત કરી છે…
Permalink
September 27, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિજય એમ. ઝાલા ‘સાદ’
કોક અઘોરી સૂની સાંજે
આછી આછી ઝાલર બાજે
આંખે તારી મૂરત ધારું
રુદિયે તારું નામ બિરાજે.
લીલી ડાળે પીળાં દુઃખડાં
હળવે હાથે ઓસડ પાજે.
આંબો રાયણ નાચી ઊઠ્યાં
ઊંડાણોમાં બચપણ ગાજે.
કાલ સુધી તું ‘મોટા’ કે’તો,
કાં લાગે તું ‘મોટો’ આજે?
આંખો રડમસ, કંઠે ડૂમો,
કોનો ‘સાદ’ પડ્યો દરવાજે?
– વિજય એમ. ઝાલા ‘સાદ’
કવિનું નામ પહેલવહેલીવાર સાંભળ્યું પણ ગઝલ કેવી ફક્કડ! અકાળે મૃત્યુ -વસંતમાં પાનખર જોવાની વેળાએ કવિ જ્યારે હળવે હાથે ઓસડ પાવાની ભલામણ કરે છે, ત્યારે હરિશ્ચન્દ્ર ભટ્ટનું ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ ગીત યાદ આવ્યા વિના નહીં રહે. ચહીતા સાદની તાકાત બતાવતો અને તખલ્લુસને સર્વાંગ સાર્થક કરતો મક્તા પણ કેવો અદભુત!
Permalink
September 26, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, દિનેશ કાનાણી
વરસાદમાં
પલળી ગયેલી
મારી કવિતાની ડાયરી,
સવારે સૂરજ સામે મૂકી ત્યાં
તો
એમાં કૂંપળો ફૂટવા લાગી!!
*
તારી
આંખમાં
આંસુ જોઈને
એમ થાતું કે,
આભના વરસાદમાં
ભીંજાવું
તો
કેટલું સરળ છે!!
*
મારા મૌનને પણ સાદ
સમજીને
જે દોડી
આવે છે,
એના પર
વરસાદ થઈને
વરસી પડવાનું
મન થાય છે!
*
એક દિવસ
આખ્ખા આકાશમાં હતાં….
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
તે
છતાં…
વરસાદ ન પડ્યો!!
એવું જ થયું’તું ને
આપણી એ મુલાકાતમાં!!!
*
કરવા તો
આવ્યો હતો
નદીઓની
સાફ સફાઈ
પણ
પવન સાથે
ધીંગામસ્તીમાં
આઠ-દસ
ગામડાંઓને
ધોઈ નાખ્યાં
વરસાદે!!
*
પર્વતોની
વચ્ચે પલાંઠી વાળીને
બેઠેલો વરસાદ
એ ટ
લે
સરોવર!!
– દિનેશ કાનાણી
મિત્ર દિનેશ કાનાણીનો વરસાદની ૧૭૧ કવિતાઓ સમાવતો સંગ્રહ ‘વરસાદ’ તો મારા ઘરે ઘણા સમય પહેલાં જ વરસ્યો હતો, પણ મારી લાપરવાહીના કારણે એ સંગ્રહ ક્યાંક મૂકાઈ ગયો તે આટઆટલા અઠવાડિયાઓ પછી આજે જડ્યો. લયસ્તરો પર વરસાદની ઋતુ લગભગ પતી જવાને આરે આવી ઊભી છે, એ સમયે આ સંગ્રહનું ભીનું-ભીનું સ્વાગત કરીએ છીએ અને રજૂ કરીએ છીએ વરસાદના કેટલાક છાંટા…
તા.ક.: છત્રી ખોલીને વાંચવાની સખ્ત મનાઈ છે!
Permalink
September 25, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
આંખોનાં પાણી ખૂટ્યાં છે,
તોપણ ક્યાં ખેંચાણ છૂટ્યાં છે ?
મૌન રહ્યા તે છતાં આંખમાં,
વાતોના ફણગા ફૂટ્યા છે.
કોઈ ગાંઠની જેમ જ દિવસો
બંધાઈ મનમાં છૂટ્યા છે.
ખરતા તારાની શું કિંમત,
સપના પણ આમ જ તૂટ્યાં છે.
હશે ખજાના ભીતર કેવા,
ગજા મુજબ સૌએ લૂંટ્યા છે.
– હર્ષ બ્રહ્મભટ્ટ
હ્ર્દયસ્પર્શી વાત….
Permalink
September 24, 2019 at 8:12 AM by તીર્થેશ · Filed under કબીર, ગીત
हमन है इश्क मस्ताना, हमन को होशियारी क्या ?
रहें आजाद या जग से, हमन दुनिया से यारी क्या ?
जो बिछुड़े हैं पियारे से, भटकते दर-ब-दर फिरते,
हमारा यार है हम में हमन को इंतजारी क्या ?
खलक सब नाम अनपे को, बहुत कर सिर पटकता है,
हमन गुरनाम साँचा है, हमन दुनिया से यारी क्या ?
न पल बिछुड़े पिया हमसे न हम बिछड़े पियारे से,
उन्हीं से नेह लागी है, हमन को बेकरारी क्या ?
कबीरा इश्क का माता, दुई को दूर कर दिल से,
जो चलना राह नाज़ुक है, हमन सिर बोझ भारी क्या ?
– कबीर
કબીરસાહેબની લાક્ષણિકતા પ્રમાણે સરળ શબ્દોમાં અદ્વૈતને મૂર્તિમંત કર્યું છે….
Permalink
September 23, 2019 at 2:29 AM by વિવેક · Filed under ગઝલ, હિમલ પંડ્યા 'પાર્થ'
સાચવી, સમજી-વિચારીને પછી,
મેંય મૂકી જીદ હારીને પછી.
ખૂબ પસ્તાવાનું થાતું હોય છે,
કોઈને પોતાનું ધારીને પછી.
તૂટતા સપનાને જોવાનું, અને –
બેસવાનું મનને મારીને પછી.
એ નજરને ફેરવી નીકળી ગયાં!
ખૂબ સમજાવી મેં બારીને પછી.
લાગશે, હળવાશ નક્કી લાગશે
કાંચળી જૂની ઉતારીને પછી.
જિંદગીને મેંય અપનાવી લીધી,
આંસુઓ બે-ચાર સારીને પછી.
– હિમલ પંડ્યા
સહજ ભાષામાં જે વાત ગઝલ કરી શકે છે, એ વિદ્વત્તાસભર વાણી ઘણીવાર કરી નથી શકતી. આ ગઝલ એનું ઉત્તમ ઉદાહરણ છે. બધા જ શેર સરળ ભાષામાં ગહન વાત કરે છે…
Permalink
September 21, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રેશ મકવાણા 'નારાજ'
રાચી નથી રહ્યું ને ઝાકળ એ ખ્યાલમાં?
સૂરજ ન મોકલાવે તડકો ટપાલમાં.
ભમરાએ કાનમાં જઈ એવું તે શું કહ્યું?
ખંજન પડી રહ્યાં છે ફૂલોના ગાલમાં.
નીકળી છે પાયમાલી બાંધીને બિસ્તરા
સીધી અહીં જ આવશે એ આજકાલમાં.
પીડા મટીને પીડા અવસર બની ગઈ,
એવું તે શું ભેળવ્યું’તું એણે વહાલમાં?
દાટી દીધી ઉદાસી ઓઢીને કામળો
બાળી દીધાં ફટાફટ ડૂસકાં મશાલમાં.
– ચન્દ્રેશ મકવાણા ‘નારાજ’
કેવી મજાની સ્વયંસિદ્ધા ગઝલ!
Permalink
September 20, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત ભટ્ટ 'પવન'
તબીબો જે રીતે પકડે મરીઝના હાથની નાડી,
સિફતપૂર્વક તમે પણ એ જ રીતે વાત ઉપાડી.
પ્રતીક્ષાઓ છુપાવી તોય જાહેરાત થઈ ગઈ છે,
તમારી આંખ ભીનાં જાગરણની ખાય છે ચાડી.
નથી ઊભા રહી શકતા અમારા પગ ઉપર આજે;
અમારા પર આ કેવી જિંદગીએ ધાક બેસાડી!
પહેલાં તો મિલન વખતે સખી મેંદી મૂકી આવે;
પછી તો રીતસર એ હાથમાં મેંદી જ ઊગાડી!
ચૂલો સળગ્યો નહીં ને આગ પણ લાગી નહીં ભીતર;
‘પવન’ તેં અમથે અમથી આંગણામાં રાખ ઊડાડી.
– ભરત ભટ્ટ ‘પવન’
‘લયસ્તરો’ પર કવિમિત્રે શ્રી ભરત ભટ્ટ ‘પવન’ના નવા ગઝલ સ6ગ્રહ ‘યાદ તો આવે જ ને!’નું સપ્રેમ સહૃદય સ્વાગત!
સંગ્રહમાંની એક સરસ મજાની સહજ સમજાઈ જાય એવી પણ અર્થગાંભીર્યસભર ગઝલ…
Permalink
September 17, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.
આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.
સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.
અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?
કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.
પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે…
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Permalink
September 16, 2019 at 7:28 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે
શ્યામ, વૃંદાવન રોજની અમાસ,
આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ
કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ.
ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી
હવે સૌરભનું લેશ ન ઓસણ,
શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે
હવે કોઇની રહી ન ઓળખાણ,
કોઇ જરા ફૂલને સુંઘાડી જુઓ, ક્યારનો ય
અટકી ગયો છે મારો શ્વાસ.
ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે
ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાં ય નથી હાથવગાં
એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઇ ન કરું આશ.
– હરીન્દ્ર દવે
મને કદી નથી સમજાતું – માધવ પાછા ફરીને એકકેવાર વૃંદાવન કેમ ન જ ગયા ?? શું સંદેશ અભિપ્રેત છે એ નિર્ણયમાં ???
Permalink
September 14, 2019 at 3:01 AM by વિવેક · Filed under કિસ્મત કુરેશી, ગઝલ
ભ્રમરના સંગના રંગે નથી થાતાં સુમન કાળાં
ગિરિની શ્યામ છાયાથી કદિ ના થાય વન કાળા.
ગળ્યા જે અંધારે, રંગ પાછા કાઢવા પડશે,
અમાસી રાતથી ના થઈ શકે નીલાં ગગન કાળા.
ઘણીએ ચીજ આલમમાં નથી તજતી અસિલયતને,
વસીને કોલસા વચ્ચે નથી પડતાં રતન કાળા.
નિહાળી હું શકું છું ઉજળાં મન ઓથમાં એની,
નથી ભરમાવી શકતાં મારી દૃષ્ટિને વદન કાળાં.
કહે છે કોણ કે કાળાશ પણ મોહક નથી હોતી?
રૂપાળા હર વદન પરનું આકર્ષણ નયન કાળાં.
રખે સાબિત કરે મરનારનાં એ કામ કાળાંને ,
જગત એથી જ કોઈને નથી દેતું કફન કાળાં.
તિખારાને રુપાળા રંગ સાથે શી અદાવત છે?
કે ‘કિસ્મત’, આગ ચાંપી એ કરી દે છે ચમન કાળાં.
– કિસ્મત કુરેશી
પરંપરાના શાયરની સાદ્યંત સુંદર રચના…
Permalink
September 13, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષા દવે
સમંદરમાં થયા કાં લીન, મનવા?
મીઠાં જળનાં તમે છો મીન, મનવા!
જે ભીતર છે તમે એ બ્હાર શોધ્યું,
રહો છો એટલે ગમગીન, મનવા!
ભલે ને, સોડ ટૂંકી તાણવી, પણ,
પછેડી ઓઢવી રંગીન, મનવા!
ઈશારો જોઈ એનો ડોલવાનું,
બજાવે છે મદારી બીન, મનવા!
બધાની ચાદરોનાં રંગ નોખાં,
બધું રંગરેજને આધીન, મનવા!
હવે બસ, જાત બાજુ દોટ મૂકો!
ગણી લો એક, દો ને તીન, મનવા!
– હર્ષા દવે
સાદ્યંત સુંદર રચના
Permalink
September 12, 2019 at 2:38 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી
મંઝિલોની ખબર નથી હોતી,
એને માટે સફર નથી હોતી.
આંખ તો હોય છે બધા પાસે,
સૌની પાસે નજર નથી હોતી.
હા, અસર વધતી-ઓછી હોવાની,
લાગણી બેઅસર નથી હોતી.
લે, તને આખેઆખું દિલ આપ્યું;
પ્રેમમાં કરકસર નથી હોતી.
એક બાજુ સદા સમર્પણ ને
બીજી બાજુ કદર નથી હોતી.
મેં જે સુખની બનાવી છે સૂચિ,
પૂરી તારા વગર નથી હોતી.
– દિવ્યા રાજેશ મોદી
સ્ત્રીઓની કવિતા સામાન્યરીતે સીધી દિલમાંથી નીકળતી હોય છે. પરિણામે સીધી જ દિલને પણ સ્પર્શી જતી હોય છે… જુઓ આ રચના! કેવી મજાની! એકદમ હૃદયસ્પર્શી…
Permalink
September 11, 2019 at 10:21 AM by તીર્થેશ · Filed under ગીત, મનુજ દેપાવત
मैं विप्लव का कवि हूँ ! मेरे गीत चिरंतन ।
मेरी छंदबद्ध वाणी में नहीं किसी कृष्णाभिसारिका के आकुल अंतर की धड़कन;
अरे, किसी जनपद कल्याणी के नूपुर के रुनझुन स्वर पर मुग्ध नहीं है मेरा गायन !
मैं विप्लव का कवि हूँ ! मेरे गीत चिरंतन ।
मैं न कभी नीरव रजनी के अँचल में छुपकर रोता हूँ;
आँसू के जल से अतीत के धुँधले चित्र नहीं धोता हूँ;
चित्रित करता हूँ समाज के शोषण का वह शोणित प्लावन ।
मैं विप्लव का कवि हूँ ! मेरे गीत चिरंतन ।
आज विकट कापालिक बनकर !
महाप्रलय के शंखनाद से मरघट के सोए मुर्दों को जगा रहा हूँ !
जगा रहा हूँ अभिनव की वह ज्वाल निरंतर,
जलकर जिसमें स्वयं भस्म हो जाय पुरातन !
मैं विप्लव का कवि हूँ ! मेरे गीत चिरंतन ।
– मनुज देपावत
કવિ તો એ જ આલેખશે જે એને અંદર સુધી હલાવી દેશે….
Permalink
September 11, 2019 at 3:12 AM by તીર્થેશ · Filed under ગીત, વિનોદ જોશી
આછાં આછાં રે તળાવ,
એની ઘાટી રે કાંઈ પાળ
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ…
હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ;
વાટું અરડૂસી બે વાર ,
ચાટું ઓસડ બીજાં બાર;
બાઈજીનો બેટો (ઘણી ખમ્મા !) મુંને થઈ બેઠો વળગાડ…
મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ
કમખો ટાંગુ રવેશમાં કે ખળભળતો વંટોળ;
પોચાં પારેવડાં કાંઈ રાંક,
હાંફે અધમણ ને નવટાંક;
ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયે બાવળઝાડ…
ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું, બારોબાર,
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
વેરું મોતી સવ્વા લાખ,
ખેરું ખરબચડો કાંઈ થાક;
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ…
– વિનોદ જોશી
મસ્તમજાનું રળિયામણું ગીત….
Permalink
September 7, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
હું એટલે સમયની રફતારની ઉદાસી,
અજવાસની અણી પર, અંધારની ઉદાસી.
કહેવાય છે કે મનની, શાપિત છે હવેલી,
ભટકે છે આજ પણ ત્યાં મરનારની ઉદાસી.
એવું નથી કે આવે અઠવાડિયાને અંતે,
ઘેરી શકે છે વચ્ચે બુધવારની ઉદાસી.
તારા બધા દિલાસા નકશાની દીવાદાંડી,
અહીંયા વમળ વમળ છે મઝધારની ઉદાસી.
હું બારણું બનીને ઉભો છું ઉંબરામાં,
ઘરની બહાર ગઈ છે ઘરબારની ઉદાસી.
તાજા ખબરમાં એ કે ચગદાઈ ગઈ અચાનક,
આ ભીડભાડ મધ્યે બે-ચારની ઉદાસી.
મારી કિતાબને પણ મારી ચિતામાં હોમો,
ઓ પાર લઈ જવી છે, આ પારની ઉદાસી.
તારાં સ્મરણની રાતે કાળાશ વિસ્તરી છે,
જોયા કરે જૂનાગઢ ગિરનારની ઉદાસી.
લ્યો શબ્દ શબ્દ થઈને કાગળમાં ઊતરી છે,
ગઢવીની આંગળીથી ગુલઝારની ઉદાસી.
– મિલિન્દ ગઢવી
ઉદાસી કવિતાનો સદાબહાર રંગ છે અને અહીં તો ગઝલ જ આખી ઉદાસીની છે. આખી ગઝલ સ-રસ થઈ છે… એટલે કોઈ એકાદ શેર પર આંગળી મૂકવાને બદલે સાંગોપાંગ માણીએ.
Permalink
September 6, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
સમુદ્રો હો તરવા ‘ને ચડવા હો પ્હાડો,
ન બાંધી શકે એની વૃત્તિને વાડો.
વહી આવ, ખુલ્લાં મૂક્યાં છે કમાડો,
પવન! તારે ગણવાનાં શું રાત-દાડો?
નહીં ઝીંક ઝીલી શકે કોઈ કાળે,
મળ્યાં કાચી માટી ‘ને કાચો નીંભાડો.
કદી તૂટવાનો અનુભવ કર્યો છે?
કહી શકશે, કોને કહે છે તિરાડો?
સરળ સીધા રસ્તા જ ના હોય યાત્રી!
સ્વીકારી લે ભીષણ ખડક, નદ, કરાડો
ખૂણે બેસી સંભારું છું સાંભળે તો;
હું જાહેરમાં તો નહીં પાડું ત્રાડો.
અમીદૃષ્ટિ પડતાં જ મહામંત્ર લાધ્યો,
ટળી સૌ દ્વિધાઓ, મટ્યો ગૂંચવાડો.
– સંજુ વાળા
સાદ્યંત સુંદર રચના… વાંચતાવેંત ગમી જાય એવી…
Permalink
September 5, 2019 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગીત
અડાબીડ ભીડી બેઠા છો શબ્દોના આ કમાડ ખોલો,
બોલો, કંઈક તો બોલો…
એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
છીપ હોઠની ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?
મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો,
બોલો, કંઈક તો બોલો…
કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો, કંઈક તો બોલો…
જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…
– અનિલ ચાવડા
કવિ જે કહેવા માંગે છે એ એમણે શીર્ષકમાં કહી જ દીધું છે. અને ગીત એટલું તો સંઘેડાઉતાર થયું છે કે કવિ ભલે ‘બોલો, કંઈક તો બોલો’ કહેતાં હોય, વિવેચકે કશું બોલવા જેવું રહ્યું જ નથી…
Permalink
September 3, 2019 at 8:43 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.
મુકામ એવો પણ આવે છે કોઈ વેળા મહોબતમાં,
ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં.
નહીં એ કામ લાગે હો હજાર ઊભરા મહોબતમાં,
અણીના ટાંકણે હંમેશા ઓટ આવે છે હિંમતમાં.
અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઈ છે,
સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં.
અહીં બે-ત્રણની વચ્ચે પણ ખબર કોઇ નથી લેતું,
હજારો હાજરીમાં શું દશા થાશે કયામતમાં ?
જરા થોડું વિચારે કે તરત એમાં ઉણપ નીકળે,
અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં ?
જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે,
શરૂમાં શોખ હો, આગળ જતા પલટાય આદતમાં.
કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં !
પછી એના પ્રવાહે આખું સાધારણ જીવન વીતે,
મહત્વના બનાવો હોય છે – બે ચાર કિસ્મતમાં.
પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,
જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.
‘મરીઝ’ આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઈ,
કરો જુઠ્ઠી શિકાયત તો મજા આવે શિકાયતમાં.
-‘ મરીઝ ‘
Permalink
September 3, 2019 at 8:33 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
નથી રે રમવું સહિયર મોરી સાંવરિયાની સાથે રે,
એ અંતરથી અંચઈ કરતો દાવ ચડાવે માથે રે.
જાણીજોઈને જવા દિયે છે સહિયર સૌ તમ સરખી,
આઘે રહીને અલબેલીઓ ! તમે રહો છો હરખી;
નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?
પલક મહીં તો પકડી પાડે બળિયો ભીડે બાથે રે…
નથી રે…
સામો આવી સરકી જાતો દોડી હું તો થાકી,
પલપલ જુદી ચાલ ચલંતો એની લટો શી બાંકી;
આ અડકી હું આ અડકી અવ બહું રહું ના બાકી…
ત્યાં ક્યાં કદંબ જાય છુપાઈ હરિ ના આવે હાથે રે…
નથી રે…
– પ્રિયકાંત મણિયાર
Permalink
August 31, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
કરી વિદ્રોહ સૌ સામે જરા હિંમત બતાવી છે,
મેં ખોવાયેલી મારી જાતને ખુદથી મળાવી છે.
હવે એવી હું પારંગત બની છું આ વિષયમાં પણ,
રીસાયા બાદ મારી જાતને મેં ખુદ મનાવી છે.
શરત સંગાથની પાળી ને આઝાદી મૂકી ગીરવે,
મેં હસતાં મોઢે મારી મરજીથી પાંખો કપાવી છે.
હવે પાછી વળી મારી તરફ ક્યારેય નહી આવે,
તમારી સાથે મારી સૌ ખુશીઓને વળાવી છે.
થયુ નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે,
કોઈ કારણ પૂછે તો મેં ફક્ત પાંપણ નમાવી છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
આમ તો બધા જ શેર સ-રસ થયા છે, પણ આખરી શેરમાં આંખમાં આંસુની ગાંઠોની બિમારી અને એનું કારણ ન કહેવાની કવયિત્રીની રીત તો ભાઈ, વાહ!
Permalink
August 30, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લિપિ ઓઝા
બેઠો છે દરબાર ભરી ડર માદળિયામાં!
કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં?
હાથ અડાડું ત્યારે થોડું ભીનું લાગે
કોણ રડે બેસીને અંદર માદળિયામાં?
ડચકાં ખાતા પણ મુઠ્ઠીમાં રાખ્યું સજ્જડ
નક્કી જીવ ભરાયો આખર માદળિયામાં
સંજોગોને માફકસર વેતરવા માટે
શુ લાગે છે,હોય છે કાતર માદળિયામાં?
ભૂખ્યા પેટે રસ્તા ઉપર નીંદર આવે!
છે બેઘરનું આલિશાન ઘર માદળિયામાં
રોજ અકારણ થાય કઠણ એ થોડું-થોડું
બનતા જાય અભરખા પથ્થર માદળિયામાં
ગાંઠ ખુલે તો પાછા એ ભૂતાવળ બનશે
ધરબી દીધા છે ઊંડા ડર માદળિયામાં
નક્કર સોનાના આભૂષણ ફિક્કા પાડે
ચમકે શ્રદ્ધાનાં કૈ જડતર માદળિયામાં
એને પહેરી છાતી છપ્પનની લાગે છે
જાણે સંતાડયા હો બખ્તર માદળિયામાં
– લિપિ ઓઝા
આમ તો ઈશ્વરનું સર્જન જ કદાચ મનુષ્યના ડરમાંથી થયું છે પણ માદળિયાને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી આ ગઝલનો મત્લા ડર અને ઈશ્વરને બહુ સરસ રીતે સામસામે મૂકે છે. ગળામાં બંધાયેલું માદળિયું સાબિતી છે એ વાતની કે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા ઓછી છે અને ભાગ્યમાં વધારે છે. સીધી ભાષામાં કહીએ તો માદળિયું એ ડરનું પ્રતીક છે. અને જે માણસ ડર સાથે જીવે છે એને દુનિયાનો કોઈપણ ઈશ્વર ચાહીનેય મદદ કરી શકતો નથી. કવયિત્રીએ માદળિયાને લગતી સમાજમાં પ્રવર્તતી તમામ વિભાવનાઓ એક પછી એક શેરમાં બખૂબી ઉજાગર કરી છે, પરિણામે નખશિખ સંઘેડાઉતાર રચના આપણને મળે છે.
Permalink
August 29, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રતિષ્ઠા પંડ્યા
સમયના પાને પાને
નામ લખ્યાં’તાં સૌનાં
વારાફરતી
ને આ સમય હતો અર્જુનનો.
અડધી રાતે
એની મરજી મુજબ
એ દ્રૌપદીના શરીર પર ફરી વળતો
ગૂંદતો સ્તનો
ફંફોસતો પગ વચ્ચેની જગ્યા
શોધતો પોતાનો અહંકાર
પોતાનો આનંદ એના શરીરમાં.
એ પૂછતો દ્રૌપદીને
કે એને કયો સમય સૌથી વધુ ગમે છે
પાંચ ભાઈઓમાંથી એને સૌથી વધુ કયો ગમે છે?
એ જ્યારે દ્રૌપદીને ચૂમે તો
ત્યારે કોના હોઠનો મલકાટ
એને મન રમે છે?
એની જીભ પર
કોની જીભનો રસસ્ત્રાવ ઝમે છે?
શું કોઈ હથેળીની ખારાશ
એની આસપાસ આજ રાત પણ ભમે છે?
કોઈના શરીરની વાસ
શું આજના ઉન્માદમાંય ભળે છે?
દ્રૌપદી ને મળે ત્યારે શું માત્ર એને જ મળે છે?
એની બંધ આંખ તળે
એ બીજા કોને મળે છે?
અર્જુન દ્રૌપદીને પકડી
ભાઈઓની જૂઠી કરેલી
કેરી પરની છાલ ઉતારતો હોય
એમ એનાં વસ્ત્રો ખેંચે છે
ને બંધ આંખે
ફરી એક વાર
ગોળ
ગોળ
ગોળ
ગોળ
ફરે છે દ્રૌપદી
ને મનમાં તો
કૃષ્ણને સ્મરે છે!
– પ્રતિષ્ઠા પંડ્યા
લયસ્તરો પર કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યાના કાવ્યસંગ્રહ ‘ળળળ’નું હાર્દિક સ્વાગત છે…
કવિતાનો ખરો ચમત્કાર કવિની મૌલિક દૃષ્ટિમાંથી જન્મે છે. વસ્તુ એની એજ હોય, પણ કવિનો નજરિયો એને સાવ નવીન આયામ પ્રદાન કરે છે. પાંચ-પાંચ હજાર વર્ષોથી આપણે મહાભારતને જે નજરે જોતાં આવ્યાં છીએ, એનાથી સાવ અલગ જ દૃષ્ટિકોણથી કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યા આપણને દ્રૌપદી અને અર્જુન વચ્ચેના સંબંધની જે માનવસહજ બારીકીઓથી અવગત કરે છે એ આપણને ચોંકાવી દે છે. અચાનક આપણને થાય કે આવો વિચાર આજ સુધી આપણને કેમ ન આવ્યો? વાત તો સાચી જ છે ને… મહાભારતની મૂળ કથા મુજબ અગ્નિકન્યા દ્રૌપદી એક પાંડવ સાથે એક વર્ષ રહે એ દરમિયાન કેવળ એની જ પત્ની બનીને રહે અને વરસ પતતાં મહિનોમાસ તપશ્ચર્યા કરીને તન-મનથી એનાથી સંપૂર્ણ મુક્ત થયા બાદ જ બીજા પાંડવ સાથે સંપૃક્ત થતી. પણ આ કવિતા છે, ઇતિહાસ કે પુરાણકથા નથી. અહીં સર્જકનો હેતુ અગ્નિકન્યાના સુપરપાવરને ઉજાગર કરવાના બદલે પુરાકથાના પાત્રોને માનવીય અભિગમથી નાણવા-પ્રમાણવાનો છે. દ્રૌપદીનો હાથ ઝાલીને તેઓ સ્ત્રી-પુરુષના સંબંધ અને સમર્પણમાં રહેલી વિસંગતિઓને જ આપણી સમક્ષ મૂકે છે.
એક જ સ્ત્રીને પાંચ પુરુષો વારાફરતી ભોગવતા હોય તો દરેક પુરુષને મનમાં પ્રસ્તુત રચનામાં અર્જુનને આવે છે એવા વિચાર આવવા સ્વાભાવિક છે. માનવીય છે. આપણા પાંચમાંથી દ્રૌપદીને કોણ સૌથી વધુ ગમતું હશે? એને કોનું ચુંબન વધુ પસંદ હશે? એની સાથે સંભોગ કરીએ ત્યારે બંધ પાંપણની ભીતર એ મારા સિવાયના કોઈ ભાઈને જોતી હશે ખરી? આ sibling rivalry કવયિત્રીએ આબાદ શબ્દસ્થ કરી છે. પણ ખરું કાવ્ય તો અંતમાં છે.
બીજા ભાઈઓએ એંઠી કરેલી દ્રૌપદીના વસ્ત્રો અર્જુન ખેંચી ઉતારે છે ત્યારે ગોળ-ગોળ ફરતી દ્રૌપદીના મનમાં કુરુસભાનું એ દૃશ્ય તાદૃશ થઈ ઊઠે છે, જ્યારે ભર કુરુસભામાં દુઃશાસન એના ચીર ઉતારી રહ્યો હતો અને પાંચ પતિઓ સહિતની આખી નિર્વીર્યવાન સભા ખુલ્લી આંખે અંધ બની બેઠી હતી. અર્જુન પતિ હોવા છતાંય પ્રણયકેલિ કરતી વખતે એણે દ્રૌપદીને જે સવાલો કર્યા, એ સમસ્ત સ્ત્રીજાતિનું અપમાન છે. દ્રૌપદીની પાંચ પતિવાળી પરિસ્થિતિ માટે કુંતાની અજ્ઞાનતાથી વિશેષ અર્જુનની નિર્બાલ્યતા જવાબદાર છે. માતાથી અજાણતાં થઈ ગયેલી ભૂલ એ સુધારાવી શક્યો હોત. પણ ત્યાં માતાનો લાડકો દીકરો બની રહેલ અર્જુન આજે પત્નીને જ્યારે સવાલો કરે છે ત્યારે સ્ત્રીને સમજાય છે કે એની પથારીમાં આવેલ પુરુષ પતિ ઓછો છે, અને પુરુષ વધારે છે. એટલે જ અર્જુનના હાથે પ્રણયકેલિના નામે નિરાવૃત્ત કરાતી વખતે એ દુઃશાસનના હાથે પોતાનું પુનઃ ચીરહરણ કરાઈ રહ્યું હોવાનું અનુભવે છે. સ્ત્રીગૌરવહનનના સમયના પુનરાવર્તનની ઘડીએ લાગણીહત દ્રૌપદી એના પરમ સખા શ્રીકૃષ્ણને પુનઃ સ્મરે છે… એ એકના સિવાય સ્ત્રીને સ્ત્રીયોગ્ય સન્માન બીજું કોણ આપી શકે? કાવ્યાંતે ગોળ ગોળ ગોળ ગોળ –એમ ચાર પંક્તિમાં ગોળ શબ્દ ચાર વાર પુનરાવર્તિત કરીને કવયિત્રી વસ્ત્રાહરણની ગતિને ચાક્ષુષ કરી આબાદ કવિકર્મની સાહેદી પુરાવી હૃદયવઢ ઘા કરતી કવિતા સિદ્ધ કરે છે…
Permalink
August 28, 2019 at 3:10 AM by તીર્થેશ · Filed under અછાંદસ, દુષ્યન્ત કુમાર
प्रश्न अभिव्यक्ति का है,
मित्र!
किसी मर्मस्पर्शी शब्द से
या क्रिया से,
मेरे भावों, अभावों को भेदो
प्रेरणा दो!
यह जो नीला
ज़हरीला घुँआ भीतर उठ रहा है,
यह जो जैसे मेरी आत्मा का गला घुट रहा है,
यह जो सद्य-जात शिशु सा
कुछ छटपटा रहा है,
यह क्या है?
क्या है मित्र,
मेरे भीतर झाँककर देखो।
छेदो! मर्यादा की इस लौह-चादर को,
मुझे ढँक बैठी जो,
उठने मुस्कराने नहीं देती,
दुनियाँ में आने नहीं देती।
मैं जो समुद्र-सा
सैकड़ों सीपियों को छिपाए बैठा हूँ,
सैकड़ों लाल मोती खपाए बैठा हुँ,
कितना विवश हूँ!
मित्र, मेरे हृदय का यह मंथन
यह सुरों और असुरों का द्वन्द्व
कब चुकेगा?
कब जागेगी शंकर की गरल पान करने वाली करुणा?
कब मुझे हक़ मिलेगा
इस मंथन के फल को प्रगट करने का?
मूक!
असहाय!!
अभिव्यक्ति हीन!!
मैं जो कवि हूँ,
भावों-अभावों के पाटों में पड़ा हुआ
एकाकी दाने-सा
कब तक जीता रहूँगा?
कब तक कमरे के बाहर पड़े हुए गर्दख़ोरे-सा
जीवन का यह क्रम चलेगा?
कब तक ज़िंगदी की गर्द पीता रहूँगा?
प्रश्न अभिव्यक्ति का है मित्र!
ऐसा करो कुछ
जो मेरे मन में कुलबुलाता है
बाहर आ जाए!
भीतर शांति छा जाए!
– दुष्यंत कुमार
સર્જકની આંતરવ્યથા, સર્જનશીલ વ્યક્તિનું મનોમંથન ઉપરોક્ત કવિતામાં સબળ રીતે રજૂ થયાં છે. નવજાત શિશુ જેવું, તાજી કૂંપળ જેવું સર્જન કવિની ભીતર સળવળી રહ્યું છે પણ એની ઉપર કવિની પોતાની મર્યાદાઓ, દુનિયાએ સર્જેલા માપદંડથી જન્મતી મર્યાદાઓ જાણે કે એક લોહની વજનદાર ચાદર બનીને કવિની સર્જનશીલતાને રૂંધતી પડી છે. કવિ પોતાના મિત્રને વિનંતી કરે છે, અહીં મિત્ર એ ભાવક પણ હોઈ શકે, સહ્રદયી વ્યક્તિ હોઈ શકે અથવા કોઈ મર્મસ્પર્શી ઘટના કે પ્રસંગ જે કવિના અંતરાત્માને ઢંઢોળીને અંદર ગૂંગળાઈ રહેલી રચનાને અભિવ્યક્ત કરે. આપણી આસપાસની દુનિયામાં ઘટી રહેલી ઘટનાઓ સર્જકના ભાવજગત પર જુદી રીતે અસર કરતી હોય છે. સત્ય અને અસત્ય, ભલાઈ અને બુરાઇ ની જંગમાં સર્જક કોઈ એકનો પક્ષ લેવાને બદલે એ બંને થી પર થઈ હળાહળ કંઠે ધારણ કરનાર શિવની કરૂણા ધરાવવામાં પોતાની સાર્થકતા ઝંખે છે.
એક મહાન સર્જક એક વિશાળ સાગર જેવો છે જેના પેટાળમાં અનેક કિંમતી રત્નો અને અમૂલ્ય મોતીઓ રૂપી વિચારોનો, સર્જનોનો ખજાનો વણખેડાયેલ, વ્યક્ત થયા વિનાનો પડ્યો છે એને જરૂર છે અભિવ્યક્તિની.
– નેહલ
સૌજન્ય – ડૉ. નેહલ વૈદ્ય [ inmymindinmyheart.com ]
Permalink
August 27, 2019 at 7:29 AM by તીર્થેશ · Filed under ઈન્દિરાબેટીજી, ગીત
રાધાની વેદના તો દુનિયાએ જાણી પણ માધવની વેદના અજાણી;
હૈયાના ગોખમહી સાચવીને રાખી તે હોઠ ઉપર ક્યારેય ના આણી.
રાધાએ શબ્દોનાં બાણ ઘણાં માર્યાં, પણ માધવ ના ખોલે કંઈ વાણી,
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મૂકે એ, માધવ તો મનના બંધાણી.
માધવની નજરોમાં છાનુંછાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી,
ઝળુંઝળું સાવ થતી આંખોમાં વાદળ, ને વાદળમાં વેદનાનાં પાણી.
રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજથી અજાણી,
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?
એકવાર માધવના મનને તું વાંચજે ખૂટશે ના આંખોનાં પાણી;
શ્રાવણી તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?
~ ઈન્દિરાબેટીજી
There is utter loneliness at the top.
Permalink
August 24, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પારુલ ખખ્ખર
તમે અમારા ગામમાં આવી, નદી કિનારે હરજો-ફરજો, બીજા-ત્રીજાને હળજો-મળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
ગલીના છેડે ઊભા રહીને, એક અમસ્તો સાદ કરીને, રાહ જોઇને આગળ વળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
એક તમારા નામનું દેરું
એને છાંટયો રંગ મેં ગેરું
મુરતને આભડિયો એરું
એ મુરતનું ઝેર ઉતારી, પસ્તાવાની જ્યોત જગાવી, ધીમી આંચે ખુદ ઓગળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
આથમતા સૂરજની સાખે
એ અજવાળે ઝાંખે-પાંખે
મારું ગામ નિસાસો નાંખે
ત્યારે મારું નામ લઈને, હૈયે ઝાઝી હામ લઈને, એને વળગીને ઝળહળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
અંતે કરજો લેખા-જોખા
કેવા રુસણાં , કેવા ધોખા
ભેગા તોયે નોખાં નોખાં
ના મળવાની બાધા રાખે, તોય આંગળી ઝાલી રાખે, એ સથવારા તમને ફળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
-પારુલ ખખ્ખર
લબ્ધપ્રતિષ્ઠ કવિ-વિવેચક શ્રી ઉદયન ઠક્કરની કલમે આ ગીતનો આસ્વાદ:
આ ગીતમાં કાવ્યનાયિકા તેના પ્રિય પાત્રને સંબોધે છે. તુંકારે બોલાવી શકાય એવી આત્મીયતા રહી નથી, માટે ‘તમે’ કહીને સંબોધે છે. પ્રિય પાત્રથી વિખૂટા પડી જવાયું છે- ‘અમારું ગામ’ અને ‘તમારું ગામ’ એક થઈ શક્યાં નથી. એક કાળે નદી કિનારે પ્રણયગોષ્ઠિ થઈ હશે, માટે નાયિકા પ્રિય પાત્રને એ જ સ્થળે જવાનું સૂચવે છે. પરંતુ નાયિકા પોતે તો ત્યાં મળવાની નથી, એનું તો ‘કંઈ નક્કી નથી,’ માટે બીજા- ત્રીજાને હળવા- મળવાનું મહેણું મારે છે. ‘જેને મળવું હોય તેને મળજોને, મારે શું?’- એવા રુસણાનો ભાવ અહીં દેખાય છે.
નાયિકા નાયકને ઘરે નથી બોલાવતી, ગલીના છેડે રોકાવાનું કહે છે, કારણ કે બે વચ્ચે હવે અંતર પડી ગયું છે. ઉર્દૂ ગઝલમાં પ્રેયસીની ગલીનું રૂપક પરંપરાથી ચાલ્યું આવે છે, માટે ‘શેરીના નાકે’ નહિ પણ ‘ગલીના છેડે’ કહે છે. નાયકે સાદ તો કરવાનો છે, પણ ‘અમસ્તો’, કારણ કે નાયિકા પ્રતિસાદ આપવાની નથી.આમ છતાં નાયિકાની ઇચ્છા ખરી કે નાયક રાહ જુએ. રાહ જોયા પછી આગળ ‘વધવાનું’ નથી પણ ‘વળવાનું’ છે, કારણ કે ત્યાંથી બન્નેની જિંદગીમાં વળાંક આવે છે.
નાયિકા માટે નાયકનું નામ દેરા જેટલું પવિત્ર છે.’ગેરુઓ’ એટલે મટિયાળો કે ભગવો રંગ, જે વૈરાગ્યસૂચક છે.’એરું આભડવો’ એટલે સાપ ડસવો. નાયિકા શૃંગારમાંથી વૈરાગ્યમાં સરી પડી, કારણ કે મિલનની વેળાને એરું આભડી ગયો.પ્રિય પાત્રે પોતાની ભૂલનું ઝેર ઉતારવું પડશે, પસ્તાવાની જ્યોત જગાવીને પોતે ઓગળવું પડશે. નાયિકાનું તો કાંઈ નક્કી નઇ, કારણ કે ભૂલ એણે નહોતી કરી. નાયિકા નથી ઇચ્છતી કે પ્રિય પાત્ર એકાએક ખાક થઈ જાય, માટે કહે છે, ‘ધીમી આંચે ખુદ ઓગળજો’- જેથી લાંબા સમય સુધી વિરહાગ્નિ વેઠવો પડે.
પ્રણાલિકા છે કે સૂરજની સાખે સાચું જ બોલાય. આ તો ‘આથમતો સૂરજ’ છે, ‘ઝાંખું-પાંખું’ અજવાળું છે- યુવાની ઢળવામાં છે,ઓરતા આથમવામાં છે.શું ન થઈ શક્યું એ સાંભરીને નાયિકા નિશ્વાસ નાખે છે. નાયિકા કહેતી જાય છે- મને વળગવાનો સમય વીતી ગયો, હવે મારા નામને વળગીને ઝળહળજો! બશીર બદ્રનો શેર સાંભરે છે:
ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો
ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાયે
નાયિકા કહે છે, જીવનનું સરવૈયું કાઢતાં જણાશે કે રીસામણાં વધુ હતાં અને મનામણાં ઓછાં, દ્રોહ વધુ હતો અને વફાદારી ઓછી. નાયક-નાયિકાનો સંગાથ આંગળી અને નખ જેવો છે- ભેગાં તોય નોખાં. સંબંધ એવો કે પાસે આવવા ન દે, અને દૂર જવા ન દે.નાયિકા કહી દે છે- આવા સથવારા તમને જ મુબારક!
નાયિકા નથી નકારતી કે નથી સ્વીકારતી. ‘મારું તો કાંઈ નક્કી નઇ’ કહીને નાયકને (અને ભાવકને) બે રમણીય શક્યતાઓ વચ્ચે ઝૂલતો રાખે છે.
કવયિત્રીએ આ ગીતનો આકાર કુશળતાથી ઘડ્યો છે.દરેક અંતરામાં અંત્યાનુપ્રાસવાળી ત્રણ પંક્તિ આવે છે, જે અંજની ગીતના છંદમાં છે. ચોથી પંક્તિનું ત્રણ ટુકડામાં વિભાજન થયું છે, જેમાં પહેલા-બીજા ટુકડાના અંત્યાનુપ્રાસ મળે છે.(જેમ કે નામ લઈને/હામ લઈને.) દરેક અંતરાના અંત્યાનુપ્રાસ પછી ‘મારું તો કાંઈ નક્કી નઇ’ પદનું પુનરાવર્તન થાય છે, જે રચનારીતિ ગઝલની રદીફને મળતી આવે છે.
(આસ્વાદ : શ્રી ઉદયન ઠક્કર)
Permalink
August 23, 2019 at 1:31 AM by વિવેક · Filed under ગીત, નરસિંહ મહેતા
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયા કો નથી કૃષ્ણ તોલે!
. નિરખને ગગનમાંo
શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમ સંજીવન મૂળી!
. નિરખને ગગનમાંo
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં,
હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે,
સોનાનાં પારણાં માંહી ઝૂલે!
. નિરખને ગગનમાંo
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ, જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો!
. નિરખને ગગનમાંo
અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,
અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે!
. નિરખને ગગનમાંo
– નરસિંહ મહેતા
જ્ઞાન અને ભક્તિ -બંનેનું સંમિશ્રણ. ઈશ્વરને શોધવો હોય તો નજર આપોઆપ ઉર્ધ્વગામી થઈ જાય. સાચા દિલથી શોધીએ તો सः अहम નો નાદ સંભળાવા માંડે. નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું ઉત્તમ ભક્તિકાવ્ય છે.
Permalink
August 22, 2019 at 1:34 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે,
ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે.
સરી ગઈ રાત સાથે ચાંદની પણ આંગળીમાંથી,
ન સચવાયાં હથેળીમાં કિરણ, એની ઉદાસી છે.
લીલાછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે,
પગરખાં શોધવા નીકળ્યાં ચરણ, એની ઉદાસી છે.
સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં,
ચીરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે.
હું જાણું છું કથા પણ તોય પાછળ દોડવું પડશે,
ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે.
– મિલિન્દ ગઢવી
લયસ્તરોના પ્રાંગણમાં મિલિન્દ ગઢવીના પ્રથમ ગઝલસંગ્રહ ‘રાઈજાઈ’નું સહર્ષ સ્વાગત છે.
ઉદાસીનો ઘેરો રંગ કવિતાને હંમેશ વધુ માફક આવ્યો છે. અહીં તો આખી ગઝલ જ ઉદાસીની છે, પણ ભાવકને એ ઉદાસ કરી દેતી નથી એ એની ખાસિયત છે. કવિએ ઉદાસીના નાનાવિધ પહલુઓ બખૂબી રજૂ કર્યા છે. મત્લા વાંચતાવેંત સૌમ્ય જોશીનો મત્લા ‘શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે; તું લખે છે બ્રેઈલમાં ને હાથ મારો અંધ છે‘ યાદ આવ્યા વિના નહીં રહે. પણ મિલિન્દના મત્લાની ‘ફ્લેવર’ ખાસ્સી અલગ છે. ઉપરવાળાએ જન્મની સાથે જ દરેકનું મરણ લખી નાંખ્યું છે એ માન્યતાની સાથે જિંદગી કેટલી પળની છે એ કોઈ જાણતું નથીની વાસ્તવિક્તા કવિએ અહીં સાંકળી લીધી છે. આ ઉદાસી આ અજ્ઞાનની ઉદાસી છે.
પૈસો હાથમાં ન ટકે એને આપણે ‘આંગળાં જ કાણાં છે’ એમ કહેતાં હોઈએ છીએ. જન સામાન્યને તો ધન કે તક હાથમાંથી સરકી જવાની ઉદાસી હોય છે, પણ કવિની ઉદાસી અલગ છે. કવિને તો રાત, ચાંદ અને ચાંદનીમાં રસ છે. ચાંદનીનું ઐશ્વર્ય જ એનું ધન છે. રાતના કાળા અંધારાની વચ્ચેથી કવિ ચાંદનીના અજવાસને પકડે છે, જે રીતે વેદનાના અંધારા વચ્ચે શબ્દોના અજવાળાંને ઝાલે એમ જ. સમય સરતાં રાત આંગળાંમાંથી સરી ગઈ પણ ચાંદની સુદ્ધાં ટકી ન શકી એનો એને અફસોસ છે.
Permalink
August 21, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
જીવનના સૌ અભાવોએ વગાડ્યો ઢોલ એવો ધમધમાવીને,
ઉદાસી નાચવા લાગી તરત પોતાનાં ઝાંઝર ઝણઝણાવીને.
હવે જો આંખમાંથી લોહીના ટશિયા ન ફૂટે તો બીજું શું થાય?
ઘણાં વર્ષોથી એક તસવીર એ જોયા કરે છે કચકચાવીને.
પ્રવાસે નીકળો, ને માર્ગમાં આવે અચાનક ફૂલનાં ખેતર,
ઘણા જીવનમાં આવે એ જ રીતે, ને જતા રહે મઘમઘાવીને.
અમારા ગામના પુજારી એવું શહેરમાં લેવા શું આવ્યા ‘તા?
મને જોયો બજારે કે તરત ભાગ્યા એ ત્યાંથી રમરમાવીને.
અગર જો છોડવા જઉ તો હૃદયની પોટલી તૂટવાનો ખતરો છે,
મેં મારી દીધી છે સંબંધની એક ગાંઠ એવી કસકસાવીને.
જુએ છે સાવ ઝીણી આંખથી એ મેં ધરેલી ચાની પ્યાલીને,
છે કારણ એ જ કે હું પી ગયો છું ઝેર એનું ગટગટાવીને.
– અનિલ ચાવડા
Permalink
Page 28 of 118« First«...272829...»Last »