રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભાનુપ્રસાદ પુરાણી

ભાનુપ્રસાદ પુરાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નિરાંતે – ભાનુપ્રસાદ પુરાણી ‘પંકજ’

મેં તો ઢાળ્યા’તા ચોક માંહી ઢોલિયા
કે વાત એની કરશું નિરાંતે
મારી છાતીએ ટહુક્યા’તા મોરલા
કે વાત એની કરશું નિરાંતે
મેં તો ઢાળ્યા’તા પાંપણના પરદા
કે વાત એની કરશું નિરાંતે
મેં તો ખોલ્યાં’તાં અંતરનાં બારણાં
કે વાત એની કરશું નિરાંતે
મેહ વરસ્યો, તો મુશળધારે
કે વાત એની કરશું નિરાંતે
મોર ગ્હેક્યા’તા રાત આખી
કે વાત એની ક૨શું નિરાંતે
મારી વાડીમાં મોગરા મ્હેકયા
કે વાત એની ક૨શું નિરાંતે
પછી હેલી આનંદની વરસી
કે વાત એની કરશું નિરાંતે
તોયે રહી ગઈ થોડી તરસી
કે વાત એની ક૨શું નિરાંતે

– ભાનુપ્રસાદ પુરાણી ‘પંકજ’

નથી કહેવું કહી-કહીને બધું જ કહી દે એ પણ કવિતાની અનેક ખૂબીઓમાંની એક છે. જુઓ આ રચના. ‘કે વાત એની કરશું નિરાંતે’ કહીને કવિ બધું જ કહી દે છે. સામી વ્યક્તિ કાન દઈને બેઠી છે એટલે કથકને ખબર છે જ કે વાત કરવા માટેની સાચી નિરાંતવી વેળા આ જ છે, પણ દરેક કડી સાથે આ ધ્રુવકડીના અંકોડા ભેરવીને કવિ વાતમાં સતત મોણ નાખતા રહે છે. ચોકમાં ઢોલિયો ઢાળીને પ્રિયજન સાથે સાયુજ્ય સાધ્યું હોવાની વાત પોતાની સખીને કરે છે. પરિતૃપ્તિના અંતે પણ થોડી તરસ તો બાકી રહી જ જાય એ માનવસહજ માનસનું આકલન રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે.

Comments (6)

તમે નથી તો…! – ભાનુપ્રસાદ પુરાણી

તમે નથી તો, નથી જિંદગી જીવવા જેવી!
તમે નથી તો, દિલની વાતો કોને કહેવી?
તમે નથી તો, આંબાડાળે કોયલ ક્યાંથી ટહુકે?
તમે નથી તો, વનવગડામાં મયૂર ક્યાંથી ગહેંકે?

તમે નથી તો છોડ હિજરાતા કરે છે બાગના,
તમે નથી તો ફૂલ બધાં ઝૂર્યાં કરે છે ત્યારનાં
‘તમે ખરા છો! સાવ ભૂલકણા’ કોણ બોલશે?
‘જો જો પાછા મોડા પડતા!’ કોણ ટોકશે?

તમે તમારી આંખે સૂરજ ઢાળી દઈને-
કો’ક અજાણી આંખોને અજવાળાં દીધાં!
તમે અચાનક ‘આવું’ કહીને અનંત વાટે ચાલ્યાં,
ભૂલી ગયાં શું કોલ, આપણે બંધ બારણે લીધાં?

તમે નથી તો’આવું’ એવો કોણ પાડશે ટહુકો?
તમે નથી તોય અમ અંતરમાં ધૂપસળી શાં મહેંકો.

– ભાનુપ્રસાદ પુરાણી

એકાદા અપવાદને બાદ કરતાં ચુસ્ત પ્રાસ સાથેનું લયબદ્ધ સૉનેટ. જીવનસંગિની જીવનપથમાં નાયકને એકલો છોડીને, ચક્ષુદાન કરીને કોઈક અજાણી આંખોને અજવાળાં દઈને ચાલી નીકળ્યાં બાદની નાયકની મનોદશા અહીં સુપેરે ઉજાગર થઈ છે. ‘તમે નથી તો’ની પુનરોક્તિ મૃતકની ગેરહાજરીની તીવ્રતાનો અને નાયકના જીવનમાં વ્યાપ્ત ખાલીપાના આયામનો પણ ગુણાકાર કરે છે.

Comments (5)