સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?
– ગૌરાંગ ઠાકર

અહો ગાંધી ! – સુન્દરમ્

(શિખરિણી)
અહો ગાંધી ! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને !
ગયા- ના રોકાયા વચન ‘જઉં છું’ એય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા !

તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિરચવા શાંતિસદન:
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.

ઢળ્યા એ સંગ્રામે ! પ્રભુ થકી જ આ ત્રાણ ઊતર્યું ?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની ?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ ?

હજી રોતી પૃથ્વી : પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો ! તેં રુદનને
વધાર્યાં. ક્યારે યે રુદન સ્મિતમાં ના પલટશે ?
કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે ?

(અનુષ્ટુપ)
પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય આનંદનો ઘટ
અક્ષુણ્ણ ધરતીતીરે પ્રગટાવ, મહા નટ !

– સુન્દરમ્
(૧૫-૦૨-૧૯૪૮)

આ અવનિ પર ગાંધીજીએ પ્રથમ શ્વાસ લીધો એને આજે ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં. દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીના અવસાનના પંદર દિવસ પછી લખાયેલું આ કાવ્ય આપ સહુ માટે રજૂ કરીએ છીએ..

કળી ન શકાય એવી સફર સાધીને ગાંધી તો ચાલતા થયા પણ આ શાંતિપ્રિય વ્યક્તિની ગેરહાજરીના કારણે જે આંધી સર્જાય, એ એમની શાંતિપ્રિયતાથી શું વિપરિત નહોતી? શું એ ગાંધીને છાજે ખરું? જાઉં છું એવું કહેવાય એ રોકાયા નહીં, ને ઘડીભર તો પૃથ્વીનું હૈયું પણ સ્થિર થઈ ગયું. અજાતશત્રુ ગાંધીજીની શત્રુતા દુનિયાભરની શત્રુતાની સામે હતી. દુનિયામાંથી વેરભાવ મિટાવી દુનિયાને પ્રણયની વેદી બનાવવી એ એમની એકમાત્ર ઇચ્છા હતી. અને આ સંગ્રામમાં તેઓ માત્ર પ્રભુનામનું કવચ પહેરીને કૂદી પડ્યા હતા. ગાંધી-સાધી અને આંધીનો આંતર્પ્રાસ રચનાને બળકટતા આપે છે.

ત્રણ ગોળી સનન કરતી વીંધી ગઈ, એ બતાવવા કવિએ વાપરેલ ત્રણ અક્ષરનો સ-ન-ન ત્રણ ગોળીઓ જેવો ભાસે છે. આ કવિકર્મની કમાલ છે. ‘અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ’ –અહીં પણ જે નાદસૌંદર્ય જન્મ્યું છે એ કાવ્યની કરુણાને વધુ ઘેરી બનાવે છે. પૃથ્વી પરનાં સૌ રુદન દૂર કરી શકે એ પહેલાં જ ગાંધી વિદાય થયા એટલે રુદન ઓર વધી ગયાં. કાવ્યાંતે કવિ આ મહા નટને અરજી કરે છે કે એના સત્ય અને આનંદનો ઘડુલો ધરતીના કાંઠે પ્રગટાવે… એની અનુપસ્થિતિમાં એણે કરેલા કાર્યો અને એણે ચીંધેલા માર્ગે ચાલીને આપણે પરમ શાંતિ અને ચરમ આનંદની પ્રાપ્તિ કરીએ…

4 Comments »

  1. હરીશ શાહ said,

    October 2, 2019 @ 7:05 AM

    ખુબ ખુબ આભાર વિવેક ભાઈ

  2. કૌશિક પટેલ said,

    October 2, 2019 @ 7:07 AM

    Khub j umda… Bapu ne dil thi pranam….

  3. Dilip Chavda said,

    October 2, 2019 @ 7:15 AM

    Very nice creation by Sundaram જી
    Poetry is spontaneous overflow of powerful feelings as wordworth says

    It’s a very fine example according to me

    હજી રોતી પૃથ્વી : પ્રગટ ધરતીનાં રુદન શા
    Wah heart touching line

    Just osm 🌹 🌹 🌹 🌹 🌹

  4. કિશોર બારોટ said,

    October 2, 2019 @ 7:21 AM

    સુંદર કાવ્ય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment