દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

મુસાફરી – રમણીક અગ્રાવત

સ્વભાવનાં વહેણમાં
સુકાન, હલેસાં કે લંગરવિહોણી નાવ લઈ
ઝંપલાવ્યું છે.
પવન કહે એ પથ
મોજાંની મરજી એ દિશા
નીકળી પડ્યા લઈ પાણીનો રથ.
દોરડાનો એક પુરાણો ટુકડો
જરઠ વાંસનો સાથ.
…આ ગઈ ગઈ- પડે સામટી ફાળ
ત્યાં તો, ત્યાં તો સાંકડમૂકડ ક્ષણ વચાળ
મળે આછેરી ભાળ!
સરસર સરસર કપાય સમય
હવા બજાવે મીંઢાં મનને :
ક્યાં, ક્યે છેડે જઈશું,
કોણ હશે રાહ જોતું? ક્યાં ક્યાં-
કઈ ભૂમિ પર હશે ઉતરાણ?
હમણાં કંઈ કશી ના જાણ…
‘સમાલ, સમાલ બેલી’
પવન પાતળો રવ ઊઠે
ને રહી જાય!

– રમણીક અગ્રાવત

વાત તો મુસાફરીની છે પણ આ મુસાફરી દુનિયામાં, દુનિયાએ પ્રશસ્ત કરેલા માર્ગો કે મુકામોની નથી. અહીં વાત છે સહજ થવાની. પોતે જે છે, એને યથાતથ સ્વીકારવાની અને સ્વ-સ્વીકૃતિમાં રહેલા જોખમો ખેડવાની તૈયારીની. સુકાન, હલેસાં અને લંગર વગરની નૌકા લઈને સ્વભાવના વહેણમાં ઝંપલાવવાનું છે. સ્વભાવ જેમ વહે એમ વહેવાનું છે. એકવાર સ્વ-ભાવમાં કૂદકો દીધો પછી પવન અને પાણી જેમ દોરે ને જ્યાં દોરે તેમ ને ત્યાં દોરાવાનું. ક્યાં જવાનું છે, ક્યાં પહોંચીશું, કોઈ રાહ જોતું હશે કે કેમ આવા કોઈપણ પ્રશ્નોની તમા રાખ્યા વિના આપણે જેવા છીએ તેવા જ રહીને દુનિયામાંથી પસાર થવાનું છે. પવનથીય પાતળો આત્માનો અવાજ વચ્ચે વચ્ચે સંભાળવાનું કહેતો રહે એ સાંભળીને બસ વહ્યે રાખવાનું છે… આ છે ખરી મુસાફરી.

આમ તો અછાંદસ રચના છે પણ કવિએ પંક્તિએ-પંક્તિએ વહેણની જેમ બદલાયે રાખતો લય અને પ્રાસ ઝાલી રાખ્યા હોવાથી આ મુસાફરીનું સંગીત અનુભવી કાનોમાં રણક્યા વિના નથી રહેતું.

1 Comment »

  1. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    October 18, 2019 @ 9:58 PM

    સરસ્,સરસ,સરસ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment