કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
વિવેક મનહર ટેલર

સુન્દ-ઉપસુન્દ – ઉદયન ઠક્કર

૧.
આજની છે ઘડી રળિયામણી, કે વગડામાં
કીર,કોયલ,કપિ,મૃગ,મોર બધાં અધ્ધરશ્વાસ!
ગોઠડી એક પછી એક નવી માંડે વ્યાસ

૨.
“સુન્દ-ઉપસુન્દ અસુર ભાઈ હતા,બન્નેમાં
એવો તો સંપ હતો,હેત કરી નવરાવે,
એકબીજાને વળી તાણ કરી ખવરાવે

જેઠનો માસ હતો,લૂ કહે કે મારું કામ!
ટેકરે આવી ચડ્યા, વિંધ્ય અચલ જેનું નામ,
વાયુનું વાળુ ને પાણીનું શિરામણ કરતા
શિખરે ઊભા રહી નામ રટણ પણ કરતા

ઇન્દ્રને ફાળ પડી ફાળ ભરીને આવ્યા,
– સ્વર્ગ છે ગપ,અને વૈકુંઠ શું છે? મોટું ગપ!
ખાઓ,પીઓ ને કરો લ્હેર,મૂકો તપની લપ!
પાંચ-દસ સુંદરી આપી ને સુરા યે રસબસ
એકના બે ન થયા કે ન થયા ટસથી મસ…

બ્રહ્મા પ્રકટ્યા તે પળે વાયુની ડૂંટીમાંથી!
– માગી લો,માગી લો,જે જોઈએ તે માગી લો!
સુન્દ-ઉપસુન્દે તો માગ્યું કે અમર થઈ જઈએ!
– ના હોં, એ તો ન મળે,બીજું કશું પણ માગો!

હાથમાં હાથ પરોવીને કહ્યું બન્નેએ:
– એકબીજાથી જ મરીએ,ન કોઈ ત્રીજાથી!
– ‘ઠીક,’ બ્રહ્માએ કહ્યું સમજી વિચારીને, ‘ભલે!’ ”

૩.
સરવા કાનેથી કથા સાંભળીને શુક પૂછે:
– ને પછી શું?ને પછી શું?ને પછી શું?ને પછી…

૪.
“ધોડતા,ધરણીને ધમરોળતા ભાઈ,ભાઈ!
પળમાં સિંહ થતા વ્યાઘ્ર,તપસ્વીઓને
દાઢમાં રાખતા,દેવોને દબાવી દેતા
રાજવીઓને કચડ ખાતા ભચડ યક્ષોને”

૫.
પાંખ ફેલાવીને ચકરાઈ રહ્યાં છે ગીધો

૬.
“હાવરાબાવરા દેવો ગયા બ્રહ્મા પાસે
વિશ્વકર્માએ તો તિલ તિલ લઈને રત્નોથી
રૂપના પાતળા પર્યાય સમી એક કન્યા
રચી નવરાશથી, ને એને કહ્યું: હે ભદ્રા,
સુન્દ-
ઉપસુન્દ સમીપે જઈને ફૂટ પડાવ!

કહ્યું કન્યાએ, ‘પિતાજી,હું જરા પરકમ્મા
દેવતાઓની કરી લઉં…’ ને એ ફરવા માંડી
જોતાંજોતાં વળી એને વળી જોતાંજોતાં
શિવ ચતુર્મુખ થયા છે,એવું પુરાણો કહે છે”

૭.
આંખને કાણી કરીને કોઈ બગલો બોલ્યો:
– વાત તો સાચી કે ભગવાન બધું જુએ છે

૮.
“મ્હેકની જેમ પવનમાં એ મરકતી આવી
અડખે પડખેથી સરકતી ને થરકતી આવી
ઝાલ્યો કર એકે,ઝુંટાઝૂંટ થઈ,બીજાએ

ઝપઝપાઝપ ત્યાં થયા ખાંડા-ખડગના ઝટકા
ભલ્લ,ભાલોડાં,ભમરભાલા,ગદાના ભટકા
જોતજોતાંમાં અસુર બેલડી કટકે કટકા”

૯.
પશુ-પંખીથી અલગ બેસી રહેલો માણસ
ધાર કાઢી રહ્યો છે ધીરે ધીરે છૂરાની:
– કોણ આ સુન્દ હતો?ધ્યાન નહોતું મારું…

પશુ ને પંખી સહુ તાકી રહે માણસને

– અને ઉપસુન્દ વળી કોણ હતો,એ ક્હેશો?

પશુ ને પંખી સહુ તાકી રહે માણસને

– ઉદયન ઠક્કર
————
સંદર્ભ: મહાભારત,આદિપર્વ

મહાભારતના આદિપર્વમાં સુન્દ અને ઉપસુન્દ બે ભાઈઓની ઉપકથા આવે છે. બંને ભાઈઓ… સૉરી, વાર્તા તો કવિએ કવિતામાં આખી કહી જ દીધી છે, એટલે એ હું નહીં કહું. માત્ર સૃષ્ટિની તમામ સુંદર વસ્તુઓ પાસેથી તલ-તલભાર સૌંદર્ય લઈને બ્રહ્માએ વિશ્વકર્મા કને જે સુંદરીનું સર્જન કરાવ્યું એનું નામ તિલોત્તમા હતું એટલી હકીકત હું ઉમેરી દઉં છું. ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા ખેડાતા ગઝલનો છંદ લઈને કવિએ મીની-ખંડકાવ્ય રચ્યું છે, અને એને નવ ખંડોમાં વહેંચી દીધું છે. માત્ર એક પંક્તિથી લઈને ઓગણીસ પંક્તિઓ સુધીની અનિયત પંક્તિસંખ્યા આ ખંડોમાં જોવા મળે છે.

મહાભારતની આ ઉપકથા શું આ બે ભાઈઓના મૃત્યુ સાથે સાચે જ પૂરી થઈ ગઈ હતી? કે સુન્દ અને ઉપસુન્દ કદી મર્યા જ નથી? આપણે બસ, આ જ સમજવાનું છે,…

Leave a Comment