વૃક્ષ તો અફળાય સ્વાભાવિક રીતે,
આગ પેલા વાયરા પેટાવતા.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લાઈબ્રેરી – અજય સરવૈયા

લાઈબ્રેરીમાં
તમે જો ખોવાઈ જાઓ
તો જ્યાં હો ત્યાં જ ઊભા રહેવું,
સહેજ આસપાસના રેક તપાસવા.
(આ ઘટના જનરલી રેકની આસપાસ જ બનતી હોય છે.)
આમ તો કોઈને પૂછવાની કે
બોલાવવાની જરૂર નથી હોતી.
સાંજે લાઇટો બંધ કરતી વખતે
કોઈ તમારા નામની બૂમ નહીં પાડે.
દરવાજા બંધ કરતી વખતે પણ નહીં.
લાઈબ્રેરીમાં ખોવાવું ને
પુસ્તકમાં ખોવાવું એમાં તાત્ત્વિક ભેદ છે
એવું કેટલાક માને છે,
તમે પુસ્તકમાં ખોવાયા હો તો
જેમના તેમ પાછા નથી ફરતા.
ખોવાવું એ એટલી વ્યગ્ર કરનારી બાબત નથી
જેટલી કે જેમના તેમ પાછા નહીં ફરી શકવું.
બીજી કઈ રીતે કહું?
એટલે કે પાછા ફરનારા ખોવાયેલા જ હોય છે.

– અજય સરવૈયા

કવિતા જે તે સમયના સમાજનો અરીસો હોય છે. આ કવિતાની ભાષા જુઓ. એના શીર્ષક માટે કવિએ ભૂંસાઈ ગયેલ પુસ્તકાલય કે વાંચનાલય શબ્દ વાપરવાના બદલે લાઈબ્રેરી શબ્દ પ્રયોજવું જ યોગ્ય ગણ્યું છે. (એ વાત અલગ છે કે હવે તો લાઈબ્રેરી પોતે જ ભૂંસાવાના આરે છે!) એ જ રીતે લાઇટનું બહુવચન લાઇટ્સના બદલે લાઇટો પણ સાંપ્રત ગુજરાતીનો આયનો છે.

લાઈબ્રેરી હોય કે પુસ્તક, એમાં પ્રવેશનાર પ્રવેશતી વખતે જેવા હોય છે એવાને એવા કદી પરત ફરી શકતા નથી એ હકીકત કવિએ બ-ખૂબી રજૂ કરી છે…

3 Comments »

  1. jahnvi antani said,

    November 14, 2019 @ 10:23 AM

    સુપર્બ

  2. vimala Gohil said,

    November 15, 2019 @ 12:05 PM

    ” પાછા ફરનારા ખોવાયેલા જ હોય છે. ” વાહ! વાહ્!

  3. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    November 16, 2019 @ 1:02 AM

    સરસ,સરસ….
    આભિનદન
    આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment