નજરો નમી નથી ને નયનમાં નમી નથી,
કોઈને એવી શુષ્ક યુવાની ગમી નથી.
– મંથન ડીસાકર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કવિ

કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




થતી નિત ગોઠડી – શશિશિવમ્

(હરિણી છંદ)

શિશુસ્વપનની સૂકી કાઠી તણી ખડકી ચિતા,
સકળ મુજ શક્તિની કાયા અચેત સુવાડીને;
સળગતું અડાયું હૈયાનું લઈ, સુપ્રદક્ષિણા
પગ લથડતે કીધી, હાથે પ્રકંપિત અગ્નિથી
પરશ કીધું છેલ્લા સંસ્કારે; જરી, મુજ અંગુલિ
લઘુ અડકી ચિન્ગારી, દાઝયો, અને સહુ અંગમાં
પ્રસરી ગઈ અગ્નિજ્વાલાઓ, રહી વધતી
જતી વધત વયની સાથે, ભાર્યો ભૂંજે ઉર ખાલીપો.
જીવતરભર્યા ખાલીપાને ખભે લઈ આથડ્યો,
દહન મહીં શેકાયું આયુ વિછિન્ન થયું, છતાં
અકળ વહતા ચૈતન્યે જે અખૂટ ભર્યું તમે
પલપલ જીવ્યો, શ્વાસે શ્વાસે તમે ધબકી રહ્યા.
નવ અવ કશો ખાલીપો ને ઉરે સભરે ભર્યા;
સતત નીરખું જોડાજોડે, થતી નિત ગોઠડી.

– શશિશિવમ્

સ્મરણથી મોટી કોઈ સંજીવની નથી. સ્મૃતિલોક એવો ઓરડો છે, જેમાં વિગત તમામ બાબતો જીવનભર યથાવત્ રહી શકે છે. જીવનપથ પર અડધેથી સાથ છોડી ગયેલ જીવનસંગિનીને વળાવવા કવિ સ્મશાને આવ્યા છે, પણ પત્નીને સૂવડાવવા માટે જે ચિતા તૈયાર કરાઈ છે એ પૂરી ન થઈ શકેલ સંતાનઝંખનાના સૂકાઈ ગયેલ કાષ્ઠ ખડકીને બનાવાઈ છે. ચિતા ઉપર જે મૃતદેહ મૂકાયો છે, એમાં કવિને પત્ની નહીં, પોતાની જ તમામ શક્તિની અચેત થઈ ગયેલ કાયા દૃષ્ટિગોચર થાય છે. લથડતા પગે પ્રદક્ષિણા કરી, હૈયાનું અડાયું લઈ કવિ ધ્રુજતા અગ્નિથી પત્નીને આખરી સ્પર્શ કરે છે ત્યારે નાનકડી ચિનગારી એમની આંગળીને અડી જાય છે અને અગનજ્વાળાઓ કવિના અંગાંગમાં પ્રસરી વળે છે. જીવનભર સંતાનસુખના નામે ખાલીપો લઈને આથડ્યા બાદ બાકીનું આયખું ચિતાગ્નિમાં શેકાઈને વિચ્છિન્ન થઈ ગયું. પણ તમામ ધધકતી તકલીફોની વચ્ચે પણ પત્નીએ જે અખૂટ ચૈતન્યથી જીવતરને ભરી દીધું હતું, એના પ્રતાપે પળેપળ અને શ્વાસે શ્વાસે એનું સાંનિધ્ય હજીય અનુભવાય છે. ખાલી થઈ ગયેલ જીવનમાં ખાલીપો અનુભવાતો નથી. નિત્ય ગોઠડી માંડતી પત્ની હજીય સતત જોડાજોડ જ હોવાનું પ્રતીત થાય છે.

Comments (7)

કેડીનું ગીત – મણિલાલ હ. પટેલ

સૈ હું તો વગડામાં વહી જાતી કેડી… !
રૂપ મારું વાયરાની લ્હેરખી :
હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી
સૈ હું તો આઘા મલકની કેડી… !

મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી
સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી
ડુંગરની કેડે વિંટળાઉં અને
ઘાટીલી ટેકરીઓ લે મને તેડી
સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી… !

કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં
સુંવાળા રસ્તાઓ શમણાંમાં આવતા
જાય મારી બલ્લા! જયાં પથ્થરમાં
કોરેલાં હોય બધાં માઢ અને મેડી
સૈ હું તો ભવભવની કેડી… !

– મણિલાલ હ. પટેલ

વગડાની કેડી એટલે રોડ લેસ ટ્રાવેલ્ડ. ખેતર-પાદર વચ્ચેની મુખ્ય કેડીથી એ અલગ તરી આવે. કાવ્યનાયિકા સ્વયંને વગડામાં વહી જતી કેડી કહી ઓળખાવે છે, ત્યારે એનું અલ્લડ અળગાપણું છતું થાય છે. આ કેડી કેવળ પાદરની કેડી નથી, એ આઘા મલકની પણ છે… મતલબ એ ગામના યુવાનોને હાથવગી નથી, અથવા તો આઘા મલકમાં કોઈને એ હૈયાદાન કરી ચૂકી છે. એ ધોરી મારગ મેલીને મસ્તીમાં ફંટાતી ચાલે છે. ગામેગામના યુવાનો એના પર નિછાવર થવા તત્પર છે, પણ એને પથ્થરમાં કોરેલ માઢ-મેડી જેવા ચીલાચાલુ યુવાનોમાં રસ નથી… એ તો ભવોભવ સાથ નિભાવે એવા સુંવાળા રસ્તાઓના શમણાં જુએ છે…

Comments (6)

(તમારી યાદ પણ) – ગિરીશ રઢુકિયા

રોજ કનડે છે તમારી યાદ પણ.
બારમાસી છે અહીં વરસાદ પણ.

લાખ વાતો આપણી તો થાય છે,
આપણી વચ્ચે નથી સંવાદ પણ.

આપ આવો- ના જ આવો સાંજ પર,
મેં કરી છે ક્યાં કશી ફરિયાદ પણ?

ચોતરફ છે આપનું હોવાપણું,
આપના ચાલ્યાં ગયાંની બાદ પણ.

મુક્ત પંખી જેમ હું જીવ્યા કરું,
આપની બાબત હજી અપવાદ પણ.

– ગિરીશ રઢુકિયા

ખરી કવિતા જ એ જે સાંપ્રત સમયના પડઘા ઝીલે… આપણે ભણતાં હતાં ત્યારે ચોમાસુ ચાર મહિનાનું ગણાતું અને વરસાદ પણ પાઠ્યપુસ્તકની શિસ્તનું પાલન કરતો. પણ હવે વારે-તહેવારે સમુદ્રમાં સર્જાતા દબાણોના પ્રતાપે વિદેશોની જેમ આપણે ત્યાં પણ વરસાદ ગમે ત્યારે આવતો થઈ ગયો છે. આ વરસે તો હજી એની બેટિંગ પૂરી થતી નથી. બારમાસી થઈ ગયા જણાતા વરસાદને કવિએ મત્લામાં આબાદ ઝીલી બતાવ્યો છે. વાત તો બારેમાસ રોજેરોજ વરસતા રહી તરબતર રાખતી પ્રિયજનની યાદોની છે, પણ રૂપક તરીકે કવિએ ઋતુરાજની પ્રવર્તમાન પરિસ્થિતિને ખપમાં લીધી છે… દસેક વર્ષ પહેલાં લયસ્તરો પર કવિની જ એક ગઝલ પ્રગટ કરી હતી… એમાં વરસાદ માપસર પડતો ન હોવાની ફરિયાદ હતી. આજના આ બારમાસી વરસાદ સાથે વરસાદને પણ સાથોસાથ સરખાવી જોજો.

વાત અને સંવાદ વચ્ચેનો તફાવત પણ કવિએ કેવી હળવાશથી સમજાવ્યો છે! વાત સમ-વાત ન થાય ત્યાં સુધી બધું નકામું. બે જણ વચ્ચે વાત નહીં, સમ-વાદ થાય ત્યારે સાથે હોવું સાર્થક થાય. ચોથો શેર પણ મત્લાની જેમ સ્મૃતિલોકનો જ મહિમા કરે છે.

Comments (9)

અલ્ઝાઈમરનું કાવ્ય – કિરણસિંહ ચૌહાણ

ધીમેધીમે
અજાણ્યાં લોકો વધી રહ્યાં છે.

– કિરણસિંહ ચૌહાણ

લઘુકાવ્યની એક આખી અલગ જ દુનિયા છે. ઇમેજિસ્ટ પોએટ એઝરા પાઉન્ડે દોઢ જ પંક્તિમાં અજરામર કાવ્ય આપ્યું -‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો!’ ગુજરાતી કવિઓય કંઈ પાછા પડે એમ નથી. સુન્દરમે દોઢ જ પંક્તિમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ આપ્યો છે –તને મેં ઝંખી છે… તો રાજેન્દ્ર શાહે પણ બે પંક્તિમાં સંકુચિતતાના ત્યાગનો મહિમા વર્ણવ્યો છે- ઘરને ત્યજી જનારને… લઘુકાવ્ય એટલે જાણે કે હાઇકુ. પીંછીના ઓછામાં ઓછા લસરકે સર્જક આખેઆખું ચિત્ર કે મનોભાવ તાદૃશ કરી બતાવે. પ્રસ્તુત કાવ્ય પણ આવું જ મજાનું લઘુકાવ્ય છે. કોઈપણ પ્રકારની સરખામણી કર્યા વિના જ કહી શકાય કે દોઢ જ પંક્તિમાં કવિએ અલ્ઝાઇમરની બિમારીનું સુવાંગ ચિત્રાંકન સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. બાહોશ ફોટોગ્રાફર કોઈ મનહર દૃશ્યને આખેઆખું આબાદ ઝડપી લે એ જ કુશળતાથી દોઢ જ પંક્તિમાં કવિએ બિમારીને ઝીલી બતાવી છે…

Comments (16)

વનરાજી – પ્રતિષ્ઠા પંડ્યા

તારી યાદથી
જેકરંદાને ફૂલ ખીલે છે
ને જાંબુડી પર બેસે છે
ભૂખરાં ફળ.

તારા હસવાથી
થઈ પાણી વહે છે
શરીરની તમામ સરહદો
તારી કસ્તૂરીનજર
દોડતાં કરી મૂકે છે
મારી અંદર મૃગલાઓને
કોઈ અજાણી શોધમાં.
તારો અવાજ
ભરી દે છે શ્વાસમાં
ભીની માટી, સુક્કાં બીજ,
ને માદક સાલનાં ફૂલોની
ઓળઘોળ થઈ જતી સુવાસને
તું કોણ છે જે ઊઘડે છે આમ
મારામાં થઈને વનરાજી?

– પ્રતિષ્ઠા પંડ્યા

પરમેશ્વર, પ્રકૃતિ અને પ્રણય –વિશ્વની દરેક ભાષાની કવિતાઓના કેન્દ્રમાં રહ્યા છે. પ્રસ્તુત રચનામાં પ્રકૃતિને માધ્યમ બનાવીને સર્જકે પ્રણયની પરમોત્કૃષ્ટ પળ આલેખી છે. યાદ રહે, અહીં કેવળ પ્રિયતમની યાદ, હાસ્ય, નજર અને અવાજથી નાયિકાના તનમનમાં થતા જાદુની જ વાત છે. સ્પર્શ, આલિંગન કે ચુંબનને તો હજી કાવ્યપ્રવેશનું સુખ પણ મળ્યું નથી. સ્પર્શ પહેલાં જ શરીરની તમામ સરહદો પાણી પાણી થઈ જાય છે, કાંઠાઓ ઓગાળી વહી નીકળે છે… પ્રણયનો આ કેવો ઉચ્ચ તબક્કો હશે, જ્યાં એક પાત્ર બીજી પાત્રમાં સમસ્ત વનરાજી થઈને ઉઘડતી હશે!

(જેકરંદા અને સાલનાં વૃક્ષથી અજાણ મિત્રો માટે ગૂગલદેવતાની મદદથી મેળવેલ ફોટોગ્રાફ્સ હાજર છે.)

જેકરંદા

જેકરંદા

સાલ

Comments (6)

ગબડું અને પકડું — મનહર મોદી

ગબડું! ઓ ગબડું!
પકડું! ઓ પકડું!

તારું અસલ નામ તે શું?
હોજી અસલ નામ તે શું?
ગબડું! ઓ પકડું!

તને જાણીએ
અને માણીએ
આછું અમથું તો પણ લાગે ભરચક ભારે ભૂ         ગ.

ક્યાંથી આવ્યો?
કેવો ભાવ્યો?
ઝળહળ અંધારાની અટકળ પળ પળ કરતો છૂ!         ગ.

ઘડીક આછું
ઘડીક પાછું
વાદળ તડકે તડાક તૂટ્યું ઐસા બોલે ક્યું?         ગ.

ઉંદર છે ડુંગરનું સપનું
જંગલ મોટું વૃક્ષ વખતનું
પડઘાઓ પોતાને પૂછે અહીં આપણું શું?         ગ.

ચાર દિશા ચોસઠ બાજુ છે
સવા શેર આદૂ ખાધું છે
આંખ મહીં અધમણ ઊકળ્યું છે લીલું ચોમાસું.         ગ.

ધડાક ધડ ધડ
ફડાક ફંડ ફડ
કોણ ઉકેલે પડ પડ મારી ભીતસું ચાંદરણું.         ગ.

મારા મનમાં કલબલ ઊગ્યું
ને અધ્ધર આકાશે પૂગ્યું
એક ઝાપટે એક સપાટે વિસ્તરતો તે તું?         ગ.

અમે શોધીએ
અમે ખોદીએ
ગત સમયનું ઘણું ગયું પણ બાકી રહે છે ‘હું’         ગ.

– મનહર મોદી

કવિતાને વરસોવરસ ઘાણીના બળદની જેમ એક જ ઘરેડમાં ચાલ્યા કરતી જોઈ થાકી-પાકી ગયેલ કેટલાક સર્જકોએ આઝાદી પછી નવી કવિતાનો રાહ પકડ્યો હતો, એમાંના એક તે મનહર મોદી. શબ્દોના પરંપરાગત અર્થમાળખાને તોડીફોડીને કવિ ઘણીવાર ધ્વનિ અને સંવેદનની નવ્યલીલા રચી ચેતન અને અસ્તિત્ત્વના મૂળ સુધી પહોંચવા મથતા જણાય છે. પ્રસ્તુત રચના પણ રૂપકાત્મક અસ્પષ્ટતા અને ભાષાક્રીડાથી ભરપૂર એબ્સ્ટ્રેક્ટ ગીતરચના છે. ગબડું અને પકડું –બે ઘડી માથું ખણતાં કરી દે છે. ગબડું કદાચ પ્રતીક છે અરાજકતા, ગડમથલ અને પતનનું, અને પકડું કદાચિત રૂપક છે નિયંત્રણ અને નિશ્ચિતતાનું. આ બેની વચ્ચેના ટગ-ઑફ-વૉરમાં કથક પોતાના અસલ નામ અને ઓળખની શોધ કરતા જણાય છે. ટુ બી ઓર નોટ ટુ બી જેવી આ દ્વિધાને આછી અમથી જાણીએ-માણીએ તોય ભારે ભરચક લાગે છે. એના મૂળની શોધની યાત્રા નાની નાની ચોટદૂક પંક્તિઓ અને ધડાક ધડ ધડ જેવા રવાનુકારી શબ્દોની મદદથી આગળ વધે છે. ‘મારા મનમાં કલબલ ઊગ્યું /ને અધ્ધર આકાશે પૂગ્યું’ –અવચેતન માનસની કોસ્મિક વિસ્તરણ તરફની ગતિ નિર્દેશે છે. ગમે એટલી શોધખોળ કેમ ન કરીએ, ‘હું’ યાને અસ્તિત્ત્વનું મૂળ તો અવિનાશી જ છે…

Comments (8)

સાહેબ તેરા સાઈ! – દાન વાઘેલા

સાહેબ તેરા સાઈ!
માલા બિચ બના ધાગાઃ જ્યમ ફૂલ મેં સુગંધ સમાઈ!
.                                     ૦ સાહેબ તેરા સાઈ…!

જ્ઞાન-ધ્યાન મેં ખુદ અલગારી!
હૃદયસ્થિત હરપલ હિતકારી!
કાગજ કલમ બિન કર લેતા વો ઢાઈ અક્ષર કી કમાઈ!
.                                 ૦ સાહેબ તેરા સાઈ…!

પલ પ્રવાહ જબ ‘દાન’ કો ડારે;
નાભિસ્થંભ રહે મૂલાધારે!
જલ પર તલ કી નાવ ચલા કે કુછ ના લે ઊતરાઈ!
.                                ૦ સાહેબ તેરા સાઈ…!

– દાન વાઘેલા

ભક્તિમાર્ગના ગીતો પ્રારંભથી જ ગુજરાતી કવિતાનો મુખ્યસ્તંભ રહ્યો છે. વળી, હરિભક્તિની વાતો કરવા કાજ આપણા કવિઓએ ઘણીવાર ખડી બોલી, વ્રજ, તથા હિન્દીનેય ખપમાં લીધી છે. હેતુ તો એક જ છે, હૈયાની આરત ગાવાનો… પછી ભાષાના વાઘાંને શું કરવા? કવિ દાન વાઘેલાની આ રચના પણ આ ખજાનામાં ઉમેરો કરે છે. પ્રથમ બંધ સામાન્ય થયો છે, પણ મુખડું અને બીજો બંધ બાજી મારી જાય છે.

Comments (16)

કડવાં કારેલાં – સુન્દરમ્

કડવાં કારેલાંના ગુણ ન હોય કડવા હો,
કડવાં વચન ન હોય કડવાં હો રે.

છીણી છેદે ધાતુ કરવા ઘાટુડી,
કાતર કાપે ફરી સાંધવા હો રે,
સોની તાવે શુદ્ધ સુવરણ કરવા,
કુંભારી ગૂંદે માટી બાંધવા હો રે.           કડવાં૦

તપતા સૂરજ ખારાં જળ મીઠાં કરવા,
ચઢતા વંટોળ મેઘ ભરવા હો રે,
ધરતી ધૂણે હલકી કાયાને કરવા,
ધરમી કોપે પાપ હરવા હો રે.             કડવાં૦

દુનિયાના રોગદોગ દુઃખ મારે દિલ વસ્યાં,
માનવીના મેલ ઝાઝા નીરખ્યા હો રે.
કોયો ભગત કાઢે કડવાં વચન, ભાઈ!
કડવું સુણીને કોક હરખ્યા હો રે.       કડવાં૦

– સુન્દરમ્

આપણામાંથી મોટાભાગનાઓને શાળાના પાઠ્યપુસ્તકમાં આ રચના ભણવામાં આવી હશે. કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો‘ (૧૯૩૩)માંની આ રચના અલગ-અલગ ચીજોથી લઈને મનુષ્યના સ્વભાવ અને વર્તનના દાખલાઓની મદદથી દેખીતી ખરાબ વસ્તુઓ બધી ખરાબ હોય એ જરૂરી ન હોવાની વિભાવના સુપેરે સમજાવે છે. કારેલાંની જેમ જ કોઈને પણ કડવું કહી દેવાના બદલે એની કડવાશ પાછળના હેતુને ઓળખતા શીખી જવાય, તો સાચેસાચ જીવનમાંથી ઘણીબધી કડવાશ દૂર થઈ જાય.

Comments (4)

અભિશપ્ત – ચંદ્રકાન્ત ટોપીવાળા

(પૃથ્વી સૉનેટ)

ઊડ્યા જ કરવાનું આમ બસ પાંખને વીંઝતા
ઊડ્યા જ કરવાનું આ ચરણ યુગ્મ સંકોરીને
ઊડ્યા જ કરવાનું હાંફભર ડોક લંબાવીને
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ ઊડ્યા જ ને—

ઊડ્યા જ કરવાનું આ ગગન શૂન્યમાં, વાયુમાં
ઊડ્યા જ કરવાનું ખાલીખમ વાદળોમાં, ઊડ્યા
ઊડ્યા જ કરવાનું આ ધુમસમાં, નરર્યા ધૂમમાં
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ ઊડ્યા જ, ને—

ઊડ્યા જ કરવાનું ના ઊતરવાનું, થાક્યા છતાં
ઊડ્યા જ કરવાનું ભૂમિ પર ચક્કરો મારતાં
ઊડ્યા જ કરવાનું રે અડકવાનું ના ભૂમિને
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ, ઊડ્યા જ, ને

ઊડ્યા જ કરવાનું! ક્યાંક ઊતર્યો હું જો ભૂલમાં
ઊડ્યા જ કરવાનું બંધ, ગતિ બંધ, હું ધૂળમાં!

– ચંદ્રકાન્ત ટોપીવાળા

ભાવાભિવ્યક્તિ માટે જે રીતે ચિત્રકાર રંગોનો ઉપયોગ કરે, એ જ રીતે કવિ શબ્દોનો. કોઈ વાત વજનપૂર્વક કહેવી હોય તો કવિ પુનરુક્તિ કરે. ક્યારેક ત્રિરુક્તિ પણ કરે. પણ અહીં? અહીં તો સૉનેટની ચૌદે ચૌદ પંક્તિની શરૂઆત ઊડ્યા જ કરવાનું‘થી થાય છે… એ સિવાય પણ રચનામાં અન્ય સાત જગ્યાએ ‘ઊડ્યા’ ‘ઊડ્યા’નો ફફડાટ સંભળાય છે. સહેજ પણ અટક્યા વિના કે વિરામ લીધા વિના આમ જ ઊડતા જ રહેવાના શાપને કોઈ આથી વધુ તો કેટલો અધોરેખિત કરી શકે?! (બાય ધ વે, અભિશપ્ત એટલે જેને શાપ આપવામાં આવ્યો છે એ) ભૂલેચૂકેય જો ઊડવાનું બંધ કરીને જમીન પર પગ મૂક્યો કે જીવતર ધૂળમાં…. કવિતાની આ બાહ્યાભિવ્યક્તિના પડળ નીચે પણ કવિ કંઈક કહી રહ્યા છે…. સંભળાય છે?

Comments (5)

હે દીવા! તને પ્રણામ… – રમેશ પારેખ

હે દીવા! તને પ્રણામ…
અંધારામાં કરતો તું તો સૂર્ય-ચન્દ્રનું કામ

તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ!
પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ,
ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ.
હે દીવા! તને પ્રણામ…

જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત,
હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત!
તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ
હે દીવા! તને પ્રણામ…

– રમેશ પારેખ

લયસ્તરો તરફથી તમામ સર્જકમિત્રો તેમજ ભાવકમિત્રોને દીપોત્સવી પર્વ નિમિત્તે અઢળક મબલખ વધામણાં….

Comments (1)

તને ચ્હાતાં ચ્હાતાં – નિરંજન ભગત

તને ચ્હાતાં ચ્હાતાં તવ સ્વરૂપની માનસછવિ
ગયો સર્જી મારે હૃદય વસતો ગોપન કવિ!
તને એ તો હાવાં નવ નવ સ્વરૂપે નિરૂપતો,
વળી હું ના જાણું સહુ સૃજનમાં એમ છૂપતો;
તને કીધી એણે પ્રગટ નભમાં ને જલથલે,
વળી આ સૃષ્ટિનાં સહુ અચલનાંયે દલદલે;
અને એમાં, પૂર્વે તવ કંઈ હું પામ્યો પરિચય
થયો એનો રે વિસ્મરણ મહીં સંપૂર્ણ વિલય!

હવે હું એ તારા અસલ રૂપને ના લહી શકું,
તને હાવાં તારા અસલ સ્વરૂપે ના ચહી શકું;
તને ખોવી મારે મુજ પ્રથમના મુગ્ધ મનથી,
તને જોવી મારે હૃદયકવિના એ નયનથી!
કશી તારી લીલા, કવિ, ન કળતો હું તવ છલ!
સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ!

– નિરંજન ભગત
(૧૯૪૮)

લગભગ પચ્ચીસસો વર્ષ પૂર્વે હેરક્લાઇટસે કહેલી બે વાત યાદ આવે છે: એક, “The Only Constant in Life Is Change.” અને બે, “No man ever steps in the same river twice, for it’s not the same river and he’s not the same man. ” પરિવર્તન સંસારનો સાર્વત્રિક નિયમ છે. હૃદયમાં પ્રણયના અંકુર ફૂટે ત્યારે દુનિયા હોય એથી વધુ સુંદર લાગે. કહેવાય છે કે લૈલા સહેજ પણ રૂપાળી નહોતી,પણ મજનૂને મન એ સંસારની સૌથી સુંદર સ્ત્રી હતી. અહીં પણ કથકના હૃદયમાં ગોપિત રહેલ કવિ પ્રિયતમા છે એથી અલગ જ માનસછબી સર્જે છે. પણ એમ કરવા જતાં ખરો પરિચય વિસ્મૃતિની ગર્તામાં વિલીન થઈ ગયો. હવે એ અસલ રૂપને તો ચાહી શકાય એમ નથી… કવિમનની અકળ લીલાઓ અને છળ પણ કળી શકાય એમ નથી. પણ એ જ કવિ શતદલા પ્રેયસીને સુગંધ સ્વરૂપે ફરી નિહાળી શકે છે…

Comments (4)

રસ્તો ક્યાં છે? – ચંદ્રકાન્ત શેઠ

બ્હાર નીકળવું મારે,
.                રસ્તો ક્યાં છે?
પાંખ નથી રે, પીંછાં પીંછાં,
ડાળો વચ્ચે પિંજર દીઠાં,
એક વિહગને બ્હાર જવું છે,
.                નભમાં બારી ક્યાં છે ?

છીપની દીવાલ બંધ,
.                કણ રેતીનો,
.                સહરા જેવો.

સ્વાતિનો આ સમય
.                આખુંયે આભ ઊજડ્યા જેવો.

આંખોમાં તરફડતાં મીન,
જનારના પડછાયા વાગે, ભીતર ઊતરે ખીણ:
ઊભા રહો તો જાવ ચણાતા,
ચાલો તો વીખરાતા!
દરિયાનાં મોજાંય મગર થૈ મરજીવાને ખાતાં!

કાંઠો હોડી ગળી રહ્યો છે.
ભીંત ભીતરને ગળી રહી છે…

પથ્થર! મોઢું ખોલી બોલો, રસ્તો ક્યાં છે?
તમે અહીં જ્યાંથી આવ્યા તે રસ્તો ક્યાં છે?

– ચંદ્રકાન્ત શેઠ

અસ્તિત્ત્વને પામવા માટેનો તરફડાટ મનુષ્ય શરૂથી અનુભવતો રહ્યો છે. પિંજરું કાયાનું હોય કે માયાનું, આઝાદીની ઝંખના સૌને રહે છે. બહાર નીકળવાના રસ્તાને શોધવાની મથામણની આ છંદોબદ્ધ રચના કટાવ છંદની રવાનીમાં મોટેથી વાંચશો તો વધારે મજા આવશે.

Comments (2)

કાયમી જુદાઈ – અનિલ જોશી

કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

ચૈતરના આકરા તડકા પડ્યાં ને તૂટ્યા નદિયું ને આભના સંબંધ
આસોપાલવના સળવળતા છાંયડે ડૂબી ગૈ ઝાડની સુગંધ
સહરાની રેતીમાં વાયરાએ ચીતરેલાં મોજાંની જેમ હું તો જીવું.
કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

વાટ જોઈ થાકેલા ગતિહીન પોપચાનું અંધારું રોજ મને તોડે
ઓસરીમાં આવીને દીવો પેટાવતાંક અંજવાળું સસલું થઈ દોડે.
તમરું બોલે ને મારી ફાટી બે આંખમાંથી ખરતું એકાંત હું તો જીવું.
કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

– અનિલ જોશી

ગુજરાતી ગીતકાવ્યસૃષ્ટિમાં અનિલ જોશીનું નામ ધ્રુવતારક સમું છે, જે દિશા ભૂલેલ મુસાફરને મંઝિલે પહોંચડવામાં સહાયભૂત થાય. ગઝલમાં દર બે પંક્તિએ ભાવવિશ્વ બદલાઈ જાય અને દર બે પંક્તિમાં એ સંપૂર્ણ પણ થઈ જાય. સૉનેટમાં પહેલાં પશ્ચાદભૂ સર્જાય અને પછી ભાવપલટો અને અંતે ચોટ. અછાંદસનું પોત વળી સાવ જ નોખું. એ સઘન ભાવવિશ્વ પણ રચી શકે, એક ચિત્ર પણ દોરી શકે અને ચોટ પણ જન્માવી શકે. ગીત મોટાભાગના કાવ્યપ્રકારો કરતાં અલગ તરી આવતું ઊર્મિકાવ્ય છે. ગીતકાવ્યનો કેન્દ્રસ્થ ભાવ એના મુખડામાં જ વ્યક્ત થઈ જાય છે. કવિને જે કહેવું હોય એ મુખડામાં જ કહી દે છે. બાકીનું ગીત તો સામાન્યતઃ એનું ઘનીકરણ અથવા વિસ્તૃતિકરણ જ હોય. સુરેશ દલાલ કહેતા કે ખરું ગીત મુખડામાં શરૂ થઈ મુખડામાં જ પૂરું થઈ જાય છે. આ વાત શીખવી-સમજવી હોય એવા નવોદિત અને અભ્યાસુ કવિઓ માટે અનિલ જોશીનું આ કાવ્ય માર્ગદર્શક બની શકે એમ છે. ચૈતરના આકરા તડકા પડતાં જે રીતે સૂકાયેલ નદી અને ખાલીખમ આભ વચ્ચેનો પાણીદાર સંબંધ તૂટી જાય છે, એ રીતે બે જણ અલગ થાય ત્યારે હૈયામાં કંઈ નહીં તોય અષાઢના આવવાની આશા અને પ્રતીક્ષા તો હોવાનાં… પણ અહીં બે જણ અલગ તો થયાં છે, પણ કાયમ માટે. બે જણ વચ્ચેનો વિયોગ કાયમી હોવાની પ્રતીતિના સ્વીકાર સાથે ગીત શરૂ થાય છે. પણ ખરી કવિતા ચડતા વંટોળિયામાં છે. વિયોગનો વંટોળ હજી ઊઠી થઈ રહ્યો છે, મતલબ હજી તો જોર-એ-કલમ ઔર જિયાદા! અને આ વિશાળ વાવંટોળમાં કથકનું સ્થાન શું? છે ને અદભુત મુખડું! આખું ગીત જ જાનદાર છે…

Comments (8)

કલમવૃક્ષ – હરદ્વાર ગોસ્વામી

વર્ષોની શબ્દસાધનાથી
ખુશ થઈ
વહેલી સવારે મા શારદા પ્રગટ થયાં.
એમણે કહ્યું, “માગ માગ, માગે તે આપું’
મેં કહ્યું, ‘કલ્પવૃક્ષ’.
માએ કહ્યું, “તથાસ્તુ”.
બીજી ક્ષણે તો હું કલ્પવૃક્ષ પાસે.

એવું કહેવાય છે કે,
‘કલ્પવૃક્ષની નીચે બેસીએ તો બધી ઇચ્છા પૂર્ણ થઈ જાય છે’
હું એની નીચે બેસવા જાઉં ત્યાં જ
કલ્પવૃક્ષ બોલી ઊઠ્યું…
‘આવો કવિરાજ,
તમે અહીં
અમારું સદભાગ્ય.
આજે ચોથા પહોરમાં મને સપનામાં
મા શારદા આવ્યાં અને કહ્યું કે,
“જા તને કલમવૃક્ષ નીચે બેસવા મળશે”
હજુ તો આંખ ખોલું ત્યાં સામે તમે…
બાય ધ વે…
તમે કેમ આ બાજુ પધાર્યા?
કોઈ ઇચ્છા હોય તો બોલો
તુરંત પૂર્ણ થશે.’
મેં સંકોચાતાં કહ્યું,
‘કોઈ ઇચ્છા નહીં,
અમસ્તો આ બાજુ આંટો મારવા નીકળ્યો.’

– હરદ્વાર ગોસ્વામી

દેવો અને દાનવોએ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે અમૃત હાથ લાગતા પહેલાં જે ચૌદ રત્નો નીકળ્યાં એમાંનું એક તે કલ્પવૃક્ષ. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષ નીચે બેસીને જે કોઈ ઇચ્છા કરવામાં આવે એની પૂર્તિ થાય છે. કલ્પવૃક્ષને કેન્દ્રમાં રાખીને કવિએ કલમવૃક્ષ નામે સરસ મજાની સહજસાધ્ય રચના કરી છે…

Comments (5)

કોઈ ન જાણે! – રમેશ પારેખ

ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!

ફૂગ્ગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે,
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુંમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ,ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!

જળની હેબત વાઘરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા-એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એે પ્હેલાં દરિયો તેગું તાણે!

-રમેશ પારેખ

ઓણસાલ વરસાદ કંઈ અલગ જ અડીંગો જમાવીને બેઠો છો… જાઉં જાઉં કરે છે ને અચાનક હાઉકલી કરતોક વળી છત્રી વગરના આત્માઓને રંગે હાથ ઝડપી તરબતર કરી ભાગી જાય છે… આવામાં ર.પા.નું આ ગીત ક્યાંકથી હાઉકલી કરતુંકને આવી ચડ્યું અને મને ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ,ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા વડે ગળાબૂડ પાણીમાં ડૂબાડી ગયું… તમારે પણ ડૂબવું છે? તો ચાલો… પણ રહો! એક શરત છે… આ ગીત વાંચીને નહીં, મોટેથી લલકારીને વાંચવું…

Comments (8)

બંધ હોય ખડકી ને બંધ હોય બારી… – વિનોદ જોશી

બંધ હોય ખડકી ને બંધ હોય બારી,
પણ ધારી લે, છાપરેથી કૂદીને કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

જો કે, ઝાડ હજી ખિસકોલી જેવડું જ હોય ત્યારે અઘરું છે હીંચકાને બાંધવો,
જો કે, અઘરું છે ધોધમાર વાદળના ભારથી જ બટકેલા ટહુકાને સાંધવો;

પણ ધારી લે, ધારદાર શમણાં વાઢીને કોઈ ફળિયામાં ઠાલવી દે ભારી, તો?
કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

જો કે, અંધારું એકલું જ પૂરતું છે આમતેમ આથડતો પડછાયો ઢાંકવા,
જો કે, ઢોલિયામાં સૂતેલાં અજવાળાં કોઈવાર અણધાર્યાં માંડે છે પાકવા;

પણ ધારી લે, કોઈ પછી ફાનસમાં ઓલવાતી વાત જરા વાંચી લે તારી, તો?
કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

– વિનોદ જોશી

કોઈ જ પહોંચી ન શકે એ રીતે ભીતરને સજ્જડ તાળું મારીને આપણે બેઠા હોઈએ, એવામાં કોઈક હાઉકલી કરતુંકને સામે આવી ચડે તો? સ્વયંને પુરુષ કે પ્રેમને તાબે ન થવા દેવાની ગાંઠ મનમાં મારીને બેઠેલ નવયૌવનાને ડારો દેતી સહેલીનું રમતિયાળ ગીત આજે માણીએ. જો કે સવાલ કરનાર કથક સહેલી પણ હોઈ શકે અને સ્વયં કાવ્યનાયિકા જાતની ઉલટતપાસ કરતી હોય એય બનવાજોગ છે. સવાલ એ છે કે ભલે ખડકી બંધ કરી, બારીય વાખી દીધી, પણ ધાર કે કોઈ છાપરું ઠેકીને આવી ચડે અને તું આજથી મારી એમ દાવો કરે તો તું શું કરવું?

કવિ નિજની ઊર્મિઓ ભાવક સુધી પહોંચાડવા એકમાત્ર ઉપલબ્ધ ઉપાદાન શબ્દોનો સહારો લે એ બરાબર પણ અન્ય કાવ્યપ્રકારોથી વિપરીત ગીતનું પ્રમુખ ધ્યેય ભાવકને કે શબ્દાર્થ નહીં, ભાવાર્થ સુધી લઈ જવાનું છે. કવિએ જે પ્રતીકો અને પદ પ્રયોજ્યા છે, એનો સ્થૂળાર્થ કરવા કરતાં ભાવ પકડવા મથીશું તો રચના દિલની વધુ નજીક અનુભવાશે. ઝાડનું કદ ખિસકોલી જેવડું જ હોય ત્યારે આપણે એને છોડ તરીકે ઓળખીએ છીએ, પણ કવિ ઝાડ કહે છે. કારણ, જે પ્રેમી છાપરું કૂદીને નાયિકા ઉપર માલિકીભાવ જમાવી શકવાની આશંકા છે, એના માટે નાયિકાના મનમાં તો પ્રણયનો છોડ વૃક્ષની જેમ ફૂલીફાલી ચૂક્યો છે. પણ વાત હજી સાવ પ્રારંભિક તબક્કે હોય ત્યારે સંબંધનો હીંચકો તો બાંધી ન બેસાય ને? અને એવા ટાણે ધોધમાર વરસવા આતુર હૈયાના ભારથી પ્રેમગાનનું સંધાન સાધવાની ઉતાવળ પણ ન થાય. નાયિકા તો આ સમજે છે, પણ નાયક ધારદાર શમણાંની ભારી ફળિયામાં ઠાલવી સામો આવી જાય તો? ગીતમાં આખી મજા જ ડગલે ને પગલે ધારવાની અને તોના ધારદાર સવાલની છે…

Comments (9)

અહીં બારી ખોલું – નયન હ દેસાઈ

થયું, ચાલો, છોડી નીરવ ઘરનાં સંસ્મરણો સૌ
નથી રે’વું આહીં, સજળ નયનો સાદ કરતાં.
વીતેલાં વર્ષોનાં ખળખળ વહ્યાં નીર હૃદયે,
વળાવા આવો લ્યો, સ્વજન સરખાં ઊમ્બર ભીંતો,
નહીં આવો કોઈ? વિનતિ મુજ આ વ્યર્થ જ જશે?
અહીં સંબંધોના શબદ સઘળા મૂક જ હશે?
સવારો થીજેલી, તરફડ થતી સાંજ ઢળતી,
છતાં તારા ખોળે અનુપમ અહો હૂંફ મળતી.
અહીં બારી ખોલું, ટહુક ટહુક્યું આભ ઊઘડે,
અહીં બારી ખોલું, નજર મહીં બ્રહ્માંડ છલકે!

– નયન હ દેસાઈ

નયનભાઈ પાસેથી આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ છંદોબદ્ધ કાવ્ય આપણને મળ્યાં છે. સૉનેટ તો બેએકે જ. આ રચનામાં જ ચાર કડી ઉમેરી સૉનેટકરાર આપી શકાયો હોત, પણ એવું કરવાથી કવિ દૂર જ રહ્યા છે. જે ઘરમાં હવે કોઈની ઉપસ્થિતિનો રવ રહ્યો નથી એ ઘરને છોડી જવા કવિ વિચારી રહ્યા છે. સ્વજનોની ગેરહાજરીમાં સ્વજન જેવાં બની રહેલ ઘરનાં ઊમ્બર અને દીવાલોને વળાવવા આવવા માટે કવિ વિફળ વિનંતી કરે છે. પણ આ નિર્જીવ ભીંતોની વચ્ચે સજળ નયનોનો સાદ હજી સંભળાઈ રહ્યો છે… ઘાયલ સમય થીજી ગયેલ ભલે અનુભવાય, બારી ખોલતાવેંત ન કેવળ ટહુકંતુ આભ નજર સમક્ષ ઊઘડે છે, આખેઆખું બ્રહ્માંડ છલકાતું દેખાય છે… હવે આ ઘર કઈ રીતે ત્યજવું?

Comments (4)

ગાંધીજી – શેખાદમ આબુવાલા

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી,
તમે ચાહ્યું’તું તેવું તો નથી કંઈ આજ, ગાંધીજી.

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરસીઓ,
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી?

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું,
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી.

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે,
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી.

કદી ‘આદમ’ સમાધિ પર જઈને આ તો કહેવું છે:
તમે એક જ હતા ને છો વતનની લાજ. ગાંધીજી.

– શેખાદમ આબુવાલા

લયસ્તરોના તમામ સર્જકમિત્રો અને વાચકમિત્રોને વિજયાદશમી, ગાંધી જયંતિ તેમજ શાસ્ત્રી જયંતિની ત્રિવિધ વધાઈ…

ગાંધીજયંતિ નિમિત્તે આજે એક ગઝલ… એકે-ક શેર અખાના ચાબખા જેવા થયા છે… પણ આપણી નફ્ફટ ચામડીને કંઈ અસર થશે ખરી?

Comments (3)

ઘેરિયા ગઝલ – નયન હ. દેસાઈ

છાતી સોંસરવું સરકે કીડીનું નઘરું હાં રે હાં ભાઈ!
પંડે પથ્થર જેવા ને પડછાયો ગભરુ હાં રે હાં ભાઈ!

કોઈ તો મૂર્છિત દિવસોને પીંછી ઢાળો કે સામળેક મોરચા…
છે વળગેલું આંખોને સૂરજનું લફરું હાં રે હાં ભાઈ!

આ સદીઓનો થાક હવે બીજે વાળો કે સામળેક મોરચા!
અથવા પકડી જાય સમયનું સિપાઈસપરું હાં રે હાં ભાઈ!

લોહીનો ધસમસતો રથ છે ઘૂઘરિયાળો કે સામળેક મોરચા!
બેઠું છે ભીતરમાં જાણે કોઈ નફકરું હાં રે હાં ભાઈ!

કે ઈચ્છાની ઘેર ડૂબી ગૈ મોં વાળો કે સામળેક મોરચા!
આમ તો લાગે છે જીવતરનું પાણી છીછરું હાં રે હાં ભાઈ!

ધ્રૂજતા શહેરમાં પગલે પગલે સંભાળો કે સામળેક મોરચા!
ગલીએ ગલીએ વાગે છે અહીં શિવનું ડમરું હાં રે હાં ભાઈ!

કાળી બિલ્લી ઘંટાચોરનો ગોટાળો કે સામળેક મોરચા !
ભીડમાં પોતાનો ચહેરો ઓળખવું અઘરું હાં રે હાં ભાઈ!

– નયન હ. દેસાઈ

કોઈપણ દેશકાળમાં સાહિત્ય જે તે સમયના સમાજનો સાચો અરીસો કહેવાય છે. નયનભાઈની રચનાઓ આ બાબતમાં પ્રતીતિકર કહી શકાય. આસપાસના સમાજની બોલી અને રિવાજોને એમણે પોતાની કવિતાઓમાં અમરત્વ બક્ષ્યું છે. ‘ઘેરિયા ગઝલ’ એનો એક દાખલો છે.

અત્યારે નવરાત્રિ ચાલે છે એ નિમિત્તે આ રચના પ્રસ્તુત પણ ગણાશે. ઘેરિયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ. તાપીથી વાપી – દક્ષિણ ગુજરાતના હળપતિઓ નવરાત્રિથી દેવદિવાળી સુધી માતાની આરાધના માટે ૨૦થી ૨૫ના સમૂહમાં, અર્ધનારીનો વેશ ધારી ગામેગામ અને ઘરેઘરે ફરીને ઘેર, ઘેરિયા કે ઘેરૈયા નૃત્ય કરે છે. ઘેરિયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ. ગળામાં મણકા-મોતી કે ગલગોટાનો હાર, કમરે ઘૂઘરા, કેડે કંદોરો, આંખે કાજળ, પગમાં ઝાંઝર, કાનમાં લટકણિયાં, એક હાથમાં મોરપીંછનો ઝૂડો ને બીજામાં દાંડીયું -આ એમનો શણગાર અને ત્રણ સાડીનો પોશાક. એક સાડી માથા ઉપર ફેંટારૂપે, બીજી કબજાની ઉપર ખભે બાંધીને અને ત્રીજી ડબલ ફાડના ધોતિયાની શૈલીથી પહેરવામાં આવે. સમૂહનો વડો એટલે કવિયો. એ ગીત ગાય-ગવડાવે તથા નાચે-નચાવે. એક ઘેરિયો આખા શરીરે કાળો રંગ અને પાછળ ઘંટ બાંધેલી પૂંછડી લગાવી કાળી બિલાડી બને. બાળકો ‘કાળી બિલાડી ઘંટા ચોર, મંદિરમાંના પૈસા ચોર’ એમ બૂમો પાડીને એને ચીડવતા ચાલે. ઘેરૈયાનૃત્યમાં જન્મથી મરણ સુધીનું જીવન ગવાય છે, પણ મુખ્યત્વે વિવિધ દેવીદેવતાઓનું સ્તવન કરાય. ગાતા-નાચતા ઘેરિયાઓ ગામના દરેક ઘર પાસે થોભે. ઘરની સ્ત્રીઓ એમની પૂજા કરી, મોરપીંછની આરતીના ઓવારણા લઈ કૃતાર્થ થાય. કાળી બિલાડી ઘરની અંદર જઈ ભૂત-પ્રેત ભગાડે. એકહાથે મોરપીંછનો ઝૂડો હલાવતા અને બીજા હાથના દાંડિયાથી અન્ય ઘેરિયા સાથે રાસ રમી ગરબા ગાતા ઘેરિયાઓ કવિયો જે ગાય એને ‘હાં રે હાં ભાઈ’ કહી સમૂહમાં ઝીલી લે છે. મોટાભાગનાં ગીતોમાં આ સિવાય ‘સામળેક’ અર્થાત્ ‘સાંભળે છે ને?’ અને ‘મોરચા’ યાને ‘બચ્ચા’ પણ કડીએ કડીએ આવે. આટલી પૃષ્ઠભૂ જાણ્યા વિના ઘેરિયા ગઝલ વાંચીશું તો કવિની સમાજ-ચેતનાને ઘોર અન્યાય થશે.

Video courtesy: Mona Naik ‘Urmi’, NJ, USA

***


.

Comments (3)

એક જણ – નીતિન વડગામા

એક જણ આવે અને સાતેય રંગો અવતરે.
એક જણ જાતાં જ માથે આભ કાં તૂટી પડે?

એક જણ આવે અને અવસર રચાતો ઉંબરે.
એક જણ જાતાં જ આખું આંગણું હીબકે ચડે!

એક જણ આવે અને મનનું સરોવર આછરે.
એક જણ જાતાં જ જળની સાથ કાંઠા ખળભળે!

એક જણ આવે અને અજવાસ ઊગે કાંગરે.
એક જણ જાતાં જ અંધારું બધે ઘેરી વળે!

એક જણ આવે અને ઠૂંઠુંય પાછું પાંગરે.
એક જણ જાતાં જ કૈં કાતિલ કુહાડી ઊછળે!

એક જણ આવે અને રણને ઝરણમાં ફેરવે.
એક જણ જાતાં જ આ વહેતી નદી ભડકે બળે!

એક જણ આવે અને આયાત આખી ઊતરે.
એક જણ જાતાં જ કાગળ સાવ કોરો તરફડે!*

– નીતિન વડગામા

(*સ્મરણ : થાઈલેન્ડની રામકથામાંથી મોરારિબાપુની વિદાય)
.
કવિએ ભલે મોરારિબાપુને સ્મરણમાં રાખીને રચના કેમ ન કરી હોય, પણ કવિતા કાગળ પર અવતરે પછી કંઈ કવિના કાબૂમાં રહે? કવિતામાં જે ‘એક જણ’ની વાત છે, એ કવિ માટે ભલે ગમે તે હોય, પણ મારા-તમારા સૌ માટે એ અલગ અલગ છે. કવિતા વાંચતા જ આપણા સહુના મનમાં એ ‘એક જણ’ તરવરી આવે છે, જેના આવવાથી જીવન સપ્તરંગી મેઘધનુષ્ય જેવું સોહામણું બની જાય અને જતાવેંત માથે આભ તૂટી પડે. રચનાને ગઝલ કહો, ગીત કહો કે વિશુદ્ધ ઊર્મિકાવ્ય- અંતે તો હેમનું હેમ હોયે, ખરું ને!

Comments (6)

અમે અલ્ટ્રા-ફૅશનેબલ લોકો – નીરવ પટેલ

અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ –
અમારા વડવા તો
ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા.

એમના વડવાના વડવા તો
કફનને જ કામળીની જેમ અંગે વીંટાળતા હતા.

એમના વડવાના વડવાના વડવા તો
નરી ચામડીને જ ઓઢીને ફરતા હતા.

હુંય કાંઈ ઓછો વરણાગિયો નથી –
સી. જી. રોડના શૉ રૂમ સામેની ફૂટપાથ વાળતો હતો
ને શેઠે આપ્યું
કાંઠલા વગરનું, બટન વગરનું, બાંય વગરનું એક બાંડિયું.
તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું
ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને.
જાતવાન જુવાનિયા તો
મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઈ ઊઠે છે.
બિચ્ચારા…
મારી અસ્પૃશ્ય બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે
કે આ તો ઑડ-સાઈઝનું પીટર ઈંગ્લૅન્ડ છે!

અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ.

– નીરવ પટેલ

કવિતા વાંચી ત્યારે ત્રણ બાંયના ખમીસે ખૂબ ગૂંચવાડો સર્જ્યો. ત્રણબાંયવાળું ખમીસ કોઈ પ્રકારનું રૂપક હશે કે સાચે જ એવા ખમીસ કોઈક જમાનામાં અસ્તિત્વમાં હશે કે પછી આ કોઈ પ્રકારનો રુઢિપ્રયોગ હશે? મુરબ્બી કાનજી પટેલે દલપત ચૌહાણ જેવા કવિઓ સુધી પહોંચ લંબાવી બે-ત્રણ સંપર્કોના આધારે તારણ આપ્યું કે, દલિત બંડી સીવે ત્યારે બે હાથ માટે બે બાય, અને વધારામાં પીઠ પર ત્રીજી લટકતી બાય રાખવી પડતી. જેથી પાછળથી પણ દલિત ઓળખાઈ જાય. દલિતો માટે શહેરમાં તો પરિસ્થિતિ થોડી સુધરી છે, પણ અંતરિયાળ ગમાડાઓમાં કદાચ આજેય અસ્પૃશ્યતાનો અજગર જનમાનસને ભરડો લઈ ગૂંગળાવી રહ્યો છે. એક જમાનામા દલિતોએ જાહેરમાં જવાનું થાય ત્યારે પાંચ વાનાં ધારણ કરવાં પડતાં- ૧) માથે કાચા સૂતરની આંટી પાઘડી તરીકે બાંધવાની રહેતી, ૨) પીઠે ત્રીજી બાંય હોય એવી બંડી કે ખમીસ પહેરવાનાં રહેતાં, ૩) થૂંકવા માટે ગળામા કુલડી લટકાવી રાખવાની રહેતી, ૪) જમીન પર પોતાનાં જે પગલાં પડે એને સતત ભૂંસતા રહેવા માટે કમરે ઝાંખરાં લટકાવવાના રહેતા, અને ૫) સવર્ણ વ્યક્તિ ભૂલથી પણ પોતાને અડી ન લે એ માટે મોટેથી પોશ પોશ બોલતા રહેવું. નેટવિહાર કરવાનું ચાલુ રાખતાં અંતે કવિએ પોતે લખેલ પાદટીપ પણ જડી આવી: In medieval Gujarat, untouchables, now known as dalits, were forced to wear 3-sleeved shirt so that caste-Hindus could identify them easily and keep away from them. The local dalit folklore has a hero called Mayo Dhed who sacrificed his life for doing away with such humiliating practice.

The Song Of Our Shirt – Neerav Patel

We are a fashionable caste
Or tribe you may call :
Our forefather Mayo Dhed
Had a shirt of 3 sleeves,
His father had a shroud as his shirt
And his father wore a shirt of his own skin.
I am no less fashionable –
Just got a pocketless, sleeveless, buttonless
Peter England, the second
From the pavements I sweep.

Every passerby is tempted to pay his respects
To the label of the lords
But without touching my collar-bone.
Our shirt has a song to sing.
Of bizarre fashions.

– Neerav Patel
(Eng. Translation from Gujarati by poet himself)

Comments (12)

નવા આંક – નિરંજન ભગત

એકડે એકો
પરમેશ્વરને નામે પહેલો મેલો મોટો છેકો!

બગડે બેય
પ્રેય જે જે લાગે તેને માની લેવું શ્રેય.

ત્રગડે ત્રણ
કીડીને તો મણ આપો, હાથીને દો કણ!

ચોગડે ચાર
ફૂલનું શું મૂલ? હવે પથ્થરને તાર!

પાંચડે પાંચ
સાચનેયે આંચ, એથી ભલી મારી લાંચ.

છગડે છય
ગાડી ગીર્વાણની ને જોડી દેવો ‘હય’.

સાતડે સાત
બોબડા ને તોતડાની નવી કરો નાત!

આઠડે આઠ
ત્રણ છોડો ત્યારે નવી તેર બાંધો ગાંઠ!

નવડે નવ
આટઆટલું કરીને અહીં ગુજારો જો ભવ—

એકડે મીંડે દશ
દાનવ ન માનવથી થશે તોયે વશ?

– નિરંજન ભગત

આજથી લગભગ પંચોતેર વર્ષ પહેલાં ૧૯૫૧ની સાલમાં કવિએ આ રચના કરી, ત્યારે શીર્ષક આપ્યું હતું – નવા આંક! વચ્ચે સાડા સાત દાયકાના વહાણાં વીતી ગયાં હોવા છતાં આ આંક હજી પણ એવા ને એવા નવા જ નથી લાગતા? આજની પેઢીને તો કદાચ આ રીતે આંક પણ હવે શીખવા નહીં મળતા હોય. દરેક આંકની સાથે કવિએ મનહર છંદમાં વક્રોક્તિના સહારે જે કાવ્યગૂંફન કર્યું છે એ કેવું મજાનું છે! આખું કાવ્ય સમજાઈ જાય એવું છે પણ ‘છગડે છય’વાળી એક કડી વિશે બે શબ્દ કહેવાનું મન થાય છે: ગીર્વાણ એટલે દેવભાષા-સંસ્કૃત અને હય એટલે ઘોડો. દેવોએ આપેલી વાણી પર લગામ રાખવાના બદલે આપણે ઘોડો જોડી દઈ મનફાવે એમ દોડતી રાખીએ છીએ. આખી રચનામાં કવિએ કેવળ ‘હય’ શબ્દને અવતરણચિહ્નમાં ગોઠવ્યો છે. વક્રોક્તિ ભાવકના ધ્યાન બહાર ન રહી જાય તેથી?

Comments (3)

(બે વૃદ્ધ) – કમલ વોરા

એક વૃદ્ધ અને
સરખામણીએ થોડો ઓછો વૃદ્ધ
ક્યારના
પાસપાસે મૂંગેમૂંગા બેઠા છે
હવે
કહેવા-સાંભળવાનું કંઈ બચ્યું નથી
અમથી અમથી આડીઅવળી વાતો
હોઠોને ફફડાવે તે અગાઉ તો
ઓસરી જાય છે
વૃદ્ધો ખાલી નજરથી
એકમેકને સતત જોયા કરે છે
એમને એ
વસ્તી ઉચાળા ભરી ગઈ હોય તે પછીના
વેરાન જેવી લાગે છે
ક્યારેક કંપ—વાથી ધ્રૂજતો એક હાથ આગળ વધી
બીજો હાથ હાથમાં લેવા જાય છે
એટલું જ
પાસપાસે બે ખડક પડ્યા હોય એમ
બન્ને બેસી રહે છે
થોડી વારે
એક વૃદ્ધ બીજાને પથારી સુધી
દોરી જાય છે
માથે હાથ પસવારતો કોઈ ગીત ગણગણે છે
ઘેરા અંધારામાં
નિસ્તેજ આંખો
બિડાવા માટે મથ્યા કરે છે

– કમલ વોરા

ગુજરાતી સાહિત્યજગતમાં કેટલીક ઘટનાઓ એમની અભૂતપૂર્વતાના કારણે નોંધનીય બની છે, એમાંની એક તે કવિનો ‘વૃદ્ધશતક’ નામે અછાંદસસંગ્રહ. સંગ્રહમાં વૃદ્ધ અને વૃદ્ધત્વને કેંદ્રમાં રાખીને લખાયેલ એક-બે નહીં, સો-સો રચનાઓ છે. સમજી શકાય એવી વાત છે કે કવિએ વૃદ્ધાવસ્થાના તમામ પાસાંઓને બે પૂઠા વચ્ચે આવરી લેવાની કોશિશ કરી હશે. સંગ્રહમાંથી એક રચના અહીં રજૂ કરીએ છીએ. રચના વિશે એકેય શબ્દ મારે કહેવો નથી. રચના આપના ભાવવિશ્વને જે રીતે સ્પર્શે એ જ કવિની અને આપની –ઉભયની ઉપલબ્ધિ!

Comments (10)

વૃદ્ધ મજૂરનું ગીત – અશોક ચાવડા ‘બેદિલ’

બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

સાંજ પડે ને ઝાલરટાણે તારે મંદિરીયેથી છોને નીકળવાનું થાતું!
મારી સામું તું જુએ ના, તારી સામે નત મસ્તકથી મારે ના જોવાતું.
આંખ જરા જો બારી લગ પહોંચે તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા…
બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

મારા પગ પર ઊભા રે’વું મારાથી ના બનતું, કેવો થાક લઈને જીવું!
મારી ઉપર રોજે આખું આભ તૂટે છે, જન્મારાનો વાંક લઈને જીવું;
જાત ગળાતાં વાર હવે શી, હોવાનો અણસાર લઈને અરમાનો ઓગળિયા…
બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

– અશોક ચાવડા ‘બેદિલ’

સમાજના લલાટે અસ્પૃશ્યતાનું કલંક પહેલાં જેટલું ઘાટું હતું, એટલું આજે નથી રહ્યું, પણ હજીય નાનાં-નાનાં ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં આ દૂષણ લગભગ એમનું એમ પ્રવર્તમાન છે. સમાજના આ તિરસ્કૃત વર્ગ માટે આજેય ઘણી જગ્યાએ મંદિરપ્રવેશ વર્જ્ય છે. મંદિર પાસેથી પસાર થતી વેળા એમણે ફરજિયાતપણે મસ્તક નમાવીને ચાલવું પડે, જેથી એમની નજર મંદિર કે મંદિરમાં બિરાજમાન મૂર્તિ પર ન પડે. કાવ્યોચિત વક્રોક્તિ એ છે કે બીડીના ઠૂંઠે શામળિયાને યાદ કરતા ભક્તને ખબર છે કે એ તો સામાજિક કુરિવાજના પ્રતાપે ઈશ્વર સામે નથી જ જોઈ શકતો, પણ ઈશ્વર સુદ્ધાં એમની સામે જોતો નથી. ભગવાન જો જોતો હોત, તો આ હાલત હોત? બીડીનું એક ઠૂંઠૂં –મને તો આ વાત પણ સ્પર્શી ગઈ… ગરીબ માણસ પાસે આખી બીડી તો ક્યાંથી હોય? અમીર માણસોએ ફેંકી દીધેલ ઠૂંઠા પર જ એમણે તો ગુજારો કરવાનો હોય ને!

Comments (9)

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૦૪

લયસ્તરો પર ઘણા સમય પહેલાં મૈત્રી-વિષયક શેરો અને સુભાષિતોની સરવાણીમાં આપણે ભીંજાયા હતા… જેમને નાનકડી ટાઇમ-ટ્રાવેલમાં રસ હોય એ મિત્રો આ ત્રણ લિન્ક ઉપર ક્લિક કરી શકે છે – કડી-૦૧, કડી-૦૨, કડી-૦૩. આજે માણીએ ચોથી કડી.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

શ્રી ચિત્રભાનુ મહારાજના હૃદયમાંથી ફૂટેલી આ સરવાણી સમગ્ર વિશ્વના મનુષ્યોના દિલની એકમાત્ર આરત છે, સંબંધ કોઈ પણ હોય, એમાં મૈત્રીભાવ હોય અને વળી એ ઝરણાંની જેમ અસ્ખલિત વહ્યા જ કરતો હોય તો જીવનમાં કેવળ શુભમંગળ જ થાય. માતા અને સંતાનનો સંબંધ તમામ સંબંધોમાં સર્વોપરી લેખાયો છે. પતિ-પત્નીનો સંબંધ જનમજનમનો નાતો ગણાવાયો છે… પણ આ તમામ સંબંધમાં પારાવાર સમસ્યાઓ સર્જાતી આપણે જોઈ-અનુભવી છે. પણ બે સાચા મિત્રો વચ્ચે કદી સમસ્યા જન્મ લેતી નથી. અહીં સાચા શબ્દ ઉપરથી ધ્યાન હટે નહીં, એનું આપણે ધ્યાન રાખવાનું છે. કહેવાતા મિત્રો તો હજારો હોય, એની વાત આપણે ઉપરોક્ત કવિતાના સંદર્ભમાં નથી કરી રહ્યા. પણ સાચા મિત્રો વચ્ચે લાખ મતભેદ થવા છતાં કદીય ખટરાગ જન્મતો નથી, કારણ કે સાચી મૈત્રીના કમળને હક, અપેક્ષા, શંકા અને અહંકારનો કાદવ અડકી શકતો નથી-

હક, અપેક્ષા, શક, અહમના પંકની વચ્ચેથી જે,
પદ્મ સમ નિર્મળ અગળ ખીલી શકે એ પ્રેમ છે!

મૈત્રી દિવસના સંદર્ભે આપણે પૌરાણિક ગુજરાતી સુભાશિત-દોહાઓથી લઈને આપણા પૂર્વસૂરિઓની કેફિયત છેલ્લી ત્રણ કડીઓમાં જોઈ… પણ આજની તારીખે ગુજરાતી કવિતાના આકાશમાં જે પેઢીઓ રંગો રેલાવી રહી છે, એ પેઢીઓને પણ આ બાબતમાં કંઈક ને કંઈક તો કહેવાનું હશે જ ને! ચાલો, આપણે આજની સક્રિય પેઢીઓની કલમે મૈત્રીના નાનાવિધ આયામ ચકાસીએ…

તબીબ-કવિ હરીશ ઠક્કર સોંસરો સવાલ લઈને આવ્યા છે-

દુશ્મનના દુશ્મનોને બનાવે છે મિત્ર તો,
દુશ્મનને કેમ મિત્ર બનાવી નહીં શકે?

ગુરુઓના ગુરુ તબીબ-કવિ રઈશ મનીઆરના ખજાનામાં તો દોસ્તીના પ્લસ-માઇનસ વિશેના સેંકડો મોતી હશે, પણ એમાંથી એકાદ-બે મોતીના અજવાળે આપણે આપણો દિવસ અજવાળીએ. સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય’ વાળા સુપ્રસિદ્ધ દોહાનું પ્રતિવાક્ય પણ એમણે કેવું સ-રસ અને વેધક બનાવ્યું છે!: ‘સુખમાં પાછળ રહે એટલે કે તમારી પાછળ પડી જાય અને દુઃખમાં આગળ એટલે કે માર પડે ત્યારે ભાગવામાં આગળ હોય એ મિત્ર.’ કવિ તવંગર દોસ્તોની અમીરાઈની ખાલ પણ આબાદ ઉતરડે છે:

અમીર દોસ્ત! આ પૈસાના ઢગની નીચેથી,
ખમીર તારું જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું.

દોસ્ત, આઘાત છે, ઉઝરડા નથી
શું બતાવું નિશાન ખોલીને?

પણ એમની કલમે અવતરેલ કાળાતીત શેર આ ટાણે ન ટાંકીએ તો આખી વાત અધૂરી રહી જાય. મિર્ઝા ગાલિબના તીર-એ-નીમકશની યાદ અપાવતો એ અમર શેર આ રહ્યો:

રઈશ! આ દોસ્તો તારા, અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું હરણને જીવતું રાખે.

અને એવો જ ઉત્તમ આ બીજો શેર… આપણા અદિકાવ્યની શરૂઆત જ જે પ્રસંગથી થઈ હતી, એ પ્રસંગનો રણકો આ શેરમાંથી ઊઠતો સંભળાશે. તારા પાપમાં અમે ભાગીદાર નથી એ સત્યની સમજૂતિએ વાલિયા લૂંટારાને વાલ્મિકી બનાવ્યો હતો. એ જ વાતનો પણ સાવ નોખી રીતે અહીં પડઘો પડે છે. મિત્ર હોય કે ગમે એ વ્યક્તિ હોય, કોઈએ કોઈના પર આધાર રાખવો ન જોઈએ:

મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે !?
દોસ્ત, સૌનું પોતીકું અજવાળું હોવું જોઈએ!

અનિલ ચાવડા દોસ્તીના સમસામયિક રંગોને ગઝલોમાં ઢાળવું વધારે પસંદ કરે છે-

સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.

કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

સગાવહાલાં ગમે એવાં હશે, એ કડવું સત્ય ઉચ્ચારવાનું આવશે અવશ્ય ખંચકાટ અનુભવશે. દોસ્તી જ એક માત્ર એવો સંબંધ છે, જ્યાં મનમાં હોય એ એમનું એમ કહી દેવાની મોકળાશ હોય છે. અંકિત ત્રિવેદી ખૂબ ઓછા શબ્દોમાં ખૂબ જ માર્મિક ટકોર કરે છે:

જિંદગીમાં દોસ્ત હોવા જોઈએ,
જેની આંખે ખુદને જોવા જોઈએ.

ચાની લારી આજના જીવનમાં જે મહત્ત્વ પામી છે, એ કવિતામાં ન આવે તો શી મજા? કિરણસિંહ ચૌહાણ શું કહે છે એ સાંભળીએ-

ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે,
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત ?

સ્મિત દઈને માગી લીધી તેં વિદાય,
દોસ્ત! તારી આ કળા માટેય વાહ.

તો ગૌરાંગ ઠાકરની ફરિયાદમાં સદીઓના અનુભવનો સાદ છે:

આ બીજા છેતરે છે કેમ મને?
મારા મિત્રો મરી ગયાં કે શું?

ગ્લોબલાઇઝેશન જેમ જેમ વધતું ગયું એમ એમ માનવીનું હૈયું સાંકડું બનતું ગયું. દિલની તિજોરીમાં સંબંધોની દોલત ઓછી થતી ગઈ. જુઓ, આ સંદર્ભે વારિજ લુહારનો એક શેર-

ગાડું ભરાય એટલા મિત્રો હતા કદી,
થોડાક મિત્રોથી હવે ગાડું ચાલવું છું.

પરંપરાના શાયર કુતુબ આઝાદ આ બાબતમાં સાચા ધની છે-

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

નેહા પુરોહિત સ્ત્રીસહજ સ્વભાવગત દોસ્તીને પ્લસ નંબરના ચશ્માથી જુએ છે:

દોસ્ત, તારા પ્રહાર ખાળી શકું,
એટલો તો ખુમાર રાખું છું!

કોની ગણના, અવગણના પણ કોની કરવી?
કોઈ મિત્ર છે અત્તર જેવા કોઈ મઘમઘ ફુલ!

દરિયા જેવું દીધું, પાછું ઝરમર ઝરમર લીધું;
દોસ્તી નામે નોખું અમરત ઘટ્ટકઘટ્ટક પીધું!

કિરીટ ગોસ્વામીનું વલણ પણ વિધેયાત્મક છે:

રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે!

હરદ્વાર ગોસ્વામી ઈશ્વરની જેમ ગાયબ રહેતા દોસ્તના નામ પર મસમોટી ચોકડી મારે છે:

હોય ઈશ્વર, તો તને વંદન કરી,
દોસ્ત, તારા નામ ઉપર ચોકડી.

દર્શક આચાર્ય મિત્રાચારીના આભાસી અરીસાને તોડી દોસ્તીના સાચા મૂલ્યોની પરખ સમજણપૂર્વક કરવા આહ્વાન આપે છે:

દોસ્ત, દર્પણનાં સત્યને જાણી,
કાચને ફોડ, પણ સમજ સાથે.

ભાવિન ગોપાણીનો ખજાનો મૈત્રીના અણમોલ મોતીઓથી ભર્યો પડ્યો છે. એમાંય ઉદાસીના કૂવામાંથી ઉપસ્થિતિના દોરડા વડે બહાર કાઢવાની વાત કરતો શેર તો કાળાતીત થવાને સર્જાયો છે:

હું ઉદાસીના કુવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.

પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે
આંખોની સામે હોય અને ઓળખાય નહીં

ભલેને યુધ્ધના બહાને, જરા નજદીક તો આવે,
અમારા શત્રુઓને મિત્ર બનતા વાર નહીં લાગે.

હોય છો ને વાત ખોટી કે ખરી,
દોસ્તની પડખે ઉભા રહેવું પડે.

ઈશ્વર બોલ્યો કે રાખો થોડી ચીજો જન્નત માટે,
થોડા મિત્રો, થોડી વાતો, ચાની લારી રાખી છે.

કહ્યાં પહેલાં જ મારી વાતને પામી રહ્યો છે એ,
નવો આ મિત્ર જાણે કે મને શૈશવથી જાણે છે

જાણી ગયો ભલે તું કોઈ ભેદ મિત્રનો
સિક્કાની જેમ કેમ ઉછાળે બજારમાં?

સરળ કરતો રહે છે મિત્ર મારું કામ આગળનું
જરા માંદો પડું ત્યાં તો એ ખાડો ખોદવા લગે

બંનેમાં પછી પીઢતા એવી તો વધી ગઈ
જીવે છે હવે મિત્રતા વહેવાર બનીને

હિમલ પંડ્યાની ગઝલો પણ દોસ્તીના ધનમૂલક આયામોથી ધની બની છે:

એક અડધી ચામાં આખી વાત થઈ શકતી હતી
એમ ખુલ્લી દોસ્ત સામે જાત થઈ શકતી હતી

લગાડો ના કદી એની કશીયે વાતનું માઠું
હશે એ મિત્ર સાચો સાવ તો મોંફાટ હોવાનો.

દોસ્તોના ખભા મળ્યા એથી
મન મૂકીને રડી શકાયું છે.

વૈભવી વસવાટ જે ના દઈ શક્યો!
એ મજાઓ નીકળી તાંદૂલમાં

ઋણાનુબંધ છે નોખો, નહીં એ તૂટવા પામે
વીતેલા જન્મનું સંધાન છે, તું મિત્ર છે મારો

યુવા કવિ વિકી ત્રિવેદી જમાનાના માર ખાધેલ કવિ છે. એટલે એમના શેરોમાં એમના આત્માનુભવો પ્રતિબિંબિત થાય તો એમાં નવાઈ નથી:

મારો વિકાસ જોઈને મિત્રો ઉદાસ છે,
તલવારથી વધુ હવે ખતરો છે ઢાલથી.

માનું છું દોસ્ત હું તને ખુદા બરાબર જ,
પણ અવગણી મને તું ખુદાની નકલ ન કર.

દોસ્ત આવા પ્રેમથી પસવા૨ મા,
પીઠને કેવળ છરાની ટેવ છે.

અભરાઈથી લઈ ગઈ કાંટાળા ઝાડ પર,
દોરીની મિત્રતા પડી મોંઘી પતંગને.

જેતપુરના ફિઝિશ્યન જગદીપ નાણાવટીનો અંદાજ-એ-બયાં નોખો છે. ગુજરાતીઓમાં ગુજરાતીપણું ઓછું અને હિંદીપણું-અંગ્રેજીપણું વધારે જોવા મળે છે. આજના દોરની ગુજરાતી બોલીમાં તેઓ મજાનો શેર રજૂ કરે છે:

કિસ તરહા યારી નિભાઈ જાતી હૈ?
પીઠમાં ખંજર હુલાવી બોલ્યો,”યૂં”!

સંદીપ પૂજારાને સદનસીબે દર્દોની દવા બની શકે એવા સરસ યાર સાંપડ્યા છે:

જુના દોસ્તો છે, નવા દોસ્તો છે!
દરદ કોઈપણ હો દવા દોસ્તો છે!

તો સામા પક્ષે મેગી આસનાનીનો અભિગમ એકદમ વ્યવહારુ છે-

તારી હવે ફરજ બને નજદીક આવ દોસ્ત;
આવી શકાય એટલું આવી ગયા અમે.

સુનીલ શાહ આમ તો સકારાત્મકતાના કવિ છે, પણ દુન્યવી અનુભવોની કડવાહટથી એમની કલમ પણ બચી શકી નથી:

ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

જિગર ફરાદીવાલા દોસ્તીમાં ઘા પામ્યા હોવા છતાં ખુમારી ખુવાર ન થવા બદલ ખુશ છે:

અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ, દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.

જય કાંટવાલા મિત્રતાના બંને પલડાંને યોગ્ય ન્યાય આપે છે. એક તરફ શંકા નામની ઉધઈ મૈત્રીને કઈ રીતે કોરી ખાય છે એની વાત કરે છે અને બીજી તરફ જીવનમાં મિત્રોની ઉપસ્થિતિને સદનસીબ કહી સત્કારે છે:

કે વરસો પછી માંડ બેઠો હતો દોસ્ત,
જરા શંકા પડતા જ ઉઠ્યો ભરોસો.

કોણે કહ્યું કે દોસ્તની સંગત ખરાબ છે
જો દોસ્તી ન હોય તો કિસ્મત ખરાબ છે

મોટાભાગના સંબંધોને બહારખાનેથી એ યથાવત હોવાનો ડોળ કરીને આપણે સાચવી લેતાં હોઈએ છીએ, પણ અંદરખાનેથી આપણે સમજતાં હોઈએ છીએ કે આ સંબંધ હકીકતમાં તો ક્યારનો મરી પરવાર્યો છે. આવી ઝીણવટભરી બાબતને મયૂર કોલડિયા કેવી સરળતાથી અવલોકી શક્યા છે એ જુઓ:

મનમાં બધા સંબંધ થયા છિન્નભિન્ન પણ,
મિત્રોને માટે તો હજુ નોખો વિભાગ છે.

જેનું તખલ્લુસ જ મિત્ર છે એવા મિત્ર રાઠોડ પણ સ-રસ વાત કહે છે:

મિત્રોની એવી ભેટ મને ઈશ્વરે દીધી,
એના જ કારણે મને મારી ફિકર નથી.

પ્રશાંત સોમાણી પણ વાસ્તવિક્તા સાથે સીધું સંધાન ધરાવે છે-

કેટલો આભાર માનું હું પ્રશાંત,
આયનો સાચો બતાવે દોસ્ત તું

દોસ્તની હાજરીના મઘમઘાટ વિશે કુણાલ શાહે કેવો મજાનો શેર કહ્યો છે:

દોસ્ત તારી હાજરીથી એવું તો શું થાય છે?
હું અને મારી દશા બંને સુધરતાં જાય છે.

અંજના ભાવસાર ‘અંજુ’ના બે શેર પણ આ સમે આસ્વાદવા જેવા છે-

ઉદાસી, વેદના ને ભય! તમે સરનામું બદલો ભઈ,
મેં મિત્રોની દુઆઓથી મઢ્યું તાવીજ પહેર્યું છે.

હવે વાત હૈયાની રહેશે ન છાની,
કે બેઠા છે મિત્રો લઈ પ્યાલી ચાની.

‘મિત્રો, મેહફીલ, ચાની ચૂસકી, એ જ ખરું છે मम ऐश्वर्यम्।‘ કહેતા યુવાકવિ રાજેશ હિંગુની ‘દોસ્ત’ ગઝલના બે શેર પણ આસ્વાદીએ:

મહિનાનો થાક ચપટીમાં ઉતારનાર દોસ્ત,
જાણે કે પહેલીએ જમા થાતો પગાર દોસ્ત.

તારાથી મેં તો જોડી દીધો દિલનો તાર દોસ્ત!
ચાહે મને તું તાર કે કર તારતાર દોસ્ત!

અંતે દોસ્તી વિશે થોડા બીજા શેર માણીએ:

જરૂર જો પડે તો એ તલવાર પણ બને,
મિત્રોનું કામ, ફક્ત નથી ઢાલ પૂરતું.
(રાજેશ હિંગુ)

આ ઉદાસીને જરા સમજાવ તું..
દોસ્ત! જો આવી શકે તો આવ તું..
(હર્ષવી પટેલ)

બધાને ખૂબીઓ દેખાય છે ભરપૂર મારામાં,
તને જો ખામીઓ દેખાય તો તું દોસ્ત સાચો.
(કિશોર જિકાદરા)

ધીમી ચાલ છે, તેથી ચાલું છું પાછળ,
તને દોસ્ત, મારાથી ભય તો નથીને!
(ઉમેશ ઉપાધ્યાય)

અને અંતે દર વખતની જેમ દોસ્તી વિશેની મારી થોડી અંતરંગ લાગણીઓના લસરકા સાથે છૂટા પડીએ…

બોલો ન બોલો – બેઉમાં અંતર જરા નથી,
ભીતર જે છે એ ખોલવાની છૂટ ક્યાં છે દોસ્ત ?

સ્મિત તારું, આંખની તારી ચમક,
નવજીવન દે છે હજી મરતાંને, દોસ્ત.

ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.

કાલે હતો એથી વધારે આજે છે
દિલમાં એ રીતે દોસ્ત! તું બિરાજે છે;
ગંતવ્ય એક-એક શ્વાસનું એક જ છે કે-
જે પણ હતા, જે છે એ તારે કાજે છે.

એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !
છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !

હવે સંબંધમાં ઊઁડાણ ને લંબાણ ક્યાં છે, દોસ્ત?
કહો, શું જોડવા કે તોડવામાં વાર લાગે છે?

આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.

દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

એ યાર ક્યાં છે કે જે ઢાંકે સમસ્ત જીવતર,
નાનકડા ચીંથરાના જૂના ઉધાર સાટે?!

– વિવેક મનહર ટેલર

Comments (7)

(મનવા) – નયન હ. દેસાઈ

બે ઘડીની નિરાંત હો મનવા,
એટલા શબ્દ શાંત હો મનવા.

જ્યાં ખરીદી શકાય ટહુકાઓ,
એક એવોય પ્રાંત હો મનવા.

અશ્રુઓ કેમ સ્હેજ અટકે છે?
જે મળે તે નિતાંત હો મનવા.

સાંજ ડૂબે તો થોડાં સ્મરણોની
સ્વપ્નજોગી પુરાંત હો મનવા.

મૂળ સૂરજનાં શોધવા નીકળે,
કો’ નગર એમ ભ્રાંત હો મનવા.

મોન જેવી જ મારી વાણી હો,
શબ્દ સઘળા પ્રશાંત હો મનવા.

– નયન હ. દેસાઈ

નયન દેસાઈએ ૧૯૯૯ની સાલમાં ‘અનુષ્ઠાન’ નામે એક ગઝલસંગ્રહ આપ્યો હતો. આ સંગ્રહ ગુજરાતી ગઝલના ઇતિહાસમાં આગવું અને અલગ સ્થાન ધરાવે છે, કારણ કે સંગ્રહની કુલ એકતાળીસે એકતાળીસ ગઝલમાં એક જ રદીફ છે- ‘મનવા’. સંગ્રહ મોરારી બાપુને અર્પણ કરતી વખતે કવિએ કૌંસમાં ગઝલ તેંતાલીસા લખ્યું છે, પણ પહેલાં બે પાનાં અર્પણ અને આમુખ માટે ફળવાયા હોવાથી કુલ ગઝલ ૪૩ નહીં, પણ ૪૧ જ છે. સંગ્રહ વિશે જણાવતાં કવિ લખે છે કે, ‘જીવનમાં એવી ઘટના પણ બનતી હોય છે કે વિચાર પણ ન હોય તે કાર્ય અચાનક થઈ જાય છે. આમ જ એક દિવસ વિચાર આવ્યો કે ‘મનવા’ રદીફ પર થોડી ગઝલો લખવી છે. રોજ એક ગઝલ લખવી અને એવી ૪૦ પૂરી કરવી એવો મનમાં સ&કલ્પ કર્યો. મોટે ભાગે રોજ સવારે લખાયેલી આ ગઝલો છે.’

આ ગઝલોમાંથી કોઈ એક પર આંગળી મૂકવાનું કામ બહુ કપરું છે. પોતાના સ્વ-ભાવથી સહેજ ઉફરા ચાલીને નયનભાઈ આખા સંગ્રહમાં પ્રયોગ કરવાથી દૂર રહ્યા છે, પણ એકેએક શેરમાંથી નયન દેસાઈ ટપકે છે એય હકીકત છે. ટૂંકી બહરની આ ગઝલના દરેક શેર પાસાદાર થયા છે. પુરાંત કાફિયાને કવિએ જે રીતે અજમાવ્યો છે એના પર તો કઈ રીતે ફિદા ન થઈ જવાય?

કવિએ મોરારીબાપુને સમર્પિત કરતાં

Comments (10)

(શિખર પર કશું નથી) – સુનીલ શાહ

આકાશથી વિશેષ શિખર પર કશું નથી*,
તો પણ, શું કોઈ એવું છે જેને જવું નથી?

એ વાતથી તને શું કશુંયે થતું નથી?
તું જે કરે છે એમાં કોઈનું ભલું નથી.

હું જોઉં શું મળ્યું, તમે જોયા કરો અભાવ,
સૃષ્ટિમાં જે કશું છે, બધાનું બધું નથી.

માણસ વિશે હશે તો સમાચાર થઈ જશે,
પંખીનું ઘર વગરનું થવું એ નવું નથી!

એ બોલ્યો કે કવિતા તો શબ્દોની છે રમત,
સૌ જાણે છે કે સર્જવું એનું ગજું નથી!

વાણી મુજબનું હોય જીવન એ જરૂરી છે,
મીઠાશ હોય શબ્દમાં એ પૂરતું નથી.

– સુનીલ શાહ

(*પંક્તિ સૌજન્ય: પંકજ વખારિયા)

સાદ્યંત સુંદર ગઝલ…

Comments (25)

ગોઠવણ – વિકી ત્રિવેદી

મા, સાવ નાનકડા ઘરમાં
-અરે ઘર શાનું? ઝૂંપડું જ-
એમાં કોઈ કબાટ, તિજોરી, પેટી વગર
વ્યવસ્થાના અભાવને અવગણીને
માત્ર ઘર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને
તું શું કરી શકે છે એના ઉપર ધ્યાન આપીને
ઘરના બધા જ સભ્યોનો સામાન
વ્યવસ્થિત ગોઠવવાની તારી જે સૂઝ હતી
એ મને કામ આવી
હું પણ હવે પીડાને અવગણીને
અભાવોને નજરઅંદાજ કરીને
માત્ર હું શું કરી શકું છું એના ઉપર ધ્યાન આપીને
જેના ફકરાના ફકરા ભરાઈ શકે
એવા વિચારોને માત્ર બે લીટીમાં ગોઠવી શકું છું!

– વિકી ત્રિવેદી

લયસ્તરો પર આજે કવિના અછાંદસ સંગ્રહ ‘સંવેદનાનો વેદ’ને પોંખીએ…

નાનું અમથું પણ સ્વયંસ્પષ્ટ કાવ્ય. ગઝલના શેરની બે લીટીના ઘરમાં જે કવિને માફક આવી ગયું છે, એ પોતાની આવડતના મૂળ સાથે આપણો પરિચય કરાવવા માટે નાનકડા પણ મજાના અછાંદસનું માધ્યમ પ્રયોજે છે…

Comments (16)

સપનાં – પ્રતિષ્ઠા પંડ્યા

હું હજી આંખ ખોલતી નથી
એક સપનું ચાલ્યા કરે છે મનમાં
આંખના કમાડ પર હલ્લો બોલતી
કાળીડિબાંગ રાતોને સાવ અવગણીને
એ ભર્યે રાખે છે
ઝીણીઝીણી ટીલડીઓ
ફાટેલા આકાશમાં
રાતને અંદર ધસી આવતી રોકવા
ધણધણતા કમાડ પર પીઠ ટેકવીને ઊભી છું
ઊંડા શ્વાસ ભરતી રાહ જોઉં છું
પણ રાત મૂકતી નથી છેડો
ચાંપે છે અંધારાભરી મશાલ
મારા ઘરના છાપરા પર
એની કાળી જ્વાલાઓની લપેટમાં
ઇચ્છે છે મને ભસ્મ કરવા
નરસિંહના હાથની જેમ બળું છું
આખેઆખી મશાલ ભેગી
ને તોય જોયે રાખું છું સપનાં
કોઈ ઝાંખા અજવાળાનાં
જેમાં જોવાં મારે પરવાળાં ખીલતાં
મારા બાળની આંખોમાં.

– પ્રતિષ્ઠા પંડ્યા

લયસ્તરો પર આજે કવયિત્રીના નવ્ય સંગ્રહ ‘નરસંહારના સમયમાં પ્રેમ’ને સ્નેહપૂર્વક આવકારીએ…

સ્ત્રી અને પુરુષ સર્જકોને અલગ વિભાગમાં ન વહેંચીએ, તોય સુશ્રી પ્રતિષ્ઠા પંડ્યાનું કવિકર્મ નોખી નિજી તરેહ પાડતું અને હાંસિયામાં ધકેલી ન શકાય એવું બળકટ છે. જે સંગ્રહમાંથી આજની રચના ઉદ્ઘૃત કરી છે, એ સંગ્રહમાંથી પસાર થતાં મારે નવ નેજાં પાણી ઉતર્યાં છે. માનવસ્વભાવની કાળી બાજુ અને શોષણખોરીને હળવા પણ મક્કમ હાથે મીઠામાં બોળેલ ચાબખા મારતાં આ કાવ્યો એકી બેઠકે વાંચવા શક્ય જ ન બને. વારંવાર છાતીમાં ભરાઈ આવતો ડચૂરો પુસ્તકને બાજુમાં મૂકાવીને જ જંપે. આ કવિતા જ જુઓ ને…

Comments (12)

(શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો છે) – નયન હ. દેસાઈ

છાતીને વીંધી જે સોંસરવો નીકળ્યો એ શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો છે;
અગ્નિ ને વાયુ બે ભેગા થયા પછી સૃષ્ટિનો મોટામાં મોટો નિહાકો છે.

ટાવરનો દરવાજો ખોલીને કોઈ માણસ ભાગ્યો તો આખા શહેર સાથે પકડાયો
પૂછ્યું તો ‘હેં હેં’ એ બોલ્યો કે ખિસ્સામાં થોડી મિનિટો ને થોડા કલાકો છે.

એક ઘરમાંથી નીકળી બીજા ઘરમાં જઈએ તો માણસને બદલે દીવાલો મળે છે,
આખી ને આખી આ શેરીઓ જાણે કે ફાંસીના કેદીની તોતિંગ બરાકો છે.

બારીમાં આવીને હડુડુડુ બેઠા ને સળિયામાં ભચ્ચક ભચ્ચક ભીંસાયા,
ખિસ્સામાં નાંખેલા આ દિવસો પણ જાણે કે, ઊઠતી એકલતાના બાંધ્યા ઘરાકો છે.

મારા ગ્રીટિંગ કાર્ડ પર સાંજનું પીળુંપચ્ચ ચિત્ર, આખું વરસ સૂર્ય થઈને ડૂબ્યું,
તું માને છે જેને ‘નયન’ નામનો શખ્સ, આંસુમાં ડૂબેલો એ તો ઈલાકો છે.

– નયન હ. દેસાઈ

ગણતરી માંડવા બેસીએ તો નયન દેસાઈએ જેટલી ગઝલો લખી છે, એનાથી ત્રીજા ભાગનાં જ ગીતો લખ્યાં હશે, પણ નયનસમગ્રમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે ભલે કવિએ નિજી અભિવ્યક્તિની નૌકા બહુધા ગઝલસાગરમાં કેમ ન તરાવી હોય, મૂળે તો એ જીવ ગીતોનો જ હતો. નયન દેસાઈની જેમ જ છ અક્ષરનું નામ ધરાવતા રમેશ પારેખ વિશે પણ આવું જ કહી શકાય. ર.પા. પણ મૂળે ગીત અને લયનામાણસ હોવાથી ગઝલના રુઢ છંદોને એમણે લયથી જ તોળ્યા હતા અને એ જ કારણોસર ર.પા.ની ગઝલોમાં અનેકાનેક છંદદોષ જડી આવે છે.

નયન દેસાઈની આ ગઝલની વિશેષતા એ છે કે એમણે ગઝલમાં પ્રયોજાતા આઠ માત્રાના છંદના સ્થાને ગીતમાં વપરાતો ષટકલનો લય ખપમાં લીધો છે. એટલે ગઝલની છંદપટ્ટી લઈને માપવા બેસીશું તો મેળ જ નહીં ખાય.

ખેર, આ તો થઈ ગઝલકાર-ગીતકારો માટેની માહિતી. આપણને તો ગઝલ આસ્વાદવા સાથે મતલબ છે ને! કવિતાને સૃષ્ટિનો મોટામાં મોટો નિઃસાસો ગણાવતો મત્લા કેવો અફલાતૂન થયો છે. હૈયાની આગ અને શ્વાસોની હવા જ્યારે કાગળ પર શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો બનીને ઉતરે છે ત્યારે જ ખરી કવિતા થાય. સુરતના ભાગળ ચાર રસ્તા પાસેનો એક વિસ્તાર હજી આજેય ટાવરના નામે ઓળખાય છે. ટાવર તો આજેય છે, પણ ઘડિયાળ દાયકાઓથી બંધ પડી છે. જાણે શહેરનું ઋણ ઉતારવા ન માંગતા હોય, એ રીતે કવિએ સુરતને એમની કૃતિઓમાં ક્યાંક ને ક્યાંક ધબકતું રાખ્યું છે. જે ટાવર એક સમયે આખા શહેરની ઓળખ હતો, એ ટાવરનો દરવાજો ખોલીને ભાગી નીકળેલ માણસના ખિસ્સામાં તો થોડી મિનિટો અને કલાકો છે, પણ એ પકડાયો છે આખા શહેર સાથે… કેવી સૂક્ષ્મ વાત!

* નિહાકો – નિઃસાસો

Comments (16)

पति की प्रेमिका के नाम – रश्मि भारद्वाज

सोचती हूँ कि तुम्हें एक घर तोड़ने का इल्ज़ाम दूँ
या कि उस पुरुष के कहीं रिक्त रह गए हृदय को भरने का श्रेय
जो घर गृहस्थी के झमेलों में
शायद मेरे प्रेम को ठीक से ग्रहण नहीं कर पाया था,
तुम्हारे और मेरे मध्य
एक दूसरे से बँधने के कई कारण थे
हम उसी पुरुष से जुड़े थे
जो मुझे रिक्त कर
तुममें ख़ुद को ख़ाली कर रहा था

तुम्हारे पास जो आया था
वह मेरे प्रेम का शेष था
हमारे संबंध की बची रह गई
इच्छाओं का प्रेत,
यह कितना कठिन रहा होगा
कि तमाम समय मुझ-सा नहीं होने की चेष्टा में
मैं मौजूद रहती होऊँगी तुम्हारे अंदर
और उसकी सुनाई कहानियों के साये
आ जाते होंगे तुम्हारे बिस्तर तक

तुम मुझसे अधिक आकर्षक
अधिक स्नेहिल
अधिक गुणवती होने की अघोषित चेष्टा में
ख़ुद को खोती गईं
और मुझसे मेरा जब सब छिन गया
मैं ख़ुद को खोजने निकली
हमने जी भर कर एक दूसरे को कोसा
एक दूसरे के मरने की दुआएँ माँगीं,
हमारे मध्य एक पुरुष के प्रेम का ही नहीं
घृणा का भी अटूट रिश्ता था

मेरे पास था
एक प्रेम का अतीत
एक बीत गई उम्र
और एक बीतती जा रही देह के साथ
उसके प्रणय का प्रतीक
एक और जीवन

तुम्हारे पास था
एक प्रेम का वर्तमान
यौवन का उन्माद
देह का समर्पण
अपने रूप का अभिमान
और मेरे लिए एक चुनौती

लेकिन अपना भविष्य तो हम दोनों ने
किसी और को सौंप रखा था

यह होता कि तुमने मेरा अतीत
और मैंने तुम्हारे वर्तमान का
साझा दुःख पढ़ा होता
काश कि हमें दुखों ने भी बाँधा होता

– रश्मि भारद्वाज

વિવિધ ભાષાની મજાની કવિતાઓનો અનુવાદ કરી ગુજરાતી વાચકવર્ગ સમક્ષ રજૂ કરવું મને ગમે છે, પણ હિંદી કવિતાએ મને કાયમ મૂંઝવ્યો છે. હિંદી ભાષા આપણા વ્યવહારમાં એ રીતે અને એ હદે રચી-બસી છે કે હિંદીમાં સમજ ન પડતી હોય એવો ગુજરાતી કદાચ સપનામાં જ મળે. એમાંય આ કવિતામાં ભાષા તો કેવળ હૃદયની લાગણીઓના વહન કરવા પૂરતી જ ખપમાં લેવાઈ છે. એટલે આટલી સરળ કવિતાનો અનુવાદ કરવાના બદલે રચનાને યથાતથ આસ્વાદીએ એમાં જ ખરી મજા છે.

જે દિવસે લગ્નસંસ્થાની રચના થઈ હશે, કદાચ એ જ દિવસથી લગ્નેતર સંબંધની શરૂઆત પણ થઈ હશે. એક પત્ની પોતાના પતિની પ્રેમિકાને સંબોધવાને મિષે પોતાનું હૃદય ખાલી કરે છે એની આ રચના છે. લાખ અનિચ્છા છતાં પત્ની સ્વીકારે છે કે પોતે અને આ પરકીયા – બંને કોઈક રીતે એકમેક સાથે બંધાયેલા છે. પ્રથમ દૃષ્ટિએ બંને સ્ત્રીને બાંધનાર લઘુત્તમ સામાન્ય અવયવ એ પુરુષ છે જે કથકનો પતિ છે અને અવર સ્ત્રીનો પ્રેમી છે. પ્રેમિકા માટે પણ આ સંબંધ આસાન નથી, કારણ પ્રતિપળ સ્વયંને પુરુષની પત્નીથી ચડિયાતી સિદ્ધ કરવાની કોશિશ એને પ્રેમીની પત્ની સાથે બાંધી જ રાખે છે. પ્રેમીપત્નીથી શ્રેષ્ઠ હોવાના પ્રયત્નોમાં એ ખુદને ગુમાવે છે. બંને સ્ત્રી એકમેક સાથે ઘૃણાના બંધને પણ જોડાયેલ છે. બંને સ્ત્રી પોતાના ભવિષ્યની દોર એક જ પુરુષના હાથમાં દોંપી હોવાના તાંતણે પણ પરસ્પર સાથે સંપૃક્ત છે. બંને સ્ત્રીઓ કોઈકને કોઈક રીતે દુઃખી જ છે, પણ એકમેક સાથે નફરતથી જોડાવાના બદલે દુઃખોની ભાગીદારીથી જોડાઈ હોત તો જિંદગી કદાચ બંને માટે સહ્ય બની હોત એ સ્વીકાર આખી વાતને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે.

જાણીતા લેખિક અને અનુવાદક શરીફાબેન વીજળીવાળાના કંઠે આ રચનાનું પઠન-

Comments (13)

જતાં પહેલાં – જયા મહેતા

જતાં પહેલાં બધું આવું કેમ થતું હશે?
શ્વાસ ઊંડા ઊતરવા માંડે
આંખે નિસ્તેજ થતી જાય
જીભ થોથવાવા માંડે
શરીર આખું શિથિલ થઈ જાય..
આવું બધું થાય એ પહેલાં..
અહીંથી વિદાય ન લઈ શકાય?
ગુલાબની પાંદડીઓ પરથી
ઝાકળ હળવેથી અદૃશ્ય થાય…એમ
દૂધમલ બાળક ખિલખિલ હસતું જાગે
ને નિદ્રા સરી જાય…એમ
નવીનવી પાંખો ફફડાવતું
પંખીબાળ માળામાંથી ઊડી જાય…એમ
કોશેટાના તાંતણા વીંધી
રંગસભર પતંગિયું
બહાર નીકળી જાય એમ…
નૂરજહાનના કંઠમાંથી સરતા સૂર
ધીરેધીરે હવામાં વિલીન થાય…એમ
બધું વિવર્ણ થાય એ પહેલાં…

– જયા મહેતા
(૧૬-૦૮-૧૯૩૨ ‍ ૨૭-૦૮-૨૦૨૫)

૯૩ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી ખ્યાતનામ સર્જક – કવિ, અનુવાદક અને વિવેચક જયા મહેતાનો ક્ષર દેહ પોતાની પાછળ અ-ક્ષરદેહ મૂકીને પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. એમના ગદ્ય કૃતિઓના અને ખાસ તો વિશ્વકવિતાઓના અનુવાદોએ મને કાયમ આકર્ષ્યો છે. ઘરે રિનોવેશનના કામ સબબ તમામ પુસ્તકો ૨૦-૨૫ ખોખાઓમાં કેદ હોવાથી કમનસીબે કવિ ઉદયન ઠક્કરની ફેસબુક વૉલ પરથી મળેલ આ એક જ કવિતા એમને સ્મરણાંજલિ આપવા માટે રજૂ કરી શકાઈ છે. મૃત્યુની – સોરી, ભારતીય સંસ્કાર મુજબ આત્મા એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે એ ટ્રાન્સમાઇગ્રેશનની પ્રક્રિયા કવિએ કેવી સરળતમ ભાષામાં આલેખી છે!

वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णानि
अन्यानि संयाति नवानि देही॥

(ભગવદ્ ગીતા: અધ્યાય-૦૨, શ્લોક-૨૨)

Comments (24)

નથી – પારુલ ખખ્ખર

અર્થ વગરની આવન-જાવન પારુલને મંજૂર નથી,
તમને લાગે છો મનભાવન, પારુલને મંજૂર નથી.

હોય ન જેમાં આંસુ-પીડા, હોય ન જેમાં વિરહ સજનનો,
એવા ફિક્કા ફિક્કા સાવન પારુલને મંજૂર નથી.

રાસે રમતાં ગોપ-ગોપીકા, હોય ભલેને બંસીના સૂર,
કૃષ્ણ નથી જ્યાં એ વનરાવન પારુલને મંજૂર નથી.

સાથે ડૂબી, તરતાં શીખવે, પાર ઉતારે – એ છે સાચા,
તીર ઉભેલા પતિત-પાવન પારુલને મંજૂર નથી.

એવું કંઈક લખાવો, સ્વામી! જેની કિંમત કોટિ કોટિ,
ક.ખ.ગ.ના ફદિયા બાવન પારુલને મંજૂર નથી.

– પારુલ ખખ્ખર

ગીતનું ધ્રુવપદ હોય કે ગઝલની રદીફ, સર્જકને હરહંમેશ કંઈક નવીન, કંઈક અનૂઠાની તલાશ રહે છે. ઘણીવાર સર્જક પોતાના નામને જ અવનવી રીતે કવિતાના તારમાં વણી લઈને ભાવકને સાનંદાશ્ચર્યાની ભાવાનુભૂતિ પણ કરાવતો હોય છે. સુરતના નયન દેસાઈએ પોતાના નામને ખૂબ લાડ લડાવ્યા છે: ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન, લોહી વચ્ચેથી નીકળીને નાઠો ‘નયન’ નાગડો પૂગડો, સાંભળીને લોક વદે બોલો, હે ‘નયનરામ’. અમરેલીના પારુલ ખખ્ખરની રચનાઓમાં પણ ક્યારેક આ પ્રકારની વિધા નજરે ચડે છે- ‘પારુલને મંજૂર નથી,’ ‘પારુલ ખખ્ખર! જવાબ આપો,’  ‘પારુલદે મરશિયાં ગાય…,’ ‘પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા’

પારુલને મંજૂર નથી કહીને સર્જક પોતાની અપેક્ષાઓની યાદી આપણને આપે છે, ત્યારે એ વૈયક્તિક નથી રહેતી. સ્વાનુભૂતિ સર્વાનુભૂતિ બની જાય છે, પરિણામે રચના વાંચતાવેંત ગમી જાય છે. બધા જ શેર ઉમદા થયા છે, પણ મને કખગના બાવન ફદિયા કોટિ કોટિ કિંમતનો શેર લાગ્યો.

મત્લા સિવાય ગઝલના તમામ ઉલા મિસરામાં એક ગુરુ વધારાનો છે એ મને અંગત ધોરણે બહુ ન રુચ્યું એ અલગ વાત છે.

(ફદિયું = ચાર પાઈ, જૂનો પૈસો; કોટિ = કરોડ)

Comments (11)

જળ માનીને ડૂબકી દીધી… – ચંદ્રકાન્ત શેઠ

જળ માનીને ડૂબકી દીધી, જળમાં લાગી ઝાળ;
ડુંગર માની ઊપડ્યા, આવી આડે ખીણ કરાળ! —

ક્યાં ચઢવાનું? ક્યાં ઊડવાનું?
.                    એક જાળમાં બંધ;
લાખ પેટવો દીવા, અહીં તો
.                    દરેક જ્યોતિ અંધ!
પગલી દેખી પગલું માંડ્યું, લપસ્યા અવળે ઢાળ!
ડાળે બેઠા માળો કરવા, અધવચ ફસડી ડાળ! —

ટીપે ટીપે કાંઠો તૂટે,
.                    મોજે મોજે નાવ;
શઢના લીરે લીરે કેવા
.                    ઝંઝાનિલના ઘાવ!
મોતીની જ્યાં માયા રૂઠી, રેત બની ગૈ રાળ;
જેમ વરસવા ઊંચે ઊઠ્યા, અંદર થયા વરાળ! —

– ચંદ્રકાન્ત શેઠ

જીવનમાં કશું જ ધાર્યું ન થતું હોય એવી પળોનું ગીત. ગીતની દરેકેદરેક પંક્તિમાં એક નવીન રુપકને ખપમાં લઈને કવિએ બદનસીબી અને નિષ્ફળતાની હૈયાવરાળને બરાબર ઘૂંટી છે. અને આ કવિતા છે. કવિતા ક્યારેક સમસ્યા સૂચવે, ક્યારેક વળી ઉદાર થઈને સમસ્યાનો ઇલાજ પણ બતાવી દે; પણ સંસારની સમસ્યાઓનો ઈલાજ આપવાની જવાબદારીનો કાયમી બોજો ખભે લઈને તો એ કદી ચાલે નહીં. એરિસ્ટોટલે ‘પોએટિક્સ’માં ‘catharsis’નો જે સિદ્ધાંત વર્ણવ્યો છે એનું આ ઉત્તમ દૃષ્ટાંત છે. કદાચ એટલે જ કેવળ અને કેવળ જીવનમાં ડગલે ને પગલે નડતી અડચણોની જ વાત હોવા છતાં આ ગીત વાંચી લેવાયા બાદ પણ ક્યાંય સુધી મનમાં રણઝણતું રહે છે…

(કરાળ = વિશાળ, વિકરાળ; ઝંઝાનિલ = વંટોળિયો)

Comments (6)

ગજું – નીતિન વડગામા

જેવું જેનું ગજું.
ગજા પ્રમાણે સૌ પોતાની જાત કરે છે રજૂ.

કોઈ અભણ આંખો કોરા કાગળના અક્ષર વાંચે.
કોઈ ભણેલો હાથ જુઓને કક્કો ઘૂંટી નાચે!

કોઈ આશરો છતનો પામે કોઈ પામતાં છજું.
જેવું જેનું ગજું.

ક્યાંક નદીનાં નીર સામટાં આવી ચરણ પખાળે.
ક્યાંક ઝરણને કાજ અભાગી જીવ વીરડા ગાળે!

એક કહે કે તજું, બીજો કહે હું તો ભાવે ભજું.
જેવું જેનું ગજું.

– નીતિન વડગામા

કેવું સુંદર ગીત!

Comments (15)

આવો અગર ન આવો – નિરંજન ભગત

આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદાય આવો એવી અમારી અરજી!

આવ્યા અનેક વેળા, આનંદ શોય એથી
કે ‘આવશો સદા’ એ સપનું ગયા છે સરજી!

ને જો હવે ન આવો તો શું થશે અમારું?
કેવી રીતે જીવાશે? -એવા અમે ન ગરજી!

આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદા ય આવો એવી અમારી અરજી!

– નિરંજન ભગત
(મે ૧૯૫૭)

ગુજરાતી કવિતામાં એક યુગ નિરંજન-રાજેન્દ્રનો ગણાય છે. કવિતાની નીચે નિરંજન ભગત જેવા યુગપ્રવર્તક કવિનું નામ લખ્યું હોય ત્યારે ભાવક સહેજે સાવધ થઈ કાવ્યપ્રવેશ કરે. પણ મોટા ગજાના કવિનેય ગાંઠે તો એ વળી કવિતા શાની? આ સંદર્ભમાં કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે સિતાંશુ યશશ્ચંદ્રનું સ્મરણ થાય છે: “કવિતા કઈ રીતે રચાઈ છે એની કવિને જરા જેટલી જ ખબર હોય છે. પહેલા પાંચ પંદર શબ્દો એની કલમમાંથી ટપકી પડે એની બીજી જ ક્ષણથી કવિતા એનો કબજો લઈ લે છે ને ‘બૅકસીટ ડ્રાઈવિંગ’ કરીને એને દોરી જાય છે, કાવ્યની યદૃચ્છાગતિ આગળ કવિની પૂર્વનિર્ધારિત યોજના અવળી પડી જાય છે. પ્રવાસરેખા- બિલકુલ કોન્ફિડેન્શિયલ હોય છે જેની જાણકારી હોય તો હોય છે કેવળ કવિતાને, કવિને તો નહીં જ. એટલું નક્કી. એ માન્યતા ભૂલ ભરેલી છે કે કવિ કવિતા compose કરે છે, ખરેખર તો કવિતા જ કવિને compose કરે છે.”

સાચે જ, હૃદયની ઊર્મિ કવિના મગજને કોરાણે મૂકીને સીધી કાગળ પર જ ઢોળાઈ જાય ત્યારે અને ફક્ત ત્યારે જ આવું સહજ-સાધ્ય ગીત આપોઆપ લખાઈ જાય. કવિએ ગીત લખવા માટે ગઝલનો દ્વિખંડી છંદ પ્રયોજ્યો છે એ વાત પણ ધ્યાનાર્હ છે.

Comments (14)

બંસીવાલા, આજો મોરા દેશ! – મીરાંબાઈ

બંસીવાલા, આજો મોરા દેશ! તારી શામળી સૂરત હદવેશ.

આવન-આવન કહ ગયે, કર ગયે કોલ અનેક;
ગણતાં-ગણતાં ઘસ ગઈ જીભાં, હારી આંગળીઓની રેખ.

એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી, ઢૂંઢયો સારો દેશ;
તોરે કારણ જોગન હોઊંગી, કરુંગી ભગવો વેશ.

કાગદ નહિ મારે સાહી નાહિ, કલમ નાહિ લવલેશ;
પંખીનો પરવેશ નાહિ, કિન સંગ લખું સંદેશ ?

મોરમુગટ શિર છત્રા બિરાજે, ઘુંઘરવાળા કેશ;
મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, આવોની એણે વેશ.

– મીરાંબાઈ

આજે જન્માષ્ટમીના પાવન પર્વ પર એક મજાનું ભક્તિપદ.

Comments (2)

તારે ભરોસે છે બધું – જગદીપ નાણાવટી

ટેરવાં, તારે ભરોસે છે બધું,
શ્રી સવા, તારે ભરોસે છે બધું.

પાંખમાં એકાદ પણ પીંછું નથી,
એ હવા, તારે ભરોસે છે બધું.

દીપચંદી, દાદરા, જપતાલ ક્યાં?
કહેરવા, તારે ભરોસે છે બધું.

રણ બન્યો દરિયો, હલેસા ઝાંઝવા;
ખારવા, તારે ભરોસે છે બધું.

બદદુઆનો દૌર ચાલે છે હજી
બસ દવા, તારે ભરોસે છે બધું.

– જગદીપ નાણાવટી

નાની બહેરની ગઝલમાં લાંબી રદીફ રાખીને કામ કરવું એ દોરી પર ચાલવા જેવું કપરું કામ છે. અહીં ‘તારે ભરોસે છે બધું’ રદીફ મિસરાની મોટાભાગની જગ્યા રોકી લેતી હોવાના કારણે કાફિયા માટે કવિને કેવળ પાંચ માત્રા –ગાલગા- જેટલો જ અવકાશ બચે છે, ને એમાંય કવિ મુક્ત કાફિયાની મોકળાશ ત્યજીને ચુસ્ત કાફિયા ઉપર પોતાની પસંદગી ઉતારે એટલે કામ વધુ કઠીન બને. આટલું ઓછું હોય એમ તારે ભરોસે છે બધું જેવી રદીફને તંતોતંત નિભાવી બતાવવાનો પડકાર… અને એ પછી આપણને આટલી સરસ ગઝલ સાંપડે એટલે આપણે તો એક જ વાત કહેવી પડે- ભઈ વાહ!

Comments (24)

કોને કહું? – નિરંજન ભગત

કોને કહું? છું એકલો!
રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો!

લાલી ઉષાના ઉરથી
.           ઊઘડે અને લાજી રહે,
સંધ્યા તણા સિંદૂરથી
.           હું આંખડી આંજી રહું;
સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો!

રુદ્રનું લેાચન દહે
.           કયારેક તો મધ્યાહ્નમાં,
મુગ્ધ મારુ મન રહે
.           ત્યારે રતિના ગાનમાં;
આભ જેવા આભનો રે ભાર વહું છું એકલો!
કોને કહું છું એકલો?

– નિરંજન ભગત
(૧૯૫૦)

સરસ મજાનું ગીત

Comments

ખમ્મા! વીરાને – ન્હાનાલાલ

ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ :
બીજો સુહાગી મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

રાજ તો વિરાજે રાજમન્દિરે રે લોલ :
પારણે વિરાજે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ :
ફૂલમાં ખીલે છે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ :
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

એક તો આનન્દ મારા ઉરને રે લોલ :
બીજો આનન્દ મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

દેવે દીધી છે મ્હને માવડી રે લોલ :
માડીએ દીધો મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

– ન્હાનાલાલ કવિ

દુનિયાની દરેક ભાષામાં એક તરફ સરળતમ કવિતાઓ છે, જે સદીઓથી લોકમુખે જીવતી આવી છે અને બીજી તરફ અત્યંત કઠીન રચનાઓ છે, જે સામાન્ય જનમાનસની સમજણની પરે હોય છે… બાકીની કવિતાઓ આ બે અંતિમો વચ્ચે ક્યાંક ને ક્યાંક સ્થાન મેળવે છે. ન્હાનાલાલની આ રચના પણ બાળગીત જેવી સરળતા અને સાહજિકતાના કારણે દાયકાઓથી લોકજીભે રમતી આવી છે. અંગ્રેજી ભાષાનું ધાવણ પીને મોટી થયેલી આજની પેઢીએ કદાચ આ ગીત એમની મમ્મી કે મોટી બહેનના મોઢે સાંભળ્યું પણ નહીં હોય અને/અથવા શાળેય અભ્યાસક્રમમાં ભણવાનું પણ નહીં આવ્યું હોય… પણ આ ગીત આપણી અમર વિરાસતનું એક બહુમૂલ્ય મોતી છે, જેને રજૂ કરવા માટે આજના દિવસથી વધુ ઉપયુક્ત દિવસ અવર કયો હોઈ શકે, કહો તો?

Comments (8)

હવે – હરિકૃષ્ણ પાઠક

હવે અમારે શું ગમતું-અણગમતું?
ભાવ-શૂન્ય આ ભવસાગરમાં નાવ ભલે ને રમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?

સઢના દોર કહીં નહિ બાંધ્યા,
.               નહીં હલેસાં હાથે;
કાળ-પ્રવાહે વહ્યે જવું-બસ
.               અંધ સમયની સાથે.
ક્ષિતિજ વિષે ધ્રુવ તારક હો કે આભ શૂન્યતા ઝમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?

રટણા નહિ મઝધાર તણી
.               નહિ પાર જવાની લગની
જેવી શીત સપાટી-
.               એવો વડવાનલનો અગની.
અમે પંડથી અળગા : આ બ્રહ્માંડ ભલે ને ભમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?

– હરિકૃષ્ણ પાઠક

કેવું સુંદર ગીત! જીવનમાં બધી ધમાલ જ ભાવની છે… ભાવશૂન્યતા… અભાવ નહીં,હં! બેમાં બહુ મોટો ફરક છે… એકવાર ભાવશૂન્યતાની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, પછી શું ગમતું ને શું અણગમતું? આખી રચના એટલી મજબૂત અને મજાની થઈ છે કે એના વિશે કંઈ પણ બોલવું એટલે કવિરચિત સંઘેડાઉતાર ભાવવિશ્વમાં ખલેલ પહોંચાડવી…

Comments (13)

ઊડી જાઓ, પંખી – દુલા ભાયા કાગ

ઊડી જાઓ પંખી! પાંખુંવાળા…જી,
વડલો કહે છે, વનરાયું સળગી, મૂકી દિયો જૂના માળા.

આભે અડિયાં સેન અગનનાં, ધખિયાં આ દશ ઢાળાં જી,
આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા.
બોલ તમારા હૈયામાં બેઠા, રૂડાને રસવાળા જી;
કોક દી આવી ટૌકી જાજો, મારી રાખ ઉપર રૂપાળા…

આશરે તારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાં જી,
મરવા વખતે સાથ છોડી દે, એ મોઢાં મશવાળા.
ભેળાં મરશું, ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી;
‘કાગ’ કે આપણે ભેળાં બળશું, ભેળાં ભરશું ઉચાળા…

– દુલા ભાયા કાગ

[વનમાં આગ લાગી છે. એક વડલા પર પોપટ—પોપટીનું જોડલું ઘણાં વર્ષોથી વસતું. તેને વડલો કહે છે: “હે પક્ષીઓ! તમે ઊડી જાઓ, કારણ કે જંગલમાં લાગેલો દાવાનળ મને હમણાં બાળી મૂકશે. મારે તો પાંખો નથી, માટે બળી જઈશ. પણ તમે તમારા પ્રાણ બચાવો. હે પક્ષીઓ, ઘણાં વર્ષો સુધી તમારાં સુંદર ગાયનો સાંભળ્યાં, તે હૈયામાં વસી ગયેલ છે, જેથી અહીં મારી રાખ પર આવી કદીક એકાદ ટૌકો કરી જજો.” ત્યારે બંને પક્ષી બોલે છેઃ “હે વડરાજ! તારા આશરે અમે ઘણાં વર્ષો આનંદથી રહ્યાં, તારાં મીઠાં ફળો ખાધાં અને આજે મરણ વખતે અમે તારો સાથ છોડી દઈએ તો તો અમારાં મોઢાં કાળાં થાય. હવે તો આપણે સાથે જ મરશું, સાથે જ ફરી જન્મશું અને તારે માથે, તું મોટો થઈશ ત્યારે, અમે માળો બાંધશું.” આ તો લોકકલ્પનાની જૂની વાત છે. એનો એક દુહો છે કેઃ

‘પત્ર બિગાડે ફળ ડસે, બેઠે શીતળ છાંય;
તુમ જલો અમે ઊડીએ, જીવન કા ફલ નાંય.”] (સાભાર: ‘કાગવાણી’માંથી)

કાગની રચના વિશે શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ શું કહે છે તે પણ સાથે જ જોઈએ:
‘કવિ કાગના કાવ્યો છપાયાં પહેલાં જ પાંખો આવી જાય છે. પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં પહેલાં તો એ કાવ્યો પ્રજાની જીભે ચડી જાય છે અને દૂર-સુદૂરનાં ગામડાંમાં ગુંજવા લાગે છે.’

Comments (8)

(ગીતાજ્ઞાન છું) – હિમાદ્રિ આચાર્ય દવે

સંશયાત્મા ચિત્તના સંશયનું ઉદ્ગમસ્થાન છું,
સ્થિતપ્રજ્ઞોની સ્થિતિનું હું મહાપ્રસ્થાન છું.

વ્યોમ, ગ્રહ, નક્ષત્ર, તારક દિવ્ય અંશુમાન છું,
હું જ બ્રહ્માંડીય ઉર્જાનું ભીનું અવધાન છું.

હું અરવની શૂન્યતા, આહત-અનાહત નાદ પણ,
દિવ્યસત્તા શ્લોકની, ઋષિઓનું શ્રુતિગાન છું.

હું સમષ્ટિનાં સકળ તત્વો તણો આધાર, હા!
વ્યાપ્ત છું કણ-કણ મહીં ને તોય અંતર્ધ્યાન છું.

પ્રાણમાં ને પ્રકૃતિમાં, પાપમાં ને પુણ્યમાં,
રજ, તમસ ને સત્વનું રસમય મહાનુષ્ઠાન છું.

પ્રેયનો હું છું પથિક ને શંખ છું હું શ્રેયનો,
સવ્યસાચી, હે! સમરવેળાનું હું વીરગ઼ાન છું.

હું જ હર ને હું હરિ, બ્રહ્મા વળી અપરાપરા,
વૈખરી હું, વાગીશા, પ્રથમા ને હું શ્રીમાન છું.

જ્ઞાનનિષ્ઠા, ધર્મનિષ્ઠા પ્રેમનિષ્ઠા, પાર્થ હે!
કર્મનિષ્ઠા હું જ છું, હું યોગનું વિજ્ઞાન છું.

વિશ્વપટલે હું રચું છું મોહ -માયાજાળ ને,
અંતિમે હું તો અનાસક્તિનું જયજયગાન છું.

કાળ છું હું, જન્મ-મૃત્યુની વિજન ઘટમાળમાં,
હું જ યાત્રા, હું જ યાત્રી, હું જ યાત્રાસ્થાન છું.

બ્રહ્મ છું! સાંભળ, બધા સંશય મૂકી, લઈ લે શરણ,
ને વળી કહું છું, યથેચ્છા કરજે – ગીતાજ્ઞાન છું.

– હિમાદ્રિ આચાર્ય દવે

કવયિત્રીના શબ્દવિશ્વ સાથે આ મારો પ્રથમ પરિચય પણ ગઝલના વિષયે પહેલી નજરે કુતૂહલ જન્માવ્યું. ગઝલમાં ગીતાજ્ઞાન? અગિયાર શેરની ગઝલ પણ વાંચતાવેંત દિલને સ્પર્શી ગઈ. ગીતાના અલગ-અલગ અધ્યાયોના અલગ-અલગ સાર સર્જકે બહુ સરસ રીતે ગઝલમાં વણી લીધા છે. કાફિયાની પસંદગી તો કાબિલ-એ-દાદ છે જ, અરવની શૂન્યતા, આહત-અનાહત નાદ, સમરવેળા, અપરાપરા, વાગીશા જેવા શબ્દોની પસંદગી પણ સર્જકની સપૂરતી સજ્જતાના દ્યોતક છે. લગભગબધા જ શેર ધ્યાનાર્હ થયા છે…

લયસ્તરો પર આ નવ્યસર્જકનું સ્વાગત છે..

Comments (22)

(ઘમ્મરવલોણાનું ઘમ્મ) – નયન હ દેસાઈ

એકાંત કેટલું સરસ છલકાતું છમ્મ જો!
ટોળે મળીને ગાય છે તમરાંઓ તમ્મ જો!

બાળકને પાટીપેનની સાથે જો જોઉં છું,
વાગે છે મારી પીઠ પર સોટીઓ ચમ્મ જો.

આવીને કોણ સ્વપ્નમાં બીવડાવી જાય છે?
ઊંડા કૂવામાં સાંભળું મધરાતે ભમ્મ જો!

માની લીધું કે પ્રેમની ભાષા છે મોન –પણ
આવું તે હોય ટૂંકમાં કહી દો છો હમ્મ જો?

શોધે નયન કાં હૉર્નની ચીસોમાં બાળપણ,
સૂરતમાં ક્યાંથી ઘમ્મરવલોણાનું ઘમ્મ જો!

– નયન હ દેસાઈ

વધુ એક ‘નયન’ બ્રાન્ડ ગઝલ. આવા કાફિયા અને આવી બાની કેવળ નયન દેસાઈની કલમથી જ અવતરી સકે. કવિએ જે જમાનામાં ઇન્ટરનેટ નહોતું અને વૉટ્સએપ-ઇન્સ્ટા તો સ્વપ્નમાંય આવતા નહોતા એ જમાનામાં આજના જમાનાની પ્રેમની ભાષાવાળો શેર લખ્યો છે. કવિને આર્ષદૃષ્ટા કહેવામાં આવે છે. આ કવિને ખ્યાલ આવી ગયો હશે કે આવતી કાલની પેઢી એમનું અડધોઅડધ કામ હમ્મ– hmm -થી ચલાવવાની છે?

(કેટલાક છંદ-દોષ અવગણી શકાયા હોત, પણ નયનભાઈ કોઈક અલગ જ દુનિયામાંથી આવ્યા હતા…)

Comments (15)

વીણેલાં મોતી – વિનોદ ઓઝા

કેવો બન્યો બનાવ, કશું જાણતો નથી,
કોણે કર્યો છે ઘાવ, કશું જાણતો નથી.

આકાર શોધીએ કે નિરાકાર શોધીએ,
શબ્દો મહીંથી કોઈ મદદગાર શોધીએ.

શાંત જળમાં કેમ આ ઊઠ્યાં વમળ?
કોણ ફેંકે છે નજર આ જળ તરફ?

એક, કેવળ એક પળની શોધમાં,
મીટ માંડી છે સતત હર પળ તરફ.

ડાળ પરથી પાંદડું નીચે ખર્યું હશે,
એ ક્ષણે એ ડાળને શું શું થયું હશે?

હાથમાં લીધાં કલમ કાગળ હવે,
જોઈએ શું થાય છે આગળ હવે.

આ હવામાં જેટલાં રજકણ હતાં,
શબ્દને પણ એટલાં કારણ હતાં.

આયનો તોડી કદી હું નીકળી શકતો નથી,
એટલે ક્યારેય હું ખુદને મળી શકતો નથી.

જો બારણાં હો બંધ તો ખોલી શકાય છે,
ખુલ્લી હવાની કેદ ક્યાં તોડી શકાય છે?

જિંદગીભર બોજ જેનો ઊંચક્યો,
છેવટે એ ખાલી થેલો નીકળ્યો.

એમ નહીં ભૂલી શકો સહેલાઈથી,
આ ગઝલ છે, આજનું છાપું નથી.

તું હવે વરસી પડે તો માનશું,
ખૂબ સાંભળ્યું છે તારું ગાજવું.

જિંદગીની એ જ છે સાચી મજા,
સ્મિતનું આંસુની સાથે આવવું.

– વિનોદ ઓઝા

લયસ્તરો પર આજે એક ‘તાઝા કલમ’ અને ‘તાઝા કલામ’ને સસ્નેહ આવકારીએ… કવિ વિનોદ ઓઝાના ગઝલ સંગ્રહ ‘કશું જાણતો નથી’માંથી પસંદગીના કેટલાક શેર મમળાવીએ….

Comments (15)

બાજત શબદ મૃદંગા – રાહુલ તુરી

બાજત શબદ મૃદંગા,
સુર તાલ લય વિલય થતાં જ્યાં સત્ત ખડા સરભંગા.

હાલ ચાલ સબ ખાલ ભાલ પર અજબ તેજ અંબાર,
અલખ ખલક સબ ફલક ઉપર આ નિરખત નૈન અપાર.
અટલ અવિચળ નાદ અનાહદ અનહદ હે આનંદા…

રવ અરવ સબ હોત ગરક જ્યાં થતા નહીં થડકારા,
રોમ વ્યોમ અરુ ભોમ હોમ ત્યાં સકળ શુન્ન સંસારા.
અકળ અગોચર એક અડિખમ અચરજ ભરા અભંગા…

– રાહુલ તુરી

મિશ્ર બોલીમાં રચાયેલ આ ગીત એના શ્રુતિસૌંદર્યને કારણે વાંચતા, સોરી, ગણગણતાવેંત આકર્ષી લે છે. પ્રવાહી લયોપરાંત પંક્તિએ-પંક્તિએ આંતર્પ્રાસાવલિ અને વર્ણસગાઈના રણકારના કારણે એક વાચ્યચિત્ર આંખો સમક્ષ ખડું થાય છે.

હું આધ્યાત્મમાર્ગનો અભ્યાસી નથી એટલે કાવ્યમાં રજૂ થયેલ આધ્યાત્મ-ફિલસફીની ગુણવત્તા વિશે કશું કહી શકવાને સમર્થ નથી, પણ જે વાચ્યાર્થ મને સમજાયો છે તે આ મુજબ છે: શબ્દને આપણે ત્યાં બ્રહ્મ ગણવામાં આવ્યો છે. એથી જ શબ્દનું મૃદંગ વાગતાવેંત સુરતાલ અને લય બધાનો વિલય થઈ જાય છે. માણસનાં હાલચાલ અને કાયા ઉપર અજબ તેજનો અંબાર છવાઈ જાય છે. ત્રિલોકને તાગી શકે એવી અપાર દિવ્ય દૃષ્ટિ સાંપડે છે. અટલ, અવિચળ અનાહતનાદ ગૂંજતા અનહદ આનંદાનુભૂતિમાં માનવમન સરી પડે છે. અવાજ અને મૌન –બંને નાશ પામે, હૃદયના થડકારા પણ સ્થિર થઈ જાય એવી સમાધિની અવસ્થામાં અસ્તિત્વના રૂંવેરૂંવા આકાશ બની રહે અને ધરતી યજ્ઞ બની રહે છે. સંસાર શૂન્ય બની રહે છે. જે પરાપૂર્વથી અકળ અને અગોચર રહ્યો છે એવા અડીખમ અચરજ સમા ઈશ્વરના સાક્ષાત્કારની આ ક્ષણે શબ્દના મૃદંગ અને અનહદ આનંદ સિવાય કશું જ બચતું નથી.

(સરભંગા=સર્વાંગી; બધામાં મળી જાય તેવું; ખલક=દુનિયા; ફલક=આકાશ, સ્વર્ગ; અરુ=અને)

Comments (14)

(માનપાન છોડીને) – ગૌરાંગ ઠાકર

આવું હું માનપાન છોડીને,
ક્યાંથી આવું સ્વમાન છોડીને?

ખંડખંડે જુદા જીવન જોઈ;
ઘર ગયું છે મકાન છોડીને.

ફૂલ બેબસ હતાં તો બેસી રહ્યાં,
ખુશબૂ ગઈ ફૂલદાન છોડીને.

રાધા વરદાન માંગવા કહે છે,
એમ પણ કહે છે, ક્હાન છોડીને.

તું કરે એ જ ઠીક થાય છે તો
ચાલ, બેસું સુકાન છોડીને.

મેરુ છું, મણકામાં મળું તને, પણ
એકસો આઠ સ્થાન છોડીને.

– ગૌરાંગ ઠાકર

લયસ્તરો પર આજે સત્કારીએ કવિશ્રીના નૂતન ગઝલસંગ્રહ ‘તમને ગઝલ તો કહેવી છે’ને!

મત્લામાં માનપાન અને સ્વમાન વચ્ચેનો બારીક તફાવત જોયો? આમા તો માનપાનમાં પણ માન આવી જજાય છે, પણ કવિ જ્યારે બેને અલગ તારવી બતાવે છે, ત્યારે આપણી સમજણના ઓરડામાં સૂક્ષ્મ ચમકારો થાય છે. માનપાન એ કેવળ દેખાડાના દાંત છે. ઘર મકાન છોડીને ચાલ્યું ગયું હોવાની વ્યંગોક્તિ અને રાધાની વરદાન આપવાની અનૂઠી પદ્ધતિ ઉપર તો સમરકંદો બુખારા ઓવારી દેવાનું મન થાય. ઈશ્વરને પડકાર ફેંકતો સુકાન છોડી બેસી જવાની વાત કરતો શેર પણ હૃદયસ્પર્શી થયો છે.

Comments (18)

પત્રમાં – જિતેન્દ્ર પ્રજાપતિ

ચોખવટ ક્યાં કઈ કરી’તી પત્રમાં,
એમણે બસ ‘ના’ લખી’તી પત્રમાં.

ભૂતકાળ આખોય ભીનો થઈ ગયો,
આહ થોડીક નીતરી’તી પત્રમાં.

એક અક્ષરમાં સમાવીને જગત,
ભીંત જાણે કે ચણી’તી પત્રમાં,

પત્ર ખોલ્યા બાદ આંખો કેદ થઈ,
બેડીઓ જાણે જડી’તી પત્રમાં.

હોશમાં આવ્યો નથી વાંચ્યા પછી,
ગમખ્વાર ઘટના ઘટી’તી પત્રમાં.

– જિતેન્દ્ર પ્રજાપતિ

લયસ્તરો પર આજે કવિશ્રીના ગઝલસંગ્રહ ‘સાદના દીવા’નું અજવાળું આવકારીએ…

મજાની મુસલસલ રચના… પત્રોનો એક જમાનો હતો, એક દબદબો હતો… સદીઓના એકહથ્થુ શાસન બાદ એનું સ્થાન ઇમેલે લઈ લીધું. પણ ત્રણેક દાયકામાં તો ઇમેલનું સ્થાન પણ હતું ન હતું થઈ ગયું. પણ મારા સહિતના અનેક ભાવકોની ઘણી બધી જિંદગી પત્રોના સધિયારે વીતી છે. એવા મિત્રો માટેની આ ગઝલ. છેલ્લા શેરની છેલ્લી પંક્તિના છંદદોષને બાદ કરતાં આખી ગઝલ કેવી સ-રસ થઈ છે!

Comments (14)

સૂરજમુખી – ચંદ્રકાન્ત શાહ

ત્રણ ને દસની સ્ટૅમ્પ લગાડી પોસ્ટ કરું છું
સ્ટૅમ્પ જોઈને ધાર, હશે આ કાગળમાં શું?

ત્રણ ને દસમાં આવે આખો ગ્રંથ
ઘણા ફોટાઓ બ્લૅક ઍન્ડ વ્હાઇટ
શું બૉક્સમાં તાજી-માજી કુકીઝ
આવે પાર્સલ પિન્ક રિબન બાંધેલું ટાઇટમ્ ટાઇટ

બીજી થોડી વધુ સ્ટૅમ્પ ચોંટાડી, આ લે, હું આવું છું—

સૂરજમુખી થઈ કાગળમાં આવે ક્યારેક
સહિયારો સોનેરી કૂણો સમય સાવ અકબંધ
કોકો શનેલ જેવી આવે
તું આવ્યાની કાચી પાકી સુગંધ

કાગળ લખવા જેટલું અંતર કાપી, ત્રણ ને દસની કોફી પીશું
સ્ટૅમ્પ જોઈને ધાર, હશે આ કાગળમાં શું?

– ચંદ્રકાન્ત શાહ

એક જમાનો હતો જ્યારે આપણે પત્ર લખતા હતા કોઈનો પત્ર આવશે એ આશામાં રોજ ટપાલીની કાગડોળે રાહ પણ જોતા હતા. પણ આજે આપણી વચ્ચે એક એવી પેઢી શ્વાસ લઈ રહી છે, જેણે જીવનમાં એકેય ટપાલ લખી જ ન હોય. ચંદુના હુલામણા નામથી જાણીતા ડાયાસ્પોરા કવિ ચંદ્રકાન્ત શાહ રુઢ કાવ્યધારાથી સદૈવ ઉફરા ચાલ્યા છે. પ્રસ્તુત ગીત એનો એક દાખલો છે. ત્રણ ને દસની ટિકિટ ચોડીને કવિએ પત્ર તો મોકલ્યો છે, પણ સામા પાત્રને આહ્વાન પણ આપ્યું છે કે ટિકિટ જોઈને અંદર શું હશે એ ધારી બતાવ. એક જાણીતો શેર યાદ આવે: ‘आदमी पहचाना जाता है क़याफ़ा देख कर, ख़त का मज़मूँ भाँप लेते हैं लिफ़ाफ़ा देख कर।‘ ત્રણ ડોલર ને દસ સેન્ટમાં બીજું શું શું થઈ શકે એની યાદીની સમાંતરે કવિએ મજાના ગીતની ગૂંફણી કરી છે… ગીતની અડખેપડખે બેસીને ભાવની કોફી પીતાં પીતાં કવિતાની કાચી પાકી સુગંધથી તર થઈએ…

Comments (10)

(માણવા જેવો હતો) – ભાવિન ગોપાણી

મને પાગલ બનાવી મારવા જેવો હતો,
હજી થોડો વધારે ચાહવા જેવો હતો.

બધી વાતે ખુલાસો ટાળવા જેવો હતો,
સમજદારીને મોકો આપવા જેવો હતો.

તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા,
એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો.

હું માનું છું, બહુ ખોટું થયું, છુટ્ટા પડ્યા,
એ માને છે કે છેડો ફાડવા જેવો હતો.

હતો પાતાળને લાયક, મળ્યું આકાશ છે,
ઉછાળ્યો છે, જે કિસ્સો દાટવા જેવો હતો.

તમે ભગવાનની તસવીર ટાંગી ભીંત પર?
તમારે તો અરીસો ટાંગવા જેવો હતો.

ન ફરક્યું સ્મિત ને ફરક્યું તો લાંબું ના ટક્યું,
ઉદાસી પર ભરોસો રાખવા જેવો હતો.

અમુકને તેડવા મજધારમાં પહોંચી ગયો!
કિનારાને કિનારે બાંધવા જેવો હતો.

ઊઠ્યો પડદો અને નાટક થયું એવું શરૂ,
હવે લાગે છે પડદો માણવા જેવો હતો.

– ભાવિન ગોપાણી

કવિના વધુ એક ગઝલ સંગ્રહ ‘ઓસરી’નું લયસ્તરોના આંગણે પ્રેમપૂર્વક સ્વાગત કરીએ…

સરળ ભાષામાં સરસ ગઝલ કઈ રીતે કહી શકાય એ જાણવું હોય તો આ કવિ પાસે આવવું રહ્યું. આજે મોટાભાગના ગઝલકાર જ્યાં પાંચ શેર પર અટકી જાય છે, ત્યાં પરંપરાના શાયરો સાથે કોઈ પરાપૂર્વનો નાતો ન હોય એમ લાંબી ગઝલ આપવામાં, શક્ય કાફિયાઓનો કસ કાઢવામાં આ ગઝલકાર અચકાતા નથી. નવ શેરની નવસેરા હાર જેવી મજાની ગઝલ સાથે શાયરને સત્કારીએ…

Comments (9)