ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?
કૃષ્ણ દવે

વૃદ્ધ મજૂરનું ગીત – અશોક ચાવડા ‘બેદિલ’

બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

સાંજ પડે ને ઝાલરટાણે તારે મંદિરીયેથી છોને નીકળવાનું થાતું!
મારી સામું તું જુએ ના, તારી સામે નત મસ્તકથી મારે ના જોવાતું.
આંખ જરા જો બારી લગ પહોંચે તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા…
બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

મારા પગ પર ઊભા રે’વું મારાથી ના બનતું, કેવો થાક લઈને જીવું!
મારી ઉપર રોજે આખું આભ તૂટે છે, જન્મારાનો વાંક લઈને જીવું;
જાત ગળાતાં વાર હવે શી, હોવાનો અણસાર લઈને અરમાનો ઓગળિયા…
બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

– અશોક ચાવડા ‘બેદિલ’

સમાજના લલાટે અસ્પૃશ્યતાનું કલંક પહેલાં જેટલું ઘાટું હતું, એટલું આજે નથી રહ્યું, પણ હજીય નાનાં-નાનાં ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં આ દૂષણ લગભગ એમનું એમ પ્રવર્તમાન છે. સમાજના આ તિરસ્કૃત વર્ગ માટે આજેય ઘણી જગ્યાએ મંદિરપ્રવેશ વર્જ્ય છે. મંદિર પાસેથી પસાર થતી વેળા એમણે ફરજિયાતપણે મસ્તક નમાવીને ચાલવું પડે, જેથી એમની નજર મંદિર કે મંદિરમાં બિરાજમાન મૂર્તિ પર ન પડે. કાવ્યોચિત વક્રોક્તિ એ છે કે બીડીના ઠૂંઠે શામળિયાને યાદ કરતા ભક્તને ખબર છે કે એ તો સામાજિક કુરિવાજના પ્રતાપે ઈશ્વર સામે નથી જ જોઈ શકતો, પણ ઈશ્વર સુદ્ધાં એમની સામે જોતો નથી. ભગવાન જો જોતો હોત, તો આ હાલત હોત? બીડીનું એક ઠૂંઠૂં –મને તો આ વાત પણ સ્પર્શી ગઈ… ગરીબ માણસ પાસે આખી બીડી તો ક્યાંથી હોય? અમીર માણસોએ ફેંકી દીધેલ ઠૂંઠા પર જ એમણે તો ગુજારો કરવાનો હોય ને!

9 Comments »

  1. Hiren K Mungla said,

    September 18, 2025 @ 11:54 AM

    ષટકલ માં ઊતમ ગીત

  2. વિવેક said,

    September 18, 2025 @ 12:25 PM

    @હીરેન મુંગડા:

    ષટકલનો લય નથી…

  3. Ramesh Maru said,

    September 18, 2025 @ 12:30 PM

    વાહ…

  4. વ્રજેશ said,

    September 18, 2025 @ 12:59 PM

    અદભુત માનવસંવેદના….

  5. Daxa sanghavi said,

    September 18, 2025 @ 2:14 PM

    ઝીણું સંવેદન

  6. Jigisha Desai said,

    September 18, 2025 @ 2:40 PM

    Khubsaras….સંવેદનશીલ ગીત

  7. Vinorai said,

    September 18, 2025 @ 3:47 PM

    💐

  8. DILIPKUMAR CHAVDA said,

    September 18, 2025 @ 6:28 PM

    વાહ,
    અસ્પૃશ્યતા ની વાત ખૂબ જ નાજુક રીતે
    અને ભગવાન સમક્ષ ફરિયાદને અદભુત રીતે રજૂ કરી છે
    અભિનંદન કવિને

  9. Parbatkumar nayi said,

    September 18, 2025 @ 10:43 PM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment