જાણ છે - કોનાં સ્મરણરૂપે તું છે ?
આંસુ, વ્હાલા; આટલું બરછટ ન હો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

એક જણ – નીતિન વડગામા

એક જણ આવે અને સાતેય રંગો અવતરે.
એક જણ જાતાં જ માથે આભ કાં તૂટી પડે?

એક જણ આવે અને અવસર રચાતો ઉંબરે.
એક જણ જાતાં જ આખું આંગણું હીબકે ચડે!

એક જણ આવે અને મનનું સરોવર આછરે.
એક જણ જાતાં જ જળની સાથ કાંઠા ખળભળે!

એક જણ આવે અને અજવાસ ઊગે કાંગરે.
એક જણ જાતાં જ અંધારું બધે ઘેરી વળે!

એક જણ આવે અને ઠૂંઠુંય પાછું પાંગરે.
એક જણ જાતાં જ કૈં કાતિલ કુહાડી ઊછળે!

એક જણ આવે અને રણને ઝરણમાં ફેરવે.
એક જણ જાતાં જ આ વહેતી નદી ભડકે બળે!

એક જણ આવે અને આયાત આખી ઊતરે.
એક જણ જાતાં જ કાગળ સાવ કોરો તરફડે!*

– નીતિન વડગામા

(*સ્મરણ : થાઈલેન્ડની રામકથામાંથી મોરારિબાપુની વિદાય)
.
કવિએ ભલે મોરારિબાપુને સ્મરણમાં રાખીને રચના કેમ ન કરી હોય, પણ કવિતા કાગળ પર અવતરે પછી કંઈ કવિના કાબૂમાં રહે? કવિતામાં જે ‘એક જણ’ની વાત છે, એ કવિ માટે ભલે ગમે તે હોય, પણ મારા-તમારા સૌ માટે એ અલગ અલગ છે. કવિતા વાંચતા જ આપણા સહુના મનમાં એ ‘એક જણ’ તરવરી આવે છે, જેના આવવાથી જીવન સપ્તરંગી મેઘધનુષ્ય જેવું સોહામણું બની જાય અને જતાવેંત માથે આભ તૂટી પડે. રચનાને ગઝલ કહો, ગીત કહો કે વિશુદ્ધ ઊર્મિકાવ્ય- અંતે તો હેમનું હેમ હોયે, ખરું ને!

6 Comments »

  1. Ramesh Maru said,

    September 26, 2025 @ 12:21 PM

    વાહ…

  2. મધુસૂદન પટેલ 'મધુ' said,

    September 26, 2025 @ 12:46 PM

    વાહ! સરસ. અંતે તો… ✔️

  3. Lalit Trivedi said,

    September 26, 2025 @ 6:05 PM

    સરસ કાવ્ય… રાજીપો

  4. Hiren K Mungla said,

    September 26, 2025 @ 8:42 PM

    સરસ કાવ્ય

  5. Shailesh Gadhavi said,

    September 26, 2025 @ 10:01 PM

    વાહહ

  6. Varij Luhar said,

    September 26, 2025 @ 10:51 PM

    વાહ સરસ ગઝલ અને આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment