નવા આંક – નિરંજન ભગત
એકડે એકો
પરમેશ્વરને નામે પહેલો મેલો મોટો છેકો!
બગડે બેય
પ્રેય જે જે લાગે તેને માની લેવું શ્રેય.
ત્રગડે ત્રણ
કીડીને તો મણ આપો, હાથીને દો કણ!
ચોગડે ચાર
ફૂલનું શું મૂલ? હવે પથ્થરને તાર!
પાંચડે પાંચ
સાચનેયે આંચ, એથી ભલી મારી લાંચ.
છગડે છય
ગાડી ગીર્વાણની ને જોડી દેવો ‘હય’.
સાતડે સાત
બોબડા ને તોતડાની નવી કરો નાત!
આઠડે આઠ
ત્રણ છોડો ત્યારે નવી તેર બાંધો ગાંઠ!
નવડે નવ
આટઆટલું કરીને અહીં ગુજારો જો ભવ—
એકડે મીંડે દશ
દાનવ ન માનવથી થશે તોયે વશ?
– નિરંજન ભગત
આજથી લગભગ પંચોતેર વર્ષ પહેલાં ૧૯૫૧ની સાલમાં કવિએ આ રચના કરી, ત્યારે શીર્ષક આપ્યું હતું – નવા આંક! વચ્ચે સાડા સાત દાયકાના વહાણાં વીતી ગયાં હોવા છતાં આ આંક હજી પણ એવા ને એવા નવા જ નથી લાગતા? આજની પેઢીને તો કદાચ આ રીતે આંક પણ હવે શીખવા નહીં મળતા હોય. દરેક આંકની સાથે કવિએ મનહર છંદમાં વક્રોક્તિના સહારે જે કાવ્યગૂંફન કર્યું છે એ કેવું મજાનું છે! આખું કાવ્ય સમજાઈ જાય એવું છે પણ ‘છગડે છય’વાળી એક કડી વિશે બે શબ્દ કહેવાનું મન થાય છે: ગીર્વાણ એટલે દેવભાષા-સંસ્કૃત અને હય એટલે ઘોડો. દેવોએ આપેલી વાણી પર લગામ રાખવાના બદલે આપણે ઘોડો જોડી દઈ મનફાવે એમ દોડતી રાખીએ છીએ. આખી રચનામાં કવિએ કેવળ ‘હય’ શબ્દને અવતરણચિહ્નમાં ગોઠવ્યો છે. વક્રોક્તિ ભાવકના ધ્યાન બહાર ન રહી જાય તેથી?


Meena Parekh said,
September 20, 2025 @ 11:39 AM
વાહ ખૂબ સરસ.
Varij Luhar said,
September 20, 2025 @ 1:14 PM
વાહ .. સરસ કાવ્ય
Dr. Vrajlal Savaliya said,
September 20, 2025 @ 1:21 PM
ખુબ સુંદર