સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.
પંકજ વખારિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કવિ

કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આપણ બેઉ ‘અ-નોખા’ – કુમાર જિનેશ શાહ

તું વૈકુંઠે, હું ધરતી પર, આમ તો નોખા નોખા.
. . . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

તારા જેવો હું છું ને તું મારા જેવો લાગે,
મારી ઝાલર, તારી બંસી સંગે સંગે વાગે.
દિલની ડેલી શણગારીને ખોલું નૈન ઝરોખા.
. . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

કદંબની લીલી ડાળી કો’ મારા અંદર વાવે,
ચકલી થઈને તું એ ડાળે ઝૂલવા માટે આવે.
તું લઈ આવે કંકુ ને હું લાવું ચપટીક ચોખા.
. . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

તું આપીને વિસરી જાતો પૂરેલાં કંઈ ચીર,
હુંય ધરાવી ખુદ પી જાઉં તારા નામે ખીર.
શું તારું, શું મારું, શીદને કરવા લેખાંજોખાં.
. . . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

– કુમાર જિનેશ શાહ

હળવે હળવે માણવાની રચના…

Comments (7)

ઊંચા ગજાનો – પીયૂષ ચાવડા

રોજ પજવે અવનવી રીતે, કરું હું શું ખુલાસો?
હું સમયના ગાલ પર મારી નથી શકતો તમાચો.

કોઈ મારી ભીતરે ખોદી જુઓ, લાશો પડી છે,
રોજ ઇચ્છાઓ મરે છે, ને ઊઠે રોજે જનાજો.

ફૂલ સુધી પહોંચતી નહિ, કેદ દૃષ્ટિ કંટકોમાં,
આંખ સામે છે બગીચો કેટલો સુંદર મજાનો!

એક પળમાં માલિકે ખાલી કરાવ્યું શ્વાસનું ઘર,
સાથમાં પણ લઈ શક્યો નહિ, વિસ્તરેલો મુજ લબાચો.

જન્મ તો દીધો પરંતુ ‘મોત’ પાસે રાખ્યું છે તેં,
તુંય ખેલાડી નીકળ્યો કેટલા ઊંચા ગજાનો.

– પીયૂષ ચાવડા

આમ તો બધા જ શેર ગણગણી શકાય એવા છે પણ મને કંટકોમાં કેદ થઈને રહી ગયેલી દૃષ્ટિ વધુ ગમી ગઈ. નજરની સામે મજાનો આખો બગીચો ખીલ્યો હોય પણ માણસની નજરમાં ખોડ હોય તો એને ફૂલ નહીં, કાંટા જ દેખાશે. શાળામાં અભ્યાસ કરતા હતા એ સમયે હિંદીના પાઠ્યપુસ્તકમાંના એક પાઠનું લાંબુલચ શીર્ષક –युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला, और दुर्योधन को कोई सज्जन नहीँ मिला- યાદ આવી ગયું.

Comments (10)

આટલો તો વહાલો તું લાગ મા – નેહા પુરોહિત

આટલો તો વહાલો તું લાગ મા;
રુદિયામાં રહેવાનું, નસનસમાં પેસીને આખી ને આખી તો તાગ મા..

ઝાડવાની જેમ સાવ છાનેરો રોપાયો, કોળ્યો સમૂળ મારી જાતમાં;
દિવસે જો માપું તો વ્હેંત વ્હેંત વધતો ને વાંભવાંભ વધતો તું રાતમાં,
લ્હેરખીની સાથ તું તો તાલ દઈ નાચે, અને હેતનો હિલ્લોળ આખા બાગમાં..
આખી ને આખી તો તાગ મા..

નેહનું અદીઠ કોઈ જંતર બાજે છે, મારાં અંતરમાં સૂરનાં છે પૂર ,
કહેવું, ના કહેવુંની અવઢવમાં રાચતી હું જીવતર માણું છું ભરપૂર..
ફાગણિયો ફાગ ગાઈ, મનગમતો રાગ ગાઈ, લઈ લે આ લુચ્ચીને લાગમાં ;
આખી ને આખી તો તાગ મા..

– નેહા પુરોહિત

સહજ અભિવ્યક્તિનું પ્રભાવક પ્રણય ગીત.  હળવો ઉપાલંભ આપીને નાયિકા નાયક માટેની પોતાની દિન દૂની, રાત ચૌગૂની વધતી લાગણીઓને કેવી સરસ રીતે આલેખે છે! લહેરખીની સાથે નાયક તાલ પૂરાવે એટલામાં આખા જીવનમાં હેતનો હિલ્લોળ રેલાઈ જાય એ સાચી કવિતા છે…

Comments (13)

ચાલ્યો જવાનો સાવ – મનોજ ખંડેરિયા

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

આ ચાકડેથી ઘટને ઉતારી વિખેરીને
માટી અઘાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

ખાલી કડાંનો કાળો કિચુડાટ રહી જશે
હિંડોળા-ખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

મનગમતી અહીંની ધૂળમાં ચાદર રજોટી મેં
એ મેલી-દાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

તું છેતરી લે તોલમાં, પણ ભાવ બે ન રાખ
નહીંતર હું હાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઈ
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

– મનોજ ખંડેરિયા

છેલ્લેથી બીજો શેર જુઓ…..આવી અભિવ્યક્તિ મનોજભાઈને જ સૂઝે !!!

Comments (3)

સોશ્યલ ડિસ્ટન્સિંગ – વિવેક મનહર ટેલર

સોશ્યલ ડિસ્ટન્સિંગ કે ઝીરો ડિસ્ટન્સ? ચોવીસે કલાક ઘર વિમાસે
કોરોના છીંકે છે કે ભૂલથીય કોઈ કોરો ના રહી જાય
ઊઘાડી ભીડ જોઈ ગ્રોસરી સ્ટોર ભાગ્યો માસ્ક શોધવા
કર્ફ્યૂનો અમલ બરાબર થાય છે કે કેમ એ જોવા થોડા શ્વાસ સળવળ્યા
મોબાઇલની બેટરીની આવરદા અચાનક અડધી થઈ ગઈ
બધાં બધું જ જાણે છે પણ કોઈ જ કંઈ જ જાણતું નથી.
કામવાળાંઓના વેકેશને ગૃહિણીઓને (કદાચ) ગૃહસ્થોનેય માંજી નાંખ્યાં
તીનપત્તી રમતો માણસ હવે ઓળખાયો બાપ નીકળ્યો
વર્ષોથી ડાઉન થઈ ગયેલાં લૉક અવાજ કરી-કરીને પણ ખૂલ્યાં ખરાં
ચાદરો હાંફતી’તી: બંધનમાં આઝાદી? લ્યા આ ખરું
રસ્તા એટલા સૂમસામ કે ડરે છે સાક્ષાત્ યમ પણ આવતા
ગંગા સાફ હિમાલય સાફ હવા સાફ ઘરનાં ને ઘટનાં જાળાં સાફ
રૂઝ આવી રહી છે

– વિવેક મનહર ટેલર
(૦૯-૧૪/૦૪/૨૦૨૦)

[પ્રેરણાબીજ: વ્હાન ફેલિપે હરેરા (Juan Felipe Herrera)]

કોઈપણ હથિયાર વિના આખી દુનિયા નરસંહાર, ધનસંહાર અને વિશ્વયુદ્ધના લૉક-ડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. નરી આંખે જોઈ પણ ન શકાતા સૂક્ષ્મતમ વિષાણુએ દુનિયાની મોટા ભાગની વસ્તીને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી છે. કોરોના મહામારીના પ્રતાપે સર્જાયેલ વૈશ્વિક લૉક-ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની વાત કરતી એક કવિતા આજે આપના માટે… આ એક આકાર-કાવ્ય છે. અંગ્રેજીમાં કોન્ક્રિટ પોએટ્રી, શેપ પોએટ્રી અથવા વિઝ્યુઅલ પોએટ્રી કહી શકાય. શબ્દો દ્વારા વ્યક્ત થતી વાત શબ્દાકૃતિ કે ગોઠવણના કારણે વધુ મર્મસ્પર્શી અને અસરદાર બને છે. શબ્દાકાર કવિતાના અર્થમાં ઉમેરો કરે છે. પ્રસ્તુત કાવ્ય સૂર્યનો અને કિરણોને રજૂ કરતું સૌર વર્તુળ કાવ્ય છે. સૂર્યનો આકાર, કેમકે સૂર્યથી વધીને કોઈ જંતુનાશક કે સેનિટાઇઝર નથી. બાર કિરણ સમયનો સંદર્ભ છતો કરે છે, કેમકે સમય વિના આ મહામારીનો ઉકેલ પણ નથી. અને ખાસ તો ૩૦ ડિગ્રીના સમાન અંતરે પથરાયેલાં આ કિરણો કવિતાના હાર્દ –સોશ્યલ ડિસ્ટન્સિંગ-ને ઉજાગર કરે છે. કોઈપણ પંક્તિને પહેલી ગણીને ક્લોકવાઇઝ વાંચતા જઈ કેન્દ્રમાં આવો અથવા કેન્દ્રથી શરૂ કરી ગમે ત્યાંથી આખું વર્તુળ પૂરું કરો, વાંધો નથી. કવિતા એનો અર્થ જાળવી રાખે છે. ગઝલના શેરની જેમ બધી પંક્તિ સ્વતંત્ર હોવા છતાં સૂક્ષ્મ તાંતણે બંધાયેલ પણ છે.

Comments (5)

મેં તો- – મનોહર ત્રિવેદી

મેં તો આંખોને કહી દીધું સાનમાં :
નજરુંને વાળી લ્યો, પાંપણને ઢાળી દ્યો, એવું શું દીઠું છે ક્હાનમાં?

ગાયોની વાંભ પડી કાનમાં તો કાલિન્દી
ઊછળતી જોઉં છું અચંબે,
વાંસળીના સાંભળ્યા જ્યાં સૂર ત્યાં તો
ડાળીને નીચે નમાવી કદંબે,
લ્હેરખીને એવું શું સૂઝ્યું કે વાલામૂઈ અટવાતી આમ પાનેપાનમાં.
મેં તો આંખોને કહી દીધું સાનમાં

છેટાં રહેવાનું સુખ જાણે ના એ જ
રહે નિકટ ને ઝંખે સહવાસ,
માથે ઝળૂંબતાં જ સમજાયું એટલે
ઊંચે જઈ ઊભું આકાશ,
સહેજ સાજ અડક્યાં તો ફેરવાઈ જાવાનું અમથું અમથું રે એના વાનમાં.
મેં તો આંખોને કહી દીધું સાનમાં.

– મનોહર ત્રિવેદી

કૃષ્ણ સાથે મીઠો ઝઘડો હંમેશથી કવિઓનો ચહીતો વિષય રહ્યો છે. કવિશ્રી મનોહર ત્રિવેદી જરા અલગ રીતનો ઝઘડો માંડે છે. એ કૃષ્ણ સાથે લડવાના સ્થાને પોતાની આંખોને જ ફટકારે છે કે ક્હાનમાં એવું તે શું જોઈ ગઈ છો? નજર બીજી તરફ વાળી લ્યો અને પાંપણ નીચી ઢાળી દ્યો. કાનુડાની ગાયોનો અવાજ સાંભળતાવેંત કાલિંદી નદી રમણે ચડે છે, વાંસળીના સૂર સાંભળી કદંબની ડાળેડાળ નીચી નમે છે, જાણે કાન દઈ રસપાન ન કરતી હોય! અને પવનની લહેરખી પણ વાવાનું છોડીને પાનેપાન અટવાઈ રહી છે. કવિનો કૃષ્ણપ્રેમ પણ આ જડને ચેતન બનાવતી સૃષ્ટિનો જ એક અંશ હોવા છતાં બધાથી અલગ છે. કવિ છેટાં રહીને મિલન કરતાંય મિલનઝંખનામાં જે વિશેષ આનંદ છે એ જાણી ચૂક્યા છે એટલે કહે છે કે આઘે રહેવાનું સુખ જેણે ચાખ્યું નથી એ જ નજીક રહેવાની આરત કરવાની મૂર્ખામી કરે. આકાશ આ વાત બરાબર સમજી ગયું છે. એકવાર એ માથે શું ઝળૂંબ્યું કે વાદળાંઓ કાળાં થઈ ગયાં. જાતને ગુમાવવી એ કાનજીની નજીક જવાનું સૌથી મોટું જોખમ છે. તમે જરા એની નજીક ગયાં નથી, જરા અમથો એનો સ્પર્શ પામ્યાં નથી કે એનો વાન તમારો વાન થયો નથી… એટલે થોડા આઘા, થોડા અળગા રહીને ચાહવામાં જ મજા છે…

Comments (5)

જોડણીનો બંધકોશ – હરીશ મીનાશ્રુ

જોડણીનો બંધકોશ ભારે જીગનેસભાઈ, એનો ઇલાજ કરું સું?
લખવા બેસે છે બધા હોય જાણે ગુજરાતી ભાસાના જોડણીઘસુ

ભૂલવાળી ચોપડીમાં એકાદસીને દા’ડે
ઊધઈયે મોઢું નથી ઘાલતી
ઊંઝાવાળાનું તપે સત્ત, તોય ઘેલી
ગુજરાત નથી ઇસબગુલ ફાકતી

હરડે હીમજ પેઠે વિદીયાપીઠને જોડણીકોસને ચૂસું?
સ્પૅલચૅક વિના કક્કો બારાખડીનાં દુઃખ કેમ ચેકું ભૂસું

જોસી ઉમાસંકર ને રંજન ભગત એવા
કવિઓ પાક્યા છે ઊંચા માયલા
આપડી આ માતરુ ભાસામાં, તોય શાને
લોલેલોલ આવું કરે ચાયલા

ફાધર વાલેસ મળે મારગે ને હાલચાલ પૂછે તો કહેવાનું સું?
બાવન અક્સરને સંઘરવા ગાંધીની પોતડીને ક્યાં છે ખીસું?

ઇંગરેજી ફોદા બે નાખીને ગુજરાતી
દૂધનું જમાવવાને દહીં
ઊભી બજારે લોક બેઠું ગુજરેજી
દુગ્ધાલય ખોલીને અહીં

એબીસીડીના અખરામણવાળા આ અક્કલમઠાનું કરું સું?
ઠોઠ રે નિસાળિયો ને મહેતાજી બેઉ ફાકે ભાસાને નામે ભૂસું

– હરીશ મીનાશ્રુ

ઉફરા તરી આવતા વિષયો, અરુઢ ભાષા, અસામાન્ય બાની અને અભિવ્યક્તિની મૌલિકતાના કારણે કવિશ્રી હરીશ મીનાશ્રુના ગીતો આજના આખાયે ફાલથી બિલકુલ નોખા તરી આવે છે. એમનો અવાજ એમનો પોતાનો ટ્રેડમાર્ક બની ગયો છે. પ્રસ્તુત રચનામાં ખાડે ગયેલી ગુજરાતી જોડણી, ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકોને એમણે આડે હાથે લીધા છે.

અંગ્રેજી જોડણીમાં સહેજ પણ ભૂલ ન થાય એની ચીવટાઈ રાખતી ગુજરાતી પ્રજા પોતાની ભાષાની જોડણી જ સાચવી શકી નથી. શ,ષ, સ – ત્રણેયનો એક જ ‘સ’માં ફાલુદો કરવા ઉપરાંત બોલાતી ખોટી ભાષાને ગીતનું સાધન બનાવીને કવિએ સતત હાંસી ઉડાવતા જઈને ચૂંટિયા ખણવાનું બેવડું કામ કર્યું છે. જિજ્ઞેશભાઈ, સૉરી, જિગનેસભાઈને સંબોધીને કવિ કહે છે કે જોડણીકોશને ભારી કબજીયાત થઈ છે અને એનો ઇલાજ કેમેય કરી જડતો નથી. આમ તો ભૂલવાળી ચોપડી આપણે ચલાવી લેતા નથી, ઊંઝા જોડણીવાલા સરળીકરણ માટે માથાં પટકી મરી જાય છે પણ વિદ્યાપીઠ એના જોડણીકોશને બદલવાનું કે સુધારવાનું નામ લેતી નથી. ઊંઝા જોડણીનું ઇસબગુલ ફાંકે કે વિદ્યાપીઠનો જોડણીકોશ લોકો હરડે-હીમજની જેમ ચૂસે તો કદાચ આ બંધકોશ ખૂલે. ગુજરાતી શબ્દોમાં જોડણીની પૂરતી ખોદણી કરતા કવિ પાછા સ્પૅલચૅક જેવા અંગ્રેજી શબ્દમાં માત્રાનીય ભૂલ કરતાં નથી, આ કટાક્ષ પણ નોંધવા જેવો.

ઉમાશંકર જોશી અને નિરંજન ભગત જેવા ઊંચી કક્ષાના કવિઓ પાક્યા હોવા છતાં માતૃભાષામાં આવું લોલંલોલ કેમ ચાલ્યા કરે છે એ એક કોયડો છે. વિદેશથી આવેલ ફાધર વાલેસ જેવા માણસની જોડણી નખશિખ સાચી હતી પણ ગાંધીની ગુજરાત પાસે બાવન અક્ષર સમાય એવું ખિસ્સું પણ નથી. ગુજરાતી દૂધના ઠેકાણાં નથી, પણ એમાં અંગ્રેજીની મિલાવટ કરીને ગુજરેજીનું દહીં જમાવવા આખી પ્રજા ઊભી બજારે નીકળી પડી છે. એબીસીડીઘેલા આ અક્કલમઠાઓનું શું કરવું એ વિમાસણ છે. આપણે ત્યાં નથી શિક્ષકમાં ઠેકાણાં, નથી વિદ્યાર્થીના. ગુજરાતી ભાષાના ભવિષ્ય ઉપર વેધક કટાક્ષ કરતું હળવું લાગતું આ ગીત અંતે આપણા હૃદયને ભારઝલ્લું કરી જાય છે.

Comments (23)

અહીં હરએક માણસ બુદ્ધ છે….- રમેશ પારેખ

એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે,
આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે.

છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ,
ને કહ્યું તારી હયાતી તો સ્વયં એક યુદ્ધ છે.

જેને તેં ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય,
આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે.

જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે,
એટલે અહીં કોઈ પણ ઉંમરની વ્યક્તિ વૃદ્ધ છે.

વિશ્વ એની ગતમાં ચાલે તારી ગતમાં તું રમેશ,
એટલે રસ્તા બધા દુઃસ્વપ્નથી અવરુદ્ધ છે.

– રમેશ પારેખ

Comments (2)

જુદી જ તાસીર….– રાજેન્દ્ર શુક્લ

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

મલક બધોયે ફરીફરી ને અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા, નથી દરદ થી ઈલાજ જુદો.

ગઝલ આખરી ગવાઈ રહી આ, અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગી યે કરું કિંહા લગ, રહ્યો ન બંદાનવાજ જુદો!

– રાજેન્દ્ર શુક્લ

The thought and The Thinker are not separate – J Krishnamurti

Comments (1)

પહેલી શરત – દક્ષા બી. સંઘવી

હર ઘડી પર કર ખુશીના દસ્તખત,
લાગશે સુંદર પછીથી આ જગત.

દિલ નિરાકારે જુએ આકારને;
શિલ્પી માટે હોય એ પહેલી શરત.

તું સુગંધિત, ફૂલને પીંખ્યા વિના,
હે હવા! હુન્નર તને એ હસ્તગત!

શ્વાસ ઊભા હરક્ષણે તહેનાતમાં,
રાજવી તું, જિંદગી આ સલ્તનત!

વ્યગ્ર થઈને શોધતી’તી હું મને;
આંખ એની આયનો થઈ ગઈ તરત!

કૈં ઉકેલે, કૈં રહસ્યો ગોપવે;
જિંદગી જાણે પુરાણી હસ્તપ્રત!

– દક્ષા બી. સંઘવી

ભીતર ખુશી ન હોય તો જગતમાં કશું પણ સુંદર લાગતું નથી. પણ દિલમાં આનંદ હોય તો દુનિયા આખી ખુબસૂરત લાગે છે એ વાત કવયિત્રીએ કેવી સરસ રીતે રજૂ કરી છે! વધા જ શેર સુંદર અને અર્થગહન થયા છે.

Comments (8)

હું ન ડોશી – નીરવ પટેલ

ભૈ હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ,
તમાર બા’ર આલવા હોય
તો બે સ :
હું ન ડોશી.
ઝાઝા નથી,
બે દહાડીના મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી .
બાચી અમે તો આ હેંડ્યા હાડકાં વેણવા,
મગો મેં’તર કોથળે પાંચ આલ સ.
હાંજ પડ રોટલા ભેળા થ્યા
એટલ ભયો ભયો.

ભૈ તમન હોંપ્યાં રાજ ન પાટ
અમાર તો ભલો અમારો રઝળપાટ.
કો’ દહાડો ચઢ સ
ન ડોશી ખોટી થાય સ…
પાપમાં પડવાનું સ,
પણ બોલ્યું પાળવાનું સ.
એટલે મત તો પાકો મનુભૈન .
વા’લા નાંમેરીનું ભગવાંન ભલું કરઅ.
બોલો, આલવા સ માથાદીઠ બાર ?
બે સ :
હું ન ડોશી.

– નીરવ પટેલ

આમ તો આ અછાંદસ એક કવિતાયુગ્મમાંનું બીજું કાવ્ય છે પણ મને લાગે છે કે આ એક કાવ્ય પણ પૂરતું છે. પહેલું કાવ્ય વાંચ્યા વિના સીધું આ વાંચીએ તો શરૂમાં તો વાત શેની થઈ રહી છે એ સમજવું જરા અઘરું લાગે પણ અંત ભાગ તરફ જતાં સુધીમાં ખ્યાલ આવી જાય છે કે ચૂંટણીનો સમય છે અને ઉમેદવારો મત ઉઘરાવવા ગામમાં આવી ચડ્યા છે. આખો દિવસ તડકાતાપમાં કચરો-ભંગાર વીણી લાવે ત્યારે મગો મહેતર એક કોથળાના પાંચ રૂપિયા આપે અને ડોશો-ડોશી બંને રોટલા ભેળા થાય છે. પણ ચૂંટણી ટાણે એક ઉમેદવારે મત દીઠ દસ રૂપિયાની લાંચ આપવાની જાહેરાત કરી છે એટલે ડોશો આ તક ઝડપીને બીજા ઉમેદવાર પાસે જઈને તમારે બાર રૂપિયા આપવા હોય તો કહો. મારો અને ડોશીનો- એમ અમારા બે મત છે. અને આ પાછળનું ડોશાનું ગણિત પણ સાવ સીધું છે. રોજરોજના વૈતરામાંથી બે ઘડી છૂટકારો તો મળે! ચૂંટણી છેવાડાના આદમીને બીજું તો કંઈ આપવાની નથી, કમ સે કમ બે’ક પળ એને પોરો ખાવાની તક આપે એ ય આ લોકો માટે તો બહુ છે… નેતાને રાજપાટ આપી દઈને રઝળપાટ વહાલી કરનારી આ પ્રજા છે.

અસ્તિત્ત્વ ચીરી નાંખે એવી ધારદાર આ કવિતા એની તળપદી બાનીના કારણે વધારે ચોટદાર બની છે.

Comments (7)

છળ હતું – સુરેશ ‘ચંદ્ર’ રાવલ

આંખ મીંચી તો બધે ઝળહળ હતું
આંખ ખોલી તો નજરનું છળ હતું

ઠારવાને આગ, ત્યાં ક્યાં જળ હતું?
લઈને દોડ્યો માટ, ત્યાં મૃગજળ હતું.

બંધ ઘરને મૌન દરવાજા હતા,
જ્યાં નજર અંદર કરી, ખળભળ હતું.

હું હતો ને ત્યાં સમુંદર પણ હતો,
ડૂબકી મારી, અતળ ત્યાં તળ હતું.

સાવ નાની વાતની અફવા હતી,
પણ બધે દિવાસળીનું બળ હતું.

– સુરેશ ‘ચંદ્ર’ રાવલ

મજાની ગઝલ પણ મત્લા તો શિરમોર થયો છે. વાત નવી નથી પણ કહેવાની ઢબ અદભુત છે. એકદમ સરળ ભાષા પણ વાત હૃદયના ઊંડાણ સુધી ઊતરી જાય એવી. નજરે ચડે છે એ સંસાર તો કેવળ આભસ છે, છળ છે. ચર્મચક્ષુ બંધ થાય તો જ ભીતરનું ઝળાંહળાં તેજ નજરે ચડે. એ પછીના બધા શેર પણ એવા જ આસ્વાદ્ય થયા છે.

Comments (6)

હવે હુંય અસ્તાચળ ભણી છું…- મુકેશ જોષી

ચકમકતી ધાર તો ઘસાઈ ગઈ ને
સાવ બુઠ્ઠી થયેલી અણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું

ઝાંખપનાં વાદળાંઓ આંખે ઘેરાયાં ને
કાનના પડદે બાકોરાં
મનગમતા, મિઠ્ઠા ને ગળચટ્ટા દિવસોના
સ્વાદ હવે લાગતા ખોરા
કરચલીમાં રોજરોજ વહેંચાતો જાઉં ને
લોકોની આંખમાં કણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું

જેટલા શ્વાસ લઉં એનાથી બમણા
હું શ્વસતો રહું છું નિ:શ્વાસો
ફાટેલી વેદનાને સાંધવા ને સાંધવામાં
ફાટી ગયો છે મારો વાંસો
રોજ થોડીથોડી કપાતી આ પાંખ ને
તૂટતી આ પાંખનો ધણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું

– મુકેશ જોષી

અહીં વાત ઉંમરની નથી, માનવીના સ્વ ની – self ની – છે. ઈચ્છા-અનિચ્છાએ સતત કરવા પડતા સમાધાનોની છે, ક્ષણેક્ષણે વાગતા ઘા ની છે, પોતે અહીં misfit છે એ લાગણીની છે…..

Comments (5)

मुझे पुकार लो – हरिवंशराय बच्चन

इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!

ज़मीन है न बोलती न आसमान बोलता,
जहान देखकर मुझे नहीं जबान खोलता,
नहीं जगह कहीं जहाँ न अजनबी गिना गया,
कहाँ-कहाँ न फिर चुका दिमाग-दिल टटोलता,
कहाँ मनुष्य है कि जो उमीद छोड़कर जिया,
इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो

इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!

तिमिर-समुद्र कर सकी न पार नेत्र की तरी,
विनष्ट स्वप्न से लदी, विषाद याद से भरी,
न कूल भूमि का मिला, न कोर भोर की मिली,
न कट सकी, न घट सकी विरह-घिरी विभावरी, [विभावरी – તારાઓભરી રાત્રી]
कहाँ मनुष्य है जिसे कमी खली न प्यार की,
इसीलिए खड़ा रहा कि तुम मुझे दुलार लो!

इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!

उजाड़ से लगा चुका उमीद मैं बहार की,
निदाघ से उमीद की बसंत के बयार की, [निदाघ – તીવ્ર ગરમી, बयार – શીતળ પવન]
मरुस्थली मरीचिका सुधामयी मुझे लगी,
अंगार से लगा चुका उमीद मै तुषार की,
कहाँ मनुष्य है जिसे न भूल शूल-सी गड़ी
इसीलिए खड़ा रहा कि भूल तुम सुधार लो!

इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!
पुकार कर दुलार लो, दुलार कर सुधार लो!

– हरिवंशराय बच्चन

અનાયાસે ફેસબુક પર કોઈ દીકરીને આ કાવ્યનો સુંદર પાઠ કરતી સાંભળી… સરસ કવિતા વાંચવા મળી ગઈ.

બચ્ચનજીની રસાળ લયબદ્ધ પ્રવાહી ભાષા તો મનોરમ્ય હોય જ છે, પણ કાવ્ય મર્મસ્પર્શી છે….

માણસ આશા ત્યાગતો નથી. આશા માણસને સંઘરતી નથી. સંબંધ જેટલો મજબૂત, તેટલું જ દારૂણ તે તૂટવાનું દુઃખ… સંવેદનશીલ હૃદયનું ગંતવ્ય જ છે ઘાયલ થવું…..

Comments (4)

શાશ્વત નથી – હેમેન શાહ

અગર સૃષ્ટિમાં કંઈ જ શાશ્વત નથી,
હો બિન્દુ કે સિન્ધુ, તફાવત નથી.

વિગતવાર કહેવાની દાનત નથી,
કથા એક પણ તર્કસંગત નથી.

પૂછ્યું મેં, ‘વધારે હું જાણી શકું?’
તરત આવ્યો ઉત્તર, ‘ઈજાજત નથી.’

એ માન્યું કે મેં ચાલ બદલી હતી,
આ રસ્તાઓ પણ તો યથાવત્ નથી.

વિલક્ષણ વિચારો હું ક્યાં સાચવું?
જ્યાં એકાંત સુદ્ધાં સલામત નથી !

ઘણાં શિલ્પ લાવણ્યમય થઈ શકત,
પરંતુ અણીશુદ્ધ નિસ્બત નથી.

– હેમેન શાહ

સદ્યંત સુંદર રચના.

Comments (7)

કોણ બતાવે કેડી – ભગીરથ બ્રહ્મભટ્ટ

કોણ બતાવે કેડી?
કોના રે અણસારે ચઢતી ચપચપ કીડી મેડી!

સૈયર સાથે જાતર જાતી
મારગ લેતી મીઠો
મોરસદાણો મેડી ઉપર
દીવા જેવો દીઠો
ગોવર્ધન શો મોરસદાણો માથે લીધો તેડી!
કોણ બતાવે કેડી?

મુખમાં દાણો પગમાં ઝાંઝર
દોડે દડબડ એવું
ઝરમર ઝરમર વર્ષાકાલે
ટપકે ટપટપ નેવું.
ધ્યાન-ધરમના ધજાગરા નહિ, કરમો લેવાં ખેડી!
કોણ બતાવે કેડી?

– ભગીરથ બ્રહ્મભટ્ટ

કીડી વિશે આવું મજાનું ગીત આપણે ભાગ્યે જ માણ્યું હશે. કીડીના મૂળભૂત ગુણધર્મોને લયબદ્ધ કરીને કવિ મજાની કવિતા સિદ્ધ કરે છે અને કીડીના બહાને આપણને આંગળી પણ ચીંધે છે…

Comments (4)

પ્રતીક્ષાની ક્ષણો – મોના લિયા

દરરોજ તું વહેલો આવે તેની રાહ જોઉં છું.
લિફ્ટનો અવાજ આવે કે સહેજ બારણું ખખડે
પણ બીજું કોઈ હોય.
તને રિંગ કરવા મોબાઇલ ઉપાડું પણ
ડ્રાઇવિંગનો વિચાર આવે ને માંડી વાળું
તું આવે, તારી સાથે આવે આખું દફતર
બૅગમાંથી ખાલી ટિફિન ને કાગળથી ભરેલી ફાઇલો
લેપટોપમાં ઇમેલનો ઢગલો
વૉટ્સઅપમાં અનરીડ મેસેજનો વધતો આંક
મેં આ બધાંની રાહ જોઈ નહોતી
તો પણ કેમ આવી જતાં હશે? વણબોલાવ્યા મે’માનની જેમ?
મહેમાન તો બેચાર દિવસમાં જતાં રહે…
પણ આ બધાં તો… જવાનું નામ નથી લેતાં
આપણી વચ્ચે રહે છે પરિવારના સભ્યોની જેમ,
દરરોજ તારા આવવાની રાહ જોઉં છું
પણ તું આવતો નથી.

– મોના લિયા

કેવી સટીક રચના! કાપો તો લોહી ન નીકળે એવી ધારદાર અભિવ્યક્તિ! પોતાની ઑફિસ અને પોતાનો અંગત સંસાર ઘરમાં લઈ આવતો પુરુષ હકીકતમાં ઘરમાં આવે છે ખરો? કે સ્ત્રી એ આવે એની અંતહીન પ્રતીક્ષામાં જ રત રહે છે?

Comments (10)

એવો આ પ્રેમનો સંબંધ છે… – હિતેન આનંદપરા

પ્રીતનો એ નાતો, એ વરસાદી રાતોની વાતોની યાદો મોઘમ છે
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.

ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.

જેની શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે

જોઈ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું

આંખોમા તારી બનાવીશ હું ઘર
છોને દુનિયાના દરવાજા બંધ છે

પહેલો વરસાદ અને પહેલું મિલન અને પહેલી તે વિશે શું કહું
એ પળની મજા કંઈ કહેવાથી સમજાય નહીં ચાલે તમે કો’કે હું કહું

ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…

– હિતેન આનંદપરા

Comments (4)

શું કરું! – અમૃત ઘાયલ

શુષ્ક છું, બટકું નહીં તો શું કરું !
અધવચે અટકું નહીં તો શું કરું !

રાફડા કોળ્યા છે રજના પાંપણે,
પાંપણો ઝટકું નહી તો શું કરું !

ક્યાં સુઘી હોઠોમાં ભીંસાતો રહું ?
શબ્દ છું, છટકું નહીં તો શું કરું !

‘કૈંક ખૂટે છે’ – નો ખટકો છું સ્વયં,
હું મને ખટકું નહીં તો શું કરું ?

બેસવા દે છે ન બેચેની કશે,
આમ હું ભટકું નહીં તો શું કરું !

જીવ અદ્ધર, શ્વાસ પણ અદ્ધર હવે,
લાશ છું, લટકું નહીં તો શું કરું !

ઊંચક્યું જાતું નથી ‘ઘાયલ’ જરી,
શીશ જો પટકું નહીં તો શું કરું !

– અમૃત ઘાયલ

 

‘કૈંક ખૂટે છે’ – નો ખટકો છું સ્વયં……. – એવું લાગ્યું કે જાણે શાયર મારા દિલમાં ઝાંકી શકે છે !!!

Comments (3)

રે ગિરનારી બાવા -પારુલ ખખ્ખર

રે ગિરનારી બાવા,
રે ગિરનારી બાવા તુજને વિનવું જોડી હાથ
તને હું શીશ ટેકવું નાથ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
તારી આંખ્યું વચ્ચે તગતગ તાતા તેજ
સુકવ્યા કયા તાપણે ભેજ
તને કાં ફરક ન પડતો સ્હેજ
તે તો છાંડી ફૂલની સેજ
અને હું….
અને હું ઊગતાં નમતાં પહોર વચાળે
ભાત ભાતના શોર વચાળે
રંગબિરંગી મોર વચાળે
કાળ કાચલી તોડી તોડી ખાવ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
તારા વનમાં વહેતા આછા આછા નીર
બોલે કોયલ-કાગા-કીર
તારી અંદર ધૂણે ગીર
તું તો થઈ ગ્યો પીર-ફકીર
અને હું…
અને હું એકલપંડે ગામ વચાળે
ભાંગ્યા તૂટ્યા ઠામ વચાળે
ના ખૂટનારા કામ વચાળે
કાળ સળીને સાવરણે વાસીદા વાળ્યે જાવ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
તારી જટા સાચવી બેઠી સઘળા ભેદ
ઉડાડયા કેટકેટલા છેદ!
ઉતાર્યા કેવા કેવા મેદ!
ફગાવી સાતસાંકળી કેદ
અને હું…
અને હું અહીંયા ઊભી આળ વચાળે
જનમ-મરણની જાળ વચાળે
એક અજાણી ફાળ વચાળે
કાળનદીમાં લૂગડાં ધોતી જાવ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
મારી અરજી વાંચી દેજે થોડું ધ્યાન
હવે ના સહેવાતા તોફાન
સાધવા અઘરા શરસંધાન
કરી લઉં દૂર દેશ પ્રસ્થાન
અને તું…
અને તું ઇહલોક પરલોક વચાળે
આંસુડાં ને પોક વચાળે
સૂના ચાચર ચોક વચાળે
કાળ પથ્થરે માથું ફોડી ખુદને ખાજે રાવ
કે મારી જોગણ પાછી આવ…
કે મારી જોગણ પાછી આવ.

-પારુલ ખખ્ખર

૨૦-૨૦ના આ જમાનામાં આપણને આવા લાંબા ગીતની આદત રહી નથી પણ થોડો સમય અને ધીરજ ફાળવીને નજર નાંખીએ તો સરવાળે પસ્તાવું નહીં પડે એવું ફળદ્રુપ ગીત. રાજકોટ-અમરેલીનું ફરજંદ ગિરનારને કેન્દ્રસ્થ રાખી આવું ગીત લખે તો જૂનાગઢના કવિઓએને જરૂર મીઠી ઈર્ષ્યા થવાની. ચાર બંધના ગીતમાં નાયિકા અડધે સુધી નાથ અને અડધેથી જાતની વાતને સામસામે ગોઠવીને બંનેના જીવનનો વિરોધાભાસ જે રીતે ધારદાર બનાવે છે એ આ ગીતનો પ્રાણ છે. દરેક અંતરાના અંતે કાળની વાત આવે છે, જો કે કાળસળી અને કાળનદીમાં એ વાત જેટલી સહજતાથી આવી છે, એટલી કાળકાચલી અને કાળપથ્થરમાં આવી હોત તો વધુ મજા આવત.

નાથ સંસાર ત્યજીને ગિરનાર પર્‍ બાવો બની અડિંગો જમાવી બેટઃઓ છે અને નાયિકા હાથ જોડીને, પગે પડીને એને પાછો આવવા મનાવી રહી છે. જોગીની આંખમાંથી સંબંધની ભીનાશ સૂકાઈને તગતગતા તેજમાં ફેરવાઈ ગઈ છે. નાયિકા રંગોભર્યા વૈવિધ્યસભર સંસારમાં અટૂલી પડી જઈ, પ્રતીક્ષાની પળો પર જીવી રહી છે. છેવટે, નાયિકા યોગ્ય ચીમકી આપતાં કહે છે કે તારા વિના આ જીવન જીવી શકાય એમ નથી રહ્યું. ન કરે નારાયણ ને હું મૃત્યુ પામું તો તું બે લોક વચ્ચે ત્રિશંકુની જેમ લટકી જશે, કાળના પથ્થર પર માથું ફોડીને રડતો-પોકારતો રહી જશે કે મારી જોગણ, પાછી આવ.. પણ એ વખતે જોગણ તો…

કવયિત્રીએ ચુસ્તપ્રાસ-સાંકળી અને મજબૂત લયના સહારે આખા ગીતને બહુ સજ્જતાથી બાંધ્યું છે.

Comments (6)

(લાગે છે) – હરીશ ઠક્કર

ચાલ જ્યારે ઉડાન લાગે છે
પગ તળે આસમાન લાગે છે

સાંજ પડતાં દિવસ થયો ઘરડો
રાત આખી જવાન લાગે છે

આપણા હાથમાં હલેસા છે
પણ પવનનું સુકાન લાગે છે

સ્વાદ નહિ ચાખે એ સફળતાનો
એનાં મોંમાં જબાન લાગે છે

ભાગ્યમાં કેમ માનતો નથી એ ?
આદમી ભાગ્યવાન લાગે છે.

બાપ છે એ બધાનો, ક્યાં ના છે ?
આપણો ઓરમાન લાગે છે.

– હરીશ ઠક્કર

સરળ બાની અને ઉત્તમ ગઝલ હરીશ ઠક્કરની ઓળખ છે. અને પ્રસ્તુત રચના એની ભરપૂર ચાડી ખાય છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે…

Comments (6)

મિત્રને… – રમેશ પારેખ

ન હોત પ્રેમ તો શું હોત? છાલ જાડી હોત?
હું વૃક્ષ હોત ને હે મિત્ર, તું કુહાડી હોત.

થતું હે મિત્ર, તને ખિલ્યો ખિલ્યો જોઈને
અરે, હું તારા વગર કેવી ફૂલવાડી હોત!

તું આલ્બમોને સજીવન કરી ન શકતો હોત
તો ફોટો હોત હું ને સ્વયં કબાડી હોત.

તેં મારી બૂમનો તરજૂમો ગુલમહોરમાં કર્યો
થયું શું હોત, તને બૂમ મેં ન પાડી હોત?

આ જનમટીપની જો તું ન એક ચાવી હોત
તો હયાતી મેં પછી કઈ રીતે ઉઘાડી હોત?

તું મારી મૂછનું લીંબુ, તને ઘણી ખમ્મા
ન હોત તું, તો મેં મૂંછોય ના ઉગાડી હોત.

– રમેશ પારેખ
(૨૨-૦૯-૧૯૮૮)

મિત્રતાનો અને પ્રેમનો કેવો મહિમા!

Comments (6)

હૈયાની વાત – મકરન્દ દવે

કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

કોયલ તો કોઈનો ટહુકો ન માંગે ને
મોરલો કોઈની કેકા
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા ?
રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના ?
પોતાને તુંબડે તરીએ….
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

કોઈ કોઈ સંભારે રામટેકરી,
કોઈ ઓઢા-હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
ક્યાંક દરદે નીંગળતા દુહા;
જીવતીને જાગતી જીવનની ખોઈમાં
કોઈની ભભૂત ન ભરીએ.
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર;
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા !
જીવતાં ન આપણે મરીએ.
કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ.

– મકરન્દ દવે

આ કવિવર માટે મને હંમેશા આદરભાર્યો પક્ષપાત રહ્યો છે. તેઓનું ગાન આત્માનું ગાન અનુભવાય છે સદાય. એક નખશીખ સચ્ચાઈનો રણકાર તેઓની કલમને સહજ છે. વાત પરંપરાગત હોય કે સાવ બંડખોરીની હોય, તેઓની વાણી પોતાની નઝાકતભરી બળકટતા ત્યજતી નથી.

Comments (3)

‘અજવાળું કોણ તને કે’ત?!’ – જગદીપ ઉપાધ્યાય

‘ભાગ એય અંધારા!’ એમ કહી આમ મને કાઢ નહીં આવતાની વેંત!
એ તો કે’, ‘હોત નહીં હું, મૂઆ અજવાળા! અજવાળું કોણ તને કે’ત?!’

કાગળ સફેદને શું ધોઈ પીત?! હોત નહીં કાળા તે રંગ તણી સ્યાહી,
ડાઘ ધોળી ચાદરમાં લાગે પણ લાગે નૈ કાળી તે કામળીની માંહી!
પૂનમને આભ મહીં મારા વિણ આવકારો ભોજિયો ન ભાઈ કોઈ દેત!

ટપકું મા મેશ તણું કરતી’તી કે નજરું લાગે ના છૈયાને ગોરા,
આખીયે દુનિયાની તરસ્યું છીપાવશે શું? -વાદળાં રૂપાળાં ને કોરાં?
રૂપ-રંગ, વાન નથી જોતો ભગવાન, ઈ તો ઓળખે છે અંતરનાં હેત!

– જગદીપ ઉપાધ્યાય

ગીતોની ભરીભાદરી બજારમાં બધાથી સાવ જ અલગ તરી આવતું મજાનું તાજગીસભર ગીત. ઉઠાવ જ કેવો સરસ છે! અજવાળું આવતાવેંત અંધારાને ગાયબ થઈ જવું પડે છે એવી સાવ નાનકડી વૈજ્ઞાનિક હકીકતને કવિ સજીવારોપણ અલંકાર વડે કેવો નોખો અક્ષરદેહ આપ્યો છે! અંધારું અજવાળા સામે જે દલીલો કરે છે, એ વાંચતા દયારામની ગરબી યાદ આવી જાય જેમાં કવિએ શ્યામ રંગનો મહિમા કર્યો છે. અહીં પણ કવિ અંધારાનો મહિમા કરે છે પણ નવા જમાનાનું ગીત છે એટલે અભિવ્યક્તિ પણ નવીન છે. વાત પણ સાચી છે. અજવાળાની ઓળખ અંધારાના કારણે જ તો છે. કાગળ ગમે એટલો ઊજળો કેમ ન હોય, પણ કાળી શાહીથી એના પર અંકાતા અક્ષરો વિના એનું મૂલ્ય શું? ધોળી ચાદરમાં ડાઘ પડવો શક્યો છે પણ કાળી કામળી ડાઘપ્રુફ છે. આકશમાં કાળાશ જ ન હોય તો પૂનમનું સૌંદર્ય ઊઘડી જ ના શકે. કાળું ટપકું બૂરી નજરોથી બચાવીને રાખે છે. આકાશમાં બહુ સુંદર દેખાતાં સફેદ રૂની પૂણી જેવા વાદળો શું કામના? એ કદી વરસાદ આપી શકતાં નથી… અંતરનું હેત એ જ સાચો રંગ છે એમ કહીને અંધારાની તર્કબદ્ધ દલીલોને કવિ કવિતાની કક્ષાએ લઈ આણે છે…

Comments (4)

( હરિહરને) – હરિહર શુક્લ ‘હરિ’

વાત કહું કે સાર હરિહર?
હું અંદર તું બહાર હરિહર!

બન્ને જણ ક્યાંથી જીતવાનાં?
હું જીતું તું હાર હરિવર!

મન મોજીલું મોજ કરે તે
તું બસ ખાતો માર હરિહર!

આંખ મીંચ ને માણી લે તું
સપનાંનો સંસાર હરિવર!

ફોટામાં ટીંગાઈ જઈ ને
પ્હેર સુખડ નો હાર હરિવર !

ધાર તને મળવા માંગું હું
ને તું ભાગે,ધાર હરિહર !

‘હરિ’ આ બાજુ રાહ જુએ તે
તું છે સામે પાર હરિહર!

– હરિહર શુક્લ ‘હરિ’

કવિનું તખલ્લુસ હરિ છે પણ ગઝલ જાણે હરિ સાક્ષાત્ કવિ સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય એ ભાવ સાથે લખાઈ છે. ટૂંકી બહેરમાં કામ કરવું પ્રમાણમાં કપરું હોય છે, પણ અહીં કવિએ મોટાભાગના શેર સંતર્પક આપ્યા છે, એ આપણું સદભાગ્ય.

Comments (2)

લાગે – રેણુકા દવે

આવે જો તું અચાનક, અવસર હો એમ લાગે,
સાંજે પરોઢ જેવું જીવતર હો એમ લાગે.

મળવા તને હું આવું, રસ્તો રહે ઊઘડતો,
આખુંય નગર ત્યારે, પથ્થર હો એમ લાગે.

આંખો ખૂલે અચાનક મધરાતમાં કદી તો,
જાણે કે પ્રખર ગાયક અંતર હો એમ લાગે.

ખોલું છું ડાયરીનાં એ ખાસ ખાસ પાનાં,
ખાલીપણું ભરેલું સરવર હો એમ લાગે.

તું આમ તો અવર સમ, માણસ છે એક કેવળ,
હૈયા મહીં મૂકું તો ઈશ્વર હો એમ લાગે.

– રેણુકા દવે

કેવી મજાની ગઝલ! મત્લા જ કેવો શાનદાર! પ્રિયજન સાવ અચાનક આવી ચડે તો એ દિવસ અવસર બની રહે છે, ત્યાં સુધીની વાત તો આપણે કવિતાઓમાં અનેકવાર વાંચી ચૂક્યાં છીએ, પણ જીવનની ઢળતી સાંજ ઊઘડતી સવાર જેવી લાગે, યૌવન પુનર્જીવિત થઈ ગયાનું અનુભવાય એ કેટલી મોટી વાત! એ જ રીતે નાયિકા અભિસારે નીકળે ત્યારે જેમ અર્જુનની માત્ર પક્ષીની આંખ પર, એમ એની દૃષ્ટિ પ્રિયજનના નિવાસ તરફ એવી જડાઈ ગઈ છે કે એને આખું નગર પથ્થર બની ગયેલું અનુભવાય છે. નગરમાં લાખો લોકોની અવરજવર કેમ ન હોય, નાયિકાને માટે એ તમામ જડ છે, નિષ્પ્રાણ છે. આગળના શેરો પણ એ જ રીતે નખશિખ આસ્વાદ્ય થયા છે.

Comments (5)

સૂરજ વિનાનું સાવ ગામ – રમેશ પારેખ

શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઈ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઈ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતું’તું, – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઈ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

– રમેશ પારેખ

સૂરજ એટલે આશા. ગામ એટલે જીવન.

Comments (1)

પળમાંય તૂટે … – હિતેન આનંદપરા

કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે…
વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી
એકદમ અણધાર્યા ખૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે…

સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય
ડાળીને અંધારા ફૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે…

અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય
આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાંય તૂટે…

– હિતેન આનંદપરા

સાચા દિલના સંબંધ બાંધવામાં આખું જીવતર નીકળી જતું હોય છે, અને તોડવામાં જોઈએ એક ક્ષણ…..

Comments (4)

તું ના આવે એ ચાલે? – વિવેક મનહર ટેલર

સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?

કેસૂડા તત્પર છે લઈને હાથ કલમ ને કિત્તા,
તું આવે તો ગીતો લખશે, ના આવે તો કિટ્ટા;
સજીધજીને તારા માટે ખડી છે સૃષ્ટિ આ, લે;
હૈયું નાચે ધ્રબાંગ તાલે, તારી ખોટ જ સાલે,
ને તું ના આવે એ ચાલે?

ઊભો છું સદીઓથી લઈને નજરોની પિચકારી,
દિલમાં ઊતરી અંદરથી છે રંગવાની તૈયારી;
અરમાનોની ટોળી જો ને, પૂરજોશમાં મ્હાલે,
આજ કરીએ જીવ-શિવ એક, કાલની વાતો કાલે,
ને તું ના આવે એ ચાલે?

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૩-૨૦૨૦)

આમ લયસ્તરો પર હું સામાન્યરીતે મારી પોતાની રચનાઓ મૂકવાનું ટાળું છું, પણ ક્યારેક દલા તરવાડીની જેમ ‘લ્યોને બે ચાર’ કરીને કવિતા પોસ્ટ કરવાનું મન થઈ પણ જાય… વાંચો અને કહેજો કે આ ગુસ્તાખી કેવી લાગી…

Comments (45)

(ના કોઈ રંગ ગુલાલ) – વિમલ અગ્રાવત

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

રંગ બ્હારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં,
ફૂલગુલાબી પડ્યો શેરડો, ઊતરી ગ્યો અંતરમાં.
રુંવે રુંવે રંગ ફૂંવારા ઉડ્યા રે તત્કાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

ઊંચાનીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ,
સખીઓ પૂછે, ગામ વચાળે કોણ રંગી ગ્યું બોલ,
દોટ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગ્યા લાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

– વિમલ અગ્રાવત

હોળી-ધૂળેટીના ગીતો લખાતાં આવ્યાં છે, લખાતાં જ રહેશે. દરેકની પોતપોતાની મજા છે. આ ગીત જુઓ. અહીં કોઈ પિચકારી નથી, કોઈ રગ નથી, કોઈ ઢોલ વગેરે નથી છતાં બધું જ હાજર છે. આ તારામૈત્રકની હોળી છે. નખરાળો એની પ્રિયાને નજરોની પિચકારીથી રંગે છે અને પ્રિયાના ગાલ પર પડતા શરમના શેરડા ઠેઠ એના ભીતર સુધી ઊતરી જાય છે ને નાયિકા જે રોમાંચ અનુભવે છે એને કવિ ફૂવારા તરીકે જુએ છે. કેવી અદભુત વાત! ભૂંસ્યો ભૂંસાય નહીં એવો છે આ રંગ. શ્વાસની અને હૃદયની ગતિ વધી ગઈ છે ને ધબકારા ઢોલ જેવા વાગતા અનુભવાય છે. સખીઓની ટિખળ ન સહેવાતાં નાયિકા હડી કાઢે છે ને પાછળ રહી જાય છે કવિતાની અનુભૂતિનો ગુલાલ….

Comments (5)

વસંતરંગ – નિરંજન ભગત

વસંતરંગ લાગ્યો !
કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો

ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝોલતી,
આંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,
કોયલ શી અંતરની આરત ખોલતી!
વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો!

પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,
કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,
કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?
મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?
વસંતરંગ લાગ્યો !

– નિરંજન ભગત

વસંત જાદુગર છે. ચિત્રકાર જે રીતે કોરા કાગળ પર બે-ચાર લસરકા મારે અને કાગળની શિકલ જ બદલાઈ જાય એ રીતે વસંતનો રંગ લાગતાં જ આખી સૃષ્ટિ નવપલ્લવિત થઈ ઊઠે છે. કુંજે-કુંજે ડાળીઓમાં પ્રાણ જાગી ઊઠ્યો છે. કળીઓ મત્ત થઈ ડોલે છે, આંબો મંજરીઓથી લચી પડ્યો છે અને કોયલ એના હૈયાની આરત ઊઘાડતી હોય એમ સૂરાવલિઓ રેલાવી રહી છે. જાણે વાંસળી કેમ ન વાગતી હોય એવી મસ્તીમાં પવન ફૂંકાઈ રહ્યો છે. પ્રકૃતિ આખી ફાગના રાગમાં નર્તન કરતી હોય એવામાં ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ થઈ જાય તો બિચારા નાયકની તે શી વિસાત!

Comments (2)

होली पिया बिणा लागाँ री खारी – मीराँबाई

होली पिया बिणा लागाँ री खारी।

सूनो गाँव देस सब सूनो, सूनी सेज अटारी।
सूनो बिरहन पिव विण डोलाँ, तज गया पीव पियारी।
विरहा दुःख मारी।

देस बिदेसा णा जावाँ म्हारो अणेशा भारी।
गणताँ गणताँ घिस गयाँ रेखाँ, आँगरियाँ री सारी।
आयाँ णा री मुरारी।

बाज्यो झाँझ मृदंग मुरलिया बाज्याँ कर इकतारी।
आया बसन्त पिया घर णाँरी, म्हारी पीडा भारी।
स्याम मण क्याँरी बिसारी।

ठाडो अरज कराँ गिरधारी, राख्याँ लाज हमारी।
मीराँ के प्रभु मिलव्यो माधो, जनम-जनम री क्वाँरी।
मण लागी दरसण तारी।

– मीराँबाई

મીરાંબાઈના અમર પદોમાં હોળીગીતો પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હોળીના બહાને શ્યામ-સાંવરાને મનાવવાનું-ખીજાવાનું-લાડ લડાવવાનું એ ચૂકતાં નથી. પિયા વિના એમને હોળી અકારી લાગે છે. ગામ, દેશ, સેજ, અટારી- બધું જ પ્રિયતમ વિના સૂનું છે. પિયુના ત્યજી જવાથી સૂની પડેલી વિરહણને વિરહનું દુઃખ ભારી થઈ પડ્યું છે. પ્રિયજનને શોધવા એ ઘર છોડીને દેશ-વિદેશ પણ જઈ શકે એમ નથી કેમકે એને અંદેશો રહે છે કે ક્યાંક હું ઘર બહાર નીકળી એવામાં એ આવીને ચાલ્યો ગયો તો? એ તો બસ, મુરારીની પ્રતીક્ષામાં આંગળીના વેઢે દિવસો ગણી રહી છે અને ગણતાં-ગણતાં બધા વેઢા પણ ઘસાઈ ગયા છે હવે તો! પ્રતીક્ષાની કેવી પરાકાષ્ઠા! કેવી ઉત્કૃષ્ટ કવિતા! ઝાંઝ-મૃદંગ-વાંસળી-એકતારો વાગી રહ્યા છે, કેમ કે વસંત ઋતુ આવી ચડી છે. પણ શ્યામ તો એને વિસરી બેઠો છે. આવતો જ નથી એટલે મીરાંબાઈ અરજ કરતાં કહે છે કે પ્રભુ! મારી લાજ રાખો. તારા દર્શનની આશામાં હું જનમ જનમથી કુંવારી છું…

Comments (5)

રોકાઈ ગયો છું – ભગવતીકુમાર શર્મા

આવ્યો’તો જરા માટે ને રોકાઈ ગયો છું;
દુનિયા, તારા મેળામાં હું ખોવાઈ ગયો છું.

ફૂલોને હું અડકયો ને ઉઝરડાઈ ગયો છું;
કાંટાઓના સંગાથથી ટેવાઈ ગયો છું.

ભીની ભીની નજરે તમે મારા ભણી જોયું;
વરસાદ નથી તોય હું ભીંજાઈ ગયો છું.

શોધો ન મને કોઈ નદી-તટની સમીપે;
મૃગજળના અરીસામાં હું પકડાઈ ગયો છું.

અંધારખૂણા, થાંભલા, દીવાલ ને છપ્પો!
શૈશવને કહો, કયાંય હું સંતાઈ ગયો છું!

અપરાધ હો તો એ જ કે ખુશ્બૂ મેં ઉછાળી;
ચોરે ને ચૌટે, ગલીઓમાં ચર્ચાઈ ગયો છું!

-ભગવતીકુમાર શર્મા

પાંચમો શેર ગઝલમાં આગંતુક લાગે છે. બાકીના બધા મજબૂત છે.

Comments (1)

બુઢાપો – નીરેન્દ્રનાથ ચક્રવર્તી (અનુ.: ઉર્વીશ વસાવડા)

સાથીઓ
રાહ ન જોતા મારી,
દિવસ ઢળવા આવ્યો છે,
નીકળી પડો.

મને લાગશે થોડો સમય,
હું તમારી જેટલો નિરાવરોધ નથી.
જો હું ક્યાંક બેસીશ તો પછી
મારા તનમાંથી ફૂટી નીકળશે ડાળખી
અને પગમાંથી ફૂટશે મૂળિયાંઓ.
પછી તમે ચપટી વગાડશો
ને હું તરત નીકળી શકીશ નહીં.

માટે, સાથીઓ, ચાલવા માંડો
મારી રાહ જોયા વગર.
મને મોડું થશે.

– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)

લગભગ છએક દાયકાઓ પહેલાં લખાયેલી રચના આજેય જેવી તરોતાજા લાગે છે! શરીરમાંથી ડાળ-મૂળ ફૂટી નીકળવાની અભિવ્યક્તિ આજે પણ આધુનિક લાગે છે. વૃદ્ધાવસ્થાને સહજપણે સ્વીકારી સાથીઓ પર બોજ ન બનવા માંગતા કથકની આ વાત વાંચતાં જ સ્પર્શી જાય છે.

Comments (2)

કે આહા! – લલિત ત્રિવેદી

અગનમાં જ આરામગાહા કે આહા!
છે કેવા રૂહાના પલીતા કે આહા!

નિભાવી છે કેવી તો આતિશમિજાજી…
ઊડે છે બદનમાંથી તણખા કે આહા!

કલમ છે કે લોબાન છે, માસાઅલ્લા…
ગઝલ થૈ ગઈ ઈદગાહા કે આહા!

કટારી હજી ઔર ઊંડે… ઓ કામિલ
રહમ! ઔર ઊંડે હો એક ઘા કે આહા!

ઋચાઓ ઋચાઓ.. ગહન લગ શિખાઓ…
પ્રગટ હો શમન લગ ધખારા કે આહા!

સમિધ થૈ ગયેલા અભરખા કહે છે-
-શમનમાંથી પ્રગટે છે સ્વાહા કે આહા!

ને પરછાઈ પણ કાષ્ઠ પર ચેતવીને
ચિરંતન કરી દ્યો રે શાતા કે આહા!

લલિત તારા ભાણામાં ક્યાંની આ રોટી
પરબ થૈ ગયા જેના પ્યાલા કે આહા!

– લલિત ત્રિવેદી

Comments (3)

કુંવારી છોકરીનું ગીત….. – રમેશ પારેખ

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…

આવા તે ગામમાં દિવસ ઊગ્યો
કે રાત ઊગી તે કેમ કરી જાણું
સૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે
– ને વાય અહીં વ્હાણું

મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,
મને કંઈ તો રોયનું સુખ આપો….

પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથી
હોઠ સુધી કોઈ વાર આવ્યું
ઊગ્યું છે કંઠ મને રેતીનું ઝાડવું
એ વધતું રે જાય છે સવાયું
ખાલી રે કંઠ અને ખાલી હથેળીયુંને
કંઈ તો ખોયાનું સુખ આપો….

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…

– રમેશ પારેખ

 

શૂન્યતા એટલી ઘેરી છે કે અભાવ સુદ્ધાં નથી !

Comments (1)

ભૂલ – હરીન્દ્ર દવે

અડકીને ચાલો તોય અળગા, સાજન,
હોઠ મલકે ને ખીલે નહીં ફૂલ,
સેજમાં તમારી સોડે સૂતી, ને તોય
નેણ ખટકે ઉજાગરાની શૂળ.

મનમાં ઊઠે છે કેવા કેવા તરંગ,
હવે ‘કોને કહું’ ‘કોને કહું’ થાતું,
પાસે ને પાસે તમે આવો ને મન મારું
અદકું ને અદકું મૂંઝાતું;
વેણમાં ન હૈયાનાં પ્રોવાતાં કહેણ
કહો કેમ કરી કરવા કબૂલ?

વેગળા રહો તો વ્રેહવેદનાએ પ્રીછું,
રીસ રાખો તો માનથી મનાવું,
સમજો તો બોલતા અબોલાનો ભેદ
એક આંખના ઈશારે સમજાવું.
એટલેથી રીઝો તો મબલખના મેળામાં
કહું કે ‘સાજન મારી ભૂલ !’

– હરીન્દ્ર દવે

સુંદર મજાનું ઊર્મિકાવ્ય….નાજુક શી વાત….નમણાં શબ્દો….નઝાકતભરી માવજત….

Comments (3)

(અંધારની ચાદર સજાવીને) – રાકેશ હાંસલિયા

બધે અંધારની ચાદર સજાવીને,
હવા ચાલી ગઈ દીવા બુઝાવીને.

સમય આવે ભલે બાંયો ચઢાવીને,
નથી ઊભો હુંયે મસ્તક નમાવીને.

ચરણ મૂકે ને થઈ જાતો તરત રસ્તો
તમે આવ્યાં નસીબ એવું લખાવીને.

પૂછો એને જરા આ ઢેબરાંનો સ્વાદ,
જીવે છે જાતને કાયમ દળાવીને.

હતાં જે સાવ અક્કડ, ઉંબરે ઊભા,
પ્રવેશી ગ્યાં ઘણાં માથું નમાવીને.

પહાડોને કહે છે કે હટી જાઓ,
થયો મગરૂર કાગળ બે ઉડાવીને.

કર્યો સોનેટનો ઉલ્લેખ અમથો ત્યાં,
ગઝલ બેસી ગઈ લ્યો મોં ફૂલાવીને.

– રાકેશ હાંસલિયા

રાકેશ હાંસલિયાના નવા સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માંથી એક ગઝલ આજે આપ સહુ મિત્રો માટે… મત્લા જ કેવો મજાનો થયો છે… હવાથી દીવો હોલવાઈ જતાં ફેલાઈ વળતા અંધારાનું સહજ દૃશ્ય કવિએ કેવું બખૂબી દોરી આપ્યું છે! એ પછીના પણ બધા શેર નિતાંત આસ્વાદ્ય થયા છે…

Comments (8)

(આસપાસમાં) – કિરણ જોગીદાસ ‘રોશન’

કાયમ રહે છે કોઈ અહીં આસપાસમાં,
લાગ્યું ન એકલું કદી તેથી પ્રવાસમાં.

કોને ખબર કે ધબકે છે કોના લગાવમાં?
આવ્યુ કશું ન હાથ હૃદયની તપાસમાં.

ભાગ્યા કરે છે રાત દિ’ અંદર ને બહાર, બસ
તો પણ હજી ક્યાં થાક છે આ મારા શ્વાસમાં?

સાથે મશાલ લઈ અને ચાલે છે કોઈ તો
અંધાર છે છતાં ભરું છું ડગ ઉજાસમાં.

મંઝિલ મળે કે ના મળે એની ત્યજી ફિકર,
રાખો કચાશ ના કદી ‘રોશન’ પ્રયાસમાં.

– કિરણ જોગીદાસ ‘રોશન’

સરળ સહજ ભાષામાં સુંદર ગઝલ. કોઈ અઘરી-અઘરી કે મોટી-મોટી વાત ન કરી હોવા છતાં દરેક શેર સંતર્પક થયા છે. ગીતાના कर्मण्ये वाधिकारस्तेની યાદ અપાવી, મંઝિલ મળે કે ન મળે એની ફિકર પડતી મૂકીને પ્રયાસમાં કચાશ ન રાખી જીવન ‘રોશન’ કરતાં શીખવતી આ રચના થોડી ભાષાગત કચાશ દૂર કરવાનો પ્રયાસ કરાયો હોત તો હજી વધુ રોશન થઈ શકી હોત.

Comments (10)

પીડાની જાતરા – યોગેશ પંડ્યા

હવઅ તારઅ ન મારઅ હુ સે મારા પીટ્યા
નઈં હાંધ્યો હંધાય હવઅ જીવતરનો ધાંગો.

રૉમ રૉમ બોલીનઅ રાખ્યું, તો રાખ્યું કે-
કાલઅ ભૂલૈઈ જાહે દખ,
પીડાની જાતરોમોં પંડ્યને ય ભૂલૈઈ જીયું
આયુ નંઈ તોય કાંય હખ
હખનો ક્યાં ખાવા દીધો’તો મને રોટલો?
ખાંડણિયે માથું!… ભંગાય ઈમ ભાંગો!

પયણીને આઈ, ઈ, રાત્ય મારા જીવતરની
કાળી બની જઈ’તી રાત્ય.
પીંસાના પાથરણે પોઢવાના ઓરતા
પણ, ઊતરડી લીધી’તી જાત્ય.
એક પા ભડભડતો દવ ખળે, એક પા-
દખનો વરહાદ થતો ખાંગો!

– યોગેશ પંડ્યા

તળપદી ભાષાની તો ફ્લેવર જ અલગ. આ જુઓ. નખશિખ શુદ્ધ ભાવનગરી બોલી. સ્ત્રી પરણીને પતિગૃહે આવે છે ત્યારે સાથે લઈ આવેલા અરમાનોની ચિતા પર બેસીને આપણને એની પીડાની જાતરાએ લઈ જાય છે. થાકી-હારીને અંતે એ પતિને કહી દે છે કે તારે ને મારે હવે કંઈ સંબંધ નથી, જીવતરનો દોરો હવે સાંધ્યો સંધાય નહીં એ રીતે તૂટી ગયો છે. દુઃખ આવ્યું તો સ્ત્રીએ રામ રામ બોલીને એને એ આશાએ સ્વીકાર્યું કે કાલે ભૂલાઈ જશે, પણ પીડાની આ જાતરા એવી વસમી હતી કે જાત ભૂલાઈ ગઈ પણ સુખ આવ્યું નહીં. સાસરિયાંઓએ સુખનો રોટલો કદી ખાવા જ ન દીધો એની સામે ચિત્કારતાં એ કહે છે, કે ખાંડણિયામાં માથું મૂક્યું છે, હવે ખાંડો ખંડાય એમ. સુહાગરાતની વાતો તો કેવી મજાની હોય, પણ નાયિકાના જીવનમાં તો એ રાત જ કાળી માઝમ રાત બનીને આવી હતી. પીંછાના પાથરણે સૂવાના ઓરતા લઈને આવેલી સ્ત્રીની સાસરામાં જાત જ ઉતરડી લેવાઈ. એક તરફ ભડભડતો અગ્નિ ને બીજી તરફ દુઃખનો વરસાદ ખાંગો થાય છે. આમ તો વરસાદ પડે તો અગ્નિ ઓલવાઈ જાય પણ અહીં, કશું ઓલવાતું નથી, ઓલવાઈ છે તો નાયિકાની જિંદગી, આશાઓ, સ્વપ્નો…

Comments (22)

આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર

મસ્જિદબંદરમાં મણિલાલ નામે
એક બદામી રંગનો મરઘો રહે છે.
મણિલાલ નાનાં મરઘાંઓને બિવરાવે છે.
મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે,
ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.
મણિલાલ મરઘાને ખબર નથી
કે પોતે થોડા જ દિવસોમાં ખવાઈ જવાનો.

પણ ધારો કે એને ખબર બી હોય,
અને એ ગમે તેમ ભાગી બી જાય,
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,
અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝાલશે,
જંગલમાં ભાગે તો ભીલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,
દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઈન્ડિયા છોડી દે,
તો રોમ ને રંગૂનમાં રંધાશે,
માલિક સામે લડશે તો ગળું ટૂંપશે,
ખુશામદ કરતો રહેશે તોય કાપશે,
સંતાઈ છુપાઈ જશે તો ગોતી ગોતીને મારી ખાશે.
કહો તમે જ કહો,
મણિલાલ જાય ક્યાં?
મણિલાલ કરે શું?

– ઉદયન ઠક્કર

સરળ લાગતી કવિતા ગૂઢ વાત કરે છે – આપણે સૌ સ્વતંત્રતાને ઉત્તમ વેલ્યુ માનીએ છીએ, ખરેખર કોઈ સ્વતંત્ર છે ખરું ??? ખરેખર શું માનવી પોતાનો ભાગ્યવિધાતા હોય છે ખરો ???? ઉત્તર વાચકની પ્રજ્ઞા ઉપર છોડ્યો છે…..

Comments (3)

સમજાવી દઉ હું યે સાનમાં – ચંદ્રેશ મકવાણા

સમજી સમજીને તમે સમજી શકો તો પછી સમજાવી દઉ હું યે સાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી
ભમરા ડંખે એ વાત જુદી,
ઝરણાનાં લીલાછમ્મ જળને મુકીને કોઈ
રણને ઝંખે એ વાત જુદી,

જરા ઓરા આવો તો એક લાખેણી વાત જરા કહી દઉ હું ધીમેથી કાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

સાગરમાં તરવાનો શોખ કદી જાગે
તો ડૂબવાની તૈયારી રાખવી
પ્રેમમાં પડ્યાનો કદી અવસર આવે તો
પ્રીત સહિયારી સહિયારી રાખવી

વાત એ પણ લખાઈ છે સીધીને સાફ વેદ, ગીતા કે બાઇબલ, કુરાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

– ચંદ્રેશ મકવાણા

 

‘ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી ભમરા ડંખે એ વાત જુદી…..’ શું મુદ્દાની વાત કરી છે !! તે પણ વળી કેવી નજાકતથી !!!

Comments (3)

કવિતા: ચૈતન્યની પુરાતત્ત્વવિદ્યા – માઇક એસિગ

કવિતા એ નખશિખ
ચૈતન્યની
પુરાતત્ત્વવિદ્યા છે;
મનના
ઘડાની ઠીકરીઓ,
જેના સાચા અનુભવનું
માત્ર
અનુમાન જ કરી શકાય છે.
તમે એ વાંચો છો ત્યારે
માત્ર ટુકડાઓ જ શોધી શકો છો,
નહીં કે એમની અસલ ગોઠવણી.
તમે કોશિશ કરો છો
એ બધાયને ફરીથી ભેગા કરવાની,
પણ એ શક્ય જ નથી.
તમે જ્યારે એ લખો છો,
ત્યારે સંકેતો મૂકતા જાવ છો
એ વૈજ્ઞાનિકો માટે
જે હજી આવનાર છે
અને જેઓ કદી પણ
પૂરેપૂરું સમજી શકવાના નથી
કે તમે કોણ હતા,
પણ એ બરાબર જ છે
કારણ કે
તમે પણ ક્યારેય નહોતા સમજી શક્યા.

– માઇક એસિગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતા વિશેની કવિતાઓ લખાતી આવી છે, લખાતી રહેશે.  માઇક એસિગ કેવી મજાની રચના લઈ આવ્યા છે! કવિતા બીજું કશું નથી, આપણી ચેતનાની ભીતર ઊંડે ઊતરીને કરેલું ખોદકામ છે. વર્ડ્સવર્થે કહ્યા મુજબ emotions recollected in tranquility માંથી એ જન્મ લે છે. કવિનો અનુભવ અક્ષત છે, એ પોતાના ચૈતન્યને અ-ક્ષરદેહ આપે છે ત્યારે લાગણીઓને યથાતથ અભિવ્યક્ત કરવા ધારે છે પણ જ્યારે ભાવક કવિતામાંથી પસાર થાય છે ત્યારે એના હાથમાં શું એ અક્ષત લાગણીઓ આવે છે ખરી? કે પુરાતત્ત્વવિદ પ્રાચીન ખંડેર ખોદી કાઢે ત્યારે હાથમાં જેમ આખા ઘડાના બદલે કેવળ ઠીકરીઓ આવે છે, અને ઠીકરીઓ પરથી આખો ઘડો કેવો હશે એનું કેવળ અનુમાન જ કરવાનું રહે છે, એમ માત્ર છૂટક અહેસાસ જ હાથ આવે છે? કવિ કવિતા લખે છે ત્યારે સહગામીઓ, અનુગામીઓ એની સ્વાનુભૂતિને યથાર્થ ઉકેલી શકે એ માટે પૂરતી કોશિશ કરે છે, પણ કોઈ માણસ કદી બીજાના માનસને પૂર્ણપણે સમજી શક્યો નથી, સમજી શકનાર નથી… એટલે જ કવિતા એક જ હોય છે, પણ ભાવકે-ભાવકે અનુભૂતિ અલગ હોઈ શકે છે.

The Archeology Of Consciousness

Poetry is solely
the archeology
of consciousness,
the pot-shards
of a mind
whose true
experience
can just be
guessed at.
When you read it
you discover
mere pieces,
not the original
arrangement.
You try to wonder
them back
together,
but can’t quite.
When you write it,
you leave clues
for scientists
yet to arrive
who will never
fully understand
who you were,
which is OK
because you
never did either.

-Mike Essig

Comments (4)

(મહેંદી જોઈને) – આરતી યુ જોશી ‘અમી’

હાથમાં મુકેલી મહેંદી જોઈને,
યાદ કરતી હોઉં છું હું કોઈને !

તારા દીધેલા જખમને સીવતા,
આખરે તૂટવું પડયું છે સોઈને.

હસતા મોઢે હું તને સંભારું છું,
થાકી ગઈ છું હું વિરહનું રોઈને.

મારી નજરોમાં જ ઉત્તર વાંચી લે,
હું નહિ બોલીશ સામે જોઈને

નામ મારું જાતે પાડ્યું છે ‘અમી’,
મે નથી બોલાવી મારી ફોઈને !

– આરતી યુ જોશી ‘અમી’

કેવી સુંદર ગઝલ! એકદમ સરળ-સહજ છતાંય વાંચવાવેંત દિલો-દિમાગનો કબ્જો કરી લે એવી. બધા જ શેર ઉત્તમ થયા છે.

Comments (13)

કવિતા લખવી હોય તો – સુરેશ દલાલ

કવિતા લખવી હોય તો લખો
.                                       – લખો તમારી ગરજે.
લખશો એટલે કવિતા થશે જ
એની કોઈ બાંયધરી નહીં આપી શકે.
.                                       – પોતે પણ નહીં.

છંદ આવડે કે ન આવડે
કવિતા કોઈ પૂર્વશરતથી આવતી નથી.
એવું પણ બને
કે આવવાની સાથે
એનું કાગળ પર જ બાળમરણ થાય.
પ્રગટ્યા પછી એ તમારાથી છૂટશે.
તમારું નામ ભલે હોય કે ન હોય,
પણ એ શ્વાસ
પોતાના જોર પર જ લેશે.

ખંખેરી નાખશે વિશેષણોની જંજાળ,
જીવનની સરિતા કે મરણનો સમુદ્ર
કે વિષાદનો વડલો – આવાં આવાં
રૂપકોને તો એ ફ્ંગોળીને ફેંકી દેશે
તમારી નજર સમક્ષ જ.
આ બધું જોવાની અને જીરવવાની
તાકાત હોય,
અને ભૂંસવાની તથા નવેસરથી ફરીથી
લખવાની ભીતરી ગરજ હોય તો
.                   – લખવી હોય તો લખજો..
.                   કદાચ, એ કવિતા હોય તો હોય.

– સુરેશ દલાલ

દરેક કવિના લોહીમાં રસીબસી હોવી જરૂરી કવિતા…

સુ.દ.ના પોતાના શબ્દોમાં: આપણા ઘણા બધા કવિઓ માને છે કે જાણે પોતે કવિતા લખીને સમાજ પર ઉપકાર કરે છે. એનું ફંકશન થાય ત્યારે કોણ કોણ આવે છે એની હાજરી લે છે. એ પરથી મેં એક કવિતા લખી કે ‘કવિતા લખવી હોય તો લખો તમારી ગરજે…’

Comments (4)

મારા નાવિક – જગદીશ જોષી

સાવ સીધી નદીનાં વ્હેણ વાંકા થયાં
અને વાંકી નદીનાં વ્હેણ સીધાં;
કાંટા પર મ્હોરેલા લીલા પડછાયાનાં,
વેણ અમે પાંપણથી પીધાં.

સૌરભની શાલ હવે ઓઢે હવા,
પણ વાયરાનો સોળ તોય વાગે,
રણઝણતા ક્યાંક ક્યાંક ઊડે છે આગિયા
પણ આંખોમાં અંધારું જાગે !

તારી નદીની અમે નાવ, મારા નાવિક !
એવા સોગંદ અમે લીધાં.

ચરણોને ચાલવાની ઝંખના જાગી,
ત્યાં રસ્તાએ જોઈ લીધું આડું,
આંખોના કૂવામાં આંસુના મધપૂડા,
તરસ્યાંને કેમ સાદ પાડું ?

તારી વાતોમાં અમે કેવા ડૂબ્યાં
કે અમે અમને અળખામણાં કીધાં !

– જગદીશ જોષી

આંખોના કૂવામાં આંસુના મધપૂડા…….!!!!! શું કવિકર્મ છે !!! અદભૂત !!!!

Comments (3)

વાત લ્યાં કોણ માને? – હસમુખ કે રાવલ

કોન્દાને ભૈ, જરીય નખમાં રોગ તો વોય ચ્યાંથી?
વાળી બેઠા પગ મિલિટ ભૈ, ચ્યાંય જોયા તમીં હેં?
જોકે રોમ્ભૈ અનુભવી છતાં હાવ સૂટી પડ્યા તે-
નાંશી જીપે શિવિલ લઈ જ્યા,વાત લ્યાં કોણ માને?

વ્હેલાં ચારે ટણણ ખખડ્યો ફોન ટાઢા અવાજે,
જીવી તો ભૈ દહ-દહ જણે હાથ ઝાલી ન રહેતી.
કૂવે-કૂવા ઠપ,તરત હાંફે ચડી શેમ આઈ,
ત્યોં ઓચિંતી જીપ ઊછળતી પોકની પોક લાઈ.

કોન્દા હૂતા ઉમરભરની ઊંઘ લેવા ચિતાએ,
ધૂણી સોતો પવન અડતાં…હંસલો જાય ઊડ્યો.
નેકે પાણી ખળખળ જતાં ભૂલતાં જાય ચ્હેરો
હાલ્લે કાળા દિવસ ઊછળ્યા છાજિયાની ધડૂસે.

‘માડી,ચ્યેવાં અધર ઊછળી…’ નેનકી કૂટતી ત્યાં,
‘લૂંડી લાજાં…’ ધખતી પણ જીવી હશી ઓઠ બીડી.

-હસમુખ કે રાવલ

આસ્વાદ: ઉદયન ઠક્કરની કલમે:

મૃત્યુ પર જીવનનો વિજય

આ સોનેટ મંદાક્રાંતા છંદમાં રચાયું છે.ગુજરાતીનું સૌપ્રથમ સોનેટ ‘ભણકારા’ (બ.ક.ઠાકોર) પણ આ જ છંદમાં રચાયું હતું. પરંતુ બેયની ભાષામાં કેવડો મોટો ફરક! પંડિતયુગનાં બધાં સોનેટ સંસ્કૃતગંધી ભાષામાં રચાતાં હતાં.એથી વિરુદ્ધ આ સોનેટની ભાષા એટલી તળપદી છે કે શહેરીઓને સમજવી ય અઘરી પડે. સોનેટનું ઇટાલિયન કાવ્યસ્વરૂપ, સંસ્કૃત છંદ અને ઉત્તર ગુજરાતની બોલીના સંયોજનથી હસમુખ રાવલે અતિ વિલક્ષણ કાવ્ય સર્જ્યું છે.

કોન્દા નામના માણસની તબિયત રાતી રાયણ જેવી રહેતી હતી. તે અહીંથી ત્યાં હડીઓ કાઢતો હતો.(નખમાં રોગ ન હોવો, પગ વાળીને બેસવું, જેવા રૂઢિપ્રયોગોથી કવિએ બોલચાલની ભાષા નીપજાવી છે.’મિનિટ’ નહિ પણ ‘મિલિટ’ લખતા કવિના કાન સરવા છે.)કોન્દાની તબિયત એવી તો લથડી, એકાએક, કે રામભાઈ જેવા જમાનાના ખાધેલ પણ મુંઝાઈ ગયા અને મારતી જીપે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા.

સવારે ચારના અસૂરા ટાણે ફોન રણક્યો. નીરવ શાંતિમાં ફોનનો ટણણ અવાજ કેવો આકરો લાગ્યો હશે! આવા સમયે તો અશુભ સમાચાર જ હોવાના, એટલે ફોન કરનારના અવાજને ટાઢો કહ્યો છે. જીવીએ (કોન્દાની પત્ની જ હશે) એવી તો રોકકળ મચાવી કે કોઈ તેને સાંત્વન આપી ન શક્યું.

કૂવાઓ ઠપ થઈ ગયા- ન પનિહારીઓ કે ન પંપના અવાજ. ‘શેમ’ એટલે સીમ. સમાચાર સાંભળીને દૂર દૂરથી સૌ દોડતાં આવ્યાં.ત્યાં તો કાળમુખી જીપ આવી પહોંચી અને કુટુંબીજનોએ પોક મૂકી.

કોન્દા ચિતાએ પોઢ્યા. જીવનમાં ન મળી શકેલી એવી ખલેલ વિનાની નિદ્રા અંતે તેમને સાંપડી. ધૂણીના ધુમાડાને હડસેલે હંસલો (જીવ) ઊડ્યો. છાજિયા-મરસિયામાં છાતી કુટાય તેની ભીષણતા ‘ધડૂસ’ શબ્દથી કાનવગી કરાઈ છે. પણ જીવન કોઈને માટે થોભતું નથી. ફરી કૂવાના પંપ ધમધમતા થયા, નીકે પાણી વહેતું થયું, કાળના પ્રવાહમાં કોન્દાનો ચહેરો ભૂંસાતો ચાલ્યો.

આ ‘શેક્સપિયરન સોનેટ’ છે, જેની અંતિમ બે પંક્તિઓમાં ભાવપલટો આવે. જીવીની દીકરી નેનકી બોલી પડી, ‘માડી, તું કેવી ઊછળીને ઉધામા મચાવતી હતી!’ શિશુ ભૂતકાળમાં નહિ પણ વર્તમાનમાં જીવે. કોન્દાના મૃત્યુનો ઓછાયો નાનકીને શિરેથી સરી ગયો છે.જવાબમાં જીવીએ ડૂસકું ભર્યું? પોક મૂકી? ના રે ના! ‘તને લાજ નથી આવતી?’ એવું પૂછીને તે હસી,બંધ હોઠે. લોકલાજને કારણે મુક્ત હાસ્ય તો ન કરી શકાય, પણ તેણે મલકી જરૂર લીધું.
જીવી શું કામ હસી? મૃત્યુને નિહાળીને જિંદગી નિ:શ્વાસ તો મૂકે છે, પણ વળતી જ પળે પાછો શ્વાસ લઈ લે છે. ‘જીવી’નું નામ પણ સાંકેતિક છે. મૃત્યુ પર જીવનનો વિજય ઊજવતું સ્નેહરશ્મિનું હાઇકુ જુઓ-

હિરોશિમાની
રજ લઈ વનમાં
ઘૂમે વસંત

-ઉદયન ઠક્કર

Comments (6)

ફાવી નથી શકતો – અમીન આઝાદ

જમાનો એક એવા શ્વાસ પર ફાવી નથી શકતો,
કદી જે આવ-જામાં જઈ ફરી આવી નથી શકતો.

હજી મ્હેફિલથી અંધારાં ઉલેચાવી નથી શકતો,
બળે છે દીપ દિલનો, રોશની લાવી નથી શકતો.

સમાજ ઉજવી રહ્યો છે આપણા બન્નેની મજબૂરી,
તમે આવી નથી શકતાં, હું બોલાવી નથી શકતો.

ન ખાલી થાય, ના ઊભરાય; એવી રીતે પીઉં છું,
નયન-પ્યાલા ભર્યા રાખું છું, છલકાવી નથી શકતો.

દયાની એને પાબંદી, ઈબાદતમાં મને મુશ્કિલ!
અહીં ફાવી શકું છું, ખુદા ફાવી નથી શકતો.

મોહબ્બતના કસમ, બંધન જરૂરી છે મોહબ્બતમાં,
‘અમીન આઝાદ’ જેવો પણ અહીં ફાવી નથી શકતો.

– અમીન આઝાદ

કેવી મજાની ગઝલ! હું તો મત્લા પરથી જ આગળ વધી નથી શકતો…

Comments (2)

સ્વ. રાવજીએ ન લખેલું ગીત – નયન હ. દેસાઈ

નર્સ, મારા ભાગી જતા શ્વાસના ભાતીગળ કાફલાને રોકી શકે તો હવે રોક,
સ્પેશિયલ વૉર્ડમાં આ ટકટકતી ઘડિયાળે મૂકવા માંડી છે મરણપોક.

ચારે દિશાએ હાથ મૃત્યુના લંબાવ્યા ધખતી બપોરે મારી પાંખમાં,
પીળાંપચ સ્મરણોનાં વૃંદાવન સળગે છે સૂરજ ઊગે ને મારી આંખમાં,
નર્સ, મારા ભૂરા આકાશની લીલીછમ છાંયડીઓ સળગી રહી છે છડેચોક.

પોપચામાં મોરપિચ્છ, શમણાંની રાખ બળે, નીંદર આવે તો હવે કેમ?
મુઠ્ઠીભર ક્ષણને મેં ખાલીખમ પાંસળીમાં જકડી રાખી છે જેમતેમ,
નર્સ, મારાં ગળવા માંડેલાં આ હાડકાંના ઢગલા પર અણિયારા ખીલાઓ ઠોક…

કાલે ઊઠીને નહીં હોઉં તો એ બારસાખે કંકુના થાપાને ભૂંસજો;
ઝૂરતા એ ઉંબરને ‘ઝાઝા જુહાર’ કહી ડેલીની સાકળને ચૂમજો,
નર્સ, એની આંખોમાં ઊગેલા કંકુના સૂરજનાં અજવાળાં ફોક…

– નયન હ. દેસાઈ

સામાન્ય માણસ જ્યાં અટકી જાય છે, કવિ ત્યાંથી આગળ વધે છે. આપણે જાણીએ છીએ કે ક્ષયરોગની બિમારીના કારણે રાવજી પટેલ માત્ર ૨૯ વર્ષની ટૂંકી વયે આપણને ‘ગુડ બાય’ કરી ગયા. અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું ઊભું જોઈને એમણે લખેલું ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીત ગુજરાતી ભાષાના સર્વોત્કૃષ્ટ ગીતોમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. રાવજી પટેલે તો આપણને એ અમર ગીત આપીને ચાલ્યા ગયા. બધાથી ઉફરી તરી આવતી કવિતાઓ આપવા માટે બહુખ્યાત કવિ શ્રી નયન દેસાઈ આપણને સ્વર્ગસ્થ રાવજી પટેલે ન લખેલું ગીત આપે છે.

રાવજી પટેલ જાણે છે કે એમના ભાતીગળ શ્વાસોનો કાફલો સરકી જઈ રહ્યો છે એટલે એ સારવાર આપતી નર્સને ઈજન આપે છે કે રોકી શકે તો રોકી બતાવ. ઘડિયાળની ટકટક પણ મરણપોક જેવી સંભળાય છે. રાવજીના લીલા ઘોડાઓ પીળા પાંદડે ડૂબે છે, તો રાવજીની ન કહેલી આપવીતી કહેતા પરકાયાપ્રવેશી નયન દેસાઈના ગીતમાં પીળાં સ્મરણોનાં વૃંદાવન અને લીલી છાંયડીઓ બધું સાગમટે સળગી રહ્યું છે. ટીબીના કારણે ગળવા માંડેલા હાડકાંઓ ગળતાં જતાં જીવતરને માંડ પકડીને બેઠાં છે. નયન દેસાઈનું રાવજીત્વ થોડું મુખર છે. એ ઝાઝા જુહાર કહીને બારસાખેથી કંકુથાપા ભૂંસી, ડેલીની સાકળ ચૂમી લેવા કહે છે. રાવજીની આંખ કંકુના સૂરજને આથમતો જુએ છે, નયન દેસાઈનો રાવજી કંકુના સૂરજનાં અજવાળાં ફોક કરીને આપણા અહેસાસમાં અણિયાળા ખીલાઓ ઠોકી આપણને લોહીલુહાણ કરી દે છે.

Comments (19)

સુધી…..– અનિલ ચાવડા

શ્વાસ મારે લઈ જવા’તા છેક મ્હેકાવા સુધી,
બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી.

ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો,
પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી.

વસ્ત્ર કે દીવેટ થાવું એ પછીની વાત છે,
રૂ ! પ્રથમ તો જાવું પડશે તારે પીંજાવા સુધી.

આપણી કરતાં પવનની નમ્રતા કેવી, જુઓ!
કમ સે કમ એ રાહ જુએ ફૂલ કરમાવા સુધી.

લાશને પણ નાવ સમજી પાર કરશે એ નદી,
પ્રેમ ઓછો રાહ જુએ પુલ બંધાવા સુધી?

‘આવજો’ બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત?
હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી.

– અનિલ ચાવડા

Comments (4)