ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.
અંકિત ત્રિવેદી

આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર

મસ્જિદબંદરમાં મણિલાલ નામે
એક બદામી રંગનો મરઘો રહે છે.
મણિલાલ નાનાં મરઘાંઓને બિવરાવે છે.
મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે,
ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.
મણિલાલ મરઘાને ખબર નથી
કે પોતે થોડા જ દિવસોમાં ખવાઈ જવાનો.

પણ ધારો કે એને ખબર બી હોય,
અને એ ગમે તેમ ભાગી બી જાય,
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,
અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝાલશે,
જંગલમાં ભાગે તો ભીલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,
દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઈન્ડિયા છોડી દે,
તો રોમ ને રંગૂનમાં રંધાશે,
માલિક સામે લડશે તો ગળું ટૂંપશે,
ખુશામદ કરતો રહેશે તોય કાપશે,
સંતાઈ છુપાઈ જશે તો ગોતી ગોતીને મારી ખાશે.
કહો તમે જ કહો,
મણિલાલ જાય ક્યાં?
મણિલાલ કરે શું?

– ઉદયન ઠક્કર

સરળ લાગતી કવિતા ગૂઢ વાત કરે છે – આપણે સૌ સ્વતંત્રતાને ઉત્તમ વેલ્યુ માનીએ છીએ, ખરેખર કોઈ સ્વતંત્ર છે ખરું ??? ખરેખર શું માનવી પોતાનો ભાગ્યવિધાતા હોય છે ખરો ???? ઉત્તર વાચકની પ્રજ્ઞા ઉપર છોડ્યો છે…..

3 Comments »

  1. Suresh Shah said,

    February 26, 2020 @ 5:16 AM

    ખરેખર કોઈ સ્વતંત્ર છે ખરું ???
    આપણે ભ્રમમાં જીવીયે છીયે.
    હું અમર અજર છું. શું ખરેખર?

    ક્યારે અને કેવી રીતે આ ભ્રમમાંથી બહાર નિકળીયે??

    – સુરેશ શાહ, સિગાપોર

  2. pragnajuvyas said,

    February 26, 2020 @ 8:39 AM

    કવિ શ્રી ઉદયન ઠક્કરના ગૂઢ વાતવાળા અછાંદસના આસ્વાદમા ડૉ તીર્થેશજી કહે છે કે -‘ આપણે સૌ સ્વતંત્રતાને ઉત્તમ વેલ્યુ માનીએ છીએ, ખરેખર કોઈ સ્વતંત્ર છે ખરું ? ખરેખર શું માનવી પોતાનો ભાગ્યવિધાતા હોય છે ખરો ?’ અંગે પરોક્ષ હાસ્યવાળી આગળ વાત…સાતમી ઓક્ટોબરે સવારનાં સાડા આઠનાં શુમારે સ્કોટલેન્ડ દેશનાં ડંડી શહેરમાં વાહનચાલકોની ફરિયાદ પરથી આપણો આ મણિલાલ સરાજાહેર રસ્તો ક્રોસ કરતી વેળાએ યુનિફોર્મ્સ પહેરેલાં ત્રણ પોલિસ ઓફિસર્સનાં હાથે ઝબ્બે થયો છે. આ લખાય છે ત્યારે ડંડી ઇસ્ટ માર્કેટગેઇટનાં ટેસાઇડ પોલિસ સ્ટેશનનાં લોક-અપમાં મણિલાલ બંધ છે. અલબત્ત મણિલાલની સંભાળ લેવા પોલિસે જીવહિંસા નિવારણ સંસ્થાની મદદ લીધી છે. પોલિસ હવે મરઘાંનાં માલિકને શોધી રહી છે. ફેસબૂક પર પણ અપીલ કરી છે. પણ માલિક હજી મળવામાં નથી.અને ફરી એકવાર ‘વ્હ્યાય ડિડ ચિકન ક્રોસ ધ રોડ?-‘ની ચર્ચા શરૂ થઇ ગઇ છે. ઇ.સ.૧૮૯૦નાં દાયકામાં આ પ્રશ્ન અને એનાં વિધ વિધ ઉત્તરોએ રમૂજની એક નવી ઊંચાઇ તય કરી હતી. એન્ટિ-હ્યુમર એ પરોક્ષ હાસ્ય છે. આડકતરી રમૂજ છે. રમૂજ કહેનારો રમૂજને અંતે એવું કહે છે કે જે ફની નથી. હસવું આવે એવું નથી અને છતાં હસવું આવે છે. એ તો સાવ સાદી વાત સાદી રીતે કરે છે. સાંભળનારાઓને ખરેખર કોઇ હાસ્યજનક પંચલાઇનની અપેક્ષા હોય પણ એવું કાંઇ આવે જ નહીં. આ દેખીતી વિપરીતતા જ હાસ્ય જન્માવે છે. આશ્ચર્યનું તત્ત્વ એ એન્ટિ-હ્યુમરનો જરૂરી હિસ્સો છે. સાંભળીને હસવું આવશે એવું ધાર્યું હોય પણ જવાબમાં કોથળામાં ભરેલું બિલાડું નીકળ્યાનું ફીલ મળે તે એન્ટિ-હ્યુમર. દાખલા તરીકે એક ઘૂવડ અને એક ખિસકોલી ઝાડ પર બેસીને નીચે પસાર થતા ખેડૂતને ધ્યાનથી જોઇ રહ્યા હતા. ઘૂવડ કાંઇ બોલ્યો નહીં કારણ કે ઘૂવડ અમથાં ય કાંઇ બોલતા નથી. પછી એ ખિસકોલી તરફ વળ્યો અને ખિસકોલીને મારીને ખાઇ ગયો. કેમ? કારણ કે ખિસકોલી એનો ખોરાક હતો. લો બોલો! કાંઇ રમૂજી બન્યું જ નહીં અને છતાં હસવું આવ્યું. ઇંગ્લિશમાં ‘યો મમા’ જોક્સ પ્રચલિત છે. શારીરિક સ્થૂળતા વિષેનાં જોક્સ અલબત્ત યોગ્ય નથી પણ અહીં હ્યુમર અને એન્ટિ-હ્યુમરનો સ્થૂળ ભેદ સમજાવવા દર્શાવી રહ્યો છું. તારી મમ્મી એટલી જાડી કે.. એમ કહીને જાત જાતનાં જોક્સ કહેવાય છે. દાખલા તરીકે તારી મમ્મી એટલી જાડી કે આઇ ફોન પર બેસી જાય તો આઇ ફોનનું આઇ પેડ બની જાય. આ હ્યુમર છે. પણ કોઇ એવું કહે કે તારી મમ્મી એટલી જાડી કે એણે…. હૃદયરોગથી સંભાળવું જોઇએ. આ હ્યુમર નથી. આ હકીકતનું નિવેદન છે. આ એન્ટિ-હ્યુમર છે. અને છતાં હસવું આવે છે. આ જ રીતે, ‘મરઘાંએ રસ્તો કેમ ક્રોસ કર્યો?’ પ્રશ્નનો ઉત્તર એવો કે ‘મરઘાંને મારે જાવું પેલે પાર-ની ઇચ્છા હતી. તંઇ શું?!’ આ તો હકીકતનું સીધુંસાદું નિવેદન થયું. અપેક્ષા હતી કંઇક મસાલેદાર જવાબની પણ તેથી વિપરીત સાવ સામાન્ય જવાબ મળ્યો; અને છતાં અથવા તો કદાચ એટલે જ, હાસ્ય નિષ્પન્ન થયું. પાછો એ જ સવાલ પૂછીએ અને એ જ ઉત્તર મળે તો હસવું ના આવે. પણ ઉત્તર બદલાય જાય તો? ‘મરઘાએ રસ્તો કેમ ક્રોસ કર્યો?’ તો ઉત્તર મળે કે ‘ફરીને સામેની બાજુ જતા બહુ વાર લાગે એટલે રસ્તો અહીંથી સીધો ક્રોસ કર્યો.’ પછીનો પ્રશ્ન ‘બતકે રસ્તો કેમ ક્રોસ કર્યો? તો ઉત્તર મળે કે ‘ એ સાબિત કરવા કે એ ચિકન નથી?’ (ઇંગ્લિશમાં ચિકન-હાર્ટેડ એટલે બીકણ, ડરપોક, બાયલું.) પછી સવાલ પૂછાય કે ડાયનાસોરે રસ્તો કેમ ક્રોસ કર્યો? તો જવાબ મળે કે ‘ડાયનાસોરનાં જમાનામાં તો મરઘાં હતા જ નહીં. એટલે ડાયનાસોરે રસ્તો ક્રોસ કર્યો.’
    ‘મરઘાંએ રસ્તો કેમ ક્રોસ કર્યો?’ એ પ્રશ્ન જો તમે પ્રધાનમંત્રીને પૂછો તો એ શું કહે? કહે કે ‘સમયકે બંધનોસે, પરિસ્થિતિકી આવશ્યકતાઓસે રાસ્તા ક્રોસ કરના કભી કભી અનિવાર્ય હો જાતા હૈ. બુદ્ધસે યુદ્ધ તક જાના અનિવાર્ય હો જાતા હૈઅને સાચૂકલા આમ આદમીને પૂછીએ તો એ શું કહે? ‘ અરે ભાઇ, એ મરઘો તો રસ્તાની સામે પાર, સસ્તા અનાજની દુકાને ચણ લેવા ગયો’તો. ઓપન માર્કેટમાં અનાજનાં ભાવ ખબર છે?’ અમીર ગરીબ વચ્ચે પણ એક એલઓસી છે, છતાં કોઇ આતંકવાદ નથી. બધા શાંતિથી રહે છે. આ આપણું સ્વદેશી એન્ટિ-હ્યુમર છે!
    પ્રથમ દ્રષ્ટિએ કદાચ આખી વાત વાહિયાત લાગે પણ આ એક જાતનું હ્યુમર જ છે.
    સંદર્ભ મરઘાંએ રસ્તો કેમ ક્રોસ કર્યો? / પરેશ વ્યાસ

  3. Parbatkumar said,

    September 20, 2021 @ 8:03 AM

    અદભુત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment