શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.
– ‘શૂન્ય’ પાલનપુરી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
August 18, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત શેઠ, શબ્દસુમન

આંખ તો એમ જ થઈ જાય છે ભીની ભીની,
ને પછી તો બધું જ લાગવા માંડે છે ભારે ભારે, સજળ!
બારીઓમાં બગાસાં
દીવાલોમાં ઊંડી ઊંડી સુસ્તી,
પવન સાવ પડેલો, હતાશ શઢ-શો.
ને તડકો સાવ ખરવાપાત્ર પીળાશ-શો.
થાય છે : આજની હવામાં
. હું નહીં ઊગું, નહીં વિસ્તરું, નહીં ફળું.
. ભલે હું કોડિયામાં ડૂબેલો રહું માખ-શો.
. હું નહીં ઊડું.
મારે નથી પહોંચવું ક્યાંય,
નથી પહોંચાડવાં કોઈનેય ક્યાંય…..
ભલે ઝૂમખાંનાં ઝૂમખાં ચાવીઓ પડી રહે, કાટ ખાતી,
મારે નથી ઉઘાડવાં કોઈ તાળાં, કોઈ સંચ.
ભલે આકાશ પોઢેલું રહે, આઠે પહોર,
મારે નથી જગાડવા કોઈ સૂરજ કે ચંદ.
ભલે અટકી જતાં અજવાળાં,
. મારી આંખ સુધી પહોંચવા જતાં જ અધવચાળે.
ભલે અટકી જતાં મોજાં મારા દરિયાનાં,
. એકાએક હલેસું જોતાં.
ભલે પીરસેલાં ભાણાં રહે અકબંધ,
. ને ઉજાગરાએ ધીકતા રહે છત્રપલંગ.
ભલે વેદનાના કંપે ખળભળતા રહે
. મારા અંદરના અને બહારના સૌ લોક.
. મારે કશુંય કરવું નથી આ અકાળે હવાયેલી જિંદગીમાં.
ડહોળાવાનું ભલે ડહોળાતું,
તણાવાનું ભલે તણાતું,
ભલે તૂટતાં લંગર
. ને ભલે વછૂટતાં વહાણ આડેધડ ખડકો ભણી.
. આજ ભલે ડૂબતી, પણ આવતીકાલ તો છે જ.
આવતીકાલે સૂરજ ઊગશે જ.
ને ઘણું ઘણું તપશે ને તપી તપીને હલકું થશે;
ઘણું ઘણું પામશે ઉઘાડ હૂંફાળો હૂંફાળો;
ને ત્યારે આજનો આપણો મોકૂફ રહેલો કાર્યક્રમ
ફરીથી ગતિમાન થશે, શાનદાર રીતે સૂરજની સાથે.
. ચોમાસું કંઈ બારે માસનું તો હોતું જ નથી.
– ચંદ્રકાન્ત શેઠ
‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.’ (પ્રભુલાલ દ્વિવેદી) ખરું ને? કોઈક કારણોસર આજે કથકની આંખે ચોમાસું બેઠું છે. કવિ કહે છે કે આંખો આજે ‘એમ જ’ ભીની ભીની થઈ છે. કારણ જે હોય એ, પણ આંખો ભીની થવાના કારણે બધું જ ભારઝલ્લું સજળ લાગવા માંડે છે. હતાશાનો ભાવ ચોકોરથી કથક ફરતે ભરડો લઈ બેઠો છે. બારી, દીવાલ, પવન, તડકો- બધું જ ઉદાસીનતાના રંગે રંગાઈ ગયું છે. કશું જ કરવાની ઇચ્છા બચી નથી. સ્વયં માટે કે અવર માટે થઈને પણ કશું કરવાની આજે તો તમા નથી. કોઈ તાળાં કે ખજાના ઊઘાડવાનું આજે મન થતું નથી. અકાળે હવાઈ ગયેલી જિંદગીમાં કથકને કંઈ કરતાં કંઈ જ કરવા-કારવવાની ઝંખના થતી નથી. જીવનને જેટલું ડહોળાવું હોય, ડહોળાઈ લે; જેટલું તણાઈ જવા માંગતું હોય, ભલે તણાઈ જાય; ભલે બધા જ જહાજ ખડકોમાં ફળાઈને તૂટી જવા દોટ કેમ ન મૂકે, કથકની આજ મરી પરવારી છે, આશ નહીં. આજ મરી પરવારે એ ચાલે, પણ આશ મરી પરવારવી ન જોઈએ. આજ જશે તો કાલ આવશે પણ આશ જશે તો જીવનમાં કદી હાશ નહીં આવે… આજ ભલે ડૂબી મરતી, કાલ તો ઊગશે જ ને! કાલે ફરીથી ભરોસાનો સૂરજ ઊગવાનો જ છે અને જીવનચક્રના આરા પુનઃ ગતિમાન થવાના જ છે. કારણ ચોમાસું ગમે એટલું વિનાશકારી અને લાંબુ કેમ ન હોય, બારે માસનું તો નથી જ હોવાનું!
આ આશા જ આ કાવ્યનો પ્રાણ છે…

Permalink
August 17, 2024 at 12:23 PM by વિવેક · Filed under ચંદ્રકાન્ત શેઠ, શબ્દસુમન, સોનેટ

યદા તુજ દૃગે ભમે ગરલવર્ણ ઈર્ષ્યા, તદા
પુરાણ નગરી તણા વિજન ક્યાંક ખંડેરમાં,
ભમંત સુણું કોક ડાકણનું હાસ – જે સાંભળ્યે
ખરે નભથી તારકો, રુદન થૈ જતું શ્વાનથી!
પ્રકોપ તવ નેત્રમાં અનલવર્ણ ઊઠે, તદા
નિહાળું છલકંત ખપ્પર વિશાળ પાંચાલીનું,
અનેક સમરાંગણો કણકણે ભર્યાં રક્તનાં,
અસંખ્ય ડૂબતા, મરે અસુરવૃત્તિ દુઃશાસનો.
દૃગે પ્રણયસિક્ત ને કુમુદવર્ણ નર્તે સ્મિત,
તદા મનુજ-ઉત્સવ! દ્યુતિ લસંત આનંદનો
શશી હૃદયમાં દ્રવી અમૃત ઉલ્લસાવી રહે
ચકોર નયનો મહીં પ્રણયની નરી માધુરી!
ધરી વિવિધ રૂપ જે રસ રમે ઉઘાડાં ચખે,
નિમીલિત ચખે થઈ પરમ શાંતિ તે શો ખીલે!
– ચંદ્રકાન્ત શેઠ
સદ્ અને અસદ્ –માનવજીવનના સિક્કાની બે બાજુ છે. જે રીતે અલગ અલગ સાત રંગ ભેગા થઈ શ્વેત રંજ નિપજાવે છે, એ જ રીતે ઈર્ષ્યા, શોક, ક્રોધ, વેર, અસુરવૃત્તિ જેવા દુર્ભાવ અને પ્રણય, આનંદ, ઉલ્લાસ જેવા મધુર સદ્ભાવ ભેગાં થઈ શાન્તરસનું સર્જન કરે છે એ બાબત પ્રસ્તુત સૉનેટમાં બહુ સરસ રીતે રજૂ થઈ છે. સૉનેટની પ્રથમ આઠ પંક્તિઓમાં કવિએ મહાભારતનો સંદર્ભ લઈને અલગ-અલગ દુર્ભાવની અને એની અસરોની વાત કરી છે. પછીની ચાર પંક્તિઓમાં પ્રણય અને આનંદોલ્લાસની વાત કરી છે. આપણે મનુષ્યો આ અલગ-અલગ રસોમાં રત રહી જીવન વીતાવી દઈએ છીએ, પણ બુદ્ધ જેવા કોઈક મહાપુરુષ નિમીલિત નયને આ તમામ રસ અને ભાવોનું સંગોપન કરીને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.
(ગરલ= વિષ; અનલ= અગ્નિ; દ્યુતિ= તેજ; લસંત= શોભતું; ચખ= આંખ: નિમીલિત=અર્ધખુલી અર્ધબીડી)

Permalink
August 16, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રકાન્ત શેઠ, શબ્દસુમન

તું ચલવે ને હું અહીં ચાલું, દાવ અજબ એ ખેલી જા;
જે કંઈ તારે પાલવ ગાંઠ્યું, બધું દાવમાં મેલી જા.
હાર-જીતના હિસાબ તે શા? રમાય એની રહે મજા;
રમતાં રમતાં ગૂંચ પડે તો, તક છે, તુરત ઉકેલી જા.
કેટકેટલા ચાંદ-સિતારા એક જ તારા ચ્હેરામાં!
એ સૌ આડે પડદા શેના? સત્વર સૌ સંકેલી જા.
સોનેરી સપનાંને ઝુમ્મર નીંદર મારી ઝળાંઝળાં;
રાતરાણીની સરહદ પરથી સુગંધ અહીંયાં રેલી જા.
જ્યારે તારો ઉઘાડ નીકળે, તારો પાયલ-પંથ ખૂલે;
બંધ બારણું મારી અંદર, તે હળવેથી ઠેલી જા.
– ચંદ્રકાન્ત શેઠ
સામાન્યરીતે છંદોબદ્ધ કવિતા, અછાંદસ અને ગીતોથી જાણીતા કવિ ગઝલોના ચલણથી પરે રહી શક્યા નથી. ગઝલ જેમના રક્તસંસ્કાર ન હોય એવા કવિ જ્યારે ગઝલમાં ખેડાણ કરે ત્યારે ગીત-સૉનેટની બાની ગઝલમાં આવી જવાની વકી પૂરેપૂરી, પણ સદનસીબે ચંદ્રકાન્ત શેઠની મોટાભાગની ગઝલો આમ થવાથી બચી ગઈ છે. ઊલટું, એમનું કવનસામર્થ્ય ગઝલને ઉપકારક નીવડતું જણાય છે. પ્રસ્તુત રચનાને આ દાવા માટેની દલીલ ગણી શકાય. ખરું ને?

Permalink
August 15, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, હરીશ મીનાશ્રુ
પંચાયતના ચોપડે
એ સપરિવાર વર્ગીકૃત હતો અમુક રેખાની નીચે,
જ્યારે બિલોરી કાચ વડેય જડતી નહોતી તમુક રેખા
એના હાથમાં, ફૂટપાથિયા જ્યોતિષીને.
એ ગરીબ હતો, અર્થશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ;
પણ ગુજરાતીનો એક હંગામી અધ્યાપક
એને દરિદ્ર ગણતો હતો, ભદ્ર ભાષાશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ.
જોકે એ નારાયણ નહોતો, ગાંધીજીની વ્યાખ્યા મુજબનો.
માત્ર એનું નામ હતું: નારણ. એની અભદ્ર છતાં
સાચી જોડણી હતી : નાય્ણ્યો.
પાંચ વરસે એ થોડા દડાહા પાંચમાં પુછાતોઃ
ધોની, કાર્તિક કે કોહલીની જેમ એનો ભાવ પડતોઃ
દસબાર દહાડા ભૂસાંભજિયાંનાં પડીકાં, એક શીશો દેશી,
ને ચાર જાંબલી નોટો,
ને હા, બધું પતી જાય ત્યારે, ઝૂંટવેલું ઝંડાનું કાપડ
(જેમાંથી સહેલાઈથી એકાદ અંડરવેર – ઝંડરવેર તો સિવડાવી જ શકાય).
પૂરા પાંચ વરસની મૂઠ મરાવવા માટે
કોક ભૂવા જાગરિયા પાસે જતો હોય એમ એ ઊભો થયો,
એનું ઊભું થવું આમ જોતાં તાંત્રિક હતું,
પણ છાપાંવાળાઓની વ્યાખ્યા મુજબ લોકતાંત્રિક હતું.
એ બહાર નીકળ્યો, સજોડે, સાચવીને, ટટ્ટીમાં પગ ના લબદાય એમ.
ઝૂંપડપટ્ટીની બહાર, નવાઈની વાત,-
(ગાંધીજીની વ્યાખ્યા મુજબના) કોઈ ગરુડને બદલે
પાંખો ફફડાવતાં એની રાહ જોતાં હતાં
વાંકી અણિયાળી ચાંચોવાળાં બેચાર ગીધ.
એ જુગતે જોડાને હંકારી એ હાંકી ગયા એક ડબ્બા સુધી.
અંગૂઠા આંગળાં સમેત એના હાથ સાબૂત હતા.
અત્યાર સુધી એ શાહી પર અંગૂઠો ઘસતો હતો
આજે કોકે ઘસી નાખી શાહી એની આંગળી પર.
હું હિન્દી કવિ હોત તો મારે લખવું પડ્યું હોતઃ
આજ કિસી ને કાલિખ પોત દી ઉસકી ઉંગલી પે.
ને એ તિલસ્મી રીતે પુરાઈ ગયો ડબ્બામાં
ઉત્તેજનાભરી આખી પ્રક્રિયા પતી ગઈ કેવળ બે મિનિટમાં.
જોકે પોલિટિકલ પંડિતો માટે એ નક્કી કરવું અઘરું હતું કે
આ સદ્ય સ્ખલન હતું કે સ્તંભન પાંચ વર્ષનું…
– હરીશ મીનાશ્રુ
લોકશાહીની ચૂંટણી હમણાં જ ગઈ, અને આજે પંદરમી ઓગસ્ટ. આજના દિવસે આથી વધુ સાર્થક રચના મને જડી નથી જડતી. ચિત્ર રંગોથી જ બને, પણ બહુ ઓછા ચિત્રકાર રંગો પાસેથી એવું કામ લઈ શકે છે જે અનનુભૂત લાગે. ચિત્રો માટે જેમ રંગ એમ કવિતા માટેનું ઉપાદાન ભાષા છે. પણ મારા સહિત મોટાભાગના કવિઓ પ્રચલિત ભાષાસંસ્કારથી ઉપર ભાગ્યે જ ઊઠી શકે છે. હરીશ મીનાશ્રુ ભાષા પાસેથી સામર્થ્યવાન ચિત્રકારની જેમ જે રીતે કામ કઢાવી શકે છે એ સાચે જ કાબિલે-દાદ છે. પ્રસ્તુત રચનામાં ડગલે ને પગલે એમની ભાષારમણા અ વાતની પ્રતીતિ કરાવતી જોવા મળશે. લોકશાહીની જે વરવી વાસ્તવિક્તા કવિએ રજૂ કરી છે, એનાથી આપણે સહુ બહુ સારી રીતે અવગત છીએ, પણ અહીં ખરી મજા રજૂઆત અને શબ્દક્રીડાની છે. કશું જ અપરિચિત ન હોવા છતાં કવિતા આપણું લોહી થીજાવી દે એવી પ્રભાવક થઈ છે…
Permalink
August 14, 2024 at 11:14 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ, શબ્દસુમન

બે પંખીને મળવું છે, પણ નથી મળાતું.
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું! –
એક પંખી છે પિંજરપૂર્યું,
પગ પણ બાંધ્યા પાશે;
અવર પંખી તે છિન્ન-પાંખ છે,
ઊડતાં કેમ ઉડાશે?
બે પંખીને ઊંચે જવું છે, નથી જવાતું;
જોડે રહીને,
જલ પીવું છે એક ઝરણનું, નથી પિવાતું! –
એક પંખીને દિવસ મળ્યો છે,
અવર પંખીને રાત,
એક કથે ને અવર સુણે એ,
કેમ બને રે વાત?
બે પંખીને,
એક ડાળ પર ઝૂલવું છે, પણ નથી ઝુલાતું
એકબીજામાં ખૂલવું છે, પણ નથી ખુલાતું. –
– ચંદ્રકાન્ત શેઠ
પૂરી ન થતી ઇચ્છાઓ મનુષ્યજીવનની દુર્નિવાર્ય હકીકત છે. ઇચ્છાપૂર્તિની કામના કેટલાક જીવનનું ચાલકબળ બની રહે છે, તો કેટલાક માટે જીવનભરનું દર્દ. પ્રસ્તુત ગીતરચનામાં ઇચ્છાનદીના બે અલગ-અલગ કાંઠે જીવવા મજબૂર બે જીવોની વેદનાને પંખીના પ્રતીકની મદદથી કવિએ વાચા આપી છે. સરળ બાની અને પ્રવાહી લયના કારણે આ રચના વાંચતા, સોરી, ગણગણતાવેંત સ્પર્શી જાય છે. મળવું હોય પણ મળી ન શકાતું હોય, જીવનના વળાંકે સાથ નિભાવવો હોય પણ નિભાવી ન શકાતો હોવાની લાચારીની પીડા ગીતની દરેક કડીઓમાંથી સુપેરે વ્યક્ત થઈ છે. એક પંખી પિંજરામાં તો કેદ છે જ, પગ પણ બંધાયેલ છે; તો બીજાની પાંખ કપાયેલી છે. ન ઊડી શકાય, ન ઊંચે વિહાર કરી શકાય, ન સાથે મળીને એક ઝરણનું જળ પી શકાય. દુન્યવી જવાબદારીઓનું પિંજરુ, ફરજના પાશ અને સામાજિક નિયમોએ કાપી લીધેલી પાંખના કારણે ઉન્નતિની અસંભવ બનતી ઉડાણ અને જીવનજળ અને સહવાસથી વંચિત રહેવાની વાસ્તવિક્તા કવિએ જે રીતે આલેખી છે, એ આપણા હૈયામાં દર્દની ઊંડી રેખા કંડારી રહે છે. બે જણનો સમય પણ એક થઈ શકતો નથી, પરિણામે સહજીવનના સ્વપ્નને વાસ્તવની ડાળનો સ્પર્શ સંભવ બનતો નથી.

Permalink
August 13, 2024 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ચંદ્રકાન્ત શેઠ, શબ્દસુમન

ક્યાં છો ચંદ્રકાન્ત? તમે ક્યાં છો? ક્યાં છો?
તમારા આ બોલાયેલા — લખાયેલા શબ્દો,
. – એમાં તમે નથી, તમારી છે છાયા;
. – જેને તમારુ ના સ્હેજે અભિજ્ઞાન.
ચંદ્રકાન્ત!
તમોને ભુલાવી દેતા તમારા અરીસા
. – એને તોડીફોડી કેમ નથી દેતા?
તમારી જ આરતીને સહી લો છો શાને?
. – કેમ ફૂંક મારી હોલવી ના દેતા?
તેજના તમિસ્રમાંથી નીકળો રે બ્હાર,
તમારું જે રૂપ, જુઓ તમારીયે પાર!
શ્વાસથી ઉચ્છવાસના ઝૂલાએ રોજ ઝૂલો,
. કદી અંતરાલે માંડી ખરી મીટ?
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
. —જેનો આમ નિષ્પદં શો છંદ ઊંડો નસે નસે ચાલે?
ફૂલ જેમ હસો છો ને કરો છો કલ્લોલ!
તમે જાણેા છે?
—અનતમાં જે અંતે તમે ઝૂલો
. એ કાળના તરુની કોણ ડાળ?
‘ચંદ્રકાન્ત’ નામની ધજાએ જ્યાં ચઢાવી
. એ જ મંદિરે ના જાણે કોઈ ‘ચંદ્રકાન્ત’ કોણ!
ચદ્રકાન્ત તમોએ જે ઉછેર્યું છે ઘર
. એ જ જાણે નહિ ‘ચદ્રકાન્ત’ કોણ!
‘ચંદ્રકાન્ત’ નામના જે રાજપથે ચાલે
. એને તમારાં ના પગલાંની જાણ.
ઢગઢગ ફૂલોએ જે પામ્યા તમે માન,
. એમાં તમારા જ સ્મિતની ના શાન.
‘ચંદ્રકાન્ત’ નામની દીવાલો ઓઢી ઓઢી
. તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!
‘ચંદ્રકાન્ત’ — એ જ તમે એમ માની – ચાલી,
. ભલા ખુદનેય દૂર ઠીક રાખ્યા!
‘ચંદ્રકાન્ત’ નામ પઢ્યા પોપટની જેમ
તોય,
મરચાના જેટલીયે,
ચાંચને તમારી પૂછો,
. ‘ચંદ્રકાન્ત’ નામની પિછાન છે કે કેમ?
‘ચંદ્રકાન્ત’ નામ માટે
. શબ્દોના મિનારા ચણ્યા,
. સંબંધોનાં જાળ વણ્યાં,
. પરઘેર પાણી ભર્યાં,
. રંગલાના વેશ કર્યાં,
. સાત સાત પૂછડાં ઉગાડ્યાં ને કપાવ્યાં કર્યાં!
કેટલાયે કૅમેરાની આંખો પ્હેરી,
. અધકારો આંજી આંજી,
. પ્રકાશોથી રંગી રંગી,
. પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,
. ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા,
. ચદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!
ચારેકોર ચંદ્રકાન્તો
. ખીચોખીચ
. કીડિયારાં રચી રચી જીવે,
. – એમાં હું જ હોઉં એવો સાચો
. એક તો બતાવો મને
. ચંદ્રકાન્ત ક્યાં છે?
. કયાં છે?
. કયાં છે?
– ચંદ્રકાન્ત શેઠ
જન્મે ત્યારે દરેક માણસ કોરી પાટી જેવો હોય છે, પણ પછી સમાજ એના ઉપર એક નામનું સ્ટિકર લગાડી આપે છે. અને પછી માણસ માણસ મટીને એક સ્ટિકર બનીને રહી જાય છે. પોતાના નામને ‘રોશન’ કરવા માટે મનુષ્ય આજીવન એ રીતે મથતો રહે છે કે, જીવવાનું પણ ભૂલી જાય. પ્રસ્તુત રચનામાં કવિ આ સ્ટિકરની પેલી પારની જાતને શોધવા જે મથામણ કરે છે એ ચિરસ્મરણીય બની છે. અછાંદસ જેવો ઘાટઘૂટ ધરાવતી આ રચના હકીકતે મનહર છંદમાં રચેલ છંદોબદ્ધ કાવ્ય છે. લય સાથે મોટેથી વાંચશો તો વધુ મજા આવશે.
કવિ ચંદ્રકાન્ત વ્યક્તિ ચંદ્રકાન્તની શોધમાં છે. શીર્ષક અને કાવ્યનો ઉઘાડ –બંને આ શોધથી જ થાય છે- ક્યાં છો ચંદ્રકાન્ત? પોતાના બોલ યા લખાણમાં પોતે નહીં, પોતાની છાયા જ હોવાથી આ સર્જક અભિજ્ઞાત છે. જગતના અરીસાઓમાં જે દેખાય છે એય બિંબ જ છે, મૂળ નથી એ જાણવા છતાં આત્મરતિમાં રત મનુષ્ય આ અરીસાઓ તોડીફોડી શકતો નથી. પોતાની પ્રસંશા કરતી આરતીઓને હોલવી પણ નથી શકાતી. તેજના અંધકારમાંથી બહાર આવીએ તો જ સાચું વ્યક્તિત્વ પામી શકાય. શ્વાસથી ઉચ્છવાસના હીંચકા પર હીંચ્યે રાખતો માનવી એ બે વચ્ચેના અંતરાલ પર મીટ માંડતો જ નથી. એ માંડીએ તો આ નિષ્પંદ છંદ કોના પ્રતાપે છે એ કળી શકાય. આપણા નામની તક્તીઓ જ્યાં જ્યાં લગાવાઈ છે, ત્યાં કોઈ જ આપણને ઓળખતું નથી હોતું. કારણ કે નામની આ તક્તીઓ એ ખરી વ્યક્તિ હોતી જ નથી. મનુષ્ય નામ માટે શું શું નથી કરતો? લાંબીલચ્ચ યાદી આપીને અંતે કવિ કહે છે કે કોઈપણ યાદીમાં સમાઈ ન શકનાર ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા છે. કીડિયારું ઊભરાય એમ છલકાતા એકસમાન મનુષ્યોની ખીચોખીચ ભીડમાં મનુષ્યની સાચી ઓળખાણ મેળવવાનું દોહ્યલું છે એ વાત ‘ક્યાં છે’ સવાલની ત્રિરુક્તિ સાથે અધોરેખિત કરી કવિ વિરમે છે. કવિતાની શરૂઆત જ્યાંથી થઈ હતી, અંત પણ ત્યાં જ આવે છે એ પણ સૂચક છે…
Permalink
August 12, 2024 at 11:51 AM by વિવેક · Filed under ચંદ્રકાન્ત શેઠ, પ્રકીર્ણ, શબ્દસુમન

ગુજરાતી સાહિત્યજગતના એક દિગ્ગજ સર્જક થોડા દિવસો પૂર્વે આપણે ગુમાવ્યા…
કોઈ પણ સર્જકના સાચા પોંખણાં એમના સર્જનમાંથી પસાર થઈને જ કરી શકાય. લયસ્તરો પર આ આખું સપ્તાહ કવિશ્રીને શબ્દસુમન અર્પીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ…
ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ
(જન્મ: ૦૩-૦૨-૧૯૩૮, કલોલ, પંચમહાલ : નિધન: ૦૨-૦૮-૨૦૨૪, અમદાવાદ)
કવિ. નિબંધકાર, વિવેચક, સંપાદક.
તખલ્લુસ: નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ.
વ્યવસાયે અધ્યાપક હતા. નિવૃત્તિ પછી ગુજરાતી વિશ્વકોશ ટ્ર્સ્ટમાં સક્રિય રહ્યા. કુમારચંદ્રક, નર્મદચંદ્રક, ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવૉર્ડ, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ સાહિત્યગૌરવ પુરસ્કાર, અને સાહિત્ય અકાદમી જેવા અનેકાનેક પુરસ્કારોથી પુરસ્કૃત. ચૌદ કાવ્યસંગ્રહ, તેર નિબંધસંગ્રહ, એક આત્મકથનાત્મક સંસ્મરણ, એક એકાંકીસંગ્રહ, એક વાર્તાસંગ્રહ, પાંચ ચરિત્રાત્મક લેખસંગ્રહ, હાસ્યકથા તથા બાળસાહિત્યનાં સાતેક પુસ્તકો; વિવેચન-સંશોધનના ત્રીસેક ગ્રંથો, સંપાદનના ચાલીસેક ગ્રંથો, અને અનુવાદ/રૂપાંતરના છ સંગ્રહ તેમની પાસેથી મળ્યાં છે.
કવિની મોટાભાગની જાણીતી રચનાઓ આપને અહીં મળી રહેશે…
ક્લિક કરો: https://layastaro.com/?cat=59
શબ્દસુમન શ્રેણીમાં લયસ્તરો પર અગાઉ પોસ્ટ થઈ ગયેલ રચનાઓ મૂકીશું નહીં…
Permalink
August 10, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પદ, ભક્તિપદ, રંગ અવધૂત
મારું જોબન વીતી જાય
વાલમ! આજો મારે દેશ, મારું જોબન વીતી જાય;
રાત અકારી નૈન ન મીચે, પલક પલક જુગ જાય,
સૂની સેજડી આંસુભીની, લોક વગોવે હાય!
કુસુમાકર કેસૂડે ખીલ્યો, ભર પિચકારી માર;
સખી સાહેલી હોળી ખેલે, એકલડી હું નાર!
ઘર ઘર હોળી કાષ્ઠ જલાવે, મન હોળી તન ખાખ,
પ્રેમ-ભભૂતી ચોળી અંગે, ‘પિયુ પિયુ’ ફેરું માળ.
રંગ ગુલાબી ચિબૂક સુકાયો, શિર પર જટા સુહાય;
અંગ ભભૂતી દેખી પેલો અનંગ દિલ હરખાય;
હૃદય-કમલની સેજ બિછાવી, ‘સોહં’ પંખો હાથ;
વાસન-વસ્ત્ર ફગાવી વાલમ! વાટ જોઉ દિનરાત.
– રંગ અવધૂત
ગોધરામાં મરાઠી બ્રાહ્મણના ઘરે ૨૧-૧૧-૧૮૯૮ના રોજ જન્મેલ પાંડુરંગ કોલેજના છેલ્લા વર્ષનો અભ્યાસ છોડીને ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. પછી ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક પણ થયા. ‘ગંજેરી’ તખલ્લુસથી કટારલેખન કર્યું. આખરે આત્મખોજની અનવરત લત એમને નારેશ્વર ખેંચી લાવી. આજે આપણે સૌ એમને રંગ અવધૂત તરીકે ઓળખીએ છીએ. પ્રખર દત્તસાધક. અજાતવાદ-અદ્વૈતવાદના હિમાયતી. નિધન: ૧૯૬૮.
પ્રેમલક્ષણા ભક્તિનું આ પદ વાંચતા મીરાંબાઈ અચૂક યાદ આવે. રંગ અવધૂતના આ પદે મીરાંબાઈના ‘બંસીવાલા, આજો મોરા દેશ’ પદના સંસ્કાર ઝીલ્યા હોય એય સંભવ છે. જો કે એ એક વાક્યખંડ સિવાય બંને પદ વચ્ચે અન્ય કોઈ સામ્ય નથી.
પ્રિયતમના વિયોગમાં જેની યુવાની વેડફાઈ રહી છે એવી પ્રોષિતભર્તૃકાની મિલન-આરતનું આ પદ છે. રાત્રે ઊંઘ આવતી નથી, અને દરેક પલક યુગ જેવી લાંબી લાગે છે. સૂની સેજ આંસુઓથી ભીની થઈ રહી છે. લોકો પણ ટોણાં દે છે. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો છે અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન છે, પણ જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે. વિયોગિનીની સન્યાસી જેવી દશા જોઈને કામદેવ પ્રસન્ન થાય છે, પણ નાયિકા તો હૃદયકમળની સેજ બિછાવી, સોહંના પંખાથી જાતને પવન નાંખતી વસ્ત્રો પરહરીને દિનરાત અનવરત રાહ જોઈ રહી છે… વસ્ત્રત્યાગીને પ્રતીક્ષા કરવાની વાત રચનાને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે. પ્રિયતમ આવી ચડે તો દ્વૈતમાંથી અદ્વૈત સ્થપાવામાં એક ક્ષણ પણ કેમ વેડફવી?
પણ શરૂમાં કહ્યું એમ આખી રચના પ્રેમલક્ષણા ભક્તિનું પદ છે એટલે અદ્વૈતવાદી સંતકવિનો આ ગોપીભાવ સચરાચરના સ્વામી માટે છે એ આપણે વિસારે પાડવાનું નથી.
Permalink
August 9, 2024 at 12:30 AM by વિવેક · Filed under ઉશનસ્, સોનેટ
(શિખરિણી)
અમારી યાત્રા આ પ્રવિશતી હવે નામ વિણનાં
નર્યા આશ્ચર્યોમાં, પરિચય વિનાની પૃથિવીમાં;
ગયાં છેલ્લાં છેલ્લાં તરુ, વસતિનાં ખેતર ગયાં,
વિધાતાનાં વાવ્યાં અસલ અટવી ઊઘડી રહ્યાં!
અજાણ્યા પ્હાડોનાં અચરતભર્યા શૃંગ ઊઘડે,
અજાણ્યાં ઝાડોમાં નજર ઊડતી નામ ચૂગતી,
જતું થાકી હારી કુતૂહલ અહીં ગીચ વગડે,
દીધાની સંજ્ઞાઓ સકલ ચીજને શક્તિ જ નથી
અમારી લોકોની – વનથી નિરવાસ્યા જનતણી.
અનામી વ્હૈ જાતાં ઝરણ, રણકે કંકર-કણી,
અજાણ્યાં પર્ણોની ખરતી ખખડંતી ડુગડુગી,
અહીં છોડી દૈને ગણતરી ઊભી સંસ્કૃતિ મૂગી !
અનામી પ્હાડોના પરિચય વિનાના તરુવને
ન મારું યાદા’વે અવ નગરનું નામ જ મને.
– ઉશનસ્
સંસ્કૃતિના આવરણ ઉતારીને પ્રકૃતિના ખોળે જનાર માનવીની અનુભૂતિનું જયન્ત પાઠકની કલમે આલેખાયેલ એક સૉનેટ આપણે ગઈ કાલે જોયું. એમના જ મસિયાઈ ભાઈ ઉશનસનું એ જ વિષયને લગતું એક સૉનેટ આજે માણીએ. કવિએ સાપ-ઉતારા, ડાંગમાં અનહદની સરહદે શીર્ષકથી એક સૉનેટ-ગુચ્છ રચ્યું હતું એમાંનું એક તે આ.
જયન્ત પાઠકે પ્રકૃતિના ખોળે વસ્ત્રો ત્યાગી દઈ આદિમતા અનુભવી હતી, જ્યારે ઉશનસ અનામી જંગલોમાં ઓળખનો ત્યાગ કરે છે. સાપુતારા, ડાંગના મનુષ્યોની વસ્તી, ખેતરો અને મનુષ્યોએ રોપેલાં વૃક્ષોની સીમા વટાવી કાવ્યનાયક કુદરતનિર્મિત જંગલોમાં પ્રવેશે છે ત્યારે જે અનામી આશ્ચર્યો અનુભવે છે એની વાત અહીં કરે છે. અજાણ્યાં પહાડો અને અજાણ્યાં ઝાડ નામજોગ પિછાનને મિટાવી દે છે. નિસર્ગના અંકમાં એટલું તો નાવીન્ય ભર્યું છે કે કુતૂહલ સિક્કે થાકી જાય. ઝરણાં-કંકર-પર્ણો બધું જ નામ વિના પોતપોતાનો ભાગ ભજવે છે. પ્રકૃતિની સંસ્કૃતિ લીધા-દીધાની કોઈ જ ગણતરી વિનાની છે. કુદરત સાથેનું તાદાત્મ્ય અનુભવવાની ઉશનસની રીત એમના મસિયાઈ ભાઈ કરતાં ભિન્ન છે. પ્રકૃતિના સાંનિધ્યમાં આવીને કવિ પોતાનું અને પોતાના નગરનું નામ સુદ્ધાં ભૂલી જાય છે… એ રીતે તેઓ પણ આ અજાણ્યાં વનપ્રદેશનો એક અનામી હિસ્સો બની રહે છે.
Permalink
August 8, 2024 at 10:59 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(શિખરિણી)
હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર: વનમાં,
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં
પહેરી લૌં લીલું પટ ઊડતું વાતા પવનમાં,
હું આદિવાસી શો ફરું અસલ વાતાવરણમાં.
ફૂલોમાં ઊંડેરો ઊતરી મધુ પીતો ચશચશી,
રજોટાતો, પાવા વિહગગણ કેરા બજવતો;
મહેકી માટીમાં વૃષભ મદીલો શૃંગ ઘસતો;
હું તાડોમાં ડોલું અસલિયતનો આસવ ઢીંચી.
સ્તનો શી ઘાટીલી અહીંતહીં ફૂટી ટેકરી પરે,
તૃણોના રોમાંચે તરવરતી, મારા કર ફરે;
સુંવાળી ને લીસી દ્રુત ઝરણજંઘાગીતલયે
ખીણોમાં ઊંડેરી ઊતરું રતિના ગૂઢ નિલયે.
પુરાણું આ મારું વન-ઘર, નહીં છપ્પર-ભીંતો;
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય રમતો.
– જયન્ત પાઠક
સંસ્કૃતિ એ આપણી આદિમતાની ઉપર ચડાવેલ ઢોળ છે. ઢોળ ઉતરી જાય તો સાચી પ્રકૃતિ પ્રગટ થાય. સમાજના ઢાંચામાં યંત્રવત જીવન જીવતા મનુષ્યોને સમય સમયે એના આદિમ સંસ્કારો સાદ દે છે, પરિણામે આપણે વેકેશન લઈને જંગલ-પર્વત-નદી-સમુદ્ર-રણના ખોળે રમણ કરવા પહોંચી જઈએ છીએ. પ્રસ્તુત રચનામાં કવિ વનમાં જાય છે ત્યારે એમને ઘણા દિવસે વેકેશન લીધું એવી નહીં, પણ ઘણા દિવસો પછી સ્વગૃહે પરત ફર્યાની અનુભૂતિ થાય છે. વનમાં પહોંચતાવેંત કથક સભ્ય સમાજે પહેરાવેલ વાઘાં ત્યજીને અસલ વાતાવરણમાં આદિવાસીની જેમ વિહાર કરવો આદરે છે.
સૉનેટના બીજા ચતુષ્કમાં કથક પ્રકૃતિના નાનાવિધ જીવો સાથેના તાદાત્મ્યની અનુભૂતિ સહિયારે છે. નિજની અસલિયત સાથે મુખામુખ થવા મળે એથી વધારે અસરદાર આસવ બીજો શો હોઈ શકે? વાત આદિમતાની અનુભૂતિની હોય અને જાતીય આવેગોનો પ્રાદુર્ભાવ ન થાય એ કેમ બને? નાની નાની ટેકરીઓ પર ઉગેલાં વૃક્ષોમાં કવિને હાથથી પસવારતાં સ્તનો પર થતાં રોમાંચ જેવા ભાસે છે. બે ટેકરીઓની વચ્ચેથી દ્રુત ગતિએ ગીત ગાતાં ગાતાં ગૂઢ ખીણમાં ઉતરતા ઝરણાંમાં કવિને સંભોગની ચરમસીમાએ થતો સ્ફોટ અનુભવાય છે. છાપરા અને ભીંતા વિનાના આ નિવાસમાં સૂર્ય પણ શરમ નેવે મૂકીને અંધારા સાથે ક્રીડા કરે છે.
આપણા કાવ્યસાહિત્યમાં આ પ્રકારની અભિવ્યક્તિ જૂજ જ જોવા મળે છે.
Permalink
August 3, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરજીવન દાફડા

એનોય રંગ હોય છે મારા આ રંગમાં,
નહિ તો જીવાય કેમ અહીંયા ઉમંગમાં!
કાંઠો મળ્યા પછીય કાં તૂટી જવાય છે?
એની સમજ ક્યાં હોય છે જળના તરંગમાં!
માથે નિરાંત માણતા માણસને શું ખબર,
પોઢી ગયા છે કેટલા ટહુકા પલંગમાં!
ઊંચી ઉડાનમાં હતો સંચાર દોરનો,
પોતીકી પાંખ ક્યાં હતી નહિ તો પતંગમાં!
ભીતર ભર્યા પોલાણનો પરિચય થયો નહીં,
માહેર હતો હું કેટલો નહિતર મૃદંગમાં!
– હરજીવન દાફડા
લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘સહેજ પોતાની તરફ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક નખશિખ સંતર્પક રચના આપ સહુ માટે…
Permalink
August 2, 2024 at 10:43 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
એક થીજેલા સરોવરની કથા સાંભળ,
એ પછી મન ‘હા’ કહે તો તુંય બનજે જળ.
આ બધું અંધારનું ષડ્યંત્ર લાગે છે,
એ વિના હોતી હશે કૈં આટલી ઝળહળ?
સૂર્યનું છેલ્લું કિરણ ત્યાં ઘાસમાં પેઠું,
ને સવારે ઘાસ પર સૂતું હતું ઝાકળ!
કોઈ બારી બ્હારનાં દૃશ્યો નિહાળે છે,
કોઈ એ દૃશ્યો વિષે કરતું રહે અટકળ.
મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
એ કશું બોલી નહીં, વ્હેતી રહી ખળખળ.
– જાતુષ જોશી
થીજી જવું એટલે અટકી જવું, નિષ્પ્રાણ થઈ જવું. આપણે ત્યાં તો એટલી ઠંડી પડતી નથી, પણ દુનિયામાં ઘણા દેશો એવા છે, જ્યાં સરોવર અને ધોધ થીજી જતાં હોય છે. સરોવર જ્યારે થીજી જાય છે ત્યારે જળનો અર્થ જ બદલાઈ જાય છે. નથી એનું પાણી પી શકાતું કે નથી એ કાંઠાની વનસ્પતિઓને જીવન દેવામાં ખપ લાગતું. થીજી જવાની નિયતિનો સ્વીકાર કરવાની તૈયારી હોય તો જ જળ બનવાની ઇચ્છા કરવી જોઈએ એ વાત સાથે ગઝલનો આરંભ થાય છે. પ્રકાશની મહત્તા અંધકારના અસ્તિત્વ વિના સંભવ જ નથી. સાંજે સૂર્યનું છેલ્લું કિરણ ઘાસમાં પેસે અને સવારે એ ઝાકળમાં પરિવર્તિત થઈ જાય એ કલ્પનચિત્ર પણ કેવું મજાનું થયું છે! દૃશ્યવાળા શેરમાં પણ બે અંતિમોએ જીવતા માનવીને કવિએ ઓછામાં ઓછા શબ્દોની મદદથી તાદૃશ કરી બતાવ્યો છે. છેલ્લો શેર તો ખૂબ જાણીતો છે. આવી જ વાત કરતી કોઈક કવિતા વાંચ્યાનું સ્મરણ થાય છે, પણ યાદદાસ્ત પૂરો સાથ નથી આપી રહી. કોઈ વાચકમિત્ર શોધી આપે તો આનંદ.
Permalink
August 1, 2024 at 10:45 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા
સાંજને રંગીન કરતો જાય છે,
સૂર્ય અમને એટલો સમજાય છે.
ના દિશા, મંઝિલ, ન રસ્તાની ખબર,
જાઉં છું જ્યાં મન મને લઈ જાય છે.
સ્વપ્નમાં પંખીને આવ્યું પિંજરું,
ત્યારનું આખું ગગન મૂંઝાય છે.
એટલે ઝરણાં વહાવે પર્વતો,
ઊભવાનો થાક ઓછો થાય છે.
આંખ સામે સાવ કોરી છે નદી,
બેય કાંઠે તોય શું છલકાય છે?
– મયંક ઓઝા
માણસને પૂરેપૂરો સમજવું આસાન નથી. પણ જરાય ન સમજવા કરતાં સમજવાનો પ્રયત્ન કરવો એ વધારે બહેતર છે. સૂર્યએ દિવસભર શું કર્યું એ ન સમજાય તો વાંધો નહીં, પણ ખતમ થતાં થતાં પણ એ સાંજને રંગીન કરતો જાય છે એટલું સમજી શકાય તોય ઘણું! માણસ જતાં જતાં આસપાસની દુનિયાને વધારે રંગભર, વધારે રસભર અને વધારે જીવવાલાયક બનાવતો જાય એનાથી વિશેષ બીજી શી સાર્થકતા હોઈ શકે જીવનની? મયંક ઓઝાની સરળ અને સહજ બાનીમાં લખાયેલી આ ગઝલ આખેઆખી આસ્વાદ્ય છે. છેલ્લા બે શેર પણ સવિશેષ ગમી ગયા.
Permalink
July 27, 2024 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત
મારો ઝાંપો વાસેલો હોય, પણ
એની ઉપરવટ ચરકલડીબાઈ
પણે તડકી ને છાંયડી વેરાઈ
જાણે જાર અને બાજરીના કણ
મારો ઝાંપો વાસેલો હોય, પણ
એને કુદાવીને ક્હે શિશુ,
‘એ…ઈ, આંખોને કાઢે છે શું?
આંખ મીંચીને દસ સુધી ગણ…’
મારો ઝાંપો વાસેલો હોય, પણ
નારિયેળીએ ચાંદ ઊગી જાય
ચાર ચીકુડી વાયરામાં ન્હાય
ખૂલતું જાય વાતાવરણ
મારો ઝાંપો વાસેલો હોય, પણ
ક્યાં સુધી સોરવાતો રહે?
વનવગડામાં જાવા ચહે
ડાહીનો ઘોડો: એક, બે, ત્રણ…
– ઉદયન ઠક્કર
ગુજરાતી ગીત-ગઝલના મેળામાં ઉદયન ઠક્કર અલગ ચોતરો માંડીને બેઠા છે. આમ જુઓ તો આ ગીત મુખડા અને પૂરક પંક્તિ વગરનું ચાર બંધનું ગીત છે, પણ આમ જુઓ તો ચારેય મુખડાની પહેલી પંક્તિ એક જ હોઈ એ ધ્રુવકડીનો ભાગ ભજવતી હોય એમ લાગે. અ-બ-બ-અ પ્રકારના પ્રાસગુંફન અને પંક્તિઓના સીમિત કદકાઠીના કારણે ગીતનું કલેવર પ્રવર્તમાન રચનાઓમાં એમ જ નોખું તરી આવે છે. પણ આ તો થઈ ઉપલક વાતો. જેને કવિતા માણવામાં રસ હોય એને તે મમમમ સાથે કામ હોય કે ટપટપ સાથે?
ચારેય બંધનો આરંભ ‘મારો ઝાંપો વાસેલો હોય, પણ’થી જ થતો હોઈ કવિમનોરથને પુનરોક્તિનું યથોચિત ચાલક બળ સાંપડે છે. આ ઝાંપો કેવળ ઘરનો ઝાંપો નથી, એ આપણા બંધિયાર વિચારો, આપણી કુંઠિત મનોવૃત્તિનો દ્યોતક પણ છે. જીવનમાં તડકી-છાંયડી તો આવતી રહેવાની, પણ જે રીતે ચકલી જુવાર અને બાજરીના ચણથી જીવનનિર્વાહ કરે છે એમ એને ભોગવતાં આવડવું જોઈએ. બાળસહજ નિર્દોષતાથી આપણા પૂર્વગ્રહોને વટી જતાં આવડવું જોઈએ. આપણો ઝાંપો બંધ હોય પણ એથી કંઈ પ્રકૃતિ પર તાળું લાગી જતું નથી. નારિયેળીના માથે ચાંદ ઊગવાને ઘટના કે ચીકુડીના વાયરામાં ડોલવાની ઘટના આપણા બંધત્વને અનુસરતી નથી. આપણો ઝાંપો બંધ હોય તોય વાતાવરણને ખૂલતું અટકાવી શકાતું નથી. આજની પેઢીને પરિચય નહીં હોય, પણ આપણી અને આપણી અગાઉની પેઢીઓ ‘એન ઘેન દીવા ઘેન’ જેવાં ગીતો પીને ઉછરી છે. આ બાળગીત જેને યાદ હશે એને ખાઈ-પીને ભાગી છૂટતો ડાહીનો ઘોડો પણ યાદ હશે જ. ડાહીનો ઘોડો એટલે બાળકોની રમત એવું અર્થઘટન પણ કરી શકાય. કથકના ઘરનો કે મનનો ઝાંપો વાસેલો છે પણ ડાહીનો ઘોડો ભીતર સોરવાયા કરે એવો નથી, એ તો વનવગડામાં જઈને જ ઝંપશે. બંધનની વિભાવનાને પુનરોક્તિથી અધોરેખિત કરતી આ રચના હકીકતે તો આઝાદીની આલબેલ જ પોકારે છે.
Permalink
July 26, 2024 at 12:30 AM by વિવેક · Filed under કિરણ જોગીદાસ 'રોશન', ગઝલ
પામી ગયાં બધું, પછી શું? એ જ પ્રશ્ન છે,
પામ્યા વિના કશું નથી શું? એ જ પ્રશ્ન છે!
મળવું હતું મળ્યાં, ને વિખૂટાં પડી ગયાં,
ચાહત મિલન પછી શમી શું? એ જ પ્રશ્ન છે.
એ અલવિદા કહી જુએ અવળું ફરી મને,
બાકી હશે પ્રણય હજી શું? એ જ પ્રશ્ન છે.
એક પળ દુઃખી રહ્યાં ને બીજી પળ હસી પડ્યાં,
દુ:ખની ઘડી ખરી હતી શું? એ જ પ્રશ્ન છે.
તારાપણાની ચાહમાં મારાપણું ભૂલી,
એ બાદ હું મને મળી શું? એ જ પ્રશ્ન છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’
ગઝલને લોકપ્રિય બનાવવામાં ગઝલની સંરચનાનો બહુ મોટો ફાળો છે. છંદના કારણે જન્મતી રવાની સિવાય યુગ્મક પ્રકારનું બંધારણ અને રદીફ-કાફિયાની મદદથી સધાતું સાંગીતિક અને તાત્ક્ષણિક પ્રત્યાયન આમાં પ્રમુખ ભાગ ભજવે છે. ઉદાહરણરૂપે આજની આ રચના જોઈએ. ગઝલની રદીફ અહીં બે ભાગમાં વહેંચાયેલ છે. પહેલો એકાક્ષરી ભાગ ‘શું?’ પ્રશ્નરૂપે છે અને એ પછી ‘એ જ પ્રશ્ન છે’ કહીને સવાલનું સમાધાન આપતી સાંત્વના –આ પ્રકારની પ્રશ્નોત્તરીના કારણે ગઝલમાં સંવાદાત્મકતા ઉમેરાય છે, જે ગઝલને વધુ હૃદ્ય બનાવે છે. આ પ્રકારની ઉફરી પડતી રદીફ સાથે સૌથી મોટી સમસ્યા એના અવશિષ્ટ અંગ બનીને રહી જવાની છે. સદનસીબે અહીં પાંચેપાંચ શેરમાં શુંનો સવાલ અને એનું સમાધાન બંને તંતોતંત સચવાયા છે અને શેરને યથોચિત ઉંચાઈ આપવામાં સહાયક બન્યા છે.
અધૂરપ જીવનનું ખરું ચાલકબળ છે. બધું જ પામી જાવ તો આગળ શું કરવું એ પ્રાણપ્રશ્ન બની જાય. અને એથી વિપરીત પામવાનું બાકી હોય તો શું એય એવો જ પ્રાણપ્રશ્ન છે. જીવનના આ વૈષમ્યને કવયિત્રીએ કેવી સહજતાથી મત્લામાં રજૂ કર્યું છે! આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે.
Permalink
July 25, 2024 at 12:30 AM by વિવેક · Filed under કૃષ્ણ દવે, ગીત
મુંબઈમાં ધોધમાર દીધે રાખો છો ને કોરુંધાકોર મારું શ્હેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?
બેડાં ભરે ને પાછાં કાંઠે ઠલવી દે છે, વાદળીયુંય આળસુની પીર!
અડધા અષાઢમાંય સુરજ ક્યાં જંપે છે? મારે છે તડકાનાં તીર!
વ્હાલની આ વ્હેંચણીના વરસાદી ખાતામાં જોઈ લ્યો ભાઈ, કેવું અંધેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?
લીલી કંકોત્રીઓ લખવામાં આળસું જરાક અમે છઈએ તો છઈએ,
એમાં અકળાઈ તમે ઠલવ્યે રાખો છો, ઈ કેટલો બફારો અમે સહીએ?
સાંબેલાધારે નહીં, ઝરમર થઈ આવો ને, અમને તો તોય લીલાલ્હેર છે.
કહો, અમદાવાદ સાથે શું વેર છે?
– કૃષ્ણ દવે
કૃષ્ણ દવે સાંપ્રત વિષયો પરનાં કાવ્યો માટે જાણીતા છે. અને કવિ તો કોઈની પણ ખબર લઈ પાડે. આ વરસે મેહુલિયો બરાબરનો મંડ્યો છે. તળગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિ છે. મુંબઈ પણ એ રીતે જળબંબાકાર છે કે ગૌરાંગ ઠાકરનો શેર યાદ આવે:
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત કોરુંધાકોર છે એટલે અમદાવાદના કવિ મુંબઈનો સંદર્ભ લઈને મેઘરાજાનો ઉધડો ન લે તો જ નવાઈ. વરસાદ અમદાવાદ પર મહેર કરશે કે કેમ એ તો વરસાદ જ જાણે પણ આપણને તો નખશિખ સુંદર ગીતરચના સાંપડી એનો જ આનંદ!
Permalink
July 20, 2024 at 10:57 AM by વિવેક · Filed under ઉષા ઉપાધ્યાય, ઊર્મિકાવ્ય
હતા દીવાલે ગયા સમયના
ઠાઠ અને અસબાબ સમા કૈ
ઝૂલ, ચાકળા, કાંધી, તોરણ, ભેટ અને તલવાર, કટારી;
પરસાળ વચાળે
અમીયલ નેણાંવાળી બાયું
સુપડે સોતી ધાન
કાંબીના રણકા શું હસતી’તી,
હતા આંગણે લીમડા હેઠે
ઢળ્યા ઢોલિયે હુક્કાના ગડેડાટ
મૂછોના તાવ
કાળને ધરબી દેતી આંખ્યુંની રાતડમાં
ઝગતા તેગઝર્યા અંગાર
અને ત્યાં દૂર
સમયને કાંધે લઈ
ગાંગરતું ઊભું ઊંટ
વાટ કોઈ નવી ખેપની જોતું,
જોતું ઝીણી આંખે દૂર ક્ષિતિજની પાર
હવાની શી લાગી કૈં ગંધ
અચાનક થડકી ઊઠ્યું –
કંપ્યું, ચીખ્યું, ભડકીને તોડાવી રાશ
ઊભી બજારે ધણધણતું, ચિત્કાર વેરતું
વાંભ વાંભની ઠેક ભરીને
હડફેટે ઘર ધડૂસ કરતું
પીઠ ઉપર લાદીને કબ્રસ્તાન
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને –
અને હવામાં હવે તરે છે
ગીધ સમી મડદાંની તીખી ગંધ,
સાંજની રુંઝયું ઢળતાં
ટીંબા વચ્ચે ઊભેલા પીપળનાં પીળાં પાન
ગણે છે ઝાળ ચેહની,
વિખરાયેલાં વાળ, ચીંથરેહાલ સુરત લઈ
નગરની તૂટી મોતનમાળ નીરખતી
સ્તબ્ધ ધરા પણ
હજુ રહી છે કંપી!
હજુ રહી છે કંપી!
– ઉષા ઉપાધ્યાય
કવિતાની શરૂઆત ‘હતા’થી થાય છે, મતલબ જે જે સાહ્યબીની અહીં વાત થઈ રહી છે એ હવે નથી. એક ટાણે ઘરની દીવાલો વિગત સમયના ઠાઠ અને અસબાબની નિશાનીઓથી સુશોભિત હતી. પરસાળમધ્યે સૂપડામાં ધાન સાફ કરતી અમીનજરવાળી બાઈઓ ક્યારેક કાંબીના રણકાર જેવું રોકડું હાસ્ય વેરતી હતી. આંગણામાં લીમડાના વૃક્ષ તળે ઢોલિયા પર બેઠક જમાવીને બેઠેલ, મૂછોને તાવ દેતા અને કાળનેય કોઠું ન દે એવી અંગારઝગતી રાતી આંખોવાળા ઘરના મોભીઓના હુક્કાનો ગડેડાટ સંભળાતો હતો. નવી ખેપની વાટ જોતું ઊંટ પણ આંગણે ભાંભરતું હતું.
સૃષ્ટિનો નિયમ છે કે કુદરતી આપત્તિ આવવાની જાણ સૌથી પહેલાં મૂંગાં પશુપક્ષીઓને થઈ જાય છે. હવામાં કશીક ગંધ આવતાવેંત ઊંટ અચાનક થડકીને, ભડકીને, ચીખ મારતું રાશ તોડીને ઊભી બજારે લાંબી લાંબી ઠેક ભરતું ભાગી નીકળે છે કટાવ છંદની રવાની અચાનક દ્રુત ગતિ પકડે છે. થડકી-ચીખ્યું-ભડકી-ધણધણતું-વાંભ-વાંભ-ધડૂસ જેવા શબ્દપ્રયોગો ગભરાયેલ ઊંટની દોડને આબાદ ચાક્ષુષ કરી બતાવે છે. ઊંટની પાછળ ઘર ધડૂસ કરતું પડી ભાંગે છે. હાંફતું ઊભું ગામના છેડેની ત્રિરુક્તિમાં અંતે ‘છેડે’નો લોપ કરીને સર્જકે હાંફને પણ શબ્દોની પીંછીથી જીવંત કરી બતાવી છે. હવામાં ગીધ સમી મડદાંની તીખી ગંધ તરી રહી છે, પીપળાનાં પીળાં પડી ગયેલ પાન ચિતાની ઝાળ ગણે છે. છેક કાવ્યાંતે સર્જક મુઠ્ઠી ખોલે છે ત્યારે ખબર પડે છે કે આ તો કચ્છના ભૂકંપની દાસ્તાન છે. કાવ્યાંતે હજુ રહી છે કંપીની દ્વિરુક્તિ ભાવકના સ્તબ્ધ હૈયામાં પણ એક કંપ જગાવે છે, જે લાંબા સમય સુધી શમતો નથી.
Permalink
July 19, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નિરંજન ભગત
કોણ રતિના રાગે,
રે મન મન્મથ જેવું જાગે?
જે ભસ્મીભૂત, મૃત, રુદ્રનયનથી;
એ અવ શિશિરશયનથી
જાગે વસંતના વરણાગે!
એના શ્વાસેશ્વાસે
વાગે મલયાનિલની વાંસળીઓ,
એના હાસવિલાસે
જાગે કેસૂડાની કૈં કળીઓ;
રે વન નન્દનવન શું લાગે!
– નિરંજન ભગત
પોતાનો તપોભંગ કરાવવા બદલ શંકર ભગવાને કામદેવને રુદ્ર નયનથી ભસ્મીભૂત કરી નાંખ્યો હતો. પણ પછી વિલાપે ચડેલ કામદેવની પત્ની રતિને એમણે સાંત્વના આપી હતી કે સદેહ ન સહી, પણ કામદેવ અનંગ રૂપે સમગ્ર ચૈતન્ય સૃષ્ટિમાં સદાકાળ વ્યાપ્ત રહેશે. કહે છે કે આ દિવસ વસંતપંચમીનો દિવસ હતો. વસંતપંચમી એટલે ઋતુચક્રનું શિશિરથી ગ્રીષ્મ પ્રતિનું પ્રયાણ. આમ તો આ વાતથી લયસ્તરોના મોટાભાગના સુજ્ઞ વાચકો અભિજ્ઞ જ હશે, પણ આટલી પૂર્વભૂમિકા પ્રસ્તુત રચનાને માણતા પૂર્વે જરૂરી છે.
વસંત ઋતુના પ્રારંભે સજીવમાત્રમાં આવિર્ભાવ પામતી પ્રણયોર્મિનું આ ગાન છે. રાગ શબ્દનો શ્લેષ નોંધવા જેવો છે. રાગ એટલે કંઠમાધુર્ય પણ અને પ્રેમ પણ. રતિના ગીતથી અથવા રતિ માટેના સ્નેહને વશ થઈ મન કામદેવની જેમ જાગૃત થાય છે. સાવ ટૂંકા મુખડાની બે પંક્તિઓમાં ર, મ અને જની ત્રિવિધ વર્ણસગાઈ ચુસ્ત પ્રાસનિયોજનાના કારણે કાવ્યારંભે જ મન મોહી લે છે. વસંતના ભપકાના કારણે શીતનિદ્રાલીન મન દેવહૂમા પક્ષીની જેમ પુનર્જીવન પામ્યું હોય એમ જાગે છે. વસંતનો પ્રભાવ જ એવો છે કે એકેએક શ્વાસ વાંસળી વાગતી હોય એવો પ્રતીત થાય છે. ઝાડમાં થઈને ફૂંકાતા પવનનું સંગીત વસંતઋતુનો શ્વાસ છે. વસંતના મૃદુ હાસથી કેસૂડાની અનેકાનેક કળીઓ ખીલી ઊઠે છે અને વન નંદનવન સમું લાગે છે. પ્રથમ બંધની પૂરકપંક્તિને કવિએ મુખડાના પ્રાસ સાથે આદ્યંતે એમ ઉભય સ્થાને બાંધી હોવાથી અષ્ટકલનો લય વધુ લવચિક બન્યો છે, પણ બીજા બંધમાં તો કવિએ હદ જ કરી છે. શ્વાસ-હાસ-વિલાસ, વાંસળીઓ-કળીઓ અને વાગે-જાગેના ત્રિવિધ પ્રાસમાં વન સાથે નંદન અને વનના ધ્વન્યાનુપ્રાસ તથા કેસૂડા-કૈં-કળીઓના વર્ણાનુપ્રાસ મેળવીને કવિએ બાહોશ કવિકર્મની સાહેદી પૂરી છે.
Permalink
July 18, 2024 at 11:13 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, જયન્ત પાઠક
સંતો આપવખાણ ભલાં!
ભદંતો આપલખાણ ભલાં!
બોલ્યા વણ વેચાય ન બોરાં, બજારધારો જાણો;
ઊભી બજારે કરો-કરાવો બુલંદ જાહિરનામાં;
હાંક્યે રાખો બડું બડાશી ઘોડું
આપ મૂઆ વિણ સ્વર્ગ જવાશે થોડું!
કોઈ કહેશે ગરવ કરો છો, કોઈ કહે: ‘છો જુઠ્ઠા!’
દુનિયા બોલે, દિયો બોલવા, બનો ન બાઘા – બુઠ્ઠા;
વરની મા જો નહીં વખાણે વરને
તે બત્રીલખણાને સામે કોણ જઈને પરણે!
કેાઈ કહેશે: રહો મહાશય લખાણને કહેવા દો –
કહેવું આપણેઃ “લખાણુ બોલે!”– રહેવા દો, રહેવા દો!
એવું બધું તો વદે વાયડા
અમે ન ભોળા, અમે ભાયડા!
અમે લખીશું, અમે વાંચશું, અમે કરીશું શ્લાઘા
ભલે બીજા તૈયાર સોય લઈ ઊભા
અમે સિફતથી દેશું પરોવી એમાં અપના ધાગા !
– જયન્ત પાઠક
કવિતાની એક મજા એ કાળજયી હોય એ પણ ખરી. જયન્ત પાઠકની આ વ્યંગ રચના દાયકાઓ પૂર્વે લખાઈ હોવા છતાં આજે પણ એ એટલી જ પ્રસ્તુત છે, જેટલી લખાઈ ત્યારે હશે. કદાચ આજે તો તો તંતોતંત પ્રસ્તુત ગણાય. પોતાના અને પોતાના લખાણના વખાણ કરવાં એ જ આજે મોટાભાગના સર્જકો માટે જીવનહેતુ બની ગયો છે. કવિએ અખાની જેમ વક્રોક્તિ સાથે આવા સર્જકોનો ઉધડો લીધો છે. કવિએ ભલે રચનાને જુનવાણી ઢબની રચના કહીને કેમ ન ઓળખાવી હોય, રચના પૂર્ણપણે સમસામયિક હોવાનું વર્તાય છે. પ્રાસનિયોજના અને કટાવ છંદના પ્રવાહી વહેણના કારણે રચનામાં ઓર નિખાર આવ્યો છે.
Permalink
July 13, 2024 at 4:02 PM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
ફરી આવી ચડે છે કોઈ પગપાળું નદી-કાંઠે
અને ચારે તરફ અજવાળું – અજવાળું નદી–કાંઠે
અને એવું બને કે હોય જળ ત્યાં શિલ્પના રૂપે
અહીં છે પથ્થરોનું રૂપ પાંખાળું નદી-કાંઠે
દિવસભરની મહેનતની તરસનું આ બળદગાડું
હવે આવી રહ્યું છે આમ જળ-ઢાળું નદી-કાંઠે
ઘૂનામાં ધૂબકો મારી દીધો તેં જળ-પરી પાછળ?
કે જોતું સ્તબ્ધ થઈ ઊભું છે આ નાળું નદી-કાંઠે?
છે દરિયો છોકરા જેવો જ નખરાળો નદી-કાંઠે
નદી પણ છોકરી જેવી જ લજજાળુ નદી-કાંઠે
– હર્ષદ ચંદારાણા
કેવી મજાની રચના! ગઝલની ખરી મજા મોટી મોટી વાતો કરવામાં નહીં, પણ કલ્પનોની નાજુક પીંછીથી નમણાં દૃશ્યચિત્રો ખડાં કરવામાં છે. કવિએ જે રીતે કાફિયા પાસેથી કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. જળ-ઢાળું કાફિયા તો કાઠિયાવાડ સિવાય સૂઝવો જ સંભવ નથી. મત્લાના શેરમાં કોઈકના આગમનથી નદીકાંઠે જે અજવાળું અજવાળું થઈ જાય છે એ વાંચતા જ આ બે અમર ચિત્રો તરત જ નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠ્યાં:
આવું અજવાળું ના ઊગે ધણમાં,
કૈંક જાદુ હશે રબારણમાં! (શોભિત દેસાઈ)
लड़कियाँ बैठी थीं पाँव डालकर
रौशनी सी हो गई तालाब में। (પરવીન શાકિર)
Permalink
July 12, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુરેન્દ્ર કડિયા
થતી ભાગ્યે જ હો એવી ખુદાની મહેર, માશાલ્લા
તમારા હોઠ પર મારી ગઝલનો શેર, માશાલ્લા
બને છે એક બીના રોજ, ઘરની બારી ખૂલવાની
પછી સિમસિમ ખૂલી જાતું આ આખું શહેર, માશાલ્લા
તમારી ઉમ્ર સત્તાવીસ કરું છું બાદ સોમાંથી
અહાહા! તોય ઝળહળ બાકીનાં તોંતેર, માશાલ્લા
તમે મીરાં કહ્યું તો ગટગટાવી ગ્યા અમે મીરાં
પચાવ્યાં ઝેર તેમ જ ઝેરનાં ખંડેર માશાલ્લા
મળે લાખો નવાં પગલાં, નથી ભૂંસી શકાતું એ
તમારું સાચવ્યું છે એક પગલું, ખેર! માશાલ્લા
– સુરેન્દ્ર કડિયા
માશાલ્લા એટલે ઈશ્વરે ચાહ્યું એ થયું. આભાર માનવા માટે કે ધન્યતા વ્યક્ત કરવા માટે પણ એ પ્રયોજાય છે. કવિએ આવી અનૂઠી રદીફ સાથે કામ પાર પાડીને મજાની ગઝલ આપી છે. ઝેરનાં ખંડેર સમજાયાં નહીં, એ સિવાય આખીય ગઝલ ઉમદા થઈ છે.
Permalink
July 11, 2024 at 11:00 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
– ઉમાશંકર જોશી
સંક્ષિપ્ત આસ્વાદ કવિશ્રી સંજુ વાળાની કલમે માણીએ:
સંપૂર્ણ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.
પરમ પ્રકૃતિપુરુષની રમ્ય-રૌદ્ર લીલા
કવિને પ્રિય એવા કોઈ વર્ષાકાળે થયેલા અગમ્ય અને વિસ્મયભર્યા નભદર્શનથી સર્જાયેલું આ કાવ્ય છે. રસરાગી અને ચૈતન્યભાગી આપણા આ કવિના દર્શનમાં વર્ષાજળ વરસાવતાં, વિહરતાં વાંદળાં મેઘપુરુષનો ખેસ લહેરાતો હોય એવાં ભાસે અને કવિ એને ‘ધારાવસ્ત્ર’ કહે. માત્ર બે-ત્રણ શબ્દોની એક એવી દસ જ પંક્તિમાં કવિ વિરાટ, ભવ્ય અને આશ્ચર્યચકિત કરનાર ચિત્ર આ કાવ્ય રજૂ કરે છે. એટલે આ નાના કદનું પણ વિરાટ રહસ્યગર્ભે વિસ્તરતું કાવ્ય છે. પાંચેક જેટલા ક્રિયાપદો કાવ્યને ગતિ આપે છે જે ધારાવસ્ત્ર ઊડતું, ફરફરતું હોવાની પ્રતીતિ કરાવે છે. અને તેની ઉચિતતા પણ સ્થાપે છે.
કાવ્યના ઉઘાડની પંક્તિઓ જ કેવી રહસ્યમય અને વિસ્મિત કરનારી છે ! કોઈ પ્રચંડ અસ્તિત્વ આકાશવિહારે નીકળ્યું છે એની ચાલ કેવી તો કહે ‘ઝપાટાભેર’ એના આગળ-પાછળ થતા અજાનબાહુથી પવન સૂસવાટા મારતો હશે. આકાશ થોડું થરથર્યું હશે. એટલે જ તો દેવાધિદેવ સૂર્ય પણ બાજુ પર ખસ્યો નથી હડસેલાઈ ગયો છે. આ સાદ્શ્ય હજી તો માંડ પ્રત્યાયન પામે ત્યાં એક સાથે દૃષ્ટિ અને શ્રવણેન્દ્રિયને જગાડતી પંક્તિ સંભળાય છે : ‘ધડાક બારણાં ભિડાય.’ આ પ્રચંડ ધડાકાથી બારણા બિડાયાં કે બારણા બિડાવાનો આ ઘોરઘોષ (અવાજ) હતો ? મેઘગર્જન હશે ? પર્જન્યપુરુષના નભવિહારની કેવી રૌદ્ર નિષ્પત્તિ છે આ ? પરંતુ કવિ એના વિશે ચોખવટ કરે તો તો એ કવિ કરતા નિબંધકાર સાબિત થાય. જર્મન ઓથર ટોમસ માનની ઉક્તિ સંભળાય છે :’The real artist never talk about the main things.’
કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં આકાશમાં થતી વિશાળ અને વિશિષ્ટ હલચલની પૃથ્વીસ્થિત પ્રતિક્રિયા અથવા સહોપસ્થિતિ છે. અહીં ધ્યાન ખેંચે છે તે બન્ને ક્રિયાપદ- ‘મથ્યાં કરે, હાથ વીંઝ્યાં કરે.’ આ ક્રિયા જે કરે છે તેને કવિએ વૃક્ષ તો કહ્યાં, પાછા હાથ પણ દીધા. એટલે આપણા આંખ-કાન ચમક્યાં. વળી એક રહસ્યમય વાત પ્રગટી. આ હાથાળ વૃક્ષોને ઝીલવું તો છે પેલું ‘ધારાવસ્ત્ર’ પણ…! કવિએ એક જ વિશેષણથી કેવું સમાધાન આપી દીધું? ‘વ્યર્થ.’ ‘કરે’ ક્રિયાપદથી આ પ્રાપ્તિની મથામણ તો ચાલુ જ છે પણ વ્યર્થ. હવે રહે છે તો માત્ર ધારાવસ્ત્ર. પેલો પુરુષ કે અસ્તિત્વ પણ ઓગળી ગયું. છે તો માત્ર સૃષ્ટિ અને આકાશ અને.. બેઉને જોડતું આ અનુપમ, અદ્ભુત કે અલૌકિક ‘ધારાવસ્ત્ર.’
રસાસ્વાદ: સંજુ વાળા
Permalink
July 6, 2024 at 11:33 AM by વિવેક · Filed under અછાંદસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, વિસ્વાવા શિમ્બોર્સ્કા
જ્યારે હું ‘ભવિષ્ય’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
એટલીવારમાં તો એનો પ્રથમ શબ્દાંશ ભૂતકાળ બની ચૂક્યો હોય છે.
જ્યારે હું ‘મૌન’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
હું એને જ નષ્ટ કરી દઉં છું.
જ્યારે હું ‘કંઈ નહીં’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
હું કંઈક એવું સર્જી બેસું છું જે કોઈપણ અનસ્તિત્વ ઝાલી નહીં શકે.
– વિસ્વાવા શિમ્બોર્સ્કા
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)
[Wisława Szymborska: vʲisˈwava ʂɨmˈbɔrska = viˈswa.va ʃɨmˈbɔr.ska – vi-SWAH-vah shihm-BOR-ska]
*
ઓછામાં ઓછા શબ્દોમાં ધાર્યું પ્રત્યાયન સાધી શકે એ કવિતા ઉત્તમ. પ્રસ્તુત રચનામાં ભાષા અને અસ્તિત્વમાં નિહિત વિરોધાભાસી પ્રકૃતિનું અત્યંત લાઘવપૂર્ણ પણ અસરદાર નિરૂપણ કર્યું છે. પૉલિશ કવયિત્રીએ બહુ જ સરળ શબ્દોમાં ગહન ચિંતનોત્તેજક કૃતિ આપણને આપી છે. ‘કંઈ નહીં’ બોલતવેંત આપણે કશાકનું સર્જન કરી બેસીએ છીએ, અને ‘કંઈ નહીં’ એ કંઈ નહીં રહેતું નથી. સમયની ક્ષણભંગુરતા, મૌનની નજાકત અને શૂન્યતાના અસ્તિત્વગત નિહિતાર્થો ભાવકમનને વિચારતું કરી દે છે.
*
The Three Oddest Words
When I pronounce the word Future,
the first syllable already belongs to the past.
When I pronounce the word Silence,
I destroy it.
When I pronounce the word Nothing,
I make something no non-being can hold.
– Wislawa Szymborska (Polish)
(Translated by Stanislaw Baranczak & Clare Cavanagh)
Permalink
July 5, 2024 at 10:44 AM by વિવેક · Filed under પરેશ સોલંકી ડૉ., શેર
આંસુઓનો ભાર લાગ્યો એટલે લખતો રહું છું,
શબ્દ તારણહાર લાગ્યો એટલે લખતો રહું છું.
મન ઝરૂખે ને જાત પિંજરમાં,
એક યોગી ગહન દ્વિધામાં છે.
કેદ જ્યાં ઈશ્વર થયો છે ચણતરોમાં,
મંદિરોને પણ ધરમનો ક્ષાર લાગે!
એટલે ઈજ્જત બચી ગઈ ખાલીપાની,
સ્મરણોએ આવવાની ના કહી છે.
પ્રેમમાં તારા મને પાગલ થવા દે,
કાં, બધાં વળગણ છૂટે એવી દવા દે.
અહીં યાદમાં આખું ચોમાસું ને ત્યાં-
સરેઆમ વરસાદ પણ બેઅસર છે.
કોઈ આવી વૃક્ષની ઘેઘૂરતા છેદી ગયું,
વીજળીના તાર પર બેઠું છે પંખી ભગ્ન થઈ.
હાથમાં હો હાથ ને મન દૂર હો,
આ અવસ્થા પ્રેમની ગંભીર છે.
સાવ ઓચિંતું સ્મરણ ને જામ હો,
સાંજના વૈભવની એ તાસીર છે.
જિંદગી બેસુમાર ચાહી છે,
આ ફકીરી એની ગવાહી છે.
થાક ઊંચાઈ પર બહુ લાગ્યો,
હા, તળેટી ચરણને ફાવી છે.
ક્યાંક અકબંધ છે કસક મારી,
સ્મિત સાથે ગવાઈને આવી.
લો, શરૂઆત જ્યાં પ્રણયની થઈ,
લાગણીઓ રિસાઈને આવી.
દોસ્ત તારી યાદનો દરબાર રાબેતા મુજબ છે,
આ નગરની ભીડમાં સૂનકાર રાબેતા મુજબ છે.
શ્વાસ આપીને શ્વાસ માંગે છે,
જિંદગી ક્યાં ઉધાર રાખે છે?
વગર નાવે ગઝલ દ્વારા,
બધા સાગર તરી બેઠો.
તેં બીડેલા સ્પર્શવાળો પત્ર મળતા,
ટેરવાં મોઘમ કવાયત બહુ કરે છે.
કોઈ મોઘમ આવ-જા બન્ને તરફ છે,
પ્રેમની આબોહવા બન્ને તરફ છે.
– ડૉ. પરેશ સોલંકી
Permalink
July 4, 2024 at 11:22 AM by વિવેક · Filed under અછાંદસ, વજેસિંહ પારગી
ભૂખની આગ
કંઈ બળતો ડુંગર નથી
કે ગામ આખાને દેખાય.
ભૂખની આગ તો
પેટમાં ઉકળતો લાવા.
જેના પેટમાં હોય
એ અંદર ને અંદર ખાક.
– વજેસિંહ પારગી
દાહોદ જિલ્લાના ભીલ જાતિના ખેતમજૂર દંપતીના ઘરે કવિનો જન્મ. ગુજરાત એટલે જેમના મન ખેડા, વડોદરા અને અમદાવાદ જિલ્લો હોય એવા દારુણ ગરીબીમાં સબડતા દલિત આદિવાસીજીવનના શિકાર કવિના માટે વિધાતાએ પણ ‘રોઝિઝ રોઝિઝ ઑલ ધ વે’ના સ્થાને ‘અક્કરમીનો પડ્યો કાણો,’ ‘દુકાળમાં અધિકમાસ’ અને ‘દાઝ્યા પર ડામ ને પડ્યા પર પાટુ’ જેવી કહેવતો જ સર્જી હતી. વતનના ગામ ઇટાવામાં કોઈક ધિંગાણા વખતે અકસ્માતે એક ગોળી એમના મોંના ભાગે વાગી અને છ-સાત વર્ષમાં એક પછી એક ચૌદવાર શસ્ત્રક્રિયાઓ કરાવીને દેવાદાર થઈ આગળ ઈલાજ કરાવવાનું અને અધ્યાપક થવાના સ્વપ્નોનું એમણે નાછૂટકે પડીકું વાળી દેવું પડ્યું. પ્રૂફરીડર બન્યા પણ એમાંય સતત જાતિવાદનો ભોગ બનતા રહ્યા. છેવટે એમના જ શબ્દોમાં ‘જિંદગીનો લય ખોરવાઈ ગયો છે. કશું સમજાતું નથી. બધું અર્થહીન લાગે છે. ઓછી પીડાવાળું જીવન ઝંખ્યું પણ જીવવું પડે છે પીડાથી ભરચક’ કહીને એમણે સાંઠ વર્ષની આયુમાં ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ વિદાય લીધી.
એમના મરણોત્તર સંગ્રહ ‘ડાગળે દીવો’માંથી વાંચતાસોત ઊભાને ઊભા ચીરી મૂકે એવું એક લઘુકાવ્ય અહીં રજૂ કરીએ છીએ…
રામબાણ તો વાગ્યા હોય એ જાણે… ખરું ને? એ જ રીતે પેટની આગ પણ જેણે વેઠી હોય એ જ જાણી શકે… પણ કવિતા એક એવો જાદુ છે, જે ન વાગેલ રામબાણની પીડા કે ન વેઠેલ આગની તકલીફ પણ અનુભવાવી શકે…
Permalink
June 29, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ગદ્ય કાવ્ય, રમણીક સોમેશ્વર
ટપાક્. શાહીનું ટીપું. તગતગતું નીકળે બહાર. પરથમ તો આળસ મરડી ખાય બગાસું. પછી સૂંઘે પવનને. થોડું અડી લે આકાશને. મૂછમાં હસતું જોઈ લે ઝાડ-પાન-ફૂલને. થોડા ટહુકા વીણી મૂકી દે કાનમાં. પછી ચડી જાય વિચારે. વિચારમાં ને વિચારમાં દદડવા લાગે રેલો, તે રેલો ક્યાં લગ પૂગ્યો તેનુંય ભાન ન રહે. પણ રેલો ઈ તો રેલો. ભીનાશ બધી શોષાઈ જાય રેતીમાં ત્યારે જ એની ખબર પડે. પછી હાળું ટીપું, રેતીના કણ થઈને ઊડે ને ભરાય મારી આંખમાં. આંખ ચોળતો, ઝાંખ વચ્ચે હું લખવા માંડું કવિતા. વાત તો આટલી જ કે શાહીનું ટીપું ટપાક્ દઈને નીકળે બહાર. દરિયો માની પોતાને માળું ઉછાળે મોજાં ક્યારેક, ને ક્યારેક સૂરજનું સંતરું લઈને રમતે ચડે સાંજે તે કાળું ટપકું થઈને થીજી જાય પાછું. ઊંઘમાં ને ઊંઘમાં લવારે ચડે તો ગજવે વનનાં વન હૂ ડૂ ડૂ ડૂ પવન થઈને. હેં! ગવન થઈને ઊડવું ગમે પાછું એને. ને ચાળે ચડે તો ‘રાસ રમંતાં મારી નથણી ખોવાણી…’ ના, ના, વાત તો અમથી આટલી જ કે ટપાક્ દઈને ટીપું શાહીનું ધસી આવે બહાર -ટોચે. ટોચે ઝગમગતું ટીપું– આદમનો અવતાર, ઈવનો વિસ્તાર. હાળું જીવ લઈને જન્મ્યું તે ભરી દીધી પરથમી આખીને; અને હવે તાકે આકાશ સામે ટગરટગર. ગ્રહો—નક્ષત્રોને લે ઊંડણમાં ને ખેંચે સમદરને તળિયેથી બધો ભેજ. તેજ—ભેજના તાંતણાં વણી સજાવે સેજ. એ જ… એ જ…
એ જ તો કહેવું છે મારે..
ટીપું શાહીનું ટપાક્…
– રમણીક સોમેશ્વર
છંદોબદ્ધ કાવ્યો લખી લખીને થાકેલા કવિઓએ મુક્ત ગગનમાં ઉડ્ડયન કરવું નિર્ધાર્યું એ દિવસે અછાંદસ કવિતાનો જન્મ થયો. વિશ્વની તમામ ભાષાઓએ વહેલોમોડો છંદમુક્તિનો સ્વાદ માણ્યો. આપણે ત્યાં અછાંદસ કાવ્ય લખાતા થયા ત્યારે એના નામાભિધાન વિશે પણ ચર્ચાઓ ચાલી હતી. એક સમય એવો આવ્યો જ્યારે અત્યારે પ્રચલિત સ્વરૂપસંવિધાનના સ્થાને પરિચ્છેદ તરીકે જ ગદ્યકાવ્ય લખવામાં આવતા. રમણીક સોમેશ્વરનું આ કાવ્ય પણ પરિચ્છેદ સ્વરૂપે લખાયેલ ગદ્યકાવ્ય જ છે.
શાહીના ટીપાંની મિષે કવિએ અદભુત અને અનૂઠી રીતે કવિતાની વિભાવના વ્યક્ત કરી છે. ઇન્કપેનમાંથી વધારાની શાહીનું ટીપું તગતગતું બહાર આવે અને ટપાક્ કરતું નીચે પડે એ ‘ટપાક્’ શબ્દ સાથે કાવ્યારંભ થાય છે. કવિ એક શબ્દચિત્ર દોરવાની શરૂઆત કરે છે, પણ પ્રારંભ કરે છે ધ્વનિથી. કવિતામાં આદમ-ઈવનો પણ ઉલ્લેખ છે. એટલે કાવ્યચેતના આદિમથી આજ સુધીના પ્રલંબ પટ પર વિસ્તરી હોવાનું સમજાય છે. ભાષા અને લિપિના અસ્તિત્વના હજારો વર્ષ પૂર્વે બોલીનો જન્મ થયો હતો. કદાચ એટલે જ કવિએ કાવ્યારંભ ધ્વનિ-શ્રુતિથી કર્યો હોઈ શકે.
ઊંઘમાંથી ઊઠીને માણસ બગાસું ખાઈ આળસ મરડીને દિવસની શરૂઆત કરે, એ જ રીતે શાહીનું ટીપું પણ બહાર આવીને આળસ મરડે છે, બગાસું ખાય છે, પવનને સૂંઘે છે, આકાશને ‘થોડું’ અડી લે છે અને મૂછમાં હસતાં હસતાં ઝાડ-પાન-ફૂલને જુએ છે. થોડા ટહુકાય ગુંજે ભરી લે છે. વિચારે ચડીને દદડવા માંડતું ટીપું આખાય બ્રહ્માંડને ઊંડણમાં લઈ લે છે એ જોઈને ઉમાશંકર જોશીની વાત યાદ આવે: ‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો?’
નાના અમથા શાહીના ટીપાંમાં ભરી પડી અસીમ સંભાવનાઓનો તાગ કાઢવાની આ કવાયત આખરે તો કવિસિસૃક્ષા જ છે.
Permalink
June 28, 2024 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
અંદરનો રસ ઘૂંટાઈને ઘેરું દરદ બને,
એવું બને તો શબ્દ ‘કવિની સનદ’ બને.
તારાં તમામ રૂપ મને તો પસંદ છે,
વર્ષા બને, વસંત બને કે શરદ બને.
આ મારા લોહીમાં જો ભળે લાલી સ્પર્શની,
તો શક્ય છે જીવનની પળેપળ સુખદ બને.
હૈયામાં રાખ સંઘરી હૈયાવરાળને,
સંભવ છે એ વરાળ ‘અકાલે જલદ’ બને.
અહીંયાની જિંદગીમાં છે તાસીર મોતની,
અહીંયા તો વાતવાતમાં ઘટના દુઃખદ બને.
સુદ જેવી આમ તો છે ચમક આંખની છતાં,
કહેવાય ના કે ક્યારે એ કજળાઈ વદ બને!
‘ઘાયલ’નો બોલ ઊપડ્યો એનો ન ઉપડે,
અંદરથી માનવી જો ખરેખર નગદ બને.
– અમૃત ઘાયલ
વિન્ટેજ વાઇન.
Permalink
June 27, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

જે પણ સ્વરૂપે આવી, મેં જિંદગીને માણી,
સૂરજ ડૂબી ગયો, તો મેં સાંજને વખાણી.
વળગી શકે નહીં પણ કાયમ ખભો એ આપે,
ઘરની દીવાલો પી લે આંખોનું ખારું પાણી.
વર્ષોથી એ રહે છે, જાકારો ક્યાંથી આપું?
દુઃખ-દર્દ સાથે મારી યારી છે બહુ પુરાણી.
પ્રેમાળ સ્મિત પહેરી બેઠા છે હાથ પકડી,
ચહેરો અસલ બતાવે જો દુઃખતી રગ લે જાણી.
મિસરારૂપે કલમથી રેલાઈ મૂંગી ચીસો,
સમજ્યું ના કોઈ પીડા, સૌએ ગઝલ વખાણી.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
લયસ્તરો પર સર્જકના પ્રથમ ગઝલસંગ્રહ ‘પહેલી સવાર છે’ નું સહૃદય સ્વાગત…
મત્લાની હકારાત્મકતા સ્પર્શી જાય એવી છે. જિંદગીનું તો હરહંમેશ હરએક સ્વરૂપે સ્વાગત જ કરવાનું હોય. માણસને પોતાના આંસુ લૂંછવા માટે વર્ષોની સાથી દીવાલોનો ટેકો લેવો પડે એ વાત એકલતાની પીડાને કેવી ધાર કઢી આપે છે! બાકીના ત્રણેય શેર પણ આસ્વાદ્ય થયા છે.
Permalink
June 23, 2024 at 11:41 AM by વિવેક · Filed under ગીત, દુહા, હર્ષદ ચંદારાણા

*
બુંદ વિના જળ કિમ ભવતિ,
. વણ મોતી કિમ હંસ
કમળ વિના સરોવર નવ જીવિ,
. પુત્ર વિના નવ વંશ
વૃક્ષ વિના તટ કહિ પિરિ જીવિ,
. પર્ણ વિના કિમ ડાળ
પવન વિના નૌકા નવ બઢતિ,
. વણ પથ્થર નવ પાળ
વિહગ વિના માળો કિમ ભવતિ,
. વણ કલરવ કિમ વાયુ
પંખ વિના ગગન કિમ કટતિ,
. વણ પ્રિયજન કિમ આયુ
દેશ્ય વિના આંખો નવ ઠરતિ,
. હાથ રહે નવ ચૂપ
લહર સંગ લેખન અબ ચલતિ,
. આલેખું તવ રૂપ
– હર્ષદ ચંદારાણા
કવિના પુણ્યસમરણમાં આજે આ આખરી શબ્દસુમન…
કવિશ્રી હર્ષદ ચંદારાણાએ પ્રયોગો પણ ઘણા કર્યા છે. એક જ વિષય પર એકાધિક રચનાઓથી માંડીને ૧૦૮ શેરોની ગઝલમાળા પણ એમણે રચી છે. પ્રસ્તુત ગીતરચના પણ પ્રયોગની રૂએ અન્ય ગીતરચનાઓથી હટ કે છે. કવિએ પરંપરિત માત્રાગણ વાપરવાના બદલે દોહરા છંદનો વિનિયોગ કર્યો છે, પણ એમાંય ૧૩-૧૧ માત્રાના ચરણ પ્રયોજવાના સ્થાને મોટાભાગની કડીઓમાં ૧૫-૧૧ માત્રાના ચરણ રચ્યા છે. સરવાળે એમ જણાય છે કે દોહરાને મનમાં રાખીને કવિએ નિજ શ્રુતિલયને અનુસરીને આ કાવ્યરચના કરી હોવી જોઈએ. જે હોય તે, આપણને મમમમ સાથે કામ છે કે ટપટપ સાથે?
દોહાકથન કવિતાના કેન્દ્રસ્થાને હોવાથી કવિએ કાવ્યબાની અને કથન પણ એ જ રીતનાં રાખ્યાં છે. સરોરવ અંગેનું આ સ્તવન છે એટલે આઠેય ચરણમાં સરોવરને ધ્યાનમાં રાખીને કાવ્યવિહાર કરવાનો છે. જેમ બુંદ વિના જળ નહીં અને મોતી વિના હંસ નહીં, એમ કમળ વિના સરોવર નહીં અને પુત્ર વિના વંશ નહીં –આ જ પ્રાચીન ગુજરાતી શૈલીમાં આખી રચના હોવાથી એની નોખી ભાત અને અનૂઠો લય નિરવદ્યપણે આસ્વાદ્ય બને છે.
*

Permalink
June 22, 2024 at 11:46 AM by વિવેક · Filed under અછાંદસ, હર્ષદ ચંદારાણા

બધાં જળનો
કૈં બરફ થતો નથી.
મારી પાસે છે પાત્ર
અને છે
એટલું જ કારણ માત્ર
હું જળ ભરું છું
ને બરફ કરું છું
પણ જળ ખૂટતું નથી
કે જળ છૂટતું નથી
બધું જળ
કૈં બરફ થતું નથી
*
ને નથી થતો
બધીય હવાનો વંટોળ
હવાને લાવી લાવી
છાતીની ધમણ ફુલાવી
ફૂંક મારું છું
હવાનાં સાંસાં પડે છે
છતાંય ફૂંક મારું છું
ને અંતે હું હારું છું
પણ નથી થતી
બધીય હવા વંટોળ
*
કે નથી સર્જાતાં
જમીન માત્રમાં જંગલો
કયારેક હળથી
કયારેક પળથી….…ખેડી લઉં
ક્યારેક બીજથી
કયારેક વીજથી…વાવી લઉં
કયારેક પાણીથી
કયારેક વાણીથી…..સીંચી લઉં
ક્યારેક ફળને
કયારેક છળને………વેડી લઉં
હા, નથી સર્જાતાં
જમીન માત્રમાં જંગલો.
*
કેમ બધો અવકાશ
ભરી શકાતો નથી?
બાથ ભરું કે ભરું બાચકો
ખાલી… ખાલી… ખાલી…
. રહે ધ્રાસકો.
કેમ બધોય અવકાશ,
કશાથી,
ક્યારેય
ભરી શકાતો નથી?
*
આગ-
હોય છે, દેખાતી નથી
જાતે જ પ્રગટે છે, થાતી નથી
ચૂલો છે ચૂલો; છાતી-
. છાતી નથી.
*
કેટલાંક સુખની
. કવિતા કરવી નથી.
કેટલાંક દુ:ખની
. કવિતા થઈ શકતી નથી.
– હર્ષદ ચંદારાણા
હર્ષદ ચંદારાણાની કવિતાઓ સામાન્યપ્રવાહથી વિષયવસ્તુની પસંદગી અને માવજતને લઈને અલગ તરી આવે છે. ગઝલ હોય, ગીત હોય કે અછાંદસ- એમની શબ્દપસંદગી અને રૂપકવિન્યાસ તરત જ ઊડીને આંખે વળગે છે. આ અછાંદસ રચના જુઓ. કવિએ રચનાને પંચમહાભૂતના પાંચ ખંડોમાં વહેંચી છે – જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ –એમ પાંચેય ઘટકતત્ત્વની સાપેક્ષે એમણે પીડાની ક્રીડાઓ તાગવાની કોશિશ કરી છે. અછાંદસ રચના હોવા છતાં કવિએ કૃતિમાં મોટાભાગની પંક્તિઓ વચ્ચે જે રીતે પ્રાસગુંફન કર્યું છે એનાથી એક અનૂઠો લય તો સર્જાય જ છે, કૃતિને રોચક પ્ર-વેગ અને પ્રવાહિતા પણ સાંપડે છે.
કરવાની ઇચ્છા હોય એ કરી ન શકાવાની પીડાને કવિએ પાંચેય ઇન્દ્રિયોની ક્રીડાઓ થકી વારાફરતી વ્યક્ત કરી છે. કવિને જળનો બરફ કરવો છે અને ફૂંક મારીને હવાનો વંટોળ કરવો છે. જમીન માત્રને જંગલોથી ભરી દેવી છે અને અવકાશના ખાલીપાને સભર કરવો છે. છાતીમાં જે આગ છે એના કાબૂ બહાર હોવાનીય પીડા છે. ટૂંકમાં, દુન્યવી નજરે જે કામ અશક્ય કે અસાધ્ય લાગે એ બધું કવિને કરવું છે. કાવ્યાંતે કવિ કેટલાંક સુખની કવિતા કરવી નથી અને કેટલાંક દુઃખની કવિતા થઈ શકતી નથી એમ કહીને વાત આટોપી લે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ આખી મથામણ, સઘળી પીડા પંચેન્દ્રિયો મારફતે થતી અનુભૂતિને યથાતથ અભિવ્યક્ત ન કરી શકાવા બદલની હોવી જોઈએ.
Permalink
June 21, 2024 at 11:08 AM by વિવેક · Filed under ગીત, હર્ષદ ચંદારાણા

*
આછો આછો રે અંધાર
. ખોલે બંધ રહેલાં દ્વાર
ઝણ–ઝણ ઝણકંતો એકધારો
. ઝીણો વાગે છે એકતારો
તાણી તંગ કરીને તારો
. અંધારાનો આ પીંજારો
. પીંજે જીવને તારે તાર
આછું આછું રે અજવાળું
. થોડું ગોરું ઝાઝું કાળું
કાબરચિતરું ને ભમરાળું
. ગૂંથે ઝળઝળિયાંનું જાળું
. પકડે પૂરવજનમની પાર
– હર્ષદ ચંદારાણા
હર્ષદ ચંદારાણાએ ગઝલની સરખામણીમાં ગીતો બહુ ઓછાં લખ્યાં છે, પણ એમનાં ગીતોમાં પણ વિષયવૈવિધ્ય અને ભાષાક્રીડા અછતા રહેતા નથી. જો કે આજે એમને શબ્દસુમન અર્પવાના ઉપક્રમ નિમિત્તે એવા કોઈ રમતિયાળ ગીત પર પસંદગીનો કળશ ઢોળવાના બદલે મને ગમતું એક ગીત રજૂ કરું છું.
મૃત્યુના કિનારે આવીને જીવનદર્શન પામતા મનુષ્યની અનુભૂતિની આ રચના છે. મૃત્યુ ઢૂકડું આવી ઊભું છે, પણ હજી આંખો બીડાવાને વાર હોવાથી અંધારું ગાઢું નહીં, આછું આછું છે. આ આછા આછા અંધકારંબા હાથે સમજણના કે મુક્તિના દ્વાર ખૂલી રહ્યાં છે. જીવનવાદ્ય એકધારું ઝણઝણ ઝણકી રહ્યું છે. તાર તાણીને તંગ કરીને અંધારાનો પીંજારો જીવને તારે તાર પીંજી રહ્યો છે, મતલબ અંત હવે નિકટમાં જ છે. શરૂમાં આછું આછું અંધારું વર્તાતું હતું, હવે આછું આછું અજવાળું વર્તાઈ રહ્યું છે. અજવાસ છે પણ અંધકારના વર્ચસ્વવાળો. આંખોમાં ઝળઝળિયાનું જાળું બાઝ્યું છે, જેના કારણે આછા અજવાળામાં અસ્પષ્ટપણે પૂર્વજન્મના સંસ્કાર પણ વર્તાય છે,
*

Permalink
June 20, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા

*
પ્રતીક્ષાની કેવી ફસલ નીપજે છે?
અનાયાસ આખી ગઝલ નીપજે છે.
પ્રતીક્ષા કરી જોઈ હોડી બનીને
પરંતુ ન કાંઠો, ન જલ નીપજે છે.
પ્રતીક્ષાનું છે વૃક્ષ એવું કે જેમાં
ન ડાળી, ન પર્ણો, ન ફલ નીપજે છે.
પ્રતીક્ષા કરું છું વસંતોની જ્યારે
પ્રથમ પાનખર પણ અસલ નીપજે છે
હતી આ સરોવરને કોની પ્રતીક્ષા?
ફરી ને ફરીથી કમલ નીપજે છે.
– હર્ષદ ચંદારાણા
હર્ષદ ચંદારાણા એટલે રમેશ પારેખના શબ્દોમાં કહીએ તો ‘પોતાની પ્રતિભાના વેગથી, આંતરિક સામર્થ્યથી પોતાના બાયોડેટાની બહાર સતત વિસ્તરતી રહેતી’ વ્યક્તિ. થોડા દિવસ પહેલાં ૧૬ જુન, ૨૦૨૪ના રોજ કવિશ્રી હર્ષદ ચંદારાણા એમનો અ-ક્ષરદેહ પાછળ છોડીને પરલોક સિધાવ્યા… લયસ્તરો તરફથી એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…
કવિને શબ્દાંજલિ નિમિત્તે શરૂઆત પ્રતીક્ષા ઉપર લખાયેલી એક મજાની મુસલસલ ગઝલથી કરીએ. પાંચેય શેર સંતર્પક થયા છે.
*

Permalink
June 16, 2024 at 12:39 PM by વિવેક · Filed under ગઝલ, હેમંત પૂણેકર
ઓર પાસે અવાય એમ નથી,
તોય અળગા થવાની નેમ નથી.
એની આંખો બીજું જ બોલે છે,
હોઠ બોલે છે પ્રેમબેમ નથી.
કેમ તમને છૂપાવું મારામાં?
હું જ મારામાં હેમખેમ નથી.
મધ્યમાં કઈ રીતે ઊભા રહીએ?
જિંદગી પોતે આમતેમ નથી?
આ જે કંઈ છે એ કેમ છે હેમંત?
અને જે છે જ નહિ એ કેમ નથી?
– હેમંત પુણેકર
ગુજરાતી ગઝલોનો આજકાલ એવો તો લીલો દુકાળ પડ્યો છે કે સારી ગઝલ શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું દુષ્કર કાર્ય બની ગયું છે. પણ રણમાં મીઠી વીરડી જેવી આ ગઝલ જુઓ. પાંચ જ શેર. ચુસ્ત કાફિયા અને સરળ ભાષામાં કેવી વેધક રજૂઆત! ગાઢમાં ગાઢ આલિંગન પણ કદી શાશ્વત નથી હોતું. ગમે એટલો પ્રેમ હોય, બે જણે આશ્લેષમાંથી અળગાં તો થવું જ પડે એ વાસ્તવિક્તાની સામે કાવ્યનાયકની કેફિયત જુઓ તો જરા. બે જણ એકમેકની એટલી તો નિકટ આવી ગયાં છે કે હવે વધુ નૈકટ્ય સાધવું સંભવ જ નથી, ને એ છતાં એકાકારતાની આ ચરમસીમાએથી પાછા વળવાની બેમાંથી એકેયની તૈયારી પણ નથી. કેવી અદભુત વાત! સરવાળે આખી ગઝલ જ સંતર્પક થઈ છે…
Permalink
June 15, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઑક્તોવિયો પાઝ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
ક્લૉડિયસ ટૉલેમીને શ્રદ્ધાંજલિ
હું એક મનુષ્ય છું: મારી હયાતિ છે ક્ષણભંગુર
અને રાત છે પ્રલંબ.
પણ હું ઉપર જોઉં છું:
તારાઓ લખી રહ્યા છે.
સમજ્યા વિના જ હું સમજું છું:
હુંય એક લખાણ જ છું
અને આ ક્ષણે
કોઈ મને ઉકલી રહ્યું છે.*
– ઑક્ટાવિયો પાઝ
(અંગ્રેજીમાંથી અનુ.: વિવેક મનહર ટેલર)
વિદેશી ભાષાના અંગ્રેજી અનુવાદોમાંથી ગુજરાતી અનુવાદ તો અનેક કર્યા, પણ પાઝની આ કવિતા મને ઇન્ટરનેટ પર લટાર મારતી વખતે મૂળ સ્પેનિશ ભાષામાં મળી. એનો અંગ્રેજી અનુવાદ શોધવાના સ્થાને મેં આ વખતે ચેટજીપીટી (એ.આઇ.) તથા ગૂગલ ટ્રાન્સલેટને કામે લગાડ્યા અને જાતે જ અંગ્રેજી અનુવાદ તૈયાર કર્યો. આ પછી નેટ પરથી આ જ રચનાના અંગ્રેજી અનુવાદ પણ શોધ્યા. એ.આઇ.ભાઈનો અનુવાદ યોગ્ય લગતાં મેં એને જ સ્વીકારીને એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. આગલ જતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ શું શું કરતબ દેખાડશે એ તો ભવિષ્ય જ કહેશે, પણ હમણાં આ ક્ષણે આ અનુવાદ આપ સહુ માટે…
કવિએ ગ્રીકો-રોમન ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી ક્લાઉડિયસ ટોલેમીને આ કવિતા વડે શ્રદ્ધાંજલિ આપી છે, જેઓ બ્રહ્માંડના ભૂકેન્દ્રીય મોડેલ પરના તેમના કાર્ય માટે જાણીતા છે. ટોલેમીનું આહ્વાન કરીને, પાઝે ટબૂકડી કવિતાને વ્યાપક ઐતિહાસિક અને દાર્શનિક સંદર્ભમાં રજૂ કરી બતાવી છે. બ્રહ્માંડમાં પોતાનું સ્થાન શું છે એ સમજવાની કોશિશ મનુષ્ય અનાદિકાળથી કરતો આવ્યો છે. માનવી સમજે છે કે વિશાળ સૃષ્ટિના ઉપલક્ષમાં સ્વયંનું સ્થાન ક્ષણભંગુર ટપકાંથી વિશેષ કશું જ નથી. કવિતા અસ્તિત્વવાદ અને અર્થની શોધના વિષયોને સ્પર્શે છે. વક્તા માનવીય સમજણની મર્યાદાઓને સ્વીકારે છે પરંતુ એમ વિચારીને આશ્વાસન મેળવે છે કે એક પોતે એક વિશાળ યોજનાનો જ એક અવિભાજ્ય ભાગ છે, ભલે એ તેને સંપૂર્ણ રીતે સમજી ન શકે. જીવન અને બ્રહ્માંડ વચ્ચેનું આ પરસ્પર જોડાણ –ભાઈચારો- જ આ કવિતાનો કેન્દ્રસ્થ વિચાર છે.
Brotherhood
Homage to Claudius Ptolemy
I am a man: little do I last
I am a man: I last but a moment
and the night is immense.
But I look up:
the stars are writing.
Without understanding, I comprehend:
I am also a script
and at this very moment
someone is spelling me out.
– Octavio Paz (Spanish)
(Eng. Trans.: AI – Chat GPT)
HERMANDAD
Homenaje a Claudio Ptolomeo
Soy hombre: duro poco
y es enorme la noche.
Pero miro hacia arriba:
las estrellas escriben.
Sin entender comprendo:
también soy escritura
y en este mismo instante
alguien me deletrea.
– Octavio Paz (Spanish)
Permalink
June 14, 2024 at 11:23 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
ભૂંસાઈ ગ્રીષ્મની પાટી, પ્રથમ વરસાદની વેળા
પછી મહેકી ઊઠી માટી, પ્રથમ વરસાદની વેળા
ફૂટી નીકળી અચાનક કૂંપળો શૈશવની યાદોની
ભીતર જેને હતી દાટી, પ્રથમ વરસાદની વેળા
મળ્યા છે મોતીઓ મબલખ હથેળી જેમણે ખોલી
ખરેખર એ ગયા ખાટી, પ્રથમ વરસાદની વેળા
નર્યા ઉન્માદથી ડોલે બધાંયે વૃક્ષ મસ્તીમાં
કોઈ ભૂરકી ગયું છાંટી, પ્રથમ વરસાદની વેળા
ક્ષણિક ઝબકા૨માં પણ વીજનું નર્તન પ્રથમ દીઠું
પછી માણી ઘરેરાટી, પ્રથમ વરસાદની વેળા
– ઉર્વીશ વસાવડા
આજે વહેલી સવારે પહેલા વરસાદનો સ્વાદ માણવાનું થતાં જ આ ગઝલ સ્મૃતિપટલ પર તરવરી ઊઠી. વરસાદ વિશે આપણે ત્યાં અસંખ્ય કાવ્યો રચાયાં છે, અને લખાતાં પણ રહેશે… દરેકની પોતીકી મજા છે. પણ આખું ચોમાસું એક તરફ અને પ્રથમ વરસાદની વેળા એક તરફ. ઉનાળાથી ભડભડ બળતી સૃષ્ટિમાં પ્રથમ વરસાદની વેળાએ જે જે પરિવર્તનો અનુભવાય છે એને યથોચિત ઝીલી બતાવતી એક સાંગોપાંગ સુંદર ગઝલ આજે માણીએ…
Permalink
June 13, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મનિષા જોષી
આજે તો બગીચાની
લીલીછમ લોન પર ચાલવાનું
૫ણું નથી ગમતું.
ચમેલીની વેલ પાસેથી ૫સાર થતાં
એની સુગંધ નાકને અડી જાય છે
૫ણ ત્યાંયે વધુ વાર ઊભવું નથી ગમતું.
બેન્ચ પર બેસીને
સમયને મારતા બે નિવૃત્ત વૃદ્ધો
અને એક ખૂણો શોધી લઈ
ગુફતેગૂ કરતા બે પ્રેમીઓ વચ્ચે પણે
ધ્યાન આકર્ષિત કરે છે
તો એકમાત્ર હીંચકો!
પેલી છોકરીના ઊતરી ગયા પછી પણ
ચિચાટિયા અવાજે
ખાલી ખાલી હાલ્યા કરતો એ હીંચકો!
અને હું,
અચાનક જ દોડી જઈને
અત્યંત ઉશ્કેરાટથી
એને હાથથી અટકાવી દઉં છું.
– મનીષા જોશી
હીંચકો પ્રતીક છે અસ્થિર માનસિકતાનું… સતત ગતિમાં રહેવા છતાંય હીંચકો હોય ત્યાંથી આગળ પણ વધી શકતો નથી ને પાછળ પણ જઈ શકતો નથી. હીંચકાનું પ્રતીક લઈને કવયિત્રીએ આવી જ મનોદશા બહુ સ-રસ રીતે અહીં આલેખી છે. કોઈક કારણોસર કાવ્યનાયિકા આજે વ્યથિત છે. ‘આજે તો’થી કવિતાનો ઉપાડ થાય છે, એના પરથી ખ્યાલ આવે છે કે જે ક્રિયાઓની અહીં વાત છે એ રોજબરોજની ક્રિયાઓ છે, પણ આજે હૈયું વ્યગ્ર હોવાના કારણે નથી લોન પર ચાલવાનું મન થતું, કે નથી સુગંધ માણવા ઊભા રહેવાનું મન થતું. નિવૃત્ત વૃદ્ધો કે પ્રવૃત્ત પ્રેમીઓ પણ આજે નાયિકાનું ધ્યાન આકર્ષી શકતા નથી. કોઈક છોકરીના ઉતરી ગયા પછી પણ હીંચકો ચિચાટિયા અવાજે હજીયે ખાલી ખાલી હાલ્યા કરે છે એ નાયિકાને વધુ વિહ્વળ કરે છે. હીંચકો પોતાની જ અસ્થિર માનસિકતાને પ્રતિબિંબિત કરતો હોવાથી નાયિકા એને આજે ખમી શકતી નથી. અચાનક દોડી જઈને અત્યંત ઉશ્કેરાટથી એ એને હાથથી અટકાવી દે છે. ‘અચાનક’ ‘અત્યંત’ અને ‘ઉશ્કેરાટ’ – આ ત્રણ શબ્દોના કારણે કાવ્ય વધુ અસરદાર બન્યું છે.
Permalink
June 8, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, બિલી કોલિન્સ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
હું એમને કહું છું કે એક કવિતા લો
અને એને પ્રકાશ સામે ધરો
રંગીન કાચના ટુકડાની જેમ
અથવા એના છત્તા સાથે કાન માંડી જુઓ.
હું કહું છું કે એક ઉંદરને કવિતામાં નાંખી દો
અને એ કઈ રીતે બહાર આવે છે એ નિહાળતા રહો,
અથવા કવિતાના ઓરડામાં પ્રવેશ કરો
અને બત્તીની ચાંપ શોધવા માટે દીવાલોને ફંફોસો.
હું ઇચ્છું છું કે તેઓ કવિતાની સપાટી ઉપર
વોટર સ્કી કરતાં કરતાં
કિનારા પરના લેખકના નામ તરફ હાથ લહેરાવે.
પરંતુ તેઓ તો બસ આ જ ઇચ્છે છે
કે કવિતાને એક દોરી વડે ખુરશી સાથે બાંધી દેવામાં આવે
અને એને યાતના આપવામાં આવે કબૂલાત કઢાવવા માટે.
તેઓ એને ચાબુક વડે પીટવા માંડે છે
એ શોધવા માટે કે હકીકતમાં એનો અર્થ શો છે.
– બિલી કોલિન્સ
(અનુ.: વિવેક મનહર ટેલર)
કવિતામાંથી અર્થ કાઢવાની કવાયત તો પરાપૂર્વથી ચાલતી આવી છે અને ચાલુ જ રહેવાની છે. મારીમચડીને કવિતામાંથી અર્થ કાઢી તો લઈએ, પણ શું એ અર્થ જ કવિ કે કવિતાનું ખરું લક્ષ્ય હશે એમ કહી શકાય ખરું? કવિતા ઉપર બળાત્કાર કરવાના બદલે કવિતાનો વિશુદ્ધ આનંદ લેતા શીખીએ એ કદાચ વધુ યોગ્ય ન કહેવાય? હકીકતમાં, કવિતામાં અર્થ કરતાં અનુભૂતિનું મહત્ત્વ વધારે છે. ભાષા કરતાં ભાવ વધુ અગત્યનો છે. શબ્દ અર્થનું વાહન બની રહેવાના બદલે કવિહૃદયના સંવેદન ભાવક સાથે સહિયારવાનું ઉપાદાન બની રહે ત્યારે ખરો કાવ્યાનંદ પ્રાપ્ત થાય અને કવિકર્મ સાર્થક થયું ગણાય. બિલી કોલિન્સની આ કવિતા અદભુત પ્રતીકોની મદદથી આપણને આ વાત સફળતાપૂર્વક સમજાવે છે. આ સંદર્ભમાં આ સાથે રાવજી પટેલની “ઠાગા ઠૈયા” કવિતા પણ અવશ્ય વાંચવી જોઈએ.
Introduction to Poetry
I ask them to take a poem
and hold it up to the light
like a color slide
or press an ear against its hive.
I say drop a mouse into a poem
and watch him probe his way out,
or walk inside the poem’s room
and feel the walls for a light switch.
I want them to waterski
across the surface of a poem
waving at the author’s name on the shore.
But all they want to do
is tie the poem to a chair with rope
and torture a confession out of it.
They begin beating it with a hose
to find out what it really means.
– Billy Collins
Permalink
June 7, 2024 at 11:03 AM by વિવેક · Filed under ગઝલ, પરેશ સોલંકી ડૉ.

લાખ કોશિશ બાદ આવી છે,
સાદગી પણ મિજાજ લાવી છે.
થાક ઊંચાઈ પર બહુ લાગ્યો,
હા, તળેટી ચરણને ફાવી છે.
વેરવિખેર જાત સંકોરી,
છેવટે વસ્ત્રમાં દબાવી છે.
ક્ષણ, સ્મરણ, રટણ તથા વળગણ,
પત્રમાં સૌ વિગત જણાવી છે.
ચાલ, ઈશ્વર બતાવ હયાતીને,
કે મુરત પથ્થરે સજાવી છે.
– ડૉ. પરેશ સોલંકી
લયસ્તરો પર કવિના નવ્યસંગ્રહનું સહૃદય સ્વાગત…
સંગ્રહમાંથી એક સરસ મજાની ગઝલ આપ સહુ માટે રજૂ કરીએ છીએ. એકાદ-બે છંદદોષને બાદ કરતાં આખી ગઝલ મનનીય થઈ છે. સરળ બાનીમાં કવિએ આસ્વાદ્ય શેર આપ્યા છે.
Permalink
June 6, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હાર્દિક વ્યાસ

આંગળીઓ હોઠ ભીંસી વાળવી છે,
હસ્તરેખાઓ નવી કંડારવી છે.
આપણે પહોંચી ગયા સામા કિનારે,
ક્યાં સુધી આ હોડીઓ હંકારવી છે?
આ બધું પામ્યા પછી પળ કઈ હશે?
– એટલી સમજણ પછી વિકસાવવી છે!
એ અગાસી પર જઈ નક્કી કરે છે,
કેટલી કોની પતંગો કાપવી છે?
ભેદ ના હો કોઈ દૃષ્ટિ-દૃશ્યમાં પણ;
એટલી સીમા હજી ઓળંગવી છે!
હું રહું ના હું અને ના તું રહે તું
જાતને એવી રીતે ઓગાળવી છે!
વ્હાલથી છૂટું પડે ઓવારણું તો,
માનથી એની પ્રથાને પાળવી છે…!
– હાર્દિક વ્યાસ
લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘શિખર વહે, ધજા વહે’નું સહૃદય સ્વાગત છે…
પોતે જ પોતાના ભાગ્યવિધાતા હોવાની જાહેરાતથી કવિ ગઝલનો ઉઘાડ કરે છે. પોતાની મરજી મુજબની નવી હસ્તરેખાઓ કંડારવા માટે કવિએ હોઠ ભીંસીને મુઠ્ઠીઓ વાળી છે. હોઠ ભીંસવાની ક્રિયા ઈરાદાની મક્કમતાની પુષ્ટિ કરતી હોવાથી શેરને ઉપકારક નીવડે છે. ઘણીવાર ગંતવ્યસ્થાને પહોંચી ગયા પછી પણ આપણા જીવને જંપ વળતો નથી. આવી પરિસ્થિતિને હોડી અને સામા કિનારાના રૂપકની મદદથી કવિએ સુપેરે ચીતરી બતાવી છે. ‘ઓળંગવી’ એ એક કાફિયાદોષને બાદ કરતાં સરવાળે આખી ગઝલ સરસ થઈ છે,
Permalink
June 1, 2024 at 12:00 PM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
દૃશ્યની ઠેસ વાગી? હે આંખો!
તો જગતને જરા ઝીણું ઝાંખો!
ચાખવું હોય તો અમી ચાખો!
અન્ય રસમાં વળી શું રસ દાખો?
ડાળે બેઠાં જ નહિ, તેં ઉડાડ્યાં,
આટલેથી હવે તો બસ રાખો.
એની મરજી હશે તો ઊઘડશે,
એમ સમજીને બારણાં વાખો.
ના મળ્યું આભ, ના મળ્યું ઊડવું;
ભાર વેંઢારવા મળી પાંખો?
એક ખાલી, તો છે સભર બીજો;
છે જીવન-દેરડીમાં ઘટ લાખો.
– સંજુ વાળા
આખેઆખી સંઘેડાઉતાર ગઝલ… એકેએક શેર પાણીદાર.
Permalink
May 31, 2024 at 11:52 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત, લોકગીત
દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ
માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ
વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
– લોકગીત
કવિશ્રી ઉદયન ઠક્કરની માતબર કલમે આજે આ ગીત માણીએ-
કચ્છનો વાગડ પ્રદેશ એવો સૂકો કે તળાવેથી પાણી સુકાઈ જાય,અને તાળવેથી વાણી.આ લોકગીતમાં સખીઓ (સૈયો) જોડે હમચી ખૂંદતાં (તાલ સાથે ફુદરડી ફરતાં) દીકરી દાદાને (પિતાને) ફરિયાદ કરે છે: મને વાગડમાં કેમ પરણાવી?
સૂરજ ઊગે એ પહેલાં પાણી સીંચવા નીકળવું પડે છે.(બેડું માથા પર જેને ટેકે મુકાય તે ‘ઈંઢોણી.’ કૂવામાં સીંચવાનું દોરડું તે ‘સીંચણિયું.’ પથારીનો પગ તરફનો ભાગ તે ‘પાંગત.’) ઓશિકે ઈંઢોણી અને પાંગતે સીંચણિયું= પગથી માથા સુધી કામ જ કામ. સીંચણિયું ટૂંકું છે, ઘડો બુડે શી રીતે? કેટલાંક એવું સમજાવે છે કે સાસુ જાણી જોઈને દોરડું ટૂંકું આપતી, જેથી વાંકી વળવા જતાં વહુવારુ કૂવે પડી જાય. વાગડ સૂકોભઠ વિસ્તાર હતો- જળની સપાટી ઠેઠ ઊંડે ઊતરી જતી. ઘેરથી કૂવા સુધી એટલા આંટાફેરા કરવા પડતા કે દિવસ આખો (કહો કે જન્મારો આખો) પૂરો થઈ જતો. દીકરી સંદેશો મોકલે છે- હું જિંદગી ટૂંકાવી દઈશ! દાદા કહે છે- થોડા દિવસ ખમી ખાઓ, અમે આણાં લઈને આવીએ છીએ.
અહીં કેટલાંક પદ હેતુપૂર્વક બેવડાવાયાં છે. ‘દાદા હો દીકરી, દાદા હો દીકરી’ (દાદા હોંકારા પર હોંકારા દે.) ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ (વારે વારે ઘુમરડી લેતી સાહેલીઓ.) ‘દીએ દળાવે મુને, દીએ દળાવે મુને’ (એટલું બધું દળાવે કે એક વાર કહેવાથી ન સમજાય.) ‘ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ’ (કામ બે વાર ન ચીંધે તો સાસુ શાની?) ‘ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ’ (કૂવાકાંઠે નિસાસા પર નિસાસા.) ‘ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા’ (કાકલૂદી.) ‘કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી’ (દાદાને પડતા ધ્રાસ્કા.)
ગીત કરુણરસનું હોવા છતાં દરેક કડીમાં ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ એવું ઉમંગે હમચી ખૂંદવાનું પદ મુકાયું છે. આવા વિરોધ (કોન્ટ્રાસ્ટ)થી કરુણરસ ઘેરો ઘુંટાય છે. ‘અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે’- અંધારી રાતો હવે પૂરી થઈ, એવા આશાવાદ સાથે ગીત પૂરું થાય છે.
(આસ્વાદ: ઉદયન ઠક્કર)
Permalink
May 30, 2024 at 12:30 AM by વિવેક · Filed under બળવન્તરાય ક. ઠાકોર, સોનેટ
‘મુબારક હજો નવૂં વરસ!’ ‘સાલ આ બેસતી
દિયો અધિક સૌખ્ય રિદ્ધિ સકુટુંબને કીરતી!’
ગળ્યાં વચન રૂઢ પોપટ જિભે સહૂં ઊચરે,
હુંયે સ્મિત સહે સહૂં, વિનયિ વાળું છૂં ઉત્તરે,
ઘડીક વળિ ગોઠડી કરિ રહું કૃતક ઉમળકે.
પછી સહુ સિધાવતાં વિરમું એકલો હીંચકે,
ચિરૂટ સૃત ધુમ્રગોટ સહુ ધૂણતું મસ્તકે.
વધે કદમ હીંચકો, કદમ તે જ પાછો ગણે,
વિચાર પણ ગૂંછળે વધિ હઠી રહે ઝૂલણે.
સદા હલત તોય ઇંચ નવ હીંચકો ચાલતો,
ચિરૂટ જળતી થકી ફક્ત ધુમ્ર જરિ સેલતો.
દિસે છ મગજે ચિરૂટ સમ હીંચકા શૂં થતૂં,
રહે ચલ રહે જળંત, પણ માત્ર હાંફયે જતૂં;
યથા શુનક માર્ગમાં, ન નિરખંત ના ઊંઘતૂં. .
– બળવન્તરાય ઠાકોર
કવિની સૉનેટમાળાનો આ પ્રથમ મણકો. એ સમયે છંદ આધારિત જોડણી કરવાનું ચલણ હોવાથી એ જ જોડણી અહીં પણ કાયમ રાખી છે. બીજું, સૉનેટની પરંપરિત સ્વરૂપવિધાને કોરાણે મૂકીને કવિએ 5-4-5 એવી વિશિષ્ટ પંક્તિ પ્રયોજના અને યુગ્મ-યુગ્મ-ત્રિક / યુગ્મ-યુગ્મ-ત્રિક એવી પ્રાસવ્યવસ્થા સ્વીકારી છે. આટલી ટિપ્પણી સાથે કવિતા તરફ વળીએ.
નવા વરસના દિવસે લોકો એકબીજાને મળે અને રુઢ થઈ ગયેલ પોપટિયાં શુભવચનો એકબીજાને પાઠવે એની નિરર્થકતા પર આ રચના તીવ્ર કટાક્ષ કરે છે. મુબારકથી રચનાની શરૂઆત થાય છે, પણ આગળ જતાં સમજાય છે કે અહીં કશું જ મુબારક નથી. લોકાચાર જાળવવા ખાતર પઠવાતી શુભેચ્છાઓનો મારો નાયક પણ સ્મિતસહિત સહે છે અને વિનયપૂર્વક ઉત્તર પણ વાળે છે. થોડી વાર કૃત્રિમ ઉમળકો દાખવી પરસ્પર ગોઠડી પણ તેઓ કરે છે.
પણ પછી નાયક જ્યારે એકલો પડી ચિરૂટ પીતા પીતા હિંચકે છે, ત્યારે એ ચિરૂટના ધુમાડાના ગોટાની ભેગાભેગો વિચારગોટે ચડે છે. હીંચકો જે રીતે આગળ-પાછળ ગતિ કરે છે, એ જ રીતે નાયકના માથા પર મંડરાતો ધુમાડો અને મગજમાં ચાલતા વિચારો પણ આગળ-પાછળ ગતિ કરી રહ્યા છે. પણ આ ગતિ હીંચકા જેવી છે. સતત ચાલતો હોવા છતાં હીંચકો જ્યાંનો ત્યાં જ રહે છે, ચિરૂટ બળે છે પણ ધુમાડો ત્યાંને ત્યાં જ વમળાયે રાખે છે. કવિ નવતર પ્રતીકયુગ્મ સાથે પોતાના મગજને સરખાવતાં કહે છે કે મગજ પણ હીંચકા જેવું જ ચલાયમાન છે અને ચિરૂટની જેમ જ ભીતરથી સળગતું રહે છે. વિચારો ગતિમાન હોવા છતાં મગજ ત્યાંનું ત્યાં જ રહે છે અને દંભી સમાજવ્યવહારને લઈને સતત બળતું રહે છે. સ્થિર-ગતિમાન હીંચકા અને સળગતી ચિરૂટ સાથે સરખામણી કર્યા બાદ કવિને મગજ માટે નવું જ રૂપક સૂઝે છે- કૂતરો! ખુલ્લી આંખે ઊંઘવા બરાબર અવસ્થામાં રસ્તામાં પડ્યા પડ્યા હાંક્યા કરતા કૂતરા સાથે કવિ મગજને સરખાવે છે. નથી એ આરામ કરતું, નથી કશું જોઈ શકતું.
કાવ્યારંભે નવા વરસના આગમનની શુભેચ્છાના કારણે જે પ્રસન્નકર વાતાવરણ રચાયું હતું એની પોકળતા અને દંભ કાવ્યાંતે આવતાં સુધીમાં ઉજાગર થઈ જાય છે.
(કીરતી-કિર્તી; સૃત- માર્ગ, જવું તે; સેલતો –સેલવું, હીંચકા ખાવા; જળંત- સળગતું; શુનક-શ્વાન)
Permalink
May 25, 2024 at 1:30 AM by વિવેક · Filed under અછાંદસ, મિરોસ્લાફ હોલુપ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ બહાર કંઈ હોય
એક ઝાડ, અથવા એક જંગલ,
એક બગીચો
અથવા કોઈ જાદુઈ નગરી.
જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ કોઈ કૂતરો ખાંખાખોળા કરતો હોય.
કદાચ તમને કોઈ ચહેરો દેખાય,
અથવા એક આંખ,
અથવા કોઈ ચિત્રનું
ચિત્ર.
જાઓ અને દરવાજો ઉઘાડો.
જો બહાર ધુમ્મ્સ હશે
તો એ વિખેરાઈ જશે.
જાઓ અને દરવાજો ઉઘાડો.
ભલે ત્યાં કેવળ અંધકાર જ
ટિક ટિક કેમ ન કરતો હોય,
ભલે બહાર કેવળ
ખોખલો પવન જ હોય,
ભલે
બહાર
કંઈ જ ન હોય, તો પણ
જાઓ અને દરવાજો ઉઘાડો.
કમ સે કમ
બહાર
ઠંડી હવાનું એક ઝોકું તો હશે.
– મિરોસ્લાફ હોલુપ
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
પ્રયાસો, નિષ્ઠા અને દિશા ખોટાં ન હોય તો જીવનના કોઈપણ કૂટપ્રશ્નનો ઉત્તર મળ્યા વિના રહેતો નથી. ઘણીવાર તો દરવાજો આપણી નજરની સામે જ હોય છે, આગળ વધીને એને ઉઘાડવાનો જ હોય છે! હા, દરવાજો ખોલતાં સામે શું સાંપડશે એ રહસ્ય વિધાતાની મુઠ્ઠીમાં બંધ હોય છે. પણ દરવાજો ખોલ્યા વિના તો એને નહીં જ પમાય, ખરું ને? ચાલો, આજે સાથે મળીને કવિતાનો દરવાજો ઉઘાડીએ.
રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.
*
The Door
Go and open the door.
Maybe outside there’s
a tree, or a wood,
a garden,
or a magic city.
Go and open the door.
Maybe a dog’s rummaging.
Maybe you’ll see a face,
or an eye,
or the picture
of a picture.
Go and open the door.
If there’s a fog
it will clear.
Go and open the door.
Even if there’s only
the darkness ticking,
even if there’s only
the hollow wind,
even if
nothing
is there,
go and open the door.
At least
there’ll be
a draught.
– Miroslav Holub
Permalink
May 24, 2024 at 12:03 AM by વિવેક · Filed under ગીત, પ્રદ્યુમ્ન તન્ના
દૂર લગી પથરાઈ પડી ઓ છેલ! ચોમાસી ઝીલ
બથમાં લઈ બપોરિયાનું નીતર્યું તે નભ નીલ!
ચાટલા જેવો લળખ લીસો થીર શો જળ પથાર
હળવોયે ના સરતી મીનનો ક્યહીં કળું અણુસાર.
તરતી કેવળ આભમાં ઉ૫ર એકલદોકલ ચીલ!
દૂર લગી પથરાઈ પડી ઓ છેલ! ચોમાસી ઝીલ…
રણક રૂડી કહેતી, ભલે આહીંથી એ નવ ભાળું,
દખ્ખણી કેડે જાય હલેતું ગાડલું ઘુઘરિયાળું,
રણઝણની જરી લ્હાણને ફરી મૂંગા ચોગમ બીડ!
દૂર લગી પથરાઈ પડી ઓ છેલ! ચોમાસી ઝીલ……
ઢળતો મીઠાં અલસ ભર્યો તડકો હળુ હળુ
સુખને અરવ ધરવ માણે તટનાં ઝૂકેલ બરુ!
આવ્યને ઘડીક આપણ્યે ભેળા,
જળમાં ટાઢા, થઈને આડા,
સાવ ઉઘાડે ડીલ!
દૂર લગી પથરાઈ પડી ઓ છેલ! ચોમાસી ઝીલ
બથમાં લઈ બપોરિયાનું નીતર્યું તે નભ નીલ!
– પ્રદ્યુમ્ન તન્ના
મોટાભાગનું ઇટલીમાં વિતાવવા છતાં પ્રદ્યુમ્ન તન્નાનાં ગીતોને કાકાસાહેબ કાલેલકરની ભાષામાં ‘સવાઈ ગુજરાતી’ કહી શકાય.
‘ઓ છેલ’ સંબોધન પરથી ખ્યાલ આવે છે કે કાવ્યનાયિકા એના મનના માણીગરને સંબોધીને આ વાત કહી રહી છે. પ્રસ્તુત રચનામાં ઝીલ એટલે ચોમાસામાં છલકાઈ આવેલ સરોવર છે કે ખૂબ પાણી વરસવાના કારણે ઝીલ જેવી થઈ ગયેલી ધરતી એ કળવું જરા કઠિન છે, પણ એના પિષ્ટપેષણમાં પડવાના બદલે ગીતનો જ સાગમટે આનંદ લેવામાં ખરી મજા છે. વિશાળ ઝીલ અથવા ઝીલ બની ગયેલી ધરતીની સ્થિર જળસપાટી બપોરના ભૂરા આકાશને બાથમાં લેતી ભાસે છે. ઝગારા મારતા લીસા અરીસા જેવા સ્થિર જળપથારમાં માછલીય હળવેથી સરકતી હોવાનો અણસારો વર્તાતો નથી. આકાશમાં ઊંચે ઊડતી એકલદોકલ સમડી સિવાય કોઈ નજરે ચડતું નથી. કાવ્યનાયિકાને કાને દક્ષિણ દિશા તરફ ધીમે ધીમે જતાં ઘુઘરિયાળ ગાડાનો રણકાર તો પડે છે, પણ નાયિકા જ્યાં ઊભી છે, ત્યાંથી એ જોઈ શકાતું નથી. ગાડું વધુ દૂર જતાં એ અવાજ પણ શાંત થઈ જાય છે.
ચોમાસાની ઢળતી બપોરનો તડકો પણ મીઠો અને ધીમી ગતિના કારણે અલસભર્યો વર્તાય છે. ઝીલના કાંઠે ઊગેલ બરુ આ નીરવ સુખને ધરાઈને માણતાં હોય એમ પાણી તરફ ઢળી રહ્યાં છે. સૃષ્ટિ આખીની વાત કરી લીધા બાદ ચતુર કાવ્યનાયિકા નાયકને ઉઘાડા ડિલે ટાઢા જળમાં આડા પડીને સંગાથનું સુખ માણવા આમંત્રે છે ત્યારે ખ્યાલ આવે કે ચોમાસુ બપોરના તળાવના સૌંદર્યની વાતો નાયકને ફોસલાવીને પાસે આણવા માટેની તરકીબ જ હતી. વાહ વાહ!
(ચાટલો- અરીસો; લળખ- લળકતું, ઝગારા મારતું; થીર-સ્થિર; ચીલ-સમડી; હલેતું-ધીમેથી; બરુ-નદીકિનારે ઊગતું ઊંચું મજબૂત ઘાસ)
Permalink
May 23, 2024 at 12:00 PM by વિવેક · Filed under ગીત, પ્રજારામ રાવળ
રૂના રે ઢગલામાં અગનિ લાગિયો!
. ઝાકળ ઝળતી રે ઝાળ,
. ભરતો વાયુ વેગે ફાળ,
. ઊડે સિંહની કેશવાળ;
રૂના રે ઢગલામાં અગનિ દાગિયો!
. ઝાળે જાગે રોમેરોમ,
. નવલા હોમાયે રે હોમ,
. આ તે સૂરજ કે સોમ?
હૈયાનો હુતાશન ઝબકી જાગિયો !
. કેસૂડાંની રેલે ક્યારી,
. ઊડે ફાગણની પિચકારી,
. પુલકી ઊઠે કાયા સારી!
ગુલાલે રંગાયે હો, વરણાગિયો!
. આવ્યા ભલેરા હુતાશ
. મારી સપનાંની આશ!
. પ્રીતે લેજો ગ્રાસેગ્રાસ !
ઊગ્યો અતિથિ અંતરનો સોહાગિયો!
– પ્રજારામ રાવળ
નભથી તાપ નહીં લૂ વરસતી હોય, ખેતરોમાં આગ લાગી હોય એવામાંય પ્રેમી પ્રેમરંગે રંગાયા વિના રહી શકતાં નથી. રોમેરોમે ઝાળ જાગે છે અને હૈયું પણ પ્રેમાગ્નિમાં ભડભડ સળગી રહ્યું છે, પણ ફાગણની પિચકારી અને કેસૂડાની ક્યારી ભલભલી અગન ભૂલાવી દે એવાં છે. હોળીનો અગ્નિ સપનાંઓ ફળવાની આશા લઈને આવ્યો છે. મુખડા વિનાના ચાર બંધમાં પ્રકૃતિથી પ્રિયતમ સુધીની ક્રમિક ગતિ કેવી મજાની થઈ છે!
Permalink
May 18, 2024 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ધીરુબહેન પટેલ
ક્યાં ગઈ પિત્તળની ડોલ
તાંબાકૂંડી ઝગમગતી
લોટા ને બાજોઠ?
લોટ ચણાનો દૂધ ને હળદર
નીકળતાં નથી રસોડા બહાર
અરીઠાં આમળાં અને શિકાકઈ
સલામત વૈદોને ભંડાર!
ગીઝર શાવર સોપ શેમ્પૂ
બાથ સોલ્ટ ને ક્રિમ
પાઉડર લોશન સ્પ્રે સુગંધી
પસંદગી મુશ્કિલ
સુંદરતાની બારાખડીઓ
ઘડી ઘડી બદલાય
કિન્તુ
એક અજોડ અનન્ય અમૂલખ
શીતળ જળના સાથ વિના
શું સ્નાન કદીયે થાય?
કાળીનો એક્કો કુદરત પાસે
બાજી કેમ જિતાય?
– ધીરુબહેન પટેલ
કટાવ છંદની રવાની અને ડોલ-બાજોઠ, બહાર-ભંડાર, ક્રિમ-મુશ્કિલ, બદલાય-થાય જેવા અંત્યાનુપ્રાસોના કારણે રચનાનું પઠન કરતી વખતે ગીત ગણગણતાં હોવાનો આહલાદ અનુભવાય છે. પરિવર્તન સંસારનો નિયમ છે. Change is the only constant (Heraclitus, 500 BC)! સ્નાન માટેના ઉપાદાનની વાત કાવ્યના કેન્દ્રસ્થાને છે અને કાવ્યનાયિકાને મન આ ઉપાદાનોમાં સમય સાથે આવી ગયેલ પરિવર્તન સાથે સ્વયંનું અનુકૂલન સાધવું એ મહાપ્રશ્ન બની ગયો જણાય છે. આજની પેઢીને નહાવા માટેના મોટાભાગના સાધનો અપરિચિત હોય તો નવાઈ નહીં. પિત્તળની ડોલોનું સ્થાન પ્લાસ્ટિકે લઈ લીધું છે અને હવે તો ઘણાં ઘરોમાં નહાવા માટે ડોલ નહીં, કેવળ શાવર જ વપરાવા માંડ્યા છે. ગરમ પાણી કાઢવા માટે વપરાતી ઝગમગતી તાંબાકૂંડી તો ભાગ્યે જ આજની પેઢીએ જોઈ હશે. નહાવા માટેનો લોટો અને બેસવા માટેના બાજોઠ પણ ગઈકાલની વાત બનવા માંડ્યા છે. આખા બાથરૂમ પર પ્લાસ્ટિકનું એકહથ્થુ શાસન પ્રવર્તે છે આજકાલ. માથું ધોવા માટે વપરાતાં અરીઠં, આમળાં અને શિકાકાઈ વૈદોનો ઇજારો બની ગયો છે. બજારમાં હવે કેવળ એના ફોટાવાળા શેમ્પૂ જ જોવા મળે છે. કાવ્યનાયિકા ભૂતકાળની વિસરાઈ ગયેલી અસ્ક્યામતો પરથી હટીને ગીઝરથી સુગંધી સુધીના આધુનિક ઉપાદાનો તરફ વળે છે. નહાવા માટે કઈ વસ્તુ પસંદ કરવી અને કઈ નહીં એ નક્કી કરવું મુશ્કેલ થઈ પડ્યું છે. પણ છેલ્લે વાત પાણી તરફ આવે છે. બધું જ બદલાઈ શકે છે. કાલે હતું તે આજે નથી અને આજે છે એ કદાચ આવતીકાલે નહીં પણ હોય. સુંદરતાની બારાખડી તો ઘડીએ ઘડીએ બદલાતી જ રહેવાની, પણ શીતળ જળ વિના સ્નાન કદી સંભવ બનવાનું નથી. (કવિએ આ રચના લખી હશે ત્યારે વોટરલેસ શેમ્પૂ બજારમાં આવ્યાં નહીં હોય!)
જે કંઈ માનવસર્જિત છે એ બધું જ તકલાદી અને પરિવર્તનશીલ છે, પણ કુદરતની સંપદા શાશ્વત છે. કુદરત સામે કઈ રીતે જીતાય? ત્યાં તો હથિયાર હેઠાં જ મૂકી દેવા પડે ને!
Permalink
May 17, 2024 at 12:30 PM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
જાતને અજરાઅમર કલ્પી તો જો,
જીર્ણ ઘર, ભેંકાર ઘર કલ્પી તો જો.
કોક દરિયાને મળેલી હે નદી!
તું તને મારા વગર કલ્પી તો જો.
રાત, સન્નાટો અને તારી ગલી,
પાણીની આ ચડઉતર કલ્પી તો જો.
આંસુ આપે છે, બધા સંબંધમાં
કેટલો છું માતબર, કલ્પી તો જો.
મોત વાસી વાત છે ‘ઇર્શાદ’ પણ
અન્ય તું તાજા ખબર કલ્પી તો જો.
– ચિનુ મોદી
Permalink
May 16, 2024 at 11:18 AM by વિવેક · Filed under ગીત, રતુભાઈ દેસાઈ
. તવ પ્રણય તણો સખિ! પરિમલ રે!
સખિ! પરિમલ રે! ચોમેર મને લે ઘેરી:
. કો અદીઠ શ્વાસની સૌરભ રે!
સખિ! સૌરભ રે! જાતી તું અનહદ વેરી:
*
. આ દૂરત્વની શી દુગ્ધા રે!
સખિ! દુગ્ધા રે! ખેંચે મુજને તવ પાસે;
. જઈ લોક વિલોકે બેઠી રે!
સખિ! બેઠી રે! સરતી શું સમીરણ શ્વાસે?
*
. મઘમઘતાં કુસુમો કોમળ રે!
સખિ! કોમળ રે! જાઉં વેરી તુજ પથમાં;
. તે વીણી લઈ શું ગૂંથશે રે!
સખિ! ગૂંથશે રે! તવ શ્યામલ કુંતલ લટમાં?
*
. સખિ! ચંદ્રકિરણની ધારે રે!
સખિ! ધારે રે! ઊતરે તું ધીરે ધીરે;
. હું એહ કિરણને સ્પર્શી રે!
સખિ! સ્પર્શી રે! લઉં માણી મિલન લગીરે.
*
. આ રોજ રોજની રટણા રે!
સખિ! રટણા રે! ઘૂઘવે મનકબૂતર મોભે:
. ત્યાં પાંખો વીંઝતી આવે રે!
સખિ! આવે રે! ક્ષણભર મુજ સંગે થોભે!
*
. સખિ! પરિમલ મેં આ પીધો રે!
સખિ! પીધો રે! અહરહ મનભર તેં દીધો:
. હું પાગલ : પરવશ પ્રાણે રે!
સખિ! પ્રાણે રે! અગ્નિ-આસવ શું પીધો?
— રતુભાઈ દેસાઈ
વીસમી સદીના પ્રારંભિક દાયકાઓમાં થઈ ગયેલા કવિ તરફથી આજે માણીએ પ્રેમના પરિમલનું પાણીદાર ગીત. ગીતમાં ઉતરતા પહેલાં ગીતની બાંધણી આપણું ધ્યાન આકર્ષે છે. મુખડા અને પૂરકપંક્તિઓનો અભાવ અને બે-ત્રણ નહીં, છ-છ બંધની સંરચના ગીતને પ્રચલિત ગીતોથી અલગ તારવી આપે છે. બીજું, આખાય ગીતની તમામ બેકી કડીઓનો ઉપાડ ‘સખિ’ સંબોધનથી થાય છે, (સાચી જોડણી ‘સખી’. કવિએ કદાચ ‘સખિ’ શબ્દનું વજન ત્રણ માત્રાભારના સ્થાને ગીતમાં બે માત્રા જેટલું છે, એ સૂચવવા હૃસ્વ ઇ પ્રયોજ્યો હોય એ શક્ય છે, કારણ એ સમયના કવિઓમાં છંદની જરૂરિયાત મુજબ લઘુ-ગુરુ અક્ષરોમાં લિપિભેદ કરવાનું ચલણ હતું.)
‘સખી’ સંબોધન જીવનસાથી અને કથક વચ્ચેના સ્નેહસંબંધને ઉજાગર કરી આપે છે. આઠ-નવ દાયકા પહેલાંના ભારતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે આવું સહિયરપણું સાહજિક નહોતું. પત્ની અથવા પ્રેયસી જવે સાથે ન હોવાનો સંકેત કવિ લોક-વિલોકે જઈ બેઠી કહીને આપણને આપે છે. બે શરીર વચ્ચેના દૂરત્વ વચ્ચે પણ પ્રણયની સૌરભ કેવી પ્રસરે છે એ વાત અલગ-અલગ રીતે કરતું આ ગીત સાચે જ મનહર થયું છે.
Permalink
May 16, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રદીપ સંઘવી
વાંસની પાંદડી ખરી પડી,ખુશ છે.
ઊડી, ખુશ છે.
કરોળિયાના જાળામાં ફસાણી,
ત્યાં યે નાચે છે.
કરોળિયાએ પાસે આવી,સૂંઘી,
ફેંકી દીધી.ખુશ છે.
ધૂળમાં આળોટે છે,ખુશ.
વાંસની પાંદડી ખરી પડી,
ખરી છે વાંસની પાંદડી!
– પ્રદીપ સંઘવી
આસ્વાદ : ઉદયન ઠક્કરની કલમે –
વાંસની પાંદડીનું આયુષ્ય અલ્પ હોય, માત્ર એક વર્ષ. કવિ કલ્પે છે કે તે પ્રત્યેક સ્થિતિમાં રાજી રહે છે. ખરે,ઊડે, ફસાય, ફેંકાય,આળેટે, તોય ખુશની ખુશ.વાંસની પાંદડીના પ્રતીક વડે કવિ સૂચન કરે છે કે આપણે સદા ય હસતા રહેવું જોઈએ. એ ખરું કે કરોળિયાના જાળામાં ફસાયેલી પાંદડી નાચતી લાગે, આનંદમાં છે તેમ કલ્પી શકાય. પણ ખરતી, ફેંકાતી કે આળોટતી વખતે પાંદડી ખુશ છે કે નહિ, તે આપણે જાણી ન શકીએ. કવિ તેની ઉપર આનંદના ભાવનું જાણે કે આરોપણ કરે છે. બહુ બહુ તો એમ કહી શકાય કે વાંસની પાંદડી ખરવાની વેળા આવે ત્યાં સુધી લીલીની લીલી રહે છે, ફિક્કી-પીળી પડતી નથી, માટે જાણે ખુશ રહે છે.
ગિજુભાઈની બાળવાર્તાઓ કોણે ન સાંભળી હોય? આનંદી કાગડાને રાજા સાથે વાંકું પડ્યું. રાજાએ શિક્ષા કરી, ‘ઊકળતા તેલમાં નાખો!’ કાગડો હરખાઈને ગાવા માંડ્યો, ‘તેલમાં ડૂબકાં ખાઈએ છીએ,ભાઈ ખાઈએ છીએ!’ રાજા કહે, ‘એમ નહિ માને, કાનમાં કાણાં પાડો!’ પેલો ખુશ થઈ ગાતો રહ્યો, ‘કૂણા કાન વિંધાવીએ છીએ,ભાઈ વિંધાવીએ છીએ!’ કંટાળીને રાજાએ આનંદી કાગડાને ઉડાડી મૂક્યો. સદા પ્રસન્નચિત્ત રહેવું સહેલું નથી, માટે કવિના મુખેથી ઉદ્ ગાર સરી પડે છે, ‘ખરી છે વાંસની પાંદડી!’ અહીં ‘ખરી છે’ પદ વડે શ્લેષ કરાયો છે.
-ઉદયન ઠક્કર
Permalink
May 11, 2024 at 11:01 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ચિનુ મોદી
(શિખરિણી)
મને તું બાંધે જે જડજગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું.
વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિએ,
પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં.
અને એનો એ હું કુસુમરજ વ્હેંચું વન વિશે,
તને આપું મારો પરિચય હજી? હું સમય છું.
ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું, અખિલ આ
રચેલા બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું,
ઉલેચું એથી તે પ્રલયકર વિસ્ફોટ અટકે,
હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે
ધરા ને આકાશે, ગહનતમ પાતાલતલમાં,
વહી છાનો છાનો ધ્વનિત બનતો હું લય સખી.
છટાથી આ વાયુ- સમય – લયને એક કરતો,
ત્રિકાલે, બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.
– ચિનુ મોદી
એકવાર અસ્મિતા પર્વમાં સહુ કવિમિત્રો સાથે ભોજન કરીને હું ઉતારા તરફ પરત ફરતો હતો ત્યારે સામે રાજેન્દ્ર શુક્લ મળ્યા. જુવાનિયાઓના ટોળા સાથે વાત કરવા એ રોકાયા. (ત્યારે મનેય ચાળીસ નહોતાં થયાં.) અમારામાંથી એક કવિની ભાષા સાંભળીને રા.શુ.એ એને ટોક્યો: ‘આમ ન બોલાય, કવિ. સામાન્યજનના શબ્દ અને કવિના શબ્દ વચ્ચે બહુ મોટો તફાવત છે. કવિનો શબ્દ કદી જવાબદારી વિનાનો હોઈ ન શકે.’ આ વાત મનમાં ઘર કરી ગઈ.
ચિનુ મોદીની આ કવિતા કવિનો શબ્દ એટલે શું એનો પરિચય ત્રણ ઉદાહરણોની મદદથી આપે છે. કાવ્યારંભે કવિ આપણને પવન શું છે એ સમજાવે છે. શરૂઆત જ જડજગતના નિત્યનિયમે બંધાવાના પ્રતિકારથી થાય છે એ નોંધવા જેવું. જન્મજાત આઝાદ પવનને કોણ બાંધી શકે? ગતિ અલસમન્થર હોય કે તીવ્ર હોય, પણ એ પવનની સ્વૈચ્છિક ગતિ છે. જે પવન વર્ષો જૂનાં વૃક્ષોને જમીનસોતાં કરી શકે છે એ જ પવન વનમાં પરાગરજ વેરીને નવાં વૃક્ષોને નવી નવી જગ્યાઓએ ઉગવા અનુકૂળતા પણ કરી આપે છે. બીજા દૃષ્ટાંત વડે કવિ સમયનો પરિચય કરાવે છે. અખિલ બ્રહ્માંડમાં ક્ષણોના સ્વામી એવો સમય સતત સરકતો, ગતિ કરતો રહે છે. જગતના સઘન બનતા શૂન્યને એ ઉલેચતો રહે છે અને પ્રલયકર વિસ્ફોટને અટકાવે છે. વિશ્વને એના હોવાનો અર્થ પ્રદાન કરે છે. કવિના શબ્દને સમજવા મથતા પાઠકના મનમાં હજીય કંઈ કુતૂહલ રહી ગયું હોય તો કવિ ત્રીજા દાખલા વડે વાત વધુ સ્પષ્ટ કરે છે. શબ્દ સાક્ષાત્ લય છે, લય જે ત્રણેય લોકમાં પ્રવર્તમાન છે.
કવિનો શબ્દ આ ત્રણેયનો સરવાળો છે. ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં, સકળ બ્રહ્માંડમાં વાયુ, સમય અને લયને જે વસ્તુ છટાભેર એક કરી શકે એ છે કવિનો શબ્દ. સર્જંન-વિનાશના નિમિત્ત વાયુ, બ્રહ્માંડને સભર બનાવતો સતત ગતિવંત સમય અને ત્રિલોકના કણેકણમાં વ્યાપ્ત લય – આ તમામ એક થાય ત્યારે કવિનો શબ્દ બને છે. કવિના શબ્દમાં કેટલી તાકાત હોય છે, અને એ ઉપલક્ષમાં કાગળ ઉપર શબ્દ માંડતા કવિના માથે કેટલી મોટી જવબદારી છે એ વાત કવિએ સુપેરે સમજાવી છે.
Permalink
Page 7 of 118« First«...678...»Last »