ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
આબિદ ભટ્ટ

કોઈ તારું નથી….. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સાવ જુઠું જગત કોઈ તારું નથી,
મૂક સઘળી મમત કોઈ તારું નથી.

કોણ કોનું? અને એય પણ ક્યાં લગી?
છે બધું મનઘડત કોઈ તારું નથી.

જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત કોઈ તારું નથી.

કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી,
છેક સુધી સતત, કોઈ તારું નથી.

કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત કોઈ તારું નથી.

કોઈ એકાદ જણ, એય બેચાર પળ,
કે અહીં હરવખત કોઈ તારું નથી.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મજબૂત ગઝલ ! સ્પષ્ટ વાત ! એક એક મુદ્દે સંમત 🙏🏻 ! વિડંબના એ છે કે આ સત્ય જ્યારે જ્ઞાન-જન્ય સમ્યક્ભાવે સમજાય ત્યારે બેડો પાર થાય – આ સત્ય કડવાશે બોલાય તો વ્યગ્રતા જ વધે…..

યાદ આવે – “ કસમેં વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોં કા ક્યા….. કોઈ કિસીકા નહીં યે ઝૂઠે નાતેં હૈં નાતોં કા ક્યા….”

 

2 Comments »

  1. વિવેક said,

    April 4, 2023 @ 12:40 PM

    સરસ રચના

    મનગડંત સાચો શબ્દ મારા ખ્યાલથી. ‘મનઘડત’ શબ્દમાં જોડણીદોષ તો છે જ, સાથોસાથ છંદદોષ પણ છે. રચનામાં આવશ્યક વિરમચિહ્નોની અનુપસ્થિતિ પણ કઠે છે

  2. pragnajuvyas said,

    April 4, 2023 @ 6:48 PM

    સુંદર ગઝલનો ડૉ તીર્થેશ નો સ રસ આસ્વાદ
    કવિશ્રી રાજેશ વ્યાસ મિસ્કીને કહ્યું છે તેમ કોઈ તારું નથી. અને કશું તારું નથી. આવ્યા ત્યારે ક્યાં ઘર સાથે લઈને આવ્યા હતા, એ તો અહીં આવીને પામ્યા.
    આપણને દરેક વસ્તુ આપણી હોય એમા રસ પડે છે – મારો ભગવાન, મારો ગુરૂ, મારા બાળકો, મારી પત્ની, મારા પિતા દરેક જગ્યાએ મારો શબ્દ ઉમેરાય છે અને આપણો અહંકાર વધતો જાય છે. પણ જે પળે હે ભગવાન હું તારો છું, હે ગુરૂ હું તમારો છું, હું બાળકોનો છું આ ભાવ જન્મે છે અને જીવનમાં મોટી ક્રાંતિ સર્જાય છે. અહંકાર વિદાય થઇ જાય છે અને પ્રેમ પ્રગટતો હોય છે.
    યાદ આવે–
    આ ઘર ઓ ઘર ને એ એ ઘર,
    ના મારું કે ના તારું છે.
    મા કવિશ્રી મનહર મોદી એ ઈશ્વરની વાત કરી. ગમે તેવા ઝૂંપડાં, ઘર, બંગલા હોય, બધું અહીંનું અહીં છે. કોઈનું કશું નથી. આપણે દસ્તાવેજો કરાવીએ છીએ, પણ
    આ દુનિયામાં કોઈ તારું નથી
    એમ ભગવદ ગીતાનું કહેવું છે,
    અને એ વાતમાં કંઈ ખોટું નથી
    એવું જિંદગીના અનુભવનું કહેવું છે !!
    સ્વામી દેવાનંદજીનુ ભજન
    હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી… ꠶ટેક
    પ્રભુ ભજ્યાનું વેદ પુરાણે કહ્યું છે કથી;
    સદ્દગુરુ દેવેન્દ્ર જી કહે
    રે મનવા રે જગમાં નથી કોઈ તારું
    કહેશે સહુ તને મારા, નથી એ મારા મારાનું કોઈ ઠેકાણું

    કેટલું સાચું!
    પણ, તું હંમેશા ત્યાં છે.
    તો…કહો –
    ” તુ હી ,તુ હી, તુ હી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment