બધી આપદા એને શોધી જ લેશે
જે માણસ સતત આપદાથી ડરે છે
ડૉ. હરીશ ઠક્કર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

નથી…… – મરીઝ

નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી,
મળું હું તમને તો એમાં તમારું હિત નથી.

હવે કહો કે જીવન-દાસ્તાન કેમ લખાય?
અહીં તો જે જે પ્રસંગો છે સંકલિત નથી.

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

મળે ન લય તો ધમાલોમાં જિંદગી વીતે,
કે કોઈ શોર તો સંભળાવીએ જો ગીત નથી.

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

એ મારા પ્રેમમાં જોતા રહ્યાં સ્વાભાવિકતા,
કે મારો હાલ જુએ છે અને ચકિત નથી.

ભલે એ એક કે બે હો પછી ખતમ થઈ જાય,
મિલન સિવાય વિરહ મારો સંભવિત નથી.

જગતના દર્દ અને દુઃખને એ હસી કાઢે,
કરી દ્યો માફ હ્રદય એટલું વ્યથિત નથી.

ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’,
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

– મરીઝ

1917 ની 22 ફેબ્રુઆરી મરીઝસાહેબનો જન્મદિન….

ત્રીજો શેર જુઓ –

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

હું તો આ શેર પર જ જાણે અટકી ગયો છું…. શું સરળ વાણી અને કેવી ઊંડી વાત !! તું જીતતી હોય તો હાર શું ચીજ છે ! પણ આમ તો તારી જીત પણ નથી….. લાજવાબ !!

 

છેલ્લેથી બીજો શેર – જગતના દર્દ અને દુખને….. – આ શેરની ઊંચાઈ પણ જબરદસ્ત !

Comments (4)

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવાં
.                         આંગળીથી માખણમાં આંક્યાં;
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
.                         ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એનાં હોઠ બે બીડાયાં હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું ને સરી
.                         હાથેથી મોગરાની માળા;
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું
.                         કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદાને કહો રે
કોઈ જઈને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

– હરીન્દ્ર દવે
(૧૯૬૧)

કાનકુંવરના પરાક્રમો અને ફરિયાદો હદપાર વધી ગયા હોવાનું પ્રતીત થતાં યશોદા માતા એને સીધો કરવા માટે શુદ્ધ હિંદુસ્તાની શૈલીમાં થાંભલા સાથે બાંધી રાખવાની સજા કરી પોતાના કામમાં પરોવાઈ ગયાં. એ પછીની ક્ષણોને કવિનો કેમેરા કેવી અદભુત રીતે ઝીલે છે એ જુઓ! ગીત બહુ જાણીતું છે પણ માખણ જેવું મુલાયમ છે અને વારંવાર મમળાવવું ગમે એવું છે…

Comments (3)

દળણું – યોગેશ વૈદ્ય

દળતાં રહેશું દળણું

ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું

ઘ૨ર્ ઘ૨ર્ ઘર્ ફરે ઘંટલો
.                ખરડ ધાન ભરડાતું
ચૂવે પાણિયારે પરભવ ને
.                કંઠે રાન સુકાતું
નથી બોલતા કાગ
.                નથી કંઈ ઊગતું કંચનવરણું
ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું

જ્યાં લગ દીવડે દિવેલ રહેશે
.                આ અંધારાં દળશું
ફરીફરીને જાત ઓરશું
.                મૂળમાં પાછાં વળશું
અને તોળતાં રહેશું
.                દૂરના ડુંગ૨ સામે તરણું
ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું
દળતાં રહેશું દળણું

– યોગેશ વૈદ્ય

જીવન છે ત્યાં સુધી શ્વાસ લેવાનું ને કામ કરવાનું બંધ થવાનું નથી. ગૂંઠે ભલે કોઈ મસમોટી મિરાત ન હોય અને જીવનમાં ઉત્સાહનોય અભાવ કેમ ન હોય, દળણું દળતાં જ રહેવાનું છે. જીવતરની ઘંટી ફરતી રહે છે ને માંહ્ય ખરડ ધાન જેવા આપણે ઓરાવાનું છે ને ભરડાવાનું છે. જન્મારો જાણે કે પાણિયારે ચૂવી રહ્યો છે અને કંઠને એક ટીપુંય હાંસિલ નથી. કોઈના આવવાની એંધાણી નથી એ વાત કાગડાના મૌનથી સિદ્ધ થાય છે. જીવનને સોનું બનાવે એવું કશું ઊગી રહ્યું નથી. પણ તોય આ લાખ નિરાશાઓની વચ્ચે પણ કાયામાં શ્વાસ રહેશે ત્યાં સુધી અંધારાં દળીને અજવાળાં મેળવવાની કોશિશ તો જારી જ રહેનાર છે. દૂરના ડુંગરા જેવા સુખને પ્રાપ્ત તરણાંથી તોળી તોળીને ઉદ્ધાર ન થાય ત્યાં સુધી આ કાર્ય ભવોભવ ચાલુ રહેનાર છે.

Comments (6)

(જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ!) – પારુલ ખખ્ખર

ફરી દીવા, ફરી સરઘસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ,
તું જોયા કર બધા ફારસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

લઈ અંધારનું ખંજર કરી ગઈ રાત કારી ઘા,
ફફડતું ધ્રુજતું ફાનસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

ભલે ઝંડા ઉપાડે ને ભલે ડંડા ઉપાડે, પણ
નથી જીવતો અસલ માણસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

નથી લોહી ઉકળતું કે હવે આંસુ નથી વહેતાં,
ઉપરથી જીભની આળસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

રગેરગ લ્હાય બળશે ને પછી જાતે ઠરી જાશે,
કકળશે વાંઝિયા ખૂન્નસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

કલમને લાખ સમજાવી પરંતુ ચૂપ નથી મરતી,
કરી બેઠી ફરી સાહસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

લખી શકતા, કહી શકતા, મરી શકતા -એ પેઢીના
છે ‘પારુલ’ આખરી વારસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

– પારુલ ખખ્ખર

સારી કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચે જે પાતળો તફાવત છે એ યોગ્ય શબ્દની યથોચિત પસંદગીનો કહી શકાય. અહીં ‘જમૂરા’ને આવો જ શબ્દ ગણી શકાય. ગઝલમાં ભાગ્યે જ પ્રયોજાતો આ શબ્દ આખી ગઝલને જાણે પોતાના ખભે ઊંચકી લઈ રચનાને નવી જ ઊંચાઈ આપવામાં સફળ થયો છે.

જે ઘટનાના પ્રતિઘાતે આ રચનાને જન્મ આપ્યો એ કોઈથી અછતી નથી. સુરતમાં એક લબરમૂછિયા પ્રેમીએ છોકરીએ લગ્ન કરવાની ના કહેતાં સરેઆમ સહુની સામે છોકરીના ગળા પર છરી ફેરવીને નિર્મમ હત્યા કરી અને તમાશબીન લોકો હિંમત કરી આગળ આવવાના બદલે વિડિયો ઊતારીને ફોરવર્ડ કરવામાં રત રહ્યા. જો કે રચનાની ઇબારત કંઈક એવી ઘડવામાં આવી છે કે એ આવા કોઈ પણ સંદર્ભોથી પર અને કાલાતીત થઈ છે.

ન ઘટવાનું ઘટી ગયું. સમય પર ફારસ જોતાં રહેલ લોકો હવે દીવા-મીણબત્તી લઈને વિરોધ સરઘસ કાઢશે. આવી ઘટનાઓ સતત બનતી જ રહે છે કારણ કે અસલી માણસ તો હવે જીવતો જ નથી. ‘શબવાહિની ગંગા’ વખતે પ્રચંડ લોક આક્રોશનો ભોગ બની હોવા છતાં કવયિત્રીની કલમ સામાજિક દાયિત્વ ચૂકી શકવા અસમર્થ છે. લાખ સમજાવવા છતાં કલમ ચૂપ મરવાના બદલે ફરી સાહસ કરી બેઠી છે. મક્તા તો અદભુત થયો છે. જે લોકો સંવેદનશીલ છે, વ્યક્ત થઈ શકે છે એવા લોકોની આખેઆખી પ્રજાતિ હવે નેષ્ટનાબૂદ થવા પર આવી હોવાની વાત મીઠામાં બોળેલા ચાબખાની જેમ આપણી ઊઘાડી સંવેદનાઓની પીઠ પર વીંઝાય છે…

જમૂરા! ઓમ શાંતિ બોલ… કેમ કે આપણે બીજું તો કશું કરી શકવાને સમર્થ નથી…

Comments (16)

નૈં થાય…. – અનિલ ચાવડા

આનંદ પજવશે, ને ઉલ્લાસ સહન નૈં થાય,
એવી ય ઘડી ઘટશે કે શ્વાસ સહન નૈં થાય.

તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને;
ઘૂવડથી કદી સ્હેજે અજવાસ સહન નૈં થાય.

બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો?
વિશ્વાસ મૂકી દેને, વિશ્વાસ સહન નૈં થાય.

છે માપ મુજબ ફળિયે તેથી જ વખાણે છે!
જો સ્હેજ વધુ ઊગશે તો ઘાસ સહન નૈં થાય.

મારી જ ભીતર રહીને ધબકે તું બીજા માટે?
નૈં થાય, હૃદય! આવો ઉપહાસ સહન નૈં થાય.

– અનિલ ચાવડા

Comments (4)

रंजिश ही सही – અહમદ ફરાઝ

रंजिश ही सही दिल ही दुखाने के लिए आ
आ फिर से मुझे छोड़ के जाने के लिये आ

ભલે રહી નારાજગી, દિલને દુઃખવવા તો આવ ! આવ, ફરીથી મને છોડી જવા માટે આવ.

कुछ तो मेरे पिन्दार-ए-मोहब्बत का भरम रख
तू भी तो कभी मुझ को मनाने के लिये आ

મારા પ્રેમના ગર્વનો થોડો તો ભ્રમ રહેવા દે ! તું પણ ક્યારેક મને મનાવવા આવ !

पहले से मरासिम ना सही फिर भी कभी तो
रस्म-ओ-रहे दुनिया ही निभाने के लिये आ

ભલે પહેલા જેવો મેળ ન હોય, તો પણ ક્યારેક તો દુનિયાદારીની રસ્મ નિભાવવા ખાતર તો આવ !

इक उम्र से हूँ लज्ज़त-ए-गिरया से भी महरूम
ऐ राहत-ए-जां मुझको रुलाने के लिये आ

એક આખી જિંદગીથી દિલ ખોલીને રડવું પણ નસીબ નથી, ઓ પ્રાણપ્રિયા મને રડાવવા ખાતર તો આવ !

माना के मोहब्बत का छुपाना है मोहब्बत
चुपके से किसी रोज़ जताने के लिए आ

માન્યું કે મહોબ્બ્તને છુપાવવું એ પણ મહોબ્બત જ તો છે ! ચુપકીથી કોઈ દિવસ તે સાબિત કરવા આવ !

जैसे तुम्हें आते हैं ना आने के बहाने
ऐसे ही किसी रोज़ न जाने के लिए आ

જેમ તને ન આવવાના બહાનાઓ આવડે છે, તે જ રીતે કોઈ દિ’ ન જવા માટે આવ !

किस किस को बताएँगे जुदाई का सबब हम
तू मुझ से खफा है तो ज़माने के लिये आ

કોને કોને કહેતા ફરીશું જુદાઈના કારણો ? તું મારાથી નારાજ છે તો કમ સે કમ જમાનાને ખાતર તો આવ !

अब तक दिल-ए-खुशफ़हम को हैं तुझ से उम्मीदें
ये आखिरी शम्में भी बुझाने के लिये आ

આ દિશાભ્રમિત દિલને હજુ તારાથી ઉમ્મીદ છે, બસ, હવે આ આખરી શમાને પણ બુઝાવવા આવ !

– અહમદ ફરાઝ

વેલેંટાઈન ડે પર એક શુદ્ધ પ્રેમનું ગાન મૂકવું હતું, આંખો બંધ કરી તો પહેલી આ ગઝલ યાદ આવી. એક એક શેર એક એક કિતાબ બરાબર છે….

એક માન્યતા એવી છે કે રોમેન્ટિક પ્રેમ એ આત્મવંચનાનો જ એક પ્રકાર છે. આ વાતથી વધુ હાસ્યાસ્પદ વાત મને કોઈ નથી લાગી. જિબ્રાન કહે છે ને કે – ” તમારામાં પાત્રતા હશે તો પ્રેમ તમને એના આગોશમાં સમાવશે.”

ગઝલનો ભાવ કરુણ છે, પણ વાત તડપની છે. પ્રેમની છટપટાહટની છે. ભક્ત જેમ ભિન્નભિન્ન પ્રકારે ભગવાનને આવવા વિનવે છે તેમ માશૂકને આવવા હજાર વિનંતી આશિક કરે છે. કારણ તારી મરજીનું રાખ પ્રિયે, પણ એકવાર આવ…..

મહેંદી હસનસાહેબના અવાજમાં –

 

 

Comments (3)

(છતાંયે ઘાવ તાજો છે) – પારુલ ખખ્ખર

થયો છે સાવ ઘરડોખખ છતાંયે ઘાવ તાજો છે,
કરી જોઈ દવા નવલખ છતાંયે ઘાવ તાજો છે.

ઘણો આપ્યો સમય આ ભીંગડું વળવાની ઘટનાને
અને નાથીને રાખ્યાં નખ છતાંયે ઘાવ તાજો છે.

થયું કે વ્યક્ત કરવાથી દરદ હળવું પડી જાશે,
કર્યું છે એટલે લખ-લખ છતાંયે ઘાવ તાજો છે.

મગજ નેવે મૂકીને અવનવા નુસ્ખા કરી જોયાં,
બન્યા જાણીજોઈ મૂરખ છતાંયે ઘાવ તાજો છે.

જૂનો થાશે- મટી જાશે, જૂનો થાશે- મટી જાશે,
કરું છું ક્યારની ભખભખ છતાંયે ઘાવ તાજો છે.

હજારો લોઢ લોઢાયા અને કરમાઈ ગઈ કાયા,
થઈ છે જિંદગી દોઝખ છતાંયે ઘાવ તાજો છે.

વિચાર્યું, ઝેરનું મારણ કદાચિત ઝેર હો- તેથી
મલમ સાથે લગાડ્યું વખ છતાંયે ઘાવ તાજો છે.

– પારુલ ખખ્ખર

આજની તારીખે કાવ્યક્ષેત્રે સક્રિય તમામ સર્જકોમાં પારુલ ખખ્ખરનું સ્થાન સાવ નોખું તરી આવે છે. ગીતોમાં તો એમની ગતિ સૌથી ન્યારી છે જ, ગઝલોમાં પણ એમણે અલગ કાઠુ કાઢ્યું છે. ‘છતાંયે ઘાવ તાજો છે’ જેવી નિભાવવી અઘરી પડે એવી રદીફને કવયિત્રીએ તંતોતંત સાચવી છે. ઊડીને આંખે વળગે એવું ગઝલનું બીજું જમા પાસું છે પ્રમાણમાં અરુઢ અને ચુસ્ત કાફિયાઓની પસંદગી. રદીફ-કાફિયાની બેવડી કસોટીમાંથી પાર ઉતરીને સર્જકે આપણને લાંબો સમય મનોમસ્તિષ્કમાં તાજી રહે એવી મજાની સંઘેડાઉતાર રચના આપી છે, એને હળવે હળવે મમળાવીએ…

Comments (13)

(અંધારું શાહીનું) – વજેસિંહ પારગી

બેસી રહ્યો
રાતભર
પકડીને પેન
પણ
ન ચાંદ ઊગ્યો
કે
ન તારા ઊતર્યા
કાગળ પર

જોવું હતું
ચાંદરણું
શબદનું
પણ
જોવું પડ્યું
અંધારું
શાહીનું

– વજેસિંહ પારગી

શબ્દ સાથે આપણો સીધો ઘરોબો છે. શબ્દ આપણો ગર્ભસંસ્કાર છે. ચૈતન્યની કોઈ પણ અવસ્થા એવી નથી જેમાં આપણે શબ્દમુક્ત –નિઃશબ્દ હોઈએ. પણ કવિનો શબ્દ સામાન્યજનના શબ્દથી અલગ છે. સર્જકનું સર્વકાલીન ચૈતન્ય સુવાંગ રસાઈને પ્રકટે ત્યારે કવિનો શબ્દ જન્મ લેતો હોય છે. એટલે જ ક્યારેક જીવનમાં એવો તબક્કો પણ આવતો હોય છે, જ્યારે કવિની કલમમાંથી શબ્દો નહીં, કેવળ શાહી જ કાગળ પર અવતરતી હોય છે. સિસૃક્ષા ગમે એવી પ્રબળ કેમ ન હોય, ‘રાઇટર્સ બ્લૉક’ દરેક સર્જકના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. રાતભર કાગળ ઉપર શબ્દોનું આકાશ અવતારવા બેસી રહેલ કવિને લાખ ઇચ્છા છતાં શાહીનું અંધારું જ નસીબ થાય એવી કોઈક વાંઝણી પળનું સાવ નાનકડું પણ અર્થગહન, એવું આ કાવ્ય વાંચતાવેંત ગમી જાય એવું છે. કવિવર રાજેન્દ્ર શુક્લનો એક શેર પણ આ સંદર્ભમાં માણવા જેવો છે:

ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.

Comments (10)

रात भर – ફૈઝ અહમદ ફૈઝ

आप की याद आती रही रात भर
चाँदनी दिल दुखाती रही रात भर

રાતભર આપણી યાદ આવતી જ રહી….રાતભર ચાંદની દિલ દુઃખવતી રહી…

गाह जलती हुई गाह बुझती हुई
शम-ए-ग़म झिलमिलाती रही रात भर

કદીક જલતી રહી કદીક બુઝતી રહી, દર્દની શમા રાતભર ટમટમતી રહી..

कोई ख़ुशबू बदलती रही पैरहन
कोई तस्वीर गाती रही रात भर

કોઈ ખુશ્બુ વસ્ત્રો બદલતી રહી, કોઈ તસ્વીર ગાતી રહી…..

फिर सबा साया-ए-शाख़-ए-गुल के तले
कोई क़िस्सा सुनाती रही रात भर

ફૂલની ડાળીના છાંયે હવાની લહેર આખી રાત કોઈ કિસ્સો સંભળાવતી રહી….

जो न आया उसे कोई ज़ंजीर-ए-दर
हर सदा पर बुलाती रही रात भर

જે ન આવ્યું તેને કમાડની સાંકળ દરેક અવાજે બોલાવતી રહી…

एक उम्मीद से दिल बहलता रहा
इक तमन्ना सताती रही रात भर

એક ઉમ્મીદથી દિલ બહેલતું રહ્યું, એક તમન્ના રાતભર સતાવતી રહી…

– ફૈઝ અહમદ ફૈઝ

છાયા ગાંગુલીને કંઠે ગવાયેલી એક મશહૂર ફિલ્મી ગઝલ – કે જેની સાથે આ ગઝલને ઘણું સામ્ય છે તેના શાયર ફૈઝસાહેબ નથી, તે ગઝલ મખદૂમ મોહીઉદ્દીનસાહેબની છે. આ ગઝલ મુકવાનો ખાસ હેતુ એ કે કોઈ શેર એવો કંઈ ખાસ નથી, ન તો અર્થનું ઊંડાણ છે. પરંતુ આ ગઝલ એક ચિત્ર સર્જે છે, એક માહોલ ઊભો કરે છે, એક મૂડ બનાવે છે અને ભાવક એક અલગ જ ભાવવિશ્વમાં પહોંચી જાય છે. જો આ ગઝલ સાંભળીએ તો આખો દિવસ આ જ ગઝલ મનમાં ગૂંજ્યા કરે અને દિલને સતાવતી રહે….આ જ ખૂબી છે આ ગઝલની અને આ જ સફળતા છે આ શાયરની….

Comments (3)

આ ભોગાવો! – વિનોદ અધ્વર્યુ

આ ભોગાવો!?
લુખ્ખા તરસ્યા પહોળા પટમાં
જરઠ કાળના ભાંગ્યા ટુકડા
વેરાયા થૈ પ્હાણ….
સૂસવતી… ભમે સતીની આણ
(રેત પરે પણ પડે હજીયે ચિતા તણા પડછાયા
પથ્થર પથ્થર પર વરતાતી કોક અસૂરી છાયા!)
કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ…
દાઢ દબાવી ઉભો ગઢ
ભેંકાર મહીં, માતાના મઢ
વિધવાની વણજાર સમાં સૌ મકાન
વચ્ચે ભમતી ભૂખી ગલીઓ..
અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર
[હજીય ઝંખે કંકુપગલાં –
ચૂંદડિયાળાં ચીર] –
પથ્થર-ચીતર્યા ઘોડા ઘૂમે
પથ્થરના અસવારો કેરી પથ્થરની તલવાર ઝઝૂમે,
ગઢ-વેરાને રવડે માથાં થૈને પથ્થર પ્હાણ…
ધૂળ-ડમરીએ વીંઝાઈ રહેતી અતીત કેરી આણ…
ઓ ભોગાવો !
કોરી રેતી …કોરા પ્હાણ..
કાંઠે
ખાલી ખપ્પર લઈને
બળબળતા સૂરજની સામે
ધૂણી રહ્યું વઢવાણ!

– વિનોદ અધ્વર્યુ

સ્થળ-કાવ્યોમાં આગવી ભાત પાડતા આ કાવ્યમાં પ્રવેશતા પહેલાં કેટલાક સંદર્ભ-સંકેત સમજી લેવા આવશ્યક છે. ભોગાવો નદી અને એના કાંઠે આવેલ વઢવાણ ગામનું એક અરુઢ ચિત્ર કવિએ કટાવ છંદમાં રજૂ કર્યું છે. બારમી સદીમાં રાણકદેવીની સુંદરતાના વખાણ સાંભળીને સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી. યુદ્ધમાં રાણકદેવીના પતિ રા’ખેંગાર અને પુત્રો શહીદ થયા. સિદ્ધરાજ રાણકદેવીને લઈને જૂનાગઢથી પાટણ જતો હતો ત્યારે વર્ધમાનપુરા (વઢવાણ) ખાતે ભોગવતી (ભોગાવો) નદીના કિનારે એણે રાણકદેવીને પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. રાણકદેવીએ સિદ્ધરાજને નિઃસંતાન મરવાનો શ્રાપ આપ્યો અને પતિની પાઘડી ખોળામાં લઈને સતી થયાં. કહે છે કે, ત્યારથી ભોગાવો નદી બારેમાસ સૂકી રહે છે. (આજે તો અન્ય નદીઓનાં પાણી વાળીને એને પણ વહેતી કરાઈ છે!)

સૂકીભઠ ભોગાવો નદીમાં વેરાયેલા પથ્થરોમાં કવિને જરઠ કાળના ટુકડા દેખાય છે. સતી રાણકદેવીની આણ પવન સાથે સૂસવાતી સંભળાય છે. ગામ પણ નદી જેવું જ શુષ્ક ભાસે છે અને ગઢ-માતાનો મઢ, માકાનો અને ગલીઓ સઘળે નર્યો સૂનકાર વ્યાપી રહ્યો છે. અવાવરું વાવના પાણીમાં કોઈ ચુંદડીયાળી સુહાગનના કંકુપગલાંનું અજવાળું હવે થતું નથી. ઠેરઠેર વેરાયેલા પડેલ પથ્થરોમાં કવિને જે તે સમયના યુદ્ધની ભૂતાવળ નજરે ચડે છે. નદીકિનારે નિર્જન ભાસતું નિષ્પ્રાણ વઢવાણ સમયના તાપ સામે ખાલી પાત્ર લઈને ધૂણી રહ્યું હોય એમ લાગે છે…

(સંદર્ભ સૌજન્ય: શ્રી રમેશ આચાર્ય તથા ગૂગલદેવતા)

Comments (12)

શ્યામસુંવાળું અંધારું – જયન્ત પાઠક

શ્યામસુંવાળું
સીસમ જેવું અંધારું
કિરણની કરવતથી વ્હેરાય

રજ રજ અજવાળું થૈ ખરે
પવનમાં ઊડે
પાંદડે બેસી ફરફરે !
પતંગિયાની પાંખો ઉપર તરે,
પાણીમાં બૂડે
રેતકણોમાં તળિયે ચળકે
મીન થઈને સળકે
આભ થઈને પથરાય
કીકીના કાજળમાં કલવાય
ટપકું થૈને ઝળકે!

– જયન્ત પાઠક

પરાપૂર્વથી અંધારું કવિઓને આકર્ષતું આવ્યું છે. જયન્ત પાઠક શ્યામસુંવાળું જેવા નમણાં વિશેષણથી સીસમ જેવા અંધારાને નવાજે છે. શ્યામ જેવો ગાઢો અંધકાર રેશમ જેવો સુંવાળો પણ છે અને વધુ ઘટ્ટ થાય ત્યરે એ સીસમ જેવો ઘન હોવાનું પણ અનુભવાય છે. પ્હો ફાટતાં પ્રકાશના કિરણની કરવતથી સીસમ જેવું અંધારું વહેરાતાં અજવાળું જાણે કે રજ-રજ થઈને ખરે છે અને સૃષ્ટિમાં ધીમે ધીમે અજવાસ જે રીતે પથરાય છે એને કવિનો કેમેરા આબાદ ઝીલે છે. કીકીના કાજળમાં કલવાઈને એ ટપકું થઈને ઝળકે છે ત્યાં જઈને કવિતા પૂર્ણ થાય છે.

Comments (5)

જીવન રમકડું છે – વિકી ત્રિવેદી

પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું બટકણું છે,
પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે.

યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો-
હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે!

સમંદર વિફર્યો તો એમને હું યાદ આવી ગ્યો,
મને કહેતા હતા જેઓ કે તું તો બસ, તણખલું છે.

પ્રભુ! મેં કેવી કેવી જંગ જોઈ એ તું જાણે છે,
આ દુનિયાને કહી દે, એ કરે છે એ છમકલું છે.

જે આવે છે એ મોટાભાગે પડતા હોય છે નીચે,
શું આ મારી નજરનું આંગણું એવું લપસણું છે?

તને જોશે તો એ ભાગી જશે, તું ચાલ આથમણો,
આ પૃથ્વી ગોળ છે સમજ્યો, ભલે ને સુખ ઉગમણું છે.

જરા ચાલું અને સાલું, મને એ ખૂંચવા લાગે,
જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે.

ન દુઃખનું દુઃખ, ન સુખનું સુખ, ન કોઈ પ્રેમ કે નફરત,
નવાઈ છે ‘વિકી’ તો પણ હજુ આ દિલ ધબકતું છે!

– વિકી ત્રિવેદી

સરસ મજાની ગઝલ. મન ઊઠાવી ન શકે એટલો બોજ વેંઢારી વેંઢારીને આપણે સહુ અકાળે તૂટી-ઝૂકી-હારી જતાં હોઈએ છીએ. પણ સમજુ માણસ એ જ કે પહેલાં મનની ક્ષમતાનો તાગ મેળવી લે અને પછી માફકસરનો બોજો લઈને જ દુનિયામાં ભટકવા નીકળે. રમકડાંવાળો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. ઈશ્વરને સંબોધીને દુનિયાને સંભળાવવામાં આવેલી વાત કવિની પોતાની આપવીતી છે. ભલભલાની છાતીનાં પાટિયાં બેસી જાય જીવનના દારૂણતમ સંજોગોનો માર વેઠીનેય અડીખમ રહી સ્વબળે આગળ આવેલ માણસ જ આ શેર કહી શકે. વગર માપે બનેલ પગરખું પહેરવાથી જે તકલીફ થાય એની વાત જિંદગીના ઉપલક્ષમાં કરતો શેર પણ ખૂબ મજબૂત થયો છે. લખાયેલ બધા જ શેર પ્રગટ કરવા બાબત થોડી તાકીદ કેળવી શકાય તો આ ગઝલકાર ટૂંકા સમયમાં કાઠુ કાઢવાની ક્ષમતા ધરાવે છે. સ્નેહકામનાઓ…

Comments (22)

(શિરામણમાં) – ડૉ.મનોજ જોશી ‘મન’

ખુશીમાં હોય કે દુઃખમાં, નિરાશા કે વિમાસણમાં,
ખરો માણસ છે! આપે છે બીજાના નામ કારણમાં.

પડી’તી મોજ ખૂબાખૂબ જે આખી મથામણમાં,
ખરેખર સાચું કહું? એવી મજા આવી ન તારણમાં.

તમારી યાદ અમને અવનવા પકવાન પીરસે છે,
ડૂમા રોંઢે ને ડૂસકાં વાળુએ, આંસુ શિરામણમાં.

મિલનની પળમાં અમને એક પણ શબ્દો ન યાદ આવ્યા,
વિરહની પળમાં અમને જાળવે છે એ જ સમજણમાં.

ખબર નહિ કેમ જ્યાં ને ત્યાં એ નફરત ઓકતો રે’ છે!
બધાની જેમ એણે પણ પીધો છે પ્રેમ ધાવણમાં.

– ડૉ.મનોજ જોશી ‘મન’

મનુષ્યસ્વભાવની ખરી વિડંબના ઉજાગર કરતા મત્લાથી પ્રારંભાતી આ આખી ગઝલ મનભાવન છે. ખરી મજા મંઝિલ-પ્રાપ્તિમાં નહીં, પણ સફરમાં હોય છે એ વાતને સાવ અલગ અભિગમથી રજૂ કરતો બીજો મત્લા પણ સરસ. ત્રીજો શેર શિરમોર થયો છે. પ્રિયજનની યાદો આખો દિવસ રડાવવા સિવાય બીજું કશું જ કરતી નથી એ વાતને કવિએ જે રીતે રજૂ કરી છે, એ કાબિલે-દાદ છે. પહેલાં તો કવિ યાદો અવનવાં પકવાન પીરસે છે એમ કહીને વાતને વળ ચડાવે છે પણ પછી દિવસના ત્રણેય ભોજનમાં એ કયાં-કયાં પકવાન પીરસે છે એનો ઘટસ્ફોટ કરે છે ત્યાં કવિકર્મને સલામ ભરવાનું મન થઈ જાય. મિલન-વિરહ અને શબ્દોની જમાવટ કરતો શેર પણ એવો જ સશક્ત થયો છે.

Comments (10)

…….શૂન્યતા – મનોજ ખંડેરિયા

પથરાઈ ગઈ છે આંખમાં સપનાંની શૂન્યતા
કોઈ વહી ગયું, રહી છાયાની શૂન્યતા

મૂંગો અવાજ આજ હજી કોરતો મને
પોલો બનાવી રહી મને પડઘાની શૂન્યતા

એકાંત કાળું ભીડનું વળગી ગયું મને
મારી જ સાથે આવતી રસ્તાની શૂન્યતા

પગરવની મ્હેક તો હવામાં ઓગળી ગઈ
કણસી રહી છે ધૂળમાં પગલાંની શૂન્યતા

સ્પર્શી રહી નગરનાં મકાનોની ભીંતને
જૂનાપુરાણા ધૂળિયા કિલ્લાની શૂન્યતા

– મનોજ ખંડેરિયા

મત્લાથી આગળ વધાયું જ નહીં જાણે કે મારા થી…..

Comments (5)

ખાનગી વાત – ધ્રુવ ભટ્ટ

નામ સ્મરણ ને સ્તુતિકથા સહુ મારું લોલમલોલ છે લલ્લા
કારણ તરત જ હું કહેવાનો अब तू इनका मोल दे अल्ला

કોણ છું હું ને કોણ તું ક્યાંની શોધ બધીયે બંધ કરાવું
લે હું કદી દઉં નામ तिहारा तू भी मेरा बोल दे अल्ला

કલ્પ કલ્પથી આ શું માંડી સંતાકૂકડી જેવી ગમ્મત
આજ કહું છું ખૂલ જા સીમ સીમ अब दरवाजा खोल दे अल्ला

જાનીવાલીપીનારાને હવે રંગનો થાક ચડયો છે
નામ પડેલા રંગો લઈ बेरंग इश्क में घोल दे अल्ला

એથી આગળ શું કહેવાનું સમજદાર છે સમજી લેજે
ચાલ પરસ્પરને કહી દઈએ तुझ को मुझ में छोड दे अल्ला

– ધ્રુવ ભટ્ટ

હિંદી-ગુજરાતી મિશ્રભાષી આ રચનાને ગઝલ કહેવી કે ગઝલનુમા ગીત કહેવું એ જરા દોહ્યલું છે. ગઝલ ગણીએ તો મત્લામાં લલ્લા સાથે અલ્લાનો પ્રાસ બેસાડ્યો હોવાથી એને કાફિયા ગણવા પડે પણ આગળ જતાં બાકીના શેરોમાં અલ્લા રદીફનો એક ભાગ હોવાનું પ્રમાણિત થાય છે અને લોલમલોલ-મોલ-બોલ વગેરે કાફિયાની જગ્યા લે છે, પણ આખરી શેરમાં વળી છોડ વાપર્યું છે ત્યાં કાફિયાદોષ થયો ગણાય.

પણ બે ઘડી રચનાના સ્વરૂપને બાજુએ મૂકીને એને ફક્ત કવિતા તરીકે એને પ્રમાણીએ તો આખી રચના મસ્ત મજાની થઈ છે. પાંચેય શેર જાનદાર થયા છે અને વાંચતાવેંત સોંસરવા ઉતરી જાય છે. ફરી-ફરીને વાંચો તો વધુ ને વધુ ગમતા જાય એવા…

Comments (8)

(મારા જ ઘરમાં) – ચંદ્રેશ મકવાણા

શોધ મારી ચાલતી આખ્ખા નગ૨માં,
ને થયો છું કેદ હું મારા જ ઘરમાં.

એ કમળમાં બંધ ને હું પાંપણોમાં,
એટલો છે ભેદ મારા ને ભ્રમરમાં.

આખરે ખેંચી લીધી તલવા૨ મેં પણ,
ક્યાં સુધી જીવ્યા કરું ડ૨માંને ડરમાં?

સ્હેજ કંપન આવતાવેંત જ નજરમાં
એમણે મૂકી દીધો ક૨ મારા ક૨માં.

ગીરવે મૂકીને પડછાયોય અંતે,
નીકળ્યો ‘નારાજ’ વણથંભી સફરમાં.

– ચંદ્રેશ મકવાણા

સરસ મજાની ગઝલ. ભમરાવાળો શેર શિરમોર.

Comments (4)

Please call me by my true names – Thich Nhat Hanh

Don’t say that I will depart tomorrow —
even today I am still arriving.

Look deeply: every second I am arriving
to be a bud on a Spring branch,
to be a tiny bird, with still-fragile wings,
learning to sing in my new nest,
to be a caterpillar in the heart of a flower,
to be a jewel hiding itself in a stone.

I still arrive, in order to laugh and to cry,
to fear and to hope.

The rhythm of my heart is the birth and death
of all that is alive.

I am the mayfly metamorphosing
on the surface of the river.
And I am the bird
that swoops down to swallow the mayfly.

I am the frog swimming happily
in the clear water of a pond.
And I am the grass-snake
that silently feeds itself on the frog.

I am the child in Uganda, all skin and bones,
my legs as thin as bamboo sticks.
And I am the arms merchant,
selling deadly weapons to Uganda.

I am the twelve-year-old girl,
refugee on a small boat,
who throws herself into the ocean
after being raped by a sea pirate.
And I am the pirate,
my heart not yet capable
of seeing and loving.

I am a member of the politburo,
with plenty of power in my hands.
And I am the man who has to pay
his “debt of blood” to my people
dying slowly in a forced-labor camp.

My joy is like Spring, so warm
it makes flowers bloom all over the Earth.
My pain is like a river of tears,
so vast it fills the four oceans.

Please call me by my true names,
so I can hear all my cries and my laughter at once,
so I can see that my joy and pain are one.

Please call me by my true names,
so I can wake up,
and so the door of my heart
can be left open,
the door of compassion.

– Thich Nhat Hanh

વિયેતનામના મૂળ નાગરિક એવા ટાય [ અથવા ધાય ] નાટ હાન હમણાં જ દેહવિલય પામ્યા. શિષ્યો તેઓને વ્હાલથી The Teacher કહેતા.

આજથી પંદર-સત્તર વર્ષ પહેલા બેંગ્લોરના એરપોર્ટ પર પુસ્તકોના પહાડના તળિયે પડેલા એક પુસ્તકે અકારણ ધ્યાન ખેંચ્યું હતું – OLD PATH WHITE CLOUDS – અને તે પછી તો ટીચરના ઘણા પુસ્તકો વાંચ્યા અને તેઓને સાંભળ્યા. તદ્દન સરળ વાણી, સાવ સરળ-સહજ વ્યક્તિત્વ, ધીમો સ્પષ્ટ અવાજ, પ્રેમનીતરતી આંખો – અને છતાં એક પ્રચંડ મક્કમતાની આભા એટલે ટીચર…… વિયેતનામના ખરાબ સમય દરમ્યાન તેઓ જંગલોમાં પીડિતો વચ્ચે રહેતા અને અમેરિકન સૈનિકો પણ તેઓનું ભરપૂર સન્માન કરતા. તેઓએ વિયેતનામના પીડિતો માટે પુષ્કળ આંતરરાષ્ટ્રીય મદદ મેળવી અને વહેંચી. ત્યાર બાદ ફ્રાન્સ અને અમેરિકામાં બૌદ્ધધર્મ અને ઝેનનો પ્રચાર,પ્રસાર અને શિક્ષણની પ્રવૃત્તિ જબરદસ્ત મોટા પાયે કરી. અસંખ્ય પશ્ચિમી વિદ્યાર્થીઓને તેમજ સામાન્ય નાગરિકોને mindfullness તેમજ walking meditation ની પ્રત્યક્ષ તાલીમ આપી. અસંખ્ય શિબિરો કરી – એક દિવસથી લઈને આખું વરસ લાંબી !! પશ્ચિમમાં ઝેનને સાચા અર્થમાં સમજાવનાર બે વિભૂતિઓ – એક Dr D T Suzuki અને બીજા ટાય નાટ હાન. પોતાની માતૃભૂમિની અમેરિકાએ કશી જ લેવાદેવા વગર અક્ષમ્ય બરબાદી કરી હોવા છતાં ટીચરના મનમાં લેશમાત્ર વૈમનસ્ય નહોતું. અમેરિકાએ પણ ટીચરને ભરપૂર સન્માન આપ્યું.

‘ધર્મ’ અને ‘ધાર્મિકતા’ વચ્ચેનો તફાવત એટલે ટીચરનું જીવન. ઓશો પણ આ જ કહેતા. ટીચરની ધાર્મિકતા એક પંથની મહોતાજ નહોતી, તેઓ ખરા અર્થમાં વિશ્વમાનવ હતા અને વિશ્વકલ્યાણનાં સિપાઈ હતા. બૌદ્ધધર્મ તેઓ માટે એક Live Entity હતો અને એ વાહનની મદદથી તેઓ સમગ્ર માનવજાત સુધી પહોંચવા પ્રયત્નશીલ રહ્યા. કોઈકે તેઓને પૂછ્યું હતું કે ” શું આપ બુદ્ધત્વ પામ્યા છો ?” તો તેઓનો જવાબ હતો – ” એ મારા કશા ખપનું નથી. ” આ પ્રત્યુત્તર ઝેનની પરાકાષ્ઠા સ્તરનો છે. જે ધાર્મિકતા સમસ્ત માનવજાતના કલ્યાણમાં ઉપયોગી નથી તે ધાર્મિકતા પોથીમાંનાં રીંગણાં સમાન છે.

પસ્તુત કાવ્ય ટીચરે ધ્યાનની એ અવસ્થામાં લખ્યું હતું કે જયારે એક બાર વર્ષની દીકરી દરિયાઈ ચાંચિયાની હેવાનિયતનો શિકાર બની આત્મહત્યા કરી દે છે અને ટીચર અત્યંત વ્યથિત થઈ જાય છે. ધ્યાનની અવસ્થામાં તેઓ એ અનુભૂતિ કરે છે કે જો હું એ ચાંચિયાનાં સંજોગોમાં જન્મ્યો અને ઉછર્યો હોતે તો હું પણ આવું અધમ કૃત્ય કરી બેસતે….. અત્યાચારનો જરૂર પૂરી તાકાતથી સામનો કરવો જ રહ્યો, પરંતુ અત્યાચારી કેમ અત્યાચારી બન્યો છે તે સ્તરે જઈને જ્યાં સુધી મૂલતઃ પરિવર્તન લાવવામાં નહીં આવે ત્યાં સુધી વિશ્વ પીડામુક્ત થવું અસંભવ છે. આતતાયી પોતે પણ અત્યાચારનું જ ફરજંદ છે તે આત્મસાત કરી તે સ્તરે કામ કરવું રહ્યું….. Please call me by my true names – અર્થાત – રામ પણ હું જ છું અને રાવણ પણ હું જ છું, હણનાર પણ હું છું અને હણાનાર પણ હું છું…….

કાવ્યની ભાષા સરળ છે તેથી ભાષાંતર કરતો નથી.

https://plumvillage.org/series/thays-poetry/

– અહીં આ કાવ્ય ટીચરના પોતાના અવાજમાં…..

Comments (4)

ઝુરાપાનું ગીત – અનિલ ચાવડા

ખીણ જેમ ખોદાતું જાય રોજ મારામાં સુક્કા એક ઝાડ જેમ ઝૂરવું,
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

પડતર જમીન ઉપર એકલા ઊગીને કેમ
નીકળે આ એકએક દાડો?
મારાં આ મૂળિયામાં દિવસે ને દિવસે તો
થાતો જાય ઊંડો એક ખાડો;

બીજાની કરવી શું વાત સાલું વધતું જાય મારું મારી જ સામે ઘૂરવું.
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

આસપાસ મુઠ્ઠીઓ વાળીને આમતેમ
રોજરોજ દોડે વેરાન,
મને ફરકાવવામાં વાયુ પણ હાંફ્યો પણ
હોય તો જ ફરકે ને પાન!

જીવનની ધાધર પર ઇચ્છાની આંગળીનું અટકે નહીં સ્હેજે વલૂરવું.
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

– અનિલ ચાવડા

કવિએ ગીતનું શીર્ષક આપ્યું છે – ” ઝૂરાપાનું ગીત ” – શીર્ષક બધું જ કહી દે છે….

Comments (5)

(તમે પણ ન છોડી હોડી) – હેમંત ધોરડા

ન અમેય નમતું જોખ્યું, ન તમેય જીદ છોડી,
અમે પણ ન નાવ વાળી, તમે પણ ન છોડી હોડી.

હવે પર્વતોના રસ્તા સમી વાત આપણી છે,
અમે મૌન વાંકું વાળ્યું, તમે ચુપકીદી મરોડી.

એ સુવાસ આપણી ક્યાં હવે કંઈ બચી કે કૂચી,
જે અમે પવનમાં બાંધી, જે તમે હવામાં ખોડી.

હતી આપણી પળો પણ જે સમય વીત્યો, હા, એમાં
અમે પણ ઉઠાવી ઓછી, તમે પણ વીણી એ થોડી.

હતી હઠ લખેલી મુખ ૫૨ કદી આપણે ન વાંચી,
અમે સરવરો ડહોળ્યાં, તમે આરસીઓ ફોડી.

– હેમંત ધોરડા

(છંદવિધાન: લલગાલગા લગાગા લલગાલગા લગાગા)

સંબંધના સાગરમાં ક્યારેક સાથે સફર ખેડી હોય એવી બે વ્યક્તિ જીવનના કોઈક દોરાહે આવીને અલગ થઈ જાય એ સમયની સમ-વેદનાની સ-રસ મુસલસલ ગઝલ. પાંચેય શેરમાં બે જણની બદલાયેલી દિશાઓ અને દશાઓનો વિરોધાભાસ આપણા હૈયાને આરપાર વીંધી જાય એ રીતે રજૂ થયો છે… મજાની સંઘેડાઉતાર રચના…

Comments (5)

(બોલ ને!) – અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

કેમ આજે ચૂપ છે કંઈ બોલ ને!
છે ધુમાડો ખૂબ, બારી ખોલ ને.

ટેક મૂકી છે કોઈની યાદની,
તું સ્મરણનું જૂનું શ્રીફળ છોલ ને.

હોય શંકા જો જરા પણ ન્યાયમાં,
ત્રાજવે તું કર્મ તારાં તોલ ને.

જે મિલનનો કેફ આપ્યો તેં મને,
એ નશામાં સાથે તું પણ ડોલ ને.

મેં ઉદાસીને વળાવી આખરે,
ના રડું દુઃખના વગાડી ઢોલ ને.

– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

ચુસ્ત કાફિયા સાથે આખા વાક્યનો કાકુ બદલી નાંખતી એકાક્ષરી ‘ને’ રદીફ તંતોતંત નિભાવાઈ હોવાથી સહજ સરળ ભાષામાં એક સ-રસ મજાની ગઝલ આપણને સાંપડે છે.

નવી વાત ન હોવા છતાં સબળ રજૂઆતના જોર પર રચાયેલ મત્લા તો આફરીન પોકારાવે એવો. બાકીના શેરો પણ આસ્વાદ્ય થયા છે…

Comments (8)

(બે કાવ્ય) – દર્શક આચાર્ય

૦૧.

વાદળીએ પહેલાં
પ્હાડ સાથે લળી લળી
વાતો શરૂ કરી,
સીમે આંખ આડા કાન કર્યા,
મંદ મંદ વ્હેતા પવનની
લહેરખીએ મેનકાનું
કામ કર્યું,
જંગલી ફુલોએ
મહેક ફેલાવી
બળતામાં
ઘી હોમ્યું.
પછી વાદળીએ જ્યાં પ્હાડને
બાથમાં લીધો
ત્યાં છૂપાઈને જોતાં
સૂરજે તેની આંખો
મીંચી દીધી.

૦૨.

વરસાદ વરસતા
વૃક્ષો મોર બની
કળા કરવા માંડ્યાં.
સીમ ઢેલ બની
આમ તેમ થવા લાગી.
નદી કામાંધ બની
વ્હેવા લાગી.
ગામની શેરીઓ
માથા બોળ નાહી ઊઠી,
ત્યારે ગર્ભવતી પૃથ્વીને
અષાઢ મહિનો જતો હતો.

– દર્શક આચાર્ય

પાઉન્ડના ઇમેજકાવ્યોની યાદ અપાવે એવા બે દૃશ્યચિત્રો. કલમના બે-ચાર લસરકે જ કવિએ બે પ્રકૃતિચિત્ર આબાદ ઉપસાવ્યાં છે. પહેલામાં વાદળ-પર્વત અને સૂર્યની ક્રીડાનું ટૂંકું પણ સચોટ વર્ણન છે અને બીજામાં વરસાદની ઋતુનું. વરસાદની ઋતુ તો આમેય સૃષ્ટિની કાયાપલટની ઋતુ છે. ભલભલા સન્યાસીનું તપોભંગ કરાવે એવી આ ઋતુનું મનોરમ્ય ચિત્ર કવિએ પણ કેવું બખૂબી દોર્યું છે!

Comments (12)

એક રાતને માટે….- મુકેશ જોષી

શ્વાસ લઈને સાંજે જઈએ સવા૨માં તો પાછા,
એક રાતને માટે શાને લેવા ખૂબ લબાચા.

કો’ક પોટલા બાંધ્યા કરતા કો’ક ભરંતા થેલા,
કો’ક જવાના ટાણે ધોતાં, જીવતર મેલાઘેલા.
સુકાય કેવી રીતે હો તરબોળ જૂઠમાં વાચા. એક રાતને……

એ બોલાવે ત્યારે કેવા હસતાં મોઢે જઈએ,
એના આમંત્રણને આવું ‘મૃત્યુ’ નામ ન દઈએ,
એ તો કેવળ મૌન વાંચશે, શું કરવી છે વાચા. એક રાતને……

પહેરી પાંખ હવાની જાવું નભની પેલે પાર,
ખખડાવો ને નસીબ હો તો હરિ જ ખોલે દ્વાર,
હસી પડે જો હરિ તો સમજો સઘળા ફેરા સાચા. એક રાતને……

– મુકેશ જોષી

પહેલી બે પંક્તિએ મન મોહી લીધું…..

Comments (4)

એ ધારજે – અંકિત ત્રિવેદી

ચાહવાથી જે કશું આગળ હશે એ ધા૨જે,
પામવાથી જે કશું આગળ હશે એ ધારજે.

આપણે પહોંચી ગયાની રાહ જોવે છે સમય,
આવવાથી જે કશું આગળ હશે એ ધારજે.

હીંચકે એમ જ નથી બેસી અને ઝૂલી રહ્યાં,
ચાલવાથી જે કશું આગળ હશે એ ધારજે.

તું ખુમારીને કહી દેજે મને પૂછ્યા વગર,
ધા૨વાથી જે કશું આગળ હશે એ ધારજે.

તું કહે છે રાતભર ઊંઘ્યો નથી એવું નથી,
જાગવાથી જે કશું આગળ હશે એ ધારજે.

– અંકિત ત્રિવેદી

સરળ સહજસાધ્ય ગઝલ… સાદી ભાસતી વાતને આગળ ઉપર ધારવાનું આહ્વાન આપતી રદીફ વાતને વધુ વળ ચડાવી આપે છે…

Comments (5)

ભૂરાં પતંગિયાં – અખિલ શાહ

હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.

એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.

મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયાં નથી’

ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’

– અખિલ શાહ

આમ તો આ કવિતા લયસ્તરો પર આગળ પણ મૂકી હતી પણ આટલા વરસોમાં લયસ્તરોના વાચકવૃંદમાં ખાસો વધારો થયો હોવાથી આજે ઉત્તરાયણ નિમિત્તે આ કવિતા અહીં ફરી રજૂ કરીએ છીએ. અખિલ શાહના છદ્મનામે લખાયેલી આ કવિતાના મૂળ સર્જક છે લયસ્તરોના સ્થાપક અને સહસંપાદક ડૉ ધવલ શાહ પોતે. ગુજરાતી ભાષાના ઉત્તમ અછાંદસ કાવ્યોની પંગતમાં ગર્વભેર બેસી શકે એવી આ રચના વાંચતાં આપની આંખના ખૂણા ભીના ન થાય તો કહેજો…

આ કવિતા વિશે ધવલના પોતાના શબ્દો: “જે વાત કહેવામાં શબ્દો અને આંસુ નિષ્ફળ જાય તે વાત કહેવામાં કોઈ વાર પતંગ કામ લાગી જાય છે. નાના હાથ માટે આકાશને અડકી લેવાનો એક જ રસ્તો છે – પતંગ !”

Comments (15)

કૂંચી આપો, બાઈજી! – વિનોદ જોશી

કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી

કોઈ કંકુથાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઇ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદિયું પાછી ઠેલી;

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી

– વિનોદ જોશી

આમ તો આ રચના લયસ્તરો પર છે… પણ આજે સવિસ્તૃત ટિપ્પણી સાથે…

સાસરામાં મોટાભાગની વહુઓ સુખ કરતાં દુઃખ વધુ અનુભવતી હોય છે. આવી જ એક પરણેતર અહીં બાઈજી, એટલે કે સાસુ સામે મોઢું ખોલવાની હિંમત કરી રહી છે. વહુ સાસુ પાસે પિયરની શરણાઈ મતલબ પોતાનો મીઠો ભૂતકાળ, પિયરના સુખ અને આનંદ જેમાં કેદ થઈ ગયાં છે, એ ક્યાંક મૂકી દેવાયેલ પટારો ખોલવા માટેની ચાવી માંગે છે.

વહુએ સાસરાની દીવાલે કરેલ કંકુથાપામાં જ કદાચ એનું અસ્તિત્ત્વ કેદ થઈ ગયું છે. એટલે એ એને ભૂંસી નાંખીને પોતાને ભીંતેથી ઉતારી આપવા કહે છે. મીંઢળ-લગ્નની મર્યાદા જાળવવાના ભાર તળે ક્યાંક પાંચીકાં રમતું એનું બાળપણ, એની મુગ્ધતા પણ ખોવાઈ ગઈ છે. પરણીને આવેલી વહુને સાસુએ રિવાજ મુજબ પોંખી તો હતી, પણ એ ટાણું વહુને હવે કટાણું હોવાનું પ્રતીત થાય છે, જેમાં એનો નિર્દોષ કલરવ નંદવાઈ ગયો. સાસુ જિંદગીની બારી ઊઘાડે તો કદાચ વીતી કાલ સાથે પુનર્મિલન થાય.

પિયર, મામાના ઘરેથી પાનેતર આવે, સાસરિયેથી ઘરચોળું. ઘરચોળાના લાલ-લીલા રંગ, સોનેરી કોર, હાથી-મોર-પોપટ-ફૂલવેલની ભાત –આ તમામના અર્થ છે: ઘરની લાલિમા જાળવી રાખવી, વાડી લીલીછમ રાખવી, હાથીની જેમ મન મોટું રાખવું, પોપટ-મોરની માફક કૌટુંમ્બિક જવાબદારીઓ નિભાવવી અને આમ, સરવાળે આન-બાન-શાન જાળવીને સાસરીને સુવર્ણ પ્રતિષ્ઠા અપાવવી. વહુના મતે આ ઘરચોળાંની જવાબદારીઓમાં પોતાનાં ઘુઘરિયાળાં મસ્તી-તોફાન, અને આખું જીવતર સાસુએ એ બાંધી દીધું છે. ખળખળ વહેતી ઊર્મિઓ અને લાગણીઓની નદીઓને સાસુએ ઉંબરેથી જ પાછી ઠેલી દીધી છે. પિયર સાથેનો સંબંધ, દાદાજીની હૂંફ અને રક્ષણ –આ બધું સાસુએ કોઈક અગમ્ય અધિકારની કુહાડીથી વડવાઈની જેમ કાપી નાંખ્યું છે. અને વહુને આ તમામની ઝંખા હોવાથી એ મારગ મેલવાની ચીમકી આપે છે.

પણ, સરવાળે વહુ અને આપણે સહુ જાણીએ છીએ કે પરણેતરના નસીબમાં વીતી ગયેલા સુખનો એ સૂરજ કદાચ હવે કદી ફરી ઊગનાર જ નથી. એટલે એની વ્યથા શબ્દે-શબ્દે અને પંક્તિએ-પંક્તિએ વધુને વધુ ઘેરી બનતી અનુભવાય છે. ઘર-ઘરની લાગણીઓનું સીધું અને સોંસરવું પ્રતિબિંબ હોવાના કારણે આ કાલાતીત ગીત ગુજરાતી ભાષાના ટોપ-ટેનમાં અધિકારપૂર્વક વિરાજમાન થયું છે.

Comments (13)

સ્હાંજ ઢળે ને સૂના મનને – તુષાર શુક્લ

સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર
બારણે ચીતર્યા લાભ, શુભ શી
આંખો, એ સુંદર…

સ્હાંજ ઢળે ને પાછાં વળતાં પંખી એને માળે
માળો ના ગૂંથ્યો હો એવાં, બેઠાં એકલ ડાળે
હું ય અહીં બેઠો છું એકલો, આવી સાગર પાળે
ખડક ભીંજવે, મોજાં, જાણે વ્હાલ ભર્યુ પંપાળે
વગર અષાઢે આંખતી વરસે, આંસુની ઝરમર
સ્હાંજ ઢળે ને સૂના મનને, યાદ આવતું ઘર

સૂરજ જેવો સૂરજ કેવો ક્ષિતિજે જઇ સમાતો
માના પાલવ પાછળ જાણે, બાળક કોઇ લપાતો
મીઠી યાદ થઇને કોઇ, વાયુ ધીમો વાતો
વૃક્ષ તણા પર્ણોની કેવળ સંભળાતી મર્મર
સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર

મનને આવું કાંઇ થતું નહીં, ઊગતી શાંત સવારે
બપોરની વેળાએ પણ, ના થાતી પાંપણ ભારે
સપનાં શોધતી આંખ મીંચાતી રાત તણે અંધારે
કેમ થતું મન ઉદાસ કેવળ, ઢળતી સંધ્યા જ્યારે!
આમ નિરુત્તર મન જાણ છે, ઘર એનો ઉત્તર.
સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર.

– તુષાર શુક્લ

 

બે ગીત યાદ આવે છે –

સાંજ ઢલે, ગગન તલે, હમ કિતને એકાકી…..

ફિર વહી શામ, વહી ગમ, વહી તન્હાઈ હૈ…..

Comments (3)

વરસાદ ક્યાં હતો ? – ભગવતીકુમાર શર્મા

જ્યારે મળ્યાં’તાં આપણે, વરસાદ ક્યાં હતો ?
તડકો હતો ને તેય પછી યાદ ક્યાં હતો ?

ફૂલો ભરી શક્યાં ન વસંતે મુશાયરો ;
સુરભિત હવામાં દાદનો ઉન્માદ ક્યાં હતો ?

ચારેય ભીંતો શાંત હતી ને અલગ અલગ ;
બારી ને બારણાંઓમાં વિખવાદ ક્યાં હતો ?

જીવનના રસના ઘૂંટડા એમ જ ભર્યાં હતા ;
કડવો કે મીઠો એમાં કશો સ્વાદ ક્યાં હતો ?

પંખી પ્રસારી પાંખ સતત ઊડતાં રહ્યાં ;
ગુંબજ ગગનનો એટલો આઝાદ ક્યાં હતો ?

વધઘટ થતો રહ્યો છે એ સૂરજની સાથ સાથ,
પડછાયો મારો એવો અમર્યાદ ક્યાં હતો ?

– ભગવતીકુમાર શર્મા

વ્યથાસભર ઓબ્ઝર્વેશન્સ…..ત્રીજો શેર – ” ચારેય ભીંતો….” એક ઊંડી સ્તબ્ધતા છોડી જાય છે…

Comments (5)

ટ્રાઇકુ – રવીન્દ્ર પારેખ

પંખી ચાંચથી
પડ્યો સૂર્ય દરિયે
જળ સોનેરી

પર્વતે હસ્યો
સૂર્ય: પડધે અબ્ધિ
જળ સોનેરી

સાગરે ડૂબે
તોયે કરે સૂરજ
જળ સોનેરી

– રવીન્દ્ર પારેખ

બહુ જાણીતો ન હોવા છતાં ટ્રાઇકુ સાવ નવો પ્રકાર પણ નથી. એના વિશે ખાસ આધારભૂત માહિતી નથી પણ વિન્સ પેઇજ નામના એક કવિએ સહુથી પહેલાં આ પ્રકાર પર હાથ અજમાવ્યો હોવાનું ગૂગલદેવતા (allpoetry.com) કહી રહ્યા છે.

ગુજરાતી કાવ્યક્ષેત્રે આ કાવ્યપ્રકારની પહેલ કરી છે કવિશ્રી રવીન્દ્ર પારેખે. કવિના કહેવા મુજબ આ કાવ્યપ્રકારના અલ્પ અંગ્રેજી ખેડાણથી અનભિજ્ઞ એમણે સ્વતંત્રપણે આ કાવ્યપ્રકારનું સર્જન કર્યું છે. દાવો એટલા માટે સાચો જણાય છે કે અંગ્રેજી ટ્રાઇકુ મહામુશ્કેલીએ પણ માંડ હાથ લાગે છે. ટ્રાઇકુ વિશે થોડું કવિશ્રી રવીન્દ્ર પારેખના પોતાના શબ્દોમાં-

આમ ટ્રાઇકુ ત્રણ હાઇકુનો સમૂહ માત્ર છે. જે હાઇકુ માટે અનિવાર્ય છે તે ટ્રાઇકુ માટે પણ છે જ, તે ઉપરાંત એની વિશેષ શરત એટલી છે કે ત્રણે હાઇકુ એક જ પરિવેશ પર રચાય છે. અહીં આકાશ, સાગર અને પર્વત જે રીતે દૃષ્ટિગોચર થાય છે તે હાઇકુમાં પ્રવેશ્યાં છે. એમાં બીજી મહત્વની શરત એ છે કે એક પદાર્થ કે તત્વ ત્રણે હાઇકુમાં સામાન્ય રહે છે. અહીં એ સૂર્ય છે. એક નજરમાં સમાતી પ્રકૃતિ ટ્રાઇકુનો વિષય થઈ શકે છે. એની ત્રીજી શરત એ છે કે ત્રણે હાઇકુ પરિણામ તો એક જ આપે, એટલે છેલ્લી પંક્તિ ત્રણેમાં એક જ રહે તે અનિવાર્ય છે.

Comments (13)

વ્હાણની આંખે – જિતેન્દ્ર પ્રજાપતિ

એમ તારી યાદનાં પગલાં ફૂટ્યાં,
રાખથી જાણે ફરી તણખા ફૂટ્યા.

આગલી પીડાને અવગણતા ફૂટ્યા,
જખ્મથી જે કૈ નવા સણકા ફૂટ્યા.

ઝાડ છોડીને ઉડ્યાં જ્યાં પંખીઓ,
ઝાડના સૂનકારને ફણગા ફૂટ્યા.

રાતના થૈ સ્વપ્ન તારું આવવું,
ઘોર અંધારા મહીં તડકા ફૂટ્યા.

જોઈ દીવાદાંડીને આજે જુઓ;
વ્હાણની આંખે નવા નકશા ફૂટ્યા!

આંખ પણ છે પહાડનો પર્યાય દોસ્ત;
અશ્રુના આકારે જ્યાં ઝરણાં ફૂટ્યાં!

– જિતેન્દ્ર પ્રજાપતિ

લયસ્તરો પર કવિશ્રીના નવા સંગ્રહ ‘પાછો ફર્યો છું હું’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી એક રચના આપ સહુ માટે…

આમ તો બધા શેર મજાના થયા છે પણ પંખીઓ ઝાડ છોડી જાય એ પછી ઝાડના સૂનકારને ફણગા ફૂટવાની વાત શિરમોર છે. રાત્રે પ્રિયજનનું સ્વપ્ન આવતાં ઘોર અંધારામાં તડકા ફૂટવાવાળો શેર વાંચતા હરીન્દ્ર દવેનો ‘તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું? મધરાતે મારા આભમાં આવે છે, શું કરું?’ શેર સહજ યાદ આવે… બંને શેર પોતપોતાની રીતે અલગ અને બળુકા છે.

Comments (4)

(અદાવત નથી, હોં!) – ડૉ. દક્ષેશ ઠાકર

જરા જેટલી પણ બગાવત નથી, હોં!
ખુદા સાથે મારે અદાવત નથી, હોં!

ભલેને કર્યો ના કદી ન્યાય એણે,
છતાં એના માટે શિકાયત નથી, હોં!

તમે કોઈનાં આંસુ લૂછી શકો તો,
કોઈ એના જેવી ઇબાદત નથી, હોં!

ગમે તેટલા ચાંદ નખરા કરે, પણ
નથી, તારા જેવી નજાકત નથી, હોં!

હતો એ સમય ને હતી કેવી દુનિયા!
હવે માણસોમાં શરાફત નથી, હોં!

– ડૉ. દક્ષેશ ઠાકર

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાહોશતમ કુલપતિ તરીકે અને અનેક પુસ્તકોના લેખક-સંપાદક તરીકે આપણે સહુ એમને ઓળખીએ છીએ. એમની ગતિ અને પ્રગતિ જોઈએ તો ઓત્તારીની જ બોલાઈ જાય! જુઓ તો, ગઝલની દુનિયામાં એમણે હજી તો પહેલું પગલું જ મૂક્યું હતું ને એક જ વરસમાં તો ગઝલસંગ્રહ પણ હાજર થઈ ગયો… નામ પણ ‘ઓત્તારીની’ જ! લયસ્તરો પર કવિનું અને ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત કરીએ છીએ અને સંગ્રહમાંથી એક મજાની રચના રજૂ કરીએ છીએ…

Comments (29)

રોશનીમાં અંધારું ભેળવીને આપો…- મુકેશ જોષી

રોશનીમાં અંધારું ભેળવીને આપો,
મારે ના જોઈએ સૂરજમુખી,
રાતરાણી ઊગે તોય કાપો…

બળબળતી રેતીથી છેટો રહું ને
રહું દરિયાનાં મોજાંથી દૂર
પળમાં છલકાય વળી પળમાં સુકાય
મારે ઝરણાનાં પ્હેરવાં નૂપુર
તરતાં ન આવડે ને હોડી ના જોઈએ
આપો નાનકડો તરાપો… મને રોશનીમાં

નભનાં પોલાણ નથી ચીરવાની આશ
નથી પાતાળો ફાડીને જોવાં
થોડાં આંસુ મારે હસવાને હોય
અને થોડાં આંસુઓ હોય રોવા
કાંટાળી કેડી કંડારવી નથી
છતાં પથરીલો પંથ ભલે વ્યાપો.. મને રોશનીમાં

પગલાંમાં હણહણતા ઘોડા ન હોય
નહીં કીડીઓના વેગ સમી ચાલ
થોડું દોડાય, થોડું હાંફી જવાય
થોડા સાચા-ખોટા હો ખયાલ
મળવાની આશ ભલે સાચી ઠરે
છતાં કીકીઓને જોઈએ ઝુરાપો.. મને રોશનીમાં

– મુકેશ જોષી

 

કવિને “ ચૌદહવી કા ચાંદ “ જોઈએ છે….પૂનમનો નહીં. ચૌદસનો ચાંદ વિકાસ પામે….પૂનમનો ચાંદ ક્ષીણ થતો જાય. ચાંદીમાં જેમ ડાઘ છે તેમ કવિને કંઈપણ સંપૂર્ણ નથી જોઈતું-કંઈક અધૂરું હશે તો વિકાસ શક્ય રહેશે…યાત્રામાં મજા રહેશે….

Comments (3)

તમને તો – જગદીશ જોષી

તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ :
અમને તો એ જ લાગે સાચું : કે ભમરાને હોય કદી ફૂલોની, ફોરમની ભીંસ ?

કેવો ઉમંગ લઈ વૈશાખી વાયરો વગડાને વીંધીને આવ્યો ?
ફોરમનાં જુલ્ફમાં ક્યાંક હું લપાઉં એવા મનગમતા ખ્યાલને ઝુલાવ્યો !
જરા મરમ કરીને તમે પાસે આવો, પછી પડખું ફરો : અને અમરતને કહી દિયો વિષ
તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ.

તમને તો ગુલછડી હાથમાં ખપે : નહીં વાળમાં ગૂંથાયેલું ફૂલ :
ઝરતાં આંસુને તમે ઓળખો નહીં ને તમે ધોળાં વાદળમાં મશગૂલ :
આઘેની મીટ અને પાસેની પ્રીત અને તૂટેલો લય અને નંદવાયું ગીત – મારા
મૂગાં આ હોઠે ગુંજીશ !

તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ.

– જગદીશ જોષી

પ્રેમ હોય, સહવાસ હોય, કદાચ લગ્નનું બંધન પણ હોય…પરંતુ કોઈક વાર બે હૈયા વચ્ચે તાદાત્મ્ય નથી હોતું….ક્યાં તો ભાષા અલગ છે, ક્યાં તો અભિવ્યક્તિ ભિન્ન છે, ક્યાં તો એષણાઓ જુદી છે….પ્રેમ છે, પણ હૈયા એકતાલે ધબકતા નથી.

આ કોઈ કવિ-કલ્પના નથી. આ વાસ્તવિકતા છે અને ઘણી વ્યાપક વાસ્તવિકતા છે. આ પરિસ્થિતિનું કોઈ સરળ નિવારણ નથી. શનૈઃ શનૈઃ આ જ સ્થિતિ બે હૈયાને વિખૂટા કરતી જતી હોય છે….

Comments (4)

વર્ષો – પારુલ ખખ્ખર

નથી ઊંચકાતાં વજનદાર વર્ષો,
છતાં જાય ભાગ્યાં તડામાર વર્ષો.

તમારા પછીનું આ પહેલું વરસ છે,
હવે કાપવાનાં લગાતાર વર્ષો.

યુગોના યુગોથી જે ક્ષણ ના ભૂલાતી,
એ ક્ષણમાં ભૂલાતાં ઘણીવાર વર્ષો.

અચાનક નવા સ્વાંગમાં આવી ઊભાં,
કર્યાં’તાં અમે જે તડીપાર વર્ષો.

ઘણું છીનવ્યું છે, હજુયે છીનવશે,
છે મારાં, તમારાં ગુનેગાર વર્ષો.

જે બેચાર વર્ષોમાં ખૂલ્યાં ને ખીલ્યાં
જીવાડે હવે એ જ બેચાર વર્ષો.

લખે છે કવિતા એ મારાથી ઊંચી
છે મારાથી ઊંચા કલાકાર વર્ષો.

– પારુલ ખખ્ખર

કોરોનાગ્રસ્ત વીસ અને એકવીસ તો વીત્યાં… બાવીસની શરૂઆત પણ કોરોનાના પુનઃસૂર્યોદયથી જ થઈ છે… આવામાં વર્ષોની વાત કરતી એક મનભર રચનાથી વર્ષ બે હજાર બાવીસનો પ્રારંભ કરીએ… ઉમદા કસબ અને શબ્દગૂંફણીના કારણે રચના આખીયે મનનીય થઈ છે…

Comments (4)

(ભલા માણસ) – નીરવ વ્યાસ

બધાની પોતપોતાની જ આદત છે, ભલા માણસ,
રડે છે એય કે જેના શિરે છત છે, ભલા માણસ.

ખબર એવીય છે કે તાજને માથે છે કૈં જોખમ,
અમારું ઝૂંપડું પણ ક્યાં સલામત છે? ભલા માણસ.

જુબાની નહિ, પુરાવા નહિ, અમારા કંઈ ખુલાસા નહિ,
તમારી તો અજબની આ અદાલત છે, ભલા માણસ.

હજારો દાવેદારી છે, તમારી થોડી મિલકતમાં,
અમારી પાસે શબ્દોની રિયાસત છે, ભલા માણસ.

કહી દો છો ઉઘાડેછોગ, ‘નીરવ,’ જે વિચારો છો,
ઘણા લોકોની એવી પણ શિકાયત છે, ભલા માણસ.

– નીરવ વ્યાસ

લયસ્તરોના આંગણે કવિશ્રીના ગઝલસંગ્રહ ‘ખડિયાની પેલે પાર’નું સહૃદય સ્વાગત…

સંગ્રહમાંથી એક મજાની ગઝલ આપ સહુ માટે… ભલા માણસ જેવી વિશિષ્ટ રદીફ કવિએ કેવી સુપેરે નિભાવી છે એ ખાસ નોંધવા જેવું છે… એ સિવાય આખી ગઝલ સહજ-સાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણીની મોહતાજ નથી,…

Comments (5)

(છંછેડાઈ ગયા ને?) – કૃષ્ણ દવે

સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયા ને?
કપડાં પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયા ને?

ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઊગેલા જૂટ્ઠાણાઓથી ઘેરાઈ ગયા ને?

જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેલાઈ ગયા ને?

નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજું થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયા ને?

મૂળ વિના ઊગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મિલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયા ને?

ઘણી વાર સમજાવ્યુ’તું ને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઊતર્યા તો વચ્ચેથી વે’રાઈ ગયા ને?

કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને –
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયા ને?

‘તમે નથી’ની સાબિતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયા ને?

– કૃષ્ણ દવે

ગણગણ્યા વિના વાંચવી શક્ય જ ન બને એવી મજાની લયપ્લાવિત રચના. બધા જ શેર સહજ સાધ્ય છે…

Comments (4)

मेहरबाँ हो के बुला लो मुझे चाहो जिस वक़्त – મિર્ઝા ગાલિબ

मेहरबाँ हो के बुला लो मुझे चाहो जिस वक़्त
मैं गया वक़्त नहीं हूँ कि फिर आ भी न सकूँ

ગઝલસમ્રાટ ગાલિબનો આજે જન્મદિન છે. એમની પ્રતિભાની વાત કરવી એ સૂર્યને દીવો ધરવા સમાન છે. આ ગઝલનો મક્તો જગમશહૂર છે. આ એક જ શેર કહેતે તો પણ ગાલિબ અમર થઈ ગયા હોત… આખી ગઝલ એક પ્રકારની વક્રોક્તિમાં કહેવાઈ છે, જે ઉસ્તાદની ખાસિયત છે.

ज़ोफ़ में ताना-ए-अग़्यार का शिकवा क्या है
बात कुछ सर तो नहीं है कि उठा भी न सकूँ

નબળા સમયમાં પરજનના ટોણાંની ફરિયાદ કેમ વળી ? વાત એ કંઈ માથું તો નથી કે જે ઊંચકી પણ ન શકું !! અર્થાત – મારા ખરાબ સમયમાં પરાયાના ટોણાં તો હું માથે ઝીલી લઈશ, એ ટોણાં કંઈ વિદ્રોહમાં ઉઠનારું મસ્તક તો નથી કે જે હું કદી ઉઠાવી જ ન શકું !! – કલાકારી જુઓ શબ્દોની !!! વાહ…

ज़हर मिलता ही नहीं मुझ को सितमगर वर्ना
क्या क़सम है तिरे मिलने की कि खा भी न सकूँ

ક્યાંક ઝેર મળી જાય તો તે ખુશીખુશી ખાઈ લઉં ઓ સિતમગર, પણ ઝેર કશે મળતું જ નથી. ઝેર એ કંઈ તારા મળવાની કસમ થોડી જ છે કે જે ખાઈ પણ ન શકું ? – અર્થાત – તું તો મળવાની છે જ નહીં…..

इस क़दर ज़ब्त कहाँ है कभी आ भी न सकूँ
सितम इतना तो न कीजे कि उठा भी न सकूँ

એવો જબરદસ્ત જાત ઉપર કાબૂ તો છે જ નહીં કે કદી આવું જ નહીં. એટલો સિતમ ન કરો કે ઉઠાવવો શક્ય જ ન રહે – નહીંતર પછી ખરેખર કદી નહીં આવું…..

लग गई आग अगर घर को तो अंदेशा क्या
शो’ला-ए-दिल तो नहीं है कि बुझा भी न सकूँ

ઘર સળગી ગયું તો ભય કેવો ? – એ તો બુઝાવી દઈશ. હ્ર્દયની આગ તો નથી કે જે બૂઝાવી જ ન શકું !!

तुम न आओगे तो मरने की हैं सौ तदबीरें
मौत कुछ तुम तो नहीं हो कि बुला भी न सकूँ

તું નહીં આવે તો મારી પાસે મરવાની સેંકડો તરકીબો છે, મોતને બોલાવવું સહેલું છે – મોત કંઈ તુજસમાન થોડું જ છે ? અદભૂત વક્રોક્તિ !!! વાહ વાહ….

हँस के बुलवाइए मिट जाएगा सब दिल का गिला
क्या तसव्वुर है तुम्हारा कि मिटा भी न सकूँ

મુસ્કુરાહટ સાથે બોલાવશો તો દિલની બધી શિકાયત મટી જશે. હૃદયની ફરિયાદો એ કંઈ તારા ખ્યાલો નથી કે જે મિટાવી જ ન શકાય…..

– મિર્ઝા ગાલિબ

સદીઓમાં એક ગાલિબ પાકે !!!

Comments (4)

કરોળિયો અને મોર : ૦૨: મોર – નિરંજન ભગત

કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો.
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને,
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને)
પ્રમત્ત નિજ : કંઠનો મધુર સૂર રેલાવતો,
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક:
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
અને નિજ છટા પરે સતત રહે સ્વયં રીઝતો;
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમેન્ટિક.
વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
નિમંત્રણ દિયે ઉદાર ઉ૨, માણવા પર્વને;
અનન્ય રસ રૂપ રંગ સ્વરસૃષ્ટિનો રાજવી.
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?):
અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.

– નિરંજન ભગત

ગઈ કાલે આપણે ક્લાસિસિઝમ અને રોમૅન્ટિસિઝમ – આ બે વાદ વિશે અને કવિના સૉનેટદ્વયમાંથી એક ‘કરોળિયો’ આસ્વાદ્યું. આજે, ‘મોર’ની વાત કરીએ:

મોર રોમૅન્ટિસિઝમનું પ્રતીક છે. એ સૌંદર્ય વેરવામાં માને છે. એના પીંછાંઓના મેઘધનુષી કલાપનો ફેલાવો એના ગર્વ જેવો જ છે. મધુર સ્વરે (કવિતાઓ વડે) એ આકાશને વલોવવા અને દિશાઓને ગજવવા ઝંખે છે. પોતાની કળા પર એ પોતે પણ મુશ્તાક છે. વિલાસપ્રિય અહંકારી રોમૅન્ટિક કવિ પોતાના લયમાં લયલીન થવા બધાને નિમંત્રણ પાઠવે છે, ગમતાંનો ગુલાલ એની અભિવ્યક્તિની ખાસ તરેહ છે. બધી રીતે અનન્ય હોવા છતાં એની મનોકામના (અને મનોવ્યથા) એ કોઈને કહી શકતો નથી. એવું મનાય છે કે મોરનાં આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે. રોમૅન્ટિક કવિ પણ પોતાનો વારસો આવનારી પેઢી જાળવી રાખે એવું જ કંઈ ઇચ્છે છે?!

Comments (7)

કરોળિયો અને મોર : ૦૧: કરોળિયો – નિરંજન ભગત

નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;
સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ;
કુરૂપ નિજ કાય આ પલટવા કયો પા૨સ?
અને નીરખવા યથાવત ચઢે છ કોનાં ચખ?
છતાં મૃદુલ, સ્નિગ્ધ ને ૨જતવર્ણ કૈં તારથી
ગ્રંથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી,
કલાકૃતિ ૨ચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,
દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી.
અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથીઃ
જણાય જડ, ચુસ્ત, સ્વસ્થ, અતિ શાંત કેવો છળે!
સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે
ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી,
મુરાદ મનની : (નથી નજર માત્ર પૃથ્વી ભણી)
કદીક પકડાય જો નભઘૂમંત તારાકણી.

– નિરંજન ભગત

‘કરોળિયો અને મોર’ આ સૉનેટદ્વયમાંથી આજે પહેલું –કરોળિયો- માણીએ…

સાવ અલગ હોવા છતાં આ બંને સૉનેટ રચનારીતિ અને કેન્દ્રવર્તી વિચારના તંતુથી એકમેક સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. કહો કે, જોડિયાં બાળકો! વિશ્વ સાહિત્યમાં શરૂઆતથી બે વહેણ વારાફરતી વહેતાં જોવાયાં છે. એક, ક્લાસિકલ (શાસ્ત્રીય) અને એક રોમૅન્ટિક (પ્રાકૃત/સ્વછંદ). ક્લાસિકલના મૂળિયાં ગ્રીક-રોમન સાહિત્ય-કળા-વાસ્તુકળામાં છે. પરિપક્વતા, સામંજસ્ય, વ્યવસ્થા, સંતુલન અને સંયમ એ ક્લાસિસિઝમનાં લક્ષણ છે. રોમૅન્ટિસિઝમ એટલે આજે આપણે જેને રોમાન્સ કહીએ છીએ એ નહીં. સાહિત્ય-કળામાં રોમૅન્ટિસિઝમ એટલે ક્લાસિકલથી વિરુદ્ધ. એમાં માનવીય ભાવ-સંવેદન, સૌંદર્ય, જીવન અને પ્રકૃતિનું વધુ મહત્ત્વ છે. ક્લાસિસિઝમમાં કારણોનું તો રોમૅન્ટિસિઝમમાં કલ્પનાનું પ્રાધાન્ય છે.

પ્રસ્તુત સૉનેટદ્વય આ બે વાદને કરોળિયો અને મોરના પ્રતીકોથી સમજાવે છે. બંને સૉનેટ પૃથ્વી છંદમાં છે. બંનેમાં અષ્ટકમાં દેહ અને દેહક્રીડાનું વર્ણન છે અને પછી ષટકમાં મનોજગતનું વર્ણન છે. બંને સૉનેટમાં abba cddc effe gg મુજબ ચુસ્ત પ્રાસ કવિએ મેળવ્યા છે.

આજે ‘કરોળિયો’ની વાત કરીએ:

કરોળિયો ક્લાસિકલ વાદનો પ્રતિનિધિ છે. શરૂઆત કરોળિયાના શારીરિક લક્ષણોના વર્ણનથી થાય છે. દેખાવે નર્યો મલિન પણ હૃષ્ટપુષ્ટ, ડાઘડડૂઘિયો, ભૂંડોભખ લાગતો કરોળિયો જાણે પવનના સાગરમાં તરતા ઑક્ટોપસ જેવો છે. કુબ્જા તો કૃષ્ણસ્પર્શે સૌંદર્યા બની જાય પણ કરોળિયાની કુરૂપ કાયાને કંચન કરે એવો કોઈ પારસમણિ ખરો? કોઈ આંખ એવી નથી જે એને એ જેવો છે એવો યથાવત્ જોવા તૈયાર હોય. પણ જે રીતે કોઈ ક્લાસિકલ કવિ સંયમપૂર્વક પોતાના વિચારોના તાર ગ્રંથીને કલાકૃતિ સર્જે એ જ રીતે કરોળિયો પોતાના દેહ વડે જ નિતનવું સુદૃઢ જાળું બનાવે છે. એનું વજન સહજતાથી ઝીલી લેતી જાળમાં એ દુનિયાથી અલિપ્ત અતિથિ સમો રહે છે. દેખાય એકદમ શાંત પણ છળ તો જુઓ! એનાં જાળાંની સુગંધથી લલચાઈને નજીક આવતી એક માખી સુદ્ધાં એની નજરથી બચી શકતી નથી. એના મનની મુરાદ માત્ર પૃથ્વી પર સ્થાન સુનિશ્ચિત કરવા પૂરતી સીમિત નથી, એ તો આકાશની તારાકણી તરફ મીટ માંડી બેઠો છે, ક્લાસિકલ કવિ જે રીતે સાહિત્યસર્જન થકી અમરત્વ કાંક્ષતો હોય એમ!

Comments (7)

(દુબારાની મોસમ!) – નિનાદ અધ્યારુ

નજરથી નજરના નજારાની મોસમ,
છે કાચી-કુંવારી કુંવારાની મોસમ !

તમે બ્હાર નીકળો તો માલૂમ પડે ને !
તમે ક્યાંથી જાણો કિનારાની મોસમ !

તમે જો વધારે સમય ફાળવો તો,
બનાવીને બેસું વધારાની મોસમ !

તમે હોઠથી હોઠ ચૂમો તો જાણો,
ડિસેમ્બરની ઠંડીના પારાની મોસમ !

હવે ચાંદ-દાનીથી ચાંદાને કાઢો,
અમે જોઈ લીધી સિતારાની મોસમ !

અમે હાથ ઠંડા અડાડ્યા જે ગાલે,
એ ગાલે ફૂટી છે શિકારાની મોસમ.

‘નિનાદ’ એની આંખો તરન્નુમ… તરન્નુમ…
અમારી આ આંખે દુબારાની મોસમ !

– નિનાદ અધ્યારુ

શિયાળો બેસે અને ગામે ગામ જાણે “પરણેતર”નો મેળો લાગે. આવામાં કાચા-કુંવારાઓની કાચી-કુંવારી મોસમમાં એક નજર બીજીમાં પ્રોવાય એ નજારા ખીલી રહ્યા છે. બીજો શેર પ્રમાણમાં ઠીકઠાક છે પણ ત્રીજો શેર બળકટ થયો છે. ડિસેમ્બરનો પારોય મજા કરાવે છે. પણ ખરી મજા તો ચાંદદાનીની છે. એકદમ નવીન કલ્પન અને મૌલિક અભિવ્યક્તિ સાથેનો એ શેર બળુકો થયો છે. શિકારામાં રંગ ફરી થોડો ઊપટેલ દેખાય છે પણ મક્તા તો દુબારા દુબારા પોકારાવી દે એવો રંગદાર… સરવાળે મસ્ત મજાની ગઝલ…

Comments (13)

……..नहीं देखा – પરવીન શાકિર

बिछड़ा है जो इक बार तो मिलते नहीं देखा
इस ज़ख़्म को हम ने कभी सिलते नहीं देखा

બિછડનાર ફરીને મળતો નથી…આ ઝખ્મ ભરાતો નથી

इक बार जिसे चाट गई धूप की ख़्वाहिश
फिर शाख़ पे उस फूल को खिलते नहीं देखा

અર્થાત – એકવાર દૌલતની ચમક આંખને આંજી નાખે, પછી એમાં કોમળ લાગણીને પારખવાની શક્તિ નથી રહેતી. “પૂરબ ઔર પશ્ચિમ ” પિક્ચરનું ગીત યાદ આવી જાય – ” નઝર મેં સિતારે જો ચમકે ઝરા, બૂઝાને લગી આરતી કા દિયા ”

यक-लख़्त गिरा है तो जड़ें तक निकल आईं
जिस पेड़ को आँधी में भी हिलते नहीं देखा

એકાએક એવું ઉખડયું કે મૂળસોતું પડી ગયું, એ વૃક્ષ કે જે આંધીમાં તસુભર હાલ્યું નહોતું…. – પાષાણને તલવાર ન તોડી શકે, કુમળા છોડના મૂળિયાં પાષાણને વીંધી નાખે ! બીજા અર્થમાં, પરાયાના ઘા સહી શકાય, પોતીકાની એક ટપલી આપણને મૂળસોતા જમીનદોસ્ત કરી દે.

काँटों में घिरे फूल को चूम आएगी लेकिन
तितली के परों को कभी छिलते नहीं देखा

આ શેર શિરમોર છે. આ શેરને ખાતર આખી ગઝલ અહીં મૂકી છે. વાહ !!

किस तरह मिरी रूह हरी कर गया आख़िर
वो ज़हर जिसे जिस्म में खिलते नहीं देखा

એ ઝેર એવું હતું જે માત્ર આત્મા પર જ અસર કરી ગયું. એ શરીર પર અસર બેઅસર રહ્યું. અર્થાત – સનમનો પ્રહાર એવો આકરો હતો કે તેણે સીધો આત્મા પર જ આઘાત કર્યો…..

– પરવીન શાકિર

Comments (2)

અબોલડા – જગદીશ જોષી

તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત !
આ તે કેવી રીત, સજનવા ! આ તે કેવી રીત ?

પગમાં ઊગ્યાં વંન અને આંખોમાં સૂકો દરિયો
ગઢના ઝૂક્યા ઝરૂખડાને ખૂંચે છે કાંકરિયો ;
ભવ આ ભાંગી રાત બની ગઈ દિવસ થકી વંચિત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.

નહીં વરસેલા મેઘ ને એના પડછાયા ગૂંગળાય ;
બંધ હોઠની વાત ક્યારની વીજ થઈ અમળાય ;
ખડકી આગળ ખીણ ધૂંધળી, રણમાં ૨ડે પછીત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.

– જગદીશ જોષી

પ્રેમની આ જ તકલીફ છે. જેટલો પ્રેમ ગહેરો તેટલી અપેક્ષા વધે ! ભલેને ફિલોસોફી એમ કહેતી રહે કે પ્રેમમાં અપેક્ષાને સ્થાન નથી…. સાજન મનની વાત સમજતો નથી. મારે બોલીને કહેવી નથી, ભલેને યુગ વીતી જાય… લાગણી હશે તો સમજશે. ” નહીં વરસેલા મેઘ…” એ ન વહેલા આંસુ…ડૂમો જેમ નો તેમ રહી ગયો. વીજળીના ઝબકારાની જેમ વણકહી વાત બંધ હોઠે આવી આવીને ગાયબ થઈ જાય…. અંત શું ?? – એ વિચારીને થોડો પ્રેમ થાય છે ?? શેર યાદ આવી જાય –

મુદ્દતેં હો ગઈ હૈ ચૂપ રહતે
કોઈ સુનતા અગર તો કુછ કહેતે

Comments (2)

ધરતીના લીલા કાગળ ૫૨ – હેમેન શાહ

આ કુદરતને રંગબિરંગી કવિતા લખવી ફાવે છે,
ધરતીના લીલા કાગળ પ૨ ઝાડ કશું ટપકાવે છે!

વાદળ વચ્ચે મેઘધનુષનું ક્ષણભર માટે ચિત્ર હશે,
એ જીવનની ફિલસૂફી સુંદર રીતે સમજાવે છે.

આગ જરા ને ખૂબ ધુમાડો, કુદરતમાં પણ એમ બને,
નાની સાવ અમસ્તી વીજળી કેવી દાદ પડાવે છે!

મોસમ એવી છે કે પથ્થ૨ ૫૨ પણ, કૂણું ઘાસ ઊગે,
એ જોઈ નિષ્ફળ પ્રેમીઓ ભાગ્ય ફરી અજમાવે છે.

ઊભા રહીને બ્હાર, ઉકેલો આ પાણીના અક્ષરને,
કોણ મૂરખ વર્ષાની કવિતા પુસ્તકમાં વંચાવે છે?

– હેમેન શાહ

આમ તો શિયાળો બરાબર જામ્યો છે પણ કેટલીક કવિતાઓ બારમાસી હોય છે. વરસાદ ઉપર કવિનું આ પાંચ શેરનું મેઘદૂતમ્ તો જરા જુઓ! વરસાદ કેમ આવે છે એ સવાલ પૂછ્યા વિના કવિ જવાબ આપે છે કે કુદરતને રંગબિરંગી કવિતા લખવી ફાવે છે એટલે વરસાદ આવે છે. મેઘધનુષ ગમે એટલું સુંદર કેમ ન લાગે, એનું આયુષ્ય બહુ અલ્પ જ હોવાનું. જીવનની ફિલસૂફી જ સમજો ને! નાની અમથી વસ્તુ પણ બહુ મોટી અસર જન્માવી શકે છે, ખરું ને? ક્ષણાર્ધ માટે આકાશમાં ઝબકી જતી વીજળીના ચમકારા કોને પસંદ નહીં હોય, કહો તો?! પથ્થર પર ઘાસ ઊગે એ હકીકતને કવિ પથ્થરદિલ પ્રિયજનના હૃદયમાં લાગણી ફૂટવા સાથે સ-રસ રીતે સાંકળી લઈ પ્રેમીઓને નિરાશ ન થવાનો કાવ્યાત્મક સંદેશ આપે છે. અને છેલ્લો શેર… વાત તો સાચી જ છે ને! વરસાદની આ કવિતા આમ અહીં વાંચવાના બદલે એ વરસતો હોય ત્યારે તરબોળ થવાનો આનંદ કેમ ન લેવો?

Comments (12)

(…પણ સમજ સાથે) – દર્શક આચાર્ય

પ્હાડને તોડ, પણ સમજ સાથે,
જાતને જોડ, પણ સમજ સાથે.

સત્ય શું છે એ જાણવા માટે,
ઘર ભલે છોડ, પણ સમજ સાથે.

દોસ્ત, દર્પણનાં સત્યને જાણી,
કાચને ફોડ, પણ સમજ સાથે.

વ્હેણ જીવનનાં હોય જે બાજુ,
નાવને મોડ, પણ સમજ સાથે.

સર કરીને બધાય સોપાનો,
પગને તું ખોડ, પણ સમજ સાથે.

– દર્શક આચાર્ય

લયસ્તરો પર કવિશ્રી અને એમના ગઝલસંગ્રહ ‘સાંસોટ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક રચના આપ સહુ માટે…

ચુસ્ત કાફિયા અને ઊંડું મનન માંગી લેતી અર્થગર્ભિત રદીફ હોવા છતાંય સહજસાધ્ય રજૂઆત સાથેની આ ગઝલ સાચા અર્થમાં ધ્યાનાર્હ છે. ઓછી જગ્યામાં સ-રસ નકશીકામ થયું છે. દરેક શેરમાં ‘પણ’ના પ્રયોગથી પોતાની વાતને અધોરેખિત કરવા માટેની કવિની ઇચ્છા આબેહૂબ ઉપસી આવી છે અને ‘સમજ સાથે’ પ્રયોગ અધોરેખિત થયેલી વાતને વળ ચડાવીને સફળતાપૂર્વક એક્સ્ટ્રા હાઇલાઇટ પણ કરી આપે છે. સરવાળે સંઘેડાઉતાર રચના.

Comments (13)

ચડાઉ પાસ – સૂચિતા કપૂર

મારાં બાળકો
મારો પતિ
મારો પરિવાર
રોજ મને ટોકે છે.
ઉલટ તપાસ પણ કરી લે ક્યારેક.
મને ઘણું બધું નથી આવડતું
લેપટોપ, મોબાઈલની ઘણી અટપટી સિસ્ટમો
બેન્કિંગ નથી સમજાતું
ત્યાં નેટ બેન્કિંગ.
ઓનલાઇન ફોર્મ
ઓનલાઇન બુકિંગ
મેકઅપ,
સ્ટાઇલ અને સ્ટાઇલિશ રહેતા
મને આવડતું નથી.
તો કેમ બોલવું
અને શું બોલવું
તે તો હું શીખી જ નહિ.
હું બાઘાની માફક ચૂપચાપ
સાંભળતી રહુ છું.
વાંક મારો છે.
ભણ્યા વગર ચડાઉ પાસ થવાય
તેમ હું જીવ્યા વગર જિંદગીમાં ચડાઉ પાસ થઈ.
બાવીસમાં વરસથી સીધું પિસ્તાલીસમું.
જિંદગીએ ઓફર કરી અને મે ચૂપચાપ સ્વીકારી.
એમાં કંઈ મારો એકલાનો દોષ નથી હો,
હું ‘ને મારી આખી બેચ
અમે બધાજ જિંદગીએ આપેલું માસ પ્રમોશન છીએ.
જીવ્યા વગર ઉપર ચઢી ગયેલું એક મોટું ટોળું.
ચડાઉ પાસ.

– સૂચિતા કપૂર

આ કવિતા નથી. બહુ ઓછા અપવાદો સિવાય પ્રવર્તતા સનાતન શાશ્વત સત્યના હાથે પુરુષપ્રધાન સમાજના ગાલ પર પડેલો એક સણસણતો તમાચો છે. ઘરમાં નાનાં બાળકો અને પુરુષો જેટલા ટેકનૉસેવી જોવાં મળે છે,. એટલી સ્ત્રીઓ વધુ જોવા મળતી નથી. બેન્કિંગ પણ શીખવાની જેને તક ન મળી હોય, એ નેટ-બેન્કિંગ કરવાનું આવે તો ગોથાં ખાય જ ને! પુરુષોએ સ્ત્રીઓનો કદી સુવાંગ વિકાસ થવા દીધો જ નથી. કોઈ સ્ત્રી આપબળે આગળ આવે તો જમાનાની આંખો ચાર થઈ જાય, એને જજ કરવાનું, એના પર લેબલ લગાવવાનું શરૂ થઈ જાય. પ્રસ્તુત રચનામાં ક્યાંક થોડી અતોશયોક્તિ પણ લાગે પણ સરવાળે વાત સિદ્ધ થાય છે એ વધુ અગત્યનું છે. ચડાઉ પાસ શબ્દપ્રયોગ કવિતામાં જે ઘડીએ આપણને મુખામુખ થાય છે તે જગ્યાએથી સ્ત્રીનો સહજ સામાન્ય પ્રલાપ લાગતો ગદ્યખંડ અચાનક જલદ કાવ્યસ્વરૂપ ધારણ કરે છે… ઘરસંસારમાં જોતરાઈ ગયેલા બળદને ઘાણી બહારની દુનિયા જોવાની તક જ મળતી નથી… જે ક્ષણે કવયિત્રી પોતાના ‘હું’માં આખી બેચને સામેલ કરે છે એ ઘડીએ કવિતા સ્વથી સર્વ તરફ ગતિ કરે છે… વયષ્ટિ સમષ્ટિમાં પલોટાય છે… કવિતા આખેઆખી સ્વયંસિદ્ધ હોવાથી વિશેષ કશું કહેવાપણું રહેતું નથી…

Comments (10)

हम कि ठहरे अजनबी – ફૈઝ અહમદ ફૈઝ

हम कि ठहरे अजनबी इतनी मुदारातों के बा’द
फिर बनेंगे आश्ना कितनी मुलाक़ातों के बा’द

આટલી બધી ખાતિરદારી કરવા છતાં એક અમે જ અજનબી રહી ગયા. કોણ જાણે કેટલી મુલાકાતો પછી ફરી મિત્ર બનીશું… [ આ શેર 1974માં ઢાકાની મુલાકાત બાદ વિમાનમાં કહ્યો હતો – કદાચ તે વખતની રાજકીય પરિસ્થિતિથી વ્યગ્ર થઇ ને કહ્યો હશે. ]

कब नज़र में आएगी बे-दाग़ सब्ज़े की बहार
ख़ून के धब्बे धुलेंगे कितनी बरसातों के बा’द

કોણ જાણે ક્યારે બે-દાગ હરિયાળી નજરે ચડશે….. લોહીના ધબ્બાઓ કેટલા બધા ચોમાસે ધોવશે…..[ આ પણ બાંગ્લાદેશના રક્તપાત સંબંધે લાગે છે ]

थे बहुत बेदर्द लम्हे ख़त्म-ए-दर्द-ए-इश्क़ के
थीं बहुत बे-मेहर सुब्हें मेहरबाँ रातों के बा’द

પ્રેમના અંતકાળની દારુણ વેદનાની પળો અત્યંત દર્દનાક હતી…મહેરબાન રાતોની સવાર ખૂબ જ નિર્મમ હતી… પ્રેમની પૂર્વશરત જ એ છે – વીંધાવા માટે તૈયાર હોવું…. જિબ્રાન એ જ કહે છે – ” પ્રેમનો વાઈન માદક જેટલો છે તેટલો જ દાહક છે ”

दिल तो चाहा पर शिकस्त-ए-दिल ने मोहलत ही न दी
कुछ गिले शिकवे भी कर लेते मुनाजातों के बा’द

દિલ તો બહુ હતું પણ દિલના ઘોર પરાજયે અવકાશ જ ન આપ્યો, બાકી બંદગી બાદ અલ્લાહ સાથે થોડી રાવ-ફરિયાદ પણ કરી લેતે… – આ મારો પ્રિય શેર છે. ઘણીવાર મન એવું ઉઠી જાય કે હજાર હાથવાળા પાસે કંઈ કહેવા-માંગવા હાથ ઊંચકાતો જ નથી. ડૉ મુકુલ ચોક્સી યાદ આવી જાય – ” જા નથી રમતા સજનવા….”

उन से जो कहने गए थे ‘फ़ैज़’ जाँ सदक़े किए
अन-कही ही रह गई वो बात सब बातों के बा’द

નજરાણામાં ઉતારેલું મસ્તક લઈ એમની સાથે જે વાત કરવા ગયા હતા, ત્યાં આડી-તેડી વાતો બાદ મૂળ વાત તો અનકહી જ રહી ગઈ…. કદાચ સંકોચ કારણભૂત હશે, કદાચ ઠંડા આવકારથી એટલો તીવ્ર અભાવ થઈ આવ્યો હશે કે મન જ ન થયું એ વાત કરવાનું, કદાચ તેઓ જાતે જ જો ન સમજે તો ફોડ પાડીને કહેવું વ્યર્થ લાગ્યું હશે……- જે પણ કારણ હોય, જીભ ઉપડી નહીં…મનની વાત મનમાં રહીને નાસૂર બનશે હવે….

–  ફૈઝ અહમદ ફૈઝ

 

નૈયારા નૂર 👇🏻

 

Comments (6)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

માતૃમહિમા : ૦૭ : મમ્મી પ્યારી – એમી આર. એડિંગ્ટન (અનુ.: વિવેક મનહર ટેલર)

તે મારી મા છે,
એક દુર્દાન્ત, અપ્રાપ્ય ધ્યેય.
લોખંડી અને મખમલી અને અક્ષમ્ય વખાણથી બનેલી સ્ત્રી.
એ એ તમામનું માપ છે,
જે હું કદી બની શકનાર નથી.
એ મને જુએ છે અને મારી આરપાર જુએ છે.
એ મને ચાહે છે પણ એના કાંટાળી વાડવાળા દિલથી,
મને અનુમોદનની
અવિરત તડપની સાંકળમાં જકડી રાખીને.
હું મારું માથું ઈંટોની દીવાલ સાથે
અવિરતપણે અફાળ્યા કરીશ,
જો તું મને માત્ર એટલું કહી દે કે તું મને પ્રેમ કરે છે,
તને મારા પર ગર્વ છે,
બસ, કહી દે કે હું સારી છું.
સ્વ-મૂલ્યનના તમામ માપદંડ એક જ સ્ત્રીમાં ભર્યા પડ્યા છે
જે મને એટલો પ્રેમ કરે છે
કે મને ચીરી નાંખી શકે છે.

– એમી આર. એડિંગ્ટન
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
પુષ્કળ શોધખોળ કરવા છતાં માતા અને સંતાનોના સંબંધમાં ઉદભવતી તકલીફો વિશે બહુ ઓછી કવિતાઓ જ હાથ લાગી. આ વિષય પર દિલીપ ઝવેરીની એક અદભુત રચના થોડા દિવસ પહેલાં આપણે માણી. એક રચના મારી પણ આપ અહીં માણી શકો છો. આજે જે રચના અહીં પૉસ્ટ કરી છે, એના કવયિત્રીનું નામ બિલકુલ જાણીતું નથી. એમણે લખેલી અન્ય કોઈ રચનાઓ પણ હાથ આવતી નથી.

દીકરી માને પુષ્કળ પ્રેમ કરે છે અને મા પણ દીકરીને પ્રેમ કરે છે પણ જિંદગી માટે પોતે ‘સેટ’ કરેલ સિદ્ધાંતોના ભોગે નહીં. સંતાનો માટે મા-બાપ જીવનના પ્રથમ આદર્શ હોય છે અને દરેક સંતાન કમસેકમ જીવનની શરૂઆતમાં તો મા-બાપ જેવા જ બનવાનું નિર્ધારતાં હોય છે. પણ અહીં દીકરી મા માટે મા એક અદમ્ય અને અપ્રાપ્ય ધ્યેય છે. એનું વ્યક્તિત્વ લોખંડી પણ છે અને મખમલી પણ. કઠોરતા અને ઋજુતાના સંમિશ્રણથી બનેલી મા દીકરીની આરપાર તાગી શકે એવી તીક્ષ્ણ નજર પણ રાખે છે. એ દીકરીને પ્રેમ તો કરે છે પણ એના હૃદયની ફરતે કાંટાળી વાડ છે અને દીકરીએ માનો સ્નેહ મેળવવા માટે અવિરતપણે તડપતા રહેવું પડે છે, કેમકે માએ નિર્ધારિત કરેલ પદચિહ્નો પર ચાલી ન શકે ત્યાં સુધી મા એને પ્રેમામૃતનો સ્વાદ ચખાડનાર નથી. દીકરી માને એટલો પ્રેમ કરે છે કે ખાલી એકવાર પણ જો મા એમ કહી દે કે એ એને ચાહે છે, એને એના પર ગર્વ છે અને એ સારી દીકરી છે, તો બદલામાં આખી જિંદગી દીવાલમાં માથું અફાળ્યા કરવાની સજા ભોગવવા પણ એ તૈયાર છે. પણ મા પોતે નક્કી કરેલ સ્વમૂલ્યનના માપદંડ પરથી તસુભર પણ નીચે ઉતરવા માંગતી નથી, ભલે દીકરી એના પ્રેમની તરસમાં ચિરાઈ કેમ ન જાય!

આપણામાંથી ઘણાને વધતે-ઓછે અંશે આ અનુભવ થયા જ હશે. દરેક માતા પોતાના સંતાનોને સુપર-કિડ જોવા માંગે છે. અભ્યાસ, રમત-ગમત, કળા –તમામ ક્ષેત્રમાં અગ્રેસર આવવા માટે માતાઓ સંતાનોને સતત પ્રેસરાઇઝ્ડ કરતી જ રહે છે. દર થોડા દિવસે અખબારમાં સમાચાર આવતાં રહે છે કે નવમા-દસમા-બારમા ધોરણમાં કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. ખલિલ જિબ્રાનની આ વાત આપણે સહુએ જીવનમાં ઉતારવા જેવી છે:

Your children are not your children.
They are the sons and daughters of Life’s longing for itself.
They come through you but not from you,
And though they are with you yet they belong not to you.
You may give them your love but not your thoughts,
For they have their own thoughts.
You may house their bodies but not their souls,
You may strive to be like them, but seek not to make them like you.

*
mommy dearest

She is my mother,
that indomitable, unattainable goal.
A woman of iron and silk and unforgiving praise.
She is the measure of all that
I will never be.
She sees me and looks right through me.
She loves me with a barbed wire heart,
chaining me to a relentless yearning
of approval.
I will beat my head
endlessly against a brick wall
if you simply say you love me,
say you’re proud of me,
say I’m good.
All measure of self-worth is wrapped
in the one woman who loves me enough
to tear me apart.

– Amy R. Addington

Comments (8)

માતૃમહિમા : ૦૬ : તીર્થોત્તમ – બાલમુકુંદ દવે

ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયાં;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.

છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું-દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !

અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં
ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

– બાલમુકુંદ દવે

લયસ્તરો ‘માતૃમહિમા’ શ્રેણીના પ્રારંભે આપણે શ્રી કરસનદાસ માણેકનું જ્યોતિધામ સૉનેટ માણ્યું. શ્રી બાલમુકુંદ દવેનું આ સૉનેટ જાણે એ જ સૉનેટને આપણે અરીસામાં જોતાં હોઈએ એવી અનુભૂતિ કરાવે છે. ફરક માત્ર એટલો છે કે પેલા સૉનેટમાં બાળકના સંઘર્ષને માતા નિહાળી રહી છે, જ્યારે પ્રસ્તુત સૉનેટમાં કવિ પોતે જ આપવીતી રજૂ કરે છે. કવિ અનેક તીર્થોમાં ફરી વળે છે, ‘પાણી દેખી કરે સ્નાન’ પણ પ્રભુદર્શનની તરસ છીપાય એવું એકેય પુનિત તીર્થ સાંપડતું નથી. આમ ને આમ મોટાભાગની જિંદગી શોધખોળ પાછળ જ પૂરી થઈ ગઈ… પછી એક સાંજે બે પતિ-પત્ની પોતાની મઢૂલિના ઓટલા પર કાયમની જેમ બેઠાં હતાં અને વાતો કરતાં હતાં એ સમયે કળી સમાન કોમળ નવશિશુને અડધા-પરધા પાલવથી ઢાંકીને સ્તનપાન કરાવતી પત્નીને કવિ નિરખે છે. બાળકની માતાના અર્ધનિમિલિત નેત્રોમાંથી છલકાતાં વાત્સલ્યને જોઈને કવિને આખરે દુનિયાનું ઉત્તમ તીર્થ જડી આવે છે… મા! સાચા અર્થમાં જગત-તીર્થોત્તમ…

Comments (10)

માતૃમહિમા : ૦૫ : મા – જયન્ત પાઠક

ગાતાં ગાતાં
આંગણું લીંપે ને ગૂંપે
બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે
તે તો કોઇ બીજુંય હોય
પણ
ભીના ભીના લીંપણમાં
નાનકડી પગલી જોવાના કોડ કરે
તે તો મા જ.

રડે ત્યારે છાનું રાખે
હસે ત્યારે સામું હસે
છાતીએ ચાંપે
તે તો કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતાં
જેની આંખમાં ઝળઝળીયાં આવી જાય
તે તો મા જ.
નવરાવે ધોવરાવે
પહેરાવે ને પોઢાડે
આંખો આંજી આપે
તે તો કોઇ બીજુંય હોય –
પણ
કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે
તે તો મા જ.

– જયન્ત પાઠક

મેશનું ટપકું કરે એ તો મા જ… કેવી મીઠી મધુરી વાત! આ અછાંદસ વિશે વધુ કંઈ કહેવાની જરૂર ખરી?!  મા તે મા, બીજા બધા વગડાનાં વા !    જયન્ત પાઠકનાં અછાંદસ કાવ્યો મને હંમેશા સોંસરવા ઉતરી જતા લાગ્યા છે!!

હું નાની હતી ત્યારે મમ્મીને આંગણું લીંપતા અને ઓટલી પર ઓકળીઓ પાડતા ખૂબ જ જોયેલી… અને પેલી ભીની ભીની લીંપણ ઉપર પગલીઓ પણ ખૂબ પાડેલી… પણ પછી મમ્મીનું અનુકરણ કરીને ઓટલીઓ પણ ઘણી લીપેલી… ખાસ કરીને દિવાળીમાં સાથિયો પાડવા માટે.

Comments (5)

માતૃમહિમા : ૦૪ : બાને – મણિલાલ દેસાઈ

ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હ્રદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈછ બદલી.

ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.

વધે છે વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?

– મણિલાલ દેસાઈ

મણિલાલ દેસાઈનાં ભાવસમૃદ્ધ સોનેટોમાંનું એક સમૃદ્ધ સોનેટ એટલે કે ‘બાને’ સંબોધીને કરેલું બાનું સંસ્મરણ. બાનાં ગયાને દાયકાથીય વધુ સમય પસાર થવા છતાંયે કવિની બાળપણની, બાની, અને બાળપણની બાની સ્મૃતિઓ સાવ તરોતાઝા છે. ભલે બા સદેહે નથી, પણ નાનપણની વ્હાલુડી બાની ઝાંખી જરાય ઝાંખી પડી નથી… ગાલની ચૂમી હોય કે વ્હાલની અમીવર્ષા… અરે, હાલરડું સુધ્ધાં હજી સંભળાય છે કવિને. રાત્રે અચાનક ઊંઘ ઉડી જતા માતાનો ખોળો હજીયે શોધે છે કવિનું બાળમન. ઉંમરનાં વધવાની સાથે બાળપણની હાક પણ હજી સંભળાય છે કવિને. જીવનમાં ગમે તેટલા વર્ષો ઉમેરાય પરંતુ બા/મા શબ્દ સાંભળતા જ મન ફરી બાળક બની જાય છે…

*મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

Comments (6)