નગ્ન ઊભું છે યુગોથી એ અહીં,
સત્ય કોઈ વસ્ત્રથી ઢંકાય ના.
– જુગલ દરજી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

જલનની નમાઝ – ‘જલન’માતરી

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.

હું જો અનુકરણ ન કરું તો કરું યે શું ?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઇલાજ છે ?

દુનિયાના લોક હાથ પણ ના મૂકવા દિયે
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.

ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ જલનની નમાઝ છે.

– ‘જલન’માતરી

યાદ આવે –

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’?
આ જીવનની ઠેસની તો હજી કળ વળી નથી ?

Comments (2)

સાકી ! – અમૃત ઘાયલ

કહીં છે લ્હેર લીલા, ક્યાંક કાળો કેર છે સાકી !
કહું શું કે જગતમાં કેટલું અંધેર છે સાકી !

અહીં દુઃખ એ જ છે મોટું, સમજમાં ફેર છે સાકી !
અને તેથી હૃદય સાથે હૃદયને વેર છે સાકી !

દુખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી !
છતાં કે’વું પડે છે કે પ્રભુની મ્હેર છે સાકી !

જવાનીને હું વશમાં રાખું તો કેવી રીતે રાખું ?
અચાનક ઊઠતા તોફાનની એ લ્હેર છે સાકી !

કહું તો ક્યાં કહું? કોને કહું? જઈ વાત અંતરની,
જગતમાં ધૂમ આજે બુદ્ધિની ચોમેર છે સાકી !

જગતની ખાનગી વાતોથી કંટાળી ગયો છું હું,
મને તું ત્યાં લઈ જા, જ્યાં બધું જાહેર છે સાકી !

નહીં મસ્તી, નહિ સાહસ, નહિ પૌરુષ, નહિ ઓજસ,
અમારી જિન્દગી ને મોતમાં શો ફેર છે સાકી?

પરિવર્તન થયું છે મૂલ્યમાં એવું કે બસ તૌબા,
હતા જે લાખના તે ત્રાંબિયાના તેર છે સાકી !

કરી દે અન્ય સાથોસાથ જીર્ણોદ્ધાર એનો પણ,
હૃદય ઘાયલ તણું વર્ષો થયાં ખંડેર છે સાકી !

– અમૃત ઘાયલ

અમૃતના ટીપાં !!!!

Comments (1)

ખંડિતા – રમણલાલ વ. દેસાઈ

(રાગ ઝિંઝોટી)

જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી;
ભૂલી પડી મદભર તમ નૈયા!
ચરણ ચલિત, તંબોલ અધર પર,
લાલ છૂપે નહીં છલબલ ચૈના!

હારચુમ્બિત હૈયું ક્યમ ઢાંકો?
કંકણવેલી ક્યહાં ચિતરાવી?
અંજન ડાઘથી ઓપે કપોલ !–
બધી રજની ક્યમ ત્યાં ન વિતાવી!

– રમણલાલ વસંતલાલ દેસાઈ

થોડા દિવસો પહેલાં આપણે કવિશ્રી વિનોદ જોશીની કલમે ભરત મુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની ત્રણ –વાસકસજ્જા , કલહાંતરિતા અને ખંડિતા સાથે મુલાકાત કરી.… લયસ્તરોના સૌથી વફાદાર વાચક પ્રજ્ઞાજુએ આ રચના મોકલી આપી… એમના સહૃદય આભાર સાથે આ રચના અહીં પૉસ્ટ કરું છું.

ખંડિતા એટલે પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ન સ્ત્રી. અમરુશતકની યાદ આવી જાય એવું આ લઘુકાવ્ય છેતરાયેલી સ્ત્રીના મનોભાવોને કેવું સુંદર રીતે વ્યકત કરે છે તે અનુભવવા જેવું છે!

હવે અહીં આવવાનું શું પ્રયોજન છે, નાથ? જ્યાં જઈને રાત પસાર કરી હોય ત્યાં જ જાઓ. તમારી નૈયા ભૂલી પડી ચૂકી છે. પગ બીજે પડ્યો છે. હોઠ પરના પાનના ડાઘ છૂપ્યા છૂપાતા નથી. પ્રણયકેલિના નિશાન જ્યાં ને ત્યાં પિયુના શરીર પર દૃષ્ટિગોચર થઈ રહ્યાં છે. આખી રાત કેમ ત્યાં જ ન વિતાવી કહીને નાયિકા જે છણકો કરે છે એની જ મજા છે…

Comments (12)

(દરવાજાને ખેાલ હવે) – રમેશ પટેલ ‘ક્ષ’

આ સ્તબ્ધ નગરના દરવાજાને ખેાલ હવે,
તું દ્વાર વગરના દરવાજાને ખેાલ હવે!

આ સરસર સરતાં દૃશ્યોને અટકાવ નહીં,
વિક્ષુબ્ધ નજરના દરવાજાને ખોલ હવે !

કંઈ કેમ ભીતરના ભાવ જગતને સ્પર્શે ના?
લે, આજ અસરના દરવાજાને ખેાલ હવે !

તું માર હથેાડા શબ્દો ને સંદર્ભોના,
ને દોસ્ત! ભીતરના દરવાજાને ખેાલ હવે

– રમેશ પટેલ ‘ક્ષ’

ચાર જ શેર, પણ કેવા મજાના!

દરવાજો! કેવી સરસ વિભાવના! જેમાંથી કશું આરપાર જઈ-થઈ જ ન શકે એવી ભીંતમાં શક્યતાઓનું મસમોટું બાકોરું એટલે દરવાજો… પણ આ વાત ઘરના દરવાજાની નહીં, જીવનના દરવાજાની છે… જીવનમાં કેટલી બધી જગ્યાઓએ આપણે કેવળ ભીંત જ બાંધી રાખીએ છીએ એ વિચારવા જેવું છે… આપણે સહુ દરવાજાઓ બંધ કરીને બેઠા છીએ. નવીનતાને કે સત્યને માટે પ્રવેશ જ નથી. નવાઈ વળી એ કે દરવાજાની આ ફ્રેમમાં દ્વાર પણ નથી કે ખોલવાની સંભાવના જન્મે. આપણે સહુ પોતપોતાની માન્યતાઓના બંધ ઘરમાં સદીઓથી કેદ છીએ. નજરની વ્યગ્રતા ઓછી કરી જે છે એનો આનંદ લેવાના બદલે આપણે દુનિયાને અટકાવવા જ મથ્યે રાખીએ છીએ. આ સિકાની બીજી બાજુ એ પણ છે કે બરાબર આ જ રીતે આપણા ભીતરી ભાવ પણ દુનિયા માટે બેઅસરદાર બની ગયા છે. શબ્દો અને સંદર્ભોનો હાથ ઝાલી આ ભીતરી દરવાજા ખોલવાના છે… ખોલીશું?

Comments (7)

રત્ય – પ્રદ્યુમ્ન તન્ના

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે
ખાંતે આળેખી ભલી ભાત્ય,
કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ
મોરલા ને કીર કરે વાત્ય.
એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ
ને ગુંજરતાં ગીત્યુંની કડી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ
ને અંકાશે દા’ડી ને રેણ,
દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક
ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,
એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો
ઉજાગરે ગલાલની ઝડી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ
ભરી લઈં ભીતર મોઝાર,
એવું ને એવું રિયે જળવાયું, આછોયે
આવતો ન એને ઓસાર,
એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્રગટે સંધુંય ફરી ફરી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

– પ્રદ્યુમ્ન તન્ના

एक ऋतु आए, एक ऋतु जाए… સમયની રેતશીશીમાંથી એક પછી એક ઋતુઓ સરતી રહે છે અને ઋતુઓ એમની સાથે લાવેલ અલગ-અલગ રંગોની છોળ પણ બીજા વરસે ફરી લઈ આવવાના વણકહ્યા પ્રોમિસ સાથે સાથે લઈ જાય છે… પણ કવિને આ સમયચક્રનો યથાતથ સ્વીકાર નથી. ઋતુના પાલવમાં રહેલ રંગબિરંગી છોળો ઋતુ સાથે અદૃશ્ય થઈ જાય એ કવિને મંજૂર ન હોય તો કવિ શું કરે?

અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવવા છતાં સવાઈ ગુજરાતી ભાષાનું વરદાન પામેલ પ્રદ્યુમ્ન તન્નાની આ રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરશો

Comments (3)

સહારા મળ્યા – ગૌરાંગ ઠાકર

એક નદીને અલગ બે કિનારા મળ્યા,
છેક સાગર સુધીના સહારા મળ્યા.

આ તમારાં નયન જોઈ એવું થયું,
સ્વપ્નને સિંચવા જાણે ક્યારા મળ્યા.

કોઈ પાંખોમાં પીછાં ઉમેરી ગયું,
ત્યારથી અમને આભે ઉતારા મળ્યા.

ફાળવેલા અમે શ્વાસ લેતા હતા,
ને ઉપરથી આ મનના ધખારા મળ્યા.

કૈંક નોખું નવું તો થશે કઈ રીતે ?
આ વિચારોય અમને તમારા મળ્યા.

હાથમાંથી હથેળી તમે જ્યાં લીધી,
ના પછી કોઇથી હાથ મારા મળ્યા.

– ગૌરાંગ ઠાકર

કવિને જન્મદિન મુબારક

Comments (3)

એવું કંઈ નથી…. – ભગવતીકુમાર શર્મા

તારા વિના જિવાય નહીં, એવું કંઈ નથી,
જીવ્યા છતાં મરાય નહીં, એવું કંઈ નથી.

ટેકો લઈને બેઠો છું, તૂટેલી ભીંતનો;
પડછાયો પણ દટાય નહીં, એવું કંઈ નથી.

મૃગજળમાં ઝૂકી ઝૂકીને પ્રતિબિંબ જોઉં છું;
આછી છબી કળાય નહીં, એવું કંઈ નથી.

છબીના કોટ-કિલ્લા રચાયા સડક ઉપ૨;
વાદળથી ઝરમરાય નહીં, એવું કંઈ નથી.

હાથે-પગે છે બેડીઓ, પાટો છે આંખ પર;
તેથી ગઝલ લખાય નહીં, એવું કંઈ નથી.

વીતી ગયેલી ક્ષણ અને છૂટેલું તીર છું;
પાછા વળી શકાય નહીં, એવું કંઈ નથી.

માણસ મરે ને સ્વપ્નાઓ જીવતાં રહે છતાં
કબરો કદી ચણાય નહીં, એવું કંઈ નથી.

– ભગવતીકુમાર શર્મા

અર્થગંભીર ગઝલ….

Comments (3)

એના કરતાં – હરદ્વાર ગોસ્વામી

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

એ જ પામશે પાન નવાં ને નવી હવા,
જેણે શીખ્યું દોસ્ત, સમયસ૨ ખ૨વાનું.

મોજું આવ્યું માથે ત્યારે સમજાયું,
પુસ્તક વાંચી શીખાશે નહીં તરવાનું.

બટન ટાંકવાનો લાગે છે વેંત નથી,
તો જ બને ખુલ્લી છાતીએ ફ૨વાનું.

ઈશ્વરથી પણ મોટો હો તો કહી દે તું,
શરૂ આજથી તને સલામો ભરવાનું.

– હરદ્વાર ગોસ્વામી

લયસ્તરોના આંગણે કવિશ્રીના નૂતન સંગ્રહ ‘લખચોરાશી લાગણી’નું સહૃદય સ્વાગત..

આપણી ભાષાની સાંપ્રત કરુણતાને યથાતથ રજૂ કરતો મત્લા તો વર્ષોથી સાચા ગુજરાતીઓના હૈયે મઢાઈ ગયેલ છે. પણ એ સિવાયના શેર પણ બધા જ સુવાંગ સંતર્પક થયા છે.

Comments (1)

(ચૂંટેલા શેર) – વિકી ત્રિવેદી

ગઈ વખતની સરભરા એને બહુ સ્પર્શી હશે,
વેદના નહિતર ઉતાવળ આવવાની ના કરે.

બાળપણના હાથમાં છે જિંદગી તારું સુકાન,
આટલી ભૂલો ભલા મારી જવાની ના કરે.

*

છાંયડો આવી જશે તો બેસવાનું મન થશે,
મંજિલે પહોંચી જવા રસ્તે ધખારો જોઈએ.

*
અવકાશ ક્યાંથી મળશે ખુશી કે ઉમંગને?
જીવન તો સાચવે છે ન ગમતા પ્રસંગને.

અભરાઈથી લઈ ગઈ કાંટાળા ઝાડ પર,
દોરીની મિત્રતા પડી મોંઘી પતંગને.

મહેનતને પૂછવાના જે પ્રશ્નો હતા વિકી,
પૂછી રહ્યો છે એ બધું વીંટીના નંગને!

*
પામવાની તો હજારો રીત તે આપી પ્રભુ,
એ ન કીધું કેવી રીતે ત્યાગવાનું હોય છે.

હે પ્રભુ! બસ એટલું કર કે એ લોકો હોય ખુશ,
મારે જેને ‘કેમ છો’ એમ પૂછવાનું હોય છે.

– વિકી ત્રિવેદી

આ વખતે કવિની આખી રચના પૉસ્ટ કરવાના બદલે કવિની ચાર ગઝલોમાંથી દિલને સ્પર્શી ગયેલ થોડા પસંદગીના શેર ટાંકવાનું મન થાય છે, જેથી કવિની રેન્જનો સાક્ષાત્કાર થાય. ચાર ગઝલના આઠ શેર. દરેક પહેલી નજરે સમજાઈ જાય એવી સરળ સહજ બાનીમાં લખાયેલા છે, પણ બીજી નજર કરશો તો દિલમાંથી આહ અને વાહ એકસાથે નીકળી જશે અને ત્રીજી નજર કરશો તો પ્રેમમાં પડી જવાની ગેરંટી…

Comments (10)

વીણેલાં મોતી – મેહુલ એ. ભટ્ટ

છાતીમાં અકબંધ રણ સારું નહીં,
હદ વગરનું કાંઈ પણ સારું નહીં.
દિલ સુધી પહોંચે નહીં દિલનો અવાજ,
આટલું પણ શાણપણ સારું નહીં.
જીતનો જુસ્સો ભલેને રાખ પણ,
જીતવાનું ગાંડપણ સારું નહીં.
સૂર્યનું કે ચન્દ્રનું સાંખી શકાય,
પણ સમજ પરનું ગ્રહણ સારું નહીં.

અણજાણ થઈ જવાનો કોઈ મંત્ર હોય તો,
આપીને ભૂલવાનો કોઈ મંત્ર હોય તો.
ઈશ્વર વિશે તો ગ્રંથોના ઢગલા છે ચારેકોર,
દ્યો, ખુદને જાણવાનો કોઈ મંત્ર હોય તો.

ફરીવાર સિક્કો ઊછાળી જુઓ તો,
પરિણામ ત્રીજું જ ધારી જુઓ તો.
કદાચિત મળી જાય દિલને દિલાસો,
ફરીવાર પત્રોને વાંચી જુઓ તો.
જો અજવાસ આવે નહીં તો કહેજો,
ફકત એક બારી ઉઘાડી જુઓ તો.

‘આપ-લે’ની વાત વચ્ચે ના લવાય,
મૈત્રીમાં સર્વસ્વ આપીને પમાય.

રાત-દી’-વરસોવરસ આઠે પ્રહર,
કરગરું છું, યાદ! તું આવ્યા ન કર.
દૂર લગ રણ, રણ અને રણ છે છતાં
આર્દ્ર આંખો, આર્દ્ર હૈયું, આર્દ્ર સ્વર!

– મેહુલ એ. ભટ્ટ

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘કાન અવાજો ઝંખે છે’નું સહૃદય સ્વાગત.

સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેરોનો ગુલદસ્તો વાચકમિત્રો માટે રજૂ કરું છું…

Comments (3)

मेरे हम-नफ़स मेरे हम-नवा….- શકીલ બદાયૂંની

मेरे हम-नफ़स मेरे हम-नवा मुझे दोस्त बन के दग़ा न दे
मैं हूँ दर्द-ए-इश्क़ से जाँ-ब-लब मुझे ज़िंदगी की दुआ न दे

ઐ મારા દોસ્ત, મારા હમજબાં, મને મિત્ર બની દગો ન દે….ઈશ્કના દર્દથી હું મૃતઃપ્રાય છું, મને જિંદગીની દુઆઓ ન દે…..

मेरे दाग़-ए-दिल से है रौशनी इसी रौशनी से है ज़िंदगी
मुझे डर है ऐ मिरे चारा-गर ये चराग़ तू ही बुझा न दे

મારા સળગતા હૈયાથી જે રોશની છે, તે રોશનીથી જ તો મારી જિંદગી છે ! મને ડર છે ઐ મારા હકીમ, કે તું પોતે જ આ ચિરાગને બુઝાવી ન દે….[ અર્થાત – મને તારું ડહાપણ નહીં આપ, મને સળગવા જ દે….]

मुझे छोड़ दे मिरे हाल पर तिरा क्या भरोसा है चारा-गर
ये तिरी नवाज़िश-ए-मुख़्तसर मिरा दर्द और बढ़ा न दे

મને મારા હાલ પર છોડી દે ઐ મારા હકીમ, તારો વળી શું ભરોસો ?! આ તારી નાનકડી મહેરબાની ક્યાંક મારુ દર્દ વધારી ન દે… [ આગલા શેરના અનુસંધાનમાં આ શેર કહ્યો લાગે છે – તારી દવા કદાચ ક્ષણભર માટે મને સારો કરી પણ દે, પણ એ ક્ષણિક રાહતને લીધે ત્યાર પછી પાછું જે દર્દ મારી તકદીરમાં છે તે દર્દ તો મીનમેખ છે જ ! ક્ષણભરની રાહત પછી એ દર્દ અસહ્ય થઈ પડશે…. ]

मेरा अज़्म इतना बुलंद है कि पराए शो’लों का डर नहीं
मुझे ख़ौफ़ आतिश-ए-गुल से है ये कहीं चमन को जला न दे

મારો હૌંસલોં એટલો બુલન્દ છે કે પરાયા અગનગોળાઓનો લેશ ડર નથી. મને ડર પુષ્પોતણી આગનો છે, જે જરૂર ચમનને ફૂંકી મારશે… [ મારી દુશમન મારી અંદર રહેલી જ્વાળામુખી સમી ઊર્મિઓ છે….]

वो उठे हैं ले के ख़ुम-ओ-सुबू अरे ओ ‘शकील’ कहाँ है तू
तिरा जाम लेने को बज़्म में कोई और हाथ बढ़ा न दे

તેઓ સુરાહી-જામ લઈને ઉઠ્યા છે, અરે શકીલ ! ક્યાં છે તું ? તારો જામ લેવા તારે બદલે કોઈ બીજું હાથ લંબાવી ન દે !!

– શકીલ બદાયૂંની

 

બેગમ અખ્તરસાહેબા 👇🏻👇🏻

 

Comments (1)

અષ્ટનાયિકા : ૦૩ : ખંડિતા – વિનોદ જોશી

ખાલી રાખી મને, ભર્યા શ્રાવણમાં…
વળી ક્યાંક વ૨સીને અંતે આવ્યો તું આંગણમાં,
ભર્યા શ્રાવણમાં…

તારા મઘમઘ મનસૂબાને વળગી કોઈ ચમેલી,
ટળવળતી રહી ખુલ્લી મારી ડૂસકાં ભરતી ડેલી;

તરસબ્હાવરી હું ક૨માઈ લૂથી લથપથ રણમાં,
ભર્યા શ્રાવણમાં…

તારા અણથક ઉજાગરાએ ભર્યો પારકો પહેરો,
ફૂટેલા પરપોટામાં હું ભ૨વા બેઠી લહેરો;

ગઈ હારને હારી, લઈને મોતી હું પાંપણમાં,
ભર્યા શ્રાવણમાં…

– વિનોદ જોશી

ભરતમુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની બે –વાસકસજ્જા અને કલહાંતરિતા– સાથે આપણે મુલાકાત કરી. આજે ત્રીજી નાયિકા ખંડિતા સાથે મુલાકાત કરી આ શૃંખલાને વિરામ આપીએ… જે મિત્રોને આઠેય નાયિકા સાથે મુલાકાત કરવાની ઇચ્છા હોય, એમને જાન્યુઆરી ૨૦૨૨નું નવનીત સમર્પણ મેળવી લેવા વિનંતી… અથવા મને વૉટ્સએપ કે મેસેજ કરશો તો હું તમામ રચનાઓ મોકલી આપીશ…

ખંડિતા એટલે પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ન સ્ત્રી. શ્રાવણ જેવી પ્રણયપ્લાવનની ઋતુમાં પ્રિયજન બીજે ક્યાંક વરસીને ખાલી થઈને પોતાના આંગણમાં આવ્યો હોવાની પીડા અહીં સુપેરે વ્યક્ત થઈ છે. પોતાની ડેલી ખુલ્લી પડી હોવા છતાં એના નસીબમાં કેવળ ટળવળાટ અને ડૂસકાં જ આવ્યાં છે, જ્યારે નાયકના મઘમઘ મનસૂબાઓને કોઈ અન્ય જ ચમેલી વળગી છે. શ્રાવણની ઋતુમાં તરસની પરાકાષ્ઠા લઈને લૂથી ભર્યાભાદર્યા રણમાં એકલા પડવાનું થાય તો કોણ કરમાયા વિના રહી શકે? શયનકક્ષમાં ક્યારેક થતા મીઠા ઉજાગરા પર હવે નવું સરનામું લખાઈ ચૂક્યું છે. પતિ એટલે પત્નીના હૈયાનો હાર. હાર હારવાનો યમક અલંકાર ધ્યાનાર્હ છે. સરવાળે, ખંડિતાની પીડામાં આપણને સહભાગી થવા મજબૂર કરે એવું લયાન્વિત કાવ્ય…

Comments (9)

અષ્ટનાયિકા : ૦૨ : કલહાંતરિતા – વિનોદ જોશી

મુજથી સહ્યું ન જાય….
આમ નજ૨થી દૂર ન રાખે, આમ અડે નહીં ક્યાંય.

મુખ મરડી લીધું તે લીધું, ખબર ન ક્યારે મલકે,
મને વીંધતાં અંગ અંગ અણિયાળાં આંસુ છલકે;

થાઉં આજ તો હુંય અજાણી એવું મનમાં થાય,
મુજથી સહ્યું ન જાય….

લખ્યા વગરની લેખણ જેવી પડી રહું કાગળમાં,
હું ના પાછી વળું જેમ ના વળે નદી વાદળમાં;

પંડ સાવ પોચું ને પાછું પથ્થરમાં પછડાય,
મુજથી સહ્યું ન જાય…

– વિનોદ જોશી

ગઈ કાલે આપણે ભરતમુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની એક -વાસકસજ્જા- સાથે મુલાકાત કરી. આજે મળીએ કલહાંતરિતાને…

કલહાંતરિતા એટલે નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી સ્ત્રી. જુઓ, આ વાત આ રચનામાં કેવી બખૂબી ચાક્ષુષ થઈ છે તે! નાયક પોતાને છોડીને બીજી સ્ત્રીમાં મોહ્યો હોવાની વેદના શબ્દે-શબ્દે નીંગળે છે. મનનો માણીગર દૂર પણ ન જવા દે અને સંસર્ગ પણ ન રાખે એ કેમ સહ્યું જાય? નાયક અપરા સાથે મલકતો હશે એ પોતે જોઈ નથી શકતી એ વાતનો ઈશારો મુખ મરડી લીધું કહીને આબાદ કરાયો છે. આંસું અંગાંગને વીંધી રહ્યાં છે. પોતેય અજાણી થઈ જાય તો ‘ઉસ મોડ સે શુરુ કરેં ફિર યે જિંદગી’ જેવો ઘાટ કદાચ થઈ શકે એવીય આશા મનમાં જન્મે છે. લેખણનું કામ લખવાનું. એ વિના ભલે કાગળનો કાયમી સંગ હોય તોય અવતાળ એળે ગયો ગણાય. નાયિકાની હાલત વપરાશમાંથી નીકળી ગયેલી કલમ જેવી થઈ ગઈ છે અને જે રીતે વાદળ વરસીને નદીમાં ભળી ગયા બાદ નદી ફરી વાદળ તરફ ગતિ કરી શકતી નથી એમ જ નાયિકા પણ બેવફા પતિને લાખ ચાહના છતાં અપનાવી પણ શકતી નથી. નાજુક જિંદગીને કપરા સંજોગો માથે પડવાનું થયું હોય ત્યારે આવી જ વેદના સૂર બનીને રેલાય…

Comments (6)

અષ્ટનાયિકા : ૦૧ : વાસકસજ્જા – વિનોદ જોશી

પ્રિયતમ, સેજ સજાવું…
સંગ સલૂણો ધરી ચિત્તમાં સહજ સ્પંદ સહેલાવું…

રંગભવન રતિરાગ રસીલું,
અંગ ઉમંગ સુગંધિત ઝીલું;

કમળપત્રથી કોમળ મંજુલ હૃદયકુંજ છલકાવું…
પ્રિયતમ, સેજ સજાવું…

મન વિહ્વળ, તન તૃષિત સુહાગી,
પુષ્પિત નિબિડ નિશા વરણાગી;

તંગ અંગથી સરી જતો ઉન્માદ અનંત બિછાવું…
પ્રિયતમ, સેજ સજાવું…

– વિનોદ જોશી

ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં અવસ્થાભેદે નાયિકાના નીચેના આઠ પ્રકાર પાડ્યા છે:
• વાસકસજ્જા : પ્રિયતમનું આગમન થવાનું છે એવી આશાથી હર્ષોલ્લાસ પામી સાજશણગાર કરેલી નાયિકા.
• વિરહોત્કણ્ઠિતા : નાયકના આગમનમાં વિલંબ થતાં ઉત્સુકતાથી તેની પ્રતીક્ષા કરનારી.
• સ્વાધીનભર્તૃકા : પતિ પોતાના વશમાં છે તેવી પ્રતીતિ સાથે સદા તેની પાસે જ રહેતી નાયિકા.
• કલહાન્તરિતા : નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી.
• ખંડિતા : પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ના.
• વિપ્રલબ્ધા : સમયપાલન કે વચનપાલન ન કરનાર પતિ કે પ્રિયતમના એવા વ્યવહારથી છેતરાઈ હોવાનો ભાવ અનુભવતી નાયિકા.
• પ્રોષિતપ્રિયા (અથવા પ્રોષિતભર્તૃકા) – જેનો પતિ વિદેશ ગયો છે તેવી વિરહિણી.
• અભિસારિકા : મધુર મિલન કાજે સ્વયં પ્રિયતમને મળવા જતી નાયિકા. શુક્લ અને કૃષ્ણપક્ષના ભેદે આ નાયિકાના પુન: બે પ્રકાર થાય છે.

કવિશ્રી વિનોદ જોશીએ આ આઠેય પ્રકારો વિશે આઠ ગીતોનું મજાનું શૃંગારગુચ્છ રચ્યું છે. લયસ્તરોના ભાવકમિત્રો માટે એમાંથી વારાફરતી ત્રણેકનું આચમન કરીએ… આજે વાસકસજ્જાનો વારો..

પિયુના આગમનની આશામાં ખુશીની મારી સજીધજીને તૈયાર થયેલી નાયિકા –વાસકસજ્જા-ની ઉક્તિ કેવી રોચક થઈ છે! પ્રણયોર્મિની પરાકાષ્ઠા એટલે બે તૃષાતુર શરીરનું સાયુજ્ય. એકેય શબ્દ ચોર્યા વિના, એકેય અંતરંગ ભાવ છૂપાવવાનો ડોળ કર્યા વિના નાયિકા પ્રિયતમ માટે પોતે સેજ સજાવી રાખી હોવાની વાતથી જ પ્રારંભ કરે છે. હૈયામાં પણ ધબકારે ધબકારે સલૂણા રંગના ઉછાળા અનુભવાય છે. રંગભવન તો રસીલા રતિરાગથી છલકાઈ રહ્યું જ છે, નાયિકાના અંગાંગ પણ સુગંધિત ઉમંગોને ઝીલી રહ્યાં છે. કમળપત્રથીય અધિક કોમળ હૈયું છલકાઈ રહ્યું છે. મન વિહ્વળ છે અને તન તરસ્યું. ઉપવનમાં ખીલેલાં પુષ્પોથી મઘમઘ થતી ગાઢ રાત્રિ પિયુ પધારશે નહીં ત્યાં લગી વરણાગી જ લાગવાની. અનંગાવેશમાં અંગ તંગ બન્યાં અનુભવાય છે. જેનો કદી અંત જ આવનાર નથી એવા તીવ્ર પ્રેમોન્માદને બિછાવીને નાયિકા નાયકના આગમનની પ્રતીક્ષાની પળોને ઉજવે છે..

Comments (13)

ક્યાં ગયો ? – ભગવતીકુમાર શર્મા

ક્યાં ગયો ?

આંસુનાં ઝુમ્મરોનો એ શણગાર ક્યાં ગયો ?
ભરતો હતો હું ઊર્મિનો દરબાર; ક્યાં ગયો ?

આકાર ક્યાં ગયો ને નિરાકાર ક્યાં ગયો ?
માણસને નામે ઈશ્વરી અવતાર ક્યાં ગયો ?

મારા મરણની નોંધ તો એમાં નથી લખી ?
પડછાયો મારો આંચકી અખબાર ક્યાં ગયો ?

ધુમ્મસના રાજહંસનો કલરવ મેં સાંભળ્યો;
પૂછો નહીં કે છોડી હું ઘરબાર ક્યાં ગયો ?

બોલાશ છે, પરંતુ ઉછીનો છે; શું કરું ?
મારો હતો જે પોતીકો સૂનકા૨; ક્યાં ગયો ?

કરતો હતો એ વાત ધુમાડા વિશે સતત;
માણસ હતો એ પોતે ધુંઆધાર; ક્યાં ગયો ?

આ શૂન્યતાનો શાપ સહન શી રીતે કરું ?
તારાં સ્મરણનો જે હતો આધાર ક્યાં ગયો ?

– ભગવતીકુમાર શર્મા

Comments

સ્મરણકુસુમો – રમણ વકીલ

 

*
વહ્યાં વેગે વર્ષો જીવનજલ સાથે વહી ગયાં:
કદી મેલાંઘેલાં, કદીક નીતરાં, શાંત, ઊજળાં;
ધસ્યાં સ્રોતાકારે ગિરિ ઉપરથી ઘોર ખીણમાં,
વહ્યાં તો કો’ કાળે વિપુલ નદ શાં સૌમ્ય, ગભીરાં.

વહ્યાં વર્ષો તેમાં વિવિધ દશાઓ અનુભવી,
રસીલી ઊર્મિઓ, વિષમ ઘટનાઓ ઉર ભરી;
મહેચ્છા, આશા કૈં વિફલિત બની ને કંઈ ફળી,
વિષાદે, આનન્દે જીવન-ઝરણી સતત ભમી
પહાડો, મેદાનો, વન, રણપ્રદેશો ફરી વળી.

વસ્યાં’તાં હૈયે જે સ્વજન-સૃહદો-તે પ્રિય ગયાં;
ચિતામાં પોઢાડ્યાં કઠણ હૃદયે ને સ્વનયને
નિહાળ્યા જ્વાળામાં ભસમ બનતા દેહ, દૃગથી
વહેતાં વારિથી ભસમ ઢગ ઠારી વીણી લીધાં
ઉરે આજે સંચ્યાં સ્મરણકુસુમો એ જતનથી.

– રમણ વકીલ

ગતિ જળનો સ્વ-ભાવ છે. અહીં વાત જીવનજળની છે. જીવનજળ પણ કદી થંભતાં નથી. વેગપૂર્વક સતત વહેતાં રહે છે. ક્યાંક એમાં મલિનતા ઉમેરાય છે, તો ક્યારેલ એ શાંત અને નીતરાં સ્વચ્છ થઈ જાય છે. ક્યારેક જીવનજળ વેગ સાથે ઊંચેથી નીચે પછડાય છે તો ક્યારેક વિશાળ પટ સાંપડતાં સૌમ્ય ગંભીર થઈ વહે છે. જળની જેમ જીવનમાં પણ કોઈ દશા સ્થાયી નથી હોતી. સુખ-દુઃખની આવનજાવન ચાલુ રહે છે. આશાઓ અને મહેચ્છાઓ ક્યારેક ફળે છે, ક્યારેક નથી પણ ફળતી.

પ્રિયજનોની વિદાયના સાક્ષી બનવાની પીડા પણ જીવનનો જ એક ભાગ છે. હૃદય કઠણ કરીને ચિતાઓ સળગતી જોવી પડે છે. પ્રિયજનના અસ્થિ-ભસ્મ નદી-સમુદ્રમાં વહાવી પણ શકાય છે, પણ યાદોનું વિસર્જન કરી શકાતું નથી. એનાથી મુક્તિ મળતી નથી. હૈયું આ સ્મરણકુસુમોને આંસુઓથી સીંચી-સીંચીને જતનપૂર્વક ઉછેર્યે રાખે છે…

જળ અને જીવનજળ વચ્ચે જો કે એક બહુ મોટો તફાવત પણ છે. જળ વહી જાય ત્યાં ફરી પરત ફરી શકતાં નથી પણ જીવનજળ જે સ્મરણપુષ્પો ખીલવતાં વહી જાય છે, એ સ્મરણ વહી ગયેલી ક્ષણોમાં અવારનવાર પ્રવેશ કરવા માટેનો વિકલ્પ જીવંત રાખે છે…

Comments (4)

ભક્તિ – મુકુન્દરાય પારાશર્ય

ઝૂંટી કૃષ્ણની મોરલી હઠ કરી રાધા કદંબે ચડી,
આનંદે અધરે ધરી સ્વરસુધા વ્હેતી કરી ના કરી :
ત્યાં તો એ સ્વર કૃષ્ણવાદિત ગણી ધ્યાનસ્થ જાતે થઈ
એ જોતાં ગળતા ગયા પ્રણયની સંતૃપ્તિમાં શ્રીહરિ.

– મુકુન્દરાય પારાશર્ય

શાર્દૂલવિક્રીડિત છંદમાં કેવળ ચાર પંક્તિનો શ્લોક. પણ કેવો અદભુત! રાધા-કૃષ્ણ કે ગોપી-કૃષ્ણની વાતો તો સેંકડો કવિઓએ હજારો કવિતાઓમાં ગાયે રાખી છે, પણ સાચો કવિ જ એ જે તમામ ઉપલબ્ધ અભિવ્યક્તિઓથી આગળ વધીને કંઈક નવી વાત કરે…

કૃષ્ણ પાસેથી એની મોરલી ઝૂંટવી લઈને હઠીલી રાધા કૃષ્ણ જે ઝાડ પર ચડીને સૂરાવલિ રેલાવી સૃષ્ટિ આખીને મંત્રમુગ્ધ કરતા, એ જ કદંબ વૃક્ષ પર ચડી ગઈ. આટલું અપૂરતું હોય એમ કૃષ્ણની જ અદામાં આનંદિત હૈયે મોરલીમાંથી સ્વરસુધા પણ એ વહેતી કરે છે… કૃષ્ણની મોરલીમાંથી રેલાતા સંગીતનો પ્રભાવ તો જુઓ! રાધા પોતે વેણુ વગાડી રહી હોવા છતાં વાંસળીમાંથી વહેતા સૂર કૃષ્ણવાદિત જ હોવાનું અનુભવે છે અને ધ્યાનસ્થ થઈ જાય છે. પ્રેમભક્તિની આ કેવી પરાકાષ્ઠા! સમર્પણનો આ કેવો જાદુ! શ્વાસ સમ સહજતાથી સ્વ ઓગળી જાય એ જ સાચી ભક્તિ! એ જ સાચો પ્રેમ! અને સ્વાર્પણની ચોટીએ બિરાજમાન રાધાને જોઈને શ્રીકૃષ્ણ પોતે પ્રણયની સંતૃપ્તિની અનુભૂતિમાં ઓગળી જવા લાગ્યા.

છેલ્લી બે પંક્તિઓને એક જ વાક્ય હોવાનું ગણી લઈએ તો એમ પણ અર્થ કરી શકાય કે ભક્તે ભગવાનનું રૂપ ધારી લીધું તો ભગવાનને ભક્તનું રૂપ લેવાની ફરજ પડી. પોતાની વાંસળી સાંભળીને જે રીતે ગોપ-ગોપિકા સાનભાન ભૂલી જતાં હતાં, અદ્દલોદ્દલ એ જ રીતે કૃષ્ણ પોતે રાધાના મુખેથી પોતાની વાંસળીના સૂર સાંભળી કૃષ્ણ હોવાનું વિસરી જઈ ધ્યાનસ્થ થઈ ગયા અને પ્રણયની સંતૃપ્તિમાં ઓગળવા લાગ્યા…

કેવી અદભુત કવિતા! કેવું વિશિષ્ટ કવિકર્મ!

Comments (7)

દ્વય – વર્ન રુત્સલા (અનુ.: સુરેશ દલાલ)

એક માણસ છે. હું એને આછો અમથો ઓળખું છું. એ મારી ખુરસીમાં બેસે છે, પહેરે છે મારો ચહેરો અને વસ્ત્રો, ખરેખર તો મારી આબેહૂબ આકૃતિ. એને કહેવાય છે નાગરિક. વાસ્તવમાં તો એ છે કઠપૂતળી, જેને હું નિયંત્રું છું. જ્યારે એ બોલે છે ત્યારે કોઈને દેખાતું નથી, પણ હોઠ તો મારા હલે છે.

– વર્ન રુત્સલા
(અનુ.: સુરેશ દલાલ)

નાનું અમથું ગદ્યકાવ્ય. ફકરો જ જોઈ લ્યો ને! કવિના સંગ્રહનું નામ જ ‘પેરેગ્રાફ્સ’ છે. વયષ્ટિને સંબોધીને લખાયેલ આ કાવ્ય હકીકતે તો સમષ્ટિને સ્પર્શે છે. આમેય સ્વથી સર્વ સુધી જાય એ જ કવિતા. દ્વય એટલે જોડી. પણ આ જોડી આપણા સહુની આપણા નકલી જીવન સાથેની છે. આપણે આપણને ખુદને પણ પૂરું નહીં, કેવળ આછું ને અમથું જ ઓળખી શકીએ છીએ એ આપણા જીવનની મોટી વિડંબના છે. વિશેષમાં નાગરિક શબ્દનું લેબલ આપણી બચીકુચી આદિમતાને પણ ખતમ કરી દે છે. આપણે સહુ સિસ્ટમની દોરીએ બંધાઈને બીજાની ઇચ્છા મુજબ નર્તંતી કઠપૂતળીઓથી વિશેષ કશું નથી.

Comments (4)

હે સખી….. – મુકેશ જોષી

હે સખી ! તારા વિનાની જિંદગી હું શું કરું ?
ધૂળમાં હું શું ઉમેરીને ફરી કંકુ કરું.

આસમાની ઓસરીમાં વાદળો રહેતાં નથી,
માછલી વિશે પૂછ્યું તો જળ કશું કહેતાં નથી.
સૂર્યની સાથે સંબંધોમાં બહુ ઝાંખપ પડી,
ને, હવા ભૂલી ગઈ ખુશબૂ તણી બારાખડી.
સૂર્યની સામે જ ઝાકળ શી રીતે ભેગું કરું?

જોઈ લે ઓઢું ઉદાસીનો દુપટ્ટો આજ પણ,
આંખના ઘ૨થી અલગ રહેવા ગઈ છે સાંજ પણ.
સાચવેલા તારલા ટપટપ ખરે છે એટલા,
હું અને આકાશ બંને સાવ મૂંગાં એકલાં,
એક ખોબા આભને હું કંઈ તરફ વ્હેતું કરું.

– મુકેશ જોષી

પ્રથમ બે પંક્તિ……..અદભૂત……આખું ગીત જ અતિસુંદર…..

Comments (8)

બાળક યાદ કરે છે – અગ્નિશેખર (અનુ . સિતાંશુ યશશ્ચન્દ્ર)

શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.

શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં
છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા
લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.

રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો ‘તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા.

દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.

બાપુ, ગઈ કાલે ‘દૂરદર્શન’ પર બતાડતા હતા
કાશ્મીરને !
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…

ત્યારે, મને થયું, કે આપણે,
પીળાં પાંદડાં છીએ, ઝાડુના એક ઝાટકે
ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.

બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા ?

-અગ્નિશેખર
(હિંદીમાંથી અનુ.: સિતાંશુ યશશ્ચંદ્ર)

અત્યારે ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોરમાં છે. કાશ્મીરમાં પંડિતોની કત્લેઆમ અને ફરજીયાત હકાલપટ્ટી કરવામાં આવી હતી ત્યારે સરકાર ચુપચાપ તમાશો જોવામાં રત હતી. મૂળથી ઉત્થાપિત થવાની વેદના તો રામબાણ વાગ્યા હોય એ જ જાણે ને! એક બાળક આખી ઘટનાને કઈ રીતે જુએ છે એ આ કવિતાના માધ્યમથી અનુભવીએ. બહુ સરળ ભાષામાં બાળક હત્યાકાંડ અને એનાથી બચી જવા માટેની કવાયત તથા વિસ્થાપિત થયા બાદ કેમ્પમાં પોતાની હાલત અને આવતીકાલની સ્થિરતા બાબતની અનિશ્ચિતતા વર્ણવે છે. એકીસાથે લોહી થીજી પણ જાય અને ઉકળી પણ ઉઠે એવી સક્ષમ રચના.

Comments (10)

અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે – જાવેદ અખ્તર

મોરે કાન્હા જો આયે પલટ કે,
અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે.

અપને તન પે ગુલાલ લગા કે,
ઉન કે પીછે મૈં ચૂપકે સે જા કે,
રંગ દૂગી ઉન્હે મૈં લિપટ કે..
અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે.

કી જો ઉન્હોંને અગર જોરાજોરી,
છિની પિચકારી બૈંયા મરોડી,
ગાલિયાં મૈને રખ્ખી હે રટ કે,
અબ કે હોરી મૈં ખેલુંગી ડટ કે.

– જાવેદ અખ્તર
(ફિલ્મ : સરદારી બેગમ)

રંગપર્વ નિમિત્તે લયસ્તરોના ભાવકમિત્રો માટે એક ંગારંગ ઠુમરી.

Comments

બધાંએ બોલવું પડશે – નીતિન વડગામા

સત્ય ટૂંપાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
ચિત્ર ભુંસાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

અહીં ખુદ ભોમિયાને પણ નથી કંઈ ભાન મારગનું,
દિશા ફંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

સુગંધોનેય કરવા કેદ આ ટોળું થયું ભેગું,
ફૂલો મૂરઝાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

નથી કંઈ સૂરની સમજણ છતાંયે સાજ શણગાર્યાં !
બસૂરું ગાય એ પહેલાં પહેલાં બધાંએ બોલવું પડશે.

નર્યો ઉપજાઉ વાતો ને નિરંતર જૂઠનો રેલો,
વધુ લંબાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

જતન એનું કર્યું છે પૂર્વજોએ પ્રાણ પૂરીને,
મતા લુંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

સતત થાક્યા વિના બોલ્યા કરે છે એ ફકીરોનું –
ગળું રૂંધાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

હજી તો ઝળહળે છે આ સનાતન ધર્મનો દીવો,
તિમિર ઘેરાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

– નીતિન વડગામા

” કશ્મીર ફાઇલ્સ ” મૂવીના સંદર્ભે એક મિત્રએ આ ગઝલ મને મોકલી. વાત સુસંગત છે. દુ:ખ એ વાતનું તો છે જ કે HINDU GENOCIDE થયો હતો, કારમો આઘાત તો એ વાતનો છે કે દેશની ધૂરા ઝાલનારાઓ આવો કોઈ નરસંહાર થયો પણ છે એ વાત માનવા સુદ્ધા તૈયાર નહોતા !!!!! “બિનસાંપ્રદાયિકતા” શબ્દ મુસ્લિમ તુષ્ટિકરણ અને હિન્દૂ-ધિક્કાર – આ બે અર્થઘટનમાં કેદ થઈને રહી ગયો છે……

Comments (7)

શાલીન લાગે છે – જાતુષ જોશી

સપાટી ચાર ભીંતોની ભલે રંગીન લાગે છે,
સકળ અવકાશ વચ્ચેનો ઘણો ગમગીન લાગે છે.

સમયની ભોંયનું તળ ખોદવાથીયે નથી મળતું,
સમય કરતાંય ઊંડું મન ઘણું પ્રાચીન લાગે છે.

ઘણું સૂતાં પછી જાગી ગયો છે આખરે એ જણ,
હવે એને જગત આખુંય નિદ્રાધીન લાગે છે.

ઘડીભર ઢીલ દે, ખેંચે ઘડીમાં શ્વાસની દોરી,
કે જીવ ઉડાવવાનો એ અજબ શોખીન લાગે છે.

બધાંની હાજરીના ખ્યાલથી એ બ્હાર ના આવ્યું,
મને એ આંખનું આંસુંય તે શાલીન લાગે છે.

– જાતુષ જોશી

આજે ચારે તરફ જેનું ત્સુનામી ફરી વળ્યું છે એ ગઝલોના ટોળામાંથી સાવ અલગ અને અડીખમ ઊભી રહી શકે એવી કાવ્યબાની અહીં સાંભળવા મળે છે. રંગીન દીવાલોની વચ્ચેના ખાલી કમરાની ગમગીની જોઈ શકનાર કવિ આમેય અન્યોથી અલગ જ હોવાનો. સંસારમાં એવું કશું નથી જે સમયના ગર્ભમાં દટાયું પડ્યું ન હોય. પણ સાચો કવિ જ એ જે એ જોઈ શકે, જે અન્યોની નજરથી ઓઝલ હોય. સમયને ગમે એટલો ખોડો, ગમે એટલા ઊંડે જાવ પણ મન સમયથી પણ વધુ ઊંડું છે, મનનો તાગ મેળવવો સંભવ જ નથી. અને બીજાની હાજરીનો ખ્યાલ કરી જે આંસુ આંખનો ઉંબરો ઓળંગીને બહાર આવવું ટાળે છે એ આંસુને શાલીનકરાર આપતો શેર તો ભાઈ વાહ ! સરવાળે અદભુત ગઝલ…

Comments (17)

સાંજ થવાનું મન – મનહર તળપદા

વ્હાલમ, અમને એકલતાના આભ નીચે
.                                    ટળવળતી કોઈ સાંજ થવાનું મંન,
વ્હાલમ, અમને બળબળતા વનવગડે કોઈ
.                                    એકલદોકલ સાથ વિનાની પાંખ થવાનું મંન.

અમને એકદંડિયા મ્હેલે વાસો રાત એકનો આપો
અમને સ્પર્શ-વિહોણા દેશે થોડી નજરકેદમાં રાખો;

વ્હાલમ, અમને વલવલતી કો’ ચાંદ વિનાની,
.                                    રાત બનીને ઉજાગરાનું ફૂલ થવાનું મંન.

ચોરીના ફેરાની પળથી ગીત મિલનનાં સતત અમે તો ગાયાં,
રેશમિયાં સપનોમાં કોઈ અલકમલકનાં રૂપ બની હરખાયાં;

વ્હાલમ, અમને ક્ષણ એકાદી આપો જેમાં
.                                    ટીટોડીની ચીખ બની તમ રોમરોમનો કંપ થવાનું મંન…

– મનહર તળપદા

ગાઢ અંધકારનો અનુભવ થયો જ ન હોય એ પ્રકાશનું સાચું મૂલ્ય કઈ રીતે સમજી શકે? વિરહનું વખ ચાખ્યું જ ન હોય એ મિલનના અમીની કિંમત કેમ કરી શકે? કાવ્યનાયિકાના નસીબમાં જુદાઈની પળો કદી આવી જ નથી. ચોરીના ફેરા ફર્યા એ પળથી એના નસીબે સતત મિલનનાં ગીત ગાવાનું જ આવ્યું છે. એના સપનાંઓને આજદિન લગી કેવળ રેશમિયો સ્પર્શ જ થયો છે. પણ નાયિકા જાણે છે કે જેણે દુઃખ જ જોયું નથી એ સુખનું મહત્ત્વ કદી સમજી શકનાર નથી. વિયોગના સંસ્પર્શ વિનાનું મિલન કેવળ સપાટી પરનું જ મિલન છે. એમાં પ્રેમની તીવ્રતા કદી લાંબો સમય ટકતી નથી. વિરહની પીડા વિનાનું સાયુજ્ય ક્રમશઃ મોળું જ પડતું જવાનું. એટલે જ નાયિકા પ્રિયતમ પાસે એકલતાના આભ નીચે ટળવળતી કોઈ સાંજ થવાની ઇચ્છા વ્યક્ત કરે છે. બળબળતા નિર્જન વનવગડે કોઈનો સાથ ન હોય એવી પાંખ થવાના કોડ એને જાગ્યા છે. પાંખો નહીં, પાંખ… એક જ પાંખ! એકલતાની તીવ્રતા અનુભવવા માટે કેવું સચોટ કલ્પન! એકદંડિયા મહેલમાં કેદ રાજકુમારીની વાર્તા આપણે સહુએ બાળપણમાં વાંચી છે. નાયિકા વધુ નહીં ત્યો એક રાત પૂરતોય વાસો ત્યાં ઝંખે છે. પિયુનો સ્પર્શ પણ નસીબ ન થાય એવા પ્રદેશમાં એ નજરકેદ રહેવા ઇચ્છે છે. ચાંદ વિનાની વલવલતી રાત બનીને એ ઉજાગરાનું ફૂલ થવા માંગે છે… એકલતાના ઓરતાના એક પછી એક રજૂ થતા રૂપક નાયિકાની મનોકામનાને સતત ધાર પ્રદાન કરે છે… આવી એકાકી ક્ષણોનો રઝળપાટ વેઠ્યા બાદ એ પ્રિયતમને રોમેરોમ કંપન જન્માવે એવી ટીટોડીની ચીખ બનવા ચહે છે. વિરહ પછીના કાયમી મિલન માટેની સુમધુર ઘેલછાનું કેવું મનહર ગીત!

Comments (8)

છેલ્લો જનમ – જવાહર બક્ષી

તું મળશે મને, એવો ભ્રમ તો નથી,
નહીં મળવું એ પણ નિયમ તો નથી.

વિરહની વ્યથામાં મિલનની મજા,
વિરહ ક્યાંક પોતે સનમ તો નથી.

ન ડરશો કે આયુષ્ય લાંબું મળ્યું,
જીવન જીવવું એકદમ તો નથી.

ગઝલ લખવા જાઉં ને શંકા પડે,
હું પોતે કોઈની કલમ તો નથી.

હવે કેમ એકેય ઇચ્છા નથી,
‘ફના’ ક્યાંક છેલ્લો જનમ તો નથી.

– જવાહર બક્ષી

આમ તો આખી ગઝલ સરસ છે, પણ બીજો, ચોથો અને છેલ્લો શેર સ-વિશેષ ધ્યાનાર્હ થયા છે. પહેલીવાર વાંચતાવેંત ગમી જાય એવા, પણ બીજી-ત્રીજી વાર વાંચો તો કવિને સલામ ભરવાનું મન થાય એવા…

Comments (3)

પૃથ્વી – મનોજ ખંડેરિયા

અહીં ખંડિત થવાનો અર્થ માણસ એટલે માટી
ચહેરો તૂટવાનો અર્થ માણસ એટલે માટી

હજારો સાલ પહેલાંના મળે અવશેષ ભીતરથી
જીવનને ખોદવાનો અર્થ માણસ એટલે માટી

મલય–લ્હેરે સૂકી ઘટનાની કચારી હલબલી ઊઠી
કે ઇચ્છા મ્હોરવાનો અર્થ માણસ એટલે માટી

સતત ફરતા રહે છે ચાકનાં પૈડાંની ઝડપે સહુ
અહીંયા ઘૂમવાનો અર્થ માણસ એટલે માટી

ખૂલી વરસો પછી મુઠ્ઠી તો ચપટી ધૂળ નીકળી’તી
રહસ્યો ખોલવાનો અર્થ માણસ એટલે માટી

ઘણા વખતે અમે ઝીલ્યા છે વ્હેલી વારના છાંટા
ત્વચા મ્હેકી જવાનો અર્થ માણસ એટલે માટી

અમે તો માટીનાં પૂતળાં કે રમતાં રમતાં તૂટવાના
નથી સમજાવવાનો અર્થ માણસ એટલે માટી

– મનોજ ખંડેરિયા

ટૂંકમાં કેટલું બધું કહી દીધું !!!

Comments (4)

આ ઘર, ઉંબર ને ફળિયામાં – ભગવતીકુમાર શર્મા

હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં ;
હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

તું રાત બની અંજાઈ જજે આ ગામનાં ભીનાં લોચનમાં ;
હું ઘેનભર્યું શમણાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

આ માઢ,મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસ્ ;
હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

કંકુ ખરખર, તોરણ સૂકાં, દીવાની ધોળી રાખ ઊડે;
હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં

સાન્નિધ્યનો તુલસીક્યારો થૈ તું આંગણમાં કૉળી ઊઠે;
હું પાંદ-પાંદ વીખરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

શ્વાસોના પાંખાળા અશ્વો કંઈ વાંસવનો વીંધી ઊડ્યાં ;
હું જડ થઈને જકડાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

ગઈકાલના ઘૂઘરાઓ ઘમક્યા, સ્મરણોનાં ઠલવાયાં ગાડાં;
હું શીંગડીએ વીંધાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

– ભગવતીકુમાર શર્મા

સમગ્ર કવિકર્મ મજબૂત ! કવિના સ્વમુખે આ ગઝલનો પાઠ સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ ગઝલનો મત્લો મનમાં સ્ફૂર્યો એના ચાર-પાંચ વર્ષે તેઓએ આ ગઝલ પૂરી કરેલી ! તેઓને મત્લો એટલો ગમી ગયેલો કે તેઓ ઇચ્છતા હતા કે સમગ્ર ગઝલ બળૂકી બને…

સુરતના ખૂબ જ મજબૂત અને રંગભૂમિને સમર્પિત નાટ્યકાર શ્રી કપિલદેવ શુક્લ મત્લાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ એ જાતે આ જ નામથી એક કરુણરસનું એકાંકી લખ્યું હતું જે ઘણું સફળ થયું હતું…

Comments (3)

વવાઈ ગયા પછી – જયંત ડાંગોદરા

દંતાળને પાંચ દાંતા હોય છે
દાંતાને છેડે અણીદાર ફળાં
ને આ ફળાં જ
પાણીથી ભીંજાઈને
મૃદુ બનેલી જમીનમાં
ખૂંચતાં રહે છે ખચ્ચ ખચ્ચ.
ધૂંસરીએ જોડેલો ધુરીણ
અવિરત ખેંચ્યા કરે એ દંતાળ
એની પાછળ દોરાતો ખેડૂત
ઓર્યા કરે ઓરણીમાં દાણા
ને થોડા દિવસમાં ઊગી નીકળે
ચાસને ચીરીને ખેતરમાં વાવેલાં બીજ.
શિશુ જેટલા જ લાડકોડથી
ઉછેરવાં પડે છે એને.
રક્ષણ કરવું પડે ડુક્કરથી
પછી નીંદણથી
ઇયળ, કીટક, મોલોમસી
ને છેલ્લે તીડનાં ટોળાંથી.
દાણાં ભરાય ત્યારે ન્હોર જેવી
હરાયાં પંખીની ચાંચોથી.
એક વખત વવાઈ ગયા પછી
બચવું મુશ્કેલ હોય છે.
અને જીવી જવું તો એથીય જીવલેણ.

– જયંત ડાંગોદરા

કવિતા પૂરી થવા આવે છેક ત્યાં સુધી કવિ આપણને ખેતરની જિંદગીની મુસાફરીએ લઈ જવા માંગતા હોય એમ જ લાગે. ખેતર ખેડવા માટેના અણીદાર ફળાંવાળાં પાંચ દાંતાવાળું દંતાળ ખભે લઈને બળદ ખેતર ખેડતો જાય અને ખેડૂત બી ઓરતો જાય એ દૃશ્ય કવિએ આબાદ ચિતર્યું છે. પાક ઊગે પછી કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે એનું પણ કવિએ રસાળ વર્ણન કર્યું છે. પણ અંતભાગ સુધી ગદ્યનિબંધ જણાતી રચના આખરી ત્રણ પંક્તિમાં અદભુત કાવ્યમાં પરિવર્તિત થઈ જાય છે. દંતાળના પાંચ દાંતા પાંચ ઇન્દ્રિય હોવાનું અનુભવાય છે અને ખ્યાલ આવે છે કે આખી વાત સંબંધની છે. એકવાર સંબંધ બંધાઈ જાય પછી એને ટકાવી રાખવું કેટલું મુશ્કેલ છે એ કવિએ ખેતીની પરિભાષામાં આબેહૂબ ચાક્ષુષ કર્યું છે…

Comments (45)

(મજા થઈ જશે) – નીરવ વ્યાસ

કોણ ક્યારે ખફા થઈ જશે?
આપણાં, પારકાં થઈ જશે.

જો વધારે ઘસાશે હજુ,
પથ્થરો આયના થઈ જશે.

રક્ત થીજી જશે તે પછી,
ઘા રુઝાઈ મતા થઈ જશે.

પાથરો છો ભલે ખાર પણ,
કૂંપળો તે છતાં થઈ જશે.

સ્હેજ નીરવ’ પડો-આથડો,
દોસ્તોને મજા થઈ જશે.

– નીરવ વ્યાસ

ટૂંકી બહરમાં સરળ અને મજાની ગઝલ…

Comments (1)

હિસાબ – પ્રદ્યુમ્ન તન્ના

જાવ જાવ જાદવજી જૂઠા!
અમને અબુધને શું આજ લગી આવડાં અવળાં ભણાવ્યાં તમીં ઊઠાં?!
કે જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…

વાહેં તમારી હાય લાજ્ય મરજાદ
ને સરવે વિસાર્યા સાનભાન,
ભક્તિ-મુક્તિની ભલી વાત્યુંમાં ભોળવઈ
કેવળ દીધાં ના વા’લાં દાણ,
રે મૈડાની હાર્યોહાર્ય હૈડાના હીરનીયે કરવા દીધી’તી લૂટલૂટાં!
જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…

અમથું અમથું તે એક કૌતુક થૈ’
આવ્યું ને કોરે કાળજડે કરી કોઠા,
પે’લવે’લી વાર બેઠાં ગણવા કે જોઈ ક્યાંક
આપલેનાં આંક નહીં ખોટા!
રે આવડિયો એવો અમીં માંડ્યો હિસાબ તો ઉત્તર કંઈ લાધ્યા અનૂઠા!
જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…

આજ લગી ચૂકવ્યાં તે અરધાં માધવ
રહ્યાં અરધાં તે નથ્થ હવે દેવા,
ભવે ભવે આવજો વૈકુંઠથી આંહીં વ્રજે
લેણાં બાકીનાં બધાં લેવા!
રે નિજની માયામાં રાજ રે’જો અટવાયા હવે તમીં બંધાયા અમીં છૂટાં!
કે જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા…

– પ્રદ્યુમ્ન તન્ના

પ્રેમ હોય ત્યાં મીઠો કલહ તો હોવાનો જ. અને કૃષ્ણ સાથે ગોપીઓનો ઝઘડો તો યુગો-યુગોથી ચાલતો આવ્યો છે. ‘જાવ જાવ જાદવજી જૂઠા’- ‘જ’ અને ‘વ’ની અદભુત વર્ણસગાઈ સાથે ઉપાડ લેતું આ ગીત પણ આ જ ઝઘડાની પાર્શ્વભૂ પર ઊભું છે. પોતાના અબુધપણાનો સ્વીકાર કરીને ગોપી જાદવજી પર સીધું જ પોતાને આજીવન ઊંઠા ભણાવ્યા હોવાનું આળ લગાવી એમને જૂઠાકરાર આપે છે. લાજ-શરમ તો ઠીક, સાન-ભાન પણ નેવે મૂકીને ગોપીઓએ કેવળ દાણ જ નથી દીધાં, મહિડાંની સાથે હૈડાંનીય લૂંટાલૂંટ કરવા દીધી છે. પણ આ સમર્પણની અવસ્થામાં એકવાર ગોપીને અમસ્તું થોડું કૌતુક થાય છે અને કોરા કાળજાંની નોટબુક પર કોઠા કરીને એ ગણતરી કરવા બેસે છે. જાદવજી સાથેની પોતાની આપલેનો હિસાબ ક્યાંક ખોટો તો નથી મંડાઈ ગયો ને! અબુધ ગોપી આવડે એવો હિસાબ માંડે છે તો અનૂઠા ઉત્તર સાંપડે છે. હકીકત તો એ છે કે ગોપીઓએ તો સર્વસ્વ લૂંટાવ્યું છે અને કાનુડો બધું લઈને એમને ત્યાગી ગયો હતો. પણ ભક્તિનો તો હિસાબ જ અલગ. ગોપી હિસાબ એવો માંડે છે કે મૂળ લેણિયાત કૃષ્ણ છે અને પોતે આજ લગી એને જે આપ્યું એ દેવાની ચૂકવણીનો જ એક ભાગ હતું. આજ સુધીમાં અડધું દેવું ચૂકવાઈ ગયું હોવાનું કહીને બાકીનું અડધું ચૂકવવાનો એ નનૈયો પરખાવે છે. પાર્ટી ઊઠી ગઈ જ સમજી લ્યો, જાદવરાય!!! હવે કૃષ્ણને જો એનું બાકીનું લેણું વસૂલવું હોય તો આવે વૈકુંઠ્થી વ્રજનો ધરમધક્કો ખાવા. લેણદારને ઉધારી વસૂલવાની જવાબદારીમાં બાંધી દઈ ગોપી પોતાને મુક્ત જાહેર કરી દઈને કૃષ્ણ સાથેની મુલાકાત કેવી ચતુરાઈપૂર્વક પાક્કી કરી દે છે… અને આવી બાહોશ દેણદાર વળી પોતાને તો અબુધ કહેવડાવે છે…

આખા ગીતમાં ઠેકઠેકાણે વર્ણસગાઈનું સંગીત તળપદી ભાષામાં એવી રીતે ગૂંથાયું છે કે ગીત વાંચતા જ વહાલું લાગે…

Comments (6)

ચિરવિરહીનું ગીત – રમેશ પારેખ

આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

કદી ન આવે યાદ એટલું દૂર નીકળી ગયા પછી પણ
કોનો પદસંચાર ધબકતો છાતીના પોલાણે
કોઈ અધૂરા પ્રેમપત્ર-શી વેરણછેરણ ઋતુઓ
ઊડતી આમ મૂકીને કોણ ગયું તે આંગળીઓ શું જાણે

આંગળીઓ શું જાણે આ તો લોહિયાળ પાતાળો વીંધી
પાંપણ ઉ૫૨ ઝળુંબતાં આંસુનાં ટીપાં સાવ આપણાં છે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

ઠેસે ઠેસે ફૂટી ગયું છે, દૃશ્યોમાંથી આરપાર દેખાતા
ભમ્મર વિસ્તારોમાં ભાગી છૂટતું છૂટતું ‘ જોવું ’
સુક્કાસુક્કા ટગરવૃક્ષ ૫૨ ફૂલ થઈને બેસી રહેતો
રહ્યો-સહ્યો વિશ્વાસ ચૂંટીને કયા તાંતણે પ્રોવું?

આમ આપણું વસવું એ કૈં કપાસિયાનો છોડ નથી કે
ખૂલશે ત્યારે લચી આવશે પોલ એટલે બંધ બારણાં છે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?

– રમેશ પારેખ

સ્તબ્ધ કરી દેતી કવિતા….

સંબંધોને તૂટતાં જોયા છે, જાતે અનુભવ્યા છે, hindsight માં હમેશા એવું જ લાગ્યું કે એ સંબંધોના પાયા જ કાચા હતા…. Worshipping false Gods જેવી કોઈ મૂર્ખતા નથી….પણ આ વાત પારાવાર વેદનામાંથી પસાર થયા વગર સમજાતી નથી.

 

Comments (2)

(તાલીમ) – વજેસિંહ પારગી

ઊભા થઈએ
તો
છાપરું અડે
લાંબા થઈએ
તો
ભીંતડું
તોય
કાઢી નાંખ્યો જનમારો
સાંકડમાંકડ

દોહ્યલામાં કામ લાગી
માના પેટમાં મળેલી
ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ

– વજેસિંહ પારગી

(દોહ્યલું –દુઃખ, સંકટ)

અછાંદસની ખરી વિભાવના ચરિતાર્થ કરતી એકદમ ટૂંકી ટચરક કવિતા. એક શબ્દ પણ આમથી તેમ ન કરી શકાય એવી રચના. અને એટલી સરળ-સહજસાધ્ય છે કે કશી ટિપ્પણીનીય મહોતાજ નહીં… વળી વાંચતાની સાથે હૈયામાંથી એકસાથે આહ અને વાહ બંને નીકળી જાય એની ગેરંટી… સલામ, કવિ!

બશીર બદ્રનો એક શેર યાદ આવે:

ज़िंदगी तू ने मुझे क़ब्र से कम दी है ज़मीं
पाँव फैलाऊँ तो दीवार में सर लगता है

Comments (18)

(બેન કહીને હેનો બોલાવસ?) – દેવાંગી ભટ્ટ

લાજતો નથ બળ્યા કાળમુખા, મન ‘બેન’ કહીને હેનો બોલાવસ ?
હૈયાના દેતવાને ઠારવાનો હોય, તું રોયા ફૂંકી- ફૂંકીને પેટાવસ ?

બેન તારી હગલીયું ને બેન બલારાત, બેન તારી પાડોશણ રાધા,
ઈ રાધુડી પયણીને બીજે ગુડાય ઈની રાખી સે મનમાં મેં બાધા,
આખા મલકમાં છાકટો ફરસ, ને મન જન્ટલમનવેડા દેખાડસ ?
લાજતો નથ બળ્યા કાળમુખા, મન બેન કહીને હેનો બોલાવસ ?

ઓતરા દાડે હું દહીં લેવા આવું’સ, તે મારે ત્યાં ગાય-ભેંશુ નથ ?
ઊંધું ઘાલીને મૂઆ વાટકી દઈ દે’સ, તને પઈનુંય હમજાતું નથ ?
હંધાયે લોકની સેડતી કરસ, ને મને શાહુકાર થઈને કવરાવસ ?
લાજતો નથ બળ્યા કાળમુખા, મન બેન કહીને હેનો બોલાવસ ?

– દેવાંગી ભટ્ટ

દેવાંગી ભટ્ટને નવલકથાકાર અને અભિનેત્રી તરીકે આપણે સહુ ઓળખીએ છીએ પણ આજે એમની નવીન ઓળખ સાથે મુખામુખ થઈએ. તળપદી ભાવેણા ભાષામાં ગામની ગોરીનું હૈયું જેના પર આવી ગયું છે એ છેલછબીલો એને બહેન કહીને સંબોધે છે એ ઘડીએ ફાટતા જ્વાળામુખીની ક્ષણનું આ ગીત છે. જેને મનનો માણીગર માની લીધો છે એની પાસે હૈયાની આગ ઠારવવાની અપેક્ષા હોય, એના સ્થાને આ રોયો તો ફૂંકી-ફૂંકીને આગ વધુ પ્રજ્વલિત કરે છે. જે રીતે નાયિકા આ તારી બેન ને પેલી તારી બેનના છાજિયા લઈને પિયુની પાડોશણ રાધાના કારણે પોતાને અનુભવાતી અસલામતી વ્યક્ત કરે છે એ તરત આપણને સ્પર્શી જાય છે. એમાંય જન્ટલમનવેડા તો હાય હાય! કેવું સરસ! પોતાના ઘરે ગાય-ભેંસ હોવા છતાં પિયુના ઘરે વારેઘડીએ દહીં માંગવા નાયિકા પહોંચી જાય અને પઈનીય સમજ ન ધારવતો નાયક ઊંધુ ઘાલીને વાડકી ભરી દે છે ત્યારે નાયિકાનો પુણ્યપ્રકોપ વળી ઓર ઊંચાઈએ પહોંચે છે… સરવાળે, સીધું હૈયામાં ઘર કરી જાય એવું ગીત!

Comments (30)

(ત્યાં કશું નથી) – રિન્કુ રાઠોડ ‘શર્વરી’

અરે ઓ દિલ ! જરાક થોભ, યાર, ત્યાં કશું નથી,
જવાને થાય જ્યાં તું બેકરાર, ત્યાં કશું નથી.

અમારી લઈ લીધી તલાશી, બાપ, બસ કરો હવે;
એ મારી ઝૂંપડી છે નામદાર, ત્યાં કશું નથી.

હૃદયમાં ના મળી જગા તો તમને દોષ શાને દઉં?
તમે કહ્યું હતું અનેક વાર, ત્યાં કશું નથી.

અમારી જિંદગીય ઐતિહાસિક એ રીતે થઈ,
લડાઈથી વધીને યાદગાર ત્યાં કશું નથી.

ભલે ને લાગતું કે પ્રેમમાં બધાંય સુખ મળે,
કહે છે એ વિષયના જાણકાર ત્યાં કશું નથી.

– રિન્કુ રાઠોડ ‘શર્વરી’

આશ્ચર્ય જન્માવે એવા બહુ જ ટૂંકા ગાળામાં કવયિત્રી એમના ત્રીજા ગઝલસંગ્રહ ‘તો તમે રાજી?’ લઈને આપણી વચ્ચે આવ્યા છે. કવયિત્રી અને એમના સંગ્રહનું લયસ્તરો પર સહ્રદય સ્વાગત…

‘ત્યાં કશું નથી’ જેવી રદીફને કવયિત્રીએ યથોચિત નિભાવી જાણી છે. પાંચેપાંચ શેર આસ્વાદ્ય થયા છે..

Comments (7)

(મુફલિસની રેવડી) – હરીશ મીનાશ્રુ

એક મુફલિસની રેવડી જાણે
છે કયામતની આ ઘડી જાણે.

તરસને ઘૂંટણે પડી જાણે,
એ જ પી જાણે લડખડી જાણે.

રિન્દની આ રસમ ઈબાદતની,
તેજ સાથે તડાફડી જાણે.

મૂક પરથમ પહેલાં મસ્તક તું,
એ રીતે કે ન પાઘડી જાણે.

આભ ફાડે છે ખુદ રફુગર થૈ,
ચાલ ચાલે છે બેવડી જાણે.

કોણ આવ્યું કે ઘરની ભીંતો પણ
આમ કરતી પડાપડી જાણે.

તોછડી છે એની રહેમતની અદા,
આપણી કૈં નથી પડી જાણે.

એને મઝધાર શું કિનારો શું ?
પાણી વચ્ચે જે તરફડી જાણે.

એના આવ્યાના સહેજ ભણકારે,
આ ગલી પડશે સાંકડી જાણે.

આ ગઝલ એમની ઇશારત પર,
વાત પરખાવે રોકડી જાણે.

–હરીશ મીનાશ્રુ

અદા અનોખી છે, વાતો નોખી છે. મજબૂત ગઝલ….

Comments (2)

નથી…… – મરીઝ

નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી,
મળું હું તમને તો એમાં તમારું હિત નથી.

હવે કહો કે જીવન-દાસ્તાન કેમ લખાય?
અહીં તો જે જે પ્રસંગો છે સંકલિત નથી.

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

મળે ન લય તો ધમાલોમાં જિંદગી વીતે,
કે કોઈ શોર તો સંભળાવીએ જો ગીત નથી.

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

એ મારા પ્રેમમાં જોતા રહ્યાં સ્વાભાવિકતા,
કે મારો હાલ જુએ છે અને ચકિત નથી.

ભલે એ એક કે બે હો પછી ખતમ થઈ જાય,
મિલન સિવાય વિરહ મારો સંભવિત નથી.

જગતના દર્દ અને દુઃખને એ હસી કાઢે,
કરી દ્યો માફ હ્રદય એટલું વ્યથિત નથી.

ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’,
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

– મરીઝ

1917 ની 22 ફેબ્રુઆરી મરીઝસાહેબનો જન્મદિન….

ત્રીજો શેર જુઓ –

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

હું તો આ શેર પર જ જાણે અટકી ગયો છું…. શું સરળ વાણી અને કેવી ઊંડી વાત !! તું જીતતી હોય તો હાર શું ચીજ છે ! પણ આમ તો તારી જીત પણ નથી….. લાજવાબ !!

 

છેલ્લેથી બીજો શેર – જગતના દર્દ અને દુખને….. – આ શેરની ઊંચાઈ પણ જબરદસ્ત !

Comments (4)

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવાં
.                         આંગળીથી માખણમાં આંક્યાં;
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
.                         ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એનાં હોઠ બે બીડાયાં હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું ને સરી
.                         હાથેથી મોગરાની માળા;
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું
.                         કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદાને કહો રે
કોઈ જઈને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

– હરીન્દ્ર દવે
(૧૯૬૧)

કાનકુંવરના પરાક્રમો અને ફરિયાદો હદપાર વધી ગયા હોવાનું પ્રતીત થતાં યશોદા માતા એને સીધો કરવા માટે શુદ્ધ હિંદુસ્તાની શૈલીમાં થાંભલા સાથે બાંધી રાખવાની સજા કરી પોતાના કામમાં પરોવાઈ ગયાં. એ પછીની ક્ષણોને કવિનો કેમેરા કેવી અદભુત રીતે ઝીલે છે એ જુઓ! ગીત બહુ જાણીતું છે પણ માખણ જેવું મુલાયમ છે અને વારંવાર મમળાવવું ગમે એવું છે…

Comments (3)

દળણું – યોગેશ વૈદ્ય

દળતાં રહેશું દળણું

ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું

ઘ૨ર્ ઘ૨ર્ ઘર્ ફરે ઘંટલો
.                ખરડ ધાન ભરડાતું
ચૂવે પાણિયારે પરભવ ને
.                કંઠે રાન સુકાતું
નથી બોલતા કાગ
.                નથી કંઈ ઊગતું કંચનવરણું
ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું

જ્યાં લગ દીવડે દિવેલ રહેશે
.                આ અંધારાં દળશું
ફરીફરીને જાત ઓરશું
.                મૂળમાં પાછાં વળશું
અને તોળતાં રહેશું
.                દૂરના ડુંગ૨ સામે તરણું
ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું
દળતાં રહેશું દળણું

– યોગેશ વૈદ્ય

જીવન છે ત્યાં સુધી શ્વાસ લેવાનું ને કામ કરવાનું બંધ થવાનું નથી. ગૂંઠે ભલે કોઈ મસમોટી મિરાત ન હોય અને જીવનમાં ઉત્સાહનોય અભાવ કેમ ન હોય, દળણું દળતાં જ રહેવાનું છે. જીવતરની ઘંટી ફરતી રહે છે ને માંહ્ય ખરડ ધાન જેવા આપણે ઓરાવાનું છે ને ભરડાવાનું છે. જન્મારો જાણે કે પાણિયારે ચૂવી રહ્યો છે અને કંઠને એક ટીપુંય હાંસિલ નથી. કોઈના આવવાની એંધાણી નથી એ વાત કાગડાના મૌનથી સિદ્ધ થાય છે. જીવનને સોનું બનાવે એવું કશું ઊગી રહ્યું નથી. પણ તોય આ લાખ નિરાશાઓની વચ્ચે પણ કાયામાં શ્વાસ રહેશે ત્યાં સુધી અંધારાં દળીને અજવાળાં મેળવવાની કોશિશ તો જારી જ રહેનાર છે. દૂરના ડુંગરા જેવા સુખને પ્રાપ્ત તરણાંથી તોળી તોળીને ઉદ્ધાર ન થાય ત્યાં સુધી આ કાર્ય ભવોભવ ચાલુ રહેનાર છે.

Comments (6)

(જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ!) – પારુલ ખખ્ખર

ફરી દીવા, ફરી સરઘસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ,
તું જોયા કર બધા ફારસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

લઈ અંધારનું ખંજર કરી ગઈ રાત કારી ઘા,
ફફડતું ધ્રુજતું ફાનસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

ભલે ઝંડા ઉપાડે ને ભલે ડંડા ઉપાડે, પણ
નથી જીવતો અસલ માણસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

નથી લોહી ઉકળતું કે હવે આંસુ નથી વહેતાં,
ઉપરથી જીભની આળસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

રગેરગ લ્હાય બળશે ને પછી જાતે ઠરી જાશે,
કકળશે વાંઝિયા ખૂન્નસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

કલમને લાખ સમજાવી પરંતુ ચૂપ નથી મરતી,
કરી બેઠી ફરી સાહસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

લખી શકતા, કહી શકતા, મરી શકતા -એ પેઢીના
છે ‘પારુલ’ આખરી વારસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

– પારુલ ખખ્ખર

સારી કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચે જે પાતળો તફાવત છે એ યોગ્ય શબ્દની યથોચિત પસંદગીનો કહી શકાય. અહીં ‘જમૂરા’ને આવો જ શબ્દ ગણી શકાય. ગઝલમાં ભાગ્યે જ પ્રયોજાતો આ શબ્દ આખી ગઝલને જાણે પોતાના ખભે ઊંચકી લઈ રચનાને નવી જ ઊંચાઈ આપવામાં સફળ થયો છે.

જે ઘટનાના પ્રતિઘાતે આ રચનાને જન્મ આપ્યો એ કોઈથી અછતી નથી. સુરતમાં એક લબરમૂછિયા પ્રેમીએ છોકરીએ લગ્ન કરવાની ના કહેતાં સરેઆમ સહુની સામે છોકરીના ગળા પર છરી ફેરવીને નિર્મમ હત્યા કરી અને તમાશબીન લોકો હિંમત કરી આગળ આવવાના બદલે વિડિયો ઊતારીને ફોરવર્ડ કરવામાં રત રહ્યા. જો કે રચનાની ઇબારત કંઈક એવી ઘડવામાં આવી છે કે એ આવા કોઈ પણ સંદર્ભોથી પર અને કાલાતીત થઈ છે.

ન ઘટવાનું ઘટી ગયું. સમય પર ફારસ જોતાં રહેલ લોકો હવે દીવા-મીણબત્તી લઈને વિરોધ સરઘસ કાઢશે. આવી ઘટનાઓ સતત બનતી જ રહે છે કારણ કે અસલી માણસ તો હવે જીવતો જ નથી. ‘શબવાહિની ગંગા’ વખતે પ્રચંડ લોક આક્રોશનો ભોગ બની હોવા છતાં કવયિત્રીની કલમ સામાજિક દાયિત્વ ચૂકી શકવા અસમર્થ છે. લાખ સમજાવવા છતાં કલમ ચૂપ મરવાના બદલે ફરી સાહસ કરી બેઠી છે. મક્તા તો અદભુત થયો છે. જે લોકો સંવેદનશીલ છે, વ્યક્ત થઈ શકે છે એવા લોકોની આખેઆખી પ્રજાતિ હવે નેષ્ટનાબૂદ થવા પર આવી હોવાની વાત મીઠામાં બોળેલા ચાબખાની જેમ આપણી ઊઘાડી સંવેદનાઓની પીઠ પર વીંઝાય છે…

જમૂરા! ઓમ શાંતિ બોલ… કેમ કે આપણે બીજું તો કશું કરી શકવાને સમર્થ નથી…

Comments (16)

નૈં થાય…. – અનિલ ચાવડા

આનંદ પજવશે, ને ઉલ્લાસ સહન નૈં થાય,
એવી ય ઘડી ઘટશે કે શ્વાસ સહન નૈં થાય.

તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને;
ઘૂવડથી કદી સ્હેજે અજવાસ સહન નૈં થાય.

બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો?
વિશ્વાસ મૂકી દેને, વિશ્વાસ સહન નૈં થાય.

છે માપ મુજબ ફળિયે તેથી જ વખાણે છે!
જો સ્હેજ વધુ ઊગશે તો ઘાસ સહન નૈં થાય.

મારી જ ભીતર રહીને ધબકે તું બીજા માટે?
નૈં થાય, હૃદય! આવો ઉપહાસ સહન નૈં થાય.

– અનિલ ચાવડા

Comments (4)

रंजिश ही सही – અહમદ ફરાઝ

रंजिश ही सही दिल ही दुखाने के लिए आ
आ फिर से मुझे छोड़ के जाने के लिये आ

ભલે રહી નારાજગી, દિલને દુઃખવવા તો આવ ! આવ, ફરીથી મને છોડી જવા માટે આવ.

कुछ तो मेरे पिन्दार-ए-मोहब्बत का भरम रख
तू भी तो कभी मुझ को मनाने के लिये आ

મારા પ્રેમના ગર્વનો થોડો તો ભ્રમ રહેવા દે ! તું પણ ક્યારેક મને મનાવવા આવ !

पहले से मरासिम ना सही फिर भी कभी तो
रस्म-ओ-रहे दुनिया ही निभाने के लिये आ

ભલે પહેલા જેવો મેળ ન હોય, તો પણ ક્યારેક તો દુનિયાદારીની રસ્મ નિભાવવા ખાતર તો આવ !

इक उम्र से हूँ लज्ज़त-ए-गिरया से भी महरूम
ऐ राहत-ए-जां मुझको रुलाने के लिये आ

એક આખી જિંદગીથી દિલ ખોલીને રડવું પણ નસીબ નથી, ઓ પ્રાણપ્રિયા મને રડાવવા ખાતર તો આવ !

माना के मोहब्बत का छुपाना है मोहब्बत
चुपके से किसी रोज़ जताने के लिए आ

માન્યું કે મહોબ્બ્તને છુપાવવું એ પણ મહોબ્બત જ તો છે ! ચુપકીથી કોઈ દિવસ તે સાબિત કરવા આવ !

जैसे तुम्हें आते हैं ना आने के बहाने
ऐसे ही किसी रोज़ न जाने के लिए आ

જેમ તને ન આવવાના બહાનાઓ આવડે છે, તે જ રીતે કોઈ દિ’ ન જવા માટે આવ !

किस किस को बताएँगे जुदाई का सबब हम
तू मुझ से खफा है तो ज़माने के लिये आ

કોને કોને કહેતા ફરીશું જુદાઈના કારણો ? તું મારાથી નારાજ છે તો કમ સે કમ જમાનાને ખાતર તો આવ !

अब तक दिल-ए-खुशफ़हम को हैं तुझ से उम्मीदें
ये आखिरी शम्में भी बुझाने के लिये आ

આ દિશાભ્રમિત દિલને હજુ તારાથી ઉમ્મીદ છે, બસ, હવે આ આખરી શમાને પણ બુઝાવવા આવ !

– અહમદ ફરાઝ

વેલેંટાઈન ડે પર એક શુદ્ધ પ્રેમનું ગાન મૂકવું હતું, આંખો બંધ કરી તો પહેલી આ ગઝલ યાદ આવી. એક એક શેર એક એક કિતાબ બરાબર છે….

એક માન્યતા એવી છે કે રોમેન્ટિક પ્રેમ એ આત્મવંચનાનો જ એક પ્રકાર છે. આ વાતથી વધુ હાસ્યાસ્પદ વાત મને કોઈ નથી લાગી. જિબ્રાન કહે છે ને કે – ” તમારામાં પાત્રતા હશે તો પ્રેમ તમને એના આગોશમાં સમાવશે.”

ગઝલનો ભાવ કરુણ છે, પણ વાત તડપની છે. પ્રેમની છટપટાહટની છે. ભક્ત જેમ ભિન્નભિન્ન પ્રકારે ભગવાનને આવવા વિનવે છે તેમ માશૂકને આવવા હજાર વિનંતી આશિક કરે છે. કારણ તારી મરજીનું રાખ પ્રિયે, પણ એકવાર આવ…..

મહેંદી હસનસાહેબના અવાજમાં –

 

 

Comments (3)

(છતાંયે ઘાવ તાજો છે) – પારુલ ખખ્ખર

થયો છે સાવ ઘરડોખખ છતાંયે ઘાવ તાજો છે,
કરી જોઈ દવા નવલખ છતાંયે ઘાવ તાજો છે.

ઘણો આપ્યો સમય આ ભીંગડું વળવાની ઘટનાને
અને નાથીને રાખ્યાં નખ છતાંયે ઘાવ તાજો છે.

થયું કે વ્યક્ત કરવાથી દરદ હળવું પડી જાશે,
કર્યું છે એટલે લખ-લખ છતાંયે ઘાવ તાજો છે.

મગજ નેવે મૂકીને અવનવા નુસ્ખા કરી જોયાં,
બન્યા જાણીજોઈ મૂરખ છતાંયે ઘાવ તાજો છે.

જૂનો થાશે- મટી જાશે, જૂનો થાશે- મટી જાશે,
કરું છું ક્યારની ભખભખ છતાંયે ઘાવ તાજો છે.

હજારો લોઢ લોઢાયા અને કરમાઈ ગઈ કાયા,
થઈ છે જિંદગી દોઝખ છતાંયે ઘાવ તાજો છે.

વિચાર્યું, ઝેરનું મારણ કદાચિત ઝેર હો- તેથી
મલમ સાથે લગાડ્યું વખ છતાંયે ઘાવ તાજો છે.

– પારુલ ખખ્ખર

આજની તારીખે કાવ્યક્ષેત્રે સક્રિય તમામ સર્જકોમાં પારુલ ખખ્ખરનું સ્થાન સાવ નોખું તરી આવે છે. ગીતોમાં તો એમની ગતિ સૌથી ન્યારી છે જ, ગઝલોમાં પણ એમણે અલગ કાઠુ કાઢ્યું છે. ‘છતાંયે ઘાવ તાજો છે’ જેવી નિભાવવી અઘરી પડે એવી રદીફને કવયિત્રીએ તંતોતંત સાચવી છે. ઊડીને આંખે વળગે એવું ગઝલનું બીજું જમા પાસું છે પ્રમાણમાં અરુઢ અને ચુસ્ત કાફિયાઓની પસંદગી. રદીફ-કાફિયાની બેવડી કસોટીમાંથી પાર ઉતરીને સર્જકે આપણને લાંબો સમય મનોમસ્તિષ્કમાં તાજી રહે એવી મજાની સંઘેડાઉતાર રચના આપી છે, એને હળવે હળવે મમળાવીએ…

Comments (13)

(અંધારું શાહીનું) – વજેસિંહ પારગી

બેસી રહ્યો
રાતભર
પકડીને પેન
પણ
ન ચાંદ ઊગ્યો
કે
ન તારા ઊતર્યા
કાગળ પર

જોવું હતું
ચાંદરણું
શબદનું
પણ
જોવું પડ્યું
અંધારું
શાહીનું

– વજેસિંહ પારગી

શબ્દ સાથે આપણો સીધો ઘરોબો છે. શબ્દ આપણો ગર્ભસંસ્કાર છે. ચૈતન્યની કોઈ પણ અવસ્થા એવી નથી જેમાં આપણે શબ્દમુક્ત –નિઃશબ્દ હોઈએ. પણ કવિનો શબ્દ સામાન્યજનના શબ્દથી અલગ છે. સર્જકનું સર્વકાલીન ચૈતન્ય સુવાંગ રસાઈને પ્રકટે ત્યારે કવિનો શબ્દ જન્મ લેતો હોય છે. એટલે જ ક્યારેક જીવનમાં એવો તબક્કો પણ આવતો હોય છે, જ્યારે કવિની કલમમાંથી શબ્દો નહીં, કેવળ શાહી જ કાગળ પર અવતરતી હોય છે. સિસૃક્ષા ગમે એવી પ્રબળ કેમ ન હોય, ‘રાઇટર્સ બ્લૉક’ દરેક સર્જકના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. રાતભર કાગળ ઉપર શબ્દોનું આકાશ અવતારવા બેસી રહેલ કવિને લાખ ઇચ્છા છતાં શાહીનું અંધારું જ નસીબ થાય એવી કોઈક વાંઝણી પળનું સાવ નાનકડું પણ અર્થગહન, એવું આ કાવ્ય વાંચતાવેંત ગમી જાય એવું છે. કવિવર રાજેન્દ્ર શુક્લનો એક શેર પણ આ સંદર્ભમાં માણવા જેવો છે:

ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.

Comments (10)

रात भर – ફૈઝ અહમદ ફૈઝ

आप की याद आती रही रात भर
चाँदनी दिल दुखाती रही रात भर

રાતભર આપણી યાદ આવતી જ રહી….રાતભર ચાંદની દિલ દુઃખવતી રહી…

गाह जलती हुई गाह बुझती हुई
शम-ए-ग़म झिलमिलाती रही रात भर

કદીક જલતી રહી કદીક બુઝતી રહી, દર્દની શમા રાતભર ટમટમતી રહી..

कोई ख़ुशबू बदलती रही पैरहन
कोई तस्वीर गाती रही रात भर

કોઈ ખુશ્બુ વસ્ત્રો બદલતી રહી, કોઈ તસ્વીર ગાતી રહી…..

फिर सबा साया-ए-शाख़-ए-गुल के तले
कोई क़िस्सा सुनाती रही रात भर

ફૂલની ડાળીના છાંયે હવાની લહેર આખી રાત કોઈ કિસ્સો સંભળાવતી રહી….

जो न आया उसे कोई ज़ंजीर-ए-दर
हर सदा पर बुलाती रही रात भर

જે ન આવ્યું તેને કમાડની સાંકળ દરેક અવાજે બોલાવતી રહી…

एक उम्मीद से दिल बहलता रहा
इक तमन्ना सताती रही रात भर

એક ઉમ્મીદથી દિલ બહેલતું રહ્યું, એક તમન્ના રાતભર સતાવતી રહી…

– ફૈઝ અહમદ ફૈઝ

છાયા ગાંગુલીને કંઠે ગવાયેલી એક મશહૂર ફિલ્મી ગઝલ – કે જેની સાથે આ ગઝલને ઘણું સામ્ય છે તેના શાયર ફૈઝસાહેબ નથી, તે ગઝલ મખદૂમ મોહીઉદ્દીનસાહેબની છે. આ ગઝલ મુકવાનો ખાસ હેતુ એ કે કોઈ શેર એવો કંઈ ખાસ નથી, ન તો અર્થનું ઊંડાણ છે. પરંતુ આ ગઝલ એક ચિત્ર સર્જે છે, એક માહોલ ઊભો કરે છે, એક મૂડ બનાવે છે અને ભાવક એક અલગ જ ભાવવિશ્વમાં પહોંચી જાય છે. જો આ ગઝલ સાંભળીએ તો આખો દિવસ આ જ ગઝલ મનમાં ગૂંજ્યા કરે અને દિલને સતાવતી રહે….આ જ ખૂબી છે આ ગઝલની અને આ જ સફળતા છે આ શાયરની….

Comments (3)

આ ભોગાવો! – વિનોદ અધ્વર્યુ

આ ભોગાવો!?
લુખ્ખા તરસ્યા પહોળા પટમાં
જરઠ કાળના ભાંગ્યા ટુકડા
વેરાયા થૈ પ્હાણ….
સૂસવતી… ભમે સતીની આણ
(રેત પરે પણ પડે હજીયે ચિતા તણા પડછાયા
પથ્થર પથ્થર પર વરતાતી કોક અસૂરી છાયા!)
કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ…
દાઢ દબાવી ઉભો ગઢ
ભેંકાર મહીં, માતાના મઢ
વિધવાની વણજાર સમાં સૌ મકાન
વચ્ચે ભમતી ભૂખી ગલીઓ..
અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર
[હજીય ઝંખે કંકુપગલાં –
ચૂંદડિયાળાં ચીર] –
પથ્થર-ચીતર્યા ઘોડા ઘૂમે
પથ્થરના અસવારો કેરી પથ્થરની તલવાર ઝઝૂમે,
ગઢ-વેરાને રવડે માથાં થૈને પથ્થર પ્હાણ…
ધૂળ-ડમરીએ વીંઝાઈ રહેતી અતીત કેરી આણ…
ઓ ભોગાવો !
કોરી રેતી …કોરા પ્હાણ..
કાંઠે
ખાલી ખપ્પર લઈને
બળબળતા સૂરજની સામે
ધૂણી રહ્યું વઢવાણ!

– વિનોદ અધ્વર્યુ

સ્થળ-કાવ્યોમાં આગવી ભાત પાડતા આ કાવ્યમાં પ્રવેશતા પહેલાં કેટલાક સંદર્ભ-સંકેત સમજી લેવા આવશ્યક છે. ભોગાવો નદી અને એના કાંઠે આવેલ વઢવાણ ગામનું એક અરુઢ ચિત્ર કવિએ કટાવ છંદમાં રજૂ કર્યું છે. બારમી સદીમાં રાણકદેવીની સુંદરતાના વખાણ સાંભળીને સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી. યુદ્ધમાં રાણકદેવીના પતિ રા’ખેંગાર અને પુત્રો શહીદ થયા. સિદ્ધરાજ રાણકદેવીને લઈને જૂનાગઢથી પાટણ જતો હતો ત્યારે વર્ધમાનપુરા (વઢવાણ) ખાતે ભોગવતી (ભોગાવો) નદીના કિનારે એણે રાણકદેવીને પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. રાણકદેવીએ સિદ્ધરાજને નિઃસંતાન મરવાનો શ્રાપ આપ્યો અને પતિની પાઘડી ખોળામાં લઈને સતી થયાં. કહે છે કે, ત્યારથી ભોગાવો નદી બારેમાસ સૂકી રહે છે. (આજે તો અન્ય નદીઓનાં પાણી વાળીને એને પણ વહેતી કરાઈ છે!)

સૂકીભઠ ભોગાવો નદીમાં વેરાયેલા પથ્થરોમાં કવિને જરઠ કાળના ટુકડા દેખાય છે. સતી રાણકદેવીની આણ પવન સાથે સૂસવાતી સંભળાય છે. ગામ પણ નદી જેવું જ શુષ્ક ભાસે છે અને ગઢ-માતાનો મઢ, માકાનો અને ગલીઓ સઘળે નર્યો સૂનકાર વ્યાપી રહ્યો છે. અવાવરું વાવના પાણીમાં કોઈ ચુંદડીયાળી સુહાગનના કંકુપગલાંનું અજવાળું હવે થતું નથી. ઠેરઠેર વેરાયેલા પડેલ પથ્થરોમાં કવિને જે તે સમયના યુદ્ધની ભૂતાવળ નજરે ચડે છે. નદીકિનારે નિર્જન ભાસતું નિષ્પ્રાણ વઢવાણ સમયના તાપ સામે ખાલી પાત્ર લઈને ધૂણી રહ્યું હોય એમ લાગે છે…

(સંદર્ભ સૌજન્ય: શ્રી રમેશ આચાર્ય તથા ગૂગલદેવતા)

Comments (12)

શ્યામસુંવાળું અંધારું – જયન્ત પાઠક

શ્યામસુંવાળું
સીસમ જેવું અંધારું
કિરણની કરવતથી વ્હેરાય

રજ રજ અજવાળું થૈ ખરે
પવનમાં ઊડે
પાંદડે બેસી ફરફરે !
પતંગિયાની પાંખો ઉપર તરે,
પાણીમાં બૂડે
રેતકણોમાં તળિયે ચળકે
મીન થઈને સળકે
આભ થઈને પથરાય
કીકીના કાજળમાં કલવાય
ટપકું થૈને ઝળકે!

– જયન્ત પાઠક

પરાપૂર્વથી અંધારું કવિઓને આકર્ષતું આવ્યું છે. જયન્ત પાઠક શ્યામસુંવાળું જેવા નમણાં વિશેષણથી સીસમ જેવા અંધારાને નવાજે છે. શ્યામ જેવો ગાઢો અંધકાર રેશમ જેવો સુંવાળો પણ છે અને વધુ ઘટ્ટ થાય ત્યરે એ સીસમ જેવો ઘન હોવાનું પણ અનુભવાય છે. પ્હો ફાટતાં પ્રકાશના કિરણની કરવતથી સીસમ જેવું અંધારું વહેરાતાં અજવાળું જાણે કે રજ-રજ થઈને ખરે છે અને સૃષ્ટિમાં ધીમે ધીમે અજવાસ જે રીતે પથરાય છે એને કવિનો કેમેરા આબાદ ઝીલે છે. કીકીના કાજળમાં કલવાઈને એ ટપકું થઈને ઝળકે છે ત્યાં જઈને કવિતા પૂર્ણ થાય છે.

Comments (5)

જીવન રમકડું છે – વિકી ત્રિવેદી

પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું બટકણું છે,
પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે.

યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો-
હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે!

સમંદર વિફર્યો તો એમને હું યાદ આવી ગ્યો,
મને કહેતા હતા જેઓ કે તું તો બસ, તણખલું છે.

પ્રભુ! મેં કેવી કેવી જંગ જોઈ એ તું જાણે છે,
આ દુનિયાને કહી દે, એ કરે છે એ છમકલું છે.

જે આવે છે એ મોટાભાગે પડતા હોય છે નીચે,
શું આ મારી નજરનું આંગણું એવું લપસણું છે?

તને જોશે તો એ ભાગી જશે, તું ચાલ આથમણો,
આ પૃથ્વી ગોળ છે સમજ્યો, ભલે ને સુખ ઉગમણું છે.

જરા ચાલું અને સાલું, મને એ ખૂંચવા લાગે,
જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે.

ન દુઃખનું દુઃખ, ન સુખનું સુખ, ન કોઈ પ્રેમ કે નફરત,
નવાઈ છે ‘વિકી’ તો પણ હજુ આ દિલ ધબકતું છે!

– વિકી ત્રિવેદી

સરસ મજાની ગઝલ. મન ઊઠાવી ન શકે એટલો બોજ વેંઢારી વેંઢારીને આપણે સહુ અકાળે તૂટી-ઝૂકી-હારી જતાં હોઈએ છીએ. પણ સમજુ માણસ એ જ કે પહેલાં મનની ક્ષમતાનો તાગ મેળવી લે અને પછી માફકસરનો બોજો લઈને જ દુનિયામાં ભટકવા નીકળે. રમકડાંવાળો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. ઈશ્વરને સંબોધીને દુનિયાને સંભળાવવામાં આવેલી વાત કવિની પોતાની આપવીતી છે. ભલભલાની છાતીનાં પાટિયાં બેસી જાય જીવનના દારૂણતમ સંજોગોનો માર વેઠીનેય અડીખમ રહી સ્વબળે આગળ આવેલ માણસ જ આ શેર કહી શકે. વગર માપે બનેલ પગરખું પહેરવાથી જે તકલીફ થાય એની વાત જિંદગીના ઉપલક્ષમાં કરતો શેર પણ ખૂબ મજબૂત થયો છે. લખાયેલ બધા જ શેર પ્રગટ કરવા બાબત થોડી તાકીદ કેળવી શકાય તો આ ગઝલકાર ટૂંકા સમયમાં કાઠુ કાઢવાની ક્ષમતા ધરાવે છે. સ્નેહકામનાઓ…

Comments (22)

(શિરામણમાં) – ડૉ.મનોજ જોશી ‘મન’

ખુશીમાં હોય કે દુઃખમાં, નિરાશા કે વિમાસણમાં,
ખરો માણસ છે! આપે છે બીજાના નામ કારણમાં.

પડી’તી મોજ ખૂબાખૂબ જે આખી મથામણમાં,
ખરેખર સાચું કહું? એવી મજા આવી ન તારણમાં.

તમારી યાદ અમને અવનવા પકવાન પીરસે છે,
ડૂમા રોંઢે ને ડૂસકાં વાળુએ, આંસુ શિરામણમાં.

મિલનની પળમાં અમને એક પણ શબ્દો ન યાદ આવ્યા,
વિરહની પળમાં અમને જાળવે છે એ જ સમજણમાં.

ખબર નહિ કેમ જ્યાં ને ત્યાં એ નફરત ઓકતો રે’ છે!
બધાની જેમ એણે પણ પીધો છે પ્રેમ ધાવણમાં.

– ડૉ.મનોજ જોશી ‘મન’

મનુષ્યસ્વભાવની ખરી વિડંબના ઉજાગર કરતા મત્લાથી પ્રારંભાતી આ આખી ગઝલ મનભાવન છે. ખરી મજા મંઝિલ-પ્રાપ્તિમાં નહીં, પણ સફરમાં હોય છે એ વાતને સાવ અલગ અભિગમથી રજૂ કરતો બીજો મત્લા પણ સરસ. ત્રીજો શેર શિરમોર થયો છે. પ્રિયજનની યાદો આખો દિવસ રડાવવા સિવાય બીજું કશું જ કરતી નથી એ વાતને કવિએ જે રીતે રજૂ કરી છે, એ કાબિલે-દાદ છે. પહેલાં તો કવિ યાદો અવનવાં પકવાન પીરસે છે એમ કહીને વાતને વળ ચડાવે છે પણ પછી દિવસના ત્રણેય ભોજનમાં એ કયાં-કયાં પકવાન પીરસે છે એનો ઘટસ્ફોટ કરે છે ત્યાં કવિકર્મને સલામ ભરવાનું મન થઈ જાય. મિલન-વિરહ અને શબ્દોની જમાવટ કરતો શેર પણ એવો જ સશક્ત થયો છે.

Comments (10)

…….શૂન્યતા – મનોજ ખંડેરિયા

પથરાઈ ગઈ છે આંખમાં સપનાંની શૂન્યતા
કોઈ વહી ગયું, રહી છાયાની શૂન્યતા

મૂંગો અવાજ આજ હજી કોરતો મને
પોલો બનાવી રહી મને પડઘાની શૂન્યતા

એકાંત કાળું ભીડનું વળગી ગયું મને
મારી જ સાથે આવતી રસ્તાની શૂન્યતા

પગરવની મ્હેક તો હવામાં ઓગળી ગઈ
કણસી રહી છે ધૂળમાં પગલાંની શૂન્યતા

સ્પર્શી રહી નગરનાં મકાનોની ભીંતને
જૂનાપુરાણા ધૂળિયા કિલ્લાની શૂન્યતા

– મનોજ ખંડેરિયા

મત્લાથી આગળ વધાયું જ નહીં જાણે કે મારા થી…..

Comments (5)

ખાનગી વાત – ધ્રુવ ભટ્ટ

નામ સ્મરણ ને સ્તુતિકથા સહુ મારું લોલમલોલ છે લલ્લા
કારણ તરત જ હું કહેવાનો अब तू इनका मोल दे अल्ला

કોણ છું હું ને કોણ તું ક્યાંની શોધ બધીયે બંધ કરાવું
લે હું કદી દઉં નામ तिहारा तू भी मेरा बोल दे अल्ला

કલ્પ કલ્પથી આ શું માંડી સંતાકૂકડી જેવી ગમ્મત
આજ કહું છું ખૂલ જા સીમ સીમ अब दरवाजा खोल दे अल्ला

જાનીવાલીપીનારાને હવે રંગનો થાક ચડયો છે
નામ પડેલા રંગો લઈ बेरंग इश्क में घोल दे अल्ला

એથી આગળ શું કહેવાનું સમજદાર છે સમજી લેજે
ચાલ પરસ્પરને કહી દઈએ तुझ को मुझ में छोड दे अल्ला

– ધ્રુવ ભટ્ટ

હિંદી-ગુજરાતી મિશ્રભાષી આ રચનાને ગઝલ કહેવી કે ગઝલનુમા ગીત કહેવું એ જરા દોહ્યલું છે. ગઝલ ગણીએ તો મત્લામાં લલ્લા સાથે અલ્લાનો પ્રાસ બેસાડ્યો હોવાથી એને કાફિયા ગણવા પડે પણ આગળ જતાં બાકીના શેરોમાં અલ્લા રદીફનો એક ભાગ હોવાનું પ્રમાણિત થાય છે અને લોલમલોલ-મોલ-બોલ વગેરે કાફિયાની જગ્યા લે છે, પણ આખરી શેરમાં વળી છોડ વાપર્યું છે ત્યાં કાફિયાદોષ થયો ગણાય.

પણ બે ઘડી રચનાના સ્વરૂપને બાજુએ મૂકીને એને ફક્ત કવિતા તરીકે એને પ્રમાણીએ તો આખી રચના મસ્ત મજાની થઈ છે. પાંચેય શેર જાનદાર થયા છે અને વાંચતાવેંત સોંસરવા ઉતરી જાય છે. ફરી-ફરીને વાંચો તો વધુ ને વધુ ગમતા જાય એવા…

Comments (8)