હું જે ધારું કોઈ દિવસ થાય ના?
દર્દ ચારેકોરથી વહેરાય ના?

દમ હજી દરિયામાં ક્યાં છે એટલો!
તું ડૂબાડી દે તો કંઈ કહેવાય ના.
– જુગલ દરજી

સ્હાંજ ઢળે ને સૂના મનને – તુષાર શુક્લ

સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર
બારણે ચીતર્યા લાભ, શુભ શી
આંખો, એ સુંદર…

સ્હાંજ ઢળે ને પાછાં વળતાં પંખી એને માળે
માળો ના ગૂંથ્યો હો એવાં, બેઠાં એકલ ડાળે
હું ય અહીં બેઠો છું એકલો, આવી સાગર પાળે
ખડક ભીંજવે, મોજાં, જાણે વ્હાલ ભર્યુ પંપાળે
વગર અષાઢે આંખતી વરસે, આંસુની ઝરમર
સ્હાંજ ઢળે ને સૂના મનને, યાદ આવતું ઘર

સૂરજ જેવો સૂરજ કેવો ક્ષિતિજે જઇ સમાતો
માના પાલવ પાછળ જાણે, બાળક કોઇ લપાતો
મીઠી યાદ થઇને કોઇ, વાયુ ધીમો વાતો
વૃક્ષ તણા પર્ણોની કેવળ સંભળાતી મર્મર
સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર

મનને આવું કાંઇ થતું નહીં, ઊગતી શાંત સવારે
બપોરની વેળાએ પણ, ના થાતી પાંપણ ભારે
સપનાં શોધતી આંખ મીંચાતી રાત તણે અંધારે
કેમ થતું મન ઉદાસ કેવળ, ઢળતી સંધ્યા જ્યારે!
આમ નિરુત્તર મન જાણ છે, ઘર એનો ઉત્તર.
સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર.

– તુષાર શુક્લ

 

બે ગીત યાદ આવે છે –

સાંજ ઢલે, ગગન તલે, હમ કિતને એકાકી…..

ફિર વહી શામ, વહી ગમ, વહી તન્હાઈ હૈ…..

2 Comments »

  1. pragnajuvyas said,

    January 13, 2022 @ 3:54 AM

    આમ નિરુત્તર મન જાણ છે, ઘર એનો ઉત્તર.
    સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર.
    વાહ્
    કવિશ્રી તુષાર શુક્લનું સ રસ ગીત
    યાદ આવે
    બા એકલાં જીવે
    બા સાવ એકલાં જીવે
    એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે
    બા સાવ એકલાં જીવે
    બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
    રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
    દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
    ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
    સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
    ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
    સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે
    બા સાવ એકલાં જીવે
    કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
    કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
    સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા
    બાના જીવતરની છત પરથી ઘણા પોપડાં ખરતાં
    સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
    બાએ સહુનાં સપનાં તેડયાં: કોણ બાને તેડે
    ફાટેલા સાળુડા સાથે કૈંક નિસાસા સીવે
    બા સાવ એકલાં જીવે
    કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ
    નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
    દાદાજીના ફોટા સામે કંઇક સવાલો પૂછે
    ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
    શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
    બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ
    જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે
    બા સાવ એકલાં જીવે
    – મૂકેશ જોશી

  2. જયેન્દ્ર ઠાકર said,

    January 14, 2022 @ 11:50 PM

    મનનો ખાલીપો અંતરને આમળી આમળી આંસુ પાડે છે પણ વિકળતાનો કોય ઉપાય નથી!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment