આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના !
મનોજ ખંડેરિયા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
February 12, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા
કોઈ આવ્યું માત્ર તારું નામ લઈ,
એમના માટે ઊભો છું પ્રાણ લઈ.
ઠેસ વાગી એક પાલવની જરા,
આજીવન ફરવું પડ્યું આઘાત લઈ.
જાગવાની જેને બીમારી હતી,
એ બધે જાતો હંમેશાં ખાટ લઈ.
કોઈને ક્યાં બેસવા દે છે નજીક,
જ્યારથી આવ્યા છે પંડિત જ્ઞાન લઈ.
છે કસોટીનો સમય તારો હવે
સૌ ઊભા છે આંખમાં સન્માન લઈ.
બુંદ સામે આખરે ઝૂકી ગયો,
હર ઘડી ફરતો હતો જે આગ લઈ.
એ વિચારે દ્વારને હું ખોલું છું,
કોઈ આવ્યું હોય તારી વાત લઈ.
– રાકેશ હાંસલિયા
ગઝલનો મત્લા પ્રેમની ચરમસીમાથી શરૂ થાય છે અને આખરી શેર પરમસીમા સુધી લઈ જાય છે. કોઈ સદેહે (દ્વાર પર) પ્રિયજનનું નામ લેતું આવ્યું છે, એટલામાં કથક પ્રાણ આપવાની તૈયારી સાથે ઊભા છે. આ થઈ ચરમસીમા. આખરી શેરમાં કોઈ સદેહે દ્વાર પર આવ્યું જ નથી. ખાલી એક વિચાર કથકને આવ્યો છે. એટલામાં કવિએ (દિલ અને દુનિયાના) દ્વાર ખોલી નાંખ્યા છે. બંને શેરમાં પ્રિયજનનું નામ કે વાત લઈ કોઈ આવ્યું હોય તો જીજાનથી સ્વાગત કરવાની તૈયારીની જ વાત છે પણ મત્લામાં મૂર્તનો સાક્ષાત્કાર હતો એ આખરી શેરમાં અમૂર્ત સુધી પહોંચ્યો. આ થઈ પરમસીમા.
આ બે શેર વચ્ચેના તમામ શેર પણ માંડીને વાત કરવાનું મન થાય એવા પાણીદાર થયા છે. આવી સંગોપાંગ સુંદર ગઝલ આજકાલ બહુ ઓછી જ મળે છે.
Permalink
February 11, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રેશ મકવાણા 'નારાજ'
રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
આ બધી નકલી છે આંબાવાડીઓ?
કોઈ કોયલ કેમ અહીં ગાતી નથી?
કાં રમકડું લઈ શકું કાં રોટલી,
વાત એ બાળકને સમજાતી નથી.
કાં ચરણ ફંટાય છે કાં ચાહના
કેડીઓ ક્યારેય ફંટાતી નથી.
વેંત ઊંચી વાડ છે વિખવાદની
આપણાથી એય ઠેકાતી નથી.
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
માની હાજરી એના મૃત્યુ પછી પણ ઓસરતી ન હોવાની વાત કરતો મત્લા તરત જ સ્પર્શી જાય એવો છે. વાસ્તવિક્તા સાથે સંધાન ન હોવું એ બાળક હોવાનું સુખેય ખરું અને દુઃખેય ગણી શકાય. બાળકને બધું જ જોઈતું હોય છે. ગરીબમાં ગરીબ બાળકને પણ પેલા બાળકને મળે છે એ મને કેમ નથી મળતું એ સહજ સમજાતું નથી. છેલ્લા બે શેર તો શિરમોર થયા છે.
Permalink
February 9, 2021 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
કર્યો’તો ઉમ્રભર એ ઇન્તજાર પણ રહ્યો નહીં;
તું આવશે કદીક એ વિચાર પણ રહ્યો નહીં.
પ્રતીક્ષા વાંઝણી તો વાંઝણી યે આથમી ગઈ;
ઝરૂખા ઉમ્બરાનો આવકાર પણ રહ્યો નહીં.
જુદા જ કો’ વિકલ્પને કિનારે આવી લાંગર્યો,
સ્વીકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં.
અચેત સૂર્ય વ્યોમમાં છે સ્તબ્ધ મ્લાન ને સ્થગિત;
ચઢાવ ખોટકાયો ને ઉતાર પણ રહ્યો નહીં.
છુપાવી જેની આડશે શકું હું મારા અશ્રુઓ,
સદાના ભેરુ જેવો અંધકાર પણ રહ્યો નહીં.
– ભગવતીકુમાર શર્મા
સ્વીકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં……… – અદ્દભૂત !!
ગાલિબ યાદ આવી જાય –
आगे आती थी हाल-ए-दिल पे हँसी
अब किसी बात पर नहीं आती
નકરી શૂન્યતા-સ્તબ્ધતા !!
Permalink
February 6, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
જે નથી જાણતા શું છે મોકો
દોસ્ત એવાય છે ઘણા લોકો
આપનાથી થશે ન કૈં બીજું
અમને આગળ જતાં તમે રોકો !
આપ વિદ્વાન છો તો માથા પર
ના મને વાતવાતમાં ટોકો
આપણી થઈ જતી નથી એ કૈં
જેટલી ભીંત પર ખીલી ઠોકો
એની આંખોને જ્યારે પણ જોઉં
તો મને સંભળાય છે શ્લોકો !
– હર્ષ બ્રહ્મભટ્ટ
જાણીતા કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ એમનો નવમો ગઝલસંગ્રહ ‘તું મળે ત્યારે જડું છું’ લઈને ઉપસ્થિત થયા છે. લયસ્તરોના ઉંબરે કવિશ્રીનું અને સંગ્રહનું સહૃદય સ્વાગત છે. સંગ્રહમાંથી એક મજાની રચના માણીએ…
ટૂંકી બહરની હમરદીફ-હમકાફિયા ગઝલ અને એમાંય સાચવવા અઘરા પડે એવા ચુસ્ત કાફિયાઓનો કવિએ કેવો બખૂબી નિર્વાહ કર્યો છે તે જોવા જેવું છે… બધા જ શેર ધ્યાનાર્હ થયા છે.
Permalink
February 5, 2021 at 12:38 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
ગુજરાતી ગઝલમાં ઓછી બનતી એક બીના આપ સહુ સાથે સહિયારતાં આનંદ થાય છે. ૨૦૨૧માં નીચેની ગઝલ પોસ્ટ કરી હતી એ વખતે કાફિયાદોષ વિશે ટિપ્પણી કરી હતી… ૨૦૨૫માં કવિ જૂની ગઝલ આંશિક રદ કરીને નવી દોષરહિત ગઝલ લઈને આવ્યા છે.. આ છે નવું અને અંતિમ વર્ઝન:
કદી મન ભરીને પલળવા વિચારો
ને વરસાદ ના પણ પડે એકધારો.
મહોબતનું વાતાવરણ છે અનોખું
પડે સાંજ ત્યારે વધે છે ધખારો
મને પત્રમાં રસ પડ્યો એ જગા પર,
હતો પત્રમાં જે જગા પર સુધારો.
થયો ક્યાંક ઉલ્લેખ જો એમનો તો-
સ્મરણનાં હરણને મળ્યો ઘાસચારો
રહ્યાં એ સલામત ને ડૂબી ગયો હું
એ તરતાં’તાં સાથે લઈને કિનારો
હું પોતે આ ઘરમાં છું મહેમાન જેવો
કહું કોઈને શી રીતે કે પધારો?
એ આજે અચાનક મળ્યાં તો થયું મન
પુરાણી ગઝલને ફરીથી મઠારો
– ભાવિન ગોપાણી
કવિએ કરેલ સુધારો ઇતિહાસના પાનેથી ભૂંસાઈ ન જાય એ માટે મૂળ ગઝલ અને ટિપ્પણી યથાવત રાખું છું, પણ મિત્રોને વિનંતી કે રદ કરેલી ગઝલને કોપી-પેસ્ટ કરી તરતી ન મૂકશો:
(રદ કરેલ ગઝલ)
તમે મન ભરીને પલળવાનું ધારો,
ને વરસાદ ના પણ પડે એકધારો.
હું મારા જ ઘરમાં રહેતો નથી તો,
કહું આપને શી રીતે કે પધારો?
હિસાબો મળે નહીં જે કોઈ સ્મરણનાં,
તમે એને મારા જ ખાતે ઉધારો.
મને પત્રમાં રસ પડ્યો એ જગા પર,
તમે જે જગા પર કર્યો’તો સુધારો.
અમારું કરેલું બધું જાય બાતલ,
તમે કંઈ કરો તો બની જાય ધારો.
ફરી આજ એને મળ્યો તો વિચાર્યું,
અધૂરી ગઝલને જ આગળ વધારો.
– ભાવિન ગોપાણી
આમ જોઈએ તો ચુસ્ત કાફિયાની ગઝલ પણ ધારીને જોઈએ તો ખ્યાલ આવે કે કાફિયામાં ‘ધારો’ એકધારો આવે છે એટલે એને રદીફનો જ એક ભાગ ગણી શકાય. અને એમ ગણીએ તો ગઝલ કાફિયા વગરની ગઝલ ગણાય. શાસ્ત્ર શું કહેશે એ પંડિતો પર છોડી દઈએ, આપણે તો કેવળ નિજાનંદનો વેપલો લઈ બેઠા છીએ, તે એની જ વાત કરીએ. હું આને પ્રયોગ-ગઝલ ગણવું વધુ પસંદ કરીશ. કેમકે દરેક શેરમાં કાફિયાના સ્થાને ‘ધારો’ એકધારો રાખીને કવિએ અદભુત કામ કર્યું છે.
બધા જ શેર મજબૂત થયા છે. લગભગ બધા જ શેર પહેલી નજરે સમજાઈ જાય એવા પણ બીજી નજરે ઊંડો વિચાર કરતાં કરી દે એવા સંતર્પક થયા છે. ટૂંકમાં, ધીમે ધીમે બે-ચાર વાર મમળાવવા જેવી રચના.
Permalink
February 4, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રણવ પંડ્યા
તૃણ સાચવ અને તરુ સાચવ
ઝાડની સાથે ઝાંખરું સાચવ
ભાદર્યું કે અવાવરું સાચવ
નહીં રહે કૈં અણોસરું, સાચવ
વાંસળીવાળા વાછરું સાચવ
પણ જે ભૂખ્યું છે એ વરુ સાચવ
આંખમાં સ્વપ્ન, હૈયે મનસૂબા
તેં ભર્યાં છે તો તું ચરુ સાચવ
રૂમઝુમાટીની કર પ્રથમ રક્ષા
ને પછી પગના ઘૂંઘરું સાચવ
એમ સાચવ ધરેલી ધરતીને
કેડમાં તેડ્યું છોકરું સાચવ
ખેડ કર બસ ખળાને ભૂલીને
માત્ર તું તારું ધૂંસરું સાચવ
સંભવામીનું વેણ રાખી લે
એકદા અમને રૂબરૂ સાચવ
જેણે પાટો તને નથી બાંધ્યો
એ બધાનીય આબરૂ સાચવ
– પ્રણવ પંડ્યા
સાચવવું એ આપણો સ્વભાવ છે. નાની-નકામી વસ્તુઓ પણ આપણે આખી જિંદગી સાચવી રાખતા હોઈએ છીએ. પ્રસ્તુત ગઝલમાં પ્રથમદર્શી વાત તો સાચવવાની છે પણ ગઝલ વાંચતા સમજાય છે કે કવિની ટકોર આપણે કશું સાચવી શકતા નથી એ બાબત વધુ છે. તૃણ હોય કે તરુ – બધાને સાચવી લેવાનું છે. લીલા સાથે સૂકાને અને ભર્યા સાથે ઉજ્જડનેય સાચવી લેવાય તો કશું અણોસરું નહીં રહે. ચરુ સાચવવાની સલાહ આપતો શેર તો શિરમોર થયો છે. આખી ગઝલ કૃષ્ણને સંબોધીને લખાઈ હોય એમ માનવાને પણ મન થાય કેમકે માથે ધરેલી ધરતી-ગોવર્ધન પર્વતવાળો શેર અને આખરી બે શેર તો સીધા કૃષ્ણને સંબોધીને જ લખાયા છે, અને બાકીના તમામ શેરોમાંથી પણ કૃષ્ણની સોડમ આવ્યા વિના રહેતી નથી… કવિતા છે… જેમ મૂલવવી હોય એમ મૂલવી શકાય… મજા આવવી જોઈએ અને અહીં તો આખી ગઝલ જ મજેદાર છે… વાહ!
Permalink
January 28, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગુણવંત ઠક્કર
પાંખોને એ વિશે હવે ફરિયાદ પણ નથી,
ઊડી શકું હું એટલો આઝાદ પણ નથી.
કોરા હૃદયમાં ભીનો એ અવસાદ પણ નથી,
વરસોથી મારી આંખમાં વરસાદ પણ નથી.
મતભેદ પણ નથી અને વિખવાદ પણ નથી,
બન્નેની વચ્ચે એટલે સંવાદ પણ નથી.
મારી મથામણોની એ બહુ મોટી જીત છે,
આબાદ ના થયો તો હું બરબાદ પણ નથી.
લોકો છે, એ તો તાકશે પથ્થર કે આંગળી,
તારી દિવાનગી કોઈ અપવાદ પણ નથી.
ટોળાંની સાથે ચાલતાં ટોળું બની ગયો,
ક્યાં પહોંચવા કરું છું સફર, યાદ પણ નથી.
– ગુણવંત ઠક્કર ‘ધીરજ’
ગુલામીની પણ ધીમે ધીમે આદત પડતી જાય છે. સમય સાથે બંધન પણ કોઠે પડી જાય એ માનસિકતા કવિએ મત્લામાં બખૂબી રજૂ કરી છે. બરાબર એ જ રીતે આખરી શેરમાં પણ કવિએ કુશળ મનોચિકિત્સકની જેમ આપણી માનસિકતા બરાબર પકડી બતાવી છે. ટોળાંમાં ભળી જવાની આપણી કુ-ટેવ અને ટોળાંશાહીમાં ગુમ થવાથી તતી લક્ષ્યચૂક પર એમણે આબાદ નિશાન સાધ્યું છે. આ ટોળાંમાં હવે તો સોશ્યલ મિડિયાને પણ ઉમેરી શકાય. હોંશિયારમાં હોંશિયાર આમાંથી છટકી શકતો નથી ને માણસ કરવાનાં કામ ભૂલી જાય છે. મત્લા અને આખરી શેરની વચ્ચેની આખી ગઝલ તો સ્વયંસિદ્ધ છે જ.
Permalink
January 21, 2021 at 12:30 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
કાંઈ પણ કીધા વગર નીકળી ગયો,
શબ્દ; ખોલીને અધર, નીકળી ગયો.
હોઉઁ છું હાજર છતાં નડતો નથી,
હું બધેથી માપસર નીકળી ગયો.
એની આંખોમાં ઘણી વાતો હતી,
મૂકીને ખાલી કવર, નીકળી ગયો.
રોજ આવી તો ઘરોબો થઈ ગયો,
આફતો પ્રત્યેનો ડર નીકળી ગયો.
સોંપીને બીજા પ્રહરને કામકાજ,
રાતનો પહેલો પ્રહર નીકળી ગયો.
આપણી યારી તો નીચે રહી ગઈ,
તું હવે એથી ઉપર નીકળી ગયો.
મૂર્તિની લાચાર હાલત જોઈને,
હું કશું માંગ્યા વગર નીકળી ગયો.
– કિરણસિંહ ચૌહાણ
કિરણસિંહ ચૌહાણ એમનો ત્રીજો સંગ્રહ ‘દરજ્જો’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. નવા સંગ્રહમાં કવિએ ટૂંકી બહરની ગઝલો પર સવિશેષ કામ કર્યું છે અને ભાષામાં રોજિંદી બોલચાલનો કાકુ પણ આબાદ ઝીલ્યો છે… આલા દરજ્જાની રચનાઓ ધરાવતા ‘દરજ્જો’નું સહૃદય સ્વાગત. સંગ્રહમાં પ્રકાશિત રચનાઓમાંથી કેટલીક આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યાં છીએ. આજે માણીએ એક નવી ગઝલ.
Permalink
January 20, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પરબતકુમાર નાયી 'દર્દ'
વિસામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે,
ચરણને થાક લાગે એ સમયમાં તું મને મળજે !
કદી સૂરજ થવાનો ફંદ લઈ ફેરામાં ના પડતો,
જગતના કો’ક ખૂણે ટમટમીને ધૂળમાં ભળજે !
ચમનમાં રોજ ફરનારા, તને એક વાત કહેવી છે,
ભ્રમરના ગુંજનો વચ્ચે કળીની ચીસ સાંભળજે !
શરત એક જ છે દુનિયાની: અહીં જીવંત દેખાવું.
ભલે અંતિમ દશા આવે છતાં, પણ સ્હેજ સળવળજે !
નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ,
લખે તારી કથા તો હાંસિયામાં ક્યાંક સાંકળજે !
– પરબતકુમાર નાયી ‘દર્દ’
સુંદર મજાની ગઝલ. સરળ. સહજ. સંતર્પક. છેલ્લો શેર હાંસિલે-ગઝલ. પ્રેમકથામાં પોતે હાંસિયામાં મૂકી દેવાયેલ છે એ બાબતની કથકને સુપેરે જાણ છે એટલે પોતે પ્રિયજનની કથામાં ક્યાંય નથી એની જાણ હોવા છતાં પ્રિયજન પોતાને કમ સે કમ હાંસિયામાંય સાંકળી લે તો ભયો ભયોની જે આરત શેરમાંથી ચીસ બનીને ઊઠે છે, એ આપણને ભીતર ક્યાંક સ્પર્શી જાય છે!
Permalink
January 15, 2021 at 7:03 AM by વિવેક · Filed under ગઝલ, બિનિતા પુરોહિત
દરિયો જોવામાં નદી ચૂકી ગઈ,
એક ક્ષણમાં હું સદી ચૂકી ગઈ.
એક સરખી એની ચાહત તો મળી,
હું કદી પામી, કદી ચૂકી ગઈ.
ફિલસૂફીને હાંકવામાં હું સદા,
સત-અસત, નેકી-બદી ચૂકી ગઈ.
કહેવા જેવું હોય તે કીધું જ છે,
બોલવામાં ક્યા કદી ચૂકી ગઈ?
કૃષ્ણને પહેલાથી કહેવાનું હતું,
એ જ બાબત દ્રૌપદી ચૂકી ગઈ.
– બિનીતા
આપણી પાસે તથાગત જેવી all-encompassing દૃષ્ટિ નથી. આપણે એક જોવા જઈએ ત્યાં તેર ચૂકી જવાય છે. દરિયાની વિશાળતા જોવામાં ક્યારેક નદીને જોવાનું રહી જાય છે. સાની મિસરામાં કવયિત્રી વિશાળતાના આયામોની ઉલટાસૂલટી કરે છે. કદને સામસામે મૂકીએ તો દરિયો સદી જેવો વિશાળ છે અને એની સાપેક્ષે નદી ક્ષણ જેવી નાનકી. પણ કવયિત્રી એક તરફ વિશાળતા જોવા જતાં અલ્પતા તરફ ધ્યાન આપવાનું રહી ગયું હોવાનો એકરાર કરે છે તો બીજી તરફ અલ્પતા તરફ ધ્યાન હોવાથી વિશાળતા હાથમાંથી સરકી ગઈ હોવાની વાત કરે છે. થોડું અસંગત લાગે પણ આ જ તો કવિતાની મજા છે. મોટાને જોવામાં નાનાને જોવાનું ચૂકી જવાય એ વાત હકીકતમાં ક્ષણમાં સદી ચૂકવા જેવી જ છે. દરિયો મોટો પણ ખારો. વૃકોદર. અગણિત નદીઓની મીઠાશ પી જાય. નદી નાની પણ મીઠી. પોતાની જાત આખી આપી દે દરિયાને પણ બદલામાં કશું માંગે પણ નહીં. જીવનમાં નાની-નાની વસ્તુઓ પર ધ્યાન નહીં આપીએ તો ક્ષણમાં સદી ગુમાવવાનો વારો આવી શકેની વાત કરતો, અને જરા અવળા હાથે કાન પકડાવતો આ મત્લા મને તો ખૂબ ગમી ગયો. આપનું શું કહેવું છે?
બાકીના શેર પણ મનનીય. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય.
Permalink
January 8, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
થોડું હસી-હસીને, થોડું રડી-રડીને,
જોયા કરું છું એના ફોટા અડી-અડીને !
લસરીને ગાલ પરથી સીધ્ધું હૃદયને અડતું,
આંસુય જાય તો ક્યાં આખર દડી-દડીને ?
તું જીવવાનું કહે છે આ વર્તમાનમાં પણ-
ભૂતકાળ બીવડાવે પાછળ પડી-પડીને !
આંસુથી તરબતર છો ? ચિંતા જરા ન કરશો !
સોનું બને છે સુંદર હીરા જડી-જડીને.
માણસ બન્યો તવંગર મૂર્તિ બનાવી તારી,
ઈશ્વર તને મળ્યું શું માણસ ઘડી-ઘડીને ?
તારી નજર હમેશા શિખર ઉપર જરૂરી,
નીચે જરા ન જોતો ઉપર ચડી-ચડીને.
જીવનના છોડ માટે ‘નિનાદ’ ખુશખબર છે:
ખાતર બની ગયા છે સપના સડી-સડીને !
– નિનાદ અધ્યારુ
વાંચતાવેંત સહજ પ્રત્યાયન કરી દે એવી મજાની ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
Permalink
January 7, 2021 at 12:30 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,
સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!
ટેરવાએ તો ટકોરા ક્યારના વેરી દીધા,
પણ હવે આ બારણું ઊઘડે તો વાત આગળ વધે!
બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,
બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!
હોઠ પર મનગમતા ઉત્તર ટાંપીને બેઠા છે પણ,
એ જરા હિંમત કરી પૂછે તો વાત આગળ વધે!
આંગળી ઝાલીને મારી ક્યારના બેઠા છે એ,
હાથને કાંડા સુધી પકડે તો વાત આગળ વધે!
સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,
બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!
ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,
બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!
-ખલીલ ધનતેજવી
ખલીલભાઈની ગઝલો એટલે ટકોરાબંધ ગઝલો. સરળ ભાષા અને સીધી વાત… વાંચતાવેંત ગમી જાય અને એમના મોઢે સાંભળૉ તો તો પ્રેમમાં જ પડી જવાય… વાત આગળ વધારવાની વાત કરતી એક ગઝલ આજે મનભર માણીએ…
Permalink
December 31, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
લ્યો, ફરી પલળી ગયાં. સૌ બાકસો,
આપણે આજેય બે પથ્થર ઘસો.
આ નગરમાં ફૂલથી પણ છે વધુ,
ફૂલને ચૂંટી રહેલા માણસો.
એ હતી સામે, આ એનો છે પ્રભાવ,
મેં કહ્યું ઈશ્વરને કે આઘા ખસો.
સ્વપ્ન મારાં એમ પજવે આંખને,
બાપની સામે પડેલા વારસો.
હાથ હું ખિસ્સામાં નાખું છું અને,
નીકળે છે એક મુઠ્ઠી વસવસો.
આટલો સંબંધ તો રાખો હવે,
ક્યાંક જો સામા મળો, થોડું હસો.
એ તરફ છે આપની સેના અને,
આ તરફ છે હું ને મારો કારસો.
હાથ એનો એટલે ઊંચો રહ્યો,
હાથમાં એના હતી સૌની નસો.
મહેક તારા સ્પર્શની ઉભો છે લઈ,
દાયકાથી મારી છાતી પર મસો.
બહુ થયું છોડો હવે માણસપણું,
સાપ છો તો સાપને તો ના ડસો.
હું મને વેચ્યા વગર પાછો ફરું,
ભાવ મારો એટલો પણ ના કસો.
– ભાવિન ગોપાણી
લયસ્તરોના આંગણે કવિમિત્ર ભાવિન ગોપાણીના ત્રીજા ગઝલસંગ્રહ ‘અગાશી’નું સહૃદય સ્વાગત છે. ગઝલસંગ્રહમાંથી એક સુંદર રચના આપ સહુ માટે. મોટાભાગના શેર સુંદર થયા છે.
Permalink
December 30, 2020 at 8:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
જખમના અધર પર દીઠું સ્મિત આછું મુહોબ્બત મઝાના પ્રયત્નો કરે છે,
હૃદયમાં હવે દર્દ પણ દુ:ખ વિસારી વધુ જીવવાના પ્રયત્નો કરે છે.
ખરી પડતાં આંસુને પાલવ પ્રસારી કોઈ ઝીલવાના પ્રયત્નો કરે છે,
પ્રણયની પ્રણાલીનું આજે થશે શું? રુદન રીઝવાના પ્રયત્નો કરે છે !
થયો છું સદા એની પાછળ ફના હું, હવે એ થવાના પ્રયત્નો કરે છે;
ન જાણે હૃદયને થયું આજ છે શું ! કે જંપી જવાના પ્રયત્નો કરે છે !
જીવન જાણે રાધાની મટકી સમું છે, અને ભાગ્ય છે કૃષ્ણની કાંકરી સમ,
રસીલી રમત છે : કોઈ સાચવે છે, કોઈ ભાંગવાના પ્રયત્નો કરે છે !
છે એવું વહન ઊર્મિઓનું હૃદયમાં, છે એવું શમન ઊર્મિઓનું હૃદયમાં,
સદા જાણે સાગર ઉગારી રહ્યો છે, નદી ડૂબવાના પ્રયત્નો કરે છે !
જૂઠી આશનાં ઝાંઝવાંને સહારે વટાવી ગયા રણ અમે જિંદગીનું,
તરસ જાણે તૃપ્તિના વાઘા સજીને સ્વભાવિકપણાના પ્રયત્નો કરે છે.
દિમાગોની દુનિયા પ્રકાશી રહી છે, છતાં દીપ દિલના નથી ઓલવાતા,
‘ગની’, કોઈને એ ડહાપણ ન લાગે, પરંતુ દીવાના પ્રયત્નો કરે છે.
– ‘ગની’ દહીંવાળા
ખરી પડતાં આંસુને પાલવ પ્રસારી કોઈ ઝીલવાના પ્રયત્નો કરે છે,
પ્રણયની પ્રણાલીનું આજે થશે શું? રુદન રીઝવાના પ્રયત્નો કરે છે ! – ક્યા બાત હૈ……!!! કાશ……આવું ભાગ્ય હોતે……!!!
Permalink
December 25, 2020 at 12:30 AM by વિવેક · Filed under અંજના ભાવસાર 'અંજુ', ગઝલ
છતી ના થાય હૈયાની ઉદાસી, કાળજી રાખો,
કહી આંસુને સ્ટેચ્યુ, દ્વાર પાંપણના તમે વાખો.
વલોવી છે વ્યથા ખાસ્સી, જો ના વિશ્વાસ હો તમને-
તરીને આવ્યું છે જે સ્મિતનું માખણ, જરી ચાખો.
પ્રણય પ્રકરણ ભલે નાનું હતું જીવનના પુસ્તકમાં,
મને મમળાવવા આપી ગયું સંભારણા લાખો.
ગગન તો હાથ લાગે, પણ છૂટી જાશે ઘણા અંગત,
બસ, એ કારણથી ફેલાવી નથી ક્ષમતાની મેં પાંખો.
તમે કહો છો કે સુંદર છે તો ઓઢી લઉં કફન, ચાલો!
પ્રથમ એ ખાતરી આપો કે કોરી રાખશો આંખો.
– અંજના ભાવસાર ‘અંજુ’
નિભાવવા અઘરા પડે એવા ચુસ્ત કાફિયા સાથેની આવી સ-રસ હમરદીફ-હમકાફિયા ગઝલ તરોતાજા કલમ પાસેથી મળી આવે ત્યારે ગુજરાતી ગઝલના ભવિષ્ય બાબત ચિંતા હળવી થઈ જાય.
કવયિત્રી કહે છે કે હું મારી ક્ષમતા વિસ્તારીશ તો ગગન તો હાથમાં આવી જ જશે. ખાતરી જ છે. પરંતુ આમ કરવામાં અંગત લોકો સાથેનો સંબંધ જોખમાવાનો ડર છે. કવયિત્રીને પોતાના વિકાસ કરતાં જેઓને એ પોતાનાં ગણે છે, એમની સાથેનો સંબંધ વિશેષ કિંમતી લાગે છે. આખી ગઝલમાં અન્યોને ખાતર જાતને સંકોરી રાખવાનો આ વિવેક નજરે ચડે છે. અને આ કાળજી મત્લાથી જ નજરે ચડે છે. હૈયાની ઉદાસી ક્યાંય અન્યો પર જાહેર ન થઈ જાય એ માટે આંસુને સ્ટેચ્યુ કહી દઈને પાંપણના દરવાજા બંધ કરી દેવાના છે. જોઈ, આ ‘ડબલ’ કાળજી! આંસુને અટકાવી દીધા હોવા છતાં ગફલતને અવકાશ ન રહે એ માટે આંખોય બીડી દેવાની છે. અને બાળસહજ સ્ટેચ્યુની રમત ગઝલમાં કેવી સહજતાથી આવી છે એય ધ્યાન આપવા જેવું છે. ચહેરા પર દેખાતું સ્મિત હકીકતે તો વ્યથાઓના સતત વલોણાના પરિણામે તરી આવેલું માખણ હોવાનું કલ્પન પણ કેવું સબળ છે! પ્રિયજન છેતરે તો કવયિત્રી મૃત્યુને પણ હસતે મુખે સ્વીકારવા તૈયાર છે અને તોય એ અપકૃત્યનો બદલો તો સ્નેહભાવથી જ વાળવા ઇચ્છે છે. પોતાના ગયા બાદ સ્વજન સહેજ પણ રડશે નહીં, એની ખાતરી મળે તો એ પોતાની જીવનલીલા તરત જ સંકેલવા તૈયાર છે… સમર્પિત પ્રેમનો આવો શેર તો એક સ્ત્રીની કલમમાંથી જ અવતરી શકે…
Permalink
December 23, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
સાવ છાના પગે પાનખર ઘર કરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં;
રાતદિ’ હરપળે પાન લીલાં ખરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.
ફાગણી મરમરો – શ્રાવણી ઝરમરો – કોઈને કૈં અસર ક્યાં કરે છે હવે,
આંખથી વિસ્મયો દૃશ્ય માફક સરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.
બાળપણની કથાની પરી ઊડી ગઈ, ને રમતની બધી કોડી વેરાઈ ગઈ,
આંખ સામે જ મોંઘી મૂડી પગ કરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.
કોણે પ્રગટાવિયો, વાટ કોણે મૂકી, તેલ કોણે પૂર્યું કોઈને ક્યાં ખબર,
કૈં સદીનો અખંડ દીપ આજે ઠરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.
આપણે ખોઈ ચૂક્યા છીએ આંસુઓ, ને ગુમાવી દીધી છે ભીની વેદના,
આપણી માલમતા સમય પરહરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.
ખળભળે પથ્થરો – ખડખડે બારીઓ – ને પડું રે પડું થઈ રહ્યાં બારણાં,
રોજ લાખો ઊધઈ ભીંતને ખોતરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.
– મનોજ ખંડેરિયા
કૌતુકવશતાથી મુગ્ધતા અને મુગ્ધતાથી સ્થૂળતા અને સ્થૂળતાથી જડતાની યાત્રા બનીને રહી જાય છે જિંદગી…..
Permalink
December 18, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વ્રજેશ મિસ્ત્રી
ચોગમ થીજેલી અંધારી વ્યાપી રાતો,
બુઠ્ઠી એકલતાથી નકરી કાપી રાતો.
ક્યાંક ઉચાટોના અજવાળે પોંખ્યા કીધી,
કયાંક વળી ઉરના કો’ ખૂણે સ્થાપી રાતો.
મંદિર, મસ્જિદ, દેરાસર ત્યાં ઉતરી આવ્યાં,
સઘળું માની જ્યાં શ્રદ્ધાથી જાપી રાતો.
ગ્રીષ્મે એના શીત વિચારોમાં પગ બોળ્યા,
શિયાળામાં સ્મરણો ઓઢી તાપી રાતો.
એ રીતે તું ત્રણ ભુવન નહિ માપી આપે!
મેં જે હાલે, જે રીતે છે માપી રાતો!
– વ્રજેશ મિસ્ત્રી
ગાગાગાગાના ત્રણ આવર્તનોમાં લયબદ્ધ વિહરતી મજાની ગઝલ. ચુસ્ત કાફિયા સાથે રાત વિશેની મુસલસલ રચના. એકલા હોઈએ ત્યારે રાતનું અંધારું ચારેતરફ થીજી ગયું હોય એમ ગતિહીન લાગે છે. ધારદાર સંગાથ હોય તો તો રાત તરત કપાઈ જાય પણ માત્ર એકલતા હોય અને એ પણ સાવ બુઠ્ઠી, તો રાત કાપવી ભારે થઈ પડે છે. ઉચાટોનું અજવાળું અને ઉરના કોઈ ખૂણામાં વ્યાપેલ અંધારા વચ્ચેનો વિરોધાભાસ પણ આસ્વાદ્ય થયો છે. અંધારામાં સામાન્યરીતે ડરનો અનુભવ સહજ છે. ગાંધીજીને આ ડર સામે લડવા માટે એમના ઘરની કામવાળી રંભાએ રામનામનો મંત્ર આપ્યો હતો. શ્રદ્ધાથી જપવામાં આવે તો રાતના અંધારામાં સઘળાં પૂજાસ્થાનો હાજરાહજૂર છે. ઉનાળાની ગરમ રાતો પ્રિયજનના વિચારોની ઠંડકની મદદથી કાપી છે તો શિયાળામાં એના જ સ્મરણોની ઉષ્મા ઓઢીને ઠંડીગાર રાતો પસાર કરાઈ છે. ટૂંકમાં, મોસમ કોઈ પણ હોય, પ્રિય વ્યક્તિની યાદો જ સધિયારો બની રહે છે. અને છેલ્લો શેર તો અદભુત થયો છે. કવિ સર્જનહારથી પણ ઉપર છે એ વાત કેવી સલૂકાઈથી રજૂ થઈ છે!
Permalink
December 17, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રશાંત સોમાણી
કોણ પડે ઝઘડાની વચ્ચે?
સત્ય અને ભ્રમણાની વચ્ચે.
સાચું પણ દેખાશે તમને,
શંકા ને અફવાની વચ્ચે.
કંકર ને શંકર છે એક જ,
ફર્ક પડે શ્રદ્ધાની વચ્ચે.
પોતાને ભીતર શોધું ત્યાં,
દેખાયો રસ્તાની વચ્ચે.
બહુ મોટું અંતર છે, વ્હાલા,
કરશું ને કરવાની વચ્ચે
– પ્રશાંત સોમાણી
ટૂંકી બહેર અને ટૂંકી ગઝલ. પણ બધા જ શેર દમદાર. સાચું શું છે અને ભ્રમણા શી છે એના ટંટામાં પડ્યા વિના જીવન જીવી લેવામાં જ ખરી મજા છે. હજાર શંકાઓ અને અફવાઓની વચ્ચે પણ સત્ય છૂપાવ્યું છૂપાતું નથી, એ નજરે ચડે જ છે. કંકર અને શંકરની વચ્ચે એકમાત્ર ફરક શ્રદ્ધાનો છે. શ્રદ્ધા હોય તો કંકર શંકર છે અને શ્રદ્ધા જ ન હોય એને મન તો શંકર પણ કંકર છે. આખી દુનિયા માણસને પોતાની ભીતર ઉતરીને જોવાની સલાહ આપતી આવી છે પણ કવિ જરા હટ કે ફિલસૂફી લઈ આવ્યા છે. દુનિયાની ચાલે ચાલીને કવિ પોતાને ભીતર શોધવા મથતા હતા ત્યાં જાત તો રસ્તાની વચ્ચે નજરે ચડી. ગઝલનો શેર રેશમ જેવું નાજુક પોત ધરાવે છે. એ બહુ વજનદાર વાત ખમી ન શકે એટલે મોટામાં મોટી વાત પણ ગઝલમાં કહેવી હોય તો નજાકતથી જ કહેવી પડે. આ શેરમાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં દુનિયાની ચાલે ન ચાલીને પોતાનો રસ્તો ખુદ પ્રશસ્ત કરવાની વાતનો રણકો ઊઠતો સંભળાય છે. અને ગઝલનો આખરી શેર પણ અદભુત થયો છે. એના વિશે તો આટલું જ કહી શકાય કે सीधी बात, नो बकवास
Permalink
December 3, 2020 at 1:03 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ શાહ 'શહેરી’
અતીતે એ રીતે લીધા છે સૌને ભરડામાં
ભૂલાવ્યા હોય એ કિસ્સા બતાવે સપનામાં
તમે જે તક ગણીને ઝડપી છે ચકાસી લો
બને કે એણે ફસાવ્યા હો તમને છટકામાં
વધેલી રાશિની અંતે તો બાદબાકી થઈ
વિતાવી જિંદગી આખી ઉમેરો કરવામાં
કદાચ સાદ ભળ્યો હોય એમાં અંતરનો
હું બોલ્યો એથી વધુ પાછું આવ્યું પડઘામાં
કદીક કામ મૂકીને કરીશ ગમતું કૈંક
શું એવું શહેરીએ વિચાર્યું હોય અથવામાં
– ભાવેશ શાહ ‘શહેરી’
સરળ. સહજ. સુંદર. સંતર્પક.
Permalink
November 27, 2020 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું જગતથી સ્હેજે અંજાયા વગર.
આવ, તારા પ્રેમનું એક થીંગડું તું મારી દે,
જિંદગી રહી જાશે નહિતર મારી સંધાયા વગર,
મૃત્યુ! કેવળ તારી એક જ સેજ એવી છે કે જ્યાં.
ચેનથી ઊંઘી શકાશે આંખ મીંચાયા વગર.
માર્ગની મૈત્રીમાં આ એક વાત જાણી લે ચરણ;
બહુ વખત એનાથી નહિ રહેવાય ફંટાયા વગર!
પંખી તું તો ઝાડની સૌ ડાળથી વાકેફ છે,
કોણ હાથો બનશે એ ટહુકી દે મૂંઝાયા વગર.
મારી ટીકામાં પડ્યા છે જાણતલ, વિદ્વાન સૌ,
હું પડી છું ડાયરીમાં બંધ વંચાયા વગર.
– અનિલ ચાવડા
ગઝલનો મત્લા વાંચતા જ અકબર ઇલાહાબાદીનો ‘दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ, बाज़ार से गुज़रा हूँ, ख़रीददार नहीं हूँ’ શેર યાદ આવે. વાત એ જ છે પણ અંદાજે બયાં નોખો છે. પ્રેમ અને મૃત્યુની વાત કરતા બીજા-ત્રીજા શેર પણ સરસ થયા છે. પણ મને માર્ગ અને પંખીવાળા શેર સ-વિશેષ સ્પર્શી ગયા. જેનો સ્વભાવ જ ફંટાવાનો છે, એવા સાથે મૈત્રી સાચવીને જ કરવી. અને ભીતરના ભેદ જાણનાર જો મૂંઝાયા વગર મોઢું ખોલવાની હિંમત ન કરે તો આજે નહીં તો કાલે ઘર કા ભેદી લંકા ઢાયેનો ઘાટ થવાનો જ છે. છેલ્લા શેરમાં કવિએ ‘ગઝલ’ શબ્દ અધ્યાહાર રાખ્યો છે એ બાબત થોડો વિચાર માંગી લે છે. ગઝલના પહેલા બે શેર કવિ કે કથકની સ્વગતોક્તિના શેર છે, જ્યારે છેલ્લા શેરમાં ગઝલ અથવા કવિતા પોતાની આપવીતી રજૂ કરે છે. આમ તો ગઝલના દરેક શેર સ્વતંત્ર એકમ ગણાય પણ કથનકેન્દ્રનો આ વિરોધાભાસ કથકને અધ્યાહાર રાખ્યો હોવાથી થોડો ખટકે છે. શેર જો કે સરસ થયો છે. ગઝલે દાયકાઓ સુધી ઓરમાયું વર્તન સહન કર્યું છે. કવિતાના જાણકાર લોકો અને વિદ્વાન-પંડિતોએ ગઝલમાંથી સાચા અર્થમાં પસાર થયા વિના જ એની વર્ષો સુધી અવગણના કરી. થોડું extrapolate કરીએ તો આ વાત ગઝલની જેમ જ જિંદગીને પણ લાગુ પાડી શકાય. મૂળ સુધી ઉતરવાના બદલે આપણે સહુ ટીકા-ટિપ્પણીઓમાં જ સમય વેડફતાં રહીએ છીએ, પરિણામે અર્ક તો નજર બહાર જ રહી જાય છે… સરવાળે મજાની ગઝલ!
Permalink
November 26, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગુણવંત ઠક્કર
ચીજ ક્યાં એ પરાઈ માંગે છે,
જિંદગી ખુદવફાઈ માંગે છે.
ક્યાં કોઈ વારસાઈ માંગે છે,
ભાઈ છે તું, એ ભાઈ માંગે છે.
એ ફકત માણસાઈ માંગે છે,
કેમ તું પાઈ પાઈ માંગે છે.
યાદ કરવાની પણ મનાઈ કરી,
આ તુ કેવી જુદાઈ માંગે છે!
ચામડીથી એ સાંધવાય પડે,
જ્યાં સંબંધો સિલાઈ માંગે છે.
ધનની માફક તમે છુપાવી જે,
લોકો એ માણસાઈ માંગે છે.
હોય એવા રજૂ થવાનું બસ,
સત્ય ક્યાં બીજું કાંઈ માંગે છે.
દરગુજર મેં કર્યુ તો સામે એ,
ઊલટી મારી સફાઈ માંગે છે.
– ગુણવંત ઠક્કર ‘ધીરજ’
કોઈપણ પ્રકારની તાજપોશીની કામના વિના સંતની પેઠે ગઝલના ગોખમાં બેસીની કાવ્યારાધના કર્યે રાખતા સુરતના ગુણવંત ઠક્કરનું ધીરજ તખલ્લુસ સાચે જ એમના સ્વભાવને ઉજાગર કરે છે. અજાતશત્રુ અને દરિયાદિલ – આ બે જ શબ્દો એમની ઓળખ માટે પૂરતા છે. ઊંડી કાવ્યસૂઝના માલિક આ કવિમિત્રની કોઈ સ્વતંત્ર રચના લયસ્તરો પર આજ સુધી આવી જ નથી એ લયસ્તરોનું જ કમભાગ્ય ગણાય… સ્વાગત, ગુણવંતભાઈ!
ટૂંકી બહેરની આ ગઝલમાં ચુસ્ત કાફિયા સાથે એમણે કેવું અદભુત કામ પાર પાડ્યું છે! જિંદગી આપણી પાસે કશું વધારાનું કે બીજાનું માંગતી જ નથી, આપણે આપણી પોતાની જાત સાથે વફાદારી કરી શકીએ એટલું જ જિંદગી ઇચ્છે છે પણ આપણામાંથી કેટલા આ કરી શકે છે? સંબંધો ફાટી જાય તો ચામડીથી પણ સાંધવા પડી શકે છેની વાત કરતો શેર તો અજરામર થવા સર્જાયો છે. જૂઠને લાખ વાનાંની જરૂર પડે, સત્યને તો માત્ર હોઈએ એમ ને એમ રજૂ થઈ જઈએ એ જ અભિપ્રેત છે. છેલ્લો શેર પણ મજબૂત થયો છે. આપણે મન મોટું રાખીને કશું જતું કરીએ તો આજનો જમાનો એવો છે, કે આ મનમોટાઈને માન આપવાના બદલે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટેના ન્યાયે આપણી સફાઈ માંગવામાં આવે છે.
Permalink
November 20, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
અપાર દીવડા ને ગોખલાનો પાર નથી
નથી ‘જિગર’ તો ફકત ગમતો અંધકાર નથી
ગગનની પાર જઈનેય હું ટહુકી શકું :
તમે હશો તો હશો પણ હું બંધિયાર નથી
તમારી સાથે મુલાકાત બાદ જાણ્યું છે
તમે તો વાતો કરી જાણો – જાણકાર નથી.
ઝપટમાં આવી ગયા છે બધા કદી ને કદી
હવે ઉદાસી! નવો એક પણ શિકાર નથી
જુએ છે રાહ હતો જ્યાંનો ત્યાં ઝરૂખો હજી
દશામાં પણ કે દિશામાંય કંઈ સુધાર નથી
ગમે તે થાય ‘જિગર’ આંખમાં છુપાઈ રહે
અમારાં આંસુ હજી એવાં હોશિયાર નથી
– જિગર જોષી ‘પ્રેમ’
આમ તો આખી જ ગઝલ સુવાંગ સુંદર થઈ છે પણ ત્રીજો અને છેલ્લો શેર તો સવિશેષ સ્પર્શી ગયા. ઉપર ઉપરથી જ્ઞાનસાગર બનીને મહાલતા લોકોની સહેજ નજીક જઈએ તો જાણ થાય કે આ ભાઈ તો બસ, વાતો કરી જાણે છે, સાચુકલા જાણકાર નથી. ‘જાણ’ ધાતુના ત્રણ રૂપ –જાણ્યું, જાણો, જાણકાર- એક જ મિસરામાં વાપરીને કવિએ કેવો દમદાર શેર નિપજાવ્યો છે!
Permalink
November 19, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિનોદ જોશી
એક કુહાડી બની ગઈ ડાળી,
એક કઠિયારો થઈ ગયો માળી.
સૌ મને તાકી તાકી જોઈ રહ્યાં,
પાંપણો માત્ર એમણે ઢાળી;
એ જ વાતે રહસ્ય ઘુંટાયું :
વાત બીજાંની શી રીતે ટાળી;
રંગ તો સાંજ લગી જોયાં હતા,
તે છતાં રાત નીકળી કાળી;
વ્હેણ વચ્ચે જ એક વહાણ હતું,
તોય વહેવાની વાતને ખાળી;
એ તરફ જે વળી જતી અટકળ,
આ તરફ માંડ સાચમાં વાળી;
જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ,
એ જ પાડી શક્યાં નહીં તાળી.
– વિનોદ જોશી
ગીતકવિના ઝોલામાંથી આવી મજાની ગઝલ જડી આવે ત્યારે સુખદ આશ્ચર્ય થાય. કવિશ્રી વિનોદ જોશીની સક્રિયતાને ઉદયન ઠક્કર વિનોદ જોશી ૨.૦ કહીને વધાવે છે. લગભગ બધા જ શેર અદભુત થયા છે પણ સાંપ્રત ગઝલની ગતિ આજે સભારંજની બનવા તરફની હોય એવા સમયે આ ગઝલનો આખરી શેર વધુ માર્મિક બની રહે છે.
Permalink
November 12, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
‘આ ખખડધજ હાસ્યમાં એક પુલ જીવતો હોય છે’
– એક નદી જેવો જ ભોળો દોસ્ત કહેતો હોય છે.
મનને એ તારા ઉઘાડું પાડી દેતો હોય છે
આ પવન હોય જ નહીં એ રીતે વહેતો હેાય છે.
સાંજટાણે તું લીલુંછમ મૌન રહેતો હોય છે
તોય બબ્બે ગામનું વેરાન સહેતો હોય છે
ત્યાં નદી હોવાનો સંભવ ખૂબ ઓછો હોય છે
જે નદી કાંઠા ઉપર તું બેસી રહેતો હોય છે.
– મુકુલ ચોક્સી
સ્મિત બે અલગ વ્યક્તિઓને એકમેક સાથે જોડતો સેતુ છે, એ આપણે જાણીએ છીએ પણ આ જ વાત કવિ કહે ત્યારે કેવી બદલાઈ જાય છે! ભલે ક્ષીણ થઈ ગયું હોય તોય સંબંધોને પુનર્જીવન આપવાની, જોડી આપવાની સ્મિતની ક્ષમતા કદી ઓછી થતી નથી. ચાર જ શેરની ગઝલ પણ કેવી મજબૂત! બબ્બે ગામનું વેરાન તો મારો અતિપ્રિય શેર!
Permalink
November 10, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
ઉતારી મેલે જગત ધૂળની સપાટીથી,
એ પહેલાં પ્રેમ કરી લ્યો કબરની માટીથી.
લખાણ રૂપે જો પ્રત્યક્ષ થૈ શક્યા ન અમે,
ઉપાડી લેવા હતા કો’ પરોક્ષ પાટીથી.
તરસના શ્વાસ જો ધીમા પડ્યા તો પડવા દો !
કે હોઠ ત્રાસી ગયા છે આ ઘરઘરાટીથી.
ખુદા ! ક્ષુધા હતી આદમની ઘઉંના દાણા શી,
અમે શિયાળ શું મન વાળ્યું દ્રાક્ષ ખાટીથી.
ન ભય બતાવ કયામતનો, મારા ઉપદેશક !
તને નવાજું હું જીવતરની હળબળાટીથી.
પરાણે જીવવું એ પણ છે એક બીમારી,
ઉપાય દમનો ન કરશો તબીબ ! દાટીથી.
નિરાંતે હાથ હયાતીની છાતીએ મેલ્યો,
ત્વચાનું પૂછ મા, દાઝી ગયા રુંવાટીથી.
‘ગની’, આ ગૂંચને જીવતરની પ્રક્રિયા જ ગણો,
દિવસ કપાય, તો રાત ઊભરાય આંટીથી.
– ગની દહીંવાળા
ક્લાસિક રચના…પ્રત્યેક શેર ઉમદા…
Permalink
November 9, 2020 at 1:24 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
એક છે તારી જિંદગી,એક ઉપર નિસાર કર,
રૂપ બધામાં એક છે, પ્રેમ પણ એક વાર કર.
હું જો નહીં રહું તને જાણી કોઈ નહીં શકે,
હું જ છું તારી આબરૂ; મારો બધે પ્રચાર કર.
તારી જ દેણ છે પ્રભુ મારી સમગ્ર જિંદગી,
મારુ કશું જશે નહીં જ્યાં ચાહે ત્યાં પ્રહાર કર.
નિષ્ફ્ળ જવાની છેવટે બેચેની તારી આંખની,
દર્શન જો એના જોઈએ દિલનેય બેકરાર કર.
શોચી રહ્યો છું કેટલાં વર્ષોથી તારી યાદમાં,
નવરાશ જો તને મળે પળભર જરા વિચાર કર.
તારા જુલમથી હું થયો બરબાદ તેનો ગમ નથી.
પસ્તાવો જે તને થયો એનો ફક્ત સ્વીકાર કર.
મર્યાદા દુશ્મનીમાં છે, શકિત મુજબની હોય છે,
કિન્તુ ગજાથી પણ વધુ સૌને ‘મરીઝ’ પ્યાર કર.
– મરીઝ
પહેલા ચાર શેર પરવરદિગારને સંબોધે છે, પછી માનવીની વાત આવે છે. પ્રત્યેક શેર મરીઝના હસ્તાક્ષર સમાન છે….
Permalink
November 6, 2020 at 6:59 AM by વિવેક · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!
યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,
જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!
એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,
ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!
મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,
ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે
આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!
જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!
એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.
જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!
– ખલીલ ધનતેજવી
મજાની ‘ખલીલ’ બ્રાન્ડ ગઝલ…
Permalink
November 4, 2020 at 11:24 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગઝલ, મનોજ ખંડેરિયા
ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ
ઘરમાં ઉદાસી કેમ છે ? ખાલીપણાને પૂછ
રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ
નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ
આ ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું ,
પંખી હતું કે પૂર હતું, પાંદડાને પૂછ
આકાશ જેની ગોદમાં જન્મે અને ફૂટે
ખાલીપણાનો અર્થ તું એ બુદબુદા ને પૂછ
વિશ્વો ને હચમચાવતું છે કોણ કેન્દ્રમાં ?
હોવાની જેની શક્યતા તે વેદનાને પૂછ
બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ
-મનોજ ખંડેરિયા
Permalink
November 3, 2020 at 8:46 AM by તીર્થેશ · Filed under ગઝલ, શકીલ બદાયુની
कैसे कह दूँ की मुलाक़ात नहीं होती है
रोज़ मिलते हैं मगर बात नहीं होती है
आप लिल्लाह न देखा करें आईना कभी [ लिल्लाह = ભગવાનને ખાતર ]
दिल का आ जाना बड़ी बात नहीं होती है
छुप के रोता हूँ तिरी याद में दुनिया भर से
कब मिरी आँख से बरसात नहीं होती है
हाल-ए-दिल पूछने वाले तिरी दुनिया में कभी
दिन तो होता है मगर रात नहीं होती है
जब भी मिलते हैं तो कहते हैं कि कैसे हो ‘शकील’
इस से आगे तो कोई बात नहीं होती है
– शकील बदायुनी
મત્લાએ મને ઘાયલ કરી દીધો… શું વાત કીધી છે !!! દિલ ઉઠી જાય પછી શું મળવું અને શું ન મળવું…..!!
ગાલિબ યાદ આવે –
जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई
Permalink
October 31, 2020 at 1:32 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
મહદ્દઅંશે લોકો સજાથી ડરે છે
કોઈ કોઈ છે જે ગુનાથી ડરે છે
એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે
એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે
ન ઇચ્છે કદી પણ બૂરું કોઈનું જે
ગ્રહો એની માઠી દશાથી ડરે છે
બધી આપદા એને શોધી જ લેશે
જે માણસ સતત આપદાથી ડરે છે
જો જીતી શકો તો એ ડરને જ જીતો
એ શું જીતે, જે હારવાથી ડરે છે ?
ડરી જાઉં હું જો તો લોકો શું કહેશે?
ઘણાં માત્ર એ ધારણાથી ડરે છે.
– ડૉ. હરીશ ઠક્કર
ડર માનવમનનો અવિભાજ્ય હિસ્સો છે. કોઈને કોઈ કારણે, કોઈને કોઈ વસ્તુનો કોઈને કોઈ સમયે આપણને ડર લાગતો હોય છે. કવિએ આપણા ડરના નાનાવિધ આયામો પ્રસ્તુત ગઝલમાં સુપેરે ઉજાગર કર્યા છે. સજાનો ડર ન હોય તો ભાગ્યે જ કોઈ મનુષ્ય ગુનો કરતાં ડર અનુભવે એ વાત મત્લામાં કેવી સ-રસ રીતે પ્રત્યક્ષ થઈ છે! સરવાળે આખી રચના આસ્વાદ્ય થઈ છે.
Permalink
October 30, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મરીઝ
પહેલાં હતી બધામાં મજા આહ, આહ, આહ,
હમણાં હવે કશામાં નથી વાહ, વાહ, વાહ.
તો પણ જવું ક્યાં એ જ મને સૂઝતું નથી,
દેખાઈ તો રહી છે બધે રાહ, રાહ, રાહ.
ઊલટી અસર થઈ તારા ઠંડા જવાબની,
સર્વત્ર છે હૃદયમાં ફક્ત દાહ, દાહ, દાહ.
તસવીર છો તમે મારા સારા નસીબની,
તેથી મને મળો છો તમે ગાહ, ગાહ, ગાહ.
બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને,
મારો જવાબ એક હતો ચાહ, ચાહ, ચાહ.
ઘરમાં ‘મરીઝ’ કેવા હતા રંક, રંક, રંક
મયખાનામાં જો જોયા હતા શાહ, શાહ, શાહ.
– મરીઝ
મરીઝ પરંપરાના શાયર હતા. એમની ગઝલોમાં પ્રયોગો જૂજ જ જોવા મળે છે પણ આ ગઝલ જુઓ… આ હમરદીફ હમકાફિયા ગઝલમાં એમણે ચુસ્ત કાફિયા રાખવા ઉપરાંત કાફિયાને ત્રેવડાવીને પોતે જે કહેવું છે એ વાતને કેવો મજાનો વળ ચડાવ્યો છે! કાફિયા ત્રેવડાવાથી ગઝલની મૌસિકી તો વધે જ છે, વાતમાં વજન પણ વધે છે.
Permalink
October 22, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મરીઝ
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.
અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.
હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.
અમારા બધાં સુખ અને દુ:ખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.
નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે.
અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– ‘મરીઝ’
મરીઝની ગઝલોમાંની પ્રથમદર્શી સરળતા આભાસી છે, જેને ઉર્દૂ અદબમાં સહલે-મુમ્તના કહે છે. અર્થાત્ આસાન શબ્દોમાં ગંભીર વાત. ખૂબ જાણીતી આ ગઝલનો મત્લા જોઈએ. જીવનનું તોફાન નહીં, જીવનભરના તોફાન. દરિયામાં જેમ મોજાંઓની એમ જ જીવનમાં તોફાનોની હારમાળા છે. પણ એકેય તોફાનમાં નાયક એકલો નથી. દરેકમાં કથકને ‘એના’ તરફથી ઈશારો મળતો રહ્યો છે. ને આ ઈશારાના સહારે એ આ તોફાનોને ખાળી રહ્યો છે. ઈશારો વળી સીધો નથી, મોઘમ છે. ચર્મચક્ષુથી નજરે પડે એવો નથી. ખુદામાં અને ખુદાના એના બંદા માટેના પ્યારમાં શ્રદ્ધા હોય તો આ ઈશારો સહારો બનીને તારે તોફાનોમાંથી. આ તોફાનો ગમે ત્યાં ડૂબાડી શકે છે અને ગમે ત્યાં બહાર આણી શકે છે. દરિયામાં ડૂબવા અને બહાર નીકળવા વચ્ચે એક નજીવો તફાવત હવાનો છે. પાણી આમ હવાને ડૂબાડી ન શકે, પણ શરીરની બાબતમાં એનું વલણ જરા વિપરિત છે. શરીરમાં હવા હોય તો દરિયો એને ડૂબાડે અને ન હોય ત્યારે તરાવે. કિનારે લાવી મૂકે. મરીઝ કુશળ કવિ છે. એ શું માત્ર જિંદગીના તોફાનો અને શરીરના ડૂબવા ને લાશના તરવાની જ વાતો કરે છે? કે ‘એનો મોઘમ ઈશારો’ કવિના શબ્દ તરફ પણ છે? કવિ જીવે કે મરે, એનો શબ્દ સમયના દરિયામાં કદાચિત્ ગરક પણ થઈ જાય, પરંતુ પ્રાણ હશે તો એ શબ્દ ગમે ત્યારે તરીને કિનારે આવનાર જ છે, જ્યાં સાચા કાવ્યરસિકો પ્રતીક્ષામાં ઊભા જ હશે. વળી, લગાગા લગાગાના આવર્તનો અને કાફિયાનું બેવડાવું દરિયાના મોજાંઓને સાચા અર્થમાં તાદૃશ કરે છે, એ કવિકર્મનો વિશેષ.
Permalink
October 20, 2020 at 9:39 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
પીડાના ટાંકણાની ભાત લઈ દરવાજે ઊભો છું;
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઊભો છું.
સુકાયો સાવ અશ્રુપાત લઈ દરવાજે ઊભો છું;
સૂતેલો એક ઝંઝાવાત લઈ દરવાજે ઊભો છું.
ન ફાટે કે ફીટે એ જાત લઈ દરવાજે ઊભો છું;
પટોળા પર પડેલી ભાત લઈ દરવાજે ઊભો છું.
કળીની જેમ એનું બંધ છે સૌંદર્ય આજે પણ,
કહેલી કાનમાં તેં વાત લઈ દરવાજે ઊભો છું.
ખબર છે કે લૂણો લાગી ગયો છે એનાં શિલ્પોને,
છતાં એ જર્જરિત જજબાત લઈ દરવાજે ઊભો છું.
તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.
નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિનરાત લઈ દરવાજે ઊભો છુ.
ઊભો દ્વારે શિશુ ભોળો દયામય મંદિરે, ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઈ દરવાજે ઊભો છું.
-મનોજ ખંડેરિયા
આજે પાછી બંધ દ્વારની વાત, પણ અંદાઝ અલગ છે. “તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું….” – અહીં પોઝિટિવિટી છે, પુનર્મિલનનું આહવાન છે.
Permalink
October 16, 2020 at 4:00 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
અમારે ક્યાં વળી કોઈ આગઝરતી વાત કરવી છે!
જરા ઝાકળનાં ટીપાં વચ્ચે તરતી વાત કરવી છે.
બનીને લોહી રગરગમાં પ્રસરતી વાત કરવી છે,
તને તારા વિશે, મારામાં ફરતી વાત કરવી છે.
મને તેં ખૂ…બ ઊંચા સ્થાન પર સ્થાપિત કરી દીધો,
અને મારે તને થો…ડી ઊતરતી વાત કરવી છે.
અમે હમણાં સુધી તો ચૂપ રહી બોલાય એ બોલ્યાં,
હવે આજે તો છે ને… વાત કરતી વાત કરવી છે.
કશે કૂંપળ જો ફૂટે તો તરત સરવા કરું છું કાન,
મને લાગે કે જાણે કહે છે ધરતી… ‘વાત કરવી છે.’
– કિરણસિંહ ચૌહાણ
આ ગઝલ વિશે ઓછામાં ઓછા શબ્દોમાં ટિપ્પણી કરવી હોય તો આમ કહી શકાય: res ipsa loquitur અર્થાત્ It speaks for itself /સ્વયંસિદ્ધા.
Permalink
October 15, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
આપ સીધા જ રસ્તે જતા હો અને
માર્ગ સામે ચડી જાતે ફંટાય તો?
એ જ ડરથી અરીસો એ જોતા નથી
સામે છેડેથી આરોપી ઝડપાય તો!
પ્રેમમાં ઊંડા ઊતરો પછી ભય રહે
હો ગળાડૂબ ને શ્વાસ રૂંધાય તો?!
આ ક્ષણોની રમત ત્યાગવી નહિ પડે,
સાત કોઠા સમો કાળ ભેદાય તો!
– શબનમ ખોજા
સરળ બાનીમાં ઘણીવાર જે વાત થઈ જાય છે, એ કરવામાં ક્લિષ્ટ શબ્દો અને ભારઝલ્લા વિશેષણો ઘણીવાર નિષ્ફળ જતા હોય છે. પ્રસ્તુત ગઝલ એનો પ્રત્યક્ષ દાખલો છે. લગભગ બધા જ શેર સહજસાધ્ય અને મનનીય થયા છે. અભિવ્યક્તિની મૌલિકતા પણ ઘણીવાર ગઝલનું જમા પાસું બનતી હોય છે. એક વાત જે અગાઉ હજારો વાર કહેવાઈ, સંભળાઈ ચૂકી હોય એ જ વાત પણ અંદાજે-બયાં મજબૂત હોય તો સાવ તરોતાજા લાગે છે. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. શેર યાદ આવે- વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને. આ જ વાત શબનમની ગઝલમાં આવે છે ત્યારે કેવી નવીન લાગે છે! કવિતાની આ મજા છે…
Permalink
October 14, 2020 at 7:43 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
કયાંયનો નહિ તે છતાં સર્વત્ર છું
કોઈ સરનામા વિનાનો પત્ર છું
વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું
માત્ર તારી આંખમાં એકત્ર છું
હું અનાદિ ઝંખના નિર્વસ્ત્ર છું
સત્ય છું પણ સાવ અંગત પત્ર છું
જિંદગી જેવો નનામો પત્ર છું
કૈંક અફવાઓને માથે છત્ર છું
આંખમાં મૃગજળ ભરીને શોધ નહિ
જયાં જઈશ, ત્યાં લાગશે અન્યત્ર છું
– જવાહર બક્ષી
ત્રીજા શેરનું પહેલું ચરણ એક ઊંચાઈને ઈંગિત કરે છે પણ બીજું ચરણ થોડું નિરાશ કરે છે. શેર કવિના ગજાનો બનતો નથી જણાતો. મત્લો એટલો મજબૂત છે કે તેની આગળ બાકીના શેર હાંફી જતા જણાય છે….
Permalink
October 12, 2020 at 8:27 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં;
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતાં !
ઓશિકે એક ઘડિયાળ અટકી પડે,
વેળ તો વેળની જેમ વીત્યા કરે,
વાયરા દખણના તો ગમે તે ક્ષણે,
કેસરી કેસરી દ્વાર ખખડાવતા !
ચાર ખૂણા હજી સાચવીને ઊભા
ધૂંધળા ધૂંધળા કોક અણસારને,
ઘોર એકાંતનું છાપરું ને છજાં
જો ઊડે આભમાં પાંખ ફફડાવતાં !
સૌ અભાવો સુરાહી બને જ્યાં કને
જે મળે તે બધાં તરબતર નીતરે,
કોઈને કોઈની કૈં ખબર ના રહે-
કોણ છલકી જતાં, કોણ છલકાવતાં !
ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,
સાત આકાશ ખૂલી જતા સામટું,
જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં
ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં !
– રાજેન્દ્ર શુક્લ
કવિનો આજને દિ 1942માં જનમ, 79 પૂરા…સર્જનયાત્રા અવિરત…
એમની લાક્ષણિક શૈલીની ગુહ્યવાદની એક ગઝલ….
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતાં….. -આ ચરણ ઉપર વારંવાર અટકી જવાય છે.
Permalink
October 8, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજેશ રાજગોર
સમય બસ ધારણા મનની, સમય જેવું કશું ક્યાં છે?
મરે જો મન સમય ગાયબ, હતું જ્યાં જે બધું ત્યાં છે.
સમય ટૂંકો પડે સુખમાં, સમય લાંબો ઘણો દુઃખમાં
સમય સરખો નથી રહેતો, સમયની આ સમસ્યા છે
સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે
કશુંક આવી રહ્યું તો છે કશુંક જઈ પણ રહ્યું તો છે
સમય છે કે જીવન છે આ સમજવાની સમસ્યા છે.
જીવે માણસ વીત્યા પળમાં કરી ચિંતા નવા પળની
સમયની આ જ પળમાં જીવવું “રાજન” તપસ્યા છે
– રાજેશ રાજગોર
સમય વિશે મજાની મુસલસલ રચના. ધીમે રહીને મમળાવવા જેવી…
Permalink
October 1, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
આપણે આપણી વાત કરતાં નથી,
એમ નહીં, ખાનગી વાત કરતાં નથી.
કેમ લાગી રહી છે અધૂરી મને?
કાં તમે પણ પૂરી વાત કરતા નથી!
એક સંવાદ ચાલ્યા કરે છે સતત,
કોઈ પણ આખરી વાત કરતા નથી.
હાથમાં હાથ મૂકીને બેઠાં રહે,
ને કલાકો સુધી વાત કરતા નથી.
એક આદિ અનાદિથી ચાલ્યા કરે,
એ જ છે, કંઈ નવી વાત કરતા નથી.
આપણે પણ હતા એમ શરૂઆતમાં,
જેમ બે અજનબી વાત કરતા નથી.
એકલી સાવ પોતાની હોતી નથી,
એટલે ખાનગી વાત કરતા નથી.
– ભરત વિંઝુડા
ભરતભાઈ સાવ સરળ શબ્દોમાં મર્માળી વાત કરવામાં માહેર છે. વાત નથી કરતા કહી કહીને કવિએ જે રીતે વાત મલાવી મલાવીને કહી છે એનો જવાબ જડે એમ નથી… એકવાર વાંચી લીધા પછી ધરવ નહીં જ થાય એટલે તુર્ત જ ફરી વાંચવાનું મન થાય એવી ગઝલ…
Permalink
September 30, 2020 at 2:33 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !
આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !
શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું !
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !
કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !
-રાજેન્દ્ર શુક્લ
માસ્ટરકલાસ…..
Permalink
September 28, 2020 at 3:42 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો
આતંક આતંક ઘરમાં ગલીમાં ને આખા નગરમાં
વળી આંખની સાથે આંખોમાં આંખોની ગાંઠો રે ગાંઠો
તરસમાં બધા હાથ રઘવાતા રઘવાતા રઘવાઈ બેઠા
હથેળીમાં વીરડાઓ ગાળ્યાં; નથી જળનો છાંટો રે છાંટો
અને ઘાવ પ્રસર્યા વિચારોમાં એવી તો કરપીણ ઝડપે
ન શ્રદ્ધા, ન પીડા, ન મૃત્યુ, ન ઔષધ, ન પાટો રે પાટો
હજુ ઘેનમાં લંગડા લંગડા લંગડા શ્વાસ લવક્યા કરે છે
આ ચહેરાના જંગલમાં વાગ્યો’તો સોનેરી કાંટો રે કાંટો
થયો છે કચરઘાણ કેવો અકસ્માત હરએક જણમાં
છે સૌ પાસે પોતાનું ગંધાતું શબ : કોઈ દાટો રે દાટો
– રમેશ પારેખ
શીર્ષક વાંચીને હું ચોંક્યો !!! – બે વાર ચેક કર્યું કે બધું બરાબર છે ને ! અત્યારની હાલત સાથે સજ્જડ બંધબેસતી રચના !! અત્યાર પૂરતો તો કોરોનાનો કોઈ આરો-ઓવારો ભાળતો નથી…..
Permalink
September 26, 2020 at 12:30 AM by વિવેક · Filed under આબિદ ભટ્ટ, ગઝલ
દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું,
સ્મરણમાં રાખવાનું કામ કંઈ સહેલું નથી હોતું!
દિલાસાના શબદ સઘળા અસરને ખોઈ બેઠા છે,
નયન જળ રોકવાનું કામ કંઈ સહેલું નથી હોતું.
પડે દીવાલ જો, આખી ચણી હું એક ચપટીમાં,
તિરાડો પૂરવાનું કામ કંઈ સહેલું નથી હોતું.
અમે તો જન્મ દેનારા, સવાલો પર સવાલોને,
ઉકેલો લાવવાનું કામ કંઈ સહેલું નથી હોતું !
સુગંધો મોકલી ફૂલો ગજબની ચાલ ચાલ્યા છે,
હવા ને ચૂમવાનું કામ કંઈ સહેલું નથી હોતું !
જુઓ મારી હથેળીમાં ઊગ્યું તે સર્વ મારું છે,
મળ્યું તે છોડવાનું કામ કંઈ સહેલું નથી હોતું !
પતંગોની હકીકતથી નથી વાકેફ તું સહેજે ,
બુલંદી પામવાનું કામ કંઈ સહેલું નથી હોતું !
– આબિદ ભટ્ટ
પરંપરાનો મિજાજ જાળવી રાખતી મજાની ગઝલ…
Permalink
September 24, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જયંત શેઠ
હવે ઓ જીવ! રહેવા દે ફરી ફરવાનું ચક્કરમાં
રઝળવાથી નથી દાખલ થવાતું એમના ઘરમાં
નથી એ મારા જીવતરમાં, છતાં છે મારા અંતરમાં
ગયા જો એક ઘરમાંથી તો આવ્યા એ બીજા ઘરમાં
દિલાસાની જરૂરત છે મને પ્રત્યેક ઠોકરમાં
પ્રભુ થોડીઘણી વાચા મૂકી દે સર્વ પથ્થરમાં
બચાવીને રહો નહીં જાતને, જગના અનુભવથી,
પ્રહારો એ જરૂરી છે, જીવનના શિલ્પ ઘડતરમાં
ન આવ્યા આપ તો ઉત્સાહ ઓસરતો ગયો નિશદિન
નદી આવી નહીં તો રોજ આવી ઓટ સાગરમાં
ખબર નહોતી કે સપનું, રાતનું સાચું પડી જાશે
ઉઘાડી આંખ જોયું તો, ઊભા’તા આપ ઉંબરમાં
તમારા સ્વપ્ન મેં જાગ્રત અવસ્થામાંય જોયાં છે
વીત્યું આખું જીવન મારું પ્રણયની ગાઢ નીંદરમાં
ખીલવવા ફૂલ આશાના કરું છું લોહીનું પાણી
નથી એ ફૂલ એવાં જે ખીલે ઝાકળની ઝરમરમાં
જીવન મારું ટૂંકાવો ના તમે મારી ખબર પૂછી
ઘણાંયે શ્વાસ ઓછા થઈ ગયા છે એના ઉત્તરમાં
– જયંત શેઠ
આવી સંઘેડાઉતાર ગઝલો આજકાલ બહુ ઓછી જોવા મળે છે. નવ શેર છે, પણ નવરસ જેવા, નવરંગ જેવા. બધા જ શેર ફરી-ફરીને વિચારતા કરી દે એવા ઉમદા…
Permalink
September 22, 2020 at 2:50 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
હૃદયને ભૂખ હતી, આંખડીને પ્યાસ હતી,
ખુદાનો પાડ એ સોગાદ તારી પાસ હતી !
સદા એ તેજ-તિમિરની જ આસપાસ હતી,
પૂનમ કદી, તો કદી જિંદગી અમાસ હતી.
ફનાગીરી જ અમરતાનો અંશ ખાસ હતી,
કે આપ લક્ષ્ય હતાં જિંદગી પ્રવાસ હતી.
સુણી એ વાત, વળ્યો છે ફૂલોને પરસેવો,
ચમનમાં પ્રસરી તે કંટક તણી સુવાસ હતી.
એ વર્ષગાંઠ હતી પાનખરની ઉપવનમાં,
વસંત ચાર દિવસ, રેશમી લિબાસ હતી.
રૂપેરી ચાંદનીમાં શ્યામ કેશ લહેરાયા,
પૂનમની રાતમાં ખીલી ઊઠી અમાસ હતી.
દુઃખી જીવનને હતી ઝંખનાઓ કોઈની,
કે જન્નાતો ય જહન્નમની આસપાસ હતી.
અજબ સ્વભાવ હતો નિત્યની નિરાશાનો,
મુસીબતોની પળેપળ, સ્વયં વિલાસ હતી.
ગમીની વાત કરું છું ઘણી ખુશીથી ‘ગની’
ખુશીની વાત અધાર પર બહુ ઉદાસ હતી.
– ગની દહીંવાલા
“સુણી એ વાત, વળ્યો છે ફૂલોને પરસેવો, ચમનમાં પ્રસરી તે કંટક તણી સુવાસ હતી.”……..-જીવનની નકરી વાસ્તવિકતા….
બધા જ શેર સરસ….
Permalink
September 15, 2020 at 3:25 AM by તીર્થેશ · Filed under અલ્લામા ઇકબાલ, ગઝલ
सख़्तियाँ करता हूँ दिल पर ग़ैर से ग़ाफ़िल हूँ मैं
हाए क्या अच्छी कही ज़ालिम हूँ मैं जाहिल हूँ मैं
મારા દિલ પર હું જ કેર વર્તાવું છું, ગૈરથી હું અજાણ્યો છું. વાહ ભાઈ ! શું વાત કરી તમે !- હું જાલિમ છું…હું જાહિલ છું !! [ અર્થાત, મારા દિલ પર અત્યાચાર અન્ય કોઈ નથી કરતુ, હું પોતે જ કરું છું, અને તેથી જમાનો મને જાલિમ અને જાહિલ કહે છે ! જો કોઈ અન્ય ગુનેગાર હોતે તો બધું બરાબર હતું ! ]
मैं जभी तक था कि तेरी जल्वा-पैराई न थी
जो नुमूद-ए-हक़ से मिट जाता है वो बातिल हूँ मैं
“હું” જ્યાં સુધી હતો ત્યાં સુધી તારો સાક્ષાત્કાર શક્ય નહોતો. “હું” એ સત્યનો પ્રકાશ ફેલાતાંની સાથે જ મટી જાય એવો અજ્ઞાનરૂપી અંધકાર છે-અન્ય કશું જ નથી. આ મારો પ્રિય શેર છે. ઇસ્લામિક દર્શનની સીમા લાંઘીને શાયર બહાર આવે છે.
इल्म के दरिया से निकले ग़ोता-ज़न गौहर-ब-दस्त
वाए महरूमी ख़ज़फ़ चैन लब साहिल हूँ मैं
આત્મજ્ઞાનના દરિયેથી મરજીવા હાથે મોતી લઈ નીકળ્યા. હાય દુર્ભાગ્ય ! હું કિનારે આરામથી હાથ હલાવતો આંટા મારતો રહ્યો.
है मिरी ज़िल्लत ही कुछ मेरी शराफ़त की दलील
जिस की ग़फ़लत को मलक रोते हैं वो ग़ाफ़िल हूँ मैं
અહીં વક્રોક્તિ છે – મારી બેઆબરૂઈ એ જ મારી શરાફતની સાબિતી છે, જેની ગફલતો પર આખો મુલ્ક છાજિયાં લે છે હું એવો ગાફિલ છું. અર્થાત – હું જો ચબરાક-ચતુર હોતે તો હું બેઆબરૂ હોતે જ નહિ !! મારામાં ગુનો કરવાની પણ સુધ-બુધ નથી.
बज़्म-ए-हस्ती अपनी आराइश पे तू नाज़ाँ न हो
तू तो इक तस्वीर है महफ़िल की और महफ़िल हूँ मैं
અસ્તિત્વની મહેફિલ ! તારી ચમક-દમક પર તું ઘમંડ નહી કર, તું તો મહેફિલની એક તસ્વીર માત્ર છે – અને હું મહેફિલ સ્વયં છું !! [ આ ઇકબાલનો અસલ મિજાજ છે – ફરી અહીં ઇસ્લામિક દર્શન ઉપરાંતની વાત છે – ” હું છું, તો જ બધું છે ” – અહં બ્રહ્માસ્મિનો નાદ છે ]
ढूँढता फिरता हूँ मैं ‘इक़बाल’ अपने-आप को
आप ही गोया मुसाफ़िर आप ही मंज़िल हूँ मैं
હું ‘ઇકબાલ’ મારી જાતને શોધતો ફરું છું, જાણે કે હું જ મુસાફર છું અને હું જ મઁઝીલ છું [ અદ્વૈતવાદની ઝલક !! ]
– અલ્લામા ઇકબાલ
અંગતરીતે જો મારે ઉર્દુના ત્રણ મહાકવિ ગણાવવાના હોય તો ગાલિબ પછીનું નામ અલ્લામાનું આવે. ઇકબાલની રાજકીય વિચારધારાને લીધે સ્વતંત્ર ભારતમાં તેઓનું નામ રંજીશ સાથે લેવાય છે, પણ ન્યુટ્રલી જોઈએ તો ભાષાના તેઓ જેવા બળકટ કલાકાર બહુ ઓછા થયા છે. તેઓનું ફિલોસોફીનું જ્ઞાન ખરેખર તલસ્પર્શી હતું અને તેઓ જીવ્યા ત્યાં સુધી માનવજાતના ઉત્થાન માટે સતત વિચારતા રહ્યા. પ્રસ્તુત આખી ગઝલ અત્યંત મજબૂત છે…..
Permalink
September 15, 2020 at 1:56 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.
વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.
દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનું છે.
બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.
જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.
તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?
ને માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે.
-રઈશ મનીઆર
મક્તા પર મુગ્ધ થયો….જો કે બધા જ શેર માતબર….
Permalink
September 11, 2020 at 3:24 AM by વિવેક · Filed under ગઝલ, રિન્કુ રાઠોડ ‘શર્વરી’
હું ગઝલ લખતી રહું બે વાત પર,
એક તારા પર, બીજી વરસાદ પર.
હું અરીસો થઈ જરા ઊભી રહી,
પથ્થરો આવી ગયા છે જાત પર.
હું પ્રથમ આખું નગર ભેગું કરું,
ને પછી ચર્ચા કરું એકાદ પર.
મેં કહ્યું કે, માપમાં રહેજે જરા,
યાદ ત્યાં આવી ચડી વિખવાદ પર.
તું બધી ફરિયાદ લઈને આવજે,
પણ શરત છે, આવજે વરસાદ પર.
– રિન્કુ રાઠોડ ‘શર્વરી’
વરસાદ પર કંઈ કેટલાંય કાવ્યો લખાયાં હશે, લખાતાં રહેશે. આ ગઝલમાં મત્લા અને આખરી શેર- એમ બે શેર વરસાદ પર છે પણ કેવા મજાના! ગઝલ લખવાનું કારણ ક્યારેક ‘આંખના ખૂણે હજીય ભેજ છે’ હોય તો ક્યારેક ‘સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે’ હોય છે; ક્યારેક એ ‘કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’’, તો વળી ક્યારેક ‘સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે’ એમ પણ હોય. કવચિત્ ‘મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું’નો જાસો મળે ત્યારે ગઝલ લખાય છે. કવયિત્રી પણ બે વાત પર ગઝલરત રહેવાનું કબૂલે છે, એક પ્રિયજન પર ને બીજી વરસાદ પર. વરસાદની સર્વવ્યાપક અખિલાઈને પ્રિયજન સાથે સાંકળી લઈ કવયિત્રી બંનેનું સમાન ગૌરવ કરે છે. છેલ્લો શેર પણ એવો જ મજાનો છે. ફરિયાદ લઈને આવવાની મનાઈ નથી. એક-બે નહીં, બધી જ ફરિયાદ લઈને આવવાની સામા પાત્રને છૂટ છે પણ શરત માત્ર એટલી જ છે કે વરસાદ પડતો હોય ત્યારે જ આવવું, જેથી આંસુ આંખથી દડે તો ફરિયાદ કરનારને ખબર ન પડે. પોતીકી દર્દ છૂપાવીને સામાને સંપૂર્ણ અભિવ્યકત થવાની આઝાદી આપતો આ શેર પણ ચિરસ્મરણીય થવા સર્જાયો છે.
Permalink
September 10, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનહરલાલ ચોકસી
કદી હું તમારા તરફ જોઉં છું
મને થાય છે કે બરફ જોઉં છું
કદી હું તમારા પ્રતિ જોઉં છું
વહેતી નદીની ગતિ જોઉં છું
હૃદયથી તમારા ભણી જોઉં છું
તો લાગે છે પારસમણિ જોઉં છું
તમારો ચહેરો સરસ જોઉં છું
કે વીતી ગયેલાં વરસ જોઉં છું
તમારી તરફ હું સતત જોઉં છું
કે મારા હૃદયની વિગત જોઉં છું
તને એમ છે કે તને જોઉં છું
હકીકતમાં હું તો મને જોઉં છું
– મનહરલાલ ચોક્સી
ગઝલના ચોકઠામાં ન મૂકી શકાય એવી આ રચનાને આપણે શું કહીશું? ગઝલનો છંદ છે, રદીફ છે, કાફિયા છે પણ દરેક શેરમાં અલગ. મતલબ છ અલગ-અલગ મત્લા. શું કહીશું? ગઝલ? નઝમ? ગઝલનુમા નઝમ? ઊર્મિકાવ્ય? ખેર, કવિના સુપુત્ર મુકુલ ચોક્સીની બહુખ્યાત સજનવાના મૂળિયાં કદાચ અહીં નજરે ચડે છે.
વાત તો એક જ છે. પ્રેમી પ્રેમિકાને જોઈ રહ્યો છે. પણ આ તારામૈત્રકના જે છ અલગ-અલગ અંદાજ કવિએ રજૂ કર્યા છે, એ કાબિલે-તારીફ છે.
Permalink
September 8, 2020 at 4:03 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
આખું ભલે હો ગામ અભણ છોડવું નથી,
શબ્દો વહેંચવાનું વલણ છોડવું નથી.
રેતીનું ભીનું ભીનું કળણ છોડવું નથી,
મૃગજળના ડરથી મારે આ રણ છોડવું નથી.
છેલ્લી ઘડીનું મારે નથી છોડવું શરણ,
આવ્યું છે હોંશથી તો મરણ છોડવું નથી.
કોને ખબર કે ક્યારે ફરી સૂર્ય ઉગશે?
સંધ્યાનું છેલ્લું ઝાંખું કિરણ છોડવું નથી.
તૃષ્ણા, મિલન-વિરહની હવે ક્યાં કશી રહી?
હા, અંત લગ આ નામ શરણ છોડવું નથી.
– ભગવતીકુમાર શર્મા
Permalink
September 3, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
ગરબડ ‘ને ગોટાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
માણસ ધોળા-કાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
ગલી ગલીનું બચ્ચેબચ્ચું પોપટ પોપટ કહી પજવે છે
કોઇ બિચારો માળામાંથી બ્હાર નીકળવું ભૂલી ગયો છે
ઘરથી મંદિર, મંદિરથી ઘર; સર્કિટ જેવું જીવ્યા કરે છે
એ માણસ કુંડાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
રાતું – પીળું ગાતા એક ફકીરનું નિદાન થયું કે –
ગુલમ્હોર – ગરમાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
જોશી-જાદૂગરના ચરણે પરખ-પાસવર્ડ શોધે છે, એ-
ભીતર ભીડ્યા તાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
નથી જવાતું ઉપર કે ના પાછો નીચે ફરી શકે છે
વિકટ કોઇ વચગાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથના સામે પલ્લે ગઝલ મૂકી, તું
સમજણ નામે શાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
– સંજુ વાળા
આમ તો ગઝલ માત્ર ગાવા માટે જ હોય છે, પણ અહીં બોલચાલની ભાષામાં અષ્ટકલના ચાર અવર્તનોની પસંદગીના કારણે ગઝલમાં મજાની મૌસિકી ઉમેરાઈ ગઈ છે. છંદની પ્રવાહિતા ઉપરાંત આ માટે જવાબદાર વધુ એક ગુનેગાર લગભગ બધા જ શેરમાં જોવા મળતી વર્ણસગાઈ (alliteration) છે. જુઓ, ગરબડ-ગોટાળા, ગલી ગલી, બચ્ચે-બચ્ચુ, પોપટ-પોપટ, ઘર-મંદિર-મંદિર-ઘર, ગુલમ્હોર-ગરમાળા, જોશી-જાદુગર, પરખ-પાસવાર્ડ, ભીતર-ભીડ્યા, વિકટ-વચગાળા વગેરે… આ સિવાય શબ્દયુગ્મકો પણ આ માટે નિમિત્ત બન્યા છે: ધોળા-કાળા, ગલીગલી, બચ્ચેબચ્ચુ, પોપટપોપટ, રાતુંપીળું, પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથ, સંજુ-સંજુ વગેરે…
લગભગ બધા જ શેર ધ્યાનાર્હ અને મનનીય થયા છે… કોઈ એક શેર પર આંગળી મૂકવી શક્ય બનતું નથી… બધા જ શેર ગહન-ગંભીરા છે…
Permalink
Page 9 of 50« First«...8910...»Last »