ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 16, 2013 at 12:30 am by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
યાદ આછી ફરફરે વરસાદમાં,
આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.
બારીની જળમાં થઈ કાલાપલટ,
બારણું ડૂસકાં ભરે વરસાદમાં.
કેટલી વ્યાકુળ તરસની છે તરસ !
કૂવાથાળે કરગરે વરસાદમાં.
મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
આભ હેઠું ઊતરે વરસાદમાં.
મોરના ટહુકા ને સણકા છાતીના;
કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !
પાતળો કાગળ લઈ આકાશનો;
કોઇ હોડી ચીતરે વરસાદમાં.
આંખ ને નભ સર્વ એકાકાર છે;
કોણ આવે ખરખરે વરસાદમાં.
- ભગવતીકુમાર શર્મા
Permalink
June 15, 2013 at 2:53 am by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
ખુશ થઈ શકો તો થાવ, ખુશી હાથવેંત છે,
જકડી શકાશે ક્યાં સુધી, મુઠ્ઠીમાં રેત છે.
ચોકી કરે છે રાત-દિ તારા વિચારની,
આ માંહ્યલાથી ચેત, ઘણો સાવચેત છે.
કેવો ઉઠાવ આવશે સંધ્યાનો, શી ખબર ?
આકાશનું ફલક હજી સંપૂર્ણ શ્વેત છે.
વિશ્વાસ જો ન હો તો ભ્રમરને પૂછી જુઓ,
પ્રત્યેક પુષ્પ આગવી સૌરભ સમેત છે.
નવપલ્લવિત કરી શકે પ્રેમાળ માવજત,
વૃક્ષો એ બીજું કંઈ નથી, ધરતીનું હેત છે.
- હરીશ ઠક્કર
સરળ, સહજ અને તોય નખશિક સંતર્પક…
Permalink
June 14, 2013 at 2:50 am by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.
જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.
બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.
તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.
પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.
- જવાહર બક્ષી
મજાની ગીતનુમા ગઝલ…
Permalink
June 10, 2013 at 12:30 am by તીર્થેશ · Filed under ગઝલ, બેફામ
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.
દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.
મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.
સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
- બરકત વિરાણી ‘બેફામ’
Permalink
June 7, 2013 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
તારો સતત અભાવ છે ‘આકાશ’ શબ્દમાં
પહેલાં સમું કશું નથી ‘ચોપાસ’ શબ્દમાં
અંદર ગયા પછી બહુ ભારે થતો ગયો
નક્કી જ ભેળસેળ છે કંઈ ‘શ્વાસ’ શબ્દમાં
એના ગયાના અર્થમાં ખાલી જગા હતી
ડૂમા વસી ગયા બધે ‘અવકાશ’ શબ્દમાં
સૂરજ ઠર્યો’તો સાંજના દીવા કર્યા તમે
શું શું બળી ગયું હશે ‘અજવાસ’ શબ્દમાં
હું ને અરીસો બેઉ જણ થીજી ગયાં ગ.મિ.
કેવી પડી તિરાડ આ ‘અહેસાસ’ શબ્દમાં
- મિલિન્દ ગઢવી
એક-એક શબ્દને પકડીને એના અર્થનું આકાશ ઉઘાડી આપતી નવતર જાતની ગઝલ… આજની યુવાપેઢી નવું નહીં આપશે તો બીજું કોણ આપશે? વાહ, કવિ…
Permalink
June 6, 2013 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
તેં દીધેલું ગુલાબ લઈ લઉં છું
હું ખૂલી આંખે ખ્વાબ લઈ લઉં છું
તું મને લે ગણી ગણી ત્યારે
હું તને બેહિસાબ લઈ લઉં છું
સ્પર્શથી થઈ જવાનું સુંદર એ
જે મળે તે ખરાબ લઈ લઉં છું
વાંચવા લે છે તું છપાયેલી
ને હું કોરી કિતાબ લઈ લઉં છું
કામ તો કોઈ મેં કર્યું જ નથી
આ હું શેનો ખિતાબ લઈ લઉં છું
- ભરત વિંઝુડા
Permalink
May 30, 2013 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
મિલાવું હાથ તો એમાં મિલાવટ હું નથી કરતો,
સંબંધોમાં સમય વર્તી સજાવટ હું નથી કરતો.
નથી માંગી કદી માફી, સજા માંગી છે હંમેશા,
તકાજો ન્યાયનો હો તો પતાવટ હું નથી કરતો.
નથી હું માફ કરતો તે છતાં બૂરું નહીં ચાહું,
ઉપેક્ષાથી વધારે દુશ્મનાવટ હું નથી કરતો.
વલોવાઈને જ્યારે આછરે ત્યારે ભરી લઉં છું,
ગઝલમાં શબ્દની જૂઠી જમાવટ હું નથી કરતો.
હશે ત્યાંથી જ રસ્તો ટોચ પર પહોંચી જવાનો, પણ –
ચરણમાં સ્થાન લેવાની બનાવટ હું નથી કરતો.
- હરીશ ઠક્કર
ગઝલકાર સુરતના છે એ કારણોસર નહીં પણ આ ગઝલકાર માટે મને શરૂથી જ પક્ષપાત રહ્યો છે. અને આપ અહીં જોઈ જ શકો છો કે એનું કારણ દીવા જેવું સ્પષ્ટ છે…
Permalink
May 24, 2013 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
વૃક્ષો ડૂબ્યાં ને ઘર ડૂબ્યાં પાણીને કૈં કહો
કોનાં વહે છે અશ્રુઓ જાણીને કૈં કહો.
નીકળે છે અર્થહીન હવે વાણીને કૈં કહો
કહેવાનો અર્થ શું છે ? પ્રમાણીને કૈં કહો.
કોઈ ડૂબે તો કેટલું ? ડૂબી જવાનો મર્મ ?
તળિયાને ક્યાંક તટ ઉપર તાણીને કૈં કહો !
વહેવું ધ્વનિ કે અર્થ ગતિ કે કોઈ સ્થિતિ
ખોબો ભરો કે અંજલિ નાણીને કૈં કહો !
નયન દેસાઈ
ચાર જ શેરની એક અદભુત ગઝલ… પાણી-જાણી-નાણી જેવા ચુસ્ત કાફિયાઓમાં કવિએ કેવું કમાલનું કામ કર્યું છે ! કયા શેરને વખાણવો અને કયાને નહીં એ કોયડો બની જાય છે…
Permalink
May 23, 2013 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
એવું નથી કે લાગણી જેવું કશું નથી,
મારે હવે એ બાબતે કહેવું કશું નથી.
અવઢવ કશી જો હોય તો એ પણ પૂછી લીધું,
ફિક્કું હસીને એ કહે : એવું કશું નથી.
મારે જગતના નાથને શરમાવવો નથી,
નામ એક એનું લેવું છે, લેવું કશું નથી.
સાચું તો માત્ર વહેણ જે આંખોથી આંસુનું,
ઝરણાં-નદીનું વહેવું તે વહેવું કશું નથી.
- હરીશ ઠક્કર
સુરતના તબીબ-કવિ હરીશ ઠક્કરની ગઝલ સાધના અને ગઝલ યાત્રાનો હું નિકટનો સાક્ષી છું. સામયિકોમાં ગઝલો પ્રકાશનાર્થે મોકલાવતા ન હોવાના કારણે ગુજરાત આ સક્ષમ ગઝલકારથી લગભગ વંચિત રહી ગયું છે પણ અકાદમી-પરિષદના નિર્ણાયકો સંપૂર્ણ તાટસ્થ્યથી ચયન કરે તો એમનો તાજેતરમાં જ પ્રકાશિત થયેલ પ્રથમ ગઝલસંગ્રહ “કહેવું કશું નથી” સોએ સો ટકા આ વર્ષના શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ તરીકેના પારિતોષિકનો હક્કદાર છે…
Permalink
May 18, 2013 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
તું નજીક આવે અને જ્યારે અડે
જીવવા માટે જીવન ઓછું પડે
તું જ છે આઠે પ્રહરની આરઝુ
ને મને થોડી ઘડી તું સાંપડે
કેટલી તકલીફ પડતી હોય છે
સાવ સાચું બોલવાનું આવડે
કેમ વાવાઝોડું આવી જાય છે ?
એક બારી જે ઘડીએ ઊઘડે
હું જ મારી સામે આવી જાઉં છું
કોણ બીજું સામે આવીને લડે
તારી મૂર્તિઓ મને દેખાય છે
મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે
- ભરત વિંઝુડા
ભરત વિંઝુડાના તરોતાજા અને પાંચમા સંગ્રહ “આવવું અથવા જવું”માંથી આ ગઝલ આપ સહુ માટે… નખશિખ રોમેન્ટિઝમ જીવતા ગઝલકારની આ ગઝલ પણ પ્રણય અને આધ્યાત્મની નાનાવિધ છાયાઓ સાથે ઉપસી આવે છે…
Permalink