ટ્રેન ચૂકી ગયાં હોઈએ તે પછી
કોઈ પણ સ્ટેશને ક્યાં સુધી બેસવું
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ધબાકો થાય છે – ધૂની માંડલિયા

કોઈ હરણું કયાંક લપસી જાય છે,
ઝાંઝવામાં લ્યો, ધબાકો થાય છે.

ઊઠ તડકા! જા, જરી તું વાત કર,
આંધળાનો જીવ છે, હરખાય છે.

એક સુક્કા નામની પણ જો અસર,
ભીંત પર વાદળ હવે ચિતરાય છે.

હું અનાગત નામનો સંબંધ છું,
એમ જન્મોજન્મથી કહેવાય છે.

એક પડછાયો ઘૂઘવતો ઓરડો,
એક દરિયો રાતભર રેલાય છે.

સૂર્ય! તારા દેશમાં મંદિર ઉપર,
રોજ ઝાકળનો હજી વધ થાય છે.

– ધૂની માંડલિયા

ગઝલમાં આધ્યાત્મ, ચિંતનાત્મક વાતો અને બોધ વગેરેનું ચલણ હાલ એટલું વધી ગયું છે કે ક્યારેક તો શંકા પડે કે ગઝલકારનું પ્રમુખ કામ જ સમાજસુધારણા કે ધર્મોત્થાન તો નથી ને! એવામાં આવી વિશુદ્ધ સૌંદર્યબોધ કરાવતી ગઝલ હાથ લાગે એટલે આનંદ થઈ જાય. મૃગજળના મૃગ અને જળના સંદર્ભો વાપર્યા હોય એવા સેંકડો શેર આપણી ભાષામાં મળી આવશે પણ એ બધામાં પ્રસ્તુત ગઝલનો મત્લા નોખો તરી આવે છે. હરણના લપસી પડવાના દુર્લભ અકસ્માત સમેત ઝાંઝવામાં ધબાકો થવાની આખી વાત કેવળ કવિકલ્પના હોવા છતાં આપણી નજર સમક્ષ ક્ષણાર્ધમાં આખું દૃશ્ય રચાઈ જાય છે. આંધળા માણસના જીવનમાં અંધારપટ સિવાય કશું હોતું નથી, પણ આંખ ઉપર તડકો પડે ત્યારે અંધારું આછું થતું તો એય અનુભવી શકતા હશે. તડકાને ઊઠવાનું આહ્વાન દઈ અંધજન સાથે વાત કરવાનું કહેતો શેર પણ કવિની સૌંદર્યાનુરાગી નજરનો દ્યોતક છે. બધા જ શેર મજાના થયા છે, ખરું ને?

Comments (6)

સાંજ – નયન દેસાઈ

આભની ડાળી ઉપર સૂરજનું ફળ પાકી ગયું,
ઝુંડ એકલતાનું આવી ક્યાંકથી ચાખી ગયું.

બોલ મારા આ જનમને તે જનમના ભાગિયા;
કોણ ઉમ્બર ૫ર અધૂરી સાંજ આ નાખી ગયું ?

આજ પાછી યાદની અગ્નિવીણા વાગી ઊઠી;
સ્વપ્નવત્ હિરણ્યમય આકાશ એક દાઝી ગયું.

આ ધુમાડો થઈ ગઈ તે સાંજ કે સ્વપ્ન હતું ?
શ્વાસના તળિયે સૂતેલું કો’ક જણ ચોંકી ગયું.

ગંધ – શબ્દો – સ્પર્શ ધુમાડો ધુમાડો થઈ જશે;
વારસાગત આ નગર નિયમ મુજબ સળગી ગયું.

લોક ધુમાડાની સાથે વાત પણ કરતું નથી;
લોક ધુમાડાના ઝાંપે આવીને અટકી ગયું.

હું નદીવત્ હું નદીવત્ મંત્રના ઉદ્ગાર હે !
સપ્તસિંધુનું ફરી મોજું મને ભીંજવી ગયું.

બારણે બાંધેલ પડછાયાનું તોરણ – સળવળ્યું;
બારણે બુઝાયેલું આકાશ કો’ ટાંગી ગયું.

ધૂળથી તે આભમાં સૂરજની છાતી વચ્ચોવચ્ચ;
મંદ પગલે કોઈ આવી સાંજ પ્રગટાવી ગયું.

– નયન દેસાઈ

નયન દેસાઈની રચના વાંચો અને કંઈ સાવ જ અનોખું હાથ ન લાગે તો જ નવાઈ. મૌલિકતાથી છલોછલ આ માણસને ભાષાદેવીએ સામે ચાલીને વરમાળા પહેરાવી હોવી જોઈએ, એ વિના ભાષામાં આવું પોત પ્રકટે ક્યાંથી? ગઝલશાસ્ત્રીઓ આ ગઝલમાંથી કાફિયાદોષ શોધી કાઢશે, પણ ગઝલના દરેકેદરેક શેરમાં કવિએ જે વાતાવરણ બાંધી બતાવ્યું છે એનો કોઈ તોડ ખરો એમની પાસે? ગઝલના એકેય શેર ટિપ્પણીના મહોતાજ નથી. પણ એકેય શેરને ત્રણ-ચાર વાંચ્યા વિના આગળ ન વધવા નમ્ર વિનંતી છે… વાંચો, ફરી વાંચો, મમળાવો અને જુઓ ખરી મજા!

Comments (7)

હોય છે – એસ. એસ. રાહી

ભીંતમાં રસ્તા નીકળતા હોય છે,
આ અવસ્થા કઈ અવસ્થા હોય છે?

ખોટું સાચું કઈ રીતે નક્કી થશે?
સહુને પોતામાં જ શ્રદ્ધા હોય છે.

દોસ્તોમાંથી ઘણું મળશે તને,
દુશ્મનોનાં ઘાવ અમથા હોય છે.

આપણે કયાં કઈ કરી શકીએ છીએ?
જાતની સામે જ મ્હોરાં હોય છે.

આભ જેવું આભ કાં ઓછું પડે?
પંખીને શેની સમસ્યા હોય છે?

– એસ. એસ. રાહી

ભીંત એટલે શક્યતાઓનું આખરી નાકું. ડેડએન્ડ. પણ જીવનમાં ક્યારેક એવી અવસ્થા પણ આવે છે, જ્યારે અંતમાંથી જ પ્રારંભ કરતા શીખી જાય છે. દીવાલ ફાડીને દરવાજો નહીં, મારગ બનાવી શકે એને કોઈ ક્યાંય રોકી શકતું નથી. ભીંતમાંથી રસ્તો નીકળવો શરૂ થાય એ અવસ્થા કઈ અવસ્થા હોય છે એવો દેખીતો સવાલ કવિ આપણને કરે છે. ખરેખર તો આ સવાલ તો કેવળ બાહ્યાવરણ છે. સવાલની આડમાં છૂપાઈને હકીકતમાં કવિ આપણને ભીંતમાંથી રસ્તો કાઢતા શીખવા માટે આહ્વાન આપે છે. આ પડકાર સ્વીકારવા આપણે તૈયાર છીએ ને?

Comments (8)

તો મજા – કિરણ જોગીદાસ ‘રોશન’

આ સ્થિરતા હવે ગતિ થઈ જાય તો મજા,
ઇચ્છાઓ ‘છે’ મટી, ‘હતી’ થઈ જાય તો મજા.

તણખો હતો હવે એ અગનઝાળ થઈ ગયો,
શંકા એ આગમાં સતી થઈ જાય તો મજા.

ખુલ્લી કે બંધ આંખ હો, રહે એક સમાન દૃશ્ય,
જીવને આ સ્થિતિની રતિ થઈ જાય તો મજા.

જગથી છૂપી હૃદયમાં બદીઓ હશે ઘણી,
ખુદની જ સામે એ છતી થઈ જાય તો મજા.

વૈરાગ્ય માટે ત્યાગ જગતનો કર્યા વગર,
સંસારમાં જ મન યતિ થઈ જાય તો મજા.

– કિરણ જોગીદાસ ‘રોશન’

લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ ‘ક્યાં ખબર હતી!’નું સહૃદય સ્વાગત.

આમ તો બધા શેર સરસ છે, પણ મત્લા સવિશેષ ધ્યાન ખેંચે છે. પહેલી નજરે મત્લાના બે મિસરા વચ્ચે વાબસ્તગી ન હોવાનું પ્રતીત થાય, પણ પછી ખ્યાલ આવે સર્જક શું કહેવા માંગતા હશે. ઇચ્છાઓ આપણને કેદી બનાવી અટકાવી રાખે છે. ઇચ્છાઓથી આઝાદ થઈ જવાય તો સ્થિરતા ગતિમાં પરિણમે. ‘આમ થાય તો મજા’ કહેતી ગઝલ આખેઆખી મજેદાર થઈ છે…

Comments (9)

(એ જ વિચારે) – ઉર્વીશ વસાવડા

ક્યારે ઊઘડે એ જ વિચારે,
હું ઊભો છું એનાં દ્વારે.

સાવ એકલું કાં લાગે છે?
ચાલું છું હું સહુની હારે.

જે ખોવાયું અજવાળામાં,
એને શોધું છું અંધારે.

મુઠ્ઠીમાં તો ખાલીપો છે,
દુનિયા છોને કંઈ પણ ધારે.

કોક અકળ હેતુથી મારું,
પરિભ્રમણ ચાલે સંસારે.

– ઉર્વીશ વસાવડા

ટૂંકી બહરમાં સરસ ગઝલ. પાંચેય શેર ઊંડું મનન માંગી લે એવા સરસ મજાના થયા છે.

Comments (4)

બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

જીવનના જે વળાંકે આવીને ઊભો છું હું ત્યાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
ફગાવી દઈ બધા કિંતુ-પરંતુઓની વરણાગી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યા જે પણ મને રસ્તામાં એ હરએક પાસેથી વધારે નહીં તો ઓછું પણ સતત મેં લીધે રાખ્યું છે,
જીવનભર ભેગાં કીધાં એ બધાંયે પોટલાંમાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

કોઈએ ઈર્ષ્યા આપી છે, કોઈએ શંકા ચાંપી છે, કોઈએ દ્રોહ, શ્રદ્ધાભંગ કે અપમાન આપ્યા છે;
કશું નહિ છોડવાની લ્હાયમાં અંતે ગયો થાકી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યાં જે માન-કીર્તિ, સાચાં-ખોટાં રામ જાણે પણ, અહમ્ પાશેરથી વાધ્યો, થયો તે શેર-તોલો-મણ;
અખા! હલકાથી ભારીની એ તારી શીખને માની બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

વિતાવી છે ઘણી રાતો ઉઘાડી પાંપણો સાથે, કશું હાંસિલ થયું નહિ, બસ, કરચલીઓ પડી માથે;
ચિતાથી ભૂંડી ચિંતાને બનાવી શાથી મેં સાથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

હવે રહીરહીને સમજાયું રહ્યો છું ઠેરનો ઠેર જ, કશે પહોંચી શકાયું ક્યાં ઉપાડી મનમુટાવોને?
રહે ગજગ્રાહમાં જે વ્યસ્ત એ આગળ વધે ક્યાંથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

ગયાં એને નમન છે, ને જે આવ્યાં એને પણ વંદન; દીધાં હો ફૂલ કે પથ્થર – એ સઘળાંને નમું છું હું;
બધા માટે હૃદયમાં એકસરખી લાગણી રાખી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

અરીસામાં પ્રથમવાર જ સ્વયં સામે નજર માંડી, કહ્યું એણે, ભીતર તો જો, પછી બનજે જગતકાજી;
સ્વીકાર્યું મેં, નમાવ્યું સિર, કહ્યું, ‘હા જી અરીસાજી! બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!’

તું બાવનબા’રો છે એ વાત લાગે છે હવે સાચી, મને પણ બાવને પહોંચ્યા પછી સાચી સમજ લાધી;
ભલે મોડી તો મોડી પણ સમજ જ્યારે ખરી આવી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

– વિવેક મનહર ટેલર
(૧૧/૧૬-૦૮-૨૦૨૩)

તિલક કરતાં ત્રેપન વહ્યાં, તંઈ જંઈ આ બ્રહાજ્ઞાન લાધ્યું, અખા!
બધા ગજગ્રાહ છોડી જીવતાં શીખો એ જ સાચું જીવન, સખા…

Comments (3)

(ભાન થવાનું) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

આજ નહીં તો કાલ થવાનું,
વહેલું મોડું ભાન થવાનું.

અડચણ તો થોડી આવે પણ,
થાય શરૂ જો કામ, થવાનું.

એક અગર થાશું તું ને હું,
સામે આખું ગામ થવાનું.

ત્યાગ અને કષ્ટો જાણીને,
પડતું મૂક્યું રામ થવાનું.

આંખોની મસ્તીથી દિલમાં
થોડું તો રમખાણ થવાનું.

આજ ગમ્યું જે મનને થોડું,
કાલે એ અરમાન થવાનું.

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

*

એક મુક્તક સાથે આજની વાત માંડવી છે:

સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે. (?મનસુખલાલ ઝવેરી)

કવિની ક્ષમાયાચના સાથે આમ કહી શકાય:

સરળતા છે અગ્નિના જેવી, સાવધાન સદા રહો,
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.

કવિતામાં સરળતા અગ્નિ સમી છે. માફકસર ન હોય તો અસર ન કરે અને વધુ પડતી હોય તો દાહક બની રહે. કવિતા જ ખતમ થઈ જાય. હવે અહીં પ્રસ્તુત ગઝલ જોઈએ. માફકસરના સરળ શબ્દો અને સહજ શૈલીમાં કવિએ સ-રસ કેવી મજાની ગઝલ કહી બતાવી છે! રચના સહજસાધ્ય હોવાથી એના વિશે વિશેષ કહેવાની આવશ્યકતા અનુભવાતી નથી.

Comments (12)

(અનુભવનું રોકડું નીકળ્યું) – રઈશ મનીઆર

આ ખાલી ખિસ્સાને ખંખેરતાં ઘણું નીકળ્યું
સિલક સફરની, અનુભવનું રોકડું નીકળ્યું

મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું

તળાવ થઈ તું પહાડોની ભીંસમાં જીવ્યો
મળ્યો જો ઢાળ તો તારું નદીપણું નીકળ્યું

ભલે હું કંઈ જ ઉમેરી શક્યો ન મારામાં
છતાં જે ઘર કરી બેઠું’તું, એ ઘણું નીકળ્યું

અમીર દોસ્ત! આ પૈસાના ઢગની નીચેથી,
ખમીર તારું જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું

– રઈશ મનીઆર

પાંચશેરી જેવા પાંચ શેરની દમદાર ગઝલ. કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ નક્કી કરવું દોહ્યલું થઈ પડે એ જ ઉત્તમ ગઝલનું લક્ષણ. હળવે હાથે દરેકેદરેક શેર ખોલવા જેવા અને ગૂંઠે બાંધી રાખવા જેવા.

Comments (24)

બાકી છે – રીનલ પટેલ

હજીયે આ તરફની ભીંત બાકી છે,
હજી થોડી ઘણી ઉમ્મીદ બાકી છે.

હજી રમવાને આવે કહાન ગોકુળમાં,
હજી રાધા-રમણની પ્રીત બાકી છે.

અમે છેડ્યો છે એ આલાપ છે કેવળ,
અમારે ગાવું છે એ ગીત બાકી છે.

મળી છે હાર જીવનમાં અનેકોવાર,
હજી હાર્યા પછીની જીત બાકી છે.

કદી આવેશમા બોલ્યા નથી સામે,
હજીયે મૌનમાં એક ચીસ બાકી છે.

– રીનલ પટેલ

ભીંત હોય તો તૂટવાની શક્યતા પણ હોય. કદાચ એટલે જ વધુ નહીં તોય થોડી ઘણી આશા હજી બચી રહી છે એમ કવયિત્રીને લાગી રહ્યું છે. આલાપ અને ગીતવાળો શેર તો શિરમોર થયો છે. જે ઘડીએ આપણને એમ લાગે કે આપણે આપણું શ્રેષ્ઠ આપી દીધું છે, એ ઘડીએ આપણો વિકાસ સ્થગિત થઈ જાય છે. “લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ- ‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’

Comments (3)

(ના ગઈ) – લિપિ ઓઝા

રોજની માફક એ આજે ના ગઈ,
સાંજની પળ સાંજ સાથે ના ગઈ.

જાણ થઈ એને ઘણાં વર્ષો પછી,
ટ્રેન ખાલી ગઈ હતી,એ ના ગઈ.

સ્વપ્નમાં ફૂલો બધાં ઊડી ગયાં,
એક કળી રહી ગઈ સવારે, ના ગઈ.

કોઈ અંગત દૂર થઈને થાય ના,
ગઈ પનોતી એમ જાણે ના ગઈ.

સ્ત્રી ખરી ને! એટલે રોકાઈ ગઈ,
‘સ્તબ્ધતા’ સાથે સ્મશાને ના ગઈ.

ભૂલકાનો ભોગ લેવાયો પછી,
તે નદી ક્યારેય કાંઠે ના ગઈ.

અંધતા સીમિત નથી આંખો સુધી,
છે કયું એ અંગ જ્યાં તે ના ગઈ!

– લિપિ ઓઝા

એક સજ્જ કવયિત્રીની સશક્ત રચના આજે મહિલા દિવસના ઉપક્રમે માણીએ…

Comments (5)

(વિસામો આપવામાં) – લિપિ ઓઝા

દયાને આવકારો આપવામાં,
ગુમાવ્યું ઘર વિસામો આપવામાં.

પછી જો હાલ સામો એ પૂછે તો?
હતું જોખમ દિલાસો આપવામાં.

કદી લાગે છે કે મરવુંય પડશે,
‘જીવું છું’નો પુરાવો આપવામાં.

પછીથી આંખ આરોપીની વાંચી,
ઉતાવળ થઈ ચુકાદો આપવામાં.

મળ્યો સંતોષ જનસેવા કર્યાનો,
વિનામૂલ્યે તમાશો આપવામાં.

હલેસા એની પાસે રાખશે બસ,
નથી વાંધો તરાપો આપવામાં.

– લિપિ ઓઝા

સંઘેડાઉતાર રચના. દરેક શેર મનનીય.

Comments (4)

આંખો ભરાઈ જાશે – ‘અગન’ રાજ્યગુરુ

કોને ખબર છે ક્યારે તારી જુદાઈ જાશે,
લાગે છે વૃક્ષનાં સૌ પર્ણો ગણાઈ જાશે.

એવા વિચારે મારા છે શ્વાસ શ્વાસ રણઝણ,
એ આવશે ને પળમાં સઘળે છવાઈ જાશે.

એની નજર પડે આ સંયમ ઉપર તો સારું,
ઝાઝું હસાવશે તો શાયદ રડાઈ જાશે.

છે ભાગ્ય પર ભરોસો કે ચાલવા જશું તો,
રસ્તા વચાળે ઊંચી ભીંતો ચણાઈ જશે.

તો પણ મને છે આશા કાગળની નાવ પાસે,
જાણું છું મેઘ વધતાં હમણાં તણાઈ જશે.

તારા વિરહની પીડા એવી હદે વધી છે,
કે બોલવા જશું તો ગઝલો ગવાઈ જાશે.

મારા જીવન વિશે કૈં પૂછો નહીં તો સારું,
બાકી ‘અગન’ તમારી આંખો ભરાઈ જાશે.

– ‘અગન’ રાજ્યગુરુ

લયસ્તરો પર કવિના બીજા સંગ્રહ ‘તમારી રાહમાં’નું સહૃદય સ્વાગત. સંગ્રહમાંથી એક સરસ મજાની ગઝલ આજે આપ સહુ મિત્રો માટે…

‘(S)he loves me, (s)he loves me not’ કહીને ફૂલની પાંખડીઓ એક પછી એક તોડતાં જઈ પ્રિયજનની પ્રતીક્ષા કરતા પ્રેમીઓનો આપણને અનુભવ છે, પણ કવિતાની ખરી મજા ત્યારે છે જ્યારે આ નાનકડી ચેષ્ટા અતિશયોક્તિ અલંકાર બનીને વૃક્ષના તમામ પર્ણો ગણી લેવા સુધી વિસ્તરે. આખેઆખી ગઝલ જ સ-રસ થઈ છે, પણ લગભગ બધા જ શેર સહજ-સાધ્ય હોવાથી ગઝલને એના ભાવકોની મહેફિલમાં એમ જ રમતી મૂકવામાં વધુ મજા છે…

Comments (4)

જાગે છે – મનોહર ત્રિવેદી

ઊંઘ ખેંચું ને રામ જાગે છે
શ્વાસ પ્રત્યેક આમ જાગે છે

દેશ અથવા ન ગામ જાગે છે
જાગ તું, તો તમામ જાગે છે

રાતનું આ વજૂદ સમજી લે
સૂર્ય જોતાં જ હામ જાગે છે

માર્ગ રોકાય કેમ પળભર પણ
મીટ માંડી મુકામ જાગે છે

રાખ ચિંતા ન દ્વાર ખૂલવાની
એક ત્યાં મુક્તિધામ જાગે છે

– મનોહ૨ ત્રિવેદી

ઊંઘ અને મૃત્યુ વચ્ચે એક જ ફરક છે કે ઊંઘમાંથી જાગી શકાય છે. જીવન ઉપરની શ્રદ્ધા કહો કે રામ ઉપરનો ભરોસો, ઊંઘતી વખતે આપણે સવારે આંખ નહીં ખૂલે તો શું થશે એવું વિચારતા નથી. જીવનની આ રોજિંદી હકીકતને ઉપાદાન બનાવીને કવિએ મજાનો મત્લા સિદ્ધ કર્યો છે. જાગવું અને જાગૃતિ વચ્ચે પણ બહુ મોટો તફાવત છે. આજે પરિસ્થિતિ એવી છે કે ઘર, ગામ કે દેશ આખામાં કોઈ જાગતું નજરે ચડતું નથી. દરેક જણ કોઈ તો કરશે, કોઈ તો જાગશેની આશામાં ઊંઘી રહ્યા છે. કવિ બહુ સચોટ ટકોર કરે છે. બીજાના જાગવાની રાહ કેમ જોવી? જાતે જ ન જાગી જઈએ? દરેક માણસ પોતાના ઘરનું આંગણું સ્વચ્છ રાખે તો દેશ આખો સ્વચ્છ થઈ જાય. આખી ગઝલ જ સહજસાધ્ય થઈ છે.

Comments (1)

(કોઈ પણ કારણ વગર) – કિરણસિંહ ચૌહાણ

કેમ જીવાતું નથી એ ક્ષણ વગર?
જે મળી’તી કોઈ પણ કારણ વગર.

છે અધૂરો ગ્રંથ જે પ્રકરણ વગર,
એ પડ્યું છે મેજ પર સાંધણ વગર.

કેવા અઘરા નામવાળા રોગ છે!
સાથે રહેતા હોય છે લક્ષણ વગર.

જિંદગી એને જ તો કહેવાય છે,
ઝાંઝવા જોવા મળે જ્યાં રણ વગર.

મિત્રની યાદીમાં મારા નામ પર,
ભાર મૂકો છો તમે ભારણ વગર.

– કિરણસિંહ ચૌહાણ

ઉમદા સ્વયંસિદ્ધ ગઝલ.

Comments (4)

(ઢબૂરી ઢબૂરીને) – ડૉ. મનોજ જોશી ‘મન’

ઢબૂરી ઢબૂરીને રાખેલ સપનાં,
જગાડો ને જાગો પછી થાય ખપનાં!

અમે ચાને ચુસ્કીઓ લઈલઈને પીધી,
તમે ધીમે રહીને પૂછ્યા ભાવ કપના!

અમે નામ ધબકારે-ધબકારે લીધું,
તમે પુસ્તકો ચીતર્યાં નામજપનાં.

ન પૂર્વે ભૂમિકા, ન પ્રસ્તાવના કંઈ;
મને જોઈએ તું; બીજી કોઈ લપ ના!

ગુફામાં કે જંગલમાં જઈને શું કરશો?
ફરજથી વધી ક્યાંય પણ કોઈ તપ ના!

– ડૉ.મનોજ જોશી ‘મન’

કેવળ સૂતેલ સ્વપ્નોને જગાડવું પૂરતું નથી. આપણે ન જાગીએ ત્યાં સુધી બધું નકામું. ‘પ્રાઇઝ ટેગ’ની ચિંતામાં ડૂબેલા જિંદગી માણવાનું ચૂકી જાય છે. ત્રીજો શેર તો રામમંદિર શિલાન્યાસના ટાંકણે ખૂબ જ સંતર્પક બની રહે છે. ઈશ્વરને હૃદયમાં ઘર આપ્યું હોય એ બીજાઓ જોઈ શકે એવી દેખાડાની તપસાધના કરતાં વધુ અગત્યનું છે. છેલ્લો શેર પણ આ વાત સાથે એક કડી વધારાની જોડી આપે છે. એમાં ઝેન સાધનાનો સિદ્ધાંત પણ નજરે ચડે છે.

Comments (7)

નહીં ફાવે અવતરવાનું – વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

બીજ મહીંથી વૃક્ષ થવાનું, ઉગવાનું ને ખરવાનું?
ખર્યા પછીની પોકળ પીડા પૂછે, ‘પાછું ઉગવાનું?’

નહીં ફાવે ભઈ, નહીં ફાવે આ શ્વાસો વચ્ચે બળવાનું
દિલનો ખાલી ખૂણો ભરવા આખું જીવન તપવાનું?

છળવું કે છેતરવું ખુદને, અમને માફક નહીં આવે
રહેવા દો આ હરવું ફરવું, આંખોમાં વિસ્તરવાનું

બે રસ્તા છે આંખો સામે, અટકી જા કાં આગળ વધ,
સંશયની તોડીને સાંકળ, બોલ હવે શું જપવાનું?

આ જન્મે તો પીડા નામે મોક્ષ થયો છે ‘ઝરમર’નો
હવે ફરીથી પીડા નામે નહીં ફાવે અવતરવાનુ

– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

લયસ્તરો પર સર્જકના ગઝલ સંગ્રહ ‘હાથ જાજમ થઈ જતા’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક સરસ રચના આજે માણીએ…

https://i0.wp.com/layastaro.com/wp-content/uploads/2024/01/haath-jaajam-thai-jata.jpg?resize=373%2C585&ssl=1

 

Comments (4)

સ્વપ્ન – રવીન્દ્ર પારેખ

સ્વપ્નમાં નીકળી પડે તું આવવા,
સ્વપ્નની બદલી જશે આખી હવા.

સ્વપ્ન તોડીને તરત જાગી પડું,
બ્હાર તું આવે અગર બોલાવવા.

સ્વપ્નમાં અજવાળું પડશે, માની તું—
આંગણે બેસે દીવા પ્રગટાવવા.

સ્વપ્નમાં રહેશે નહીં કાળી તરસ,
છો મને આપે ભલે તું ઝાંઝવા.

સ્વપ્નનો વસવાટ દૃષ્ટિમાં સીમિત,
ત્યાંથી મથતું, પાર સૃષ્ટિની જવા.

સ્વપ્ન કૈં મૃત્યુ પછી આવે નહીં,
ના જીવનમાં આવતું પૂરું થવા.

સ્વપ્ન એ પૂરું કદી ના થાય, જો—
આંખ મીંચી હો ફરી ના ખોલવા.

– રવીન્દ્ર પારેખ

સ્વપ્ન વિશેની ખૂબ મજાની મુસલસલ ગઝલ. બધા જ શેર હળવે હળવે ખોલવા જેવા… કવિની ચિંતનશીલ પ્રકૃતિ અને અર્થગાંભીર્ય એક જ વસ્તુની બહુઆયામી રજૂઆતમાં ડગલપગલે ઝળકે છે.

Comments (9)

અધૂરપ – માધવ આસ્તિક

અહીં, ત્યાં, બધીયે જગામાં અધૂરપ
ઠસોઠસ ભરી છે બધામાં અધૂરપ

બધું આપ્યું છે થોડું અધકચરું અમને
પરંતુ ન આપી વ્યથામાં અધૂરપ

ઘણાં એવાં ફૂલો જે ખુશબૂ ન આપે
એ ફેલાવતાં રહે હવામાં અધૂરપ

છલોછલ કરી ના શકે તો ન પાજે,
મને ફાવશે નહિ નશામાં અધૂરપ

તું દર્શન દે એ પળ છે નક્ષત્ર સ્વાતિ
અમે બેઠા લઈ પોપચામાં અધૂરપ

ચલો એ હિસાબેય હાજર તો છે તું
રહે તારા નામે ઘણામાં અધૂરપ

ફકત એક ખટખટની આશા જીવાડે
કે મરવા પડી બારણામાં અધૂરપ

તું સ્પર્શે એ પહેલાં, તું સ્પર્શે પછી પણ
સતત હોય હાજર ત્વચામાં અધૂરપ

ખૂલે બારી પણ ત્યાંથી પડદો હટે નહિ
તો લાગે કે રહી ગઈ નફામાં અધૂરપ

કરી સહેજ શંકા મે મંજિલ વિશે ને
તરત પેસી ગઈ કાફલામાં અધૂરપ

બધાં એનાં સર્જન એ દાટી જ દેશે
જો કુંભાર જોવે ધરામાં અધૂરપ

સ્વપન મોકલીને એ પૂરી કરે છે
જે એણે મૂકી આંધળામાં અધૂરપ

તને શોધવાનુંય કારણ છે એક જ
ફરી માંગશું આયખામાં અધૂરપ

બધા પાત્ર શોધે છે સર્જકના એને
રહી શું ગઈ કલ્પનામાં અધૂરપ!

મિલન નહિ ફકત એ મુલાકાત ગણજો
જો ના પાંગરે બે જણામાં અધૂરપ

– માધવ આસ્તિક

ગઝલ તો છે અધૂરપની પણ કવિએ શેર ગૂંથ્યા છે પૂરા પંદર. મજા તો એ છે કે પંદરે-પંદર શેર મજબૂત થયા છે. મત્લામાં જ અત્ર-તત્ર, સર્વત્ર બધામાં બધેબધ ઠસોઠસ અધૂરપ ભરી હોવાની વાતમાં કવિએ ઠસોઠસ અને અધૂરપનો વિરોધાભાસ કેવી સહજતાથી વણી લીધો છે! ક્યાંય કોઈ અઘરા કલ્પન કે મથામણ કરવા મજબૂર કરે એવા રૂપકો નથી. કવિએ તદ્દન સરળ બાનીમાં અધૂરપના દરેક શેરોને પૂર્ણપણે અર્થગાંભીર્ય બક્ષ્યું છે.

Comments (5)

(તકિયા કલામ છે) – અંકિત ત્રિવેદી

સાથે રહ્યો છું તારી, આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયા કલામ છે.

મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.

પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે!

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું,
સપનામાં તારા આવીને, મારે શું કામ છે?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે.

– અંકિત ત્રિવેદી

ગઝલનો મત્લા વ્યંગ્યોક્તિની પરાકાષ્ઠાએ ઊભો છે. પ્રિયજનની સાથે રહેવાને લઈને શું દબદબો નસીબ થયો, તો કે’ ચોવીસે કલાકનાં આંસુ. શ્વાસોચ્છ્વાસની દેહધાર્મિક ક્રિયાને પણ કવિએ કેવી નજાકતથી શેરમાં વણી લીધી છે! આખી ગઝલ જ મનનીય થઈ છે.

Comments (4)

(થાકની અસર તારી) – રઈશ મનીઆર

રસ્તો તારો, ન આ સફર તારી,
માત્ર છે થાકની અસર તારી.

દૃશ્યો તારાં છે એવું તેં માન્યું,
છે હકીકતમાં બસ નજર તારી.

આ સમય જે વહે છે, તારો નથી;
તું તો પામ્યો છે બસ ઉંમર તારી.

તું તો શાયર છે, તારું દર્દ અમાપ!
આહ નીકળે છે માપસર તારી.

તું સમંદર નથી, ભલેને નથી!
છે સમંદરમાં એક લહર તારી..

જાણું છું, તું પતંગિયું છે ‘રઈશ’,
કોઈ બેઠું છે પાંખ પર તારી.

– રઈશ મનીઆર

લાખ અવરોધ અને નાકચડામણાં છતાં ગઝલ ઝડપભેર તમામ કાવ્યપ્રકારોને અતિક્રમીને આગળ નીકળી ગઈ એનું એક કારણ તે ઓછામાં ઓછા શબ્દોમાં ઊંડામાં ઊંડી વાત કહી શકવાની એની ખાસિયત અને બીજું તે શીઘ્ર પ્રત્યાયનક્ષમતા. આ ગઝલ જુઓ. નાની બહેરમાં કવિએ કેવું ઉંચેરું ખેડાણ કરી બતાવ્યું છે! આખી ગઝલ સંઘેડાઉતાર થઈ છે, પણ આપણે કેવળ મત્લાની જ વાત કરીએ. નથી રસ્તો આપણે બનાવેલો, નથી મંઝિલ આપણું સર્જન. આપણે માનીએ છીએ કે આપણે સફર ખેડી રહ્યાં છીએ, પણ હકીકતમાં એ મુસાફરી પણ આપણા પૂર્ણાખ્ત્યારમાં નથી. થાકી જવાની એકમેવ ઘટના એ જ આપણું ખરું કર્તૃત્વ. આ રસ્તા અને સફરને સ્થૂળ અર્થમાં પણ લઈ શકાય અને જન્મથી મરણ વચ્ચેની યાત્રા તરીકે પણ ગણી શકાય. ચંદ શબ્દોની ઈંટ લઈને બે મિસરાની દીવાલો ઊભી કરી કવિ શેરિયતનું મજાનું મકાન સર્જી બતાવે ત્યારે બે’ક ઘડી સફરનો થાક ભૂલીને રેનબસેરા કરવાનું મન ન થાય?!

Comments (17)

(હવાની લિપિ ઉકેલું છું) – નયન હ. દેસાઈ

સાવ ખાલી રમત છે… ખેલું છું,
આ હવાની લિપિ ઉકેલું છું.

આવ, તડકા મને તું ઘેરી લે,
એક પડછાયો તરતો મેલું છું.

હાથ ધ્રુજે કોઈ અજાણ્યાનો,
બારણું એમ ઘરનું ઠેલું છું.

પાંપણોમાં પુરાઈ તવ યાદો,
સ્વપ્નનગરી મહીં ટહેલું છું.

સાંજ દીવાલ છે પ્રતીક્ષાની,
જૂઈની મ્હેકને અઢેલું છું.

– નયન હ. દેસાઈ

હળવે હાથે ખોલતા જાવ… અને ખોવાઈ જાવ કવિતાની કુંજગલીમાં…

Comments (1)

તો સારું – રીનલ પટેલ

જિંદગી ગોથું ખાય તો સારું,
એ બહાને શીખાય તો સારું

બસ, અહીંથી એ જાય તો સારું,
ભીડ મનમાં ન થાય તો સારું.

જે ભરોસે ટક્યું છે ધૈર્ય હજી,
એ સમય દે ઉપાય, તો સારું.

હોય એવી, જરાય ફર્ક વગર
છાપ સઘળે છપાય તો સારું

જેના કાજે લખાય છે ગઝલો,
સાંભળી, મુગ્ધ થાય તો સારું.

સાવ પાસે ગયાં પછી લાગ્યું,
થોડું અંતર રખાય તો સારું.

– રીનલ પટેલ

લયસ્તરો પર કવયિત્રીના સંગ્રહ ‘એ તરફ ઢોળાવ’નું સહૃદય સ્વાગત છે.

એકદમ સરળ બાનીમાં સ્વયંસ્પષ્ટ પરંતુ અર્થગહન રચના. દરેક શેર ખરા સોના જેવા.

Comments (6)

(આંધણ છીએ જાણે!) – બાબુલાલ ચાવડા ‘ આતુર ‘

ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે!
ચડાવેલું ચૂલા પર કોઈએ આંધણ છીએ જાણે!

નથી આવી શકાયું બ્હાર કોઈ શબ્દની માફક,
અમે વર્ષો જૂની છાતીની રુંધામણ છીએ જાણે!

કદી અમને પૂછીને માર્ગ જે આગળ વધેલા છે,
હવે એના જ રસ્તાની કોઈ અડચણ છીએ જાણે!

અમારી જીર્ણતા પહેલાં હતી, છે એ જ આજે પણ,
જનમથી રંકનું ફાટ્યુંતૂટ્યું પહેરણ છીએ જાણે!

કરે છે સામનો હોવું અમારું રોજ પ્રશ્નોનો,
ન હોવું જોઈએ જાણે અને તો પણ છીએ જાણે!

– બાબુલાલ ચાવડા ‘ આતુર ‘

આજે ટિપ્પણી કવિ મિલિન્દ ગઢવીના શબ્દોમાં:

“વાહ વાહ અને વાહ!

‘મરીઝ’ જ્યારે કહે કે ‘ગઝલો ફકત લખાય છે દિલની જબાનમાં’ તો આ દિલની જબાન એટલે શું? એનો જવાબ આ ગઝલ છે. આ હિબકે ચડેલી કવિતા નથી, પરંતુ હોવાની લ્હાયને લય બનાવીને જીવતા અક્ષરની કથા છે. અહીં એવું નથી કે સાવ નવાં જ કલ્પનો કે પ્રતીકોનો પ્રયોગ થયો હોય, કે નોખા લય કે ઓછા જાણીતા કાફિયા કે જુદી ભાત પાડતી રદીફ વપરાઈ હોય! અને તેમ છતાં વાત બહુ બળકટતાથી, તલસાટનો અનુભવ થાય એ રીતે કહેવાઈ છે. અને એટલે જ ફરીથી અહીં સમજાય છે કે કવિતા એના વાઘામાં નથી હોતી, એને એમાં શોધવાની ભૂલો ન કરીએ. કવિતા costume નહીં, content છે. વળી આવી સરળ વાતને આસ્વાદની પણ શી જરૂર! આ તો સીધી જ communicate થાય. પછી connect થાય છે કે કેમ એ જુદો વિષય છે. મારી અંદર રહેલા chaos સાથે તો connect થઈ, તમારી સાથે પણ થાય તો કવિને એક clap જરૂર આપજો અને તમને જે લાગે તે comment કરજો.”

(આસ્વાદ: મિલિન્દ ગઢવી)

Comments (10)

(બહુ મોંઘી પડી) – રશીદ મીર

જીવવા-મરવાની ખુદ્દારી બહુ મોંઘી પડી,
જિંદગી સાથે વફાદારી બહુ મોંઘી પડી.

કામ આવી છે મને દીવાનગી વર્ષો સુધી,
થોડા દિવસોની સમજદારી બહુ મોંઘી પડી.

ઊંઘ આપીને પછી વિહ્વળ બનાવ્યો છે મને,
રેશમી ઝુલ્ફોની દિલદારી બહુ મોંઘી પડી.

આભ આખી રાત મારી આંખમાં વરસ્યું છતાં,
ભાગ્યના તારાની નાદારી બહુ મોંઘી પડી.

એક ડૂસકું ખાઈને જંપી ગઈ આ રાત પણ—
પાછલી રાતોની બેદારી બહુ મોંઘી પડી.

કેટલા પોકળ ખુલાસા તે પછી કરવા પડ્યા,
તારા પ્રત્યેની તરફદારી બહુ મોંઘી પડી.

મીર જેવા મીર’ પણ અંતે સવાલી નીકળ્યા,
ઓ ગઝલ! તારી વફાદારી બહુ મોંઘી પડી.

– રશીદ મીર

સહજ-સંતર્પક…

Comments (1)

નયનનાં મોતી : ૦૭ : ગઝલ પ્રમેય – નયન દેસાઈ

પ્રમેય:
અસ્તિત્વ બિંદુ છેઃ

પૂર્વધારણા :
બિન્દુનો આ વિરાટ અને એમાં આપણે
ખાલી હિંડોળા ખાટ અને એમાં આપણે

ઉદાહરણઃ
ઝાકળથી કોઈ આંખના અશ્રુ સુધીનો આ
બિન્દુનો રઝળપાટ અને એમાં આપણે.

પક્ષ:
બિન્દુથી… એક બિન્દુથી… બિન્દુ જ બિન્દુઓ
બિન્દુઓ ધડધડાટ અને એમાં આપણે

સાધ્યઃ
કો’ એક अ નું આમ આ ધસમસવું ब તરફ
વચ્ચે ક્ષણોની વાટ અને એમાં આપણે

સાબિતીઃ
નીકળી જવાની આસમાં ભેગાં થયા કરે
બિન્દુઓ મુશ્કેટાટ અને એમાં આપણે.

– નયન દેસાઈ

‘નયનનાં મોતી’ શબ્દાંજલિ શ્રેણીમાં આ સાતમી અને અંતિમ કડી…

પ્રમેય (થિયરમ) એટલે ગણિતમાં સ્વીકૃત પદ્ધતિ મુજબ સાબિત કરાતું મહત્વનું પરિણામ. પ્રમેયની સાબિતી સામાન્ય રીતે તે તે વિષયની પૂર્વધારણાઓ તથા તાર્કિક ક્રમમાં અગાઉ સાબિત થઈ ચૂકેલાં અન્ય પ્રમેયો પરથી તાર્કિક દલીલો વડે અપાય છે. નયન દેસાઈએ આપણને કેટલીક પ્રમેયગઝલો પણ આપી છે. ગણિતનો વિદ્યાર્થી જે રીતે દાખલો માંડીને પ્રમેય સિદ્ધ કરે, બરાબર એ જ રીતે કવિ પણ જે સિદ્ધ કરવાનું છે એ વાત કહીને પૂર્વધારણા, ઉદાહરણ, પક્ષ, સાધ્ય અને સાબિતી –એમ પ્રમેયના અંગોને એક પછી એક ન્યાય આપતાં જઈને દાખલો અને ગઝલ બંને સિદ્ધ કરે છે.

વિશાળ અનંત બ્રહ્માંડમાં આપણું અસ્તિત્ત્વ એક બિંદુથી વિશેષ કશું નથી આ વાતને તેઓએ ગઝલ-ગણિતથી રજૂ કરી છે. વાત પૂર્વધારણાથી શરૂ થાય છે, અને સાબિતી પર જઈને અટકે છે. નયન દેસાઈની પ્રયોગગઝલ છે એટલે એબ્સર્ડિટી કે એબ્સ્ટ્રેક્ટેશનથી અલિપ્ત તો હોય જ નહીં. કાવ્યાર્થથી વિશેષ આ રચનાઓ કાવ્યાનુભૂતિની રચનાઓ જ હોવાની. પોતપોતાની ક્ષમતા મુજબ એમાંથી આચમન કરી લઈએ એ જ ઉચિત.

Comments (8)

નયનનાં મોતી : ૦૫ : હાઈબ્રીડ ગઝલ – નયન દેસાઈ

અમે ઊભા એવા સમય તટ પે જ્યાં ગગન પડછાયો પાથરતું રહે,
ટહુકે શબ્દો ને ગઝલ ઊડતી પાંપણેથી ઘેન ઝરમરતું રહે.

પુરાણી યાદોના નીરવ ઝરૂખે કોઈ સદા વ્યાકુળ બની ફરતું રહે,
ક્ષણો થીજેલી સૌ બરફ સમ ને મન હઠીલું સૂર્ય કોતરતું રહે.

અજાણ્યા રસ્તાઓ પરિચય સૂંઘે, લોકનું ટોળુંય કરગરતું રહે,
છતાં દોડી જાયે નગર રઝળું, રોજ એને કોણ આંતરતુ રહે?

સમુદ્રોનાં મોજાં વહન કરતું, આપણું હોડીપણું તરતું રહે,
કિનારે શ્વાસોના છળકપટનું દૃશ્ય ઝાંખુ સાથમાં સરતું રહે.

છરી જેવી સાંજો કતલ કરતી સૂર્યની દરરોજ સાંજે, હે ‘નયન’!
પછી પીંછાં ઊડે ખરખર અને શબ્દનું આકાશ ભાંભરતું રહે…

– નયન દેસાઈ

કલમ હાથ ઝાલે અને પ્રયોગ ન કરે એ કવિ ગમે તે હોય, નયન દેસાઈ તો નહીં જ. આપણે ત્યાં ઘણા સાહિત્યકારોએ સંસ્કૃત છંદોનો પ્રયોગ કરીને શુદ્ધ વૃત્ત ગઝલો આપી છે, પણ નયન દેસાઈ એક ડગલું આગળ જઈ સંસ્કૃત વૃત્ત અને ગઝલના છંદને એક જ ગઝલમાં ભેગા કરીને આપણને હાઈબ્રીડ ગઝલ આપે છે. ગઝલના દરેક મિસરાનો પૂર્વાર્ધ ખંડ શિખરિણી છંદમાં અને ઉત્તરાર્ધ ગઝલમાં સૌથી પ્રચલિત રમલ છંદમાં છે. સરવાળે આપણને સાંપડે છે એક સફળ પ્રયોગ-ગઝલ.

Comments (7)

દરજી – જુગલ દરજી

જીવતર મોંઘો તાકો દરજી
સમજી સમજી કાપો દરજી

કર્મોની મીટરપટ્ટીથી,
જાત તમારી માપો દરજી

સંઘરવાને ગમતાં સ્મરણો,
ગજવું મોટું રાખો દરજી.

છુપાવવાને જખ્મો જગથી,
અસ્તર સદરે નાખો દરજી.

સપનાને સાંધી દે એવો,
પ્રોવી દોને ધાગો દરજી

સીવ સીવ તો ખૂબ કર્યું, અબ,
શિવનો મંતર જાપો દરજી.

– જુગલ દરજી

લયસ્તરો પર કવિના ગઝલસંગ્રહ ‘પહેરણ એ પણ શબદ નામનું’નું સહૃદય સ્વાગત છે…

સંગ્રહમાંની કેટલીક રચનાઓ તો લયસ્તરો પર છે જ. દરજીના વ્યવસાયને પ્રતીક બનાવી જીવતરની સુકણિકાઓ સમજાવતી સરળ-સહજ-ગહન ગઝલ આજે માણીએ.

Comments (9)

એ આવશે કદી – બરકત વીરાણી ‘બેફામ’

દિલથી બધાને પ્યાર કરો ને ગઝલ કહો,
દિલ એક પર નિસાર કરો ને ગઝલ કહો.

જો ઊંઘ આવે તો ય સતત જાગતાં રહી,
હર રાતને સવાર કરો ને ગઝલ કહો.

હરએક કળીને ફૂલ થવામાં મદદ મળે,
પ્રસ્વેદને તુષાર કરો ને ગઝલ કહો.

માણસથી છેતરાતાં રહો રોજ, તે છતાં,
માણસનો એતબાર કરો ને ગઝલ કહો.

એ આવશે, એ આવશે, એ આવશે કદી,
બસ એમ ઇન્તેઝાર કરો ને ગઝલ કહો.

આપે છે કોણ શે૨ને માટે વિચાર સૌ,
એના ઉપર વિચાર કરો ને ગઝલ કહો.

– બરકત વીરાણી ‘બેફામ’

સામાન્ય રીતે ગઝલને વિષય બનાવી કહેવાતી ગઝલો મને ગમતી નથી પણ આ ગઝલ અપવાદ છે… મજબૂત ગઝલ….

Comments (1)

મિચ્છામિ દુક્કડમ્ – શોભિત દેસાઈ

પહોંચી હો જો હાનિ તો હવાની માફી માગે છે
બધાં પંખીઓ સાંજે ઊડવાની માફી માગે છે

ન કોઈ છેતરાયું, કાફલો નીકળ્યો બહુ ચાલાક
સૂરજ, મોઢું વકાસી ઝાંઝવાની માફી માગે છે

તમે નીકળી ગયાં જ્યારે અમે ચૂકી ગયા ત્યારે
નયન, એ પૂરતું બિડાઈ જવાની માફી માગે છે

નથી આવ્યું કોઈ ના આવવાનું છે કોઈ ક્યારેય
દરદ છે જાનલેવા, ખુદ દવાની માફી માગે છે

બહાર આવ્યા તો જાણ્યું, જન્મટીપની કેદ બહેતર છે
બધા કેદીઓ ભાગી છૂટવાની માફી માગે છે

જે આવ્યો છે, નથી શું એ કે જેની રાહ જોઈ’તી?
આ ભીલડી કેમ બોરાં ચાખવાની માફી માગે છે?

ભૂરા કે લાલ બદલે ચોપડે ચીતરાય કાળો રંગ
સ્વયમ્ લક્ષ્મી હવે તો શ્રી સવાની માફી માગે છે

તમે આવ્યાં નથી સપનામાં, તો આ અડધી રાતે કોણ
બહુ મોડેથી માફી આપવાની માફી માગે છે?

– શોભિત દેસાઈ

આજે એક તરફ ગણેશ ચતુર્થી અને બીજી તરફ જૈન સંવત્સરી… વરસ આખા દરમિયાન કોઈને પણ કોઈપણ રીતે મનદુઃખ પહોંચાડવાનું થયું હોય તો આજે માફી માંગીને હૈયું હળવું કરવાનો દિવસ છે… હૈયાના સમભાવને ગઝલના માધ્યમથી વાચા આપવાથી વધુ રૂડું તો બીજું શું હોય?

જૈન સંવત્સરી પર્વ નિમિત્તે લયસ્તરોના તમામ કવિમિત્રો તથા ભાવકમિત્રોને અમારા મિચ્છામિ દુક્કડમ્…

સહજ, સરળ પણ નખશિખ આસ્વાદ્ય.

Comments (4)

શમે ભેદ સઘળા – દક્ષા બી. સંઘવી

ભલે એ જ ધરતી, ભલે એ જ અંબર!
નવું તેજ નયને, નવલતા નિરંતર!

પ્રગટ થ્યા પછી ક્યાં નડે ચાર ભીંતો,
ઝૂમીને કહો, ‘સ્વાગતમ્ દિગદિગંતર!’

ને કોલાહલે પાંગરે સૂર નોખો,
ઝીણું ઝીણું ઝીણું બજે મૂક જંતર!

મળી ક્ષણ, તે ક્ષણને નિચોવીને પી લે;
પછી છોને થાતું દટંતર-પટંતર!

શમે ભેદ સઘળા, પછી શેષ ક્યાં કૈં?
ન લે-દે, ન હું-તું, ન સુંદર-અસુંદર!

– દક્ષા બી. સંઘવી

એકવિધતા મનુષ્યને કદી માફક આવી નથી… કુદરત આ વાતથી કદાચ વાકેફ જ હશે… એટલે જ ધરતી-આકાશ-સમુદ્ર, ચાંદ-તારા-સૂરજ બધું એનું એ જ હોવા છતાં રોજેરોજ આપણે એમાં નાવીન્ય અનુભવી શકીએ છીએ. સદીઓથી એની એ જ હોવા છતાં સૃષ્ટિ આપણને શા માટે નિતનવીન હોવાનું અનુભવાય છે એનો રહસ્યસ્ફોટ કવયિત્રીએ મત્લામાં બહુ સ-રસ રીતે કર્યો છે. આપણાં નયનોનાં નૂર નવાં હોવાને લઈને એની એ જ પ્રકૃતિ પણ આપણને નિરંતર નવીન અનુભવાયા કરે છે. ભીંતો અને બંધન એ તો કેવળ મનની અવસ્થા છે. આપણે આપણી જાતને એમાં સ્વેચ્છાએ કેદ કરી રાખીએ છીએ. બાકી, ચારેય દિશાઓને જે ખૂલીને આહ્વાન આપી શકે, આ દુનિયા એની જ છે. મેળાની વચ્ચે પણ માણસ પોતાનું એકાંત અકબંધ જાળવી શકે છે. ઈશ્વર સાથે તાર સંધાઈ જાય તો ગમે એટલા કોલાહલની વચ્ચે પણ સાવ ઝીણું ઝીણું બજતા મૂક જંતરનો નોખો સૂર સંભળાશે. ચોથા શેરમાં Carpe Diem નો નાદ સંભળાય છે. જે ક્ષણ હાથ આવી છે, એને જો પૂરેપૂરી જીવી લેતાં શીખીએ તો પ્રલય થઈ જાય તોય શી ચિંતા! અંધારું જે રીતે સારા-નરસા, નાના-મોટા બધાને ઓગાળીને એકસમાન કરી દે છે, એ જ રીતે જો બે જણ પોતાની વચ્ચેના ભેદ મિટાવી શકે તો કોઈ કરતાં કોઈ અલગાવ બચતો નથી. કેવી મજાની ગઝલ!

Comments (10)

એક ઇચ્છા – વિનોદ જોશી

એક ઇચ્છા વળી વળીને ફોસલાવે છે,
એ બહાને આ દિવસરાત હજી આવે છે.

આ દશા એ દિશા ન આ ન તે કશું ગોચર,
આંખ સામે જ કોઈ મીણબત્તી લાવે છે.

રોજ ફૂટે ને ફરી થાય એક પરપોટો,
અંત હ૨એક શરૂઆતને બચાવે છે.

બંધ મુઠ્ઠીથી ખરી જાય રોજ ખાલીપો,
શ્વાસ એને ફરી ઉચ્છ્વાસમાં સજાવે છે.

જે નથી ઊતરી શકી હજીય કાગળ ૫૨,
એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે.

– વિનોદ જોશી

Comments (1)

E=MC2* – હરીશ મીનાશ્રુ

જૈ આઈન્સ્ટાઈનને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
ઉર્જા બોલી કે આઈ સ્વેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કિસ્સો રેરેસ્ટ ઑફ ધ રેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
દર્પણ મેં દીઠું ખંડેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મૃગજળની ઠંડક ચોમેર અગનિની મધ્યે અંધેર
પૃથ્વી હોળીનું નાળિયેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

બ્રહ્માની તકલાદી ચેર સકલ કમલદલ વેરવિખેર
દૂંટીમાં બોન્સાઈ ઉછેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હરિશ્ચંદ્ર હેરી પોટેર બની કરે બંધારણ ફેર
તદા ચાકડે ઊતરે સ્ક્વેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

પોતીકું પણ પળમાં ગેર નથી કોઈનું સગલું શ્હેર
માણસ મળે તાંબિયે તેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

થવાકાળ તે થાશે, ખેર, મરતાંને ના કહીએ મેર
મન મનખો મોહનજોડેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

ચાચર ચોક ટ્રફલ્ગર સ્ક્વેર તાબોટા તાળી તાશેર
લખચોરાશીનો ફનફેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

બાવા તે આદમનું વેર જુગજૂનું પ્રકરણ જાહેર
અદકપાંસળીનું એફેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

સેન વનલતા નાટોરેર હજી સફરજન મીઠું ઝેર
કલવામાં પીરસાઈ કુલેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હરખ-શોક જૂતિયાંની પેર એ જ અહીં આદિમ ફૂટવેર
સત્ય ઢસરડો ઠૂણકાભેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કાગા બૈઠા ફિર મુંડેર વાટ જુએ તે વ્લાદિમેર
કોઈ કદી નહીં આવે ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

સ્ટ્રોબેરી શેતૂર બ્લૂબેર ખટ્ટે હૈં શબરી કે બેર
કાન રામના મત ભંભેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મંદિર મસ્જિદ દેવળ દહેર ભટકી થાક્યા મણકા મેર
રહ્યું ટેરવું ઠેરનું ઠેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

ઐરા ગૈરા નથ્થુ ખેર વણચંચુ વેરે ચોમેર
કલ્પવૃક્ષના થડનો વ્હેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

શેખચલ્લી બજવે રણભેર રિન્ગટોનથી દુનિયા બહેર
કરાંગૂલિએ કોમ્પ્યુટેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

બુદ્બુદ લેવા શેરબશેર બજાર બોલે બુલ કે બેર
ગજવામાં બીટ્કોઈન્સ ઢેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મુલ્લા ગઝલુદ્દીનનો કેર: તરન્નુમ વીંઝે શમશેર
ઝબ્બે થૈ જા કે કર જેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

દીર્ઘ કવિતા ટૂંકી બ્હેર રદીફ કાફિયે સુખિયો શેર
બોલે બાવન બ્હાર બટેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

વૉટ વ્હાય હૂ વ્હેન એન્ડ વ્હેર અતિપ્રશ્નથી જમ ના ઘેર
રૂક જા થામ્બા થોભ ઠહેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હિટલરબિટલર ટોની બ્લેર ક્લિન્ટન હોય કે હોય હિલેર
ચઢ્યા મુખવટે સહુના ચ્હેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કોણ તાણશે તારી ભેર દીવા તળે નગરી અંધેર
ચલ ગંડુ, રાજાને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કચ્છ મચ્છ કે વચ્છ વછેર બામણ મીર મિયાણાં મેર
હોય વાણિયો કે વણિયેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હું વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર ચોગરદમ માટીની મ્હેર
કબર તળે તો કોણ કુબેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

અવળસવળ કુળ ઈકોતેર કરે અળસિયાં, છે માહેર
તુ ભી આ જા દેરસબેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

ખટપટ છોડી ખાંપણ પ્હેર મરઘટ પ્હોંચી કર ડિકલેર
આજ આનેમેં હો ગઈ દેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

અલ્લા, તુ આળસ ખંખેર મુર્ગા બોલા હુઆ સબેર
મુલ્લા ક્યું પીટે ઢંઢેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

વીજમાં પ્રોઈ કીડિયાસેર કરે પાનબઈ લીલાલ્હેર
તું ય લીસ્ટમાં નામ ઉમેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મસ્તક શ્રીફળ જેમ વધેર પંડ-પલીતે અગન ઉછેર
બળે દીવો મુરશિદને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

અખા લખાવટ ચેરાચેર બુદ્ધિ પણ મારી ગૈ બ્હેર
સાઠ કડીની ગૂંથી સેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

– હરીશ મીનાશ્રુ
(*પુણ્યસ્મરણ : આલ્બર્ટ આઈન્સ્ટાઈન)

ગુજરાતી ભાષાને ગઝલકારો તો સેંકડો મળ્યા છે, પણ ભાષાને અછોઅછો વાનાં લાડ કરીને એનો વધુમાં વધુ ક્યાસ કાઢવાની વૃત્તિ ધરાવતા ગઝલકારો તો જૂજ જ સાંપડ્યા છે. આવા ગઝલકારોમાં કવિશ્રી હરીશ મીનાશ્રુનું નામ અગ્રસ્થાને મૂકી શકાય. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના પ્રખ્યાત સિદ્ધાંત E = mc2 ને રદીફ બનાવવાનો વિચાર જ કેવો અનૂઠો અને અભૂતપૂર્વ છે! બીજું, મોટાભાગના સર્જક પાંચ-સાત શેરની ગઝલ લખીને ઓડકાર ખાઈ લેતા હોય એવા સમયમાં સાંઠ શેરની ગંજાવર ગઝલ આપવી એય નાનીસૂની વાત નથી. ત્રીજું, મત્લાને બાદ કરતાં ગઝલમાં કાફિયો સામાન્ય રીતે દરેક શેરમાં રદીફની આગળ એક વાર જ પ્રયોજાતો હોય છે. પરંતુ પ્રસ્તુત ગઝલમાં કવિએ રદીફ સિવાયના શેરને ત્રણ ભાગમાં વહેંચી દઈ ત્રણેય ભાગમાં કાફિયો વાપરી મજાની આંતર્પ્રાસસાંકળી રચીને ગઝલની રવાનીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આપણને દસ-બાર કાફિયા શોધવામાં પસીનો પડતો હોય એવામાં કવિએ લગભગ એકસો એંસી કાફિયાથી ગઝલ શણગારી બતાવી છે. આ થઈ ગઝલસ્વરૂપની વાત… એના કાવ્યત્વને માણવું-પ્રમાણવું ભાવકો પર છોડી દઈએ…

Comments (21)

સુખનું શબ્દચિત્ર – મધુસૂદન પટેલ ‘મધુ’

આ શબ્દચિત્ર મારા સુખનું છે, લો જુઓ જી,
બે પાંદડે થયો છું, છું જન્મજાત મોજી.

નાના પ્રસંગ સુખના મોટા કર્યા છે આમ જ,
લાંબી રદીફ લીધી, લાંબી બહર પ્રયોજી.

લય-છંદ જાળવીને પણ તીવ્રતા વધારી,
મિસરાને અંતે મૂકી મુસ્કાનની ઇમોજી

પામું છું નિત નવું કૈં, છોડું છું કૈંક જૂનું,
બન્નેનું એક કારણ; કાયમ રહું છું ખોજી.

ત્યાં શબ્દ, અર્થચ્છાયાની વાતમાં શું પડવું ?
થઈ જાય જ્યાં ‘મધુડા’ ભાષા જ હે જી… હો જી !

– મધુસૂદન પટેલ ‘મધુ’

સાદ્યંત સુંદર રચના… મુસ્કાનની ઇમોજીની મોજ લ્યો કે હે જી-હો જીની, એ આપના પર…

Comments (7)

વાત છે ને….- રમેશ પારેખ

વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી
એક માણસ છે, અરીસા છે ને બે આંખો નથી

મનમાં ખોવાયો છે એની શ્હેરભરમાં શોધ છે
એટલે કે એક દરવાજો હજી જડતો નથી

ટેવ પડવાની ગતિ વધતી કે ઓછી હોય છે
ઘોર અંધારામાં માણસ આંધળો હોતો નથી

છેવટે વાયુ પકડવાની શરત હારી ગયો
આખરે તો હાથ કેવળ હાથ છે, ફુગ્ગો નથી

ફૂલથી આગળ જતા ના હોય અર્થો ફૂલના
તો ધડક છે વક્ષની કેવળ ધડક, ગજરો નથી

હોવું ઉર્ફે શોધ પોતાના અડધિયાની, રમેશ
કોણ એવો શખ્સ છે કે જે સ્વયં અડધો નથી?

– રમેશ પારેખ

મક્તાએ મને જકડી લીધો….શું શેર છે !!!!

Comments

તરસ લાગે – ભરત વિંઝુડા

હોય તું જળ અને તરસ લાગે,
એમ તારી મને તરસ લાગે.

તું કરે એમ મારે કરવું છે,
શું કરે જો તને તરસ લાગે?

એ દુઆ હું કરું છું, તું પણ કર,
આમને સામને તરસ લાગે.

ડોલ કે દોરડુંય હોય નહીં,
એમ કૂવા કને તરસ લાગે.

જેની નીચે વહી જતાં વાદળ,
એ ઊંચા આસને તરસ લાગે.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિના નવ્યસંગ્રહ ‘ચિત્તની લીલાઓ’નું સહૃદય સ્વાગત…

સપાટી પર સરળ ભાસતી ભરત વિંઝુડાની ગઝલોમાં મોટાભાગે આસ્તેથી પડળ ઉખાડો તો વધુ ગહન લાગે છે. પ્રસ્તુત રચનાને પણ હળવે હળવે ખોલવામાં વધુ મજા છે.

Comments (5)

ન શોધો ક્યાંય પણ એને – મધુસૂદન પટેલ ‘મધુ’

ન શોધો ક્યાંય પણ એને કે એ તો આંખ આગળ છે,
હવાના ગર્ભમાં જળ છે, ને સાબિતી એ ઝાકળ છે.

ગદાઓ ભીમની હું એકસો ને એક લાવું, પણ,
થયો છું સહેજ નાસીપાસ કે અગણિત સાથળ છે.

કદી પહોંચે તો આપોઆપ હોડી થઈને તારે છે,
કવિતા મૂળ તો એણે લખેલો એક કાગળ છે.

કદી માટી મહીં ભળતું, કદી સંતાતું આકાશે,
એ પાણી એ જ પાણી છે, બસ એનું નામ વાદળ છે.

‘મધુ’ એ રૂપ છે, ને એય તે તારા જ મનનું છે,
તને લાગે છે, તારા મનની ફરતે કોઈ સાંકળ છે.

– મધુસૂદન પટેલ ‘મધુ’

લયસ્તરો પર કવિના નૂતન સંગ્રહ ‘રજવાડું’નું સહૃદય સ્વાગત…

રોજબરોજની નાનીનાની ઘટનાઓ, જેના તરફ આપણે જોવાનુંય છોડી દીધું હોય, એ જ નાનીનાની ઘટનાને નવતર કલેવર બક્ષીને રજૂ કરી શકે એ જાદુનું જ બીજું નામ કવિતા… પ્રાતઃકાળે ભેજવાળી હવા ઠરે અને શૂન્યમાંથી ઝાકળબુંદ પ્રકટ થાય એ વૈજ્ઞાનિક તથ્ય પણ કવિતાનું રૂપ ધારણ કરે તો કેવું મનહર બની શકે છે, નહીં! ગમે એટલી કોશિશ કરો તોય હવાના ગર્ભમાં છૂપાયેલું આ જળ જોઈ શકાતું નથી. ઝાકળના મિષે કવિ કદાચ ઈશ્વરના અસ્તિત્ત્વનો રહસ્યસ્ફોટ પણ કરવા ચહે છે. હૃદયમાં શ્રદ્ધા ઘનીભૂત થઈ ઠરે તો જ ઈશ્વર નજરે ચડે, ખરું ને? કવિતા બીજું કશું નહીં, ઈશ્વરે લખેલો કાગળ છે. મોટાભાગની કવિતાઓમાં આજે કળાકારી ઓછી અને કારીગરી વધારે જોવા મળે છે. કવિહૃદય સુધી પહોંચતી કવિતા જો સાચી હશે તો ઈશ્વરનો આ કાગળ હોડી બનીને ભવસાગર તારશે એ નક્કી.

Comments (12)

કાગળ છું – ભગવતીકુમાર શર્મા

વાંચીને હવે તું શું કરશે ? ચૂંથાઈ. ગયેલો કાગળ છું;
વંચાયો હતો ક્યારેક; હવે વિસરાઈ ગયેલો કાગળ છું;

શંકા ન પડે તે માટે હું ચીરાઈ ગયેલો કાગળ છું;
છાતીમાં વસેલો છું તોયે ખોવાઈ ગયેલો કાગળ છું;

ઝાકળની સાથે સ્પર્ધામાં હર રાત ટપકતાં આંસુઓ;
ખુશ્બૂ તો ગઈ ઊડી; હું હવે ચેહરાઈ ગયેલો કાગળ છું;

આ રણની સફર એકલવાયા કરવાનું બહુ કપરું નીવડ્યું;
મૃગજળનો ભરોસો રાખીને ભીંજાઈ ગયેલો કાગળ છું;

અક્ષર તૂટ્યા, શબ્દો રૂઠ્યા, કાના-માતરથી વૈર પડ્યું;
ખૂણે ખૂણેથી ફાટીને વિખરાઈ ગયેલો કાગળ છું;

પારેવાની પાંખેય નહીં; પંખી કેરી ચાંચેય નહીં,
આંસુભીની આંખેય નહીં; ફેંકાઈ ગયેલો કાગળ છું.

કાસદ જેવો કાસદ પણ જો ખૂટલ નીવડે તો શું કરવું ?
ખોટે સરનામે પહોંચીને મૂંઝાઈ ગયેલો કાગળ છું

– ભગવતીકુમાર શર્મા

દરેક શેર એક કહાની છે જાણે…..

Comments (2)

ત્યારે બોલશું – પારુલ ખખ્ખર

આંખ છલકાશે ઉઘાડેછોગ ત્યારે બોલશું,
માંગશે આ વાવ જ્યારે ભોગ ત્યારે બોલશું.

બોલવું તો છે ઘણું પણ મૌન રોકે છે હજુ,
દર્દનો હો શબ્દ સાથે યોગ ત્યારે બોલશું.

હા, દવાઓ છે, દુવાઓ છે, પરેજી સાથમાં,
તે છતાં વકરી જશે આ રોગ ત્યારે બોલશું.

આમ તો કંઈ મોં ન ખૂલે, ઘૂંટ પીવાતા રહે,
નાક જ્યારે દાબશે સંજોગ ત્યારે બોલશું.

એકલે હાથે લડીશું મોરચા, મેરે ખુદા!
જો હશે કંઈ કામ તારે જોગ ત્યારે બોલશું.

– પારુલ ખખ્ખર

યાદ આવે – કાઝિમ લખનવીસાહેબ –

मुद्दतें हो गई हैं चुप रहते

कोई सुनता तो हम भी कुछ कहते

Comments (1)

(રવાડે ચડી ગયા) – અશરફ ડબાવાલા

મનગમતા એક થડાના રવાડે ચડી ગયા,
ને એ પછી નફાના રવાડે ચડી ગયા.

પહેલા જ શ્વાસે પહેલું રુદન થઈ ગયું શરૂ,
બસ ત્યારથી હવાના રવાડે ચડી ગયા.

જે બોલતા’તા ટૂંકું અને ટચ એ છેવટે,
તેમ જ અને તથાના રવાડે ચડી ગયા.

કાં તું ને કાં ગઝલ કે પછી બંને સાથે હો,
ત્રણ જાતના નશાના રવાડે ચડી ગયા.

અશરફ જે જીવતા’તા દરદના ગુમાન પર,
એ પણ હવે દવાના રવાડે ચડી ગયા.

– અશરફ ડબાવાલા

થડો એટલે દુકાનદાર જ્યાં બેસીને ધંધો કરે એ સ્થાન. વેપારી હોય એ ધંધો કરે એ તો સાહજિક છે, પણ અહીં કવિએ થડાને ‘મનગમતા’ વિશેષણ આપીને અદકેરું સ્થાન બક્ષ્યું છે. મનગમતો વ્યવસાય કરવા મળે એ બધાના ભાગ્યમાં નથી હોતું. પણ માનવપ્રકૃતિ એવી છે કે મનગમતી વસ્તુ કરવા મળે તો એમાંથીય નિર્ભેળ આનંદ અને સંતોષ મેળવવાના બદલે એ નફાખોરી શોધવા માંડે છે. કવિએ જે થડાની વાત કરી છે, એ થડો જીવનના કોઈપણ ક્ષેત્રનો હોઈ શકે. સાહિત્ય માટેના પ્રેમથી પ્રેરાઈને કલમના ખોળે માથું મૂકતા સાહિત્યકારો પછી મંચ અને દાદ ઉઘરાવવાના રવાડે ચડી જાય છે ત્યારે સાચું સાહિત્ય તો કોરાણે મૂકાઈ જતું હોય છે.

Comments (10)

(આગ અબ્બીહાલની) – ભાવેશ ભટ્ટ

ક્યારનો ચિંતા કરે છે કાલની,
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.

આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની.

રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની!

રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,
વાત બહુ કરતો હતો જે વહાલની.

આભ નીચે એક જણ કચડાઈ ગ્યો,
છે જરૂરત કોઈને અહેવાલની?

– ભાવેશ ભટ્ટ

ગઝલસ્વરૂપની ખરી કરામત એ છે કે એ મોટામાં મોટી ફિલસૂફીને પણ સહજ-સાધ્ય શબ્દોમાં રજૂ કરી શકે છે. Carpe Diem – ‘આ ક્ષણમાં જીવો’ જેવી વાત કવિ મત્લામાં આબાદ ઝીલી શક્યા છે એ તો ખરું જ, પણ સહેજ પણ ભાષાડંબરનું મોણ નાખ્યા વિના એ ખાસ નોંધવા જેવું. અબ્બીહાલ જેવા લોકબોલીના શબ્દને કામમાં લઈને કવિએ કમાલ કરી છે. મંચ પર છટાદાર રજૂઆત વડે વન્સમોરના પુરસ્કાર પામતા રહેતા કવિની ગઝલના શેરની બે પંક્તિ વચ્ચેના ઊંડાણની પણ નોંધ લેવાવી જોઈએ.

Comments (15)

(દાદ જેવી દાદ નહિ) – નિનાદ અધ્યારૂ

યાદ એની યાદ જેવી યાદ નહિ,
દોસ્તોની દાદ જેવી દાદ નહિ.

એ કરે આબાદ તો આબાદ, પણ-
એ કરે નહિ તો અમે બરબાદ નહિ.

તું કહે તો વાદળો પાછાં ફરે,
તું કહે તો આજથી વરસાદ નહિ !

જ્યાં સુધી પંખી પૂરાયેલું હશે,
ત્યાં સુધી આ પિંજરું આઝાદ નહિ !

આ ગઝલને દાદ તારી ના મળે,
નામ મારું તો પછી ‘નિનાદ’ નહિ.

– નિનાદ અધ્યારૂ

સાવ સહજ બાનીમાં લખાયેલી આ ગઝલની સરળતામાં કંઈક અકથ્ય તત્ત્વ છે જે ભાવકને બાંધી રાખે છે. ખાસ કરીને બીજો અને ચોથો શેર તો અદભુત થયા છે.

 

Comments (7)

થઈ ગયો છું હું – ભગવતીકુમાર શર્મા

હતો અટૂલો જે, હવે સમસ્ત થઈ ગયો છું હું;
ડૂબી ડૂબીને પશ્ચિમે અનસ્ત થઈ ગયો છું હું.

લખીને કાગળો ખૂટ્યા, કલમનું મુખ ન શ્યામ છે;
આ તૂટુંતુટું શ્વાસ; અસ્તવ્યસ્ત થઈ ગયો છું હું.

મનુષ્યનો પ્રતિનિધિ, પરંતુ સ્વાર્થ તો જુઓ :
અપેક્ષા પોષવા ખુદાપરસ્ત થઈ ગયો છું હું !

તને ય કોડિયું જલાવવાની તક મળી શકે;
છું સૂર્ય તો ય ભરબપોરે અસ્ત થઈ ગયો છું હું !

પતનનું આવું ભાગ્ય કોને સાંપડી શકે અહીં ?
ગગનથી બારે મેઘરૂપે ધ્વસ્ત થઈ ગયો છું હું !

– ભગવતીકુમાર શર્મા

પ્રત્યેક શેર પાણીદાર મોતી….

Comments (2)

(મેઘમુબારક) – ઉર્વીશ વસાવડા

છે આકાશે ઘેરાં વાદળ, મેઘમુબારક
જાણે આભે આંજ્યું કાજળ, મેઘમુબારક

શૈશવના કોમળ હાથોની એ જ ખૂબી છે
હોડી થઈને તરતો કાગળ, મેઘમુબારક

બે પથ્થરની વચ્ચે કાલે કાલે નહોતું કઈ પણ
આજ વહે છે ઝરણું ખળખળ, મેઘમુબારક

મારી જેમ જ ખુશ થાતાં વૃક્ષો-પંખીઓ
હરખ કરું હું એની આગળ, મેઘમુબારક

આભમહેલમાં કેદ થયોતો દરિયો આખો
આજ ખૂલી ગઈ એની સાંકળ, મેઘમુબારક

– ઉર્વીશ વસાવડા

(સ્મરણ: નિતીન વડગામા)

ગઈ કાલે આપને કવિની કલમે “પ્રથમ વરસાદની વેળા” માણી… આજે એમની જ કલમે બીજી એક ગઝલ માણીએ.

વાંચતાવેંત સંવાદ સાધવા માંડે એવી મજાની ભીનીછમ ગઝલ સાથે લયસ્તરોના તમામ કવિમિત્રો તેમજ ભાવકમિત્રોને મેઘમુબારક…

Comments (1)

(પ્રથમ વરસાદની વેળા) – ઉર્વીશ વસાવડા

ભૂંસાઈ ગ્રીષ્મની પાટી, પ્રથમ વરસાદની વેળા
પછી મહેકી ઉઠી માટી, પ્રથમ વરસાદની વેળા

ફૂટી નીકળી અચાનક કૂંપળો શૈશવની યાદોની
ભીતર જેને હતી દાટી, પ્રથમ વરસાદની વેળા

મળ્યાં છે મોતીઓ મબલખ હથેળી જેમણે ખોલી
ખરેખર એ ગયા ખાટી, પ્રથમ વરસાદની વેળા

નર્યા ઉન્માદથી ડોલે બધાયે વૃક્ષ મસ્તીમાં
કોઈ ભૂરકી ગયું છાંટી, પ્રથમ વરસાદની વેળા

ક્ષણિક ઝબકારમાં પણ વીજનું નર્તન પ્રથમ દીઠું
પછી માણી ઘરેરાટી, પ્રથમ વરસાદની વેળા

– ઉર્વીશ વસાવડા

ભલે ચોમાસુ ચાર માસ ચાલે અને મનભર ખાબકતું રહે પણ પ્રથમ વરસાદની તો વાત જ અલગ. ચાર મહિના સુધી ધરતીની પાટી ઉપર ઉકળાટની કલમથી ઉનાળાએ જે કંઈ લખ્યું હોય એ બધું એક જ વરસાદના ડસ્ટરથી સાવ સાફ થઈ જાય… કેવી મજાની વાત! પ્રથમ વરસાદની ભીની હૂંફ જીવનની આપાધાપીમાં હૈયામાં ક્યાંક ઊંડે દાટી દીધેલ બાળપણની યાદોને પુનર્જિવિત કરી દે છે. પહેલા વરસાદને શરીર પર ઝીલી શકે એ જ સાચો અમીર. પહેલા વરસાદના પ્રભાવથી કોઈ બચી શકતું નથી. સૃષ્ટિ સમગ્ર કોઈ ભૂરકી ન છાંટી ગયું હોય એમ નર્યા ઉન્માદમાં નર્તન કરે છે. વિજ્ઞાનશાખાના વિદ્યાર્થી હોવાથી તબીબકવિ પ્રકાશની ગતિ અવાજની ગતિ કરતાં વધુ હોવાની વૈજ્ઞાનિક ઘટનાને પણ ગઝલના આખરી શેરમાં બખૂબી સાંકળી લે છે.

Comments (5)

કહેવાય એમ ક્યાં છે? – યોગેશ પંડ્યા

તમને સ્મર્યાંનું કારણ કહેવાય એમ ક્યાં છે?
પાછું ફર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?

પાછો ફર્યો છું તેનું કારણ ધર્યું’તું મેં, પણ
કારણ ધર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?

મારા જ હાથે ખુદની હસ્તી મિટાવી દીધી,
બાકી મર્યાનું કા૨ણ કહેવાય એમ ક્યાં છે?

કાય૨ નથી જ કિન્તુ રહેવું પડ્યું છે મૂંગું,
ભૂલો કર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?

તેની કથાને વાંચી રોઈ પડ્યો’તો કિન્તુ
આંસુ ઝર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?

અંગત છો, નહીં તો જાણું: ઉપવન ઉજાડ્યો કોણે?
ફૂલો ખર્યાંનું કારણ કહેવાય એમ ક્યાં છે?

– યોગેશ પંડ્યા

અલગ-અલગ પ્રકારની દુવિધાઓ જીવનનો ન નિવારી શકાય એવો હિસ્સો છે. ડગલે ને પગલે ડાબે જવું કે જમણેની દ્વિધા આપણને અસમંજસમાં મૂકતી રહે છે. ઘણીવાર કશું કર્યા કે ન કર્યા બાબતે જવાબ હોવા છતાં જવાબ આપી ન શકાય એવી પરિસ્થિતિમાં આપણે સહુ મૂકાતા હોઈએ છીએ. કારણ ખબર હોવા છતાં કારણ ન આપી શકાવાની લાગણીના અલગ-અલગ રંગોને કવિએ પ્રસ્તુત રચનામાં બખૂબી ઉજાગર કરી બતાવ્યા છે. પ્રસ્તુત રચના ઘાયલના ‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે’થી આપણને એક કદમ આગળ લઈ જતી હોવાનું અનુભવાયા વિના નહીં રહે.

Comments (9)

વાતો ખાલી વાતો છે – સુરેશ પરમાર ‘સૂર’

વાતો ખાલી વાતો છે, જાત અનુભવ બાકી છે;
આ મત્લાને જો સમજો તો દાસ કબીરની સાખી છે.

પેલો સાચો, પેલો ખોટો, પેલાને કંઈ ભાન નથી;
સાલું મારું મન પણ કેવું ગામ આખાનું કાજી છે!

નિઃશબ્દે પહોંચો તો પામો વ્યાધિમાંથી છૂટકારો;
શબ્દોમાં બસ દુઃખ ભૂલવાની પીડા-શામક ફાકી છે.

માનો નહિ પણ કેવળ બે જણ બેઠા છે મયખાનામાં;
વાંસેથી દેખાતો હું, ને સામે ચહેરે સાકી છે.

તું તારા પોતીકા કંઠે શ્વાસને ઢાળી ગાજે ‘સૂર’,
રાગની ચિંતા નહિ કરવાની ‘કેદારો’ યા ‘કાફી’ છે?

– સુરેશ પરમાર ‘સૂર’

‘સાખી’ શબ્દ ‘સાક્ષી’નું તદ્ભવ રૂપ છે અને ‘સાક્ષી’ શબ્દ ઉતરી આવ્યો છે ‘સાક્ષ્ય’ પરથી, જેનો અર્થ થાય છે પ્રત્યક્ષ જ્ઞાન. અર્થાત્ એ જ્ઞાન જે સહુ જોઈ શકે છે અથવા પામી શકે છે. પણ સાખી કબીરના દોહામાં જ હોય એ જરૂરી નથી. વાત કરતાં આવડે તો ગઝલનો શેર પણ સાખી બરાબર હોઈ શકે. જાત અનુભવ વિના બધું નકામું એ જૂની અને જાણીતી વાતને કબીરની સાખી સાથે સાંકળતો મત્લા મને સ્પર્શી ગયો. સરવાળે આખી ગઝલ માણવા જેવી થઈ છે.

Comments (9)

વધતો જાય છે…. – પારુલ ખખ્ખર

આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે,
‘જીવવું છે,જીવવું છે’- જાપ વધતો જાય છે.

જીવ ચાંચૂડી ઘડાવીને થઈ જા સાબદો!
ઊડવું પડશે, દિશાનો દાબ વધતો જાય છે.

હણહણે છે પણ નથી છોડી શક્યો ઘોડારને,
એક ડગ ચાલ્યો નથી ને થાક વધતો જાય છે.

ઘાસ,પીંછા,ફોતરા જેવો બધો સામાન છે,
તે છતાંયે પોટલાનો ભાર વધતો જાય છે.

કામળી તું ઓઢ ‘પારુલ’,કાં સ્વીકારી લે હવે,
જે હતો ટપકું કદી, એ ડાઘ વધતો જાય છે.

– પારુલ ખખ્ખર

દરેક શેર એક ઊંડા અર્થથી સભર છે. જેમ કે ચોથો શેર – આમ જૂઓ તો કોઈપણ સરસામાનનો કોઈ મતલબ નથી-એક દિવસ બધું અહીં જ રહી જવાનું છે, પણ “પોટલાનો ભાર” એટલે કે મમત્વ વધતું જ જાય છે…. બીજા અર્થમાં – સમજણ એક પાઈની નથી આવી મારામાં, જે સમજણ છે એવું ભાસે છે તેનું કોઈ વજૂદ નથી. પણ મારા અહંકારના પોટલાનો ભાર વધતો જ જાય છે….

Comments (1)

એ મારી આંખનું પાણી — રિન્કુ રાઠોડ’શર્વરી’

યુગોના તપ પછી હૈયામાં જે ફૂટી’તી સરવાણી‌— એ મારી આંખનું પાણી,
ભગીરથ દ્વારા સ્વર્ગેથી ધરા પર જે નદી આવી— એ મારી આંખનું પાણી.

તમે તો પાપ પોકારી, ધરમનો માર્ગ પકડીને થયા છો પીર જેસલજી,
સતી તોળાંદે લઈ ગ્યાં જેમાં ભવની નાવ હંકારી— એ મારી આંખનું પાણી.

થયું મંથન સમુંદરનું, મળ્યા’તા કિંમતી રત્નો, હતું સાથે હળાહળ પણ;
બધા વચ્ચે ઘડામાં લઈને જે ઊભી હતી નારી— એ મારી આંખનું પાણી.

જતન, સચ્ચાઈ, હિંમત, પ્રેમને ભેગાં કર્યાં જ્યારે, બન્યું છે સ્ત્રીહૃદય ત્યારે;
વિધાતા લેખ લખવા એટલે જે વાપરે શાહી— એ મારી આંખનું પાણી.

ભર્યા દરબારમાં વસ્ત્રાહરણ વેળા વહ્યું’તું દ્રોપદીની ચીખમાંથી જે,
પછીથી કાળ થઈને કૌરવોને લઈ ગયું તાણી— એ મારી આંખનું પાણી.

હતું ધિંગાણે ચડવાનું અને માભોમ કાજે પ્રાણ દેવાનો હતો વારો,
વીરોએ પીધી’તી ત્યારે કહુંબાની ભરી પ્યાલી— એ મારી આંખનું પાણી.

— રિન્કુ રાઠોડ’શર્વરી’

કેટલીક રચનાઓ કવિની ઓળખ બની જતી હોય છે. કવિનું નામ બોલીએ અને એમની સિગ્નેચર પોએમ તાદૃશ થઈ ઊઠે. રિન્કુ માટે આ રચના એવી જ કૃતિ છે. છમાંથી ચાર શેરમાં આપણી પુરાકથાઓના સંદર્ભ સાથે સ્ત્રીના આંસુઓને કવયિત્રીએ બખૂબી સાંકળી લીધા છે. આ સંદર્ભો કાળાનુક્રમિક ગોઠવાયા હોત તો ગઝલનું સૌંદર્ય કદાચ ઓર નિખર્યું હોત. સામાન્ય લાગતા છ વિધાન અંતે ‘એ મારી આંખનું પાણી’ રદીફ ઉમેરાતાં જ અસામાન્ય અને આસ્વાદ્ય બની રહે છે. સામાન્યરીતે ગઝલોમાં પ્રયોજાતી અનૂઠી રદીફ લટકણિયું બનીને રહી જતી જોવા મળે છે, જ્યારે અહીં રદીફ ગઝલમાં એવી તો ચપોચપ બેસી જાય છે, કે એને બાદ કરો તો કદાચ ગઝલ સામાન્ય બનીને રહી જાય. બધા જ શેર ફરીફરીને મમલાવવા ગમે એવા.

 

Comments (9)

(એ સહેજ દૂર ગયાં) — ભાવેશ શાહ ‘શહેરી’

વિવશતા માપવા માટે એ સહેજ દૂર ગયાં,
કે પાસ આવવા માટે એ સહેજ દૂર ગયાં.

જુલમ કરેલો ખરેખર તો ખુદની જાત પરે,
મને સતાવવા માટે એ સહેજ દૂર ગયાં.

ગણતરી ખોટી પડી, ધારણાથી ઊંધુ થયું,
મમત ઘટાડવા માટે એ સહેજ દૂર ગયાં.

નજીક આવતાંવેંત જ નજર ઝૂકે તો શું થાય,
ધરાર તાકવા માટે એ સહેજ દૂર ગયાં.

પછી તો જાણ થઈ, એની ઓળખાણ થઈ,
પ્રણય પિછાણવા માટે એ સહેજ દૂર ગયાં.

— ભાવેશ શાહ ‘શહેરી’

સરળ લાગતા શેરોમાં કવિએ સંબંધનું સરવૈયું આબાદ કાઢી આપ્યું છે. દૂર જવાને પ્રિયા પાસે આમ કોઈ કારણ નહોતું, કારણ કે બે જણ વચ્ચે પાંગરેલ સંબંધથી કદાચ બંને પક્ષ સંતુષ્ટ જ છે. પ્રણય અને પ્રાપ્તિની ચરમસીમાએ પણ માનવસ્વભાવ શંકાથી પૂર્ણપણે પર નથી રહી શકતો એય જો કે હકીકત છે. અને પુરુષનો સ્વભાવ જ મૂળે ભ્રમરવૃત્તિવાળો. એટલે સ્ત્રી સાશંક તો રહેવાની જ. પોતે બહુ નજીક હોવાથી પ્રેમીની ખરી મનોસ્થિતિનો ખરો તાગ મળતો નથી એ વિચારે પ્રિયતમા સહેજ દૂર જાય છે. ‘સહેજ’ શબ્દ પરથી નજર હટી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. મરીઝે કહ્યું હતું ને, ‘જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.’ દૂર તો જવું છે પણ એટલા નહીં કે પુરુષ પરથી નજર જ હટી જાય અથવા એને બીજે ક્યાંય નજર કરવાની તક મળી જાય. આખી ગઝલ આ સહેજ દૂર જવા પાછળના કારણોનું મજાનું પૃથક્કરણ છે. આસાન જણાતી ભાષામાં કવિએ સંબંધની સંકુલતાની નાડ પકડી બતાવી છે.

મિસરાના અંતે ‘ગયા’ના માથે અનુસ્વાર મૂકાયું છે એ અનુસ્વાર એ વાત પર મતું મારે છે કે ‘એ’ સર્વનામ એક સ્ત્રી માટેનું આદરવાચક સંબોધન છે. સ્ત્રી મોટી વયની હોય અથવા તુંકારે સંબોધન ન કરવું હોય ત્યારે ‘ગઈ’ના સ્થાને ‘ગયા’ વપરાય. પણ માથે અનુસ્વાર મૂકીને ‘ગયાં’ કહો એટલે એ માનાર્થે પ્રયોગ કર્યો ગણાય.

Comments (12)

(ઘર-ઘર રમી શકે) – હરીશ ઠક્કર

અંગતના મૃત્યુ ટાણે જે કોરી રહી શકે,
ફિલ્મોનાં દશ્ય જોઈ એ આંખો રડી શકે.

રહેવા ભલેને ઘર નથી, પણ ઘરનું સ્વપ્ન છે,
ફૂટપાથ પરનાં બાળકો ઘર-ઘર રમી શકે.

સંબંધમાંથી પાછા હટી જઈને બે કદમ,
જીવનમાં એ રીતે ઘણા આગળ વધી શકે.

માણસને જાણવો ઘણો મુશ્કેલ છે, પ્રભુ!
ચહેરો હૃદય પ્રમાણે બનાવી નહીં શકે?

દુશ્મનના દુશ્મનોને બનાવે છે મિત્ર તો,
દુશ્મનને કેમ મિત્ર બનાવી નહીં શકે?

– હરીશ ઠક્કર

ગઝલનો મત્લા પહેલી નજરે કોઈ સાવ ઉપલક વાત કહેતું હોય એવો લાગે, પણ આ જ કવિની ખાસિયત છે. સરળ દેખાતા શેરની અંદર એ જાળવીને સત્ત્વ છૂપાવી દે છે. હળવેથી શેર ઊંચકો નહીં તો એ સત્ત્વ ચૂકી જવાની પૂરી ગેરંટી. પથ્થરની ભીતર છૂપાયેલા ઝરણાંની આ વાત છે. પ્રસંગોપાત જે માણસ સંવેદનહીન લાગતો હોય એ માણસની અંદર પણ ક્યાંક તો લાગણીની લીલપ છૂપાયેલી જ હોવાની. ત્રીજો શેર હાંસિલ-એ-ગઝલ શેર છે. આપણામાંથી મોટાભાગના લોકો સંબંધમાં પડતી ગાંઠમાં જ બંધાઈને અટકી જતાં હોઈએ છીએ, પરિણામે સંબંધ તો ટકી રહે છે, પણ એમાં પ્રાણ નથી હોતા અને જીવન આગળ વધવાનું બંધ કરી દે છે. મૃતપ્રાય સંબંધોની લાશ ખભે ઊંચકીને ફર્યે રાખતો માણસ વિક્રમાદિત્યની જેમ વડ અને સ્મશાન વચ્ચેના ફેરાઓમાં જ અટવાઈ રહે છે. એને ખભેથી ઊતારી જે મુક્ત થઈ શકે છે, એ જ સાચેસાચ જીવનમાં આગળ વધી શકે છે. બે જ પંક્તિમાં કેવી અદભુત અને ગહન વાત! વળી, પીછેહઠ સાથે આગેકૂચને સાંકળીને કવિએ ભાષાની પાસે પણ આબાદ કામ કઢાવ્યું છે. છેલ્લો શેર પણ કાબિલે-દાદ થયો છે.

Comments (12)