જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.
’શૂન્ય’ પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એ તારે ઘર આવ્યો તેડે – ઉશનસ્

એ તારે ઘર આવ્યો તેડે, ચાહીને તવ યાર,
અભાગણી, જોજે પાછી તું રાખે બંધ દુવાર;

આ પળ તારે ભાયગ,
જે આવે છે કોક જ વાર,
જેને કા૨ણ જોગીજતીઓ
લે છે લખ અવતાર;
શું શોચે છે? આંગણ આવ્યાં વરી લે, દૈ વરમાળ.      એ૦

એ પોતે તવ આંગણ આવ્યો,
પછી શું ઘર ને બ્હાર?
એહની સંગે નીકળી પડવા
તું છે કે તૈયાર?
પ્હેર્યે વસને, વણશણગારે, વણહુંપદને ભાર?      એ૦

જરીય મોં ફેરવીને પાછી
જોઈશ મા તું અતીતે,
એ છોડ્યું તે છોડ્યું,
જોડવું મન જો મનના મીતે;
ખુલ્લું એમ જ ઘર મૂકી જા, જા નવલે સંસાર.      એ૦

છતછાપરુંયે આડશ અમથી
આડશ ભીંત-કમાડ,
સૌ સોંસરવી નીકળી જા તું,
ઠેકી જા સૌ વાડ;
તક છે છેલ્લી, મળી કે મળશે, નીકળી જા નિજ પાર.      એ૦

– ઉશનસ્

સાક્ષાત્ ઈશ્વર અભાગણીને તેડવા એના ઘરે ચાહીને આવ્યો હોવાથી કવિ એને દ્વાર બંધ ન રાખવા તાકીદ કરે છે. જીવનમાં ક્યારેક જ આવતી આ પળ પામવા જોગીઓ અને જતિઓ લાખ-લાખ અવતાર લે છે અને આવામાં નાયિકાને વિચારમગ્ન જોઈ કવિ વળી એને ચીમકી દેતા કહે છે કે આંગણે આવેલ પ્રભુને વરમાળ આપીને એની સાથે લગ્ન કરી લે. ઈશ્વર આંગણે પધારે ત્યારે અંદર-બહાર બધું એકસમાન થઈ જાય છે. આપણે એ વિચારવાનું છે કે પહેર્યે કપડે, કોઈ પણ જાતના સાજશણગાર વિના અને હુંપદનો ભાર ત્યજીને આપણે એની સાથે નીકળી પડવા તૈયાર છીએ કે કેમ? મનમીત સાથે નવલો સંસાર માંડતી વખતે નથી અતીત તરફ મોં ફેરવીને જરાય જોવાની જરૂર કે નથી ઘર વાખવાની કોઈ આવશ્યકતા. ભૂત અને વર્તમાન –ઉભયને છોડીને ભાવિના પંથે ચાલી નીકળવાનું છે. છત-છાપરાં-ભીંત-કમાડ –આ તમામ આ ક્ષણે આડશ સમા લાગશે. જીવનને બાંધી રાખતી તમામ પળોજણોની વાડ ઠેકીને ખુદની પણ પાર નીકળી જવાનું છે, કેમકે આજે જે આ તક જીવનમાં આવી છે, એ આખરી તક છે.

સૉનેટ અને ઊર્મિકાવ્યોના સ્વામી ગીતનો હાથ ઝાલે છે ત્યારે મકરંદ કે હરીન્દ્ર દવે જેવી મુલાયમતાના સ્થાને તળ ગુજરાતની ખરબચડી બાની અછતી રહેતી નથી. પણ ઉત્તમ કવિના હાથમાં કાવ્યસ્વરૂપની માવજત થોડી બરછટ થાય તોય કાવ્યતત્ત્વ તો નિરવદ્ય જ રહે છે એની પ્રતીતિ અહીં થયા વિના રહેતી નથી.

Comments (4)

કઈ કૂંચી, કઈ કળ… – યોગેશ પંડ્યા

બ્હાર ઓલ્યો ધોધમાર મેઘરવો વરસે ને
અંદર બરકે છે મારો સાયબો.

આડઝૂડ વીંઝાતી ઝડીઓમાં ઓગળી એવું ભીંજાય મારું તન,
જાણે કે ફાટફાટ દરિયા ફાટ્યા કે પછી ફાટ્યું છે આખું ગગન;
ઊભી જ્યાં નેવાંની હેઠ્ય હું તો સ્હેજવાર આરપાર મારું ગવન!
બ્હાર ઊભી ખુદ હું થઈ ગઈ વરસાદ અને
અંદર મરકે છે મારો સાયબો!

કોરી થાવાને હું તો નાવણિયે ગઈ પણ સાંકળ દેવાનું ગઈ ભૂલી,
હળવેથી સાયબાએ ઝીલી, ’ને શરમાઈ સાયબાની બાંહોમાં ઝૂલી;
સાનભાન ખોયું ને ખબર્યું ના રહી, કઈ કૂંચીથી કઈ કળ ખૂલી?
બ્હારના કમાડ આડાં હળવે દીધાં ને હવે-
અંદર ફરકે છે મારો સાયબો.

– યોગેશ પંડ્યા

વાદળ અને વહાલના બેવડા વરસાદમાં ભીંજાતી નાયિકાની મજાની સંભોગશૃંગાર રચના. બહાર મેઘ ધોધમાર વરસી રહ્યો અને ઘર ભીતરથી સાહ્યબો અવાજ દઈ રહ્યો છે. બહાર વરસાદ અને ભીતરથી વર સાદ! નાયિકા ધોધમાર વરસાદમાં ઘરબહાર કેમ નીકળી છે એનો ફોડ કવિએ પાડ્યો નથી. જરૂરી પણ નથી. આડઝૂડ વીંઝાતી વરસાદની ઝડીઓમાં નાયિકાનું તન એવું ઓગળી ગયું છે કે એ ખુદ વરસાદ બની ગઈ છે… આ વરસાદમાં પછી સાહ્યબો પણ મનભર નહાઈ લે છે. શરીર લૂછી કોરી થવા નાયિકા નાવણિયામાં તો પ્રવેશી પણ સાંકળ દેવાનું ભૂલી ગઈ. સાહ્યબો અંદર પ્રવેશી એને ઝાલે ને ઝૂલાવે છે ત્યારે સાનભાન સ્વાભાવિકપણે જ હાથ રહેતાં નથી. કઈ કૂંચીથી કઈ કળ ખૂલીનો સંભોગશૃંગાર ‘અંદર ફરકે છે મારો સાયબો’ પંક્તિમાં રતિસુખની ચરમસીમાએ પહોંચે છે, અને વહાલની આ હેલીમાં આપણને પણ ભીંજાયા હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.

Comments (8)

પ્રથમ પ્રણયાનુભૂતિનું ગીત – જયેન્દ્ર શેખડીવાળા

સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…
છેદ પડ્યો છે છ૨કમ્ છરકમ્, હેમખેમ છે અકબંધ પ્હાની…

ટહુકો લસલસ પગમાં પેઠો
સણકાવત્ ઉંમર પર બેઠો
સખિયન! ટહુકો મેલો હેઠો
જિયાઝૂલણ કંપારી વેઠો
લોહી હલ્યા રે અચરમ્ અચરમ્ રાગ પધાર્યા ધિન્ ધિન્ તાની…
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…

પહેલી નથ તું પ્હેરું
ત્યારે પ્હેલવારકી મૂંછ ઉતારું
છબછબિયું અન્ધારું
વ્હે ત્યાં સોળ કળાએ ડૂબકી મારું
જળ બિરાજ્યા જિયરા હારે રાધે વાત કરે વનરાની…
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…

– જયેન્દ્ર શેખડીવાળા

સોળ વર્ષની મુગ્ધ વય પ્રેમમાં પડવાની વય છે. ષોડશીના પ્રથમ પ્રેમની અનુભૂતિનાં ગીતો તો આપની પાસે ઘણાં છે, પણ સોળ વરસના લબરમૂછિયા નવયુવાનની પ્રેમાનુભૂતિની આવી રચના ભાગ્યે જ માણવા મળશે. સોળ વરસથી સ્થિર ઊંડા જળમાં અચાનક ટહુકાની રાવ પડતાં જાણે કે તોફાન મચ્યું છે. ટહુકાની રાવ સાથે આમ તો ઝાડની ડાળ યાદ આવે, પણ અહીં કવિએ ઊંડા પાણીમાં ટહુકાની રાવ પડી હોવાનું કપ્લન બાંધીને પ્રથમ પંક્તિથી જ ભાવકને આ રચના જરા હટ કે હોવાનો ઈશારો પણ કર્યો છે. પ્રેમનો આ ટહુકાર છરી ન હોય એમ સોળ વરસના અકબંધ અસ્તિત્ત્વમાં જાણે કે આછો કાપો પડી જાય છે. છરકમ્ છરકમ્ – આ રવાનુકારી (onomatopoeia) શબ્દની દ્વિરુક્તિ છરીથી આછો છરકો પડવાની ક્રિયાને ચાક્ષુષ કરી દે છે.

અકબંધ પાનીના ઉલ્લેખ મિષે પરીક્ષિત અને કળિયુગની ઓછી જાણીતી વાર્તા યાદ આવે. કળિયુગ સામે પરીક્ષિત અડીખમ હતા પણ એમણે એને સોનામાં રહેવાની રજા આપી એ કારણે કળિયુગે એમના મુગટમાં ઘર કરી લીધું હતું, જેના દુષ્પ્રભાવના કારણે તક્ષક નાગના ડંખ અને સાત દિવસમાં મૃત્યુનો શાપ રાજાને વેઠવાનો આવ્યો હતો એ કથા સર્વવિદિત છે. પણ એક ઓછી જાણીતી ઉપકથા મુજબ દેહધાર્મિક ક્રિયા પતાવ્યા બાદ પરીક્ષિત રાજાએ હાથ-પગ ધોયા પણ પગની પાની ધોવાની રહી જતાં કળિયુગ શાપ મુજબ પગની પાનીમાં થઈને એમના દેહમાં પેઠો હતો. કવિને આ સંદર્ભ અભિપ્રેત હશે કે કેમ એ તો ખ્યાલ નથી પણ નાયિકાની પગની પાની અકબંધ છે એમ કહ્યા બાદ પછી તરતની પંક્તિમાં ટહુકાનું લસલસ કરતુંકને પગમાં પેસવાની વાત આવે છે.

કોઈકનો અવાજ સોળ વરસથી અકબંધ વ્યક્તિત્ત્વમાં છેદ કરીને અંદર ઊતરી ગયો છે. સણકા ઊપડી રહ્યા છે. નાયક નાયિકાને કહે છે કે, હે સખી! આ ટહુકો કોનો છે એની પંચાતમાં પડવાના સ્થાને હૈયા આખાને હચમચાવી દે એવી જે કંપારીઓ જન્મી છે, એને વેઠવાની મજા લો. પ્રણયસંગીત ના ધિન ધિન તાને લઈને લોહીમાં ખળભળાટ મચ્યો છે.

હિંદુ પરંપરા અનુસાર છોકરી એના લગ્નના દિવસે નથ પહેરે છે અને સુહાગરાતે પતિ એ નથ ઉતારી બે દેહનું અદ્વૈત સાધે છે. પણ નાયક નથ ઉતારવાના બદલે જીવનમાં પહેલીવાર પોતાની મૂંછ ઉતારવાની વાત કરે છે, એ સૂચક છે. સ્ત્રી ઉપર પૌરુષી કબજો મેળવવાના બદલે નાયકની નેમ પોતાના અહંકારનો ત્યાગ કરવાની વધુ છે. આ જ સાચો પ્રણય છે ને! એ પછીની સંભોગશૃંગારની વાત તો સહજ સમજાય એવી છે…

Comments (12)

આવી સૈયર ઠંડી..! – પ્રકાશ પરમાર

આવી સૈયર ઠંડી..!
સાવરિયાની અકોણાઈમાં હવે આવશે મંદી…!
આવી સૈયર ઠંડી.

મેડીનો સુનકાર પાછા પગલે પાછો થાશે;
કડલાં કાંબીનો કેલીરવ પડસાળે પડઘાશે.
પર્વત શિખર ચડી ઉતરશે ખીણમાં આ પગદંડી….!
આવી સૈયર ઠંડી.

સાજન મુજને પીશે માની કઢિયેલ દૂધનો કળશ્યો;
ગટકગટ ગટગટાવે મુજને તોયે રહેશે તરસ્યો..!
નાગરવેલના પાનની ફૂંપળ બનશે ફરી ફરંદી….!
આવી સૈયર ઠંડી.

ઓળંગીને આડ બધીએ ઓગળશું ઉભયમાં,
બોલકા મૌનનો હૂંફાળો સંવાદ રચીશું લયમાં.
પાતળિયાની પટરાણી થઈ મોજ માણશે બંદી..!
આવી સૈયર ઠંડી.

– પ્રકાશ પરમાર

ઠંડી એટલે ભરસંસારમાં પાનખર પણ ઘરસંસારમાં વસંત ઋતુની સંવાહક. રાતની ઠંડકમાં હૂંફ અર્થે પિયુ સાયુજ્ય સ્થાપવા આવશેની ખાતરીમાંથી જન્મેલું મજાનું ગીત આસ્વાદીએ. સતત તોરમાં ફરતા રહેતા સાંવરિયાની અકોણાઈમાં હવે મંદી આવશે એની નાયિકાને પ્રતીતિ છે. મેડીનો સૂનકાર કડલાં-કાંબીના કેલીરવમાં પડસાળ સુધી પડઘાશે. પાછા પગલે પાછા થવાની વાતમાં કવિકર્મનો રણકો સંભળાય છે. પાછા-પગલે-પાછો-પડસાળે-પડઘાશે-પર્વત-પગદંડીમાં ‘પ’ની વર્ણસગાઈ તથા કડલાં-કાંબી-કેલીરવ સાથે સુનકારના કારનો ‘ક’કાર પણ આખા બંધને રણકતા-પડઘાતા રાખે છે. શિખર ચડીને પગદંડીના ખીણમાં ઉતરવાનો સંભોગશૃંગાર મેડી-પરસાળના રૂપકથી અળગું પડી જાય છે એ નિરવદ્ય કાવ્યરસમાં થોડો ખટકો જરૂર પેદા કરે છે. સાજન પોતાને કઢિયેલ દૂધનો કળશ્યો ગણીને આકંઠ પીશે પીશે ને તોય તરસ્યો રહેશે એ આત્મવિશ્વાસ કાવ્યપ્રાણ સમો છે. અહીં પણ નાગરવેલના પાનની કૂંપળના ફરી ફરંદી બનવાવાળી ક્રોસલાઇન જામતી નથી. શાંત વસ્તુ તોફાની બનશે એવી અભિવ્યક્તિ કવિને હૈયાવગી હોય એમ જણાય છે, પણ નાગરવેલના પાનની બે વિરોધાભાસી અવસ્થા જળ-પવન જેવા પ્રતીકોમાં જેમ સ્પષ્ટ થઈ શકી હોત એમ થઈ શકતી નથી. ત્રીજો બંધ સહજ છે. કાયમ માટે બંદી થઈને રહેતી પત્ની હવે ઠંડીના પ્રતાપે પાતળિયાની પટરાણીનું ગરવું સ્થાન પામશે એ વાત સ્પર્શી જાય છે.

Comments (11)

ભણકારા પહેરીએ! – અનિલ ચાવડા

ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!
સાચુકલા આવ્યા હો એમ મારી આંખ મને ખેંચીને લઈ આવે શેરીએ!

ઝાંપે જઈ નિરખીએ, ઊગેલું દેખાતું
મસમોટું ભોંઠપનું ઝાડ!
એકએક પાંદડાના કાન મહીં કહીએ કે
ધારણાને સાચી તો પાડ!

પોતે પોતાની પર ધૂળ જેમ બાઝ્યા તે પોતે પોતાને ખંખેરીએ
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!

ધારો કે રસ્તો આ રસ્તો ના હોત
અને હોત કોઈ સૂતરનું દોરડું
પકડી હું ખેંચત, એ જલદીથી આવત,
ને મહેકી ઊઠત મારું ખોરડું!

આવી તો કેટલીય કલ્પનાઓ રાત દાડો મનમાં ને મનમાં ઉછેરીએ!
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!

~ અનિલ ચાવડા

ઝિંદગી કે સફરમેં ગુઝર જાતે હૈ જો મકાં
વો…..ફિર નહીં આતે….વો…..ફિર નહીં આતે….

Comments (4)

તડકા! તારાં તીર – મનોહર ત્રિવેદી

તડકા! તારાં તીર,
વીંધતો જાય કોઈ શિકારી કોયલ-કાબર-કીર.

દૂર ભાઠોડે આંખ માંડીને ઘાસનો વાળ્યો સોથ,
છાંયડા જેવા છાંયડાએ પણ વાડયની લીધી ઓથ;
તરકોશીએ તરસ્યા એમાં ગોતવાં ક્યાંથી નીર?

હળખેડુની ધૂંસરી ઉપર સૂરજ બેઠો હોય,
ભોંયના કૂણા દેહને એની ત્રોફતી તીણી સોય,
પગ પડે તે મલક એનો, જાય ત્યાં ત્યાં જાગીર..

વાયરા સીમે સૂસવે: હડી કાઢતી આ બપ્પોર,
ઝીંક ઝીલે છે તોય ત્યાં પેલી ટેકરીનો ગુલમ્હોર;
ઝૂંટવે તું શું જોર? તું તારે લાવજે તારો પીર..
તડકા! તારાં તીર…

– મનોહર ત્રિવેદી

કોઈ શિકારી એક પછી એક પક્ષીઓનો શિકાર કરતો જતો હોય એમ તડકાનાં તીર અંગાંગને વીંધી રહ્યાં હોવાનું ચિત્ર કવિએ દોઢ જ પંક્તિમાં આબાદ દોરી બતાવ્યું છે. ભાઠોડામાંનું ઘાસ પણ તડકાના તાપને લઈને સૂકાઈ ગયું છે. સૂર્ય માથે ચડ્યો હોય ત્યારે પડછાયો લગભગ ગાયબ જેવો થઈ જાય છે. છાંયડા જેવો છાંયડો પણ વાડની ઓથ લેવા નજીક જઈ ભરાયો છે, મતલબ વાડનો પડછાયો નહીંવત્ જેવો રહી ગયો છે એમ કહીને કવિ કેવી અદભુત રીતે ભરબપોરની વેળા થઈ હોવાનું કહી દે છે! તરકોશી એટલે એકસાથે ત્રણ-ત્રણ કોશ સાથે ચાલી શકે એવું વિશાળ નવાણ! પણ તડકાના કારણે તરકોશીએ પણ પાણી નસીબ નથી એમ કહીને કવિએ તડકાના તીરને વધુ ધાર કાઢી છે.

આમ તો શતસહસ્રો કિલોમીટર દૂર પ્રકાશતો સૂર્ય જાણે બળદગાડાની ધૂંસરી પર આવી બેઠો હોય એમ એકદમ નજીક આવીને ધરતીને તાવી રહ્યો છે. તડકાની દાદાગીરીનો કોઈ પાર નથી. જ્યાં જ્યાં એ પગ મૂકે તે તે જગ્યા એની જાગીર બની જાય છે. સીમમાં વાયરા સૂસવાટા મારતા હોય અને બપ્પોર હડી કાઢતી હોય એ વચ્ચે પણ ટેકરી પરનો ગુલમહોર બાકીની સમગ્ર સૃષ્ટિની જેમ નમતું જોખી દેવાના બદલે એકલવીરની જેમ ઝીંક ઝીલે છે, ખીલે છે. ગુલમહોરની ઓથ લઈને આખી રચનામાં તડકાને સર્વોપરી સ્વીકારી લેનાર કવિ કાવ્યાંતે તડકાને પડકારે છે…

Comments (9)

…….ખરી જવું છે – મુકેશ જોષી

પવન માનતો નથી નહીં તો એની સાથે સરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

પાણીમાં ઓગાળી તડકો પી જાવાનું સહેલ નથી,
સુગંધનો દીવો જ કહે છે મારી પાસે તેલ નથી.
પીળા શ્વાસે લીલાં સ્વપ્નો ઉછેરવાં કૈ ખેલ નથી,
ધગ ધગ સૂરજ સામે હો ને એક જ શ્વાસે ઠરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપ૨થી ખરી જવું છે.

મળે ધરાનો ખોળો અંતે શું મોટી મિરાત નથી?
મરણ પછી પણ હૂંફ મળે એ નાનીસૂની વાત નથી.
ઝળહળ પાંખે ઊડી જવાનું એ બાજુ, જ્યાં રાત નથી.
જીવન જેણે આપ્યું એનાં દર્શન કાજે ફરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

– મુકેશ જોષી

ઐ દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો
અપના-પરાયા મહેરબાં-નામહેરબાં કોઈ ન હો……

Comments (2)

(સહિયારો ગૂંથ્યો વરસાદ રે) – હરીશ મીનાશ્રુ

એક એક ટીપાને પ્રીતિમાં પોરવીને
સહિયારો ગૂંથ્યો વરસાદ રે
વીજળીને ઝબકારે મોતી પરોવ્યાનું
રૂપક ઘડાયું એની બાદ રે

નકરો અષાઢ બની ગોરંભે માઢ અને મેડી તે શ્રાવણની શેહમાં
મેઘ અને માટીનાં કામણ વરતાય હવે ભીને તે વાન બેય દેહમાં

બન્નેની આંખોમાં પડઘા પડે જ્યાં
જળ વિરહીની જેમ પાડે સાદ રે
ખાંગા થઈને બેઉ તરસે- વ૨સે તો હવે
કોણ કરે કોની ફરિયાદ રે

માટીમાં મજ્જામાં ઝળાંહળાં જળ ૨મે સગપણ સુગંધ બની સેજમાં
અડકો ત્યાં મેઘધનુ ચીતરાઈ જાય હવે આંગળીના અણસારે સ્હેજમાં

વહી ચાલ્યો થૈ થૈ થઈ રેલો મલ્હારનો
ઓરડાનો અનહદ ઉન્માદ રે
રહી રહીને જાગે છે મોરલાની ગ્હેક જેમ
પડખે પોઢેલાની યાદ રે

– હરીશ મીનાશ્રુ

પ્રણયના ગીત વિશ્વભરની કવિતાઓમાં કેન્દ્રસ્થાને રહ્યાં છે. પણ કવિએ લાખોવાર ગવાઈ ચૂકેલ અનુભૂતિની અહીં જે રીતે અનૂઠી માવજત કરી છે એને લઈને ગીત વધુ ધ્યાનાર્હ બન્યું છે. બે પ્રણયસંતપ્તહૈયાં ભેગાં મળીને વરસાદનાં એક-એક ટીપાંને પ્રીતનાં મોતીઓમાં પરોવે છે. ગંગાસતીની અમર રચના ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવજો, પાનબાઈ’નો સંદર્ભ લઈને કવિ કહે છે કે પ્રીત પહેલી, આ રૂપક બાદમાં. મુખડું અને મુખડાની રજૂઆતની મૌલિક શૈલી જ મન મોહી લે છે.

ઘરના દરવાજાની ઉપર બાંધેલી નાનકડી ઓરડી તે માઢ અને માઢ પછીતેનો માળ તે મેડી. શબ્દકોશોમાં જો કે બંનેના અર્થ બાબતે ખૂબ સેળભેળ જોવા મળે છે. માઢ એટલે આમ તો રાત્રે ગાવાના એક શાસ્ત્રીય રાગનું નામ પણ ખરું અને મેડી કરવી એટલે સ્ત્રી પુરુષ યોગ્ય ઉંમરે આવે ત્યારે તેમને જુદી એકાંત જગાએ સુવાડવાં એવો અર્થ પણ કાઢી શકાય. પણ અર્થની પળોજણમાં ઊંડા ઉતરવાના બદલે આપણે કવિએ છેડેલી પ્રણયવર્ષાની આ હેલીમાં જ કેમ ન ભીંજાઈએ સરાબોળ? ઘરનો માઢ અષાઢની જેમ ગોરંભાયો છે અને મેડી શ્રાવણની શેહમાં ભીની થઈ રહી છે. વરસાદ પદે અને માટીના કણેકણને ભીંજવે એવા કામણથી બંને પ્રિયજન સંતપ્ત થાય છે. માઢ-મેડી, ગોરંભો-શેહ, મેઘ-માટી –આમ પુરુષ અને સ્ત્રીના પ્રણયભાવોને સ-રસ રૂપક સાથે કવિએ આબાદ રજૂ કર્યા છે! પ્રણયકેલિનિમગ્ન બંને જણ ખાંગા થઈને વરસી પણ રહ્યાં છે અને તરસી પણ રહ્યા છે. મિલનની ક્ષણે પણ બંનેની આંખોમાં વિરહીના હૈયે હોય એવો તલસાટ સાદ દઈ રહ્યો છે… મળે એટલું ઓછું પડે એનું જ નામ પ્રણય. પીઓ પીઓ અને ધરવ થાય નહીં એવામાં કોણ કોની ફરિયાદ કરે, કહો તો!

પથારીમાં બેય દેહ પ્રણયજળમાં ગરકાવ થઈ ગયા છે. માટીમાં જળ ભળતાં જેમ સુગંધ રેલાય એમ સગપણ સુગંધ બનીને પથારીને તર કરી રહ્યું છે. બંનેના શરીર પ્રણયોર્મિની એ પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યા છે, કે સહેજસાજ આંગળી જ અડે તોય સાત રંગનું મેઘધનુ આકારાતું અનુભવાય. મલ્હાર રાગનો રેલો બનીને ઓરડામાં છવાયેલો ઉન્માદ બેબાક વહી રહ્યો છે. ગીતમાં આગળ માઢ રાગનો અછડતો સંદર્ભ આવ્યો હતો એ અહીં સહજ યાદ આવે. કામકેલિ પૂર્ણ થઈ છે… ઉન્માદ પરાકાષ્ઠા સુધી પહોંચીને પૂરનાં પાણીની જેમ વહી જઈ રહ્યો છે. પ્રિયજન બાજુમાં જ સૂતો છે, પણ તોય એની યાદ મોરના ટહુકાની જેમ રહી રહીને આવી રહી છે. આંગળી અડાડી શકાય એવા સંનિવાસમાં અને સંભોગની બીજી જ પળે વિરહ સતાવવા માંડે એથી ચડિયાતી પ્રણયની બીજી કઈ અવસ્થા હોઈ શકે!

Comments (7)

કેમ મનાવું? – પુષ્કરરાય જોષી

મનને કેમ મનાવું?
કંઠે બાઝ્યો ડૂમો તોયે
ગીત અધૂરું ગાવું…

મીઠા કોકિલ પંચમ સૂરે
દિલમાં દર્દ ઘૂંટાય,
શીતલ મન્દ મલયની લહરે
લાગે ઊની લહાય;
મીઠી મીઠી મહેક હવાની
કેમ ફરીથી લાવું?

ગુલમહોરી યાદોના જખમો
રૂંવે રૂંવે ડંખે,
એકલતાના રણમાં હૈયું
તોયે મૃગજળ ઝંખે,
શાણો સમજે છોને દુનિયા
ખુદને કેમ મનાવું?

– પુષ્કરરાય જોષી

પ્રિયજનની યાદની બે તાસીર છે. એક તરફ તો એ જીવનની એકલતામાં ગુલમહોરી રંગો અને સુંવાળપ ભરે છે, પણ બીજી તરફ એ જખ્મો બનીને વળી રૂંવે રૂંવે ડંખે છે. આવામાં મનને મનાવવું તો અઘરું છે જ પણ જિંદગી જીવવાનું ત્યાગી પણ દેવાતું નથી એટલે ગળે ભલે ને ડૂમો કેમ ન બાઝ્યો હોય, અધૂરું રહી ગયેલું ગીત ગાવું તો પડે જ છે. કોયલનો મીઠો સ્વર પણ દર્દ ઘૂંટનાર બની રહે છે, શીતલ મંદ પવન પણ ઊની લ્હાય બનીને દાઝે છે… મીઠી હવાની મહેંક તો ત્યજી ગઈ છે, એને પરત ક્યાંથી લાવવી એ સવાલ છે… એકલતાનું રણ અફાટ અસીમ વિસ્તર્યું હોય ત્યારે પ્રિયજનની ઉપસ્થિતિ મૃગજળથી વિશેષ કંઈ નથી એ મન જાણતું હોવા છતાં મન મૃગજળને ઝંખે છે… આભાસ તો આભાસ પણ નજરની સામે તો હોય! વિરહની તીવ્રતા અને સ્વજનની ચાહનાની આ પરાકાષ્ઠા કવિએ બહુ સરળ સહજ શબ્દોમાં કેવી સ-રસ રીતે આલેખી છે!

Comments (7)

કહી દે, આવશે ક્યારે ? – નેહા પુરોહિત

ઢળી છે આંખ, ખીલ્યો ચાંદ, તું સંભારણે,
કહી દે આવશે ક્યારે તું મારાં આંગણે ?

ગુલાબી ઠંડીની રાતો રૂપાળી થઈ ગઈ,
નભે છે તારલા, કે કોઈ છાંટે છે જરી ?
પરોવી ચાંદનું મોતી અદીઠા તાંતણે,
કહી દે આવશે ક્યારે તું મારાં આંગણે ?

હું મારી આશ ગૂંથું શ્વાસના સોયા વડે,
ભરું છું વેલબુટ્ટા, રંગ સપનાનાં ચડે.
બનાવી શાલ ઓઢાડું, એ સપનું પાંપણે..
કહી દે આવશે ક્યારે તું મારાં આંગણે ?

– નેહા પુરોહિત

નઝાકતભર્યું મધુરું ગીત….

Comments (10)

રાજકારણ વિશેષ : ૦૩ : નઘરોળ ચામડી – પારુલ ખખ્ખર 

જાગ, હવે રણભેરી વાગી, પડી નગારે થાપ
જાગી ઊઠ્યાં કીડ-મંકોડા, જાગ્યા સૂતા સાપ
હવે નઘરોળ ચામડી જાગ… (૨)

ભડભડ બળતાં શેરી-ફળિયા, ભડભડ બળતું ગામ
નિંંભર, તારા ક્રોડ રૂંવાડા તો ય કરે આરામ!
કોણે દીધા હાય… તને રે મગરપણાના શાપ
હવે નઘરોળ ચામડી જાગ… (૨)

આ ટાણે તો નબળા-સબળા સઘળા ખેલે જંગ
ખરે ટાંકણે ઓઢ્યું કાયર, ઢાલ સરીખું અંગ!
છોડ કાચબા જેવું જીવવું, પાડ અનોખી છાપ
હવે નઘરોળ ચામડી જાગ… (૨)

જાગ, નહીં તો ભારે હૈયે કરવો પડશે ત્યાગ
એમ કાંચળી ફગવી દેશું જેમ ફગવતો નાગ
કવચ ઉતારી ધોઈ દેશું કવચ ધર્યાનું પાપ
હવે નઘરોળ ચામડી જાગ… (૨)

– પારુલ ખખ્ખર

પારૂલ ખખ્ખર સામાજિક નિસ્બતના કવિ છે. સમાજમાં છાશવારે બનતી રહેતી નાની-મોટી કરુણાંતિકાઓ એમની સર્જક-સંવેદના સતત સંકોરતી-ઝંકોરતી રહે છે, પરિણામે ગુજરાતી કવિતામાં પ્રમાણમાં વણખેડ્યા રહેલ વિષયો પર રચનાઓ આપણને મળતી રહે છે. રાજકારણ એમનો પસંદગીનો વિષય ન હોવા છતાં સમાજ અને રાજકારણ અવિનાભાવી સંબંધે જોડાયેલ હોવાથી અનાયાસે ક્યારેક કોઈક રચના આપણને મળે એમાં નવાઈ નથી. રાજકારણ-વિશેષ પર્વની ઉજવણીમાં આમ તો ગુજરાતી કવિતાના ઇતિહાસમાં न भूतो न भविष्यति સ્થાનાંકિત કરી ચૂકેલ વાઇરલ રચના ‘શબવાહિની ગંગા’ જ સમાવિષ્ટ કરવાની હોય પણ કવિતા કે કવિતાના હાર્દને સમજ્યા વિના મેદાનમાં આંધળુકિયા કરી કૂદી પડેલ લોકોએ સર્જકને વિસારે ન પાડી શકાય એવી વેદનાના શિકાર બનાવ્યા હોવાથી અને એ રચના લયસ્તરો પર ઓલરેડી હોવાથી આજે આપણે એમની અલગ રચના માણીએ. કોઈપણ શાસકપક્ષ અને કોઈપણ શાસનકાળમાં સાંપ્રત ગણી શકાય એવી આ રચના કોઈ એકાદી નઘરોળ ચામડીને જગાડી શકે તોય ઘણું…

Comments (6)

કાગળના કોડિયાનો… – રવીન્દ્ર પારેખ

કાગળના કોડિયાનો લીધો અવતાર,
પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ,
પછી ટહુકાથી દૂર કેમ રહીએ?

ઉકલેલા ઊન જેવું જીવતર ખૂલે ને
એનો છેડો ભીંજાય સૂકી રાખમાં,
પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું
વરદાન મળે બળતા વૈશાખમાં.
બળવું જો કાજળની હોડી થઈ જાય,
ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ?
કાગળના કોડિયાનો….

શ્વાસોની સળીયુંને ભેગી મેલીને
કોઈ બાંધે છે હૈયામાં માળો,
ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન,
એમ યાતનાને રંગ ફૂટે કાળો.
ઘરને રે મોભ ચડી બોલે કાળાશ,
ત્યારે મરવાથી દૂર કેમ રહીએ?
કાગળના કોડિયાનો…

– રવીન્દ્ર પારેખ

પ્રારબ્ધ પણ રૂઠ્યું છે અને કર્મ પણ ઊંધા પડે છે….જાયે તો જાયે કહાં…..સમઝેગા, કૌન યહાં, દર્દભરે દિલકી ઝૂબાં….

કવિને ૭૬મા વરસની ઘણી શુભેચ્છાઓ….

Comments (5)

ઝૂલતો પુલ !!! – કૃષ્ણ દવે

*

અમથો નથી હું કાંઈ તૂટ્યો!
જર્જર થઈ ગ્યો’તો મારો દેહ તે છતાયે મને ટિકિટે ટિકિટે લૂંટયો.
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

નહિતર આ છાતી પર રમતા ને ઝૂલતા ઈ પગલાંને મારે શું વેર?
કાટ ખાઈ-ખાઈને હું કાકલૂદી કરતો, પણ સાંભળે તો શેનું અંધેર?
ઉપરથી રંગરૂપ બદલ્યે શું થાય, જેનો ભીતરનો શ્વાસ હોય ખૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

સૌને આવે છે એમ મારે પણ આવેલી પોતાની એક્સપાયરી ડેઇટ,
આજે સમજાયું, તમે કરતાં હતા ને આવા ગોઝારા દિવસનો વેઇટ?
મચ્છુના પાણીને પૂછો જરાક જીવ બધ્ધાનો કઈ રીતે છૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

– કૃષ્ણ દવે

ત્રીસ ઑક્ટોબર, ૨૦૨૨ના રોજ મોરબીમાં મચ્છુ નદીની ઉપરમો ઝૂલતો પુલ તૂટી પડ્યો અને ૧૩૫ નિર્દોષ જિંદગી એમના કુટુંબીજનોની આંખમાં આંસુના ટીપાં અને દિલમાં મટી ન શકે એવો જખમ બનીને રહી ગઈ. મરામ્મતના હેતુથી બંધ કરાયેલ પુલ યોગ્ય મરામત કરાયા વગર જ ખુલ્લો મૂકી દેવાયો. પુલની ક્ષમતા સોએક લોકો જેટલી મર્યાદિત હતી, પણ ભાવવધારા સથેની ટિકિટ વહેંચતી ઓરેવા કંપનીની પુલપ્રવેશસંખ્યાનિયંત્રણ કરાવવાની કોઈ તૈયારી નહોતી. કંપનીને કેવળ આવકમાં રસ હતો. ભારત દેશમાં થાય છે, એ એ જ રીતે આ દુર્ઘટનામાં પણ કોઈનો વાળ વાંકો થવાનો નથી. કમિટિ બેસશે, તપાસ થશે, દોષિતોના નામ જાહેર થશે, શરૂમાં નાની-મોટી જેલની સજા પણ થશે, પરંતુ અંતે તમામ દોષિતો બીજો ગુનો આચરવાની રાહ જોતાં મુક્ત થઈ ફરતાં થઈ જશે. ઝૂલતા પુલ પર અમર્યાદિત સંખ્યામાં ધસારો કરનાર અને પુલને હીંચકો ગણી ઝૂલે ચડવનાર નાગરિકોનોય આમાં પૂરો વાંક ખરો જ, પણ કાયદાનું જબરદસ્તી પાલન ન કરાવો તો કાયદા ઘોળી જવું એ ભારતીયોની મૂળેથી જ ફિતરત છે.

ભીની આંખે ઝૂલતા પુલ પર થયેલી હોનારતનું આ ગીત ગણગણીએ…

*

Comments (6)

ઓહો! – ચંદ્રશેખર પંડ્યા

સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો
તેમ છતાં બંનેનો ઠસ્સો, લોકો કહેતાં ‘ઓહો!’

બજાર વચ્ચે જઈએ, છોરા ટીકી ટીકી ઝાંખે
ભમરીનું દ૨ ભૂલભૂલમાં ભાડે લીધું માખે
યૌવનનું મહેરામણ છોડી, ડોહી ૫૨ કાં મોહો!
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

પંજાબી પહેરે તું જ્યારે, હૈડું હાય હડિપ્પા!
ટૉપ-પલાઝો સાથે શોભે, મલમલના દુપટ્ટા
ચૂડીદા૨માં ચમકો એવાં, સાડીમાં પણ સોહો
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

એકમેક ૫૨ શ્રદ્ધા ને વિશ્વાસે ગાડાં દોડે
મતભેદો તો થાય છતાં, મનભેદ ચડે ના ઘોડે
શંકાની તો ઐસીતૈસી, થાય કદી ના ઘોહો
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

– ચંદ્રશેખર પંડ્યા

મુખડું વાંચતાં જ મોહી પડાય એવું ગીત. ઓગણાસિત્તેર વર્ષની વયે પોતાને ડોહો કહેતો પતિ પત્નીને ડોહી કહી શકતો નથી, એ જોયું? સંસારની ખરાખરીની ખબર ગીતની પહેલી પંક્તિમાં જ પડી જાય છે, ખરું ને? 😉

વય સાથે બંનેનો ઠસ્સો પણ એવો વધ્યો છે કે બજારમાં નીકળે તો છોકરાઓ જુવાન છોકરીઓને તાકવાને બદલે બે ઘડી એમને જોઈ રહે છે. હજી આ વયે પણ કોઈપણ કોઈપણ પ્રકારનો વેશપરિધાન કરવામાં આ લોકોને કોઈ છોછ નથી, ઊલટું દરેક વેશભૂષામાં તેઓ દીપી ઊઠે છે. હૈડું હાય હડિપ્પાનો લય તો કમાલનો થયો છે. વાહ કવિ! પણ આ બધું તો ઉપલક છે. દેખાવ, વસ્ત્રભૂષા – આ બધું તો બાહ્ય સમ્રુદ્ધિ. સાચી મિલકત તો માંહ્યલો છે. પરસ્પર શ્રદ્ધા અને વિશ્વાસ હોવા ઘટે. મતભેદ ભલે લાખ થાય પણ મનભેદ એકેય ન થાય ત્યારે ભીતરી સૌંદર્ય બહાર છલકે છે. શંકા જ્યાં સુધી સંબંધમાં ગોટાળા ઊભા ન કરે ત્યાં સુધી જિંદગી હાય હડિપ્પા જ રહેવાની…

Comments (5)

ઘટઘટમાં – સુરેશ દલાલ 

હ્રદય વલોવાઈ જાય એટલો પ્રેમ હોવો એ ઘટના.
સૂરજ માટે સૂરજમુખીના ઘટઘટમાં છે રટના.

મીરાં ના ઘૂંઘટની પાછળ ગિરિધરનો છે ચહેરો,
નર્યા વ્હાલના વૃંદાવનને અંસુવન જલે ઉછેરો.
ભલો અમારો રઝળપાટ, રે રાજપાટ કપટના,
સૂરજ માટે સૂરજમુખીના ઘટઘટમાં છે રટના.

વણદેખ્યા આ વાંસળીઓના સૂરની સાથે વાતો,
દેખીતી દુનિયાદારીથી જીવ મારો વ્હેરાતો.
અમે સદાના શરણાગતિયા મોરપીંછના મુગટના,
સૂરજ માટે સૂરજમુખીના ઘટઘટમાં છે રટના.

– સુરેશ દલાલ

Comments (1)

વાયરે ઊડી વાત – જિતેન્દ્ર કા. વ્યાસ

વાયરે ઊડી વાત-
(કે) સાવ રે! રોયા સાન વનાના
સાવ રે! રોયા ભાન વનાના
.                 ભમરે પાડી ગાલ પે મારા ભાત!
.                                    વાયરે ઊડી વાત.

સીમકૂવેથી જળને ભરી આવતાં આજે જીવડો મારો આકળવિકળ થાય,
બેડલુંયે બળ્યું છલક-છલક! એને ય મારો ગાલ જોવાનું કૌતુક, વાંકું થાય!
સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય.
ઘરમાં પેસું ‘કેમ શું બેટા, લપસ્યો તારો પાય કે?’ મને પૂછે ભોળી માત.
.                                                                     વાયરે ઊડી વાત.

સાહેલિયુંયે સાવ વંઠેલી, પૂછતી મને: “સાંભળ્યું અલી કાંઈ?
વગડા વચ્ચે, વાડની ઓથે
કાજળકાળો ભમરો રાતોચોળ થઈ ગ્યો એક ગુલાબી ફૂલને દેતાં સાંઈ!”
પનઘટેથી જલને ભરી આવતાં આજે જલની ઊંડી ઘૂમરીમાં ઘૂમરાઈ!
બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને ‘…………………’
.                                           એય મૂઆને એની શી પંચાત?
.                                                           વાયરે ઊડી વાત.

– જિતેન્દ્ર કા. વ્યાસ

નાની અમથી વાત પણ વાયરાની જેમ બધે ફેલાઈ વળે એ ગામડાગામની સંસ્કૃતિનો અંતરંગ હિસ્સો છે. નાયિકાને એનો જ વલોપાત છે. પ્રેમમાં સાનભાન ભૂલી ગયેલ પ્રેમીએ એના ગાલ ચૂમી લીધાની નિશાની ગામ આખામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

સીમના કૂવેથી પાણી ભરી પરત ફરતાં નાયિકાનો જીવ આકળવિકળ થાય છે. વ્યગ્રતાને લઈને બેડું બરાબર ઝાલી શકાતું નથી એ વાતને કવિએ કેવી કમનીયતાથી રજૂ કરી છે તે જોવા જેવું છે. જાણે નાયિકાના ગાલ પર પડેલી ભાત જોવા વાંકું ન થતું હોય એમ બેડલું વાકું થતાં છલકછલક થઈ રહ્યું છે. સાફસાફ શબ્દોમાં નાયિકા સ્પષ્ટતા કરી કહે છે કે પોતે સાવ કુંવારી છે. પણ જેમ કાયા, તેમ ઓઢણી પણ પ્રેમજળની છાલકોથી સાથે ભીંજાઈ રહ્યા છે. ઘરમાં પૂછતાવેંત ભોળી માને પણ ચિંતા થાય છે, પણ માની નજર ગ્રામજનો જેવી નથી, એ સ્વાભાવિકપણે નિર્મળ નજર છે. જો કે પગ તો નથી લપસ્યોની પૃચ્છામાં કવિએ છૂપાવેલ શ્લેષ ભાવકની ચકોર નજરમાંથી છૂપાઈ શકતો નથી.

સહેલીઓ પણ કંઈ કમ નથી. એય ટોળટિખળ કરવાની તક જતી કરે એમ નથી. કહે છે, કે વગડામાં વાડની ઓથે કાજળકાળો ભમરો એક ફૂલને આલિંગન દેતાં રાતોચોળ થઈ ગયો એ જાણ્યું કે? પ્રેમમાં પડેલ વ્યક્તિને પોતે જ સમગ્ર સંસારનું કેન્દ્રબિંદુ હોવાનું પ્રતીત થતું હોય છે એ વાત આયનો પણ ઉલટતપાસમાં જોતરાતો હોવાની નાયિકાને થતી અનુભૂતિ પરથી સહજ સમજી શકાય છે. આયનો શું પૂછે છે એ વાત અધ્યાહાર રાખીને કવિ ગીતને વધુ આસ્વાદ્ય પણ બનાવી શક્યા છે.

Comments (10)

માડી તારું કંકુ ખર્યું ને- – અવિનાશ વ્યાસ

માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

– અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીતના આકાશમાં ચિરકાળ સુધી મધ્યાહ્ને રહેનાર સૂરજ છે. ગુજરાતી લોકસંગીતની પરંપરાને રાસ-ગરબાઓ રચીને, સંગીતબદ્ધ કરીને અને સુમધુર કંઠ આપીને ચિરંજીવ બનાવવામાં એમનો સિંહફાળો છે. પદ્મશ્રી અવિનાશભાઈને ગુજરાત સરકારે એક-બે નહીં, પચ્ચીસ-પચ્ચીસ વાર શ્રેષ્ઠ ગીતકાર-સંગીતકારનો પુરસ્કાર આપી નવાજ્યા હતા. પ્રબોધ જોશી લખે છે: ‘ગુજરાતી ગીત-સંગીતના પર્યાય બની ગયેલા અવિનાશ વ્યાસે જે લખ્યું તે મૌલિક લખ્યું. સંગીતમાં પણ આગવી શૈલી દાખવી. એમનાં કેટલાંક ભજન પ્રાચીન ભજનોની શક્તિ દાખવે છે. સરળતાથી વહેતા ઝરણાની જેમ એમને ગીત સ્ફૂરતાં અને સાથે જ લયકારી પણ સધાતી. વિના કષ્ટ, સહજ સ્વરબાંધણી સાથે જ આવેલી આ ગીતરચનાઓથી અવિનાશ વ્યાસે ગુજરાતને ગુંજતું કરી, ગુજરાતનાં ગીતો અને સ્વરોને ભારતમાં જ નહિ, વિદેશમાં પણ એક મોભો આપ્યો છે.’

બહુખ્યાત આ રચના વિશે વિશેષ કશું કહેવાનું હોય નહીં પણ રચનાના ઉદભવ વિશે એક મજાની વાત કહેવી અવશ્ય ગમશે. ‘ગુજરાતી વિશ્વકોશ’ કહે છે: “થવા ઇચ્છતા હતા ક્રિકેટર. કદાચ તેથી જ જીવનના અંત સુધી મુંબઈની કોઈ પણ ટેસ્ટમૅચ જોવાની ચૂક્યા નહોતા. કાંકરિયા ઉપર ક્રિકેટ રમતાં લાલ બૉલ ઊછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને પ્રથમ રચના સ્ફુરી ‘મા, તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.’

Comments (6)

હજુ પ્રેમનો પહેલો વળાંક છે – મુકેશ જોષી

તમે પાળેલો મોર કોઈ વાત ના માને
એ વાતમાં મારો કંઈ વાંક છે?
હજુ પ્રેમનો પહેલો વળાંક છે

તમે અત્તરમાં છાંટેલી સાંજ એક ચાહો ને
ચાહો છો ખોલવા કમાડ
તમે સાંકળ ખોલી ને તોય બોલતા નથી
જરા હડસેલો સ્હેજ તો લગાડ
તમે હોઠ ઉપર મૌન તણાં પંખી બેસાડો
ને શબ્દોની ફફડે આ પાંખ છે
હજુ પ્રેમનો પહેલો વળાંક છે

તમે બહુ બહુ તો આંખોમાં ભરતી સંતાડી દો,
દરિયો તો કેમે સંતાય
વાદળમાં નામ તમે મારું લખો છો એ
ચોમાસે ચોખ્ખું વંચાય
તમે જોવાની દૃષ્ટિયે આપી બેઠા
ફકત તમારી પાસે તો આંખ છે

– મુકેશ જોષી

“હજુ પ્રેમનો પહેલો વળાંક છે…..” – હું તો આ પંક્તિએ જ ઘાયલ થઈ ગયો…

 

“જરા હડસેલો સ્હેજ તો લગાડ…..” – કેટલો હસીન ઈશારો !!! દરિયો તો કેમે સંતાય….. – વાહ…..

 

 

Comments (2)

આસપાસ ઊડે છે… – વિનોદ જોશી

આસપાસ ઊડે છે ઊત૨ડી હોય એ જ
.                              ઇચ્છાની ફરી ફરી ફોતરી…

પાંચ-સાત સપનાઓ ઊંચકીને હાંફે છે
.                              જૂનવાણી ઢોલિયાના પાયા,
ખ૨ડાતી ધોધમાર અંધારે એકલી જ
.                              ઓશિયાળી ઊંધમૂંધ કાયા;

પગલાં તો પાછળ ને પાછળ રહી જાય
.                              છતાં પડછાયે જાત હોય જોતરી…

મહેકે ક્યારેક હજી ઓચિંતી
.                              એકવા૨ ફૂટેલી અત્તરની શીશી,
એક બે ટકોરાનો લઈને આધા૨
.                              પછી લખવાની બા૨ણાંપચીશી;

ઢાંકેલી વારતાને વળગેલી ધૂળ
.                              રોજ પાંપણથી લેવાની ખોતરી…

– વિનોદ જોશી

*

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…

સાચે જ, અધૂરી ઇચ્છાઓથી અળગાં ન થઈ શકવું જ મનુષ્યનો સ્વ-ભાવ છે. જે ઇચ્છાઓ ત્યાગી દેવાની કોશિશ કરી હોય એ જ ફરી ફરીને આપણી આસપાસ મંડરાયે રાખે છે. સપનાં પૂરાં કરવા આપણે દોટ મૂકીએ ત્યાં સુધી તો ઠીક, કદાચ સપનાં સાકાર પણ થઈ જાય. પણ સમસ્યા તો ત્યારે ઊભી થાય છે જ્યારે સપનાં સાકાર કરવાના પ્રયત્નો પડતાં મૂકી આપણે જૂનવાણી ઢોલિયાના પાયાની જેમ એક જ જગ્યાએ ખોડાઈ જઈએ છીએ. આવું થાય ત્યારે અધૂરાં રહી ગયેલાં સપનાંઓનો ભાર વેઠી શકાતો નથી. ઓશિયાળું જીવન આવામાં ધોધમાર અંધારે ખરડાતું હોવાનું જ અનુભવાય છે… પ્રયત્નોના પગલાં પાછળ રહી જાય છે અને જાત પડછાયા સાથે જોતરી દેવાય છે. પણ સ્વપ્નપૂર્તિની સંભાવના તો જાતને જાત સાથે જોડવામાં આવે તો જ હોય ને!

જીવનમાં ક્યારેક કોઈક મઘમઘાટ અનુભવવાનું થયું હોય એ ક્ષણોનો નૉસ્ટાલ્જિયા જ પછી આવા જીવતરનો આધાર બની રહે છે. આખા જીવનની વાર્તા આવા એક-બે પ્રસંગથી જ લખાયેલ હોય છે. સમય જતાં આ વારતા પર પણ ધૂળ બાઝતી જાય છે અને આપણે રોજ-રોજ સપનાંના પાવડાથી એને ખોતરતા રહીએ છીએ… સપનાં ભલે અધૂરાં કેમ ન રહી ગયાં હોય, એને જોવાનું કામ કદી પૂરું થતું નથી.

અધૂરી રહી જતી ઇચ્છાઓના સામર્થ્યનું કેવું મજાનું ગીત!

Comments (2)

ક્યાંક પડ્યો વરસાદ – રાજેન્દ્ર શુક્લ

ક્યાંક પડ્યો વરસાદ,
.                   નદીમાં પૂર આવિયાં;
વહી રહ્યો ઉન્માદ,
.                   નદીમાં પૂર આવિયાં.
છોળ ઊછળે છોળ,
.                   નદીમાં પૂર આવિયાં,
આભલગાં અંઘોળ,
.                   નદીમાં પૂર આવિયાં.
જળને ઝીણે સૂર,
.                   નદીમાં પૂર આવિયાં,
અમે તણાયાં દૂર,
.                   નદીમાં પૂર આવિયાં.
ક્યાં કાંઠો, ક્યાં ગામ,
.                   નદીમાં પૂર આવિયાં,
ભૂલી ગયાં નિજ નામ,
.                   નદીમાં પૂર આવિયાં.

– રાજેન્દ્ર શુક્લ

મુકુલ ચોક્સીના સરસ મજાના શેર સાથે આ ગીત માણવાના શ્રીગણેશ કરીએ:

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઈક ઉપરવાસમાં વરસાદ જેવું જોઈએ.

નદીમાં પૂર આવે એના મૂળમાં બહુધા અન્યત્ર ક્યાંક પડેલો વરસાદ જવાબદાર હોય છે. અહીં જે નદીમાં પૂર આવવાની વાત છે, એ સમજી શકાય છે કે પ્રેમની, જીવનની નદી છે. નેહની નદીમાં નીર નહીં, ઉન્માદ વહી રહ્યો હોવાને લઈને છોળની છોળ ઊછળે છે. અંઘોળ ભલે ને આભલગાં હોય, પણ પ્રેમના જળનો સૂર તો સાવ ઝીણેરો જ હોવાનો અને એવા ઝીણા સૂરમાં જ હોવાને તરતું મેલી દઈ દૂર દૂર તણાઈ જવાનું હોય છે. અને એકવાર પ્રેમના પૂરમાં તણાઈ ગયાં, પછી શું કાંઠો, શું ગામ અને શું પોતાનું નામ…

Comments (7)

અભરે ભરાઈ ગયાં – અનિલ જોશી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા.

અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

– અનિલ જોશી

જાતની માલીપા વ્યાપ્ત ખાલીપાને અણુએ અણુએ ભરી દેવાના ઓચ્છવનું પ્રણયગીત તે આ. પ્રતીક્ષાની અનવરત ઘડીઓના છેવાડે આવીને ક્યારેક માણસ પુનર્મિલનની તમામ આશાઓ ગુમાવી બેસે છે. સઘળી આરત શૂન્ય થઈ ગઈ હોય એવામાં પ્રિયજન અણધાર્યાં વાદળોની જેમ આવી ચડે ત્યારે વર્ષોથી ખાલીખમ રહેલું આભ કેવું અભરે ભરાઈ જાય! તરસ જેટલી તીવ્રતર હોય, પાણીનું મૂલ્ય એટલું જ વધુ સમજાય, ખરું ને!

પ્રિયજનની અનુપસ્થિતિમાં કથક પોતે વૈશાખની બળતી બપ્પોરે બાવળના પાંખા ઝાડ નીચેની પડતર પ્યાસી ધરતી હોવાનું મહેસૂસ કરે છે, તો સામા પક્ષે પ્રિયજન આવળના પીળા ફૂલ જેવી સંભાવનાઓ બાંધી આપતા હોવાઅનું અનુભવાય છે. જૂનો હોય કે નવો હોય, ભરવાડ ઘેટાં તો ગણવાનો જ. અહીં જૂનો વિશેષણ પ્રતીક્ષા ઘણી લાંબી હોવાની પ્રતીતિ તો કરાવે જ છે, પણ જૂના જમાનાના ભરવાડની વધુ પડતી કાળજી લેવાની ટેવનો સંસ્પર્શ પણ કરાવે છે. મિલન આડે કેટલા દિવસો બચ્યા હશેની ગણતરીમાં જ જીવન વ્યતિત થવા આવ્યું છે. આંખ ખૂલે તો વાસ્તવિકતાના દર્શન થાય પણ રાહ જોઈ જોઈ થાકી ગયેલી આંખો પ્રિયપાત્રના સંભારણાંઓના પડદાં ઊંચકી શકવાને સક્ષમ નથી. એકલતા ભૂરા આકાશ જેવી વિશાળ અને એવી તો નીરવ છે કે પીંછું ખરે તોય સાંભળી શકાય. ખાલીપાના વ્યાપ અને તીવ્રતાને કેવી સરળ ભાષામાં અને કેવી વેધકતાથી કવિએ રજૂ કર્યા છે એ જોવા-સમજવા જેવું છે, આવામાં પ્રિયજનનું આવી ચડવું એ ભૂરા રંગની એકવિધતાના સ્થાને મેઘધનુષી રંગોળી પૂરાઈ ગયેલ અનુભવાય છે. શબરીના બોર રામના હોઠે ચડે એવી ફળશ્રુતિની અનુભૂતિ પ્રિય વ્યક્તિના અણધાર્યા આગમનને લઈને કથકની સાથોસાથ આપણે પણ અનુભવીએ છીએ એ આ ગીતની ખરી સફળતા છે.

Comments (8)

હું માણસ છું કે ? – ચંદ્રકાન્ત શાહ

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?

આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?

ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

– ચંદ્રકાન્ત શાહ

એકદમ અલગ તરહનું ગીત…..

“હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો……..” – વાહ !! એકલતાનો રોજ નવો એક કિલ્લો !!

Comments (1)

હવે રાધાનું નામ નથી રાધા… – યોગેશ પંડ્યા

તારા વિજોગમાં સૂધબૂધને ખોઈ, હવે રાધાનું નામ નથી રાધા,
એ તો પથ્થરની થઈ ગઈ છે, માધા!

મથુરાને મા૨ગે વ૨સોથી બેઠી છે ગાંડીઘેલી એક જોગણ,
દિવસોનું ભાન નથી, રાતોની નીંદ નથી, વલવલતી એક રે વિજોગણ

વ્હાલ માટે ૨વરવતી મૂકીને ગ્યો, તને ફટ્ છે ધૂતારા રંગદાધા…

તારી તે વાંસળીના સૂરમાં મોહીને દોડી આવતી’તી તારા તે બારણે,
મૂકીને જાવું’તું તારે તો શ્યામ! આવો નેડો લગાડ્યો શા કારણે?

રજવાડું રાજ તારી રૂકમિને ખમ્મા! તેં સુખનાં ઓડકાર ભલે ખાધા….

રાધાનું નામ હવે રાધા નથી એ તો ‘ક્હાન’માંથી થઈ ગઈ છે બાદ,
વસમા વિયોગમાં સૌ કોઈ બેઠા છે મારે કોને કરવાની ફરિયાદ?

અંજળ ખૂટ્યા, ’ને થાય વ્હાલમ વેરી – એનું નામ હવે લેવાની બાધા…

– યોગેશ પંડ્યા

રાધા-કૃષ્ણના ગીત ન લખે એ કવિ ન કહેવાય એવો વણલખ્યો ધારો અમલી હોય એમ આપણે ત્યાં દરેક ગીતકવિ રાધા-કૃષ્ણ પર હાથ અજમાવે છે. પણ પરિશુદ્ધ પ્રણયના આ અણિશુદ્ધ પ્રતીક વિશે પ્રવર્તતા ઘાસની ગંજીના ફાલમાંથી તીક્ષ્ણ સોય જેવું આવું રૂડુંરૂપાળું ગીત મળી આવે તો તરત જ ગમતાંનો ગુલાલ કરવાની ઇચ્છા થઈ આવે.

રાધા તરફથી કવિ માધા (માધવ)નો જાયજો લઈ રહ્યા છે. કૃષ્ણવિયોગમાં રાધા પોતાની સૂધબૂધ ખોઈને એવી પથ્થર થઈ બેઠી છે કે હવે એનું નામ સંદર્ભો ગુમાવી બેઠું છે. કૃષ્ણ જે માર્ગે મથુરા વહી ગયા હતા, એ માર્ગ પર પ્રેમજોગણ રાધા પથ્થરની જેમ વરસોથી પ્રતીક્ષારત્ બેઠી છે. જોગણ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના બદલે કેવળ જોગણ-વિજોગણની eye-rhyme પ્રયોજીને કવિએ યોગી-વિયોગીને સમકક્ષ બેસાડ્યા છે. રાધા-માધા સાથે રંગદાધા જેવો અનૂઠો પ્રાસ ઉમદા કવિકર્મની સાહેદી પુરાવે છે. શ્યામને રંગદાધો ધૂતારો કહીને કવિએ કમાલ કરી છે. દાધું એટલે આમ તો બળેલું. દિલનો દાઝેલો એવો અર્થ પણ લઈ શકાય. કૃષ્ણના શ્યામવર્ણ ઉપર આવો શ્લેષ ભાગ્યે જ જોવા મળશે. પ્રેમાનંદનું નળાખ્યાન યાદ આવે: ‘લાગી વિષ જ્વાળ દાધો ભૂપ, કાળી કાયા થયું કૂંબડું રૂપ.’

કૃષ્ણનો વધુ ઉધડો લેતાં કવિ કહે છે કે ચાલ્યા જ જવું હતું તો પછી આવડી માયા શીદ લગાવી? પરંતુ આ ઠપકામાં પણ સમ્યકતા છે. એના રાજ-રજવાડાં અને પત્નીની સામે રાધાને કોઈ ફરિયાદ નથી. ભલે પોતાનાથી અળગો થઈને કૃષ્ણકનૈયો સુખના ઓડકાર ખાતો! ખમ્મા કાનજીલાલ! ખમ્મા… આ છે રાધા! આ જ છે સાચો પ્રેમ!

ઉપાડપંક્તિના અડધિયાને ત્રીજા બંધના ઉપાડમાં વાપરીને કવિ રાધાના અસ્તિત્ત્વલોપને કેવી ધાર કાઢી આપે છે! રાધાની ક્હાનમાંથી બાદબાકી થઈ ગઈ છે. અંજળ ખૂટી જાય અને ખુદ વહાલમ જ વેરી થઈ જાય તો પછી ફરિયાદ કોને કરવાની? બાધા જ મૂકી દ્યો હવે એનું નામ લેવાની….

Comments (16)

લીલ્લીછમ લાગણીનું ગીત – નીતિન વડગામા

લીલ્લીછમ લાગણીને આપજો ન કોઈ હવે,
સુક્કા સમ્બન્ધ કેરું નામ.

મ્હોરતાં ફોરતાંને પળમાં આસરતાં આ
શબનમ જેવો છે સમ્બન્ધ,
સમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં
આંસુ તો રહેશે અકબંધ.

પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં
કેમ કરી ચૂકવવાં દામ?

સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે
આજકાલ હાથલિયા થોર,
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો
અમને એ લાગે ગુલમ્હોર.

અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી
મારુંયે સાવ નામ-ઠામ.

-નીતિન વડગામા

 

” ઈક એહસાસ હૈ યહ રૂહ સે મહસૂસ કરો
પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો…..”

Comments (2)

અર્ધગીતિ – રાજેન્દ્ર શુક્લ

અડધું મેં પીધું છે મૌન
અડધી મેં પીધી છે વાણી
અધૂકડું ઊઘડ્યા કૈં હોઠ
આંખો અડધી રે અંજાણી.

બાકીનું બાકી છે –
અડધું મૌન
આયખું
અડધી વાણી
ને આ અડધું અડધું પીવાનું
હું ઘૂંટડે ઘૂંટડે પીઉં
કે પીઉં એકસામટું
પણ અડધું અમથું પીવાનું.

તડકો તો તપવાનો પૂરેપૂરું
તડકો તો તપવાનો પૂરેપૂરું
તૂરો કંઠ સુકાશે
અડધો
ને અડધો લીલો રહેશે
તરસો તરફડશે
અડધી
વરસો અડધાં રે ભીંજાશે
અડધો હું અંદર વ્હેરાણો
અડધો હું ઊભો છું બ્હાર
તંબુ અડધપડધરા તાણી

અડધું મેં પીધું છે મૌન
મેં પીધી છે વાણી.

– રાજેન્દ્ર શુક્લ

કવિ વાત પોતાની કરે છે પણ વાતનો વ્યાપ વિશાળ છે – માનવી સમગ્રતાથી ભાગ્યે જ કંઈ કરે છે…મિલન હોય કે ઝુરાપો-પોતાના સમગ્ર અસ્તિત્વને જવલ્લે જ કોઈ દાવ પર લગાવે છે… વાણી પણ અધકચરી અને મૌન પણ અધકચરું… શ્રદ્ધા પણ અધકચરી અને સંશય પણ અધકચરો…..

Comments (1)

છેલ રમતૂડી – દલપત પઢિયાર

છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પારશ પેંપરો રે લોલ,
એની ચાર ચાર ગઉની છાંય
દીવડા શગે બળે
એની પાંદડાં કેરી ઝૂલ્ય, સાહેલી!
આથમતાં ઉકેલી ન પાદર થરથરે રે લોલ.

આયો અષાઢીલો મેઘ
નદીએ નઈ જઉં
અલી ચ્યાં ચ્યાં ટઉચ્યા મોર, સાહેલી!
પેંજરના પંખી ને વાયક પાછાં ફરે રે લોલ.

લીલી ઓકળીઓની ભાત્ય
વગડે વેરઈ ગઈ
પેલા પાણિયારાની પાળ, સાહેલી!
નજરુંને ઊતારો નેવાં જરે છલે રે લોલ.

પેલા મારીડાને ભાગ
મરવો નઈં બોલે,
પેલા સુથારીને હાટ
મંડપ નઈં ડોલે,
હવે હાડિયાને ઉડાડ્ય, સાહેલી!
આયા ગયા દન જમણી આંખે ફરફરે રે લોલ.

– દલપત પઢિયાર

ડુંગળીનાં પડની જેમ સારી કવિતામાં અર્થનું એક પડળ હટાવતાં બીજું ને બીજું હટાવતાં ત્રીજું હાથ લાગતું રહે છે. ડુંગળીના બધા પડ ઉખેડી નાંખ્યા બાદ હાથમાં તીવ્ર ગંધ અને આંખોમાં પાણી બચે છે, એ જ રીતે કાવ્યાર્થના તમામ પડળ નાણી લીધા બાદ અંતે જે શૂન્યાવકાશ બચે છે એ આત્માનુભૂતિનું જ બીજું નામ કવિતા… જીવનની સાંજના કિનારે બેસીને મુક્તિની રાહ જોતી સ્ત્રીનું આ ગીત જુઓ… તમામ અર્થચ્છાયાઓ બાદ કરી લેવાયા બાદ પણ અહીં કંઈક એવું તત્ત્વ બચે છે, જે આપણને છે…ક ભીતર સુધી સ્પર્શી જાય છે… શું આને જ સાચી કવિતા કહેતા હશે? મને જે સમજાયું છે તે મારી મજા છે, પણ ગીતનું ભાવવિશ્વ તો કદાચ હજી વધુ ઊંડું છે અને મારી સમજણથી સાવ અલગ પણ હોઈ શકે છે.

સાહેલી સાચા અર્થમાં મિત્ર માટેનું સંબોધન પણ હોઈ શકે અને જાત સાથે વાત કરવાની પ્રયુક્તિ પણ હોઈ શકે. પૂનમનો મેળો, એમાં ચાર-ચાર ગાઉ સુધી છાંય પાથરતો પારસપીંપળો, પ્રજ્વલિત દીવડાં ભર્યાભાદર્યા જીવન અથવા જીવનસાથી તરફ ઈંગિત કરે છે. પૂનમ અજવાસનું અને મેળો ભરચક્કતાનું પ્રતીક છે, તો પારસપીપળો પવિત્રતા અને વિશાળતાનું. પણ હવે દિવસ આથમવા આવ્યો છે એટલે પાદરમાં અંધારાં ઉતરતાં અંધારે ઉકેલી ન શકાતું જીવતર જાણે કે થરથરી રહ્યું છે. અષાઢી મેઘની વાત આવે એટલે મેઘદૂત પણ યાદ આવે. પણ નાયિકા નદીએ જવાની ના કહે છે. નદીકિનારે ટકુકતાં મોર જોવાની એની તૈયારી નથી. કદાચ જીવનસાથીની પ્રતીક્ષાની અહીં વાત છે. સાથી સાથે ન હોય તો મેઘ અને મોર –કશામાં મન ન લાગે એ સહજ છે. સાંજટાણે પંખી માળામાં પરત ફરે એ તો સહજ ઘટના છે, પણ અહીં કવિ પિંજરના પંખીના પાછાં ફરવાની વાત કરે છે એ ધ્યાનાર્હ છે. દેહ-પ્રાણના સંદર્ભ અહીં ઊઘડે છે. પિયુઆગમનની અપેક્ષામાં આંગણે કરેલ લીલી ઓકળીઓની ભાત હતી-ન હતી થવા આવી છે. પાણિયારે તો બેડાં ઉતારવાનાં હોય, કવિ નજર ઉતારવાનું કહે છે. કારણ કે પાણી તો આંખોને છલકાવી જ રહ્યાં છે. માળીના બાગમાં હવે મરવા ખીલનાર નથી અને સુથારની હાટમાં માંડવા મંડાનાર નથી. જીવનના પ્રસંગો સહુ ખતમ થયાં છે. આવીને ગયેલા સહુ દિવસો જમણી આંખે ફરકી રહ્યા છે. કાગડાને ઊડાડી દે, સહેલી… હવે અહીં કોઈ આવનાર નથી. કાગડાને ઉડાડવાની વાતમાં કાયા છોડીને જીવ શિવ તરફ ગતિ કરે એવી અર્થચ્છાયા પણ ભળેલી છે.

સરવાળે, સાવ નોખી તરેહનું ગીત.

Comments (12)

(લોબાનકણિકા અને અંગારો) – મધુસૂદન પટેલ ‘મધુ’

દુનિયાએ તો કેવળ જોયું, જોયો દૂર ધુમાડો,
કંઈ સળગ્યું કે પ્રગટ્યું એ તો જાણે ફક્ત સીમાડો.

ક્ષેત્રપાળની દેરી સાખે થયો હતો સથવારો,
એક રૂડી લોબાનકણિકા, એક હતો અંગારો.
પવનદેવ પણ જોવા અટક્યા, ઊંચી થઈ ગઈ વાડો.

પીઠી થઈ ગ્યો ગરમાળો ને ગુલમહોર પાનેતર,
સીમપરીના ખોળે ચૉરી થઈ ગ્યું આખું ખેતર,
માદકતાનો માલિક મહુડો પી ગ્યો ઢળતો દા’ડો.

ગોધણની ઘંટડીઓ રણકી, ચહક્યો હર એક માળો,
અરણીને ફોરમતી જોઈ હરખ્યો ઉપરવાળો,
સળગ્યું, દોડો, ઠારો કહીને દુનિયા પાડે રાડો.

– મધુસૂદન પટેલ ‘મધુ’

સાવ અલગ જ વિષય પર લખાયેલું ગીત. આજકાલ ‘લવ-જેહાદ’ શબ્દ અખબારમાં છાશવારે ચમક્યા કરે છે પણ હિંદુ-મુસ્લિમ પ્રેમીયુગલની વાત અને તેય આવી કાવ્યાત્મક બાનીમાં – આપણે ત્યાં ભાગ્યે જ કોઈ કવિએ આવું લખ્યું હશે!

બે જણ વચ્ચે કઈ કેમિસ્ટ્રી કામ કરી ગઈ એ તો ધર્મના સીમાડા વટાવી પ્રેમમાં પડનાર બે જણ જ જાણે, દુનિયા તો કેવળ દૂરથી ધુમાડો જ જોઈ શકે છે. પ્રથમ પંક્તિમાં જોયુંની પુનરોક્તિ અને બીજી પંક્તિમાં સળગ્યું-પ્રગટ્યુંની જોડી વાતને યથેચ્છ વળ ચડાવી મજબૂતીથી પેશ કરે છે, એ સ-રસ કવિકર્મની સાહેદી.

બે યુવાન હૈયાંની પ્રથમ મુલાકાતના સ્થળ તરીકે કવિએ ક્ષેત્રપાળની દેરી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે એ પણ સૂચક છે. છોકરી મુસ્લિમ છે અને છોકરો હિંદુ એ વાત લોબાનકણિકા અને અંગારાના રૂપકથી કવિએ જાહેર કરી છે. ઉભયના મિલનને પોંખવા વાડ ઊંચી થઈ છે. ગામની સીમમાં બે હૈયાં એક થયાં. ઉનાળાની ઋતુ છે. પીળચટક ગરમાળો પીઠી અને લાલચટ્ટાક ગુલમહોર પાનેતર જેવાં શોભે છે. સીમનું ખેતર આખું લગ્નની ચોરી બની ગયું. આમ તો મહુડાનો દારૂ પીએ તેને નશો ચડે પણ બે આત્માના સાયુજ્ય ઉપર પ્રકૃતિ ખુદ ઓળઘોળ થઈ ગઈ છે એમ કહેવા કવિ મહુડો ઢળતા દિવસને પીને મત્ત થઈ ગયો હોવાનું પ્રતીક પ્રયોજે છે. માદકતાનો માલિક વિશેષણ પણ કેવું યથોચિત જણાય છે!

ઋતુ અને સમય બાબતની સુસંગતતા જાળવી શકાય તો ગીત સરસમાંથી ઉમદા બને એનું ઉદાહરણ આપણને અહીં પ્રાપ્ત થાય છે. દિવસ ઢળી રહ્યો હોવાની વાત થઈ એટલે પરત ફરી રહેલ ગોધણની ઘંટડીઓ રણકી રહી છે. માળામાં ચાંચમાં ચણ લઈ પરત ફરી રહેલાં પંખીઓ અને એમનાં બચ્ચાંઓને લઈને હર એક માળા જાણે કે ચહેકી રહ્યા છે. કાવ્યાંતે કવિ અરણીને ફોરમતી દર્શાવે છે એ પણ સૂચક છે. અરણીનું વૃક્ષ પવિત્ર ગણાય છે. યજ્ઞ અને લગ્નમાં સમિધ તરીકે એનો ઉપયોગ થાય છે. અરણી યાને શીમડો કે ખીજડાના લાકડામાં અગ્નિ વસેલો હોવાનું ગણાય છે, કારણ કે એના બે ટુકડાને ઘસીને અગ્નિ ઉત્પન્ન કરી શકાય છે. આ કારણોસર આત્માને અરણીની ઉપમા પણ આપવામાં આવે છે. સીમવગડામાં હાજર સેંકડો વૃક્ષોમાંથી કવિએ અરણીનું જ ચયન કેમ કર્યું હશે તે સમજી શકાય છે. આખરી પંક્તિ મુખડા સાથે રચનાને બાંધી આપી એક વર્તુળ પૂર્ણ કરી આપે છે. બે વિધર્મીઓને એક થયેલાં જોઈ સમાજ સળગ્યું, દોડો, ઠારોની રાડો પાડતો હવનમાં હાડકાં નાંખવા આગળ આવે છે. વાસ્તવમાં તો પ્રેમ જ સર્વોપરી ધર્મ છે…

Comments (15)

ખડકી ઉઘાડી હું તો…- વિનોદ જોષી

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…

પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;

આમ તેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવા૨,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી ‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સુરજ પાડીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;

રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી ‘તી
હવે અમથી ઊભી’તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એેંકારમાં….
મુને ઉંબર લઈ ચાલ્યો……

– વિનોદ જોષી

એક બીજું રળિયામણું ગીત…. કારીગીરીની બારીકાઈ અદ્દભૂત !!!!!

Comments (2)

કાળું ગુલાબ – હર્ષદ ત્રિવેદી

મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.
અંધારાં આંખોમાં ઊતરી આવ્યાં કે હવે દેખું છું કાળાં હું ખ્વાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

આંગણાનાં તુલસીને પૂજવા તો જાઉં પણ અંદરથી રોકે છે કોક,
માળા તો પ્હેરી છે બબ્બે સેરોની તોય અડવાણી લાગે છે ડોક;
આયનો તો પૂછે છે જુઠ્ઠા સવાલ અને માગે છે સાચા જવાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ !

સપનાં કૈં કાચની બંગડી નથી કે એને પથ્થર પર પટકું ને તોડું,
ઉંબરની બહાર કે દરિયો નથી કે ભાન ભુલું ને ખળખળતી દોડું;
જુઠ્ઠા તો જુઠ્ઠા પણ ગણવાના શ્વાસ અને કરવાના સાચા હિસાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

 

હર્ષદ ત્રિવેદી

 

આવાં સરસ મજાનાં ગીતોની ખોટ સાલે છે ! છેલ્લી પંક્તિ તો જુઓ ! કેવી ઘેરી વેદના….

Comments (1)

(રંગરેજ) – નેહા પુરોહિત

મથીમથીને થાક્યો તો પણ રંગાયું ના સહેજ;
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ..

એક લસરકે આભે ઊડે સાત રંગની છોળ,
ક્ષણમાં રંગો દોમદોમ, ને ક્ષણમાં ઊતરે ખોળ!
કયાંથી આવી પૂગ્યું વાદળ, ઢાંક્યું સોનલ તેજ…
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ!

એક લહેરખી જળ વરસાવે, નીપજે લીલું રાન;
એક વાયરો એવો વાતો, વનનો પીળચટ વાન!
કિયા રંગની ગાંઠ પડી કે બંધાયું બંધેજ?
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ!

– નેહા પુરોહિત

લયસ્તરો પર સર્જકના પ્રથમ ગીતસંગ્રહ ‘મને ઓઢાડો અજવાળું’નું હૃદયપૂર્વક સ્વાગત…!

*

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ તો સૌ માટે એકસમાન છે પણ એને જોવાનો નજરિયો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ છે. એમાંય કવિની તો વાત જ નિરાળી. રંગબિરંગી દુનિયાને જોઈને જયંત પાઠકે કહ્યું: ‘અજબ મિલાવટ કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી!’ પણ નેહા પુરોહિત ઈશ્વરની લીલાથી અંજાઈ જાય એમ નથી. એમને મન તો દુનિયામાં રંગ ભરવામાં કાં તો ભગવાન કાચો પડ્યો છે, કાં તો રંગ જ કાચો હતો, કારણ કે સર્જનહાર મથી મથીને થાકી ગયો પણ એકેય વસ્તુ રંગી શક્યો નથી. સમસ્ત સૃષ્ટિ અપાર રંગોનો ભંડાર હોય તેવામાં કવયિત્રીનો આ દાવો પોકળ લાગે પણ સર્જક પોતાના દાવાને સહજતાથી ગળે ઉતરી જાય એ રીતે પુષ્ટિ આપતાં કહે છે: સર્જનહારની પીંછીના એક લસરકામાં તો આભમાં સાત-સાત રંગોની છોળ ઊડે છે. (ફરી જ.પા. યાદ આવે: એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ) પણ આ રંગો સ્થાયી નથી. ક્ષણભરમાં આખી સૃષ્ટિ રંગોથી ભરીભાદરી લાગે છે અને ક્ષણમાં તો રંગોની ખોળ ઊખડી ગઈ હોય એમ રંગ બદલાઈ જાય છે. એકેય રંગ ટકાઉ નથી. સૂરજ જેવા સૂરજનું સોનવરણું તેજ વાદળ ઢાંકી ન દે ત્યાં સુધી જ સલામત છે. વરસાદ આખી દુનિયાને લીલી ચાદર ઓઢાડી દે છે, તો સામા પક્ષે એવુંય બને કે ઊભું વન સૂકાઈ જાય. બંધેજના બંધાવાની વાત રચનાને કાવ્યાંતે અલગ જ સ્તરે લઈ જાય છે..

Comments (11)

(ગમતીલું એક સ્મરણ) – જિજ્ઞા ત્રિવેદી

ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે,
ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે!

તું વરસે તો રોમરોમ થઈ જાય હૃદય રોમાંચિત,
મહોરી ઉઠે સોળ કળાએ શમણાંઓ મનવાંછિત,
સ્મિત ધરીને કોઈ અચાનક ધબકારા ઝકઝોરે રે,
ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે!

મોસમ છલક્યાની સાથે તું પણ મારામાં છલકે,
ઝરમરના રૂપમાં આવીને આછું આછું મલકે,
સગપણ એક લિલ્લેરું ત્યારે મારામાં પણ મ્હોરે રે,
ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે,
ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે !

– જિજ્ઞા ત્રિવેદી

એક સરસ મજાના ગીત સાથે લયસ્તરો પર આજે કવયિત્રીના ગીતસંગ્રહ ‘જળના હસ્તાક્ષર’નું સહૃદય સ્વાગત કરીએ…

વાત તો છે ગમતી વ્યક્તિના સ્મરણની પણ બહુ ગમતું જણ કેવળ યાદ જ મોકલાવ્યે રાખતું હોય તો પાંપણો ભીની થવી સ્વાભાવિક છે. ક્યારેક આ સ્મરણ ધોધમાર વરસે છે તો ક્યારેક ફોરે-ફોરે! સ્મરણના વરસાદમાં ભીંજાતી પ્રોષિતભર્તૃકાની બીજી ખેવના સાજન પોતે જ વરસે એ છે. સ્મરણ તો ઠીક, મનનો માણીગર સ્વયં વરસે તો કેવો રોમાંચ થાય, નહીં! (અહીં ભાષા થોડી કઠે છે. રોમાંચિત વિશેષણમાં જ રોમ-રોમ હર્ષણ અનુભવતા હોવાની વાત સમાવિષ્ટ છે એટલે રોમરોમ રોમાંચિત કહેવામાં અંજળપાણી જેવો ભાષાપ્રયોગ થયો અનુભવાય છે. આ સિવાય અહીં કવયિત્રીએ હૃદયના રોમરોમની વાત કરી છે, એય યોગ્ય જણાતું નથી.) બીજા બંધમાં સહેજ લયભંગ છે પણ આ બે’ક ત્રુટિઓને બાદ કરતાં સરવાળે ગીત આસ્વાદ્ય થયું છે…

Comments (7)

કૃષ્ણ – ૧૯૯૨ – કૃષ્ણ દવે

ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર
અને ઉપરથી ગોપીઓ ને રાધા
અહીં મારે તો જીવવાના વાંધા ..

આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?
ભાંભરડા દેતી આ ભૂખી ઇચ્છાઓનાં ધણનાં ધણ ક્યાં જઈ ચરાવીએ?
આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા
અહીં મારે તો જીવવાના વાંધા…

પૂરેલાં ચીર એમાં માર્યો શું મીર ?એનું કારણ એ રાજાની રાણી
નજરે ના કેમ ચડી આછેરા જીવતરની માંડેલી આમ ખેંચતાણી
ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે
ને તોય કરવાના રોજ રોજ સાંધા?
અહીં મારે તો જીવવાના વાંધા…

ગોકુળનો શ્વાસ લઈ, મથુરાની હાશ લઈ દરિયામાં જાત તેં બચાવી
મેં તો આ પ્હાનીના હણહણતા અશ્વોને ખીલ્લાની વારતા પચાવી
ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા
અહીં મારે તો જીવવાના વાંધા…

– કૃષ્ણ દવે

 

મારા ગમતા કવિ ! કવિત્વના ભાર વગર કવિતા ગાતા કવિ ! તેઓની વાત સીધી અને સ્પષ્ટ અનુભૂતિની નીપજ હોય…. ફરિયાદ હોય તો તે દિલમાંથી બહાર આવી હોય…..

 

યાદ આવે – ” મારાં રામ તમે સીતાજીની તોલે ન આવો “

Comments (2)

ઝરમર – વેણીભાઈ પુરોહિત

શ્રાવણ વરસે સરવડે ને
ઝરમરીયો વરસાદ:
– કાના, આવે તારી યાદ0

વીજ ઝબૂકે વાદળ વચ્ચે
તરવરિયો ઉન્માદ:
– કાના, આવે તારી યાદ0

જમણી આંખ ગઈ મથુરા ને
ડાબી ગઈ ગોકુલમાં,
હૈયું વૃન્દાવન જઈ બેઠું
કુંજગલીના ફૂલમાં.
– કાના, આવે તારી યાદ0

ગોપી થઈ ઘૂમું કે કાના,
બનું યશોદામૈયા ?
કે રાધા થઈ રીઝવું તુજને
હે સત-પત રખવૈયા!
– કાના, આવે તારી યાદ0

તનડુ ડૂબ્યું જઈ જમનામાં
મનડું નામસ્મરણમાં-
સુધબુધ મારી આકુલવ્યાકુલ
તારા પરમ ચરણમાં:
– કાના, આવે તારી યાદ0

– વેણીભાઈ પુરોહિત

રહી રહીને વરસાદ ઝરમર ઝરમર પડતો હોય એ ટાંકણે ભક્તને કહાનજી સિવાય બીજા કોઈની યાદ આવે એ તો સંભવ જ નથી. વાદળમાં અવારનવાર જેમ વીજળી ઝબૂકે એ જ રીતે ભીતરમાં ઉન્માદ તરવરતો રહે છે. એક આંખ મથુરા ભણી જુએ છે ને બીજી ગોકુળ તરફ, ને વળી હૈયું તો વૃંદાવનમાં જઈ ખીલ્યું છે. કાનકુંવર સત્ય અને ભરોસાનો રખેવાળ છે, એને રીઝવવા કાવ્યનાયિકા કયો ભેખ ધારવો એની વિમાસણમાં છે. આંખો અને હૈયાની જેમ જ તન જમુનામાં ડૂબકી લગાવી રહ્યું છે, મન નામસ્મરણમાં અને આકુળવ્યાકુળ સુધબુધ શ્રીહરિના ચરણમાં જઈ બેઠી છે… સાવ સરળ અને સહજ બાનીમાં કૃષ્ણભક્તિની આરત કેવી સ-રસ રીતે ઊઘડી છે એ જોવા જેવું છે…

Comments (6)

વટ્ટનો કટ્ટકો – ચંદ્રશેખર પંડ્યા

કામણ પાથ૨વામાં અવ્વલ ગણાય, એની અણિયાળી મૂછ તણો લટ્ટકો
નજરુંની સાથ મળે નજરું તો મારતો ઈ, વીજળીના તાર સમો ઝટ્ટકો
મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…

હોળીને દા’ડે હું તો બા’નું બનાવી, તને ભેટવાને ચાલી’તી રંગમાં
આવી ધુળેટી તો સાનભાન ભૂલીને, નવરાવી દીધી તેં રંગમાં
ઢીલી પડી છ મારા કમ્મખાની કસ, હવે ભાવિ ભરથા૨ જરા અટ્ટકો
મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…

લીલા ને લહેર મળે મૂએ સાસરિયે, હું તો વિસરી જઉં લાડકડું માયકું
દિવસ ને રાત તું જો વરસાવે હેત, પછી વારીવારી જાઉં મારું આયખું
કાંબી ને કડલાંને ચૂલા મહીં નાખ, મને સ્હેજે નથી એનો ચટ્ટકો
મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…

જન્મોના સાથ તણો ક૨શું કરા૨, આજ આવી જા અલબેલા ઠાઠમાં
બંધનનું થઈ જાતું મીઠું બંધાણ, રહે બાંધ્યું એ સ્નેહ તણી ગાંઠમાં
છઠ્ઠીના લેખની સાખે થઈ જોડી, પછી વાલમજી કેમ કરી છટ્ટકો!
મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…

– ચંદ્રશેખર પંડ્યા

મનના માણીગરના કામણના અજવાળાં પાથરતી રચના. નાયિકાને મન એનો ભાવિ પતિ અર્જુન વટનો કટકો છે અને એના વખાણ એ મલાવી-મલાવીને કરે છે. લગ્ન થયા નથી એટલે કદાચ વરજીને નામથી બોલાવવાની આઝાદી નાયિકા માણી લે છે. અણિયાળી મૂછને જે રીતે વળ ચડાવીને વધુ આકર્ષક બનાવાય એ રીતે કવિ પ્રાસગુંફણી કરતા ‘ટ’કારને વળ ચડાવીને જે ‘ટ્ટ’કાર સર્જે એનું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. પહેલા બંધમાં ‘રંગમાં’ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના સ્થાને કવિ અર્થફેર કરીને યમકનો આહલાદ કરાવે છે. સરવાળે સહજ અને મજાનું ગીત…

Comments (6)

ફટ્ રે ભૂંડા! – જતીન્દ્ર આચાર્ય

ફટ્ રે ભૂંડા!
સહજ સાથે તરવા આવી ત્યાં તો ખેંચી જળમાં ઊંડા!
.                                                     ફટ્ રે.

જળ અજાણ્યાં, વ્હેણમાં વમળ, વસમી એની ઝીંક,
પૂર હિંદોલે હીંચકા લેતાં હૈયે આવે હીંક,
તોય તારો આ મારગ મૂકી જાતાં લાગે બીક,
કીધાં કેવાં કામણ કૂડાં !
.                                                     ફટ્ રે.

વાહ! ગોરાં દે!
સાત જનમનો સહરા હું તો શાનાં જળની વાતો!
નેહના સાગર નેણાં નીરખ્યા એની ભરતી આ તો;
પરવશ અંગેઅંગ કરીને કીધ મને તણાતો.
નીકળશો શું સાવ કોરાં દે?
વાહ ગોરાં દે!

– જતીન્દ્ર આચાર્ય

પ્રથમ પ્રેમની સહિયારી અનુભૂતિનું યુગલગાન. કવિએ કઈ ઊક્તિ કોની છે એવો કશોય ફોડ પાડ્યો ન હોવા છતાં ઉભય વચ્ચેનો સંવાદ તરત સમજાઈ જાય એવો સહજસાધ્ય થયો છે. નાયિકાની મીઠી ફરિયાદથી ગીતનો ઉપાડ થાય છે. થોડો સહેવાસ માણવા સંગાથ કર્યો એટલામાં નાયક મગર શિકારને જળમાં ઊંડે તાણી જાય એમ નાયકે નાયિકાને પ્રેમમાં સાવ ગરકાવ જ કરી દીધી. પ્રેમની અનુભૂતિ સાવ પહેલવારુકી જ હોવાથી નાયિકા એનાથી સાવ અજાણ છે, અને માર્ગમાં કઈ-કઈ તકલીફોનો સામનો કરવાનો થશે એ વાતથીય તદ્દન અનભિજ્ઞ છે. પ્રેમના હીંચકે પૂરજોશથી હિંચકતાં ડર તો લાગે છે, પણ હીંચકા પરથી ઊતરી જવામાંય બીક લાગે છે. પ્રેમનાં તો કામણ જ એવાં કૂડાં… ખાંડણિયામાં માથું ને દે રામ, બસ!

નાયક વળતા જવાબમાં ફરિયાદને રદિયો આપતાં કહે છે કે વાહ જી વાહ! આપ તો ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી વાત કરો છો. હું તો સાત-સાત જનમથી રણ જેવો સુક્કોભઠ્ઠ માણસ… પ્રેમથી સદૈવ વંચિત રહેલ. આ પ્રેમજળ અને એમાં ડૂબાડવાની આખી વાત જ ખોટી છે. આપની પ્રેમસાગર જેવા આંખોને લઈને જ આ ભરતી, આ આવેગ જન્મ્યાં છે. હું આપને શું ડૂબાડું, આપે જ મને અંગેઅંગ પરવશ કરી આ પ્રેમસાગરમાં તણાતો કરી દીધો છે. મને પ્રેમમાં ડૂબાડી દઈને આપ શું સાવ કોરાં નીકળશો? વાહ ગોરાં દે! વાહ!

કેવું મજાનું ગીત!

Comments (9)

મૂંઝારો – વિવેક મનહર ટેલર

*

(બેવડા પ્રાસયુક્ત રચના)

ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,
જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો…

ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,
તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!
કાયાની માયા તો મેલી, હૈયું શાને માંગો?
ના શામો તો કંઈ નહીં, કિંતુ શાને લ્હાય વધારો?

એને માટે ભલેને દુનિયા આખી હો રાધિકા,
મારે મન તો એની યાદો એ જ અઠેદ્વારિકા;
મહીં મહી નહીં, જાત ભરીને હજુ ટાંગીએ શીકા,
કહો, ફૂટ્યા વિણ જન્મારો ક્યાંક ન એળે જાય, પધારો…

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૧-૨૦૨૨)

લયસ્તરોના વાચક-ભાવકવૃંદને જન્માષ્ટમી પર્વના થોડાં મોડાં પણ સુમધુર વધામણાં… ગઈકાલે તો સૉશ્યલ મિડીયાના ખૂણેખૂણા કૃષ્ણરંગે રંગાયેલા હતા એટલે આપણે જરા મોડેથી ઊજવણી કરીએ…

કૃષ્ણના જીવનમાં અક્રૂર અને ઉદ્ધવ -બંનેની નાની પણ બહુ મહત્ત્વની ભૂમિકા હતી. વળી, બંનેની ભૂમિકા અલગ હોવા છતાં એકસ્તરે એકરૂપ પણ થતી જણાય છે. એક કૃષ્ણ માટે તેડું લઈ આવ્યા હતા, તો એક એને ભૂલી જવાનું કહેણ દેવા આવ્યા હતા. બાળકૃષ્ણના પરાક્રમો વધતા જતાં કંસે એને તેડાવવા અક્રૂરને મોકલાવ્યા હતા. અક્રૂર કૃષ્ણને પોતાની સાથે મથુરા લઈ આવ્યા. પાછળથી ગોપીઓ પોતાના વિરહમાં સૂધબૂધ ખોઈ બેઠી હોવાની જાણ થતાં કૃષ્ણએ પોતાને ભૂલી જવાનો સંદેશ આપવા ઉદ્ધવને વૃંદાવન મોકલ્યા, કારણ કે એ પોતે તો કદી પાછા ફરનાર નહોતા. કાયા અક્રૂર તાણી ગયા, માયા-યાદો ઉદ્ધવ લેવા આવ્યા. અહીંથી આગળ…

Comments (17)

તફાવત – દિલીપ જોશી

મારા ને દરિયામાં આટલો જ ફેર છે
દરિયો સુક્કાય તો એ રણ બની જાય
અને મારા સુક્કાવામાં શ્હેર છે!

મોજાં ને મારા વિરહની સમાનતામાં —
— માથાં પછાડવાની ઘટના
આંસુનું ટીપું પણ મોતી થઈ જાય એવા —
— સેવવાં સહસહુને સપનાં
સપનાં ખંખેરું તો દડી પડે દરિયો
ને હોડી હલેસાંઓ ઘેર છે…

પંડ્યથી વધીને કશું ખાનગી નથી
નથી અંગત કશીય મારી લાગણી
મોજાં જોઈને ચાંદ બાવરો બને
હું તો ફૂલોને જોઈ થયો ફાગણી
દરિયાએ પૂરવમાં પ્રગટાવ્યો ખાખરો
ને મારામાં ફાગણની લહેર છે.

– દિલીપ જોશી

સરખામણી કરવા બેસે તો કવિતા કોઈ સરહદને ન ગાંઠે. મારા અને દરિયામાં આટલો જ ફેર છે એમ કહીને કવિ હકીકતે તો પોતાનામાં અને દરિયામાં એક બાબતને બાદ કરતાં કોઈ કરતાં કોઈ ફરક નથી એમ જ કહેવા માંગે છે. દરિયો સૂકાય તો રણ બની જાય અને કવિ સૂકાય તો શહેર બની જાય એ અતિશયોક્તિ અલંકારમાય ખરું પૂછો તો કવિને સરખામણી કરવા કરતાં શહેરની લાગણીશૂન્યતા ઉપર કુઠારાઘાત કરવાની જ નેમ જણાય છે.

દરેકને પોતાનો વિરહ અમૂલ્ય જણાય છે. વિરહમાં વહેતાં આંસુઓ વિરહીજનને મોતી જેવાં કિંમતી જ લાગે. પણ સપનાં આખર સપનાં છે. કોઈ ઈચ્છા ફળીભૂત થવાની શરતે જન્મતી નથી હોતી. વિરહ મિલનમાં પલોટાવાનું સપનું છેવટે તો ખંખેરી નાંખવાનું જ રહે છે. અને વિરહના સાગરમાં તરવા માટે આપણી પાસે કોઈ હોડી- હલેસાં પણ ક્યાં હોય જ છે? એમાં તો ડૂબ્યે જ છૂટકો.

આખરી બંધમાં જો કે કવિનો કેમેરા દરિયો છોડીને ઋતુ અને ફૂલો તરફ વળે છે એ બહુ ઉચિત ન લાગ્યું. વિરહાસિક્ત કવિ પાસે જાત સિવાય એવું કશું નથી જે ખાનગી હોય. કવિની લાગણીઓ પણ સૌ સરાજાહેર છે. સાગર અને શશી વચ્ચેના ગાંડપણનો સેતુ તો સદીઓથી જાણીતો છે. કવિ પણ ફૂલોને જોઈને ફાગણી થઈ જાય છે. પૂર્વમાં સૂર્યોદય થાય એ દિવસના ઉગવાની અને આશાની નિશાની છે. પૂર્વમાંથી ઊંચે ઉઠતો લાલ સૂર્ય કેસૂડાંથી ભર્યાભાદર્યા ખાખરા જેવો છે જેને જોઈને કવિ પણ ફાગણની લહેરખી અનુભવે છે.

સરવાળે મને લાગે છે કે ગીતનો લય અને આંતરિક ભાવ કૈક એવા પ્રબળ થયા છે કે અર્થ અને અર્થઘટનની માયાજાળ પડતી મેલીને એની જ મજા લેવી જોઈએ કારણ કે અર્થ અને અર્થકારણ થી આગળ અહીં કશુંક છે જેના કારણે ગીત વાંચતાવેંત ગમી જાય છે…

Comments (3)

કોણ – રમેશ પારેખ

સાંજરે
મારાં શ્રમિત લોચનવિહંગો
વૃક્ષ ૫૨ એવી ગીચોગીચ રાત લઈ પાછાં વળે
કે કોઈ ડાળે પાંદડું એકકે ય તે ના ફરફરે
ને બોલકા સૌ છાંયડા પણ રાતભર મૂંગા રહે

પડતી સવારે
એમ કાંઈ પ્રશ્નનું આકાશ પાછું સાંજ સુધી
આંખને વાગ્યા કરે
કે રાતની ચુપકીદીને પણ જાણ ના થઈ એ રીતે
આ કોણ
મારા બંધ ઘરના આંગણે આવ્યું હતું…
આંગળીની છાપ કોની રહી ગઈ છે બારણે…
કોનું મન પાછું વળ્યું સાંકળમાં ખખડાયા વગર?

— રમેશ પારેખ

 

” આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. ”

– યાદ આવી જાય….

કેટલું સુંદર ભાવવિશ્વ રચાયું છે ! માસ્ટરક્લાસ !!!!

 

 

Comments (1)

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે… – લોકગીત

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
તારી કોણ લેશે સંભાળ, કરવો કૌરવકુળ સંહાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પહેલે કોઠે ગુરૂ દ્રોણ, એને જગમાં જીતે કોણ?
કાઢી કાળવજ્ર્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા બીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સજ્જ કરી હથિયાર;
મારા કોમળઅંગ કુમાર, તેને ત્યાં જઈ દેજો ઠાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા ત્રીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ત્રીજે કોઠે અશ્વત્થામા, તેને મોત ભમે છે સામા;
એને થાજો કુંવર સામા, એના ત્યાં ઉતારજો જામા.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા ચોથે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રૂજે ધરણ;
એને આવ્યું માથે મરણ, એના ભાંગજે તું તો ચરણ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા પાંચમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી;
એને શિક્ષા સારી આપી, એનું મસ્તક લેજો કાપી.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા છઠ્ઠે કોઠે કોણ આવી ઊભા હશે રે?
છઠ્ઠે કોઠે મામા શલ, એ તો જનમનો છે મલ્લ;
એને ટકવા ન દૈશ પલ, એનું અતિ ઘણું છે બલ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા સાતમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
સાતમે કોઠે જય જયદ્રથ, એ તો લડવૈયો સમરથ;
એનો ભાંગી નાખજે રથ, એને આવજે બથ્થમબથ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

રક્ષાબંધનના દિવસે આજે લયસ્તરો તરફથી તમામ ભાઈ-બહેનોને અઢળક સ્નેહકામના….

જે તે સમાજમાં લોકગીતો જે તે સમાજના અરીસા જેવા હોય છે. કુંતાએ અભિમન્યુને અમ્મર રાખડી બાંધી એ સમયે અભિમન્યુ દાદીને કોઠાયુદ્ધ વિશે પૂછતો હોય અને દાદી એને એક પછી એક સાતેય કોઠાની માહિતી આપતા હોય એ પ્રકારની વાત આ બહુ જાણીતા લોકગીતમાં વણી લેવામાં આવી છે. પૌત્રના સવાલ અને દાદીના જવાબ વચ્ચે લય જે રીતે હિંડોળાતો રહે છે એ ગીતના સંગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.

કથા તો જ જાણીતી જ છે. ગર્ભવતી સુભદ્રાને શાંતિ પમાડવા માટે ભાઈ શ્રીકૃષ્ણ એને સાત કોઠાના યુદ્ધની વાત સંભળાવે છે. એ જમાનામાં માન્યતા હતી કે ગર્ભમાં રહેલ જીવ બધું સાંભળી શકે છે, અને આજે વિજ્ઞાન પણ ગર્ભસંસ્કારની વાતો સાથે કંઈક અંશે સહમત છે. શ્રીકૃષ્ણ છ કોઠા ભેદવા અને જીતવાની રીત શીખવવા સુધી પહોંચ્યા એવામાં બહેન સુભદ્રાને ઊંઘ આવી ગઈ. સુભદ્રાનો હકાર આવતો બંધ થયો એટલે કૃષ્ણે પૂછ્યું કે ‘બહેન! ઊંઘ આવે છે?’ ત્યારે અંદર રહેલે જીવે કહ્યું, મામા! હું જાગું છું, તમે સંભળાવો. પણ કૃષ્ણ ત્યાં અટકી ગયા એટલે સાતમા કોઠાની વિદ્યા અભિમન્યુને શીખવા મળી નહીં.

રણક્ષેત્રે જવા તૈયાર થયેલ અભિમન્યુને દાદીમા કુંતાએ અમરત્વના આશિષ આપતાં રાખડી બાંધી. રાખડીના પ્રતાપે અને ગર્ભસંસ્કારમાં ચક્રવ્યૂહ ભેદવા-જીતવા અંગે પ્રાપ્ત કરેલ જ્ઞાનને લઈને અભિમન્યુ અજેય યોદ્ધાની જેમ સમરાંગણમાં એક પછી એક મહારથીને માત આપતો એક પછી એક કોઠા ભેદતો આગળ વધતો હતો તેવામાં કૃષ્ણે અભિમન્યુને કહ્યું, ‘બેટા ! ક્ષત્રિય થઈને આપણે આવા દોરા-ધાગાના સહારે લડીએ એ શોભે નહીં. અભિમન્યુ દાદીએ બાંધી આપી હોવાથી પોતે રાખડી તોડી શકે એમ નથી એમ જણાવ્યું ત્યારે શ્રીકૃષ્ણે એને રાખડી કાંડેથી કાઢીને તલવારની સાથે બાંધી દેવા કહ્યું. અભિમન્યુએ રાખડીને તલવાર ઉપર બાંધી દીધી ત્યારે શ્રીકૃષ્ણે ઉંદરનું રૂપ લઈને એ રાખડીની દોરી કાપી નાંખી. અભિમન્યુને પોતાનો આયુષ્યનો તાર કપાઈ ગયેલો અનુભવાયો અને થયું પણ એમ જ. સાતમા કોઠાને ભેદવા જતાં અભિમન્યુ હણાઈ ગયો.

Comments (1)

પુણ્યસ્મરણ – દલપત પઢિયાર

અમને કોની રે સગાયું આજ સાંભરે
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે…
.                      કોની રે સગાયું આજ સાંભરે

કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો.
આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે…
.                      કોની રે સગાયું આજ સાંભરે

આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ…
.                      કોની રે સગાયું આજ સાંભરે

માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂલે રે અદ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઊતરે…
.                      કોની રે સગાયું આજ સાંભરે

કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો, ઝીણી ખાજલીયું પડાવો;
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ…
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.

– દલપત પઢિયાર

સ્મરણ પાસપૉર્ટ-વિઝા વિના વીત્યા મલકની મુલાકાતે મનફાવે ત્યારે આપણને લઈ જઈ શકે છે. ગઈકાલની યાદ આજના ભારને ઘડીભર હળવો પણ કરી દઈ શકે છે અને આજની હળવાશને શ્વાસ પણ ન લઈ શકાય એટલી ભારઝલ્લી પણ કરી દઈ શકે છે. કથકને આજે અચાનક જૂની સગાઈઓ સાંભરી રહી છે. કાવ્યારંભે આ સગપણ કોનાં તેનો ફોડ પાડ્યા વિના કવિ કેવળ એની પ્રબળતાનો અહેસાસ આપણને જમીનનું તળિયું તૂટે અને ભીતરથી સમંદર ઊમટી આવે એ પ્રતીક વડે કરાવે છે. સામાન્યતઃ જમીનનું તળ તૂટે ત્યારે ઝરણું પ્રગટ થતું હોય છે. અહીં કવિ સમંદરને ઊમટી આવતો બતાવીને સ્મરણ કેટલું બળવત્તર છે એની પ્રતીતિ શબ્દના એક લસરકાથી કરી બતાવે છે. ત્સુનામી જેવું આ સ્મૃતિપૂર આજે બધું જ ડૂબાડી દેશે એવી ભીતિથી પ્રેરિત કથક પાળ બંધાવવા કોઈ આગળ આવે એવું આહ્વાન દે છે. કદાચ તે પાળ બાંધીને આ પૂરને રોકી લેવાય. સમુદ્રની લહેરોને આંબીને કોણ પોતાના મનોપટ પર ઊઘડી રહ્યું છે એ જોવા કવિ ઘાટે ઘોડા દોડાવવા કહે છે.

એ જમાનામાં પોતાની આમન્યા જળવાઈ રહે એ માટે ઘરના વડીલ ડેલીએ પ્રવેશે એ પહેલાં ખોંખારો કરી પોતાના આવણાંના એંધાણ દેતા. જ્યાં કદી દાદાની આણ અને શાન વર્તાતી હતી એ સૂની પડેલી શેરીઓમાં ફરી ખોંખારા ઊગી રહ્યા છે. જૂની ધૂણીએ ફેર ચલમના તણખા ઊડતા દેખાઈ રહ્યા છે. દાદાની હારોહાર કવિને પોતાની માડી પણ યાદ આવે છે. મા વિના ઉજ્જડ થઈ ગયેલા ઓટલા પર ફરી વાત અને વાર્તાઓ વવાતી દેખાય છે. પોતાને ઝૂલાવતા હીંચકા અને હાલરડાં ટોડલે ઝૂલી રહ્યાં છે. સ્વર્ગે સિધારેલ મા મોભના માર્ગેથી અવતરણ કરે છે.

પ્રાણપ્રિય સ્વજનોને પોંખવામાં કમી ન રહી જાય એ માટે કવિ કૂવો નહીં, કૂવા ખોદાવવા કહે છે, બાગ નહીં, બાગો રોપાવવા કહે છે. ઓરડાઓમાં આછું લીંપણ કરાવવા અને એમાં ઝીણી ખાજલીઓ પડાવવા કહે છે. કાવ્યાંતે આવતા આ બહુવચન કાવ્યારંભે આવતા સ્મરણસાગરની વિશાળતા સાથે તાલ પૂરાવે છે. કવિકર્મનો આ વિશેષ નોંધવા જેવો છે. આવી નાની-નાની પ્રયુક્તિઓ જ સારી કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચેની ભેદરેખા બની રહે છે. લોહીની સગાઈ તે સાચી સગાઈ. કવિ આજના આ પુણ્યસ્મરણને જીવ ભરીને માણી લેવાના મૂડમાં છે. અતીતના આ ઓરડામાં કવિની જેમ આપણને પણ લાંબો સમય પડી રહેવાનું મન થાય એવું આ ગીત પૂરું થયા બાદ પણ આપણા સ્મરણપટલ પર ગુજતું રહે છે…

Comments (8)

લગ્નિલ કન્યાનું ગીત – જયેન્દ્ર શેખડીવાળા

ઝાંખા સોળ વરસના દીવા, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

અમને કાજળકાળી રાતે ઝમ્મર ગુલમહોરુંની શાખે
ડંખ્યાં એરુનાં અંધારાં, મારા રાજ્વી!
ઝામણ ઝેર ચડ્યું રે અંગે પાંગત બોલી પડધા સંગે
અમ્મે સાવ થયાં નોંધારાં, મારા રાજવી!
ઝમરખ અજવાળાં રે પીવાં, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

આંખે વાદળ ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણાના જેવાં
મેડી સ્હેજ ધરુજી બોલી, મારા રાજવી!
ચૈતર હોય તો વેઠું તડકો, તમે સૂકી વાડનો ભડકો
સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી!
એવાં ઝળહળ જળને પીવા, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

– જયેન્દ્ર શેખડીવાળા

સ્વપ્નિલ વિશેષણ પરથી કવિ ‘લગ્નિલ’ જેવો શબ્દ કોઇન કરીને કાવ્યારંભ કરે છે એ જ સૂચવે છે કે જે રચનાનો આપણને સાક્ષાત્કાર થનાર છે એ જરા હટ કે હશે. સોળ વરસની કન્યાને લગ્ન સંદર્ભે થતી અનુભૂતિનું આ ગીત છે. ‘પાછળ મેલ્યા પાદર કૂવા’ એમ અર્ધવાક્યખંડની મદદ માત્રથી કવિ લગ્ન બાદ ગામ છૂટી જવાનું ચિત્ર આબાદ ઊભું કરી બતાવે છે. ઘર પાછળ રહી ગયું હોવાથી જે ઘરમાં સોળ વરસનું આયખું વીત્યું એ સોળ દીવા પણ હવે ઝાંખા દેખાવા માંડ્યા છે. ચાળીસ વરસ પહેલાં ૧૯૮૨માં પ્રગટ થયેલ સંગ્રહમાં સોળ વરસની છોકરીના લગ્નની વાત છે, એટલે સમજી શકાય છે કે આ એવા સમયના લગ્નની વાત છે જ્યાં લગ્નપૂર્વે કન્યાને વરનું મોઢું જોવાય નહીં મળ્યું હોય. હસ્તમેળાપની ઘડીએ અલપઝલપ મોઢું જોવા માત્રથી કન્યા એવી તો વશીભૂત થઈ ગઈ છે કે પરદેશથી આવેલ પતિને એ જંતરમંતર કરી વશીભૂત કરી લેનાર ભૂવો કહી ઓળખાવે છે. માત્ર બે જ પંક્તિમાં કવિ કેટકેટલું કહી બતાવે છે એ સમજવા જેવું છે. સાચું કવિકૌશલ્ય જ આને કહેવાય ને!

આંગણમાં ગુલમહોર ખીલ્યાં છે, મતલબ લગ્ન ઉનાળાની ઋતુમાં લેવાયા હશે. એની શાખે કાજળકાળી રાતે બંધાયેલ શરીરસંબંધની વાત નાયિકા મુખર થવા છતાંય ગરિમાપૂર્ણ રીતે એરુનાં અંધારાં ડંખ્યાં કહીને કરે છે. નાયિકાને અંગાંગમાં પ્રણયપરિતોષનું ઝેર ચડ્યું છે. ‘ઝામણ’ શબ્દ વાંચતાં જ ર.પા.ના ‘રાણી સોનાંદેનું મરશિયું’ કાવ્યમાં નાયિકા પતિને ‘મારા લોહીમાં રમતા ઝામણ નાગ’ કહીને સંબોધે છે એ યાદ આવે. નાયકના જીવનમાં હવે નાયિકા જ કેન્દ્રસ્થાને રહેનાર હોવાથી પાંગત-પડધા નોંધારા થઈ ગયાની લાગણી અનુભવે છે. અંધારી રાતોમાં જીવતરનાં અજવાળાં પીવા નાયિકાએ પિયર ત્યાગ્યું છે.

ગીતમાં અનિવાર્ય અંત્યાનુપ્રાસોપરાંત કવિએ દરેક કડીમાં આંતર્પ્રાસની ગૂંથણી પણ કરી છે, જે ધ્યાનાર્હ છે. ગીતરચનાની ઇબારતના અભ્યાસ માટે ઉપયોગી થઈ રહે એવી મજાની આ કૃતિ છે.

Comments (16)

રોજ – ચિનુ મોદી

મેડીએ ચડીને તમે બેઠેલાં હોવ
.             તમે ઊભેલાં હોવ
.             તમે થીજેલાં હોવ
તમે કંપેલાં પાણીથી બ્હીધેલાં હોવ
અરે, જંપેલાં પાણીમાં ચીતરેલાં હોવ
.             તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યાં કરે
.             વ્હાણ ચાલ્યાં કરે
.             રોજ ચાલ્યાં કરે.

રોજ શેરીઓ મૂકીને ગામ પોબારા થાય
રોજ ૫૨પોટા ફૂટ્યાના હોબાળા થાય
રોજ હુક્કા છોડીને નેળ નોધારાં થાય
રોજ તડકામાં પૂર અને ઓવારા થાય
.             તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યા કરે,
વ્હાણ ચાલ્યાં કરે
.             રોજ ચાલ્યા કરે.

ક્યાંક આંગળીઓ દૂઝણી ને વેળા ખલાસ
ક્યાંક સપનાની માંડણી ને ફેરા ખલાસ
ક્યાંક શણગારી ઢીંગલી ને મેળા ખલાસ
ક્યાંક મ્હોરાં ખલાસ, ક્યાંક ચ્હેરા ખલાસ
.             તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યાં કરે
.             વ્હાણ ચાલ્યાં કરે
.             રોજ ચાલ્યાં કરે

– ચિનુ મોદી

કાવ્યસ્વરૂપ તરીકે ગીત કવિને કેટલો ‘ફ્રી-હેન્ડ’ આપે છે એનો થોડો ખ્યાલ આ રચના પરથી આવે એમ છે. ભાગ્યે જ જોવા મળે એવું નવ-નવ પંક્તિઓમાં પથરાયેલ મુખડું અને ચાર-ચાર પંક્તિના બંધ સાથે ચાર-ચાર પંક્તિની પૂરકપંક્તિઓ. ચિનુ મોદી ભાષા પાસેથી એનો કાન આમળીને ધાર્યું કામ કઢાવી લેનાર કવિઓમાંના એક છે. કવિતાના નાનાવિધ કાવ્યસ્વરૂપોને એમણે જેટલા તાગ્યા છે, એટલા બહુ ઓછા સ્વાતંત્ર્યોત્તર કવિઓએ તાગી જોયા છે.

દુનિયા કોઈના માટે રોકાઈ નથી, ન રોકાશેનો સૂર ગીતમાંથી જન્મે છે, પણ કવિની વાત-માંડણીની જે રીત છે એની ખરી મજા છે. લય એવો પ્રવાહી થયો છે કે ગણગણ્યા વિના ગીત વાંચી જ ન શકાય. ગીત જેને સંબોધીને લખાયું છે એ ‘તમે’ એટલે માન આપીને બોલાવાય એવી કોઈ સ્ત્રીની વાત છે એ ‘બેઠેલાં’ વિ. શબ્દોના માથે મૂકાયેલ અનુસ્વાર પરથી સમજી શકાય છે. ગુજરાતી ભાષામાં અનુસ્વારની કમાલ ન સમજી શકે એ વ્યક્તિ તો આ કરામતથી વંચિત જ રહી જવાનો. ચિનુ મોદીના દર્શન આપણને ત્રીજી પંક્તિમાં થાય છે, જ્યાં સ્થાપિત norms ને ચાતરીને કવિ કાવ્યનાયિકા માટે ‘થીજેલાં’ ક્રિયાપદ પ્રયોજે છે. નાયિકા મેડીએ ચડી છે એનું મહત્ત્વ એના ચાહનારને મન ભલે ગમે એટલું હોય, દુનિયાને શું!. મેડીએ નાયિકા બેઠેલ હોય કે ઊભેલ હોય, કે કંઈપણ સ્થિતિમાં હોય, રસ્તા પરથી પસાર થનારાઓ એની તમામ ક્રિયાઓથી રોજ બેપરવાહ પસાર થતા આવ્યા છે, પસાર થતા રહે છે, પસાર થતા રહેશે. મેડીને ભૂલી જાવ, નાયિકાને પણ ભૂલી જાવ, દુનિયામાં કોઈ પણ ઘટના બને, નાની કે મોટી, દુનિયાને કોઈ ફરક પડતો નથી એ વાતની માંડણી કવિએ ગીતમાં કેવી મજાની રીતે કરી છે એની જ ખરી મજા છે…

Comments (10)

સંસારનું સાજ – અવિનાશ વ્યાસ

બેસૂર સાજ સંસાર રે,
મારો મળ્યો ન મળતો તાર રે;
મારો મળ્યો મળે નહિ તાર.

ગાયા કંઈએ વિધ વિધ રાગ,
છેડ્યો અંતે મેં વૈરાગ,
લઈ જાશે ભવની પાર રે,
થઈ ભવભવનો સથવાર
બેસૂર સાજ સંસાર રે.

સમતાનો જ્યાં ષડજ મળે નહિ,
રિષભ મળે નહિ રહેમભર્યો;
મૃદુવચની જ્યાં મળે ના મધ્યમ,
જ્યાં ઘમંડના ગાંધાર રે;
ત્યાં કેમ મળે મારો તાર?
બેસૂર સાજ સંસાર રે.

પરદુઃખીનો પંચમ ના બોલે,
ધનિકનો થઈ ધૈવત ડોલે;
નહિ નિર્બળનો નિષાદ રે.
ત્યાં કેમ મળે મારો તાર?
બેસૂર સાજ સંસાર રે.

– અવિનાશ વ્યાસ

કવિતામાં માનવીનો વ્યવસાય કઈ રીતે રસીબસી જઈ શકે છે એનું ઉમદા ઉદાહરણ આ ગીત છે. જેમની રક્તવાહિનીઓમાં રક્તના સ્થાને સંગીતની સરગમ વહેતી હતી એવા કવિએ અહીં ગીતને રાગમાં ઢાળનાર શુદ્ધ સ્વરોને જ ગીતના વણાટકામમાં જોતરી લીધા છે. આપણે સહુ આ સાત સ્વરોથી સુપરિચિત છીએ: સા (ષડજ), રે (રિષભ), ગ (ગંધાર), મ (મધ્યમ), પ (પંચમ), ધ (ધૈવત), ની (નિષાદ).

સંસારનું સાજ બેસૂરું લાગે એ વાત તો સદીઓથી સંતકવિઓ ગાતા આવ્યા છે. કવિ પણ એમના સૂરમાં સૂર પૂરાવતા કહે છે મારો તાર કેમે મળ્યો મળતો નથી. ભૂમિતિમાં આપણે પ્રમેય અને પૂર્વધારણા વિશે શીખ્યા હતા. પ્રમેયોને સાબિત કરવામાં આવે છે, પરંતુ ભૂમિતિની શરૂઆત કેટલાક વિધાનોથી થાય છે જેમને સાબિતિ વિના માની લેવામાં આવે છે. આ વિધાનોને પૂર્વધારણા કહે છે. કવિના આ ગીતની ઇબારત પણ પૂર્વધારણા જેવી છે. સામાન્યતઃ ગીત ક્રમિક વિકાસ સાધી પરાકાષ્ઠા સુધી જતું જોવા મળતું હોય છે, એના બદલે અહીં કવિ પહેલાં પરિણામ જાહેર કરી દે છે અને પછી પરિણામ સુધી પહોંચવા માટે પોતે ગણેલી રીત આપણને બતાવે છે. જીવનમાં લખલખ વાનાં કરી લીધા બાદ આખરે કવિને વૈરાગ છેડવાનું સૂઝ્યું છે, કેમ કે એ એક જ રાગ છે જે ભવભવનો સથવાર થઈ ભવપાર લઈ જઈ શકે એમ છે.

આખું આયખું સંગીત ઉપર કેન્દ્રિત કરી જીવ્યા હોવાથી અહીં પ્રચલિત ગીતરચનાથી વિપરિત સ્વરૂપ-સંવિધાન આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ બંધમાં અ-અ-બ-બ મુજબ પ્રાસ મેળવીને કવિ મુખડાના પ્રાસ સાથે સંધાન સાધે છે, પણ બીજા અંતરામાં એક પંક્તિ વધારાની ઉમેરીને પ્રાસમુક્ત ત્રણમાં પંક્તિ આલેખ્યા બાદ બ-બ પ્રકારે પ્રાસ પ્રયોજી મુખડા સાથે ગીતને જોડે છે, અને અંતે છેલ્લા બંધમાં ફરી ક-ક-બ-બ મુજબ પ્રાસ પ્રયોજીને પ્રચલિત ગીતસ્વરૂપ તરફ ગતિ કરે છે. અન્ય કાવ્યસ્વરૂપોની સરખામણીમાં કદાચ ગીત એકમાત્ર પ્રકાર એવો છે, જે કવિને કાવ્યબંધારણ માટે અનંત શક્યતાઓ બક્ષે છે.

Comments (3)

ખેડૂત સ્ત્રીનું ગીત – અરવિંદ ભટ્ટ

ભાણે બેસો તો થોડું ભાવશે
મનમોજી! તમે ભાણે બેસો તો થોડું ભાવશે

ખેતરમાં જેમ તમે હળને હાંક્યું છે આજ
એમ આ વલોણું ફર્યું છાસમાં
ગાડાનાં પૈ જેવા રોટલામાં ભાત્ય જેમ
ક્યારીઓ કરી છે તમે ચાસમાં
ભોમાં ભાર્યું તે બારું આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે

વીંઝણામાં ઝાડવાના છાંયડા ગૂંથીને
હુંય ઢાળીને બેઠી છું પાટલો
નેજવું કરીને વાટ જુઓ વરસાદની
એમ હુંય જોતી’તી વાટ હો
ખાધું-પીધું તે ખભ્ભે આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે.

– અરવિંદ ભટ્ટ

જે રીતે ખેડૂત આંખનું નેજવું કરીને વરસાદની વાટ જોતો હોય એ જ રીતે ખેડૂતની પત્ની પોતે પતિ બપોરે કામ પતાવીને ભોજનભેગો થવા આવે એની વાટ જોતી હોવાનો હલકારો દઈને અંતરની વાત સ-રસ રીતે રજૂ કરે છે. ગીતનો ઉપાડ ‘ભાણે બેસો તો થોડું ભાવશે’ના ‘તો’કારથી થયો છે, એ પરથી એમ સમજાય છે કે ખેડૂતને ખાવાની વરણાગી હોવી જોઈએ. બીજી જ પંક્તિમાં પતિને ‘મનમોજી’ સંબોધન અને ‘તો’કારવાળા ધ્રુવપદની પુનરુક્તિ કરીને ખેડૂતની સ્ત્રી આપણને આ વાતની ખાતરી કરાવે છે. ખ્યાલ પણ ન આવે એવું ચીવટભર્યું કવિકર્મ તે આનું નામ… ‘તો’માંથી જન્મતી સ્વભાવની પ્રતીતિ, વિશેષણ વડે એની પુષ્ટિ અને પુનરુક્તિ વડે અધોરેખાંકન – આ છે સારા કવિની નિશાની. પ્રયત્ન કરવાથી સારું ગીત લખાતું નથી. પથ્થર ફોડીને ઝરણું ફૂટે એમ સારું ગીત તો ભીતરથી આપોઆપ નીકળે. ગીત લખાઈ ગયા પછી આપણે વિશ્લેષણ કરીએ કે આવી-આવી તરકીબો કવિએ ગીતમાં પ્રયોજી છે, પણ હકીકત એ હોય છે, કે ગીતરચનાને સારી કવિતાની કક્ષાએ લઈ જતી આવી પ્રયુક્તિઓ સમર્થ કવિની રચનામાં અનાયાસે જ સંમિલિત થઈ જતી હોય છે…

ખેડૂતે ખેતરમાં જે રીતે હળ હાંક્યું છે, એ જે ખંત અને ચીવટથી સ્ત્રીએ વલોણું ફેરવીને છાશ બનાવી છે. ગાડાના પૈડા જેવા મસમોટા રોટલામાં ખેડૂત જે રીતે ચાસમાં ક્યારીઓ કરે એમ પત્નીએ ભાત કરી છે. વાવશો એ જ લણશોની ઉક્તિને નાયિકા ભોજન સાથે બખૂબી સાંકળી લે છે – મનમાં સારો ભાવ હશે તો ભોજન જેવું હશે, એવું ભાવશે. પત્નીએ ઢાળેલા પાટલે પતિ જમવા બેસે ત્યારે પત્ની એને જે વીંઝણાથી પવન નાંખે એમાં ઝાડવાના છાંયડા એણે ગૂંથી લીધા છે. કેવું ઉત્તમ કલ્પન! ખાઈ લે, વહાલા… કારણ, આખરે તો જે ખાધું-પીધું હશે એ જ ગુણ કરશે. તાકાત એમાંથી જ મળશે. ખભા એનાથી જ મજબૂત થશે…

સરવાળે મારે તો તમને એટલું જ કહેવાનું કે, હે મનમોજી! વાંચવા બેસશો તો આ ગીત ભાવશે…

Comments (8)

(ઈને પોંખવો સે અધમણની ગાળે) – દેવાંગી ભટ્ટ

પીટ્યો ભરરસ્તે આંખને ઉલાળે, પાછો મરકે સે ગામની વચાળે
કોક દિ’ જો સીમ જતાં એકલો મળે, ઈને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે…

આ તો નાનકડું ગામ, હૌ ને હૌની પંચાત, અહીં આવા અળવીતરા થવાય?
જ્યાં બાજુની ભીંત તારી છીંકુએ હાંભળે, ન્યા લવ-બવની વાતું કરાય?
તારી નકટી જીભડીને કોક બાળે, તને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે…

બેડું ભરીને હજી નેકળતી હોઉં, ન્યા ઈ અક્કરમી આવી અથડાય,
ડોશીઓને હેડ્કીયું ઉપડે ને ચોતરાની આંખ્યું તલવાર થઇ જાય;
પાસો ફાટીમૂઓ મૂછને પંપાળે, તને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે…

– દેવાંગી ભટ્ટ

ભાષા અભિવ્યક્તિનું સૌથી સશક્ત માધ્યમ છે. માનવમનના ભાવોને વ્યક્ત કરવા માટે ભાષાથી ચડિયાતી રીત હજી આપણે શોધી શક્યા નથી. સારો કવિ ભાષાના સામર્થ્યને નિચોવીને કવિતા રચે. ભાષાનું એક અગત્યનું અંગ છે બોલી. ભાષા ભલે એક જ રહે, પણ બોલી તો દર બાર ગાઉ પર બદલાય. સારો કવિ ભાષાની જેમ જ બોલીને પણ ઉપાદાન બનાવીને આસ્વાદ્ય રચના આપી શકે. જુઓ, આ રચના. અહીં જે મજા છે, એ બોલીની છે. કવિતાનો વિષય જાણીતો છે. નાયક નાયિકાને જાહેરમાં આંખઉલાળા કરીને સતાવે છે અને નાયિકા એને અધમણની ગાળોથી પોંખવાના અભરખા સેવે છે. ગીતની ખરી મજા એની તળપદી બોલીમાં છે. એમાંય ચોતરાની આંખ્યું તલવાર થઈ જાય જેવા ચમકારા ગીતને વધુ જાનવંતુ બનાવે છે.

Comments (23)

મેઘ વરસી જા – ચંદ્રશેખર પંડ્યા

મૂશળની ધાર સમો દખ્ખણમાં વરસ્યો, પણ ઓતરાદું કોરું ધાક્કોર,
ગાડે બેસારી તને લાવું? માધવ જેમ બોડાણો લઈ ગ્યો ડાકોર,
મેઘ વરસી જા અઢળક આ કોર.

બતકી ને હંસ તરે રેતીને વ્હાણ, ઓલ્યા કલકલિયે છોડી છે માછલી,
સુરખાબે ૨ણને સલામ કરી લીધી છે, ભરવા ઉડાન હવે પાછલી,
ચાતક ટિટોડી તો પરસેવે ન્હાય, અને આંસુડાં પીવે છે મોર
મેઘ વરસી જા અઢળક આ કો૨.

કેમ કરી ખેડૂના ખાડા પુરાય, તને સ્હેજે પણ આવે ના લાજ?
ઝરણાંને નદીયુંથી અળગાં કરીશ! એવા નખરાને છોડી દે આજ
એકવા૨ ધોધમા૨ ૨મઝટ બોલાવ, પછી નિરાંતે આવ છેક પોર
મેઘ વરસી જા અઢળક આ કો૨

પર્ણોએ ખોયાં છે ઓસ તણાં બિંદુ ને ચીમળાઈ ગઈ છે લજામણી
નાગરની વેલ, રાતરાણી ને જૂઈ, કદી નીરખી ના આમ સાવ વામણી
જલદી પધાર હજી મોડું કરીશ પછી સુકાશે ડાંડલિયો થો૨
મેઘ વરસી જા અઢળક આ કો૨.

– ચંદ્રશેખર પંડ્યા

કવિના નામ સાથે આજ પહેલાં કોઈ પરિચય નહોતો. અચાનક કુરિયરમાં એક પુસ્તક આવ્યું – ‘કોઈ સગાં થાવ છો?’ સાવ અલગ જ પ્રકારનું શીર્ષક. સંગ્રહ ખોલ્યો. પહેલાં કવિપરિચય વાંચ્યો અને પછી હરીકૃષ્ણભાઈએ લખેલી પ્રસ્તાવના થોડી વાંચી. અન્ય કોઈએ ઊભી કરેલી છાપની અસરમાં સંગ્રહમાં પ્રવેશવાનું થાય એ પહેલાં સંગ્રહમાંથી પસાર થવું શરૂ કર્યું. ઘણી રચનાઓ ગમી જાય એવી. વિષય વૈવિધ્ય અને મૌલિકતા આંખે ઊડીને વળગે એવાં. મોટાભાગનાં ગીતોમાં છૂટકમૂટક તો છૂટકમૂટક, પણ અલગ જ પ્રકારનો સ્પાર્ક જોવા મળ્યો. લયસ્તરો પર કવિ અને એમના ગીતસંગ્રહનું સહૃદય સ્વાગત છે.

આપણે ત્યાં ચોમાસું દક્ષિણથી પ્રારંભાય. ઘણીવાર એવું થાય કે મેઘો ત્યાં એવી બેઠક જમાવી બેસે કે અહીં આવવાનું જ ભૂલી જાય. આવા કોઈ વરસાદાતુર સમયનું આ ગીત છે. વર્ષાની રાહ જોતાં ગીતો તો અસંખ્ય છે, પણ મુખડાની બીજી કડી એને આ ગીતોના ઢગલામાં અલગ તારવી આપે છે. ડાકોરની કથા જાણીતી છે. વિજયસિંહ બોડાણા બોત્તેર વર્ષની વય સુધી દર વરસે વરસમાં બે વાર તુલસી લઈ દ્વારિકા જઈ રણછોડરાયની પૂજા કરતા, પણ શરીરે સાથ દેવાની ના કહી, ત્યારે દ્વારકાધીશે સ્વપ્નમાં આવી એને ગાડું લઈ દ્વારકા આવવા આમંત્રણ પાઠવ્યું. ગૂગરી બ્રાહ્મણોએ મંદિરને તાળું મારી દીધું તો રાત્રે ખુદ દ્વારકાધીશે તાળાં ખોલી નાંખ્યાં અને રથ હંકારી બોડાણા સાથે ડાકોર આવી ગયા. આ વાતનો સંદર્ભ લઈને કવિ મેઘા સાથે અંકોડા ભરાવે છે. કહે છે, જે રીતે બોડાણો માધવને ડાકોર લઈ ગયો હતો એ રીતે શું મારે તને ગાડામાં બેસાડીને ઉત્તરમાં લઈ આવવાનો છે?

પછીના ત્રણ બંધમાં કવિ વરસાદની અનુપસ્થિતિના ત્રણ મજાનાં ચિત્રો દોરી આપે છે. પહેલા ચિત્રમાં તરસે વલખાં મારતાં પક્ષીઓની પરિસ્થિતિ તાદૃશ થાય છે, તો બીજા બંધમાં ખેડૂતની વ્યથાને કવિએ ચીતરી છે. સામાન્યતઃ નદીમાં ભળી જતાં ઝરણાંઓ સૂકાઈ જાય ત્યારે નદીથી અલગ થયેલાં નજરે આવે એ વાતને રજૂ કરીને કવિએ વરસાદના અભાવને જે રીતે ચાક્ષુષ કર્યો છે, એવું કામ ગુજરાતી કવિતામાં ઓછું જ થયું છે. ત્રીજા બંધમાં વનસ્પતિસૃષ્ટિને સમાવી લઈને કવિ સમગ્ર પ્રકૃતિચક્રને આવરી લઈ આપણને મજાનું પ્રતીક્ષા-કાવ્ય આવે છે.

Comments (24)

અત્તરની શીશીમાં મોહ્યા- સંદીપ ભાટિયા

સખી! અત્તરની શીશીમાં મોહ્યા,
દૂરની સુગંધો પર માંડીને મીટ, અમે આંગણના મોગરાને ખોયા…

વાયરા પલાણ્યા, વંટોળિયાઓ બાંધ્યા પણ ઓળખ્યા ન પોતાના શ્વાસને,
એટલું ન સમજ્યા કે થાતું શું હોય છે, ઝાકળ બંધાય ત્યારે ઘાસને,
મલકયાનો હોઠવગો ભૂલી મલક, અમે નકશાના ગામ કાજે રોયા…
સખી! અત્તરની શીશીમાં મોહ્યા.

આપણે પણછ થકી છૂટેલા તીર નથી, જેને ના હોય પાછું વળવું,
કેડીથી અણજાણ્યા પાગલ પતંગિયાનું, સાવ છે સહજ ભૂલા પડવું,
ઝાઝા ન દૂર હવે રાખો સખી! કે અમે ધબકારા છાતીવછોયા…
સખી! અત્તરની શીશીમાં મોહ્યા.

– સંદીપ ભાટિયા

આપણા બધામાં એક કસ્તૂરીમૃગ જીવે છે. પંડમાં હોય એને ઓળખી ન શકીએ અને વને-વન શોધતા ફરીએ. મનુષ્ય સ્વભાવની બીજી પણ એક ખાસિયત છે કે લાડુ હંમેશા પારકે ભાણે જ મોટો લાગે. આંગણામાં મોગરો મઘમઘ કરતો હોય એનો આનંદ લેવાના બદલે આપણે ક્યાં તો બીજાના બગીચામાંથી આવતી સુગંધોની કામના કરીએ છીએ અથવા તો કૃત્રિમતાની પૂજા કરીએ રાખીએ છીએ. આખુંયે ગીત સુવાંગ સુંદર છે. એની મહેંકને ધીમે ધીમે માણીએ. મિલિન્દ ગઢવીએ આ ગીત સાથે પૉસ્ટ કરેલ ચાર વાક્યોની કમેન્ટ પણ મમળાવવા જેવી છે:

‘Realization is sad. Realization is painful. Realization is heart breaking.
But at the same time, realization is a blessing.’

Comments (6)

પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ? -વિવેક મનહર ટેલર

પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ?
આ જો, રણમધ્યેથી બાળુડો કાનુડો પાડી રહ્યો છે મને સાદ!
મને ગોકુળિયું આવે છે યાદ..

હાથમાં જે રથની લગામ છે એ જાણે કે મા-બાંધી હીર તણી દોર,
ગોધૂલિવેળાની ઘૂઘરી છે ચારેકોર, ગાયબ રણભેરીનો શોર;
વણતૂટ્યાં શીકાં ને વણમાંગ્યા દાણ, જો ને, અહીં આવી કરે ફરિયાદ.
મને ગોકુળિયું આવે છે યાદ..

લોહી અને આંસુથી લાખ ગણું સારું હતું ગોરસ ને દહીં વહેવડાવવું,
થાય છે આ પાંચજન્ય સારો કહેવાય કે પછી મોરલીથી સૂરને રેલાવવું?
કોણ મને અહીં આવી ગીતાનું જ્ઞાન દઈ ગ્લાનિથી કરશે આઝાદ?
તને એકલાને ક્યાં છે વિષાદ?

-વિવેક મનહર ટેલર
(૧૯-૨૧/૦૫/૨૦૨૨)

કવિનાં ચશ્માં તો ગામથી અલગ જ હોવાનાં. આખી દુનિયા જે દૃષ્ટિકોણથી એક વાતને જોતી હોય, એને નવતર અભિગમથી રજૂ ન કરે તે કવિ શાનો? મહાભારતના યુદ્ધમાં સગાં-વહાલાંઓને જોઈને ગ્લાનિર્મગ્ન થયેલા અર્જુનને ગીતાજ્ઞાન આપીને શ્રીકૃષ્ણએ એના વિષાદનું નિર્મૂલન કર્યું એ વાત તો આપણે સહુ જાણીએ જ છીએ. પણ આ ગીત પાર્થના બદલે પાર્થસારથિને થઈ શકનાર સંભવિત વિષાદની વાત કરે છે.

હાથમાં રથની લગામ ઝાલીને ઊભેલ શ્રીકૃષ્ણને રણમધ્યેથી બાળકાનુડો પોતાને હાક દેતો સંભળાય છે. રથની લગામ યશોદા મૈયાએ જે હીરની દોરથી પોતાને બાળપણમાં બાંધ્યા હતા, એની યાદ અપાવે છે. દોરબાંધ્યા કાનુડાએ યમલા અને અર્જુન નામના રાક્ષસોનો ઉદ્ધાર કર્યો હતો, આજે લગામ હાથમાં ઝાલીને શ્રીકૃષ્ણ ધર્મનું રક્ષણ કરવા નીકળ્યા છે. બાળપણની સ્મૃતિ થતાવેંત જ રણભેરીનો શોરબકોર ગાયબ થઈ એનું સ્થાન ગોધૂલિવેળાએ પરત ફરતાં ગાય-બળદની ઘૂઘરીઓનો નાદ લઈ લે છે. ગોકુળ-વૃંદાવન ત્યાગ્યા બાદ તોડવાનાં બાકી રહી ગયેલ શીકાં અને માંગવાનાં બાકી રહી ગયેલ દાણ જાણે કે યુદ્ધમધ્યે આવીને ફરિયાદ કરે છે…

પોતે ભલે તટસ્થ રહેનાર હતા, પણ પોતાની હાજરીમાં રણમેદાનમાં જે લોહી અને રણમેદાનની બહાર સ્વજનોનાં જે આંસુઓ વહેવાનાં છે એનાં કરતાં તો ગોરસ-દહીં રેલાવવાનું ચૌર્યકર્મ લાખ ગણું સારું હતું એમ એને લાગે છે. વાંસળીના સૂર રેલાવનાર કેશવના ભાગે આજે પાંચજન્ય શંખ ફૂંકીને યુદ્ધના પાગરણ કરાવવાનું આવ્યું છે ત્યારે એને સહજ જ ગ્લાનિ અનુભવાય છે. પણ છે કે કોઈ ગીતાજ્ઞાનનો દેનાર જે આવીને એને એમાંથી આઝાદ કરી શકે?

Comments (17)

પરોઢિયું – વિમલ અગ્રાવત

ઝબકીને જાગેલા ઝાડવાને વાયરાએ ગળચટ્ટું ગીત એક પાયું,
આજ ઊગ્યું પરોઢિયું સવાયું.

પંખીએ પંચમના સૂરના છંટકાવથી ઝરણાની નીન્દરુ ઊડાડી;
ઝાકળની જેમ ઝીણા વરસેલા તડકાએ આખ્ખીય ધરતી ડૂબાડી;
એમાં અન્ધારૂં આઘ્ઘે તણાયું.
આજ ઊગ્યું પરોઢિયું સવાયું.

શરમાતી કુમ્પળના કાનમાં સુગન્ધ ભરે હળવેથી વાત એક મીઠ્ઠી;
આકાશે કંકુનો ચાંદલો કર્યો છે ને નદીયુંને ચોળાતી પીઠ્ઠી;
પછી ચકલીએ ફટ્ટાણું ગાયું.
આજ ઊગ્યું પરોઢિયું સવાયું.

– વિમલ અગ્રાવત

નાવીન્ય સૃષ્ટિનું મહામૂલું ઘરેણું છે. રોજ સવારે ઊગતો સૂરજ એનો એ જ છે. ઝાડ-પાન, પશુ-પંખી, નદી-પર્વત –બધાં એનાં એ જ હોવા છતાંય રોજેરોજ નવાં ભાસે છે. પરિણામે એકની એક દુનિયા વરસો સુધી જોયે રાખવા છતાં આપણે કંટાળતાં નથી. ને એમાંય કવિના ચશ્માંની તો વાત જ અલગ. પવન ફૂંકાય એટલે પહેલાં ઝાડ થોડું બેવડ વળે અને પવનનું જોર જરા હળવું પડતાંવેંત ફરી ઊભું થઈ જાય એ સ્થૂળ બીનાને કવિ જુએ તો એને એમ લાગે કે સવાર પડતાં જે રીતે આપણે ઝબકીને જાગીએ છીએ એ જ રીતે ઝાડ પણ ઝબકીને જાગ્યું છે અને પવન એને ગળચટ્ટાં ગીતની બેડ-ટી પાઈ રહ્યો છે… પછી તો પરોઢિયું સવાયું જ અનુભવાય ને!

સૃષ્ટિના તમામ સૈનિકો આજની સવારને રોજ કરતાં અધિક રળિયામણી બનાવવાના કામમાં જોતરાઈ ગયાં છે. સૂતેલાં બાળકની આંખ પર પાણીનો છંટકાવ કરીને મા જે રીતે એને ઊઠાડે એમ પંખીઓ પંચમ સૂર છાંટીને ઝરણાંની ઊંઘ ઊડાડે છે. પ્રાતઃકાળે પથરાઈ વળતી ઝાકળ અને કૂણા તડકામાં આખી ધરતી ડૂબી ગઈ છે. પરિણામે બિચારું અંધારૂં આઘે આઘે તણાઈ ગયું છે.

સવાર પડતાં ખીલુંખીલું થતી પણ પૂરી હજી ખૂલી ન હોય એવી કૂંપળોને શરમાવાની ક્રિયા સાથે જોડીને કવિએ કમાલ કરી છે! ક્ષિતિજથી વધુ ઊંચે ઊઠ્યો ન હોવાને લઈને સૂરજ હજી કંકુના ચાંદલા જેવો રાતોચોળ લાગી રહ્યો છે અને નદીઓનાં નીર પીઠી ચોળી હોય એવાં નજરે ચડે છે. કંકુચાંદલો અને પીઠીના કલ્પનથી રચાયેલ લગ્નના વાતાવરણને કવિ ચકલીના ટહુકારને ફટાણું કહીને સંપૂર્ણતા બક્ષે છે.

સરવાળે સવાયા પરોઢનું સવાયું ગીત.

Comments (17)

છાંટો –અનિલ જોશી

પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…
વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે…

સાસુ ને સસરાજી અબઘડીયે આવશે
કાશીની પૂરી કરી જાતરા રે…
રોજિંદા ઘરકામે ખલ્લેલ પોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યા કાતરા રે…

પિયુજી છાપરાને બદલે જો આભ હોત
તો બંધાતી હોત હુંય વાદળી રે…
માણસ કરતાં હું હોત મીઠાની ગાંગડી
તો છાંટો વાગ્યો કે જાત ઓગળી રે…

પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…
વ્હેત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે…

– અનિલ જોશી

પહેલા વરસાદ વિશે તો અસંખ્ય કવિઓ લખી ચૂક્યા છે પણ પહેલા વરસાદનો છાંટો વાગવાને લઈને પાટો બંધાવવાની જરૂર ઊભી થઈ હોવાની અભિવ્યક્તિ વિશિષ્ટ અને ભાવકને સફળતાપૂર્વક ‘હૂક’ મારી જકડી લેનારી છે. પહેલા વરસાદનો છાંટો વાગે અને દાક્તર પાસે પાટો બંધાવવા જવું પડે એ છે તો અતિશયોક્તિ અલંકાર જ પણ કેવો નવીન! થોડું અલગ રીતે વિચારીએ તો પતિ સાથેના પ્રથમ મિલનની સ્નેહવર્ષાની વાત કરતી નવોઢા પણ નજર સન્મુખ દેખાય. વાત મોસમના પહેલા વરસાદની હોય કે પ્રથમ સમાગમની, પ્રેમાહત નાયિકાની રગેરગમાં દરિયાના મોજાંની જેમ લોહી વેંત-વેંત હિલ્લોળે ચડતું હોય એવો ઉન્માદ ફરી વળ્યો છે. સામાન્ય રીતે શરીરના અંગોમાં ચડતી ખાલી જીવને ચડી છે એમ કહીને કવિ પોતાના કવિકર્મનો સિક્કો મારી આપે છે.

જાતરાએ ગયેલ સાસુ-સસરા ચોમાસું શરૂ થતાં જ પરત આવી જવાના છે એટલે વરસાદનો કે મધુરજનીવર્ષાનો આનંદ ચિરંજીવી નથી એની પણ નાયિકાને પ્રતીતિ છે જ. વરસાદ અને પવનના કારણે તૂટીને જમીન પર પડેલા આંબલીના કાતરા વીણવા જવાનીય નાયિકાને ફુરસદ નથી, કેમકે સાસુ-સસરાની અનુપસ્થિતિમાં ઘરકામ એમનો ભાગ ભજવી રહ્યું છે. રોજિંદું ઘરકામ રોજિંદા આનંદમાં વ્યવધાન બને છે એ વાત આંબલીના કાતરાના પ્રતીકથી કવિએ બખૂબી ઉપસાવી બતાવી છે. આંબલીના કાતરાને સ્ત્રીની ખટાશની ઝંખના અને સગર્ભાવસ્થાને પણ સાંકળી શકાય પણ વાત પહેલા વરસાદના છાંટાની હોવાથી આપણે ગર્ભાધાન સુધી પહોંચી જઈએ એ વૈજ્ઞાનિક ધોરણે થોડું અનુચિત જણાય છે.

માબાપની અનુપસ્થિતિમાં નિતાંત મધુરજનીનું સ્વર્ગ માણવાના બદલે નાયિકાના મનનો માણીગર પણ છાપરાની જેમ મર્યાદાઓ બાંધીને બેઠો છે. એ જો આકાશની જેમ વિશાળ અને ખુલ્લો હોય તો નાયિકા વાદળી બનીને પોતાનું અસ્તિત્ત્વ એના ખોળે રેલાતું મૂકવા અધીર છે. (तेरी दो टकिया कि नौकरी मे मेरा लाखो का सावन जाय रे જેવો ઘાટ છે અહીં તો!) શબ્દાર્થને અનુસરીએ તો વરસાદનો પહેલો છાંટો પણ જો પ્રિયજનના સાયુજ્યમાં ન માણવા મળતો હોય તો પોતે માણસના બદલે મીઠાની ગાંગડી હોત તો સારું, એમ નાયિકાને થાય છે… વરસાદ પડતાં જ ઓગળી તો જવાત… તો કોઈ રંજ ન રહેત… અને ગીતને સંભોગશૃંગારની વાત તરીકે ઉકલીએ તો કહી શકાય કે પિયુના વહાલમાં પોતે મીઠાની ગાંગડીની જેમ પોતાને ઓગાળી દેવા, પિયુમાં એકાકાર થઈ જવા ઇચ્છે છે. ગાંગડી પણ સાકરના બદલે મીઠાની, કારણ કે જીવનને વધુ સ-લૂણું, બધુ સ્વાદસભર બનાવવા માટે સાકરની સરખામણીએ મીઠાની ગાંગડી વધુ ઉથોચિત પર્યાય છે.

કેવું મજાનું ગીત!

Comments (8)