પ્રકાશના પગથારે – ડૉ. બટુકરાય પંડ્યા
આ પ્રકાશના પગથારે !
કો’ અંગુલિના અણસારે!
કોણ રહ્યું આકર્ષી મુજને અભિનવ આંખ ઇશારે? — આ.
સૂનાં અંતર, સૂનાં આંગણ,
નીંદર ઘેન ઢળી’તી પાંપણ;
કોણ ગયું ખખડાવી સાંકળ બંધ હૃદયના દ્વારે? — આ.
શ્યામ તિમિર પથ આગળપાછળ,
ગરજે ઘોર નિરાશા વાદળ;
કોણ અગોચર માર્ગ ઉજાળે વીજ તણા ચમકારે? — આ.
નાદબ્રહ્મ શાશ્વત હે સુંદર!
અચળ સત્ય હૈ ષડ્જ શિવંકર!
છેડો ભૈરવ રાગ વાદ્ય આ રોમેરોમ પુકારે! — આ.
– ડૉ. બટુકરાય પંડ્યા
દિવ્ય પ્રકાશની અનુભૂતિથી જાગેલી ચેતનાનું આ ગાન છે. એક અણસારો માત્ર પ્રાપ્ત થઈ જાય પછીના આકર્ષણને કોણ રોકી શકે? અંતર અને આંગણ – બધું જ સૂનું હતું અને માંહ્યલો ઊંઘતો હતો એવામાં કોઈક ગેબી વટેમાર્ગુ આવીને હૃદયના દ્વાર ખખડાવી ગયું હોવાનો અહેસાસ થયો. જીવનનો માર્ગ આગળપાછળ બધેથી અંધારાથી ભર્યો હતો અને આકાશમાંય નિરાશાના વાદળો જ ગર્જ્યાં કરતાં હતાં. આવામાં કોઈક અગોચરે વીજળીના ઝબકારે પ્રકાશનો પગથાર દેખાડી દીધો, આંખના ઈશારે આમંત્રણ દીધું. આંગળીનો અણસારો દેનાર આ બીજું તો કોણ હોય? સત્યમ્ શિવમ્ સુંદરમ્ જ ને! જીવનમાં પ્રભાત થાય, જ્ઞાનનો સૂર્યોદય થાય ત્યારે દેહના વાદ્યમાં રોમરોમેથી શિવારાધના કરતો ભેરવ રાગ જ ઊઠે ને !