ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
સુધીર પટેલ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
October 12, 2021 at 4:31 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.
છે ને કવકોલાહલે આ સાવ મૂગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે!
એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો,
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે.
એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને કૈં ક્યાં ઊપજતું હોય છે !
– રાજેન્દ્ર શુક્લ
“મન” શું છે તેનું ઉત્તમ વિશ્લેષણ જે.કૃષ્ણમૂર્તિના સાહિત્યે જડે. પ્રસ્તુત ગઝલે પાંચ શેરમાં ખાસ્સી અઘરી વાતો કહેવાઈ છે.
કવિશ્રીને જન્મદિવસની વધાઈઓ…..
Permalink
October 7, 2021 at 1:03 AM by વિવેક · Filed under ગઝલ, નેહલ વૈદ્ય
પ્રત્યેક ક્ષણમાં સાચું જીવાય તો મજાનું,
હર પળ છે એક ઉત્સવ, ઉજવાય તો મજાનું.
આવે છે જો, હવામાં સંદેશ મોસમોના,
ફૂલો લખે છે ચિઠ્ઠી, વંચાય તો મજાનું.
વાગી રહ્યું સદાયે આકાશમાં નિરંતર,
સંગીત છે અલખનું, સંભળાય તો મજાનું.
વાતો રહે અધૂરી, મિલન બને મધૂરું;
આંખોની મૌન ભાષા સમજાય તો મજાનું
હરદમ રહે ફકીરી, ઉત્થાન કે પતન હો,
મૃત્યુ મને મળીને હરખાય તો મજાનું.
– નેહલ વૈદ્ય
હિતેન આનંદપરા અને આપણું આંગણું ડૉટ કોમ આયોજિત ગઝલશિબિરમાં રઈશ મનીઆરના માર્ગદર્શન હેઠળ આપવામાં આવેલ પંક્તિ અને હૉમવર્કની આ સફળ ફળશ્રુતિ… શાળા અને કૉલેજમાં મારી સિનિયર રહેલ ડૉ નેહલ વૈધ (એમ.ડી. મેડિસીન)ને હું વિશ્વકવિતાના ઉત્તમ ભાવક તરીકે લાંબા સમયથી ઓળખું છું. એની અછાંદસ રચનાઓનો પણ લાંબા સમયથી પરિચય ખરો, પણ ગઝલકાર તરીકે એ પહેલીવાર મારી સામે આવી અને મારામાં રહેલા ભાવકને મોહિત કરી દીધો.
લયસ્તરો પર નેહલનું સ્વાગત…
Permalink
October 4, 2021 at 4:08 AM by તીર્થેશ · Filed under આશિત હૈદરાબાદી, ગઝલ
કેટલા ખામોશ છે ? કા૨ણ હશે;
દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે !
આંખ ઊંચી પણ નથી થાતી હવે,
ઊંઘનું કે ઘેનનું કારણ હશે!
રંગ ચહેરા પર ફરી આવી ગયો,
એક ક્ષણની એ ખુશી કારણ હશે !
એમ પાલવશે નહીં હારી ગયે,
ઝેરનું પણ કંઈક તો મારણ હશે !
કેમ સાકી જામ માપીને ભરે ?
આ સુરાલયનું કોઈ ધો૨ણ હશે ?
આમ બદનામી કરો ના દર્દની,
જિંદગી ખુદ મોતનું કારણ હશે !
એ જ ‘આશિત’નું હશે ઘ૨ જાણજો,
કંટકોનાં બારણે તોરણ હશે !
– ‘આશિત’ હૈદરાબાદી
Permalink
October 2, 2021 at 1:05 AM by વિવેક · Filed under ગઝલ, મનહરલાલ ચોકસી
જેને હું વાતવાતમાં ઉલ્લેખતો રહું,
એ શક્ય છે કે એને કદી પણ ન ઓળખું.
એ પણ મજા કે હું જ સદા બોલતો રહું,
તમને લજામણી ન કહું તો હું શું કરું?
તારા જતાં જ મારું પણ અસ્તિત્વ ના રહ્યું,
જીવન તો તારા શ્વાસને ઉચ્છવાસથી હતું.
શબ્દો જ માત્ર મારા અધિકારના હતા,
ગીતોય કોઈનાં છે અને દર્દ કોઈનું.
હોવા વિષે તો આમ બધા એકમત થશે,
હોવાની વાત કોઈ પણ સમજી નથી શક્યું.
સંકેત સૂર્ય આપી શકે જો પ્રકાશનો-,
રાતે આ તારલાનું વળી કામ શું હતું?
‘મનહર’ જીવનમાં કોઈ દી’ જાણી નહી શક્યો
છે કોણ આપણું અને છે કોણ પારકું?
– મનહરલાલ ચોક્સી
નામ, કામ અને સ્વભાવ –બધી રીતે મનહર એવા કવિશ્રી મનહરલાલ ચોકસીની એક મનહર રચના આજે મનભર માણીએ…
Permalink
September 25, 2021 at 1:42 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
ષોડશી લાગણીના કોડ સખી,
રુંવેરુંવેથી મને તોડ સખી,
કાગડો બોલે ને ઉઘલે હૈયું,
માઢ મેડીએ મચે દોડ, સખી.
શું શું કલ્પું છું; કશું પૂછ નહીં,
સાત ગાંઠોને જરા છોડ સખી.
આંગણું રવરવે; ઘૂઘરા વાગે,
એના હોવાની બકે હોડ સખી.
પાછલી રાતની નીંદર અચબચ
અડવી લાગે છે બહુ સોડ સખી.
– રશીદ મીર
ગામડાની બોલીની લઢણ સુવાંગ ઝીલતી મજાની ગઝલ. આજે તો સ્ત્રીઓની લગ્નની વય ઓછામાં ઓછી અઢાર થઈ ગઈ, પણ એ જમાનો બહુ દૂર નથી ગયો જ્યારે સોળ વરસની અને એથીય નાની કન્યાઓના વિવાહ થઈ જતા. સોળ વર્ષની લાગણીના કોડ કંઈ એવા જન્મે છે કે રુંવેરુંવે તોડપીટ થાય છે. કાગડાનો અવાજ આવતાં જ હૈયું છલકાઈ જાય છે અને અસ્તિત્વના મકાનમાં દોડધામ મચી જાય છે. સાત ગાંઠોમાં પિયુએ શાં શાં વચન બાંધ્યાં હશે એ કલ્પના મનની મનમાં જ રાખવાની છે, કોઈએ પૂછવાની નથી. ચોથો શેર બીજા શેરનો જ પડઘો જાણે.
Permalink
September 24, 2021 at 2:30 AM by વિવેક · Filed under ગઝલ, રાહુલ બી. શ્રીમાળી
રગેરગમાં જેના રહી બેઈમાની,
એ કહેતા ફરે છે અમે ખાનદાની.
કરે કોણ પ્રશ્નો સભાગૃહ વચ્ચે?
ડરાવીને રાખે છે શિષ્યોને જ્ઞાની.
બીજાના ભલામાં ભલું ખુદનું માને,
એ લોકોની દુનિયા કરે છેડખાની.
વધુ આથી શું હોય ખાનાખરાબી?
અગર જિંદગી હોય તારા વિનાની.
બધા સ્પષ્ટ ભાવો ચહેરા ઉપર છે,
પછી સાંભળીને કરું શું જુબાની?
શરૂઆત મિલકતના ઝઘડાની થઈ ગઈ,
હજી રાખ ટાઢી નથી થઈ ચિતાની.
– રાહુલ બી. શ્રીમાળી
શીઘ્રાતિશીઘ્ર પ્રત્યાયિત થઈ જતી હોવા છતાં સાચા અર્થમાં મનનીય ગઝલ… દરેક શેર વાંચી લીધા પછી થોડું થોભીને ફરી મમળાવવા જેવા છે… જુઓ, વધુ મજા આવે છે કે નહીં!
Permalink
September 21, 2021 at 3:36 AM by તીર્થેશ · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
બહુ જ અંગત વાત આ દેખાય છે તેવી નથી
એક જણની રાત આ દેખાય છે તેવી નથી
છેવટે તો હાથમાં ગજરો સુકાતો હોય છે
સાંજની શરૂઆત આ દેખાય છે તેવી નથી
ઊખડે છે પડ કદી તો અશ્મિઓ દેખાય છે
ટેરવે રળિયાત આ દેખાય છે તેવી નથી
છે બહુ લાવણ્યમય શરૂઆત કોઈ ભેદની
ઓસની રજૂઆત આ દેખાય છે તેવી નથી
સાંજ પડતાં કેમ એ પાછો ફરે છે ઘર તરફ ?
કેમ એની વાત આ દેખાય છે તેવી નથી ?
ઊંડાં ભમ્મર પાણીમાં મોતી જ ચળકે તે પછી
ધ્યાન ધ૨ કે જાત આ દેખાય છે તેવી નથી
કેટલાં સપનાં અને ઘટનાઓનો ઇતિહાસ છે !
આપણી નિરાંત આ દેખાય છે તેવી નથી
સુસવાટા હો કવનના કે ખૂણાની જ્યોત હો
કયાં ખૂલે છે રાત આ દેખાય છે તેવી નથી.
– લલિત ત્રિવેદી
ખરી વાત છે…. ન માણસ, ન સંબંધ, ન ઘટના, ન વિચાર, ન સમાજ….- કશુંય દેખાય તેવું નથી હોતું. કદાચ ક્ષતિ મારી સમજની જ છે….
Permalink
September 17, 2021 at 1:13 AM by વિવેક · Filed under ગઝલ, મયૂર કોલડિયા
‘હું-પણું’ મારું મને પીંછાંથી હળવું જોઈએ,
એક બસ, આ સ્વપ્ન છે, આ સ્વપ્ન ફળવું જોઈએ.
વરસાદમાં નીકળો તો એ શરતે નીકળવું જોઈએ,
ડિલ ભલે પલળે–ન પલળે, દિલ પલળવું જોઈએ.
છે રગોમાં લોહી તો લોહી ઉકળવું જોઈએ,*
માટીમાં દુશ્મન ભળે કાં તારે ભળવું જોઈએ.
ક્યાં? સતત ઉગેલ રહેવું એ કદાપિ શક્ય ક્યાં?
સૂર્યની માફક ફરી ઉગવાને ઢળવું જોઈએ.
આટલા નજદીક આવીને પછી અળગા રહો!
જો તમે મળવા જ આવો છો તો મળવું જોઈએ.
આ ગઝલ નામે દીવો પ્રગટે, શરત છે એટલી-
રાત સાથે જાતમાં પણ કંઈક બળવું જોઈએ.
જેમ કાંટો સોયથી કાઢી શકાતો હોય છે,
કારસો એવો કરીને મનને છળવું જોઈએ.
– મયૂર કોલડિયા
(*તરહી પંક્તિ: શ્રી ભગવતીકુમાર શર્મા)
સરસ મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય… મળવા જ આવો છો તો મળવું જોઈએ વાળા શેરની બારીકી તો જુઓ!
Permalink
September 9, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજેશ હિંગુ
દર્દ ઘોળી પી ગયો છું,
એટલે જીવી ગયો છું.
આપ તો સપનું હતા, બસ!
હું હવે જાગી ગયો છું.
પગ હજીયે છે ધરા પર,
આભને આંબી ગયો છું.
તું ભલેને ના બતાવે,
વેદના વાંચી ગયો છું.
એટલે મસ્તી ચડી છે,
પ્રેમરસ ચાખી ગયો છું.
– રાજેશ હિંગુ
ટૂંકી બહેરમાં સ-રસ કામ…
Permalink
September 4, 2021 at 1:11 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
જામની ખાલી ક્ષણને પી જાઉં,
આમ, તારા સ્મરણને પી જાઉં.
હું ચસોચસ પીવાનો આદી છું,
બુંદ હા કે ઝરણને પી જાઉં.
મારા હોવાપણામાં તું રજરજ,
તારા એક એક કણને પી જાઉં.
જેમાં તારા બદનની ખુશબૂ હો,
એવા વાતાવરણને પી જાઉં.
તે જે મળવાની શકયતા આપી,
એવા પ્રત્યેક પણને પી જાઉં,
ઝાંઝવાને નીચોવી જાણું છું,
‘મીર’ ધગધગતા રણને પી જાઉં.
– રશીદ મીર
સાચે જ કોઈ ચસોચસ પીવાના આદીની ગઝલ… એક-એક શેર આકંઠ પી જવા ગમે એવી…
Permalink
September 3, 2021 at 1:21 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
ખુશાલી, વ્યગ્રતા, મસ્તી, વ્યથાને ચાન્સ આપું છું,
બધાં જાણે જ છે કે હું બધાંને ચાન્સ આપું છું.
પછી એ નીકળ્યો ખોટો તો એમાં વાંક શું મારો?
મને તો એમ કે હું તો ખરાને ચાન્સ આપું છું.
બગાડ્યું કેટલું એણે! છતાં બદલો નથી લીધો,
હું ક્યારેક ન્યાય કરવાનો ખુદાને ચાન્સ આપું છું.
ખબર છે જિંદગી મૂકાઈ ગઈ છે દાવ પર તોયે,
દવા પડતી મૂકી તારી દુઆને ચાન્સ આપું છું.
એ મારી નમ્રતાને જો અગર કાયરતા સમજી લે,
પછી નાછૂટકે હું ઉગ્રતાને ચાન્સ આપું છું.
– કિરણસિંહ ચૌહાણ
સૉશ્યલ મિડીયાના પ્રતાપે ચારેતરફ જ્યાં જુઓ ત્યાં ગઝલોની અતિવૃષ્ટિ થઈ રહી છે. ગઝલોની આ ભરમારમાંથી કવિતા શોધી કાઢવાનું કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું વિકટ છે. આવામાં બહુ ઓછા ગઝલકાર એવા છે જેઓ persistently સારી ગઝલ આપતા રહે છે. કિરણસિંહ ચૌહાણ આવું જ એક નામ છે. ચાન્સ આપવા જેવી એકદમ રુઢ થઈ ગયેલી રદીફને બોલચાલની ભાષા સાથે ઓગાળી દઈને કવિ કેટલી મજબૂત ગઝલ આપે છે એ જુઓ!
Permalink
August 31, 2021 at 2:33 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાઝ નવસારવી
એક દુઃખદ અવસર લઈને ઉંબરે બેઠા છીએ.
આશાઓ જર્જર લઈને ઉંબરે બેઠા છીએ.
હૈયા ધરપત આપ દો છો પણ ખબર છે એટલી,
જિંદગી નશ્વર લઈને ઉંબરે બેઠા છીએ.
સેંકડો પ્રશ્નો ભલેને અમને પૂછાતા રહે,
ફક્ત એક ઉત્તર લઈને ઉંબરે બેઠા છીએ.
આંખ આ આંસુ વિહોણી તમને કહી દેશે બધું,
ભાગ્યની ઠોકર લઈને ઉંબરે બેઠા છીએ.
કાલની જાહોજલાલી ‘રાઝ’ ભૂલીને અમે,
આજ આખું ઘર લઈને ઉંબરે બેઠા છીએ.
–‘રાઝ’ નવસારવી
શાયરે 1985ના અમદાવાદના કોમી હુલ્લડ વખતે આ ગઝલ કહી હતી, જે આજની અફઘાનિસ્તાનની દુર્દશા સમયે હૂબહૂ લાગુ પડે છે….
માનવ હિસ્ટરીમાંથી કશું જ શીખતો નથી એ હેગેલ-કથન તો નક્કર સત્ય છે જ છે, પણ માનવની અન્ય માનવ પ્રત્યેની ક્રૂરતા માનવ ઇતિહાસના આરંભથી એકધારી-એકસરખી-અપવાદવિહીન જ છે…..
Permalink
August 27, 2021 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
ભાંગતી રાતનો આ સન્નાટો,
ભીંતને કોઈ તો બારી આપેા.
આટલી સ્તબ્ધતા હતી કયારે,
ઓસનો સાંભળું છું ધુબાકો.
તે પછી ઊંઘવા નથી દેતો,
થોડી રાતોનો તારો સથવારો.
એય ઉપકાર બની જાયે છે,
કોઈ વેળાનો હળવો જાકારો.
કૈં દયા એની ઉતરી એવી,
મેં ત્યજી દીધા સૌ અધિકારો.
ભરબપેારે શહેરની વચ્ચે,
હુંય શોધું છું મારો પડછાયો.
એના અંગેની ધારણાઓ ‘મીર’,
કેવો આપે છે મનને સધિયારો !
– રશીદ મીર
આમ તો આખી ગઝલ મજાની છે પણ ઓસનો ધુબાકો પણ સંભળાય એવી તીવ્ર સ્તબ્ધતા વ્યાખ્યાયિત કરતો શેર સવિશેષ સ્પર્શી ગયો…
Permalink
August 24, 2021 at 10:23 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
આકાશ ઊઘડ્યું છતાં તડકો પડ્યો નહીં;
આંક્યો’તો હેલીએ છતાં નકશો પડ્યો નહીં.
થંભી સિસોટી, બૂમ ડૂબી, દર્શકો ગયાં;
નાટકનાં મંચ પર છતાં પરદો પડ્યો નહીં.
ફૂંકી ફૂંકીને ભૂંગળી આંસુ બની ગઈ;
ચૂલાના ધૂમ્રપુંજથી તણખો પડ્યો નહીં,
નાકામિયાબી ક્યાં હતી ? ઇચ્છા પરમ હતી,
મારા અવાજનો કશે પડઘો પડ્યો નહીં.
સંતોષનો પુરાવો બીજો શો મળી શકે ?
હિસ્સો મળ્યો જે શ્વાસનો ઓછો પડ્યો નહીં.
જોગાનુજોગ હોય છે, સંબંધ કંઈ નથી,
તૂટ્યું હૃદય ને નભથી સિતારો પડ્યો નહીં.
રાતે વહ્યાં જે આંસુ સવારે ઊડી ગયાં;
ઝાકળનો ફૂલ પર કોઈ છાંયો પડ્યો નહીં.
લંબાવી હાથ કોઈએ ઝીલી લીધો હશે;
ઊછળ્યો હતો તે ભોંય પર સિક્કો પડ્યો નહીં.
– ભગવતીકુમાર શર્મા
જોગાનુજોગ હોય છે, સંબંધ કંઈ નથી,……નકરું સત્ય…..
Permalink
August 18, 2021 at 3:56 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
નયન ને નીંદરું વચ્ચે કશો તણાવ હશે,
મળી શક્યાં નહીં, પાંપણમાં અણબનાવ હશે !
દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે !
જરૂર આપણું અસ્તિત્વ કોઈ ઘાવ હશે !
બને તો શાંત પડી જાઓ દિલના ધબકારા !
તમે છો ત્યાં જ સુધી કોઈને અભાવ હશે.
બિચારા પુષ્પની આ વૈખરી વિશે વિસ્મય !
છૂપો વસંતના સુણવામાં વેરભાવ હશે.
અમે તો વાતનો વાહક ગણીને ઊચર્યા’તા,
ન’તી ખબર કે પવન પણ બધિર સાવ હશે.
પણે રસે છે સિતારાને લાગણીના ૨સે,
કોઈ તો રોકો કે એ આપણો સ્વભાવ હશે.
હસી પડે છે હવે તો ઉદાસીઓ ય, ‘ગની’,
નવી નવાઈનો જન્મેલ હાવભાવ હશે.
– ‘ગની’ દહીંવાળા
ગઈકાલે ગનીચાચાનો જન્મદિન ગયો….મક્તો વાંચીએ એટલે દિલ ખુશખુશ થઈ જાય….
Permalink
August 14, 2021 at 1:20 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
આયનેથી ધૂળ ઝાપટજે હવે,
તું ત્વચા ફાડીને અવતરજે હવે.
પાપણો બાળી ગયાં છે એટલે,
સ્વપ્નથી થોડુંક સાચવજે હવે.
મેં ફરી માળો બનાવ્યો વૃક્ષ પર,
વીજળીની જેમ ત્રાટકજે હવે.
હાથ મારો હાથમાં લીધો તો છે,
રોગ શો છે એય પારખજે હવે.
જાતને સીમિત કરી ‘ઇર્શાદ’ તેં,
શંખમાં દરિયાને સાંભળજે હવે.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
નાની અમથી ગઝલ પણ કવિએ કહ્યું છે એ રીતે શંખમાં દરિયાને સમાવી લેતી મનભર રચના. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
Permalink
August 12, 2021 at 1:36 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ દાવડકર
ખુદને મળવું ઘણું જરૂરી છે,
બાકી જે છે, બધી મજૂરી છે.
કેવી રીતે ઉડાન ભરશે તું?
જાતને પિંજરામાં પૂરી છે.
આ અહમ્ તો જખમ કરે ઊંડા,
જાણે કે ધારદાર છૂરી છે.
ચિત્ર દોર્યું તો બોલી ઊઠ્યું કે-
જીવવાની કળા અધૂરી છે.
શબરીની જેમ ચાખું હર ક્ષણ ને-
સૌને વ્હેંચું, જે ક્ષણ મધુરી છે.
જેમ ડાળીએ ફૂટે છે કૂંપળ,
આ ગઝલ પણ એ રીતે સ્ફૂરી છે.
– મહેશ દાવડકર
સાદ્યંત સંતર્પક રચના. સરળ, સહજસાધ્ય ભાષાની દોર પર ગહન વિચારોના મૌક્તિક કવિએ કેવી મજાની રીતે પરોવ્યાં છે!
Permalink
August 11, 2021 at 10:34 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
વૃક્ષ સૂકું પડ્યું આંખ ભીની તો થઈ
આંગણાને વિકલ્પોની લ્હાણી તો થઈ
એક રસ્તો થયો બંધ તો શું થયું
કૈં દિશાઓ નવી સાવ ખુલ્લી તો થઈ
અહીં તરસ પણ વધી ઝાંઝવાં પણ વધ્યાં
ચાલ એ બ્હાને રણમાંય વસ્તી તો થઈ
ભીડમાં પણ હવે એકલો હોઉં છું
તમને ખોયા પછી મારી હસ્તી તો થઈ
ઘર કિનારા ઉપરનાં છો તૂટી ગયાં
પણ ‘ફના’ એમ દરિયામાં ભરતી તો થઈ
– જવાહર બક્ષી
બીજો શેર દિલને ઝણઝણાવી ગયો….ઘણીવાર બંધિયાર પાણીના તળાવમાં મોટું બાકોરું પડી જાય અને સઘળું પાણી વહી જાય એમાં જ સાર હોય છે….તો જ નવા નીર આવે….સંબંધોનું પણ એવું જ છે.
Permalink
August 10, 2021 at 3:27 AM by તીર્થેશ · Filed under ગઝલ, ચિનુ મોદી
કેમ લાગે છે હજી અંતર મને ?
દૂરતા દેખાય છે ભીતર મને.
લાગણીવશ આપ બનતાં જાવ છો
ભીંત ચણતાં જાવ છો, એ ડર મને.
ભીડમાં તૂટી જતા આ શ્વાસ છો
પાલવે તો પણ નહીં આ ધર મને.
મધ્ય દરિયે રેત સાંભરતી મને
કોણ પાછું ઠેલતું તટ પર મને?
હા, હવે કાળી ઉદાસી ઘેરશે
સ્વપ્ન ક્યાં છે, જે કરે પગભર મને ?
– ચિનુ મોદી
Permalink
August 4, 2021 at 1:19 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
उसने पूछा कि हाल अच्छा है?
हम ये बोले, सवाल अच्छा है|
उस बरहमन को ढूंढ के लाओ,
कह गया था ये साल अच्छा है|
हो के बेज़ार मुझसे बोल गया,
तुझसे तेरा मलाल अच्छा है|
खुद को हर बात की सज़ा देना,
आपका ये कमाल अच्छा है|
‘भूल जाउंगी’ जब कहा मैने,
हंस के बोले खयाल अच्छा है|
– पारुल खख्खर
આપણી પાસે આપણું નવું કશું નથી. કહ્યું છે ને કે, व्यासोच्छिष्टं जगत् सर्वम्| આપણી વાણી-ભાષા-વિચાર આ બધું જન્મ પછી સંસાર તરફથી મળેલ સંસ્કારથી વિશેષ કંઈ નથી. સાચો અને સારો કવિ પૂર્વસૂરિઓના ખભા ઉપર ઊભો રહીને પોતાની રીતે અલગ સંસારદર્શન કરે છે. પ્રસ્તુત ગઝલ જુઓ, ગાલિબની ખ્યાતનામ ગઝલના શેર, ‘देखिए पाते हैं उश्शाक़ बुतों से क्या फ़ैज़, इक बरहमन ने कहा है कि ये साल अच्छा है,’નું સ્મરણ કરીને કવયિત્રી કેવો મજાનો શેર આપણને આપે છે! ગાલિબના શેરમાં આશાના સ્વાંગમાં નિરાશા અને કટાક્ષ છૂપાયેલ નજરે ચડે છે, જ્યારે પારુલ ખખ્ખરના શેરમાં આશાભંગના સ્વીકાર પછીનો તકાજો છે… સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય થઈ છે.
Permalink
July 31, 2021 at 1:07 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
આ બધું તારું જ છે,
હા, બધું તારું જ છે.
કાંઈ ના આપી કહ્યું,
જા, બધું તારું જ છે.
અહીં કશું તારું નથી,
ત્યાં બધું તારું જ છે.
સ્વર્ણનો ઢગલો કર્યો,
ખા, બધું તારું જ છે.
‘સા’થી લઈને ‘સાં’ સુધી,
ગા, બધું તારું જ છે.
મારું છે કંઈ? બોલને!
ના… બધું તારું જ છે.
– કિરણસિંહ ચૌહાણ
સાવ ટૂંકી બહેરની ગઝલ. ગાલગાગા ગાલગા. બાર જ માત્રા. બસ. એમાંય દસ માત્રા જેટલી જગ્યા તો ‘બધું તારું જ છે’ જેવી લાંબીલચ્ચ રદીફ રોકી લે છે. એટલે મત્લાના બંને મિસરામાં અને બાકીના તમામ શેરના સાની મિસરામાં કવિ પાસે શેર સિદ્ધ કરવા માટે બે માત્રાના એકાક્ષરી કાફિયા જેટલો જ અવકાશ બચે છે. ટૂંકી બહેરની ગઝલમાં કવિતા સિદ્ધ કરવાનું કામ દોરડા પર ચાલવા જેવું કપરું છે. એમાંય આવી અઘરી શરત લઈને કવિ કામ કરે એનો મતલબ એમ થાય કે કવિએ દોરડા પર અદ્ધર ચાલવાનું નહીં, સાઇકલ ચલાવવાનું બીડું ઝડપ્યું છે. આ કામ વધુ મુશ્કેલ છે, પણ આનંદ એ વાતનો છે કે કવિ મોટાભાગના શેરમાં કાવ્યત્વ સિદ્ધ કરી શક્યા છે. એમાંય સારેગમપધનિસાંના બે છેડા પકડીને આલાપતો શેર તો શિરમોર થયો છે…
Permalink
July 30, 2021 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, હિરેન ગઢવી
લય, તાલ, સ્વરમાં હોઈએ, બીજું શું જોઈએ,
આઠે પ્રહરમાં હોઈએ, બીજું શું જોઈએ !
દીવાલ બોલવા ચહે આધારની કથા,
એ વખતે ઘરમાં હોઈએ, બીજું શું જોઈએ !
જે ચાહે તે પહોંચી શકે આપણા સુધી,
કાયમ એ સ્તરમાં હોઈએ, બીજું શું જોઈએ !
જેને નશામાં રાખે સ્વયંની જ જાગૃતિ,
એની અસરમાં હોઈએ, બીજું શું જોઈએ !
તારા થયાની ઘોષણા કરવાનું થાય મન,
ત્યારે સબરમાં હોઈએ, બીજું શું જોઈએ !
નિર્દોષ જો નહીં તો ગુનેગારની રીતે,
એની નજરમાં હોઈએ, બીજું શું જોઈએ !
‘હોવાની’ જેમાં કંઈ જ જરૂરત પડે નહીં,
એવી સફરમાં હોઈએ, બીજું શું જોઈએ !
– હિરેન ગઢવી
સાદ્યંત સુદર ગઝલ. ‘બીજું શું જોઈએ’ જેવી રદીફને તંતોતંત નિભાવતા મેઘધનુષી સાત શેર. હળવે તે હાથ, નાથ! મહીડા વલોવજો…
Permalink
July 29, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા
ત્યજી દે સત્વરે કાગળ, તને માફક નહીં આવે,
ગઝલ છે ભેજવાળું સ્થળ, તને માફક નહીં આવે.
ભલેને સાવ છે નિર્મળ, તને માફક નહીં આવે
જરા ખારું છે અશ્રુજળ, તને માફક નહીં આવે.
કદી તું ગણગણી લે શામે-ગમનાં ગીત, અલગ છે વાત,
આ રહેવું કાયમી વિહવળ, તને માફક નહીં આવે.
તું ટેવાયો છે ચોક્કસ રાહ પર રહેવાને અગ્રેસર,
ભટકવું કોઈની પાછળ, તને માફક નહીં આવે.
તું તારા ફાર્મહાઉસમાં લગાવી દે ફૂવારાઓ,
વરસતી હેલી ને ખળખળ તને માફક નહીં આવે.
તું ઝુમ્મરની જ ઝાકમઝોળથી કર તારું ઘર રોશન,
મીંચેલી આંખનું ઝળહળ તને માફક નહીં આવે.
ગમે તે પી લઈને તર થવાને નામે ડૂબી મર,
તરસની નાવ ને મૃગજળ તને માફક નહીં આવે.
ચળકતી ચાંદનીમાં શબ્દની, બેફિક્ર બેઠો રહે,
ઉકળતા લોહીની ચળવળ તને માફક નહીં આવે.
તું ચાવ્યાં કર ફકત પીળાં પડેલાં પાન ગ્રંથોના,
વિકસતી તાજી આ કુંપળ તને માફક નહીં આવે.
– પંકજ વખારિયા (પ્રેમકમલ)
(ડૉ. અશરફ ડબાવાલાની પંક્તિ ‘શબદની કેદ કે કાગળ તને માફક નહીં આવે’ની જમીન પર)
નવશેરની નવરંગ ગઝલ. તને માફક નહીં આવે જેવી ભાતીગળ રદીફ બખૂબી નિભાવીને કવિએ સરસ ચાબખા માર્યા છે. કવિઓને સંબોધીને લખાયેલ પ્રથમ અને આખરી શેર તો હૃદયમાં મઢાવી રાખવા જેવા…
Permalink
July 26, 2021 at 10:15 AM by તીર્થેશ · Filed under ઓજસ પાલનપુરી, ગઝલ
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ.
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.
દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ.
ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
ખુદ કજા મારો ધસારો જોઈને ગભરાઈ ગઈ.
વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જિવાઈ ગઈ.
મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની એને ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.
– ઓજસ પાલનપુરી
મત્લો એટલા ઊંચા મુકામે જઈ બેઠો છે કે બાકીના શેર એની ઊંચાઈ જોવામાત્રથી હાંફી ગયા છે….ત્રીજો શેર પણ મજબૂત છે,બીજો પણ સરસ છે. મક્તો થોડો વધુ હાંફી ગયો છે.
Permalink
July 24, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હિતેન આનંદપરા
વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.
પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.
કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.
આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.
સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.
મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની ‘કળા’ જોયા કરે વરસાદમાં.
ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.
– હિતેન આનંદપરા
વરસાદની ફૂલગુલાબી ઋતુમાં મસ્ત મજાની વરસાદી ગઝલમાં ભીનાં થઈએ. વરસાદ વરસતો હોય ત્યારે વીજળી, વાદળ અને વાયરો –બધાં સાગમટે ધરતીને આલિંગન કરતાં હોય એવું મદમત્ત વાતાવરણ સર્જાય છે. વરસાદના પાણીમાં માત્ર બે પ્રેમીજન જ નથી ઓગળતાં, એમના અબોલા અને રીસ પણ ઓગળી જાય છે. સરવાળે નખશિખ આસ્વાદ્ય રચના.
Permalink
July 22, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિરલ શુક્લ
શમાવ આખરી તૃષા; યથેચ્છસિ તથા કુરુ
ન અન્ય કોઈ પ્રાર્થના; યથેચ્છસિ તથા કુરુ
મળે ન મોક્ષ તોય ચાલશે, અપાવ આટલું-
ગઝલ લખાવ નિર્જરા; યથેચ્છસિ તથા કુરુ
અત્ર તત્ર મોજની ઉપાસના અમે કરી,
નથી કશું જ અન્યથા; યથેચ્છસિ તથા કુરુ
વ્યંજના ન વૈખરી કશું મળે નહિ અહીં,
ગઝલ અમારી મધ્યમાં; યથેચ્છસિ તથા કુરુ
કરી શકું ન સામગાન કે નમાજથી પ્રસન્ન,
નથી કશી જ વિદ્વતા; યથેચ્છસિ તથા કુરુ
બિલ્વપત્ર અર્પવાની સૂઝ ના પડી કદી,
સમર્પ઼ું શ્વાસ–શૃંખલા; યથેચ્છસિ તથા કુરુ.
હતાં વળાંક માર્ગ પર પરંતુ હું વળ્યો નથી,
ન વામ કે ન દક્ષિણા; યથેચ્છસિ તથા કુરુ.
સહસ્ત્રજન્મ લગ મળે વિરલ નગર ફરી ફરી,
છે આટલી જ એષણા; યથેચ્છસિ તથા કુરુ.
– વિરલ શુક્લ
શ્રીમદ ભગવદ્ગીતાના આખરી અધ્યાયના શ્લોકમાંથી ‘यथेच्छसि तथा कुरु’ વાક્યાંશ પસંદ કરીને કવિને એને રદીફ તરીકે પ્રયોજીને કવિ સાદ્યંત સુંદર ગઝલ પેશ કરે છે. અર્જુનની જેમ સમર્પણભાવ ગ્રહીને કવિ ઈશ્વર સાથે એકતરફી સંવાદ સાધીને પછી પરિણામ માટે ‘તને જેમ ઠીક લાગે એમ કર’ કહીને પોતાનો ભાર એના પર સોંપી નચિંત થઈ જાય છે. કવિ પાસે ઈશ્વરને કરવા માટે બીજી કોઈ જ પ્રાર્થના નથી, સિવાય એક કે પોતાની આખરી તરસ એ છિપાવે અને આ તરસ કઈ એનોય ફોડ પાડવાને બદલે કવિ એ પણ અંતર્યામી પર જ છોડી દે છે… સમગ્ર ગઝલમાં જે રીતે કવિએ શબ્દવણાટ કર્યું છે એ પણ રદીફની જેમ જ ગઝલને પ્રચલિત ચાલમાં હડિયાદોડ કાઢતી ગઝલોથી નોખી કરી આપે છે.
આ જ રદીફ સાથે કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લએ પણ એક મત્લા-ગઝલ કહી છે… એ આવતીકાલે જોઈશું…
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया|
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु। ॥ (ભગવદ્ગીતા ૧૮ : ૬૩)
(આ રીતે મેં તને ગુહ્યથીય ગુહ્યતર જ્ઞાન કહી દીધું છે. આના પર પૂરી રીતે વિચાર કર અને જે પ્રકારે ઇચ્છા થાય એ પ્રકારે કર.)
Permalink
July 21, 2021 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
મુસીબતોની શું વાત કરવી ! મુસીબતો સૌ મતા બની છે,
અમારે તમરાં થકી જ ઘરની ભરીભરી શૂન્યતા બની છે.
તમારી સૂરત રમી રહી’તી નજર નમી તો નજરની સામે,
નજર ઉઠાવી તો એક પળમાં ન જાણે ક્યાં બેપતા બની છે !
હરેક દિલમાં છે એક દેરી, હરેક દિલમાં છે એક મૂરત,
ફળે ન તોપણ તમામની જિંદગી અહીં માનતા બની છે.
કહો, શું કરવી ફરીફરીને પુરાણા જુલ્મો-સિતમની વાતો ?
મને મહોબ્બત તણી બિછાતે ખુશીની ઝાકળ ખતા બની છે.
અમે તો ખાલી કરીને હૈયું તમોને સારી વ્યથા સુણાવી,
તમે કહો છો, જરૂર સારી, લખી જુઓ, વારતા બની છે.
સમૂળગી જ્યાં ઉખેડી નાખી ફૂટ્યા ત્યાં ટીશી-ટીશીએ ટશિયા,
ઢળી તો રાતાં ફૂલોથી કેવી લચેલ આશા-લતા બની છે !
કહું શું કોને ઇશારે મારી રહીસહીયે સમજ સિધાવી,
હવે ભિખારણ થઈને ભમતાં બની-ઠની સૂરતા બની છે. [ સૂરતા = દેવત્વ ]
– મકરંદ દવે
ઘેરી વેદના છે ભલે મૃદુ શબ્દો વપરાયા છે. કવિ સિદ્ધહસ્ત છે…શબ્દોના જાદુગર છે,ભાષાના સ્વામી છે. ” અમે તો ખાલી કરીને હૈયું તમોને સારી વ્યથા સુણાવી, તમે કહો છો, જરૂર સારી, લખી જુઓ, વારતા બની છે. ” – આ શેરમાં રહેલી વેદના જુઓ ! મત્લો પણ અદભૂત….
Permalink
July 20, 2021 at 9:57 AM by તીર્થેશ · Filed under ગઝલ, વેણીભાઈ પુરોહિત
જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?
આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમનો પોરો ખાવો છે,
કોઈ દિલની સરાઈ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?
છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?
હું ઠપકો દઉં છું રોજ, હૃદયને રોજ દિલાસો આપું છું,
કે તુંય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?
સપનાનું રેશમ જાય બળીને આશાની મુરઝાય કળી,
કોઈ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?
જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુઃખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?
હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો શા માટે?
– વેણીભાઈ પુરોહિત
વેણીભાઈને ગીત-કવિ તરીકે હું પીછણતો. આવી સરસ ગઝલ વાંચીને મજા આવી ગઈ. દરેક શેર મજબૂત. પરંપરાગત કલ્પનો પણ વાત ક્રાંતિકારી. છેલ્લેથી બીજો શેર જુઓ….. વળી ‘પ્યારનો પારો’ કલ્પન પણ કેટલું બંધબેસતું છે !!
Permalink
July 15, 2021 at 1:42 AM by વિવેક · Filed under ગઝલ, ચેતન જે. શુક્લ ‘ચેનમ’
વાદળ બની આંખે તમારી આવતો નથી,
વરસાદ જેવી શક્યતાઓ બાંધતો નથી.
એના વગર ચાલે નહીં આદત કહો કે લત,
વાંધા વગરની જિંદગી હું ધારતો નથી.
તું ક્યાં નથી? એ પ્રશ્નનો ઉત્તર બની જવા,
હું ક્યાં નથી? એ પ્રશ્ન સામે રાખતો નથી.
મારા વિશેની બાતમીથી હું અજાણ છું,
વાંચ્યા કરે લોકો મને, હું વાંચતો નથી.
‘છોડી ચૂક્યો છું’ રીતથી, રાખી શકું તને,
જીવી શકું તારા વગર એ માનતો નથી.
– ચેતન શુક્લ ‘ચેનમ’
સરળ સહજ પણ મજાની રચના… ત્રીજો અને પાંચમો શેર સ-વિશેષ સ્પર્શી ગયા…
Permalink
July 14, 2021 at 12:32 AM by તીર્થેશ · Filed under કામિલ વટવા, ગઝલ
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો-સો દુઆ આવે.
તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ ૫૨ જો વ્યથા આવે,
સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.
જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.
તમારા વાયદાઓ છે કે રેતી ૫૨ મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.
નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉ૫૨ બુદબુદા આવે.
મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.
શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે?
મોહબ્બત હો જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.
– ‘કામિલ’ વટવા
આ ગઝલ ઘણા લાંબા સમય પછી વાંચી – આ ગઝલ સાથે એક દિલનો નાતો મુગ્ધાવસ્થાથી જ છે….. “ એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે “ – આ પંક્તિ વીંધી નાખતી… આજે પચાસની ઉંમરે પણ આ પંક્તિ વીંધી નાંખે છે….
જીતવું સહજ/શક્ય ભલેને હોય, પણ ક્યાંક હારી જવામાં જ સાર હોય છે.
Permalink
July 8, 2021 at 1:44 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
આખરે તૂટી ગયા શંકાના સૌ ઉપવાસ, હાશ!
મારી શ્રદ્ધા ધીમે ધીમે લેતી થઈ ગઈ શ્વાસ, હાશ!
ભીની કેડી ૫૨ જતાં પગલાં થવાનો ભય હતો,
પણ હવે એની ઉ૫૨ ઊગી ગયું છે ઘાસ, હાશ!
સાંજના રંગોને જોવામાં હતા તલ્લીન સૌ,
કોઈ જાણી ના શક્યું કે હું હતો ઉદાસ, હાશ!
જે ક્ષણો જોવી જ ન્હોતી, એ ક્ષણો સામી મળી,
એ જ વખતે વીજળી ગઈ, ના રહ્યો અજવાસ, હાશ!
આંખ વ૨સી તો હૃદયની ભોંય પણ ભીની થઈ,
પોચી માટીમાં હવે પાડી શકાશે ચાસ, હાશ!
– અનિલ ચાવડા
હંમેશ મુજબ અનિલ ચાવડાની એક સંઘેડાઉતાર રચના આજે માણીએ….
Permalink
July 1, 2021 at 2:03 AM by વિવેક · Filed under અમિત વ્યાસ, ગઝલ
કોઈ ક્યાં ભૂલી શક્યું છે કોઈને?
રોજ વસ્ત્રો પહેરવાનાં ધોઈને.
જાત ઓગળતી રહે એ ક્ષણ સુધી;
આપણે જોયા કરીએ કોઈને!
એક માણસ પાણી-પાણી થઈ ગયો,
આભ ગોરંભાતું માથે જોઈને.
આપણી વચ્ચે પડેલી ખાઈને,
પૂરવા કોશિશ ન કર તું રોઈને.
આપણે સહુ એ રમતમાં ગુમ છીએ,
એક વસ્તુ શોધવાની, ખોઈને.
– અમિત વ્યાસ
મજાની રચના… છેલ્લા બે શેર તો અદભુત.
Permalink
June 25, 2021 at 1:15 AM by વિવેક · Filed under ગઝલ, સુનીલ શાહ
કોઈને તારે લીધે હાશ થશે,
એ જ તારી ખરી નમાજ થશે.
લાગણી તારી માત્ર ભાવ થશે,
હૂંફ આપે પછી એ શાલ થશે.
રક્તરંજિત કરીને છોડશે એ,
જીભ તારી અગર કટાર થશે.
ના ઉઠાવી શક્યા અવાજ કદી,
એટલે આપણી જ હાર થશે.
તું જગતના પ્રવાહથી છે અલગ,
એટલે કૈંક તો સવાલ થશે.
લાલચે ઘેરી લીધો છે એને,
જાળ નાંખ્યા વગર શિકાર થશે.
એવું નહિ કે બધે જ ઝૂકી જઉં,
ક્યાંક મારીય આંખ લાલ થશે.
– સુનીલ શાહ
ગઝલમાં ‘અ’કારાન્ત કાફિયા આમ તો ગુજરાતી સિવાયની ભાષામાં સ્વીકાર્ય જ નથી. ગુજરાતી ભાષામાં પણ સુરત સિવાયના પ્રદેશોમાં એની સામે અવારનવાર વિરોધ નોંધાતો જોવા મળે છે. પણ જો અકારાંત કાફિયા વાપરીને કવિ આવી સાદ્યંત સુંદર રચના આપી શકતા હોય તો મારા મતે એ સર્વથા સ્વીકાર્ય છે…
એકદમ સરળ ભાષામાં કવિ અદભુત અર્થગહન શેરો નિપજાવી શક્યા છે. આખેઆખી રચના જ સંઘેડાઉતાર થઈ છે. કયો શેર વધુ ગમાડવો ને કયો ઓછો એ નક્કી કરવા બેસીએ તો જાત સાથે જ ઝઘડો થઈ જાય કદાચ… વાહ કવિ!
Permalink
June 24, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’
દિલની મોસમ ફાગણ થઈ છે,
ફૂલો સરખી થાપણ થઈ છે.
જોબનમાં ભરતી આણી દે!
નસ નસ જાણે માગણ થઈ છે.
દહાડે દહાડો લપકારે લઈ,
આવરદા પણ સાપણ થઈ છે.
હરશે મુજને મારામાંથી,
ચાહત તારી રાવણ થઈ છે.
હું, તું ને એક પાળ લપસણી,
પાની માખણ માખણ થઈ છે.
નીંદર લખ લખ સપનાં જણશે,
ઇચ્છા ડોસી દાયણ થઈ છે.
– સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’
ફાગણ એટલે અસ્તિત્વના વૃક્ષોને રંગરંગી ફૂલોથી છલકાવી દેતી મોસમ. કેસૂડાં, ગુલમહોર, સોનમહોર, ચંપો અને છેલ્લે ગરમાળો. વળી ફાગણ એટલે ધુળેટીના રંગોની ઋતુ પણ. પ્રેમમાં પડેલા માણસને તો દિલમાં બારેમાસ ફાગણનો અહેસાસ થાય. ફાગણ શબ્દમાં સમશીતોષ્ણ આબોહવા પણ સંમિલિત છે. ખુશબૂ, રંગો અને ઉષ્ણતાસભર ફાગણનો ફાગ ભલભલાને બહેકાવે. દિલની તિજોરી ફૂલો જેવી થાપણથી છલકાઈ ઉઠી છે, આવામાં ફાગણ બેઠો હોવાનું ન અનુભવાય તો જ નવાઈ. આખી ગઝલ આસ્વાદ્ય થઈ છે પણ છેલ્લો શેર તો અદભુત થયો છે. કલ્પન અને અભિવ્યક્તિ અહીં નવી જ ઊંચાઈ આબે છે. ઇચ્છાડોસીને મળતાં જ મિલિન્દ ગઢવીની ઝમકુડોશી યાદ આવે.
Permalink
June 19, 2021 at 2:05 AM by વિવેક · Filed under ગઝલ, જુગલ દરજી 'માસ્તર'
જગત સામે જૂની ટસલ છે ને રહેશે
બગાવતપણું આ અટલ છે ને રહેશે
મળી જાય તું, તો ઠરીઠામ થઈએ,
નહીંતર તો લાંબી મજલ છે ને રહેશે.
જરૂરી છે પહોંચી જવું કોઈ રીતે,
નદી-નાવની ગડમથલ છે ને રહેશે.
ભલે ડોળ આકંઠ તૃપ્તિનો કરતો,
તરસ કંઠમાં દરઅસલ છે ને રહેશે.
પ્રકારો બધાયે છે લાખેણા કિન્તુ,
સવા વેંત ઊંચી ગઝલ છે ને રહેશે.
– જુગલ દરજી
ટૂંકી બહર, ચુસ્ત કાફિયા, ‘છે ને રહેશે’ જેવી સજાગ કવિકર્મની કસોટી કરે એવી અનૂઠી રદીફ, લગાગાના ચાર આવર્તનોની આંદોલિત કરતી મૌસિકી અને એક સંઘેડાઉતાર ગઝલ. ભઈ વાહ!
કવિનો મિજાજ મત્લામાં સુપેરે પ્રદર્શિત થાય છે. પોતાનું બગાવતપણું કવિ જતું કરનાર નથી, ને એ કારણોસર દુનિયા સામેની એમની જૂની ટસલ પણ હજી છે જ અને કાયમ રહેશે પણ. બીજો શેર પ્રિયપાત્ર કે ઈશ્વર –બંને માટે પ્રયોજી શકાય એવી અર્થચ્છાયા ધરાવે છે. ‘તું’ જ્યાં સુધી મળી ન જાય, જીવનની મજલ લાંબી જ હતી, છે અને રહેશે, ઠરીઠામ થઈ શકાવાનું જ નથી. રસ્તા અને સાધન વચ્ચે ભલેને લાખ ગડમથલ કેમ ન હોય, મંઝિલ કોઈ પણ રીતે હાંસિલ કરવાની ઇચ્છા વધારે મહત્ત્વની છે. ચોથો શેર સંસારનું સનાતન સત્ય રજૂ કરે છે. માણસ બહારથી ગમે એટલો સંતૃપ્તિનો ડોળ કેમ ન કરતો હોય, એની મૂળભૂત પ્રકૃતિ સાથે તો અસંતોષ જ વણાયેલો છે. છેલ્લો શેર ગઝલકારનો શેર છે. સીદીભાઈને સિદકા વહાલાના ન્યાયે ગઝલકારને તમામ કાવ્યપ્રકારોમાં ગઝલ જ સવા વેંત ઊંચી લાગશે… જો કે આજના યુગમાં આ વાત કંઈક અંશે સાચી પણ સાબિત થઈ રહી છે…
Permalink
June 18, 2021 at 2:36 AM by વિવેક · Filed under ગઝલ, વ્રજેશ મિસ્ત્રી
ઉચાટોનો હતો દરિયો, ઉપરથી રાત અંધારી,
ફકત બે શ્વાસના જર્જર હલેસે નાવ હંકારી!
બરાબર રંગથી ને રૂપથી એનાં પરિચિત છું,
કહો તો હું તરસનું શિલ્પ આપું હાલ કંડારી!
અચાનક લાખ ઇચ્છાઓ ફૂટી આ નીકળી ક્યાંથી?
ન વાવ્યું બીજ કોઈએ, ન સીંચી કોઈએ કયારી.
રહ્યું સુખ વેગળું એ રીતથી લાગ્યા કર્યું એવું,
સતત વૈરાગથી છેટું રહયું હો કોઈ સંસારી!
હવે નાસી જવું તો ક્યાં જવું બોલો કઈ બાજુ?
સ્મરણ તો હાથ ધોઈને હવે પાછળ પડ્યા મારી!
– વ્રજેશ મિસ્ત્રી
પાંચ શેર… પાંચેય સંતર્પક…
Permalink
June 17, 2021 at 1:23 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
ભલેને કોઈના આધાર પર એ ટેકવાયા છે,
એ હમણાં ચાલશે, બહુ ચાલશે, બહુ મોટી માયા છે.
અમુક લોકો હતા પહેલાં ગરીબ પણ જિંદગી આખી,
ગરીબીના જ ગરબા ગાઈને અઢળક કમાયા છે.
હું ખાલી એટલું પૂછું કે શું એને ખબર પણ છે?
કે જેને આપણી તકરારમાં વચ્ચે લવાયા છે.
અધિકારીએ પૂછ્યું ‘માવઠાથી કોઈને નુકસાન કંઈ પહોંચ્યું?’
કોઈ બોલ્યું કે ‘સાહેબ! આંખમાં પાણી ભરાયા છે.’
તમારું નામ છે યાદીમાં તેથી ચૂપ છો બાકી,
સિફતપૂર્વક અમુક નામો અહીં ભૂલી જવાયાં છે.
– કિરણસિંહ ચૌહાણ
કવિતા સમાજનો સાચો અરીસો છે… સામાન્યરીતે કવિતાને આપણે સ્ત્રીસૌંદર્ય, પ્રણય, પ્રકૃતિ અને ઈશ્વરમાં જ રચીપચી જોતાં હોઈએ છીએ પણ લાખ સૌંદર્યઘેલી કેમ ન હોય, કવિતા ભાગ્યે જ વિશ્વના સાંપ્રત વહેણોથી અછૂતી રહી શકે છે. ગઝલના દકિયાનૂસી વિષયોથી આગળ વધીને આ ગઝલ જુઓ, કેવી સ-રસ રીતે આજના સમાજને અને આપણા આજના માનસને ઝીલી શકી છે!
મોટી માયા વિશેષણ એ આજના જગતનો તકાજો છે. આવા લોકો આપબળ ન હોય તો ‘કોઈક’ બાપબળે પણ ચલણમાં રહે છે. બીજું, માણસ આજે સાચા અર્થમાં ગરીબ બન્યો છે. પુરુષાર્થબળે, ભાગ્યબળે કે કોઈપણ પ્રકારે મનુષ્ય નબળી પરિસ્થિતિમાંથી ઉપર આવે ત્યાર બાદ પહેલાંના જમાનાની જેમ બીજા નબળી સ્થિતિના લોકોને મદદરૂપ થવાના બદલે પોતાની નબળી સ્થિતિને જ આજીવન લખલૂંટ કમાવાનું સાધન બનાવી રાખે છે. મૂલ્યોનું આવું ધોવાણ આ પહેલાં કદી નહોતું. બાકીના શેર પણ આવા જ પ્રાણવંતા છે પણ આખરી શેર વધુ ધ્યાનાર્હ થયો છે. પોતાને જોઈતો ફાયદો મળી જતો હોય કે મળવાની આશા હોય તો લાયક ઉમેદવારોની સિફતપૂર્વક કરાયેલી બાદબાકી સામે આપણે આંખ આડા કાન કરીને જ ચાલીએ છીએ.
Permalink
June 11, 2021 at 1:50 AM by વિવેક · Filed under ગઝલ, ચેતન જે. શુક્લ ‘ચેનમ’
કોઈ એવી યાદનો બેજોડ કારોબાર છે,
તું કશે હોતી નથી ભરચક છતાં અંધાર છે.
ઝાડનું હોવાપણું સાક્ષાત્ ને સાકાર છે,
પણ હવાના સ્પર્શથી બેબાકળું આ દ્વાર છે.
દૃશ્યની પણ બહાર ઊભાં દૃશ્ય સૌ તૈયાર છે,
આંખની સાચી તપસ્યા પર ઘણો આધાર છે.
જે તળે બેસીને વેંઢારી રહ્યો ત્યાં પૂછજે,
દીવડાની જ્યોતનો અંધાર પર શું ભાર છે ?
ભીંગડાં બાઝી ગયાં છે સ્પર્શની એ ટેવ પર,
ટેરવાં જાણે અહલ્યાનો હવે અવતાર છે.
– ચેતન શુક્લ ‘ચેનમ’
લયસ્તરોના આંગણે કવિના પ્રથમ ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત…
આમ તો યાદોને મોટાભાગના સાહિત્યકારો વિરહના અંધારામાં પથરાતો અજવાસ ગણે છે પણ કવિ જરા ઉફરું કલ્પન લઈ આવ્યા છે. એમના મતે પ્રિયાની અનુપસ્થિતિમાં સર્જાતો અવકાશ યાદોના ભરચક અંધકારથી ભરાઈ જાય છે. ઝાડ કપાઈ ગયું છે અને એમાંથી નિર્જીવ દ્વાર પણ બની ગયું છે પણ હવાના સ્પર્શથી એ લાકડામાં જીવતું વૃક્ષ હજીય બેબાકળું બની જાય છે. જે સામે દેખાય છે એની પેલી પાર પણ સૃષ્ટિ તો છે જ, પણ આંખ શું જુએ છે એના પર ખરો મદાર હોય છે. હોવાની પાર જવું એ જ સાચી તપસયા છે. દીવા તળે અંધારું એ તો આપણે સહુ જાણી જ છીએ. એમાં કંઈ નવું નથી પણ અહીં નવી વાત એ બને છે કે અજવાસ પાથરતી દીવડાની જ્યોત દીવડા તળેના અંધકારને હટાવી શકતી નથી એ વાસ્તવિકતાને કવિ અહીં અંધકારની આંખે તપાસવા ચહે છે. બધા સ્પર્શ શલ્યામાંથી અહલ્યા નિપજાવી શકતા નથી. પણ સ્પર્શને આંગળાની જિંદગીમાંથી બાદ કરી શકાતો નથી. એ વાત અલગ છે કે ટેરવાંની આ ટેવ પર ભીંગડાં બાઝી ગયાં છે. સ્પર્શ રહી ગયા છે, સમ-વેદના બચી નથી… માટે જ શલ્યા અહલ્યા બની શકતી નથી…
Permalink
June 10, 2021 at 2:46 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
સાંયાજીને કહેજો કોઈ,
ફૂટી આંખો રોઈ-રોઈ.
ભવસાગરના ખારા જળ ને,
बीच भंवरमें नाव डुबोई ।
પહેલાં પાયો પ્રેમપિયાલો,
शब्दकटारी बाद पिरोई ।
ઝળહળ જ્યોતું જાગી ગઈ તો,
खुदकी खलकत खुदमें खोई ।
किसकी बिरहा, किसकी तडपन,
किसकी गठरी, किसने ढोई ।
– બાબુલાલ ચાવડા ‘આતુર’
ભાષા એટલે વહેતી નદી… અને એક નદી બીજીમાં ભળે ત્યારે બેમાંથી એકેય નથી કોઈ ફરિયાદ કરતી કે નથી પોતપોતાનું પોત અલગ જાળવવા કોશિશ કરતી. જુઓ, કવિએ કેવી સ-રસ રીતે અહીં બે ભાષાઓનો સમાન હાથ ઝાલીને મજાની ગઝલ રજૂ કરી છે!
Permalink
June 9, 2021 at 2:11 AM by વિવેક · Filed under ગઝલ, રિષભ મહેતા
કર્યો સંબંધોનો સરવાળો,એક દિવસ એકાંતે બેસી,
દીધી મેં પોતાને ગાળો! એક દિવસ એકાંતે બેસી.
કોને કોને મળવામાં આ રહી ગયું મળવું પોતાને?
ચાલને જીવ, મેળવીએ તાળો,એક દિવસ એકાંતે બેસી.
મારા ઘરમાં મેળો મેળો તો પણ હું ખાલી ને ખાલી,
જોયો મેં ગરબડ ગોટાળો, એક દિવસ એકાંતે બેસી.
રોડાં રસ્તામાં નાખે છે,સરળ સફરને અટકાવે છે,
ગાંઠ અણગમાની ઓગાળો,એક દિવસ એકાંતે બેસી.
જે પરમની સાવ નિકટ છે, ટોળામાં એ મળે, વિકટ છે,
મનમાં જે ટોળું છે, ટાળો, એક દિવસ એકાંતે બેસી.
જે ટોળામાં ખોઈ બેઠા, સંભવ છે એ મળેય પાછો,
સહજ પ્રણયનો સુંદર ગાળો, એક દિવસ એકાંતે બેસી!
પોતીકા અજવાળાંની જો હોય આપને તલાશ તો તો
દીપક સાથે દિલ પણ બાળો, એક દિવસ એકાંતે બેસી.
ભીડમાં એને ગમવા લાગ્યું, મન ગમે ત્યાં ભમવા લાગ્યું,
મનને પાછું મનમાં વાળો, એક દિવસ એકાંતે બેસી.
એમ નહીં સમજાય આપને, રૂપ નહીં દેખાય આપને,
આ ગઝલની ભીતર ભાળો, એક દિવસ એકાંતે બેસી.
રંગતરંગ, સુગંધ, છંદ ને સ્પંદની નવલખ છોળ ઉછળશે,
તમે મને નખશિખ નિહાળો, એક દિવસ એકાંતે બેસી.
– રિષભ મહેતા
એકાંતમાં જાત સાથે વાત અને મુલાકાત આપણે ભાગ્યે જ કરતાં હોઈએ છીએ… કવિ એકાંતમાં બેસીને જિંદગીના નાનાવિધ પરિમાણો કેલિડોસ્કૉપિક કલમથી આપણને બહુ સુંદર રીતે અહીં બતાવે છે એ માણીએ…
Permalink
June 4, 2021 at 2:13 AM by વિવેક · Filed under ગઝલ, હિમલ પંડ્યા 'પાર્થ'
કોણ જાણે શું લખ્યું છે ચોપડે?
કે ખુશીની એક પળ પણ ના જડે!
દર્દને પસવારતા શીખવું પડે
એમ થોડું સુખ સહુને સાંપડે?
કુંડળી ખોલી, તો એ બોલી ઊઠી
પૂર્વગ્રહ સિવાય બીજું શું નડે?
રણ સમયનું વિસ્તર્યા કરતું સતત
આ હરણ ઇચ્છાનું કેવું તરફડે?
આ હકીકતનું છે સમરાંગણ અને-
ત્યાં જુઓ! સપનાંઓની લાશો સડે.
છેક ભીતર યાદને ધરબી છતાં
આંખથી આ એકધારું શું દડે?
જિંદગીથી માંડ સંતાયા હો ને-
મોત તમને શોધતું આવી ચડે!
– હિમલ પંડ્યા
જીવનમાં આમ જુઓ તો દુઃખ ક્યાંય છે જ નહીં, પણ મનુષ્ય ક્યારેક નસીબના આશરે, તો ક્યારેક પૂર્વગ્રહો, ઇચ્છાઓ, સ્વપ્નો અને યાદોના બોજ તળે એવો દબાયેલ રહે છે કે સાચા અર્થમાં સુખનો અનુભવ કરી જ શકતો નથી. કવિ આ તમામ પાસાંઓને એક પછી એક શેરમાં અલગ-અલગ અંદાજથી રજૂ કરીને દર્દની ગઝલ રજૂ કરે છે પણ હકીકતમાં તો આ ગઝલના તમામ શેર કાયમી સુખના દરવાજા ખોલવાની કૂંચી છે. જીવનમાં ખુશીની એક પળ પણ જડતી ન હોવા બાબત મત્લામાં નસીબને કોસીને કવિ શરૂઆત કરે છે. બીજું, દુઃખ સાથે ઘરોબો કેળવતાં આવડતું નથી એ પણ સુખ સાંપડવાનું એક કારણ છે. હકીકતમાં આપણને કુંડળીના ગ્રહો નહીં, આપણા પૂર્વગ્રહો જ વધુ નડતા હોય છે. સમય તો આગળ વધતો જ રહેવાનો, ઇચ્છાના હરણ સમયના વ્યાપને પહોંચી ન વળતાં એના ભાગ્યમાં તરફડાટ આવે છે. સપનાંઓ ઉપર આપણો કાબૂ નથી અને ગજા બહારના સ્વપ્નોને હકીકતમાં ફેરવવાની મમત અને લડતના કારણે જીવન લોહિયાળ અને મુડદાલ બને છે. બાકી હોય તેમ વીતેલી ક્ષણોની યાદ આપણને રડાવતી રહે છે. અને આખી જિંદગી આવા એકાધિક જંગમાં વિતાવી માંડ રાહતનો શ્વાસ લેવાની ઘડી આવે અને મૃત્યુ ‘હાઉક’ કરતુંકને તમને શોધી લે છે…
કેવી સ-રસ ગઝલ!
Permalink
June 3, 2021 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
આઠે પ્રહરનું રાવણું – સરવાળે શૂન્ય છે,
વિરાટ હો કે વામણું – સરવાળે શૂન્ય છે.
પાછળ છે સજ્જ લશ્કરો અંધારનાં અપાર
આ સૂર્ય જેવું તાપણું – સરવાળે શૂન્ય છે.
જીવન મળ્યું છે જીવવા તો મોજથી જીવો
થોડુંક હો કે હો ઘણું – સરવાળે શૂન્ય છે.
આ ઘરનો ઝળહળાટ છે ઊછીના તેજથી
થાતાં જ બંધ બારણું – સરવાળે શૂન્ય છે.
અજ્ઞાનમાં ડૂબું યા તરું જ્ઞાન-સાગરે
જગને ભણાવું યા ભણું – સરવાળે શૂન્ય છે.
પડછાયો મારો પણ કદી મારો નથી થયો
ખુદને ગણું કે અવગણું – સરવાળે શૂન્ય છે.
‘સાહિલ’ હું મર્મ આયખાનો જાણી શું કરું
સોહામણું – બિહામણું – સરવાળે શૂન્ય છે.
– સાહિલ
‘રાવણું’ એટલે ગરાસિયા અને ગામના આગેવાનોની મિજલસ; જ્ઞાતિજનોએ એકઠા મળીને તડાકા મારવા તે. પણ કવિ અહીં ગામની રેગ્યુલર પંચાતમંડળીની વાત નથી કરતા, એ તો આઠ પ્રહરના રાવણાંની વાત કરે છે. મતલબ ગામગપાટા કરવા જે ગામ અહીં ટોળે વળ્યું છે એ દિવસના આઠેય પ્રહરોનું બનેલું છે. દિવસ-રાત ભેગાં થઈનેય જીવન સરવાળે શૂન્ય જ છે એ વાત કવિએ કેવી અદભુત રીતે કહી છે! અને આ જ રીતે સરવાળે શૂન્ય હોવાની વાત કવિએ નાનાવિધ સંદર્ભોને સાંકળીને બાકીના બધા શેરોમાં પણ બેનમૂન રીતે કરી છે. પરિણામે સુવાંગ ગઝલ આસ્વાદ્ય બની છે.
Permalink
May 28, 2021 at 1:22 AM by વિવેક · Filed under અર્પણ ક્રિસ્ટી, ગઝલ
મેં સહજ મૂક્યો ભરોસો પણ પછી,
પીઠ પાછળ જઈ ઊભો એ જણ પછી.
લોક મોટાભાગના મૃગજળ સમા,
એટલે હું થઈ ગયો’તો રણ પછી.
ઊડતાં તારા સ્મરણ તારા પછી,
જેમ ઊડતી ધૂળ, ગુજરે ધણ પછી.
છે શરત, પ્હેલાં સ્વીકારો પિંજરું,
આપવા તૈયાર છે એ ચણ પછી!
આંગળીઓ સાચવી મૂકી દીધી,
મેં તને સ્પર્શી હતી એ ક્ષણ પછી.
– અર્પણ ક્રિસ્ટી
કેવી સ-રસ ગઝલ! પાંચેય શેર મનનીય…
Permalink
May 27, 2021 at 1:13 AM by વિવેક · Filed under ગઝલ, સુનીલ શાહ
‘નથી ફાવતું’ની કશી રટ વગર
હું જીવ્યા કરું કોઈ ખટપટ વગર
કશે હદ જરૂરી છે વ્યવહારમાં
નદીનીય કિંમત નથી તટ વગર
હૃદયથી હૃદય એમ જોડાય છે
સહજતાથી સ્પર્શો જો તરકટ વગર
જીવનમાં પ્રવેશે છે દુઃખ એ રીતે
કીડી જેમ આવે છે આહટ વગર
બધાની પ્રશંસા તમે પામશો
જીવી જો શકો ખોખલા વટ વગર
અછત,ભૂખનું મૂલ્ય જાણે શું એ?
જે જીવી રહ્યા છે કશી ઘટ વગર
મને એમ દર્શન થયા ચાંદના
એ આવ્યા,મળ્યા આજ ઘૂંઘટ વગર
– સુનીલ શાહ
સામાન્યરીતે કળાને જીવનના ગાઢા રંગ સાથે વધુ ઘરોબો હોય છે. એમાંય કવિતાને તો વેદના જાણે નાળસંબંધ છે. પણ સુનીલ શાહ આ બાબતમાં જરા નોખા તરી આવે છે. શિક્ષણ અને રેશનાલિઝમના સિદ્ધાંતોના રક્તકણો જેમની રગોમાં વહી રહ્યા છે, એવા આ કવિની રચનાઓ મોટાભાગે જીવનના ઉજળા રંગને તાદૃશ કરતી નજરે ચડે છે. ધનમૂલક રચનાઓ એમનો વિશેષ કાકુ છે. પ્રસ્તુત રચના એનો એક દાખલો છે.
Permalink
May 26, 2021 at 9:23 AM by તીર્થેશ · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
કંટકની સાથ પ્યાર હતો – કોણ માનશે?
એમાંય કાંઈ સાર હતો – કોણ માનશે?
કે એક વાર બાગમાં આવી હતી બહાર,
દેનાર યાદ ખાર હતો – કોણ માનશે?
આવી હતી બહાર કદી ઘરને આંગણે,
ને હું જ ઘરબહાર હતો – કોણ માનશે?
જન્નતની વાત મેંય પ્રથમ સાંભળી હતી,
હું પણ તહીં જનાર હતો – કોણ માનશે?
હારી ગયેલ જિંદગીથી, બોધ દઈ ગયા,
એ સાર ખુદ અસાર હતો – કોણ માનશે?
ખખડી રહ્યાં સુકાયેલાં પાનો પવન થકી,
હસવાનો એક પ્રકાર હતો – કોણ માનશે?
હસવું પડ્યું જે કોઈને સારું લગાડવા,
એ શોકનો પ્રકાર હતો – કોણ માનશે?
જેથી હું અંધકારને ભાળી શક્યો નહીં,
જ્યોતિનો અંધકાર હતો – કોણ માનશે?
મહેફિલમાં જેણે મારી ઉપેક્ષા કરી ‘અનિલ’,
હૈયામાં એનો પ્યાર હતો – કોણ માનશે?
-રતિલાલ ‘અનિલ’
Permalink
May 26, 2021 at 7:40 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
હવે થાકી ગયો, સાકી, પુરાણા એ સુરાલયથી,
નશો ચડતો નથી મુજને તમારા મ્હેકતા મયથી.
ગગનમાં શું રહે છે, કોક મારા જેવો દુર્ભાગી,
કોઈ બોલાવતું લાગે છે મુજને એ મહાલયથી.
બધાં દશ્યો અલગ દેખાય છે, એ ભેદ સાદો છે,
હું દેખું છું વિમાસણમાં, તમે દેખો છો સંશયથી.
મને એ ભેદ લાગે છે દિલાસો આપનારાઓ,
તમે મુજ દુર્દશા દેખી રહ્યા છો ખૂબ વિસ્મયથી.
હું જાણી જોઈને મારાં કદમ એ જાળમાં મૂકું,
નથી હોતો કદી અજ્ઞાત તારા કોઈ આશયથી.
તમે અદૃશ્ય રહી બાજી ૨મો ગાફેલ રાખીને,
મહત્તા કોઈની ઘટતી નથી એવા પરાજયથી.
ન મારી આ દશાને ભૂલથી પણ દુર્દશા કહેતા,
ખરીદી પાનખર મોંઘી વસંતો કેરા વિક્રયથી.
જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છું, મિત્રો,
હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્ચયથી.
– હરીન્દ્ર દવે
ફરિયાદ છે, ચીખ છે, આંસુ છે – પણ ખુમારી છે !!!!
Permalink
May 21, 2021 at 2:14 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
ભલે રાખી હશે બહુ સાચવી, સંભાળીને એને
છતાં પરણી જશે મૃત્યુને, આખર જિંદગી છે ને!
પીડા મળશે ભલે, સાથે નવો આકાર મળશે ને!
સમયને જો હથોડા મારવા છે, મારવા દે ને!
છે પ્રામાણિક બંને, એમની રીતે જ આવે જાય
તેં સુખદુઃખનેય રિશ્વત આપવા ચાહી હશે, હેં ને?
જો એવું હોય નહિ તો કોઈ આજે જીવતું ના હોત
સહનશક્તિ પ્રભુ આપે જ છે, દુઃખ આપે છે જેને
નિભાવું સાવ નોખી રીતથી હું દોસ્તી, ઓ દોસ્ત!
વિકલ્પ એમાંય બે આપું, તું જો સિક્કો ઉછાળે ને!
જરાપણ રંજ ક્યાં છે, જો હજી એને નથી પામ્યો
અતિશય પ્રિય છે, તો પામવામાં વાર લાગે ને!
– સંદીપ પૂજારા
સાદ્યંત સુંદર રચના. બધા જ શેર પાણીદાર. સહજ, સરળ અને સંતર્પક.
Permalink
May 18, 2021 at 9:09 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
અમે તો છીએ રાંક ધરતીના જાયા,
કયામતના ધાકે અમોને ન ડારો;
અભિમાન જેનું નથી ઓગળ્યું એ,
ગુમાની ગગનને જ હેઠે ઉતારો!
જગે જળ ને જ્વાળાનું સિંચન કર્યું છે,
અમે આંખથી એક બિંદુ વહાવી;
ઠરેલાં હૃદય એને પાણી સમજશે,
બળેલાં હૃદય એને ગણશે તિખારો.
અમારી આ નિર્દોષ પ્રીતિને છળવા,
તમારેય કરવું રહ્યું આકરું તપ;
પ્રથમ રણ બનીને તપો ઝાંઝવાં સમ,
તૃષાતુર હરણને પછી હાંક મારો.
હૃદય આગ સરખું અને પ્યાર એમાં,
દીસે જિંદગી કીમિયાગરની ભઠ્ઠી;
ટકી જાય તો જાણજો એને કુંદન,
ઊડી જાય તો માનજો એને પારો.
ઘણા રૂપમાં તમને કલ્પી અમોએ,
અમુક રૂપ પોતાનાં માની લીધાં છે:
અમારે ખરીદાર બનવું રહ્યું ને,
અમારે જ શણગારવાનાં બજારો.
ભલે ને તમે દૂર રાખ્યો મને પણ,
જગે છે ઘણા દૂરથી દેખનારા;
ક્ષિતિજ માંહે જોનારને તો જણાશે,
સમંદરમાં ડૂબી ગયો છે સિતારો.
ગની જિંદગીની કવિતા વિષે પણ
ગજબનો અસંતોષ રે’ છે, પરંતુ
ઘણી વાર મૌલિક વિચારો કહે છે,
ન એને સુધારો, ન એને મઠારો.
– ‘ગની’ દહીંવાળા
ઘણા રૂપમાં તમને કલ્પી અમોએ……- શેરમાં માત્ર ચાર લીટીમાં આખી ઈશ્વરની પરિકલ્પના [ God hypothesis ] સમજાવી છે !!! અન્ય તમામ શેર પણ ગનીચાચાની માસ્ટરીની શાખ પૂરે છે.
Permalink
May 15, 2021 at 1:47 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
જામની ખાલી ક્ષણને પી જાઉં
આમ, , તારા સ્મરણને પી જાઉં.
હું ચસોચસ પીવાનો આદી છું,
બુંદ હો કે ઝરણને પી જાઉં.
મારા હોવાપણામાં તું રજરજ,
તારા એક એક કણને પી જાઉં.
જેમાં તારા બદનની ખુશ્બૂ હો,
એવા વાતાવરણને પી જાઉં.
તેં જે મળવાની શકયતા આપી,
એવા પ્રત્યેક પણને પી જાઉં,
ઝાંઝવાને નીચાવી જાણું છું,
‘મીર’ ધગધગતા રણને પી જાઉં.
– રશીદ મીર
કિડનીની બિમારીના કારણે જાણીતા કવિ, વિવેચક, આસ્વાદક શ્રી રશીદ મીર ૧૧-૦૫-૨૦૨૧ના રોજ જન્નતનશીન થયા. લયસ્તરો તરફથી કવિને ભાવભીની શબ્દાંજલિ…
Permalink
May 11, 2021 at 10:09 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
ક્યારેક મને એમ લાગે છે કે મારી નજરમાં કોઈ નથી;
ખાલી પડછાયા ને પડઘા વિણ દુનિયાભરમાં કોઈ નથી.
આ યુગયુગથી કંઈ કોટી જીવો તમને જીવ સાટે ચાહે છે;
મારા સમ એટલું તો કહી દો, શું તમ અંતરમાં કોઈ નથી ?
તમ દર્શનના અભિલાષીઓ જઈ દ્વાર દિશાના ખખડાવે;
કાં કોઈ જવાબ જરા ન દિયે, શું આખા ઘરમાં કોઈ નથી ?
છે કૈંક મુસાફર પૃથ્વી તણા આ જહાજ મહીં સાથે સરતા;
ને તોય મને કાં લાગી રહ્યું કે સાથ સફરમાં કોઈ નથી ?
જો પ્રેમ નહીં તો વેર વડે યા કોઈ ને કોઈ ઉપાય કરી;
પ્રત્યક્ષ કરે તમને એવું શું સચરાચરમાં કોઈ નથી ?
લાવ્યા છો તમે સુન્દર ચાદર, દઈ દેશો નામ કફન કેરું ?
વાળી દેશો એ ૫૨ માટી, શું એ ચાદરમાં કોઈ નથી ?
‘ગાફિલ’ જો નથી કોઈ તો કહો, આ ખેલ છે શાનો દુનિયામાં ?
આ પરદા પર તો પાર નથી, પરદા ભીતરમાં કોઈ નથી.
– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
સરળ વાણી, સીધી જ દિલની વાત…..
Permalink
Page 5 of 48« First«...456...»Last »