એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
અમૃત ‘ઘાયલ’

(અંતિમ પ્રવાસે) – અઝીઝ કાદરી

અમસ્તી મારી મહેનત પર ઘડીભર તો નજર કરજો,
કહું છું ક્યાં કદી હું કોઈને, મારી કદર કરજો.

તમે અશ્રુ બહાવી દુઃખમાં ના આંખોને તર કરજો,
મરદની જેમ જીવન જીવતા રહેજો, સબર કરજો.

તમે કંટાળશો ના ઠોકરોથી માર્ગની સહેજે,
ખુમારી સાથે હસતું મોઢું રાખીને સફર કરજો.

સુખે તો જીવવા દીધો નહીં, લોકો! મરણ વેળા,
મને માટીમાં ભેળવવા હવે ભેગું નગર કરજો.

કરે ફરિયાદ ના મિત્રો કે આમંત્રણ નથી આપ્યું,
‘અઝીઝ’ અંતિમ પ્રવાસે જાય છે, આજે ખબર કરજો.

– અઝીઝ કાદરી

ખ્યાતનામ શાયર શકીલ કાદરીના વાલિદ જનાબ અઝીઝ કાદરી પણ ખ્યાતનામ શાયર અને ઉર્દૂના ઊંડા જાણકાર હતા. ૦૯-૧૦-૨૦૨૧ના રોજ તેઓ જન્નતનશીન થયા. એમની એક મનનીય રચના સાથે એમને હૃદયપૂર્વક શબ્દાંજલિ આપીએ…

7 Comments »

  1. Raxa shah said,

    October 15, 2021 @ 2:52 AM

    વાહ..મકતાનો શેર વાહ…..વંદન સાહેબ…

  2. Sikandar Multani said,

    October 15, 2021 @ 3:00 AM

    વાહ..સરસ મનનીય ગઝલ !!
    હ્રદયસ્થ શાયર
    અઝીઝ સાહેબના કલામને સલામ..🌹🌹

  3. શકીલ કાદરી said,

    October 15, 2021 @ 7:22 AM

    વિવેકભાઈ આભાર.
    સરસ ગઝલ પસંદ કરી છે.

  4. વિવેક said,

    October 15, 2021 @ 8:34 AM

    સહુ મિત્રોનો આભાર…

    શકીલભાઈ: આપને પસંદ આવે એ જ પુરસ્કાર… આભાર.

  5. pragnajuvyas said,

    October 15, 2021 @ 10:44 AM

    કરે ફરિયાદ ના મિત્રો કે આમંત્રણ નથી આપ્યું,
    ‘અઝીઝ’ અંતિમ પ્રવાસે જાય છે, આજે ખબર કરજો.
    .
    હૃદયપૂર્વક શબ્દાંજલિ

  6. રાજેશ હિંગુ said,

    October 15, 2021 @ 11:52 PM

    સરસ ગઝલ.. અઝીઝ સાહેબની દિવ્ય ચેતનાને વંદન

  7. Maheshchandra Naik said,

    October 16, 2021 @ 11:45 PM

    આખરી શેર ધમધોકાર,
    કવિશ્રીને હ્રદયપુર્વકની શ્રધ્ધાંજલી,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment