આ ફુલ્લકુસુમિત તેજ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ,
આ સ્મિત પણ એનું એ જ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ.
સંગાથના સુખની બાબતમાં બીજું કશું ખપતું જ નથી-
‘હતું’-‘હશે’ નહીં, ‘છે જ’ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અઝીઝ કાદરી

અઝીઝ કાદરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(અંતિમ પ્રવાસે) – અઝીઝ કાદરી

અમસ્તી મારી મહેનત પર ઘડીભર તો નજર કરજો,
કહું છું ક્યાં કદી હું કોઈને, મારી કદર કરજો.

તમે અશ્રુ બહાવી દુઃખમાં ના આંખોને તર કરજો,
મરદની જેમ જીવન જીવતા રહેજો, સબર કરજો.

તમે કંટાળશો ના ઠોકરોથી માર્ગની સહેજે,
ખુમારી સાથે હસતું મોઢું રાખીને સફર કરજો.

સુખે તો જીવવા દીધો નહીં, લોકો! મરણ વેળા,
મને માટીમાં ભેળવવા હવે ભેગું નગર કરજો.

કરે ફરિયાદ ના મિત્રો કે આમંત્રણ નથી આપ્યું,
‘અઝીઝ’ અંતિમ પ્રવાસે જાય છે, આજે ખબર કરજો.

– અઝીઝ કાદરી

ખ્યાતનામ શાયર શકીલ કાદરીના વાલિદ જનાબ અઝીઝ કાદરી પણ ખ્યાતનામ શાયર અને ઉર્દૂના ઊંડા જાણકાર હતા. ૦૯-૧૦-૨૦૨૧ના રોજ તેઓ જન્નતનશીન થયા. એમની એક મનનીય રચના સાથે એમને હૃદયપૂર્વક શબ્દાંજલિ આપીએ…

Comments (7)