ભલભલા અડધી રમતમાં કેમ હારી જાય છે?
તું કહે ને, હું કોઈ ચોપાટ જેવી છું સજન?
-પારુલ ખખ્ખર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના – તુષાર શુક્લ

છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના ધસી આવતી બ્હાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

હથેલીઓમાં પારિજાતની સુવાસ લઈને, આવું એક સવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

રૂંવે રૂંવેથી દિપશીખા ઝળહળે
થાય, તું મેઘ થઈને મળે !
ઝંખના આજ હવે બસ ફળે
મીન મન ક્યાં સુધી ટળવળે ?
રણની બળતી કાંધ ઉપર આ કાળઝાળ ડમરી આજ ઊઠી ભેંકાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

રેતકણ આંખમાં ઝીણું કળે
સ્મરણના શોષ બાઝતા ગળે
હોઠ ને મૃગજળ મીઠું છળે
વેગ ના કેમે પાછો વળે…
ખડક તણા આ કાળમીંઢ સંયમને તોડી વહું હું જલની ધાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

આલિંગન આવકારમાં મળે
સ્નેહ મુજ સ્વીકાર થઈને ફળે,
જામ આ એકમેકમાં ઢળે
બેઉ જણ અરસ પરસ ઓગળે.
આખું આ અસ્તિત્વ ઊજવે તરસ તણો તહેવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

આજ અપમાનિત પાછો વળું ?
ટૂંપી દઉં મિલન સ્વપ્નનું ગળું ?
એકલો અંદર અંદર બળું ?
હું જ પોતે પોતાને છળું ?
પૂર થઈને પાછો આવીશ, વરસીશ મૂશળધાર
ભલેને બંધ કરે તું દ્વાર, થાય શું ?

– તુષાર શુક્લ

 

” હું જ પોતે પોતાને છળું ? ” – કેવી વેધક વાત….!! “બંધ દ્વાર”…..કેટલી બધી વાત કહી દે છે આ બે શબ્દો ! વળી અહીં તો નાયિકા ખુલ્લા દ્વારને કવિના મ્હોં પર બંધ કરી દે છે ! લાગણીશીલ હૈયું છે, કદાચ દ્વાર ખુલવાની રાહ જુએ…. દ્વાર ખોલવા વિનવે,….કદાચ ઊંધું ફરીને ચાલ્યું જાય સદાને માટે… જીવનમાં ખરેખર પણ આવું જ થાય છે ને ! ક્યારેક આપણે દ્વાર બંધ કરી દઈએ, ક્યારેક આપણે માટે દ્વાર બંધ થઈ જાય ! સંતના વિચાર અને વ્યવહાર એક હોય, મારે સંતપણું ક્યાંથી લાવવું ?? ક્યાંક વગર વાંકે દંડાઉ, ક્યાંક ગુનો કરી બેસું, ક્યાંક ગેરસમજનો શિકાર બનું, ક્યાંક કોઈ પવિત્ર આત્માને ઠેસ પહોંચાડી બેસું…કેટકેટલા સ્ખલનોથી બચું ??? પછી દ્વાર બંધ થાય જ ને !!! બંધ દ્વારને ખખડાવતાં અહંકાર અટકાવે, સ્વાભિમાન આડું આવે, ક્રોધ રસ્તો રોકે… આ બધું અતિક્રમીને ખખડાવું તો સામેના પક્ષે આ જ બધું, આવું જ બધું નડે !!!! કિશોર કુમારનું ગીત મનમાં ગૂંજે…-” ઝિંદગીકે સફરમેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફિર નહીં આતે…..વો ફિર નહીં આતે…..”

 

Comments (2)

ઊંઘ ચરી ગઈ બકરી – રાધિકા પટેલ

ઊંઘ ચરી ગઈ બકરી:
હાચ્ચું કે’ જો હુવા ટાણે ચા પીધી’તી નકરી…?
ઊંઘ ચરી ગઈ બકરી…

માન્યું કે લેવી જ પડે છે રોજ યાદની ગોળી;
લીધી તો લઈ લીધી પાછી લીધી ચામાં બોળી?
ચા-બાઈને-જોઈને વકરી-ઊંઘ પછી તો વકરી…
ઊંઘ ચરી ગઈ બકરી…

ચાના દાણા વેર્યા છે તે ઊંઘ આવે નહિ ચણવા;
ભાઈ બગાસાં સાથે એ તો ગઈ નીકળી છે ફરવા,
દૂધ ધરો તો કદાચ પાછી આવે શાણી શકરી…
ઊંઘ ચરી ગઈ બકરી…

– રાધિકા પટેલ

કેટલીક રચના નજરે પડતાવેંત મન મોહી લેતી હોય છે. આ ગીતનું પણ કંઈક એવું જ જ છે. કોઈની યાદ મનોમસ્તિષ્કનો ભરડો લઈ બેસે અને ઊંઘ વેરણ થઈ જાય એ પરિસ્થિતિમાંથી આપણે સહુ અવારનવાર પસાર થયાં જ છીએ. પણ ઊંઘ જાણે ઘાસ ન હોય, જેને કોઈ બકરી ચરી ગઈ હોય એ કલ્પન જ કેટલું મજબૂત અને મૌલિક છે! રોજ રાત્રે ચામાં બોળીને યાદની ગોળી ગળીએ પછી ઊંઘ બિચારી વકરે નહીં તો બીજું શું થાય? ઊંઘ શાણી શકરી છે. ચાના દાણા ચણવા આવે એવું કોઈ મૂર્ખ પક્ષી નથી એટલે બગાસાંભાઈ સાથે એ ફરવા નીકળી ગઈ છે… હવે જાગો રાતભર, બીજું શું!

ભાવ, ભાષાકર્મ અને લયની બાબતમાં જો કે હજી વધુ સજાગતા અભિપ્રેત છે.

Comments (5)

વનપ્રવેશ – ભાવેશ શાહ ‘શહેરી’

એમ કંઈ વનમાં જવાય નહીં
આંગળીઓ ઝાલીને ચાલતી ઇચ્છાઓ અધવચ્ચે રેઢી મૂકાય નહીં

અંકે પચાસ કહી ઉમરને આંકો પણ ભીતરમાં વાત હોય બીજી
તરવરાટ, થનગનાટ, લોહીનો હણહણાટ રાતોરાત જાય ના થીજી
શાંત પડે અશ્વો ને થાકે અસવાર એવું સાવ કંઈ એકાએક થાય નહીં.

કઈ રીતે, ક્યારે ને કેમ જવું વનમાં એનો મરમ પ્રથમ શોધીયે
લાગણીના નવેનવ રંગીન ખાનામાં ભૂખરાને ફેલાતો રોકીયે
ફાંટ ભરી રંગ લઈ આવેલી જિંદગીને પાછી જા એવું કહેવાય નહીં

એમ કંઈ વનમાં જવાય નહીં
આંગળીઓ ઝાલીને ચાલતી ઇચ્છાઓ અધવચ્ચે રેઢી મૂકાય નહીં

– ભાવેશ શાહ ‘શહેરી’

વધતી વય એ એક આંકડો માત્ર છે. ઉંમર વધવાની સાથે ઇચ્છાઓ ઓછી થઈ જતી નથી. પચાસ વર્ષ પૂરાં થાય અને એકા(વન)ની શરૂઆત થાય એને આપણે ત્યાં વનપ્રવેશ કહી ઓળખાવાય છે. વનપ્રવેશ કરતી વખતની સંવેદનાનું આ સહજ સરળ ગીત કદાચ આપણા સહુનું સંયુક્ત ઊર્મિગાન છે. એકાવનમાં જવાનો અવસર આવે તો કંઈ રાતોરાત ઘડપણ આવી ગયેલું અનુભવાતું નથી. શંકરાચાર્યએ કહ્યું હતું: “वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः |” (વય વીતી જાય પછી કામ ક્યાંથી? જળ સુકાઈ જાય પછી સરોવર ક્યાંથી?) નર્મદે પણ ‘સૂંઘે ન કો કરમાઈ જૂઈ’ એવું કહ્યું હતું. પણ આપણા કવિ વનમાં જતાં પહેલાં કઈ રીતે, ક્યારે અને કેમ જવું એનો આગોતરો તાગ મેળવી લીધા બાદ લાગણીના નવેનવ ખાનાંમાં વૃદ્ધાવસ્થાના ભૂખરા રંગને જે રીતે ફેલાઈ જતો અટકાવવા માંગે છે એ જોઈને આદિ શંકરાચાર્યની જ બીજી સૂક્તિ યાદ આવે છે:

अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहित्वा दण्डं तदपि न मुच्यत्याशापिण्डम् ॥ (અંગ ગળી ગયાં, માથાનાં વાળ સફેદ થઈ ગયાં, મોઢું દંત વિનાનું થઈ ગયું, લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ વૃદ્ધ આશાપિંડને છોડતો નથી.)

વધતી વયના આ ગીતમાં લય ક્યાંક ક્યાંક લથડે છે એ તરફ કવિની સભાનતા અપેક્ષિત છે…

Comments (8)

રખડુનું ગીત – ઉદયન ઠક્કર

આપના જે મનમાં છે એ જ મારા મનમાં છે, દાખલા તરીકે કંઈ એવું :
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી ભાગીએ, તો કેવું ?

તડકાનો પાક સોળ આની આવ્યાની ચાર ચકલીએ આપી વધામણી
લણવાને ચૌદ લોક એકઠું થિયું ને પછી લ્હેરખીએ લેવડાવી લાવણી

વાદળના માથા પર આવ્યો છે દાવ અને ઝરણાંઓ સંતાવા દોડે
સરવર તો પહેલેથી કાચ્ચો પાપડ, પણે બેસીને મોઢું મચકોડે

કોઈ કોઈ પંદર બાય દસમાં તો કોઈ વળી દસ બાય પંદરમાં રાજી
આપણે તો સહરાથી સપ્તર્ષિ હલ્લેસે હલ્લેસે હાલનારા હાજી !

મારું જો માનો તો દેવદારનું ઝૂલવું જમણી હથેળીમાં વાવજો
આપના વિચારોમાં વગડો ના આવે, તો એના વિચારોમાં આવજો

આપના જે મનમાં છે એ જ મારા મનમાં છે, દાખલા તરીકે કંઈ એવું :
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી ભાગીએ, તો કેવું ?

– ઉદયન ઠક્કર

નાજુક નમણું ગીત…..

Comments (3)

સત્ય કહો સંપૂર્ણ જ કિંતુ કહો જરા આડકતરું- – એમિલી ડિકિન્સન (અનુ. વિવેક મનહર ટેલર)

સત્ય કહો સંપૂર્ણ જ કિંતુ કહો જરા આડકતરું-
ગોળગોળ કહેવામાં રહ્યું છે સાચું સાફલ્ય
આપણા નિર્બળ આનંદ માટે કૈંક વધારે પડતું
તેજસ્વી છે સત્ય તણું આ શાનદાર આશ્ચર્ય

વીજ અને તોફાનો વિશે જે રીતે બાળકને
પ્રેમથી સમજાવીને કરીએ ડરને એના દૂર
એ જ પ્રમાણે સત્યને પણ હળુક આંજવા દઈએ
નહીં તો હરએક માણસ ખોઈ દેશે આંખનું નૂર –

-એમિલી ડિકિન્સન
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

ટી. એસ. એલિયટે એક કવિતામાં કહ્યું હતું કે માનવજાત વધુ પડતી વાસ્તવિક્તા સહન કરી શકતી નથી. (human kind cannot bear very much reality.) આ જ વાત એલિયટના જન્મના બે વર્ષ પહેલાં દુનિયા ત્યજી જનાર એમિલીની પ્રસ્તુત રચનામાં જોવા મળે છે. ટૂંકી રચના, શબ્દોની કરકસર, ચુસ્ત પ્રાસાવલિ અને સુઘડ છંદોલય -એમિલીની લાક્ષણિક શૈલી અહીં પણ નજરે ચડે છે.

સંપૂર્ણ અને સીધું સત્ય આપણે ઝીલી-ઝાલી શકતા નથી. એમિલી સલાહ આપે છે કે ભલે સંપૂર્ણ સત્ય કહો પણ જરા આડકતરી રીતે, ગોળગોળ ફેરવીને પછી મુદ્દા પર આવો. કેમકે આપણો આનંદ નબળો છે, એ ઝળાંહળાં સત્યના અદભુત ઐશ્વર્યને વેંઢારી શકવા સમર્થ નથી. જે રીતે નાનાં બાળક વીજળી-તોફાનોથી ગભરાઈ ન જાય એ માટે આપણે એમને પ્રમથી સમજાવીએ છીએ અને એમનો ડર દૂર કરીએ છીએ, એ જ રીતે હળવેથી સત્યનો પ્રકાશ કોઈની પણ સામે લઈને આવવું રહ્યું, અન્યથા આંધળા થઈ જવાશે.

સત્યના તેજસ્વી પ્રકાશ અને આંખના આંધળા થવાની વાતની ગૂંથણીમાં એમિલીનું ‘eye -આંખ’ બાબતનું અભૂતપૂર્વ કવિકર્મ ચૂકવા જેવું નથી. આઠ જ પંક્તિની કવિતામાં આઠ-આઠ જગ્યાએ એમિલીએ કેવી સિફતપૂર્વક ‘આઇ’ છૂપાવ્યો છે એ તો જુઓ: ‘lies, bright, Delight, surprise, Lightning, kind, blind’

*

Tell all the truth but tell it slant —

Tell all the truth but tell it slant —
Success in Circuit lies
Too bright for our infirm Delight
The Truth’s superb surprise

As Lightning to the Children eased
With explanation kind
The Truth must dazzle gradually
Or every man be blind —

– Emily Dickinson

Comments (8)

શરત – રાજેન્દ્ર શાહ

પાતળી કેડી કેરકાંટાળી
અંટેવાળે આવતાં એખણ એરું,
સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી
એને હોંશથી રે કંઈ પ્હેરું.

ગોફણના એક ઘાથી ઉતાર
નભનો તેજલ તારો,
ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો,
ઝરણાંનાં ઝાંઝરની તાલે રમતા રે’તાં
ચડવો મારે એક અવિચલ મેરુ.

ઊગતા આ પરભાતનો રાતો-
રંગ ના ધૂમર ભૂરું,
એકબીજાને તાંતણે વણી આણ
પ્હોળે પટ પૂરું:
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે
એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
આટલી મારી પત રાખે તે પર
ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.

– રાજેન્દ્ર શાહ

શરત વિનાનો પ્રેમ તો કેવળ પુસ્તકો અને ફિલ્મોમાં જ જોવા મળે. કવિ તો વાસ્તવિકતાની ધરતી પર ઊભા છે. બે જણ સાથે નીકળ્યાં છે. કેડી પાતળી પણ છે અને કેરડાના કાંટાઓથી ભરીભરી પણ. ઉપરથી વચ્ચે વચ્ચે વીંછી અને સાપ પણ પરોણાગત થઈ મળતાં રહે એવી પરિસ્થિતિ છે. આવામાં અડોઅડ ચાલ્યા વિના ચાલવાનું નથી, પણ નાયક જો નાયિકાને સિંહના ચામડામાંથી બનાવેલી મોજડી આપે તો કેવી મોજ! આ પહેલી શરત. હવે બીજી શરત- ગોફણના ઘાથી આકાશમાંથી તારો તોડી લાવવાનો, જેને બિંદીના સ્થાને લગાવીને નાયિકા જન્મારો અજવાળવા ચહે છે. ઝરણાંના ઝાંઝર પહેરીને નાયિકાને સંબંધનો અવિચલ મેરુ પણ ચડવો છે. શરતોની યાદી કંઈ અહીં પૂરી નથી થતી. ઊગતી સવારના ધુમ્મસનો ભૂખરો ભૂરો નહીં, પણ રાતો રંગ નાયકે આણી આપવાનો છે, જેને એકમેકના અસ્તિત્વના તાંતણે વણીને નાયિકા જીવતરના પહોળા પટને સભર કરવા ઇચ્છે છે. આટલું વેણ જે રૂડી રીતે રાખી બતાવે એને જ નાયિકા પોતાના આયખાનો સંગાથી બનાવનાર છે, અને આટલી ટેક રાખે એના પર ન માત્ર જીવન ઓવારી દેશે, એને પાર વિનાનું વહાલ પણ કરશે… કેવું મજાનું અલ્લડ ગીત!

(કેરકાંટાળી- કેરડાના કાંટાવાળી; અંટેવાળ-વચ્ચે પડેલું; એખણ-આ વખતે; એરુ-સાપ; ધૂમર-ધુમ્મસ; પત-આબરૂ, ટેક; પારવનું-પાર વિનાનું)

Comments (17)

હૃદયના તાર એવા ઝણઝણે – મુકેશ જોષી

તું કદી સામે મળે ત્યારે હૃદયના તાર એવા ઝણઝણે કે
કંપને નીરવ થતાં વર્ષો વીતે.
આપણી વચ્ચે અકળ જે મૌન કેરું દ્વાર તું ખોલે નહીં
જાણે કદાપિ ના મળ્યાં એવી રીતે !
તે પછી નિ:શ્વાસની ભીંતો ઉપર માથું પછાડી
શબ્દના નાજુક કપોલે લોહીના ટશિયા ફૂટે કહું શી રીતે ?

મધ્યરાતે તપ કરું, સમણાં તણા હું જપ કરું ને
આંસુની આહુતિઓ આપી ઘણાંયે વ્રત કરું-
તે છતાં પામું અગર વરદાનમાં વેરાન તો
છાતી વચાળે હોય જે પોલાણ એ ક્યાંથી ભરું ?
ચાલ શતરંજી સમય એવી ઘડે, મ્હોરાં બધાં ઘેરી વળે ને
મધ્યમાં હો કેદ એ રાજા છતાં ક્યાંથી જીતે !?

ને સંબંધોના બધા ઝળહળ દીવામાં એક ગમતો
દીપ જો બુઝાય તો આ આંખ પણ ફાટી પડે,
કે ધુમાડો યાદનો વંટોળ થઈ ઘૂમરાય ત્યારે ચોતરફ
ત્યાં આયખું જાણે તણખલું થઈ ઊડે !
રક્તરંગી જે મુકાતો કાપ કે સમજાય નહીં અનુરાગ
કરવા સો હૃદયના ભાગ એવું કેટલું
પટકાય આ વ્યાકુળ ચિત્તે…

– મુકેશ જોષી

रहिमन धागा प्रेम का, मत तोड़ो चटकाय।
टूटे से फिर ना जुड़े, जुड़े गाँठ परी जाय॥

Comments (1)

(વાદળ વરસ્યું કે પછી તું?) – નેહા પુરોહિત

વેણીથી વીંછીયા લગ લથબથ ભીંજાઈ, જાણે સપનાની નગરીમાં છું !
અલ્યા, વાદળ વરસ્યું કે પછી તું ?

ઓઢણીમાં છાપેલી લીલવણી વેલ ઉપર સાચકલાં ઉગ્યાં છે ફૂલ;
નીતરતી પીઠને વળગીને એ પાછું શું શું કરાવે કબૂલ !
કેમ રે કહું કે તારે શ્રાવણની મોજ, મારે રોમરોમ વૈશાખી લૂ..
અલ્યા, વાદળ વરસ્યું કે પછી તું ?

વરસે આવે, ને ગાજીવાજીને વરસે એ વાદળને કરવું શું વહાલ ,
ચાહું હું તારો કાયમનો સંગાથ બાજે મીઠો મૃદંગી જપતાલ !
વાદળમાં સરસરસર સરે જેમ વિજ, એમ તારા આલિંગનમાં હું..
પછી વાદળ વરસ્યું… ને પછી તું…

– નેહા પુરોહિત

કવયિત્રીએ આ ગીત એક પરિણીતાની સ્વગતોક્તિ છે એવું ક્યાંય લખ્યું ન હોવા છતાં ગીત શરૂ થતાં જ આ વાત સ્પષ્ટ થઈ જાય છે. જે રીતે કુમારિકાઓને શિવલિંગની પૂજા કરવાનો નિષેધ ગણાવાયો છે, એ જ રીતે વિંછીયું માત્ર પરિણીત સ્ત્રીઓ જ પહેરી શકે. પગે વિંછીયા પહેરવાથી ગર્ભાધાન સુગમ બને છે, માસિકની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે વગેરે જેવા કારણો આ માટે સામે ધરાય છે. પણ અત્રે એ ચર્ચા અસ્થાને છે.

માથાની વેણીથી લઈને પગના વિંછીયા સુધી પરિણીતા લથબથ ભીંજાઈ છે, પણ આ ઘટના શું હતી એ બાબતમાં એ સાશંક છે. આ હેલી વરસાદની હતી કે વહાલમના વહાલની એ બાબતમાં એ નિશ્ચિત થઈ શકતી નથી. અવઢવની આ પાતળી નાજુક દોર પર આખું ગીત કેવું સુગમ સહજતાથી ટક્યું છે એ જોવા જેવું છે. ઓઢણીમાં જે વેલ છાપી હતી, એમાં જાણે આ ભીંજામણીથી અચાનક ‘સાચાં’ પુષ્પો મહોરી આવ્યાં છે. પોતે જાગતાંમાં ભીંજાઈ છે કે સ્વપ્નમાં, વરસાદમાં ભીંજાઈ છે કે વહાલમાં એની ખાતરી નથી પણ ઓઢણીમાં ખીલેલાં ફૂલ એને સાચાં લાગે છે. આ છે કવિતા! નાયિકા સ્વાભાવિકપણે ગામડાંની ગોરી છે એટલે કમખો પણ ‘બેકલેસ’ જ હોવાનો. ‘નવપલ્લવિત’ થયેલી આ ભીની ઓઢણી એની વહાલ/વરસાદ નીતરતી પીઠને વળગી પડીને વહાલમ જે કહે એ બધું કબૂલ કરવાની વળી ફરજ પાડે છે. જો કે આ ફરજ ઓઢણી પાડે છે કે વહાલમ ખુદ એય અધ્યાહાર રહે છે. બંને અર્થ સમજી શકાય છે અને બંનેમાં મોજ છે. વહાલમજી તો કદાચ સ્વપ્નમાં જ આવ્યા હોવા જોઈએ કેમકે એને પરદેશમાં વરસાદી મસ્તી છે અને નાયિકાને રોમેરોમ વિરહની વૈશાખી લૂ દઝાડે છે.

બારમાસી તરસની સામે વાદળ વરસે એકવાર ચોમાસામાં આવીને ગાજવીજ સાથે વરસે તો એને ચાહવું-ન ચાહવુંની મીઠી મૂંઝવણ છે. પંક્તિમાં બે વાર વપરાયેલ ‘વરસે’માં જે યમક અલંકારની મીઠી મહેક ઊઠે છે એ ચૂકવા જેવી નથી. વાદળ કે વહાલમની અવઢવ અહીં આવીને એકાકાર થાય છે. હૈયાના મૃદંગ પર સંગાથનો જપતાલ કદીમદીના સ્થાને કાયમી બનેની આરત સાથે પરિણીતા વાદળમાં વીજ, એમ મનના માણીગરના આલિંગનમાં સરે છે ને એય વાદળ ભેળો એના પર વરસે છે…

આસ્વાદ લાંબો થઈ જવાની ભીતિ હોવા છતાં કવિતામાં રહેલી વર્ણસગાઈ (alliteration)ની વાત કરવાનો મોહ જતો કરી શકાય એમ નથી. પહેલી પંક્તિથી શરૂ થઈ આખર લગ ગીતમાધ્રુર્યમાં પ્રાણ પૂરતો એનો રણકાર સતત સંભળાતો જ રહે છે. વીણી-વિંછીયા, લગ-લથબથ, વાદળ-વરસ્યું, વરસે-વરસે-વાદળ-વહાલ, વાદળ-વીજ, સરસરસર-સરે… ગીત સતત આ નાદખંજરીથી રણકતું જ રહે છે. આ એક કડી તો જુઓ – (ઓઢણીમાં) (છાપે)લી-લી-લ(વણી) (વે)લ (ઉપર) (સાચક)લાં (ઊગ્યાં) (છે) (ફૂ)લ – ‘લ’કારનો વરસાદ વરસ્યો છે… અને એના છાંટા કબૂલ-લૂ-વહાલ-જપતાલ એમ અંત લગી  ભીંજવતા રહે છે…

Comments (24)

ઘડૂલી કયારે શિર પર ચડી? – પ્રભુલાલ દ્વિવેદી

.             ઘડૂલી ક્યારે શિર પર ચડી?
.             માટીને મોટપ કયારે મળી? –
માટી ખોદી, મૂકી ગધેડે કુંભાર ઘર લઈ આવ્યો,
ગારો કીધો પગથી ખૂંદી ખૂંદી પિંડ બનાવ્યો,
આકાર પામવા ચડી ચાકડે ત્યારે કાયા ઘડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

છાંયે સૂકવી ટપલે ટીપી રાખ મહીં રગદોળી,
હશે હજી સંસ્કારો ઓછા, કાય રંગમાં રોળી,
છતાંય કાચી હતી તે પાકી થવા નિંભાડે ચડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

પછી ટકોરે તપાસી જોઈને લઈ ગઈ કોઈ પનિહારી,
ગળે દોરડું બાંધી એને ઊડેં કૂવે ઉતારી,
બડબડ કરતી બૂડી કૂપમાં જાણ્યું મુક્તિ જડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

દીધો આંચકો, એક પલકમાં પાછી ઉપર તાણી,
અગર છાકમાં હતી છલકતી તો અધૂરી કહેવાણી,
પૂર્ણ હતી તો ચડી શિશ પર મુસીબતોથી લડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

– પ્રભુલાલ દ્વિવેદી

માટીમાંથી બનેલો ઘડો માથા પર ચડવાની લાયકાત મેળવે એ પહેલાં એણે કઈ કઈ કસોટીઓમાંથી પસાર થવાનું રહે છે એ વાત તત્કાલીન કાવ્યબાનીમાં કરીને કવિ આપણને પણ કેટલી વીસે સો થાય નું જીવનગણિત શીખવાડે છે..

Comments (3)

ભમ્મરિયું વ્હેણ – મનોજ ખંડેરિયા

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી

– મનોજ ખંડેરિયા

ધીરગંભીર ગીત…..જળથી ભીનાશ અળગી થઈ જાય !!! – વાહ !!

Comments (2)

વૈશાખી તાપ – મુકેશ જોષી

ઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ,
આવી તે હોય કંઈ મજાક ?
લીલેરા વન જાય ઓચિંતા સળગી ને
રણની ફેલાઈ જાય ધાક.

ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી
ફેફસામાં ભરવી બળતરા !
કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે
એવા તે હોય કંઈ અખતરા ?
ખોબો એક છાંયડાને તરસો તમે ને
તો ય ચપટી મળે ના જરાક… લીલેરા…

હોઠ પર ફરકે ના ક્યાંયથી પરબ
એવા પહેરાઓ લાગે તરસના,
આયખામાં રણ એમ ઓગળતું જાય
ને રેતી વહે નસેનસમાં.
મોસમની ઓળખાણ કેવી
વૈશાખના વરસે જ્યાં ધોધમાર તાપ… લીલેરા…

– મુકેશ જોષી

 

વાત મૌસમના તાપની છે કે જીવનના તાપની ? વેરાની રણની છે કે અંતરમનની ? તૃષ્ણા જળની કે લાગણીની ??

Comments (2)

એક ગીત – હેલન મારિયા વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)


નાના અમથા ખજાનામાંથી,
પ્રિયતમ મારો લાવે શું?
દિલ દઈ દીધું આખું, આથી
વધી અવર વર ભાવે શું?


દિલનો દોલો, એની દોલત
કંપ જગાવે હૈયામાં,
મેં ચાહી’તી ફક્ત મહોબત
દુનિયાનું સુખ માંગ્યું જ્યાં.


કંઈક લાવવા મારા માટે
કાંઠે કાંઠે ભટકે છે,
શાને રખડે ને શા સાટે?
પ્યાર બધાથી હટ કે છે.


ભોંય તળાઈ, સસ્તું ભોજન,
ધન્ય થાય તુજ સોબતથી!
કૃપા નજીવી આ મારે મન,
વધુ છે હર કોઈ દોલતથી.


કરે છે એ સર દુર્ગમ દરિયા,
આંસુ મારાં વૃથા વહે,
દયા હશે શું દ્રોહી લહરમાં,
મુજ ઉર જેમાં વ્યથા લહે?


રાત છે ઘેરી, જળ ઊંડાં છે,
પણ, મોજાં ઊઠે હળવાં:
હાય! રડું હર વાયુલહરે —
છે આંધી મુજ ભીતરમાં.

– હેલન મારિયા વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

પ્રેમથી ચડિયાતી બીજી કોઈ સંપત્તિ છે જ નહીં એ જાણવા છતાં, સમજવા છતાં, ને વારે-તહેવારે બીજાને કહેવા-સમજાવવા છતાં આપણામાંથી મોટાભાગનાનું જીવન ભૌતિક સંપત્તિ પાછળ દોડવામાં જ પૂરું થઈ જતું હોય છે. ‘જગતની સૌ કડીમાં સ્નેહની સર્વથી વડી’ એ વાત પાઠ્યપુસ્તકના પાનાં વળોટીને જીવનપોથીમાં કેમ કદી પ્રવેશતી નથી એને કદાચ યક્ષપ્રશ્ન ગણી શકાય.

રચના સવિસ્તર આસ્વાદ માટે અહીં ક્લિક કરશો : http://tahuko.com/?p=18941

A Song

I

No riches from his scanty store
My lover could impart;
He gave a boon I valued more —
He gave me all his heart!

II

His soul sincere, his generous worth,
Might well this bosom move;
And when I asked for bliss on earth,
I only meant his love.

III

But now for me, in search of gain
From shore to shore he flies;
Why wander riches to obtain,
When love is all I prize?

IV

The frugal meal, the lowly cot
If blest my love with thee!
That simple fare, that humble lot,
Were more than wealth to me.

V

While he the dangerous ocean braves,
My tears but vainly flow:
Is pity in the faithless waves
To which I pour my woe?

VI

The night is dark, the waters deep,
Yet soft the billows roll;
Alas! at every breeze I weep —
The storm is in my soul.

– Helen Maria Williams

Comments (3)

રાતરાણી – જૉન ક્લેર (અનુ. વિવેક મનહર ટેલર)

પશ્ચિમના આકાશ મહીં એકવાર સૂરજ જ્યાં બૂડે,
ઓસબુંદ શણગારે સંધ્યાના સ્તનને મોતીડે;
લગભગ લગભગ ચંદ્રકિરણના અજવાળાં-શી પાંખી
કે એના સંગાથી તારલિયાની માફક ઝાંખી,
રાતની રાણી હળવે હળવે એનાં પુષ્પો નમણાં,
નૂતન રૂપે ખીલવીને ઝાકળને ધરે છે બમણાં;
ને સાધુ પેઠે કરતી અજવાળાંથી આંખમિચામણ,
નવયૌવનની નિજના કરતી રાત ઉપર એ લ્હાણ;
રાત, જે પાછી એના પ્રેમલ આલિંગનથી અંધ,
નથી જાણતી રૂપ જે છે એની મુઠ્ઠીમાં બંધ;
આમ રહે એ ખીલી જ્યાં લગ રાત રહે રૂપાળી;
પણ જે પળ દિવસ આવીને જુએ આંખ ઊઘાડી,
છટક્યે ના છટકાય એવા ત્રાટકની શરમથી મારી,
મૂર્ચ્છા પામી, ને કરમાતી, થાય ખતમ બિચારી.

-જૉન ક્લેર
(અનુ. વિવેક મનહર ટેલર)

ક્યારેક કવિતા ભાવક પાસે અપ્રતિમ સજ્જતાની આકરી ઉઘરાણી કરે છે તો ક્યારેક એ રગોમાં દોડતા રક્તની જેમ ચુપચાપ અસ્તિત્વમાં ઓગળી જાય છે. ક્યારેક, કવિતા એક-એક પાંદડી-કાંટાનો હિસાબ માંગે છે, તો ક્યારેક ગુલાબની પાંખડીઓનો આકાર, સંખ્યા, ગોઠવણ, રંગ-છટા, અને કાંટા – તમામને સદંતર અવગણીને માત્ર ખુશબૂ જ માણવાનું ઈજન આપે છે. પુષ્પનો રંગ-રૂપ-આકાર કવિતા હોય તો માત્ર સુગંધનો અહેસાસ પણ કવિતા જ છે.

કવિતાના વિશદ આસ્વાદ માટે ક્લિક કરો: http://tahuko.com/?p=18939

Evening Primrose

When once the sun sinks in the west,
And dew-drops pearl the Evening’s breast;
Almost as pale as moonbeams are,
Or its companionable star,
The Evening Primrose opes anew
Its delicate blossoms to the dew;
And hermit-like, shunning the light,
Wastes its fair bloom upon the night;
Who, blindfold to its fond caresses,
Knows not the beauty he possesses.
Thus it blooms on while night is by;
When day looks out with open eye,
‘Bashed at the gaze it cannot shun,
It faints, and withers, and is gone.

– John Clare

Comments (3)

પ્રેમમાં તો એવું યે થાય છે – તુષાર શુક્લ

પ્રેમમાં તો એવું યે થાય છે
સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ
ને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં ન ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઈ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

ઓરડાની એકલતા થથરાવી જાય અને
હૈયું આ સાથ કોઈ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો
તો રૂંવાડે આગ કોઈ જાગે
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

– તુષાર શુક્લ

 

 

કલાપી યાદ આવી જાય –

પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી

Comments (4)

અમે ગીતોના માણસ રે લોલ – હિતેન આનંદપરા

અમે ગીતોના માણસ રે લોલ
તમે આપીને કોઈ દી પાળો નહી, અમે સાચવીએ વણદીધા કોલ.

આંખ ભેદી બખોલ, એમાં અંધારું ઘોર, કોઈ હૈયા લગ કેમ કરી પહોંચે ?
રાત સૂની નઘરોળ, ઝીલે બાવળના સોળ, કોઈ શય્યા લગ કેમ કરી પહોંચે ?
દરવાજા-બારીને બંધ કરી દો છો ને હળવેથી કો’ છો કે બોલ !
અમે ગીતોના માણસ રે લોલ.

આભ તલસે તલભાર, કોઈ આવી પળવાર, સૂના આયખાનો ઢોલિયો ઢંઢોળે,
પાય સોંસરવી ઝાળ, પડે ધરતીને ફાળ, કોણ થાશે ગરક મારે ખોળે !
પડતા પતંગ પાસ ભાગે સૌ કોઈ, અમે ભાગીએ પકડવાને ઝોલ.
અમે ગીતોના માણસ રે લોલ.

તાકધીંતાને તાલ, બજે ઢોલક પર વ્હાલ, સૂર સગપણનો સથવારો શોધે,
થયા શ્વાસો તો લાલ, લોહી રમતું ત્રિતાલ, ચૂર શબ્દોમાં અર્થોને ઘોળે,
કોઈ આંગળીની થાપ માટે તરસી રહેલા અમે ચામડીના ગણવેશે ઢોલ.
અમે ગીતોના માણસ રે લોલ.

– હિતેન આનંદપરા

રળિયામણું ગીત…..

Comments (2)

મુને ફૂટી છે ગંધ ડાળખીની – યશવંત ત્રિવેદી

હું તો બેઠી છું વૈશાખી ડાળે કે
રાજા મુને વેડી દે લૂમલૂમ આંબાનાં ગીત !

કબૂતરીની જેમ જરી જંપું ત્યાં ઓસરીમાં
ખસની ટટ્ટીપેથી હળુહળુ ઊતરીને કીડી જેવું લાલઘૂમ ચટકે બપ્પોર
લેલૂમ લીંબોળીઓને ઘોળટી ઊભી’તી તિયાં
છટકેલા છારા જેવો છેડતી કરીને ગિયો વૈશાખી સાંજનો તે તૉર

હાય! મુને ફૂટી છે ગંધ ડાળખીની કે
રાજા મુને આણી દે ફાટફાટ ફૂલોની રીત !

રાત આખી તનડામાં બોલી કોયલિયા
ને પાકીગળ કેરીની શાખ મારી પોપટો કીરકીર કીરકીર ઠોલે
દલનાં કમાડ ગિયો કાઢી પૂરવૈયો તે
આઠે તે પ્હોર હવે મોરલાનાં વંન મારી છાતીમાં પીહો પીહો બોલે

મને ઋતુઓ ઊગી છ એકસામટી કે
રાજા મુને આલી દે બારમાસી ફૂલોની પ્રીત !

– યશવંત ત્રિવેદી

વૈશાખ ઋતુની વાત છે. આભેથી મે મહિનાની લૂની સાથોસાથ વૈશાખી વાયરા પણ ફૂંકાવા શરૂ થાય છે. આંબો કેરીઓથી લચી પડ્યો હોય એ ટાણે નાયિકા નાયક પાસે ગીતો માંગે છે, પણ ગીત કેવાં અને કેટલાં તો કે લૂમલૂમ આંબાના ગીત. આપણે ત્યાં ગુજરાતમાં કેરીના વૃક્ષને, તો મહારાષ્ટ્રમાં ફળને આંબો કહે છે. અહીં ‘લૂમલૂમ આંબાનાં ગીત’ પ્રયોગમાં મરાઠી સંસ્કાર વધુ પ્રભાવક અનુભવાય છે.

ગ્રીષ્મની બપોરે કબૂતરની જેમ નાયિકા ઓસરીમાં આડી પડે છે ત્યારે ગરમીથી બચવા લટકાવેલી ખસની ટટ્ટીઓ પરથી બપોરનો તાપ કીડીઓ હેઠી આવીને કરડે એમ ચટકે છે એ કલ્પન કેવું બળકટ છે! વૈશાખી બપોર પજવે છે તો સાંજ પણ કંઈ છોડી દેતી નથી. નાયિકા લીંબોળીઓને ઘોળટી હોય છે ત્યારે સાંજ છાકટા છોકરાની જેમ એને છેડે છે. ફૂલોના સ્થાને એનું તનબદન ડાળખીની ગંધ ફૂટવાથી તર થઈ જાય છે.

વૈશાખી વૃક્ષો પછી વારો આવે છે પક્ષીઓનો. જો કે કવિ એમાં થોડું ઋતુચક્ર ચૂકી ગયાનું જણાય છે. કોયલ કુંજઘટાઓ ભરી દે અને સાખ પડેલી કેરી પોપટ ઠોલે ત્યાં સુધી તો વાત બરાબર પણ મોરના આઠે પહોર બોલવાની આ ઋતુ નથી. મોર તો વર્ષાઋતુ આવે ત્યારે જ આઠે પહોર ગહેકે અને મોરના કંઠેથી ટેંહુકાર નીકળે, પીહો પીહો બોલ તો પપીહરા કે ચાતકના. પણ આટલી વાતને નજરઅંદાજ કરીએ તો કલ્પન કેવા મજાના છે એ જુઓ! રાત આખી બે જણ વચ્ચે રૉમાન્સ ચાલે છે. શરીર કોયલની જેમ કૂકે છે અને પોપટ પાકી કેરીને કીરકીર ઠોલે એમ નાયક રાત આખી એના તનનો આનંદ લૂંટે છે. નાયક માટે નાયિકાનું દિલ દરવાજા વગરનું મકાન બની ગયું છે, મન ફાવે ત્યારે ઘૂસી અવાય. કેવી સવલત! આખી રાતનો આ આનંદ ઓછો પડ્યો હોય એમ નાયિકાની છાતી હવે આઠે પહોર ટહુકી રહી છે. અને સળંગ રાતદિવસનો આ અનર્ગલ પ્યાર પણ ઓછો પડ્યો હોય એમ અંતે નાયિકાની ભીતર એકસામટી છએ છ ઋતુઓ ઊગી આવી છે અને એ હવે બારમાસી પ્રીત ઝંખે છે.

Comments (9)

બોલે ! – સંજુ વાળા

ના બોલે તો ચાલે કિન્તુ બોલીને કાં બીજું બોલે ત્રીજું બોલે !
નામસ્મરણમાં રત રહેનારો, કાં તું આજે તીણું બોલે તીખું બોલે !

જંગલમાં એક ઝાડ પડે
તો કોને કેવું લાગે વળગે ?
નખમાં પણ જ્યાં થાય ઘસરકો
ત્યાંથી રહીએ આઘે અળગે.

ધ્યાન-બહેરી દુનિયાને શું ફરક પડે કોઈ ધીમું બોલે ભીનું બોલે !

સાહેબ, અહીંના રિવાજ મુજબ
સૌ નિજની છાયામાં મ્હાલે,
ભવિષ્યની ચિંતામાં મૂકે
આજ લટકતી અધ્ધરતાલે.

રંગબિરંગી બોલીને ભરમાવે જાણે : લીલું બોલે પીળું બોલે !
ના બોલે તો ચાલે કિન્તુ બોલીને કાં બીજું બોલે ત્રીજું બોલે !

– સંજુ વાળા

 

એક બહુ જ સરસ ઉક્તિ વાંચી હતી કશેક – ” જયારે તમારા શબ્દો તમારા મૌનને અતિક્રમી શકે ત્યારે જ બોલવું ” !!

Comments (3)

ચિમની સ્વીપર – વિલિયમ બ્લેક (અનુ.: વિવેક મનહર ટેલર)

બરફ વચાળે નાની અમથી કાળી કાળી ચીજ, ,
દર્દભર્યા કંઈ નાદે ચિલ્લાતી’તી “’વીપ! ’વીપ! ’વીપ!”
“બોલ તું, ક્યાં છે પપ્પા તારા, ને ક્યાં ગઈ છે મમ્મી? –
“તે બંને તો ચર્ચ ગયા ઈશ્વરની કરવા બંદગી.

“કારણ બંજરપાટ ઉપર પણ હું રહેતો’તો હર્ષમાં,
અને વેરતો હતો સ્મિત હું શિયાળાના બર્ફમાં,
એ લોકોએ લિબાશ મૃત્યુનો મને પહેરાવ્યો,
અને મને શીખવ્યું શી રીતે ગાવા દર્દના ગીતો.

અને બસ, એથી કે હું ખુશ છું, નાચું છું, ગાઉં છું,
તેઓને લાગે છે તેમણે દર્દ નથી કંઈ આપ્યું,
અને ગયાં છે ઈશ્વર, રાજા-પાદરીને પૂજવાને
જે બેઠાં છે અમારાં દુઃખોમાંથી સ્વર્ગ રચવાને,”

– વિલિયમ બ્લેક
(અનુ.: વિવેક મનહર ટેલર)

વિલ્યમ બ્લેકના બે સંગ્રહ ‘સૉંગ્સ ઑફ ઇનોસન્સ’ (૧૭૮૯)’ અને ‘સૉંગ્સ ઑફ એક્સપિરિઅન્સ(૧૭૯૪)’ બંનેમાં ‘ધ ચિમની સ્વીપર’ શીર્ષકથી કવિતા સમાવિષ્ટ છે. ‘ઇનોસન્સ’માં નિર્દોષતા છે પણ દુનિયાના ભયસ્થાનોથી એ મુક્ત નથી, જ્યારે ‘એક્સપિરિઅન્સ’માં નિર્દોષતાની નિર્મમ હત્યા કરતી દુનિયાની કાળી બાજુ આલેખાઈ છે. બંને સંગ્રહોને બ્લેકે જાતે જ ચિત્રાંકિત પણ કર્યાં હતાં.

એક રચના તો આપણે માણી ચૂક્યાં છીએ: https://layastaro.com/?p=16060

આજે બીજી રચના માણીએ…

ચિમની સ્વીપરની જિંદગી વિશે થોડું જાણીએ… બ્લેકના સમયના ઇંગ્લેન્ડમાં બાળમજૂરી સર્વમાન્ય હતી. એમાંય ઘરની સાંકડી ચિમનીની સફાઈ માટે તો નાનાં-પાતળાં શરીરધારી બાળકો વરદાન ગણાતાં. માત્ર ત્રણ જ વર્ષના ફૂલ જેવાં બાળકોને આ કામે લગાડી દેવાતાં. અંધારી રાખ અને મેંશભરેલી ચિમનીમાં કોઈપણ સાધનની મદદ વગર એમને ઉતારાતાં એટલે હાથ-પગનું તૂટવાથી લઈને શ્વાસના ગંભીર રોગો તથા ચામડીનું કેન્સર પણ સહજ હતાં. ચિમનીમાંથી પડીને કે અંદર દાઝીને-ફસાઈને-ગૂંગળાઈને મૃત્યુ થવું પણ સામાન્ય ગણાતું. ઘણીવાર તો બાળક અંદર ફસાઈ ગયાની જાણ ન થવાના કારણે મરણને શરણ થતું. જાડાં થઈ જાય તો ચિમનીમાં ઉતરી નહીં શકે એ ડરે એમને ખોરાક પણ અપૂરતો અપાતો. આ અમાનવીય કામ માટે બાળકો પૂરા પાડવામાં ચર્ચનો બહુ મોટો ફાળો રહેતો.

*

The Chimney Sweeper (Songs of Experience)

A little black thing among the snow,
Crying “‘weep! ‘weep!” in notes of woe!
“Where are thy father and mother? Say!”–
“They are both gone up to the church to pray.

“Because I was happy upon the heath,
And smiled among the winter’s snow,
They clothed me in the clothes of death,
And taught me to sing the notes of woe.

“And because I am happy and dance and sing,
They think they have done me no injury,
And are gone to praise God and his priest and king,
Who make up a heaven of our misery.”

– William Blake

Comments (1)

સમૂહગીત – રમેશ પારેખ

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે

કોની ઈચ્છાઓ તપે આકરી કે આપણા આ શબ્દોને ફૂટે નહીં જીભ ?
બાંધી ગયું છે કોણ હોવાની ડાળીએ ખાલીખમ બોલ્યાની ઠીબ ?
દ્રશ્યો જોવાનો ભાર લાગે કે ઊગે ને આથમે છે પ્હાડ હવે પાંપણે ?

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે

નિશ્ચય તો તૂટીને તળિયે ડૂબ્યાને બધે ઘૂઘવતું સ્થિતિનું તાણ
આયનાના દરિયામાં શોધે છે આપણને સદીઓથી ડૂબેલું વહાણ
પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાને તાપણે

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે

સામેની ટેકરીના ઊભા અનન્ત ઢાળ વીંધીને પ્હોંચવું છે ક્યાંક
પગના અભાવ વિષે જોયા જોયા કરવાનું : કદી આપણને ફૂટવાની પાંખ
જીવતરના કાચમાં પડેલી તીરાડ સમા કારણ વિનાના છીએ આપણે

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે.

-રમેશ પારેખ

આ કાવ્યની નીચે કવિનું નામ લખવાની જરૂર જ નથી – આ ર.પા. જ હોઈ શકે !!

કાવ્ય ઉપડે છે એક અબોલ મૂંઝારાથી. અકળામણ એ હદની છે કે આંખોથી દ્રશ્યો જોવા એ પણ સજા લાગે છે. બીજા ચરણમાં આ એકલતા ઘેરાય છે અને આપણી ન્યૂનતા વધુ છતી થાય છે, ઇચ્છાનુસાર કશું થતું નથી, માત્ર સ્થિતિના પવને હસ્તી ફંગોળાઈ રહી છે. અંતિમ ચરણમાં અસમર્થતા વિકરાળ રૂપે સામે આવે છે અને જીવનની નિરર્થકતા નિર્વિકલ્પ લાગે છે. આ ભાવ અનુભવાવાનું કારણ અધ્યાહાર છે….

Comments (4)

(કો’ક વાર થાય) – હરીન્દ્ર દવે

કો’ક વાર થાય પોઢું ફૂલનાં હિંડોળે
કા’ન દોરી ખેંચીને તું ઝુલાવે
અમથી હું આંખ મીચું, કાન રહું માંડી
કે હાલરડું ગાવું તને ફાવે!

સ્હેજ જરા અટકો જો ઝોલો, તો ખોયાને
બે હાથે ઝાલી થાઉં બેઠો,
થાકીને કોઈ વાર મેલી જો દોરી
તને બેસવા દઉં ન લેશ હેઠો,
કંટાળી મારે મને ધબ્બા ને કાલીકાલી
વાણીથી છો ને ફોસલાવે…

અમનેય આવડે છે મરકલડાં આણતાં
ને અમનેયે ભાવે છે ગોરસ,
અમને એ ઓરતા કદંબડાળ બેસીએ કે
મંદિરમાં બની જઈએ આરસ
થીર આંખે બેસીએ ને ચંદન ને ધૂપ લઈ
હળવે હળવે તું પાસ આવે…

– હરીન્દ્ર દવે

Role-reversal કોને ન ગમે? કાનુડાને હિંચવવા આખી દુનિયા સદાની તૈયાર… પણ કવિને કોઈક વાર વિચાર આવે છે કે પોતે ફૂલના હિંડોળે સૂઈ જાય અને કાનુડો એને હિંચકે તો કેવું! પાછું અમથું સૂઈ રહેવાનું નથી… આ તો કવિ છે! એ ઈશ્વરની કસોતી કરતાંય અચકાય શાનો? ઈશ્વરને હાલરડું ગાતાં આવડે છે કે કેમ એ જાણવા એ અમથી અમથી આંખ મીંચીને કાન માંડે છે. વળી ઝોલો અટકવો ન જોઈએ એ બીજી શરત છે. હિંચકો જરાક અટક્યો નથી કે જે રીતે બાળકાનુડો યશોદાનું ઉપરાણું લેતો’તો એ જ રીતે કવિ પણ ખોયો ઝાલીને બેઠો થઈ જશે. થાકી જાય, કંટાળી જાય, ધબ્બા મારે કે કાલી-કાલી વાણીથી ફોસલાવવા કરે તોય કૃષ્ણ જેવા કૃષ્ણને પણ થાકીને બે પળેય દોરી મેલીને હેઠો બેસવા નહીં દેવાનું નક્કી જ છે. જે રીતે સ્મિતના મરકલડાં આણીને કાનાએ હોકુળને ઘેલું કર્યું હતું, એવાં મરકલડાં આણતાં કવિને પણ આવડે છે. કવિનેય ગોરસ ખાવાનાં ને કદંબડાળે બેસવાનાં ને મંદિરમાં કાનુડો ચંદન-ધૂપ લઈ પૂજવા આવે તો આરસ બનીને સ્થિર પ્રતીક્ષા કરવાના ઓરતા છે..

આવી કવિતા હોય તો સર્જનહારને પણ કવિને હિંડોળવાનું મન થઈ જાય એ નક્કી!

Comments (7)

अनबींधे मन का गीत – गिरिजा कुमार माथुर

जल तो बहुत गहरा था
कमलों तक समझे हम

झील वह अछूती थी
पुरइन से ढंकी हुई
सूरज से अनबोली
चाँद से न खुली हुई
कई जन्म अमर हुए
कोरी अब सिर्फ देह
पहली ही बिजली
हमें नौका-सी बाँध गई

लहरें किन्तु भीतर थीं
रोओं तक समझे हम

तट से बंधा मन
छाया कृतियों में मग्न रहा
स्वप्न की हवाओं में
तिरती हुयी गन्ध रहा
अतल बीच
सीपी का ताला निष्कलंक रहा
जादू का महल एक
नीचे ही बन्द रहा

अनटूटा था तिलिस्म
बाँहों में समझे हम

एक दिन शुरू के लम्बे कुन्तल
खुले दर्पण में
भिन्न स्वाह लिपि देखी
प्यासे आकर्षण में
मन था अनबींधा
बिंधी देहों के बन्धन में
अंजलियां भूखी थीं
आधे दिए अर्पण में

आया जब और चाँद
झील की तलहटी में
तब मीठी आँखों के
अर्थों को समझे हम

जल तो बहुत गहरा था
कमलों तक समझे हम ।

–गिरिजा कुमार माथुर

ગિરીજાકુમાર માથુરને આપણે સૌ ‘હમ હોંગે કામયાબ’(we shall overcomeના અનુવાદ)માટે ઓળખીએ છીએ. પ્રસ્તુત રચના અનબિંધે મન કા ગીત એક અલગ જ સ્તરની છે. ટૂંકી પંક્તિઓમાં લખાયેલી આ કવિતા એક જાતનું કવિશ્રીનું કન્ફેશન છે. કાવ્ય છે તો શૃંગાર-રસનું જ પણ અનોખું છે. પ્રિયતમાના દર્શનને પોયણીના તળાવના પ્રતિકથી વ્યક્ત કર્યું છે. પહેલી નજરમાં તો એ સૌંદર્યથી કવિ અભિભૂત થઈને પ્રેમમાં બંધાઈને પ્રેમિકાને જીવનસંગીની બનાવવાનો નિર્ણય કરી લે છે પણ હજુ એના આત્માનું ઊંડાણ સમજ્યા નથી. કવિ નિખાલસતાથી કહે છે કે પ્રિયતમાના મનમાં ચાલતી ભાવનાઓની લહેરોને ઓળખવાને બદલે એ સ્થૂળ ઊર્મીઓને જ સમજી શક્યા. એક જાતનું સંકુચિત મન સ્વપ્નાઓમાં અને કલ્પનાઓમાં વિહરતું રહ્યું પણ પ્રિયતમાના અતળ મનમાં પડેલું છિપનું મોતી, એના અંતરનું સૌંદર્ય નજરે ના પડ્યું. એની અંદર એક આખું જાદુઈ વિશ્વ હતું એ એમ જ બંધ પડી રહ્યું, કવિ દેહના સૌંદર્યમાં જ ખોવાયેલા રહ્યા. દેહનું ઐક્ય સાધી લીધા પછી પણ મન તો અણ વિંધ્યું જ હતું. જ્યારે કવિને જ્ઞાન લાધ્યું ત્યારે એ સુંદર આંખોનું ઊંડાણ, એમાં છૂપાયેલા અર્થો સમજી શક્યા. એક પ્રેમી હ્રદયની નિખાલસ કબૂલાત સ્ત્રી-પુરુષોના સંબંધો વિશે ઘણું કહી જાય છે.

[ કાવ્ય તેમજ આસ્વાદ સૌજન્ય – ડૉ નેહલ વૈદ્ય www.inmymindinmyheart.com ]

Comments (2)

થોભ્યાનો થાક – સુરેશ દલાલ

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલું ;
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું.

વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોંશભેર વાત ;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચેનથી બેચેન થાય રાત.

અટકે જો આંસુ તો ખટકે ; ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાંત હું અવાક્.

આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક ;
આંખડીના પાણીને રોકી રોકીને, કહો–
કેમ કરી સ્મિતને સંભાળું ?

– સુરેશ દલાલ

 

નકરી બેચેની…..કિંકર્તવ્યમૂઢતા પણ નથી- આ અવસ્થા માટે બેચેની સિવાય કોઈ શબ્દ બેસતો જ નથી. સમયનો આ પડાવ જ એવો છે, કાલ કદાચ કૈંક જુદી ઉગશે…..કદાચ જુદી ન યે ઉગે…..

Comments (2)

શું જાણું? – મકરંદ દવે

શું રે થયું છે મને, હું રે શું જાણું?
મને વ્હાલું લાગે છે તારું મુખ;
જોઉં, જોઉં, જોઉં, તોય જોતાં ધરાઉં ના,
ભવભવની હાય, બળી ભૂખ.

ક્યાં રે ઊગ્યો ને ક્યાં આથમ્યો રે દંન મારો,
ક્યાં રે ઢળી મધરાત ?
તારી તે મૂરતિને કે’તાં ને કે’તાં મારી
પૂરી ન થાય હજી વાત.

કોક કોક વાર તારી કાયા અલોપ બને,
કોક વાર બાહુમાં કેદ;
જોગ ને વિજોગ હવે ક્યાં રે જોખાવું મારાં
નેણાં ભૂલી ગયાં ભેદ.

આ રે અવતાર ભલે વાદળિયો વહી જતો,
કેવાં તે સુખ ને દુઃખ ?
આખો જનમારો તને આંખોમાં રાખું,
મને વ્હાલું લાગે છે તારું મુખ.

– મકરંદ દવે

 

જાણે રાધા અને મીરાંના મનની વાત…….

Comments (2)

ક્યાંક અરીસે ફૂંક! – પ્રફુલ્લ પંડ્યા

ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!
ટાપુ જેવા વિચારને જા દરિયા વચ્ચે મૂક!

ટાપુ જેવા તપ છે એના એની આંખમાં દવ
માણસ કોમળ હોય તો એનો સાંભળી લેવો રવ
સૌની સાથે હેમખેમ હોય સર કરવાની ટૂંક!
ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!

તળ પહોંચ્યાની મજા અર્થમાં તળ પહોંચ્યાનું પાપ
આંખોમાં પાકયું અંધારું કેમ મૂકવો કાપ?
ક્યાં સપાટી ખટકાની ને ક્યાંક પ્રકાશી ચૂંક?
ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!

– પ્રફુલ્લ પંડ્યા

હાલમાં આ કવિના બહુ જૂના કાવ્યસંગ્રહ ‘જીભ ઉપરનો ધ્વજ’માંથી પસાર થવાનું થયું. કવિની વય ત્રીસેકની હશે ત્યારે કવિલોક પ્રકાશને નવ્ય કવિ શ્રેણીના ભાગ રૂપે આ નાનકડો સંગ્રહ બહાર પાડ્યો હતો. કંઈ અલગ જ બાની સાથે મુલાકાત થઈ. અગાઉ વાંચવામાં ન આવ્યા હોય એવા સાવ અનૂઠા અને અરુઢ કલ્પનો અને વાંચતાવેંત ગળે ઉતરવાનો ઇનકાર કરતી ભાષા. કવિતા અર્થમાં ઓછી અને અભિવ્યક્તિમાં વધુ હોય છે એ આ ગીતોમાંથી આરપાર નીકળીએ ત્યારે સહેજે સમજાય છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ…

Comments (3)

મારું રજવાડું – રમેશ પારેખ

તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું
મારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું

તારે બોલે હાંફળફાંફળ ચાકર ઊઠેબેસે
મારા ઘરમાં કીડી સુધ્ધાં દમામપૂર્વક પેસે

મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર હુશિયારી
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી

જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું

તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાય
મારે પંખીના ટહૂકાથી અજવાળાં ફેલાય,

સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો
હું તો અકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે લહલહ થાતો

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું ?

– રમેશ પારેખ

 

ગયા અઠવાડિયે એક સિનિયર કવિ સાથે વાતો થતી હતી ત્યારે મેં બળાપો કાઢ્યો કે સામાન્ય વાચક હવે કાવ્યમાં રસ નથી લેતો. તેમણે વેધક વાત કરી – ” પ્રજા કાવ્યથી દૂર નથી થઈ, કવિ પ્રજાથી દૂર થઈ ગયો છે !! ”

તેઓની વાત સાચી લાગે એવા ઘણા અનુભવો સૌને થયા હશે. આ કાવ્ય તદ્દન સરળ કાવ્ય છે પણ એમાં એક હ્ર્દયસ્પર્શી તત્વ છે, જે અદના આદમીને કાવ્યની સમીપ લાવી દે છે…..

Comments (5)

થોડા દિવસો પહેલાં તો… – મનોહર ત્રિવેદી

થોડા દિવસો પહેલાં તો*
વૃક્ષ પરથી સૂરનો પગરવ ફળિયે આળેખાતો.

પાન છાંયડા ઢોળે
નીચે ઘરના બાળક ન્હાય
કોરી કરતો પવન હંમેશા
રજોટાયેલી કાય

ચાંદરણાં થૈ વચ્ચે-વચ્ચે તડકો ઉલેચાતો.

ઠીબ, નીડ ડાળી પંખીનાં
દૃશ્યો ભેળાં રમતા
આજ હવે ખંડેર : ઘૂમતી
કેવળ ખાલીખમતા

ચુડેલ કે હશે ચન્દ્રીનો – ત્યાં પાલવ લહેરાતો !

હુક્કામાંથી ઊઠે ધુમાડા
એમાં ઊઠે પ્રેત
દાદાજીની કથા નહીં :
ભીંતેથી ખરતી રેત

જૂના ઘરથી પાછા વળતાં પથ પગમાં અટવાતો
થોડા દિવસો પહેલાં તો…

– મનોહર ત્રિવેદી

(*યોગેશ જોશીના હેલોવીન અછાંદસની પ્રથમ પંક્તિ)

સમય અને માણસ –આમ તો બંને આગળ વધ્યે રાખે છે, પણ બંનેમાં નોંધપાત્ર ફરક એ છે કે સમય કદી પાછો વળી શકતો નથી. ગામનું જૂનું ઘર ત્યાગી દઈ નાયકનો પરિવાર કદાચ શહેર સ્થળાંતરિત થઈ ચૂક્યો છે અને કોઈક કારણોસર આજે એ ગામ પરત ફરી જૂના ઘરની ઊડતી મુલાકાત લે છે એનું આ ગીત છે. થોડા દિવસો પહેલાં આ ઘરનું આંગણું પક્ષીઓના ચહચહાટથી ગૂંજતું હતું. કવિ કહેતાં નથી કે ત્યાં આજે સૂનકાર છે પણ એ સન્નાટો આપણને પહેલી પંક્તિથી જ સંભળાવા માંડે છે. જે વૃક્ષના છાંયડામાં અને ધૂળમાં મસ્તીમાં આળોટતાં બાળકોને સાફ કરી આપતો પવન, તડકાનાં ચાંદરણાં, અને ઠીબ-માળો-પંખીઓ ભેળાં મળી મજાનાં દૃશ્યચિત્રો આળેખતાં હતાં, એ જગ્યાએ હવે ખાલીખમતા ઘૂમી રહી છે. ખાલીખમતા કવિએ કૉઇન કરેલો શબ્દ છે. ચાંદનીનો પાલવ ચુડેલ જેવો ભાસે છે અને દાદાજીના હુક્કાના ધુમાડામાંથી વાર્તાના સ્થાને પ્રેત ઊઠી રહ્યાં છે. સમય આગળ વધી ગયો છે, માણસ પણ કદાચ આગળ વધી ગયો છે પણ આગળ વધતી વખતે રસ્તો પગમાં અટવાતો હોય એમ ચાલવામાં તકલીફ વર્તાય છે. બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ –ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા- તરત યાદ આવી જાય છે.

Comments (8)

(ભૂલ કરી છે ભારી) – જુગલ દરજી

ભૂલ કરી છે ભારી,
અંગત જે કંઈ હતી વેદના વાણીમાં આકારી.

હવે નહીં રહે લાગણીઓને માન,મહત્તા,મોભો.
હવે દિલાસા રૂપે જળમાંથી ભરવાનો ખોબો!
અભિવ્યક્ત થાવાની કિંમત કેવળ બસ લાચારી!
૦ભૂલ કરી છે ભારી

‘થયું’, ‘થશે’,થાવાની અવઢવ ગઈ હાથથી છટકી,
જાણે કૂણી ડાળ ઝાડથી ઓચિંતી ગઈ બટકી!
શુષ્ક થવાની આખ્ખી ઘટના ઘટી ગઈ અણધારી
૦ભૂલ કરી છે ભારી

– જુગલ દરજી

અંગત અનુભૂતિ ક્યારેક અભિવ્યક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ઘણીવાર વાત આપણા હાથમાંથી નીકળી ગયેલી અનુભવાય છે. લાગણી એનું ખરું મૂલ્ય ખોઈ બેસે છે અને પછી દિલાસો વ્યક્ત કરવા સિવાય કશું બચતું નથી. કવિમિત્ર જુગલ દરજીએ આ વાતને કેવી સ-રસ રીતે ગીતમાં આકારી છે!

Comments (9)

એકલતાનું સરોવર – સુરેશ દલાલ

મારામાં ઊગે ને મારામાં આથમે
એ ઝાડવાંને કેમ કરી ઝાલું જી રે ?
લીલાંછમ પાંદડાં કરમાયાં એવાં
કે આ મેળામાં કેમ કરી મ્હાલું જી રે ?

મારામાં વાદળાં ઘેરાય ને વીખરાય :
જળને હું કેમ કરી ઝીલું જી રે ?
એકલતાનું આ સરોવર ઊભરાય
હું કમળ થઈને કેમ ખીલું જી રે ?

સૂની આ ગલીઓ ને સૂનાં મકાન છે :
એમાં જઈને કેમ મારે વસવું જી રે ?
આંખોમાં આંસુને સંતાડી રાખ્યાં
પણ કેમ કરી હોઠેથી હસવું જી રે ?

ચહેરો ઉતારું ને મ્હોરાને પહેરું :
મ્હોરું પહેરીને કેમ જીવવું જી રે ?
પૃથ્વીની પથારી પીંજાઈ ગઈ
ને ચીંથરેહાલ આભ કેમ સીવવું જી રે ?

– સુરેશ દલાલ

 

જાયેં તો જાયેં કહાં….સમઝેંગા કૌન યહાં દર્દભરે દિલકી ઝુબાં…..

Comments (1)

તું ઊગે તો શ્વાસ – તુષાર શુક્લ

તું ઊગે તો શ્વાસ
અને આથમે નિ:શ્વાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી

ઝાકળનાં નળિયાં ને રેતીની ભીંત
મારે પડઘાની સોહે પછીત

ટહુકાની મેડીને ઝંખનાનો મોભ
મારી વેદનાને વળિયોથી પ્રીત

તું ઊગે ઉજાસ
અને આથમે અમાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી

ઓકળિયે અંકાયા અક્ષર ઉકેલ
તને મળશે સંબંધ તણું નામ.

લીંપણની ભાષામાં સમજે છે કોણ
આ તો હૈયા ઉકલતનું છે કામ.

તું ઊગે ઉલ્લાસ
અને આથમે ઉદાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી.

– તુષાર શુક્લ

 

મોરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ રે…..

Comments (1)

(આંબા પર દીઠું ગુલાબ) – રાવજી પટેલ

સાંભળ તો સખી આંબા પર ફૂટ્યું ગુલાબ
મારી છલકઈ ગઈ આંખોની છાબ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો સખી એક ઝીણેરી મોરલાની ડાળ
નરી ટહુકાની નવીસવી વાડ,
વચ્ચે છાયુંમાયું ચંદનતલાવ,
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો એક કૂણા કૂણા કાંટાની વાત,
જાણે નાના ગુલાબ એમાં સાત.
મને વાગીને કરતો ઈલાજ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો સખી મેં તો સમણામાં લંબાવ્યો હાથ,
મારી રોળઈ ગઈ રળીઢળી વાત.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

– રાવજી પટેલ

સહજ વિચારધારાથી વિપરિત ચાલીને અસહજને સહજ બનાવી શકે એ જ કવિતા. કવિતા અસંભવનો હાથ ઝાલીને ચાલે તો ખરી, પણ એનો જાદુ જ એવો કે ભલભલું અસંભવ પણ સંભવ લાગે… આંબા પર ગુલાબ ફૂટવાની વાત કવિએ એટલી સહજતાથી કરી છે કે જરા સભાનતા ઓછી હોય તો ભાવકને એવો વિચાર સુદ્ધાં ન આવે કે આંબા પર ગુલાબ ફૂટે? પણ રાવજી આપણને ‘સાંભળ તો સખી’ કહીને એટલો નજદીક લાવી દે છે કે આપણને આંબા પર ગુલાબ ફૂટવાની સહેજે નવાઈ લાગતી નથી. આંબો ઘટાટોપ સાસરાંને ગણીએ તો સાહ્યબો એટલે ગુલાબ એ સહજે સમજી શકાય. અને એને જોતાવેંત નાયિકાની આંખોની આખી છાબ છલકઈ જાય છે… જો જો હંઅઅ… છાબ છલકાઈ નથી જતી, છલકઈ જાય છે… આંખોમાં હરખના આંસુ એ રીતે ઊમટી આવ્યાં છે, કે છલકાઈમાંના કાનાને એ સાથે ઘસડી લઈ ગયાં… છે ને કવિકર્મ!

બહુ નાની વયે વિદાય લઈ જનારે રાવજીને વિદાયનો દિવસ ઢૂંકડો આવે એ પહેલેથી જ સમજાઈ ગયું હતું કે એનો દીવો ઝાઝું ચાલવાનો નથી. ઓલવાતો દીવો વધુ ભભકે એમ એની કવિતાઓમાં અતૃપ્ત રતિરાગ પણ અવારનવાર ઉછાળા મારતો નજરે ચડે છે. નવવધૂ એની સખીને અંતરંગ વાતો કરી રહી છે. મોરલો કદાચ બંને સંદર્ભમાં વપરાયો હોય –આંબાના ઝીણેરા મોર અને સાક્ષાત મોર! સાસરિયાંની ડાળ પર ટહુકાની સીમા વચ્ચે ચંદન સમી શીતળતા બક્ષતો સ્નેહ નાયિકા માણી રહી છે. વાગીને ઈલાજ કરતો કૂણો કૂણો કાંટો સંભોગશૃંગાર તરફ ઇંગિત કરતો જણાય છે, અને સપ્તપદીની પગલે પગલે નાનાં ગુલાબ ફોરી રહ્યાં છે. નાયિકા સુખી સંસારનું સપનું જોતાં-જોતાં અજાણતાં હાથ લંબાવી બેસે છે અને એની રળીઢળી વાત રોળઈ જાય છે… અહીં પણ રતિક્રીડાનો આવેગ ‘રોળાઈ’માંના કાનાને તાણી ગયો છે. રોળાઈ જવાના પણ બંને સંદર્ભ ખુલ્લા રાખીને કવિ વાત પૂરી કરે છે…

Comments (8)

(ભાષાનાં નીર) – પ્રફુલ્લ પંડ્યા

ભાષાને ભૂર છો વળગ્યું ના હોય;
પણ શબ્દોનું ઝૂર તો ઉતારીએ જી રે !
જાણતલ જોશીડો કૂવામાં ખાબક્યો છે;
કૂવાની આરતી ઉતારીએ જી રે !

ભાષાનાં નીર તો આછેરાં ઊંડા ને;
એમાં પહેલું પગથિયું થોડું ગોતવું હો જી !
જળમાં જે ગોતવું છે; એ કળથી ગોતાશે;
જળ નાહકનાં જોરથી ના બોટવું હો જી !
ભીતરનાં દોરડેથી ભાવને સિંચાવો; પછી ધીરે-ધીરે શબ્દો અવતારિયે હો જી !
-એમ સિંચણિયે શબ્દો ઉતરાવીએ હો જી !

બીજે-ત્રીજે ઊતરીને ડૂબકી ખાવાની છે;
છેક નવમું આવ્યું તો ભાગ્યશાળી રે લોલ !
બાકી તો પધરાવી દેવાની હોય છે ;
નકરાં આયાસની જાળી રે લોલ !
પણ લીલાંછમ્મ વાક્યોની દાંડી જો તૂટે તો; કેમ કરી દાંડલી સમારિયે જી રે !
નીતરી કવિતાની ગાગર જો છલકે તો; ગાગરમાં સાગર ઊતારિયે જી રે

– પ્રફુલ્લ પંડ્યા

ભાષાનો હાથ ઝાલીને રુઢ થઈ ગયેલી અભિવ્યક્તિથી આઘા હટી, આયાસપૂર્વક કવિતા લખવાની જિદ કે કસરત પડતાં મૂકી કવિતાની ગાગરમાં સાગર ભરવાની વાત સાવ અલગ અંદાજમાં કરતા આ ગીતના મુખડા વિશે કવિશ્રી સંજુ વાળાએ કરાવેલ વિચાર વિસ્તારનો અંશ મમળાવીએ:

કવિશ્રી સંજુ વાળાના શબ્દોમાં:

જાણીતી સામગ્રીના કોઇ એક જુદા તરી આવતાં ઉપાદાનને નવેસરથી પ્રયોજી, એમાં કારગત નીવડેલી પ્રયોજના અહીં ફરી ખપતમાં લઈ આ ચિકિત્સાયોગ સધાયો છે. સ્હેજ આ વાનાંઓની વિવિધા નજીકથી જોવી/ચાખવી રસપ્રદ બનશે. જૂઓ..

૦ ભાષાને શું વળગે ભૂર – અખો
૦ મને વળગ્યું છે ઝૂર, કોઇ મારું ઝૂર કાઢો – ર. પા.
૦ જાણતલ જોશીડો એમ કરી બોલ્યા – લોકગીત
૦ જાણતલ જોશીડા ઘાટે પધાર્યા.. -અનિલ જોશી
૦ કોઇ કૂવો ગળાવો – શ્યામ સાધુ
૦ ઉતારો આરતી શ્રી… ધરે આવ્યાં – લોકકવિ

પ્રથમ પંક્તિમાં અવતરિત ‘ભૂર’ શબ્દનો અર્થ તો કમઅક્કલ, મુર્ખ, લુચ્ચું તરીકે મુખ્યત્વે વપરાય છે. પરંતુ તેનો એક વધારાનો અર્થ ‘નામશેષ’ પણ થાય. શિયાળામાં ઉત્તર દિશાથી ફૂંકાતા પવનને પણ ભૂર કહે છે. જે જમીનમાં રહેલા ભેજને શોષવા/સૂકવવાનું કામ કરે છે. અખાની નિદર્શનામાં એવું તકાયું છે કે, આ ભૂર ભાષાને મિટાવી શકે નહીં, અથવા એની રસવત્તા કે સૌંદર્યને હણી શકે નહીં. ભાષા તો આવાં કેટલાય સમા સમાના ટાઢ-તાપથી નિરપેક્ષ છે. એટલે બીજી શક્યતા વિચારો. બીજી પંક્તિમાં ‘ઝૂર’ શબ્દ છે. તેનો અર્થ થશે ‘મેલો દેવ’, ‘પ્રેતાત્મા.’ પછીના બન્ને પદબંધની સંરચના સમજી શકાય તેવી છે. તેના ભાવવિસ્તારની કોઇ જરૂર નથી જણાતી.

કવિ કહે છે : ભાષા આવી કોઇ વિકટ સ્થિતિમાં નથી. છતાં પ્રયોજાતો શબ્દ કેમ ધાર્યું પરિણામ આપતો નથી? એટલે કે એ અન્ય કોઇ છાયામાં આવી ગયો હોય તો એનો આ વળગાડ દૂર કરાવીએ. કવિએ પોતાની વાતને અખા અને ર. પા. ના સંદર્ભથી પ્રમાણિત કરીને પ્રયોજી. આવું થાય નહીં. કેમ કે આ ભાષા સ્વયં સરસ્વતી છે. પણ એના ગણ એવા શબ્દો નજરાઇ ગયા લાગે છે. પરંતુ આ પૂછવું કોને ? કોઇ એનો જાણતલ નજરે પડતો નથી. હતા કોઇ જોશીડા (ખમ્મા, નામ તો કેમ દેવા ?) એ રહ્યા નહીં. એની નબળી છાયા જેવા છે પણ હવે એ ય પોતાની માન્યતાઓનાં અંધારિયા અને ઊંડા કૂવામાં પડેલા છે. સાર્વત્રિક કૂપમંડૂકતાનો કવિએ કાવ્યાત્મક ઉપહાસ કર્યો. હવે કાં તો આ શબ્દોને ‘ઘસાઇ-પિટાઇ જવું’ નામના ઝૂર, વળગાડમાંથી બહાર કાઢીએ અને એમ ન થઇ શકે તેમ હોય તો આ કૂપમંડૂકતાનો જય જયકાર થઈ રહ્યો છે તેમાં સામેલ થઈ જઇએ. અવળવાણીનો આ કવિતરીકો બદ્ધ માન્યતાઓ સામેનો તીણો આક્રોશ છે. સંદર્ભમાં રમતી ધન્ય સર્જકતાની દેણગીને સલામ સાથેનો અને આજની પરિસ્થિતિ સામેનો કટાક્ષમય ઇશારો છે. એક બાજુ સાર્થકતા છે. બીજી બાજુ નરી સંભ્રાંત સર્જકતાની વાહવાહી છે. કવિની આ ચેતવણી છે કે, હજીય સમય છે, જાગો અને તમને જ તમારામાં જરાંક જૂઓ. ધન્યવાદ કવિના આ સજાગ અને સમયસૂચક કવિતાવિભાવને.

ગીતના મુખડાની બન્ને પંક્તિઓને ‘જી.. રે’ જેવા સ્થાયી આવર્તનથી બાંધી છે. આપણે જાણીએ છીએ કે એ તો શુદ્ધ ભજનરીતિનો સ્તંભ છે. અને કેટલાક ભજનનું કામ પણ પ્રબોધનનું છે, એ પણ આપણે જાણીએ છીએ. આપણો આ કવિ પણ અહીં કાવ્યમાર્ગના યાત્રીઓ માટે પ્રબોધનરીતિ લઇને આવ્યો છે.

(ટિપ્પણી – શ્રી સંજુ વાળા)

Comments (4)

પળવારમાં તૂટી પડે – જવાહર બક્ષી

વિશ્વાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે,
સહવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

દર્પણ ભલે અકબંધ રહેવાનો અમરપટ્ટો લઈ બેસી રહે
પણ સ્હેજ શંકાની કરચ એવી પડે પ્રતિબિંબમાં,
આભાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

છટકી જવાની કોઈ પડછાયાને ઇચ્છા થાય ને
વિકલ્પની કોઈ છટકબારીમાં ફૂટી જાય આશાનું કિરણ,
અજવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

કૈં સાવ એમ જ કોઈ અણધારી ક્ષણે કોઈ
અજાણી અશ્મિના ચ્હેરામાં સૂતેલું કોઈ ઝીણું સ્મરણ જાગી ઊઠે,
ઇતિહાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

શબ્દો ઘડું, હું છંદ બંધાવું, વ્યવસ્થિત
પ્રાસ પહેરવું, અલંકારો રચું, ત્યાં અંગ મરડે એક અનાદિ વેદના,
આયાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

– જવાહર બક્ષી

 

રામબાણ વાગ્યાં રે હોય તે જાણે……

Comments (2)

ફોટા સાથે અરજી ! – મુકેશ જોષી

હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી
ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,
હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

– મુકેશ જોષી

 

રમતિયાળ ગીત…….

Comments (4)

શ્રીફળ બાંધ્યાં -પારુલ ખખ્ખર

થંભ અલખનો ખોડયો એના છેડા અધ્ધર આંબ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

એક ખૂણે ધગધગતી ધૂણી, બીજે ખૂણે ચૂલો રે
ત્રીજો ખૂણો સાદ કરે અંતરપટ ખોલી ખુલો રે
ચોથે ખૂણે ઉકળે આંધણ એમાં જીવતર રાંધ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

પાંચ પદારથ ઓગાળીને એક કોડિયું ઘડિયું રે
એમાં મૂક્યાં બે અંગારા ત્યાં તો જળમાં દડિયું રે
કાંઠે બેસી એનાં નામે કંઈક ઠીકરાં ભાંગ્યા રે…
શ્રદ્ધાની ગાંઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

સાત સાત ધરતીના તળિયાં, તળિયામાં તરવેણી રે
તરવેણીની માથે ફરકે એક ધજા લાખેણી રે
ધજા ઉપર ઓવારી દઈ રણઝણતાં શ્વાસો ટાંગ્યા રે…
શ્રદ્ધાની ગાઠ્યું મારી પાણીચા શ્રીફળ બાંધ્યાં રે…

-પારુલ ખખ્ખર

કવિતા શરૂ થતાં જ ભાવકને બાંધી લે છે. ‘થંભ અલખનો’- જે દેખાતો નથી, નિરાકાર છે, એનો થાંભલો ખોડવાની વાત છે. થાંભલો પણ કેવો, જેના છેડા અધ્ધર આંબે છે. (અધ્ધરનો એક દૂરનો અરુઢ અર્થ અંતરિક્ષ થાય છે, પણ અહીં અંબર શબ્દ કદાચ વધુ જામ્યો હોત!) મંદિરમાં ઘણીવાર થાંભલા પર કપડાંમાં પાણીચું શ્રીફળ મૂકીને બાંધવામાં આવે છે, એ શ્રીફળને આ અલખના થાંભલા પર નાયિકાએ બાંધ્યા તો છે પણ શ્રદ્ધાની ગાંઠ વડે. કેમકે શ્રદ્ધા વિના તો બધું જ પાણી.

મંદિરના ચાર ખૂણા. માત્ર ત્રીજા ખૂણાને છોડીને ચારેયમાં અગ્નિ. પણ ધ્યાન દઈએ તો આ ત્રીજા ખૂણામાં પણ અગ્નિની અનુપસ્થિતિ નથી જ. આ ત્રીજો ખૂણો અંતરપટ ખોલીને ખૂલવાને સાદ દે છે. વિવાહમંડપમાં મૃત્યુની એટલે કે યમની આહુતિ આપતી વખતે અગ્નિ અને વરકન્યાની વચ્ચે પડદો રાખવામાં આવે છે જેથી બન્ને જણ આહુતિ જોઈ ન શકે. અંતરપટ ઊઘડે તો જ એ અગ્નિ દેખાય.

સરવાળે આખી રચના આસ્વાદ્ય છે.

Comments (9)

જ્યાંથી અટક્યો શબ્દ – તુષાર શુક્લ

જ્યાંથી અટક્યો શબ્દ
સ્પર્શનું ત્યાંથી ગાયું ગીત,
હથેળીઓમાં છલકે તારી છાતીનું સંગીત.

અંતરને અંતરનો અનુભવ
સાવ અજાણ્યો લાગે
હોઠ ને કાંઠે હોઠ ટહુકતા
એવો અવસર માંગે
રણકે રણઝણ ટેરવાં આજે
શબ્દ તો સાવ સીમિત…

આંખોની ભાષાના અર્થો
આંગળીઓમાં ઉઘડે
મળવું મૂશળધાર સખી,
શું મળવું ટુકડે ટકડે?
ચાલ, ભૂલીને સઘળું,
કરીએ અનરાધારે પ્રીત….

રોમ રોમને વાચા ફૂટે
શરીરથી સાંભળીએ
આવ સખી, ઓગળીએ મળીએ
ને મળીએ ઓગળીએ
સ્મૃતિ બનીને રોજ મહેકશે
સ્પર્શ આ કાલાતીત…..

– તુષાર શુક્લ

 

સ્પર્શ-વિશ્વની સફર છે… ઘણીવાર બાળપણમાં વ્યગ્રતાના સમયે મા કશું બોલ્યા વિના માથે હાથ ફેરવતી અને સઘળું શમી જતું. પ્રેયસી,પત્ની,બાળકો,મિત્રો….તમામ સંબંધે સ્પર્શ એક પારસમણિ હોય છે….

Comments (4)

(પ્રેમ) – મનોહર ત્રિવેદી

ના પ્રાપ્તિ : બસ પ્રેમ
હો વ્યાપ્તિ પ્રિય, એમ

.       શું ઊગમણે?
.       શું આથમણે?
સૂરજ દેશે હેમ

.       હળિયે મળિયેં
.       માર્ગ બદલિયેં
તોય ન જાગે વ્હેમ

.       આજુ-બાજુ
.       તાજું-તાજું
હોય પુષ્પની જેમ

.       આંસુ લૂછો
.       કશું ન પૂછો
કશું ન પૂછો : કેમ?

– મનોહર ત્રિવેદી

કેવું ટૂંકુ-ટચરક ગીત! વાંચતા જ ઇમેજિસ્ટ પોએટ્રી યાદ આવી જાય. ઓછા શબ્દો પણ વાત મજાની! પ્રેમની અદભુત વિભાવના! કશુંય પ્રાપ્ત નથી કરવું, બસ, પ્રિયજનમાં વ્યાપ્ત થવું છે… એકમેકમાં પથરાવું છે. જિંદગી ગમે એ દિશામાં કેમ ન જાય, સાથ હાથ હશે તો હાથ હેમ જ લાગશે. કંઈ કરીએ, ન કરીએ પણ વ્હેમ વિના. કેમકે શંકાની ઉધઈ તો જિંદગીના વટવૃક્ષને મૂળમાંથી ખાઈ જાય છે. પ્રેમમાં બધું જ તાજું લાગવાનું. યુનિવર્સલ ફ્રેશનેસ એ પ્રેમની સહજ અનુભૂતિ છે. પ્રેમમાં પ્રિયજનની આંખમાં આંસુ આવે તો આપણું કામ એને લૂંછી દેવાનું છે. આંસુ કેમ આવ્યાં, કોના કારણે આવ્યાં વગેરેની પળોજણમાં પડવાનું નથી. પ્રિયપાત્રને હૈયું ખોલવું હશે તો એ આપોઆપ ખોલશે, આપણે ખોદકામ કરવાની જરૂર નથી. સાવ ટૂંકી કવિતામાં પણ કવિ ‘કશું ન પૂછો’ની દ્વિરુક્તિ કરીને પ્રિયજનના મૌનને માન આપવાની વાતને અધોરેખિત કરે છે… કેમકે સાચો પ્રેમ આ જ છે!

Comments (6)

ઝંખના – જયન્ત પાઠક

ઊગતો સૂરજ તને આપું છું, લે – તું એને સાંજ સુધી સાચવે તો સારું
ઝળહળતી આંખોમાં જોજે ભરબપોરે ઊતરે ના સાંજનું અંધારું.

ખરતાં ફૂલોને રોજ જોવાનાં બાગમાં
ઊગ્યાં – ના ઊગ્યાં ને ઓરાયાં આગમાં

પાંચ પાંચ પાંખડીનું આપું છું ફૂલ, એને જીવ જેમ જાળવે તો સારું,
જીવતરના વ્હેણનેય વાંકાચૂકા વહીને આખર તો બનવાનું ખારું!

રસ્તા ઘણા ને ઘણી ભૂલ ને ભૂલામણી
અધવચ્ચે અણધારી આફત ને તાવણી

રેશમની દોર એક આપું છું, લે – ન તૂટે, છેક લગી સાચવે તો સારું
અધવચ્ચે બાંધીને ખેંચી ન જાય પેલું અણધાર્યું મોત જો અકારું!

– જયન્ત પાઠક

વિશ્વાસ પ્રેમનો શ્વાસ છે, પણ એ શ્વાસમાં ગૂંથાય છે ધીમે-ધીમે. ઊગતા સૂરજ જેવો તરોતાજો શીતળ પ્રેમ પ્રિયપાત્રના હાથમાં આપતી વખતે થોડો ડર તો હોય જ કે, ક્યાંક બપોર પહેલાં આ સૂરજ આથમી ન જાય! સામું પાત્ર પોતાના આ પ્રેમને સાચવે જ એવી કોઈ તીવ્ર અપેક્ષા અહીં નથી. અહીં તો માત્ર એટલી જ ઝંખના છે કે સાંજ સુધી આ સૂરજ એ સાચવી શકે તો સારું, ક્યાંક ભરબપોરે આંખમાં સાંજના વિષાદી ઓળા ન ઊતરી આવે! બાગમાં ફૂલો ખીલે છે, ખરે છે અને અત્તર બનાવવા માટે આગમાં પણ ઓરાય છે. નાયકે પોતાની પંચેન્દ્રિયોનું પુષ્પ, પોતાનું ફૂલ જેવું સુકોમળ જીવન નાયિકાને હાથ દીધું છે. જીવન નદી જેવું છે. નદીનું પાણી ગમે એટલું મીઠું કેમ ન હોય, વાંકાચૂકા વહેણના અંતે સાગરમાં ભળીને ખારાં થવું એ જ એનું ગંતવ્ય છે. સહજીવનની નદીમાં પણ ખારાશ તો ઉમેરાશે જ પણ અસંખ્ય ભૂલભૂલામણી અને અણધારી આફત અને કસોટીઓથી ભરેલો દરિયા સુધીનો પંથ સાથે કાપી શકાય તો સારું એટલી જ નાયકની આરત છે. પ્રેમ રેશમની દોર જેવો નાજુક છે. જરા જોર કરશો તો તૂટી જશે. મોત અણધાર્યું આવીને અધવચ્ચેથી ખેંચી જાય એ અલગ વાત છે, પણ એવું કમનસીબ ન હોય તો છેક સુધી આ નાજુક દોરી સચવાય તો સારું એવી ઝંખનાને વ્યક્ત કરતું સરળ સહજ બાનીનું આ લયબદ્ધ ગીત વાંચતાં જ સ્પર્શી જાય એવું છે.

 

Comments (5)

એક અનુભવ તને કહું…. – રમેશ પારેખ

એક અનુભવ તને કહું, લે, સાંભળ સોનલ….

એક વખત આ હું ને મારી આંખ ગયાં’તાં દરિયે,
ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ.

ઘેર આવતાં ઘરના મોં પર નરી તાજગી ભાળી,
અને અડપલું બીલી ઉઠ્યું : જડી ગયું, દે તાળી…

અમે પૂછ્યું : શુ જડી ગયું તો કહે – નથી જે તે જ,
અને ઓસરી પર ઝગમગતું પગલું ચીંધ્યું સ્હેજ.

ચિઠ્ઠી હોય તો વાંચે કોઈ પગલું વાંચે કેમ,
એક જ પગલે કેટકેટલા પગના આવ્યા વહેમ.

પગલા ઉપર અમે ચડાવ્યા પાંપણનાં બે ફૂલ,
ટીપે ટીપે સપના સુધી બાંધ્યો ભીનો પુલ.

તો ય અમે હાર્યા ને પગલું જીતી ગયું’તું અમને,
અમે જરીક ધાર્યા ન્હોતાં છાનાં પગલે તમને

ઘર ચોખ્ખું ને અમે ય આખ્ખા ઝલમલ ઝલમલ,
ઓસરી અફલાતો અફળાતો દરિયો કલબલ કલબલ

એક અનુભવ તને કહું, લે સાંભળ, સોનલ…..

– રમેશ પારેખ

Comments (2)

एकांत संगीत – हरिवंशराय बच्चन

तट पर है तरुवर एकाकी,
नौका है, सागर में,
अंतरिक्ष में खग एकाकी,
तारा है, अंबर में,

भू पर वन, वारिधि पर बेड़े,
नभ में उडु खग मेला,
नर नारी से भरे जगत में
कवि का हृदय अकेला!

– हरिवंशराय बच्चन

અહીં કોઈ ફરિયાદ નથી. એકલા હોવું એ શાશ્વત વાસ્તવિકતા છે. મન થી વધુ છેતરામણું કઈ જ નથી. એ સતત આ વાસ્તવિકતાને શક્ય તેટલી ભૂલાવી દેવા હરક્ષણ પ્રવૃત્ત હોય છે. J Krishnamurti તેથી જ કહેતા કે લોકો મને સાંભળવા એ રીતે આવે છે જે રીતે ફિલ્મ જોવા જાય છે. મારી વાત કોઈ જીવનમાં ઉતારવાનો નિષ્ઠાવાન પ્રયત્ન સુદ્ધા કોઈ કરતુ નથી. સ્વાભાવિક છે – કારણ કે તેઓ એ વાત સ્પષ્ટ કરી દેતા કે એકલા હોવું એ અફર સત્ય છે.

Comments (1)

આ કેવી નીંદર – જિગર જોષી ‘પ્રેમ’

આ કેવી નીંદર જેમાંથી જાગ્યા પણ ના જાગ્યા
આટઆટલું દીધું એણે; તોય અખેવન માગ્યા!

હથેળીઓના દરિયા જેનાં તળ ના લાગ્યાં હાથ
જે મૂક્યું તે ડૂબ્યું એમાં, આ તે કેવી ઘાત!
માયાનાં મોજામાં સૌએ પગ પલાળ્યે રાખ્યા.

આંખો આપી, દૃષ્ટિ દીધી; તોય ન જાણ્યું સત
‘જીવ’માં કોણે પાડ્યા અક્ષર; કોણે લખિયો ખત?
મંદિરિયા પર ‘ધજા’ નામને ફરફરતાં બસ રાખ્યા.

– જિગર જોષી ‘પ્રેમ’

મનુષ્યની ઇચ્છાનો કોઈ અંત જ હોતો નથી. ખુલ્લી આંખે આપણે આખી જિંદગી ઊંઘવામાં જ પસાર કરીએ છીએ. એણે આપેલું આપણને કદી પૂરું પડતું નથી. આપણા હાથમાં જે આવે એ આપણને ઓછું જ પડે છે. ટાગોર યાદ આવી જાય: ‘તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.’ એણે આપેલી દૃષ્ટિથી આપણે સત જોઈ શકતાં નથી. આપણાં મંદિર પર એના નામની ધજા ફરફરતી રહે છે, માત્ર. ભીતર કંઈ જ નથી…

Comments (9)

આવો વરસાદ નહીં ચાલે… – મુકેશ જોષી

લાડમાં ઉછરેલાં શમણાઓ બોલ્યાં:
તારી આ વાત નહીં ચાલે
મનગમતા ચહેરાની પાસે લઇ ચાલો
ખાલી આ યાદ નહીં ચાલે…

આખો ઝુરાપો નિચોવી નિચોવીને
તેલ પૂરે રાખ્યું છે એટલું
શમણાંની વાતોય સાચી કે
યાદના દીવાનું અજવાળું કેટલું?

એક ટીપું અજવાળું આખીય જિંદગીની
રાતોની રાત નહીં ચાલે

વ્હાલપની છાલક જે મારી એ હાથોમાં
છાલાનાં વ્યાપ અમે આંક્યા
ઠેરઠેર મળવાનાં વાવ્યાં’તા બીજ
છતાં શ્વાસે જુદાગરાઓ પાક્યા

દરિયો ભરીને અમે રોયાને તોય કહે
આવો વરસાદ નહીં ચાલે…

– મુકેશ જોષી

 

 

Comments (3)

આપણ બેઉ ‘અ-નોખા’ – કુમાર જિનેશ શાહ

તું વૈકુંઠે, હું ધરતી પર, આમ તો નોખા નોખા.
. . . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

તારા જેવો હું છું ને તું મારા જેવો લાગે,
મારી ઝાલર, તારી બંસી સંગે સંગે વાગે.
દિલની ડેલી શણગારીને ખોલું નૈન ઝરોખા.
. . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

કદંબની લીલી ડાળી કો’ મારા અંદર વાવે,
ચકલી થઈને તું એ ડાળે ઝૂલવા માટે આવે.
તું લઈ આવે કંકુ ને હું લાવું ચપટીક ચોખા.
. . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

તું આપીને વિસરી જાતો પૂરેલાં કંઈ ચીર,
હુંય ધરાવી ખુદ પી જાઉં તારા નામે ખીર.
શું તારું, શું મારું, શીદને કરવા લેખાંજોખાં.
. . . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

– કુમાર જિનેશ શાહ

હળવે હળવે માણવાની રચના…

Comments (7)

આટલો તો વહાલો તું લાગ મા – નેહા પુરોહિત

આટલો તો વહાલો તું લાગ મા;
રુદિયામાં રહેવાનું, નસનસમાં પેસીને આખી ને આખી તો તાગ મા..

ઝાડવાની જેમ સાવ છાનેરો રોપાયો, કોળ્યો સમૂળ મારી જાતમાં;
દિવસે જો માપું તો વ્હેંત વ્હેંત વધતો ને વાંભવાંભ વધતો તું રાતમાં,
લ્હેરખીની સાથ તું તો તાલ દઈ નાચે, અને હેતનો હિલ્લોળ આખા બાગમાં..
આખી ને આખી તો તાગ મા..

નેહનું અદીઠ કોઈ જંતર બાજે છે, મારાં અંતરમાં સૂરનાં છે પૂર ,
કહેવું, ના કહેવુંની અવઢવમાં રાચતી હું જીવતર માણું છું ભરપૂર..
ફાગણિયો ફાગ ગાઈ, મનગમતો રાગ ગાઈ, લઈ લે આ લુચ્ચીને લાગમાં ;
આખી ને આખી તો તાગ મા..

– નેહા પુરોહિત

સહજ અભિવ્યક્તિનું પ્રભાવક પ્રણય ગીત.  હળવો ઉપાલંભ આપીને નાયિકા નાયક માટેની પોતાની દિન દૂની, રાત ચૌગૂની વધતી લાગણીઓને કેવી સરસ રીતે આલેખે છે! લહેરખીની સાથે નાયક તાલ પૂરાવે એટલામાં આખા જીવનમાં હેતનો હિલ્લોળ રેલાઈ જાય એ સાચી કવિતા છે…

Comments (13)

મેં તો- – મનોહર ત્રિવેદી

મેં તો આંખોને કહી દીધું સાનમાં :
નજરુંને વાળી લ્યો, પાંપણને ઢાળી દ્યો, એવું શું દીઠું છે ક્હાનમાં?

ગાયોની વાંભ પડી કાનમાં તો કાલિન્દી
ઊછળતી જોઉં છું અચંબે,
વાંસળીના સાંભળ્યા જ્યાં સૂર ત્યાં તો
ડાળીને નીચે નમાવી કદંબે,
લ્હેરખીને એવું શું સૂઝ્યું કે વાલામૂઈ અટવાતી આમ પાનેપાનમાં.
મેં તો આંખોને કહી દીધું સાનમાં

છેટાં રહેવાનું સુખ જાણે ના એ જ
રહે નિકટ ને ઝંખે સહવાસ,
માથે ઝળૂંબતાં જ સમજાયું એટલે
ઊંચે જઈ ઊભું આકાશ,
સહેજ સાજ અડક્યાં તો ફેરવાઈ જાવાનું અમથું અમથું રે એના વાનમાં.
મેં તો આંખોને કહી દીધું સાનમાં.

– મનોહર ત્રિવેદી

કૃષ્ણ સાથે મીઠો ઝઘડો હંમેશથી કવિઓનો ચહીતો વિષય રહ્યો છે. કવિશ્રી મનોહર ત્રિવેદી જરા અલગ રીતનો ઝઘડો માંડે છે. એ કૃષ્ણ સાથે લડવાના સ્થાને પોતાની આંખોને જ ફટકારે છે કે ક્હાનમાં એવું તે શું જોઈ ગઈ છો? નજર બીજી તરફ વાળી લ્યો અને પાંપણ નીચી ઢાળી દ્યો. કાનુડાની ગાયોનો અવાજ સાંભળતાવેંત કાલિંદી નદી રમણે ચડે છે, વાંસળીના સૂર સાંભળી કદંબની ડાળેડાળ નીચી નમે છે, જાણે કાન દઈ રસપાન ન કરતી હોય! અને પવનની લહેરખી પણ વાવાનું છોડીને પાનેપાન અટવાઈ રહી છે. કવિનો કૃષ્ણપ્રેમ પણ આ જડને ચેતન બનાવતી સૃષ્ટિનો જ એક અંશ હોવા છતાં બધાથી અલગ છે. કવિ છેટાં રહીને મિલન કરતાંય મિલનઝંખનામાં જે વિશેષ આનંદ છે એ જાણી ચૂક્યા છે એટલે કહે છે કે આઘે રહેવાનું સુખ જેણે ચાખ્યું નથી એ જ નજીક રહેવાની આરત કરવાની મૂર્ખામી કરે. આકાશ આ વાત બરાબર સમજી ગયું છે. એકવાર એ માથે શું ઝળૂંબ્યું કે વાદળાંઓ કાળાં થઈ ગયાં. જાતને ગુમાવવી એ કાનજીની નજીક જવાનું સૌથી મોટું જોખમ છે. તમે જરા એની નજીક ગયાં નથી, જરા અમથો એનો સ્પર્શ પામ્યાં નથી કે એનો વાન તમારો વાન થયો નથી… એટલે થોડા આઘા, થોડા અળગા રહીને ચાહવામાં જ મજા છે…

Comments (5)

જોડણીનો બંધકોશ – હરીશ મીનાશ્રુ

જોડણીનો બંધકોશ ભારે જીગનેસભાઈ, એનો ઇલાજ કરું સું?
લખવા બેસે છે બધા હોય જાણે ગુજરાતી ભાસાના જોડણીઘસુ

ભૂલવાળી ચોપડીમાં એકાદસીને દા’ડે
ઊધઈયે મોઢું નથી ઘાલતી
ઊંઝાવાળાનું તપે સત્ત, તોય ઘેલી
ગુજરાત નથી ઇસબગુલ ફાકતી

હરડે હીમજ પેઠે વિદીયાપીઠને જોડણીકોસને ચૂસું?
સ્પૅલચૅક વિના કક્કો બારાખડીનાં દુઃખ કેમ ચેકું ભૂસું

જોસી ઉમાસંકર ને રંજન ભગત એવા
કવિઓ પાક્યા છે ઊંચા માયલા
આપડી આ માતરુ ભાસામાં, તોય શાને
લોલેલોલ આવું કરે ચાયલા

ફાધર વાલેસ મળે મારગે ને હાલચાલ પૂછે તો કહેવાનું સું?
બાવન અક્સરને સંઘરવા ગાંધીની પોતડીને ક્યાં છે ખીસું?

ઇંગરેજી ફોદા બે નાખીને ગુજરાતી
દૂધનું જમાવવાને દહીં
ઊભી બજારે લોક બેઠું ગુજરેજી
દુગ્ધાલય ખોલીને અહીં

એબીસીડીના અખરામણવાળા આ અક્કલમઠાનું કરું સું?
ઠોઠ રે નિસાળિયો ને મહેતાજી બેઉ ફાકે ભાસાને નામે ભૂસું

– હરીશ મીનાશ્રુ

ઉફરા તરી આવતા વિષયો, અરુઢ ભાષા, અસામાન્ય બાની અને અભિવ્યક્તિની મૌલિકતાના કારણે કવિશ્રી હરીશ મીનાશ્રુના ગીતો આજના આખાયે ફાલથી બિલકુલ નોખા તરી આવે છે. એમનો અવાજ એમનો પોતાનો ટ્રેડમાર્ક બની ગયો છે. પ્રસ્તુત રચનામાં ખાડે ગયેલી ગુજરાતી જોડણી, ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકોને એમણે આડે હાથે લીધા છે.

અંગ્રેજી જોડણીમાં સહેજ પણ ભૂલ ન થાય એની ચીવટાઈ રાખતી ગુજરાતી પ્રજા પોતાની ભાષાની જોડણી જ સાચવી શકી નથી. શ,ષ, સ – ત્રણેયનો એક જ ‘સ’માં ફાલુદો કરવા ઉપરાંત બોલાતી ખોટી ભાષાને ગીતનું સાધન બનાવીને કવિએ સતત હાંસી ઉડાવતા જઈને ચૂંટિયા ખણવાનું બેવડું કામ કર્યું છે. જિજ્ઞેશભાઈ, સૉરી, જિગનેસભાઈને સંબોધીને કવિ કહે છે કે જોડણીકોશને ભારી કબજીયાત થઈ છે અને એનો ઇલાજ કેમેય કરી જડતો નથી. આમ તો ભૂલવાળી ચોપડી આપણે ચલાવી લેતા નથી, ઊંઝા જોડણીવાલા સરળીકરણ માટે માથાં પટકી મરી જાય છે પણ વિદ્યાપીઠ એના જોડણીકોશને બદલવાનું કે સુધારવાનું નામ લેતી નથી. ઊંઝા જોડણીનું ઇસબગુલ ફાંકે કે વિદ્યાપીઠનો જોડણીકોશ લોકો હરડે-હીમજની જેમ ચૂસે તો કદાચ આ બંધકોશ ખૂલે. ગુજરાતી શબ્દોમાં જોડણીની પૂરતી ખોદણી કરતા કવિ પાછા સ્પૅલચૅક જેવા અંગ્રેજી શબ્દમાં માત્રાનીય ભૂલ કરતાં નથી, આ કટાક્ષ પણ નોંધવા જેવો.

ઉમાશંકર જોશી અને નિરંજન ભગત જેવા ઊંચી કક્ષાના કવિઓ પાક્યા હોવા છતાં માતૃભાષામાં આવું લોલંલોલ કેમ ચાલ્યા કરે છે એ એક કોયડો છે. વિદેશથી આવેલ ફાધર વાલેસ જેવા માણસની જોડણી નખશિખ સાચી હતી પણ ગાંધીની ગુજરાત પાસે બાવન અક્ષર સમાય એવું ખિસ્સું પણ નથી. ગુજરાતી દૂધના ઠેકાણાં નથી, પણ એમાં અંગ્રેજીની મિલાવટ કરીને ગુજરેજીનું દહીં જમાવવા આખી પ્રજા ઊભી બજારે નીકળી પડી છે. એબીસીડીઘેલા આ અક્કલમઠાઓનું શું કરવું એ વિમાસણ છે. આપણે ત્યાં નથી શિક્ષકમાં ઠેકાણાં, નથી વિદ્યાર્થીના. ગુજરાતી ભાષાના ભવિષ્ય ઉપર વેધક કટાક્ષ કરતું હળવું લાગતું આ ગીત અંતે આપણા હૃદયને ભારઝલ્લું કરી જાય છે.

Comments (23)

હવે હુંય અસ્તાચળ ભણી છું…- મુકેશ જોષી

ચકમકતી ધાર તો ઘસાઈ ગઈ ને
સાવ બુઠ્ઠી થયેલી અણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું

ઝાંખપનાં વાદળાંઓ આંખે ઘેરાયાં ને
કાનના પડદે બાકોરાં
મનગમતા, મિઠ્ઠા ને ગળચટ્ટા દિવસોના
સ્વાદ હવે લાગતા ખોરા
કરચલીમાં રોજરોજ વહેંચાતો જાઉં ને
લોકોની આંખમાં કણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું

જેટલા શ્વાસ લઉં એનાથી બમણા
હું શ્વસતો રહું છું નિ:શ્વાસો
ફાટેલી વેદનાને સાંધવા ને સાંધવામાં
ફાટી ગયો છે મારો વાંસો
રોજ થોડીથોડી કપાતી આ પાંખ ને
તૂટતી આ પાંખનો ધણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું

– મુકેશ જોષી

અહીં વાત ઉંમરની નથી, માનવીના સ્વ ની – self ની – છે. ઈચ્છા-અનિચ્છાએ સતત કરવા પડતા સમાધાનોની છે, ક્ષણેક્ષણે વાગતા ઘા ની છે, પોતે અહીં misfit છે એ લાગણીની છે…..

Comments (5)

मुझे पुकार लो – हरिवंशराय बच्चन

इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!

ज़मीन है न बोलती न आसमान बोलता,
जहान देखकर मुझे नहीं जबान खोलता,
नहीं जगह कहीं जहाँ न अजनबी गिना गया,
कहाँ-कहाँ न फिर चुका दिमाग-दिल टटोलता,
कहाँ मनुष्य है कि जो उमीद छोड़कर जिया,
इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो

इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!

तिमिर-समुद्र कर सकी न पार नेत्र की तरी,
विनष्ट स्वप्न से लदी, विषाद याद से भरी,
न कूल भूमि का मिला, न कोर भोर की मिली,
न कट सकी, न घट सकी विरह-घिरी विभावरी, [विभावरी – તારાઓભરી રાત્રી]
कहाँ मनुष्य है जिसे कमी खली न प्यार की,
इसीलिए खड़ा रहा कि तुम मुझे दुलार लो!

इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!

उजाड़ से लगा चुका उमीद मैं बहार की,
निदाघ से उमीद की बसंत के बयार की, [निदाघ – તીવ્ર ગરમી, बयार – શીતળ પવન]
मरुस्थली मरीचिका सुधामयी मुझे लगी,
अंगार से लगा चुका उमीद मै तुषार की,
कहाँ मनुष्य है जिसे न भूल शूल-सी गड़ी
इसीलिए खड़ा रहा कि भूल तुम सुधार लो!

इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!
पुकार कर दुलार लो, दुलार कर सुधार लो!

– हरिवंशराय बच्चन

અનાયાસે ફેસબુક પર કોઈ દીકરીને આ કાવ્યનો સુંદર પાઠ કરતી સાંભળી… સરસ કવિતા વાંચવા મળી ગઈ.

બચ્ચનજીની રસાળ લયબદ્ધ પ્રવાહી ભાષા તો મનોરમ્ય હોય જ છે, પણ કાવ્ય મર્મસ્પર્શી છે….

માણસ આશા ત્યાગતો નથી. આશા માણસને સંઘરતી નથી. સંબંધ જેટલો મજબૂત, તેટલું જ દારૂણ તે તૂટવાનું દુઃખ… સંવેદનશીલ હૃદયનું ગંતવ્ય જ છે ઘાયલ થવું…..

Comments (4)

કોણ બતાવે કેડી – ભગીરથ બ્રહ્મભટ્ટ

કોણ બતાવે કેડી?
કોના રે અણસારે ચઢતી ચપચપ કીડી મેડી!

સૈયર સાથે જાતર જાતી
મારગ લેતી મીઠો
મોરસદાણો મેડી ઉપર
દીવા જેવો દીઠો
ગોવર્ધન શો મોરસદાણો માથે લીધો તેડી!
કોણ બતાવે કેડી?

મુખમાં દાણો પગમાં ઝાંઝર
દોડે દડબડ એવું
ઝરમર ઝરમર વર્ષાકાલે
ટપકે ટપટપ નેવું.
ધ્યાન-ધરમના ધજાગરા નહિ, કરમો લેવાં ખેડી!
કોણ બતાવે કેડી?

– ભગીરથ બ્રહ્મભટ્ટ

કીડી વિશે આવું મજાનું ગીત આપણે ભાગ્યે જ માણ્યું હશે. કીડીના મૂળભૂત ગુણધર્મોને લયબદ્ધ કરીને કવિ મજાની કવિતા સિદ્ધ કરે છે અને કીડીના બહાને આપણને આંગળી પણ ચીંધે છે…

Comments (4)

એવો આ પ્રેમનો સંબંધ છે… – હિતેન આનંદપરા

પ્રીતનો એ નાતો, એ વરસાદી રાતોની વાતોની યાદો મોઘમ છે
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.

ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.

જેની શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે

જોઈ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું

આંખોમા તારી બનાવીશ હું ઘર
છોને દુનિયાના દરવાજા બંધ છે

પહેલો વરસાદ અને પહેલું મિલન અને પહેલી તે વિશે શું કહું
એ પળની મજા કંઈ કહેવાથી સમજાય નહીં ચાલે તમે કો’કે હું કહું

ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…

– હિતેન આનંદપરા

Comments (3)

રે ગિરનારી બાવા -પારુલ ખખ્ખર

રે ગિરનારી બાવા,
રે ગિરનારી બાવા તુજને વિનવું જોડી હાથ
તને હું શીશ ટેકવું નાથ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
તારી આંખ્યું વચ્ચે તગતગ તાતા તેજ
સુકવ્યા કયા તાપણે ભેજ
તને કાં ફરક ન પડતો સ્હેજ
તે તો છાંડી ફૂલની સેજ
અને હું….
અને હું ઊગતાં નમતાં પહોર વચાળે
ભાત ભાતના શોર વચાળે
રંગબિરંગી મોર વચાળે
કાળ કાચલી તોડી તોડી ખાવ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
તારા વનમાં વહેતા આછા આછા નીર
બોલે કોયલ-કાગા-કીર
તારી અંદર ધૂણે ગીર
તું તો થઈ ગ્યો પીર-ફકીર
અને હું…
અને હું એકલપંડે ગામ વચાળે
ભાંગ્યા તૂટ્યા ઠામ વચાળે
ના ખૂટનારા કામ વચાળે
કાળ સળીને સાવરણે વાસીદા વાળ્યે જાવ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
તારી જટા સાચવી બેઠી સઘળા ભેદ
ઉડાડયા કેટકેટલા છેદ!
ઉતાર્યા કેવા કેવા મેદ!
ફગાવી સાતસાંકળી કેદ
અને હું…
અને હું અહીંયા ઊભી આળ વચાળે
જનમ-મરણની જાળ વચાળે
એક અજાણી ફાળ વચાળે
કાળનદીમાં લૂગડાં ધોતી જાવ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
મારી અરજી વાંચી દેજે થોડું ધ્યાન
હવે ના સહેવાતા તોફાન
સાધવા અઘરા શરસંધાન
કરી લઉં દૂર દેશ પ્રસ્થાન
અને તું…
અને તું ઇહલોક પરલોક વચાળે
આંસુડાં ને પોક વચાળે
સૂના ચાચર ચોક વચાળે
કાળ પથ્થરે માથું ફોડી ખુદને ખાજે રાવ
કે મારી જોગણ પાછી આવ…
કે મારી જોગણ પાછી આવ.

-પારુલ ખખ્ખર

૨૦-૨૦ના આ જમાનામાં આપણને આવા લાંબા ગીતની આદત રહી નથી પણ થોડો સમય અને ધીરજ ફાળવીને નજર નાંખીએ તો સરવાળે પસ્તાવું નહીં પડે એવું ફળદ્રુપ ગીત. રાજકોટ-અમરેલીનું ફરજંદ ગિરનારને કેન્દ્રસ્થ રાખી આવું ગીત લખે તો જૂનાગઢના કવિઓએને જરૂર મીઠી ઈર્ષ્યા થવાની. ચાર બંધના ગીતમાં નાયિકા અડધે સુધી નાથ અને અડધેથી જાતની વાતને સામસામે ગોઠવીને બંનેના જીવનનો વિરોધાભાસ જે રીતે ધારદાર બનાવે છે એ આ ગીતનો પ્રાણ છે. દરેક અંતરાના અંતે કાળની વાત આવે છે, જો કે કાળસળી અને કાળનદીમાં એ વાત જેટલી સહજતાથી આવી છે, એટલી કાળકાચલી અને કાળપથ્થરમાં આવી હોત તો વધુ મજા આવત.

નાથ સંસાર ત્યજીને ગિરનાર પર્‍ બાવો બની અડિંગો જમાવી બેટઃઓ છે અને નાયિકા હાથ જોડીને, પગે પડીને એને પાછો આવવા મનાવી રહી છે. જોગીની આંખમાંથી સંબંધની ભીનાશ સૂકાઈને તગતગતા તેજમાં ફેરવાઈ ગઈ છે. નાયિકા રંગોભર્યા વૈવિધ્યસભર સંસારમાં અટૂલી પડી જઈ, પ્રતીક્ષાની પળો પર જીવી રહી છે. છેવટે, નાયિકા યોગ્ય ચીમકી આપતાં કહે છે કે તારા વિના આ જીવન જીવી શકાય એમ નથી રહ્યું. ન કરે નારાયણ ને હું મૃત્યુ પામું તો તું બે લોક વચ્ચે ત્રિશંકુની જેમ લટકી જશે, કાળના પથ્થર પર માથું ફોડીને રડતો-પોકારતો રહી જશે કે મારી જોગણ, પાછી આવ.. પણ એ વખતે જોગણ તો…

કવયિત્રીએ ચુસ્તપ્રાસ-સાંકળી અને મજબૂત લયના સહારે આખા ગીતને બહુ સજ્જતાથી બાંધ્યું છે.

Comments (6)