તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
અંકિત ત્રિવેદી

વદાય – નરસિંહરાવ દિવેટીયા

સધ્યા સલૂણી થઈ લુપ્ત સુષુપ્ત થાયે
નૈને રમે તદપિ રંગ રૂડા બધા એ,
આનન્દ દેતું મૃદુ ગાન વિરામ પામે,
તોયે ભમી શ્રવણમાં ધ્વનિ રમ્ય જામે;
ખીલી હસે કુસુમ ને કરમાય જયારે
તોયે સુગન્ધ મનમાં કરી વાસ મ્હાલે;
હા ! તેમ આજ તુજ દર્શન લુપ્ત થાયે,
તારા ગુણો સ્મરણમાં રમશે સદાયે.

– નરસિંહરાવ દિવેટીયા

વસંતતિલકા છંદની આઠેય પંક્તિઓમાં ‘એ’કારાંત પ્રાસ ઉપરાંત ત્રીજી-ચોથી અને સાતમી-આઠમી પંક્તિઓમાં ચુસ્ત પ્રાસ મેળવાયો હોવાથી કાવ્યસંગીત વધુ કર્ણમધુર બને છે. પ્રિયજનની વિદાયની વાત છે. પણ શરૂઆત પ્રકૃતિના ઘટકતત્ત્વોથી થાય છે. સલૂણી સાંજ લુપ્ત થઈ જાય પણ એના રંગો આંખ સમક્ષ ક્યાંય સુધી રમતા રહે છે. આનંદ આપતું મીઠું ગીત પૂરું થઈ જાય એ પછી પણ એનો ધ્વનિ મનોમસ્તિષ્કમાં ભમતો રહે છે. મજાનું ફૂલ કરમાઈ ગયા બાદ પણ એની ખુશબૂ ક્યાંય સુધી સ્મૃતિમાં ઘર કરી રહે છે. એ જ રીતે પ્રિયપાત્રની વિદાય બાદ પણ એના ગુણો કથકના સ્મરણોમાં હરહંમેશ રમતા રહેવાના છે… કેવું મજાનું ગીત!

પણ હવે આ ગીતની સાથે શેલીનું આ કાવ્ય સરખાવીએ તો તરત જ ખ્યાલ આવશે કે આ તો સીધેસીધો ભાવાનુવાદ જ છે. નરસિંહરાવે આ કવિતા મૌલિક છે કે અનુવાદ એ અંગે ક્યાંય ફોડ પાડ્યો હોય તો મને એની જાણકારી નથી. કોઈ મિત્ર આ બાબત પર પ્રકાશ પાડશે તો ગમશે. જો કે શ્રી રામનારાયણ વિ. પાઠકે આ બંને રચનાઓ એકસાથે ટાંકીને લખ્યું છે કે, ‘શ્રી નરસિંહરાવ ઉપર અંગ્રેજીની પુષ્કળ અસર છે.’ પાઠકસાહેબ પ્રખર જ્ઞાની અને અભ્યાસુ હતા. તેઓ એકપણ શબ્દ નક્કર પુરાવા વિના કદી રજૂ કરતા નહોતા, એટલે એમની ટિપ્પણી પરથી એમ તારણ કાઢી શકાય કે કવિએ પ્રસ્તુત રચના અનુવાદ છે કે કેમ એ વિશે કવિએ ખુલાસો આપ્યો જ નહીં હોય.

Music, when soft voices die,
Vibrates in the memory—
Odours, when sweet violets sicken,
Live within the sense they quicken.

Rose leaves, when the rose is dead,
Are heaped for the belovèd’s bed;
And so thy thoughts, when thou art gone,
Love itself shall slumber on.

– Percy Bysshe Shelley

9 Comments »

  1. kishor Barot said,

    March 11, 2021 @ 2:13 AM

    બહુજ સુંદર 👌

  2. Jayant Dangodara said,

    March 11, 2021 @ 2:20 AM

    બંને રચનાઓ સાથે મૂકીને ભાવનનો સ-રસ અવસર પૂરો પાડ્યો. બંને સહજ લાગે એવી રજૂઆત છે.

  3. Harihar Shukla said,

    March 11, 2021 @ 2:37 AM

    વાહ સાતમી પંક્તિનો “હા!” 👌

  4. DILIPKUMAR CHAVDA said,

    March 11, 2021 @ 2:48 AM

    Both creations 👏👏👏👏🌷🌹

    Rose leaves, when the rose is dead,
    Are heaped for the belovèd’s bed;
    And so thy thoughts, when thou art gone,
    Love itself shall slumber on.

    Wow……

  5. Kajal kanjiya said,

    March 11, 2021 @ 2:48 AM

    તારા ગુણો સ્મરણમાં રમશે સદાયે…..સરસ કાવ્ય

  6. Anjana bhavsar said,

    March 11, 2021 @ 2:51 AM

    ખૂબ સરસ..

  7. praheladbhai prajapati said,

    March 11, 2021 @ 6:59 AM

    લય બદ્ધ કાવ્ય રચ્નના ચ્હન્દ મા

  8. pragnajuvyas said,

    March 11, 2021 @ 9:59 AM

    કવિશ્રી નરસિંહરાવ દિવેટિયાનુ સુંદર ઊર્મિકાવ્ય
    ડો વિવેકનો સ રસ આસ્વાદ
    કવિની પ્રસ્તુત રચના અનુવાદ અંગે એવું પણ હોય કે બન્ને કવિઓને એક સરખી પ્રેરણા થઇ હોય !
    બન્ને માણી
    આનંદ આનંદ

  9. Aasifkhan said,

    March 11, 2021 @ 10:44 PM

    वाह आस्वाद ने कविता बन्ने सुंदर

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment