કવિતા જેવી છાંય મળી
કેમ કહું ફેરો ફોગટ ?
– સંજુ વાળા

છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના – તુષાર શુક્લ

છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના ધસી આવતી બ્હાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

હથેલીઓમાં પારિજાતની સુવાસ લઈને, આવું એક સવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

રૂંવે રૂંવેથી દિપશીખા ઝળહળે
થાય, તું મેઘ થઈને મળે !
ઝંખના આજ હવે બસ ફળે
મીન મન ક્યાં સુધી ટળવળે ?
રણની બળતી કાંધ ઉપર આ કાળઝાળ ડમરી આજ ઊઠી ભેંકાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

રેતકણ આંખમાં ઝીણું કળે
સ્મરણના શોષ બાઝતા ગળે
હોઠ ને મૃગજળ મીઠું છળે
વેગ ના કેમે પાછો વળે…
ખડક તણા આ કાળમીંઢ સંયમને તોડી વહું હું જલની ધાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

આલિંગન આવકારમાં મળે
સ્નેહ મુજ સ્વીકાર થઈને ફળે,
જામ આ એકમેકમાં ઢળે
બેઉ જણ અરસ પરસ ઓગળે.
આખું આ અસ્તિત્વ ઊજવે તરસ તણો તહેવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

આજ અપમાનિત પાછો વળું ?
ટૂંપી દઉં મિલન સ્વપ્નનું ગળું ?
એકલો અંદર અંદર બળું ?
હું જ પોતે પોતાને છળું ?
પૂર થઈને પાછો આવીશ, વરસીશ મૂશળધાર
ભલેને બંધ કરે તું દ્વાર, થાય શું ?

– તુષાર શુક્લ

 

” હું જ પોતે પોતાને છળું ? ” – કેવી વેધક વાત….!! “બંધ દ્વાર”…..કેટલી બધી વાત કહી દે છે આ બે શબ્દો ! વળી અહીં તો નાયિકા ખુલ્લા દ્વારને કવિના મ્હોં પર બંધ કરી દે છે ! લાગણીશીલ હૈયું છે, કદાચ દ્વાર ખુલવાની રાહ જુએ…. દ્વાર ખોલવા વિનવે,….કદાચ ઊંધું ફરીને ચાલ્યું જાય સદાને માટે… જીવનમાં ખરેખર પણ આવું જ થાય છે ને ! ક્યારેક આપણે દ્વાર બંધ કરી દઈએ, ક્યારેક આપણે માટે દ્વાર બંધ થઈ જાય ! સંતના વિચાર અને વ્યવહાર એક હોય, મારે સંતપણું ક્યાંથી લાવવું ?? ક્યાંક વગર વાંકે દંડાઉ, ક્યાંક ગુનો કરી બેસું, ક્યાંક ગેરસમજનો શિકાર બનું, ક્યાંક કોઈ પવિત્ર આત્માને ઠેસ પહોંચાડી બેસું…કેટકેટલા સ્ખલનોથી બચું ??? પછી દ્વાર બંધ થાય જ ને !!! બંધ દ્વારને ખખડાવતાં અહંકાર અટકાવે, સ્વાભિમાન આડું આવે, ક્રોધ રસ્તો રોકે… આ બધું અતિક્રમીને ખખડાવું તો સામેના પક્ષે આ જ બધું, આવું જ બધું નડે !!!! કિશોર કુમારનું ગીત મનમાં ગૂંજે…-” ઝિંદગીકે સફરમેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફિર નહીં આતે…..વો ફિર નહીં આતે…..”

 

2 Comments »

  1. pragnajuvyas said,

    October 19, 2020 @ 1:43 PM

    કવિ શ્રી તુષાર શુક્લના સુંદર ગીતનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના ધસી આવતી બ્હાર
    અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !
    વાહ્
    યાદ આવે તેમની આ રચના
    તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
    એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.
    અને
    ના તને ખબર પડી, ના મને ખબર પડી,
    કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;

  2. કલ્પના પાઠક said,

    October 20, 2020 @ 5:37 AM

    સરસ…કલ્પના સભર….
    હથેળીને કાંઠો માનીને….!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment