શબ્દની એક કાંકરી ઊડી, આપણા મૌનના જળાશયમાં,
લીલના યુગયુગોના અંધારાં, થઈ ગયાં ઝળહળાં જળાશયમાં.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

(કાળજી રાખો) – અંજના ભાવસાર ‘અંજુ’

છતી ના થાય હૈયાની ઉદાસી, કાળજી રાખો,
કહી આંસુને સ્ટેચ્યુ, દ્વાર પાંપણના તમે વાખો.

વલોવી છે વ્યથા ખાસ્સી, જો ના વિશ્વાસ હો તમને-
તરીને આવ્યું છે જે સ્મિતનું માખણ, જરી ચાખો.

પ્રણય પ્રકરણ ભલે નાનું હતું જીવનના પુસ્તકમાં,
મને મમળાવવા આપી ગયું સંભારણા લાખો.

ગગન તો હાથ લાગે, પણ છૂટી જાશે ઘણા અંગત,
બસ, એ કારણથી ફેલાવી નથી ક્ષમતાની મેં પાંખો.

તમે કહો છો કે સુંદર છે તો ઓઢી લઉં કફન, ચાલો!
પ્રથમ એ ખાતરી આપો કે કોરી રાખશો આંખો.

– અંજના ભાવસાર ‘અંજુ’

નિભાવવા અઘરા પડે એવા ચુસ્ત કાફિયા સાથેની આવી સ-રસ હમરદીફ-હમકાફિયા ગઝલ તરોતાજા કલમ પાસેથી મળી આવે ત્યારે ગુજરાતી ગઝલના ભવિષ્ય બાબત ચિંતા હળવી થઈ જાય.

કવયિત્રી કહે છે કે હું મારી ક્ષમતા વિસ્તારીશ તો ગગન તો હાથમાં આવી જ જશે. ખાતરી જ છે. પરંતુ આમ કરવામાં અંગત લોકો સાથેનો સંબંધ જોખમાવાનો ડર છે. કવયિત્રીને પોતાના વિકાસ કરતાં જેઓને એ પોતાનાં ગણે છે, એમની સાથેનો સંબંધ વિશેષ કિંમતી લાગે છે. આખી ગઝલમાં અન્યોને ખાતર જાતને સંકોરી રાખવાનો આ વિવેક નજરે ચડે છે. અને આ કાળજી મત્લાથી જ નજરે ચડે છે. હૈયાની ઉદાસી ક્યાંય અન્યો પર જાહેર ન થઈ જાય એ માટે આંસુને સ્ટેચ્યુ કહી દઈને પાંપણના દરવાજા બંધ કરી દેવાના છે. જોઈ, આ ‘ડબલ’ કાળજી! આંસુને અટકાવી દીધા હોવા છતાં ગફલતને અવકાશ ન રહે એ માટે આંખોય બીડી દેવાની છે. અને બાળસહજ સ્ટેચ્યુની રમત ગઝલમાં કેવી સહજતાથી આવી છે એય ધ્યાન આપવા જેવું છે. ચહેરા પર દેખાતું સ્મિત હકીકતે તો વ્યથાઓના સતત વલોણાના પરિણામે તરી આવેલું માખણ હોવાનું કલ્પન પણ કેવું સબળ છે! પ્રિયજન છેતરે તો કવયિત્રી મૃત્યુને પણ હસતે મુખે સ્વીકારવા તૈયાર છે અને તોય એ અપકૃત્યનો બદલો તો સ્નેહભાવથી જ વાળવા ઇચ્છે છે. પોતાના ગયા બાદ સ્વજન સહેજ પણ રડશે નહીં, એની ખાતરી મળે તો એ પોતાની જીવનલીલા તરત જ સંકેલવા તૈયાર છે… સમર્પિત પ્રેમનો આવો શેર તો એક સ્ત્રીની કલમમાંથી જ અવતરી શકે…

Comments (26)

કીડા – કમલા દાસ (અનુ. વિવેક મનહર ટેલર)

સૂર્યાસ્ત ટાણે, નદીકિનારે, કૃષ્ણે
એને આખરી વાર પ્રેમ કર્યો અને જતા રહ્યા…
એ રાતે એના પતિના બાહુપાશમાં, રાધા એટલી
મૃતપ્રાય લાગતી હતી કે પેલાએ પૂછ્યું, શું થયું?
મારાં ચુંબનોથી તને કોઈ તકલીફ છે, વહાલી? અને તેણીએ કહ્યું,
ના, જરાય નહીં, પણ વિચાર્યું, શું ફરક
પડે છે લાશને, જો કીડાઓ એને ફોલી ખાય?

– કમલા દાસ

છરી માખણમાં ઊતરી જાય એમ વાંચતાની સાથે સઘળી સંવેદનાઓ ચીરીને છે..ક આપણી ભીતર ઊતરી જાય એવું અદભુત પ્રેમકાવ્ય! સર્વાંગ સમર્પણની ચરમકોટિ અને વિરહની વેદનાની પરાકાષ્ઠાને આ રચના એકસમાન સ્પર્શે છે! વિશેષ કંઈ પણ લખવું એ આ કવિતાનું અવમૂલ્યન કરવા બરાબર છે…

The Maggots

At sunset, on the river ban, Krishna
Loved her for the last time and left…
That night in her husband’s arms, Radha felt
So dead that he asked, What is wrong,
Do you mind my kisses, love? And she said,
No, not at all, but thought, What is
It to the corpse if the maggots nip?

Kamala Das

Comments (19)

કોઈને કૈં પડી છે જ ક્યાં…. – મનોજ ખંડેરિયા

સાવ છાના પગે પાનખર ઘર કરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં;
રાતદિ’ હરપળે પાન લીલાં ખરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

ફાગણી મરમરો – શ્રાવણી ઝરમરો – કોઈને કૈં અસર ક્યાં કરે છે હવે,
આંખથી વિસ્મયો દૃશ્ય માફક સરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

બાળપણની કથાની પરી ઊડી ગઈ, ને રમતની બધી કોડી વેરાઈ ગઈ,
આંખ સામે જ મોંઘી મૂડી પગ કરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

કોણે પ્રગટાવિયો, વાટ કોણે મૂકી, તેલ કોણે પૂર્યું કોઈને ક્યાં ખબર,
કૈં સદીનો અખંડ દીપ આજે ઠરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

આપણે ખોઈ ચૂક્યા છીએ આંસુઓ, ને ગુમાવી દીધી છે ભીની વેદના,
આપણી માલમતા સમય પરહરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

ખળભળે પથ્થરો – ખડખડે બારીઓ – ને પડું રે પડું થઈ રહ્યાં બારણાં,
રોજ લાખો ઊધઈ ભીંતને ખોતરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

– મનોજ ખંડેરિયા

કૌતુકવશતાથી મુગ્ધતા અને મુગ્ધતાથી સ્થૂળતા અને સ્થૂળતાથી જડતાની યાત્રા બનીને રહી જાય છે જિંદગી…..

Comments (6)

તમે – મુકેશ જોષી

તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર
અમે પાછલી તે રાતના તારા
તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર
અમે આછેરી ઝરણાની ધારા

તમે શબ્દોમાં પોઢેલો મખમલિયો અર્થ
અમે પ્રશ્નો, ઉદ્ગાર કે વિરામ
તમે પરભારે પહોંચવાનો સીધો રસ્તો
અમે રસ્તામાં આવતા મુકામ
તમે કાગળ પર લાગણીની ખળખળતી ધાર
અમે હાંસિયાના જાણે કિનારા… તમે…

તમે ચંદનના ઝાડવેથી ઝરતી સુગંધ
અમે સુક્કા તે બાવળની ડાળ
તમે આભ લગી જાવાની ઊંચી કેડી
અમે કેડીનો ઊતરતો ઢાળ
તમે બાગનાંય ફૂલોનો જાણે શણગાર
અમે માટીનાં કૂંડાં ને ક્યારા… તમે…

તમે શ્રદ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત
અમે કોડિયામાં અંધારું ઘોર
તમે શબરીના હોઠ પર મલકાતું નામ
અમે શબરીનાં ચાખેલાં બોર
તમે મંદિરની સન્મુખ છો ઝાલર ઝણકાર
અમે દૂર રહી વાગતાં નગારાં… તમે…

 

– મુકેશ જોષી

 

પહેલી નજરે સરળ લાગે – ભક્તિકાવ્ય લાગે, પણ ધ્યાનથી જોઈએ તો કવિએ પોતા માટે જે રૂપક યોજ્યા છે તે પણ ઓછા મહત્વના નથી ! પૂજારી છે, તો જ પૂજ્ય એ પૂજ્ય છે ! ભક્ત છે, તો અને માત્ર તો જ, ભગવાન છે !

Comments (2)

સવા શેર : ૦૩ :મરીઝ

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે
– મરીઝ

મરીઝ આ શેરમાં માનવમાંથી મહામાનવ થવાની ચાવી આપે છે. પરંપરાની શેરપ્રણાલિથી પલટવાર કરીને મરીઝ સાનીના સ્થાને ઉલા મિસરામાં જ શેરનો અર્ક આપી દઈ કાન ઊલટા પકડાવે છે. મરીઝ દર્દના શાયર છે. એમના ભાગે જીવનના હરએક તબક્કે દર્દ સાથે મુકાબલો કરવાનું આવ્યું હતું. એટલે જ કદાચ, જિંદગીનું દર્દ એમના ‘ગળતા જામ’માંથી સતત નીંગળતું દેખાય છે. કવિતાની કાયામાં દર્દ આત્મા છે, પણ દર્દનો સ્વભાવ છે કે એ ટકતું નથી. એવી રાત બની જ નથી જે સવારમાં ન પરિણમે. ગમે તેવા મોટા કેમ ન હોય, મોટાભાગના દર્દ હંગામી હોય છે. ઘાયલે કહ્યું હતું ને, ‘સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે, ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.’ અહીં મિર્ઝા ગાલિબ પણ યાદ આવે: ‘रंज से खूँगर हुआ इंसाँ, तो मिट जाता है रंज, मुश्किलें मुझ पर पडी इतनी कि आसाँ हो गई।‘ વળી આનો આ જ મિજાજ ગાલિબે અન્યત્ર પણ પ્રદર્શિત કર્યો છે: ‘दर्द का हद से गुजर जाना है दवा हो जाना।’ પણ મરીઝના આ શેરમાં જે દર્દની વાત છે, એ દર્દ દેહના સ્તરનું દર્દ નથી. દેહના દર્દનું નિવારણ તો કોઈ તબીબ કદાચ કરી પણ આપે. પણ અહીં વાત દિલના દર્દની છે. ભીતરી અહેસાસના દર્દની છે. અને આ દર્દ ટકી જાય તો? જેને મન ભાત પણ થાળીમાં ઊગતો હતો એવા રાજકુમાર સિદ્ધાર્થે નગર-ભ્રમણ દરમિયાન સંસારમાં જે-જે તકલીફો જોઈ, એ તમામ આપણે પણ રોજેરોજ નિહાળીએ જ છીએ. પણ ફરક એ છે, કે પળ-બે પળ સ્મશાનવૈરાગ્ય ભોગવીને આપણે હાથ લૂછીને આગળ વધી જઈએ છીએ. કોઈની તકલીફ જોઈને આપણા દિલમાં પણ કરુણા તો જન્મે છે, પણ એ અલ્પજીવી હોય છે. આંખમીંચામણાં કરીને, ‘અરેરે’ કરીને અથવા થોડીઘણી મદદ કરીને આપણે એ વેદનાથી આપણો પિંડ છોડાવી લઈએ છીએ. ક્યારેક આપણે એ વેદનાને સહિયારવાની કોશિશ પણ કરીએ છીએ. પણ આપણે અન્યોની વેદનાનો ભાગ બનતાં નથી. એ વેદનામાંથી આપણે બજારમાંથી પસાર થતા વ્યક્તિની માફક નીકળી જઈએ છીએ. આતમરામનું કમળપત્ર સરોવરની વચ્ચે ખીલ્યું હોવા છતાં લગરિક ભીંજાતું નથી. પણ, સિદ્ધાર્થના હૃદયમાં આ દુઃખદર્દ સ્થાયી થયા. દુન્યવી પીડાઓએ એના હૈયે કાયમી ઘર કર્યું. પરિણામે એ કરુણામૂર્તિ બુદ્ધ બન્યા. દર્દ શાશ્વતી બને, રાતવાસો છોડીને જાતવાસો કરે, ક્ષણવાસો ત્યજીને જનમવાસો કરે, ત્યારે પયગંબર થવાય પણ દર્દ એ સિંહણના દૂધ જેવું છે એને પેખવા-ટકાવવા માટે આપણામાં કનકપાત્રની લાયકાત પણ હોવી ઘટે. મરીઝ મનુષ્યમર્યાદાઓનો જાણતલ શાયર છે. એટલે આ જ ગઝલમાં એ કહે છે: ‘દીવાનગીથી કંઈક વધુ છે સમજનું દુઃખ, રાહત છે કે સમજ ન લગાતાર હોય છે.’

Comments (1)

રાતો! – વ્રજેશ મિસ્ત્રી

ચોગમ થીજેલી અંધારી વ્યાપી રાતો,
બુઠ્ઠી એકલતાથી નકરી કાપી રાતો.

ક્યાંક ઉચાટોના અજવાળે પોંખ્યા કીધી,
કયાંક વળી ઉરના કો’ ખૂણે સ્થાપી રાતો.

મંદિર, મસ્જિદ, દેરાસર ત્યાં ઉતરી આવ્યાં,
સઘળું માની જ્યાં શ્રદ્ધાથી જાપી રાતો.

ગ્રીષ્મે એના શીત વિચારોમાં પગ બોળ્યા,
શિયાળામાં સ્મરણો ઓઢી તાપી રાતો.

એ રીતે તું ત્રણ ભુવન નહિ માપી આપે!
મેં જે હાલે, જે રીતે છે માપી રાતો!

– વ્રજેશ મિસ્ત્રી

ગાગાગાગાના ત્રણ આવર્તનોમાં લયબદ્ધ વિહરતી મજાની ગઝલ. ચુસ્ત કાફિયા સાથે રાત વિશેની મુસલસલ રચના. એકલા હોઈએ ત્યારે રાતનું અંધારું ચારેતરફ થીજી ગયું હોય એમ ગતિહીન લાગે છે. ધારદાર સંગાથ હોય તો તો રાત તરત કપાઈ જાય પણ માત્ર એકલતા હોય અને એ પણ સાવ બુઠ્ઠી, તો રાત કાપવી ભારે થઈ પડે છે. ઉચાટોનું અજવાળું અને ઉરના કોઈ ખૂણામાં વ્યાપેલ અંધારા વચ્ચેનો વિરોધાભાસ પણ આસ્વાદ્ય થયો છે. અંધારામાં સામાન્યરીતે ડરનો અનુભવ સહજ છે. ગાંધીજીને આ ડર સામે લડવા માટે એમના ઘરની કામવાળી રંભાએ રામનામનો મંત્ર આપ્યો હતો. શ્રદ્ધાથી જપવામાં આવે તો રાતના અંધારામાં સઘળાં પૂજાસ્થાનો હાજરાહજૂર છે. ઉનાળાની ગરમ રાતો પ્રિયજનના વિચારોની ઠંડકની મદદથી કાપી છે તો શિયાળામાં એના જ સ્મરણોની ઉષ્મા ઓઢીને ઠંડીગાર રાતો પસાર કરાઈ છે. ટૂંકમાં, મોસમ કોઈ પણ હોય, પ્રિય વ્યક્તિની યાદો જ સધિયારો બની રહે છે. અને છેલ્લો શેર તો અદભુત થયો છે. કવિ સર્જનહારથી પણ ઉપર છે એ વાત કેવી સલૂકાઈથી રજૂ થઈ છે!

Comments (7)

વચ્ચે – પ્રશાંત સોમાણી

કોણ પડે ઝઘડાની વચ્ચે?
સત્ય અને ભ્રમણાની વચ્ચે.

સાચું પણ દેખાશે તમને,
શંકા ને અફવાની વચ્ચે.

કંકર ને શંકર છે એક જ,
ફર્ક પડે શ્રદ્ધાની વચ્ચે.

પોતાને ભીતર શોધું ત્યાં,
દેખાયો રસ્તાની વચ્ચે.

બહુ મોટું અંતર છે, વ્હાલા,
કરશું ને કરવાની વચ્ચે

– પ્રશાંત સોમાણી

ટૂંકી બહેર અને ટૂંકી ગઝલ. પણ બધા જ શેર દમદાર. સાચું શું છે અને ભ્રમણા શી છે એના ટંટામાં પડ્યા વિના જીવન જીવી લેવામાં જ ખરી મજા છે. હજાર શંકાઓ અને અફવાઓની વચ્ચે પણ સત્ય છૂપાવ્યું છૂપાતું નથી, એ નજરે ચડે જ છે. કંકર અને શંકરની વચ્ચે એકમાત્ર ફરક શ્રદ્ધાનો છે. શ્રદ્ધા હોય તો કંકર શંકર છે અને શ્રદ્ધા જ ન હોય એને મન તો શંકર પણ કંકર છે. આખી દુનિયા માણસને પોતાની ભીતર ઉતરીને જોવાની સલાહ આપતી આવી છે પણ કવિ જરા હટ કે ફિલસૂફી લઈ આવ્યા છે. દુનિયાની ચાલે ચાલીને કવિ પોતાને ભીતર શોધવા મથતા હતા ત્યાં જાત તો રસ્તાની વચ્ચે નજરે ચડી. ગઝલનો શેર રેશમ જેવું નાજુક પોત ધરાવે છે. એ બહુ વજનદાર વાત ખમી ન શકે એટલે મોટામાં મોટી વાત પણ ગઝલમાં કહેવી હોય તો નજાકતથી જ કહેવી પડે. આ શેરમાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં દુનિયાની ચાલે ન ચાલીને પોતાનો રસ્તો ખુદ પ્રશસ્ત કરવાની વાતનો રણકો ઊઠતો સંભળાય છે. અને ગઝલનો આખરી શેર પણ અદભુત થયો છે. એના વિશે તો આટલું જ કહી શકાય કે सीधी बात, नो बकवास

Comments (30)

હાસ્યમેવ જયતે : ૧૬ : વીણેલાં મોતી…

અને હાસ્યમેવ જયતે શૃંખલાના અંતે, ગુજરાતી હાસ્ય-વ્યંગ્ય કવિતામાંથી કેટલાક ચુનંદા રત્નો આપ સહુ માટે… (સાભાર સૌજન્ય: ઊંધા હાથની… ગુજરાતીની પ્રતિનિધિ હઝલો : સંપાદક આશિત હૈદરાબાદી) (પુસ્તક સૌજન્ય: શ્રી રઈશ મનીઆર)

*

હવે વૃદ્ધાય નીકળે છે ચમકતું સ્નૉ લગાડીને,
છે વાસી પાઉં પણ, એની ઉપર મસ્કો તો તાજો છે.
– એન. જે. ગોલીબાર

‘બેકાર’ તુંયે વાંચ ખુશામદની હિસ્ટ્રી,
પૉલ્શન થકી માનવ તણું ઉત્થાન થાય છે.
– બેકાર રાંદેરી

માનવીનો પનો થયો છે ટૂંકો,
એની લાંબી જબાન થઈ ગઈ છે.
– શેખચલ્લી

અહીંયા અસર અનાજમાં પણ છે કુસંપની,
જ્યારે પડે છે પેટમાં, તોફાન થાય છે.
– ‘આસી’ સુરતી

જુવાની ખોઈ ઘડપણ નોતરી બેઠો, ભલા માણસ!
કહે, કાં ખોટનો ધંધો કરી બેઠો, ભલા માણસ!
– ‘કિસ્મત’ કુરૈશી

આમ છો ‘નટખટ’ છતાંયે એટલી સમજણ નથી,
દ્વારે વાસી તાળું, ચાવી ઓટલે મૂકાય ના!
– ગિરધારલાલ મુખી ‘નટખટ’

ગમે તેને શિખામણ આપવાનો આપણો હક છે,
ને ભડક્યા તો સિફતથી ભાગવાનો આપણો હક છે.
– પુરુષોત્તમ પારેખ ‘વ્યંગ’

અમારે પણ ઘણાયે વાંસજાળે કાંકરા નીકળે,
છતાં દર્દી કહેવાના કે ‘પાણીની કમાણી છે!’
– ડૉ. બટુકરાય પંડ્યા

રાજનીતિને કરી કેટલી ખૂબીથી શહીદ,
રાજ રાખીને તમે નીતિની ગરદન કાપી.
– શેખાદમ આબુવાલા

હજી એવા હશે બે ચાર (ઇચ્છું છું) કે જેઓના
હજી પણ (જીવતા જો હોત) લીડર હોત ગાંધીજી.
– શેખાદમ આબુવાલા

મજા આવે ન રોટીમાં, ન પૂરીમાં, ન રાંધણમાં,
ઘણા પતિઓને આવે છે મજા પત્નીના વેલણમાં.
– કલીમ અમરેલ્વી

એમના ડિનરમાં ‘મુલ્લા’ છે ચમત્કારિક અસર,
જો પડે છે પેટમાં તો મોઢું બંધ થૈ જાય છે.
– ‘મસ્ત હબીબ સારોદી’ (મુલ્લા રમૂજી)

‘તપ’ નહીં પણ ‘વગ’ પ્રભુનું ડોલતું આસન કરે,
આ હકીકત જે ન સમજે તે ભજનકીર્તન કરે.

શ્રેષ્ઠતા પર એની શંકાશીલ ન કોઈ મન કરે,
નટ-નટી જે વસ્તુ વાપરવા અનુમોદન કરે.
– ‘મસ્ત હબીબ સારોદી’ (મુલ્લા રમૂજી)

મજાનો હોય માણસ, હોય સાલસ, હોય સીધો પણ
જરી એને તમે ટોકો ટપારો એટલે લોચો.
– અમૃત ઘાયલ

પાઘડી પહેર્યા વિના કાં શેઠ નીકળતા નથી?
શેઠને માથેથી માત્રા જાય તો ‘શઠ’ થાય છે!
– રતિલાલ ‘અનિલ’

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી,
ઈંગ્લેન્ડમાં આવી અને ચોકલેટ થઈ ગઈ!
– અદમ ટંકારવી

તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ મા,
અહિંયા આંસુ ટિશ્યૂથી લૂંછાય છે.
– અદમ ટંકારવી

ગયા લોક ભૂલી ધરમ ધીમે ધીમે,
પરાયું કરે છે હજમ ધીમે ધીમે.

ઊઠી ગઈ હયા ને શરમ ધીમે ધીમે,
બની રહી છે પત્ની મડમ ધીમે ધીમે.
– ‘સૂફી’ મનુબરી

કામ કરવાનું ગમે ના એમને એથી જ તો,
પેટ ચોળીને પછી આળોટી અમળાયા હશે.
– બાબર બંબુસરી

હૂંફ આવી ક્યાં ફરી મળશે તને?
ટાઢ કેવી છે મજાની, તાપ ને!
– મુલ્લા હથુરણી

ભલા કહેવાય એને શી રીતે સરકારનો નોકર?
કરે ના જો ઉપસ્થિત એ અગર સંજોગ રૂશ્વતનો!
– મુન્શી ધોરાજવી

કરી લૂંટ ભાગી જવાની ફિકર છે,
સમયની ફકત ડાકુઓને કદર છે!
– મુન્શી ધોરાજવી

ખુરશીના ચાર પગને સલામત બનાવવા,
કૈં કેટલા કરોડનું હું પાણી પાઉં છું.
– મનહરલાલ ચોક્સી

પરાઈ મ્હેરબાની પર તમારી આજ માણી લો,
ખચિત કાલે જવાના છો તમે ભંગારમાં ચમચા!
– કરસનદાસ લુહાર ‘ગુંદરમ્’

છે મારો વાંક બસ એક જ કે હું સુરતથી આવ્યો છું,
શુભેચ્છા પાઠવું છું તોય સૌને ગાળ લાગે છે.
– રઈશ મનીઆર

આજ પૂજા થઈ રહી છે એમની-
જેમના ભૂતકાળ ભાતીગળ હતા!

ચૂંટણી-ટાણે જે ઘેરાયાં હતાં,
એ બધાં તો વાંઝિયાં વાદળ હતાં.
– ‘રાહી’ ઓધારિયા

સાંભળે, બોલે નહીં, પણ બોલવા દયે પત્નીને,
જે પુરુષ પરણ્યો હો એમાં આ ત્રિદોષો હોય છે.
– લલિત વર્મા

‘નંદન’ હસે છે મૂછમાં, મૂછો નથી છતાં,
મૂછાળો હોય તોય શું? ઘરમાં ગુલામ છે!
– ‘નંદન’ અંધારિયા

મરનાર ખુદ કહી ઊઠે કે આ ખૂની નથી,
થાયે છે પેશ એવી સિફતથી દલીલમાં.
– દીનશા દારૂવાલા

ફરી બે હાથ જોડી મંદ હસવાનો સમય આવ્યો,
અને સહુ ઓળખાણો રિન્યુ કરવાનો સમય આવ્યો!
– દીનશા દારૂવાલા

માર આખા શરીરને પડશે,
આંખનો કારભાર છે ભઈલા!
– કિરણસિંહ ચૌહાણ

યાદમાં તારી અમે જાગી રહ્યા એવું નથી,
માંકડોની મ્હેરબાની, મચ્છરોની છે કૃપા.
– કિરણસિંહ ચૌહાણ

Comments (7)

હાસ્યમેવ જયતે : ૧૫ : તપેલી છે – કલીમ અમરેલ્વી

તમારી વાટમાં ખુલ્લી સદા દિલની હવેલી છે,
પધારો હર્ષથી દિલબર! ન ડેલો છે, ન ડેલી છે !

અજબ મોસમ હવે માનવ જીવન ઉપવનમાં ફેલી છે,
કરમ માંહે છે ધત્તુરો ને ઇચ્છામાં ચમેલી છે !

જગતમાં આજ તો બસ એમને કિસ્મત વરેલી છે,
ઘણા અફસર ને લિડર જેમના જીવનના બેલી છે !

મિલન ટાણે હું આલિંગન કરું શી રીતથી એને,
સનમના ગાલ કોમળ છે ને મુજ દાઢી વધેલી છે !

વિનવણીના મસોતાથી ઉતારું એના ઉભરાને,
અમારી દિલરૂબા આજે તપેલી સમ તપેલી છે !

ચઢી ખુરશી ઉપર ખાવાની આદત કેમ જાળવશું ?
અમારી દાઢ નિવૃત્તિના રોગે હલબલેલી છે !

‘કલીમ’ એથી લગાડું બહારથી ચુનો સદા એને,
બધાને એમ લાગે ઝૂંપડી મારી ચણેલી છે !

– કલીમ અમરેલ્વી

અદભુત હઝલ! ઉત્તમ ગઝલ જે રીતે કવિ પાસે પૂરતી સજ્જતાની અપેક્ષા રાખે છે, કદાચ એથી વધારે સજ્જતા હાસ્યકવિતા માંગે છે. ગંભીર વાતો કરવી આસાન છે, પણ હાસ્યવયંગ્ય નિપજાવવા અતિ કઠીન કાર્ય છે. કલીમ અમરેલ્વીએ પ્રસ્તુત હઝલમાં આ કાર્ય સિદ્ધહસ્ત ગઝલકારોને શરમાવે એવું ઉમદા કવિકર્મ કર્યું છે. મત્લા પણ કેવો માતબર થયો છે. બીજો શેર પણ માનવજીવનની હકીકત અને ઇચ્છા વચ્ચેના વિરોધાભાસ પર ધારદાર વ્યંગ કરે છે. પણ હાંસિલે-હઝલ શેર રો વિનવણીના મસોતાવાળો છે. ગુસ્સે ભરાયેલી દિલરૂબાને મનાવવા વિનવણી કરવાની વાતની રજૂઆત જે કાવ્યાત્મક રીતે થઈ છે, એ ઉત્તમોત્તમ શેરની સમકક્ષ બેસી શકે એવી દમદાર છે. ગુસ્સાના ઉભરાને દૂધના ઉભરા સાથે કવિએ કમાલ સાંકળી લીધો છે, અને ‘તપેલી’ શબ્દમાં જે યમક અલંકાર સિદ્ધ કર્યો છે એ કાબિલે-દાદ છે. આખરી શેરમાં ચૂનો લગાડવાની વાતમાં જે શ્લેષ અલંકાર જન્માવ્યો છે એ પણ શત-હજાર દાદ ઉઘરાવી લે એવો છે.

Comments (9)

હાસ્યમેવ જયતે : ૧૪ : તમારા ગયા પછી – ચંદ્રકાન્ત અંધારિયા ‘બદમાશ’

આપે ન કો’ ઉધાર, તમારા ગયા પછી,
આવે છે લેણદાર, તમારા ગયા પછી !

દરરોજ જોઉં છું હું ફિલમ ત્રીજા ખેલમાં,
ના કોઈ ટોકનાર, તમારા ગયા પછી !

તેજીમાં કાલ જે હતી મંદીમાં આવી ગઈ,
શૃંગારની બજાર, તમારા ગયા પછી !

ઘર-કામ કાજ વહેલો હું ઉઠતો’તો પણ હવે,
મોડી પડે સવાર, તમારા ગયા પછી !

‘બદમાશ’, ચોર, ગુંડા, લફંગા મળી બધા,
ઘરમાં રમે જુગાર, તમારા ગયા પછી !

– ચંદ્રકાન્ત અંધારિયા ‘બદમાશ’

પત્ની પિયર જાય એની પાછળ પતિના રંગ-રૂપ-ઢંગ કેવા પલટો લે છે એ નિર્દેશતી મજાની હઝલ! ગુજરાતી હાસ્યવ્યંગ્ય સાહિત્યમાં આવી શુદ્ધ અને ઉત્કૃષ્ટ રચનાઓ જવલ્લે જ જોવા મળે છે. સરળ ભાષામાં કવિએ સટિક વાત કરી છે, પણ ખરી મજા મક્તામાં છે. કવિએ જે બાહોશીથી તખલ્લુસને શેરમાં દૂધમાં સાકરની જેમ એકરસ કરી દીધું છે, એ શૂન્ય અને બેફામ જેવા સિદ્ધહસ્ત કવિઓની યાદ અપાવે છે.

Comments (4)

હાસ્યમેવ જયતે : ૧૩ : મોંઘવારીનો જગત પર – શેખચલ્લી

મોંઘવારીનો જગત પર એવો ભરડો થઈ ગયો,
કૈક કાબરચીતરો લોકોનો બરડો થઈ ગયો !

રૂપ પર આવી જવાની, પ્રેમ ઘરડો થઈ ગયો,
કાળના હાથેય આ કેવો છબરડો થઈ ગયો !

નિતનવી એક યોજનાનો પેશ ખરડો થઈ ગયો,
દેશ જાણે યોજનાઓનો ઉકરડો થઈ ગયો !

રેશનિંગના અન્નની ઉલ્ટી અસર થઈ પ્રેમ પર,
ચૂંક મજનૂને થઈ, લૈલાને મરડો થઈ ગયો !

અમને આ રીતેય ઓળખશે ઘણા ગુજરાતીઓ,
‘શેખચલ્લી’ નામનો એક માસ્તરડો થઈ ગયો !

– શેખચલ્લી

કેવી મજાની રચના! વાત ભલે હાસ્ય-વ્યંગ્યની હોય, શેર એકેય ઉતરતો થયો નથી. હાસ્યના નામે આપણે ત્યાં મોટાભાગના કવિઓએ હથોડા જ માર્યા છે એવામાં જનાબ શેખચલ્લીની આ સંઘેડાઉતાર રચના અભ્યાસ માંગી લે છે. બીજો શેર તો જુઓ! વય વધવાની સાથે યૌવન ખીલતું જાય પણ પ્રેમ વૃદ્ધ-અશક્ત-નબળો થતો જાય એ કેવો છબરડો! ત્રીજા શેરનો અનુભવ તો મોદીકાળમાં રોજેરોજ થઈ રહ્યો છે.

Comments (5)

હાસ્યમેવ જયતે : ૧૨ : ‘ખુરશી’ મુક્તકો – શેખાદમ આબુવાલા

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

* * *

આ  દેશને  માટે  હિંસા  એક  વ્યાધિ  થઈ  ગઈ
ચાહી  અમે  નો’તી  છતાં  કેવી  ઉપાધિ  થઈ  ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો  થયું  તે  થઈ  ગયું  સુંદર  સમાધિ  થઈ  ગઈ

* * *

હવે કલ્પનામાં પણ સુખ ક્યાં મળે છે?
સુખી માણસો પણ દુઃખી થઇ ગયા છે!
શહીદોનું   કિસ્મત   હતું  ખૂબ  સારું
સમયસર મરીને સુખી થઇ ગયા છે!

* * *

આદમને આવ્યું સ્વપ્ન એવું: ગોડસે રડતો હતો
રડતો હતો  ને  મનમહીં  એ  કૈંક  બબડતો હતો
નજદીક જઈને ધ્યાન આપી સાંભળ્યું તો છક થયો
કહેતો હતો: હે રામ! ગાંધી ક્યાં મને નડતો હતો?

– શેખાદમ આબુવાલા

સામાન્યતઃ વ્યાંગને હાસ્યથી થોડે નીચે બેસાડવામાં આવે છે. એનું કારણ કદાચ એ છે કે હાસ્ય રમાડ઼ે છે જ્યારે વ્યંગ દઝાડે છે. હાસ્ય પંપાળે છે જ્યારે વ્યંગ ઘા કરે છે. આમ છતાં જો હાસ્યની સાથે વ્યંગ ન હોય તો ભોજનમાં મીઠું ન હોય એવી હાલત થાય.

ગુજરાતી કવિતામાં શેખાદમ આબુવાલાના સંગ્રહ ‘ખુરશી’થી વધારે ઉત્તમ વ્યંગનું ઉદાહરણ મળવું મુશ્કેલ છે. ‘ખુરશી’ એટલે નવનિર્માણના આંદોલનના સમયમાં શેખાદમે કરેલો મુખ્યત્વે રાજકીય કાવ્યોનો એક નાનકડો સંગ્રહ. યોગાનુયોગ એ પ્રગટ થયો તે જ વખત ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરેલી. કવિતા અને વાસ્તવિકતા ટકરાઇ. ‘ખુરશી’ના કાવ્યો બહુ વખણાયા અને લોકોની જીભે ચડી ગયા. ‘ખુરશી’માં થોકબંધ ધારદાર ગઝલો અને મુક્તકો છે જે આજે ય લોકોની જીભે જીવંત છે. આજે એમાંથી ચાર સૌથી ધારદર મુક્તકો અહીં મુકું છું.

Comments (5)

હાસ્યમેવ જયતે : ૧૧ : કબર-કાવ્યો – મુકુલ ચોકસી

આજે એક નવતર હાસ્ય-કવિતાના પ્રયોગની વાત કરાવી છે જેના વિષે બહુ લોકો જાણતા નથી. છેક 1984ની સાલમાં મુકુલભાઈએ કબર-કાવ્યોનો આ પ્રયોગ કરેલો. સાહિત્યકારો ગુજરી જાય (ભગવાન કરે એવું ન થાય) અને એમની કબર બનાવવામાં આવે તો એ કબર પર epitaph એટલે કે સમાધીલેખ તરીકે શું લખી શકાય એની કવિએ રમૂજમાં કલ્પના કરી છે. દરેક સાહિત્યકારની લાક્ષણિકતાને પકડીને એને નાનકડી કવિતાના રૂપમાં ઢળવાનું કામ બારીક નિરીક્ષણ-શક્તિ, વિચક્ષણ વિનોદવૃત્તિ અને ભાષાની જડબેસલાક હથોટી માંગી લે છે. મુકુલભાઈની રચનાઓ આ ત્રિવિધ કસોટી પર ખરી ઉતારે છે. વધારે જોવાની વાત એ છે કે આ હાસ્ય-કવિતાઓ જેટલી માર્મિક છે એટલી જ નિર્દંશ પણ છે.

સ્નેહરશ્મિનો હાઈકુ-પ્રેમ, સુરેશ દલાલનું કવિ કરતા વધારે કાવ્ય-પ્રચારક હોવું, લાભશંકરની એબ્સર્ડ કવિતાઓ, જયંત પાઠકનું ‘વનાંચલ’માં વણાયેલું શૈશવ, રાજેન્દ્ર શુક્લના અલગ જ શબ્દ ને શૈલી, ઉશનસનું વિપુલ સર્જન, સુમન શાહનો આક્રમક સ્વભાવ, રઘુવીર ચૌધરીની ખુમારી, ચંદ્રકાન્ત ટોપીવાલાનો વિવેચન-પ્રેમ, સ્ત્રીઓની એકમત થવાની અક્ષમતા, ચંદ્રકાન્ત બક્ષીની વાર્તાઓના અણધાર્યા વળાંકો અને ચિનુ મોદીનો નિરાંતનો જીવ એ બધું અહીં વણી લીધું છે.

કબર-કાવ્યોને જે સ્વરૂપે પ્રગટ થયેલા એ જ મૂળ સ્વરૂપમાં અહીં રજુ કર્યાં છે. ‘કર્સર’ને નીચે કવિતા પર લઇ જશો એટલે ડાબી અને જમણી બાજુ ‘એરો’ દેખાશે. એને દબાવશો એટલે એક પછી એક કબર-કાવ્ય દેખાતા જશે.

(આ કાવ્યો મેળવીને મોકલી આપવા બાદલ રઈશભાઈ અને મુકુલભાઈ બંનેનો ખાસ આભાર.)

 

Comments (2)

હાસ્યમેવ જયતે : ૧૦ : લાઘવ ક્યાંય નથી કવનમાં – નિર્મિશ ઠાકર

ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

– નિર્મિશ ઠાકર

હાસ્યકવિતાની વાત હોય અને એકેય પ્રતિકાવ્યનો સમાવેશ ના કરો એ કેવી રીતે બને? ગુજરાતીમાં પ્રતિકાવ્યોની પાતળી પણ સશક્ત પરંપરા રહી છે. એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.

નિર્મિશ ઠાકરને પ્રતિકાવ્ય રચવાની કળા સુપેરે હસ્તગત છે. એમના બધા પ્રતિકાવ્યોમાં આ મારું સૌથી પ્રિય છે. અહીં આ ગીતમાં બિનજરૂરી રીતે લાંબી અને સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર મીઠો પણ ધારદાર કટાક્ષ કર્યો છે. છેલ્લે છેલ્લે તો ‘તોલ બધું વજનમાં’ કહીને કટાક્ષની હદ કરી નાખી છે!

Comments (2)

હાસ્યમેવ જયતે : ૦૯ : આત્મપરિચય – જ્યોતીન્દ્ર હ. દવે

‘લયસ્તરો’માં સામાન્ય રીતે કવિતા મૂકીને નીચે એનો આસ્વાદ મુકવાનો રિવાજ છે. આજે એ રિવાજ તોડીને પહેલા પ્રસ્તાવના અહીં ઉપર મુકું છું અને કવિતા પછી આવે છે.

ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ હાસ્ય-કવિતા માટે એક જ કવિતાની પસંદગી કરવાની હોય તો બેશક આ જ કવિતાની પસંદગી કરવી પડે. હાસ્ય-સમ્રાટ જ્યોતીન્દ્ર દવેએ આપેલો પોતાનો છંદોબદ્ધ પરિચય એમની અતિસૂક્ષ્મ વિનોદવૃત્તિની સાક્ષી પુરે છે. ૧૯૪૧ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વેળાએ આપેલો પોતાનો આ પરિયય એ પોતાની જાતના શાબ્દિક કેરિકેચર સમાન છે.

કવિતા લાંબી છે પણ મોટેથી વાંચતા ખુલે છે. ને વળી છંદ સાથે વાંચો તો વધુ ખુલે છે. કવિ પોતાની ફીરકી ઉતારવામાં કોઈ કસર છોડતા નથી. પોતાના પર હસવું અને એય ગુજરાતી ભાષાનું સર્વોચ્ચ સન્માન સ્વીકારતી વખતે એ બહુ મોટી વાત છે.

[અનુષ્ટુપ]

‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય.’
તમારું વાક્ય એ વાંચી મને આશ્ચર્ય ઊપજે.
જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે?
જાણે જે જાતને તેયે જણાવે નહિ અન્યને.
તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું મન રાખવા;
જાણું-નાજાણું હું તોયે મથું ‘જાત જણાવવા.’

જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને પ્રવૃત્તિએ
શુદ્ર છું; કલ્પના માંહે ક્ષત્રિયે હું બનું વળી!
શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી,
બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ગણી હતી.

શાળાને છોડીને જ્યારે ‘સાળાની બહેન’ને વર્યો,
ગાર્હસ્થ્યે આશ્રમે જ્યેષ્ઠે તદા પ્રેમે હું સંચર્યો.
પ્રભુતામાં ધર્યા પાદ; પૃથ્વીને રસ-પાટલે;
પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા બે પછી ગૃહે.
દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું,
પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહું!
વર્ણાશ્રમ તણા આમ બધા હું ધર્મ પાળતો,
જાળવવા મથું નિત્યે આર્ય-સંસ્કૃતિ-વારસો.

અરિને મોદ અર્પન્તુ, દ્રવ્ય અર્પન્તુ વૈદ્યને
વહાલાને અર્પન્તુ ચિંતા, મને પીડા સમર્પતું,
પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિ–
ભારહિણું મને એવું ઈશે શરીર આપિયું,
રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું
એવું શરીર મારું, દવાઓથી ઘડાયેલું!

સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે
વિદ્યા ને વેદના બે મેં એક સાથે જ મેળવ્યાં.
મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો,
મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું!
વિદ્યાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યો,
પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યો.
ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી,
ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી.
વૃત્તિ મારી સદા એવી, હોય તે ના ચહે કદી,
હોય ના તે સદા માગે, મળ્યે માંગ્યુંય ના ગમે!

[ઉપજાતિ]
સાહિત્ય સંગીત કલા વિશે મેં
ધરી રુચિ, કિન્તુ ન સિદ્ધિ આવી.
ગાઉ ન હું કારણ માત્ર તેનું
આવે દયા કૈં સુણનાર કાનની.

કર્યું હતું એક જ વેળ જીવને
અપૂર્વ નૃત્ય વિના પ્રયાસે.
હું એકદા માર્ગ પરે નિરાંતે,
ઉઘાડપાદે ફરતો હતો ત્યાં
અર્ધી બળેલી બીડી કોક મૂ્ર્ખે
ફેંકી હતી તે પર પાદ મૂક્યો.
અને પછી નૃત્ય કરી ઊઠ્યો જે,
તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ!

સાહિત્યની કંટકવાડ ભેદવા
કરે ગ્રહી કાતર કાવ્ય કેરી,
પાડી છીંડું નાનકું એક ત્યાં હું
ખૂણે ઊભો, કાતર ફેંકી દીધી!

[અનુષ્ટુપ]

દેહ દાતણના જેવો, મન મર્કટના સમું
આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો.

[શાર્દૂલ]

નાના રૂપ ધરી હું એમ ખીલવું માયામયી સૃષ્ટિને
ખેલું ખેલ અનન્ત સાન્ત જગમાં દિક્કાલને કંદુકે.
હું ચૈતન્યચૂડામણિ સકલ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યો,
જે દેખાય, સુણાય, થાય જગમાં, તે સર્વ મારા થકી.
કુંજે કોકિલ કૂજતી કલરવે તે નાદ મારો નકી,
નિદ્રાભંગ કરંત શ્વાન ભસતાં, તેયે ક્રિયા માહરી.
દાતા હું જ સુવર્ણચંદ્રક તણો, લેનારયે હું જ છું,
હું કૂટસ્થ, અનન્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું.

[અનુષ્ટુપ]

રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ તને સખે,
મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે જ્યોતીન્દ્ર હ. દવે!

-જ્યોતીન્દ્ર હ. દવે

Comments (9)

હાસ્યમેવ જયતે : ૦૮ : (લેંઘો-ઝભ્ભો) – ભાવેશ શાહ ‘શહેરી’ અને રમેશ પરમાર ‘ખામોશ’

કેવો જાજરમાન છે લેંઘો, ગુજરાતીની શાન છે લેંઘો,
અમેરિકાની વિઝા ઑફિસ ડરીને કહે છે- બાન છે લેંઘો!

કવિમિત્રોની જાન છે ઝભ્ભો, નેતાની પહેચાન છે ઝાભ્ભો,
લેંઘા સાથે જોડી જામે, જીન્સનું ય અરમાન છે ઝભ્ભો.

લાંબો, ટૂંકો, સાંકળો, પહોળો, દરજીનું વરદાન છે લેંઘો,
એકવચન કે બહુવચન છે ? જ્ઞાનભર્યું બલિદાન છે લેંઘો.

લેંઘા સઘળા મોળા-ધોળા, કેવો જાજરમાન છે ઝભ્ભો,
લેંઘો કાયમ ્નીચે રહેતો, આકાશી ઉડાન છે ઝભ્ભો.

સ્ત્રીઓ જેને પ્લાઝો કહે છે, મૂળભૂત પહેચાન છે લેંઘો,
ટ્રેકપેન્ટ, કેપ્રી, બરમુડા- સૌનો અબ્બુજાન છે લેંઘો.

કવિ થયો તો પહેરી લેવાનો વિધીનું વિધાન છે ઝભ્ભો,
લેંઘા માટે નાડી જોઈએ, પહેરવામાં આસાન છે ઝભ્ભો.

વધુ કડક ને ઘોળો પણ છે, પ્રગતિનું નિશાન છે લેંઘો,
ઝભ્ભા વગર તો ચાલી જાશે… પણ આત્મસન્માન છે લેંઘો.

કવિનો હતો એ ગરીબ રહી ગ્યો, નેતાનો ધનવાન છે ઝભ્ભો,
બાંયો કાપી દો- મોટો થઈ ગ્યો… મોદીજીની શાન છે ઝભ્ભો.

જુઓ તો આસપાસ મળે છે ઝભ્ભો-લેંઘો,
ઉઠામણામાં ખાસ મળે છે ઝભ્ભો-લેંઘો,
લગ્નોમાં તો ક્લાસ મળે છે ઝભ્ભો-લેંઘો,
સાથે બોલો પ્રાસ મળે છે ઝભ્ભો-લેંઘો.

– ભાવેશ શાહ ‘શહેરી’ અને રમેશ પરમાર ‘ખામોશ’

આ બંને કવિઓની લેંઘા અને ઝભ્ભા માટેની સહિયારી-વકિલાત ખાસ સાંભળવા જેવી છે! 🙂

Comments (4)

હાસ્યમેવ જયતે : ૦૭ : પન્નીને પહતાય તો કે’ટો ની -રઈશ મનીઆર

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

– ડો. રઇશ મનીયાર

થોડી હુરતી ને થોરી પારહી નઈં લાગ્તી આ હઝલ?

હાસ્ય-કવિતાઓની આખી સીરીઝ સર્જાતી હોય અને એમાં જો અમારા બડે ગુરુ રઈશભાઈની આ હઝલની હાજરી ના હોય, તો તો સાલી આખ્ખી સીરીઝ નક્કામી!!  એમ તો આ હઝલ એટલી પ્રખ્યાત થયેલી છે કે લગભગ બધાય ગુજરાતીઓએ ક્યારેક ને ક્યાંક તો એને માણી જ હશે… આઈ મીન… નક્કી હાંભળી જ અહે.  પન્નીને હાચેહાચ પહતાવાવારાઓ પન એને વાંચીને જરા-તરા તો મરક્યા જ અહે… હાચું કે નઈં?! 🙂

રઈશભાઈનાં કંઠે આ હઝલનું પઠન માણો.

મેહુલ સુરતીના સંગીત સાથે સત્યેન જગીવાલાના અવાજમાં માણો આ હઝલ, ટહુકો.કૉમ પર…

Comments (5)

હાસ્યમેવ જયતે : ૦૬ : માઈક મળે તો કોઈ છોડે ? – કૃષ્ણ દવે

પરસેવો બિચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
માઈક મળે તો કોઈ છોડે ?

નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે,
વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં,
કંટાળો જાણે કે આખ્ખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં!
તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

‘છેલ્લી બે વાત’ -એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે,
છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે,
સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

– કૃષ્ણ દવે

આ ગીતને વાંચતા ને ગણગણતામાં તો જાણે એક અદભૂત મહેફિલનું આખુ દ્રશ્ય આંખ આગળ આપોઆપ ઊભું થઈ જાય છે… ઓફ કોર્સ, માઈકને જબરદસ્ત વળગી રહેલા વક્તા તથા બગાસા અને નસકોરાની વચ્ચે ઝૂલી અને ઝૂરી રહેલા બિચ્ચારા શ્રોતાઓની સાથે સ્તો!  આ ગીતની ખરી મજા તો ત્યારે જ આવે છે, જ્યારે એ સ્વયં કૄષ્ણભાઈનાં કંઠમાંથી વહેતું માણવા મળે.  જો કે મને તો આ ગીત હાસ્યગીત કરતા પણ વઘુ વ્યંગગીત જણાય છે… એટલે કે શાણાને શાનમાં… 🙂

Comments (4)

હાસ્યમેવ જયતે : ૦૫ : (એક ટાલિયાની ટાલની કથા) – ડૉ. શ્યામલ મુન્શી

ટાલિયાની વાત કરું તમને હું સાંભળજો કાન ખોલી વાળવાળા લોકો,
ટાલ એ તો પડવાની ઘટના છે, ભાઈ એને કેમ કરી કઈ રીતે રોકો?

એક વખત એવો ઉગ્યો’તો કે માથા પર જંગલ પથરાયુ’તુ વાળનું
ઝુલ્ફાની ઝાડીમાં ક્યાંયે નિશાન ન્હોતુ એના બે કાન કે કપાળનું

ટાલિયાને વાળ સાથે જબ્બરની પ્રિત હતી- કાંસકાને ખિસ્સામાં રાખતો
શેમ્પુ ને ડ્રાયર ને કાતરની સાથ આખો દિવસ અરીસામાં ગાળતો

ચોળતો એ વાળને કંઈ કેટલીયે વાર અને હળવેથી ગૂંચને નિકાળતો
ઓળતો એ વાળ કંઈ કેટલીયે વાર જુદી જુદી રીતે વાળને એ વાળતો

ટાલિયાને વાળ વિના ચાલે નહી, અરે, એક એક વાળને એ સાચવે
રોજ રોજ વાળ સાથે ઊગતા ને પાંગરતા જુવાનીકાળને એ સાચવે

ટાલિયાના વાળ ઉપર મોહી પડેલો હાથ નમણો, રૂપાળો, મુલાયમ
ટાલિયાને એમ થતું વાળ માટે હાથ અને હાથ માટે વાળ રહે કાયમ

પણ એક દિવસ એવીયે ઘટના બની કે એક નાની તિરાડ પડી વાળમાં
ટાલિયાને સહેજ એમ લાગ્યું ફસાયો હું આખરે આ કાળ કેરી જાળમાં

ગમે તે કારણથી ટાલ થતી રોકવાને ટાલિયાને અજમાવ્યા તુક્કા
એક પછી એક વાળ ખરવા લાગ્યા ને બધી આશાના થૈ ગયા ભુક્કા

ટાલિયો વિચારે કે વિગ જો હું પહેરું તો માથા પર વાળ જેવું લાગે
પણ શેમ્પુ ને ડ્રાયર ને કાતર ને હાથ પેલો અસલનાં વાળ પેલા માંગે

રોજ રોજ ટાલ પછી વધતી ચાલી ને એવી ફેલાઈ ચાર તરફ વાળમાં
કાળુ ભરાવદાર વાળકેરુ જંગલ ને ફરી ગયું લિસ્સા એક ઢાળમાં

એક દિવસ વાળકેરી માયામાં મોહેલો ફૂટડો જવાન એક બાંકો
કાળકેરો હાથ એમ ફર્યો જોતજોતામાં બની ગયો ટાલવાળો કાકો!

કોઈ કહે દરિયામાં ટાપુ દેખાયો ને કોઈ કહે ચાંદ ઊગ્યો આભમાં
ટાલિયો વિચારે કે ટાલ સાથે વર્ષોની કીધી પડોજણ શું લાભમાં?

ટાલિયો વિચારે કે શું છે આ વાળ? અને શું છે થવું વાળ ઉપર વ્હાલ?
શું છે એક હાથનું આ વાળમાં ગુંથાવુ? ને શું છે આ ચકમકતી ટાલ?

ટાલિયાને સમજાયું, વાળ છે ભૂતકાળ ને ટાલ એ હકીકતમાં કાલ છે.
વાળ સાથે રાખી’તી જબ્બરની પ્રિત, હવે એની આ આજે બબાલ છે.

ટાલિયાની વાત કરી તમને મેં એટલે એક નક્કર હકીકતને જાણવા,
પડવાની ટાલ એવું ભૂલી જઈને પછી વાળ ઉગ્યા એને બસ માણવા.

સૂરજની સાથે છે જીવવાનું ભાઈ, આજ જાવાની આવવાની કાલ,
દિવસની સાથ સાથ ઉગવાનાં વાળ અને સાંજ પડે પડવાની ટાલ,

સાંજ પડે બાંકડા પર બેસીને જોવાની વાળ સાથે ફરતી સૌ આજને.
ટાલ ઉપર યાદોની ટોપીઓ પહેરીને કરવી પસાર પછી સાંજને.

– ડૉ. શ્યામલ મુન્શી

વાંચતાવેંત તો એમ જ લાગે કે શ્યામલભાઈનાં અનુભવનો નિચોટ છે આ ટાલમાં… પરંતુ હકીકત તો એ છે કે એમણે તો આ ટાલકથા એમની વાળોનાં જંગલમાં બેસીને લખી હતી. 🙂 આ દીર્ઘ ટાલકથા ટાલિયાઓનાં આખા સમાજને સસ્નેહ અર્પણ… 😀

શ્યામલ મુન્શીનાં કંઠે સાંભળો આ હાસ્ય-કવિતા: વિનોદનાં વૈકુંઠમાં કાર્યક્રમમાં

 

Comments (4)

હાસ્યમેવ જયતે : ૦૪ : भगवान मुझे इक साली दो ! – गोपालप्रसाद व्यास

तुम श्लील कहो, अश्लील कहो
चाहो तो खुलकर गाली दो !
तुम भले मुझे कवि मत मानो
मत वाह-वाह की ताली दो !
पर मैं तो अपने मालिक से
हर बार यही वर माँगूँगा-
तुम गोरी दो या काली दो
भगवान मुझे इक साली दो !

सीधी दो, नखरों वाली दो
साधारण या कि निराली दो,
चाहे बबूल की टहनी दो
चाहे चंपे की डाली दो।
पर मुझे जन्म देने वाले
यह माँग नहीं ठुकरा देना-
असली दो, चाहे जाली दो
भगवान मुझे एक साली दो।

वह यौवन भी क्या यौवन है
जिसमें मुख पर लाली न हुई,
अलकें घूँघरवाली न हुईं
आँखें रस की प्याली न हुईं।
वह जीवन भी क्या जीवन है
जिसमें मनुष्य जीजा न बना,
वह जीजा भी क्या जीजा है
जिसके छोटी साली न हुई।

तुम खा लो भले प्लेटों में
लेकिन थाली की और बात,
तुम रहो फेंकते भरे दाँव
लेकिन खाली की और बात।
तुम मटके पर मटके पी लो
लेकिन प्याली का और मजा,
पत्नी को हरदम रखो साथ,
लेकिन साली की और बात।

पत्नी केवल अर्द्धांगिन है
साली सर्वांगिण होती है,
पत्नी तो रोती ही रहती
साली बिखेरती मोती है।
साला भी गहरे में जाकर
अक्सर पतवार फेंक देता
साली जीजा जी की नैया
खेती है, नहीं डुबोती है।

विरहिन पत्नी को साली ही
पी का संदेश सुनाती है,
भोंदू पत्नी को साली ही
करना शिकार सिखलाती है।
दम्पति में अगर तनाव
रूस-अमरीका जैसा हो जाए,
तो साली ही नेहरू बनकर
भटकों को राह दिखाती है।

साली है पायल की छम-छम
साली है चम-चम तारा-सी,
साली है बुलबुल-सी चुलबुल
साली है चंचल पारा-सी ।
यदि इन उपमाओं से भी कुछ
पहचान नहीं हो पाए तो,
हर रोग दूर करने वाली
साली है अमृतधारा-सी।

मुल्ला को जैसे दुःख देती
बुर्के की चौड़ी जाली है,
पीने वालों को ज्यों अखरी
टेबिल की बोतल खाली है।
चाऊ को जैसे च्याँग नहीं
सपने में कभी सुहाता है,
ऐसे में खूँसट लोगों को
यह कविता साली वाली है।

साली तो रस की प्याली है
साली क्या है रसगुल्ला है,
साली तो मधुर मलाई-सी
अथवा रबड़ी का कुल्ला है।
पत्नी तो सख्त छुहारा है
हरदम सिकुड़ी ही रहती है
साली है फाँक संतरे की
जो कुछ है खुल्लमखुल्ला है।

साली चटनी पोदीने की
बातों की चाट जगाती है,
साली है दिल्ली का लड्डू
देखो तो भूख बढ़ाती है।
साली है मथुरा की खुरचन
रस में लिपटी ही आती है,
साली है आलू का पापड़
छूते ही शोर मचाती है।

कुछ पता तुम्हें है, हिटलर को
किसलिए अग्नि ने छार किया ?
या क्यों ब्रिटेन के लोगों ने
अपना प्रिय किंग उतार दिया ?
ये दोनों थे साली-विहीन
इसलिए लड़ाई हार गए,
वह मुल्क-ए-अदम सिधार गए
यह सात समुंदर पार गए।

किसलिए विनोबा गाँव-गाँव
यूँ मारे-मारे फिरते थे ?
दो-दो बज जाते थे लेकिन
नेहरू के पलक न गिरते थे।
ये दोनों थे साली-विहीन
वह बाबा बाल बढ़ा निकला,
चाचा भी कलम घिसा करता
अपने घर में बैठा इकला।

मुझको ही देखो साली बिन
जीवन ठाली-सा लगता है,
सालों का जीजा जी कहना
मुझको गाली सा लगता है।
यदि प्रभु के परम पराक्रम से
कोई साली पा जाता मैं,
तो भला हास्य-रस में लिखकर
पत्नी को गीत बनाता मैं?

– गोपालप्रसाद व्यास

કેટલી સરળ-સરસ વાતમાંથી કેવું મસ્ત નિર્ભેળ હાસ્ય નિષ્પન્ન કરાયું છે !!

Comments (2)

હાસ્યમેવ જયતે : ૦૩ : तू डाकुओं का बाप है – हुल्लड़ मुरादाबादी

क्या बताएं आपसे हम हाथ मलते रह गए
गीत सूखे पर लिखे थे, बाढ़ में सब बह गए

भूख, महंगाई, ग़रीबी इश्क़ मुझसे कर रहीं थीं
एक होती तो निभाता, तीनों मुझपर मर रही थीं
मच्छर, खटमल और चूहे घर मेरे मेहमान थे
मैं भी भूखा और भूखे ये मेरे भगवान थे
रात को कुछ चोर आए, सोचकर चकरा गए
हर तरफ़ चूहे ही चूहे, देखकर घबरा गए
कुछ नहीं जब मिल सका तो भाव में बहने लगे
और चूहों की तरह ही दुम दबा भगने लगे
हमने तब लाईट जलाई, डायरी ले पिल पड़े
चार कविता, पांच मुक्तक, गीत दस हमने पढे
चोर क्या करते बेचारे उनको भी सुनने पड़े

रो रहे थे चोर सारे, भाव में बहने लगे
एक सौ का नोट देकर इस तरह कहने लगे
कवि है तू करुण-रस का, हम जो पहले जान जाते
सच बतायें दुम दबाकर दूर से ही भाग जाते
अतिथि को कविता सुनाना, ये भयंकर पाप है
हम तो केवल चोर हैं, तू डाकुओं का बाप है

– हुल्लड़ मुरादाबादी

હાસ્ય અને વ્યંગનો સુંદર સંગમ….

મને આવી કવિતાઓની ગુજરાતીમાં સખત ખોટ સાલે છે…. ગુજરાતીના ટેલેન્ટેડ કવિઓને આગ્રહભરી વિનંતી કે આ કાવ્યપ્રકાર ઉપર ધ્યાન આપો પ્લીઝ – આમાં સર્જનનો આનંદ તો છે જ છે, સાથે પ્રચંડ લોકપ્રિયતા અને આમદાનીનો પણ સુભગ સંગમ છે….

વ્યંગ વિષે કાકા હાથરસી શું કહે છે તે સાંભળીએ :-

व्यंग्य एक नश्तर है
ऐसा नश्तर, जो समाज के सड़े-गले अंगों की
शल्यक्रिया करता है
और उसे फिर से स्वस्थ बनाने में सहयोग भी।
काका हाथरसी यदि सरल हास्यकवि हैं
तो उन्होंने व्यंग्य के तीखे बाण भी चलाए हैं।
उनकी कलम का कमाल कार से बेकार तक
शिष्टाचार से भ्रष्टाचार तक
विद्वान से गँवार तक
फ़ैशन से राशन तक
परिवार से नियोजन तक
रिश्वत से त्याग तक
और कमाई से महँगाई तक
सर्वत्र देखने को मिलता है।

– કાકા હાથરસી

Comments (4)

હાસ્યમેવ જયતે : ૦૨ : ઊંદર બનીને આવો ! – ડૉ બટુકરાય પંડયા

બરડાને છે તમન્ના, હંટર બનીને આવો,
ઘાયલ જીગરને કરવા, ખંજર બનીને આવો !

આવ્યા શું ? જાઓ છો’શું ? મહેફિલ તો છે અધૂરી,
આવો તો કોક વેળા ગુંદર બનીને આવો !

આ મોંઘવારીમાં પણ દાણા મફત મળે છે,
કિન્તુ એ એક શરતે, ઊંદર બનીને આવો !

જન્મ્યા વગરના બાળક ! તમને શી રીતે કહેવું ?
અહીંયા છે માપબંધી, નંબર બનીને આવો !

ડેમોક્રસીમાં નેતા ફરિયાદીને કહે છે,
કાં તો સભા ભરો કાં ટીંગર બનીને આવો !

મોઢામાં વાસ આવે તો પણ ગુનો બને છે,
આ ડ્રાઈ-એરિયા છે, ટિંચર બનીને આવો !

પથ્થરોની ઠોકરોથી મારી મજલ ન અટકી,
અટકાવવા ચહો તો ડુંગર બનીને આવો !

રાત્રે ઉજાગરા ને દિનભર કરે ઢસરડા,
દુર્ભાગી શાયરોને નીંદર બનીને આવો !

– ડૉ બટુકરાય પંડયા

ત્રીજો શેર જુઓ….ક્લાસિક વ્યંગ.

Comments (4)

હાસ્યમેવ જયતે : ૦૧ : બાપુ અને કૂતરું – રમેશ પારેખ

બાપુ કહે : ‘બ્હારવટે ચડું હું
તો ભલભલાને વસમો પડું હું
કે સોથ વાળું સહુ ગામનો હું
ડંકો વગાડી દઉં નામનો હું ‘

બેઠેલ જે બાપુ નજીક સાવ
એ કૂતરાએ સરજ્યો બનાવ
બાપુ કરે આંખ જરાક ચૂંચી:
‘ લે કૂતરાએ કરી ટાંગ ઊંચી…! ‘

થ્યાં ગોદડાં બાપુ સહિત ભીનાં
બાપુ ધગ્યા : ‘ઊતર, ગોલકીના…’

લોહી બન્યાં મારકણાં સટાક
બાપુ કૂદ્યા પાડી કરાળ હાક
હલ્લો કર્યો ને નળિયું ઉપાડયું,
ઘા એક ઝીંકી કૂતરું ભગાડ્યું.

– રમેશ પારેખ

હાસ્ય-વ્યંગ જેવો ઉત્કૃષ્ટ કાવ્ય-પ્રકાર કેમ ગુજરાતી કાવ્યમાં ઓરમાયો રહ્યો છે તે કદી નથી સમજાયું !! શુદ્ધ હાસ્ય તો કદાચ ક્વચિત જ ખેડાયું છે ! વ્યંગ તો કેટલો મોટો પ્રદેશ !!! હિન્દીમાં તો વ્યંગકાવ્યનો તોટો નથી, પણ ગુજરાતીમાં તે પણ અળખામણું !! બધા સર્જકો ઘુવડગંભીર….. દિવેલીયા ડાચાં તો બ્રિટિશ એરિસ્ટોક્રેટને શોભે – આપણે વળી એવા શા ગુના કીધા ?????

ર.પા. એ થોડે અંશે આ પ્રકાર પણ ખેડ્યો છે, અને કહેવાની જરૂર નથી કે શ્રેષ્ઠ કૃતિઓ આપી છે….

હાસ્ય-વ્યંગની મૂળ શરત એ છે કે જીવનની સચ્ચાઈઓને વક્રદ્રષ્ટિએ જોવી. ભાષા મજબૂત હોય તો સોને સુગંધ ભળે…ચોટ ઉત્પન્ન કરવાની શક્તિ હોય તો ઓર મજબૂત રચના બને. અમારો એક પ્રિય મિત્ર છે – ડૉ જનક રાઠોડ. એ કોઈ શાસ્ત્રીય કવિ નથી પણ એ કદી-મદી જે કવિતાસમી રચનાઓ extempore કરી દેતો હોય છે તે હસાવી હસાવીને બેવડ વાળી દે તેવી હોય છે – એક ઉદાહરણ –

સિર્ફ કહને કો હી હસીનો કી શેર-ઓ-શાયરી હૈ,
વરના સંડાસ તો શ્રીદેવી ભી જાતી હૈ

– કદાચ કોઈને આ રચના ઘણી crude લાગે, સુરુચિનો ભંગ કરતી લાગે, પણ તેનું ચોટીલાપણું અને એક ઊંડાણ આ બે લીટીને અલગ જ હરોળમાં મૂકી દે છે. હાસ્ય-વ્યંગની પરિભાષા જરાક જુદી હોય છે, ઘણી ઘણી છૂટછાટો કવિ લઈ શકે છે-કવિમાં હિંમત જોઈએ !!

Comments (8)

લયસ્તરોની સોળમી વર્ષગાંઠ પર…

*

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટ આજે ષોડશી થઈ…

સોળ વર્ષ પહેલાં આજના દિવસે અમેરિકામાં ધવલ શાહે આ વેબ્લોગની શરૂઆત કરી… એક-એક કરતાં આજે એક હજારથી વધુ કવિઓની ૪૮૦૦ જેટલી રચનાઓ ગુજરાતી કવિતાપ્રેમીઓને અમે પીરસી શક્યાં છીએ એનો આનંદ… વિશેષ આનંદ એ વાતનો છે કે સાહિત્યરસિક મિત્રોની સાથોસાથ સિદ્ધહસ્ત કવિઓએ પણ અમારા આ પુરુષાર્થને મોકળા મને બિરદાવ્યો છે. લયસ્તરો આજે ઑનલાઇન ગુજરાતી કવિતાનું પ્રતિષ્ઠિત સરનામું બની શક્યું છે એનો હર્ષ હૈયામાં સમાતો નથી.

સોશ્યલ મિડીયાઝની ભરમાર વચ્ચે વેબસાઇટ્સ ગઈ ગુજરી બનવાને આરે હોવા છતાં લયસ્તરોના ચાહકો આજ સુધી અમારી પડખે ને પડખે જ રહી અવિરત હૂંફ પૂરી પાડી રહ્યા હોવાથી અમારું અસ્તિત્ત્વ હજી ટકી રહ્યું છે… સ્વીટ સિક્સ્ટીનના આ નવલા-નાજુક વળાંકે અમે સહુ આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…

૨૦૨૦નું આખું વર્ષ કોરોના ૧૯ના વૈશ્વિક રોગચાળાની નાગચૂડમાં વેડફાઈ ગયું. વૈશ્વિક મહામારી વૈશ્વિક નિરાશા પણ લઈને આવી છે… તો આવા સમયે સોળમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે કોરોના રોગચાળાની ઉદાસી વ્યક્ત કરતી કાજળકાળી કવિતાઓ રજૂ કરવાના બદલે અમે હાસ્ય-વ્યંગ્યની હળવી રચનાઓનો રસથાળ લઈને રવિવારથી આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઈશું… કારમા કોરોનાકાળમાં પળભર માટે પણ આ કવિતાઓ આપના ચહેરા પર થોડી પ્રસન્નતા આણી શકે તો અમારું સદભાગ્ય…

કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો સહૃદય આભાર..

-ડૉ. ધવલ શાહ, મોના નાયક, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર
(ટીમ લયસ્તરો)

Comments (93)

(ભરડામાં) – ભાવેશ શાહ ‘શહેરી’

અતીતે એ રીતે લીધા છે સૌને ભરડામાં
ભૂલાવ્યા હોય એ કિસ્સા બતાવે સપનામાં

તમે જે તક ગણીને ઝડપી છે ચકાસી લો
બને કે એણે ફસાવ્યા હો તમને છટકામાં

વધેલી રાશિની અંતે તો બાદબાકી થઈ
વિતાવી જિંદગી આખી ઉમેરો કરવામાં

કદાચ સાદ ભળ્યો હોય એમાં અંતરનો
હું બોલ્યો એથી વધુ પાછું આવ્યું પડઘામાં

કદીક કામ મૂકીને કરીશ ગમતું કૈંક
શું એવું શહેરીએ વિચાર્યું હોય અથવામાં

– ભાવેશ શાહ ‘શહેરી’

સરળ. સહજ. સુંદર. સંતર્પક.

Comments (8)

સવા શેર : ૦૨ : જવાહર બક્ષી

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.
-જવાહર બક્ષી

વિરક્તિના રંગે રંગાયેલી કલમના સ્વામી જવાહર બક્ષીની લબ્ધપ્રતિષ્ઠ ગઝલનો આ અજરામર મત્લા છે, જેમાંથી स्वની ઓળખની મથામણ સ્ફુટ થાય છે. ‘હું કોણ છું’નો પ્રશ્ન તો અનાદિકાળથી માનવમાત્રને સતાવતો આવ્યો છે. રાજેન્દ્ર શુક્લ કહે છે: ‘કૈં નથી તો હું ક્યહીંથી? હું નથી તો છું ક્યહીંથી?’ આ જ ભાંજગડ ગાલિબના કવનમાં પણ જોવા મળે છે: ‘डूबोया मुझको होने ने, न होता मैं तो क्या होता ?’ પ્રસ્તુત શેર લબ્ધપ્રતિષ્ઠ ગઝલનો મત્લા છે અને આખી ગઝલનો મિજાજ સુપેરે વ્યક્ત પણ કરે છે. ઓછું પણ ઘાટું લખતા કવિના આ શેરમાં ‘શૂન્યતા’ અને ‘મર્મ’ – બે મિસરાઓના દરવાજાના મિજાગરા છે, જેના ઉપર શેરના યોગ્ય ખૂલવા-ન ખૂલવાનો આધાર છે. પોતાની ઓળખ આપવાના હેતુથી કવિ શેર પ્રારંભે છે. કહે છે, હું ટોળાંની શૂન્યતા છું. પણ રહો, બીજી જ પળે એમને પોતે જ પોતાની આપેલી ઓળખ સામે વાંધો પડ્યો છે. કહે છે, જવા દો ને આ પંચાત જ. હું કશું નથી. શૂન્યતા પણ નહીં. ટોળાંને નથી હાથ હોતા, નથી પગ. ન દિલ, ન દિમાગ. ટોળું એટલે એક અર્થહીન, શૂન્યતા. ટોળું માણસને ભ્રામક સલામતીનો અહેસાસ આપે છે. ટોળાંમાં રહીને કરાતી પ્રવૃત્તિની જવાબદારી કોઈના માથે હોતી નથી. માણસ એકલો હોય ત્યારે એની સામે એનો આત્માનો અરીસો સતત ઊભો હોય છે, જેમાં સારું-નરસું જોવાથી બચી શકાતું નથી. પણ ટોળાંનો કર્તૃત્વભાવ શૂન્ય છે. ‘લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ’ એ ટોળાંની લાક્ષણિકતા છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય જેવા મહારથીઓ પણ ટોળાંનો ભાગ બને છે, ત્યારે દ્રૌપદીના ભાગે લૂંટાવાથી વિશેષ કશું બચતું નથી. ટોળાંમાં બધાના ‘સ્વ’ ખાલીખમ હોય છે. ટોળું એટલે એક ખાલીખમ સ્વકીયતા. વિરાટ શૂન્ય. આપણે જ્યારે ટોળાંના ગાડરિયા પ્રવાહમાં તણાતાં હોઈએ છીએ ત્યારે આપણે પણ નકરી શૂન્યતા, એક અવ્યવસ્થાથી વિશેષ કશું જ હોતાં નથી. વ્યક્તિગત ઓળખ ગુમાવીને ટોળાંના શૂન્યનો ભાગ બનીએ ત્યારે આપણા સ્વતંત્ર ‘હું’ હોવા-ન હોવા બરાબર હોય છે. ટોળાંથી અલગ ઓળખ બનાવી ન શકાયા હોવાની આત્મસ્વીકૃતિની ક્ષણે, આત્મજાગૃતિની ક્ષણે કવિને ખ્યાલ આવે છે કે પોતે પોતાના જીવનનો મર્મ છે, અર્થાત્ શૂન્ય છે. પોતાના હોવાની સાથે જ ન હોવું પણ જોડાયેલું છે. એટલે જ કવિ ‘હું છું’ કે ‘હું નથી’નો શાશ્વત પ્રશ્ન ઊભો કરી બેમાંથી એક શક્યતાનો હાથ ઝાલવાની વિમાસણ સર્જવાના સ્થાને ‘છું’ તથા ‘નથી’ની વચ્ચે (અ)ને મૂકીને ઊભયના સ્વીકારનું સમાધાન સ્વીકારે છે. Descartesના પ્રખ્યાત વિધાન ‘I THINK , THEREFORE I AM’થી પણ કવિ અહીં આગળ વધ્યા જણાય છે. અસ્તિત્વના હકાર અને નકાર –બંનેનો સુવાંગ સ્વીકાર આ શેરને મૌલિક અભિવ્યક્તિની નવી જ ઊંચાઈ બક્ષે છે.

(આસ્વાદ: વિવેક મનહર ટેલર)

Comments (6)

(રંગાયા વગર) – અનિલ ચાવડા

રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું જગતથી સ્હેજે અંજાયા વગર.

આવ, તારા પ્રેમનું એક થીંગડું તું મારી દે,
જિંદગી રહી જાશે નહિતર મારી સંધાયા વગર,

મૃત્યુ! કેવળ તારી એક જ સેજ એવી છે કે જ્યાં.
ચેનથી ઊંઘી શકાશે આંખ મીંચાયા વગર.

માર્ગની મૈત્રીમાં આ એક વાત જાણી લે ચરણ;
બહુ વખત એનાથી નહિ રહેવાય ફંટાયા વગર!

પંખી તું તો ઝાડની સૌ ડાળથી વાકેફ છે,
કોણ હાથો બનશે એ ટહુકી દે મૂંઝાયા વગર.

મારી ટીકામાં પડ્યા છે જાણતલ, વિદ્વાન સૌ,
હું પડી છું ડાયરીમાં બંધ વંચાયા વગર.

– અનિલ ચાવડા

ગઝલનો મત્લા વાંચતા જ અકબર ઇલાહાબાદીનો ‘दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ, बाज़ार से गुज़रा हूँ, ख़रीददार नहीं हूँ’ શેર યાદ આવે. વાત એ જ છે પણ અંદાજે બયાં નોખો છે. પ્રેમ અને મૃત્યુની વાત કરતા બીજા-ત્રીજા શેર પણ સરસ થયા છે. પણ મને માર્ગ અને પંખીવાળા શેર સ-વિશેષ સ્પર્શી ગયા. જેનો સ્વભાવ જ ફંટાવાનો છે, એવા સાથે મૈત્રી સાચવીને જ કરવી. અને ભીતરના ભેદ જાણનાર જો મૂંઝાયા વગર મોઢું ખોલવાની હિંમત ન કરે તો આજે નહીં તો કાલે ઘર કા ભેદી લંકા ઢાયેનો ઘાટ થવાનો જ છે. છેલ્લા શેરમાં કવિએ ‘ગઝલ’ શબ્દ અધ્યાહાર રાખ્યો છે એ બાબત થોડો વિચાર માંગી લે છે. ગઝલના પહેલા બે શેર કવિ કે કથકની સ્વગતોક્તિના શેર છે, જ્યારે છેલ્લા શેરમાં ગઝલ અથવા કવિતા પોતાની આપવીતી રજૂ કરે છે. આમ તો ગઝલના દરેક શેર સ્વતંત્ર એકમ ગણાય પણ કથનકેન્દ્રનો આ વિરોધાભાસ કથકને અધ્યાહાર રાખ્યો હોવાથી થોડો ખટકે છે. શેર જો કે સરસ થયો છે. ગઝલે દાયકાઓ સુધી ઓરમાયું વર્તન સહન કર્યું છે. કવિતાના જાણકાર લોકો અને વિદ્વાન-પંડિતોએ ગઝલમાંથી સાચા અર્થમાં પસાર થયા વિના જ એની વર્ષો સુધી અવગણના કરી. થોડું extrapolate કરીએ તો આ વાત ગઝલની જેમ જ જિંદગીને પણ લાગુ પાડી શકાય. મૂળ સુધી ઉતરવાના બદલે આપણે સહુ ટીકા-ટિપ્પણીઓમાં જ સમય વેડફતાં રહીએ છીએ, પરિણામે અર્ક તો નજર બહાર જ રહી જાય છે… સરવાળે મજાની ગઝલ!

Comments (10)

(ખુદવફાઈ માંગે છે) – ગુણવંત ઠક્કર ‘ધીરજ’

ચીજ ક્યાં એ પરાઈ માંગે છે,
જિંદગી ખુદવફાઈ માંગે છે.

ક્યાં કોઈ વારસાઈ માંગે છે,
ભાઈ છે તું, એ ભાઈ માંગે છે.

એ ફકત માણસાઈ માંગે છે,
કેમ તું પાઈ પાઈ માંગે છે.

યાદ કરવાની પણ મનાઈ કરી,
આ તુ કેવી જુદાઈ માંગે છે!

ચામડીથી એ સાંધવાય પડે,
જ્યાં સંબંધો સિલાઈ માંગે છે.

ધનની માફક તમે છુપાવી જે,
લોકો એ માણસાઈ માંગે છે.

હોય એવા રજૂ થવાનું બસ,
સત્ય ક્યાં બીજું કાંઈ માંગે છે.

દરગુજર મેં કર્યુ તો સામે એ,
ઊલટી મારી સફાઈ માંગે છે.

– ગુણવંત ઠક્કર ‘ધીરજ’

કોઈપણ પ્રકારની તાજપોશીની કામના વિના સંતની પેઠે ગઝલના ગોખમાં બેસીની કાવ્યારાધના કર્યે રાખતા સુરતના ગુણવંત ઠક્કરનું ધીરજ તખલ્લુસ સાચે જ એમના સ્વભાવને ઉજાગર કરે છે. અજાતશત્રુ અને દરિયાદિલ – આ બે જ શબ્દો એમની ઓળખ માટે પૂરતા છે. ઊંડી કાવ્યસૂઝના માલિક આ કવિમિત્રની કોઈ સ્વતંત્ર રચના લયસ્તરો પર આજ સુધી આવી જ નથી એ લયસ્તરોનું જ કમભાગ્ય ગણાય… સ્વાગત, ગુણવંતભાઈ!

ટૂંકી બહેરની આ ગઝલમાં ચુસ્ત કાફિયા સાથે એમણે કેવું અદભુત કામ પાર પાડ્યું છે! જિંદગી આપણી પાસે કશું વધારાનું કે બીજાનું માંગતી જ નથી, આપણે આપણી પોતાની જાત સાથે વફાદારી કરી શકીએ એટલું જ જિંદગી ઇચ્છે છે પણ આપણામાંથી કેટલા આ કરી શકે છે? સંબંધો ફાટી જાય તો ચામડીથી પણ સાંધવા પડી શકે છેની વાત કરતો શેર તો અજરામર થવા સર્જાયો છે. જૂઠને લાખ વાનાંની જરૂર પડે, સત્યને તો માત્ર હોઈએ એમ ને એમ રજૂ થઈ જઈએ એ જ અભિપ્રેત છે. છેલ્લો શેર પણ મજબૂત થયો છે. આપણે મન મોટું રાખીને કશું જતું કરીએ તો આજનો જમાનો એવો છે, કે આ મનમોટાઈને માન આપવાના બદલે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટેના ન્યાયે આપણી સફાઈ માંગવામાં આવે છે.

Comments (14)

સવા શેર : ૦૧ : મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
– મનોજ ખંડેરિયા

કેટલીક કૃતિ વાંચતાવેંત કૃતિ, કર્તા અને વિષયવસ્તુ -ત્રણેયના પ્રેમમાં પડી જવાય. ‘વરસોનાં વરસ લાગે’ આવી જ કૃતિ છે. ગઝલનો મત્લા જોઈએ. ‘લગાગાગા’ના ચાર આવર્તનોથી બનેલા મિસરાની મોટા ભાગની જગ્યા ‘બેસું તો વરસોનાં વરસ લાગે’ જેવી લાંબી રદીફે પચાવી પાડી છે. લાંબી રદીફ સિદ્ધહસ્ત કવિઓની ગઝલોમાં પણ બહુધા લટકણિયું બનીને રહી જતી હોય છે. પણ અહીં એ કવિકર્મનૈપુણ્યની દ્યોતક બની છે. રદીફની આગળ ‘તોડવા’, ‘છોડવા’ જેવા હેત્વર્થ કૃદંતના કાફિયા. એમાંય ‘-ડવા’ કાફિયાઓનો સામાન્ય અવયવ, એટલે મત્લામાં તો કવિ પાસે ‘લગાગાગા’ની માત્ર સાત માત્રા જ બચે છે. આવી અતિસાંકડી ગલીમાંથી અર્થચમત્કૃતિ અને કવિતા નિપજાવવાનું ભગીરથકાર્ય અહીં થયું છે.

પ્રથમદર્શી વાત સરળ છે. કવિના મતે ક્ષણોને તોડવાનું અને બુકાની છોડવાનું કામ દેખાય એવું સહેલું નથી, કરવા બેસો તો વરસોનાં વરસ લાગી જાય. પણ આ તો થઈ સપાટી પરની વાત. મહાસુખ તો મહીં પડ્યા તે જ માણે ને?! ડૂબકી જ ન મારો તો મોતી શીદ હાથ લાગે, કહો તો? ક્ષણ યાને કે સમય અમૂર્ત છે પણ એને તોડવાની ક્રિયાનો કાર્યકારણસંબંધ તો મૂર્તતા સાથે છે. ‘બુકાની’ સાથે ‘છોડવા’ની ક્રિયા જેટલી સાહજિક છે, એટલી જ ‘ક્ષણો’ સાથે ‘તોડવા’ની ક્રિયા અસાહજિક છે. પ્રથમ બે જ શબ્દોમાં કવિએ આવનારી અર્થચમત્કૃતિ તરફ કેવો ઈશારો કર્યો! કવિએ ક્ષણ અને વરસ, સૉરી, વરસોને, સૉરી, વરસોનાં વરસને સામસામા (juxtapose) કર્યાં છે. ક્ષણોનો સરવાળો યાને વરસો અને વરસોનો સરવાળો છે જીવન. પણ બધી ક્ષણમાં જીવન નથી હોતું. જન્મથી મૃત્યુ તરફની અનવરત મુસાફરીમાં આપણને જોતરતી અસંખ્ય ક્ષણોમાંની એકાદ ક્ષણ કાયાપલટની હોય છે. એને પકડી શકે એ જ મહાત્મા બની શકે છે. એક ક્ષણમાં વાલિયો લૂંટારો વાલ્મિકીત્વ તરફ ગતિ કરે છે તો બોધિવૃક્ષ તળેની એક ક્ષણ બુદ્ધના જન્મની ક્ષણ બની રહે છે. સ્ટેશન પર ફેંકાવાની એક ક્ષણના ગર્ભમાંથી મહાત્મા ગાંધી જન્મે છે તો ક્ષણાર્ધભર કાબૂ ગુમાવવાના કારણે કોઈક આત્મહત્યા તો કોઈક હત્યા પણ કરી શકે છે. ક્ષણનો યથર્થ મહિમાગાન અહીં કરાયો છે. કવિ અન્યત્ર કહે છે: ‘કહે તે સ્વીકારું શરત માત્ર એક જ, મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.’ પણ અહીં કવિતા ક્ષણોને જોડવાની નહીં, તોડવાની વાતમાં છે. રામસભામાં સીતાએ આપેલી માળાના અમૂલ્ય મોતીઓના હનુમાન તોડીને ફાડિયાં કરે છે. કારણ? એમને એમાં શ્રીરામની તલાશ છે. અહીં પણ આ જ ઇજન અપાયું છે. ક્ષણોને તોડવાની છે, કેમ કે આત્મનિરીક્ષણ કરવાનું છે. અને, ક્ષણોને તોડીને, વિચ્છેદન કરીને જાત સુધીની જાતરા કરવી હોય તો વરસોના વરસ પણ ઓછાં ન પડે? વળી, ક્ષણોના સરવાળા સમી આ જિંદગીને આપણે જેવી છે, શું એવીને એવી જીવીએ છીએ? એક ચહેરો અને હજાર મહોરાં… આપણા વ્યક્તિત્વમાં ક્યાંય એકત્વ કે સમત્વ નથી. પ્રતિપળ આપણે છીએ એનાથી અલગ રજૂ થઈએ છીએ. બુકાની તો ક્ષણભરમાં છૂટી જાય, પણ છીએ તેવા દેખાવું હોય તો? ઓળખ ઉપરના આડંબરો ઉતારી દેવા હોય તો? વરસોનાં વરસ ઓછાં ના પડે? અર્થનાવિન્યની ચમત્કૃતિ સર્જતી આ ગઝલ નિઃશંક માત્ર કવિના સમગ્ર(oeuvre)નું જ નહીં, સમસ્ત ગુજરાતી ગઝલોનું એવરેસ્ટ છે.

– વિવેક મનહર ટેલર

Comments (14)

બંધિયાર નથી – જિગર જોષી ‘પ્રેમ’

અપાર દીવડા ને ગોખલાનો પાર નથી
નથી ‘જિગર’ તો ફકત ગમતો અંધકાર નથી

ગગનની પાર જઈનેય હું ટહુકી શકું :
તમે હશો તો હશો પણ હું બંધિયાર નથી

તમારી સાથે મુલાકાત બાદ જાણ્યું છે
તમે તો વાતો કરી જાણો – જાણકાર નથી.

ઝપટમાં આવી ગયા છે બધા કદી ને કદી
હવે ઉદાસી! નવો એક પણ શિકાર નથી

જુએ છે રાહ હતો જ્યાંનો ત્યાં ઝરૂખો હજી
દશામાં પણ કે દિશામાંય કંઈ સુધાર નથી

ગમે તે થાય ‘જિગર’ આંખમાં છુપાઈ રહે
અમારાં આંસુ હજી એવાં હોશિયાર નથી

– જિગર જોષી ‘પ્રેમ’

આમ તો આખી જ ગઝલ સુવાંગ સુંદર થઈ છે પણ ત્રીજો અને છેલ્લો શેર તો સવિશેષ સ્પર્શી ગયા. ઉપર ઉપરથી જ્ઞાનસાગર બનીને મહાલતા લોકોની સહેજ નજીક જઈએ તો જાણ થાય કે આ ભાઈ તો બસ, વાતો કરી જાણે છે, સાચુકલા જાણકાર નથી. ‘જાણ’ ધાતુના ત્રણ રૂપ –જાણ્યું, જાણો, જાણકાર- એક જ મિસરામાં વાપરીને કવિએ કેવો દમદાર શેર નિપજાવ્યો છે!

Comments (6)

એક કુહાડી – વિનોદ જોશી

એક કુહાડી બની ગઈ ડાળી,
એક કઠિયારો થઈ ગયો માળી.

સૌ મને તાકી તાકી જોઈ રહ્યાં,
પાંપણો માત્ર એમણે ઢાળી;

એ જ વાતે રહસ્ય ઘુંટાયું :
વાત બીજાંની શી રીતે ટાળી;

રંગ તો સાંજ લગી જોયાં હતા,
તે છતાં રાત નીકળી કાળી;

વ્હેણ વચ્ચે જ એક વહાણ હતું,
તોય વહેવાની વાતને ખાળી;

એ તરફ જે વળી જતી અટકળ,
આ તરફ માંડ સાચમાં વાળી;

જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ,
એ જ પાડી શક્યાં નહીં તાળી.

– વિનોદ જોશી

ગીતકવિના ઝોલામાંથી આવી મજાની ગઝલ જડી આવે ત્યારે સુખદ આશ્ચર્ય થાય. કવિશ્રી વિનોદ જોશીની સક્રિયતાને ઉદયન ઠક્કર વિનોદ જોશી ૨.૦ કહીને વધાવે છે. લગભગ બધા જ શેર અદભુત થયા છે પણ સાંપ્રત ગઝલની ગતિ આજે સભારંજની બનવા તરફની હોય એવા સમયે આ ગઝલનો આખરી શેર વધુ માર્મિક બની રહે છે.

Comments (13)

દિપાવલી પર્વની સ્નેહકામનાઓ…

*

છુપાયું છે ભીતર, એ સતના દીપકને પ્રજાળીને,
આ કાજળકાળી રાતોનાં હૃદય પળપળ ઉજાળીને;
કોઈની આંખના એકાદ–બે અશ્રુઓ ખાળીને,
મનાવીએ આ વર્ષે એ રીતે, ચાલો, દિવાળીને !

– વિવેક મનહર ટેલર

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને દિવાળી અને નૂતન વર્ષની અઢળક મબલખ સ્નેહકામનાઓ…

Comments (11)

ડૂબવું – પ્રતિષ્ઠા પંડ્યા

હું જાણું છું
કે હું ડૂબી રહી છું
હું તરવું પણ જાણું છું
ને છતાંય ડૂબી રહી છું
ગાત્રો કેટલાં શિથિલ છે
ખબર નથી
પણ જાણું છું
કે મારા ડૂબવામાં એમનો હાથ નથી
હા, મારા શ્વાસને મેં બાંધીને રાખ્યા છે
ક્યાંક ડહોળાય પાણી ને ફેલાય લહેરો
તો હું અનાયાસ વહેવા ના માંડું
એટલે કરીને
એક નિસાસો સુધ્ધાં નથી નાખ્યો.
પણ એમ કહેવું કે
હું ડુબાડી રહી છું જાતને
એ પણ ખરું નથી.
ડુબાડવું અને ડૂબવા દેવું
એ બેની વચ્ચેની ખાલી જગ્યામાં થઈને
જો હું સરકી જાઉં
કોઈ છીપના પાણીપોચા અંધારમાં
તો કદાચ ખીલું થઈ મોતી કાલે
કોઈ મરજીવાની બરછટ હથેળીમાં
એવા કોઈ સપનાંના ભાર તળે
હું ડૂબી રહી છું.

– પ્રતિષ્ઠા પંડ્યા

કાવ્યાંતે થોડી ચોટ આપે એવી ચાટુક્તિઓને અછાંદસમાં ખપાવી દેવાનો વેપલો આપણી ભાષામાં થોકબંધ ફાલી નીકળ્યો છે, એવામાં આવું વિશુદ્ધ કાવ્ય હાથ આવે ત્યારે એમાં ઠે…ઠ અંદર ડૂબી જવાનું મન થાય. કવિતા પણ ડૂબવા વિશેની જ છે. પરંતુ કવયિત્રી બહુ સ્પષ્ટ છે, ડુબાડવું અને ડૂબવા દેવા વચ્ચેના તફાવત બાબતમાં. જાત કે જમાના સાથે વાંધો પડે અને આત્મહત્યા કરવા પાણીમાં ઝંપલાવવું અલગ બાબત છે અને અકારણ જાતને ડૂબવા દેવું આ બે વચ્ચેની ખાલી જગ્યામાં થઈને એ પાણીમાં ઊંડે ગરકાવ થવા ચહે છે. વળી, એવું નથી કે તરતાં નથી આવડતું અને એવુંય નથી કે ગાત્રો ઢીલાં પડી ગયાં હોવાથી તરવાની શક્તિ જ બચી નથી. કોઈ પણ પ્રકારનો થાક કે મજબૂરીનો આ ડૂબવાની ઘટના પાછળ કોઈ હાથ નથી. ભીષ્મનું ઇચ્છામૃત્યુ પણ આ તબક્કે સાંભરે. ડૂબવાનો નિર્ણય એટલો તો અફર છે કે કવયિત્રીએ પોતાના શ્વાસોને પણ મક્કમ ઇરાદાઓથી બાંધી રાખ્યા છે, ક્યાંક એકાદો શ્વાસ કે નિસાસો નંખાઈ જાય અને પાણી ડહોળાતાં લહેરો ઊઠે અને ડૂબતું શરીર તરવા ન માંડે! અને આ ડૂબવા પાછળનો હેતુ? તો કે, છીપના અંધારામાં મોતી થઈ ખીલી ઊઠવાનો! પણ આ મોતી માત્ર કોઈ મહેનતકશ મરજીવા માટે જ છે! મહેનત કરીને હથેળી બરછટ થઈ હોય અને સાગરના પેટાળ સુધી ઊતરવાની તૈયારી હોય એના હાથમાં જ આ અંધારું મોતી થઈને પ્રકાશનાર છે.

અને અહીં સુધી પહોંચ્યા બાદ સમજાય છે કે પોતાના ભીતરમાં ઊંડે સુધી ડૂબકી મારવાની જહેમત ઊઠાવવા તૈયાર હોય એવા કોઈ મનના માણીગરના હાથમાં જ પોતાની જાતનું મોતી ભેટ ધરવાનું નાયિકાનું જે સપનું છે, આ ડૂબવાની ઘટના એ સપનાનાં ભાર તળે ઘટી રહી છે!

Comments (16)

(લીલુંછમ મૌન) – મુકુલ ચોક્સી

‘આ ખખડધજ હાસ્યમાં એક પુલ જીવતો હોય છે’
– એક નદી જેવો જ ભોળો દોસ્ત કહેતો હોય છે.

મનને એ તારા ઉઘાડું પાડી દેતો હોય છે
આ પવન હોય જ નહીં એ રીતે વહેતો હેાય છે.

સાંજટાણે તું લીલુંછમ મૌન રહેતો હોય છે
તોય બબ્બે ગામનું વેરાન સહેતો હોય છે

ત્યાં નદી હોવાનો સંભવ ખૂબ ઓછો હોય છે
જે નદી કાંઠા ઉપર તું બેસી રહેતો હોય છે.

– મુકુલ ચોક્સી

સ્મિત બે અલગ વ્યક્તિઓને એકમેક સાથે જોડતો સેતુ છે, એ આપણે જાણીએ છીએ પણ આ જ વાત કવિ કહે ત્યારે કેવી બદલાઈ જાય છે! ભલે ક્ષીણ થઈ ગયું હોય તોય સંબંધોને પુનર્જીવન આપવાની, જોડી આપવાની સ્મિતની ક્ષમતા કદી ઓછી થતી નથી. ચાર જ શેરની ગઝલ પણ કેવી મજબૂત! બબ્બે ગામનું વેરાન તો મારો અતિપ્રિય શેર!

Comments (8)

કબરની માટીથી – ગની દહીંવાળા

ઉતારી મેલે જગત ધૂળની સપાટીથી,
એ પહેલાં પ્રેમ કરી લ્યો કબરની માટીથી.

લખાણ રૂપે જો પ્રત્યક્ષ થૈ શક્યા ન અમે,
ઉપાડી લેવા હતા કો’ પરોક્ષ પાટીથી.

તરસના શ્વાસ જો ધીમા પડ્યા તો પડવા દો !
કે હોઠ ત્રાસી ગયા છે આ ઘરઘરાટીથી.

ખુદા ! ક્ષુધા હતી આદમની ઘઉંના દાણા શી,
અમે શિયાળ શું મન વાળ્યું દ્રાક્ષ ખાટીથી.

ન ભય બતાવ કયામતનો, મારા ઉપદેશક !
તને નવાજું હું જીવતરની હળબળાટીથી.

પરાણે જીવવું એ પણ છે એક બીમારી,
ઉપાય દમનો ન કરશો તબીબ ! દાટીથી.

નિરાંતે હાથ હયાતીની છાતીએ મેલ્યો,
ત્વચાનું પૂછ મા, દાઝી ગયા રુંવાટીથી.

‘ગની’, આ ગૂંચને જીવતરની પ્રક્રિયા જ ગણો,
દિવસ કપાય, તો રાત ઊભરાય આંટીથી.

– ગની દહીંવાળા

ક્લાસિક રચના…પ્રત્યેક શેર ઉમદા…

Comments (2)

એક છે તારી જિંદગી…- મરીઝ

એક છે તારી જિંદગી,એક ઉપર નિસાર કર,
રૂપ બધામાં એક છે, પ્રેમ પણ એક વાર કર.

હું જો નહીં રહું તને જાણી કોઈ નહીં શકે,
હું જ છું તારી આબરૂ; મારો બધે પ્રચાર કર.

તારી જ દેણ છે પ્રભુ મારી સમગ્ર જિંદગી,
મારુ કશું જશે નહીં જ્યાં ચાહે ત્યાં પ્રહાર કર.

નિષ્ફ્ળ જવાની છેવટે બેચેની તારી આંખની,
દર્શન જો એના જોઈએ દિલનેય બેકરાર કર.

શોચી રહ્યો છું કેટલાં વર્ષોથી તારી યાદમાં,
નવરાશ જો તને મળે પળભર જરા વિચાર કર.

તારા જુલમથી હું થયો બરબાદ તેનો ગમ નથી.
પસ્તાવો જે તને થયો એનો ફક્ત સ્વીકાર કર.

મર્યાદા દુશ્મનીમાં છે, શકિત મુજબની હોય છે,
કિન્તુ ગજાથી પણ વધુ સૌને ‘મરીઝ’ પ્યાર કર.

– મરીઝ

પહેલા ચાર શેર પરવરદિગારને સંબોધે છે, પછી માનવીની વાત આવે છે. પ્રત્યેક શેર મરીઝના હસ્તાક્ષર સમાન છે….

Comments (3)

છાંયડાનો જવાબ – મનોહર ત્રિવેદી

તોછડા આ તડકાએ છાંયડાને કીધું કે છોડી જો ઝાડવાની ઓથ
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

છાંયડાએ હળવેથી પૂછ્યું કે જોર તારું
કિયા ખીલે બાંધ્યું છે, બોલ?
સાંજ પડ્યે રઘવાયો રઘવાયો થૈશ અને
ઝાડ કને માગીશ બખોલ
પીળુંપચ્ચ મુખ થાય રાતુંચટ્ટાકઃ જાણે મારી હો કો’કે અડબોથ?

અંધારે એકલુંઅટૂલું ના લાગે કે
રાતે ના પડવાનો ફેર
આઠે પહોર ઝૂલું ડાળીને સંગ
અને આઠે પહોર લીલાલહેર
ડુંગર ને સીમ-ગામ-રણમાં રઝળીને તારે થાકીને થાવાનું લોથ

ઊંચે અંકાશે મીટ માંડીએ તો કિરણો પણ
ભોંય ઉપર ચાંદરણાં પાથરે
ઓછું આવે ન મને આટલીક વાતે તે
શીતળતા ભરી અહીં વાયરે
આષાઢી બીજ, અખાત્રીજ : તમે, શ્રીગણેશ! જુદી શું માનો છો ચોથ?
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

– મનોહર ત્રિવેદી

આમ તો છાંયડાનું અસ્તિત્વ તડકાને આધારે હોય પણ કવિના તો ચશ્માં જ અલગ. તોછડો તડકો છાંયડાને ઝાડની ઓથ છોડી દેવાનું આહ્વાન આપતાં કહે છે કે તને ઝાડના પાંદડાંઓએ સૂરજના તાપથી બચાવી લીધો એમાં તેં એવું તે શું ભારી પરાક્રમ કરી નાંખ્યું? આ થયું ગીતનું મુખડું… અહીંથી આગળ સળંગ ગીત છાંયડાએ તડકાને દીધેલા જવાબનું ગીત છે અને રચનાનું શીર્ષક પણ એ જ છે. તડકાની તોછડાઈનો જવાબ છાંયડો હળવેથી આપે છે, એટલું કહીને કવિ બંનેની પ્રકૃતિ વચ્ચેનો ભેદ કેવો સ્પષ્ટ કરી બતાવે છે!

છાંયડો તડકાને હળવેથી ડામ દે છે કે બહુ જોર ના કર. સાંજ પડતાં જ તું રઘવાયો થઈ જશે ને તારું પીળું મુખ કોઈએ થપ્પડ મારી હોય એમ રાતુંચટાક થઈ જશે. છાંયડો એટલે અંધારું અને અંધારાને અંધારાથી શો ફેર પડે? તકલીફ તો તડકાને છે. દિ’ આખો રઝળી-રઝળીને લોથ થવાનું એના નસીબે લખાયું છે. ઊંચા આકાશેથી આવતાં કિરણો ધરતી પર ચાંદરણાં પાથરે એનાથી છાંયડાને ક્યાંક ઓછું ન આવી જાય એટલે શીતળ વાયરો વાય છે. અંતે પોતાનો કક્કો ખરો કરાવવા છાંયડો વળી આદ્યદેવ ગણપતિને વચ્ચે લાવે છે. ઈશ્વરને મન જેમ કોઈ તિથિઓમાં ભેદ નથી, એમ છાંયડાને દિવસ-રાત અને આઠે પહોરોમાં કોઈ અંતર નથી. એ તો બસ નકરી મોજમાં જ રહે છે…

બપોરનો પીળો તડકો, સાંજની લાલિમા, છાંયડાનું અંધારું અને ઠંડક – બંનેના મૂળભૂત ગુણોનો કવિએ કવિતામાં કેવો ચાતુર્યસભર વિનિયોગ કર્યો છે!

Comments (8)

(તમને મળે!) – ખલીલ ધનતેજવી

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,
જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!

એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,
ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!

મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,
ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે

આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!

જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!

એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.
જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!

– ખલીલ ધનતેજવી

મજાની ‘ખલીલ’ બ્રાન્ડ ગઝલ…

Comments (4)

(ગોદ માતની કયાં) – ચંદ્રકાંત શેઠ

છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ?

રસ્તો મળશે, રાહી મળશે,રાહત માની કયાં ?
ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ?

પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?
સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ?

હાજર હાથ હજાર હોય,પણ છાતી માની કયાં ?
બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?

ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?

– ચંદ્રકાન્ત શેઠ

ગુજરાતી સાહિત્યાકાશમાં વિવેચનતારકોનો લાંબા સમયથી ભારી શૂન્યાવકાશ સર્જાયો છે. પરિણામે લખો એ કવિતા જેવું વાતાવરણ સર્જાયું છે. આ અંધેરનગરીમાં ઉદયન ઠક્કર જેવા કોઈક હજી છે એનો આનંદ. ચંદ્રકાન્ત શેઠ જેવા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને વિવેચક તથા સમસ્ત ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળની કૃતિચયનવિધિ પર પ્રકાશ ફેંકવાની આવી હિંમત આજે બીજા કોઈમાં તો દેખાતી નથી… ઉદયન ઠક્કરની કલમે આ રચના અને જેના થકી મરું-મરું થઈ રહેલી ગુજરાતી ભાષા જીવવાની નજીવી આશા હજી રહી ગઈ છે, એ પાઠ્યપુસ્તક વિશે શી અપેક્ષા છે એ જાણીએ:

પાઠ્યપુસ્તકમાંની કવિતાઓ – ઉદયન ઠક્કર

આ રચના ગુજરાત રાજ્યના ધોરણ નવમાના પાઠ્યપુસ્તક માટે પસંદ કરાઈ છે.રાજ્યભરના કિશોરો સામે આદર્શરૂપે મુકાતી કૃતિ પાસે, સ્વાભાવિક છે કે આપણે મોટી અપેક્ષા લઈને જઈએ. પહેલાં રચનાનું બાહ્યરૂપ તપાસીએ. પાંચમાંથી ત્રણ સ્ટાન્ઝા (શ્લોક)માં અંત્યાનુપ્રાસ સચવાયા છે. પરંતુ બીજા (રાહત-આંખો) અને ત્રીજા (પાલવ-ટહુકો) શ્લોકમાં અંત્યાનુપ્રાસ જળવાયા નથી. ચાર શ્લોકમાં અંતે ‘માની ક્યાં/માનો ક્યાં’ પદ આવે છે, પણ પહેલા શ્લોકમાં ‘માતની ક્યાં’ પદથી ચલાવાયું છે. આ કારણોસર રચનાનું શિલ્પ ખંડિત થતું લાગે છે.

હવે આંતરિક સૌંદર્ય તપાસીએ. ‘હેતની હેલી,’ ‘માની છાયા’ જેવા પદયુગ્મો નિશાળના નિબંધોમાં દાયકાઓ સુધી વપરાતાં રહીને પોતાની વ્યંજકતા ખોઈ બેઠાં છે. ઉનાળો પણ ‘ભર્યો’ અને શિયાળો પણ ‘ભર્યો’? ‘ગોદ’ અને ‘સોડ’ વચ્ચેની ભેદરેખા પાતળી હોવાથી પહેલી અને બીજી પંક્તિમાં પ્રશ્નનું પુનરાવર્તન થતું લાગે છે. ‘શયનખંડ’ અને ‘શય્યા’ને ‘સોડ’ સાથે સંબંધ છે એ સાચું, પણ ‘છત’ (તાપ-વર્ષા સામે રક્ષણ) અને ‘છત્તર’ (માન-મોભો)ને ભલા ‘ગોદ’ સાથે શો સંબંધ? ‘માની છાતી’ પ્રયોગ ગ્રામ્ય લાગે છે, ‘હૈયું’ જેવો કોઈ વિકલ્પ શોધી શકાતે.

અહીં શયનખંડ-સોડ, રાહી-રાહત, પલ્લવ-પાલવ, સંગીત-ટહુકો,હાથ-છાતી, મેહ-હેલી એવાં જોડકાં ગોઠવવામાં આવ્યાં છે, જેમાં કળાકૌશલ્ય કરતાં ગણિતકૌશલ્ય વધુ દેખાય છે. મા જેવો વિષય હોવા છતાં સંવેદન વર્તાતું નથી. માની આંખોને ચાંદ-સૂરજ-તારાની ઉપમા આપતા બીજા શ્લોકને મેઘાણીના ગીત ‘માની યાદ’ સાથે સરખાવી જોઈએ:

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું,
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું.
તગમગ તાકતી ખોળલે લૈ,
ગગનમાં એ જ દ્રગ ચોડતી ગૈ…
(ટાગોરના ગીતનો અનુવાદ)

કિમ્ બહુના? વધારે કહેવાની જરૂર ખરી?

શ્રી ચંદ્રકાન્ત શેઠ સહ-સંપાદિત ‘ગુજરાતી કાવ્યમુદ્રા’માં, આજથી સો વર્ષ પૂર્વે રચાયેલું દા.ખુ. બોટાદકરનું ગીત ‘જનની’ સ્થાન પામ્યું છે:

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તો મોરી માત રે
…વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે.
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સંપાદકોને એવું મન નહિ થતું હોય, કે પોતે શીખ્યા હતા તેવા જ સુંદર ગીતો આજના કિશોરો સમક્ષ પણ મૂકે?

-ઉદયન ઠક્કર

Comments (14)

ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ – મનોજ ખંડેરિયા

ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ
ઘરમાં ઉદાસી કેમ છે ? ખાલીપણાને પૂછ

રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ

નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ

આ ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું ,
પંખી હતું કે પૂર હતું, પાંદડાને પૂછ

આકાશ જેની ગોદમાં જન્મે અને ફૂટે
ખાલીપણાનો અર્થ તું એ બુદબુદા ને પૂછ

વિશ્વો ને હચમચાવતું છે કોણ કેન્દ્રમાં ?
હોવાની જેની શક્યતા તે વેદનાને પૂછ

બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ

-મનોજ ખંડેરિયા

Comments (2)

कैसे कह दूँ….- शकील बदायुनी

कैसे कह दूँ की मुलाक़ात नहीं होती है
रोज़ मिलते हैं मगर बात नहीं होती है

आप लिल्लाह न देखा करें आईना कभी [ लिल्लाह = ભગવાનને ખાતર ]
दिल का आ जाना बड़ी बात नहीं होती है

छुप के रोता हूँ तिरी याद में दुनिया भर से
कब मिरी आँख से बरसात नहीं होती है

हाल-ए-दिल पूछने वाले तिरी दुनिया में कभी
दिन तो होता है मगर रात नहीं होती है

जब भी मिलते हैं तो कहते हैं कि कैसे हो ‘शकील’
इस से आगे तो कोई बात नहीं होती है

– शकील बदायुनी

મત્લાએ મને ઘાયલ કરી દીધો… શું વાત કીધી છે !!! દિલ ઉઠી જાય પછી શું મળવું અને શું ન મળવું…..!!

ગાલિબ યાદ આવે –

जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई

Comments (1)

(ડરે છે) – ડૉ. હરીશ ઠક્કર

મહદ્દઅંશે લોકો સજાથી ડરે છે
કોઈ કોઈ છે જે ગુનાથી ડરે છે

એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે

એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે

ન ઇચ્છે કદી પણ બૂરું કોઈનું જે
ગ્રહો એની માઠી દશાથી ડરે છે

બધી આપદા એને શોધી જ લેશે
જે માણસ સતત આપદાથી ડરે છે

જો જીતી શકો તો એ ડરને જ જીતો
એ શું જીતે, જે હારવાથી ડરે છે ?

ડરી જાઉં હું જો તો લોકો શું કહેશે?
ઘણાં માત્ર એ ધારણાથી ડરે છે.

– ડૉ. હરીશ ઠક્કર

ડર માનવમનનો અવિભાજ્ય હિસ્સો છે. કોઈને કોઈ કારણે, કોઈને કોઈ વસ્તુનો કોઈને કોઈ સમયે આપણને ડર લાગતો હોય છે. કવિએ આપણા ડરના નાનાવિધ આયામો પ્રસ્તુત ગઝલમાં સુપેરે ઉજાગર કર્યા છે. સજાનો ડર ન હોય તો ભાગ્યે જ કોઈ મનુષ્ય ગુનો કરતાં ડર અનુભવે એ વાત મત્લામાં કેવી સ-રસ રીતે પ્રત્યક્ષ થઈ છે! સરવાળે આખી રચના આસ્વાદ્ય થઈ છે.

Comments (9)

(આહ, આહ, આહ) – મરીઝ

પહેલાં હતી બધામાં મજા આહ, આહ, આહ,
હમણાં હવે કશામાં નથી વાહ, વાહ, વાહ.

તો પણ જવું ક્યાં એ જ મને સૂઝતું નથી,
દેખાઈ તો રહી છે બધે રાહ, રાહ, રાહ.

ઊલટી અસર થઈ તારા ઠંડા જવાબની,
સર્વત્ર છે હૃદયમાં ફક્ત દાહ, દાહ, દાહ.

તસવીર છો તમે મારા સારા નસીબની,
તેથી મને મળો છો તમે ગાહ, ગાહ, ગાહ.

બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને,
મારો જવાબ એક હતો ચાહ, ચાહ, ચાહ.

ઘરમાં ‘મરીઝ’ કેવા હતા રંક, રંક, રંક
મયખાનામાં જો જોયા હતા શાહ, શાહ, શાહ.

– મરીઝ

મરીઝ પરંપરાના શાયર હતા. એમની ગઝલોમાં પ્રયોગો જૂજ જ જોવા મળે છે પણ આ ગઝલ જુઓ… આ હમરદીફ હમકાફિયા ગઝલમાં એમણે ચુસ્ત કાફિયા રાખવા ઉપરાંત કાફિયાને ત્રેવડાવીને પોતે જે કહેવું છે એ વાતને કેવો મજાનો વળ ચડાવ્યો છે! કાફિયા ત્રેવડાવાથી ગઝલની મૌસિકી તો વધે જ છે, વાતમાં વજન પણ વધે છે.

Comments (6)

(જાગું પણ સૂતેલાં જેવી) – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ભ્રમણાની દુનિયામાં વીતી ગ્યાં વર્ષો, હું રહી ગઈ છું એવી ને એવી
જાગું પણ સૂતેલા જેવી

કૂંપળથી પાન પીળું થાવાની ઘટના લગ કંઈ પણ ના પામ્યો આ જીવ,
માટીના પિંજરની અંદર ડોકાઈને શોધ્યો ના કોઈ ‘દિ મેં શિવ;
હાય મૂઓ પસ્તાવો ભીંસે છે રૂદિયાને આંખોને મીંચુ હું જેવી,
જાગું પણ સૂતેલાં જેવી.

તૂટી ગયેલાં સૌ શમણાંના ટુકડાને સંભાળી રાખું શું કામ?
તારું કે મારું કે દુનિયા કે ઈશ્વરનું, કોનું દઉં કારણમાં નામ?
લે, મારાં માથે મેં સઘળું લઈ લીધું છે, ફરિયાદો કોને ને કેવી?
જાગું પણ સૂતેલાં જેવી.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ઘડપણ ક્યારેક જાગવાની ખટઘડી થઈને આવતું હોય છે. જીવનનો અંત ઢૂંકડો જણાય ત્યારે કવચિત્ જીવની ભીતર રહેલા શિવને શોધવાની કોશિશ ન કર્યાનો વસવસો થઈ આવે છે. દુનિયાની ભ્રમજાળમાં ફસાઈને એવાને એવા રહી ગયાનો પસ્તાવો આતમને ભીંસે છે. આપણામાંથી મોટાભાગનાને તો આ જ્ઞાન મરણપર્યંત લાધતું નથી પણ જેને જાગતાં હોવા છતાં સૂતાં રહી ગયાની વાત સમજાઈ જાય છે એ આ પરિસ્થિતિની જવાબદારીનો ટોપલો દુનિયા કે ઈશ્વરના માથે નાંખી છટકવાની કોશિશ કરવાના બદલે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાની સંપૂર્ણ જવાબદારી પોતાને જ માથે લઈને ફરિયાદો કરવાથી મુક્ત રહે છે… શિવ સાંપડે કે ન સાંપડે, પણ આટલુંય આત્મજ્ઞાન થાય તોય ભયો ભયો…

કાવ્યબાની અને છંદોલય પર વધુ સંજિદગીથી કામ કરાય તો આ પ્રતિભાશાળી કવયિત્રીની આવતીકાલ વધુ ઉજળી નજરે ચડે છે…

Comments (4)

માણસ નામે ખૂબ ઉજાણી… – મુકેશ જોષી

વેરણછેરણ સપનાં છે ને, તૂટી ફૂટી ઘટના છે ને,
અડધી ઝોળી ખાલી છે ને અડધી પાછી કાણી છે
અડધું લટકે ખંજર છે ને અડધું જીવની અંદર છે ને
અડધી ચાદર ઓઢી છે ને અડધી કોકે તાણી છે
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી જોને રાત પડી છે, અડધી સાથે જાત લડી છે
બાકીની અડધીમાં સાલી હજુ કેટલી ઘાત પડી છે
અડધો માથે તાપ પડે છે, એમાં અડધો બાફ પડે છે
અડધી આંખ દદડે છે એ વરાળ છે કે પાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી યાદો તાજી છે ને અડધી યાદો દાઝી છે ને
બાકીની અડધી તો કંઠે ડૂમો થઈને બાઝી છે
અડધો જૂનો મહેલ છે ને ઇચ્છાઓ જ્યાં જેલ છે ને
માણસ નામે રાજા હો તો, પીડા નામે રાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી મૂઠી જીવવાનું છે, મોત સમીપે ખસવાનું છે
એમાંય આ કાળનું કાળું કાળું જો ને ડસવાનું છે
પહેલો માસ જ આસો છે ને અડધે શ્વાસે ફાંસો છે ને
બળબળતી આ ભવાટવિમાં તડતડ ફૂટે ધાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે..

– મુકેશ જોષી

શબ્દોનો અર્થસભર ઉપયોગ અને શબ્દોની રમત વચ્ચેનો ભેદ ઉજાગર કરતું ગીત….. દરેક શબ્દ પાસેથી એવું ખૂબીભર્યું કામ લીધું છે કે જે તે શબ્દને સહેજપણ બદલવો જાણે અશક્ય ! જ્યારે આવું સુંદર શબ્દોનું ગૂંથણ સર્જવામાં આવે અને તે પણ લેશમાત્ર અર્થ-શૈથિલ્ય વગર, ત્યારે ‘કવિતા’ સર્જાય છે…..

Comments (4)

હું બનીશ તારો સમાધિલેખ – લિઓનારા સ્પાયર (અનુ. વિવેક મનહર ટેલર)

તારા પ્યારા મૃત હૃદય ઉપરથી હું
એક ડાળી જેટલી જ લાપરવાહીથી ઊઠીશ,
એમ કહેતી, “અહીં સૂતું છે નિષ્ઠુર ગીત,
હવે નિષ્ઠુરતાપૂર્વક શાંત થઈને.’’

હું કહીશ, ‘‘અહીં સૂતી છે જૂઠાબોલી તલવાર,
હજી પણ મારી સચ્ચાઈથી નીંગળતી;
અહીં સૂતું છે મેં ગૂંથીને સીવેલું મ્યાન,
મારા યૌવનના ભરતજડ્યું.’’

હું ગાઈશ, “અહીં સૂએ છે, અહીં સૂએ છે, અહીં સૂએ છે-“
રે, નીચે શાંતિથી કટાજે!
જનારાઓને મારા શબ્દોથી આશ્ચર્ય થશે,
પણ તારી મેલી માટી તો જાણી જશે.

– લિઓનારા સ્પાયર
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્ત્રી પ્રેમ કરે તો દિલ ફાડીને પણ નફરત કરે તો દુનિયા હચમચી જાય એવી. નાયિકાના અસીમ અફાટ પ્રેમનો બદલો બેવફાઈ કે ત્યાગથી કે અવગણનાથી ચૂકવનારો હવે જમીનની નીચે કબરમાં સૂતો છે ત્યારે નાયિકા કહે છે કે હું જ તારો સમાધિલેખ બનીશ. કબર ઉપર કોઈ ડાળ જે રીતે બેપરવાહીથી ઊંચી ઊઠે એમ નાયિકા મૃતક પ્રેમીના હજીયે પ્યારા પણ મૃત હૃદય પરથી ઊઠનાર છે. સીધો સંદેશો છે કે તારા પ્રેમમાં કે તારા મરણના શોકમાં ગરકાવ રહી હું હવે પતન વહોરનાર નથી, પણ લાપરવાહીથી ઉન્નતમાર્ગે વધીશ. મરનાર એની જિંદગીનું ગીત હતું. ક્રૂર હતું પણ એનું પોતાનું ગીત હતું અને અકાળે મૃત્યુ પામીને, નાયિકાને એકલી મૂકી ચાલ્યા જઈને એણે એવો જ નિષ્ઠુર બીજો ઘા કર્યો છે. Penis (શિશ્ન) અને Vagina (યોનિ)ના એક અર્થ અનુક્રમે તલવાર અને મ્યાન પણ થાય છે. આ અર્થચ્છાયા પણ કવયિત્રીને અભિપ્રેત જણાય છે. નાયિકાના સાચા પ્રેમથી હજીયે નીંગળી રહેલી જૂઠી તલવાર જેવો પ્રેમી પોતાના યૌવનથી જેને ગૂંથ્યું હતું એ મ્યાનસહિત જમીનની નીચે સૂતો છે. જૂઠાબોલી તલવારને શાંતિથી કટાવા માટે પોતે છોડી દીધી હોવાથી દુનિયાને તો આશ્ચર્ય થશે જ પણ નાયિકાને એની ચિંતા નથી. એ જાણે છે કે મરનાર પોતાની કાળી કરતૂતોથી નાવાકિફ નથી.

I’ll be your Epitaph – Leonora Speyer

Over your dear dead heart I’ll lift
As blithely as a bough,
Saying, “Here lies the cruel song,
Cruelly quiet now.”

I’ll say, “Here lies the lying sword,
Still dripping with my truth;
Here lies the woven sheath I made,
Embroidered with my youth.”

I’ll sing, “Here lies, here lies, here lies-”
Ah, rust in peace below!
Passers will wonder at my words,
But your dark dust will know.

– Leonora Speyer

Comments (9)

(નજરું આપો સાંઈજી) – વંચિત કુકમાવાલા

નજરું આપો સાંઈજી
મારા રે પંડના પરકાશે લીધી પરથમ રે અંગડાઈ જી

ઝીલે ટેરવડાંની ધારું ઝીલે નભ આખાનો ભાર
રણકે રગરગથી રણકે છે કોઈ વાજીંતરના તાર
આસન આપો સાંઈજી
આ હાથવગી પળની પછવાડે ઊભી રે અખિલાઈ જી
નજરું આપો સાંઈજી…

માણે હાલકડોલક મનડું માણે અનહદના અણસારા
છૂટે રઘવાયાં તળિયેથી છૂટે અલલલ લીલી ધારા
લેખણ આપો સાંઈજી
એક નોખો શબદ ઉતારી કરવી ભવભવની ભરપાઈ જી
નજરું આપો સાંઈજી…

– વંચિત કુકમાવાલા

શ્રી વંચિત કુકમાવાલાની આ મજાની રચનાનો આસ્વાદ આજે કવિમિત્ર મિલિન્દ ગઢવીના શબ્દોમાં:

હા. આ વાંચતાં જ તરત કવિ વિનોદ જોશીની ‘કૂંચી આપો બાઈજી’નું સહજ સ્મરણ થઈ આવે. વંચિતભાઈની આ રચના સ્વરૂપની દ્રષ્ટિએ વિનોદભાઈની રચનાથી પ્રેરિત છે એમ સ્વીકારીને આગળ વાત કરવી છે. કારણ એટલું જ કે કાવ્ય માત્રને માત્ર એનાં સ્વરૂપમાં નથી હોતું. વળી વિનોદભાઈની રચનાનો વિષય તદ્દન જુદો છે એટલે અહીં કાવ્યાત્મક તુલના કરવી પણ નિરર્થક. જોકે ભાવકને એ છૂટ હોય જ કે એને અમુક તમુક કૃતિ વધારે પસંદ હોય. એવી ભાવકતા સાથે મારે કહેવું છે કે મને વંચિતભાઈની આ રચના વધુ ગમે છે. શું કામ ગમે છે એની સ્હેજ જ વાત કરું.

કાવ્યનો ઉઘાડ થાય છે વિનવણી થી. એક પ્રકારની પ્રાર્થનાથી. અને વિનવણી કોની પાસે? Someone who is above, અને માત્ર above એટલું જ નહીં પણ spiritually above. જેની આધ્યાત્મિક ચેતના આપણા કરતાં કોઈ ઊંચા શિખર પર છે. કારણ કે જેણે જાણી લીધું છે એ જ તો ઓળખાવી શકે, જે પહોંચી ગયાં છે એ જ તો મારગ દેખાડી શકે. આંખનું હોવું ઘણી વખત પર્યાપ્ત નથી હોતું. न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा। (ગીતા 11.8) ત્યારે જરૂર પડે છે નજરુંની – એક પ્રકારે initiationની વાત છે. અને વિનવણીનું કારણ શું? એક realization. પંડના પરકાશે લીધેલી પરથમ અંગડાઈની અનુભૂતિ. અહીંથી જ સડક શરૂ થાય છે. P. D. Ouspensky કહે છે – It is only when we realize that life is taking us nowhere that it begins to have meaning. પછી પગથિયાં છે.

પણ છેલ્લે – લેખણ આપો સાંઈજી… એક અદભુત પુસ્તક છે – Tractatus Logico Philosophicus. લેખક છે ઑસ્ટ્રીયન ફિલોસોફર Ludwig Wittgenstein. મૂળ જર્મનમાં લખાયેલું. એક જગ્યાએ લખે છે : The limits of my language mean the limits of my world. અને માટે જ ‘નોખો શબદ’ આવશ્યક છે ભવભવની ભરપાઈ કરવા માટે.

આવી નખશીખ, દાર્શનિક યાત્રાની, રચનાઓ આપણે ત્યાં ખૂબ ઓછી લખાઈ છે. આ રચના કેવળ એનાં ભાવકો માટે નથી, પણ સાધકો માટે છે.

– મિલિન્દ ગઢવી

Comments (7)

(કિનારે કિનારે) – મરીઝ

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારા બધાં સુખ અને દુ:ખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

– ‘મરીઝ’

મરીઝની ગઝલોમાંની પ્રથમદર્શી સરળતા આભાસી છે, જેને ઉર્દૂ અદબમાં સહલે-મુમ્તના કહે છે. અર્થાત્ આસાન શબ્દોમાં ગંભીર વાત. ખૂબ જાણીતી આ ગઝલનો મત્લા જોઈએ. જીવનનું તોફાન નહીં, જીવનભરના તોફાન. દરિયામાં જેમ મોજાંઓની એમ જ જીવનમાં તોફાનોની હારમાળા છે. પણ એકેય તોફાનમાં નાયક એકલો નથી. દરેકમાં કથકને ‘એના’ તરફથી ઈશારો મળતો રહ્યો છે. ને આ ઈશારાના સહારે એ આ તોફાનોને ખાળી રહ્યો છે. ઈશારો વળી સીધો નથી, મોઘમ છે. ચર્મચક્ષુથી નજરે પડે એવો નથી. ખુદામાં અને ખુદાના એના બંદા માટેના પ્યારમાં શ્રદ્ધા હોય તો આ ઈશારો સહારો બનીને તારે તોફાનોમાંથી. આ તોફાનો ગમે ત્યાં ડૂબાડી શકે છે અને ગમે ત્યાં બહાર આણી શકે છે. દરિયામાં ડૂબવા અને બહાર નીકળવા વચ્ચે એક નજીવો તફાવત હવાનો છે. પાણી આમ હવાને ડૂબાડી ન શકે, પણ શરીરની બાબતમાં એનું વલણ જરા વિપરિત છે. શરીરમાં હવા હોય તો દરિયો એને ડૂબાડે અને ન હોય ત્યારે તરાવે. કિનારે લાવી મૂકે. મરીઝ કુશળ કવિ છે. એ શું માત્ર જિંદગીના તોફાનો અને શરીરના ડૂબવા ને લાશના તરવાની જ વાતો કરે છે? કે ‘એનો મોઘમ ઈશારો’ કવિના શબ્દ તરફ પણ છે? કવિ જીવે કે મરે, એનો શબ્દ સમયના દરિયામાં કદાચિત્ ગરક પણ થઈ જાય, પરંતુ પ્રાણ હશે તો એ શબ્દ ગમે ત્યારે તરીને કિનારે આવનાર જ છે, જ્યાં સાચા કાવ્યરસિકો પ્રતીક્ષામાં ઊભા જ હશે. વળી, લગાગા લગાગાના આવર્તનો અને કાફિયાનું બેવડાવું દરિયાના મોજાંઓને સાચા અર્થમાં તાદૃશ કરે છે, એ કવિકર્મનો વિશેષ.

Comments (15)

દરવાજે ઊભો છું….- મનોજ ખંડેરિયા

પીડાના ટાંકણાની ભાત લઈ દરવાજે ઊભો છું;
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઊભો છું.

સુકાયો સાવ અશ્રુપાત લઈ દરવાજે ઊભો છું;
સૂતેલો એક ઝંઝાવાત લઈ દરવાજે ઊભો છું.

ન ફાટે કે ફીટે એ જાત લઈ દરવાજે ઊભો છું;
પટોળા પર પડેલી ભાત લઈ દરવાજે ઊભો છું.

કળીની જેમ એનું બંધ છે સૌંદર્ય આજે પણ,
કહેલી કાનમાં તેં વાત લઈ દરવાજે ઊભો છું.

ખબર છે કે લૂણો લાગી ગયો છે એનાં શિલ્પોને,
છતાં એ જર્જરિત જજબાત લઈ દરવાજે ઊભો છું.

તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિનરાત લઈ દરવાજે ઊભો છુ.

ઊભો દ્વારે શિશુ ભોળો દયામય મંદિરે, ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઈ દરવાજે ઊભો છું.

-મનોજ ખંડેરિયા

આજે પાછી બંધ દ્વારની વાત, પણ અંદાઝ અલગ છે. “તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું….” – અહીં પોઝિટિવિટી છે, પુનર્મિલનનું આહવાન છે.

Comments (2)

છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના – તુષાર શુક્લ

છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના ધસી આવતી બ્હાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

હથેલીઓમાં પારિજાતની સુવાસ લઈને, આવું એક સવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

રૂંવે રૂંવેથી દિપશીખા ઝળહળે
થાય, તું મેઘ થઈને મળે !
ઝંખના આજ હવે બસ ફળે
મીન મન ક્યાં સુધી ટળવળે ?
રણની બળતી કાંધ ઉપર આ કાળઝાળ ડમરી આજ ઊઠી ભેંકાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

રેતકણ આંખમાં ઝીણું કળે
સ્મરણના શોષ બાઝતા ગળે
હોઠ ને મૃગજળ મીઠું છળે
વેગ ના કેમે પાછો વળે…
ખડક તણા આ કાળમીંઢ સંયમને તોડી વહું હું જલની ધાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

આલિંગન આવકારમાં મળે
સ્નેહ મુજ સ્વીકાર થઈને ફળે,
જામ આ એકમેકમાં ઢળે
બેઉ જણ અરસ પરસ ઓગળે.
આખું આ અસ્તિત્વ ઊજવે તરસ તણો તહેવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

આજ અપમાનિત પાછો વળું ?
ટૂંપી દઉં મિલન સ્વપ્નનું ગળું ?
એકલો અંદર અંદર બળું ?
હું જ પોતે પોતાને છળું ?
પૂર થઈને પાછો આવીશ, વરસીશ મૂશળધાર
ભલેને બંધ કરે તું દ્વાર, થાય શું ?

– તુષાર શુક્લ

 

” હું જ પોતે પોતાને છળું ? ” – કેવી વેધક વાત….!! “બંધ દ્વાર”…..કેટલી બધી વાત કહી દે છે આ બે શબ્દો ! વળી અહીં તો નાયિકા ખુલ્લા દ્વારને કવિના મ્હોં પર બંધ કરી દે છે ! લાગણીશીલ હૈયું છે, કદાચ દ્વાર ખુલવાની રાહ જુએ…. દ્વાર ખોલવા વિનવે,….કદાચ ઊંધું ફરીને ચાલ્યું જાય સદાને માટે… જીવનમાં ખરેખર પણ આવું જ થાય છે ને ! ક્યારેક આપણે દ્વાર બંધ કરી દઈએ, ક્યારેક આપણે માટે દ્વાર બંધ થઈ જાય ! સંતના વિચાર અને વ્યવહાર એક હોય, મારે સંતપણું ક્યાંથી લાવવું ?? ક્યાંક વગર વાંકે દંડાઉ, ક્યાંક ગુનો કરી બેસું, ક્યાંક ગેરસમજનો શિકાર બનું, ક્યાંક કોઈ પવિત્ર આત્માને ઠેસ પહોંચાડી બેસું…કેટકેટલા સ્ખલનોથી બચું ??? પછી દ્વાર બંધ થાય જ ને !!! બંધ દ્વારને ખખડાવતાં અહંકાર અટકાવે, સ્વાભિમાન આડું આવે, ક્રોધ રસ્તો રોકે… આ બધું અતિક્રમીને ખખડાવું તો સામેના પક્ષે આ જ બધું, આવું જ બધું નડે !!!! કિશોર કુમારનું ગીત મનમાં ગૂંજે…-” ઝિંદગીકે સફરમેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફિર નહીં આતે…..વો ફિર નહીં આતે…..”

 

Comments (2)