કોઈની યાદ બારી બની ગઈ ‘નયન’
સાંજ જેવું ઝીણું ઝરમર્યા તે અમે
નયન દેસાઈ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
October 20, 2023 at 11:35 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
અમે ઊભા એવા સમય તટ પે જ્યાં ગગન પડછાયો પાથરતું રહે,
ટહુકે શબ્દો ને ગઝલ ઊડતી પાંપણેથી ઘેન ઝરમરતું રહે.
પુરાણી યાદોના નીરવ ઝરૂખે કોઈ સદા વ્યાકુળ બની ફરતું રહે,
ક્ષણો થીજેલી સૌ બરફ સમ ને મન હઠીલું સૂર્ય કોતરતું રહે.
અજાણ્યા રસ્તાઓ પરિચય સૂંઘે, લોકનું ટોળુંય કરગરતું રહે,
છતાં દોડી જાયે નગર રઝળું, રોજ એને કોણ આંતરતુ રહે?
સમુદ્રોનાં મોજાં વહન કરતું, આપણું હોડીપણું તરતું રહે,
કિનારે શ્વાસોના છળકપટનું દૃશ્ય ઝાંખુ સાથમાં સરતું રહે.
છરી જેવી સાંજો કતલ કરતી સૂર્યની દરરોજ સાંજે, હે ‘નયન’!
પછી પીંછાં ઊડે ખરખર અને શબ્દનું આકાશ ભાંભરતું રહે…
– નયન દેસાઈ
કલમ હાથ ઝાલે અને પ્રયોગ ન કરે એ કવિ ગમે તે હોય, નયન દેસાઈ તો નહીં જ. આપણે ત્યાં ઘણા સાહિત્યકારોએ સંસ્કૃત છંદોનો પ્રયોગ કરીને શુદ્ધ વૃત્ત ગઝલો આપી છે, પણ નયન દેસાઈ એક ડગલું આગળ જઈ સંસ્કૃત વૃત્ત અને ગઝલના છંદને એક જ ગઝલમાં ભેગા કરીને આપણને હાઈબ્રીડ ગઝલ આપે છે. ગઝલના દરેક મિસરાનો પૂર્વાર્ધ ખંડ શિખરિણી છંદમાં અને ઉત્તરાર્ધ ગઝલમાં સૌથી પ્રચલિત રમલ છંદમાં છે. સરવાળે આપણને સાંપડે છે એક સફળ પ્રયોગ-ગઝલ.
Permalink
October 19, 2023 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નયન દેસાઈ
*
અજવાળું એક અહેસાસ છે,
દોસ્તો ! એ ખાઈ શકાતું નથી.
મીણબત્તીનું અજવાળું એ કંઈ બેંક બૅલેન્સ નથી,
કે નથી ફ્લેટ કે નવી કારનું મૉડેલ,
એને વેચી કે વટાવી શકાતું નથી,
ખડખડતી ચમચીઓનો અવાજ મોટો ને મોટો થતો જાય છે.
કાળી ડિબાંગ રાત્રે જંગલમાં,
-મારા ગામના જંગલમાં વાગતા આદિવાસીના ઢોલની જેમ,
દોસ્તો ! હું ભૂલથી આવી ગયો છું અહીં
મને માફ કરો !
ફ્લડલાઈટ્સના આ ધોધમાર પ્રકાશમાં,
વહી નીકળ્યા છે બધા જ ચહેરા.
મેકઅપ – સ્માઈલ – સ્માર્ટ નેસવાળા ચહેરા,
વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલતા ચહેરા.
દરેક આંખમાં પોતાનું જ એન્લાર્જડ પ્રતિબિંબ,
દરેક હાથ પર શેઈકહેન્ડની બોગનવેલિયા,
ક્યાં છે રોટલા ટીપીને રાહ જોતી એ આંખોનો ભાવ?
ક્યાં છે એક મુઠ્ઠી ભૂખને પંપાળતા હાથ ?
સાંજનું જાઝ વાગી રહ્યું છે,
એના ધ્રુજતા વર્તુળાતા ઘેન – ગુલાબી લયમાં
ગુલાબજાંબુની આછી ગંધ,
(વાડામાં ગુલાબનો છોડ મરી ગયો ત્યારે કેટલું રડ્યો હતો હું !)
સાંજ નસેનસમાં કોતરી રહી છે ઉન્માદના રાફડા
(નર્તકીની ઊછળતી છાતી પર સમુદ્રનો કોલાહલ)
અને સળગતા ડેફોડિલ્સના રંગ જેવાં કપડાંમાં સજ્જ
ભણેલગણેલ એટીકેટીવાળા પડછાયા,
ઊંચી ઓલાદના,
ગોઠવાય છે ચપોચપ ટેબલો પર
તૂટી પડે છે પડછાયાનાં હાથ, નાક, કાન આંખ,
ધીમે ધીમે સંભળાય છે ભગાના ઢોલનો
‘ધબ ધબ થ્રિબાન્ગ ધબ, થ્રિબાન્ગ ધબ’ નો અવાજ,
ગાડામાં ફણગી ઊઠેલ ગીત,
અડધા અડધા થઈ જતા માણસો,
સાચ્ચેસાચ્ચા માણસો –
જાનનો ઉતારો, નવી દોસ્તીના રંગ,
પણ બળદના ઘૂઘરાએ જાઝ નહીં,
એની વાત જુદી, એનો લય જુદો
ડ્રમ્સ એક સાથ બજી ઊઠે.
પછી બૉન્ગો,
પછી ઈલેક્ટ્રિક ગિટાર,
ને વચ્ચે વચ્ચે ફલ્યૂટની મુરકીભરકી મીઠાશ,
મીણબત્તી સાથે જ ઓગળી રહી છે સાંજ ધીમે ધીમે.
બધું જ ઓગળતું જાય છે,
દોસ્તો ! મીણબત્તીના ગઠ્ઠાનું પછી શું કરો છો ?
– નયન દેસાઈ
ગીત-ગઝલના સમ્રાટ નયનભાઈની કલમ ક્યારેક છંદોલયના બંધન ફગાવી આઝાદ નિર્બંધ કાવ્યવિહારે પણ નીકળે. જો કે એમના ખજાનામાં અછાંદસ કાવ્યો નહિવત્ માત્રામાં જ જોવા મળે છે.
એંસીના દાયકામાં પ્રગટ થયેલ સંગ્રહમાંનું આ કાવ્ય છે. આજની પેઢીને કેન્ડલ લાઇટ ડિનરની નવાઈ ન લાગે, પણ એ જમાનામાં આ વિચાર કેટલો નવતર લાગતો હશે એ કલ્પી શકાય. મીણબત્તીના ઉજાસથી કવિતાનો ઉઘાડ થાય છે. પહેલી પંક્તિથી જ નયનભાઈનો સંસ્પર્શ વર્તાય છે. કેન્ડલ લાઇટ ડીનર છે, પણ કેન્ડલ લાઇટનું ડીનર નથી એટલે આ નામકરણ પર હળવો કટાક્ષ કરતા હોય એમ કવિ મીણબત્તીનું અજવાળું અહેસસ છે, એને ખાઈ શકાતું નથી કહીને વાત માંડે છે. આ ડીનર ભલે પૈસાથી ખરીદાયું હોય, પણ એનો જે અહેસાસ છે એની કોઈ કિંમત આંકી ન શકાય. ખખડતી ચમચીઓનો અવાજ કવિને પોતાના ગામના જંગલ સુધી લઈ જાય છે. પોતે આ સ્થળે મિસફિટ હોવાનો અહેસાસ થતાંવેંત એ માફી માંગે છે.
અચાનક પ્રકાશનું પરિમાણ બદલાય છે. મીણબત્તીના આછા અજવાળાંના સ્થાને ફ્લડલાઇટ્સનો ધોધમાર પ્રકાશ કવિતામાં ફૂટી નીકળે છે. કવિને પોતાને કોઈ રેસ્ટોરન્ટમાં થયેલ અનુભવ એમણે આલેખ્યો છે કે કેમ એ તો હવે કેમ ખબર પડે, પણ પ્રકાશના આ અણધાર્યા વૈષમ્યમાં કવિ આધુનિકતાના રંગે રંગાયેલ શહેરીજનોને જુએ છે. દરેક જણ સામી વ્યક્તિમાં પોતાની જાતને જ છે એથી વધુ મોટી કરીને જોવા ટેવાયેલ છે. મળતાવેંત શેઇકહેન્ડ તો થાય છે પણ આ હસ્તધૂનનમાં પ્રતીક્ષારત્ માનો સ્નેહભાવ પણ નથી અને ભલે મુઠ્ઠીભર પણ સાચુકલી ભૂખ પણ નથી. આ રેસ્ટોરન્ટ કોઈક સમુદ્રકિનારે (દમણ?) હોવી જોઈએ. સરસ! પ્રકાશના બે સાવ ભિન્ન સ્વરૂપોની કવિતામાં આકસ્મિક ટાપશી પુરાયાનો તાળો અહીં જઈને મળે છે. સમુદ્રકિનારાની હોટલોમાં કેન્ડલલાઇટ દીનર, ફ્લડલૈટ્સ, અને લાઇવ લાઉડ સંગીત-નૃત્યની હાજરી આપણે સહુએ પ્રમાણી છે. નસોમાં ઉન્માદ વધી રહ્યો છે. એટીકેટવાળા નામ વગરના પડછાયાઓની ભૂતાવળ સમા શહેરીજનોથી ટેબલો ઝડપભેર ભરાઈ રહ્યા છે.
કવિના અહેસાસમાં એમના ગામડાંના સાચુકલા માણસો અને એમના થકી અનુભવેલું જીવનસંગીત ફણગાય છે, જ્યારે બીજી તરફ નજર સમક્ષ નાનાવિધ વાદ્યોના સમન્વયથી જાઝ સંગીત ગૂંજી ઊઠે છે. બંનેની વાત અને લય નોખા હોવા છતાં કવિ આધુનિક સંગીતની મીઠાશનો પણ સ્વીકાર કરે છે. મીણબત્તીની સાથોસાથ સાંજ ઓગળી રહી છે, રાત ગાઢી થઈ રહી છે. બધું ઓગળતું જણાય છે. પ્રકાશ-સંગીત-સમુદાય-સ્મરણ : બધું જ મીણબત્તીના મીણની જેમ અસ્તિત્ત્વમાં અજવાળું પાથરતાં પાથરતાં ક્રમશઃ ઓગળી રહ્યું છે, પણ ભીતર જે ગઠ્ઠો બાકી રહી જાય છે એનું શું કરવું એ અસમંજસનો કવિ પાસે ઉત્તર નથી. મીણબત્તી આખી બળી જાય તો તો શાંતિ, કશું બચે જ નહીં, પણ મીણબત્તી બળે ત્યારે અંતે પીગળતાં પીગળતાં મીણનો જે ગઠ્ઠો બચી જાય એવી અકથ્ય પીડા ભૂત અને વર્તમાનના સંધિકાળ પર ઊભેલા કવિની સહનશક્તિ બહાર છે. મિસફિટ માણસો શહેરમાં કઈ રીતે ફિટ થાય, કહો તો !
Permalink
October 18, 2023 at 11:30 AM by તીર્થેશ · Filed under ગીત, નયન દેસાઈ
ચંદુ ક્યાંકથી જાણી લાવ્યો
કે પાણી પર ચીતરી શકાય છે
સમજાવ્યો લાખ તોય માન્યો નહીં એ
પાણીની ભાષા કૈં શીખી શકાય છે ?
ચંદુ આપણાથી વાદળાં પર ચાલી શકાય છે ?
રસ્તા પ૨ સ્વીટીના હસવાનો અવાજ બાજુના મકાન સુધી પહોંચે છે
પણ નદી કિનારે બે વ્હાણ કરે વાતો આપણા કાન સુધી પહોંચે છે ?
પડછાયો ભોંય પર ખોડી શકાય છે ?
ચંદુ આપણાથી ભીંતો પર દોડી શકાય છે ?
પાંદડાની નસનસને સૂંઘે પવન પછી ૠતુઓનાં નામ એને આપી દેવાય છે
ફૂલ ઉપર ઝાકળનાં ટોળાંઓ બેસે એ ભોળા પંખીને દેખાય છે
કાળમીંઢ અંધારે આંગળી ચીંધી શકાય છે ?
ચંદુ આપણાથી એકલતા વીંધી શકાય છે ?
– નયન દેસાઈ
સ્વગતોક્તિ કાવ્ય છે. કવિ જાતને સમજાવે છે જાણે કે – જે શક્ય નથી તેની પાછળ ગાંડા શીદને કાઢવા ? પ્રેમિકાનો એકરાર હોય કે પછી કોઈ સ્વજન પાસે રાખેલી કોઈ વાંઝણી અપેક્ષા હોય….કે પછી એકલતા સામે ફરિયાદ હોય….મન માને કે ન માને – વાસ્તવિકતા સ્વીકારવી જ રહી….
Permalink
October 17, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નયન દેસાઈ
*
લાંબુ ને લાંબુ ને લાંબુ ને લાંબું ને અધધધ નામ;
બાઝ્યું ને બાઝ્યું ને દાઝ્યું ને દાઝ્યું ને લોહીમાં ધડડડ ડામ.
આખ્ખી ને આખ્ખી ને ખાટ્ટી ને ખાટ્ટી ને માટ્ટી ને માટ્ટીની લસબસ યાદ;
ઝાંપો ને ઝાંખો ને આંખો ને નાખો ને ઊંડી ને કૂંડી ને ખણણણ બંધ.
વત્તા ને ઓછા ને વદ્દી ને રદ્દી ને લેખાં ને જોખાં ને સણણણ ગાળ;
ચહેરા ને તક્તા ને ભીંતોનાં ચક્તાં ને ટેકો ને ટૂંપો ને પળપળ ફાળ.
ચપ્પુ ને પપ્પુ ને અઠ્ઠુ ને સત્તુ ને બધ્ધું ને બળ બળ ડંખ;
શંકુ ને કંકુ ને અસ્તુ ને વસ્તુ ને હાય રે તથાસ્તુ ને અઢળક ઝંખ.
બેઠ્ઠું ને બેઠ્ઠું ને લિસ્સું ને ફિસ્સું ને પેલ્લું ને છેલ્લું ને ઝળહળ રૂપ;
અંતે ને ભંતે ને પોતે ને પંડે ને રેવા તે ખંડે ને લસરસ લસરસ ચૂપ.
ઘાંટો ને છાંટો ને જંપો ને કંપો ને ડંકો ને અરભવ પરભવ સાંધ;
હેલ્લો ને રેલ્લો ને ડૂસકું ને ઠૂસકું ને રૈ’જા ને થૈ જા ને ચ૨૨૨ સગપણ બાંધ!
– નયન દેસાઈ
આ ગીતનુમા રચનાનું શીર્ષક કવિએ ‘એક સ્ટિરિયોફોનિક પ્રતિક્રિયા’ રાખ્યું છે, એટલે એ બાબતે વિચારવાની ફરજ પડે. નયન દેસાઈના ગજવામાંથી તો ગુજરાતી કવિતાએ આ પૂર્વે કદી સાંભળ્યા જ ન હોય એવા અનેક શબ્દોના મોતી જડી આવશે, જેમ કે સંભોગસિમ્ફની ગઝલ, ગઝલ: નાર્કોલેપ્સી, હાઈબ્રીડ ગઝલ, મેટામોર્ફૉસિસ ગઝલ, ભૌમિતિક ગઝલ, ખગોલિય ગઝલ, ક્યૂબીઝમ રચના, ફોનેટિક ગઝલ વગેરે વગરે. ઓગણીસસો સિત્તેરના દાયકામાં હિંદી સિનેમામાં સ્ટિરિયોફોનિક સાઉન્ડના શ્રીગણેશ થયા એટલે એ સમયે આ શબ્દ લોકોને ટિપ ઑફ ધ ટંગ હોય એમાં કોઈ નવાઈ નથી. સ્ટિરિયોફોનિક એટલે અલગ-અલગ દિશાઓમાં જન્મેલા અવાજને અલગ-અલગ દિશાઓથી વહેતો કરવાની પદ્ધતિ જેના કારણે અવાજમાં ત્રિપાર્શ્વીય પરિમાણ ઉમેરાય અને અવાજ નૈસર્ગિક અવાજની વધુમાં વધુ નજીક હોવાનું પ્રતીત થાય. પ્રસ્તુત રચના વાંચવા માટેની નહીં, મોટા અવાજે લલકારવાની રચના છે, કારણ કે તો જ રચનામાં કવિએ ગોપવેલ અવાજની ત્રિપાર્શ્વીયતાનો ખરો અનુભવ કરવો શક્ય બનશે. ષટ્કલના આવર્તનો તો કવિએ યથોચિત જાળવ્યા છે, પણ આવર્તનસંખ્યામાં શિથિલતા સેવી હોવાને લઈને કેટલીક પંક્તિ નિર્ધારિત માપ કરતાં ટૂંકી તો કેટલીક લાંબી રહી ગઈ છે. પણ આપણને મમ મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે?
‘લાંબુ ને લાંબુ ને…’ કહીને કવિ વાત જ્યારે ચોવડાવે છે ત્યારે લાંબુ સંજ્ઞા સાચા અર્થમાં ચાક્ષુષ થાય છે. માણસમાત્રને નામનો મોહ હોય છે. પોતાનું નામ દુનિયામાં વધુને વધુ મોટું થાય એની ઝંખના અને યત્નોમાં એ જીવન વીતાવે છે. એટલે કવિ અધધધ કહીને આશ્ચર્ય પ્રગટ કરે છે. નામને, પ્રતિષ્ઠાને જેટલું વધારે બાઝીશું એટલું જ વધારે દાઝવાનું થશે. લોહીમાં ધડડડ ડામ જેવા અનૂઠા કલ્પનથી કવિ ડામને પણ આબાદ ચરિતાર્થ કરી શક્યા છે. પ્રથમ પંક્તિમાં એક જ શબ્દની ચાર વારની પુનરોક્તિ બાદ બીજી પંક્તિમાં કવિ દ્વિરુક્તિ-બદલાવ-દ્વિરુક્તિની આંતરપ્રાસ સાંકળી યોજે છે. પણ એ પછી આખી રચનામાં આંતર્પ્રાસ સાંકળી રચતા શબ્દો એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ને ત્રીજામાંથી ચોથામાં એટલા તો સાહજોક રીતે ઢોળાય છે કે એમાંથી ઊઠતો ધ્વનિ ચારેકોરથી આપણા અસ્તિત્વને ઝંકોરતો રહે છે. અર્થની દૃષ્ટિએ પરસ્પર એકસો એંસી ડિગ્રીનું વૈષમ્ય ધરાવતા એકાધિક શબ્દોને બખિયા મારીને કવિતાનું કપડું સીવવાની કળા કવિને હસ્તગત હતી. શબ્દમાંથી જન્મતા અર્થ સિવાય શબ્દના ધ્વનિ તથા બે શબ્દો વચ્ચેના અવકાશમાંથી તેઓ અર્થ જન્માવી શકતા હતા… માણસ ઉર્ફેથી લઈને અનેક રચનાઓમાં નયન દેસાઈની આ કાબેલિયત આપણી સાથે મુખામુખ થતી રહે છે.
સરવાળે જે અલગ-અલગ પ્રકારના અવાજોના સંમિશ્રણથી રચાતી એકરસ અનુભૂતિ છે એ જ છે ખરી કવિતા.
Permalink
October 16, 2023 at 7:26 PM by તીર્થેશ · Filed under ગીત, નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
એની એવી છે ટેવ સીધું કૈના વિચારે
અને બદલે છે હરએકનાં નામઃ
પાંદડાને લીલુંછમ જંગલ કહે
અને પંખીને ટહુકાનું ગામઃ
ફૂલોને જુએ તો ઝાકળ થૈ જાય
અને આંખો ભીંજાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
તોડીફોડીને કાચ આયનો બનાવે છે
અને ચીતરે છે ચહેરાના ભાવ,
સૂરજના ડૂબવાનો અર્થ કરે એવો
આ તો બારીમાં સાંજનો પડાવ
પાંપણમાં પૂરેલી રાત વેચી વેચી
તડકાઓ વાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
કાંઠો જુએ તો કહે : એકલતા ગાય છે
વહેવાના સંદર્ભો સાવ જુદા બોલે છે
ખારવાનાં ડૂબેલાં ગીત કરી એકઠાં
પેટીની જેમ પછી પરપોટા ખોલે છે
દરિયો નિહાળે તો મનમાં ઉદાસ થૈ
મૃગજળ સજાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
– નયન દેસાઈ
નયનભાઈ સિવાય આવી કવિતા કોણ કરી શકે…!! એક હળવી શૈલીમાં લખાયેલી પરંતુ તેમાં આવી સરસ અર્થગંભીર પંક્તિ કેવી સહજતાથી ભળી જાય છે !!! —
“દરિયો નિહાળે તો મનમાં ઉદાસ થૈ
મૃગજળ સજાવે છે નયન દેસાઈ”
નયનભાઈની આ જ ખૂબી હતી. થોડું એવું લાગ્યા કરે કે ગુજરાતી કાવ્યજગત નયનભાઈને ઉચિત સન્માન ન આપી શક્યું…. નયનભાઇને પણ એ વાત થોડી ખટકતી-એકવાર ભગવતીકુમાર શર્મા આગળ હૈયાવરાળ ઠાલવી પણ હતી. પણ મસ્તમૌલા જીવને એવો ખટરાગ સદે નહીં… પાછા પોતાના અસલ મિજાજમાં આવી ગયા હશે…. અંગત રીતે મારા ગમતા કવિ ! તેઓને વાંચવા કરતાં સાંભળવાનો લ્હાવો વિશેષ ! એક વખત કવિસંમેલનમાં જરા ઢીલો દૌર ચાલતો હતો અને ભાવકો થોડા કંટાળ્યા હતાં – નયનભાઈ માઈક પર આવ્યા….. કોઈ પ્રસ્તાવના વગર સીધું જ બોલ્યા – ” મને કોલેજમાં એક છોકરી બહુ ગમતી, એ આખી દુનિયાની સૌથી સારી છોકરી હતી. એનો એક બાપ હતો, તે આખી દુનિયાનો સૌથી ખરાબ બાપ હતો…..” – આખું ઓડિયન્સ ખડખડાટ હસી પડ્યું….અને પછી નયનભાઇ રંગમાં અને ઓડિયન્સ પણ રંગમાં….
ખોટ સાલશે…..
Permalink
October 16, 2023 at 11:01 AM by વિવેક · Filed under નયન દેસાઈ, પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
બંને આંખ મીંચી હાથ ઊંચે લંબાવીને કાવ્યપાઠ કરે ત્યારે લૌકિકમાંથી અલૌકિક બની જતા આ માણસનો અવાજ પણ આ દુનિયાની પેલે પારના કોઈક અગોચર પ્રદેશમાંથી આવતો લાગે. મુશાયરાનું સંચાલન કરતા આ માણસને જેણે જોયો નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! એમના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા હતી. કવિતાની અંદર ઓગળી જઈને પ્રગટતો આવો કવિ ભાગ્યે જ જોવા મળશે.
નયન હ. દેસાઈ.
જન્મ- ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬, નિધન- ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩.
જન્મભૂમિ વાલોડ પણ કર્મભૂમિ સુરત. કદકાઠીએ ટૂંકા પણ આદમી મુઠ્ઠીઊંચેરા. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ. જીવનની શરૂઆતમાં હીરા ઘસતા તે આજીવન કાચા હીરા જેવા કેટલાય કવિઓને પાસા પાડતા રહ્યા. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. પ્રયોગશીલતા ક્યારેક પ્રયોગખોરી પણ બની રહેતી. પણ ગીત-ગઝલમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા એટલું જવલ્લે જ કોઈ કવિ લાવી શકે. નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ઉર્દૂના પણ ઉસ્તાદ. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાની ખાતરી થયા વિના નહીં રહે.
રમેશ પારેખની જેમ એમનું નામ પણ છ અક્ષરનું જ. અને ર.પા.ની જેમ જ એમના ખોળામાં પણ ગુજરાતી કવિતા ખૂબ રમણે ચડી હતી, પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નહીં… આ કમનસીબ તે નયન દેસાઈનું નહીં, ગુજરાતી કવિતાનું જ.
લયસ્તરો પર એક અઠવાડિયા સુધી નયન દેસાઈની કવિતાની અલગ અલગ મુદ્રાઓથી પરિચિત થઈએ અને કવિને ભેગા મળીને યથોચિત શબ્દાંજલિ આપીએ.
Permalink
October 14, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જુગલ દરજી 'માસ્તર'
જીવતર મોંઘો તાકો દરજી
સમજી સમજી કાપો દરજી
કર્મોની મીટરપટ્ટીથી,
જાત તમારી માપો દરજી
સંઘરવાને ગમતાં સ્મરણો,
ગજવું મોટું રાખો દરજી.
છુપાવવાને જખ્મો જગથી,
અસ્તર સદરે નાખો દરજી.
સપનાને સાંધી દે એવો,
પ્રોવી દોને ધાગો દરજી
સીવ સીવ તો ખૂબ કર્યું, અબ,
શિવનો મંતર જાપો દરજી.
– જુગલ દરજી
લયસ્તરો પર કવિના ગઝલસંગ્રહ ‘પહેરણ એ પણ શબદ નામનું’નું સહૃદય સ્વાગત છે…
સંગ્રહમાંની કેટલીક રચનાઓ તો લયસ્તરો પર છે જ. દરજીના વ્યવસાયને પ્રતીક બનાવી જીવતરની સુકણિકાઓ સમજાવતી સરળ-સહજ-ગહન ગઝલ આજે માણીએ.
Permalink
October 13, 2023 at 11:30 AM by વિવેક · Filed under ગીત, નિનુ મઝુમદાર
મેશ ન આંજુ, રામ!
લેશ જગ્યા નહિ, હાય સખીરી! નયન ભરાયો શ્યામ!
એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ – મેશ
કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ – મેશ
– નિનુ મઝુમદાર
નાનું ગીત, મોટી વાત. કાવ્યનાયિકા આંખમાં મેશ આંજવા તૈયાર નથી. કારણ? નેણમાં તો શ્યામ સિવાય કશાની જગ્યા જ ક્યાં છે? આંખમાં તો કાજળ આંજવાની જગ્યા નથી જ, પણ આંખ નીચે કાજળની રેખા કરવા પણ નાયિકા તૈયાર નથી. એને ડર છે કે રખે ને આંખેથી આંસુ વહે અને એની સાથે ઘનશ્યામ પણ વહી નીકળે! વ્રજવાસિનીઓ ઠેકડી ઉડાવે તો ભલે ઉડાવતી. કૃષ્ણનું નામ, વર્ણ અને કામ –બધું જ કાળું છે. એ ભરેલ મટકીઓ ફોડી નાંખે છે, વણહકના દાણ ઉઘરાવે છે, દહીંદૂધ ચોરી ખાય છે, કપડાં લઈને ભાગી જાય છે. આટલું કંઈ ઓછું છે? વધારામાં કાજળની કાળપ લાગશે તો તો નટખટ ક્યાં જઈને અટકશે? નેતિનેતિ જ ને! મુખડાથી લઈને બંને અંતરા સુધી – આખા ગીતમાં કવિએ એકસમાન ચુસ્ત પ્રાસ જાળવ્યા હોવાથી ગીત વધુ ગાનક્ષમ બને છે. મુખડાની બંને પંક્તિમાં પ્રારંભે મેશ-લેશનો પ્રાસ પણ રચનાને વધુ હૃદ્ય બનાવે છે.
Permalink
October 12, 2023 at 9:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્ર ૫રમાર
મધરો મધરો પાયો કલાલણ !
અંકાશે હું ના માયો રે લોલ
મુંને નેણ કટોરો ઉલાળી કલાલણ!
ચંઈનો ચંઈ ઉછાળ્યો રે લોલ.
આંખે આભલિયું આંજ્યું કલાલણ!
પગલે પતાળ મેં દાબ્યું રે લોલ,
સૂરજમાં મુખ મેં ધોયું કલાલણ !
ચાંદલામાં મુખડું જોયું રે લોલ..
બત્રી કોઠે દીવા ઝળકે કલાલણ !
રૂંવે રૂંવે તારા લળકે રે લોલ,
રગે રગે તે રંગ છલકે કલાલણ!
અણસારે મેઘ-ધજા ફરકે રે લોલ.
મધરો મધરો પાયો કલાલણ !
અંકાશે કૈં ના માયો રે લોલ,
‘આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી
બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ.’
– ‘ચંદ્ર’ ૫રમાર (રામચંદ્ર પથુભાઈ પરમાર)
ગીત તો કલાલણ, દારૂ વેચનાર સ્ત્રીને સંબોધીને લખાયું છે પણ સમજાય એવી વાત છે કે અહીં આંખોથી શરાબ પાનારની વાત થઈ રહી છે, કારણ આ શરાબ મધુરો છે, કડવો નહીં. મધરો મધરોની દ્વિરુક્તિ શરાબની મીઠાશને અધોરેખિત પણ કરે છે. પ્રણયરસ પીનારને આકાશ પણ નાનું પડેપડે છે. નરસિંહે પણ કહ્યું હતું ને, ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર! તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’ પ્રિયજનના એક નેણઉલાળે નાયકને પોતે ક્યાંનો ક્યાં ફંગોળાઈ ગયા હોવાનું પ્રતીત થાય છે. નાયક આંખે આભ આંજે છે, પાતાળ પગ તળે દાબે છે; સૂરજમાં મોઢું ધુએ છે અને ચાંદામાં જુએ છે. એના બત્રીસે કોઠે દીવા ઝળકી રહ્યા છે અને એનો પ્રકાશ નાયિકાના રૂંવેરૂંવે લળકી રહ્યો છે. પ્રેમનો રંગ રગેરગથી છલકાઈ રહ્યો છે અને નેહનો મેહ વરસતો અનુભવાય છે. છેલ્લા બંધની બે પંક્તિ એ ગીતની પ્રથમ બે પંક્તિની પુનરોક્તિ જ છે પણ કવિએ ‘હું’કાર કાઢીને ‘કૈં’ શબ્દ મૂક્યો છે એ સૂચક છે. અહીં આવીને પ્રેમીનો સ્વ ડૂબી-ઓગળી ગયો છે. એકોક્તિમાં ચાલતા આખા ગીતની છેલ્લી બે પંક્તિ કલાલણના પ્રત્યુત્તરથી સંવાદગીતમાં પરિણમે છે. પ્રેમીને પ્રેમના નશામાં તરબતર કરી દેનાર પ્રેયસીનો ગર્વ છલકાતો સંભળાય છે. એ કહે છે, ભલે તને આખું આકાશ કેમ ઓછું ન પડતું હોય, મેં તો તને મારી બાંધણીની ગાંઠે બાંધી રાખ્યો છે. યે બ્બાત! ઉત્તર ગુજરાતની તળપદી બોલીને લઈને ગીત ઓર મધુરું મધુરું બન્યું છે.
Permalink
October 5, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઇન્દુ પુવાર, ગીત
અમે લયનું લૂટાવ્યું ગામ
કે લેંચુ લચકેલો
તમે વાણીનો કરજો વેપાર
કે લેંચુ ચસકેલો
સૂના તળાવની પાળે ઊભેલા જાંબાનો જુગજૂનો જોગી
લહેરમાં આવીને કોક હુંકારો દે ત્યાં લપાક લઈને ભોગી
મારે લાડીવાડીનાં શાં કામ?
કે લેંચુ લટકેલો
અક્ષરની પૂંછડીનો વાંકો વિસ્તાર હું અર્થોની ઠાઠડી બાંધું
મહાંણિયા મહાદેવના ડમરુના હાદે ઘૂઘરમાળ બાંધી નાચું
મારી કાયામાયાનાં આ નામ
કે લેંચુ ભટકેલો
અમે લયનું લૂંટાવ્યું ગામ
કે લેંચુ લચકેલો
– ઇન્દુ પુવાર
વ્યંગ કવિતા આપણી ભાષામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલ પ્રકાર છે. ઇન્દુ પુવારની ‘લેંચુકથા’ આ અવકાશ સુપેરે ભરી આપે છે. કવિએ એકાધિક લેંચૂકાવ્યો લખ્યાં છે, પણ કોશિશ કરવા છતાં કવિનો કોઈ સંગ્રહ કે લેંચૂકાવ્યો હાથવગાં થયાં નથી. સમગ્ર કાવ્યગુચ્છ હાથ આવે તો કવિ શું કહેવા ચહે છે એ કદાચ વધુ સારી રીતે સમજી શકાય. કોઈ વાચકમિત્ર કે કવિમિત્ર આ બાબતમાં મદદગાર થશે તો એનો આગોતરો આભાર…
છંદોલય જે તે કાવ્યસ્વરૂપમાં કવિતા સિદ્ધ કરવા માટેનું સાધનમાત્ર છે, પણ કવિતાના કસબથી પરિચિત થઈ જનાર કારીગર પોતાને કવિ ગણવા માંડે, અને સાધનને જ સાધ્ય ગણી લે એના પર કવિ મજેદાર કટાક્ષ કરે છે. લેંચુ કોણ તે તો આપણે જાતે જ સમજી લેવાનું. લયનું ગામ લૂંટાવીને કવિ સહુને વાણીનો વેપાર કરવાનું આહ્વાન આપે છે. જુગજૂના જોગીઓનો જ્યાં વ્યાપ છે એ સાચા સાહિત્યના તળાવ સૂનાં પડ્યાં છે. પણ આ જોગીઓય કંઈ સાવ સીધા નથી, હં કે! કો’ક લહેરીલાલા કે લાલી(!)એ ત્યાં આવીને ‘હું’કારો (હોંકારો નહીં હં કે) કર્યો નથી કે જોગી લપાક લઈને ભોગી બન્યા નથી… સાચા કવિને લાડી કે વાડીથી નહીં, કેવળ કવિતાથી જ નિસ્બત હોય. દલપતરામે ‘કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર’ કહ્યું હતું એનો અછડતો સંદર્ભ લઈ કવિ વાંકાચૂકા અક્ષરો અને એના એ જ (મૃત્યુ પામેલ) અર્થોની વાત કરીને નામ લીધા વિના આપણા અઢાર અવગુણો તરફ કટાક્ષ કરે છે. આ કાયા, આ માયા, આ નામ બધું અંતે તો સ્મશાનની રાખ ભેગું જ થવાનું છે એ તરફ ટકોર કરીને કવિ સરવાળે તો આપણને સાચી કવિતા તરફ વળવાનું આહ્વાન જ આપે છે.
Permalink
October 4, 2023 at 7:55 PM by તીર્થેશ · Filed under ગીત, વૉલ્ટ વ્હિટમેન, હરીન્દ્ર દવે
આ રોજ સવારે આંગણથી આરંભાતો
ને રોજ સાંજના ત્યાં જ સમેટાઈ રહેતો:
આ મારગ. ત્યાં હું ગતિ કરું કે માર્ગ સ્વયમ્
કે છળી બેઉને, રહે કાળ પોતે વહેતો.
હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું,
એ કેવા છલકાતા હેતે સામો ધસતો,
આ મલક મલક મલકાય મકાનો બેઉ તરફ
આ પવન પલક વીંટળાય, પલક આઘો ખસતો.
આ પાલખ પર ઘૂ ઘૂ કરતાં બે પારેવાં
મુજ પદરવથી શરમાઈ ફરી વાતે વળગ્યાં
આ પૂર્વગગનથી કિરણ કિરણની ધૂપસળી
અડકી તો રૂના પોલ સમાં વાદળ સળગ્યાં.
ઝાલી માતાનો કર જે ગગન નીરખતો’તો
મન થતું, જરા એ બાળક સંગે ગેલ કરું;
આ એકમેકથી રીસ કરી અળગા ચાલે,
બે માણસમાં એક ગીત ગાઈ મનમેળ કરું.
આ નેત્ર ઉદાસી ભરી અહીં બે વૃદ્ધ ઊભા,
હું અશ્રુ બે’ક સારી એને સાંત્વન આપું :
આ ઉન્મન ને સુંદર યુવતીની આંખોને,
એ તરસે છે, તલખે છે એવું મન આપું.
આ ભીડભર્યા કોલાહલમાં નીરવ રીતે,
કોઈ મિત્ર તણો હૂંફાળો કર થઈ જીવી શકું,
તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા,
પરવા કોને, હું થી૨ ૨હું કે વહી શકું.
જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે,
આ માર્ગ પછીની મંજિલ એ મારું ઘર છે,
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંજિલ પણ મારું ઘર છે.
– હરીન્દ્ર દવે ( પ્રેરણા – Song of the open road – Walt Whitman )
બે પંક્તિઓ પર ધ્યાન ખેંચીશ –
તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા,
પરવા કોને, હું થી૨ ૨હું કે વહી શકું.
અને –
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંજિલ પણ મારું ઘર છે.
– બસ, આ જ જાણે કે કાવ્યનો સાર છે.
વોલ્ટ વ્હીટમેનના કાવ્ય કરતાં ઘણું જુદું છે પણ થોડી આભા છે ખરી…
Permalink
September 30, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પન્ના નાયક
તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
ઝાડવાની લીલેરી માયા મને,
ફૂલની, સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ,
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
– પન્ના નાયક
આજીવન સાથ નિભાવનાર પ્રિયજનની વિદાયનું ઋજુ સ્ત્રીસહજ સંવેદનનું ગીત. સંસાર તો બંનેનો જ હોય, પણ ભારતીય સ્ત્રી કોઈ વસ્તુ પર ‘મારું’નો સિક્કો મારતાં શીખી જ નથી.. લગ્ન પહેલાં બાપનું ઘર, લગ્ન પછી પતિનું ઘર. એટલે જ ગીતની શરૂઆત ‘આપણા’ નહીં, પણ ‘તારા’ બગીચાથી થાય છે. પતિના બગીચેથી વિદાય લેતાં પહેલાં એ ક્ષણભર રહીને વિખેરાઈ જનાર ટહુકો નહીં, ટહુકાનું પંખી જ દેતી જાય છે. લેવાની તો અહીં કોઈ વાત જ નથી. જતાં જતાં પોતાની યાદોના ટહુકાઓનું પંખી એ મૂકતી જાય છે. નાયિકાનો સંસાર લીલો અને સુગંધભર્યો રહ્યો છે. જન્મજન્માંતરનો ભેદ જાણે કે આ એક જ જન્મમાં ઉકેલાઈ ગયા હોય એવું જીવતર પામીને વાયરાની હળવાશ જેવી હળવી થઈને એ આજે જઈ રહી છે. દિવસ-રાત શું, પળેપળ ફૂલ અને ભ્રમર જેવા સ્નેહપાશની ગાથા જેવાં જ વીત્યાં છે. આવામાં કેટલું ભૂલવું અને કેટલું યાદ કરવું? જતાં પહેલાં જાઉં છું કહેવાની સોનેરી તક મળી એટલામાં જીવતરના સાર્થક્યની વાત કહીને નાયિકા વિદાય લે છે… આટલા સરળ શબ્દોમાં જીવનની સંકુલતા અને સંતોષ તો એક સ્ત્રીની કલમ જ વ્યક્ત કરી શકે!
Permalink
September 29, 2023 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વજેસિંહ પારગી
ખાહડા જેતરું પેટ ભરતાં ભરતાં
ડુંગોર ઘહાઈ ગ્યા
કોતેડાં હુકાઈ ગ્યાં
વગડો થાઈ ગ્યો પાદોર
હૂંકળવાના અન કરહાટવાના દંન
ઊડી ગ્યા ઊંસે વાદળાંમાં
અન વાંહળીમાં ફૂંકવા જેતરી
રઈં નીં ફોહબાંમાં હવા
તેર મેલ્યું હમુઈ ગામ
અન લીદો દેહવટો
પારકા દેહમાં
ગંડિયાં શેરમાં
કોઈ નીં હમારું બેલી
શેરમાં તો ર્યાં હમું વહવાયાં
હમું કાંક ગાડી નીં દીઈં શેરમાં
વગડાવ મૂળિયાં
એવી સમકમાં શેરના લોકુએ
હમારી હારું રેવા નીં દીદી
પૉગ મેલવા જેતરી ભૂંય
કસકડાના ઓડામાં
હિયાળે ઠૂંઠવાતા ર્યા
ઉનાળે હમહમતા ર્યા
સુમાહે લદબદતા ર્યા
પણ મળ્યો નીં હમુન
હમારા બાંદેલા બંગલામાં આસરો
નાકાં પર
ઘેટાં-બૉકડાંની જેમ બોલાય
હમારી બોલી
અન વેસાઈં હમું થોડાંક દામમાં
વાંહા પાસળ મરાતો
મામાનો લંગોટિયાનો તાનો
સટકાવે વીંસુની જીમ
અન સડે સૂટલીઈં ઝાળ
રોજના રોજ હડહડ થાવા કરતાં
હમહમીને સમો કાડવા કરતાં
થાય કી
સોડી દીઈં આ નરક
અન મેલી દીઈં પાસા
ગામના ખોળે માથું
પણ હમુન ડહી લેવા
ગામમાં ફૂંફાડા મારે સે
ભૂખમરાનો ભોરિંગ
અન
મરવું હમુન ગમતું નથ.
– વજેસિંહ પારગી
(જન્મ: ૨૩-૦૪-૧૯૬૩ – નિધન: ૨૩-૦૯-૨૦૨૩)
થોડા દિવસ પહેલાં જ ગુજરાતી ભાષાના અચ્છા જાણકાર કવિ શ્રી વજેસિંહ પારગી આપણને છોડી ગયા. લયસ્તરો તરફથી એમને એક નાનકડી શબ્દાંજલિ…
ગામમાં ખાંસડા જેવડું પેટ ભરવામાં ડુંગર ઘસાઈ ગયા, કોતરો સૂકાઈ ગઈ અને પાદર વગડો થઈ ગયું. હોંકારા દેવાના ને કિકિયારી કરવાના દિવસો વરાળ થઈ વાદળમાં ઊડી ગયા. જ્યારે ફેફસામાં વાંસળીમાં ફૂંક મારવા જેટલી હવાય ન બચી ત્યારે ગામ છોડવું પડ્યું. દેશવટો લીધો. પારકા દેશની ગંડુનગરીમાં આવા હલકી જાતના નિર્વાસિતોનું બેલી કોણ થાય? ઊલટું, ગામડેથી આવેલ આ લોકો શહેરમાં પોતાનાં મૂળિયાં ઊંડે ન ઉતારી દે, કાયમી સ્થાન મેળવી ન લે એ ડરથી શહેરીજનોએ એમના માટે પગ મૂકવા જેટલી ભોંય પણ રહેવા ન દીધી. કચકડા જેવા કાચા ઓરડામાં આ દલિત નિર્વાસિતો મરવાના વાંકે શિયાળામાં ઠૂંઠવાય છે, ઉનાળે સમસમે છે અને ચોમાસે લથપથ થતા રહે છે, પણ પોતે જ બાંધી આપેલ બંગલાઓમાંય એમને આશરો મળતો નથી.
ઘેટાંબકરાંની જેમ ગલીના નાકે રોજ એમની બોલી લાગે છે, રોજ તેઓ મામૂલી દામે વેચાય છે. પીઠ પાછળ કોઈ મામો કે લંગોટિયો કહીને વીંછીના ચટકા જેવા ટોણા મારે ત્યારે પગથી લઈને માથાની ચોટલી સુધી ઝાળ ચડી જાય છે. આ રીતે રોજેરોજ હડહડ થઈ સમસમીને સમય પસાર કરવાનો આવે ત્યારે મન તો એવું થાય કે આ નરક છોડી દઈને ફરી ગામના ખોળે માથું મૂકી દઈએ, પણ ગામમાં ભૂખમરાનો ભોરિંગ ફૂંફાડા મારી રહ્યો છે અને પોતાને મરવું પસંદ નથી એટલે આ રોજેરોજ મરીમરીને જીવવાની શહેરી જિંદગીનો ત્યાગ પણ કરી શકાતો નથી…
સમાજના ગરીબ દલિત-આદિવાસી વ્યક્તિની વ્યથા અને દુવિધાને કવિએ ભીલી બોલીમાં એવાં તો મર્મસ્પર્શી રીતે રજૂ કર્યાં છે કે આપણી પૂંઠે સદીઓના આપણા ગેરવર્તાવનો વીંછી કરડતો હોય એવો દાહ અનુભવાય છે.
(પ્રસ્તુત રચનાના કેટલાક શબ્દોના અર્થ સમજવા માટે શ્રી કાનજી પટેલ અને શ્રી બાબુ સંઘાડાનો સહકાર સાંપડ્યો છે. બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર.)
Permalink
September 28, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગની દહીંવાળા, ગીત
સાંજને રોકી રાખજે મારી બૈ,
. સીમ, તને રે વીનવું સૂરજદેવના સોગન દૈ…
. ..સાંજને.
ખેતરાં ખૂંદી આવશે ઓલ્યો મનડે ઊગ્યો મોલ,
દેરડીવાળે ડુંગરે મુને મળવા દીધો કોલ,
. એક આણીપા એક ઓલીપા આંખિડયું મંડૈ…
. ..સાંજને.
એકલી તોયે કોકની હારે રમતી મુને જોઉં,
આવડી મોટી તોય હું જાણે ભાન વનાની હોઉં,
. નથણી મારી નજરું કેરી ખેલમાં તે ખોવૈ…
. …સાંજને.
આમ તો આણી મેર આવી ત્યારે કેટલો હતો દી,
ભાવ ભરેલા દૂધથી આંચળ વાછરું ગયું પી,
. કુમળો એવો તડકો જાણે ગાવડી ચાવી ગૈ…..
. ..સાંજને.
– ગની દહીંવાલા
મનનો માણીગર દેરીવાળા ડુંગર પર સાંજે મળવા આવવાનો કોલ દઈ ગયો હોય, પણ હજી આવ્યો ન હોય અને સાંજ ઢળવી શરૂ થઈ ગઈ હોય ત્યારે પ્રોષિતભર્તૃકાના હૈયામાંથી જે આર્જવયુક્ત ઉદગાર નીકળે એનું આ ગીત છે. નાયિકા સીમને સૂરજદેવના સોગંદ દઈને વિનંતી કરે છે કે સાંજને રોકી રાખજે. વેણીભાઈ પુરોહિતનું ‘હજી આ કોકરવર્ણો તડકો છે, સાંજ તો પડવા દો’ ગીત પણ આ તબક્કે યાદ આવી જાય છે… રોકવાની વાત પરથી હરીન્દ્ર દવેનું ‘સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત’ પણ સ્મરણમાં આવ્યા વિના રહેતું નથી.
આંખો સતત આ તરફ, એ તરફ એમ ચકળવકળ થઈ દિશાઓ તાકી રહી છે. નાયિકા એકલી જ છે પણ પોતાને પોતાન અપ્રિયતમ સાથે કેલિ કરતી જુએ છે. ભાન ખોઈ બેઠી હોય એવા એના આ વર્તનનું વળી એને ભાન તો છે જ, પણ કાબૂ નથી. એની નજરોની નથણી જાણે આ ખેલમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. આ તરફ એ આવી ત્યારે તો આખો દિવસ હજી બાકી હતો, પણ રાહ જોવામાં ને જોવામાં સાંજ ક્યારે ઢળવા આવી એનીય એને પતીજ રહી નથી. વાછરું આંચળમાં હોય એ બધું દૂધ ધાવી ગયું હોય અને ગાય કૂમળું ઘાસ ચાવી જાય એમ સમય સરતો ગયો અને કૂમળો (સાંજનો) તડકો પણ ઓસરવા લાગ્યો છે.. બૈ, દૈ, મંડૈના સ્થાને કવિ બઈ, દઈ, મંડઈ પણ લખી શક્યા હોત પણ તળપદી ભાષાના ઉચ્ચારોને લિપિમાં યથોચિત દેહ આપીને કવિએ ગીતને વધુ મનોહર બનાવ્યું છે એ કવિકર્મ પણ ચૂકવા જેવું નથી.
Permalink
September 27, 2023 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, બેફામ
દિલથી બધાને પ્યાર કરો ને ગઝલ કહો,
દિલ એક પર નિસાર કરો ને ગઝલ કહો.
જો ઊંઘ આવે તો ય સતત જાગતાં રહી,
હર રાતને સવાર કરો ને ગઝલ કહો.
હરએક કળીને ફૂલ થવામાં મદદ મળે,
પ્રસ્વેદને તુષાર કરો ને ગઝલ કહો.
માણસથી છેતરાતાં રહો રોજ, તે છતાં,
માણસનો એતબાર કરો ને ગઝલ કહો.
એ આવશે, એ આવશે, એ આવશે કદી,
બસ એમ ઇન્તેઝાર કરો ને ગઝલ કહો.
આપે છે કોણ શે૨ને માટે વિચાર સૌ,
એના ઉપર વિચાર કરો ને ગઝલ કહો.
– બરકત વીરાણી ‘બેફામ’
સામાન્ય રીતે ગઝલને વિષય બનાવી કહેવાતી ગઝલો મને ગમતી નથી પણ આ ગઝલ અપવાદ છે… મજબૂત ગઝલ….
Permalink
September 26, 2023 at 6:25 PM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
બે માણસના સંબંધોમાં બાવળ આંટા મારે છે,
અણીદાર જખ્મોથી માણસ માણસને શણગારે છે.
મહેલ ચણાવી પ્રથમ મીણના પછી ઉતારા આપે છે,
દીવાસળીનાં સરનામાંઓ ગજવે ઘાલી રાખે છે.
બીજાનું અજવાળું જોઈ પોતે ભડભડ સળગે છે,
બળી ગયેલી ક્ષણની કાળી મેંશ જ એને વળગે છે.
સ્વયં પતનની કેડી ઉપર અહમ્ લઈ ઊભેલો છે,
આ માણસ તો કાદવકીચડ કરતાં પણ બહુ મેલો છે,
બે આંખોથી મેં જોયું એ હજાર આંખે દેખે નહીં,
તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું છે કે નહીં?
– મુકેશ જોષી
તાજેતરમાં જ અઝીઝ નાઝાંની ટાઈમલેસ કવ્વાલી “ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા” સાંભળી….એમાં જે લેવલની નગ્ન વાસ્તવિકતાનો ચીતાર છે એવી જ નકરી વાસ્તવિકતા આ ગઝલમાં મુકેશભાઈએ તાદ્રશ્ય કરી છે….
Permalink
September 23, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પૂજાલાલ
ગાજે ઘેરા ગંભી૨ રવે ગાજે, સાગરરાજ ગાજે ગાજે!
રાજે રસનો રત્નાકર રાજે, સાગ૨રાજ ગાજે ગાજે!
પ્રૌઢ પડઘા દિગંત પાર પડતા,
ગેબી ગહવરમાં ઘોષ એ ગડગડતા,
આજે તાંડવ તણા સૂરસાજે, સાગ૨રાજ ગાજે ગાજે!
તુંગ તોતિંગ તરંગો તડતા,
રુદ્ર-તાલો દુરંત દૂર દડતા,
બાજે ડમરું ડરાવતાં બાજે, સાગ૨રાજ ગાજે ગાજે!
એના પાણીમાં પરવળ પાંગરતાં,
મોંઘામૂલાં મોતીડાં મળતાં,
રમ્ય રત્નો ૨મે શેષ-તાજે, સાગ૨રાજ ગાજે ગાજે! |
ભવ્ય ભાવોની ભરતી ભરાતી
નાથ-બાથે આ ધરતી ધરાતી;
ગયો બંધાઈ એ પ્રેમ-પાજે, સાગરરાજ રાજે રાજે!
– પૂજાલાલ
કાન્તે ‘સાગર અને શશી’માં ઝૂલણાં છંદમાં ગાલગાના આવર્તનોની મદદથી સમુદ્રના મોજાંની આવજાનો ધ્વનિ કેવો આબાદ રીતે ચાક્ષુષ કરી બતાડ્યો’તો! પ્રસ્તુત ગીતમાં કવિએ ષટ્કલના બે આવર્તનોની આગળ પાછળ રાજે-ગાજેની પુનરોક્તિ અને પંક્ત્યાંતે દ્વિરુક્તિ કરીને રત્નાકરની રવાનીને એવી જ રીતે તાદૃશ કરી દેખાડી છે. ર-જ- અને ગની વર્ણસગાઈ દરિયાના મોજાંની આ ઉછળકૂદને વધારે જીવંત બનાવે છે. આવી જ વર્ણસગાઈ કવિએ ગીતની દરેક પંક્તિમાં આબાદ પ્રયોજી હોવાથી ફરી એકવાર કાન્તે સાગર અને શશીમાં કરેલ વર્ણગૂંફન યાદ આવે.
Permalink
September 22, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત, લોકગીત
મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં
મેં તો આભનાં કર્યાં કમાડ
મોરી સૈયરું! અબોલા ભવ રિયા
મેં તો અગર ચંદણના ચૂલા કર્યા
મેં તો ટોપરડે ભરિયાં ઓબાળ. મોરી..
મેં તો દૂધનાં આંધણ મેલિયાં
મેં તો ચોખલા ઓર્યા શેર. મોરી..
એક અધ્ધર સમળી સમસમે,
બેની, મારો સંદેશો લઈ જા. મોરી..
મારા દાદાની ડેલીએ જઈ કેજે,
તમારી દીકરીને પડિયાં છે દુ:ખ. મોરી..
દીકરી! દુ:ખ તે હોય તે વેઠીએ
દીકરી, સુખ તો વેઠે છે સૌ. મોરી..
દાદા! ખેતર હોય તો ખેડીએ,
ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય? મોરી..
દાદા!કૂવો રે હોય તો તાગીએ,
ઓલ્યા સમદર તાગ્યા કેમ જાય? મોરી..
દાદા!ઢાંઢો રે હોય તો વેચીએ,
ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય? મોરી..
દાદા! કાગળ હોય તો વાંચીએ,
ઓલ્યાં કરમ વાંચ્યાં કેમ જાય? મોરી..
કવિ શ્રી ઉદયન ઠક્કરની કલમે આ લોકગીતનો રસાસ્વાદ માણીએ: (થોડું ટૂંકાવીને)
સ્ત્રીને સાસરવાસમાં સહેવી પડતી વિપદા વિશે ઘણાં લોકગીતો ગવાયાં છે. આ ગીતની નાયિકા નવે ઘરે ઠરીઠામ થવાની કઠણાઈને રૂપકથી આબાદ ઝીલે છે, ‘ડુંગર કોરીને ઘર કર્યાં.’ સમથળ ભૂમિ ન બચી હોય, ડુંગર ખોદીને કુટિર બનાવવી પડી હોય, એ સંકટ તો જેણે વેઠ્યું હોય તે જ જાણે.વળી કમાડ આભનાં છે, અર્થાત્ છે જ નહિ. આપણે કહીએ છીએને, ‘ઉપર ગગન અને નીચે ધરતી.’ આગળના બે શબ્દો સૂચક છે,’મેં તો.’ આ પરિસ્થિતિ માત્ર નાયિકાની છે, પરિવારનાં બીજાં સૌ તો સુરક્ષિત છે.
ફરિયાદ કરવી કોને, તો કે સહિયરોને. પાણી સીંચતાં, ભારો બાંધતાં કે ગરબો ગાતાં સખીઓ સામે હૈયું ઠાલવી શકાય. કુટુંબજીવન તો ઠીક, દાંપત્યજીવન પણ વણસ્યું છે, ભવ આખાના અબોલા થઈ ગયા છે. પરણ્યાને રીઝવવા નાયિકા અછોવાનાં કરે છે. અગર-ચંદનના ચૂલે બળતણ (ઓબાળ) ભરે છે, દૂધ-ચોખા ઓરીને ખીર રાંધે છે. પથ્થર પર પાણી.
પોતાની પીડાનો સંદેશો પિયરિયાને મોકલવો કેમ? ગામ છોડીને તો નીકળાય નહિ. ફોન-તાર- ટપાલનો એ જમાનો નહિ. પત્ર લખી શકાય તેવું અક્ષરજ્ઞાન પણ નહિ. હા, જતા-આવતા પ્રવાસીને કાને વાત નાખી શકાય. નાયિકા સમળીને સંદેશો આપે છે. (‘અ લિટલ બર્ડી ટોલ્ડ મી.’) કાલિદાસના યક્ષે મેઘને સંદેશો આપ્યો હતો. સંદેશો કેવો કરપીણ હશે કે સાંભળીને સમળીય સમસમી ગઈ! સાસરિયા સાથે સ્નેહ ન રહ્યો હોવાથી, નાયિકાને સમળી ય પરિવારજન (‘બેની’) લાગે છે. સંદેશો દાદાને આપવાનો છે. લોકગીતમાં ‘દાદા’ એટલે પિતા.
હવે દાદા અને દીકરીના સામસામા સંદેશા સાંભળીએ. દાદા સહાય કરવા દોડી આવ્યા હશે? ના રે ના. જમાનો એવો હતો કે પાલખીમાં સાસરે ગયેલી સ્ત્રી ઠાઠડીમાં જ પાછી નીકળી શકે. (પિયરભેગી થાય તો ભાઈઓની મિલકતમાં ભાગ માગે, એવો અંદેશો હશે.) દાદા ઠાલાં આશ્વાસનો આપ્યે જાય છે: સુખ તો સૌ વેઠે, તું દુ:ખ વેઠીને બતાવ. (સુખ સાથે ‘વેઠવું’ ક્રિયાપદ નવતર અને સુખદ લાગે છે.) દીકરી ચચ્ચાર પ્રશ્નો પૂછે છે, જેનો દાદા ઉત્તર આપી શકતા નથી. ખેતર ખેડાય પણ ડુંગર કેમ ખેડાય? ખેડૂતની સ્ત્રીના જાતઅનુભવમાંથી આવેલું આ દ્રષ્ટાંત છે. કૂવાનું માપ લઈ શકાય, સમદરનું કેમ લેવાય? સહેવાય તેટલું સહી લીધું, હવે પાણી માથાની ઉપર આવી ગયું છે. કરમન કી ગતિ ન્યારી. ન જાણે ભાગ્યમાં શું લખાયું છે? લોકગીત લખનાર કોઈ એક સ્ત્રી નહિ પણ સ્ત્રી-સમુદાય હોય. એક ટીખળી સ્ત્રીએ કહ્યું: બળદ (ઢાંઢો) હોય તો વેચીએ, પરણ્યાને કેમ વેચાય? નિરુત્તર રહેતા પીડાના પ્રશ્નો સાથે ગીત વિરમે છે.
– ઉદયન ઠક્કર
Permalink
September 21, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પુરુરાજ જોશી
પછી પાછલી તે રાતની, નીંદરની પાનીમાં ઓચિંતી ભોંકાશે શૂળ
સમણાંની વેલ એવી છૂંદાશે, ખરી જશે ઓશિકે આંસુનાં ફૂલ!
ટેબલ અરીસો પેન પુસ્તક ને રેડિયો, બિછાનું ઉંબર ને બારણાં
આંખો ફરશે ને મારી મેડીના કણકણથી કલ૨વશે તારાં સંભારણાં,
પછી તારો અભાવ એવું મ્હોરશે કે સહરામાં મ્હોર્યું ના હોય કો બકુલ!
પછી પાછલી તે રાતની…
આયનામાં ભાળીશ તો દેખાશે મુખ તારું, છાયાને કેમ કરી બાંધવી?
મળવાના બિલ્લોરી કાચમાં પડેલ એક તીણી તે તડને શેં સાંધવી?
પછી સામસામા કાંઠા શા તરફડશું આપણે ને ટળવળશે તૂટેલો પુલ!
સમણાંની વેલ એવી છૂંદાશે…
વાયરાની સંગ તું તો વહી જાશે દૂર દૂર રહી જાશે આંહી તારી માયા
એક જ આકાશ નીચે હોવાનાં આપણે ને ભેળી નહીં થાય તોય છાયા
પછી તારાં તે ચરણોની મેંદીને ચૂમવા વલવલશે ફળિયાની ધૂળ !
પછી પાછલી તે રાતની…
– પુરુરાજ જોષી
કલાપીએ ‘કારણ પ્રીતિનું પ્રીતિ’ એમ કહ્યું પણ બે પ્રેમીઓના છૂટા પડવાનાં કારણોનું શું? ખેર, જે રીતે ‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી’ એ જ રીતે પ્રેમીઓના છૂટા પડવાના કારણ હોવા અને હોય તો જાહેર કરવા જરૂરી નથી. કવિ તો આમેય કારણો આપવા બંધાયેલ નથી. પાછલી રાતે અચાનક નીંદરની પાનીમાં શૂળ ભોંકાશે, ઊંઘ ઊડી જશે, પરિણામે સપનાંની વેલ છૂંદાઈ જતાં ઓશિકે આંસુના ફૂલ ખરશે એમ કહીને કવિ ગીત ઉપાડે છે. સાવ સરળ લાગતી વાત પણ પ્રતીકોના સમુચિત પ્રયોગને લઈને કેવી હૃદ્ય બની રહે છે! આઘાત તો છે પણ કવિએ શીર્ષકમાં કહ્યું એમ કૂણો છે. ઓચિંતી કોઈક વાત યાદ આવી જાય અને આંખમાં ઊંઘ અને સ્વપ્નોનું સ્થાન આંસુ લઈ લે પછી આંખ અંધારામાં ફાંફાં મારતી રહે છે… ઓરડાના કણેકણ સાથે પ્રિયજનનાં સંભારણાંઓ વણાયેલ છે. સંભારણાં તો મીઠાંય હોવાનાં. પરિણામે સહરાના રણમાં બકુલ મહોર્યું હોય એમ અભાવ મઘમઘી ઊઠે છે. આયનામાં જાત તો દેખાય પણ પોતે જેની છાયા છે એ છાયાને કઈ રીતે જોઈ શકાય? બિલોરી કાચ નાની વસ્તુને પણ મોટી કરી બતાવે. પણ અહીં તો મળવાના બિલોરી કાચમાં જ તીણી, ઝીણી નહીં, તડ પડી છે. બે જણ સામસામા કાંઠાની જેમ ભેગા થવા ટળવળતાં રહેશે પણ બંનેને સાંકળતો પુલ કોઈક કારણોવશ તૂટ્યો છે એનું શું? સામી વ્યક્તિ પહોંચબહાર ચાલી જાય ત્યારે એક જ આકાશ નીચે અલગઅલગ સ્થાને જીવતાં હોવાને લઈને એક ન થઈ શકાવાની વેદનાને રહી ગયેલ માયાના આશ્વાસનથી જ જીરવવાની છે. અલગતાની પીડાની પરાકાષ્ઠાને કવિએ એટલી તો નજાકતથી રજૂ કરી છે કે પતી ગયા પછી પણ ક્યાંય સુધી ગીત ઝીણી ફાંસની જેમ ધીમું-મધુરું સતત ભોંકાતું રહે છે…
Permalink
September 19, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શોભિત દેસાઈ
પહોંચી હો જો હાનિ તો હવાની માફી માગે છે
બધાં પંખીઓ સાંજે ઊડવાની માફી માગે છે
ન કોઈ છેતરાયું, કાફલો નીકળ્યો બહુ ચાલાક
સૂરજ, મોઢું વકાસી ઝાંઝવાની માફી માગે છે
તમે નીકળી ગયાં જ્યારે અમે ચૂકી ગયા ત્યારે
નયન, એ પૂરતું બિડાઈ જવાની માફી માગે છે
નથી આવ્યું કોઈ ના આવવાનું છે કોઈ ક્યારેય
દરદ છે જાનલેવા, ખુદ દવાની માફી માગે છે
બહાર આવ્યા તો જાણ્યું, જન્મટીપની કેદ બહેતર છે
બધા કેદીઓ ભાગી છૂટવાની માફી માગે છે
જે આવ્યો છે, નથી શું એ કે જેની રાહ જોઈ’તી?
આ ભીલડી કેમ બોરાં ચાખવાની માફી માગે છે?
ભૂરા કે લાલ બદલે ચોપડે ચીતરાય કાળો રંગ
સ્વયમ્ લક્ષ્મી હવે તો શ્રી સવાની માફી માગે છે
તમે આવ્યાં નથી સપનામાં, તો આ અડધી રાતે કોણ
બહુ મોડેથી માફી આપવાની માફી માગે છે?
– શોભિત દેસાઈ
આજે એક તરફ ગણેશ ચતુર્થી અને બીજી તરફ જૈન સંવત્સરી… વરસ આખા દરમિયાન કોઈને પણ કોઈપણ રીતે મનદુઃખ પહોંચાડવાનું થયું હોય તો આજે માફી માંગીને હૈયું હળવું કરવાનો દિવસ છે… હૈયાના સમભાવને ગઝલના માધ્યમથી વાચા આપવાથી વધુ રૂડું તો બીજું શું હોય?
જૈન સંવત્સરી પર્વ નિમિત્તે લયસ્તરોના તમામ કવિમિત્રો તથા ભાવકમિત્રોને અમારા મિચ્છામિ દુક્કડમ્…
સહજ, સરળ પણ નખશિખ આસ્વાદ્ય.
Permalink
September 16, 2023 at 12:16 PM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
જલને જાણે ફૂલ ફૂટિયાં,
. જલને આવ્યાં પાન,
જલને આવ્યું જોબન,
. એનો ઊઘડ્યો અઢળક વાન. –
જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટયો,
. જલ નાચ્યું ત્યાં ઝરણું,
ભયું સરોવર, જલ જ્યાં મીંચી
. આંખ માણતું સમણું. –
જલ તો મીઠા તડકે નાહ્યું,
. કમલસેજમાં પોઢ્યું,
કોક મોરને ટહુકે જાગ્યું,
. હસતું દડબડ દોડ્યું ! –
ટપ ટપ ટીપાં ટપકે,
. જલની આંખો સાથે ઝબકે,
કરતલમાં જ્યાં ઝીલો,
. મોતી મનમાં સીધાં સરકે. –
ભીતર બેઠાં રાજહંસને પરશે જ્યાં એ મોતી,
રાજહંસ મોતીમાં છૂપ્યું માનસ રહેતાં ગોતી.
– ચંદ્રકાન્ત શેઠ
ખૂબ જ જાણીતી અને માણીતી રચના. વરસાદની ઋતુમાં આકાશથી વરસતું જળ સમગ્ર સૃષ્ટિના નવોન્મેષનું કારણ બને છે એમાં કોઈ નવી વાત નથી, પણ કવિતા ત્યારે બને છે જ્યારે કવિ સૃષ્ટિના સ્થાને ખુદ જળનો જ નવોન્મેષ થતો જુએ છે. વરસાદમાં ફૂલ-પાન ફૂટવાથી ઝાડ-છોડનું જોબન ખીલે છે ને વાન ઊઘડે છે, પણ કવિ ફૂલ-પાનની સોબતમાં જળનો જ વાન ઊઘડતો જુએ છે. સાચું છે… કોઈને નવજીવન આપવામાં આપણે કારણભૂત બનીએ ત્યારે જેને નવજીવન મળે એ તો ખીલી જ ઊઠે પણ આપણને પણ કેવો પરિતોષ થતો હોય છે! બસ, આ જ પરિતોષ કવિ જળમાં જીવંત થતો જોઈ શકે છે. આ દૃષ્ટિ જ કવિને સામાન્યજનથી અલગ તારવી આપે છે ને! ગીતમાં આગળ કવિ જળના નાનાવિધ સ્વરૂપોને પોતાની આગવી અનૂઠી રીતે નવ્યઓપ આપે છે જે ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. જળબુંદને આપણે જ્યારે હથેળીમાં ઝીલીએ છીએ ત્યારે એનો સ્પર્શ હાથ અને હૈયા –બંનેમાં અનુભવાય છે. જળબુંદની ભીનાશ, કુમાશ અને તાજગી મનના માનસરોવરમાં તરતા રાજહંસને સ્પર્શે છે અને રાજહંસને, આત્માને જીવનના અર્થ સાંપડે છે… ન્હાનાલાલના ‘જયા-જયન્ત’માં જયાનું એ ગાન -‘અમારાં નીર આ સુહાવો, ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો; હૈયાને સરોવરે આવો’- યાદ આવ્યા વિના રહેતું નથી. .
Permalink
September 15, 2023 at 11:09 AM by વિવેક · Filed under ગીત, નંદિતા મુનિ
ચારે કાંઠે સ૨વ૨ છલકે
નભ વ૨સાવે ફોરાં,
ગાતી નદીઓ, નાચે દરિયો,
સૌ બોલાવે ઓરા-
ને તોય જીવણજી કોરા.
વાદળ કહે, લે પહે૨ મને,
ને ઝાકળ કહે કે પી,
ઝરણું કહેતું ધરી આંગળી,
રમવા ચાલોજી
ઘર પણ બોલે, નેહે નેવાં
નીતરે જો ને મોરાં-
ને તોય જીવણજી કોરા.
વાત એમ છે, આંસુ દીઠું
એક દિવસ કો’ આંખે,
બસ, તે દિ’થી ભીંજાવાનું
આઘું આઘું રાખે-
પાણી મૂક્યું જીવણજીએ,
ધખધખ ભલે બપોરા-
આ જીવણજી રહે કોરા.
– નંદિતા મુનિ
બધું જ અભરે ભર્યું હોય તોય માલીપામાં ખાલીપાનો અનુભવ કરવો એ આપણી પ્રકૃતિ છે. અભાવનો ભાવ આપણો સહજભાવ છે. આકાશમાંથી બારે મેઘ વરસતા હોય, સરોવર ચારે કાંઠે છલકાતું હોય, નદીનાળાં ઉભરાતાં હોય, દરિયો હિલ્લોળા લેતો હોય અને સૌ વળી નેહભીનાં નિમંત્રણ પણ પાઠવતાં હોય તોય આપણે કોરાના કોરા જ રહીએ એ બનવાજોગ છે. ઘરનાં નેવાં સુદ્ધાં નેહથી નિતરતાં હોય પણ આતમરામ સમષ્ટિના રંગે ભીંજાવા તૈયાર જ ન હોય એવી મનોસ્થિતિનું આકલન કવયિત્રીએ એટલા સરળ શબ્દો અને સહજ બાનીમાં કર્યું છે કે ગીત ગણગણતાં આપણને પણ ક્યારેક-ક્યાંક-કોઈક કારણોસર સરાબોળ ભીંજાયા ન હોવાનો વસવસો અનુભવાયા વિના નહીં રહે. કાવ્યાંતે કવયિત્રી જો કે સ્વને સર્વથી અળગાં રાખવાનું કારણ આપે છે. કોઈકની આંખે એક દિવસ આંસુ જોવામાં આવ્યું હશે અને કદાચ એ આંસુનું કારણ પોતે હોય અથવા તો એ લહોવામાં સહાયભૂત નહીં થઈ શકાયું હોય એમ બન્યું હોવું જોઈએ… કારણ જે હોય, પણ એ દિવસથી સુખમાં નહાવાનું કથકે ત્યાગ્યું છે. જીવનમાં ગમે એટલો તાપ કેમ ન પડે, પણ આ જીવણજી તો હવે સદાકાળ કોરા જ રહેનાર છે…
Permalink
September 14, 2023 at 10:56 AM by વિવેક · Filed under ગઝલ, દક્ષા બી. સંઘવી
ભલે એ જ ધરતી, ભલે એ જ અંબર!
નવું તેજ નયને, નવલતા નિરંતર!
પ્રગટ થ્યા પછી ક્યાં નડે ચાર ભીંતો,
ઝૂમીને કહો, ‘સ્વાગતમ્ દિગદિગંતર!’
ને કોલાહલે પાંગરે સૂર નોખો,
ઝીણું ઝીણું ઝીણું બજે મૂક જંતર!
મળી ક્ષણ, તે ક્ષણને નિચોવીને પી લે;
પછી છોને થાતું દટંતર-પટંતર!
શમે ભેદ સઘળા, પછી શેષ ક્યાં કૈં?
ન લે-દે, ન હું-તું, ન સુંદર-અસુંદર!
– દક્ષા બી. સંઘવી
એકવિધતા મનુષ્યને કદી માફક આવી નથી… કુદરત આ વાતથી કદાચ વાકેફ જ હશે… એટલે જ ધરતી-આકાશ-સમુદ્ર, ચાંદ-તારા-સૂરજ બધું એનું એ જ હોવા છતાં રોજેરોજ આપણે એમાં નાવીન્ય અનુભવી શકીએ છીએ. સદીઓથી એની એ જ હોવા છતાં સૃષ્ટિ આપણને શા માટે નિતનવીન હોવાનું અનુભવાય છે એનો રહસ્યસ્ફોટ કવયિત્રીએ મત્લામાં બહુ સ-રસ રીતે કર્યો છે. આપણાં નયનોનાં નૂર નવાં હોવાને લઈને એની એ જ પ્રકૃતિ પણ આપણને નિરંતર નવીન અનુભવાયા કરે છે. ભીંતો અને બંધન એ તો કેવળ મનની અવસ્થા છે. આપણે આપણી જાતને એમાં સ્વેચ્છાએ કેદ કરી રાખીએ છીએ. બાકી, ચારેય દિશાઓને જે ખૂલીને આહ્વાન આપી શકે, આ દુનિયા એની જ છે. મેળાની વચ્ચે પણ માણસ પોતાનું એકાંત અકબંધ જાળવી શકે છે. ઈશ્વર સાથે તાર સંધાઈ જાય તો ગમે એટલા કોલાહલની વચ્ચે પણ સાવ ઝીણું ઝીણું બજતા મૂક જંતરનો નોખો સૂર સંભળાશે. ચોથા શેરમાં Carpe Diem નો નાદ સંભળાય છે. જે ક્ષણ હાથ આવી છે, એને જો પૂરેપૂરી જીવી લેતાં શીખીએ તો પ્રલય થઈ જાય તોય શી ચિંતા! અંધારું જે રીતે સારા-નરસા, નાના-મોટા બધાને ઓગાળીને એકસમાન કરી દે છે, એ જ રીતે જો બે જણ પોતાની વચ્ચેના ભેદ મિટાવી શકે તો કોઈ કરતાં કોઈ અલગાવ બચતો નથી. કેવી મજાની ગઝલ!
Permalink
September 13, 2023 at 8:07 PM by તીર્થેશ · Filed under કબીર, ભક્તિપદ
ના જાને તેરા સાહેબ કૈસા ?
મહજીદ ભીતર મુલ્લા પુકારૈ કયા સાહેબ તેરા બહિરા હૈ ?
ચિંઉટી કે પગ નેવર બાજૈ સો ભી સાહબ સુનતા હૈ.
પંડિત હોય કે આસન મારૈ લંબી માલા જપતા હૈ,
અંતર તેરે કપટ કતરની સો ભી સાહબ લખતા હૈ.
ઊંચા નીચા મહલ બનાયા ગહરી નેવ જમાતા હૈ,
ચલને કા મનસૂબા નાહી રહને કો મન કરતા હૈ.
કૌડિ કૌડિ માયા જોડી ગાડિ જમીં મેં ધરતા હૈ,
જેહિ લહુના હૈં સો લૈ જૈહેં પાપી બહિ બહિ મરતા હૈ.
સતવંતી કે ગજિ મિલૈ નહીં વેશ્યા પહિરે ખાસા હૈ,
જેહિ ઘર સાધુ ભીખ ન પાવૈ ભડુઆ ખાત બતાસા હૈ.
હીરા પાય પરખ નહિ જાનૈ કૌડિ પરખ ન કરતા હૈ,
કહત કબીર સુના ભાઈ સાધો હરિ જૈસે કો તૈસા હૈ.
કોણ જાણે તારો માલિક કેવો છે ! મસ્જિદમાં મુલ્લાજી મોટેથી બાંગ પોકારે છે, તે શું તારો અલ્લા બહેરો છે ? અરે, એ તોકીડીના પગનાં ઝાંઝરનો ઝંકાર પણ સાંભળે છે…..
તું પંડિત થઈને આસન લગાવીને લાંબી માળા ફેરવતો જાપ કરે છે, પરંતુ તારા અંતરમાં તો કપટની કાતર જ ચાલતી હેાય છે. તે પણ તારા ભગવાન જુએ જ છે !
ઊંડા પાયા નાખીને તું ઊંચા ઊંચા મહેલો ચણાવે છે. તે ઉપરથી તો લાગે છે કે અહીંથી તારે એક દહાડો જવાનું જ છે એનો તને ખ્યાલ જ નથી, તને તો સદા કાળ અહીં આ દુનિયામાં રહેવાનું જ મન થતું લાગે છે.
તેં કોડી કોડી ભેગી કરીને સંપત્તિ જમા કરી છે અને તેય તું ખોદી ખોદીને જમીનમાં દાટી રાખે છે. પણ તે તો જેને નસીમે મળવાની હશે તે જ છેવટે લઈ જવાનો છે. તુ તો લેાભનો માર્યો પાપ કરતો એનો ભાર ખેચીને મરી રહ્યો છે !
અરે ! આ દુનિયામાં સદાચારી નારીને પહેરવા પૂરતું એક વાર કપડું પણ નથી; ત્યારે વેશ્યા ઘણાં બધાં વસ્ત્રો પહેરીને મહાલે છે…સાધુ-સંતને જે ધરમાંથી પેટપૂરતી ભિક્ષા પણ નથી મળતી ત્યાં દુષ્ટજનો મિષ્ટાન્નની મેાજ માણે છે !
મનુષ્યજીવને આત્મારૂપી હીરો મળેલો છે પણ તેને એનું ભાન નથી, અને તુચ્છ કોડીની પણ તેને પરીક્ષા કરતાં નથી આવડતી ( કારણ કે વિવેકનોઅભાવ છે. ) કબીર કહે છે કે હે સંતજન ! આટલું જાણી લે કે ભગવાન તો જેવાની સાથે તેવા છે.
– કબીર ( અનુ – પિનાકિન ત્રિવેદી )
Permalink
September 9, 2023 at 9:53 AM by વિવેક · Filed under ગીત, હર્ષદ ત્રિવેદી
ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું,
અમે નદીના કાંઠે નહિતર દરિયે ધરાર મળશું !
તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં,
અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા!
પગલાંનું તો એવું –
પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું!
. ઓણ મળશું..
અમે એક સપનાને ખાતર પૂરું જીવતર ઊંઘ્યા,
તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યાં!
સપનાનું તો એવું –
મળશે નહિતર ટળશે નહિતર અંદર ભડભડ બળશું!
. ઓણ મળશું…
એ હતી અમાસી રાત તે કાજળ આંખ ભરીને આંજ્યાં,
આ ઊગી અષાઢી બીજ, તે માંજ્યા બેય અરીસા માંજ્યા!
ચહેરાનું તો એવું –
મલકે નહિતર છણકે નહિતર એકમેકને છળશું !
. ઓણ મળશું….
– હર્ષદ ત્રિવેદી
વાત મળવાની છે અને કથક મળવાને કૃતનિશ્ચયી પણ છે. આ વરસે નહીં તો આવતા વરસે નહિતર એના પછીના વરસે, પણ મળીશું એ નક્કી. આ સમયે અથવા પેલા સમયે, આ સ્થળે અથવા પેલા સ્થળે –ક્યાંય પણ અને ક્યારેય પણ; એમ સ્થળ-કાળની કોઈપણ સરહદમાં કથક બંધાતો નથી, એ બંધાય છે તો કેવળ મળવાની વાતે. નાયિકાની ઉતાવળ સામે કથકની ધીરજ મુકાબલે ચડી છે. સસલું હોય એ અધવચ્ચે ઊંઘમાં સરી જઈ શકે, કાચબો ધ્યેયપ્રાપ્તિ સુધી અટકતો નથી. કાયા પંચમહાભૂતમાં મળી જાય ત્યાં સુધીના મક્કમ નિર્ધાર સાથે કથક મળવાનું વચન પૂરું કરવાની કોશિશ પડતી મેલનાર નથી. મનગમતું સપનું મેળવવા કથકે આખી જિંદગી સાધના કરી છે, પણ સામા પક્ષે સ્વપ્ન કે સ્વપ્નસિદ્ધિ કરતાં ઊંઘના સુખની કિંમત વધુ હતી. કોઈપણ સંજોગોમાં સાયુજ્યનું સ્વપ્ન તો જોવું જ છે, ભલે એ ફળે નહીં ને આજીવન દાહ કેમ ન દેતું રહે. બે જણ કદાચ અમાસી રાતે અલગ થયાં હશે એટલે અંધારામાં ન દેખવું-ન દાઝવુંના ન્યાયે એકમેકનું દર્દ જોઈ ન શકાય એમ અલગ થયાં હશે એ વાત તરફ આંખ ભરીને કાજળ આંજવાનું પ્રતીક વાપરીને કવિ ઈશારો કરે છે. હવે અષાઢની બીજના આછા અજવાળામાં બંને આંખ અરીસાની જેમ માંજી લીધી છે, મતલબ આંખમાં આંસુય નથી અને દૃષ્ટિ પણ હવે સાફ છે. બે જણ મળી શકે અને ચહેરા પર મલકાટ આવી જાય તો ઉત્તમ, અન્યથા એકમેકને સુખી હોવાનો ડોળ કરીને છળતાં રહીશું… ટૂંકમાં, પુનર્મિલનની આશા અમર રાખીને જિંદગી જે આપે તે સ્વીકારીને જીવ્યે જવાનું છે,બસ.
Permalink
September 8, 2023 at 7:30 AM by વિવેક · Filed under ગીત, રાજેન્દ્ર શુક્લ
ઊંટ ભરીને આવ્યું રે
. અંધારું લ્યો,
આ પોઠ ભરીને આવ્યું રે
. અંધારું લ્યો…
કોઈ લિયે આંજવા આંખ,
કોઈ લિયે માંજવા ઝાંખ;
અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે
. અંધારું લ્યો…
અમે તો આંગણમાં ઓરાવ્યું રે
. અંધારું લ્યો,
. ઊંટ ભરીને.
એના અડ્યા આભને છોડ;
એવા અડ્યાં આભને કોડ –
અમે તો મૂઠી ભરી મમળાવ્યું રે,
. અંધારું લ્યો,
અમને ભોર થતાં લગ ભાવ્યું રે,
. અંધારું લ્યો…
. ઊંટ ભરીને.
– રાજેન્દ્ર શુકલ
કેટલાક શબ્દ એની સાથે સુનિશ્ચિત વાતાવરણ લીધા વિના સન્મુખ થતા નથી. ‘ઊંટ’ આવો જ એક શબ્દ છે. ‘ઊંટ’ શબ્દ કાને પડતાવેંત નજર સામે અફાટ-અસીમ રણ આવ્યા વિના નહીં રહે. અહીં આપણી સમક્ષ ઊંટ અંધારું ભરીને આવ્યું છે. આપણે સહુ અજવાળાંનાં પૂજારી છીએ. પણ હકીકત એ છે કે અંધકાર શાશ્વત છે. પ્રકાશ તો કેવળ અનંત અંધારામાં પાડવામાં આવેલું નાનકડું બાકોરું માત્ર છે. નવ મહિના અંધકારના ગર્ભમાં રહ્યા બાદ જ જીવનની શરૂઆત થાય છે, એ જ રીતે અનુભૂતિના અંધારા ગર્ભમાં સેવાયા બાદ જ સર્જનનો ઝબકાર પ્રગટે છે. સાચો સર્જક જ અંધારાનો મહિમા કરી શકે. એટલે જ કવિ અજવાળાંનું નહીં, અંધારાનું ગીત લઈ આવ્યા છે.
પોઠ ભરીને અંધારું લઈને ઊંટ આવ્યું છે પણ કવિ એકલપંડે એનો લાભ લેવા માંગતા નથી. ‘ગમતાંના ગુલાલ’ના ન્યાયે કવિ તો અંધારું ‘લ્યો’ના પોકાર સાથે આપણને સહુને આ ખજાનાનો લાભ લેવા આમંત્રણ આપે છે. ગમતી વસ્તુ લેવા માટેના સહુના કારણ તો અલગ જ હોવાના. કોઈ અંધારું આંખમાં આંજવા માટે લેશે, મતલબ એને સ્વપ્નોની ઇચ્છા હશે. કોઈ ઝાંખ માંજવા લેશે. અજવાળું હોય તો ઝાંખું દેખાવાની કમજોરી છતી થશે, પણ આંખમાં અંધારું માંજી લ્યો, પછી ઝાંખપ વળી શેની? અંધારું ઊંચનીચના ભેદ રાખતું નથી. એ બધાને એકસમાન ભાવે રંગી દે છે. ભેદભાવ સર્જવાનું કામ કેવળ પ્રકાશનું. કવિ અંધારું ઘરમાં નહીં, ઉંબરે ઉતારાવે છે અને આંગણમાં ઓરાવે છે, જેથી તમામ ઇચ્છુક વ્યક્તિ નિઃસંકોચ એનો લાભ લઈ શકે.
ઓરાવેલું અંધારું છોડ થઈને ઊગે છે, પણ છોડ તે કેવો! ઠેઠ આભને અડે એવો! અંધારાનો છોડ તો આભને અડે જ છે, એના કોડ પણ આભને અડે એવા છે. ભલે પોઠ ભરીને આવ્યું હોય કે આભને આંબ્યું હોય, એની મજા તો હળુહળુ માણવામાં જ છે. મુઠ્ઠીભરી ભરીને એને સવાર પડે ત્યાં સુધી મમળાવતાં રહીએ, કારણ આ અંધારું ભાવે એવું છે.
Permalink
September 7, 2023 at 12:30 AM by વિવેક · Filed under કરસનદાસ લુહાર, ગીત
ઊભી થા આળસુની પીર અલી ટેકરી!
. ચાલ, હવે ઝાલકોદા’ રમીએ;
પોરો ખાવાને ભલે બેઠો પવન
. ઊઠ, લ્હેરખીની જેમ બેઉ ભમીએ!
ખંખેરી નાખ તારો બેઠાડુ થાક,
. નાખ પથ્થ૨ની સાંકળોને તોડી,
ઘાસલ મેદાનોમાં એવું કંઈ દોડ,
. અરે એવું કૈં દોડ,
. સરે લીલાછમ દરિયામાં હોડી!
ઝરણાંના ઘૂઘરાઓ પગમાં બાંધીને
. ચાલ, રણવગડે ભીનું ઘમઘમીએ!
. – ઊભી થા૦
તું કહે તો વાયુ થઈ ડાળી ૫૨ બેસું
. ને મર્મ૨નું જંતર હું છેડું :
ઊભે વરસાદ તારે હોય જો પલળવું તો
. આખો આષાઢ તને રેડું,
સૂરજ ફેંકે છે કૂણાં કિરણોનાં તીર
. ચાલ, સામી છાતીથી એને ખમીએ!
. – ઊભી થા૦
– કરસનદાસ લુહાર
સંવેદન તો દરેક અનુભવે… પણ જનસંવેદનથી મનસંવેદન નોખું તરી આવે ત્યારે કદાચ કવિતા થાય. પ્રકૃતિ તો એના નાનાવિધ સ્વરૂપે આપણા સહુની સન્મુખ સતત આવતી જ રહે છે, પણ જેનું હૈયું સચરાચરના સ્પંદ અનુભવતું હોય એ જ એની સાથે ગુફ્તેગૂ માંડી શકે. અહીં લીલીછમ ટેકરી સાથે કવિ મજાની ગોઠડી માંડે છે. સર્જન થયું એ દિવસથી ટેકરીના નસીબમાં સ્થિરતા સિવાય બીજું કશું લખાયું જ નથી. પણ કવિ એને આળસુની પીર કહીને ઊભા થવાનું આહ્વાન કરે છે. ને આટલું ઓછું હોય એમ પકડદાવની રમત રમવા પણ નિમંત્રે છે. વહેવું જેની નિયતિ છે એવો પવન ભલે થાક ખાવા બેઠો હોય, પણ આપણે તો લહેરખીની જેમ ભમીશું એમ કહીને કવિ ટેકરીને લલચાવે પણ છે. સદીઓથી એક જ સ્થાને બેસી રહેવાનો થાક અને માથે પડેલા પથ્થરો જાણે બાંધી રાખતી સાંકળ ન હોય એમ એને તોડીને ઘાસના મેદાનોમાં ટેકરી દોડતી હોય ત્યારે લીલાછમ દરિયામાં તરતી હોડી જેવી જ ભાસશે ને! પણ ટેકરીને સજીવન થઈ રમતમાં જોડાવાની ઇચ્છા જો હજીય ન થતી હોય તો કવિ બાળકને ચોકલેટથી લલચાવીએ એમ પ્રલોભનો પણ આપે છે. ટેકરીના કહેવા પર કવિ વાયુ થઈ ડાળી પર બેસીને પર્ણોની મર્મરનું જંતર વગાડી એને રાજી કરવા પણ તૈયાર છે અને ટેકરીને વરસાદમાં નહાવાની ઇચ્છા હોય તો આખો અષાઢ એના પર રેડી આપવા પણ તત્પર છે. ટેકરી સાથેની રમત જોઈ ન શકતો સૂરજ તડકાના તીર ફેંકે છે. ચોમાસાની ઋતુમાં આ કિરણો કૂણાં જ હોય એ તો બરાબર પણ ટેકરીની સાથે ભાઈબંધી કરી હોવાથી કવિ ટેકરીની સાથે મળીને આ કિરણોનાં તીર સામી છાતીએ સાથે ઝીલવા માંગે છે એ વાત આપણને સ્પર્શ્યા વિના રહેતી નથી.
Permalink
September 6, 2023 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
જૂનો રે ડગલો જુદો નવ પડે
નવો મારે ચડે નહીં અંગ,
ઉપરણાં વણે તું નવ નવ તેજનાં
મને અહીં વાસી વળગે રંગ;
કિરણો વરસે ને કાળપ ઝગમગે.
આભમાં જોઉં તો ઠપકો આપતો
સૂરજ તપી તપી જાય,
નીચે જોઉં તો તરણું નાચતું
ભાઈ, એનું હસવું નો માય;
અમે રે માણસ, મારગ ક્યાં મળે ?
પળે પળે ઊડવાની પાંખ નંઈ,
નંઈ કોઈ મૂળનાં મુકામ,
ઊભું રે અધવાટે અંધું પૂતળું
ખેલ એનો ફૂંકમાં તમામ;
અંગારા ઝગે ત્યાં રાખ ફરી વળે.
– મકરંદ દવે
જન્મોજન્મના સંસ્કાર એટલે જૂનો ડગલો – એ નાબૂદ થતાં નથી…અને એ જ બોજો મને નવી વાત સમજવા દેતો નથી…. તારી ક્રુપાના કિરણો પામવાની મારી પાત્રતા નથી – એ કિરણોથી તો મને કાળાશ જ નસીબ છે…
“અંગારા ઝગે ત્યાં રાખ ફરી વળે…..” – બસ માણસનું જાણે આ જ પ્રારબ્ધ !
Permalink
September 5, 2023 at 7:00 PM by તીર્થેશ · Filed under ગઝલ, વિનોદ જોશી
એક ઇચ્છા વળી વળીને ફોસલાવે છે,
એ બહાને આ દિવસરાત હજી આવે છે.
આ દશા એ દિશા ન આ ન તે કશું ગોચર,
આંખ સામે જ કોઈ મીણબત્તી લાવે છે.
રોજ ફૂટે ને ફરી થાય એક પરપોટો,
અંત હ૨એક શરૂઆતને બચાવે છે.
બંધ મુઠ્ઠીથી ખરી જાય રોજ ખાલીપો,
શ્વાસ એને ફરી ઉચ્છ્વાસમાં સજાવે છે.
જે નથી ઊતરી શકી હજીય કાગળ ૫૨,
એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે.
– વિનોદ જોશી
Permalink
September 2, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નિરંજન ભગત
કોને કહું? છું એકલો!
રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો!
લાલી ઉષાના ઉરથી
ઊઘડે અને લાજી રહું,
સધ્યા તણા સિંદૂરથી
હું આંખડી આંજી રહું;
સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો!
રુદ્રનું લેાચન દહે
કયારેક તો મધ્યાહ્નમાં,
મુગ્ધ મારું મન રહે
ત્યારે રતિના ગાનમાં;
આભ જેવા આભનો રે ભાર વહું છું એકલો!
કોને કહું છું એકલો?
– નિરંજન ભગત
કવિતા એટલે એકલતાનું મહાગાન. સંસારના અડાબીડ વન વચ્ચે કવિ જાત સાથે અનુસંધાન સાધી લે ત્યારે કવિતાનું અવતરણ થાય છે. કવિતા ભલે સ્વથી સર્વ સુધીની યાત્રા કહેવાતી હોય, પણ એનું સર્જન ત્યારે જ થાય છે જ્યારે કવિ સર્વથી સ્વ તરફ વળે. આંખની સામે કુદરતનો અફાટ રૂપસાગર પથરાયેલો છે પણ એને માણનાર કવિ એકલા જ છે. ‘કોને કહું?’નું મનુષ્યસહજ એકલગાન પણ પ્રકૃતિનું એકલપાન કરતી વેળાએ કવિ કરે છે. સવારે આકાશમાં લાલી પથરાય ત્યારે કવિ શરમના શેરડા અનુભવે છે, તો વળી સાંજના સિંદૂરિયા રંગથી એ આંખો ભરી લે છે. પ્રકૃતિની રૂપરંગતની આ સ્નેહલીલા માણવાનો સંસાર પાસે સમય નથી. કવિ એકલા હાથે આ લહાવો લૂંટી રહ્યા છે. ઉષા અને સંધ્યાના મુકાબલે બપોરનો તાપ સહેવો જો કે આકરો છે, એટલે એ સમય કવિ રતિગાનમાં વ્યતીત કરે છે. કવિ પ્રકૃતિ સાથે એવી ને એટલી આત્મીયતા અનુભવે છે કે ‘સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈં’ જેવો વિચાર પણ મનમાં આવ્યા વિના રહેતો નથી. કાવ્યાંતે કવિ પહેલી પંક્તિનું જ પુનરાવર્તન કરે છે પરંતુ પ્રશ્નાર્થચિહ્નનું સ્થાન બદલીને. પ્રશ્નચિહ્નનું સ્થાન બદલાઈ જવાથી બે વાક્ય બે મટીને એક તો થઈ જાય છે પરંતુ અર્થ સુદ્ધાં આખેઆખો બદલાઈ જાય છે. કાવ્યારંભે દ્વિધા એ હતી કે પોતે એકલા છે એ વાત કોને કહેવી. કાવ્યાંતે દ્વિધા અલગ છે: હવે સવાલ એ છે કે પોતે એકલા એકલા આ વાત કોને કહી રહ્યા છે. જે દુનિયા પ્રકૃતિરસનું અમૃતપાન કરવામાં સાથે ન જોડાઈ, એની આગળ એનો મહિમા ગાવાથી શો ફાયદો?
ગુજરાતી ગીતોને ષટકલ અને અષ્ટકલનો લય માફક આવી ગયો છે, પણ પ્રસ્તુત રચના સપ્તકલમાં છે. અને સપ્તકલનો લય એટલો મજબૂત થયો છે કે ગીત વાંચવું તો સંભવ જ નથી, એને ગણગણ્યે જ છૂટકો.
Permalink
September 1, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પદ, ભક્તિપદ, હરીશ મીનાશ્રુ
કીધાં કીધાં કીધાં વ્રજમાં વિપરીત કૌતક કીધાં રે
એકલડા વહાલેશરીને અબળાએ લૂંટી લીધા રે
દહીંદૂધનાં માટ ઠાલવી ઠાલાં શિ૨ ૫૨ ધાર્યાં રે
મહી ઊભરાયાં હોય એહવાં કપટ કરી શણગાર્યાં રે
કંચવાની કસ કસી, તસોતસ મદનમનો૨થ ભીડી રે
મહિયા૨ણ રણઝણતી હરિનો મદ હણવાને હીંડી રે
સાધે સાધે સાધે લલના લાગ લીલાનો સાધે રે
ભરવાડાના ભાણેજડાને ગો૨સગ્રાસ ન લાધે રે
મૃગનયણી મોહનને અવળી દાણ માંગતી વળગી રે
૨ઢ લીધી તે રઢિયાળાંથી ક્ષણુ ન રેહેતી અળગી રે
વેણુસોતાં અધ૨ વળી પદરેણુસોતાં તળિયાં રે
ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે
પીધા પીધા પીધા તે રસ અરસપરસના પીધા રે
લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે
– હરીશ મીનાશ્રુ
કવિએ લખેલ વહાલેશરીનાં બાર પદોમાંનું આ દસમા ક્રમનું પદ. ગીતનો ઉપાડ નરસિંહ મહેતાના જાણીતા પદ ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે’ની યાદ અપાવે છે. નરસિંહ ‘કીધું કીધું કીધું’ના ત્રણવારના પુનરાવર્તન સાથે ‘કાંઈક કામણ કીધું’ની વાત માંડે છે, ત્યાંથી સહેજ આગળ વધીને કવિ સમર્પણનું સાવ અવળું જ ગણિત માંડે છે. વ્રજમાં આજે વિપરીત કૌતુક થયું હોવાની વાતને ત્રેવડાવીને અધોરેખિત કરી દીધા બાદ કવિ રહસ્યસ્ફોટ કરતાં કહે છે કે અબળા નારીએ વહાલેશરી કૃષ્ણ ભગવાનને જ લૂંટી લીધા છે. રાધાકૃષ્ણ અને ગોપીકૃષ્ણના પ્રેમની વાતો તો હજારોવાર કહેવાઈ ચૂકી છે, પણ ખરું કવિકર્મ જ એ જે ચવાઈને ચુથ્થો થઈ ગયેલી વાતમાં પણ સાવ અનૂઠો દૃષ્ટિકોણ શોધી શકે. સાક્ષાત્ ઈશ્વરને લૂંટી લેનારને કવિ ‘અબળા’ કહીને સંબોધે છે એ સમર્થ વિરોધાભાસ પણ તુર્ત જ સ્પર્શી જાય એવો છે.
…અને જીવનભર પોતાને લૂંટતા રહેનાર કાનાને લૂંટી લેવા માટેનો ગોપીનો કીમિયો તો જુઓ. માટલામાંથી દહીંદૂધ ખાલી કરી દઈ ખાલી માટલાંને દહીં ઊભરાતું હોય એમ એણે શણગાર્યાં છે. આટલું ઓછું હોય એમ કંચુકીની કસો તાણીને સ્તનોના ઉભારને વધુ આકર્ષક બનાવ્યો છે. ઈશ્વરનું ગુમાન હણવામાં આજે એ કોઈ કચાશ છોડનાર નથી. કંચવા અને કસ સાથે કસી અને તસોતસની વર્ણસગાઈમાં કવિએ મદન-મદ-મહિયારણ તથા હરિ-હણવા-હીંડીની વર્ણસગાઈઓ ઉમેરી પદને ઓર આસ્વાદ્ય બનાવ્યું છે. જો કે સમગ્ર રચનામાં આવી વર્ણસગાઈનું સંગીત આપણને સતત રણઝણતું સંભળાયે રાખે છે – લલના-લાગ-લીલા, ભરવાડા-ભાણેજડા, રઢ-રઢિયાળાં, વેણુંસોતાં-પદરેણુસોતાં, રસ-અરસપરસ વિ.
કાનજીનું મન ગોરસ પામવા તરફ છે અને મહિયારણનું મન લીલા કામવા તરફ છે. કહાન માંગે એ પહેલાં એ જ સામે ચાલીને દાણ માંગીને અવળી પ્રથા અજમાવે છે. યેનકેન પ્રકારે પણ એ કાનાથી એક ક્ષણ પણ અળગી રહેવા તૈયાર નથી. કૃષ્ણના ઓષ્ઠને ચૂમતી વાંસળી અને પગને ચૂમતી ધૂળ- ઈશ્વરની અખિલાઈને પોતાના ચુંબન-આલિંગનમાં સમાવી લેવા તરસતી-તડપતી ગોપી અરસપરસના રસ પીને અને અનુપમ દાણ લઈ-દઈને જ તૃપ્ત થાય છે. સામે સ્વયં પરમેશ્વર કેમ ન હોય, પ્રેમ અને યુદ્ધમાં તો બધું જ વ્યાજબી ગણાય, ખરું ને?
Permalink
August 31, 2023 at 12:03 AM by વિવેક · Filed under કરસનદાસ માણેક, ગીત
એવું જ માગું મોત,
. હરિ, હું તો એવું જ માગું મોત!
આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,
અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત!
. હરિ, હું તો એવું જ માગું મોત!
અંતિમ શ્વાસ લગી આતમની અવિરત ચલવું ગોતઃ
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણ-કપોત!
. હરિ, હું તો એવું જ માગું મોત!
કાયાની કણીકણીથી પ્રગટે એક જ શાન્ત સરોદઃ
જોજે રખે પડે પાતળું કદીયે આતમ કેરું પોત!
. હરિ, હું તો એવું જ માગું મોત!
ઘનવન વીંધતાં ગિરિગણ ચડતાં, તરતાં સરિતા સ્ત્રોતઃ
સન્મુખ સાથી જનમજનમનોઃ અંતર ઝળહળ જ્યોત!
. હરિ, હું તો એવું જ માગું મોત!
– કરસનદાસ માણેક
જીવનના બે અફર અંતિમો – જન્મ અને મરણ. બેમાંથી એકેય પર આપણી મનમરજી ચાલતી નથી એટલે આ બે અંતિમ વચ્ચેની જિંદગી આપણે કેવી જીવીએ છીએ એ જ અગત્યનું છે. જિંદગી સારી રીતે અને સંતોષપૂર્વક જીવ્યાં હોઈએ તો અંત ટાણે આ કે પેલું થયું હોત કે કર્યું હોતવાળા ઓરતાઓની ભૂતાવળ પજવે નહીં. છેલ્લા શ્વાસ સુધી પરમ-આતમની અવિરત શોધ ચાલુ રહે અને પ્રાણપંખેરું ઊડે એ સમયે પણ પોતે હરિસ્મરણમાં જ ઓતપ્રોત હોય એવું મૃત્યુ કવિ ઈશ્વર પાસે માંગે છે. અસ્તિત્ત્વ આખું શાતાનું સંગીત બની રહે એ જ એમની આરત છે. ઝાડીજંગલ-નદી-પર્વત એમ સંસારમાં કવિ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે પરમેશ્વરને પોતાના જન્મોજનમના સાથી તરીકે સદૈવ સન્મુખ જ અનુભવ્યા છે. મૃત્યુ ક્યારે અને કઈ રીતે આવશે એ તો કોઈ કહી કે કળી શકતું નથી, પણ માણસ કેવા મૃત્યુની આશા રાખે છે એના પરથી એ કેવું જીવન જીવતો કે જીવ્યો હશે એની પ્રતીતિ અવશ્ય થઈ શકે છે. કવિએ મુખડાની પંક્તિઓમાં જે પ્રાસ વાપર્યો છે એ જ પ્રાસપ્રયોજન ગીતના ચારેય અંતરામાં કર્યું હોવાથી ગીતનું નાદસૌંદર્ય પણ ઓર દીપી ઊઠ્યું છે.
Permalink
August 26, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નિરંજન ભગત
એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બે પગા
લગા લગા લગા લગા…
– નિરંજન ભગત
વિચાર કરતાં કરી દે એવી સાવ નાની રચના. માણસની આભા, લાગણીની ભીનાશ કે ઇચ્છાઓની સેજ – કશું બદલાતું નથી… બધું એનું એ જ રહે છે. વિસ્તૃત અર્થમાં જોઈએ તો બધાય બે પગા એકસરખા જ હતા, છે અને રહેશે. ‘એકસૂરીલું’ શીર્ષક કાવ્યાર્થને દૃઢીભૂત કરવામાં મદદ કરે છે. યાદ આવે: ‘બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર, ઉપર ઉપરથી ફકત હાલચાલ નોખા છે.’ આખી રચના ગુલબંકીના ગાલ ગાલની ત્રિકલ ચાલમાં લેફ્ટ રાઇટ લેફટ રાઇટની માર્ચ ચાલતી હોય એમ ચાલે છે પણ છેલ્લે ‘પગા’ પર પહોંચીને છેલ્લી પંક્તિ અચાનક ગાલ ગાલના સ્થાને લગા લગાની રવાની પકડે છે ત્યારે પઠનમાં જે લયપલટો થાય છે એ જ કદાચ રચનાને કવિતા સુધી પહોંચાડવાની ચાવી ગણી શકાય.
Permalink
August 25, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રફુલ્લા વોરા
અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું કરું?
અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ,
કે સૈય૨ શું કરું?
સૈયર મૂકી હથેળીયું પર અમથી મેંદી-ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાનીછપની વાત;
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ઘૂઘરમાળ
કે સૈય૨ શું કરું?
સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે;
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું?
– પ્રફુલ્લા વોરા
પ્રેમમાં કશુંય અમથું અમથું થતું નથી, પણ બધું જ અમથું અમથું –આપોઆપ થઈ રહ્યું હોવાની ભ્રમણા સેવવાનું આપણને ગમે છે. કાવ્યનાયિકા સહેલી સામે હૈયું ઠાલવવા બેઠી હોવાની પળનું આ ગીત છે. હીંચકો બે કડે બંધાય… પ્રેમની દોરી બે હૈયે પરોવીને નાયિકાએ ઝૂલવું શરૂ કર્યું કે હૈયામાં ફાળ પડી. બે જણની આંખ મળે, અમથી એક ડાળ ઝૂલે, અને એ બે જણને ખબર પડે એ પહેલાં તો વાયરો ગામ આખમાં વાય વળે… હથેળી પર મૂકેલી મેંદી પણ છાનીછપની વાતો જાહેર કરવા માંડે છે. પ્રેમ એટલે સાનભાન ભૂલી જવાય એ સમાધિ. પગ તો જમીન પર ચાલતા હોય પણ હૈયું કોઈ બીજી જ દુનિયામાં હોવાથી હાલતાંચાલતાં ઠેસ વાગવી કંઈ નવું નથી હોતું. વળી નવાનવા પ્રેમમાં તો નાનામાં નાની વાતના મસમોટા પડઘા ઊઠવાના. જરી અમથી ઠેસ વાગી નથી કે ઘૂઘરમાળ રૂમઝૂમ થઈ નથી. ઉજાગરા આંજેલી ખુલ્લી આંખે અઢળક સપનાંઓ જોઈજોઈને રાત પસાર થાય છે. અને સવાર પડતાં મનના માણીગરના દર્શનનું જરા અમથું અજવાળું આંખે ઝીલાતાંવેંત રાતભરના વિયોગને લઈને ભરાઈ આવેલું હૈયું પાંપણની પાળ તોડીને છલકાઈ ન ઊઠે તો જ નવાઈ…
Permalink
August 24, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રભુરામ જયશંકર જોષી
પેલી બારીએ રે પેલી બારીએ રે,
હાં અટારીએ રે
ઝૂલે જોબન ગુલાલ!
જોબન ગુલાલ,
એના ગોરા ગોરા ગાલ;
પેલી બારીએ રે, પેલી બારીએ રે,
હાં અટારીએ
ઝૂલે જોબન ગુલાલ !… ટેક.
ઝૂલે કટિએ કલાપ, ચાંદ મલકે અમાપ;
એનાં નૈનનમાં મન્મથનાં ચાપ,
પેલી બારીંએ રે!…
ઝૂલે નથનો હિંડોળ, ઝૂલે કુંડળ વિલોલ,
ઝૂલે હૈડામાં હેમલ હિંડોળ,
પેલી બારીએ રે!…
ઝૂલે કિનખાબી ખાલ, ઝૂલે ચૂંદડલી લાલ;
ઝૂલે ચણિયાશું પાની પ્રવાલ
પેલી બારીએ રે!…
ઝૂલે કંકણ સિંગાર, કટિમેખલાની હાર;
ઝૂલે નખીંયા ઝાંઝરનાં ઝંકાર,
પેલી બારીએ રે!…
તજો દાદાના મ્હોલ, સજો સાજન હિંડોળ;
ઝૂલો ભવ ભવ હૈયાને હિંડોળ,
પેલી બારીએ !…
– પ્રભુરામ જયશંકર જોષી
मेरे सामनेवाली खिडकी માં વસતા चांद का टुकडा તરફના અનુરાગની ઘણી કવિતાઓ આપણે સહુએ માણી હશે. એમાં આ એક રચનાનો ઉમેરો. ભાષા એવી તો સહજ અને સરળ છે કે રચના કવિહૈયેથી આપોઆપ સરી આવી હોવાનું અનુભવાય. ત્રેવડા પ્રાસને હિંડોળે ઝૂલતા બબ્બે પંક્તિના છ બંધમાં સુંદરીના સૌંદર્ય અને શૃંગારનું વર્ણન ખાસ્સું હૃદ્ય થયું છે. આમ જોઈએ તો વાતમાં કશું નવું નથી. આ પ્રકારની સૌંદર્યપ્રસંશા કવિઓ સદીઓથી કરતા આવ્યા છે, પણ રજૂઆતની સરળતા અને સચ્ચાઈ આપણને સ્પર્શ્યા વિના રહેતાં નથી. ખરું ને?
Permalink
August 22, 2023 at 7:06 PM by તીર્થેશ · Filed under જૌન એલિયા, શેર
अहद-ए-रिफ़ाक़त ठीक है लेकिन, मुझ को ऐसा लगता है !
तुम तो मिरे साथ रहोगी, मैं तन्हा रह जाऊंगा !!
– जौन एलिया
अहद-ए-रिफ़ाक़त – દોસ્તીનો સમય ( અહીં એવો અર્થ છે કે અત્યારે આપણી દોસ્તીનો સમય છે, કબૂલ… પણ મને એવું લાગે છે કે તું તો મારી સાથે હશે, છતાં હું તન્હા રહી જઈશ… )
જૌન એલિયા પાકિસ્તાની વામપંથી શાયર છે અને બડો અચ્છો શાયર છે. એની સળંગ ગઝલ કરતાં એના છૂટાછવાયા શેર બહુ મજબૂત હોય છે. પાકિસ્તાનમાં એના શેર ઘણાં જાણીતા છે.
આ શેરનો એક ગૂઢાર્થ જૂઓ ( બીજા પણ બે-ત્રણ અર્થ કાઢી શકાય તેમ છે ) – માશૂકા સાથે છે પણ શાયરના દિલે કંઈ બીજી જ ખલિશ છે…એ અનુભવે છે કે મારી તન્હાઈની વજહ કંઈક અલગ જ છે ! તું સાથે છે, છતાં હું તન્હાઈ અનુભવું છું….મતલબ કે હું કંઈ બીજું જ તલાશું છું. શું ? – કદાચ શાયરને પણ તે ખબર નથી.
આ કોઈ શાયરનો ખયાલી પુલાવ નથી – તીવ્ર સંવેદનશીલતા ધરાવનાર વ્યક્તિ માટે આ અનુભવ અજાણ્યો નથી. આથી જ કોઈ વસ્તુ કે વ્યક્તિ કે ઈશ્વરના વિરહમાં જે અનુભૂતિ થાય તે ચીજ કે વ્યક્તિ કે પછી ઈશ્વર જ્યારે પામી જવાય ત્યાર પછીની અનુભૂતિ સ્થાયી આનંદ અને સંતોષની ન પણ હોય…..!!!!
આલ્બર્ટ કામુનું એક વાક્ય યાદ આવે –
“ I was with them and yet I was alone. “
Permalink
August 19, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ફકીરમહંમદ મનસુરી
મેલ હવે મન ઝાવાં,
દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા.
ધરી હથેળી ઉલટાવીને,
આંખે છાજલી કરવી,
દેખાય તેટલી દૂરથી એને
સજલ આંખે ભરવી,
ઓસને બિન્દુ આભ છતાંયે કેમ ચહે બંધાવા?
વરસી રહેતી વાદળી ભલે
અહીંથી જોજન દૂર,
આવશે વહી વાયરે એનું
મ્હેકતું ઉરકપૂર,
એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા.
– ફકીરમહંમદ મનસૂરી
પાસે હોય એના પર ધ્યાન ન દેવું અને જે પાસે ન હોય એના માટે તડપતા રહેવું એ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. દૂર હોય એને નજીક લાવવાના તમામ ઓરતા ફોગટ જ છે એમ કહીને કવિ મનને વલખાં મારવાનું છોડવા સમજાવે છે. હથેળી કૃપાનિધાનની મહેરબાનીને ઝીલવા માટે છે પણ આપણે એને ઉલટાવીને આંખે છાજલી કરી દૂરનું વધારે સાફ દેખાય એવી આરતમાં છેવટે નિરાશાના આંસુઓથી જ ભરીએ છીએ. પોતાની અસીમ વિશાળતાને વિસરીને આકાશ ઓસના એક બુંદમાં બંધાવા શા માટે ઝંખે છે એ કવિ માટે એક કોયડો છે. ઝાકળના એક બુંદમાં આખું આકાશ નજરે ચડે એ હકીકતને કવિએ કેવી સ-રસ રીતે રજૂ કરી છેમ નહીં! (યાદ આવે- તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું, તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર!) વાદળ ભલે જોજનો દૂર કેમ ન હોય એ વરસીને ધરતી પર આવશે ત્યારે માટીના હૈયામાંથી જે સુગંધ ઊઠવાની છે એ આપણા અસ્તિત્ત્વને મહેંકાવ્યા વિના રહેવાની નથી. જે મળવાનું હશે એ આપોઆપ દૂરથી નજીક આવશે જ પણ એને નજીક લાવવા માટેના ધમપછાડા અને દાવા જતા કરી સાહજિક બનીને જીવન જીવીએ એમાં જ ખરો આનંદ છે. કેવી સરસ વાત!
Permalink
August 18, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, બટુકરાય પંડયા ડૉ.
આ પ્રકાશના પગથારે !
કો’ અંગુલિના અણસારે!
કોણ રહ્યું આકર્ષી મુજને અભિનવ આંખ ઇશારે? — આ.
સૂનાં અંતર, સૂનાં આંગણ,
નીંદર ઘેન ઢળી’તી પાંપણ;
કોણ ગયું ખખડાવી સાંકળ બંધ હૃદયના દ્વારે? — આ.
શ્યામ તિમિર પથ આગળપાછળ,
ગરજે ઘોર નિરાશા વાદળ;
કોણ અગોચર માર્ગ ઉજાળે વીજ તણા ચમકારે? — આ.
નાદબ્રહ્મ શાશ્વત હે સુંદર!
અચળ સત્ય હૈ ષડ્જ શિવંકર!
છેડો ભૈરવ રાગ વાદ્ય આ રોમેરોમ પુકારે! — આ.
– ડૉ. બટુકરાય પંડ્યા
દિવ્ય પ્રકાશની અનુભૂતિથી જાગેલી ચેતનાનું આ ગાન છે. એક અણસારો માત્ર પ્રાપ્ત થઈ જાય પછીના આકર્ષણને કોણ રોકી શકે? અંતર અને આંગણ – બધું જ સૂનું હતું અને માંહ્યલો ઊંઘતો હતો એવામાં કોઈક ગેબી વટેમાર્ગુ આવીને હૃદયના દ્વાર ખખડાવી ગયું હોવાનો અહેસાસ થયો. જીવનનો માર્ગ આગળપાછળ બધેથી અંધારાથી ભર્યો હતો અને આકાશમાંય નિરાશાના વાદળો જ ગર્જ્યાં કરતાં હતાં. આવામાં કોઈક અગોચરે વીજળીના ઝબકારે પ્રકાશનો પગથાર દેખાડી દીધો, આંખના ઈશારે આમંત્રણ દીધું. આંગળીનો અણસારો દેનાર આ બીજું તો કોણ હોય? સત્યમ્ શિવમ્ સુંદરમ્ જ ને! જીવનમાં પ્રભાત થાય, જ્ઞાનનો સૂર્યોદય થાય ત્યારે દેહના વાદ્યમાં રોમરોમેથી શિવારાધના કરતો ભેરવ રાગ જ ઊઠે ને !
Permalink
August 17, 2023 at 12:30 AM by વિવેક · Filed under પ્રેમશંકર ન. ભટ્ટ, બાળકાવ્ય
તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
– પ્રેમશંકર નરભેરામ ભટ્ટ ‘પ્રેમ’
(જન્મ: ૧૫–૦૩–૧૯૧૦, ભાવનગર; અવસાન: ૧૧-૧૦–૨૦૧૬, ગાંધીનગર)
ગયા અઠવાડિયે આપણે પ્રેમશંકર હ. ભટ્ટની રચના વાંચી. આજે વાંચીએ પ્રેમશંકર ન. ભટ્ટની એક રચના. કવિએ કેવળ અઢી વરસની વયે માતાને ગુમાવ્યાં. દાદા અને પિતાએ ઉછેર્યા. દાદા હતા પોલીસમાં પણ કવિતા એમણે જ કવિને વારસામાં આપી. પ્રહલાદ પારેખ, કૃષ્ણલાલ શ્રીધરાણી અને પ્રેમશંકરની ત્રિપુટી દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં સાથે જ ભણ્યા હતા. સાથે સ્નાતક થયા અને સાથે જેલમાં પણ ગયા અને સાથે માર પણ ખાધો. રાજાએ ખાસ સ્કોલરશીપ આપીને જર્મની બાળકેળવણી વિશે ભણવા મોકલ્યા. મોટાભાઈ માનભાઈના ‘શિશુવિહાર’ સાથે જીવનના છેલ્લા શ્વાસ સુધી સંકળાયેલા રહ્યા. ૧૦૬ વર્ષનું વિરલ દીર્ઘાયુષ્ય એમણે ભોગવ્યું. કવિનું વિશેષ પદાર્પણ બાળકાવ્યોની દુનિયામાં. સાવ સરળ અને નાના-મોટા સૌના મનમાં ઘર કરી જાય એવો પ્રવાહી લય, નાના બાળકોનેય તરત સમજ પડી જાય એવું શબ્દચયન અને જીવનભર કામ લાગે એવો બોધ એમના કાવ્યવિશેષ ગણી શકાય.
Permalink
August 15, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સરૂપ ધ્રુવ
ચાળીસમે પણ ચલકચલાણું?
થતાં રહ્યાં તારાજ, બોલો!
અમેય રૈયત, તમેય રૈયત!
કોણ ચલાવે રાજ, બોલો!
મતપેટી કે મંત્રતંત્રથી
ફાટફૂટ ભઈ, ફૂલફટાક!
માણસથી મત મોટા કીધા;
નેવે મૂકી લાજ, બોલો!
ટળવળતી, તરફડતી
સગ્ગી જનતા સામે મીંચી આંખ,
થર્ડ વર્લ્ડના ચક્કરવરતી!
જાતે પ્હેર્યા તાજ, બોલો!
દેશવિદેશે ધજા ફરકતી;
સ્વીસબેન્કમાં આણ વરતતી;
સબમરીન સગતળિયે હોંચી;
કોનાં સરતાં કાજ, બોલો!
શ્હેર સળગતાં, નદીઓ મેલી;
સડતી લાશો, જંગલ ખાલી;
ગંગાજળથી શબ નવડાવ્યું,
પછી સજાવ્યા સાજ, બોલો!
સપના ઉપર સપનું મૂકી,
ચાળીસ માળ ચડાવ્યા ભારે!
ભૂખ્યાં પેટે ભમતાં માથાં,
હવે તો આવ્યાં વાજ, બોલો!
કેટલું કહેવું? કયાં લગ સ્હેવું?
નથી થવું નારાજ, બોલો!
ચલો, ઉગામો મુક્કી સાથી!
રગદોળીશું તાજ, બોલો!
– સરૂપ ધ્રુવ
(૧૫ ઑગષ્ટ, ૧૯૮૭)
આઝાદી મળ્યાના ચાળીસ વર્ષ પછી લખેલી આ રચના આજે બીજા છત્રીસ વરસ વીતી ગયાં હોવા છતાંય એટલી જ પ્રસ્તુત લાગે છે. સાચી કવિતા જ એ જે સમયના સીમાડાઓને વળોટી જાય…સપનાં ઉપર સપનું મૂકીને ચાળીસ માળ ચડાવવાની વાતનો ઇનકાર કોઈ કરી શકે એમ નથી…
Permalink
August 12, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રેમશંકર હ. ભટ્ટ
ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય,
એ તો વાયરાની પાંખે ઊડી જાય રે!
વીજળીનું તેજ થીર કેમ કરી થાય,
એ તો આભ કેરા હૈયે વેરાય રે!
– ફૂલડાંની ફોરમને.
નાનેરાં નવાણ દૈને ડૂબકી તગાય,
ઊંડા સમદર શેણેથી મપાય રે!
નીરના પિયાસી તરસ્યા કંઠ કેરી લાય,
ટોયે ઝાંઝવાનાં જળ શેં બુઝાય રે!
– ફૂલડાંની ફોરમને.
ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા, ઝરૂખડે,
ચાકળા ને ચંદરવા બંધાય રે;
આભ કેરા ટોડલે તોરણો ટીંગાડવાના,
મનસૂબા કેમ પૂરા થાય રે!
– ફૂલડાંની ફોરમને.
અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્ય કેમ કરીને વંચાય રે!
દર ને દાગીના ઝીણું રેણ દૈ સંધાય,
તૂટ્યા આયખાને શી વિષે તુણાય રે!
– ફૂલડાંની ફોરમને.
– પ્રેમશંકર હ. ભટ્ટ
મુખડા વિનાના ચાર બંધમાં વિસ્તરેલું ગીત સંભવિત-અસંભવિતના સમાંતર પાટા પર ગતિ કરે છે. જેમ પવનની પાંખે ઊડી જતી ફૂલની ફોરમને ઝાલવી શક્ય નથી, એમ જ આભના હૈયે વેરાતી વીજળીના તેજને સ્થાયી ન કરી શકાય. નાનાં નવાણનો તાગ ડૂબકી દઈને કાઢી શકાય પણ સમુદ્ર તો અતાગ છે. ઝાંઝવાનું જળ ટીપેટીપે પીવડાવવાથી તરસ્યાના કંઠની લ્હાય શાંત થતી નથી. મહેલ-મંદિર બધું બાંધવું શક્ય છે પણ આભના ટોડલે તોરણો તાંગવાના મનસૂબા તો કેમ કરીને પૂરા થાય? લિપિ-ભાષા અજાણ્યા હોય તોય અભ્યાસ કરીને વાંચી શકાય પણ ભાગ્યને કોણ વાંચી શકે? દરદાગીનાને રેણ કરીને સાંધી શકાય પણ તૂટ્યા આયખાને કઈ રીતે સાંધી શકાય? સાવ સરળ દાવાદલીલોની ઇબારત પર ગીત રચાયું છે, પણ કવિને જે કહેવું છે એ કદાચ એ છે કે જિંદગીનો તાગ મેળવવો સંભવ નથી. પ્રકૃતિના નાનામોટા ચમત્કાર હોય કે આપનાં જીવન-મૃત્યુ -સઘળું આપણી પહોંચ કે સમજણથી બહુ દૂર છે. તો જે આપણા હાથમાં જ નથી એવા ઝાંઝવા પાછળ દોડવાના બદલે, આભ પર તોરણ બાંધવાની મંશા સેવ્યા વિના આયખું ખૂટી જાય એ પહેલાં જીવવાનું શીખી લઈએ તોય ઘણું…
કવિ વિશે- (સૌજન્ય: https://gujarativishwakosh.org)
(જન્મ: 30 ઑગસ્ટ 1914; નિધન: 30 જુલાઈ 1976, અમદાવાદ)
કવિ, નવલકથાકાર અને વિવેચક. ધ્રાંગધ્રા પાસેના રાજસીતાપુર ગામના વતની. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી એમ.એ. થઈને આરંભમાં બર્મા શેલ કંપનીના પ્રકાશન અધિકારી તરીકે અને પછી મુંબઈની ખાલસા, સોફિયા અને સિદ્ધાર્થ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે કાર્ય કર્યું હતું; પાછળથી અમદાવાદની સ્વામિનારાયણ કૉલેજ, ધ્રાંગધ્રાની આર્ટ્સ કૉલેજ અને પછી દહેગામની કૉલેજમાં આચાર્ય હતા.
કાવ્યસંગ્રહો: ‘ધરિત્રી’ (1943), ‘તીર્થોદક’ (1957), ‘મહારથી કર્ણ’ (1969), ‘અગ્નિજ્યોત’ (1972) અને ‘દીપ બુઝાયો’ (મરણોત્તર : 1977)
Permalink
August 11, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઉષા ઉપાધ્યાય, ગીત
મારી નજરુંના નાજુક આ પંખીના સમ
. એનું આખ્ખું આકાશ તારી આંખમાં…
અમથા અબોલાની ઉજ્જડ આ વેળામાં
. પથ્થરિયા પોપટ શાં રહીએ,
થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી
. ખળખળતા ઝરણાં શાં વહીએ,
ટોળાબંધ ઊડતાં આ સાંભરણના સમ
. એનું આખ્ખું આકાશ તારી આંખમાં…
સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું
. મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં
હળવે આવીને ત્યારે કહેતું આ કોણ
. મને બાંધી લે અધરોનાં ફૂલમાં,
ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ
. એનું આખ્ખું આકાશ તારી આંખમાં…
– ઉષા ઉપાધ્યાય
પ્રેમ નામની અનુભૂતિનો ખરો ચમત્કાર જ એ કે એ હોય ત્યારે માણસને એમ જ લાગે કે પોતે પોતાનામાં નહીં, પણ સામામાં જીવે છે. પોતાની આખી દુનિયાનું સરનામું સામી વ્યક્તિના અસ્તિત્વમાં લખાયેલ હોવાની લાગણીનું જ બીજું નામ તે પ્રેમ. આપણી કાવ્યનાયિકાની દુનિયા પણ એનો પ્રિયતમ જ છે. પ્રિયતમની આંખ એ જ એની નજરના નાજુક પંખીનું આખેઆખું આકાશ. એક તરફ નજર માટે ‘નાજુક’ વિશેષણ વાપરીને કવયિત્રીએ પ્રણયની કુમાશ આબાદ મૂર્ત કરી બતાવી છે, તો બીજી તરફ આકાશને ‘આખ્ખું’ કહીને પ્રિયજન સિવાયની કોઈ પણ જગ્યાએ પોતાના ઉડ્ડયનનો અવકાશ શૂન્ય કરી દઈને સમર્પણની ચરમસીમા પણ આંકી બતાવી છે. ગીતની બંને પૂરકપંક્તિઓમાં કવયિત્રીએ પ્રાસની પળોજણ પડતી મૂકી હોવા છતાં ગીત આખું આસ્વાદ્ય બન્યું છે.
Permalink
August 10, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ મીનાશ્રુ
જૈ આઈન્સ્ટાઈનને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
ઉર્જા બોલી કે આઈ સ્વેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
કિસ્સો રેરેસ્ટ ઑફ ધ રેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
દર્પણ મેં દીઠું ખંડેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
મૃગજળની ઠંડક ચોમેર અગનિની મધ્યે અંધેર
પૃથ્વી હોળીનું નાળિયેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
બ્રહ્માની તકલાદી ચેર સકલ કમલદલ વેરવિખેર
દૂંટીમાં બોન્સાઈ ઉછેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
હરિશ્ચંદ્ર હેરી પોટેર બની કરે બંધારણ ફેર
તદા ચાકડે ઊતરે સ્ક્વેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
પોતીકું પણ પળમાં ગેર નથી કોઈનું સગલું શ્હેર
માણસ મળે તાંબિયે તેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
થવાકાળ તે થાશે, ખેર, મરતાંને ના કહીએ મેર
મન મનખો મોહનજોડેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
ચાચર ચોક ટ્રફલ્ગર સ્ક્વેર તાબોટા તાળી તાશેર
લખચોરાશીનો ફનફેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
બાવા તે આદમનું વેર જુગજૂનું પ્રકરણ જાહેર
અદકપાંસળીનું એફેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
સેન વનલતા નાટોરેર હજી સફરજન મીઠું ઝેર
કલવામાં પીરસાઈ કુલેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
હરખ-શોક જૂતિયાંની પેર એ જ અહીં આદિમ ફૂટવેર
સત્ય ઢસરડો ઠૂણકાભેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
કાગા બૈઠા ફિર મુંડેર વાટ જુએ તે વ્લાદિમેર
કોઈ કદી નહીં આવે ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
સ્ટ્રોબેરી શેતૂર બ્લૂબેર ખટ્ટે હૈં શબરી કે બેર
કાન રામના મત ભંભેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
મંદિર મસ્જિદ દેવળ દહેર ભટકી થાક્યા મણકા મેર
રહ્યું ટેરવું ઠેરનું ઠેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
ઐરા ગૈરા નથ્થુ ખેર વણચંચુ વેરે ચોમેર
કલ્પવૃક્ષના થડનો વ્હેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
શેખચલ્લી બજવે રણભેર રિન્ગટોનથી દુનિયા બહેર
કરાંગૂલિએ કોમ્પ્યુટેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
બુદ્બુદ લેવા શેરબશેર બજાર બોલે બુલ કે બેર
ગજવામાં બીટ્કોઈન્સ ઢેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
મુલ્લા ગઝલુદ્દીનનો કેર: તરન્નુમ વીંઝે શમશેર
ઝબ્બે થૈ જા કે કર જેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
દીર્ઘ કવિતા ટૂંકી બ્હેર રદીફ કાફિયે સુખિયો શેર
બોલે બાવન બ્હાર બટેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
વૉટ વ્હાય હૂ વ્હેન એન્ડ વ્હેર અતિપ્રશ્નથી જમ ના ઘેર
રૂક જા થામ્બા થોભ ઠહેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
હિટલરબિટલર ટોની બ્લેર ક્લિન્ટન હોય કે હોય હિલેર
ચઢ્યા મુખવટે સહુના ચ્હેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
કોણ તાણશે તારી ભેર દીવા તળે નગરી અંધેર
ચલ ગંડુ, રાજાને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
કચ્છ મચ્છ કે વચ્છ વછેર બામણ મીર મિયાણાં મેર
હોય વાણિયો કે વણિયેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
હું વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર ચોગરદમ માટીની મ્હેર
કબર તળે તો કોણ કુબેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
અવળસવળ કુળ ઈકોતેર કરે અળસિયાં, છે માહેર
તુ ભી આ જા દેરસબેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
ખટપટ છોડી ખાંપણ પ્હેર મરઘટ પ્હોંચી કર ડિકલેર
આજ આનેમેં હો ગઈ દેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
અલ્લા, તુ આળસ ખંખેર મુર્ગા બોલા હુઆ સબેર
મુલ્લા ક્યું પીટે ઢંઢેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
વીજમાં પ્રોઈ કીડિયાસેર કરે પાનબઈ લીલાલ્હેર
તું ય લીસ્ટમાં નામ ઉમેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
મસ્તક શ્રીફળ જેમ વધેર પંડ-પલીતે અગન ઉછેર
બળે દીવો મુરશિદને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
અખા લખાવટ ચેરાચેર બુદ્ધિ પણ મારી ગૈ બ્હેર
સાઠ કડીની ગૂંથી સેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
– હરીશ મીનાશ્રુ
(*પુણ્યસ્મરણ : આલ્બર્ટ આઈન્સ્ટાઈન)
ગુજરાતી ભાષાને ગઝલકારો તો સેંકડો મળ્યા છે, પણ ભાષાને અછોઅછો વાનાં લાડ કરીને એનો વધુમાં વધુ ક્યાસ કાઢવાની વૃત્તિ ધરાવતા ગઝલકારો તો જૂજ જ સાંપડ્યા છે. આવા ગઝલકારોમાં કવિશ્રી હરીશ મીનાશ્રુનું નામ અગ્રસ્થાને મૂકી શકાય. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના પ્રખ્યાત સિદ્ધાંત E = mc2 ને રદીફ બનાવવાનો વિચાર જ કેવો અનૂઠો અને અભૂતપૂર્વ છે! બીજું, મોટાભાગના સર્જક પાંચ-સાત શેરની ગઝલ લખીને ઓડકાર ખાઈ લેતા હોય એવા સમયમાં સાંઠ શેરની ગંજાવર ગઝલ આપવી એય નાનીસૂની વાત નથી. ત્રીજું, મત્લાને બાદ કરતાં ગઝલમાં કાફિયો સામાન્ય રીતે દરેક શેરમાં રદીફની આગળ એક વાર જ પ્રયોજાતો હોય છે. પરંતુ પ્રસ્તુત ગઝલમાં કવિએ રદીફ સિવાયના શેરને ત્રણ ભાગમાં વહેંચી દઈ ત્રણેય ભાગમાં કાફિયો વાપરી મજાની આંતર્પ્રાસસાંકળી રચીને ગઝલની રવાનીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આપણને દસ-બાર કાફિયા શોધવામાં પસીનો પડતો હોય એવામાં કવિએ લગભગ એકસો એંસી કાફિયાથી ગઝલ શણગારી બતાવી છે. આ થઈ ગઝલસ્વરૂપની વાત… એના કાવ્યત્વને માણવું-પ્રમાણવું ભાવકો પર છોડી દઈએ…
Permalink
August 9, 2023 at 7:36 PM by તીર્થેશ · Filed under ઉશનસ્, ગીત
વિનવું: એટલા દૂર ન જાઓ,
કે પછી કદી યે યાદ ના આવો;
માનું, અવિરત મળવું અઘરું,
માગ્યું કોને મળતું સઘળું?
કગરુંઃ એટલા ક્રૂર ન થાઓ,
કે પછી ક્દી યે યાદ ન આવો…વિનવું…..
જાણું: નવરું એવું ન કોઈ
કેવળ મુજને રહે જે જોઈ;
તો યે આવા નિષ્ઠુર ન થાઓ,
કે પછી ક્દી યે યાદ ન આવો…વિનવું….
રાહ જોઈ જોઈ ખોઈ આંખ્યું,
પણ શમણું તમ સાચવી રાખ્યું;
છેલ્લું એ હરી નૂર ન જાઓ
કે પછી ક્દી યે યાદ ન આવો…વિનવું…..
આ વેલ મુજ અંસવન ટોઈ,
રહી ફળની આશ ન કોઈ;
પણ છેક ન નિર્મૂળ થાઓ.
કે પછી ક્દી યે યાદ ન આવો,
વિનવું, એટલા દૂર ન જાઓ
કે પછી ક્દી યે યાદ ન આવો.
– ઉશનસ્
बेशक मंदिर-मस्जिद तोड़ो,बुल्लेशाह ये कहता
पर प्यार भरा दिल कभी न तोड़ो,इस दिल में दिलबर रहता
Permalink
August 5, 2023 at 11:09 AM by વિવેક · Filed under ગીત, યોસેફ મેકવાન
વહે અશબ્દ યામિની!
સુમંદ છંદ ગંધમાં તરંત તારલા,
અકથ્ય હેત નેત્રમાં ઝગે ઝલાંમલાં,
પ્રસન્ન થાવ આજ અંતરે છલાંછલાં.
અહીં શ્વસંત સંગ કામિની!
વહે અશબ્દ યામિની!
સમસ્ત સૃષ્ટિ શાંતિના સરોવરે સરે,
સમીર સુપ્ત પર્ણમાં ફરે, ઝરા ઝરે,
અષાઢ અભ્ર જેમ આજ સોણલાં ઠરે,
અહીં તગત નંદ-દામિની!
અહીં અશબ્દ દામિની?
– યૉસેફ મૅકવાન
આજે તો નગરજીવન એવું થઈ ગયું છે કે ચોવીસ કલાકમાં એક પળની નિરાંત દેખાતી નથી, પણ ગામડાંઓમાં હજીય રાતની ચાદર પથરાતાંવેંત બધું શાંત થઈ જાય છે. રાત્રિનો કાળો કામળો ઓઢીને સૂતી સૃષ્ટિનું સાવ ટૂંકું પણ અસરદાર આલેખન કવિએ કર્યું છે. કવિતામાં દરેક શબ્દનો મહિમા છે. કવિએ ‘નિઃશબ્દ’ના બદલે પ્રમાણમાં ઓછો વપરાતો ‘અશબ્દ’ શબ્દ વાપર્યો છે. કારણ? આખું ગીત લગા લગા લગા લગાની ત્રિકલ ચાલે ગતિ કરતું હોય ત્યારે ‘નિઃશબ્દ’માં વિસર્ગને લઈને ‘નિ’નો માત્રાભાર જરૂરી લઘુના બદલે ગુરુત્વ તરફ વધારે ઢળી જવાથી લયની પ્રવાહિતા જોખમાઈ શકે છે. કવિએ બાહોશીપૂર્વક એ ટાળ્યું છે. આખી રચનામાં કુલ ત્રેંસઠ લઘુ અક્ષરને સ્થાન છે, જેમાંથી કેવળ સાત સ્થાને કવિએ ‘ઇ’કારાંત લઘુ માત્રા પ્રયોજી છે અને બાકીના છપ્પન સ્થાને શુદ્ધ ‘અ’કારાંત લઘુ માત્રા વાપરી હોવાથી ગીતનો લય અભૂતપૂર્વ રીતે પ્રવાહી થયો છે. છે ને ઉમદા કવિકસબ? ‘લગા લગા’ના ત્રિકલ માત્રામેળને કારણે ગીત સવારના હાથમાંના પાણીના કટોરામાંનું બુંદેય હલે નહીં એવી ઘોડાની રેવાળ ચાલ જેવી રવાની પણ સતત વર્તાય છે.
વાતાવરણમાં વ્યાપ્ત મંદ સુગંધ જાણે કે આકાશની છબડીમાં તરતા તારલાઓમાંથી આવી રહી છે. તારાઓનો ઝબક-ઝબક પ્રકાશ હેતાળ સ્વજનની આંખમાં ટમટમ થતાં ઝળઝળિયાં જેવો ભાસે છે. કથક ઘરની અગાશીમાં સૂતો હોવો જોઈએ કારણ આકાશમાંના તારા નજરે ચડે છે અને પડખે પત્ની શ્વસી રહી છે. બીજો બંધ બ.ક.ઠાકોરના ‘ભણકારા’ની યાદ અપાવે એવો છે. સૃષ્ટિ જાણે કે નૌકા છે અને શાંતિના સરોવરમાં ધીમેધીમે સરી રહી છે. સૂઈ ગયેલ પાંદડાઓની નીંદર ઊડી ન જાય એ રીતે પવન એમની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. અષાઢના વાદળોની જેમ સપનાંઓ ઠરી રહ્યાં છે. નંદ-દામિનીવાળી પંક્તિમાં એક લઘુ ખૂટે છે, ત્યાં કવિતા છાપવામાં કંઈક ભૂલ થઈ હોવાનો સંભવ છે. જાણકાર ભાવક ભૂલસુધાર કરવામાં મદદ કરશે તો ગમશે.
Permalink
August 4, 2023 at 11:01 AM by વિવેક · Filed under પુનમતી ચારણ, ભક્તિપદ, ભજન
ભણતી સાં મેં કાનડ કાળા રે, મીઠી મીઠી મોરલીવાળા રે!
પાંચસે તો મુંહે પોઠીડા દેજે, પાંચસે ગોણાળા,
લાંબી બાંયાળો ચારણ દેજે, ત્રિકમ છોગાળા.
ભણતી સાં મેં…
પાંચ તો મુંહે પૂતર દેજે, પાંચેય પાઘાળા,
તે ઉપર એક ધેડી દેજે, આણાત ઘોડાળા.
ભણતી સાં મેં…
કાળિયું ને ઘણી કુંઢીયું દેજે, ગાયુંનાં ટોળાં,
વાંકે નેણ વાઉવારુ દેજે, ઘૂમાવે ગોળા.
ભણતી સાં મેં…
ઊંચી ઓસરીએ ઓરડા દેજે, તલક ગોખાળા,
સરખી સાહેલીનો સાથ દેજે, વાતુંના હિલોળા.
ભણતી સાં મેં…
ગોમતી કાંઠે ગામડું દેજે, જ્યાં અમારો નેહ,
પુનમતી ચારણ વિનવે કાના, માગ્યા વરસે મેહ.
ભણતી સાં મેં…
– પુનમતી ચારણ
પુનમતી ચારણ વિશે કોઈ વિશેષ માહિતી મળી શકી નથી, પણ પદાંતે પુનમતી ચારણ નામ લખ્યું છે એ કવિનું નામ હોવાનું ધારી શકાય. લોકગીતના ઢાળમાં રમતી મજાની રચનામાં શ્રી કૃષ્ણ પાસે કવિ જાતભાતની માંગણીઓ કરે છે. કહે છે, હે મીઠી મીઠી મોરલીવાળા કાળા કાનુડા, મને પાંચસો બળદ આપજે અને પાંચસો ગુણી અનાજ આપજે. સાથે છેલછબીલો ચારણ પતિ તરીકે આપજે. પતિ વળી એને લાંબી બાંયોવાળો જોઈએ છે, મતલબ એના હાથ વધારે લાંબા હોય, જેથી એ મહેનત કરવામાં પાછો ન પડે. પાંચ જુવાનજોધ દીકરા અને એક દીકરી જેનાં સાસરિયાં ઘોડાવાળાં મતલબ સમૃદ્ધ હોય. કાળી ભેંસો અને ટોળાબંધ ગાયો પણ આપજે. સાથે જ કવિ નેણમટક્કા કરી શકે એવી રૂપાળી વહુવારુ પણ માંગે છે, જે આ ગાય-ભેંસોને દોહી શકે, મતલબ ઘરકામમાં પ્રવીણ હોય. મોટું ઘણા ઓરડાવાળું ઘર પણ સર્જક માંગે છે. સાથે જ માંગે છે જેની સાથે વાતોના હિલોળા લઈ શકાય એવી પોતાના ‘સ્ટેટ્સ’ને બરાબર સહેલીઓ. પવિત્ર ગોદાવરી નદીના કાંઠેના ગામડામાં પોતાનો નેસ હોય એવી માંગણી કવિ કરે છે, જેથી કરીને પૂજા-અર્ચનમાં પણ સરળતા રહે. આટલું ઓછું હોય એમ સર્જક માંગ્યા મેહ વરસે એવું વરદાન પણ ઇચ્છે છે, જેથી કરીને આ સુખસમૃદ્ધિને કદી દુષ્કાળ કે પ્રતિકૂળતાનો સામનો કરવાનો ન રહે.
પહેલી નજરે માનવસહજ લોભીવૃત્તિ નજરે ચડે પણ સહેજ વિચારતાં જ સમજાય કે ભક્ત ભગવાન પાસે માંગવા બેસે ત્યારે કૃપણતા શીદ કરવી? ઈશ્વર સાથે દિલનો નાતો હોય ત્યારે જ આટઆટલી માંગ શ્વાસ જેવી સહજતાથી થઈ જાય… ઈશ્વર બધી જ માંગ પૂરી કરશે એ ભરોસો પણ આ પદનો પ્રાણ છે.
Permalink
August 3, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મધુસૂદન પટેલ 'મધુ'
આ શબ્દચિત્ર મારા સુખનું છે, લો જુઓ જી,
બે પાંદડે થયો છું, છું જન્મજાત મોજી.
નાના પ્રસંગ સુખના મોટા કર્યા છે આમ જ,
લાંબી રદીફ લીધી, લાંબી બહર પ્રયોજી.
લય-છંદ જાળવીને પણ તીવ્રતા વધારી,
મિસરાને અંતે મૂકી મુસ્કાનની ઇમોજી
પામું છું નિત નવું કૈં, છોડું છું કૈંક જૂનું,
બન્નેનું એક કારણ; કાયમ રહું છું ખોજી.
ત્યાં શબ્દ, અર્થચ્છાયાની વાતમાં શું પડવું ?
થઈ જાય જ્યાં ‘મધુડા’ ભાષા જ હે જી… હો જી !
– મધુસૂદન પટેલ ‘મધુ’
સાદ્યંત સુંદર રચના… મુસ્કાનની ઇમોજીની મોજ લ્યો કે હે જી-હો જીની, એ આપના પર…
Permalink
August 1, 2023 at 7:26 PM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી
એક માણસ છે, અરીસા છે ને બે આંખો નથી
મનમાં ખોવાયો છે એની શ્હેરભરમાં શોધ છે
એટલે કે એક દરવાજો હજી જડતો નથી
ટેવ પડવાની ગતિ વધતી કે ઓછી હોય છે
ઘોર અંધારામાં માણસ આંધળો હોતો નથી
છેવટે વાયુ પકડવાની શરત હારી ગયો
આખરે તો હાથ કેવળ હાથ છે, ફુગ્ગો નથી
ફૂલથી આગળ જતા ના હોય અર્થો ફૂલના
તો ધડક છે વક્ષની કેવળ ધડક, ગજરો નથી
હોવું ઉર્ફે શોધ પોતાના અડધિયાની, રમેશ
કોણ એવો શખ્સ છે કે જે સ્વયં અડધો નથી?
– રમેશ પારેખ
મક્તાએ મને જકડી લીધો….શું શેર છે !!!!
Permalink
July 29, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ભાનુપ્રસાદ પુરાણી
મેં તો ઢાળ્યા’તા ચોક માંહી ઢોલિયા
કે વાત એની કરશું નિરાંતે
મારી છાતીએ ટહુક્યા’તા મોરલા
કે વાત એની કરશું નિરાંતે
મેં તો ઢાળ્યા’તા પાંપણના પરદા
કે વાત એની કરશું નિરાંતે
મેં તો ખોલ્યાં’તાં અંતરનાં બારણાં
કે વાત એની કરશું નિરાંતે
મેહ વરસ્યો, તો મુશળધારે
કે વાત એની કરશું નિરાંતે
મોર ગ્હેક્યા’તા રાત આખી
કે વાત એની ક૨શું નિરાંતે
મારી વાડીમાં મોગરા મ્હેકયા
કે વાત એની ક૨શું નિરાંતે
પછી હેલી આનંદની વરસી
કે વાત એની કરશું નિરાંતે
તોયે રહી ગઈ થોડી તરસી
કે વાત એની ક૨શું નિરાંતે
– ભાનુપ્રસાદ પુરાણી ‘પંકજ’
નથી કહેવું કહી-કહીને બધું જ કહી દે એ પણ કવિતાની અનેક ખૂબીઓમાંની એક છે. જુઓ આ રચના. ‘કે વાત એની કરશું નિરાંતે’ કહીને કવિ બધું જ કહી દે છે. સામી વ્યક્તિ કાન દઈને બેઠી છે એટલે કથકને ખબર છે જ કે વાત કરવા માટેની સાચી નિરાંતવી વેળા આ જ છે, પણ દરેક કડી સાથે આ ધ્રુવકડીના અંકોડા ભેરવીને કવિ વાતમાં સતત મોણ નાખતા રહે છે. ચોકમાં ઢોલિયો ઢાળીને પ્રિયજન સાથે સાયુજ્ય સાધ્યું હોવાની વાત પોતાની સખીને કરે છે. પરિતૃપ્તિના અંતે પણ થોડી તરસ તો બાકી રહી જ જાય એ માનવસહજ માનસનું આકલન રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે.
Permalink
July 28, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ભાસ્કર વોરા
વાલમજી! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી!
હવે વરસો તો મેઘ થઈ એવું વરસો
કે જાણે ધરતીની જેમ રહું મ્હોરી.
આશાનું આભ મારું ગોરંભી લીધું
ને રોકી લીધી મુને વાટમાં,
ઝીણી ઝીણેરી તમે ઝરમર થૈ આવ્યા
ને રીઝવી દીધી મુને છાંટમાં,
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
કે રહું થોડી આઘી ને ઝાઝી ઓરી.
દિલનાં તે દીપકથી દાઝ્યાં કરું
એને મલ્હારી સૂર થઈ ઠારો,
વ્હાલપની વાછંટો એવી મારો
કે કરું ઓળઘોળ ઉરનો ઓવારો,
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
કે રહું ઝાઝી ભીની ને થોડી કોરી.
– ભાસ્કર વોરા
પ્રેમમાં તૃપ્તિ કરતાં તરસ હંમેશા બળવત્તર જ હોવાની. ગમે એટલું કેમ ન ભીંજાઈએ, કોરાંને કોરાં જ રહી ગયાં હોવાનું પ્રતીત થાય એનું જ નામ પ્રેમ. કાવ્યનાયિકા પણ નાયક પાસે પોતાનું અંતરતમ પરિતૃપ્ત થઈ મઘમઘ મહોરી ઊઠે એવો અનરાધાર પ્રેમ માંગે છે. નાયક પણ કંઈ ઓછો નથી. આશાઓનું ગાજર દેખાડીને એણે નાયિકાને ખૂબ સતાવી છે. આખું આકાશ ગોરંભે ચડે એટએટલી આશાઓ બંધાવીને એણે નાયિકાને પોતાનું કામ કરતી રોકી દીધી છે. બધાં કામકાજ અને ફરજ પડતાં મેલીને એ ઘેલી થઈ બેઠી છે. પ્રેમની સાવ આછીપાતળી ઝરમર દઈને નાયકે વળી એને રીઝવી પણ દીધી છે. પણ બે અંતર વચ્ચેનું અંતર નાયિકાને જરાય પસંદ નથી. એની ભીતર જે દાહ ઉપડ્યો છે એ તો વહાલના મેઘમલ્હાર વડે જ ઠરવાનો છે. નાયિકા ઓળઘોળ થવા તત્પર છે, પણ વહાલમ અમાપ વહાલ વરસાવે તો. જો કે પ્રેમમાં તરસના મહિમાથી નાયિકા અજાણ પણ નથી. એને પ્રેમમાં ભીંજાવું તો ખૂબ છે પણ પૂરેપૂરા નહીં… થોડી તરસ બાકી રહી જાય તો જ ખરી મોજ… ખરું ને?
Permalink
Page 3 of 111« First«...234...»Last »