ત્યાં તો થાપી પરે પડે હાથ જોરમાં,
ધસી વીજ-નર્તકી કરે નાચ તોરમાં.
. વિશ્વરંગભૂમિ પરે એક એનું રાજ. નભને…
– ઉમાશંકર જોશી
મોબાઇલમાં મેસેજ કે નોટિફિકેશન સ્કીપ કરી શકાય એ રીતે ઋતુઓને સ્કીપ કરી શકાતી હોય તો ઉનાળો મોટાભાગના લોકો સ્કીપ કરવા માંગે. જે રીતે દિવસ આખામાં સાંજ એ રીતે તમામ ઋતુઓમાં ચોમાસુ જ માનવમનને વધુ આકર્ષે છે. વિશ્વના રંગમંચ પર એનું એકહથ્થું શાસન છે. વરસાદ પડવાની તૈયારી થાય એટલે આભ ગોરંભે ચડે. ઘનઘોર વાદળાં પૃથ્વીને જાણે અંધારાનો પડદો ઢાળીને ઢાંકી દે છે. પરદા પાછળ સંતાઈને કો’ક ધીરી ધીરી પખવાજ વગાડી રહ્યું છે. આકાશમાં માંડ દેખાતા બે’ક તારા આંખો ટમટમાવીને આ કોણ સજીધજી રહ્યું છે એ જોઈ રહ્યા છે. એવામાં વીજળીનું નૃત્ય આરંભાય છે ને કડાકાભેર મેઘગર્જના સાથે વરસાદ શરૂ થાય છે.
ચારે તે આરે ભેટે સરોવર,
નદીઓને હાથ ના હૈયાં રહ્યાં;
ગીતે એ વન વન સમૃદ્ધિ સાંપડી,
શુષ્કતા-ભુજંગપાશ તૂટી ગયા. -વર્ષા0
ગીતે એ આભમાં નાચે છે વાદળી,
પોઢ્યા અંકુર સૌ ઊભા થયા;
પૃથ્વીના પ્રાણનાં થંભેલાં વ્હેણ સૌ
તાલે એ ગીતના વ્હેતાં થયાં. -વર્ષા0
– પ્રહલાદ પારેખ
ક્યારેક સમજવી કઠિન થઈ પડતી હોવા છતાં કવિતા આપણને ગમે છે. જે લોકોને પ્રકટપણે કવિતા નથી ગમતી એ લોકો પણ ફિલ્મી ગીતો, ભજન-કવ્વાલી, નવરાત્રિના રાસગરબા કે સૉશ્યલ મિડિયાની શેરોશાયરીના માધ્યમથી કવિતા સાથે ક્યાંકને ક્યાંક અને કોઈકને કોઈક રીતે તો જોડાયેલ જ છે. કવિતા આપણને કેમ ગમે છે એના અનેક કારણોમાંનું એક એ કે તે રોજબરોજનાં અનુભવો, દૃશ્યો, વસ્તુઓ કે પ્રસંગોને એ બિલકુલ અલગ અને તરોતાજા વાઘાં પહેરાવીને રજૂ કરે છે. વરસાદનો અનુભવ તો કોણે ન કર્યો હોય? વરસાદ પડે ત્યારે વાદળ ગાજે અને વીજળી કડાકે એય આપણે સહુએ સેંકડોવાર માણેલી ઘટના… પણ આ ગીત જુઓ… આ ગીત વાંચતાવેંત આપણને ગમી જાય છે, કારણ? કારણ કે હજારોવાર અનુભવેલ વરસાદ-વીજળીને એ આપણી સમક્ષ બિલકુલ નવાનકોર દૃષ્ટિકોણથી રજૂ કરે છે.
આકાશમાંથી ધરતી પર એકધારા પડી રહેલ વરસાદમાં કવિને કોઈક અદૃશ્ય કારીગરની કળા નજરે ચડે છે. ધરતી નહીં, ધરતીના હૈયાને કોઈક વર્ષાની ધારના તારથી આકાશ સાથે સાંધી-બાંધી રહ્યું છે. તાપમાં તપીને બેહાલ થયેલી ધરતી વરસાદ આવતાં લીલીછમ થઈ જાય એમાં કવિને અવનિનું ઉર નજરે ચડ્યું છે. આ કડીમાંથી ‘ઉર’ કાઢી લેવામાં આવે તો આની આ વાત સામાન્ય થઈ જાય. હવે બીજી પંક્તિ જુઓ… આકાશથી ધરતી સુધી લાંબા તાર તો કોઈકે બાંધી દીધા… હવે આ તાર ઉપર વીજળીની આંગળી ફરી રહી હોવાથી વરસાદ નામના ‘વાદ્યતંતુ’માંથી શુષ્કતા દૂર કરી દે એવાં ગીતો જન્મે છે… છે ને અદભુત કલ્પન!
મારું એટલું છે તને જરા કે’વું,
તારો વરસાદ ભલે વ્યાજ ઉપર આપે, પણ કૈં પણ ઉધાર નથી લેવું…
મારું એટલું છે તને જરા કે’વું…
થોડો વરસાદ મને ભેટમાં તું આપે તો મેલું આકાશ જરા માંજું,
બદલામાં જોઈએ તો તારી બે આંખોમાં ચકચકતું મેઘધનુ આંજું,
મેઘધનુ અંજાતાં પહેલું આંસુ જ થશે રંગીન લખોટી હોય એવું,
મારું એટલું છે તને જરા કે’વું…
વ્યાજનું તો સમજ્યા, પણ મુદ્દલનો મારાથી ચૂકવાતો એક્કે ના રૂપિયો,
એક વાર આંસુ મેં વ્યાજ ઉપર લીધું તો વ્યાજ થયું આખો એક દરિયો,
દરિયો તો જેમતેમ ચૂકવ્યો મેં તોય હજી બાકી છે મૂળ મારું દેવું,
મારું એટલું છે તને જરા કે’વું…
– રવીન્દ્ર પારેખ
આભેથી વરસાદ વરસતો હોય અને કવિ કવિતા ન કરે એ કેમ બને! પણ આ મેઘરાજા એક વસમી, સોરી, એકવીસમી સદીનો છે. એ વરસાદ તો આપવા તૈયાર છે, પણ વ્યાજે. પણ કવિ વ્યાજે વરસાદ લઈ શકે એમ નથી કેમકે એકવાર એક આંસુ વ્યાજ પર લીધું હતું એના વ્યાજમાં આખો દરિયો ચૂકવવાનો થયો હતો. દરિયાનું વ્યાજ તો જેમતેમ કરીને ચૂકવ્યું પણ આંસુનું મુદ્દલ કવિ હજી સુધી ચૂકવી શક્યા નથી. તો નવી લૉન કઈ રીતે લઈ શકાય? હા, વરસાદ ભેટમાં મળે તો કવિ સ્વીકારવા તૈયાર છે અને બદલામાં વાદળની આંખોમાં મેઘધનુષ આંજી આપવા પણ તૈયાર છે… હવે મેઘો શું જવાબ આપે છે એની રાહ જોઈએ…
રપાના ખજાનામાં વરસાદના અનેક મોતી ભર્યાં પડ્યાં છે. “રપા અપાર વરસે” સપ્તાહની માંડણી કરી ત્યારે લયસ્તરો પર આ અગાઉ ર.પા.ના જેટલા વર્ષાકાવ્યો મૂકાયાં હતાં એની યાદી આપી હતી… આખું ચોમાસું ચાલે એટલાં ધોધમાર ગીતો હજી બાકી પડ્યાં છે, આરંભ એનો અંત, ખરું ને? ઉત્સવ કે ઉત્સાહ – બધાયનો હંગામી તો હંગામી પણ અંત તો આવે જ ને! લયસ્તરો પર “રપા અપાર વરસે” શ્રેણી અંતર્ગત છેલ્લા એક અઠવાડિયાથી આપણે વર્ષાગીતોમાં મનભર ભીંજાઈ રહ્યાં છીએ… આજે આ વર્ષા-ઉજવણી સપ્તાહની હાલ પૂરતી સાતમી અને આખરી કડી…
આજે આ ગીત વિશે અમે વાતો નહીં કરીએ, હોં… આજે તો આપ સહુ જ વરસો મનભરીને…
કાયદા વિરુદ્ધ પેશકદમીથી છાપરાની હેઠ હતું એ કર્યું છત્તું!
દિ’એ આણાંત્યું જેને સાંભરી ઈ લડધાઓ રાતે થઈ ગયા સાવ ભાભા રે,
તયેં પોલ ખૂલી કે સંધાનાં ખોળિયામાં લોહીબોહી નહીં, હોય ગાભા રે!
ગાભાને સૂકવવા ગરમી ક્યાં ગોતવી-એ કોકડું ઉકેલ્યું નથી જતું!
– રમેશ પારેખ
આખો જુન મહિનો જે રીતે વરસાદે આપણને તરસાવ્યાં-ટટળાવ્યાં એ જોઈને તો એમ જ લાગતું હતું કે ધરતી પર એનું વહાલ ઓછું થઈ ગયું છે. માનવજાત તરફ આવું દુર્લક્ષ સેવવા બદલ શું એને કૉર્ટમાં હાજર ન કરવો જોઈએ? પણ વરસાદ જેવા વરસાદને કૉર્ટમાં હાજર કરવાનું બીડું કોણ ઝડપે? વરસાદને કૉર્ટમાં આરોપીના પિંજરામાં ઊભો કરી દેવાનું ગજું ર.પા. સિવાય કોઈનું હોઈ શકે ખરું? વરસાદ પણ ડાહ્યોડમરો થઈને કવિની કોર્ટમાં હાજર થઈ દસ્તાવેજ પર મતું મારીને એફિડેવિટ કરે છે કે ધરતી ઉપર એને પહેલાં હતું એવું ને અટ્લું જ ઘટાટોપ વહાલ આજે પણ છે. વરસાદની અનુપસ્થિતિને કારણે કવિઓની લેખિનીને ગૂમડું થઈ ગયું હતું, એ વરસાદે છાંટાના કાંટાથી ફોડી આપ્યું. હે કવિઓ! હવે ખૂબ મનભરીને કાગળ પર વરસો… જે દાધારંગા જુવાનિયાઓ આણેથી આવેલ પત્નીઓને યાદ કરીને દિવસભર બડાશ મારતા હતા એ બધા રાત્રે વરસાદનું રૌદ્રસ્વરૂપ જોઈ પાણીમાં બેસી ગયા. રગોમાં લોહી –ખરી જુવાનીનું જોર- વહેતું હોય તો એને ગરમ કરી શકાય, પણ જે પલળેલા ગાભા જેવા નરમદિલોને સાવજ કઈ રીતે બનાવી શકાય એં કોયડો તો કેમ કરીને ઉકેલવો? છાપરાંઓની નીચે જે છૂપાયેલું હતું એ રહસ્ય વરસાદે છતું કર્યું એ ઓછું હોય એમ એણે ગામના જુવાનિયાઓની કહેવાતી બહાદુરીનો ફુગ્ગો પણ ફોડી નાંખ્યો… પરિણામે આજે એણે ર.પા.ની બેવડી કોર્ટમાં હાજર રહેવાનો વારો આવ્યો છે.
બે શબ્દ શીર્ષક વિશે: દસ્તાવેજમાં સહી કરવી – અહીં દીવાની કોર્ટ નજરે ચડે છે. છાંટો હુલાવવો, શુદ્ધ હિંસા તથા કોઈની મિલકતમાં પેશકદમીથી ઘુસી જવું –અહીં ફોજદારી કોર્ટ દૃષ્ટિગોચર થાય છે. જો કે દીવાની અને ફોજદારી –બંને સંકેતોનું કાનૂની વર્ગીકરણ ન કરતાં એમનું કાવ્યાત્મક મૂલ્યાંકન કરવું જ વધુ ઉચિત કહેવાય.
(આણાત્યું= આણેથી આવેલી સ્ત્રી; લડધાઓ= ધીંગા છોકરાઓ; ભાભા= બુડથલ)
હુકમના એક્કાની જેમ મૂવો ત્રાટકીને બાજી હર્રેક જીતી લે
વરસાદ સાલો ગંજીપત્તાં જેવો છે.
પત્તાની જેમ એક છાંટો એ ઊતરે ને બાજી થઈ જાય છે છકેલ
જીતવું તો ઠીક પણ હારતાંય આપણને આવડે નહીં એવો ખેલ
આપણે ઊતરીએ તે પત્તું નહીં, સંચોડું માથું કપાઈ જતું હે!
એની છે ખાસિયત એવી કે થોડું રમે ને ઝાઝો ગારો થઈ જાય
એકલા જો હોઈએ તો પત્તાંની જેમ મન આખેઆખું રે ચિપાય
બેકલાં જો હોઈએ તો લાગે કે ખેલ બહુ જામલેટ થઈ ગયો રે.
– રમેશ પારેખ
ર.પા.એ કેવળ ગુજરાતી કવિતાને જ અછો અછો વાનાં લાડ નથી લડાવ્યાં, એમણે વરસાદનેય ઓછો રમાડ્યો-ગમાડ્યો નથી. પ્રસ્તુત ગીતમાં એમણે વરસાદને ગંજીપત્તાં જેવો ગણીને ગીતની આખી બાજી ચીપી છે. વરસાદ દરેકેદરેક બાજી જીતી લેતા હુકમના પત્તા જેવો છે, એ એક છાંટો ઉતરે ને આપણી બાજી નશામાં સમતુલન જાળવી ન શકતા શરાબીની જેમ ડામાડોળ થઈ જાય છે. વરસાદની સામે જીતી તો ન જ શકાય, આપણને તો હારતાંય ન આવડે. આપણે તો પત્તું નહીં, માથું જ કાપીને ધરી દેવાનું રહે. વરસાદની ઋતુમાં એકલા રહેવામાં જોખમ. મન પત્તાંની જેમ આખેઆખું ચિપાઈ જાય-ઉથલપાથલ થઈ જાય. પણ પ્રિય પાત્ર સાથે હોય તો તો…. ખેલ જામી જ જવાનો કે ‘ની?
ડરપાંચમ એટલે કે તેર, સાત, ચોરાણું અને બુધવારની સવારે
. વરસાદ એવો ત્રાટક્યો’તો સૂપડાંની ધારે
હતાં સાવ ઘટાટોપ મન અને વાદળાં
. ક્યાં વરસું ક્યાં વરસું જેવાં
અહીં વરસો, અહીં વરસો એવી બૂમરાણ
. કાંઈ કરતાં’તાં આંખ અને નેવાં
ઓસરી ને છાતી ને ડેલી ને જાત
. થયાં સેળભેળ કોણ જાણે ક્યારે !
આંખ્યુંમાં બેઠેલાં ચાતકનાં ટોળાંની
. કલબલનું પૂછો મા કાંઈ
છાંટો પડયો તે પડ્યો એમ
. જેમ ગંજીમાં તણખો પડે રે, મારા સાંઈ
માણસનું એવું કે એને ધો ગાળ્યું
. તો ગાળ્યું પણ પ્રેમથી સ્વીકારે !
– રમેશ પારેખ
રમેશ પારેખ મનપાંચમના મેળાની વાત પણ કરે અને ડરપાંચમની ચોક્કસ તારીખ પણ આપણને આપે. ૧૯૯૪ની ૧૩ જુલાઈએ અષાઢ સુદ પાંચમ. એટલે વરસાદની ગાડી પાંચમા ગિઅરમાં ચાલતી હોવાની સંભાવના. વ્યક્તિ અને પ્રકૃતિ – વયષ્ટિ અને સમષ્ટિ બંનેને અડખેપડખે રાખીને ગીત આગળ વધે છે. મન અને વાદળ બંને ગોરંભાયાં છે. આંખ-નેવાં, ઓસરી-છાતી, ડેલી-જાત વરસાદ સહુને એકાકાર કરી દે છે. આંખોમાં જે ચાતકની પ્યાસ છે એ કેવળ વરસાદ માટેની નથી, પિયુ માટેની પણ છે. અને વરસાદનું ટીપું તો આ તરદ છીપાવવાના બદલે ઘાસને એ ગંજીમાં તણખો પડે ને ગંજી પળાર્ધમાં ભડભડ સળગી ઊઠે એમ તરસ ભડકાવે છે. છેલ્લી પંક્તિ આખા ગીતથી સહેજ અલગ પડી જતી હોય એમ લાગ્યું. માણસને ગાળ આપો તો એ ગાળો પણ પ્રેમથી સ્વીકારે એનો આખા ગીત સાથે કઈ રીતે મેળ ખાય છે એ કોઈ સમજાવશે?
વરસાદ મોટો જાદુગર છે. વરસાદના કારણે દુનિયા તો વધુ ગમવા માંદે જ, જાત પણ કદાચ વધારે ગમવા માંડે? કારણ? કારણની ઉપર તો આખું ગીત ઊભુ છે, ને તોય કારણ આપે એ રમેશ પારેખ શાના? વરસતા વરસાદમાં ગામ આખું ભીંજાતું હોય એવા ટાણે અને ગામની જાણકારી બહાર તમે તમને વધારે ગમવા લાગ્યા છો એટલું કહીને કવિ ચોમાસાનો કાવ્યાત્મક ચિતાર આપે છે. નાનું ખાબોચિયું ભરાવા લાગે અને અંતે છલકાઈ જાય એને ફૂગ્ગો ફૂલતાં ફૂલતાં ફાટી જાય એની સાથે કવિ સરખાવે છે. શેરીમાંથી નીસરતા પાનીના રેલા નદી જેવા થઈ જાય છે. હવેની પંક્તિ તો જુઓ- ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે! ઓ ગૉડ! કવિએ ખાલી ગામનું નહીં, આપણા સહુનું ગજું પણ નાણી જોયું છે.
પિયુ પરદેશમાં ન હોત તો તો હોત હુંય ટહુકાની ખળખળતી નીક!
– રમેશ પારેખ
વરસાદમાં નહાવાનું કોને ન ગમે? પણ મનનો માણીગર પરદેશ ગયો હોય અને આંખોનો વરસાદ જ રોક્યો રોકાતો ન હોય તો ફળિયા વચ્ચોવચ ખિન્ન વદને એકલા ઊભા હોઈએ તો વરસાદ છાંટાથી ઢીંક મારતો હોય એવું જ લાગે ને! પ્રોષિતભર્તૃકાનું આ વેદનાસિક્ત તોય હળવું ગીત એકદમ સહજ રીતે માણી શકાય એવું છે…
લોહીનું ટીપું ટીપું સૈડ-સૈડ સસડે ને મળે નહીં ચપટીયે છાંયડો…
વાદળની ડેલીએ ચાકરી કરે છે પણ રોફ કરે એમ-જાણે શેઠિયો!
સૂરજને પૂછો તો કહેશે કે ઈ તો છે દરિયાની પેઢીનો વેઠિયો…
એ તો છે મુંને મારી કાયામાં પૂરી, બ્હાર પહેરાઓ ભરતો સિપાઈડો…
– રમેશ પારેખ
રિસાઈને મોટા ગામતરે ચાલ્યું ગયેલું ચોમાસું વધારે પડતી જ ગાજવીજ સાથે પાછું ફર્યું છે. કોરા ગયેલા જુનનું સાટુ ન વાળતો હોય એમ મેઘરવો સાંબેલાધાર તૂટી પડ્યો છે. આવા વરસાદમાં બે વસ્તુ કરવાનું મન થાય-એક તો ગરમાગરમ ભજિયાં ઝાપટવાનું અને બીજું વરસાદી કવિતામાં સરાબોળ ભીંજાવાનું. ચાલો, આજથી સાત દિવસ સુધી લાગલગાટ વરસાદી ગીતોમાં મનભર નહાઈએ. પહેલાં તો થયું કે સાત દિવસ સાત અલગ અલગ કવિઓની રચનાનો આહલાદ લઈએ, પણ પછી લયના કામાતુર રાજવીએ અજગરભરડો લઈ કહ્યું કે મને… બસ, મને જ રજૂ કરો… તો પેશ છે વરસે રમેશ સપ્તાહ… સાત દિવસ સુધી લાગલગાટ એક જ કવિની સાત વરસાદી કૃતિઓમાં છબ છબ કરીએ…
પ્રસ્તુત ગીતરચના જાણીતી છે. જાનપદી બોલીના કારણે એ વધુ મીઠું લાગે છે.
July 4, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
સૂના ઘરમાં ખાલી ખાલી માઢ-મેડિયું ફરશે;
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે…
પછી પછીતેથી હોંકારાનો સૂરજ ઊગશે નહીં
અને ઓસરીમાં કલરવનાં પારેવાં ઊડશે નહીં
સમી સાંજના ધ્રુસકે ધ્રુસકે તુલસીક્યારો રડશે..
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે.
પીઠ્યટ્ટા પાનેતર જેવું પછી નહીં કોઈ મલકે,
પગલે પગલે ઓકળીઓના મોર પછી નહીં ટહુકે
તરફડતું એકાંત હશે ને ભણકારા ભાંભરશે…
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે.
હવે આ સ્વયંસિદ્ધ રચનાને ટિપ્પણીની શી આવશ્યક્તા? વાંચતાવેંત વિરહની છરી કોઈ આપણી ભીતર હૂલાવી તળેઉપર કરી રહ્યું હોય એવી ધારદાર વેદના ન અનુભવાય તો જ નવાઈ…
કવિશ્રી ગૌરાંગ ઠાકરે એકવાર કવિને આ ગીતના સંદર્ભ વિશે પૃચ્છા કરી હતી ત્યારે કવિએ કહ્યું હતું કે આ રચના દીકરી માટે લખાયેલી છે. ખેર, કવિતામાં એ સંદર્ભ સાફ દેખાતો ન હોવાથી પિતા હોઈએ તો પુત્રીના સાસરીગમનને ધ્યાનમાં રાખીને પણ આ ગીત માણી શકાય અને પતિ કે પ્રેમી હોઈએ તો પત્ની કે પ્રિયતમાના વિયોગની વેદના પણ આમાં અનુભવી શકાય… આમેય ખરી કવિતા જ એ જે સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચે…
આંખે વાદળ ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણાંનાં જેવાં
મેડી સુહેજ ધરુજી બોલી, મારા રાજવી!
ચૈતર હોય તો વેઠું તડકો, તમ્મે સૂકી વાડનો ભડકો
સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી!
એવાં ઝળહળ જળને પીવા…
અમને લઈ ચાલ્યા રે ભુવા પરદેશના…
– જયેન્દ્ર શેખડીવાળા
લગ્ન કરીને સાસરે જતી ષોડશીનું ગીત. (ગુજરાતી કવિઓએ હવે કવિતામાં બાળલગ્ન કરાવવાનું બંધ કરવું ન જોઈએ?)
પિયરમાં વીતાવેલા સોળ ઝગમગતા વરસ પાછળ દૂ…ર રહી જવાના કારણે ઝાંખા પડી ગયેલ દીવા જેવા ભાસે છે અને પતિ પરદેશી ભૂવા જેવો. ભૂવો કેમ? તો કે, લગ્ન પૂર્વે જ એણે સોળ વરસની નાજુક કન્યાને પૌરુષત્વનો સ્વાદ ચખાડી દીધો છે. કાજળકાળી રાતે અંગાંગમાં ઝામણ ઝેર પ્રસરી જાય એવો એરુ કન્યાને આભડી ચૂક્યો છે. કામકેલિના પ્રતાપે હચમચતો ખાટલો પડઘા પાડીને કહે છે કે નવોઢા નોધારી થઈ ચૂકી છે, પિયરયાંવનો સાથ છૂટી ગયો છે. બીજો બંધ પણ સ-રસ થયો છે…
લયસ્તરો પર આજે ધ્રુવ શુક્લ નામે સાવ અજાણ્યા કવિનું આ ગીત મૂક્યું… તરત જ મિત્રોના સંદેશા આવવા માંડ્યા કે આ ગીત તો જયેન્દ્ર શેખડીવાળાનું છે… તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ ગીત મેં જ લયસ્તરો પર ચાર વરસ પહેલાં જયેન્દ્ર શેખડીવાળાના નામે પોસ્ટ કર્યું હતું…
‘કવિતા’ દ્વિમાસિકના પચાસમા વર્ષની ઉજવણી નિમિત્તે “૩૦૦ કવિતા” નામે ઓક્ટોબર ૨૦૧૭માં દીપોત્સવી અંક પ્રગટ કરાયો હતો, એમાં આ ગીત ધ્રુવ શુક્લના નામે ૨૩૩માં પાને પ્રગટ થયું છે. એ જ અંકમાં ૪૮મા પાને શેખડીવાળાનું બીજું એક ગીત પણ છે.
જયેન્દ્ર શેખડીવાળાને ફોન કરતાં ખબર પડી કે એ જમાનામાં ખૂબ લખાતું હોવાથી તેઓ અલગ-અલગ નામે કવિતાઓ મોકલતા હતા અને ધ્રુવ શુક્લ પણ બીજું કોઈ નહીં, જયેન્દ્ર શેખડીવાળા સ્વયં જ છે…
મારા ઘટમાં ઘેરાય હવે રાત,
. ચાંદલિયો ચમક્યો નથી;
મને આઘેનું કાંઈ ના ભળાય,
. તારલિયો ટમક્યો નથી. –
મારી નીંદરની શેરી છે શાંત,
. આગિયાય ઊડતા નથી;
મારા દીવાને એટલો ઉચાટ
. કે અંધારાં બૂડતાં નથી. –
મારી આસપાસ એવું એકાંત,
. કો બારણુંય ખોલતું નથી;
કોક પકડીને ઊભું છે ડાળ,
. કે પાંદડુંય ડોલતું નથી. –
મારી જાગેલી વાણીનાં વ્હેણ,
. આજ અહીં વ્હેતાં નથી;
ક્યાંક છુપાયાં નમણાં બે નેણ,
. જે આજ કશું કહેતાં નથી. –
– ચંદ્રકાન્ત શેઠ
સદીઓ પૂર્વે એરિસ્ટોટલે catharsis – વિરેચનનો સિદ્ધાંત આપ્યો હતો. અંતરને વલોવી દે અને આંખોને નિચોવી કાઢે એવા કરુણતમ નાટકોને જોતી વખતે પ્રગટપણે દુઃખી દેખાતો પ્રેક્ષક હહીકતમાં દર્દભરી હૃદયોર્મિઓનું વિરેચન થઈ જતાં ભીતરથી હળવો થાય છે. પ્રસ્તુત ગીતરચના વિશે પણ આવું જ કહી શકાય. પરમના સાક્ષાત્કારના અભાવમાં ઘોર અંધાર અને એકલતામાં અટવાતા જીવનું આ કરુણગાન છે. સર્જકના સર્જનકાળના મનોભાવોમાં આપને સામેલ થઈ વ્યથા તો અનુભવીએ છીએ, પણ હૃદય પરનો કોઈક બોજો ઓછો થતાં સાથોસાથ હળવાશ પણ અનુભવીએ છીએ.
કવિસંવિતમાં ઘોર અંધકાર ભર્યો પડ્યો છે. હકીકતે તો પોતાની ભીતર કેવળ અંધકાર જ ભર્યો પડ્યો હોવાનું આત્મજ્ઞાન થાય એય બહુ કહેવાય, કારણ આપણામાંથી મોટાભાગનાંને તો એનુંય જ્ઞાન હોતું નથી. નથી કોઈ પથદર્શક ચાંદો ખીલ્યો કે નથી કોઈ પથનિર્દેશક તારો ઊગ્યો. આગિયા જેવા મિત્રો ઝબૂકે તોય કદાચ નીંદર ઊડે. નથી ઈશ્વર, નથી ગુરુ ને નથી કોઈ સહમાર્ગી. પંડના દીવામાંય એટલો ઉચાટ છે કે એ એનું મૂળભૂત કાર્ય કરવામાંય વિફળ રહે છે- અંધારું હટાવી શકતો નથી. વાણી તો જાગૃત થઈ ગઈ છે, પણ વાચા હજી ફૂટી નથી,કારણ પરમકૃપાળુ પરમાત્માની નજર હજી પડી નથી.. तमसोमा ज्योतिर्गमय…
June 26, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રાજેન્દ્ર ભટ્ટ
લયસ્તરો પર આજે ફરી એકવાર એક નવ્યકવિના પ્રથમ ગીતસંગ્રહને હૂંફાળો આવકાર આપીએ… કવિની જાનપદી બોલી સાથેની તાદાત્મ્યતા અને નવતર કલ્પનો ધ્યાનાર્હ છે. આ ભાષાકર્મથી ગીતોને આગવી ઓળખ અને સ્થાનિક રંગતનો સંસ્પર્શ તો થાય છે, પણ કમનસીબે સુવાંગ ગીત ઓછાં જ સિદ્ધ થયાં છે. લયની કચાશ અને ગીતની all-encompassing-સર્વાંગી સારવાર યથોચિત થઈ શકી હોત તો આપણને સરસ મજાનાં ગીતો સાંપડ્યાં હોત. ભાવાભિવ્યક્તિ અને છૂટાછવાયાં સંવેદન બહુ સરસ થયાં છે, પણ આરંભથી અંત સુધીની સંઘેડાઉતાર રચનાઓ બહુ ઓછી છે. વિશદ પરિશીલન અને શિસ્તબદ્ધ ગીતસાધના સાથે આવનારા સમયમાં વધુ સાંગોપાંગ, કલાત્મક રીતે પરિપક્વ અને દીર્ઘકાળ સુધી સ્મરણમાં રહી જાય એવી ગીતરચનાઓ પ્રાપ્ત થશે એવી ઉજળી અપેક્ષા સાથે કવિને સ્નેહકામનાઓ અને શુભેચ્છાઓ.
પિયુ પરદેશ ગયો હોય એ પ્રતીક્ષારત્ સ્ત્રીને ઊંઘ ક્યાંથી નસીબ હોય? એ તો અડધી રાતે પણ ખડકી ખોલીને રાહ જુએ છે. વિરહના તાપમાં શેકાઈને અશક્તિ એવી આવી ગઈ હશે કે ઊભા રહેવા માટે એણે સાંકળ ઝાલવી પડે છે. શેરીમાં કેવળ સૂનકાર જ છે અને નાયિકાને દરવાજે મૂકીને એની સુધબુધ (પિયુને શોધવા?) ચાલી નીકળે છે. જતી વખતે સુધબુધે કહ્યું કે મનના મણીગરે, એ સ્પષ્ટ થતું નથી, પણ હમણાં આવી જઈશનો વાયદો જૂઠો ઠર્યો હોય અને સતત ભણકારા સંભળાયે રાખતા હોય તો ઊંઘ કઈ રીતે આવે? પવન્ના હડસેલેય પિયુ આવી ગયાનો અહેસાસ થતાં ખાલી ખાલી મલકી જવાય છે. દિવસભર પ્રિયજન અડખેપડખે જ હોય એવું પ્રતીતથતું રહે છે ને રાત આવી પડખામાં ભરાતો હોય એમ અનુભવાય છે. નાયિકા તો ઠાલી અટલક સુદ્ધાં પર પણ ઓવારી જાય છે, પણ પરિણામ? પથારી તો ખાલી જ છે ને… કેવું સરસ ગીત!
કવિશ્રી ઉદયન ઠક્કરની સમર્થ કલમે આ રચનાને આસ્વાદીએ:
આ ગોપકાવ્ય (પાસ્ટોરલ પોએમ) છે. ગીતની શરૂઆત અર્ધપંક્તિથી થાય છે: ‘ખેતરનાં સૌ કામ આટોપી.’ દિવસ આખો શરીરશ્રમ કર્યો હોય, તો સાંજ પડયે ટૂંકો ઉદ્વાર જ નીકળવાનો કે ‘હાશ, પરવાર્યાં…’ ઘર ગામમાં હોય ને ખેતર સીમમાં હોય. સાંજે ખેડૂતો ઘર ભણી ચાલતા થાય. ચાલવાનું હોય લાંબે સુધી, માટે બીજી પંક્તિ પહેલી પંક્તિ કરતાં વધારે લાંબી છે. ખેડૂતની સંપત્તિ એનું ખેતર, એની માયા તો હોય જ ને! પણ એની સાચવણી કરવા રોજેરોજ ઉજાગરા ન કરાય, કુદરત ઉપર ભરોસો રાખવો પડે, માટે કહે છે, ‘સીમની માયા સીમને સોંપી.’
ડાંગરનો છોડ પહેલાં રોપાય તેને ધરુ કહેવાય. તે થોડો મોટો થાય પછી ધરુને ધરુવાડિયામાંથી મૂળસોતો ઉખેડીને મધ્યમ કાળી નીચાણવાળી જમીનમાં (ક્યારીમાં) ફરી રોપવાનો હોય. કાવ્યનાયકને ખેતરની એટલી તો માયા છે કે તે ખેતીનાં કામકાજનું વર્ણન ઉમંગથી કરે છે. વેરેલાં બીજ ઝાલવા ધરુવાડિયું જાણે મોં ઉધાડે છે, રોપ સ્વીકારતી ક્યારીઓ ‘ઓલ્હો’નો ઉદ્રાર કરે છે. કાવ્યનાયક આનંદમાં છે, માટે આખું ખેતર તેને મલકતું દેખાય છે. આ ગીત જેને સંભળાવાય છે તે વ્યક્તિને પણ આનંદથી ‘વાલીડો’ કહેવાય છે. પાણી જેમાંથી વહી નીકળે તે ‘નીક.’ ઊગી નીકળેલા છોડને બીજી જગ્યાએ રોપવો એટલે ‘ચોપવું.’ ડાંગર, રીંગણી, લસણ અને મરચીથી શોભતું ખેતર ભાવકની આંખ સામે કળા કરે છે. કાવ્યનાયક ગીતના પહેલા અંતરામાં ખેતરની માયામાં બંધાયા પછી બીજા અંતરામાં માયાથી મુક્ત થતો દેખાય છે. તે રાતને સમયે ખેતરની ચોકી કરવા રોકાતો નથી. રાત પોતે જ આશ્વાસન આપે છે, ‘અંધાર રખોપું કરશે, ભાઈ.’ શેઢો એટલે ખેતરની હદ ફરતેની પાળી. અંધારના પગ રખેવાળની જેમ ચોગમ ફરતા હોય એ કેવી નવતર કલ્પના! કવિ અંધારને ચોર નહિ પણ ચોકીદારની સાથે સરખાવે છે. ડાંડ એટલે બાહુબલી કે લોંઠકા માણસ. વાડમાં છીંડું પાડીને એવા માણસો મર્યાદાને લોપે તોય કાવ્યનાયક સૌ પ્રત્યે સમદ્રષ્ટિથી જુએ છે.
આ ગીત ‘ખેડવું કેમ’ વિશે નથી, પણ ‘જીવવું કેમ’ વિશે છે, કુદરતના ન્યાયમાં કવિને વિશ્વાસ છે..
June 19, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નિરંજન ભગત
મેઘલી રાતે,
વિરહની કોઈ વ્યાકુલ વાતે,
. કોણ ઝરે છે ગીત?
નથી સોણલાં સોનલરંગી,
મારે મારગ ના કોઈ સંગી;
તોય અજાણે,
પૂરવીને સૂર પાગલ પ્રાણે,
. કોણ ધરે છે પ્રીત?
છલકે આભે અંધારધારા,
મલકે છે બે નેનના તારા
પોપચાં ઓઠે;
હેતભર્યા બે તેજલ હોઠે
. કોણ કરે છે સ્મિત?
અવર એનું રૂપ ન ન્યાળું,
સીમ તો સકલ સૂની ભાળું;
નીરવ રાતે,
વિરહની કોઈ વ્યાકુલ વાતે,
. કોણ ઝરે છે ગીત?
– નિરંજન ભગત
વિરહ તો વ્યાકુળ કરે જ કરે… પણ વ્યગ્ર ચિત્ત ઉદ્વેગને કઈ રીતે વાચા આપે છે, એના પરથી માણસનું વ્યક્તિત્વ સમજી શકાય… લયસ્તરો પર આજે દિગ્ગજ કવિ શ્રી નિરંજન ભગતની કલમેથી વિરહવ્યાકુળતા કેવી સૌહાર્દતા અને મસૃણતાથી વ્યક્ત થાય છે એ જોવા જેવું છે… ગીતનું મુખડું વાંચતા જ કવિવર ટાગોર યાદ આવી જાય… સુન્દરમનું ‘કોણ?’ પણ યાદ આવે. વાત આમ તો વિરહની મેઘલી રાતે ઝૂરતા એકલ હૈયાની છે, પણ આ વિરહનું મૂળ પ્રિયજન પણ હોઈ શકે અને સૃષ્ટિના સર્જનહાર માટેની ધખના પણ હોઈ શકે. હળવા મધુરા લયના તાંતણે સુમધુર પદાવલિઓના મોતી પરોવીને કવિએ સરસ મજાની કાવ્યમાળા રચી છે.
June 18, 2026 at 10:59 AM by વિવેક · Filed under ગીત, હરીન્દ્ર દવે
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા,
તરણે કોળે છે તારી યાદ, ઘણી ખમ્મા.
ઝૂકેલાં વાદળનાં લઉં હું ઓવારણાં
ને ઊભરતે ઝરણે બોળું પાય,
તાપે ધગેલા મારા અંતરને અમરતની
શીળી આ લ્હેરખી વીંટાય,
ઝરમરનો ગમતીલો સાદ, ઘણી ખમ્મા,
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.
લોચનમાં પાંદડાનો લીલો છે રંગ
ભીની માટીની મ્હેક ભરી શ્વાસે,
રુદિયે છે કેફ, તને નીકળતો જોઈ
પેલા આભથી આ ભોમના પ્રવાસે,
ગેબ થકી ગુંજરતો નાદ, ઘણી ખમ્મા,
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.
આથમતા સૂરજની દીવડી ન દેખાઈ,
નવલખ તારાના નહીં ચાસ,
તારો આ ઘેઘૂર દીદાર જોઈ શરમાતી
પૂનમની રાતમાં અમાસ,
રાધા—મોહનનો સંવાદ, ઘણી ખમ્મા.
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.
– હરીન્દ્ર દવે
અધિકૃત ચોમાસું પ્રારંભાય એ પહેલાં પડેલ બે-એક નાનકા માવઠાંને અવગણીએ તો સુરતે આજે સવારે મોસમના પહેલા વરસાદનો સ્વાદ ચાખ્યો. પહેલા વરસાદમાં સાઇકલ સવારીની મજા માણવાનો અવસર મળ્યો. ડામરની સડકો અને સિમેન્ટના પરિસરમાં કેદ થઈ ગયેલ શહેરમાંય રસ્તાની આજુબાજુના ઘરોમાં આખરી શ્વાસ લઈ રહેલી માટી ભીંજાતાં ભીની માટીની પહેલી મહેકનો લહાવો પણ લેવા મળ્યો. અધકચરું પડીને ગાયબ થઈ ગયેલ ઝાપટું તો ફરી મંડાય ત્યારે મંડાશે, આપણે પહેલા વરસાદને ખમ્મા કરી દઈએ…
વરસાદ તો દર વરસે પડે છે, પણ પહેલા વરસાદનું આકર્ષણ કદી ઓસરતું નથી, એ સદૈવ અકબંધ જ રહે છે. આખો ઉનાળો તાપે ધગેલ અંતરને પહેલા વરસાદ ટાણે વાતી શીળી લહેરખી અમૃત સમી પ્રતીત થાય છે. પહેલા વરસાદમાં ભીની થતી માટીની મહેકનો કેફ અલગ જ હોય. વરસાદના પ્રતાપે કેવળ તરણું નથી કોળતું, પ્રિયજનની યાદો પણ કોળે છે. કાળાં વાદળો આકાશને અભરે ભરી દે ત્યારે આથમતા સૂરજની દીવડી પણ જોઈ શકાતી નથી ને આકાશમાં નવલખ તારાઓના ચાસ પણ નજરે પડતા નથી. પૂનમની રાતેય ચાંદો જોઈ શકાતો ન હોવાથી અમાસનો ભાસ થાય છે.
ઢળતી સાંજે કોઈપણ કારણ વિના મન ઘણીવાર વિષાદગ્રસ્ત થઈ જાય છે. કારણ? માનવમન અરીસાની જેમ પ્રકૃતિના પરિવર્તનોને સતત ઝીલતું રહે છે. પ્રસ્તુત રચનામાં પણ સૃષ્ટિનું વૈષમ્ય કવિમન તંતોતંત ઝીલે છે. આગલી રાતોના ઉજાગરા ઓછા હોય એમ પાછલી રાતે પણ કોઈક કારણોસર નીંદર ડહોળાઈ ગઈ હોવાનો એકરાર મુખડામાં કર્યા બાદ કારણ ચર્ચવાના બદલે કવિ પોતાનો કેમેરા કુદરત તરફ ફેરવે છે. ઉનાળો લંબાતા અને વરસાદ ન પડતાં ધરતીનાં ધાવણ ઊંડે શોષાઈ ગયાં છે ને આભમાં મેઘલ વાદળાંના સ્થાને આગઅંગાર ઊડી રહ્યાં છે. ક્યારેક જે લહેકતી-લચુંબતી હતી એ વાડીઓ આજે વેડાઈ ગઈ છે અને આંગણે ઝાંખરાં ઊગી આવ્યાં છે. છેલ્લા બંધમાં કવિકેમેરા પ્રકૃતિનો લોન્ગ શૉટ લઈ લીધા બાદ સ્વયંનો ક્લૉઝ અપ લે છે. દુકાળની પીડા કેવળ ધરતી નથી ભોગવી રહી, કવિઉર પણ ભોગવી રહ્યું છે. ધરતીથી જે રીતે વરસાદ રિસાયો છે, એ રીતે કથકથી પ્રિયજન રિસાયું લાગે છે. કેમકે એના અભાવમાં જ હૈયાની કેસર ક્યારી ઊજડી ગઈ છે અને આંખે ઘોર અંધારાં અને ઉજાગરા અંજાયા છે… આ ક્ષણે સમષ્ટિ અને વયષ્ટિ વચ્ચે સાયુજ્ય રચાય છે. જે સર્વમાં છે એ સ્વમાં અનુભવાય છે.
રચનારીતિની વાત કરીએ તો ત્રણેય બંધમાં કવિએ બંધના પૂર્વાર્ધને બેવડાવ્યો છે. પણ કેવળ બેવડાવ્યો છે એમ કહીએ તો કવિકર્મની અવહેલના કરી ગણાય. કારણ ‘ધરતીધાવણુધાર,’ ‘લ્હેકી લચુંબી મારી’ તેમજ ‘કેસરે મહેકન્ત ક્યારી’ – આ ત્રણેય વાક્યખંડ પોઝિટિવ વાઇબ્સ જન્માવે છે, પણ એને દોહરાવતાં સરવાળે તો શોષાવું-વેડાવું ને ઉજડવું જ હાથ લાગે છે. પરિણામે ભાવસંવેદનનો વિરોધાભાસ વધુ બળકટ અને તીવ્ર બને છે. આવી નાની નાની વિધા ચૂકી જવાય તો કવિને યથોચોત ન્યાય કરવાનું રહી જાય, ખરું ને?
આ ગીતને આપણે કદાચ ઉત્તમ ના કહીએ, પણ મજાનું છે એમ તો અવશ્ય કહી શકીએ.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
નહિ કોઈ સાથ કે સંગાથ,
નહિ ત્યાં કેડી કે નહિ વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં.
શિખરું ઊંચાં ને મારંગ આકરા.
લિયે એ મારગ નર કોઈ બંકડા,
છોડી આળ ને પંપાળ,
રાખી રામૈયો રખવાળ,
કાચી રે છાતીનાં બેસે તાકતાં,
શિખરું ઊંચાં ને મારગ આકરા.
ચડે એ ઊંચે, જે માંહે ડૂબતાં,
જેને આતમનો સંગાથ,
એનો ઝાલે હરિવર હાથ,
પંડને ખૂવે તે પ્રીતમ પામતાં,
શિખરું ઊંચા ને મારગ આકરા.
– મનસુખલાલ ઝવેરી
કેટલીક રચનાઓ એમ જ માણવાની હોય… કવિના હૃદયમાંથી ફૂટેલા શબ્દો ભાવકના હૃદયને સીધેસીધા અડતા હોય ત્યારે આસ્વાદક કે વિવેચકે વચ્ચેથી હટી જવું જોઈએ… આ ગીત જુઓ… કેવું મજાનું છે! એને એક વાર વાંચો.. બે વાર વાંચો… ત્રીજીવાર વાંચો… દરેક વાંચને આ રચના હૃદયવીણાને વધુને વધુ ઝંકૃત કરતી અનુભવાશે…
May 20, 2026 at 10:58 AM by વિવેક · Filed under ઉશનસ્, ગીત, ભક્તિપદ
બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,
આ રહ્યું એનું મકાન ઢૂંકડું
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને
ત્યાંથી જરીક જ છેટે.
થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું;
અહીં તું મૂળગું ખોય, શોચ કે
ત્યાં પામે કેટલડું?
કહ્યું કરે ના પાય તોયે જા
કાય ઘસડતી પેટે. – બાઈ રે0
એ ગમથી આવ્યા છે વાવડઃ
એ પણ ઊતરી હેઠો,
ઝરૂખડેથી પથતરુ છાંયે
રાહ નિહાળત બેઠો,
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહીં ભેટે? – બાઈ રે0
– ઉશનસ્
દરેકને પોતપોતાનાં લક્ષ્ય હોય… આજે આ લક્ષ્ય હોય તો કાલે કોઈ બીજું… જીવનમાંથી લક્ષ્યની બાદબાકી કરી નાંખો તો જીવવા માટે કશું બચે જ નહીં… પણ દરવખતે લક્ષ્ય હાંસિલ કરી જ શકાય એવું નથી હોતું… આપણામાંથી મોટાભાગના નિર્ધારિત ધ્યેય સુધી ન પહોંચાય તો હથિયાર હેઠાં નાંખી દેતાં હોય છે. ધારેલ મંઝિલ સુધી પહોંચવાનું દોહ્યલું થઈ પડે તો શું કરવું જોઈએ? જોઈએ આ ગીત… યેનકેન પ્રકારે પણ લક્ષ્ય સુધી પહોંચવાની વાત છે. આમ તો આ વાત ઈશ્વરપ્રાપ્તિની છે, પણ કોઈપણ લક્ષ્ય માટે લાગુ પાડી શકાય. ગમે એટલું વેઠવું પડે ને ધીરજ ખૂટી જાય તોય ધ્યેયપ્રાપ્તિ માટેની સફર અટકવી ન જોઈએ. આટલું ચાલી નાંખ્યું તો થોડું વધારે. અહીં જે છે એ બધું ખોવાનું જ છે અને એને ત્યાં તો પામવા સિવાય બીજું શું હોય? પગ કહ્યું ન માને તો કાયાને ઘસડીનેય આગળ તો વધતા જ રહેવાનો જે સંદેશ કવિ આપે છે એ સાચે જ જીવનમાં ઉતારવા જેવો છે. ઈશ્વર પણ આકાશેથી હેઠો ઉતરી કો’ક ઝાડના છાંયે તમારી રાહ જોતો બેઠો જ છે. એને પામવા માટે તમે જીવ પર આવી જશો, તો શું એ સામે ચાલીને બે ડગ આગળ આવીને તમને ભેટશે નહીં?
May 13, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નિરંજન ભગત
બોલો!
સખે, કુંઠિત કંઠ ખોલો!
અરધે અધૂરું
મેલ્યું, હવે શું કરશો ન પૂરું?
શું શબ્દથી મૌન વિશેષ તોલો?
સ્વરહીરદોરે,
હિંડોલિયો સ્હેજ પ્રભાતપ્હોરે;
એ સ્તબ્ધ હાવાં હિયનો હિંડોલો!
એ ગીતગોપી
રાસે રમાડો, વ્રજકુંજ લોપી
આ કૃષ્ણશો કાળ જતો અમોલો!
– નિરંજન ભગત
નાનું અમસ્તું ગીત પણ કેવું મધુરું અને અસરદાર! અડધુંઅધૂરું કહીને અચાનક મૌન થઈ જઈ વાત પૂરી ન કરતા પ્રિયપાત્ર સામેની મીઠી ફરિયાદ અને માર્દવ અરજનું આ ગાન છે. જીવનના પ્રભાતે રેશમ જેવા સ્વરના દોરે હૈયાનો હિંડોળો સહેજ હીંચક્યો-ન હીંચક્યો ત્યાં તો સ્તબ્ધ થઈ સ્થિર થઈ ગયો. ગોપી-કૃષ્ણની જેમ સહવાસનો રાસ રમવાનું આ અણમોલ ટાણું તો વ્રજ-કુંજ જેવા અસ્તિત્ત્વને ઠેકીને પળમાં વહી જશે.
સામાન્યરીતે ગીત માત્રામેળના અવર્તનોમાં લખવાનો ચાલ છે. પણ સમર્થ કવિએ અત્રે ખંડ ઇન્દ્રવજ્રા (અક્ષરમેળ) છંદ (ગાગાલ ગાગાલ લગાલ ગાગ) પ્રયોજ્યો છે. દોઢ-દોઢ પંક્તિના મુખડા-અંતરા અને ચુસ્ત પ્રાસાવલિના કારણે રચના વધુ હૃદ્ય બની છે.
આજથી પોણાસો વર્ષ પહેલાં ઈ.સ. ૧૯૫૦માં લખાયું હોવા છતાં ગીત કેવું તાજું પ્રતીત થાય છે!
વ્હાલા! તારી વાંસળીના સૂર મને ના સંભળાય!
વ્હાલા! કાળી મજૂરીના મૂલ તને ના સમજાય!
કેમ કરીને વારી જાઉં? મોરપિચ્છના તારા મુકુટ પર,
સાંજ પડે કળાય છે થાકનો ભાર મારા ભૃકુટ પર.
બળ્યા પેટની રાસલીલા મારી છાતીના ડૂમે અથડાય, વ્હાલા!
તારી વાંસળીના સૂર મને ના સંભળાય!
નથી પાસ જમનાના જળ કે નથી ઢૂકડા પાણીના નળ,
હાલી હાલીને થાકી જાઉં, પાણીનું બેડલું જાણે કે છળ.
હામ ભીડીને પહોંચું જો ગામના કૂવે તો કૂવો અભડાય, વ્હાલા!
તારી વાંસળીના સૂર મને ના સંભળાય !
– નરેન્દ્ર વેગડા
લયસ્તરો પર કવિશ્રીના બીજા કાવ્યસંગ્રહ ‘તંનૂર’નું દિલી સ્વાગત…
આમ તો કવિતાના દલિત અને સવર્ણ એવા ભાગલા પાડવા જ ન જોઈએ, પણ દુનિયાની ગમે એટલી પ્રગતિ થવા છતાં સમાજમાં આજેય આ બે વર્ગ એક થઈ શક્યા નથી. એટલે સમાજના શોષિત વર્ગમાંથી વેદનાની બસૂરી વાંસળી સાંભળવાની તૈયારી રાખવી જ પડે. કવિ શ્રીકૃષ્ણને વહાલા કહીને સંબોધે છે. આ કટાક્ષ જ કેવો કારમો છે! વહાલા હોય એ કદી દખનાં વખ પીવડાવે ખરા? ગરીબોનો બેલી તો ભગવાન પણ બનતા નથી. ‘વહાલો’ પીડિતોની કાળી મજૂરીના મૂલ સમજી શકતો નથી, પરિણામે ગરીબના કાન એની વાંસળીનાં સૂર સાંભળી શકતા નથી. માથે દિવસભરના વૈતરાના થાકનો ભાર વર્તાતો હોય એ માણસ કૃષ્ણના મોરપીંછ પર શું ધ્યાન આપે? સમાજનો આ શોષિત વર્ગ પણ રાસલીલાનો ભાગ તો બને છે, પણ આ રાસલીલા બળ્યા પેટની છે, જે છાતીમાં ડૂમો બની ગૂંગળાવે છે. દલિત વર્ગને તો પાણીનુંય સુખ નથી. ગામનો કૂવોય એમના માટે તો વર્જ્ય છે. કૃષ્ણની યમુના અને નળ માટેની રઝળપાટના વિરોધાભાસમાંથી જે હૃદયવિદારક ચીસ ઊઠે છે, એ સમાજના મોભીદારોને કદી સંભળાશે ખરી?
‘મુગલ-એ-આઝમ’ ફિલ્મના અતિપ્રસિદ્ધ ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….’ના રચયિતા એક ગુજરાતી કવિ હતા એમ કહીએ તો કેવું આશ્ચર્ય થાય! હા… પણ વાત સાવ સાચી છે. આ કાળજયી ગીતરચનાના રચયિતા હતા કવિશ્રી રઘુનાથ ત્રિભુવનદાસ બ્રહ્મભટ્ટ (૧૮૯૨-૧૯૮૩). રસકવિ એમનું ઉપમાન.ગુજરાતી રંગભૂમિ માટે નાટકો લખતા અને નાટકોને વધુ લોકભોગ્ય બનાવવા એમાં એ ગીતો ઉમેરતા. ૧૯૧૯માં રજૂ થયેલ ‘છત્રવિજય’ નાટકનું આ નાટ્યગીત મહેફિલોમાંથી પસાર થતાં થતાં મુગલ-એ-આઝમ ફિલ્મ સુધી પહોંચ્યું પણ શકીલ બદાયૂનીના નામે. સુદીર્ઘ કાનૂની લડાઈ બાદ કવિને કવિ તરીકેનું માન મળ્યું… અનેક નાટકો અને અનેકાનેક ગીતોના રચયિતા રસકવિની કલમે આજે માણીએ સાવ જ નોખી તરેહનું આ ગીત…
મુંબઈને માયાનગરી પણ કહેવામાં આવે છે. કહે છે કે જે એકવાર મુંબઈ આવે, એ કદી મુંબઈ છોડી શકતો નથી. નિરંજન ભગતે ‘ઇન્દ્રજાલની ભૂલવે લીલા’ એવી મુંબઈ નગરી વિશે બહુ સરસ કવિતા લખી હતી: ‘ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી!’ મુરલીધર શ્યામ જો મુંબઈમાં આવે તો એની કેવી કાયાપલટ થઈ જાય એનું ખડી બોલી- વ્રજ બોલીમાં કવિએ સરસ મજાનું નિરૂપણ કર્યું છે.
માનવસંબંધની સંકુલતાનું ગાન. કવિ એમ નથી કહેતા કે વાતે વાતે તને વાંકુ પડે છે, એ તો વાતે વાતે પોતાના વર્તાવથી સામી વ્યક્તિને શું લાગશે એની ચિંતામાં ગરકાવ છે. માનવસંબંધની આ સૌથી કરુણ બાજુ છે. પોતાની ઇચ્છાને અવગણીને સામાને અનુકૂળ થવાની રઢમાં ઘણીવાર બાવાનાં બેય બગડતાં હોય છે. ‘વાતે વાતે’ – આ દ્વિરુક્તિ પણ ગીતને કેવી ઉપકારક નીવડી છે! આ કોઈ એક વખતની સમસ્યા નથી,આ સમસ્યા તો ડગલેને પગલે કથકને કનડી રહી છે. નાયક પ્રિયાને દરિયો અને સ્વયંને પરપોટો કહે છે એના પરથી એને પ્રિયા માટે કેટલો પ્રેમ છે એનો અણસાર મળે છે. દરિયો – અસીમ, અતાગ, શાશ્વત! પરપોટો- નાનકડો, અસ્થિર, અલ્પજીવી! સુખી થવાની ખરી કળ તો એ કે જે જેવા હોય એવા થઈને રહે. પાણી હોય તો એણે પાણી જ રહેવાનું હોય, ખળખળવું એ જ એનો ખરો ગુણધર્મ. માછલી કાંઠે આવે તો જાનથી જાય, પણ એથી કંઈ એ પાણીનું બખ્તર પહેરીને કાંઠે ન આવે. નાયકને એકલતાનું ઊંડાણ પસંદ છે, પણ સામી વ્યક્તિને તો પડછાયો થઈ ચોવીસે કલાક સાથે પણ રહેવું છે અને નાયકને પોતાના રંગે રંગી પોતાના જેવોય બનાવવો છે. પણ એમ કંઈ ટીપાંને તાણીને દરિયો કરાય? ગીતસ્વરૂપે નાયક જે આપણને કહી રહ્યો છે, એ નાયિકાને કહી શકે છે ખરો? સાચો સંબંધ જ એ જે સામી વ્યક્તિને યથાતથ સ્વીકારી શકે…
શાળામાં ભણતો હતો ત્યારે આ ગીત ક્યાંક વાંચવામાં આવ્યું હતું. વાંચવામાં તો શું આવ્યું હોય, કારણ વાંચી શકાય એવું તો આ ગીત છે જ નહીં. ફરજિયાત ગણગણવું જ પડે એવું લયાત્મક છે આ ગીત. પણ એ દિવસથી ગીત તો અડધું પડધું યાદ રહી ગયું, કવિનું નામ વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયું. કંઈ કેટકેટલા વરસોથી આ ગીત લયસ્તરો પર મૂકવાની નેમ હતી, પણ કવિનું નામ જડે ત્યારે ને! શક્ય બને એટલા પ્રયાસો કરી હાથ હેઠા મૂકી દીધા હોવાની કોઈક પળે અચાનક બૃહદ છંદોલયમાંથી આ રચના ‘હાઉક’ કરતીક સામે આવી ચડી… આ આનંદને આપ સહુ સાથે સહિયારું નહીં એ તો કેમ બને? લ્યો તારે, વાંચો, સોરી, ગણગણો, સોરી, ગાવ આ ગીત…
ચાર અક્ષરના એક જ શબ્દમાં નાયિકાના રૂપનું સાંગોપાંગ વર્ણન કરી કવિએ ગીતને ઉપાડ આપ્યો છે… પદમણી કહી દો પછી બીજું શું કહેવાનું બાકી રહે? કામશાસ્ત્રમાં સ્ત્રીઓના ચાર પ્રકાર વર્ણવ્યા છે. એમાં સૌથી શ્રેષ્ઠ અને ગુણવતી તે પદમણી-પદ્મિની. આગળનું ગીત જાતે જ માણીએ?
આત્માથી પરમાત્મા સુધીનો પ્રવાસ ભારતીય આધ્યાત્મ પરંપરાના કેન્દ્રસ્થાને છે. ગરવા ગિરિવરની ટોચે ફરફરતી ધોળી ધજા સાધકનું લક્ષ્ય છે. ધોળૉ રંગ પવિત્રતા-આધ્યાત્મનું પ્રતીક છે. ઝૂંપડીથી ઊંચા મહેલ ને મહેલથી ઊંચા વૃક્ષો ને વૃક્ષોથી ઊંચે ડુંગર પરની વાદળોથી ઘેરાયેલી દેરી સુધીની મુસાફરીમાં એક તરફ વિષય-વાસના-પતનની ખીણ છે તો બીજી તરફ અહંકારના ડુંગરની ભીંત. વચ્ચેની કેડી સીધી નથી, મુસીબતોથી ભરી પડી છે. કાળજું કઠણ કર્યા વિના આ માર્ગે આગળ નહીં વધાય. અજ્ઞાન-ભ્રમણાના વાદળો વચ્ચે જ્ઞાનની દેરી કદી દેખાય છે, કદી ઓઝલ થઈ જાય છે. વન, વાયુ, વાદળ ને ડુંગરના સ્વામી ઈશ્વર –તમામની ક્ષમા માંગી સાધક દર્શનની ઝંખના વ્યક્ત કરે છે. ક્ષમા એ અહમ-વિગલનની નિશાની છે…
પ્રશિષ્ટ ગીત અને લોકગીત વચ્ચેનો એક અગત્યનો ફરક હૃદયોર્મિની પ્રામાણિક અને સરળ-સહજ અભિવ્યક્તિનો છે. લોકગીતના રચયિતાને કીર્તિ કે કલદાર કમાવાની સ્પૃહા હોતી નથી. એણે કવિતા સિદ્ધ કરીને સમાજમાં પોતાનું અલાયદું સ્થાન બનાવવાની ખેવના નથી હોતી. એની એકમેવ નેમ તો જનસામાન્યના હૃદયમાં જાગતા સ્પંદનોને જનસામાન્ય હળવી હલકથી અને ઉલટથી ગાઈ-બજાવી શકે એ રીતે રજૂ કરવાની હોય. સમાજનો નીચલામાં નીચલા સ્તરનો અને સાવ ભણતર વગરનો માણસ પણ આ ગીતો યાદ રાખી શકે એ હેતુસર મોટાભાગના લોકગીતોમાં રચયિતા પુનરોક્તિનો સહારો લેતા હોય છે. ઢોલાજી ચાકરીએ જવા નીકળે છે. એ જમાનામાં જુવાન રજવાડાને ત્યાં નોકરીએ જતા,પણ આ નોકરી એટલે આજની જેમ સવારે નવથી પાંચની નહીં, દિવસોના દિવસોને અઠવાડિયાઓના અઠવાડિયાઓની. પુરુષ તો કામે લાગી જાય,પણ નવોઢા સાસરિયામાં એકલી એકલી હિજરાતી રહે. મનનો માણીગર એકલો ચાકરીએ ન જાય અને પોતાને પણ સાથે લઈ જાય એ માટે પત્ની સ્વયંને વારાફરતી વીંઝણો, લવિંગ, તલવાર વગેરે સાથે સરખાવીને જે રીતે અછો અછો વાનાં કરે છે એની મજા લઈએ…
ખીલડે બંધાઈ મારી ગાવડી
. ચહે ન છૂટવા લગાર,
કોણ રે લઈ જાય વનમાં ચારવા
. તડકે સુકાતી લીલી ચાર.
જેવાં રે વેણુમાં વ્હાલા વીંધ છે
. એવાં અમમાં કીધા છેદ,
શું રે આવ્યા તમે શું જાઓ છો?
. રોકાજો આટલો કહેવા ભેદ!
– પ્રિયકાન્ત મણિયાર
વાત તો એની એ જ છે… ગોપીઓને છોડી જતા કૃષ્ણ સાથે ગોપીઓએ નેહભર્યો કલેહ માંડ્યો છે. એ કૃષ્ણને જૂઠો તો કહે છે પણ જીવણ-જીવ કહ્યા વિનાય રહી શકતી નથી. જાદવ સાથેની પ્રીત પાણી વલોવવા જેવી છે. દહીં વલોવો તો છાશ અને નવનીત પ્રાપ્ત થાય, પણ પાણીને વલોવ્યે શું હાથ આવે? મોરલીધર જ દૂરનોય દૂર ચાલ્યો જાય ત્યારે મોરલીના સૂરનો જે રીતે અર્થ રહેતો નથી, એ જ રીતે ખીલે બંધાયેલ ગાયોય છૂટવા તૈયાર નથી. વૃંદાવનમાં કૃષ્ણ જ હોય તો જઈને શો ફાયદો? ગોપીઓના હૈયામાં વાંસળીની જેમ છેદ થયાં છે. એ જાણે છે કે જનાર હવે રોકાવાનો નથી. એ તો બસ, એટલું જ ઇચ્છે છે કે જવાનાજ હતા તો આવ્યા શા માટે હતા એટલો ભેદ કહીને જાવ… પણ…
અંધકારમાં ડૂબી ગયેલું જંગલ ના દેખાયું,
સવાર પડતાં વન ઊગે—કે સૂરજ ના સમજાયું!
સાવ આંધળીભીંત આંખને શું તડકો ને છાયો!
ઘરની નીકળ્યો બ્હાર—
કાયામાંથી નીકળી ચાલ્યો એવી રીતે બ્હાર,
સાત રંગના વર્તુળમાંથી દરિયો થાય પસાર
અસીમને ઓવારે મારો પડછાયો લંબાયો
ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો.
– અનિલ જોશી
કવિતા લખાય છે તો એ જ ભાષામાં, જે ભાષા આપણે શ્વાસોચ્છ્વાસમાં ભરીને જીવીએ છીએ,પણ એ જ ભાષાને કવિ અલગ રીતે પ્રયોજે છે, ત્યારે એ કાવ્યનિર્મિતિનું કારણ બને છે. આ ગીતની પ્રથમ પંક્તિ જુઓ…
ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો…
ઘરથી બહાર નીકળીને જંગલમાં જવા સુધીની વાત સામાન્યાનુભવની વાત છે… પણ જ્યારે કવિ ‘સ્વયં’ માટે ‘ગયો’કે ‘પહોંચ્યો’; જેવા મૂર્ત ક્રિયાપદના સ્થાને ‘પથરાયો’ જેવું અમૂર્ત ક્રિયાપદ પ્રયોજે છે ત્યારે આખી વાતનો સંદર્ભ જ બદલાઈ જાય છે. વ્યવહારની ભાષા વ્યવહારની ન રહેતાં કવિતાની ભાષા બની જાય છે. સમર્થ કવિઓની રચનાઓમાંથી પસાર થઈએ ત્યારે આવું સૂક્ષ્મ કવિકર્મ ડગલેને પગલે જોવા મળશે. કેવળ એક ક્રિયાપદના કારણે ‘ઘર’ અને ‘જંગલ’ ઉભયના અર્થાંતરણ થઈ જાય છે… ઘર કાયા અને જંગલ ભવાટવિ –સંસારરૂપી વન અને કદાચિત પરલોક બની રહે છે… કેવળ ચાર સાચા અક્ષરની મદદથી કવિએ એક જ પંક્તિમાં કેટકેટલું બદલી નાંખ્યું!
આખી રચના વિશે પણ માંડીને વાત કરી શકાય પણ એ ફરી ક્યારેક…
વ્યક્તિ વ્યક્તિને ત્યાગી શકે પણ એના દિલમાંથી પોતાના માટેના સ્નેહને થોડો મિટાવી શકે? કાવ્યનાયિકાને એના પ્રિયજને ત્યાગી દીધી છે, પણ નાયિકાનું હૈયું તો હજીયે પળપ્રતિપળ એને જ ઝંખી રહ્યું છે. ફાગણ પૂરબહારમાં હોય પણ જીવતરનો રાગ બેસૂરો થઈ ગયો હોય તો કોને કહેવા જવાય? ઓઢણીમાં જડતર કરવા જતાં પીડા જ સિવાઈ જાય છે. પોતે બેકસૂર છે એ સાબિત કરવા હવે શું છાતી ચીરીને પ્રતીતિ કરાવવાની? પથ્થર જેવા પથ્થરને પણ ફાગણમાં ખળભળનું સુખ નસીબ થાય છે, પણ નાયિકાની તો સાંજ જ પથ્થર થઈ ગઈ છે. એ એકલા એકલા કેમ કપાશેનો પ્રશ્ન ભાર બનીને પાંપણો પર તોળાઈ રહ્યો છે.
એક પાઘડી માથા પર મણમણનો નાખે ભાર.
પરપોટાનો નહિ, સાચો છે પાણીનો આધાર.
નાહક દોડાદોડ કરી જંગલમાં હાંફે હરણું !
સમજો સાચું શરણું.
પંડિત ભારેખમ ભાષામાં ગમતા પાઠ ભણાવે.
એક દાંત દેખાડે, પાછા બીજા દાંતથી ચાવે !
શરણાગતનો મહિમા સમજો તો જ પામશો ઝરણું.
સમજો સાચું શરણું.
– નીતિન વડગામા
સુરતમાં થોડા દિવસ પહેલાં જ પુસ્તકમેળો યોજાઈ ગયો. એના થોડા સમય પહેલાં અમદાવાદમાં. શહેર કોઈ પણ હોય, પુસ્તકમેળામાં સેલ્ફ-હેલ્પના પુસ્તકો જ સૌથી વધુ માત્રામાં દેખાતા અને વેચાતા જોવા મળે છે. પણ સેલ્ફહેલ્પના આ પુસ્તકો ડૂબતા માણસ માટે તરણાના શરણાથી વિશેષ કશુ નથી. તરવું હોય તો પાણીના આધારે જ તરી શકાય, પરપોટો ઝાલીને નહીં. જીવનમાં જે કંઈ ઉપલક મેળવવામાં આવ્યું હશે એ તો કાળનો પવન આવતાંવેંત ઊડી જશે. શરણ્ય અને શરણાગત ઉભયનો મહિમા જ્યાં સુધી સમજવામાં નહીં આવે ત્યાં સુધી સુખનું નિર્મળ ઝરણું પ્રાપ્ત નહીં થાય. કવિની અન્ય રચનાઓની સરખામણીમાં આ રચના છાશ લેવા જવું હોય તો દોણી ક્યાં સંતાડવીના ન્યાયને અનુસરતી હોય એમ થોડી વાચાળ થઈ છે એ અલગ વાત છે.
ફાગણ ફટાણાં ગાવાની ઋતુ છે. આજેય હોળી એમનેમ નથી સળગતી, ને પહેલાંય એમનેમ નહોતી સળગતી. હોળી માટે ફાળો ઉઘરાવવાની પ્રથા શરૂથી જ ચાલી આવી છે. ને એમાંય ઘેરૈયાઓ ખેલ આદરે એટલે એ લોકો પોતાના માટે સિરપાવ ઇચ્છે એ તો વળી અલગ જ. ગામમાં કે શહેરમાં ચકલો હોય ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે. ઘેરૈયાઓની ટોળી નવાઈલાલ સાથે એકપક્ષી સંવાદાત્મક શૈલીમાં વાત કરતા હોય એ ઢબે આખી રચના થઈ છે. ગુજરાતીમાં હળવી કવિતાઓ બહુ ઓછી લખાઈ છે. એમાંય આવી સરસ નર્મ-મર્મ કવિતા તો જવલ્લે જ જોવા મળે. કોણ છે આ નવાઈલાલ? નવાઈલાલ એ વેણીભાઈ પુરોહિતનો ‘કોમન મેન’ છે. ‘ભોલી સૂરત દિલ કે ખોટે’ જેવા આ નવાઈલાલને ઘરૈયાઓ ચકલામાં થઈને ચાલતા અટકાવે છે, અને સેવ-ધાણી ખાવા માટે એની પાસે દાણ માંગે છે. જુવાનિયાઓ એ સમયગાળામાં ગામના ટોલનાકા જેવા હતા. એમને વટાવીને આગળ જવું હોય તો ટોલ તો ચૂકવવો જ પડે. કવિએ નવાઈલાલનું રસિક વર્ણન પણ કર્યું છે: ભોળી સિકલ, ખભે ઝોળી, પોતડી જૂની, ઊંધી ટોપી ને વાંકી દાંડીવાળા ચશ્માં! ભાભી કિંમત કરે કે ગામની ગોપીઓ હસે, એનાથી એ ડરતા નથી. પૈસા આપવામાં નવાઈલાલ નક્કી આનાકાની કરતા હોવા જોઈએ, એટલે જ તો ઘેરૈયાઓ એમને ઘેરમાં ફરવા માટે ને પછી નદીમાં જઈને નહાવા માટે લલચાવે છે. એ રંગાવા તૈયાર નથી, પૈસા દેવા તૈયાર નથી ને ઘેરૈયાઓ કેડો મૂકવા. આજના દિવસે કંઈ કોઈ કોરું રહી શકે? યાદ આવે: ‘એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી…’ (ર.પા.)
હોળી-ધૂળેટી પર્વમાં આજે ગ્રહણના કારણે ખાલી દિવસ છે, પણ કવિતા માટે તો કોઈ દિવસ ખાલી ન જ હોય ને! સારી અને સાચી કવિતાના રંગથી તો ગમે તેને ગમે ત્યારે ને ગમે એટલીવાર રંગી શકાય ને!
ગુજરાતમાં શિયાળા દરમિયાન ઉત્તર-પૂર્વીય દિશામાંથી આવતો પવન ફાગણ શરૂ થતાં દક્ષિણ તરફથી ફૂંકાવો શરૂ થાય છે. દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલ મલય પર્વત એક જમાનામાં ચંદનનાં વનોથી ભર્યોભાદર્યો હતો. રામાયણ અને મહાભારતમાં પણ આ પર્વતનો ઉલ્લેખ છે, સુગંધિત ચંદનની વિશેષતાને કારણે તે પૌરાણિક કથાઓ અને કાવ્યોમાં વધુ અમર થઈ ગયો છે. ફાગણ આવતાં દક્ષિણથી વાવા શરૂ થયેલ વાયરાને કવિ મલય પર્વત પરથી આવતો કલ્પે છે. ફાગણ આવતાં જ સૃષ્ટિમાં નવ્યપ્રાણ ફૂંકાય છે. આંબે મંજરીઓ મહેંકી રહી છે તો પલાશના ઝાડોને કેસૂડો રંગોથી ભરી દે છે. એક ઘ્રાણેન્દ્રિયને તર કરે છે, તો બીજું દૃશ્યેન્દ્રિયને. બાકી હોય એમ કોયલ શ્રવણેન્દ્રિયને તુષ્ટ કરે છે. ધૂળેટી સ્પર્શેન્દ્રિયનું સુખ બનીને આવે છે. આવા ચેપી વાતાવરણનો છંદ ન લાગે ને જીવ લોભાય નહીં તો જ નવાઈ. દુનિયાના ચોકમાં ગાનમાં ઘેલાં થઈ સ્ત્રી-પુરુષ લિંગભેદ ભૂલી એકાકાર થઈ રંગે રમી રહ્યાં છે…. આવી મજાની સુખ સુહાગનવેળામાં ચારે તરફ લાલ રંગ ઉડાડવામાં ને રંગાવામાં આપ પણ જોડાવ છો ને?
હની હો બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
. પિયા પ્યારીની બની જોડી હો. ૦૫
– મીરાં
લયસ્તરોના તમામ ભાવકો, ચાહકો અને સહયોગી સર્જકોને હોળીપર્વના રંગબેરંગી વધામણાં…
હોળી પર્વ નિમિત્તે ભક્ત કવિ મીરાંબાઈનું એક ભક્તિપદ પ્રસ્તુત છે. રચના સહજસાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણી અનાવશ્યક બની રહે છે. પણ આજની પેઢી માટે અમુક શબ્દો અજાણ્યા હોઈ, એમના શબ્દાર્થ અહીં મૂકીએ છીએ.
નૌતમ= નવતમ; તદ્દન નવું; અનુત્તમ;
ચરણાં = ચણિયો
ચૂવા= એક પ્રકારનું સુગંધી દ્રવ્ય; અગરનો અર્ક. તે જુદી જુદી જાતનાં ગંધદ્રવ્યોને એકઠાં કરી ગરમી આપી ટપકાવીને કાઢવામાં આવે છે. આનો ચંદન સાથે, લેપમાં તેમ જ મર્દનમાં ઉપયોગ થાય છે.
છીરકત = છાંટે છે
કનક = સોનું
કુંજગલન=કુંજગલી
થોડા વરસો પૂર્વે એક ગઝલ લખી હતી. એનો એક શેર આ ગીત વાંચતા સ્મરણપટલ પર તાજો થયો-
તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું, તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર. (વિમટે)
પ્રસ્તુત રચના તો આ ગઝલ લખાયાના ઘણા વરસો પહેલાંની છે, પણ ઝાકળબુંદમાં એક કવિને કાયનાત નજરે ચડી તો એક કવિને એમાં મોટો કમરો દેખાયો. કમરામાં બેઠા છે મોરલી વગાડતા કાનજીકુંવર. ઘાસ કે ફૂલની પાંખડી પર પડેલ તુષારના ટીપા તરફ સામાન્યજનનું તો કદાચિત ધ્યાન પણ ન જાય, પણ કવિની નજર સૌંદર્યાનુરાગી હોય છે. એ રુઢમાંથી પણ અરુઢ ખોળી લે. કવિને ટીપામાં કૃષ્ણ દેખાયો ને કૃષ્ણની ભીતર લીલું અંધારું ચમકતું દેખાયું. રાતના અંધારા અને કૃષ્ણના વાન આ બંને કાળાં. કવિને બંને અર્થ પણ અભિપ્રેત હોઈ શકે. અંધારું લીલું એટલા માટે છે કે ઘાસનો રંગ ઓસબુંદમાં ઝીલાઈ રહ્યો છે. લીલાશમાં તૂરાં ગાન ઊઘડે છે. એકીસાથે દૃશ્યેન્દ્રિયનો સ્વાદેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય –એમ બેવડો વ્યત્યય થયો. પોતાના પગના ઓળા પણ કદાચ આ બુંદમાં ઝીલાઈ રહ્યા છે અને હવાની સાથે થતા ઘાસ કે ફૂલના ડોલન સાથે એ ઝીણું ઝીણું હલતા દેખાય છે. ઝાકળના પડું પડું થતું ટીપું હવે ક્ષણનું ટીપું બની ગયું છે અને એની નીચે કવિના પ્રાણ પળ પળ ટટલી રહ્યા છે… હમણાં પડશે, હમણાં પડશે… ને જીવતર પૂરું થશે. ઝાકળનું એ ટીપું એ આપણું ક્ષણભંગુર આયખું છે, જે હમણાં આખી સૃષ્ટિ સમાવી બેઠું હોય એમ પ્રતીત થાય છે, ને હમણાં ધૂળમાં પડીને ધૂળમાં ભળી પણ જઈ શકે છે. આપણે જે શોધવાનું છે એ છે આપણું ભાન. ભાન જડી જાય તો જીવતરના આ મોટા કમરામાં ઈશ્વર પણ સાથે જ બેઠા છે-મુરલિયાં બજવતા…
ગાગરમાં સાગર જેવું ગીત. સમાધિ લાગી છે પણ એ કંઈ એમનેમ નથી લાગી ગઈ… ‘કરતાં જાળ કરોળિયો’ માફક લાગતાં લાગતાં લાગી છે. અંતર્ચક્ષુ ખૂલતાં આંખ જે નવ્ય ઊંડાણોને તાકી-તાગી રહી છે એનું સહેજ વિસ્મય પણ થાય છે, જેને કવિએ પ્રશ્નાર્થની મદદથી કંડાર્યું છે. પ્રથમ પંક્તિની વર્ણસગાઈનું સંગીત પણ કેવું મજાનું છે! ગીતને ઉપાડ લેતાવેંત એના કારણે જે પ્રવાહિતા સાંપડે છે એ આખી રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે…
આ એવી જગ્યા છે જ્યાં અજવાળું પણ નથી ને અંધારું પણ નથી; તળિયું પણ નથી ને કિનારોય નથી. બધા અંતિમ ઓગળી ગયાં છે અને અંતિમો ઓગળી જાય ત્યારે સતત ઊછળતાં મોજાં વચ્ચે પ્રભુકૃપાનું મોતી હાથ લાગે. સમાધિની પરા અવસ્થામાં શ્વાસોચ્છ્વાસની સ્થૂળ ક્રિયા પણ પ્રાણાયમ બની રહે છે… અને પ્રાણાયામેય કેવો! જ્યાં દરેક શ્વાસે સમંદર વીંટળાય અને ઉચ્છવાસે ઉકેલાય. રોમેરોમમાં સમસ્ત ગગન અકળ ઉજાસે ઝળહળી રહ્યું છે… સમુદ્ર-ગગન-અખિલાઈ… વયષ્ટિ સમષ્ટિ સાથે એકત્વ સાધે છે. તમામ હદ અનહદમાં ઓગળી રહે છે… દ્વૈત અદ્વૈતમાં એકાકાર થઈ ચૂક્યું છે. આ છે સમાધિની ચરમ અવસ્થાનું પરમ ગાન!
ગીતની પહેલી કડી વાંચતા જ આપણા સ્મૃતિપટ પર મધમીઠા ટહુકાઓ રેલવા લાગે- ‘સોના ઇંઢોણી રૂપા બેડલું રે નાગર, ઊભા રો’ રંગરસિયા…’ ‘સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી, કોના તે ઘરના ભરીશ પાણી, રાજ રાજવણ.’ આ ગીતો મારી અને મારી આગળની પેઢીઓના લોહીમાં સીંચાયેલા છે. પ્રસ્તુત રચનામાં કવિએ આ જ રક્તસંસ્કારને વધુ અજવાળીને રજૂ કર્યા છે. ઢાળ અને ઢાંચો તો લોકગીતનો જ છે, પણ કવિકસબે એને આધુનિક ગીતોની હરોળમાં હકપૂર્વક બેસી શકે એવા જરકશી જામા પહેરાવ્યા છે. વેલણ અને પાટલી પર ગોરાંદે રોટલી નહીં, દિવસો વણી રહ્યાં છે. દિવસો જલ્દી જલ્દી વણાઈ જાય તો જ દરિયાપાર ગયેલ મનના માણીગર સાથે વેળાસર મુલાકાત સંભવે ને? બાજઠ અને વીંઝણો છે, પણ એકલા એકલા વિતાવવી પડતી રાતોને વીંઝવી છે. સોનાની થાળી અને રૂપાની વાડકી છે, પણ ગોરાંદે સાવ ખાલી છે… દરિયો-વગડો-ડુંગર-રણને વળોટીને વહાલો વહેલો આવે તો અંધારાં ટપકતાં અટકે ને સ્નેહનાં અજવાળાં રેલાય… ખરું ને?
ઘૂઘવે સાગર કાળી રાત આ,
. દૂર ઊઘડે ઉજાશજી;
શઢ રે તૂટ્યા ને ડૂબે નાવડી,
. તૂટે તોયે ના આશજી;
. પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.
– નંદકુમાર પાઠક
સરળ પણ સંતર્પક ગીતરચના… અનિલ ચાવડાનો શેર યાદ આવે:
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે?
પ્રકૃતિનું ઔદાર્ય આપણી ક્ષમતા અને સમજ બહારનું છે. એ જે આપે છે, અઢળક ને અપાર આપે છે, પણ આપણો ખોબો જ નાનો પડે છે. આપણે કેવળ આશા ટકાવી રાખવાની છે… એ જ આપણને કાજળકાળી રાતમાંય ઉજાસ સુધી લઈ જશે.
January 31, 2026 at 11:18 AM by વિવેક · Filed under ગીત, સ્નેહલ જોષી
આવું તે કોણ હોય કોમળ,
તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ કે પછી વરસ્યાં વિનાનું કોઈ વાદળ!
અડકો તો લાગે કે હમણાં કરમાઈ જશે
જાણે લજામણીનો છોડ,
દૃષ્ટિ પડતાં જ એના ધબકારા જાણે
એક સામટી મૂકી દે છે દોટ!
ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!
એને તો એની કંઈ પરવાય નંઈ
એ તો એના જ હોય સાત સૂરમાં,
ક્યારેક વિચારોના વંટોળે હોય
અને ક્યારેક હો કલ્પનના પૂરમાં.
હળવેથી કાન પાસે હોઠને લઈ જાવ અને કહેવાનું એટલું કે સાંભળ-
આવું તે કોણ હોય કોમળ!
– સ્નેહલ જોષી
કવિતા કંઈ દર વખતે મોટી મોટી વાત જ કરે એ જરૂરી નથી. કવિતા માનવસંબંધોની આંટીઘૂંટી સમજવા-ઉકેલવામાં મદદ કરે એય આવશ્યક નથી. ક્યારેક એક સાવ નાનકડો વિચારતંતુ લંબાઈને કાવ્યમાળા બની જાય એમ પણ બને. પોતાની ચાહનાથી પાણીમાંના કમળ પેઠે જે સાવ જ અનભિજ્ઞ છે, એવી નાયિકાને નાયક બસ એટલું જ કહેવા માંગે છે કે સમસ્ત સંસારમાં એનાથી કોમળ બીજું કોઈ નથી. બસ, આ એક તાંતણા પર કવિતાના મોતી પરોવીને કવિએ પ્રસ્તુત કર્યાં છે. વાત નવી નથી, પણ રજૂઆતની નજાકત એને મજેદાર બનાવે છે. ગીત નિઃશંકપણે સહેજ કાચું લાગે, પણ ગીતની છેલ્લી કડીને અધૂરી રાખી જે રીતે ધ્રુવ પંક્તિ સાથે બાંધી દઈ વાત પૂરી કરી બતાવી છે એ સવિશેષ ગમી જાય છે.
બે વાસણ સાથે ને સાથે જ હોય તો ક્યારેક તો ખખડે જ… કોઈક કારણોસર બે જણ વચ્ચે કંઈક રકઝક થઈ હશે ને પરિણામ સ્વરૂપે પુરુષે સ્ત્રીને ચૂપ થઈ જવાનો આદેશ આપ્યો છે. અને સ્ત્રીએ બદલામાં પોતાના હોઠેથી હવે કોઈ ગીત સરશે નહીંની ખાતરી પણ આપી દીધી છે. જો કે આ ‘ચૂપ’ આદેશાત્મક ઓછો અને પ્રતીકાત્મક વધારે છે, કેમ કે આગળ ‘રે’ ઉમેરાયો છે. સારા સર્જક શબ્દો પાસે કેવી કરામતથી ધાર્યું કામ કઢાવી લે છે એનું આ સબળ દૃષ્ટાંત કહી શકાય. ગીતમાંથી પસાર થતાં ટાગોરનું ભાવવિશ્વ સાદૃશ થતું પણ અનુભવાય છે. એકના એક શબ્દો અને શબ્દસમૂહની પુનરુક્તિ સાથે કેવળ કથનકેન્દ્રમાં પરિવર્તન કરી કવિએ સરસ ગીત નિપજાવ્યું છે. ચૂપ થઈ જવાના ફરમાનને વશ થયાની પ્રતીતિ કરાવવા નાયિકાએ હોઠ સાથે આંખો પણ બીડી દીધી છે. પણ નાયકના તાતા શબ્દતીરને જે ગણનામાં જ લેનાર નથી એ મૌન કંઠના ગાનને સાજન કોઈ કાળે રોકી શકનાર નથીનો વિશ્વાસ પ્રથમ બંધમાં પ્રકટ થાય છે. ખોટુકડો ગુસ્સો દેખાડતા નાયકના હૃદયથી સરીને નાયિકાના રોમેરોમને ચંદનલેપની શીતળતા બક્ષતા ગાનને નાયક કેમેય અટકાવી શકનાર નહીં હોવાનો આત્મશ્રદ્ધાનો રણકો રચનાને વધુ રૂડી બનાવે છે.
January 23, 2026 at 10:57 AM by વિવેક · Filed under ગીત, સંજુ વાળા
છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા..
ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેસ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા…
અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ
ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજાં…
ચડવું ’ને ઊતરવું દીધું અણથક દીધી એષ
બેઉ હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ
એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં…
છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.
– સંજુ વાળા
શિખર એટલે ઊંચાઈ, ટોચ… એવું સ્થાન જેની ઉપર એનાથી ઊંચું બીજું કશું જ ન હોય… એક શબ્દમાં કહેવું હોય તો સર્વોચ્ચ! શિખરની ખરી મજા લેવાની રીત કવિ આપણને સમજાવે છે. જીવનમાં સર્વોચ્ચતા, સર્વોપરિતાની ખરી મજા માણવી હોય તો ધજા બનવું પડે… ધજા એટલે વજનહીનતા… સ્વયંને ઓગાળીને હલકા થયા હોઈએ તો જ આછા પવનમાં પણ લહેરાઈ શકાય. કોઈપણ સારા કામની શરૂઆત આપણે ગણેશને સ્મરીને કરીએ છીએ. પહોંચવાનું તો છેક શિખરે છે, પણ એ માટે પહેલું ડગલું તો ભરવું પડશે ને? માર્ગમાં ક્યાંય ઠેસ ન વાગે એવો માર્ગ તો શ્રી ગણેશ જ દેખાડશે ને? અને એ ન થઈ શકે તો બીજો વિકલ્પ ભીતર રણઝણવાની રજા માંગવાનો છે. ક્યાં શિખરે ફરફરીએ, ક્યાં તો ભીતર રણઝણીએ… વચ્ચેનું કશું અધકચરું કેમ ખપે? જીવનમાં ચડાવ ને ઉતાર છે. પાર પાડો પાડો ને તોય થાકે જ નહીં એટલી અપાર ઇચ્છાઓ છે તો સામા પક્ષે બંને હાથે ઉલેચો તોય ઉલેચવો બાકી જ રહે એવો પરવરદિગારનો ખજાનો પણ છે. પછી બાકી શું રહે?
January 21, 2026 at 11:59 AM by વિવેક · Filed under ગીત, વિનોદ જોશી
એ પળ હજી ન ભાળી,
હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!
વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,
ઊભી ધાર ન ફાવે એને હોય વરસવું ત્રાંસું;
ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!
ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,
પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;
ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!
– વિનોદ જોશી
રવીન્દ્રનાથ ટાગોરને કોઈએ પ્રશ્ન કર્યો કે તમારી શ્રેષ્ઠ કવિતા કઈ? કવિવરે જવાબ આપ્યો કે મારી શ્રેષ્ઠ કવિતા હજી લખવાની બાકી છે, તેથી જ હું લખતો રહું છું. જીવનમાં દરેક વ્યક્તિને કોઈકને કોઈક વસ્તુની પ્રતીક્ષા હોય છે. પ્રસ્તુત ગીતરચનામાં પણ કાવ્યનાયક આવી જ કોઈક અનાગત પળની સમતોલ પ્રતીક્ષામાં છે. સમતોલ એ રીતે કે કથક એ વાતથી સુપેરે અવગત છે કે અનાગત પળ મેઘધનુષી પણ હોઈ શકે છે અને કાળી પણ. જીવનના ઉભય અંતિમના સમ્યક સ્વીકાર સાથેની આ પ્રતીક્ષા હોવાથી ગીત ચીલાચાલુ પ્રાસાવલિ ન રહેતાં સુમધુર કવિતામાં પરિણમે છે.
જે પળ હજી આવવી બાકી છે એ જો ચોમાસું હોય તો એ ત્રાંસી ધારે જ વરસવુંની ગાંઠ મારી પગ વાળી વાદળમાં બેસી ગયેલ છે. રાત આખી હવાના હડદોલા ખાઈ ખાઈને ઘાસના ડિલે ઝાકળના ફરફોલા ઉપસી આવે છે… ખરબચડી જિંદગીને ખોટેખોટી પંપાળ્યે રાખવાના રંજરંજિત ભૂતનો બોજ ખભે ઊઠાવી વર્તમાન ભાવિ તરફ આંખ માંડી બેઠો છે. ગત-અનાગત વચ્ચે ભીંસાતી આજનો એક શેર યાદ આવે છે-
પેલી પળ તો જ્યારે એને ભાવિ લઈને આવશે ત્યારે આવશે… આજનું કામ છે ઘાસ વચ્ચે વેરાયેલ ટહુકા ચુપચાપ વીણતા રહેવું… ખરબચડા જીવનને ટહુકાના સૂરની સુંવાળપથી જ સંવારી શકાય…
January 15, 2026 at 11:15 AM by વિવેક · Filed under ગીત, હર્ષદ ચંદારાણા
જોજનના જોજનની ખેપું ખેડું ને
. તોય નદીયું તો આઘી ને આઘી
. હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી
પાણીનું નામ જેને આપી શકાય
. એવું કૈં યે નથી મારી સાથમાં
નકશાઓ પાથરું તો ઠેરઠેર નીકળે
. વાંસવન સુક્કાં આ હાથમાં
એ સળગે કે કેમ એને ઠારું કે
. સાવ પછી બળતાંને લઉં પાછાં બાંધી
. હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી
અભણ આગિયા અંધારાને પાડે પછી ઉઝરડા,
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા;
રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
. બહુ એકલવાયું લાગે…
– વિનોદ જોશી
૨૦૨૬ની શરૂઆત થઈ ચૂકી છે… લયસ્તરોના તમામ ભાવક અને સર્જકોને નવા વર્ષના અભિનંદન! નવ્યવર્ષનો પ્રારંભ સરસ મજાની ગીતરચનાથી કરીએ…
સમર્થ કવિ કેવળ માનવમનના અતળ ઊંડાણો તાગવા સુધી સીમિત ન રહે, એ તો પ્રકૃતિના તમામ ઘટકતત્ત્વોની અનુભૂતિને આત્મસાત કરે અને પછી સહુ સાથે સહિયારે. પ્રસ્તુત રચનામાં કવિ ઝાડની સંવેદનાના મૂળ સુધી પહોંચે છે. ઝાડની એકલતા અને ચોવીસે કલાક કાર્યરત રહેવાની પ્રકૃતિનો કોઈ જોડ નથી. આ અજોડ વિલક્ષણતાને કેન્દ્રમાં રાખી કવિ એની ફરતે નિસર્ગના નાનાવિધ ઘટકોને કલ્પનસૂત્રોના તાણાવાણાથી બાંધે છે. દિ’ આખો અજવાળું દળીને ખીણમાં દડી જતો સૂરજ, હવા વડે ટહુકાનું આંજન કરવાની ક્રિયા, અભણ આગિયા વડે અંધારાના ડિલે પડતા ઉઝરડા તથા આભમાં ઝબૂક ઝબૂક કરતા તારામાં ભમરડા ફરતા દેખાય વગેરે કલ્પનોની નજાકત અને બારીકી રચનાને વધુ હૃદ્ય બનાવે છે. કવિએ આગિયાને અભણ કહ્યા એ જોયું? ભણેલા હોય એ સીધી લીટીમાં લખે,પણ આગિયા તો સ્વૈરવિહારી… આગિયાના ઉડ્ડયનથી હવામાં અજવાળાના કે લિસોટા પડે એમાં આકાર કે અક્ષર હોતા નથી… કદાચિત આ કારણે કવિએ આગિયાને અભણ કીધા છે… પણ આવા અનૂઠા કલ્પનોને જે રીતે કવિએ વર્ણસગાઈના તાલ સાથે આલેખ્યા છે, એના કારણે સર્જાતું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.
December 27, 2025 at 11:43 AM by વિવેક · Filed under ગીત, નીતિન વડગામા
સહજ મળે તે સાચું.
કરી ઉધામા કૈંક પામીએ એ સઘળુંયે કાચું.
વરસે વ્હાલો ધોધમાર, છલકે જીવતરની ઝોળી.
મહેકી ઊઠે એમ પછી તો રુદિયાની રંગોળી.
આપે અપરંપાર પછી હું નાહક શાને યાચું ?
સહજ મળે તે સાચું.
પંથ ઉપર પાડેલું પગલું ઊડી આભમાં પૂગે.
સમય સાચવી સૂખનો સૂરજ આપોઆપ જ ઊગે.
ભાર બધો ભૂલીને હું તો રામનામમાં રાચું.
સહજ મળે તે સાચું.
– નીતિન વડગામા
ભાવક સુધી એ જ કવિતા પહોંચે જે સહજતાથી આવી હોય… મથી મથીને શબ્દોના પાટિયાં ગમે એટલી કુશળતાથી કેમ ન બેસાડ્યાં હોય, સહૃદયી ભાવક કૃતકતા પકડી જ લે છે. જીવનમાં પણ જે સહજ અને સ્વાભાવિક હોય એ જ સાચું છે… એ સિવાયનું બધું નકામું.
પોતાનાં ઘર તો કાચાં હોય, એટલે છાણાં થાપવા ગામડાની સ્ત્રીઓ ગઢની દીવાલનો ઉપયોગ કરતી… સહિયરને સાથે લઈને નાયિકા ગઈ છે તો છાણાં થાપવા, પણ અરમાન ગઢની ભીંતે કાયા ટેકવીને પ્રતીક્ષાની ભીંત બની જવાનાં છે. કારણ? સમયના મારથી ગઢના કાંગરા ખરે તોય ગઢ તો વરસોવરસ અડીખમ જ રહે… અણનમ અણથક અનવરત ઇંતેજારને ચાક્ષુષ કરવા માટે આથી સારું રૂપક કયું હોઈ શકે? મનનો માણીગર ક્યારેક તો આ રસ્તેથી પસાર થશે, આંગળાઓની છાપ જોઈને મોહિત થશે ને રાહ જોવું લેખે લાગશે… આખું ગીત સ-રસ થયું છે પણ એક વાત ન સમજાઈ… વાત નાયિકાના વાટ જોવાની હોય તો વટેમાર્ગુ ‘તારા આંગળાઓની છાપ જોશે’ એમ આવવું જોઈએ કે ‘મારા આંગળાઓની છાપને જોશે’ એ વધુ ઉચિત પ્રયોગ ગણાય? કે પછી બીજા બંધમાં સૈયર નાયિકાને સંબોધી રહી છે? પહેલા બંધ કરતાં બીજા બંધમાં ચાર માત્રા વધારે છે અને બીજા બંધા કરતાં એની પૂરકપંક્તિમાં વળી ચાર માત્રા વધારે છે… ઇંતેજારી વધી રહી છે એટલે?
આ વર્ષ ભારતના રાષ્ટ્રગાન ‘વંદેમાતરમ્’નું સાર્ધ શતાબ્દી વર્ષ છે. ૭ નવેમ્બર ૧૮૭૫ના દિવસે રચાયેલ ‘વંદે માતરમ્’ ગીતને ૧૫૦ વર્ષ પૂરાં થયાં એની ઉજવણી માટે કેન્દ્ર સરકારે આખું વર્ષ દેશભરમાં વિવિધ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સંસદમાં હાલ આ ગીતના નામે જે ફારસ ચાલી રહ્યું છે એ અશોભનીય પણ છે અને અપ્રસ્તુત પણ. જો કે આ ઉજવણી અને વિવાદના કારણે ગીત ફરી ચર્ચાના ચોતરે ચડ્યું એય એક હકીકત છે.
કહેવાય છે કે જ્યારે બંકિમચંદ્રની નાનકડી દીકરીએ ‘માતૃભૂમિ કેવી છે?’ એવો પ્રશ્ન એમને પૂછ્યો ત્યારે તેના પ્રત્યુત્તરમાં પિતાએ આ કાવ્યની રચના કરી હતી. ગીતના પ્રથમ બે છંદ સરળ, બોધગમ્ય અને માતૃભૂમિની સૌમ્ય સ્તુતિ માટે સમર્પિત છે, પરંતુ ત્યારબાદના છંદ દેવી દુર્ગાની દિવ્ય શક્તિને રાષ્ટ્રરક્ષાના પ્રતીક તરીકે પ્રસ્તુત કરે છે. ભારતમાતાની રૂપકાત્મક છબીને આકાર અપાયો છે. માતૃભૂમિને એમાં શાંતિ, શાન અને સમૃદ્ધિના પ્રતિનિધિ તરીકે બતાવવામાં આવી છે. ગીતના શબ્દો માત્ર ભૌગોલિક ખૂણાઓ અને નદી-સરોવર માટે જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ અને આત્માને પણ અંજલિ આપે છે. આ ગીતે મંત્ર બનીને ગુલામીની અંધારી રાતોમાં ભારતીયોના હૃદયમાં ક્રાંતિની જ્વાળા પ્રગટાવી હતી. અને બ્રિટિશ સામ્રાજ્યને ભયભીત કર્યું હતું.
ભારતીય સ્વતંત્રતાની ચળવળનો આત્મા બની ગયેલી ક્રાંતિકારી રચના ‘વંદે માતરમ’નો ઇતિહાસ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો છે. ૧૮૭૫માં એ સૌપ્રથમ બંગદર્શન પત્રિકામાં પ્રકાશિત થયું. ‘વંદે માતરમ્’ના માધ્યમથી કવિએ સંદેશ આપ્યો કે માતૃભૂમિ જ સર્વોચ્ચ દેવી છે જે ભારતીય રાષ્ટ્રવાદનો વૈચારિક પાયો બન્યો. ૧૮૭૫માં વંદે માતરમ ગીતનાં પ્રથમ બે છંદ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયા હતા. ૧૮૮૨માં જ્યારે બંકિમચંદ્રએ સત્યઘટના પર આધારિત પોતાની પ્રસિદ્ધ બંગાળી નવલકથા ‘આનંદમઠ’માં એને સંમિલિત કર્યું ત્યારે બીજા ચાર છંદ બંગાળી ભાષામાં ઉમેર્યા. આમ, એક જ ગીતમાં સંસ્કૃત અને બંગાળી –બેય ભાષાનું સંમિશ્રણ થયું. ‘આનંદમઠ’માં આ ગીતનો ઉપયોગ સંઘર્ષગાન અને માતૃવંદના રૂપે થયો અને ત્યારે લોકોનું ધ્યાન એના તરફ ખેંચાયું. વંદે માતરમ્ રચાયું તે પહેલાં ભારતમાતાનું કોઈ ચિત્ર જ નહોતું. વંદે માતરમ્ ગીતમાં ભારતમાતાનું એવું સુંદર શબ્દચિત્ર આલેખાયેલું હતું કે અનેક ચિત્રકારોને આ ગીત પરથી ભારતમાતાનું ચિત્ર બનાવવાની પ્રેરણા મળી.
૧૮૯૬માં કલકત્તા કોંગ્રેસ અધિવેશનમાં આ ગીત સાર્વજનિક રૂપે સૌપ્રથમવાર રવીન્દ્રનાથ ટાગોરે ગાયું. ૧૯૦૫ના બંગાળ વિભાજનનાં ‘બંગભંગ’ આંદોલન દરમિયાન એ આઝાદીનો નારો બની ગયું. લોકો રસ્તાઓ પર ઉતરી આવીને “વંદે માતરમ્”ના જયઘોષથી બ્રિટિશ શાસનને પડકારવા લાગ્યા હતા. ૧૯૦૬માં અંગ્રેજોએ ગીત પર પ્રતિબંધ મૂક્યો, પણ ત્યાં સુધીમાં ગીત દરેક આંદોલનનો આત્મા, દરેક ભારતવાસીનો અવાજ અને ક્રાંતિકારીઓનો પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યુ હતુ. પ્રતિબંધે ગીતને વધુ લોકપ્રિય બનાવ્યું. ૭ ઑગસ્ટ ૧૯૦૬ના રોજ સુરેન્દ્રનાથ બૅનરજીએ કોલકાતા ખાતે જે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવેલો, તેમાં વચ્ચેના પીળા રંગના પટ્ટા પર ‘વંદે માતરમ’ શબ્દો દેવનાગરી લિપિમાં અંકિત થયેલા હતા. સુભાષચંદ્ર બોઝને એ કૂચ ગીત તરીકે એટલું પ્રિય થઈ ગયેલું કે આઝાદ હિંદ ફોજના રેડિયો પરથી એ દૈનિક પ્રસારિત થતું. વંદે માતરમ્ એ માત્ર ગીત જ નહી, દેશભક્તો માટે અભિવાદન અને અભિપ્રેરણાનું સૂત્ર પણ બની ગયું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓ, જેમ કે સરદાર વલ્લભભાઈ, એકબીજાને પત્રો લખતા કે મળતા ત્યારે અચૂક ‘વંદે માતરમ’થી શરૂ કરી ‘વંદે માતરમ’થી જ પૂર્ણ કરતા. ૧૯૪૦ પછી આ અભિવાદનનું સ્થાન ‘જય હિંદ’ એ લઈ લીધેલું. આઝાદીની લડતમાં લોકજાગૃતિ લાવવા અને ભારતવાસીઓનાં મનમાં આત્મગૌરવ તથા સ્વરાજ્યની મહત્તાની પ્રેરણા પૂરી પાડવાના હેતુથી લખાયેલું ભારતભક્તિના સ્રોત સમું આ ગીત એક અમોઘ શસ્ત્ર સાબિત થયેલું.
૧૯૨૦માં જ્યારે આ ગીતનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો ત્યાર સુધીમાં એ રાષ્ટ્ર્ગાનની લાયકાત મેળવી ચૂક્યું હતું. પરંતુ હિન્દુ-મુસ્લિમ સંબંધો અંગે ચકમક ઝરતા એ વિરોધનું નિશાન પણ બન્યું. મુસ્લિમ લીગે ગીતમાં મૂર્તિ પૂજાને પ્રોત્સાહન અપાયું હોવાનું કહીને એને બિન-ઈસ્લામિક ગણાવ્યું. વળી, જે બંકિમચંદ્રનાં ‘આનંદમઠ’ ઉપન્યાસથી એ પ્રસિદ્ધ થયું, એમાં મુસલમાનોને દેશનાં દુશ્મન બતાવવામાં આવ્યા હતા. ૧૯૩૭માં કોંગ્રેસ કમિટી (રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, અબ્દુલ કલામ આઝાદ, જવાહરલાલ નહેરુ) દ્રારા વંદે માતરમનાં છેલ્લા ચાર છંદને હટાવી લેવાયા. વંદે માતરમની રાજનૈતિક વિવાદની આગમાં અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ વિભાજનનો રોટલો બરાબર શેક્યો.
૧૫મી ઑગસ્ટ ૧૯૪૭થી આકાશવાણીના કાર્યક્રમોનો શુભારંભ ‘વંદે માતરમ્’ના ગાનથી શરૂ થયેલો, જે પરંપરા હજી પણ આકાશવાણી અને બાદમાં દૂરદર્શન દ્વારા જાળવવામાં આવી છે. ૧૯૫૦માં બંધારણ સભાએ સર્વાનુમતે વંદે માતરમને ભારતનું રાષ્ટ્રીય ગાન જાહેર કર્યું તેમજ એને રાષ્ટ્રગીત જનગણમન સમકક્ષ સન્માન આપવાનું નક્કી થયું. ૧૯૭૬માં શતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. સતત વિરોધ અને વિવાદો વચ્ચે આજેય ‘વંદે માતરમ્’ ગીત દરેક ભારતીયના હૃદયમાં ગુંજે છે, ધબકે છે અને સતત યાદ અપાવે છે કે ભારતની શક્તિ તેની એકતા અને સંસ્કૃતિમાં રહેલી છે.
ઈશ્વરદર્શનની ઝંખના પૂર્ણ થયાનું ભક્તિપદ. જોગીઓ અને સંતોને જે સ્વપ્નમાં પણ નથી આવતા, એ હરિ વ્રજવાસીઓને લાડ લડાવે છે. ‘જોગી રે જંગમ રે સેવડા’વાળી પંક્તિએ મનમાં કુતૂહલ જગાવ્યું તો ગૂગલદેવતાએ મોજ કરાવી દીધી-
જોગી જંગમ સંન્યાસી સેવડા, તપસી ને બ્રહ્મચારી;
તા તે અવિગત્ય અગમ અગોચર, અપરંપાર અપારી. સંતો.
– સત્ કુબેરદાસ
* * *
સંજોગોવશાત્ આજે નરસિંહ મહેતાની ૫૭૦મી હારમાળા જયંતિ પણ છે. કહે છે કે જૂનાગઢના રાજા રા’માંડલિકે દામોદર આવીને હાર પહેરાવશે તો જ મુક્તિ મળશે એમ કહી કારાવાસમાં પૂર્યા હતા. પણ કેદારો તો મહેતાએ ગિરવે મૂક્યો હતો અને એ ગાયા વિના તો ઈશ્વર આવે નહીં. એટલે ભગવાને જાતે જઈ ઉધારી ચૂકવી કેદાર રાગ છોડાવ્યો. નરસૈંયાએ કેદારો ગાયો અને ગળામાં હાર આવી પડ્યો. પરિણામે આજના માગશર સુદ સાતમના દિવસને હારમાળા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.
આટલી ડોલતી ડાળ, એને પણ એક ના વાંક-વળાંક,
જેમ વહું તેમ હરખભર્યો ચડતો વ્હાલો થાક;
નેન ભરીને નીરખું નદી તેમ તે એને પીધો… પથ0
જલમાં તર્યો, આભમાં ઊડયો, લસર્યો રેશમી ઢાળ,
પગલું ધરું હું જ હવે કે પવન ભરતો ફાળ?
કોઈ અજાણ્યા જનને જાવું? સ્હેજ ઈશારો કીધો!
પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.
– પ્રિયકાન્ત મણિયાર
માથે મુસીબતોના પહાડ તૂટી પડે ત્યારે તો એક જ ઝંખના હોય કે જીવનમાં એકેય મુસીબત જ ન હોય તો કેવું સારું! પણ roses roses all the way તો કોના નસીબમાં હોય? અનવરુદ્ધ શાશ્વત સુખની કામના નામના સિક્કાની બીજી બાજુ એ છે કે જીવન સાવ સીધુંસટ જતું હોય ત્યારેય આપણે વિહવળ થઈ જઈએ છીએ. નજર સામેના માર્ગને વળવળાંક વિનાની ડાળની જેમ એકદમ સીધોસટ જતો જોઈ પગલું મૂકતા પહેલાં કાવ્યનાયક ઘડીભર માટે તો ડરી જાય છે. જીવનપથ વધુ પડતો સ્પષ્ટ, સીધો અને સરળ હોય ત્યારે આ સરળતા પાછળનું સત્ય સમજાતું ન હોવાના કારણે ભય લાગવો સ્વાભાવિક છે.
હશે, પણ ભાગ્યનો અને આ સીધા મળેલા માર્ગનો સ્વીકાર કરી કથક આનંદભર્યા થાકનેય આવકારે છે અને કોઈ પ્રકૃતિપ્રેમી ધરાઈને નદીને જોયા કરે,એ જ રીતે આ પરિસ્થિતિનું આકંઠ સેવન કરે છે. માર્ગ એટલો સરળ છે કે તરવું-ઊડવું-લસરવું બધું જ શક્ય છે. જીવન આ ક્ષણે સંપૂર્ણતયા મુક્ત, હળવું અને તમામ બંધનોથી પર છે. કથકના માર્ગમાં તો કોઈ વળાંક નથી, પણ અંતિમ બે પંક્તિમાં કવિતા નિરાળો વળાંક લે છે. કથકને સવાલ થાય છે કે આ પથ પર સ્વયંની ઇચ્છાશક્તિથી ડગલું ભરી રહ્યો છે કે પછી પવન-નિયતિ એને આગળ ધકેલી રહ્યાં છે? કોઈ અજાણ્યા જનને આ માર્ગ પર જવું હોય તો એને નાયક ઈશારો કરે છે એમ કવિ કહે છે ત્યાં અગમનિગમનો માર્ગ સ્પષ્ટ થાય છે. ઈશ્વર સુધી લઈ જતા માર્ગ પર વધુ નહીં, સ્હેજ ઈશારોય પૂરતો છે. પ્રભુમિલનનો ખરો માર્ગ તો સાવ સીધો અને સરળ જ છે. કર્મકાંડીઓ જ એને મુશ્કેલ ચિતરી ચિતરીને આપણને સદીઓથી ભરમાવતા આવ્યા છે.