એ પળો વીત્યાની યાદો ખોઈ નથી હજી,
એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સાંત્વના – ક્લેરિસા સ્કૉટ ડેલેની (અનુ.: વિવેક મનહર ટેલર)

મારી બારી બહાર ઝાડી તરફ ખુલે છે
અને ડાળીઓ તથા આકાશથી બનેલી
એ નાનકડી જગ્યામાંથી
હું જોઉં છું કે પસાર થતી ઋતુઓ
કોમળ હરિયાળીને ગાઢા ભરાવદાર પાંદડાઓ માટે
માર્ગ પ્રશસ્ત કરતી નીરખે છે.
શરદ ઋતુનો ખરો મહિમા ત્યારે પ્રકટ થાય છે
જ્યારે સૌમ્ય તડકામાં તરબોળ
નાજુક, સોનેરી પાંદડાઓ
નિરભ્ર ભૂરા આકાશની પશ્ચાદ્ભૂ સામે
બપોરના જાદુ સામે ટકી રહે છે
અને પછી અનિચ્છાએ તૂટી જાય છે
અને શેરીને સોનાથી મઢી દેવા માટે
બધે પથરાઈ વળે છે.
પછી ઉઘાડી, ભૂખરી શાખાઓ
ડિસેમ્બરના ઠંડા આકાશની સામે
સ્વયંને ઊંચે ઊઠાવે છે
ક્યારેક ગુલાબ અને સમીસાંજના આથમતા ઓળામાં
એક જાળ ગૂંથતી તો
ક્યારેક એ ગાઢા ભૂરા આકાશ પર સવાર થતા
નૂતન શીર્ણ ચંદ્ર
અને તેજસ્વી તારા સામે,
જે ભારઝલ્લી રાત ઊતરી આવે, અથવા તારાઓ
આકાશને ભૂરકીથી ભરી દે એ પહેલાં દૃષ્ટિગોચર થવા માંડે છે.
હવાઓ આ વૃક્ષો સાથે ટકરાય છે;
વસંતનો ઠંડો, પરંતુ હળવો વરસાદ
એમને મૃદુતાથી સ્પર્શે છે;
ઉનાળાની ઝડીઓ
એમને પ્રકોપિત કરવાના
અને એમને તોડી નાંખવાના પ્રયાસો કરે છે-
પરંતુ તેઓ અડીખમ ઊભાં રહે છે.
મારી જિંદગી વિહ્વળ છે
અને એક બેચેની, ક્યારેક ક્યારેક
એક પીડા- ફરીથી એક અસ્પષ્ટ
અને ચોંકાવનાર અસંતોષ
મારા પર હાવી થઈ જાય છે.
હું આભારી છું મારા હિસ્સાના આકાશ
અને વૃક્ષો માટે, અને ઋતુઓના
બદલાતા તમાશા માટે.
આવી સુંદરતાથી હૃદય પર છવાઈ જાય છે
એક શાતા.
આ પ્રકારના શાશ્વત પરિવર્તન અને સ્થાયીતા
તમામ ઉથલપાથલમાંથી એક અર્થ ગ્રહણ કરે છે
અને રહી જાય છે કેવળ શાંતતા
જે કોઈ પીડાને જાણતી નથી.

– ક્લેરિસા સ્કૉટ ડેલેની
(અનુ.: વિવેક મનહર ટેલર)

વિકાસની કાતર વડે શહેરોએ મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. જીવનની આપાધાપી અને ઉથલપાથલો વચ્ચે શાંતિ અને સુખ પ્રાપ્ત કરવાનો એકમેવ ઉપાય છે પ્રકૃતિ સાથેની કપાઈ ગયેલી ગર્ભનાળ સાથે પુનર્સંધાન કરવું. કુદરતની કિતાબમાં જીવનના તમામ રહસ્યો અને એનો ઉકેલ લખેલો જ છે, એને વાંચતા શીખી લે એ જ બુદ્ધત્વ પામી શકે. સોએક વર્ષ પહેલાં માત્ર ચાર જ કવિતા લખીને છવ્વીસ વર્ષની વયે આ દુનિયાને બાય-બાય કરી જનાર કવયિત્રીની એક રચના આજની ગ્લૉબલ કવિતામાં આસ્વાદીએ…

રચનાનો વિશદ આસ્વાદ માણવા અહીં ક્લિક કરશો.

Solace

My window opens out into the trees
And in that small space
Of branches and of sky
I see the seasons pass
Behold the tender green
Give way to darker heavier leaves.
The glory of the autumn comes
When steeped in mellow sunlight
The fragile, golden leaves
Against a clear blue sky
Linger in the magic of the afternoon
And then reluctantly break off
And filter down to pave
A street with gold.
Then bare, gray branches
Lift themselves against the
Cold December sky
Sometimes weaving a web
Across the rose and dusk of late sunset
Sometimes against a frail new moon
And one bright star riding
A sky of that dark, living blue
Which comes before the heaviness
Of night descends, or the stars
Have powdered the heavens.
Winds beat against these trees;
The cold, but gentle rain of spring
Touches them lightly
The summer torrents strive
To lash them into a fury
And seek to break them—
But they stand.
My life is fevered
And a restlessness at times
An agony—again a vague
And baffling discontent
Possesses me.
I am thankful for my bit of sky
And trees, and for the shifting
Pageant of the seasons.
Such beauty lays upon the heart
A quiet.
Such eternal change and permanence
Take meaning from all turmoil
And leave serenity
Which knows no pain.

– Clarissa Scott Delany

Comments

મૃત્યુ આજે મારી સન્મુખ છે – અજ્ઞાત (ઇજિપ્ત) (અનુ.: વિવેક મનહર ટેલર)

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જે રીતે બિમાર માણસ સાજો થાય,
જે રીતે લાંબી પથારી બાદ બહાર જવા મળે.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જાણે કે હીરાબોળની સુગંધ,
જાણે કે હવાદાર દિવસે સઢ નીચે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ કે કમળની સુગંધ,
જેમ કે નશાના કિનારે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જાણે કે એક બહુખેડી કેડી,
એમ જાણે કે યુદ્ધથી ઘર પરત ફરતો માણસ.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ આકાશ અનભ્ર થાય,
જેમ કે જ્યારે એક માણસને ખબર પડે કે એણે શું અવગણ્યું હતું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જેમ વરસોવરસ કેદમાં સબડ્યા પછી
ઘર જોવા તરસતો માણસ.

– અજ્ઞાત (ઇજિપ્શન)
અંગ્રેજી અનુ.: મિરિઅમ લિચથાઇમ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

આજે એક એવી કવિતાની વાત કરવી છે જેની અને આપની વચ્ચે એક તરફ ચાર હજાર વરસનું અંતર છે અને બીજી તરફ ચાર હજાર કિલોમીટરનું… ઇજિપ્તના કોઈ ખૂણામાં વસતા કોઈક માણસે ૪૦૦૦ વર્ષ પહેલાં લખેલી આ કવિતા આજે પણ એવી તરોતાજા લાગે છે, જાણે આજે સવારે જ ન લખાઈ હોય! ચાર હજાર વર્ષ પહેલાંની આ રચના આડકતરી રીતે આપણને એ પણ સમજાવે છે કે મનુષ્યનો સ્વભાવ શરૂથી જ ચિંતનાત્મક રહ્યો છે. જીવન અને મૃત્યુ વિશે મનુષ્ય અનાદિકાળથી વિચારતો આવ્યો છે.

રચનાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો.

Death is before me today

Death is before me today
Like a sick man’s recovery,
Like going outdoors after confinement.

Death is before me today
Like the fragrance of myrrh,
Like sitting under sail on breeze day.

Death is before me today
Like the fragrance of lotus.
Like sitting on the shore of drunkenness.

Death is before me today
Like a well-trodden way,
Like a man’s coming home from warfare.

Death is before me today
Like the clearing of the sky.
As when a man discovers what he ignored.

Death is before me today
Like a man’s longing to see his home
When he has spent many years in captivity.

– Miriam Lichtheim
(Translation from Egyptian to English)

Comments

ગોઝારી વાવ – મનીષા જોષી

હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘ૨માં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે
અને હું એના મૃતદેહ ૫૨થી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.

રોજ રાત્રે યમરાજ આવે છે
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.

– મનીષા જોષી

એકદમ સરળ અને સહજસાધ્ય ભાષામાં કવયિત્રીએ નારીવેદનાની પરાકાષ્ઠા અભૂતપૂર્વ રીતે આલેખી છે. કવિતા સ્ત્રી સર્જકે લખી છે, એટલે નારીવેદના શબ્દ વાપર્યો નથી, પણ પુરુષોના શબ્દકોશમાં આ પ્રકારની લાગણી ભાગ્યે જ છપાયેલી જોવા મળતી હોવાથી એ સમાસ સહેતુક પ્રયોજ્યો છે. બે જણ અલગ થઈ ગયા છે અને બંને પોતપોતાના ઘરમાં જીવે છે. પુરુષ એના ઘરમાં સુખેથી જીવે છે એ વાતને સુખેથી શબ્દને મૂલ વાક્યથી અલગ તારવીને સર્જકે સાયાસ અધોરેખિત કર્યો છે. પણ હવે એ પુરુષ નાયિકા માટે મૃત્યુ પામ્યો છે અને નાયિકા રોજેરોજ આ પુરુષના અલગ-અલગ પ્રકારના મૃત્યુની અને એ મૃત્યુ પરત્વેની પોતાની લાગણીશૂન્યતાની કલ્પનાઓ કરતી રહે છે. પુરુષ છેડો ફાડી લે પછી એ ‘સુખેથી’ રહેવા માંડે છે, પણ સ્ત્રી છેડો ફાડીનેય છેડો ફાડી શકતી નથી. પુરુષના નિતનવીન મૃત્યુઓની રોજેરોજ કલ્પના કરવી પડે છે, કારણ એ પુરુષને અને એના અત્યાચારોને આ જનમમાં કદાચ એક પળ માટેય ભૂલી શકે એમ નથી. કવિતાના ઉત્તરાર્ધમાં સાવિત્રીનું પ્રતિક પ્રયોજીને સર્જકે ઉમદા કવિતા સિદ્ધ કરી બતાવી છે. સાવિત્રી યમરાજ પાસેથી સત્યવાનને પરત લઈ આવી હતી, એથી બિલકુલ વિપરીત આધુનિક યુગની આ સાવિત્રી યમરાજને પુરુષને લઈ જવાની રજા આપતી નથી. યમરાજ પણ પુરુષ જ છે અને એમના માટે ‘કરગરવું’ ક્રિયાપદ વાપરીને કવયિત્રીએ કવિતાને વધુ ધાર કાઢી છે. પુરુષનું મૃત્યુ હકીકતમાં થઈ જાય તો રોજેરોજ એના મૃત્યુની કલ્પના કરવાથી બદલો લીધો હોવાનો જે સંતોષ મળે છે એનુંય મૃત્યુ ન થઈ જાય?

Comments (18)

હીંચકો, કૉફી અને હું – તુષાર શુક્લ

નવરાશ જ નવરાશ છે.
કૉફી સંગે ઝૂલવું, જમવું, ઝોકું ખાઈ લેવું,
પુનઃ કૉફી સંગે ઝૂલવું.
આખા ઘરમાં આ ગેલેરી ગમતો પ્રદેશ છે.
આમ ઘરમાં ને આમ બ્હાર.
ઓરડામાં જ રહેવાના સમયનું આકાશ સાથે અનુસંધાન રચે છે ગેલેરી.
ગમે છે મને અહીં.

અત્યારે તો બપોર છે.
પણ તડકે સારું લાગે છે.
વિચાર કરું છું કે
ગ્રીષ્મના આવા મધ્યાહ્ને આમ બેસાય કે?
કમાલ છે ને!
હું,
ઝૂલો,
ગેલેરી,
ઘડિયાળમાં સમય પણ એ જ,
ને આ સૂરજ મહાશય પણ એ જ હશે;
માત્ર કેલેન્ડરમાં મહિનો જૂદો,
ઋતુ જૂદી.
ને કેવું બધું બદલાઇ જાય છે!
હશે,
હાલ તો બેસાય છે તો બેસવું
તડકાનો નાનેરો ટુકડો ચગળું બેઠા બેઠા
કૉફી આવે ત્યાં સુધી.

– તુષાર શુક્લ

જરૂરી નથી કે અઘરા અઘરા શબ્દો અને વજનદાર પ્રતીકો વાપરીએ તો જ સારી કવિતા બને. સારી કવિતા તો ફકત લખાય છે દિલની જુબાનમાં. શહેરોએ વિકાસની કાતર વડે મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. સિમેન્ટ-કૉંક્રિટના જંગલોની વચ્ચે ગેલેરી જ એક એવી ચીજ છે, જે કંઈક અંશે તો કંઈક અંશે પણ પ્રકૃતિ સાથે આપણું પુનઃસંધાન કરી આપે છે… જો કે જેમની અંદર થોડી સંવેદના બચી ગઈ છે, એવા લોકોના ઘરમાં જ ગેલેરી કપડાં સૂકવવા સિવાયના કામમાં પણ વપરાય છે. મકાનની ગેલેરીમાં મૂકેલા હીંચકા પર બેસીને એક કપ કૉફીની પ્રતીક્ષા શું કહી રહી છે એ સાંભળવા જેવું છે…. ગેલેરીમાં હીંચકે બેસી ઝૂલવું, કૉફી પીવું અને ઝોકું સુદ્ધાં ખાઈ લેવું કથકની મનગમતી પ્રવૃત્તિ છે, કારણ કે ગેલેરી જ આકાશ સાથેનું અને એ મિષે કુદરત સાથે તાદાત્મ્ય સાધવામાં નિમિત્ત બને છે. પણ કથકના વિચાર કેવળ હીંચકો, કૉફીઅને જાત પૂરતા સીમિત ન રહેતા ઋતુચક્ર સુધી પણ વિસ્તરે છે. બની શકે કે શિયાળાની બપોરે જે ગેલેરીમાં બેસી શકાય છે, એ જ ગેલેરીમાં ભરઉનાળે ન પણ બેસાય. બનવાજોગ છે, પણ ખરી કવિતા અત્યારે જે ક્ષણ સાંપડી છે એને પૂર્ણપણે જીવી લેવામાં છે. Carpe Diem નો નાદ સંભળાય છે?!

Comments (4)

વાત રંગની છે – ચંદન યાદવ

વાત કપડાંની નથી –
વાત રંગની છે

હું ઘણીવાર કપડાં ધોઉં છું
અમુક કપડામાંથી રંગ નીકળે છે
આપણે કહીએ છીએ કે
રંગ કાચો છે.

પણ એ રંગ સાથે રહેલા બીજા કપડામાં લાગી જાય છે
એવો કે સાલ્લો નીકળે જ નહીં
જાણે કે રંગને હવે એ નપાવટ મળ્યું
કે જેના પર એને લાગવું હતું.

રંગ કાચા નથી હોતા
આપણને જે કાચા લાગે છે
એમને સાચું પાત્ર નથી મળ્યું હોતું
કે જેના પર સરખું લાગી શકાય

વ્હેલા મોડા આપણને પણ પોતાનો રંગ મળશે
ને જ્યારે એ મળશે ત્યારે એ છૂટશે નહિ

– ચંદન યાદવ (ભાવાનુવાદ : યાજ્ઞિક વઘાસિયા)
(સૌજન્ય – ટહુકો.કોમ )

 

એટલી સ્પષ્ટ કવિતા છે કે અર્થ સીધો કાળજે ભોંકાય છે….

Comments

(મારો શાકવાળો) – ધીરુબહેન પટેલ

મારો શાકવાળો
ખરેખર બહુ સારો માણસ છે.
એ રોજ સવારે મને હસીને ‘જે શી ક્રષ્ણ’ કહે છે
મારો દિવસ સારો જાય એવી શુભેચ્છા પણ આપે છે.
પછી જ અમારી ભાવતાલની રકઝક શરૂ થાય.
ક્યારેક એના વટાણા સડેલા હોય
ને ટામેટાં વધારે પડતાં પાકી ગયેલાં –
એનાં ત્રાજવાંનાં કાટલાંનુંયે બહુ ઠેકાણું નથી હોતું.
પણ એ મને એના સંસારની વાતો કરે છે
અને મૃદુતાથી જાણી લે છે કે
મારું પણ બધું ઠીકઠાક ચાલે છે ને!
એના ચહેરામોહરા માટે કે
એની સુઘડ રીતભાત માટે જ
એ મને ગમે એવું નથી
એ મને ગમે છે કારણ કે
ભાવતાલની ભાંજગડમાં
હું હંમેશ એને હરાવી શકું છું
અને મારું પ્રત્યેક પ્રભાત
વિજયના સ્મિત સાથે શરૂ થાય છે.

– ધીરુબહેન પટેલ

ન બોલીને બોલે એ ખરી કવિતા. કવિતામાં કવિ ઘણીવાર જે લખ્યું હોય એ નહીં, પણ જે ન લખ્યું હોય એ કહેવા માંગતા હોય એમ બને. આપણને બે પંક્તિ વચ્ચેનો અવકાશ વાંચતા આવડવું જોઈએ. ‘કિચન પોએમ્સ’ ધીરુબહેનના દિવાનનો એક ખાસ હિસ્સો છે. પોતાના ઘરમાં દરેક મોરચે પરાજિત થતી કે પહેલા ક્રમ સિવાયના સ્થાનની જ હકદાર થતી ગૃહિણીને એનો રોજિંદો શાકવાળો શાકની ખરાબ ગુણવત્તા અને તોલમાપની બેઈમાની છતાં ગમે છે, કારણ કે એ એની સાથે સ્મિતથી વાતો પણ કરે છે અને ભાવતાલના યુદ્ધમાં હાર સ્વીકારવાનો દેખાવ પણ કરે છે. પોતાના પરિવારમાં બધું ઠીકઠાક જ ચાલે છે એવું કાછિયા સાથેની વાતચીતના સંદર્ભમાં કવયિત્રીએ કહ્યું તો છે, પણ શાકવાળા સાથેના સંબંધના નેપથ્યમાં બિટવીન ધ લાઇન્સ આપણને એનો ઘરસંસાર દીવા જેવો સાફ નજરે ચડે છે.

Comments (8)

નયનનાં મોતી : ૦૪ : કેન્ડલલાઈટ ડીનર – નયન દેસાઈ

*

અજવાળું એક અહેસાસ છે,
દોસ્તો ! એ ખાઈ શકાતું નથી.
મીણબત્તીનું અજવાળું એ કંઈ બેંક બૅલેન્સ નથી,
કે નથી ફ્લેટ કે નવી કારનું મૉડેલ,
એને વેચી કે વટાવી શકાતું નથી,
ખડખડતી ચમચીઓનો અવાજ મોટો ને મોટો થતો જાય છે.
કાળી ડિબાંગ રાત્રે જંગલમાં,
-મારા ગામના જંગલમાં વાગતા આદિવાસીના ઢોલની જેમ,
દોસ્તો ! હું ભૂલથી આવી ગયો છું અહીં
મને માફ કરો !
ફ્લડલાઈટ્સના આ ધોધમાર પ્રકાશમાં,
વહી નીકળ્યા છે બધા જ ચહેરા.
મેકઅપ – સ્માઈલ – સ્માર્ટ નેસવાળા ચહેરા,
વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલતા ચહેરા.
દરેક આંખમાં પોતાનું જ એન્લાર્જડ પ્રતિબિંબ,
દરેક હાથ પર શેઈકહેન્ડની બોગનવેલિયા,
ક્યાં છે રોટલા ટીપીને રાહ જોતી એ આંખોનો ભાવ?
ક્યાં છે એક મુઠ્ઠી ભૂખને પંપાળતા હાથ ?
સાંજનું જાઝ વાગી રહ્યું છે,
એના ધ્રુજતા વર્તુળાતા ઘેન – ગુલાબી લયમાં
ગુલાબજાંબુની આછી ગંધ,
(વાડામાં ગુલાબનો છોડ મરી ગયો ત્યારે કેટલું રડ્યો હતો હું !)
સાંજ નસેનસમાં કોતરી રહી છે ઉન્માદના રાફડા
(નર્તકીની ઊછળતી છાતી પર સમુદ્રનો કોલાહલ)
અને સળગતા ડેફોડિલ્સના રંગ જેવાં કપડાંમાં સજ્જ
ભણેલગણેલ એટીકેટીવાળા પડછાયા,
ઊંચી ઓલાદના,
ગોઠવાય છે ચપોચપ ટેબલો પર
તૂટી પડે છે પડછાયાનાં હાથ, નાક, કાન આંખ,
ધીમે ધીમે સંભળાય છે ભગાના ઢોલનો
‘ધબ ધબ થ્રિબાન્ગ ધબ, થ્રિબાન્ગ ધબ’ નો અવાજ,
ગાડામાં ફણગી ઊઠેલ ગીત,
અડધા અડધા થઈ જતા માણસો,
સાચ્ચેસાચ્ચા માણસો –
જાનનો ઉતારો, નવી દોસ્તીના રંગ,
પણ બળદના ઘૂઘરાએ જાઝ નહીં,
એની વાત જુદી, એનો લય જુદો
ડ્રમ્સ એક સાથ બજી ઊઠે.
પછી બૉન્ગો,
પછી ઈલેક્ટ્રિક ગિટાર,
ને વચ્ચે વચ્ચે ફલ્યૂટની મુરકીભરકી મીઠાશ,
મીણબત્તી સાથે જ ઓગળી રહી છે સાંજ ધીમે ધીમે.
બધું જ ઓગળતું જાય છે,
દોસ્તો ! મીણબત્તીના ગઠ્ઠાનું પછી શું કરો છો ?

– નયન દેસાઈ

ગીત-ગઝલના સમ્રાટ નયનભાઈની કલમ ક્યારેક છંદોલયના બંધન ફગાવી આઝાદ નિર્બંધ કાવ્યવિહારે પણ નીકળે. જો કે એમના ખજાનામાં અછાંદસ કાવ્યો નહિવત્ માત્રામાં જ જોવા મળે છે.

એંસીના દાયકામાં પ્રગટ થયેલ સંગ્રહમાંનું આ કાવ્ય છે. આજની પેઢીને કેન્ડલ લાઇટ ડિનરની નવાઈ ન લાગે, પણ એ જમાનામાં આ વિચાર કેટલો નવતર લાગતો હશે એ કલ્પી શકાય. મીણબત્તીના ઉજાસથી કવિતાનો ઉઘાડ થાય છે. પહેલી પંક્તિથી જ નયનભાઈનો સંસ્પર્શ વર્તાય છે. કેન્ડલ લાઇટ ડીનર છે, પણ કેન્ડલ લાઇટનું ડીનર નથી એટલે આ નામકરણ પર હળવો કટાક્ષ કરતા હોય એમ કવિ મીણબત્તીનું અજવાળું અહેસસ છે, એને ખાઈ શકાતું નથી કહીને વાત માંડે છે. આ ડીનર ભલે પૈસાથી ખરીદાયું હોય, પણ એનો જે અહેસાસ છે એની કોઈ કિંમત આંકી ન શકાય. ખખડતી ચમચીઓનો અવાજ કવિને પોતાના ગામના જંગલ સુધી લઈ જાય છે. પોતે આ સ્થળે મિસફિટ હોવાનો અહેસાસ થતાંવેંત એ માફી માંગે છે.

અચાનક પ્રકાશનું પરિમાણ બદલાય છે. મીણબત્તીના આછા અજવાળાંના સ્થાને ફ્લડલાઇટ્સનો ધોધમાર પ્રકાશ કવિતામાં ફૂટી નીકળે છે. કવિને પોતાને કોઈ રેસ્ટોરન્ટમાં થયેલ અનુભવ એમણે આલેખ્યો છે કે કેમ એ તો હવે કેમ ખબર પડે, પણ પ્રકાશના આ અણધાર્યા વૈષમ્યમાં કવિ આધુનિકતાના રંગે રંગાયેલ શહેરીજનોને જુએ છે. દરેક જણ સામી વ્યક્તિમાં પોતાની જાતને જ છે એથી વધુ મોટી કરીને જોવા ટેવાયેલ છે. મળતાવેંત શેઇકહેન્ડ તો થાય છે પણ આ હસ્તધૂનનમાં પ્રતીક્ષારત્ માનો સ્નેહભાવ પણ નથી અને ભલે મુઠ્ઠીભર પણ સાચુકલી ભૂખ પણ નથી. આ રેસ્ટોરન્ટ કોઈક સમુદ્રકિનારે (દમણ?) હોવી જોઈએ. સરસ! પ્રકાશના બે સાવ ભિન્ન સ્વરૂપોની કવિતામાં આકસ્મિક ટાપશી પુરાયાનો તાળો અહીં જઈને મળે છે. સમુદ્રકિનારાની હોટલોમાં કેન્ડલલાઇટ દીનર, ફ્લડલૈટ્સ, અને લાઇવ લાઉડ સંગીત-નૃત્યની હાજરી આપણે સહુએ પ્રમાણી છે. નસોમાં ઉન્માદ વધી રહ્યો છે. એટીકેટવાળા નામ વગરના પડછાયાઓની ભૂતાવળ સમા શહેરીજનોથી ટેબલો ઝડપભેર ભરાઈ રહ્યા છે.

કવિના અહેસાસમાં એમના ગામડાંના સાચુકલા માણસો અને એમના થકી અનુભવેલું જીવનસંગીત ફણગાય છે, જ્યારે બીજી તરફ નજર સમક્ષ નાનાવિધ વાદ્યોના સમન્વયથી જાઝ સંગીત ગૂંજી ઊઠે છે. બંનેની વાત અને લય નોખા હોવા છતાં કવિ આધુનિક સંગીતની મીઠાશનો પણ સ્વીકાર કરે છે. મીણબત્તીની સાથોસાથ સાંજ ઓગળી રહી છે, રાત ગાઢી થઈ રહી છે. બધું ઓગળતું જણાય છે. પ્રકાશ-સંગીત-સમુદાય-સ્મરણ : બધું જ મીણબત્તીના મીણની જેમ અસ્તિત્ત્વમાં અજવાળું પાથરતાં પાથરતાં ક્રમશઃ ઓગળી રહ્યું છે, પણ ભીતર જે ગઠ્ઠો બાકી રહી જાય છે એનું શું કરવું એ અસમંજસનો કવિ પાસે ઉત્તર નથી. મીણબત્તી આખી બળી જાય તો તો શાંતિ, કશું બચે જ નહીં, પણ મીણબત્તી બળે ત્યારે અંતે પીગળતાં પીગળતાં મીણનો જે ગઠ્ઠો બચી જાય એવી અકથ્ય પીડા ભૂત અને વર્તમાનના સંધિકાળ પર ઊભેલા કવિની સહનશક્તિ બહાર છે. મિસફિટ માણસો શહેરમાં કઈ રીતે ફિટ થાય, કહો તો !

Comments (7)

મરવું હમુન ગમતું નથ – વજેસિંહ પારગી

ખાહડા જેતરું પેટ ભરતાં ભરતાં
ડુંગોર ઘહાઈ ગ્યા
કોતેડાં હુકાઈ ગ્યાં
વગડો થાઈ ગ્યો પાદોર
હૂંકળવાના અન કરહાટવાના દંન
ઊડી ગ્યા ઊંસે વાદળાંમાં
અન વાંહળીમાં ફૂંકવા જેતરી
રઈં નીં ફોહબાંમાં હવા
તેર મેલ્યું હમુઈ ગામ
અન લીદો દેહવટો

પારકા દેહમાં
ગંડિયાં શેરમાં
કોઈ નીં હમારું બેલી
શેરમાં તો ર્‌યાં હમું વહવાયાં

હમું કાંક ગાડી નીં દીઈં શેરમાં
વગડાવ મૂળિયાં
એવી સમકમાં શેરના લોકુએ
હમારી હારું રેવા નીં દીદી
પૉગ મેલવા જેતરી ભૂંય

કસકડાના ઓડામાં
હિયાળે ઠૂંઠવાતા ર્‌યા
ઉનાળે હમહમતા ર્‌યા
સુમાહે લદબદતા ર્‌યા
પણ મળ્યો નીં હમુન
હમારા બાંદેલા બંગલામાં આસરો

નાકાં પર
ઘેટાં-બૉકડાંની જેમ બોલાય
હમારી બોલી
અન વેસાઈં હમું થોડાંક દામમાં

વાંહા પાસળ મરાતો
મામાનો લંગોટિયાનો તાનો
સટકાવે વીંસુની જીમ
અન સડે સૂટલીઈં ઝાળ

રોજના રોજ હડહડ થાવા કરતાં
હમહમીને સમો કાડવા કરતાં
થાય કી
સોડી દીઈં આ નરક
અન મેલી દીઈં પાસા
ગામના ખોળે માથું
પણ હમુન ડહી લેવા
ગામમાં ફૂંફાડા મારે સે
ભૂખમરાનો ભોરિંગ
અન
મરવું હમુન ગમતું નથ.

– વજેસિંહ પારગી
(જન્મ: ૨૩-૦૪-૧૯૬૩ – નિધન: ૨૩-૦૯-૨૦૨૩)

થોડા દિવસ પહેલાં જ ગુજરાતી ભાષાના અચ્છા જાણકાર કવિ શ્રી વજેસિંહ પારગી આપણને છોડી ગયા. લયસ્તરો તરફથી એમને એક નાનકડી શબ્દાંજલિ…

ગામમાં ખાંસડા જેવડું પેટ ભરવામાં ડુંગર ઘસાઈ ગયા, કોતરો સૂકાઈ ગઈ અને પાદર વગડો થઈ ગયું. હોંકારા દેવાના ને કિકિયારી કરવાના દિવસો વરાળ થઈ વાદળમાં ઊડી ગયા. જ્યારે ફેફસામાં વાંસળીમાં ફૂંક મારવા જેટલી હવાય ન બચી ત્યારે ગામ છોડવું પડ્યું. દેશવટો લીધો. પારકા દેશની ગંડુનગરીમાં આવા હલકી જાતના નિર્વાસિતોનું બેલી કોણ થાય? ઊલટું, ગામડેથી આવેલ આ લોકો શહેરમાં પોતાનાં મૂળિયાં ઊંડે ન ઉતારી દે, કાયમી સ્થાન મેળવી ન લે એ ડરથી શહેરીજનોએ એમના માટે પગ મૂકવા જેટલી ભોંય પણ રહેવા ન દીધી. કચકડા જેવા કાચા ઓરડામાં આ દલિત નિર્વાસિતો મરવાના વાંકે શિયાળામાં ઠૂંઠવાય છે, ઉનાળે સમસમે છે અને ચોમાસે લથપથ થતા રહે છે, પણ પોતે જ બાંધી આપેલ બંગલાઓમાંય એમને આશરો મળતો નથી.

ઘેટાંબકરાંની જેમ ગલીના નાકે રોજ એમની બોલી લાગે છે, રોજ તેઓ મામૂલી દામે વેચાય છે. પીઠ પાછળ કોઈ મામો કે લંગોટિયો કહીને વીંછીના ચટકા જેવા ટોણા મારે ત્યારે પગથી લઈને માથાની ચોટલી સુધી ઝાળ ચડી જાય છે. આ રીતે રોજેરોજ હડહડ થઈ સમસમીને સમય પસાર કરવાનો આવે ત્યારે મન તો એવું થાય કે આ નરક છોડી દઈને ફરી ગામના ખોળે માથું મૂકી દઈએ, પણ ગામમાં ભૂખમરાનો ભોરિંગ ફૂંફાડા મારી રહ્યો છે અને પોતાને મરવું પસંદ નથી એટલે આ રોજેરોજ મરીમરીને જીવવાની શહેરી જિંદગીનો ત્યાગ પણ કરી શકાતો નથી…

સમાજના ગરીબ દલિત-આદિવાસી વ્યક્તિની વ્યથા અને દુવિધાને કવિએ ભીલી બોલીમાં એવાં તો મર્મસ્પર્શી રીતે રજૂ કર્યાં છે કે આપણી પૂંઠે સદીઓના આપણા ગેરવર્તાવનો વીંછી કરડતો હોય એવો દાહ અનુભવાય છે.

(પ્રસ્તુત રચનાના કેટલાક શબ્દોના અર્થ સમજવા માટે શ્રી કાનજી પટેલ અને શ્રી બાબુ સંઘાડાનો સહકાર સાંપડ્યો છે. બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર.)

Comments (15)

તાડનાં વૃક્ષ – ચાર્લી સ્મિથ (અનુ.: વિવેક મનહર ટેલર)

એ દિવસે એલ.એ.માં સૂર્ય અસ્તાચળે જતો હતો, ત્યારે હું ભાડાની કાર હંકારી રહ્યો હતો
સનસેટ બુલેવર્ડ ખાતે પૂર્વ દિશામાં,
અંતહીન આંતરિક મારપીટથી થાકીને ઠૂસ થઈને,
અને મેં પાછળ જોયું પ્રખર વ્યાપક બળબળતા સમુદ્રી પ્રકાશ,
તથા ચિત્રિત શહેર ઉપર ઝળુંબી રહેલ હવામાંની ધૂળને જોવા માટે
જે પ્રકાશને સ્પષ્ટ અને સુંદર બનાવતી હતી,
અને મેં જોઈ લોખંડી વેલબુટ્ટાથી ગંઠાયેલી ભાંગીતૂટી નાની-નાની દુકાનો,
અને જોઈ સાંકડી ગલીઓ જે દૂર ભાગતા પાગલોની પેઠે
તળેટી તરફ ફૂટતી હતી, અને એક ટીલો હતો જેણે સૂર્યને અવરોધ્યો હતો,
પીળી માટીની એક ગોબરી તૂટી-ફૂટી દીવાલ જેના મથાળે એકમેકથી દૂર, વિસંગત દેખાતાં,
કેટલાક નાનાં-નાનાં ઘર હતાં, જો કે એમની નીચેની તરફ
નજીકમાં જ જૂથબંધ ઝૂંપડીઓ હતી
અને એક શેરી જે વિલો અને બોગનવેલના ગુચ્છાઓ વચ્ચે થઈને પસાર થતી હતી;
અને ટીલો, જે સડેલ અસહનીય પ્રકાશ વડે
સ્પષ્ટ રૂપથી પરિભાષિત થતો હતો, એના પર કેટલાક તાડનાં વૃક્ષ હતાં,
જે તે પળે પવનની લહેરોથી અછૂતા હતા જેને લઈને એમનાં તાલાં
લબડી પડ્યાં હતાં; એને એ બધા લોસ એન્જેલિસના વિશાળ આકાશ સામે
કાળાં દેખાતા હતા, જાણે નાનાનાના કાળા વિચારોને કારણોના જાડા દોરડાઓના છેડે
સામટા બાંધી ન દીધા હોય, અને લટકી રહ્યા હોય ત્યાં નિષ્પ્રયોજન એકાંતમાં,
રેસ્ટોરન્ટના અસ્તવ્યસ્ત કાઉન્ટર પછીતે ઊભેલ માણસના વિચારોની માફક,
જે અંગ્રેજી બોલી શકતો નથી, જેણે માંસ લપેટવાના કાગળની બનેલી ટોપી પહેરી છે,
જે પોતાની નાનકડી દીકરીને તમાચા પર તમાચા મારે છે, જ્યાં સુધી બંને જણ સહમી ન જાય,
નાસમજ અને નિઃસહાય, પોતાના જીવનથી વિહ્વળ.

– ચાર્લી સ્મિથ
(અનુ.: વિવેક મનહર ટેલર)

આપણી આસપાસના વાતાવરણ અને વ્યક્તિ સાથે આપણે કઈ રીતે જોડાઈએ છીએ એનો મુખ્ય આધાર આપણા અંતરના અરીસા પર જે-તે સમયે એમની છબી કેવી પડે છે એના પર છે. આસપાસનું વાતાવરણ આપણને જે પરિસ્થિતિમાં મૂકે છે, એવો જ આકાર આપણે આસપાસના વાતાવરણનો પણ ઘડી કાઢીએ છીએ… પ્રસ્તુત કવિતાનો પ્રધાન સૂર આ જ છે. રચનાના વિશદ અભ્યાસ તથા રસાસ્વાદ માટે આ પંક્તિ ઉપર ક્લિક કરવા વિનંતી.

The Palms

When the sun went down in L.A. that day I was driving
a rental car east on Sunset Boulevard,
worn down by the endless internal battering,
and looked back to see the vivid capacious burned oceanic light,
the dust in the air that made the light palpable and beautiful
hanging over the pastel city, and saw the crunched little stores
with their brocades of steel locking them up
and the narrow streets springing downhill like madmen
running away; and there was a ridge that blocked the sun,
a scruffy torn wall of yellow earth with a few small houses on top,
widely spaced, disconnected-looking, though down from them
there was a neighborhood of bunched-up shacks
and a street that wound through patches of willow and bouganvillea;
and on the ridge that was sharply defined by the
rotted unmanageable light, there were a few palm trees,
untouched at that moment by breeze so that their tops
hung limply; and they seemed, black against the huge sky
of Los Angeles, like small dark thoughts tethered
at the end of reason’s thick ropes, hanging there in gratuitous solitude,
like the thoughts of a man behind a cluttered restaurant counter,
who speaks no English, wearing a hat made of butcher paper,
who slaps and slaps his small daughter, until they both are stunned,
stupid and helpless, overwhelmed by their lives.

– Charlie Smith

Comments (4)

આકાશમાં કવિતા – પ્રદીપ ખાંડવાલા

સાંજે
બાલ્કનીમાં બેઠો બેઠો
સૂર્યાસ્તને જોતો હતો
આકાશમાં કશુંક ધૂંધળું જોયું.
વધુ ધ્યાનથી જોયું
અક્ષરના મરોડ જોયા
ચિહ્નવિરામો જોયાં
શબ્દો અને પંક્તિઓ?

એમને ઝાલવા
હાથ લંબાવ્યા
પણ આકાશ સુધી
તે કેમ કરીને પહોંચે ?

બારીકાઈથી જોવા
ચશ્માં પહેર્યાં
દૂરબીન પણ અજમાવ્યું,
મેં જોયું કે ત્યાં શબ્દો હતા
પણ અર્થ ન સમજાયો
શબ્દો વચ્ચે વચ્ચે
શૂન્યો હતા
જે પ્રભાવક લાગ્યા
ઉમદા લાગ્યા
આ તો કાવ્ય જ હોઈ શકે
કોઈ પવિત્ર ભાષામાં.

પછી કાવ્ય બોલ્યું:
મને માણવું હોય તો
ઉપર આવ
આકાશનું પહેલું પગથિયું ચઢ
પછી નિસરણી મળી જશે
શબ્દો તો પ્રાચીન છે
નહીં ઊકલે
પણ અર્થ માણી શકીશ!

– પ્રદીપ ખાંડવાલા

મોનાલિસાનું ચિત્ર જોતી વખતે આપણને ચિત્રકારે વૉટર કલર વાપર્યા હશે કે ઓઇલ કલર, સાદો કેનવાસ પેપર વાપર્યો હશે કે કોઈ બીજો વગેરે વિચાર આવતા નથી. આપણે ચિત્રનો આસ્વાદ કરીએ છીએ ત્યારે ચિત્ર બનાવવામાં કામ લેવાયેલ સાધનો વિશે વિચારતાં નથી. વાદ્યસંગીત કે શાસ્ત્રીય ગાયકી પણ શબ્દોની અનુપસ્થિતિમાં આપણને અકલ્પનીય આનંદનો અનુભવ કરાવી શકે છે. એ જ રીતે કવિતાનું ઉપાદાન સાધન છે પણ સાચી કવિતા એ જ, જે વાંચતી વખતે ભાવકનું ધ્યાન કવિએ પ્રયોજેલા શબ્દો પર ન જતાં ભાવક કવિના ભાવપ્રદેશમાં વિહરણ કરવા માંડે.

પ્રસ્તુત રચનામાં કાવ્યનાયક બાલ્કનીમાં સૂર્યાસ્ત હોવા બેઠા છે. આજના નગરજીવનમાં એક તો મોટાભાગની બાલ્કનીમાંથી સૂર્યાસ્ત કે સૂર્યોદયના દર્શન નહીં થાય અને થતાં હોય તો આપણી પાસે સમય નથી પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો. પ્રકૃતિ સાથેના ‘કનેક્શન’થી કાવ્યારંભ થાય છે એ વાત સૂચક છે. સૂર્યાસ્ત ટાંકણે આકાશમાં કશુંક અસ્પષ્ટ નજરે ચડે છે. ધ્યાનથી જોતાં કવિને એમાં કોઈક જાતનું લખાણ નજરે ચડે છે. લખાણ ઉકેલવા માટે કવિ શક્ય ઉપાય અજમાવે છે, પણ શબ્દોનો અર્થ સમજાતો નથી. ઊલટું શબ્દો વચ્ચે જે અવકાશ પ્રકૃતિએ છોડ્યો છે એ કવિને વધુ રોચક અને ઉમદા લાગે છે. ખરી વાત છે, ખરી કવિતા હંમેશા બે શબ્દો વચ્ચેની જગ્યા- between the lines- જ રહેલી હોય છે. કવિતા ખુદ કવિતાને પામવાનો રસ્તો પણ સૂચવે છે. એક ડગલું કવિતાની દિશામાં ભરવામાં આવે તો કવિતાને પામવાનો રસ્તો આપોઆપ જડી આવશે. શરત બસ એ જ કે કવિતાને પામવાના નિર્ધાર સાથે પહેલું ડગલું ભરવું પડે. સાચી કવિતા આપોઆપ સમજાઈ જતી હોય છે.

Comments (1)

છોકરી – ગ્રેસ – અનુ.- જગદીશ જોષી

આયુષ્ય નકારવાનો અને સ્વીકારવાનો
આ પ્રશ્ન નથી.
રેતીમાંના પાણી માટે તો નાનકડાં ઘર હોય છે.
તે બંધાવાં જોઈએ; પૂરી સમજદારીથી ફરી વાર
તેની રેતી એકઠી કરીને
રાખવી.
હું કેરળમાં હતો ત્યારે એક છોકરી મળી ગઈ.
એ વેળા જૂના ચર્ચનું દુરસ્તીનું કામ
ચાલુ હતું. ઇટાલિયન સંગેમરમ૨ના એક
ટુકડા પાસે તે ઊભી હતી.
ફૂલ તોડો; ઋતુના આવિર્ભાવોમાં ઘણા
સૂક્ષ્મ પલટાની નોંધ લો.
બસ, એટલું જ.
એક દિવસ કોઈ પણ પૂર્વ-એંધાણી આપ્યા વગર
તે મરી ગઈ.
સીધુંસાદું છે આટલું જ!

– ગ્રેસ – અનુ.-જગદીશ જોષી

એક પ્રચલિત ફિલોસોફિકલ થિયરી છે – LIFE IS RANDOM. અર્થાત્ – ન તો જીવનનો કોઈ અર્થ છે ન તો કોઇ હેતુ. જે થાય છે તેનું કોઈ કારણ નથી. આ થિયરી એટલી નિષ્ઠુર છે કે લોકો એને માનવાથી ડરે છે….અને ધર્મ તો તેને લગીરે સ્વીકારવા રાજી ન જ હોય – સ્વાભાવિક છે. બસ, આ કાવ્યને આ થિયરી સંદર્ભે માણો…

Comments (1)

મૃત્યુ – ફેહમીદા પાચા

ઢાંકી દો એનાં ખૂબસૂરત ચહેરાને ઢાંકી દો
કેટલો શાંત અને સુંદર ચહેરો છે
શુભ્ર સફેદ ચાદર ઓઢાડી દો
નહિ તો એને આપણી નજર લાગશે

જિંદગીમાં એણે ભરપૂર પ્રેમ કર્યો હતો
લખલૂંટ પ્રેમ લોકોએ આપ્યો હતો
એટલે જ મૃત્યુમાં આટલી સુંદર લાગે છે
વેદનાની એકે રેખા ચહેરા પર નથી

લાગે છે મૃત્યુનો દેવ એના પ્રેમમાં હતો
ચૂપચાપ આવી એનું અપહરણ કરી ગયો
અને એ પણ કશું બોલ્યા વિના ચાલી ગઈ
કોઈને ખબર ન પડી અને એ વિદાય થઈ

કે પછી ઈશ્વર એના વિના રહી ના શક્યો
સર્જનહારે એના સર્જનને કંકોતરી મોકલી
દેવોના ભર્યા દરબારમાં અપ્સરાની કમી હતી
કુમકુમ પત્રિકા આવી અને ચાલી નીકળી

– ફેહમીદા પાચા (મે ૧૯૯૩)

(જીવનકાળ : ૦૫/૦૫/૧૯૩૩ – ૦૧/૦૯/૨૦૦૬) કપડવંજમાં જન્મેલા સર્જકનું જીવન મુંબઈમાં વીત્યું. સાંઠ વર્ષની વયે એમણે પહેલીવાર કલમ ઉપાડી અને કાવ્યો રચ્યાં, જે એમનાં મૃત્યુપર્યંત ‘સો કવિતાનું સરવૈયું’ સંગ્રહ તરીકે પ્રગટ થયાં. કવિતાની એરણ પર મૂલવવા બેસીએ તો કદાચ એમનાં કાવ્યો ઉમદાની કક્ષામાં નહીં આવે, પણ એમની કવિતાઓમાં પાસા પાડ્યા વિનાના કાચા પણ સાચા હીરાની ચમક ઠેરઠેર વિખરાયેલ નજરે પડે છે.

પ્રસ્તુત રચના જુઓ. કેવી સબળ અભિવ્યક્તિ! સાવ સાદી વાત છે, પણ રજૂઆત કેવી મજાની! પ્રેમ એકમાત્ર પરિબળ છે જે સૃષ્ટિ સમગ્રને સુંદર બનાવે છે. મૃતકે જિંદગીમાં ભરપૂર પ્રેમ કર્યો હતો, પરિણામે લોકોએ પણ એને લખલૂંટ પ્રેમ આપ્યો હતો. પ્રેમ સંતુષ્ટિ બક્ષે છે. પરિણામે મૃતકના ચહેરા પર વેદનાની રેખા સુદ્ધાં દેખાતી નથી અને એ મૃત્યુ બાદ પણ આટલી સુંદર લાગે છે. મૃત્યુનો દેવ શું કે શું સાક્ષાત્ ઈશ્વર – બધા જ એના પ્રેમમાં હતા. જિંદગીને ચાહનારી મૃત્યુને પણ ચાહ્યા વિના ન રહી શકી. મરણ આપ્યું તો પ્રતિકારનો એક શબ્દ સુદ્ધાં ઉચ્ચાર્યા વિના એ કોઈનેય ખબર પડવા દીધા વિના ચાલી નીકળી. આખરી ચાર પંક્તિ કવિતાને વધુ પડતી મુખર બનાવે છે, એ ન હોત તો કવિતા કદાચ વધુ આસ્વાદ્ય બની હોત.

એમની અન્ય એક રચનાની ચાર પંક્તિઓ પણ જુઓ:

મનના કોઈ અગોચર અને અવાવરુ ખૂણામાં
જઈ એક દીવડો પેટાવ
અને પછી જો સૂર્યના અહંકારને ઓગાળી નાંખે
એવો ઉજ્જવળ ઉજાસ પથરાઈ જશે.

Comments (8)

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને – પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે )

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને હું મારી ઉદાસ જાળને
તારાં સાગરનેત્રોની દિશામાં પાથરું છું.

ત્યાં સર્વોચ્ચ ઉજાસમાં મારું એકાંત લંબાઈને પ્રજ્વળી ઊઠે છે,
ડૂબતા માણસની જેમ તેના હાથ તરફડે છે.

સાગર કે દીવાદાંડી પાસેના કિનારા જેવી ગંધવાળી
તારી અવિદ્યમાન આંખોની આરપાર હું
પાઠવું છું રક્તિમ સંકેતો.

તું રાખે છે માત્ર ગહન અંધકાર, ઓ મારી અતીતની સંગિની,
તારા આદરમાંથી કવિચત્ છલકે છે ત્રસ્ત કિનારો.

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને, હું તારાં સાગરનેત્રોમાંથી છલકતા દરિયામાં ફેંકું છું મારી ઉદાસ જાળોને.

હું તને પ્રેમ કરતો હોઉં એ ક્ષણના અમારા અંતરાત્મા
માફક ચમકતા પ્રથમ તારાઓને
રાત્રિનાં પંખીઓ ચાંચથી ટોચે છે.

રાત્રિ તેની છાયાઘોડલી ૫૨ સવા૨ થઈ
રેવાલ ગતિએ ચાલે છે.
ભૂરી પર્ણ-ઝૂલોને ખેરતી.

– પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે )

પાબ્લો નેરુદના પ્રણયકાવ્યો સમગ્ર વિશ્વમાં સુખ્યાત ! અંગત રીતે મને ગમતો કવિ, પણ તેઓની રાજકીય વિચારધારા જરાપણ ન સમજાય… હશે…આપણી નિસ્બત કવિતા સાથે છે…

વિદેશી ભાષાની કવિતાઓનો સમજાવી થોડી મુશ્કેલ હોય છે-તેનું ક્લેવર આપણી કવિતા કરતાં ખાસું નોખું હોય છે. સામાન્ય રીતે તેઓ કોઈ સ્પષ્ટ સંદેશ આપવા અથવા તો કોઈ કેન્દ્રીય વિચાર ને વ્યક્ત કરવા માંગતા હોય તેવું નથી હોતું, પણ તેઓ એક ભાવવિશ્વ સર્જે છે અને તેમાં ભાવક પોતાની રીતે તરબોળ થઈ શકે. અહીં ઢળતી સાંજે સાગરતટે બેઠેલો એક કલાન્ત નિરાશ પ્રેમી બહાર જે જુએ છે અને અનુભવે છે તેને પોતાના આંતરિક જગતના પરિપ્રેક્ષ્યમાં કવિતામાં કહે છે….તર્કસંગતતા ન પણ હોય, અમુક ઉદ્ગાર મને નથી સમજાતાં, પણ કવિ સાથે એક ભાવનાત્મક ઐક્ય હું અનુભવી શકું છું……

Comments (3)

ફુલ્લકુસુમિત – ટોઇ ડેરહકોટ (અનુ.: વિવેક મનહર ટેલર)

મારા શ્વાસમાં
ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ
ભેળવવા
હું વાંકી વળી.

ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા:
મમ્મીઓ તેમના બાળકોને
ગાંઠદાર જરઠ ઝાડોને ટેકે
બેસાડી રહી છે;
એક યુગલ, આલિંગનબદ્ધ,
પાસેથી પસાર થતા એક રાહદારીને
આ જ મુદ્રામાં
પોતાનો ફોટો લેવા કહે છે,
જેથી કરીને એમનો પ્રેમ
હરહંમેશ માટે જકડાયેલ રહે
બે દોસ્તી વચ્ચે:
આપણી અને
ચેરીના વૃક્ષો વચ્ચેની દોસ્તી.

ઓ ચેરી,
મારાં કાવ્યો શા માટે
આટલાં સુંદર ન હોઈ શકે?

રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના
સજાવે છે પત્તા રમવાનું ટેબલ,
ચાદર બિછાવે છે, ઉપર મૂકે છે મીણબત્તી,
પિકનિક માટેની છાબડી અને વાઇન.
એક પિતા
છોકરાની વ્હીલચેર પાછળ તરફ નમાવે છે
જેથી એ નિહાળી શકે
ડાળીઓમાં ખીલેલા
સ્વર્ગને.
.           અમારી ચોતરફ
પુષ્પો
સપાટાભેર ખરતાં ખરતાં
ગુસપુસ કરી રહ્યાં છે,

.            ધીરજ ધર
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

.                                             ધીરજ ધર,
              તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

– ટોઇ ડેરહકોટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
82 વર્ષનાં અમેરિકન કવયિત્રી ટોઇ ડેરહકોટની આ કવિતા વસંતોત્સવ અને જીવનોત્સવની કવિતા છે. પોતાના શ્વાસમાં ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ ભેળવવા કવયિત્રી વાંકી વળે છે. ચેરી બ્લૉસમ્સનો એક અલગ જ જાદુ હોય છે. આખાને આખા વૃક્ષો પર પાંદડાંઓના સ્થાને કેવળ ફૂલોના જ ગુચ્છેગુચ્છા નજરે ચડે એ દૃશ્ય નીરસમાં નીરસ વ્યક્તિને પણ બે ઘડી થોભી જવા મજબૂર કરી દે એવું સશક્ત હોય છે. કવયિત્રી કેવળ પોતાના શ્વાસમાં ચેરી બ્લૉસમ્સની સુગંધ ભેળવવા માંગતાં હોત તો વાત સામાન્ય બનીને રહી જાત, પણ કવયિત્રી પોતાના શ્વાસમાં વસંતનો શ્વાસ ભેળવવા માંગે છે ત્યાં કવિતા સર્જાય છે. વૃત્તિ પ્રકૃતિનો આસ્વાદ મણવાની નહીં, પ્રકૃતિ સાથે એકાકાર થઈ જવાની, પ્રકૃતિમાં ઓગળી જવાની છે.

સર્જકનો કેમેરા એક પછી એક દૃશ્યો ઝીલે છે. આવા સ્થળો સહેજે પિકનિક-સ્પૉટ્સ બની જતાં હોય છે એટલે ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા. માતાઓ બાળકોને જૂના ગાંઠદાર ઝાડોને ટેકે બેસાડે છે. આલિંગનબદ્ધ થયેલ એક યુગલ એ જ સ્થિતિમાં પોતાનો ફોટો પાડી આપવા એક રાહદારીને થોભાવે છે. હેતુ એ કે પ્રેમની આ ક્ષણ ફોટોગ્રાફમાં કેદ થઈને ચિરંજીવી બની રહે. ચેરી બ્લૉસમ પણ કાયમે એનથી અને આલિંગન પણ હંગામી જ હોવાનું. પ્રેમ પણ સમય સાથે બદલાશે. પણ શાશ્વતીની કામના, ક્ષણને જીવી લેવાની અને જીવતી રાખવાની કામના મનુષ્યને ચાલકબળ પૂરું પાડે છે. રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના પિકનિક માટે ટેબલ સજાવે છે અને પોતાનો અપંગ પુત્ર આ સ્વર્ગીય નજારો માણવાથી વંચિત ન રહી જાય એ આશયથી એના પિતા વ્હીલચેરને પાછળ તરફ નમાવે છે.

સર્જક વૃક્ષને સવાલ કરે છે કે પોતાનાં કાવ્યો આટલા સુંદર કેમ નથી? વાત પણ સાચી જ છે ને! કુદરતની કવિતાથી ચડિયાતું તો બીજું શું હોઈ શકે? પણ કુદરત કદી લઈને બેસી રહેતી નથી. સપાટાભેર ખરી રહેલ પુષ્પોને લઈને જે હળવી મર્મર જન્મે છે. આ મર્મર મારફતે પ્રસંશાના પુષ્પથી નવાજાઈ રહેલ પ્રકૃતિ જાણે કહી રહી છે, ધીરજ ધર. તું પણ પુરાતન સૌંદર્યની સ્વામિની છે. સૌંદર્ય માટે પુરાતન વિશેષણ કદાચ એટલા માટે પ્રયોજાયું છે કે જૂની વસ્તુઓ આપણને હંમેશા વધુ આકર્ષે છે. પ્રાચીન કિલ્લાઓના ખંડેર પણ આપણે પૈસા ખર્ચીને જોવા જઈએ છીએ. અને આ અંતિમ બે પંક્તિઓની પુનરોક્તિ સૌંદર્ય જોનારની દૃષ્ટિ પોતે એક ઉત્તમ કવિતા હોવાની વાતને દૃઢીભૂત કરે છે.

અછાંદસ કાવ્યસ્વરૂપ અને કાવ્યાંતે હાલડોલ થતી જણાતી પંક્તિઓની રચના ઉભય વૃક્ષથી ખરતાં પુષ્પોની આભા સર્જવામાં નદદરૂપ થાય છે. ઇટાલિક્સનો પ્રયોગ પણ સાયાસ કરવામાં આવ્યો છે એય સમજાયા વિના રહેતું નથી.

*

Cherry blossoms

I went down to
mingle my breath
with the breath
of the cherry blossoms.

There were photographers:
Mothers arranging their
children against
gnarled old trees;
a couple, hugging,
asks a passerby
to snap them
like that,
so that their love
will always be caught
between two friendships:
ours & the friendship
of the cherry trees.

Oh Cherry,
why can’t my poems
be as beautiful?

A young woman in a fur-trimmed
coat sets a card table
with linens, candles,
a picnic basket & wine.
A father tips
a boy’s wheelchair back
so he can gaze
up at a branched
heaven.
.                  All around us
the blossoms
flurry down
whispering,

.        Be patient
you have an ancient beauty.

.                                          Be patient,
.                                  you have an ancient beauty.

– Toi Derricotte (pronounced DARE-ah-cot)

Comments (7)

You are there…. – Erica Jong – અનુ. ડો. નેહલ વૈદ્ય

તમે ત્યાં છો.
તમે હંમેશાંથી ત્યાં (જ) છો.
(બરાબર) એ વખતે જ્યારે તમે વિચારતા હતા
કે તમે (ચઢાણ) ચઢી રહ્યા છો
તમે ખરેખર (તો ત્યાં ) પહોંચી ચૂક્યા હતા
ત્યારે તમે હાંફી રહ્યા હોવા છતાં આરામમાં હતા
એ સમયે એ સ્પષ્ટ હતું કે તમે ત્યાં હતા.
એ સમજવું આપણી (માનવ) પ્રકૃતિમાં નથી કે ‘યાત્રા’ શું છે અને ‘પહોંચવું’ એટલે શું !
અને જો આપણે જાણી પણ ગયા હોઈએ
તો એ સત્ય સ્વીકારીએ નહીં
(અને ખરેખર આખી) જીંદગી જીવી ગયા પછી
(પણ) આપણે એવું વિચારીએ કે
આપણે હમણાં (જ) અસ્તિત્વમાં આવ્યા છીએ
(ખરેખર) જીવવું એટલે
અનિશ્ચિત રહેવું
સ્પષ્ટતા (તો) અંતમાં
આવે છે.

~એરિકા જોંગ

You are there.

You have always been
there.
Even when you thought
you were climbing
you had already arrived.
Even when you were
breathing hard,
you were at rest.
Even then it was clear
you were there.

Not in our nature
to know what
is journey and what
arrival.
Even if we knew
we would not admit.
Even if we lived
we would think
we were just
germinating.

To live is to be
uncertain.
Certainty comes
at the end.
~ Erica Jong ( From 'Poetry Of Presence' An Anthology Of Mindfulness Poems )

આ એક અનોખી યાત્રાની વાત છે. આપણાંમાંથી ઘણાંના અંતર મનમાં પ્રગટપણે કે ઘણીવાર ઊંડાણમાં અપ્રગટ રૂપે ચાલ્યા કરે છે. અને આ ‘હોવું’ અને ‘પહોંચવું’ પણ સ્થૂળ રીતે નહીં પણ સમગ્ર માનવજાતના અંતિમ ગંતવ્ય એવા નિર્વાણ, મુક્તિ કે પછી આત્મજ્ઞાન કહો, એ અવસ્થાએ પહોંચવાની વાત છે.
એ પરમ તત્ત્વ આપણને “તદ્ દૂરે તદ્ અન્તિકે” જણાય છે, આપણા ઉપનિષદોના સારતત્ત્વ જેવી આ કવિતા પહેલી લીટીમાં જ એ સત્ય જણાવી દે છે કે તમે ત્યાં છો, એ જ સત્ય પર ભાર મૂકવા બીજી લીટીમાં એનું પુનરાવર્તન કરતાં કવિ કહે છે કે તમે ત્યાં હંમેશાંથી છો. આપણે આપણું સમગ્ર જીવન જેની શોધમાં વિતાવી દઈએ, જે અંતિમ સત્યને પામવા જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અપનાવીએ, જપ-તપ, મંત્ર-તંત્ર, ધ્યાન-આરાધનામાં વર્ષો ગાળી નાંખીએ; એ લક્ષ્ય આપણે પામી ચૂક્યા છીએ, જો આપણને એ સત્ય જોતાં આવડે તો.
કવિ આગળ કહે છે કે જ્યારે તમારી કપરાં ચઢાણ ચઢવા જેવી યાત્રા ચાલુ હતી, તમે હાંફી રહ્યા હતા અને આ રસ્તો ક્યારે પૂરો થશે એવું અનુભવતા હતા, એ આખો વખત તમે તમારી મંઝિલ પર જ હતા અને આરામમાં હતા. આપણે આપણું તન-મન-ધન, સમગ્ર ઊર્જા, બધો જ પુરુષાર્થ હરિના માર્ગે ચાલવામાં લગાવી દઈએ, ત્યારે ખરેખર તો આપણે એ વિશ્વનિયંતાના ખોળે બેઠેલા હોઈએ છીએ. એવું કહેવાય છે કે સંત રૈદાસના પદ સાંભળવા ભગવાન કૃષ્ણ સ્વયં આવીને બેસતા. ભગવદ ગીતામાં પણ ભગવાન કૃષ્ણ કહે છે કે સૃષ્ટિમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં મારો વાસ ન હોય, છતાંય આપણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તીર્થયાત્રાઓ કર્યા કરીએ છીએ.
આપણી મનુષ્યની પ્રકૃતિ માટે એ સમજવું બહુ અઘરું છે કે આ ‘યાત્રા’ શું છે અને એ ગંતવ્ય સ્થાને ‘પહોંચવું’ એટલે શું? આપણા પૂર્વજો જે જે માર્ગે ચાલ્યા એ જ માર્ગે આપણે પણ ચાલી નીકળીએ છીએ પણ આ તો દરેકની પોતાની આગવી સફર છે. અને બીજાઓના અનુભવો સાથે આપણી અનુભૂતિઓને સરખાવ્યા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. જ્યારે આપણે જાણી ચૂક્યા હોઈએ તેમ છતાં એ સત્ય સ્વીકારી નથી શકતા કે જેની શોધમાં છીએ તે અહીં જ છે, આ પળમાં જ છે. આખી જીંદગી જીવી લીધા પછી પણ આપણે હજુ શરૂઆત કરી રહ્યા છીએ એવું માનીએ છીએ. ‘માઈન્ડફૂલનેસ’ થી જીવીએ (પ્રત્યેક ક્ષણ જાગૃતીથી જીવીએ) તો બધા ગ્રંથોનો સાર આ પળ છે, જે પરમ સત્ય છે તે આ પળ છે, અહીં જ છે, જો પળનું સત્ય સમજી જઈએ તો ક્યાંય જવાનું નથી, ક્યાંય પહોંચવાનું નથી.
પણ જીવન જીવવાનું બીજું નામ અનિશ્ચિતતા છે, સત્યની સ્પષ્ટતા તો જીવનના અંતે જ આવે છે.
છેલ્લી બે લીટીનો એક બીજો અર્થ પણ નીકળે છે કે વર્તમાનની પ્રત્યેક પળને સજગતાથી જીવવું એટલે અનિશ્ચિતતાને અપનાવવી. જે ક્ષણે તમે નિશ્ચિતતા તરફ જવા જાઓ છો ત્યારે ક્યાં તો તમે ભૂતકાળના કોઈ અનુભવ પર આધાર રાખો છો અથવા ભવિષ્યની કલ્પનામાં રાચવા લાગો છો અને એ ક્ષણે વર્તમાનની પળનો, સજગતાનો અંત આવી જાય છે.

~ નેહલ ( https://inmymindinmyheart.com/ )

Comments (2)

વિરહ – રવીન્દ્ર પારેખ

તું નથી ત્યારે
તારાં નહીં વહેલાં આંસુઓ
વહેંચવા નીકળ્યો છું
એક ટીપું કાલે ઊગનારી કળીએ લઈ લીધું
ને બીજી સવારે એ સૂર્યકિરણમાં ચમકયું
પાંખડીઓ પર !
એક ટીપું સૂકાં સરોવરે માંગ્યું
ને સવારે તો તે
કમળોથી છલછલી ઊઠ્યું !
સાતે સમુદ્રો પાસે તેમનાં આંસુ તો હતાં જ !
તોય તારાં આંસુ અનેક છીપમાં સંઘર્યાં
પછી તો મોતીઓ વેરાયા વૈશ્વિક ચોકમાં
વાદળોએ પણ માંગ્યાં તારાં આંસુઓ
ને રાત ભર એટલાં ટીપાં
વરસ્યાં કે
ઉઘાડ નીકળતાં જ લીલાશ લહેરાઈ ગઈ પૃથ્વી પર !
આકાશે કહ્યું કે હું નહીં સાચવી શકું એને
ને તેણે ઉછાળી મૂક્યાં આંસુઓ બ્રહ્માંડમાં
એ પછી રોજ તારાં આંસુઓ
તારાઓ થઈને ચમકે છે
તું નથી એનું દુઃખ હતું
પણ હવે થાય છે કે
ક્યાં નથી તું…!

– રવીન્દ્ર પારેખ

વિરહવિરહની ચરમસીમા એટલે સ્તબ્ધતા…..કવિ કાવ્યના અંત તરફ કહે છે કે – “ ક્યાં નથી તું…” – પણ કાવ્યનો કેન્દ્રીયભાવ એક ખાલીપાજન્ય સ્તબ્ધતાને છે….

Comments (1)

હત્યા – મહેમૂદ દરવીશ (અનુ: વિવેક મનહર ટેલર)

વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે:
તેઓ એક ચોક્કસ કવિતા
એક ચોક્કસ રૂપક ઇચ્છે છે
અને જો હું આડમાર્ગે ભટકી જાઉં
તો તેઓ કહે છે: ‘એણે રસ્તા સાથે દગો કર્યો છે’
અને જો હું ઘાસમાં વાગ્મિતા શોધી લઉં
તો તેઓ કહે છે: ‘એણે ઓક વૃક્ષની સ્થિરતાનો ત્યાગ કર્યો છે’
અને જો હું વસંતમાં ગુલાબને પીળું જોઉં
તો તેઓ પૂછે છે: ‘આની પાંદડીઓમાં માતૃભૂમિનું લોહી ક્યાં છે?’
અને જો હું લખું કે: ‘પતંગિયું છે મારી સૌથી નાની બહેન
બગીચાના દરવાજા પર’
તો તેઓ સૂપના ચમચાથી અર્થને હલાવે છે
અને જો હું ગણગણું કે: ‘મા તો મા જ છે, જ્યારે તેણી તેના બાળકને ગુમાવે છે
ત્યારે તેણી લાકડીની જેમ કરમાઈને સૂકાઈ જાય છે’
તેઓ કહે છે: ‘એ તો ખુશીથી ઝૂમે છે અને બાળકની અંતિમક્રિયામાં નાચે છે
કારણ કે એની અંતિમક્રિયા એના લગ્ન છે’

અને જો હું વણદેખ્યું જોવા માટે
આકાશ તરફ ઊંચે જોઉં છું
તો તેઓ કહે છે: ‘કવિતા પોતાના ઉદ્દેશ્યોથી બહુ દૂર ભટકી ગઈ છે’
વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે
અને હું એમના વાંચવામાંથી છટકી જાઉં છું
અને એમની ગેરસમજણ બદલ એમનો આભાર માનું છું
પછી મારી નવી કવિતાની શોધ કરું છું.

– મહેમૂદ દરવીશ
(અનુ: વિવેક મનહર ટેલર)

‘તમતમારે કવિતાનો આનંદ લો ને, અર્થની પળોજણમાં શીદ પડો છો?’ –ક્યારેક આવો ઉદગાર કોઈ દુર્બોધ કવિને એની રચના વિશે સવાલ કરીએ તો જવાબમાં સાંપદતો હોય છે… વાત ખોટી નથી. કવિતાનો વિશુદ્ધ આનંદ પિષ્ટપેષણ કર્યા વિના એમાંથી પસાર થવામાં કદાચ રહેલો છે. પણ કવિતા નામનો કોયડો કદાચ દુનિયામાં સૌથી જટિલ કોયડો હશે. કવિતામાં કવિએ પ્રયોજેલ શબ્દપ્રયોગો, રૂપકો અને સંદર્ભોનો અર્થ પૂરેપૂરો સમજાય નહીં તો પૂર્ણ કાવ્યાનંદ પ્રાપ્ત પણ થતો નથી… ગમે કે ન ગમે, પણ કાવ્યવિવેચન અને કાવ્ય પરાપૂર્વથી કાયા-પડછાયાની જેમ અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. પ્રસ્તુત રચનાનો વિશદ આસ્વાદ માણવા માટે અહીં ક્લિક કરવા અનુરોધ છે.

Assassination

The critics kill me sometimes:
they want a particular poem
a particular metaphor
and if I stray up a side road
they say: ‘He has betrayed the road’
And if I find eloquence in grass
they say: ‘He has abandoned the steadfastness of the holm oak’
And if I see the rose in spring as yellow
they ask: ‘Where is the blood of the homeland in its petals?’
And if I write: ‘It is the butterfly my youngest sister
at the garden door’
they stir the meaning with a soup spoon
And if I whisper: ‘A mother is a mother, when she loses her child
she withers and dries up like a stick’
they say: ‘She trills with joy and dances at his funeral
for his funeral is his wedding’

And if I look up at the sky to see
the unseen
they say: ‘Poetry has strayed far from its objectives’
The critics kill me sometimes
and I escape from their reading
and thank them for their misunderstanding
then search for my new poem.

– Mahmoud Darwish (Arabic)
(English Trans: Catherine Cobham)

Comments (5)

કૂવો – દર્શક આચાર્ય

ગામ આખાની તરસ છિપાય
તેટલો કૂવો હંમેશાં ભરેલો
.         રહે છે.
પાણી ભરવા આવતી દરેક
પનિહારીને કૂવો ઓળખે છે.
.         કોણ સુખી છે,
.         કોણ દુઃખી છે,
કૂવાને બધી ખબર છે.
સવારથી સાંજ સુધીમાં
ગામમાં ઘટેલી દરેક ઘટનાની
કૂવાને જાણ હોય છે.
.         રાત પડતાં,
.         નીરવ શાંતિમાં
ચંદ્ર જ્યારે ઝૂકીને તેના કાન
કૂવા પાસે લાવે છે ત્યારે
કૂવો તેને બધી વાત
.         કહી દે છે.

– દર્શક આચાર્ય

કૂવાના મિષે કવિ આપણા ગામડાંનું ચિત્ર આબાદ દોરી આપે છે. રોજ સવારે વહેલાં ઊઠીને કૂવે પાણી ભરવા જતી પનિહારીઓની ગૂફ્તેગુ એટલે ગામડાંની તંતોતંત ખબર છતી કરતું અખબાર. સાવ સહજ બાનીમાં અને બહુ ઓછા શબ્દોના લસરકે કવિએ ગામડાંની હકીકત તાદૃશ કરી બતાવી છે.

Comments (3)

રાજકારણ વિશેષ : ૧૧ : Communication – રમેશ પારેખ

આ તરફ કરફ્યૂ
તો પેલી તરફ લોહીને ફ્યૂઝ કરી ઉડાડી દેવાનું કાવતરું
કેટલાક પ્રસંગોનું જીવતા હાથબૉમ્બ સહિત ખુલ્લેઆમ ફરવું
દ્રશ્યોમાં ઠેરઠેર આગનું ભડકે બળવું
અને કવિ શ્રી ખાલીદાસનું તાકી રહેવું

*

શક્યતા કૃતનિશ્ચયી બનીને
બધું બાળી દેવા ઘૂમતી હોય ત્યારે
કશું કહેવાય નહીં.

*

અફવાઓનું તો પર્વ હતું

*

કૉમ્યુનિકેશનનો તમામ પુરવઠો ફૂંકી મારવામાં આવેલો.

*

કરફ્યૂગ્રસ્ત એવા
શ્રી શ્રી ખાલીદાસ તો
પોતાનાં ઘરમાં ગુમસૂમ
ને
કોરા કાગળમાં મિલિટરીવાન પેઠે
કોરા કાગળનો સૂનકાર
લટારો મારે…

*

શેરીની એક સ્ત્રી ,
જેની છાતીમાંથી ધાવણ સુકાઈ જતાં
તેનું ત્રણ દિવસની ઉંમરનું ભૂખ્યું છોકરું રડતું હતું તેના માટે
દૂધ શોધવા નીકળી
અને સરકારી બુલેટે તેની છાતીને દૂધને બદલે લોહીથી દૂઝતી
બનાવી આપી
એ દૃશ્ય
પોતાની બારીમાંથી મહાકવિ ખાલીદાસે તો માત્ર સાક્ષીભાવે જ જોયું
પણ
ખાલીદાસની જાણ બહાર તેનું એક આંસુ
લોડેડ ટૉમીગન જેવી કરફ્યૂની સત્તાને લાત મારીને
કોરા કાગળની ખુલ્લી સડક પર નીકળી પડ્યું
એ જોઈ
કવિકુલગુરુશિરોમણિ શ્રી ખાલીદાસ પોતાના ખોળામાં
હાથબૉમ્બ ફાટ્યો હોય તેવા હબકી ગયા.
શ્રી ખાલીદાસજીની નજીકમાં થયેલો આ પ્રથમ અકસ્માત્, જેમાં
પોતે પણ સંડોવાયા હોય.

આમ કાગળનું કોરાપણું
(કાં તો કાગળે પોતે કરેલા બળવાના કારણે)
ભીનાશની ખીચોખીચ ભીડથી ખરડાઈ ગયું…

– રમેશ પારેખ
(૦૯-૦૨-૧૯૭૪ / શનિ)

રાજકારણ વિશેષ પર્વની ઉજવણી નિમિત્તે આજે આ આખરી કાવ્ય.

ર.પા.ના કેટલાક કર્ફ્યૂ કાવ્યોમાંનું આ એક આજે આપ સહુ માટે…

કર્ફ્યૂ લાગે એટલે શહેરના રસ્તાઓ ખાલી થઈ જાય. ખાલી શેરીઓ અને ખાલી સંવેદનાઓનો કથાનાયક કવિ ખાલીદાસ જ હોઈ શકે ને, કાલિદાસ થોડો હોય! આગનું ભડકે બળવું, શક્યતા બધું બાળવા ફરતી હોય, અફવાઓનું પર્વ, કૉમ્યુનિકેશનનો ફૂંકી નંખાયેલ પુરવઠો – એકેએક રૂપકમાં ર.પા.નો સ્પર્શ વર્તાય છે. ધાવણા બાળક માટે દૂધ શોધવા નીકળેલ મજબૂર માને કેવળ સાક્ષીભાવે ગોળી ખાતી જોઈ કવિ ખાલીદાસની જાણ બહાર કોરા કાગળ પર એક આંસુ ટપકી પડે છે એની આસપાસ કવિએ જે કાવ્યગૂંથણી કરી છે, એ આપણા રોમેરોમને હચમચાવી દે એવી સશક્ત છે.

અંતે એટલું જ કહીશ, રાજકારણ પર કવિતા ચોક્કસ હોઈ શકે પણ કવિતા પર રાજકારણ ન જ હોવું જોઈએ…

અઢાર-અઢાર વરસથી સતત અમારી સાથે જોડાયેલા રહેવા બદલ અમે સહુ વાચકમિત્રો અને કવિમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ..

Comments (6)

રાજકારણ વિશેષ : ૦૮ : भेड़िया – सर्वेश्वर दयाल सक्सेना

-एक

भेड़िए की आँखें सुर्ख़ ( લાલચોળ ) हैं।

उसे तब तक घूरो
जब तक तुम्हारी आँखें
सुर्ख़ न हो जाएँ।

और तुम कर भी क्या सकते हो
जब वह तुम्हारे सामने हो?

यदि तुम मुँह छिपा भागोगे
तो भी तुम उसे
अपने भीतर इसी तरह खड़ा पाओगे
यदि बच रहे।

भेड़िए की आँखें सुर्ख़ हैं।
और तुम्हारी आँखें?

-दो

भेड़िया ग़ुर्राता है
तुम मशाल जलाओ।
उसमें और तुममें
यही बुनियादी फ़र्क़ है

भेड़िया मशाल नहीं जला सकता।

अब तुम मशाल उठा
भेड़िए के क़रीब जाओ
भेड़िया भागेगा।

करोड़ों हाथों में मशाल लेकर
एक-एक झाड़ी की ओर बढ़ो
सब भेड़िए भागेंगे।

फिर उन्हें जंगल के बाहर निकाल
बर्फ़ में छोड़ दो
भूखे भेड़िए आपस में ग़ुर्राएँगे
एक-दूसरे को चीथ खाएँगे।

भेड़िए मर चुके होंगे
और तुम?

 

—तीन

भेड़िए फिर आएँगे।

अचानक
तुममें से ही कोई एक दिन
भेड़िया बन जाएगा
उसका वंश बढ़ने लगेगा।

भेड़िए का आना ज़रूरी है
तुम्हें ख़ुद को चहानने के लिए
निर्भय होने का सुख जानने के लिए
मशाल उठाना सीखने के लिए।

इतिहास के जंगल में
हर बार भेड़िया माँद से निकाला जाएगा।
आदमी साहस से, एक होकर,
मशाल लिए खड़ा होगा।

इतिहास ज़िंदा रहेगा
और तुम भी
और भेड़िया?

– सर्वेश्वर दयाल सक्सेना

માનવજાત અસ્તિત્વમાં આવી પછી સમાજરચના થઈ ત્યાર પછી સતત એક આદર્શ રાજ્યવ્યવસ્થાની શોધ ચાલી રહી છે. આજે પણ કોઈ પરફેક્ટ વ્યવસ્થા નથી રચી શકાઈ. લોકશાહી અત્યારે”Lesser Evil” નું સ્થાન ધરાવે છે, પરંતુ તેમાં પણ પુષ્કળ ત્રૂટિઓ છે. લોકશાહીની સફળતાનો આધાર નાગરિકની ક્વોલિટી ઉપર છે.

કાવ્યજગત કઈ રીતે સામાજિક/રાજકીય નિસ્બતથી અલિપ્ત હોઈ જ શકે !!?? જે સમાજમાં હરક્ષણ દેખાય છે તે કવિ અનુભવે છે અને કાવ્યે કંડારે છે. એમાં જનસામાન્યનો ચિત્કાર પડઘાય છે.

ત્રણ ભાગમાં એક જ કાવ્ય છે. પહેલાં ખંડમાં કવિ ચેતવે છે કે આસુરી રાજકીય તાકાતથી આંખ આડા કાન ન કરો – એની આંખો માં આંખો પરોવી સામનો કરો…. બીજા ખંડમાં આતતાયી રાજ્યશક્તિનો સામનો કઈ રીતે કરવો તે વર્ણન છે- સમૂહશક્તિ માટે તે અશક્ય નથી. અંગ્રેજ સામે ઝૂઝવા માટે હિંદુસ્તાન પાસે આ રસ્તો હતો. મશાલ એ જાગ્રતિ/જ્ઞાનનું પ્રતિક છે. ત્રીજો ખંડ કાવ્યનું હાર્દ છે. કોઈપણ ક્રાંતિનું એ અભિન્ન ભયસ્થાન છે-ક્રાંતિકારી પોતે જ આતતાયીનું સ્થાન લઈ લેશે….. ઈતિહાસમાં આવા અસંખ્ય ઉદાહરણ છે. કવિ એનો પણ રસ્તો બતાવે છે…. ત્રણે ખંડમાં અંતે કવિ પ્રશ્ન મુકે છે અને વાચકને એ કદી ભૂલવા નથી દેતા કે સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં નાગરિક પોતે છે. નાગરિકે એ નથી ભૂલવાનું કે અન્ય કોઈ આ “ભેડિયા”ને પરાસ્ત નહીં કરી શકે….નાગરિકે પોતે જ કરવાનો છે….

 

સર્વેશ્વર દયાલજી હિન્દી કાવ્યનું અતિસન્માનનીય નામ – અને આ કવિતા તેઓની ખૂબ જાણીતી રચના….

Comments (1)

રાજકારણ વિશેષ : ૦૬ : પહેલા એ લોકો… – માર્ટિન નાઈમુલર

નાઝીઓ જ્યારે સામ્યવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સામ્યવાદી નહોતો.

એ લોકો જ્યારે સમાજવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સમાજવાદી નહોતો.

એ લોકો જ્યારે કામદાર યુનિયનવાળાઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું કામદાર યુનિયનવાળો નહોતો.

એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું યહુદી નહોતો.

એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,
ત્યારે બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.

– માર્ટિન નાઈમુલર
(અનુ. ધવલ શાહ)

આ ખૂબ જ જાણીતી અને મારી પ્રિયા કવિતા છે. રાજકારણને લગતી કવિતાની વાત આવે તો આને પહેલી જ પસંદ કરવી પડે.

અન્યાયનો વિરોધ અને અનુચીતની સામેનો આક્રોશ સમગ્ર રાજકારણની જનની છે. જ્યાં જ્યાં આ વિરોધ નબળો પડે છે ત્યારે આખો સમાજ નબળો પડે છે. આ કવિતામાં આખી દુનિયાના રાજકારણને બદલી નાખવાની ચાવી છે. અન્યાયનો વિરોધ કરવામાં જે પ્રજા ચુકી જાય છે એ પ્રજાને આગળ જતા ભોગવવાનું આવે જ છે.

હિટલર માણસ શેતાન હતો એ સમજી શકાય એવી બાબત છે. પણ એની શેતાનિયત ચાલી એનું મોટુ કારણ એ કે લાખો માણસોમાંથી મૂઠીભર માણસો સિવાય કોઈએ એનો વિરોધ ન કર્યો. બધા ‘મારે શું?’ કરીને બેસી રહ્યા.

માર્ટિન નાઈમુલર નાઝી જર્મનીમાં પાદરી હતા. આજે હિટલરના અત્યાચારોનો બધા વિરોધ કરે છે પણ આશ્ચર્યની વાત એ છે કે એ વખતે આખુ જર્મની હિટલરની સાથે હતું. એના અત્યાચારનો બધા સક્રિય કે નિષ્ક્રિય રીતે ટેકો કરી રહ્યા હતા. જે થોડા લોકોએ હિટલરની પ્રવૃત્તિઓનો વિરોધ કરેલો એમાંથી માર્ટિન નાઈમુલર એક હતા. એમને પણ પકડી લઈને કોનશનટ્રેશન કેમ્પમાં મોકલવામાં આવેલા પણ કોઈ રીતે એ બચી ગયેલા. પાછળથી એમણે આખી જીંદગી યુદ્ધ અને અત્યાચારનો વિરોધ કરવામાં કાઢેલી.

અન્યાયનો વિરોધ ન કરવો એ પણ અન્યાય કરવા જેટલું જ મોટું પાપ છે.

મૂળ કવિતા અને વધુ માહિતી

Comments (2)

રાજકારણ વિશેષ : ૦૫ : (કાચિંડા) – બાબુ સુથાર 

ભેટે તલવારો બાંધીને
ફરી રહ્યા છે કાચંડા
કાં તો કેસરી રંગના
કાં તો લીલા રંગના;
ગામના ફળિયામાં,
ખેતરના ચાસોમાં,
કૂવાના જળમાં,
અને બારોટની વાર્તામાં પણ.
જ્યાં જુઓ ત્યાં
પોતપોતાના ગળે
ઢોલ લટકાવીને
ઢંઢેરો પીટી રહ્યા છે
આ કાચંડાઓ :
ખબરદાર જો કોઈએ
અમને પૂછ્યા વિના
કંઈ પણ કર્યું છે તો!
તેલ કાઢવામાં આવશે એનું
અવળી ઘાણીએ.
સતના સાચા રખેવાળ અમે જ,
અમે જ ૐના સાચા ધણી,
અમે જ વેદના સાચા વારસદાર,
જેમ પસાયતાં અમારાં
અને રામાયણ અને મહાભારત પણ અમારાં.
અમારી હકૂમત છેક ઉપરવાળા સુધી
એના હસ્તાક્ષરમાં
અમારા અંગૂઠાની છાપો
ઊછળે દરિયાનાં મોજાંની જેમ.
એક માણસે
આ કાચંડાઓને પૂછ્યા વિના
બે દાંત વચ્ચે ફસાઈ ગયેલો
એક રાઈનો દાણો બહાર કાઢ્યો
તો બીજા દિવસે જ એ લોકોએ
એનું અવળી ઘાણીએ તેલ કાઢ્યું.
બીજા એક માણસે
એમને પૂછ્યા વિના જ નખ કાપ્યા
અને બીજા જ દિવસે
એ ઘાણીમાં પીલાઈને
તેલ બની ગયો.

લોકો ક્યાંક સત્ય ન બોલી બેસે
એ માટે
આ કાંચડાઓએ
બોલતી વખતે
જીભ દાંતે અડકાડવા પર પણ
પ્રતિબંધ મૂકી દીધો છે.
કહેવાય છે કે કાચંડાઓના રાજના નાગરિકો હવે
એક પણ દંત્ય ધ્વનિ વિનાની ભાષા બોલવા લાગ્યા છે.

– બાબુ સુથાર

રાજકારણ હોય કે પછી સમાજ- આપણી આસપાસ રહેલા અસંખ્ય કાચિંડાના સ્વભાવને ઉજાગર કરતું અદભૂત, સચોટ અને ધારદાર અછાંદસ… વધુ કોઈ પિષ્ટપેષણનું મોહતાજ ખરું કે?

Comments (2)

રાજકારણ વિશેષ : ૦૨ : ક્રાન્તિ – વિપિન પરીખ

અમે કૉફી હાઉસમાં ચાર મિત્રો બેઠા હતા.
એકે સહેજ સાકર વધારે મગાવી.
બેરર કહે, “સા’બ, ચીની જ્યાદા નહીં મિલેગી,
દામ દેતે ભી કહાં મિલતી?”
એટલે એ તૂટી પડ્યો, કહે:
“આ દેશમાં શું મળે છે? ધૂળ?
સાકર નથી, પાણી નથી, દૂધ નથી, પાંઉ નથી, ઘઉં નથી.
આ સરકાર જ નાલાયક છે.
એ લોકોને આપણે ઉખેડી નાખવા જોઈએ.”

બીજો કહે, “મારા હાથમાં કોઈ મશીન-ગન આપે તો
આ વારતહેવારે ભાષણો પીરસતા મિનિસ્ટરોને
લાઈનમાં ઊભા રાખી સનન્ સનન વીંધી નાખું.”

ત્રીજો કહે, “ના, એ લોકોને એમ મારી નહીં નાખવા જોઈએ.
એ સાલાઓને તો નિર્વસ્ત્ર કરી, ગધેડા પર ઊંધા બેસાડી
ગલીએ ગલીએ મૂંગા માઈક આપી ફેરવવા જોઈએ.’’

એક જણ કહે, “ના ના. સફેદ કપડામાં અક્કડ ચાલતા
એ સુફિયાણા સંતોને ૯–૦૫ની વિરાર ફાસ્ટમાં
એક વરસ સુધી રોજ સવારે મુસાફરી કરાવવી જોઈએ.
એ સજા કદાચ પૂરતી થશે.”

એટલામાં ઘડિયાળના કાંટાથી દાઝી ગયો હોય એમ
એક જણ સફાળો કૂદી ઊઠયો:
“અરે! બે વાગી ગયા, ઊઠો ઊઠો
પાંચ મિનિટ પણ મોડું થશે તો
ઑફિસમાં પેલો બૉસ કૂતરાની જેમ ઘૂરકવા માંડશે.”
ને અમે ચાર ઊભી પૂંછડીએ
ઑફિસ ભણી ભાગ્યા.

– વિપિન પરીખ

લયસ્તરો રાજકારણ-વિશેષમાં આ બીજું પાનું. ગઈકાલની કવિતામાં એકેય શબ્દ ચોર્યા વિના કવયિત્રીએ શાસકપક્ષ પર સીધું જ શરસંધાન કર્યું હતું. આજે હવે દરેક ભાવક નિર્ભીક થઈને ‘મત’ આપી શકે એવી એક કૃતિ જોઈએ. લોકશાહીની પાયાની સમસ્યા કવિએ અહીં બહુ સરળ ભાષામાં સમજાવી છે. લોકશાહીમાં શાસકપક્ષ સામે વાંધો તો દરેકને છે પણ લોકો કેવળ વાકચતુર બનીને રહી જતાં હોવાથી લોકશાહી ઠોકશાહી બનીને માથે પડે છે… મોટી મોટી વાતોના વડાં કરનારાં પણ પોતાની અંગત દુનિયાની બહાર એક પગલું દેશહિતમાં ભરવા જ્યાં સુધી તૈયાર નથી ત્યાં સુધી શાસકપક્ષ કોઈપણ હોય, મનમાની જ કરવાનો…

Comments (4)

રાજકારણ વિશેષ : ૦૧ : મુખ્યમંત્રીજીનું પહેરણ – સરૂપ ધ્રુવ

અલ્યા,
આ તો સાવ પેલી વાર્તા જેવું થયું!
એ તો કહે છે કે આપણા ગુજરાતમાં શાંતિ છે.
બધું થાળે પડવા માડ્યું છે, રાબેતા મુજબ કામેકાજે ચડી ગયું છે આપણું શાણું
ગુજરાત-આગવું ગુજરાત.
હિંસા? પહેલાંના મુખ્યમંત્રીઓના રાજમાં ચાલતી હતી
એનાં કરતાં વહેલી બંધ થઈ ગઈ છે.
જાન હાનિ? – ખાસ ન કહેવાય; એમાં પણ આંકડા એમની તરફેણમાં છે.
હા, આમતેમ છમકલાં થતાં રહે: હોય; છોકરમત છે – છાનાં રહી જશે.
આપણને પટાવવાની લૉલિપોપ તો એમના ખિસ્સામાં જ છે ને ?!
ખિસ્સું… એમના પહેરણનું ખિસ્સું.
.                     શું પૂછો છો ?- પ્રધાનમંત્રીજી શું કહે છે, એમ?
.                     અરે, પીએમજી તો પ્રેમમાં પડેલા છે ને, આમના! ગળાબૂડ!
.                     રોજ ચાર વખત ફોન કરે છે ને કહે છે, કાંઈ વાતો….
.                     કાંઈ વાતો કરે છે… મીઠી મીઠી… લાંબી લાંબી … અહાહાહા…
બોલો, આમના રાજમાં કોઈને કંઈ જોખમ જેવું જ ક્યાં છે?
ખાઓ, પીઓ, જીઓ ઔર ગાઓ ગીત રામજીનાં!
રામ-રાજ તો છે જ… ને એ પોતે ચલાવનારા ચક્રવર્તી પણ છે જ.
સુખી છે… સૌ સુખી છે.. . સર્વદા સુખી છે. . .સદા સુખી છે… હવે કહો:
આટલા સુખી માણસને વળી પહેરણની ચિંતા શાની ?
એમને વળી પહેરણ જ શાનું?!
યાદ આવી ને પેલી વાર્તા …? …

– સરૂપ ધ્રુવ
(માર્ચ, ૨૦૦૨)

(રચના સંદર્ભ: ગુજરાતના મુખ્યમંત્રી ન. મો. ડિઝાઇનર પહેરણના શોખીન છે. એમનું પહેરણ આગવું છે– એમના ‘ગુજરાત’ની જેમ જ! (સરૂપ ધ્રુવ))

‘પ્રતિબદ્ધ કવિ’ તરીકે જાણીતા સરૂપ ધ્રુવની કવિતાઓ સુષ્ઠુ સુષ્ઠુ કવિતાઓ વાંચવા ટેવાયેલા ગુજરાતી વાચકમનને વિક્ષુબ્ધ કરી નાંખે એવી છે. સામાજિક પ્રતિબદ્ધતા એમની છેલ્લા ત્રણેક દાયકાની કવિતાઓનો પ્રમુખ સૂર છે. મોટાભાગની રચનાઓ કોઈને કોઈ સામાજિક, રાજકીય ઘટનાના સંદર્ભે અથવા કુદરતી કે માનવસર્જિત આપત્તિના અનુલક્ષમાં લખાયેલી છે. અને મોટાભાગની રચનાની સાથે કવયિત્રીએ ઉપર ટાંક્યો છે, એમ ‘રચના સંદર્ભ’ અવશ્ય મૂક્યો છે.

રચનાનું શીર્ષક કુતૂહલ જગાવે એવું છે. રચનાનો પ્રારંભ આ કુતૂહલને બેવડાવે છે. બે જણ વચ્ચે એકતરફી સંવાદ ચાલી રહ્યો છે. (આપખુદ સરકાર નાગરિક સાથે કરતી હોય એવો જ!) કથક શ્રોતાને ‘આ તો પેલી વાર્તા જેવું જ થયું’ એમ કહીને કઈ વાર્તા એ કહેવાને બદલે અચાનક ગુજરાત રાજ્યમાં પ્રવર્તતી શાંતિની વાત માંડે છે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલ કારસેવકો અને યાત્રાળુઓથી ભરેલ ટ્રેનના ડબ્બા પર હિચકારો હુમલો કરી આગ લગાડવામાં આવી, જેમાં સત્તાવાર આંકડા મુજ્બ અઠ્ઠાવન લોકો બળીને ભડથું થઈ ગયા. બીજા દિવસથી રાજ્યભરમાં ફાટી નીકળેલ કોમી હુલ્લડોમાં આઠસો જેટલા મુસ્લિમો અને અઢીસો જેટલા હિંદુઓનો ભોગ લેવાયો. અમાનુષી બળાત્કારો અને અત્યાચાર અલગ. બિનસત્તાવાર આંકડા તો બહુ મોટા છે. આ રાજ્યવ્યાપી કોમી હુલ્લડોને જે તે વખતની સરકાર અને અધિકારીઓનું સમર્થન હોવાની વાત એ સમયે જોર પર હતી. માર્ચ, ૨૦૦૨માં લખાયેલ આ રચના જે-તે સમયના બૌદ્ધિક જનમાનસનું પ્રતિબિંબ છે. જાદુઈ અદૃશ્ય પહેરણવાળા નાગુડિયા રાજાની વાર્તાનો સંદર્ભ લઈને કવયિત્રીએ પોતાની મનોવ્યથાને વાચા આપી છે.

ગોધરા હત્યાકાંડ પછી થયેલ રમખાણો વિશે એમણે આવી અનેક રચનાઓ ‘હસ્તક્ષેપ’ સંગ્રહમાં પ્રગટ કરી છે, કમનસીબે કવિની કલમે સમ ખાવા પૂરતી એક રચના પણ ગોધરા ખાતે ટ્રેનમાં જીવતા સળગાવી મૂકાયેલ કારસેવકો માટે અવતરી નથી. કદાચ કવિની તમામ સહાનુભૂતિ અને કવિકર્મની જવાબદારીઓ એક ખાસ કોમ પૂરતી જ સીમિત રહી ગઈ છે. આવા ઉઘાડા પક્ષપાતને ‘કવયિત્રીજીનું પહેરણ’ ગણી શકાય?

Comments (7)

સ્ત્રીઓ – વિનોદ પદરજ (હિંદી) (અનુ.: હરીશ મીનાશ્રુ)

બધી પવિત્ર નદીઓનું જળ લીધું એણે
બધા ઉપજાઉ ખેતરોની માટી
આસમાનનાં જેટલાં રૂપ હતાં બધાં લીધાં
સૂરજ ચાંદ સિતારા આકાશગંગાઓ મેઘ
અને ચૂલામાંથી આગ લીધી કડછીભર
બધાં ફૂલોની એક એક પંખુડી
બધાં પંખીઓનું એક એક પીંછુ
ઘટાઘેઘૂર વૃક્ષનું પાતાળભેદી મૂળ
જરા જેટલું ઘાસ જરા જેટલી હવા
દરેક બોલીનો એક શબ્દ લીધો-પ્રેમ
બધાને ભેળવીને સ્ત્રી બનાવી કરતારે
અને અચંબિત રહી ગયો
એ અપ્સરાઓથી અધિક સુંદર હતી
કરતારે કહ્યું
પૃથ્વી પર તું અધૂરી રહીશ
પૂર્ણતા માટે તને જરૂર પડશે પુરુષની
અને એના પ્રેમની
ચાહે તો અહીં સ્વર્ગમાં રહે
કામનાઓ વાસનાઓથી દૂર
જરા મરણ વ્યાધિઓથી દૂર
ખટકર્મથી પરે
ચીર યુવા ચીર સુંદર
પણ સ્ત્રીએ એક જ શબ્દ સાંભળ્યો વારંવાર
પ્રેમ પ્રેમ પ્રેમ
અને પૃથ્વી પર આવી ગઈ

હવે પૃથ્વી પર ભટકે છે એ
બહુ ઓછી છે જેમને પ્રેમ મળ્યો
બહુ વધારે છે જેમને પ્રેમમાં છલના મળી
અને સહુથી વધારે એ છે
જેમને પરણાવી દેવાઈ
જેમણે ઘર સંભાળ્યાં
છોકરાં જણ્યાં
વગર પ્રેમે

– વિનોદ પદરજ (હિંદી)
(ગુજરાતી અનુ.: હરીશ મીનાશ્રુ)

ઈશ્વરે અલગ-અલગ તત્ત્વોમાંથી અલગ-અલગ અંશ લઈને સ્ત્રીનું સર્જન કર્યું છે એ વિશે આપણે શૂન્ય પાલપુરીની બહુખ્યાત નઝમ આપણે ગઈકાલે માણી. પ્રસ્તુત રચનાનો શરૂઆતનો ભાગ એ નઝમને મળતો આવતો જણાશે પણ સ્ત્રીના સર્જનને લઈને માનવજાતને દર્દ મળ્યું હોવાની જે કાવ્યાત્મક રજૂઆત શૂન્ય પાલનપુરીએ એમની નઝમમાં કરી છે એ હકીકતમાં હકીકતથી સાવ વેગળી છે. જ્યારે પ્રસ્તુત રચનામાં કવિ આપણી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાની વાસ્તવિકતાને નગ્ન કરી આપણી સમક્ષ રજૂ કરે છે… એકદમ સરળ ભાષામાં કવિ લાંબા સમય સુધી ચચરાટ અનુભવાયા કરે એવો ઊંડો ડામ આપણને આપે છે…

Comments (8)

ઝડપભેર વીતી જતી વસંત – મહેમૂદ દરવીશ (અરબી) (અનુ.: વિવેક મનહર ટેલર)

‘વસંત બહુ ઝડપભેર પસાર થઈ ગઈ
મનમાંથી ઊડી ગયેલા
વિચારની જેમ’
ચિંતાતુર કવિએ કહ્યું

શરૂઆતમાં, એના લયથી એ ખુશ થયો
એટલે એ એક-એક પંક્તિ કરતોક આગળ વધ્યો
એ આશામાં કે સ્વરૂપ સ્વયં પ્રગટ થશે

એણે કહ્યું, ‘અલગ પ્રકારની તૂકબંદી
મને ગાવામાં મદદ કરશે
જેથી કરીને મારું હૃદય શાંત રહે અને ક્ષિતિજ સાફ’

વસંત અમારી પાસેથી પસાર થઈ ગઈ છે.
એણે કોઈની રાહ જોઈ નહીં
ન તો ભરવાડની આંકડીએ અમારા માટે રાહ જોઈ
ન તો તુલસીએ

એણે ગાયું, અને કોઈ અર્થ ન મળ્યો
અને હર્ષવિભોર થઈ ગયો
એવા ગીતના લયથી જે પોતાનો માર્ગ ભૂલી ગયું હતું

એણે કહ્યું, ‘કદાચ અર્થનો જન્મ
સંયોગથી થયો છે
અને કદાચ આ બેચેની જ મારી વસંત છે.’

– મહેમૂદ દરવીશ (અરબી)
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

ઝડપભેર પસાર થઈ જતી વસંતનું પ્રતીક લઈને પેલેસ્ટાઇની કવિ મહેમૂદ દરવીશ કાવ્યસર્જન અને કવિના આંતર્મનની એક પરત હળવેથી ખોલી આપે છે. કાવ્યસર્જનની પળે મનમાં ઝબકતા વીજળીના ચમકારા જેવા વિચારની મદદથી કવિતાનું મોતી પરોવી ન લેવાય તો કાગળ ઉપર કેવળ અંધકાર જ રેલાશે. સર્જનસમયે કોઈ પણ સર્જક આવ્યો વિચાર છટકી ન જાય એ બાબતે ચિંતાતુર અવશ્ય હોવાનો. પહેલી પંક્તિની માંડણી કવિને ખુશ કરે છે. જેમ જેમ કવિતા આગળ વધતી જાય તેમ તેમ કવિને આશા બંધાતી જાય છે કે કાવ્યસ્વરૂપ આપોઆપ પ્રગટ થશે. મનમાં આવેલ વિચાર સૉનેટમાં ઢળશે કે ગીત-ગઝલ-અછાંદસની વિધામાં પ્ર-ગતિ કરશે એવું કાવ્યલેખનના પ્રારંભે ઘણીવાર કવિમનમાં સ્પષ્ટ હોતું નથી. સમર્થ સર્જકના મનમાં ઉદભવેલા વિચાર સ્વયં કાવ્યાકાર નક્કી કરતા હોય છે. સર્જન સમયે અગાઉ ન ખેડેલી કેડી ઉપર ચાલનાર કવિને સંતોષ અને શાતા અપેક્ષિત હોય છે. સમય, ઋતુ અને વિચાર કોઈની પ્રતીક્ષા કરતાં નથી. માર્ગભૂલ્યું સ્વજન જડી આવે ત્યારે જે રીતે હર્ષવિભોર થઈ જવાય એ જ આનંદ સર્જન આપે છે. અર્થની કડાકૂટ વિવેચકો માટે, કવિને તો સર્જનના નિર્ભેળ આનંદ સાથે જ લેવાદેવા હોય ને! કવિતા મૂળે તો ભાવવહન કરવાનું ઉપાદાન છે, એમાંથી અર્થ નીપજે તો એ તો કેવળ સંયોગ જ. પુષ્પ વસંતમાં ખીલે એમ ખરી કવિતા બેચેનીમાં જ જન્મે છે..

A spring passing quickly

‘The spring has passed quickly
like a thought
that has flown from the mind’
said the anxious poet

In the beginning, its rhythm pleased him
so he went on line by line
hoping the form would burst forth

He said: ‘A different rhyme
would help me to sing
so my heart would be untroubled and the horizon clear’

The spring has passed us by
It waited for no one
The shepherd’s crook did not wait for us
nor did the basil

He sang, and found no meaning
and was enraptured
by the rhythm of a song that had lost its way

He said: ‘Perhaps meaning is born
by chance
and perhaps my spring is this unease.’

Mahmoud Darwish (Arabic)
(Eng. Trans.: Catherine Cobham)

Comments (9)

હજી ય તને યાદ કરું હોં… – મુકેશ જોષી

હજી ય તને યાદ કરું હોં

એક સવારે જૂઈના ફૂલોનો ખોબો ભરીને તું આવી હતી
મને કહ્યું હતું: એક વેણી ગૂંથી આપો
પહેલીવાર તેં વેણી બનાવતાં શીખવ્યું.
પહેલીવાર વેણી પહેરાવતાં તેં શીખવ્યું.

એક સાંજે ગુલાબી રંગની નેઇલપોલિશ લઈને તું આવી હતી
મને કહ્યું હતું મારા નખ રંગી આપો
પહેલીવાર ગુલાબી રંગ ધારીને જોયો
પહેલીવાર રંગકામ તેં શીખવ્યું

એક ઢળતી બપોરે મમ્મી બ્હાર ગયાં હતાં ને તું આવી હતી.
હાથ ઝાલીને મને રસોડામાં લઈ ગઈ હતી
તારી મનપસંદ કોલ્ડ કોફી બનાવડાવી હતી
પહેલીવાર તે કૉફી ચાખીને સો માર્ક્સ આપ્યા હતા

હજીય તને યાદ કરું હોં
બગીચામાં એકલો બેઠો હોઉં ત્યારે ..
જૂઈના સૂકાઈ ગયેલા ઝાડ સામે જોઈને
કોઈ ખાલી થઈને ફેંકાઈ ગયેલી નેઇલપોલિશની બોટલ જોઈને …
કોઈ યુગલને કોફી પીતા જોઉં ત્યારે

હવે ઘરમાં હવા સિવાય કોઈની અવરજવર નથી

– મુકેશ જોષી

……..શું બોલવું….?

Comments (3)

ચાડિયો – ભરત વિંઝુડા

૦૧.

ચાડિયાના
હાથમાં
બંદૂક રાખી નથી
કારણ કે
એને પંખી ઓળખતાં નથી.
પંખી માટે
ખેતરમાં
ચાડિયો જ કાફી છે.
કારણ કે
પંખી
માણસને ઓળખે છે
અને ચાડિયો
માણસ જેવો લાગે છે.

*

૦૨.

જે મૂર્તિ ન બની શક્યાં
તે બન્યાં
બાવલાં.
અને
જે બાવલાં ન બની શક્યાં
તે બની ગયા
ચાડિયા.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિના નૂતન કાવ્યસંગ્રહ ‘સ્ટ્રીટ લાઇટ’નું સહૃદય સ્વાગત…

સંગ્રહમાંથી ‘ચાડિયા’ કાવ્યગુચ્છમાંથી બે નાનકડા કાવ્ય આપ સહુને માટે…

Comments (4)

(ઘરઝુરાપો) – બાબુ સુથાર

કોણ જાણે આવું કેમ થાય છે?
પડો ફૂટેલી ભોંયમાં પગનો અંગૂઠો બૂડે
એમ આખું ડીલ બૂડી રહ્યું છે કશાકમાં
કેફ ચડે
એમ
ગામ આખું સ્મૃતિએ ચડ્યું છેઃ
ગોધૂલિવેળા થઈ છે,
ગાયો આંચળને ઘૂઘરીની જેમ
લણકાવતી આવી રહી છે,
જોડે મોહનકાકાની ભેંસને પાડી ધાવી રહી છે,
એના બચ બચ અવાજમાં ગંગાનદી
એની દૂંટીમાં જાતરાળુઓ મૂકી ગયેલા
એ મેલ ધોઈ રહી છે.
ફળિયાની વચોવચ નિર્વસ્ત્ર બનીને
નાહી રહી છે ચકલીઓ,
એમને જોઈને મણિમાસી કહે છેઃ
પડાળ પરથી ડોડા ઉતારવા પડશે,
માવઠું સીમને ડેલે સાંકળ ખખડાવી રહ્યું છે.
કૂવામાં ધબ્બ દઈને પછડાતા ઘડા
પાણી સાથે અફવાઓની આપલે કરી રહ્યા છે,
નહિ તો પાણીને ક્યાંથી ખબર હોય
કે મંછીને આજકાલ મણિયા સાથે બનતું નથી
અને જોડેના ગામમાં આંબા પર બેસે એમ
ઠાઠડી પર મોર ફૂટી નીકળ્યો હતો.
દૂર દૂર રાવણહથ્થાના તારે તારે
ભાઈબહેન મોસાળે જઈ રહ્યાં છે.
સ્મૃતિએ ચડેલું ગામ
અને
આથમણે ઊગેલી શુક્રની તારલી
એકાએક
મારી જીભને ટેરવે
રમવા માંડે છે
અડકોદડકો
દહીં દડૂકો.
બાએ હમણાં જ દાળમાં વઘાર કર્યો લાગે છે,
નહિ તો આખું ફિલાડેલ્ફિયા
આમ એકાએક હિંગથી તરબોળ ન લાગે.

– બાબુ સુથાર

નાનકડા ચેપબુક જેવા કાવ્યસંગ્રહ ‘ઘરઝુરાપો’માં કવિએ અછાંદસ કાવ્યોના ગુચ્છોને ચાર વિભાગ (ઊથલા)માં વહેંચીને શીર્ષકના સ્થાને માત્ર ક્રમાંક આપીને રજૂ કર્યા છે. સંગ્રહમાં કુલ એકતાળીસ કાવ્ય અને તમામનો વિષય એક જ–ઘરઝુરાપો. પણ નવાઈ એ લાગે કે એક જ વિષય પર આટલા કાવ્યો લખ્યા હોવા છતાં આખા સંગ્રહમાં એકવિધતા કે પુનરાવર્તનનો બોજ અનુભવ્યા વિના ભાવક સહૃદયતાથી જોડાઈ શકે છે. સંગ્રહમાંથી એક કાવ્ય અહીં રજૂ કર્યું છે.

‘કોણ જાણે કેમ આવું થાય છે’ની અસમંજસથી કાવ્યારંભ થાય છે, એટલે અહીં જે જે થઈ રહ્યું છે એના આપણે કેવળ સાક્ષી બનવાનું છે એટલું નક્કી થઈ જાય છે. આમ થાય છે તો કેમ થાય છે એવો સવાલ કોઈએ કરવાનો થતો નથી, કેમકે કારણ તો સર્જકને પણ ક્યાં ખબર છે?

ફિલાડેલ્ફિયામાં રહેતા કવિના સ્મૃતિપટ પર અચાનક એમનું ગામ આખું આવી ચડ્યું છે, અથવા એમ કહો કે કવિ આખેઆખા ગામની સ્મૃતિઓમાં ડૂબી ગયા છે. એક પછી એક કલ્પન સાવ અલગ જ તરેહથી રજૂ કરીને કવિ બાહોશ ચિત્રકારની માફક ગામનું ચિત્ર આબાદ ઊભું કરી બતાવે છે. આ સુવાંગ ચિત્રને વિવેચનની આડખીલી માર્યા વિના એમ જ માણીએ… કાવ્યાંતે થતો હિંગનો વઘાર તમારા નાકને પણ તરબોળ ન કરી દે તો કહેજો…

Comments (12)

પરિવાર પરિચય – મધુસૂદન પટેલ ‘મધુ’

જો ભૈ
લગન એટલે જલસાનો સેલ્લો દાડો નહીં
જલસાની શરૂઆત
અન ભૈ
નશીબમાં બધ્ધુ જ લશેલુ ના હોય
થોડુ આપડય લખવું પડ(અ)
આ તો તુ મારો હગ્ગો ભૈબંધ સ(અ) ન(અ)એટલે તન કહુ સુ.
માર લગનની પેલ્લી રાતે પેલ્લુ વાક્ય મુ આવુ બોલેલો:
ગ્લાસન(અ) ગોળી માર ન(અ) તુ ઑમ આય.
હનીમૂન પસ(અ) મનાઈશુ, અત્તારે મારી વાત હોંભળ
મુ હાવ દેશી મોંણહ
પ્યોર GJ 2
મારી મા એક નંબરની જૂઠ્ઠી
મારો બાપ ઈનો ગુરુ
અન(અ) મારી બુનની તો વાત જ જવા દે
એક દાડો અમે ભૈબુન લેસન કરતોં’તોં
મારી માએ મોટેથી ઓડકાર ખાધો
મારા બાપા મુસો ઉપર પોંણી વાળા હાથ ફેરવત(અ) ફેરવત(અ) બોલ્યા :
આજ તો તારી માએ કૉય ખવડાયુ(સ) કૉય ખવડાયુ સ(અ)!
પેટ ફાટુફાટુ થાય સ(અ)
આટલુ હોંભળતોં જ મારી બુન મારા પૅલા રહોડામ પૅઠી
અન(અ) બીજી જ સેકન્ડે રોવા બેઠી
રોત(અ) રોત(અ) મન(અ) કે ભૈ,
તુ ખઈ લે, મન(અ) પેટમાં દુઃખ સ(અ)
મારી બુનના પેટમાં દુખાવાની switch મારી માએ પાડી’તી
આટલું બોલીન(અ) મુ ઊભો થ્યો
ગ્લાસ ઉઠાઈન કીધુ: લે, આ તુ પી જા
મન(અ) દૂધ નહી ભાવતુ
અન(અ) પિયર સૂટયાની પેલ્લી રાતે પેલ્લી વાર એ બોલી:
જાને હાળા જૂઠ્ઠા.

– મધુસૂદન પટેલ ‘મધુ’

કવિતા કરવા ઉપરાંત કવિનું બીજું એક કામ તે ભાષાની જાળવણીનું. દુનિયાની કોઈપણ ભાષામાં સાહિત્યકાર ભાષાનો સર્વોચ્ચ પ્રહરી હોય છે. પ્રસ્તુત રચનામાં કવિએ કવિતા કરવા ઉપરાંત મહેસાણાની તળપદી ભાષાને જાળવવાનું કામ પણ બખૂબી કર્યું છે, એ નોંધવા જેવું છે.

બે ભાઈબંધ વાતો કરવા બેઠા છે. પહેલો બીજાને પોતાના તાજા લગ્ન વિશે વાત કરતાં કહે છે કે લગ્ન એ જીવનના જલસાનો અંત નહીં, પણ પ્રારંભ છે હકીકતે તો. સાથે શિખામણ પણ ચોપડી આપે છે કે બધી વાતે નસીબ પર આધાર ન રખાય, ક્યારેક એ બાબતે સ્વાશ્રયી પણ બનવું રહ્યું. સુહાગરાતે નાયક પત્ની સાથે વાતચીતની શરૂઆત પરિવાર પરિચય આપવાથી કરે છે. પત્નીને કહે છે કે, (કઢેલા દૂધના) ગ્લાસને અને હનીમૂનને ગોળી માર અને પાસે આવ. કહે છે કે પોતે સાવ દેશી માણસ છે. પ્યોર GJ 2 યાનિ કે મહેસાણિયા તરીકે પોતાને ઓળખાવવાની નાયકની રીત પણ GJ 2 ના લક્ષણોને સુપેરે હાઇલાઇટ કરી આપે છે.

પોતાનો પરિચય આપી દીધા બાદ નાયકનું સ્ટિઅરિંગ પરિવાર તરફ ફરે છે. કહે છે કે મારી મા એક નંબરની જૂઠ્ઠી છે અને બાપ તો એનોય બાપ છે. અને બહેન પણ કંઈ કમ નથી. એક દિવસ બે ભાઈ-બહેન હૉમવર્ક કરતાં હતાં ત્યારે મા ઓડકાર ખાઈને પોતાનું પેટ ભરાયું હોવાની જાહેરાત કરે છે, તો સામા પક્ષે બાપ પણ પાણીવાળા હાથે મૂંછ લૂંછતાં નાયકને કહે છે કે આજે તો તારી માએ હદબહારનું ખવડાવ્યું છે. સાંભળીને બહેન રસોડામાં પેઠી અને રસોડામાં એકાદ વ્યક્તિને થઈ રહે એટલું જમવાનું માંડ બચ્યું હોવાથી રડતાં-રડતાં પોતાને પેટમાં દુઃખતું હોવાથી ભાઈને જમી લેવા કહે છે. બહેનના પેટમાં દુઃખાવાની સ્વીચ પોતાની માએ પાડી હોવાનું કહી કવિ ઘરમાં પ્રવર્તતી દારૂણ ગરીબી પત્ની આગળ જાહેર કરે છે. માનો ઓડકારેય જૂઠ્ઠો અને બાપનું ફાટફાટ પેટ પણ જૂઠ્ઠું અને બહેનના પેટનો દુઃખાવોય ખોટો. હકીકતે ઘરમાં કોઈ જમ્યું જ નથી અને કુળદીપક નાયક માટે બધા બલિદાન આપી રહ્યા હતા. આ વાત કરી લીધા પછી નાયક પોતાને દૂધ ભાવતું ન હોવાથી પત્નીને દૂધનો ગ્લાસ પી જવા કહે છે. સુહાગરાત છે, પણ બેઉ જણને થઈ રહે એટલું દૂધ પણ ઘરમાં નથી. પત્ની પણ મૂર્ખ નથી. પતિને જાને હાળા જૂઠ્ઠા કહીને એ પતિની ગરીબાઈનો સ્વીકાર કરે છે.

રચનામાં ભાષાની મોજ તો છે જ પણ સાથે કવિતા પણ બળકટ થઈ હોવાથી મોજ બેવડાતી અનુભવાય છે. વાહ કવિ!

Comments (12)

ભેટ – લિ-યંગ લી (અનુ.: વિવેક મનહર ટેલર)

મારી હથેળીમાંથી ધાતુની કરચ ખેંચી કાઢવા માટે
મારા પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી હતી.
હું બ્લેડ નહીં, એમનો પ્યારો ચહેરો જ જોતો રહી ગયો હતો,.
વાર્તા પૂરી થતાં પહેલાં તો લોઢાની ચીપ, જેનાથી હું
મરી જઈશ એમ મને લાગતું હતું, એ એમણે કાઢી પણ નાંખી હતી.

મને એ વાર્તા તો યાદ નથી,
પણ એમનો અવાજ હજી પણ સંભળાઈ રહ્યો છે, એક કૂવો
ઊંડા પાણીનો, એક પ્રાર્થના.
અને મને એમના હાથ યાદ આવે છે,
મારા ચહેરા ઉપર મૂકાયેલ
સહૃદયતાના બે માપ,
મારા મસ્તક ઉપર એમણે પ્રજ્વલિત કરેલ
અનુશાસનની જ્વાળાઓ.

જો તમે તે બપોરે આવી ચડ્યા હોત
તો તમને લાગ્યું હોત કે તમે એક માણસને
એક છોકરાની હથેળીમાં કંઈક રોપતો જોયો છે,
એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા.
જો તમે એ છોકરાને અનુસર્યા હોત
તો તમે અહીં પહોંચ્યા હોત,
જ્યાં હું મારી પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છું.

જુઓ તો, મેં કેટલી કાળજીપૂર્વક એના અંગૂઠાના નખને
ખોતરી કાઢ્યો છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં.
ને જુઓ, હું કઈ રીતે ફાંસ કાઢી રહ્યો છું તે.
હું સાત વરસનો હતો જ્યારે મારા પિતાજીએ
આ જ રીતે મારો હાથ ઝાલ્યો હતો,
અને એ ટુકડો આંગળીઓમાં પકડીને
મેં કંઈ એમ વિચાર્યું નહોતું કે,
આ ધાતુ મારો જીવ લઈ લેત,
ન તો મેં મારા હૃદયમાં ઊંડે ઉતરનાર એ ધાતુના
નાનકડો હત્યારો કહીને નામસંસ્કાર કર્યા હતા.
વળી, હું મારા ઘા બતાવીને રડ્યોય નહોતો કે,
યમરાજની સવારી અહીં આવી હતી!
મેં તો બસ એ જ કર્યું હતું જે એક બાળક કરે
જ્યારે એને કંઈક સાચવવા માટે અપાયું હોય.
મેં મારા પપ્પાને ચૂમી લીધા હતા.

– લિ-યંગ લી
(અનુ.: વિવેક મનહર ટેલર)

માતાપિતા ઉત્તર તરફ જવાનું કહે અને સંતાન દક્ષિણાયન કરતાં હોય એ દૃશ્ય આપનામાંથી કોઈથી અજાણ્યું નથી. હકીકત એ છે કે માતાપિતા તરફથી સંતાનોને વાણી-વિચાર-વર્તનની જે કંઈ ભેટ સતત મળતી રહે છે, એ જ આગળ જતાં બાળકના વ્યક્તિત્વઘડતરની ઈંટો બની રહે છે. સાચું સંસ્કારસિંચન માબાપના ઉપદેશોથી નહીં, પણ વર્તનથી જ થતું હોય છે. આખરે તો, કૂવામાં હોય એ જ હવાડામાં આવે ને… ઇન્ડોનેશિયન ચાઇનીઝ કવિ લિ-યંગ લીની આ કવિતાનો વિશદ રસાસ્વાદ આપ અહીં માણી શકશો

The Gift

To pull the metal splinter from my palm
my father recited a story in a low voice.
I watched his lovely face and not the blade.
Before the story ended, he’d removed
the iron sliver I thought I’d die from.

I can’t remember the tale,
but hear his voice still, a well
of dark water, a prayer.
And I recall his hands,
two measures of tenderness
he laid against my face,
the flames of discipline
he raised above my head.

Had you entered that afternoon
you would have thought you saw a man
planting something in a boy’s palm,
a silver tear, a tiny flame.
Had you followed that boy
you would have arrived here,
where I bend over my wife’s right hand.

Look how I shave her thumbnail down
so carefully she feels no pain.
Watch as I lift the splinter out.
I was seven when my father
took my hand like this,
and I did not hold that shard
between my fingers and think,
Metal that will bury me,
christen it Little Assassin,
Ore Going Deep for My Heart.
And I did not lift up my wound and cry,
Death visited here!
I did what a child does
when he’s given something to keep.
I kissed my father.

– Li-Young Lee

Comments (4)

અગ્નિદાહ – પ્રતિષ્ઠા પંડ્યા

મોઢે બુકાની બાંધેલો
એ માણસ
અવારનવાર
ઇલેકટ્રીકની ભઠ્ઠીનું
ઢાંકણું ખોલી
કઢાઈમાં ધાણીની જેમ
હલાવે છે પપ્પાના શરીરને
હમણાં છેલ્લે હલાવ્યું
ત્યારે સળગતી, લાવા જેવી
જ્વાળાઓની વચમાં દેખાઈ હતી
પપ્પાની કરોડરજ્જુ
ને એની સાથે હજુ ય
જોડાયેલી ખોપરી
બહાર આવી વીંટળાઈ ગઈ’તી સજ્જડ
એમના બળતા શરીરની વાસ
સ્મશાનથી પાછી આવી
માથું ઘસી નહાઈ
હવે શરીર મહેકે છે
વાળમાં ચોંટેલી સ્મશાનની રાખ
ગટરમાં વહી ગઈ હશે
સુંવાળા, હજુ ય નીતરતા વાળને
સુગંધિત, સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ મને
લાકડાના ખાટલા પર સુવાડી
હવે દાહ દેવાય છે
મોં પર બુકાની બાંધેલા
આ જલ્લાદને હું ઓળખતી નથી
નથી ઓળખતી આ આગને
એમાં એ આમથી તેમ ફેરવે તો છે મારું શરીર
પણ પપ્પાના શરીરની જેમ
આ શરીર ભસ્મ થતું જ નથી!

– પ્રતિષ્ઠા પંડ્યા

ભારતીય પરંપરા મુજબ સ્ત્રીથી સ્મશાને ન જવાય એ વાત હવે ગઈકાલની થવા માંડી છે. પ્રસ્તુત રચનામાં કાવ્યનાયિકા પોતાના મૃત પિતાને વળાવવા સ્મશાન સુધી ગઈ છે એ વાત નાયિકા આધુનિકા હોવાની પ્રતીતિ કરાવે છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂકાયેલ પિતાજીના દેહને દેહનો ઝડપથી નિકાલ થાય એ હેતુસર બુકાનીધારી કર્મચારી કઢાઈમાં ધાણીને અવારનવાર હલાવવામાં આવે એમ અવારનવાર હલાવી રહ્યો હોવાનું વર્ણન આપણા શરીર આખામાં ઝણઝણાટી ફેલાવી દે એવું છે. લાવા જેવી જ્વાળાઓની વચ્ચે પણ પિતાજીની ખોપડી અને કરોડરજ્જુ છેલ્લે સુધી બળ્યા ન હોવાની વાત કવિતાના બંને ભાગને ન સાંધો, ન રેણની રીતે જોડે છે. પિતાજીના બળતા મૃતદેહની વાસ નાયિકાને અંગાંગમાં સજ્જડ વીંટળાઈ વળે છે. ઘરે આવીને નાયિકા હિંદુ પરંપરા મુજબ નહાઈ લે છે. એક તરફ પરંપરાથી આગળ વધી સ્મશાનમાં જવાની વાત અને બીજી તરફ સ્મશાને થી પરત ફરી નહાવાની અને એમ પરંપરાને જાળવી રાખવાની વાત પરથી ખ્યાલ આવે છે કે નાયિકા પારંપારિક સ્ત્રી અને આધુનિકાના સંધિસ્થાને ઊભી છે. કવિતાના ઉત્તરાર્ધમાં સુગંધિત સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ નાયિકા પોતાને લાકડાના ખાટલા પર સુવાડીને દાહ દેવાતો હોવાની વાત કરી આપણને ચોંકાવે છે. સીધીસટ વહી જતી કવિતામાં આવતો ઓચિંતો વણકલ્પ્યો વળાંક જ પ્રતિષ્ઠા પંડ્યાના અછાંદસને આજે કવિતાના નામે આજે ઠલવાઈ રહેલ કચરાથી અલગ તારવી આપે છે. જીવંત નાયિકા પોતાને લાકડા પર અગ્નિદાહ દેવાઈ રહ્યાનું અનુભવે છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠી લાકડામાં પલટાઈ છે. દાહ દેનાર અહીં પણ બુકાનીધારી જ છે, પણ આ વખતે કવયિત્રી એના માટે જલ્લાદ વિશેષણ પ્રયોજે છે, જે અગ્નિદાહ દેનાર બે વ્યક્તિ વચ્ચેના તફાવતને જમીન-આસમાન જેવો તોતિંગ કરી આપે છે. ફરી એકવાર આપણા શરીરમાં ઘૃણાનું લખલખું ફરી વળે છે. પોતાના બાપને સ્મશાનમાં વળાવી આવેલ પત્નીને એનો પતિ એક દિવસ પૂરતુંય શોકગ્રસ્ત રહેવાની આઝાદી આપવા તૈયાર નથી. આપણી નજર સમક્ષ થઈ રહેલો આ વૈવાહિક બળાત્કાર (marital rape) આપણને હચમચાવી દે એવો છે. જે માણસ સાથે લગ્ન કરીને નાયિકા વર્ષોથી સાથે રહે છે, એ માણસ જ્યારે જલ્લાદ બનીને બળાત્કાર ગુજારે છે ત્યારે પોતે એને ઓળખતી ન હોવાની વાત વેદનાને ધાર કાઢી દે છે. વાસાનાંધ જલ્લાદ નાયિકાના શરીરને આમથી તેમ ધમરોળે છે, પણ નાયિકાનું અસ્તિત્ત્વ પણ એના પિતાજીની જેમ જ પ્રતિકાર કરે છે. શરીર તો ભોગવાઈ રહ્યું છે, પણ સ્ત્રી અજેય, અપ્રાપ્ય બની રહે છે. આ ટકી રહેવું એ જ આ સ્ત્રીની ખરી પિછાન છે, ખરું ને?

Comments (6)

વારતા – ઉદયન ઠક્કર

એક હતી બકરી.નામ એનું અસ્મિતા.
તેજતર્રાર સ્વભાવની.
વાતેવાતે શિંગડાં ભેરવે.
મગદૂર છે કોઇની કે અટકચાળું કરી જાય?

બચરવાળ થઈ પછી અસ્મિતા નરમ પડી ગઈ.
એ ભલી ને એનું ઘર ભલું.
શું પોતાનું નામ, એ પણ ભૂલી ગઈ.

એક દિવસ અસ્મિતા ચરવા ગઈ.
જતાં જતાં ભટુરિયાંને કહેતી ગઈ,
‘ હું સાદ કરું તો જ બારણાં ઉઘાડજો.
મારી બોલાશ ઓળખજો.’
તે જાણતી હતી કે માતાની ભાષા ઓળખનારાં જ
જીવતાં રહે છે આ જંગલમાં.

અસ્મિતા જતી રહે એની જ રાહ જોતું હતું વરુ.
‘હલ્લો, હાઉ ડુ યુ ડુ!’ કરતુંકને આવ્યું.
બોલ્યુંઃ
બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં
તમારી મા આવી રે એલાં ભટુરિયાં….

ભટુરિયાંએ બારણાં ઉઘાડી નાખ્યાં.
વુલ્ફ હસ્યું.એના દાંત દેખાયા,
યલો યલો, લોંગ લોંગ.

અસ્મિતા મોડે મોડે પાછી આવી.
એના થાનેલાથી દૂધના ટશિયા ફૂટે.
બોલીઃ

બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં
તમારી મા આવી રે એલાં ભટુરિયાં
તમને ખવરાવશે રે એલાં ભટુરિયાં
તમને ધવરાવશે રે એલાં ભટુરિયાં….

પણ હવે કોણ ઉઘાડે બારણાં?

-ઉદયન ઠક્કર

વારતા બકરી અને વરુની છે પણ અભિપ્રેત કંઈક બીજું છે – એક વાચ્યાર્થ તો સ્પષ્ટ છે જ – બકરીનું નામ અસ્મિતા અને વરુ એટલે ભોગવાદી પાશ્ચાત્ય સંસ્ક્રુતિ.

જરા બાજા અર્થમાં જોઈએ તો આપણી તમામ વ્રુત્તિઓ,આવેગો,વાસનાઓને વિવેકબુદ્ધિ નામના બારણાં હેઠળ જગન્નિયંતા દ્વારા સુરક્ષિત રખાઈ છે. વરુ એ છાકટાપણું છે,અનિયંત્રિત ઉન્માદ છે – જો આપણે બારણાં ઉઘાડી સંયમની પાળી તોડી તો વિનાશ મીનમેખ…..

Comments (1)

માટે જ તો જીવતો છું – ઉદયન ઠક્કર

(ચીની કવિની ડાયરીમાંથી)

સ્ટીલ મિલના ફર્નેસ રૂમમાં મને નાખવામાં આવ્યો ત્યારે મારી વય વીસની હતી.દિવસ આખો કોલસા સવાલો પૂછે અને રાતે શરીર જવાબ દઈ દે. ચાદરની આડશે હું કવિતા લખતો હોઉં અને મારો પડછાયો કફન વણતો હોય.

છઠ્ઠે મહિને મારી હસ્તપ્રતો જપ્ત કરાઈ.સિક્રેટ પુલીસને સમજાય નહિ કે મેં લખ્યું છે શું? મામલો નિષ્ણાતો પાસે ગયો. તે પણ મુંઝાયા.
લોકો કહે છે, તમારી કવિતાઓ સમજાતી નથી.

હું કહું છું, માટે જ તો જીવતો છું.

– ઉદયન ઠક્કર

સંવેદનતંત્ર લકવો મારી જાય એવી ધારદાર રચના. દુનિયાના સેંકડો દેશોમાંથી કવિએ એકમાત્ર ચીન પસંદ કર્યો એનું કારણ શું હોઈ શકે? પ્રખર સામ્યવાદ અને માનવસ્વાતંત્ર્યના મૂલ્યોનો સદંતર હ્રાસ કદાચ. જે હોય તે. સ્ટીલ મિલની ભઠ્ઠીમાં કવિને કૂમળી વયે જોતરી દેવામાં આવ્યા હતા. આખો દિવસ કોલસા સાથે પનારો પાડવાનો અને રાત્રે શરીર જવાબ દઈ દે એ વાતને કવિએ કેવી માર્મિક કાવ્યાત્મક બોલીમાં રજૂ કરી છે! કોઈ જોઈ જાય તો સજા થઈ જવાની ભીતિને લઈને કવિ રાત્રે ચાદરની આડશમાં કવિતાઓ લખતા હોય ત્યારે મૃત્યુ શ્વાસે-શ્વાસે વધુ ને વધુ નજીક આવતું હોવાનું અનુભવતા. છ મહિને વાત બહાર આવી. હસ્તપ્રતો સિક્રેટ પોલીસે જપ્ત કરી લીધી. એમને ન સમજાયું તે નિષ્ણાંતોને મેદાનમાં લવાયા. એમનેય કવિતાઓ ન સમજાઈ. કવિતાનું તો ભઈ, એવું જ હોય ને! ‘ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત; કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.’

કવિ કહે છે કે એની રચનાઓ સત્તાધીશોને સમજાતી નથી, એટલે જ હસ્તપ્રતો જપ્ત થઈ ગયા બાદ પણ તેઓ હજી જીવંત છે. અન્યથા કવિતામાં રહેલ વિરોધ અને વિગ્રહ નજરે પડતાવેંત કવિના પ્રાણ ચીની શાસકોએ ખેંચી લીધા હોત ખોળિયામાંથી.

Comments (12)

તમારા માટે – ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)

તમારા માટે

જેઓનો ટોકિયો મહાભૂકંપ, ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩, પછી નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર, નરસંહાર કરાયો હતો.

શું કરવું જોઈએ મારે?
હું જન્મ્યો એના દસ વરસ પહેલાં તો તમને દફનાવી દેવાયા હતા.

નદીનો પટ ભર્યો પડ્યો છે
તમારા નિરાકાર ચહેરાઓથી.

તમારા દેશબંધુઓ, જે તમને શોધે છે,
આ જગ્યાને ટેકી-ક્યો, શત્રુ-રાજધાની કહે છે.

તમારું નામ લીધા વિના
હું આહ્વાન કરું છું તમને,

તમને, પીઠ પાછળ હાથ બાંધી દેવાયેલાઓને,
તમને, કુહાડીઓથી સંહારાયેલાઓને,

તમને, ગોળી મારીને
અને લાતો મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને,

તમને, સગર્ભાઓ
અને યુવાનોને,

તમને, જેઓ ભણવા આવ્યા હતા,
તમે પણ ત્યાં હતા,

અને તમને, એક ગાડા સાથે જોતરી દેવાયેલાઓને કારણ કે
તમારા પાકનો એક ભાગ જાપાની સૂદખોરો વડે લઈ લેવાયો હતો.

હજારો વર્ષ પહેલાં
મહાન કુરંગોના ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.
તે આજેય ઇન્ફ્રા-રેડ વડે જોઈ શકાય છે

પણ હું તમને, – જેઓ સાંઠ વર્ષ પહેલાં મરણ પામ્યાં છે, – કે તમારા નામને
જાણતો નથી. કેટલા હતા તમે લોકો -સેંકડો? વધારે?

શું કરવું જોઈએ મારે?
તમે જઘન્ય લાલસામાં દફનાવાયા છો

જ્યારે અમે શાંતિથી નાકાગાવા પાર કરીએ છીએ
અને કોમેડો શહેરમાં રખડપટ્ટી કરીએ છીએ.

શું કરવું જોઈએ અમારે?
સપ્ટેમ્બર પાછો આવી ગયો છે, ફૂલો ખીલી રહ્યાં છે,

જ્યારે પાડોશી મુલ્કના તમે,
તમારાં નામ અને ગુસ્સો નદીતળમાં વહી ગયાં છે.

અડધી સદીથીય વધુ સમયથી
અમે તમને પગતળે કચડતા આવ્યા છીએ.

– ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)
(અંગ્રેજી અનુ.: રીના કિકુચી, જેન ક્રૉફર્ડ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

*

જાપાનમાં ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ ટોકિયોમાં મહાભૂકંપ આવ્યા પછી ફેલાયેલી અફવાઓને કારણ બનાવીને જાપાનીઓએ જાપાનમાં રહેતા કોરિયનોનો જઘન્ય નરસંહાર કર્યો… ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહેલ આ મનુષ્યના વાસ્તવિક ચહેરાના નગ્ન નાચે દુનિયાને હચમચાવી દીધી હતી… વાત જાપાનના કાન્ટોવિસ્તારમાં થયેલ કત્લેઆમની છે પણ સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચે એ જ કવિતા. સ્થાનિક હત્યાકાંડનો તાંતણો ઝાલીને આ કવિતા ખરેખર તો વિશ્વચેતનાને સંકોરવાની કોશિશ છે… અંગ્રેજી અનુવાદ અને વિશદ કાવ્યાસ્વાદમાં રસ ધરાવતા મિત્રોને અહીં ક્લિક કરવા અનુરોધ છે.

Comments (2)

સ્મિત – હ્યૂ શીલ – અનુ.- હરીન્દ્ર દવે

દસ કે વધુ વર્ષ પહેલાં
એક પુરુષે મારી સામે સ્મિત કર્યું,
ત્યારે મને કશી જ ગમ ન પડીઃ
માત્ર તેના સ્મિતનું સૌજન્ય અનુભવાયું.

એ પુરુષનું શું થયું એની મને જાણ નથીઃ
પણ હજી ટકી રહ્યું છે એ સ્મિતઃ
એને ભૂલી નથી શકતી એટલું જ નહીં,
જેમ એનો વધુ વિચાર કરું છું એમ એ વધુ નિકટ લાગે છે.

એના માટે મેં લખ્યાં છે ઘણાં પ્રેમગીતો,
ઘણી યે પરિસ્થિતિમાં એને વણી લીધો છે;
કેટલાકે વેદનાને જોવા પ્રયત્ન કર્યો છે,
કેટલાકે હર્ષને.

વેદના પણ ઠીક છે અને હર્ષ પણઃ
એ બધાથી ૫૨ એક જ વસ્તુ રહે છે – પેલું સ્મિત,
એ સ્મિત કરનાર માણસ મને હજી મળ્યો નથી
પણ એના સ્મિતના સૌજન્ય માટે હું કૃતજ્ઞ છું.

– હ્યૂ શીલ ( ચીની ભાષા ) – અનુ.- હરીન્દ્ર દવે

ઘણીબધી રીતે અર્થઘટન શક્ય છે – સામાન્ય વાચ્યાર્થ પણ યોગ્ય જ છે…. કદાચ આવું કંઈ બન્યું જ ન હોય અને માત્ર વિશફુલ થિન્કિંગ જ હોય કવયિત્રીનું…. કદાચ સાવ ભિન્ન વાત પણ હોય અને એ સ્મિત કોઈ બીજા માટે હોય જે કવયિત્રી પોતા માટે સમજી બેઠી હોય… કવયિત્રીની કલ્પનાના ઘોડાઓ દોડવા માટે એટલા આતુર હતાં કે એક સ્મિત થયું-ન થયું અને વછૂટ્યા સીધા હણહણતા…… જે પણ હોય – ન હન્યતે યાદ આવી જાય…. પાકિઝાનો ટ્રેનના ડબ્બાનો અમર સિન યાદ આવી જાય – “ આપ કે પાંવ દેખે……”

Comments (2)

ગોધૂલિની વેળાએ – ઓયાકેમી

ગોધૂલિની વેળાએ
રસ્તો માંડ દેખાય છે;
ચન્દ્ર ઊગે ત્યાં સુધી રોકાઈ જા,
હું તને જતી તો જોઈ શકું !

– ઓયાકેમી

 

એક અજબ અજંપો ઊભો કરી દેતી કવિતા…. સત્તર-અઢાર શબ્દોમાં એક ભાવવિશ્વ સર્જાઈ જાય છે અને ખિન્નતા કેડો નથી મૂકી…..

 

Comments (2)

ત્રણ લઘુકાવ્ય – પ્રીતમ લખલાણી

(૦૧)

એક પનિહારીએ
નદીને
માણસ વિશે
એવું તે શું કહ્યું
કે
નદી
કદી દરિયા સુધી ન ગઈ?

(૦૨)

પનઘટે
પનિહારી વિચારે
કે
જો
હું
રોજરોજ આમ
બેડા
ભરતી રહીશ
તો
નદી બિચારી
કયે દિવસે
દરિયે પહોંચશે!

(૦૩)

રોજ બિચારો
દરિયો પૂછે નદીને
અરે!
પનિહારી કેવી હોય?

– પ્રીતમ લખલાણી

પનિહારી, નદી અને દરિયા -ત્રણેયને સાંકળતા ત્રણ મજાના લઘુકાવ્ય. સાવ સરળ અને સહજ ભાષા પણ દીર્ઘકાળ સુધી ચિત્તતંત્રમાં અનુરણન થયે રાખે એવા કલ્પન…

Comments (13)

એક કાવ્ય – ઉદયન ઠક્કર

એક બાજુ
માથામોઢ ઓઢીને ઈયળ પોઢણ કરે છે,
પીઠે ઢાલ લઈને ગોકળગાય રણે ચડે છે,
જાંબુડીના પોલાણમાં પોઢેલી પદમણીને ફળ ધરે છે કંસારો,
મત્સ્યની ફૂંકથી ઊઘડે છે સમુદ્રનાં તળ,
કાચબો કાચબીને ઢીંક મારે છે,
પરવાળાના મહેલમાં હણહણે છે જળઘોડા,
વ્હેલ ગીતો ગાય છે,
સાગરની પાંખડીઓ ખીલે ને વિલાય છે,
પર્વત કાઢે છે ધૂમ્રગોટ, ખોંખારીને,
ધૂમકેતુ પુષ્પવૃષ્ટિ કરે છે,
ઓતરાદા આકાશમાંથી અજવાસની કૂંડીઓ રેલાતાં ધરતી ધારણ કરે છે દંતકથાનો ગર્ભ…

અને બીજી બાજુ
પેલી છોકરી ક્યારની
ગાલ પરના ખીલની ફિકર કરે છે.

– ઉદયન ઠક્કર

સહઅસ્તિત્વ ધરાવતા બે વિરોધી પાસાંઓ કવિએ juxtapose કર્યા છે. પહેલી બાજુમાં કવિને વધુ રસ છે એટલે એનું દર્શન કવિ બહુ નિરાંતવા જીવે આપણને કરાવે છે. ઇયળ, ગોકળગાય જેવા સૂક્ષ્મ જીવોની દિનચર્યાથી શરૂ થતી વાત અંતે વિરાટતમની વ્યાખ્યા સમા સાગર-પર્વત-ધૂમકેતુ અને નોર્ધર્ન લાઇટ્સ પર જઈને વિરમે છે. તખ્તા પર આગવી ભાત પાડીને રજૂ થતા કળાકારોની જેમ કવિએ સજીવસૃષ્ટિના અલગ-અલગ જીવોને અહીં સાવ અનૂઠી રીતે પ્રસ્તુત કર્યા છે. સાગરના મોજાંની ચડઉતરમાં કવિ પુષ્પની પાંખડીઓને ખીલતી-વિલાતી જુએ છે. પર્વત પર મંડરાતા વાદળો કોઈ ખોંખારીને ધુમાડાના ગોટા કાઢતું હોય એવા ભાસે છે. ધૂમકેતુની પૂંછડીમાં કવિને પુષ્પવૃષ્ટિ નજરે ચડે છે. નોર્ધર્ન લાઇટ્સને ઓતરાદા આકાશમાંથી રેલાતી અજવાસની કુંડીઓ કહીને કવિએ બાહોશ કવિકર્મની અભૂતપૂર્વ સાહેદી પુરાવી છે. પૃથ્વીના ઉત્તર (અને દક્ષિણે) છેડે સર્જાતી પ્રકાશપુંજની અલૌકિક રમત માનવીને પરાપૂર્વથી મોહિત કરતી આવી છે અને અનેક માન્યતાઓ-દંતકથાઓને જન્મ પણ આપ્યો છે.

એક તરફ બ્રહ્માંડના દૂરાતિદૂરના છેડો અને બીજી તરફ સમુદ્રના ઊંડામાં ઊંડા તળને આલેખીને કવિએ પ્રકૃતિના સમૂચા સૌંદર્યને કલમના લસરકાઓ વડે આબાદ ચીતર્યું છે તો કવિતાના નાનકડી ત્રણ પંક્તિ અને એક વાક્યના બીજા ભાગમાં એક છોકરીને પોતાના ગાલ પરના ખીલની ફિકર કરતી બતાવીને કવિ વિરમી જાય છે અને કવિતા ત્યાંથી જ આગળ વધે છે. સમષ્ટિથી શરૂ કરી કવિનો કેમેરા વયષ્ટિ પર કેન્દ્રિત થાય છે અને તલ જેવડા નાના ભાગ પર આવીને અટકે છે. પ્રકૃતિના અસીમ સૌંદર્ય અને નિજી ચિંતાની પ્રકૃતિના વિરોધાભાસમાંથી જે કવિતા જન્મે છે એ લાંબા સમય સુધી સ્મરણપટ પર રણઝણ્યા કરે એવી સબળ છે…

Comments (17)

લગ્નની વર્ષગાંઠે કોઈને પણ ગીફ્ટ કરી શકાય એવી કવિતા – એષા દાદાવાળા

એનીવર્સરી

વસંત જેવી છે
સાથે જીવાય ગયેલા
સહેજ લીલા સહેજ પીળા થયેલા વર્ષોને
એ આખેઆખા લીલા કરી જાય છે
જોકે
વસંતના આગમનની સાબિતી તો
શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે
ત્યારે જ મળે,
બાકી
સાથે જીવાયેલા વર્ષોના સહેજ
ઝાંખા થયેલા ખૂણે
એકાદું ફૂલ ઉગી નીકળે
એ પ્રત્યેક પળ વસંત જેવી જ હોય છે.
લગ્નની વર્ષગાંઠ તો
વસંતને આવકારવાનું બહાનું છે
બાકી
સાથે જીવવાનું નક્કી કરીને બેઠેલા
બે જણ સાથે હોય
એ પ્રત્યેક પળે
શરીરની ડાબી બાજુએ
એકાદું ફૂલ ઉગતું જ હોય છે
અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!

– એષા દાદાવાળા

Comments (6)

looking for myself – Emily Dickinson

I am out with lanterns
looking for myself

– Emily Dickinson

બે લીટીનું મહાકાવ્ય…મીરાં,કબીર,રહીમ -સૌએ આ જ ગાયું છે… ‘ ઘૂંઘટ કો પટ ખોલ રે તોહે પિયા મિલેંગે…..’

માંડૂક્ય ઉપનિષદનો સાતમો શ્લોક યાદ આવે –

नान्तःप्रज्ञं न बहिष्प्रज्ञं नोभयतःप्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम्।
अदृष्टमव्यवहार्यमग्राह्यमलक्षणमचिन्त्यमव्यपदेश्यमेकात्मप्रत्ययसारं
प्रपञ्चोपशमं शान्तं शिवमद्वैतं चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः॥

સરળ ભાવાનુવાદ – પરમસત્ય બુદ્ધિથી પર છે, પરિમાણથી પર છે, મનની સીમાઓથી બાધ્ય નથી, ન તો કોઈ લક્ષણ ધરાવે છે – પોતાનો સાર તે પોતે જ છે. તે શબ્દાતીત છે. કશે જ દ્રશ્ય ન હોવા છતાં એ એવું તત્વ છે જેની ગેરહાજરી એટલે શૂન્યાવકાશ, વળી શૂન્યાવકાશ પણ તે તત્વ પોતે જ છે….એ જ તુરિય: [ ચતુર્થ ] છે-અદ્વૈત છે-શિવ છે-આત્મા છે…..

Comments (1)

દ્વય – વર્ન રુત્સલા (અનુ.: સુરેશ દલાલ)

એક માણસ છે. હું એને આછો અમથો ઓળખું છું. એ મારી ખુરસીમાં બેસે છે, પહેરે છે મારો ચહેરો અને વસ્ત્રો, ખરેખર તો મારી આબેહૂબ આકૃતિ. એને કહેવાય છે નાગરિક. વાસ્તવમાં તો એ છે કઠપૂતળી, જેને હું નિયંત્રું છું. જ્યારે એ બોલે છે ત્યારે કોઈને દેખાતું નથી, પણ હોઠ તો મારા હલે છે.

– વર્ન રુત્સલા
(અનુ.: સુરેશ દલાલ)

નાનું અમથું ગદ્યકાવ્ય. ફકરો જ જોઈ લ્યો ને! કવિના સંગ્રહનું નામ જ ‘પેરેગ્રાફ્સ’ છે. વયષ્ટિને સંબોધીને લખાયેલ આ કાવ્ય હકીકતે તો સમષ્ટિને સ્પર્શે છે. આમેય સ્વથી સર્વ સુધી જાય એ જ કવિતા. દ્વય એટલે જોડી. પણ આ જોડી આપણા સહુની આપણા નકલી જીવન સાથેની છે. આપણે આપણને ખુદને પણ પૂરું નહીં, કેવળ આછું ને અમથું જ ઓળખી શકીએ છીએ એ આપણા જીવનની મોટી વિડંબના છે. વિશેષમાં નાગરિક શબ્દનું લેબલ આપણી બચીકુચી આદિમતાને પણ ખતમ કરી દે છે. આપણે સહુ સિસ્ટમની દોરીએ બંધાઈને બીજાની ઇચ્છા મુજબ નર્તંતી કઠપૂતળીઓથી વિશેષ કશું નથી.

Comments (4)

બાળક યાદ કરે છે – અગ્નિશેખર (અનુ . સિતાંશુ યશશ્ચન્દ્ર)

શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.

શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં
છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા
લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.

રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો ‘તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા.

દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.

બાપુ, ગઈ કાલે ‘દૂરદર્શન’ પર બતાડતા હતા
કાશ્મીરને !
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…

ત્યારે, મને થયું, કે આપણે,
પીળાં પાંદડાં છીએ, ઝાડુના એક ઝાટકે
ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.

બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા ?

-અગ્નિશેખર
(હિંદીમાંથી અનુ.: સિતાંશુ યશશ્ચંદ્ર)

અત્યારે ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોરમાં છે. કાશ્મીરમાં પંડિતોની કત્લેઆમ અને ફરજીયાત હકાલપટ્ટી કરવામાં આવી હતી ત્યારે સરકાર ચુપચાપ તમાશો જોવામાં રત હતી. મૂળથી ઉત્થાપિત થવાની વેદના તો રામબાણ વાગ્યા હોય એ જ જાણે ને! એક બાળક આખી ઘટનાને કઈ રીતે જુએ છે એ આ કવિતાના માધ્યમથી અનુભવીએ. બહુ સરળ ભાષામાં બાળક હત્યાકાંડ અને એનાથી બચી જવા માટેની કવાયત તથા વિસ્થાપિત થયા બાદ કેમ્પમાં પોતાની હાલત અને આવતીકાલની સ્થિરતા બાબતની અનિશ્ચિતતા વર્ણવે છે. એકીસાથે લોહી થીજી પણ જાય અને ઉકળી પણ ઉઠે એવી સક્ષમ રચના.

Comments (10)

વવાઈ ગયા પછી – જયંત ડાંગોદરા

દંતાળને પાંચ દાંતા હોય છે
દાંતાને છેડે અણીદાર ફળાં
ને આ ફળાં જ
પાણીથી ભીંજાઈને
મૃદુ બનેલી જમીનમાં
ખૂંચતાં રહે છે ખચ્ચ ખચ્ચ.
ધૂંસરીએ જોડેલો ધુરીણ
અવિરત ખેંચ્યા કરે એ દંતાળ
એની પાછળ દોરાતો ખેડૂત
ઓર્યા કરે ઓરણીમાં દાણા
ને થોડા દિવસમાં ઊગી નીકળે
ચાસને ચીરીને ખેતરમાં વાવેલાં બીજ.
શિશુ જેટલા જ લાડકોડથી
ઉછેરવાં પડે છે એને.
રક્ષણ કરવું પડે ડુક્કરથી
પછી નીંદણથી
ઇયળ, કીટક, મોલોમસી
ને છેલ્લે તીડનાં ટોળાંથી.
દાણાં ભરાય ત્યારે ન્હોર જેવી
હરાયાં પંખીની ચાંચોથી.
એક વખત વવાઈ ગયા પછી
બચવું મુશ્કેલ હોય છે.
અને જીવી જવું તો એથીય જીવલેણ.

– જયંત ડાંગોદરા

કવિતા પૂરી થવા આવે છેક ત્યાં સુધી કવિ આપણને ખેતરની જિંદગીની મુસાફરીએ લઈ જવા માંગતા હોય એમ જ લાગે. ખેતર ખેડવા માટેના અણીદાર ફળાંવાળાં પાંચ દાંતાવાળું દંતાળ ખભે લઈને બળદ ખેતર ખેડતો જાય અને ખેડૂત બી ઓરતો જાય એ દૃશ્ય કવિએ આબાદ ચિતર્યું છે. પાક ઊગે પછી કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે એનું પણ કવિએ રસાળ વર્ણન કર્યું છે. પણ અંતભાગ સુધી ગદ્યનિબંધ જણાતી રચના આખરી ત્રણ પંક્તિમાં અદભુત કાવ્યમાં પરિવર્તિત થઈ જાય છે. દંતાળના પાંચ દાંતા પાંચ ઇન્દ્રિય હોવાનું અનુભવાય છે અને ખ્યાલ આવે છે કે આખી વાત સંબંધની છે. એકવાર સંબંધ બંધાઈ જાય પછી એને ટકાવી રાખવું કેટલું મુશ્કેલ છે એ કવિએ ખેતીની પરિભાષામાં આબેહૂબ ચાક્ષુષ કર્યું છે…

Comments (45)

(તાલીમ) – વજેસિંહ પારગી

ઊભા થઈએ
તો
છાપરું અડે
લાંબા થઈએ
તો
ભીંતડું
તોય
કાઢી નાંખ્યો જનમારો
સાંકડમાંકડ

દોહ્યલામાં કામ લાગી
માના પેટમાં મળેલી
ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ

– વજેસિંહ પારગી

(દોહ્યલું –દુઃખ, સંકટ)

અછાંદસની ખરી વિભાવના ચરિતાર્થ કરતી એકદમ ટૂંકી ટચરક કવિતા. એક શબ્દ પણ આમથી તેમ ન કરી શકાય એવી રચના. અને એટલી સરળ-સહજસાધ્ય છે કે કશી ટિપ્પણીનીય મહોતાજ નહીં… વળી વાંચતાની સાથે હૈયામાંથી એકસાથે આહ અને વાહ બંને નીકળી જાય એની ગેરંટી… સલામ, કવિ!

બશીર બદ્રનો એક શેર યાદ આવે:

ज़िंदगी तू ने मुझे क़ब्र से कम दी है ज़मीं
पाँव फैलाऊँ तो दीवार में सर लगता है

Comments (18)

(અંધારું શાહીનું) – વજેસિંહ પારગી

બેસી રહ્યો
રાતભર
પકડીને પેન
પણ
ન ચાંદ ઊગ્યો
કે
ન તારા ઊતર્યા
કાગળ પર

જોવું હતું
ચાંદરણું
શબદનું
પણ
જોવું પડ્યું
અંધારું
શાહીનું

– વજેસિંહ પારગી

શબ્દ સાથે આપણો સીધો ઘરોબો છે. શબ્દ આપણો ગર્ભસંસ્કાર છે. ચૈતન્યની કોઈ પણ અવસ્થા એવી નથી જેમાં આપણે શબ્દમુક્ત –નિઃશબ્દ હોઈએ. પણ કવિનો શબ્દ સામાન્યજનના શબ્દથી અલગ છે. સર્જકનું સર્વકાલીન ચૈતન્ય સુવાંગ રસાઈને પ્રકટે ત્યારે કવિનો શબ્દ જન્મ લેતો હોય છે. એટલે જ ક્યારેક જીવનમાં એવો તબક્કો પણ આવતો હોય છે, જ્યારે કવિની કલમમાંથી શબ્દો નહીં, કેવળ શાહી જ કાગળ પર અવતરતી હોય છે. સિસૃક્ષા ગમે એવી પ્રબળ કેમ ન હોય, ‘રાઇટર્સ બ્લૉક’ દરેક સર્જકના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. રાતભર કાગળ ઉપર શબ્દોનું આકાશ અવતારવા બેસી રહેલ કવિને લાખ ઇચ્છા છતાં શાહીનું અંધારું જ નસીબ થાય એવી કોઈક વાંઝણી પળનું સાવ નાનકડું પણ અર્થગહન, એવું આ કાવ્ય વાંચતાવેંત ગમી જાય એવું છે. કવિવર રાજેન્દ્ર શુક્લનો એક શેર પણ આ સંદર્ભમાં માણવા જેવો છે:

ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.

Comments (10)

આ ભોગાવો! – વિનોદ અધ્વર્યુ

આ ભોગાવો!?
લુખ્ખા તરસ્યા પહોળા પટમાં
જરઠ કાળના ભાંગ્યા ટુકડા
વેરાયા થૈ પ્હાણ….
સૂસવતી… ભમે સતીની આણ
(રેત પરે પણ પડે હજીયે ચિતા તણા પડછાયા
પથ્થર પથ્થર પર વરતાતી કોક અસૂરી છાયા!)
કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ…
દાઢ દબાવી ઉભો ગઢ
ભેંકાર મહીં, માતાના મઢ
વિધવાની વણજાર સમાં સૌ મકાન
વચ્ચે ભમતી ભૂખી ગલીઓ..
અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર
[હજીય ઝંખે કંકુપગલાં –
ચૂંદડિયાળાં ચીર] –
પથ્થર-ચીતર્યા ઘોડા ઘૂમે
પથ્થરના અસવારો કેરી પથ્થરની તલવાર ઝઝૂમે,
ગઢ-વેરાને રવડે માથાં થૈને પથ્થર પ્હાણ…
ધૂળ-ડમરીએ વીંઝાઈ રહેતી અતીત કેરી આણ…
ઓ ભોગાવો !
કોરી રેતી …કોરા પ્હાણ..
કાંઠે
ખાલી ખપ્પર લઈને
બળબળતા સૂરજની સામે
ધૂણી રહ્યું વઢવાણ!

– વિનોદ અધ્વર્યુ

સ્થળ-કાવ્યોમાં આગવી ભાત પાડતા આ કાવ્યમાં પ્રવેશતા પહેલાં કેટલાક સંદર્ભ-સંકેત સમજી લેવા આવશ્યક છે. ભોગાવો નદી અને એના કાંઠે આવેલ વઢવાણ ગામનું એક અરુઢ ચિત્ર કવિએ કટાવ છંદમાં રજૂ કર્યું છે. બારમી સદીમાં રાણકદેવીની સુંદરતાના વખાણ સાંભળીને સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી. યુદ્ધમાં રાણકદેવીના પતિ રા’ખેંગાર અને પુત્રો શહીદ થયા. સિદ્ધરાજ રાણકદેવીને લઈને જૂનાગઢથી પાટણ જતો હતો ત્યારે વર્ધમાનપુરા (વઢવાણ) ખાતે ભોગવતી (ભોગાવો) નદીના કિનારે એણે રાણકદેવીને પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. રાણકદેવીએ સિદ્ધરાજને નિઃસંતાન મરવાનો શ્રાપ આપ્યો અને પતિની પાઘડી ખોળામાં લઈને સતી થયાં. કહે છે કે, ત્યારથી ભોગાવો નદી બારેમાસ સૂકી રહે છે. (આજે તો અન્ય નદીઓનાં પાણી વાળીને એને પણ વહેતી કરાઈ છે!)

સૂકીભઠ ભોગાવો નદીમાં વેરાયેલા પથ્થરોમાં કવિને જરઠ કાળના ટુકડા દેખાય છે. સતી રાણકદેવીની આણ પવન સાથે સૂસવાતી સંભળાય છે. ગામ પણ નદી જેવું જ શુષ્ક ભાસે છે અને ગઢ-માતાનો મઢ, માકાનો અને ગલીઓ સઘળે નર્યો સૂનકાર વ્યાપી રહ્યો છે. અવાવરું વાવના પાણીમાં કોઈ ચુંદડીયાળી સુહાગનના કંકુપગલાંનું અજવાળું હવે થતું નથી. ઠેરઠેર વેરાયેલા પડેલ પથ્થરોમાં કવિને જે તે સમયના યુદ્ધની ભૂતાવળ નજરે ચડે છે. નદીકિનારે નિર્જન ભાસતું નિષ્પ્રાણ વઢવાણ સમયના તાપ સામે ખાલી પાત્ર લઈને ધૂણી રહ્યું હોય એમ લાગે છે…

(સંદર્ભ સૌજન્ય: શ્રી રમેશ આચાર્ય તથા ગૂગલદેવતા)

Comments (12)

Please call me by my true names – Thich Nhat Hanh

Don’t say that I will depart tomorrow —
even today I am still arriving.

Look deeply: every second I am arriving
to be a bud on a Spring branch,
to be a tiny bird, with still-fragile wings,
learning to sing in my new nest,
to be a caterpillar in the heart of a flower,
to be a jewel hiding itself in a stone.

I still arrive, in order to laugh and to cry,
to fear and to hope.

The rhythm of my heart is the birth and death
of all that is alive.

I am the mayfly metamorphosing
on the surface of the river.
And I am the bird
that swoops down to swallow the mayfly.

I am the frog swimming happily
in the clear water of a pond.
And I am the grass-snake
that silently feeds itself on the frog.

I am the child in Uganda, all skin and bones,
my legs as thin as bamboo sticks.
And I am the arms merchant,
selling deadly weapons to Uganda.

I am the twelve-year-old girl,
refugee on a small boat,
who throws herself into the ocean
after being raped by a sea pirate.
And I am the pirate,
my heart not yet capable
of seeing and loving.

I am a member of the politburo,
with plenty of power in my hands.
And I am the man who has to pay
his “debt of blood” to my people
dying slowly in a forced-labor camp.

My joy is like Spring, so warm
it makes flowers bloom all over the Earth.
My pain is like a river of tears,
so vast it fills the four oceans.

Please call me by my true names,
so I can hear all my cries and my laughter at once,
so I can see that my joy and pain are one.

Please call me by my true names,
so I can wake up,
and so the door of my heart
can be left open,
the door of compassion.

– Thich Nhat Hanh

વિયેતનામના મૂળ નાગરિક એવા ટાય [ અથવા ધાય ] નાટ હાન હમણાં જ દેહવિલય પામ્યા. શિષ્યો તેઓને વ્હાલથી The Teacher કહેતા.

આજથી પંદર-સત્તર વર્ષ પહેલા બેંગ્લોરના એરપોર્ટ પર પુસ્તકોના પહાડના તળિયે પડેલા એક પુસ્તકે અકારણ ધ્યાન ખેંચ્યું હતું – OLD PATH WHITE CLOUDS – અને તે પછી તો ટીચરના ઘણા પુસ્તકો વાંચ્યા અને તેઓને સાંભળ્યા. તદ્દન સરળ વાણી, સાવ સરળ-સહજ વ્યક્તિત્વ, ધીમો સ્પષ્ટ અવાજ, પ્રેમનીતરતી આંખો – અને છતાં એક પ્રચંડ મક્કમતાની આભા એટલે ટીચર…… વિયેતનામના ખરાબ સમય દરમ્યાન તેઓ જંગલોમાં પીડિતો વચ્ચે રહેતા અને અમેરિકન સૈનિકો પણ તેઓનું ભરપૂર સન્માન કરતા. તેઓએ વિયેતનામના પીડિતો માટે પુષ્કળ આંતરરાષ્ટ્રીય મદદ મેળવી અને વહેંચી. ત્યાર બાદ ફ્રાન્સ અને અમેરિકામાં બૌદ્ધધર્મ અને ઝેનનો પ્રચાર,પ્રસાર અને શિક્ષણની પ્રવૃત્તિ જબરદસ્ત મોટા પાયે કરી. અસંખ્ય પશ્ચિમી વિદ્યાર્થીઓને તેમજ સામાન્ય નાગરિકોને mindfullness તેમજ walking meditation ની પ્રત્યક્ષ તાલીમ આપી. અસંખ્ય શિબિરો કરી – એક દિવસથી લઈને આખું વરસ લાંબી !! પશ્ચિમમાં ઝેનને સાચા અર્થમાં સમજાવનાર બે વિભૂતિઓ – એક Dr D T Suzuki અને બીજા ટાય નાટ હાન. પોતાની માતૃભૂમિની અમેરિકાએ કશી જ લેવાદેવા વગર અક્ષમ્ય બરબાદી કરી હોવા છતાં ટીચરના મનમાં લેશમાત્ર વૈમનસ્ય નહોતું. અમેરિકાએ પણ ટીચરને ભરપૂર સન્માન આપ્યું.

‘ધર્મ’ અને ‘ધાર્મિકતા’ વચ્ચેનો તફાવત એટલે ટીચરનું જીવન. ઓશો પણ આ જ કહેતા. ટીચરની ધાર્મિકતા એક પંથની મહોતાજ નહોતી, તેઓ ખરા અર્થમાં વિશ્વમાનવ હતા અને વિશ્વકલ્યાણનાં સિપાઈ હતા. બૌદ્ધધર્મ તેઓ માટે એક Live Entity હતો અને એ વાહનની મદદથી તેઓ સમગ્ર માનવજાત સુધી પહોંચવા પ્રયત્નશીલ રહ્યા. કોઈકે તેઓને પૂછ્યું હતું કે ” શું આપ બુદ્ધત્વ પામ્યા છો ?” તો તેઓનો જવાબ હતો – ” એ મારા કશા ખપનું નથી. ” આ પ્રત્યુત્તર ઝેનની પરાકાષ્ઠા સ્તરનો છે. જે ધાર્મિકતા સમસ્ત માનવજાતના કલ્યાણમાં ઉપયોગી નથી તે ધાર્મિકતા પોથીમાંનાં રીંગણાં સમાન છે.

પસ્તુત કાવ્ય ટીચરે ધ્યાનની એ અવસ્થામાં લખ્યું હતું કે જયારે એક બાર વર્ષની દીકરી દરિયાઈ ચાંચિયાની હેવાનિયતનો શિકાર બની આત્મહત્યા કરી દે છે અને ટીચર અત્યંત વ્યથિત થઈ જાય છે. ધ્યાનની અવસ્થામાં તેઓ એ અનુભૂતિ કરે છે કે જો હું એ ચાંચિયાનાં સંજોગોમાં જન્મ્યો અને ઉછર્યો હોતે તો હું પણ આવું અધમ કૃત્ય કરી બેસતે….. અત્યાચારનો જરૂર પૂરી તાકાતથી સામનો કરવો જ રહ્યો, પરંતુ અત્યાચારી કેમ અત્યાચારી બન્યો છે તે સ્તરે જઈને જ્યાં સુધી મૂલતઃ પરિવર્તન લાવવામાં નહીં આવે ત્યાં સુધી વિશ્વ પીડામુક્ત થવું અસંભવ છે. આતતાયી પોતે પણ અત્યાચારનું જ ફરજંદ છે તે આત્મસાત કરી તે સ્તરે કામ કરવું રહ્યું….. Please call me by my true names – અર્થાત – રામ પણ હું જ છું અને રાવણ પણ હું જ છું, હણનાર પણ હું છું અને હણાનાર પણ હું છું…….

કાવ્યની ભાષા સરળ છે તેથી ભાષાંતર કરતો નથી.

https://plumvillage.org/series/thays-poetry/

– અહીં આ કાવ્ય ટીચરના પોતાના અવાજમાં…..

Comments (4)

(બે કાવ્ય) – દર્શક આચાર્ય

૦૧.

વાદળીએ પહેલાં
પ્હાડ સાથે લળી લળી
વાતો શરૂ કરી,
સીમે આંખ આડા કાન કર્યા,
મંદ મંદ વ્હેતા પવનની
લહેરખીએ મેનકાનું
કામ કર્યું,
જંગલી ફુલોએ
મહેક ફેલાવી
બળતામાં
ઘી હોમ્યું.
પછી વાદળીએ જ્યાં પ્હાડને
બાથમાં લીધો
ત્યાં છૂપાઈને જોતાં
સૂરજે તેની આંખો
મીંચી દીધી.

૦૨.

વરસાદ વરસતા
વૃક્ષો મોર બની
કળા કરવા માંડ્યાં.
સીમ ઢેલ બની
આમ તેમ થવા લાગી.
નદી કામાંધ બની
વ્હેવા લાગી.
ગામની શેરીઓ
માથા બોળ નાહી ઊઠી,
ત્યારે ગર્ભવતી પૃથ્વીને
અષાઢ મહિનો જતો હતો.

– દર્શક આચાર્ય

પાઉન્ડના ઇમેજકાવ્યોની યાદ અપાવે એવા બે દૃશ્યચિત્રો. કલમના બે-ચાર લસરકે જ કવિએ બે પ્રકૃતિચિત્ર આબાદ ઉપસાવ્યાં છે. પહેલામાં વાદળ-પર્વત અને સૂર્યની ક્રીડાનું ટૂંકું પણ સચોટ વર્ણન છે અને બીજામાં વરસાદની ઋતુનું. વરસાદની ઋતુ તો આમેય સૃષ્ટિની કાયાપલટની ઋતુ છે. ભલભલા સન્યાસીનું તપોભંગ કરાવે એવી આ ઋતુનું મનોરમ્ય ચિત્ર કવિએ પણ કેવું બખૂબી દોર્યું છે!

Comments (12)

ભૂરાં પતંગિયાં – અખિલ શાહ

હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.

એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.

મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયાં નથી’

ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’

– અખિલ શાહ

આમ તો આ કવિતા લયસ્તરો પર આગળ પણ મૂકી હતી પણ આટલા વરસોમાં લયસ્તરોના વાચકવૃંદમાં ખાસો વધારો થયો હોવાથી આજે ઉત્તરાયણ નિમિત્તે આ કવિતા અહીં ફરી રજૂ કરીએ છીએ. અખિલ શાહના છદ્મનામે લખાયેલી આ કવિતાના મૂળ સર્જક છે લયસ્તરોના સ્થાપક અને સહસંપાદક ડૉ ધવલ શાહ પોતે. ગુજરાતી ભાષાના ઉત્તમ અછાંદસ કાવ્યોની પંગતમાં ગર્વભેર બેસી શકે એવી આ રચના વાંચતાં આપની આંખના ખૂણા ભીના ન થાય તો કહેજો…

આ કવિતા વિશે ધવલના પોતાના શબ્દો: “જે વાત કહેવામાં શબ્દો અને આંસુ નિષ્ફળ જાય તે વાત કહેવામાં કોઈ વાર પતંગ કામ લાગી જાય છે. નાના હાથ માટે આકાશને અડકી લેવાનો એક જ રસ્તો છે – પતંગ !”

Comments (15)