ક્યારેક ખડક જ અદશ્ય થઈ ગયો છે
ખડક જો દેખાયો છે તો
પગથિયાં અદશ્ય થઈ ગયાં છે.
પગથિયાં દેખાયાં છે તો ખડક ચઢી
શકાયો નથી.
ખડક ચઢી ગયો છું તો અધવચ
અટકી ગયો છું.
ને પાછો ઊતરી ગયો છું.
ખડક ચઢી પણ ગયો છું તો મન્દિર
જડ્યું નથી.
મન્દિર જડ્યું છે તો બપોર જડી નથી.
બપોર જડી છે તો કહેવાયું છે કે
હમણાં જ પંખી આવીને ઊડી ગયું..…
હમણાં જ…
પંખી તો અવશ્ય આવે જ છે,
પણ હું દરવખતે પંખીને ચૂકી ગયો છું.
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
ચેન્નાઈ પાસે મહાબલિપુરમથી પંદરેક કિલોમીટરના અંતરે તિરુકલુકુન્ડરમ્ અથવા તિરુકાઝાકુન્ડરમ્ આવ્યું છે. ત્યાં ટેકરી પર એક શિવમંદિર છે. કહે છે કે બપોરના સમયે શાપ પામવાથી ગરુડ બની ગયેલ બે ઋષિ રોજ બપોરે પ્રસાદી લેવા ત્યાં આવતા અને પૂજારી રોજ એમને નૈવેદ્ય ધરાવતો. કલિયુગનો આરંભ થતાં જ આ પક્ષીઓ આવવું બંધ કરી દેશે એવી એક વાયકા હતી. આજે આ સ્થળે બપોરે આ દૈવી પક્ષીઓ આવતાં ન હોવાથી કલિયુગનો આરંભ થઈ ચૂક્યો હોવાનું માનવામાં આવે છે. પક્ષીતીર્થ વિશેની આટલી જાણકારી કાવ્યપ્રવેશ માટે આવશ્યક છે.
પ્રથમ દૃષ્ટિએ એમ લાગે કે કવિને પક્ષીતીર્થની ટેકરી ચડીને મંદિર પાસે આવતાં દિવ્ય પક્ષીઓનો સાક્ષાત્કાર કરવો છે, પણ મંઝિલ હંમેશ બે કદમ દૂર રહી જાય છે ને નસીબ બે ડગલાં ટૂંકું પડે છે. ખડક, પગથિયાં ને મંદિર તો જ્યાં છે ત્યાં જ હરહંમેશ રહેવાનાં છે, પણ ધુમ્મસનો પ્રતાપ હોય કે સંનિષ્ઠ પ્રયાસ અને કટિબદ્ધતાનો અભાવ હોય કે બીજું કંઈ હોય, સરવાળે ધ્યેયપ્રાપ્તિથી વંચિત જ રહી જવાય છે, હકીકતમાં પક્ષીતીર્થની આ યાત્રા બાહ્ય ઓછી અને ભીતરી વધુ છે એ સમજવાની જરૂર છે. મનવાંછિત વસ્તુઓની પ્રાપ્તિ કરવામાં નડતા અવરોધો અને વિસંગતિઓની આ વાત છે. દેખાવું-ન દેખાવું, ચડાવું-ન ચડાવું,વધવું-અટકવુંના આગળ વધી વધીને પાછળ આવી અંતે ત્યાંને ત્યાં જ રહી જતી હીંચકાગતિનું આબાદ ચિત્રણ કવિએ કર્યું છે.
હું દૂરસુદૂરના ગ્રહોના કવિઓને મળવા માંગું છું;
જોવા ઇચ્છું છું કે કયા પ્રકારનો અગ્નિ એમના હાડકાઓમાં ધગધગે છે,
પરગ્રહી શબ્દો થકી બ્રહ્માંડનો સ્વાદ લેવા ચહું છું,
અને બાહ્યાવકાશના રૂપકોમાં તરબોળ થઈ જવા માંગું છું.
હું દૂરસુદૂરના ગ્રહોના કવિઓને મળવા માંગું છું;
જાણવા ઇચ્છું છું કે શું એમણે ક્યારેય એવી કવિતાઓ ગૂંથી છે
જે કેવળ ઉદાસીના છૂટાછવાયા તાંતણાંથી
અથવા ઊભરાતા ઉમંગના ચિત્રિત ગીતોથી બની હોય,
શોધવા ચાહું છું કે શું એમના આત્માઓએ ક્યારેય
અવર આત્મા કાજ ઊંડું દુઃખ અનુભવ્યું છે,
કે પછી પ્રેમ એ કેવળ માનવગત બિમારી જ છે?
– ઇફાન્યી ઓગ્બો
(ગુજ. અનુ.: વિવેક મનહર ટેલર)
ખરી મજા જ કલ્પનની છે. સદીઓથી આપણે આપણા સૌરમંડળની બહારના ગ્રહો પર જીવન હશે કે કેમ અને હોય તો કેવુંની કલ્પનામાં રાચતા આવ્યાં છીએ. ઊડતી રકાબી અને પરગ્રહવાસીઓને શોધવા પાછળ અબજો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે ને ખર્ચાતા રહેવાના છે. પણ જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. આપણાથી દૂરસુદૂરના અંતરિક્ષમાં ‘જીવન હશે જ’ની પૂર્વધારણા પાયામાં રાખીને કવિ એ ગ્રહો પરના કવિઓને મળવાની મહેચ્છા જાહેર કરે છે. કવિતા સરળ છે. વિશદ ટિપ્પણીની મહોતાજ નથી, પણ અભિવ્યક્તિ પ્રાબલ્ય અને નાવીન્યના જોરે એ આપણને મંત્રમુગ્ધ કરી દે એવી બળકટ થઈ છે.
મારે તને કહેવું જ રહ્યું,
કે એવી પળો આવે છે
જ્યારે સૂર્ય મારા પર
ઝાલરની જેમ આઘાત કરે છે,
અને મને બધું જ યાદ આવી જાય છે,
તારા કાન પણ.
– ડોરોથિયા ગ્રોસમેન
(અનુ.: વિવેક મનહર ટેલર)
એક શબ્દથી કામ પતી જતું હોય તો બે શબ્દ ન વાપરે એનું નામ કવિતા. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે કવિતા એટલે ગાગરમાં સાગર. પ્રસ્તુત કવિતામાં સર્જકે જે કહેવું છે એ એક જ વાક્યમાં કહી દીધું છે. ‘મારે તને કહેવું જ રહ્યું’ એમ જ્યારે કથક કહે છે ત્યારે કહ્યા વિના ચાલશે જ નહીં એવો જે આંતરિક પ્રવેગ (ઇનર ફૉર્સ) આપણને અનુભવાય છે, એની ખીંટી ઉપર જ આખી રચના ઊભી રહી છે. નાયિકાને શું કહેવાની ફરજ પડી છે? તો કે એવી ‘પળો’ જેમાં સૂર્ય પોતે ઝાલર ન હોય એ રીતે પોતાના પર અથડાતો પ્રતીત થાય છે. થોભો. આ કોઈ એક પળ કે પ્રસંગની વાત નથી. આ વાત છે ‘એવી પળો’ની. મતલબ, નાયિકા સાથે આવું અવારનવાર બને છે. મંદિરમાં ઝાલરટાણે મોગરી (હથોડી) ઝાલર પર આઘાત કરે અને ઝાલર રણકી ઊઠે અને વાતાવરણમાં એ રણકાર ક્યાંય સુધી તરંગાતો રહે એ ઘટનાથી આપનામાંથી મોટાભાગના અવગત હશે જ. અહીં કાવ્યનાયિકા ઝાલર છે અને સૂર્ય મોગરી છે. સૂર્ય એટલે અજવાસનું મૂળ. અજવાસની ચરમસીમા. અસ્તિત્ત્વનું અજવાળું અસ્તિત્ત્વ સાથે રણકાય છે, દૃશ્ય પહેલાં સ્પર્શમાં અને પછી શ્રુતિમાં પરિણમે છે. ઇન્દ્રિયવ્યુત્યયના કારણે આખરે એ રણઝણાટ આપણા હોવાનો હિસ્સો બની જાય છે. સમાધિમાં બેઠેલ કોઈ તપસ્વીને અચાનક પરમ સત્યનું તેજ લાધે એ રીતે સ્મરણનો સૂર્ય ઝળહળી ઊઠ્યો છે. કાવ્યારંભે આપણને એમ લાગે કે નાયિકાની સામે કે સમીપે બેઠેલ વ્યક્તિને કશુંક કહેવા જઈ રહી છે. પણ કવિનો કેમેરા યાદ પર ફોકસ થાય છે ત્યારે ખ્યાલ આવે કે બે જણ એકબીજાથી અલગ થઈ ગયા છે અથવા ખૂબ દૂર છે. બધું જ યાદ આવી જાય છે કહીને ‘તારા કાન પણ’નું ઉમેરણ કરી કવયિત્રી અટકે છે. સામાન્યરીતે આપણે કોઈકને યાદ કરીએ ત્યારે મોટી કે અગત્યની વાતો જ યાદ આવે, પણ અહીં કવયિત્રીએ સહેતુક ‘કાન’ને ખપમાં લીધા છે. ઝાલરના વાગવા સાથે તો એનો સીધો સંબંધ છે જ, સાથોસાથ નાયિકાના ‘બધું જ’ની યાદી સાચેસાચ સુવાંગસંપૂર્ણ હોવાની પ્રતીતિ પ્રણયકેલિમાં સામાન્યરીતે ઉપેક્ષિત રહેતા અવયવના એકમેવ ઉલ્લેખથી થાય છે… પ્રણયના સાક્ષાત્કારનું નાનકડું ઝેન કાવ્ય જાણે!
આપ અત્યારે આ કવિતા વાંચી રહ્યા છો એનો અર્થ જ એ કે કવિતા આપને આકર્ષે છે. પણ શું આપે કદી એ વિચાર્યું કે કવિતા આપણને શા માટે આકર્ષે છે? હજાર કારણ છે, પણ એમાનું એક કારણ તે આ. જુઓ આ કવિતા. સાવ જ નાનકડી. ત્રણ-ત્રણ વાક્યખંડોના ત્રણ વિભાગમાં વહેંચી દેવાયું હોય એવું એક જ વાક્ય. ભાષાય કેવી સરળ! કશું ન સમજાય એવું આમાં છે જ નહીં ને તોય, છેલ્લી પંક્તિ હૈયામાં એવી ઊંડી અસર કરી જાય એવી જે લાંબા સમયથી તરોતાજા રહે. ગાલ પર તસતસતો તમાચો પડે અને ઊંઘ ઊડી જાય એવા ઠંડાગાર પાણીથી ચહેરો જોવાની દાયકાઓથી પાડી દેવાયેલી આદત કથક આજેય છોડવા માંગતો નથી, કારણ એ પોતાની જાતને અણગમતી વસ્તુઓને ગમાડી દેવા માટે કેળવવા ઇચ્છે છે. –કવિતા તો બસ આટલી જ છે, પણ સ્વની વાત સર્વની બની રહે છે. સમાજ સર્જાયો નહોતો એ પહેલાં પણ લાખો વરસ સુધી મનુષ્ય જીવતો જ હતો, પણ સમાજ સુરક્ષિતતા અને હૂંફની અનુભૂતિ કરાવતો હોવાથી આદિમાનવ ધીમ્ધીમે સામાજિક પ્રાણી બન્યો. જો કે સમાજથી વધુ મોટૉ પઠાણી ઉઘરાણીકાર બીજું કોઈ ન હોઈ શકે. એનો ટોલ ટેક્સ ઘણૉ વધારે પણ છે અને ફરજિયાત પણ છે. સમાજ આપણને અંકુશમાં રાખે છે. આપણે આપણી ઇચ્છાઓને મારીને જીવવા માટે એ મજબૂર કરે છે. અણગમતી વસ્તુઓ અને વાતો ગમાડવાની એ આપણને ફરજ પાડે છે. આવું અનિચ્છનીય કામ કરવામાં માંહ્યલો વિરોધ ન કરે એ હેતુસર કથક ન ગમતી આદત સાથે દાયકાઓથી જીવી રહ્યો છે.
ખ્યાલ આવ્યો ને? આ વાત નાયકની એકલાની નથી, આપણા સહુની છે. અને વયષ્ટિની અનુભૂતિ સમષ્ટિની બની રહેતી હોવાથી કવિતા આપણને આકર્ષે છે.
શીર્ષક અને કવિતા વચ્ચે આમ જુઓ તો કોઈ સંબંધ નથી અને તેમ જુઓ તો? – ચાલો, આ બે છેડા જોડવાનું કામ તમારા પર છોડી દઈએ તો????
મારાથી આ નથી થતું:
રસોઈ
ટોપી બરાબર પહેરવી
સંગાથીઓનું મનોરંજન
આભૂષણ પહેરવા
ફૂલો ગોઠવવા
મુલાકાતો યાદ રાખવી
આભારપત્ર મોકલવા
યોગ્ય ટિપ મૂકવી
એક જ પુરુષને સાચવી રાખવો
પેરેન્ટ-ટિચર મિટિંગમાં
રસ હોવાનો ઢોંગ કરવો.
મારાથી આ
નથી છૂટતું:
ધુમ્રપાન કરવું
શરાબ પીવી
ચોકલેટ ખાવી
છત્રીઓ ચોરવી
વધુ પડતું ઊંઘવું
નખ સાફ કરવાનું અને
જન્મદિવસો
યાદ રાખવાનું ભૂલી જવું
લોકોને એ કહેવું
જે તેઓ સાંભળવા માંગે છે
બાંધી મુઠ્ઠી ખોલી નાંખવી
પ્રેમ કરવો
અજાણી જગ્યાઓને
અને માનસિક વિકારગ્રસ્ત લોકોને.
આ હું કરી શકું છું:
એકલાં રહેવું
વાસણ ધોવાં
પુસ્તકો વાંચવાં
વાક્યો રચવાં
સાંભળવું
અને ખુશ રહેવું
અપરાધભાવ વિના.
સંસારનું સૌથી અઘરું કામ છે સ્વયંને ઓળખવું. એક જમાનામાં આપની પાસે પુષ્ક્ળ સમય હતો એટલે ‘ટુ બી ઓર નોટ ટુ બી’ અને ‘હું કોણ છું?’ એ વિચારવામાં લોકો આખીને આખી જિંદગી પસાર કરી દેતા હતા. પણ આજે સ્માર્ટ ફોનના પ્રતાપે આપણી એકાગ્રતા ગણતરીની સેકન્ડો જેટલી જ રહી ગઈ હોવાથી સ્વયંને જોવાનો સમય જ મળતો નથી. પણ આ કવિતા આજથી પચાસેક વર્ષ પહેલાં લખાયેલી છે. એ સમયે મોબાઇલ તો નહોતા જ, ઇન્ટરનેટ પણ નહોતું. કદાચ એટલે જ ડેનિશ કવયિત્રી ટૉવે ડિટ્લેવ્સેન સેલ્ફ-પૉર્ટ્રેટ બનાવી શક્યાં હશે.
કવિતાની મજા એના ત્રણ ભાગમાં છે. પહેલા બે ભાગ પોતાની ઉણપો અને અણઆવડતોના આત્મસ્વીકારના છે. પોતાને શું આવડે છે એનાથી વધારે અગત્યનું પોતાને શું શું નથી આવડતું એ જાણવું છે. પણ ખુદની મર્યાદાઓની સાથોસાથ પોતાની ક્ષમતાની જાણકારી પણ એટલી જ અગત્યની છે. અસમર્થતાની યાદી જેટલી લાંબીલચ્ચ છે, એટલી જ ટૂંકી યાદી સક્ષમતાની છે. પણ આ નાનકડી યાદીમાં જે ચમકારો છે એ અસમર્થતાની યાદીને ભૂંસી નાખવા સમર્થ છે. સૌથી અગત્યની વાત છે એકલા રહેવું અને વાક્યો રચવાં…. સર્જન કરીને કશાય અપરાધભાવ વિના ખુશ રહેવાથી મોટી ઉપલબ્ધિ બીજી શી હોઈ શકે?
તું મને મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ ગયો.
આપણે ક્યારેય પરસ્પર માટે આટલું સૌજન્ય દાખવ્યું નહોતું.
તેં કહ્યું કે હું હજીય ફૂવડ જ છું ત્યારે આપણે ખૂબ હસ્યા.
ભોજન પતાવીને આપણે પાર્કિંગ લોટમાં ઊભા રહ્યાં.
તેં કહ્યું, તું આખરી શબ્દ કહી શકે છે
પણ મેં કહ્યું, ના, હું થાકી ગઈ છું દરેક વાતને સમેટતાં સમેટતાં. આ વખતે તારો વારો. છેલ્લો શબ્દ તારો.
પણ તને કહેવા માટે કશું સૂઝ્યું જ નહીં.
એટલે તું આપણી સિલ્વર કાર તરફ ગયો,
ને હું આપણી લાલ કાર તરફ.
ત્રણ વર્ષ થઈ ગયાં.
અને એય હવે એક વાર્તા જ લાગે છે.
હમણાં હમણાંથી તો મને એવું લાગતું જ નથી કે કદી તારી સાથે રહી હોઉં.
પણ આપણું એ દિવસનું સૌજન્ય હજી મને યાદ છે,
જ્યારે એનું કોઈ મહત્ત્વ જ નહોતું.
– રૂથ લેપ્સન
(અનુ.: વિવેક મનહર ટેલર)
કવિતાનું શીર્ષક કાનૂની સંવેદનહીન તથ્ય છે જ્યારે કવિતા અલગાવના દર્દનું આલેખન છે. કદાચ એટલે જ કવિતાનું શીર્ષક જ કવિતાની પ્રથમ પંક્તિ પણ હોવા છતાં કવિએ એને દોહરાવી નથી. પરિણામસ્વરૂપે શીર્ષક અને પ્રથમ પંક્તિ વચ્ચે એકીસાથે ખાલીપો અને અનુસંધાન બંને અનુભવાય છે. અદાલતે ફારગતિની અરજી પર સહી કરી એ દિવસે (ભૂતપૂર્વ) પતિ એની (ભૂતપૂર્વ) પત્નીને સરસ રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ જાય છે. આજે એ નાયિકાને ફૂવડ કહે છે ત્યારે નાયિકા ઝઘડતી નથી. બંનેને ખૂબ હસવું આવે છે. પણ આ હાસ્યની પાછળ આવી જ નાની નાની વાતો પર બંને વચ્ચે કેવડા મોટા ઝઘડા થતા હશે એ બે પંક્તિ વચ્ચેના અવકાશમાં સાફ સાફ વંચાય છે. આમ તો કોર્ટે ઉભયની સ્વેચ્છા પર જ દસ્તખત કર્યાં છે, તોય છૂટા પડતી વખતે બંને પાર્કિંગ લોટમાં ઊભા રહે છે. પુરુષ કદાચ જીવનમાં પહેલીવાર સ્ત્રીને છૂટા પડતી વખતે છેલ્લી વાત કહેવા આમંત્રે છે અને સ્ત્રી કદાચિત પહેલવહેલીવાર સંબંધ પર છેલ્લી સહી કરવા તૈયાર નથી. બંને જણ સાથે રહેતાં હશે ત્યારે પરિસ્થિતિ કેવી ઊલટી હશે એનો ચિત્કાર પણ સંભળાયા વિના રહેતો નથી. બંને જણ પોતપોતાના ભાગે આવેલી કાર તરફ જાય છે, પણ બંને કાર સાથે નાયિકા ‘આપણી’ વિશેષણ લગાડી બેસે છે. ખરી કવિતા જ અહીં છે.
આજે આ વાતને ત્રણ વરસનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. બે જણનો સંગાથ નાયિકાને હવે વાર્તા જેવો લાગે છે. જાણે બે જણ કદી સાથે જીવ્યાં જ નહોતાં. સંગાથ ભૂલી જવાયો છે, પણ છૂટા થતી વખતનું બંને જણનું પરસ્પર માટેનું સૌજન્ય ભૂલી શકાતું નથી. આ સૌજન્ય જ્યારે જરૂરી હતું ત્યારે બંનેએ દાખવ્યું હોત તો? અણીદાર ચપ્પુ માખણના લોંદામાં આરપાર ઉતરી જાય એ વેધકતાથી કવિતા આપણા હૃદયને ચીરી નાંખે છે…
. શું એ કરમાઈ જાય છે
. તડકે મૂકેલી દ્રાક્ષની પેઠે?
. કે કોઈ ઘાવની જેમ પાકી જાય છે-
. ને પછી વહેવા માંડે છે?
. શું એ સડેલા માંસની જેમ ગંધાવા લાગે છે?
. કે પછી ખાંડની પરત બનીને જામી જાય છે-
. ગળી ચાસણીની જેમ?
. કદાચ એ કોઈ વજનદાર બોજની માફક
. બસ લચી પડે છે.
. કે પછી વિસ્ફોટ સાથે ફૂટી જાય છે?
– લેન્ગ્સ્ટન હ્યુઝ
(અનુ.: વિવેક મનહર ટેલર)
લેન્ગ્સ્ટન હ્યુઝ એટલે આફ્રિકન-અમેરિકન પ્રજાના ઘવાયેલ દબાયેલ આત્માનો અવાજ. હાર્લેમ શીર્ષકથી લખાયેલ આ કવિતા અમેરિકન-ડ્રીમનો પર્યાય બની ચૂકી છે. સ્વપ્નની વાત આવે, પ્રગતિનીવાત આવે અને આ કવિતા ટાંકવામાં ન આવે એ શક્ય જ નથી. ન્યૂયૉર્કનું હાર્લેમ એટલે આપણા મુંબઈનું ધારાવી. શીર્ષક કાઢી નાંખો તોય આ લઘુકાવ્ય આપબળે ઊભું રહી શકે એવું સબળ છે. આ કોઈ રાત્રે જોયેલ સ્વપ્ન નથી. આ એવા સ્વપ્નની વાત છે જે દિવસના અજવાળામાં જાગતી આંખોથી જોવામાં આવે છે. જિંદગી કેબીસીની હોટ સીટ નથી કે વિકલ્પ નક્કી કરો અને કરોડ રૂપિયા ઘરે લઈ જવાય. જિંદગી દરેક સ્વપ્નના પૂરા થવાની કિંમત માંગે છે. ઇચ્છા હોય કે સ્વપ્ન- એને યેનકેન પ્રકારે સિદ્ધ કરવાને બદલે જતું કરી દેવામાં આવે ત્યારે જિંદગીની નદી તો આગળ વહી જતી હોય છે, આપણો સંતોષ ક્યાંક ત્યજી દીધેલ સ્વપ્નની ભેખડોમાં પાછળ રહી જતો હોય છે. કવિ બહુ સરળ સવાલોની યાદી બનાવે છે. આખરી સવાલ આપણને હચમચાવી દે એવો છે. શું કવિ એવું ઇચ્છે છે કે આપણે આ સવાલોના જવાબ આપીએ? ના, સ્વપ્નને ટાળી દેવાના અને વિસ્ફોટના બે સવાલોની વચ્ચે આપણને ઊભા રાખીને કવિ કેવળ એટલું જ કહેવા માંગે છે કે સ્વપ્ન જ જીવનનું ખરું ચાલકબળ છે. તમારી આંખ જે સ્વપ્ન જોવાની હિંમત કરે છે એ પૂરાં કરવાની હિકમત કરશો તો જ જીવનનું ધારાવી સ્વર્ગ બનશે.
Harlem – Langston Hughes
What happens to a dream deferred?
. Does it dry up
. like a raisin in the sun?
. Or fester like a sore—
. And then run?
. Does it stink like rotten meat?
. Or crust and sugar over—
. like a syrupy sweet?
કવિતા એટલે શબ્દો દ્વારા કરાતી આંતર્મનની અભિવ્યક્તિ. કવિતાને અસરદાર કે ઉત્તમ બનાવવા માટે વધુ શબ્દો અનિવાર્ય પણ સાચી અનુભૂતિની તીવ્રતા જ શબ્દોની સંખ્યા નક્કી કરી શકે. શબ્દ જેટલા વધારે એટલી કવિતા વધુ પ્રભાવક એવો કોઈ નિયમ હોતો નથી. આપણી પાસે એક તરફ મહાકાવ્યો છે અને બીજી તરફ હાઇકુ અને લઘુકાવ્યો. ઉત્તમ કવિતા બંને છેડે સંભવી શકે. જર્મન કવિ યોહાન ફૉસનું આ સાવ જ ટબુકડું કાવ્ય લોહી થીજાવી દે એવું ચોટદાર થયું છે.
‘All roads lead to Rome’ એ અંગ્રેજીની બહુ જાણીતી કહેવત છે. આપણે ત્યાં જે રીતે કાશી-વારાણસી એ રીતે પાશ્ચાત્ય દેશોમાં રોમ એ સાંસ્કૃતિક કેન્દ્રસ્થાન છે, જ્યાં વડા ધર્મગુરુ પોપ બિરાજે છે. રોમ એ આધ્યાત્મિક જ નહીં, માનવસભ્યતાનો માર્ગ પણ છે.
બીજા વિશ્વયુદ્ધનો આરંભ થયો એ પહેલેથી હિટલરે યહૂદીઓનો ખાત્મો બોલાવવાનું શરૂ કરી દીધું હતું, પણ વિશ્વયુદ્ધ દરમિયાન આ નરસંહાર ચરમસીમાએ પહોંચ્યો. યહૂદીઓને મારવામાં અનુકૂળતા રહે એ ખાતર પોલિશ કબ્જા હેઠળનું ગામ બ્ઝેઝીનકા ખાલી કરાવ્યું, ધ્વસ્ત કર્યું અને બર્કનાઉ છાવણીઓની સ્થાપના કરી. આ સ્થળ મુખ્ય વસ્તીવાળા ભાગોથી દૂર અને બધા છેડાની રેલવેલાઇનથી જોડાયેલું હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જે રીતે બંને દેશ વચ્ચેની ટ્રેન માણસોથી ઊભરાતી હતી, એ જ રીતે યહૂદીઓને ઠાંસી ઠાંસીને ભરેલ ટ્રેન બર્કનાઉ રવાના કરાતી, જ્યાં કુખ્યાત જઘન્ય નરસંહાર ‘હોલોકાસ્ટ’ સર્જાયો.
બધા રસ્તા મનુષ્યની આધ્યાત્મિક તથા સામાજીક ઉન્નતિ તરફ દોરી જાય છે. પણ બધા રેલવે ટ્રેક સામૂહિક નરસંહાર તરફ.
વિશ્વયુદ્ધના વિનાશ અને વિભીષિકાએ અનેકાનેક કવિતાઓને જન્મ આપ્યો. આમ તો આ કવિતા વિશે ખાસ કશું કહેવાનું ન હોય. એસ.એસ. (Schutzstaffel) એટલે હિટલરની સુરક્ષા સેના, જેણે જઘન્ય સામૂહિક નરસંહારને અંજામ આપ્યો એટલી સમજૂતિ આપી દઈએ એટલું જ પૂરતું છે. પણ કવિતાનો બાંધો જોવા જેવો છે. કવિએ આખા વાક્ય લખવાના બદલે કવિતાને એક-એક (ક્યારેક બે) શબ્દની પંક્તિનો દેહ આપ્યો છે અને બેથી લઈને વધુમાં વધુ ચાર-ચાર પંક્તિઓના સમૂહથી એકાધિક પરિચ્છેદ તારવ્યા છે. યહૂદીઓને પકડી પકડીને કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ કરવામાં આવ્યા હતા. ક્યારેક ગેસચેમ્બરમાં સામૂહિક મૃત્યુદંડ તો ક્યારેક મન થાય એ બે-ચારને ઊઠાવીને લઈ જવાના અને ગોળીએ દેવાના… શબ્દ અને ફકરાઓમાં ટુકડા-ટુકડા થઈ ગયેલ વાક્યો જાણે કે આ નરસંહારને આ રીતે ચિત્રિત કરતા હોય એમ નથી લાગતું? હિટલરના સૈનિકોને એ સમયે સૌથી વધુ ડર ટાઇફસ વગેરે ચેપી રોગોનો હતો. કેમ્પમાં કોઈ પણ યહૂદીની કોઈપણ વાતથી વાંધો પડતાવેંત એને મોતને ઘાટ ઉતારી દેતા સૈનિકો હૉસ્પિટલના બ્લૉક નંબર વીસમાં જતા ડરતા હતા, કારણ ચેપી રોગોના દર્દીઓને ત્યાં દાખલ રખાતા હતા. કેમ્પમાં માથે મૃત્યુની પળેપળ તોળાતી તલવારના ડર નીચે જીવતા લોકોને હૉસ્પિટલનો વૉર્ડ દુનિયામાં સૌથી સુરક્ષિત સ્થળ જણાતું હતું… કેવી વિસંગતિ! કેવી વિડંબના!
તું મારા મોંમાં ડૂચો દઈ
રહેંસી નાખે મારા વિદ્રોહને
કે ગોઠવે એકેએક ગલીને નાકે ચોકીદારને
જે રોકીરોકીને તપાસ્યા કરે
મારી જાતપાત – મારા દેશ ને પહેરવેશને
કે મને જેલમાં નાખીને
રોકે ખુલ્લેઆમ બાંગ પોકારતા મારા વિચારને
કે દાબીને ગળું મારું
લલકારે તું મને
ગાવા રાષ્ટ્રભક્તિનાં ગીતો હવે
તો હું સહીશ ધરાર ના
હું થઈશ દેશદ્રોહી હવે
નહીં ભરું હામીમાં હામી
નહીં મરું હું તારા માટે
બિહામણા સિંહાસન તળે
નહીં ઉગામું હાથ
ન તો હથિયાર
તારા પૌરુષત્વની સેવારૂપે
નહીં ઉપાડું પગ
નહીં ચાલુ તારા ચીંધેલા રસ્તે ચૂપચાપ
નહીં કરું કલંકિત કલ્પનાને
ઝબોળીને તારા આદર્શો મહીં
ના વેચીશ મારી સર્જકતા
નફરતના બજાર મહીં
હા, લખીશ હું કવિતા
આગા શાહિદ અલી થઈ
અખરોટિયાં તારા હૈયે કરીશ
નમણી, ખોકરદર કોતરણી
મારા શબ્દોના ટાંકણાની ધાર પર
ખીલશે જંગલો કૈં ભોજપત્ર, ચિનારનાં
શબ્દોની વચમાં રહ્યા એ સન્નાટામાં
ઊગશે જાંબુડિયાં મઘમઘ ખેતર લહેરાતાં કેસરનાં
શબ્દોના એ અવાજમાં વસશે ફરી
ઊજડેલાં રેશમી ગામો, રેશમી રસ્તા,
શાંતિપ્રિય જણ મારા પરિવારના.
ને શબ્દોના લયમાંથી જ વહી આવશે
નીર નિર્મલ જેલમ, ચેનાબનાં
અહીં જ તો બનશે હવે
નકશા નવા હિન્દુસ્તાનના
– પ્રતિષ્ઠા પંડ્યા
આમ તો આ રચના કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવામાં આવી એની પ્રતિક્રિયારૂપે લખાઈ હોવાની સંભાવના વધારે છે, પણ એને કોઈપણ આતતાયી શાસન અને શાસક સામેના બંડનું કાવ્ય પણ ગણી શકાય. લોકશાહી લોકશાહી ઓછી અને રોકશાહી ને ઠોકશાહી વધારે બની જાય ત્યારે સભાન સજાગ નાગરિકોના માહ્યલામાંથી વિદ્રોહનો આવો ફુત્કાર જન્મે. કથક દેશદ્રોહી થવાની વાત કરે પણ આપણને દેશપ્રેમ જ દેખાય એ કવિકર્મનું સાફલ્ય. કાશ્મીરી કવિ શાહિદ અલી આગાએ જે રીતે કાશ્મીરને કવિતાનું કેન્દ્ર બનાવી કાશ્મીરની પીડાને વાચા આપી જનચેતનાને ઢંઢોળવાનું કામ કર્યું હતું, એ જ રસ્તે ચાલવાની આહલેક કથક પોકારે છે. કવિતાની ભાષામાં પણ અહીં એકસો એંસી ડિગ્રીનો ટર્ન આવે છે. અત્યાર સુધી જે કવિતા ગદ્યાળુ અને અખબારી ભાષામાં લખાયેલ લાગતી હતી, એ કવિ અને કવિતાના નામોલ્લેખમાત્રથી કોઈ અલગ જ સર્જકે ન લખી હોય એવી બાનીમાં કરોડ ટટ્ટાર કરીને આપણી સમક્ષ આવી ઊભી રહી જાય છે. સર્જકનો આક્રોશ પણ અચાનક અલગ જ સ્વરૂપ ધારે છે. સરમુખત્યાર શાસક સામેનો પોતાનો વિરોધ હાથ કે હથિયારની મદદથી નહીં, પણ મૂક પણ અણનમ કલમ વડે જ કરવાનો નિર્ધાર તો શરૂમાં જ વ્યક્ત થઈ ચૂક્યો છે. પણ કવિ જાણે છે કે કોમવાદના ઝેરનું મારણ ઝેર નથી, તમાચાનો જવાબ તમાચો નથી. એટલે એમનો શબ્દ આગ ઓકવા માંગતો નથી. એમનો શબ્દ તો મઘમઘ થતાં ખેતર અને રેશમી ગામ અવતારવા ચહે છે. જે કાશ્મીરી પંડિતોના ઘર-ગામ ઉજડી છોક્યાં છે, એમનાં પુનર્વસન અને પુનર્નિર્માણનાં સપનાં સર્જક ભાવકોની આંખમાં આંજે છે. અખંડ કાશ્મીર પુનઃ ભારતવર્ષનો હિસ્સો બને એ નવા હિન્દુસ્તાનના નક્શા જો કે ખુલ્લી આંખના સપના બનીને રહી ગયા છે એ જો કે અલગ વાત છે.
મારા દુઃખભર્યા વિચારોને વિસારે પાડવાના હેતુસર
મેં ચાંદ તળે વીણા વાદન આદર્યું.
નર્તંતી સ્વરલહેરી શમી જાય એ પૂર્વે જ
ભીનાં આંસુઓએ મારા ચહેરાને ઢાંકી દીધો.
અને રાત એક સમુદ્ર બની ગઈ,
અને વીણાના તાર ઇન્દ્રધનુષ,
અને જ્યારે વીણા તારસ્વરે, તીવ્રસ્વરે, અતિ તીવ્ર અને તારસ્વરે રણઝણી ઊઠી,
તમે નખી બની ગયા, વીણાના તાર ઉપર ફરી વળતા.
જ્યારે આખરી સૂર ઘટાદાર વૃક્ષોમાં થઈને પવન સંગ સરી ગયો,
તમે તમામ શક્તિ નિચોવાઈ ગઈ હોય એમ મારી સામે જોયું, અને ઝાંખા થતા ગયા
. તમારી ધૂંધળી થતી જતી આંખો મીંચતા,
રે! રે! તમે તો વીણાના નાદવિલયને અનુસર્યા, અને ઝાંખા થતા ગયા
. તમારી ધૂંધળી થતી જતી આંખો મીંચતા,
– હાન યોન્ગ-ઉન (કોરિઅન)
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ વિવેક મનહર ટેલર)
પ્રેમથી મોટું કોઈ ઓસડિયું નથી. વળી, પ્રેમમાં મિલનની જેટલી મજા છે, એટલી જ, કદાચ એથીય વધારે વિયોગની પણ છે. માણસો ભેગાં થાય છે, અને છૂટાં પણ થાય છે; પણ પ્રેમ યથાવત્ રહે છે. વિરહની પીડા હૃદયવિદારહ છે, પણ પ્રિયપાત્ર માટેનો પ્રેમ જ પ્રિયપાત્રએ આપેલ વિયોગની વેદનાને સહન કરવાનું બળ પણ પૂરું પાડે છે. દુઃખી મન હળવું થાય એ ઈરાદાથી કાવ્યનાયક ખુલ્લા આકાશમાં ચંદ્રની હાજરીમાં વીણાવાદન કરવું આદરે છે. નાયક સંગીતમાં ઓગળી જાય છે. સંગીત સૃષ્ટિમાં ભળી જાય છે. વ્યક્તિ અને પ્રકૃતિ વચ્ચે અદ્વૈત સ્થપાય છે, વીણા ન કેવળ તારસ્વરે, તીવ્રસ્વરે બાજી રહી છે. વેદનાની અભિવ્યક્તિની પરાકાષ્ઠાએ વેદનાના મૂળ સાથે અનુસંધાન થાય છે. દુઃખ જન્માવતા વિચારોથી છૂટકારો પામવા આરંભેલ વીણાવાદન આવિર્ભાવની ચોટી સુધી જઈ આવ્યા બાદ હવે શાંત થઈ રહ્યું છે. વીણા તારસ્વરે ને તીવ્રતમ સ્વરે રણકી ઊઠી એ પળ વીણાના તારની પરમાવધિ નહોતી, એ વાદકસંવેદનના પરમોત્કર્ષની પળ હતી. સંગીતકારની આંગળીઓ એ જ ક્ષણે વિરામ લે છે, જે ઘડીએ સંગીતકાર ખાલી થઈ ગયો હોય. રચનાનો વિશદ આસ્વાદ માણવાની ઇચ્છા હોય એ મિત્રોને અહીં ક્લિક કરવા અનુરોધછે.
While Playing the Harp
Wishing to forget my sad thoughts,
I played the harp under the moon.
Before the dancing melody died,
The wet tears had covered my face.
And the night became a sea,
And the strings of the harp were a rainbow,
And when the sound of the harp became high, thin, very thin, and high,
You became the plectron leaping, over the strings of the harp.
As the last sound followed the wind through the shadowy trees,
You looked at me with strength gone, and faded,
. closing your blurred eyes,
Ah! ah! you followed the dying sound of the harp, and faded,
. closing your blurred eyes.
– Han Yong-un
(Translated from the Korean by Younghill Kang)
ના, જરૂરી નથી મારા દરેક વિચારનું વર્જિન હોવું
વિચારોની વર્જિનિટી ક્યાં હોય છે આપણા હાથમાં!
મારે તો અનુભવોના વિશ્વને અતિક્રમવું છે.
અનુભવ – જડ, મૂર્ત, સ્થિર, ઘન.,
મારે તો અનુભવોના ઝીણા ઝીણા ટુકડાઓ કરવા છે
એમાંથી રેષાઓ ખેંચવા છે.
એના રંગોનું વિઘટન કરવું છે
તેનું પ્રવાહીકરણ કરી તેને બાષ્પ થતાં નિહાળવા છે.
વિચાર, તું આવ.
શૂન્યોની શૃંખલાની આગળ અડીખમ ઊભેલા એકડાને
ઊંચકીને ફેંકી દે શૂન્યોની પાછળ
બનાવી દે ઘટનાઓને બહુપરિમાણી અને પારદર્શક
તોડી નાખ એના આકારોને
શોષી લે તેના વજનને
ના, મને તારા ઇતિહાસમાં રસ નથી
છેદીને, ભેદીને, તોડીને, વલોવીને-
મારે તો બસ, ઘટનાઓની આરપાર થવું છે.
– શિશિર રામાવત
કવિતામાં મૌલિક વિચારોનું મહત્ત્વ મોટું અંકાયું છે, પણ વાસ્તવિક્તા એ છે કે આપણી ભાષા અને એ રૂએ આપણા વિચારો આપણા પોતાના હોતા જ નથી. બધું આપણને આજુબાજુના જગત પાસેથી જ પ્રાપ્ત થયું છે. પણ આપણી અનુભૂતિ, આકલન તેમજ અભિવ્યક્તિની ક્ષમતાના આધારે આપણે આપણા ‘પોતીકા’ કહી શકાય એવા વિચારો ઘડતાં હોઈએ છીએ. કદાચ એટલે જ કવિતાનો આરંભ પોતાના જે પોતાના હાથમાં જ નથી એવી વિચારોની વર્જિનિટીની અનાવશ્યક્તાથી થાય છે. કવિને તો અનુભવથીય સંતોષ નથી. એમણે તો એને પણ અતિક્રમવા છે. અનુભવ આમ તો અમૂર્ત અને અસ્થિર પણ કવિ એને સ્થૂળ પરિમાણો બક્ષી વિરોધાભાસ જન્માવે છે. કવિતાની શરૂઆત અહીંથી જ થાય છે. અનુભૂતિને અતિક્રમવા માટે એને તોડીફોડીને એનો નવોન્મેષ કરવો જરૂરી છે. કવિ આ કામ માટે વિ-જ્ઞાનની પ્રયોગશાળાને ખપમાં લે છે. આટલું કરી લીધા બાદ તેઓ વિચારને આમંત્રે છે. જે અનુભવોને તોડીફોડીને અતિક્રમી જાય એને વિચારોની કિંમત કે ઇતિહાસમાં શો રસ હોય? આસપાસ બનતીરહેતી ઘટનાઓને છેદી-ભેદી-તોડી-વલોવીને એની આરપાર નીકળી જઈ શકાય ત્યારે જે અર્ક હાથ લાગે એ છે ખરી વર્જિનિટી… એ છે વિશુદ્ધ મૌલિક અનુભૂતિ!
સુરેશ દલાલે શરૂ કરેલ ‘કવિતા’ દ્વિમાસિકના ૨૦૧૭માં પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે ત્રણસોમો અંક (દિપોત્સવી) પ્રગટ થયો હતો.એમાંથી આ રચના જડી આવી. ‘ઘન’ના સ્થાને’ધન’, ‘બહુપરિમાણી’ના સ્થાને ‘બહુપરિણામી’ અને ‘શોષી લે તેના વજનને’ના સ્થાને ‘શોષી લે તેવા વજનને’ છપાયું હતું. મને ખટકા અનુભવાયા એટલે ચહેરાપોથીના શરણે જઈ, શિશિર રામાવતના દરવાજે ટકોરા માર્યા… આ કવિતા વિશે એમણે જે લખ્યું છે એ રસપ્રદ છે. શિશિરભાઈ લખે છે:
“તમે કશુંક ઇન્ટેન્સ-ઇન્ટેન્સ લખ્યું હોય ને પછી તેને લગભગ ભૂલી ગયા હો ને તે લખાણ દોઢેક દાયકા પછી ઓચિંતા તમારી આંખ સામે આવે ત્યારે થોડું કૌતુક જરૂર થાય. તમારે યાદ કરવું પડે કે આવું બધું મેં કઈ મનઃસ્થિતિમાં લખ્યું હતું. મને ખરેખર આ કવિતા લખવા પાછળનાં ઇમોશનલ-સાઇકોલોજિકલ કારણો, ટ્રિગર્સ કે સંદર્ભો – આમાંનુ કશું જ યાદ આવી રહ્યું નથી. તોય તે વાંચીને ચહેરા પર સ્માઇલ તો આવ્યું જ.”
જ્યારે પણ હું
ટેબલ પાસે ખુરશી
ખેંચી લાવીને બેસું છું
તે પણ
અચૂક પાસે આવી
બેસી જાય છે.
હું કવિતા લખવી શરૂ કરું
કે તરત જ
તે પણ તેની રમત
શરૂ કરી દે છે.
હું. લખવા મથું
આકાશ વિશે તો
તે લખાવે છે
લીલાંછમ ખેતરો વિશે!
હું આંખો તાણીને
નજર માડું
ક્ષિતિજની પેલી પાર
ત્યારે તે
સામે અરીસો ધરી દે છે!
અજાણી ટ્રેઇનના મુસાફર જેવો
હું
પરેશાન હોઉં ત્યારેય
તે ખુશ થતી હોય છે.
હું કવિતા લખવા બેસું
ત્યારે
કવિતા મને લખતી હોય છે.
– ભરત ત્રિવેદી
હાથમાં કલમ લઈ કાગળ પર કવિતા લખવા બેસનાર કવિને ખબર હોતી નથી કે આગલો શબ્દ કયો હશે, અને આખરી શબ્દ કયો હશે. કવિને મન એમ કે એ કાગળ પર કવિતા લખી રહ્યો છે, પણ વાસ્તવમાં તો ત્યારે કવિતા જ કવિને હળવા હાથે ટાંચતી, ઘડતી હોય છે, પરિણામે કવિતા લખાયા બાદનો કવિ કવિતા લખ્યા પૂર્વેના કવિ કરતાં અલગ જ હોવાનો. કવિતાનો વિશદ આસ્વાદ માણવા ઇચ્છતા મિત્રો અહીં ક્લિક કરે…
હું મારી માને કહું છું
મને નોબલ પારિતોષિક મળ્યું છે.
ફરીથી? એ પૂછે છે. આ વેળા
કયા ક્ષેત્રમાં?
આ એક નાનકડી રમત છે
જે અમે રમીએ છીએ: હું ડોળ કરું છું
કે હું કોઈક ખાસ છું, એ
ડોળ કરે છે કે એ મરી નથી
– એન્ડ્રિયા કોહેન
(ગુજ. અનુવાદ: વિવેક મનહર ટેલર)
ગાગરમાં સાગર જેવી રચના. ઓછામાં ઓછા શબ્દોમાં પૂરેપૂરી અભિવ્યક્તિ કરી શકે એ ખરી કવિતા. કથક એની માને કહે છે કે એને નોબલ પારિતોષિક મળ્યો છે. સાહિત્યજગતનું સૌથી મોટું બહુમાન મળ્યું હોવાની વાતથી જ મા-દીકરી વચ્ચેના સંવાદની કાલ્પનિકતા પ્રસ્થાપિત થઈ જાય છે. તમને કદાચ એવો સવાલ કરવાનું મન થાય કે જેને ખરેખર નોબલ પારિતોષિક મળ્યું હોય એ કવિએ જ આ કવિતા લખી હોય એવું ન બને? બની શકે… પણ કવિતાનો બીજો-ત્રીજો ભાગ તો જુઓ… સમજાયું ને?
મા-દીકરી વચ્ચે આ પ્રકારની રમતો રમવું સાહજિક હશે એ બાબત સ્પષ્ટ થાય છે અને એના પરથી મા-દીકરી વચ્ચેનો હૂંફાળો સંબંધ પણ પ્રતિપાદિત થાય છે. કાવ્યાંતે માતા આ દુનિયામાં હયાત જ ન હોવાની સંભાવના સ્ફુટ થાય છે ત્યારે હળવી રમતના સૂરમાં આરંભાયેલ સંવાદ વિષાદયુક્ત એકોક્તિ બની રહે છે. કમિટિનો નિર્ણય શીર્ષક પણ કવિતા પૂરી થઈ ગયા બાદ જ સમજાય છે. દીકરીને મન એની મા જ એકમેવ કમિટિ હતી. માનો અભિપ્રાય જ એને મન તો નોબલ પારિતોષિક બરાબર હતો… દુન્યવી સફળતા ગમે એટલી મોટી કેમ ન હોય, મા-બાપના ચાલ્યા જવાથી સર્જાતા ખાલીપાને એ સભર કરી શકતી નથી…
દેવાલયમાં બેઠેલો માણસ સુખી છે;
મિત્ર; ઘંટારવ અને નિજનો અવાજ
એને ભિન્ન નથી જણાતા કદીય.
સુખી થવાની કલ્પના કરતો માણસ
અત્યંત સુખી છે;
મિત્ર; એની કલ્પનામાં દુઃખને
ક્યાંય સ્થાન નથી હોતું…
– પ્રાણજીવન મહેતા
કહેવું હોય એ સીધેસીધું કહી દે તો એ કવિતા કેમ કહેવાય? કવિએ કવિતાને શીર્ષક તો ‘સુખની કવિતા’ આપ્યું છે. પણ શું સાચે જ આ સુખની કવિતા છે? જ્યોતિષના ઘરે નસીબનાં પાનાં ખોલી આપવાનું કામ કરતી ચકલી પોતાના વિષાદને પારખી શકતી ન હોવાથી સુખી છે એમ કવિ કહે છે. ચકલી તો પ્રતીક છે. હકીકતમાં આ એ લોકોની વાત છે, જેઓ અજ્ઞાનમાં જ જીવી જાય છે. ભાગ્ય વિશે વિચારવાને સમર્થ નથી. લોકો વાસ્તવિક્તાનો સામનો કરી શકતા નથી. આભાસી સુખને જ સાચું ગણીને તેઓ જીવન વિતાવે છે. ભગવાનના આશરે જીવન જીવી જતા લોકો બાહ્ય રણકારમાં જ એટલા રત રહે છે કે ભીતરનો અવાજ સાંભળવાનો અવકાશ જ રહેતો નથી. અને જે નિતાંત કલ્પનામાંજ રાચવામાં માને છે એ માણસ તો સૌથી સુખી છે. ટૂંકમાં સુખની અનુભૂતિ કેવળ અજ્ઞાન, આભાસ અને કલ્પનામાં જ સંભવ છે. વાસ્તવિક જીવનમાં સુખ યાને ઝાંઝવાનું જળ…
હજી એ દા’ડાની
સતત વરસે યાદ વસમી
ધરી પાટી હાથે
શબદ શિખવ્યા કૈંક મુજને
અને
વીત્યાં વર્ષો
જીવનપથ આરૂઢ બનતાં
તમે છોડી ચાલ્યા..
કદી મોડી રાત્રે
કવનવશ આવેગ ઉર લઈ
લખું જ્યાં શબ્દો
ત્યાં
મુજ તરફ કો દૃષ્ટિ ઠરતી?
વીતેલાં વર્ષોની
સહજ ઊઘડી જવનિકા
તમારી યાદે
હૃદય ઊભર્યે
અશ્રુ સરતું
– ભરત ત્રિવેદી
ભવાટવિમાં આપણને પાછળ છોડી ચાલ્યા જનાર સ્વજનોની યાદ તો કાયમ આવતી જ હોય, પણ જે રીતે સ્વાતંત્ર્ય દિને નાગરિકોનો દેશપ્રેમનો જુસ્સો જ અલગ હોય એ રીતે પુણ્યતિથિએ એમની સાથે વીતાવેલું આખું જીવન આપણે રિવાઇન્ડ કરતાં હોઈએ છીએ. કથક મૃત પિતાની પુણ્યતિથિએ એમને સંભારી રહ્યા છે. પિતાજીએ જે શબ્દો આપ્યા એ જ શબ્દો કથક મોડી રાત્રે કાવ્યાવેશમાં આવી કાગળ પર માંડે છે ત્યારે એને પિતાજીની નજર પોતા તરફ જ મંડાયેલ હોવાનો ભાસ થાય છે. વિગત વર્ષોનો પડદો ખૂલી જતાં હૃદય લાગણીથી ઉભરાઈ ઊઠે છે અને એ ઉભરો આંસુ બનીને આંખેથી છલકાય છે… કાવ્યારંભે વસમી યાદ સાથે અક્ષરજ્ઞાનનો સંદર્ભ એક જ વાક્યમાં વણી લેવાયો છે એ સહેજ કઠે છે.
આપણી આંખોને કવિતા આવો નાની-મોટી પંક્તિઓનો દેહ ધારીને આવે એટલે એને અછાંદસ ગણી લેવાને ટેવાઈ ગઈ છે. પણ આ રચના વિશુદ્ધ શિખરિણી છંદમાં છે, અછાંદસ નથી. કવિએ શિખરિણીની પંક્તિઓના ખંડ કરીને એને અછાંદસનો આકાર આપ્યો છે. આને મુક્ત પદ્ય પણ ગણી શકાય.
લોકો એમના પ્રેમ વિશે વિચાર્યે રાખે છે.
મારો પ્રેમ? હું ભૂલી જઈશ.
હું ભૂલવાની જેટલી વધારે કોશિશ કરું છું, એટલું જ તને વધારે વિચારું છું.
એમ વિચારીને, ‘કે કદાચ ભૂલી જઈ શકાય,’ હું વિચારવા મથું છું.
હું તને ભૂલવાની કોશિશ કરું છું, તો તારા વિચાર આવે છે,
વિચારું છું, મતલબ ભૂલ્યો નથી.
શું કરું? તને ભૂલવાનો કે વિચારવાનો પ્રયાસ જ ન કરું?
એ આખી વાત એમ જ છોડી દઉં- ભૂલવાનું પણ ને વિચારવાનું પણ?
પણ કાન આમથી પકડું કે તેમથી, બંને જ અશક્ય છે.
અંતહીન વિચારોમાં- વિચાર પર વિચાર-
ફક્ત અને ફક્ત પ્રાણપ્રિય જ છે. હું કરું તો શું કરું?
જો મારો ઉદ્દેશ્ય કેવળ ભૂલવાનો જ હોત,
તો એવું કંઈ નથી કે હું ભૂલી ન શક્યો હોત, પણ…
એ તો માત્ર નિદ્રા અથવા મૃત્યુ જ.
અશક્ય જ, જ્યાં સુધી પ્રિય છે.
રે! રે! ભૂલી ન શકાતા વિચારો કરતાં પણ
ભૂલી જવાની ઇચ્છા જ વધુ પીડાદાયક છે.
આજથી બરાબર સો વર્ષ પહેલાં ૧૯૨૬ની સાલમાં લખાયેલી આ કવિતા આજે સો વરસ પછી પણ કાગળ પરથી શાહી સિક્કે ભૂંસાઈ ન હોય એટલી તરોતાજા લાગે છે. કોરિઅન કવિ હાન યોન્ગ ઉન કવિ હોવા ઉપરાંત બૌદ્ધ સુધારક, અને કોરિયા પર જાપાની સાંસ્થાનિક શાસન સામેના અગ્રિમ સ્વતંત્રતા સેનાની પણ હતા. એમનાં પ્રેમકાવ્યોની પ્રેમિકા ક્યારેક ખરેખરી સ્ત્રી હોય છે, ક્યારેક એ ઈશ્વર હોય છે તો ક્યારેક એમનો દેશ! કાવ્યારંભે પોતાના પ્રિયપાત્રને ભૂલી જવાનો જે આત્મવિશ્વાસ છલકી રહ્યો છે એ કાવ્યાંતે પહોંચતા સુધીમાં નદારદ થઈ જાય છે. આ બે અંતિમો વચ્ચેની શબ્દયાત્રા કવિતાને મજેદાર બનાવે છે…
મૂળ કોરિઅન કવિતા અને ઉપલબ્ધ અંગ્રેજી અનુવાદ વચ્ચે સામંજસ્ય પૂરતું ન જણાતાં, અંગ્રેજી અનુવાદ ઉપરાંત શબ્દકોશ, ગૂગલ ટ્રાન્સલેટ તેમજ એકાધિક એ.આઈ. ચેટબોટની મદદથી કવિતાનો અંગ્રેજી અનુવાદ પણ આ વખતે મેં જાતે જ કર્યો છે, જેથી મૂળ કવિતાની બને એટલા નજીક રહી શકાય. આશા છે કે મિત્રોને ગમશે.
*
I would forget
Others would think of their loves.
My love I would forget.
The more I try to forget, the more I think of you.
Thinking, ‘perhaps it might be forgotten,’ I tried thinking.
If I try to forget, I think of you,
If I think, it is not forgotten.
Shall I try neither forgetting nor thinking?
Shall I try leaving it alone—whether forgetting or thinking?
But even so, it does not work.
In ceaseless thoughts—thought upon thought—
there is only the Beloved. What am I to do?
If I insist on forgetting,
It is not that I cannot forget, but…
it would be only sleep and death.
I cannot, while the Beloved remains.
Ah, ah, more than thoughts that are not forgotten,
That very wishing-to-forget is more tormenting.
– Han Yong-un
(Translated from the Korean by help of various AI tools)
એણે એક કાગળ પર
અડખેપડખે મૂકી બે કવિતા
જમણે મહમૂદ દારવિશ
ડાબે યેહૂદા અમીચાઈ
ને શબ્દો તો વિચરતી જાતિ
માંડ્યા ભટકવા
આ તરફથી પેલી તરફ
જ્યાં લગી પંક્તિઓ તૂટીફૂટી ન ગઈ
જ્યાં લગી છંદ વીખરાઈ ન ગયા
જ્યાં લગી બધાય પ્રાસ
ઓળખાય પણ નહીં એટલા એકધારા થઈ ન ગયા
જ્યાં લગી એ બધા છિન્નભિન્ન ને લોહિયાળ ન થઈ ગયા
જ્યાં લગી મારા ભેજામાં એક નઠારું યુદ્ધ ચાલુ ન થઈ ગયું
જ્યાં લગી મેં એક ફૂટપટ્ટી પકડીને
ખેંચી ન કાઢી
એક સીધી જાડી લીટી
વચ્ચોવચ ત્યાં લગી.
હવે મારું મન જરી શાંત છે.
– પ્રતિષ્ઠા પંડ્યા
(* ‘એતદ્’નો ડિસેમ્બર ૨૦૨૩નો અંક વાંચતાં…)
એક કાગળ પર બે કવિતા અડખેપડખે મૂકવામાં આવી છે. આમ તો સર્જક કોઈ પણ બે કવિને પસંદ કરી શક્યા હોત પણ એમણે જે બે કવિઓ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે એ યેહૂદા અમીચાઈ (https://layastaro.com/?cat=404) અને મહમૂદ દારવિશ (https://layastaro.com/?cat=1376) – બંને વીસમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલ ઉત્તમ કવિ હતા. અમીચાઈ ઇઝરાઈલના કવિ. ભાષા હિબ્રૂ અને દારવીશ પેલેસ્ટાઇનના કવિ, ભાષા અરેબિક. બંને દેશ વચ્ચેના યુદ્ધથી આપણે વાકેફ છીએ. આ બે કવિઓએ વીસમી સદીની કવિતાનો નવોન્મેષ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બંને કવિની કવિતાઓએ ઇશ્વને વિચારતું કરી દીધું હતું. કદાચ સર્જક અહીં એ જ આપણને સમજાવવા ઇચ્છે છે. બીજું કોઈ કારણ હોય તો એ સમજવા માટે ‘એતદ્’નો ડિસેમ્બર ૨૦૨૩નો અંક વાંચવો પડે. અરસપરસ મૂકેલી બંને કવિતા થોડીવારમાં જ મૂર્તતામાંથી અમૂર્તતા સાધે છે… શબ્દો, પંક્તિઓ, છંદોપ્રાસ –બધું જ એમના અર્થ અને સંદર્ભ ગુમાવી બેસે છે. કેવળ કવિતા અને કવિતાનો ભાવ જ બચ્યા છે. કથકના મનોમસ્તિષ્કમાં તુમુલ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. સમગ્ર કવિતાની ભાષાની પંગતમાં આગંતુક લાગે એવા બે સહદો સર્જક અહીં પ્રયોજે છે – ભેજું અને નઠારું…. આ બે શબ્દો આપણને બે ઘડી અટકવા મજબૂર કરે છે. અટકીએ,જેથી લડાઈની ભીષણતા જોઈ-સમજી-અનુભવી શકાય. ઇચ્છા-અનિચ્છાએ પણ સર્જક કવિતાના અર્જિત કરેલ તમામ સંસ્કાર છિન્નભિન્ન થઈ જાય એવા લોહિયાળ યુદ્ધનું અવિભાજ્ય અંગ બની જાય છે. બે કવિની કવિતાઓ વચ્ચે ફૂટપટ્ટી વડે જાડી સીધી લીટી ખેંચી લીધા બાદ જ કવિમન સહેજ (વધુ કે પૂરેપૂરી નહીં, હંઅઅ) શાતા અનુભવે છે.
સર્જકને શું અભિપ્રેત હશે એ તો સર્જક જકહી શકે, પણ મને લાગે છે કે તેઓ આપણને કવિતા સાથે રૂબરૂ થવાનો કીમિયો શીખવાડે છે. કવિના સર્જનસમયના ભાવવિશ્વમાં પ્રવેશી શકાય તો જ કવિતા પામી શકાય. અને કવિસંવેદનની ધારથી લોહીલુહાણ થઈ ન જવાય ત્યાં સુધી કવિતા સાચા ભાવકને શાંતિનો શ્વાસ જ લેવા ન દે…
* * *
કવિતા ભાવકે ભાવકે નવાં વાઘાં પહેરે… સર્જકને શું અભિપ્રેત છે એ જાણીએ? આ રચના વિશે સુશ્રી પ્રતિષ્ઠા પંડ્યા કહે છે: “એક કવિનો શબ્દ છે જે સરહદો ને ઓળખની વાડથી વિહ્વળ થાય છે ઘવાય છે ને તો યે એને ઓળંગવાનું સાહસ ધરાવે છે. અને એક આપણું મન છે જે કવિતાના શબ્દોને પણ લીટીઓ દોરી દોરીને છૂટા પાડ્યા કરે છે. આ યહૂદી, આ અરબ, આ પેલેસ્ટાઇન, આ ઇઝરાઇલ, આ ભારતીય, આ પાકિસ્તાની…. આપણને વાડ ગમે છે ને જ્યાં સુધી એક સીધી લીટી દોરી ન નાખીએ આપણને ચેન નથી પડતું, ખરું ને?!“
એકવાર:
એક ઓરડો
એક ટાઇપરાઇટર
એક નોકરી
એક અલાર્મઘડિયાળ
એક એકલતા
એક આશા
હવે:
એક એપાર્ટમેન્ટ
એક સમરહાઉસ
વસ્તુઓ
એક પતિ
ત્રણ બાળકો
દરજ્જો
મિત્ર
પ્રેમી
કામવાળી
ઉપેક્ષિત
કબરો
હેરડ્રેસર
મનોચિકિત્સક
પૈસા
મડાગાંઠ
ખુશીનો
અભાવ
સારી વસ્તુઓ એમને મળે છે
જેઓ રાહ જુએ છે
મારી માતાએ કહ્યું હતું
ઝંખના અને
સમજણ
એમને બહુ મોડેથી
લાધ્યાં હતાં.
એમનું મૃત્યુ
નર્સિંગ હોમમાં થયું
જ્યાં એ કોઈને
ઓળખતી નહોતી.
લોકો મોટાભાગે
એકબીજા માટે
ગેરસમજણ જ ધરાવતા હોય છે.
તેણીના હાથ
બહુ જ સુંદર હતા.
ધ્યાન બહાર
જિંદગી સરકી ગઈ.
– ટૉવે ડિટ્લેવ્સેન
(અંગ્રેજી અનુવાદ પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
હિસાબ કરવો એ માનવપ્રકૃતિનો અંતર્નિહિત ભાગ છે. પૈસા હોય કે સંબંધ, વ્યવહાર હોય કે લાગણી –આપણે શું ગુમાવ્યું ને શું મેળવ્યુંનો રોજમેળ મેળવ્યા વિના રહેતા નથી. પણ જીવનની ખાતાવહીના જમા-ઉધાર અલગ પ્રકારના હોય છે. આવકના લેખાજોખા કઈ રીતે કરવા એ તો શીખી-શીખવાડી શકાય છે, પણ જીવનના હિસાબકિતાબ તો જાતઅનુભવે જ શીખવા પડે છે. આવી જ કોઈક ગણતરીની ફળશ્રુતિ એટલે ટૉવે ડિટ્લેવ્સેન લિખિત આ કાવ્ય.
શરૂઆત ‘એકવાર’થી થાય છે. જીવનનો એ સમય આર્થિક સંકડામણનો સમય હતો. રહેવાને ઘર નહીં, કેવળ એક ઓરડો હતો. અને ઓરડામાં હતું એક ટાઇપરાઇટર. રહેવા માટે ઘરના નામે કેવળ ઓરડો જ હોય એ માણસ ટાઇપરાઇટર શા માટે વસાવે? ટાઇપરાઇટર એટલે સાહિત્યસર્જન. યાદીનો ક્રમ પણ નોંધનીય છે. પહેલાં માથા પરની છત, પછી કળા અને એ પછી નોકરી. પહેલાં સરસ્વતી, પછી લક્ષ્મી. આખી કવિતા આ રીતે માણી શકાય. જે મિત્રોને કવિતાનો વિશદ આસ્વાદ માણવો હોય તેઓ અહીં ક્લિક કરીમાણી શકે છે.
January 10, 2026 at 7:42 AM by વિવેક · Filed under અછાંદસ, અનિલ જોશી
મારી છત્રીનો કાગડો
ક્રાઉક્રાઉક્રાઉ બોલી ઊઠ્યો.
પીપળા જેવો હું
ધ્રૂજી ગયો.
મહેમાન થઈને ચાંદરણું આવ્યું
બેઠું
સરક્યું
ને ચાલ્યું.
હું એકલો પડી ગયો.
હું ખોટો પડું એટલી હદ સુધી
સાચું બોલતો થઈ ગયો.
હવે હું દીવો નથી
પણ દીવો સળગાવતાં ઠરી ગયેલી
દીવાસળીની ટોચ ઉપર પડેલું અંધારું છું.
હવે હું ઈસુ નથી
પણ ક્રૉસ છું
જેના પર માણસજાત
પોતાની તમામ ભૂલો ટિંગાડી શકે છે.
– અનિલ જોશી
શીર્ષક ઘણીવાર કવિતામાં અવિનાભાવી ઘટક બની રહે છે. એઝરા પાઉન્ડની સુખ્યાત કવિતા ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’ શીર્ષક વિના અપૂર્ણ જ રહી જાય. એ જ રીતે આ કવિતામાં પણ શીર્ષક કવિતાનું અવિભાજ્ય અંગ છે. આખી રચનામાં ક્યાંય સાંજનો ઉલ્લેખ નથી, પણ શીર્ષક આપણને કહે છે કે ‘એક સાંજે’ જે થયું છે એની જ આ કવિતા છે. સાંજ સંધિકાળનો સમય છે… અજવાળું-આશાના ગમન અને અંધારું-નિરાશાના આગમનના એંધાણ લઈને આવતી સાંજ સરવાળે વિષાદ અને વિયોગનું પ્રતીક છે. ‘એક સાંજ’ના દોરામાં ભાવ અને પ્રતીકોના મોતી પરોવી કવિએ સ-રસ કાવ્યમાળા રચી છે. કાયમ નહીં, પણ કોઈ એક સાંજે જે થયું એની યાદી કવિ આપે છે. છત્રી નહીં, છત્રીનો કાગડો બોલી ઊઠે છે. ઘરના મોભારે કાગડો બોલે તો મહેમાન આવવાના શુકન થાય, પણ આ તો છત્રીનો કાગડો છે. એટલે મહેમાન પણ અલગ પ્રકારના જ હોવાના ને! છત્રી કાગડો થાય ત્યારે એનો મૂળ હેતુ ગુમાવી બેસે છે, એ વરસાદથી બચાવી શકતી નથી. જીવનના સંદર્ભમાં સ્વયંની લાચાર અને આઉટ-ઓફ-કોન્ટેક્સ્ટ પરિસ્થિતિનું આથી સશક્ત વર્ણન બીજી શી રીતે કરી શકાય? દરેક સંદર્ભને આ રીતે વારાફરતી હળવા હાથે ખોલી શકાય, પણ એ કામ ભાવકક્ષમતા પર છોડી દઈ હું અહીં અટકું…
January 9, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ગોપી દેસાઈ
યાદ છે કૃષ્ણ
તું ગોકુળની ગાયો પાછળ ભમતો
ને હું તારી પાછળ.
રાસ તો આજે પણ રમું છું
પણ તારા વગર
વાંસળી નહીં, ડીજેની ધૂન પર
યાદ છે કૃષ્ણ
એક દિવસ બપોરે મેં કહ્યું,
“મારે તારી સાથે રહેવું છે”
તેં કહ્યું કર્મ કર કર્મ
બસ…
વહેલી સવારે ઊઠી
ગાયો દોહી, છાશ વલોવી, માખણ કાઢી…
ક્યારેક ઘી પણ…
છાણાં વીણું, વાસીદુ વાળું,
ચૂલો અને ચાકરી…
કોની?
ઘરવાળો અને છોકરા
તારી જેમ ઓછું છે છડેછડા
જે ગમે એની હારે પ્રેમ કરવાનો
કાંઈ તુક્કો સુઝે તો મન મુજબ
મસ્ત બની નીકળી જવાનું
હવે તો ગોકુળ, વૃંદાવન, મથુરા
બધ્ધે મસ્ત પેકિંગમાં નાના-મોટા ડબ્બામાં
દૂધ, છાશ,માખણ, ઘી બધું મળે છે
મંગાવી લઉં છું
કેટલા વલોણા વલોવ્યા કરું?
ખાલી તારી તારી યાદ ના વલોણા…
એકદમ silent …
વલોણું ફરે પણ અવાજ નહીં
ખાલી આંસુ પડે…
આંસુ પણ એકદમ silent…
યાદ છે કૃષ્ણ
એકવાર યમુનાજીમાં તરવા પડેલી હું
તું મારા કપડાં ચોરી સંતાઈ ગયેલો.
હવે તો Blinkit , Swiggy કરું
દસ મિનિટમાં કપડાં હાજર
તું તારે સંતાઈ રહે કદમ્બની ડાળે
તને ડીક્કો
તું મારું સર્વસ્વ
અને હું માત્ર એકલી અટૂલી ગોપી
સમજાયું મને
“Blood is thicker than water”
હા- પછી ખબર પડી કે
પાંડવો તારા કઝિન્સ હતા
ઇંગ્લિશ તને ક્યાંથી આવડે?
Cousins – પિતરાઈ ભાઈઓ
જીતાડી દીધા કઝિન્સને મહાભારતમાં …
વાહ…વાહ…
સમજાયું મને
“Blood is thicker than…
મારા ગોકુળનાં દૂધ, છાશ, અને માખણ કરતાં…
સારું એટલું કહે
“રાધા કે રુક્મણીના touchમાં છું?”
Reels જોઉં છું એ લોકોની ઇન્સ્ટા પર…
આ ગોકુળની ગોપી હવે આવું બધું બોલે
તને નહીં સમજાય
તને કાંઈ ટપ્પી નહીં પડે
નહીં સમજાય તને
ગોકુળમાં હજી મલ્ટિપ્લેક્સ નથી
ગોકુળ Religious Town છે
– ધાર્મિક ધામ છે
એટલે મથુરા ગઈ હતી
Book My Show પર ટિકિટ બુક કરાવીને ‘લાલો’ જોવાસ્તો…
લે તને ખબર નથી
100 કરોડ ઉપર બિઝનેસ કર્યો
હા નહીં…
તને તો કરોડ શું ? રૂપિયા શું?
કેટલા રૂપિયા કશું ક્યાં ખબર હોય…
ક્યાં છો ડાકોરમાં? કે દ્વારિકામાં?
કે હજુ પાંડવો સાથે India ની Tour જ કરી રહ્યો છું?
ખબર છે વેનેઝુએલાના પ્રેસિડન્ટને ટ્રમ્પ રાત્રે એના ઘરમાંથી ઉપાડી ગયો…
ટ્રમ્પ તેલ લેવા જાય…
હું તો બહુ diet conscious છું
તેલ નો ખપે…
ટ્રમ્પ ની જેમ તું મને ઉપાડી જાને
તારી સાથે રહીશ
કોઈ ડિમાન્ડ નહીં
કેટલાં વલોણાં વલોવ્યાં કરું?
તારી યાદનાં વલોણાં…
– ગોપી દેસાઈ
લયસ્તરો પર આજે જય વસાવડાની ચહેરાપોથી પરથી સીધેસીધું કોપી-પેસ્ટ… જાણીતા અભિનેત્રી અને દિગ્દર્શિકા ગોપી દેસાઈ કવિતા, સારી કવિતા પણ કરી શકે છે એ જાણી-જોઈ સાનંદાશ્ચર્ય થયું. કૃષ્ણ અને ગોપીના સંબંધ વિશે અસંખ્ય કવિઓ અસંખ્ય કવિતા કરી ગયા છે, પણ જે રીતે સર્જકે સમયના બે અંતિમોને નહીં સાંધો-નહીં રેણની કાબેલિયતથી જોડી રચના કરી છે એ સાચે જ કાબિલ-એ-દાદ છે. નિઃશંકપણે રચના થોડી લાંબી થઈ છે, પણ વિશ્વાસ રાખો, સહેજપણ ભારઝલ્લી લાગશે નહીં…
મારી નિશાળની નોટબુકો પર,
મારા ટેબલ અને વૃક્ષો પર,
પોચા બરફ પર
હું તારું નામ લખું છું
મેં વાંચેલા પૃષ્ઠો પર
બધા કોરા પાનાઓ પર
પથ્થર, લોહી, કાગળ કે રાખ પર
હું તારું નામ લખું છું
સોનેરી ચિત્રો પર
યોદ્ધાઓના હથિયારો પર
રાજાના મુકુટ પર
હું તારું નામ લખું છું
જંગલ અને રણ પર
પંખીના માળા અને ઝાંખરા પર
મારા બાળપણના પડઘા પર
હું તારું નામ લખું છું
મારા ભૂરા રૂમાલ પર
સૂર્યપ્રકાશિત ખાબોચિયા પર
ચાંદનીના જીવંત સરોવર પર
હું તારું નામ લખું છું
ખેતરો પર, ક્ષિતિજ પર
પક્ષીઓની પાંખો પર
અને પડછાયાઓની હારમાળા પર
હું તારું નામ લખું છું
૫રોઢની દરેક લહેરખી પર
દરિયા પર, હોડીઓ પર
ઉન્માદી પર્વતના શિખર પર
હું તારું નામ લખું છું
વાદળના ગાભા પર
વાવાઝોડાની વાછટ પર
મુસળધાર વરસાદ અને સપાટ જમીન પર
હું તારું નામ લખું છું
ઝબકતા આકારો પર
રંગબેરંગી ઘંટડીઓ પર
કુદરતી સત્ય પર
હું તારું નામ લખું છું
ઊંચી પગદંડીઓ પર
ઉભરાતા માર્ગો પર
ભીડથી ભરેલા ચોક પર
હું તારું નામ લખું છું
પ્રગટાવેલા દીવા પર
ઓલવાયેલા દીવા પર
મારા એકજૂટ વિચારો પર
હું તારું નામ લખું છું
બે ભાગમાં કપાયેલા ફળ પર
મારા અરીસા અને મારા ઓરડા પર
મારી ખાલી પથારી પર
હું તારું નામ લખું છું
મારા દીલદાર અને લોભી કુતરા પર
તેના સરવા કાન પર
તેના ભુલકણા પંજા પર
હું તારું નામ લખું છું
મારા દરવાજાના આગળા પર
તે જાણીતી વસ્તુઓ પર
આગની જ્વાળાઓ પર
હું તારું નામ લખું છું
દેહના તાલ-મેલ પર
મારા મિત્રોના ચહેરા પર
દરેક લંબાયેલા હાથ પર
હું તારું નામ લખું છું
આશ્ચર્યની બારી પર
રાહ જોતા હોઠ પર
મૌનથી પણ ઊંડી અવસ્થા પર
હું તારું નામ લખું છું
મારી જીર્ણ છુપવાની જગ્યાઓ પર
મારી ડૂબેલી દીવાદાંડી પર
મારી દીવાલો અને મારી ઉદાસી પર
હું તારું નામ લખું છું
ઈચ્છા વગરના અમૂર્ત ભાવ પર
નગ્ન એકાંત પર
મૃત્યુના પગલાં પર
હું તારું નામ લખું છું
અને એક શબ્દ ખાતર
હું મારું જીવન ફરી શરૂ કરું છું
કારણ કે હું તને જાણવા જ જન્મ્યો હતો
તારું નામ લેવા માટે :
આઝાદી.
– પોલ એલ્યુર્ડ
(અનુવાદઃ ધવલ શાહ)
(Paul Éluard, 1895–1952)
Liberté કવિતા એક સરળ અને લયબદ્ધ માળખા પર રચાયેલી છે જેથી તેને યાદ રાખવી અત્યંત સરળ બને છે—જે યુદ્ધ દરમિયાન કવિતાનાં મૌખિક પ્રસારણ માટે એક નિર્ણાયક પાસું હતું. પ્રાર્થના અને ગીત જેવી શૈલીવાળી (Litany) આ કવિતામાં ૨૧ કડીઓ (quatrains) હોય છે. દરેક કડીની પ્રથમ ત્રણ પંક્તિઓ કોઈ સ્થાન (મૂર્ત અથવા અમૂર્ત)નું વર્ણન કરે છે, અને ચોથી પંક્તિ એ ટેક છે “J’écris ton nom” (હું તારું નામ લખું છું). કવિતા નિર્દોષ બાળપણની છબીઓ (“મારી સ્કૂલની નોટબુક્સ”, “મારું ડેસ્ક”)થી લઈને કુદરત (“વરસાદ”, “વાદળો”), અને પછી પુખ્ત વય અને યુદ્ધની ઘેરી છબીઓ (“યોદ્ધાના શસ્ત્રો”, “નાશ પામેલા ઘરો”) તરફ આગળ વધે છે, અને અંતે “લિબર્ટી” (સ્વતંત્રતા) નામના વિસ્ફોટક ઘટસ્ફોટ સાથે સમાપ્ત થાય છે. સાવ સરળ લાગતી આ કવિતામાં દર ત્રણ પંક્તિ પછી પુનરાવર્તિત થતી રહેતી પંક્તિનો સ્વર અંત તરફ જતા વધુ ને વધુ ઘેરો બની અંતિમ પંક્તિમાં સ્વતંત્રતાની ઈચ્છાને ચરમસીમાએ લઈ જાય છે, કવિતાને સર્વોચ્ચ કક્ષાએ લઈ જાય છે.
Liberté એ પોલ એલ્યુર્ડની બીજા વિશ્વયુદ્ધ સમયની French Resistance (પ્રતિકાર) ની સૌથી પ્રખ્યાત કવિતા છે. આઝાદીની આ એક એવી ઉત્કૃષ્ટ કૃતિ છે કે જેમાં પ્રેમની કવિતાની અંગત ભાષા અત્યાચાર વિરુદ્ધ વિશ્વવ્યાપક યુદ્ધના નાદમાં પરિવર્તિત થાય છે. આ કવિતાએ બૌદ્ધિક વર્ગ અને સામાન્ય લોકો વચ્ચેનું અંતર ઘટાડ્યું હતું કારણ કે તેની છબી દરેક જણ માટે સુલભ હતી. ૧૯૪૨માં ફ્રાંસના જર્મન કબ્જાના સૌથી અંધકારમય દિવસો દરમિયાન આ કવિતા લખવામાં આવી હતી. તે સૌપ્રથમ Poésie et Vérité 1942 (કવિતા અને સત્ય ૧૯૪૨) નામના ગુપ્ત પુસ્તકમાં પ્રકાશિત થઈ હતી. સેન્સરશીપ ટાળવા માટે, એ પુસ્તકનું વિતરણ ઘણીવાર ખોટા કવર અથવા ખોટી તારીખો સાથે કરવામાં આવતું હતું. આ કવિતાને કબજા હેઠળના ફ્રાન્સમાંથી લંડન (જનરલ દ ગૌલના ફ્રી ફ્રેન્ચ દળોનું મુખ્ય મથક) અને અલ્જિયર્સમાં છૂપી રીતે મોકલવામાં આવી હતી. આ કવિતા સાથે જોડાયેલી સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના એ હતી કે ૧૯૪૩માં બ્રિટિશ રોયલ એર ફોર્સ (RAF) એ હજારો પત્રિકાઓ પર આ કવિતા છાપીને વિમાનો દ્વારા કબજા હેઠળના ફ્રાન્સ પર આ પત્રિકાઓ ફેંકી હતી. હવે આ દ્રશ્યની કલ્પના કરો- નાઝી શાસન હેઠળ જીવતા ફ્રેન્ચ નાગરિકો સવારે જાગે છે અને જુએ છે કે આકાશમાંથી હજારો કાગળના ટુકડાઓ વરસી રહ્યા છે, જેમાં કોઈ લશ્કરી આદેશો નથી, પરંતુ સ્વતંત્રતાના પુનરાગમનનું વચન આપતી એક કવિતા છે. જે કવિતા વાંચીને આજે પણ આપણા રૂંવાડા ઊભા થઈ જાય છે તે કવિતાએ ત્યારે નાગરિકોનાં ગુલામ બની ગયેલા માનસને સ્વતંત્રતાની ઈચ્છા જગાડવા માટે કેટલી હદે ઝંઝોળ્યું હશે!
પોલ એલ્યુર્ડ અતિવાસ્તવવાદી (Surrealist) ચળવળના સ્થાપકોમાંના એક હતા. યુદ્ધ પહેલાં, તેઓ સપના, અર્ધજાગ્રત મન અને તીવ્ર રોમેન્ટિક પ્રેમના અન્વેષણ માટે જાણીતા હતા. જો કે, જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને ફ્રાન્સ નાઝી જર્મનીના હાથમાં ગયું, ત્યારે એલ્યુર્ડ ત્યાંથી ભાગ્યા નહીં. તેઓ પેરિસમાં રહ્યા અને તેમની કવિતાનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. તેઓ ફરીથી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા (જે તેમણે અગાઉ છોડી દીધી હતી) અને ગેસ્ટાપો (નાઝી પોલીસ) ની નજર હેઠળ ગુપ્ત સાહિત્ય પ્રકાશિત કરવામાં મદદ કરીને બૌદ્ધિક પ્રતિકારમાં કેન્દ્રિય વ્યક્તિ બન્યા.
જેમ ‘વંદે માતરમ‘ને ભારતનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત ગણવામાં આવે છે, તેમ “લિબર્ટી”ને ઘણીવાર રેઝિસ્ટન્સનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત માનવામાં આવે છે.
કેવું ટબુકડું કાવ્ય! ગણીને ચૌદ જ શબ્દનું બનેલ એક વાક્ય, બસ! પહેલી નજરે, બીજી નજરે ને કદાચ ત્રીજી નજરે પણ માથું જ ખંજવાળતા રહી જવાય એવી કવિતા. સફેદ મરઘીઓની બાજુમાં વરસાદના કારણે ચમકી રહેલ લાલ રંગના એકચક્રી ઠેલા પર ઘણું બધું આધાર રાખે છે – શું છે આ ઘણું બધું? ક્યાં આપણી સુષ્ઠુ સુષ્ઠુ સંવેદનાઓને પંપાળ્યા કરતાં ગુજરાતી અછાંદસ અને ક્યાં આ શરૂ થતાં પહેલાં જ પૂરો થઈ જતો વીજચમકારો? મરઘીઓના સફેદ રંગ અને વરસાદના કારણે ચમકતા ઠેલાના લાલ રંગમાં કાવ્યપ્રકાશ ક્યાં છે એ સમજવું અઘરું છે, પણ આ કવિતાનો પથપ્રવર્તક કવિતાઓની યાદીમાં સમાસ કેમ કર્યો છે એ પહેલાં સમજીએ.
વિલિયમ કાર્લોસ વિલિયમ્સ કોલેજમાં તેઓ આધુનિક કવિતા અને ઇમેજિઝમના પ્રણેતા એઝરા પાઉન્ડના સહપાઠી હતા પણ પછી તબીબ બની ન્યૂ જર્સી, અમેરિકામાં સ્થાયી થયા. ઢગલાબંધ હોમવિઝિટ અને સંખ્યાબંધ પ્રસૂતિઓની વચ્ચે પ્રિસ્ક્રીપ્શન પેડ પર લખાતી રહેતી નાનકી કવિતાઓ એમની આગવી ઓળખ બની. એઝરા પાઉન્ડે ઇમેજિસ્ટ પોએમ (દૃશ્યકાવ્ય)ને જન્મ આપ્યો પણ કવિતાને આધુનિક અને સાચા અર્થમાં અમેરિકન બનાવવાનું શ્રેય વિલિયમને ફાળે જાય છે. ટી. એસ. એલિયટ જ્યારે અમેરિકી કવિતાને અઘરી અને સમયચક્રમાં પાછળ તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે એમના પ્રખર વિરોધી વિલિયમે કવિતામાં સમસામયિક અમેરિકી રીતભાત-બોલી અને રોજિંદા વિષયવસ્તુઓને કવિતાના તાણાવાણા બનાવી આધુનિક્તાના સ્વાંગે સજાવી બતાવી. આજથી સો વર્ષ પૂર્વે ૧૯૨૩માં પ્રગટ થયેલ આ કવિતાએ આખા વિશ્વના કવિઓ અને કાવ્યરસિકોને દિગ્મૂઢ કરી દીધા હતા. વીસમી સદીની અમેરિકી કવિતાની કાયાપલટ કરવામાં એનો સિંહફાળો છે. કેવળ અમેરિકા જ નહીં, વીસમી સદીનાં આધુનિક કવિતા, મુક્તપદ્ય તેમજ શાળાઓમાં કાવ્યશિક્ષણપદ્ધતિનો નવોન્મેષ કરવામાં આ રચના અગ્રેસર ગણાય છે. આ સીમાચિહ્નરૂપ કવિતાની અસર હજી આજેય કવિઓ અને કવિતાઓ પર વર્તાય છે.
એક વાક્યના ચાર ભાગ. દરેક ભાગમાં બે પંક્તિ. ચારેય ભાગમાં પહેલી પંક્તિ લાંબી પણ બીજી પંક્તિમાં એક જ શબ્દ –એકચક્રી ઠેલાનું શબ્દચિત્ર જ જાણે! વિદ્વાનોએ આ કવિતાને ‘મિનિમાલિસ્ટિક માસ્ટરપીસ’ કહી છે. બીજી પંક્તિમાં એક શબ્દ જાળવવા માટે કવિએ Wheelbarrow તેમજ Rainwater શબ્દના ટુકડા કરી દઈ કવિતાની ગતિમાં આરોહ-અવરોહ પણ જન્માવ્યા છે. આ કવિતાની શક્તિ શબ્દ-ભાષા કે રૂપકોની જટિલતામાં નહીં, પણ આપણું સમગ્ર ધ્યાન સમયસાગરની કોઈ એક જ પળ ઉપર કેન્દ્રિત થાય છે એમાં છે- વરસાદ પછીના ખેતર કે વાડાનું એક શાંત દૃશ્ય! એકચક્રી ઠેલો પ્રતિક બની જાય છે, રોજિંદા જીવનનિર્વાહ માટે અનિવાર્ય ક્ષુલ્લક કે સામાન્ય ચીજોનું, જે નજર સામે જ હોવા છતાં કદી આપણાં ધ્યાનમાં આવતી નથી. હકીકતે આપણું જીવન આવી નાની નાની રોજમરોજની ચીજો પર જ ટકેલું છે. એટલે જ કવિએ ‘ઘણું બધું નિર્ભર છે’ કહ્યું છે.
આ કવિતા આપણને કવિતા વાંચતા-સમજતા પણ શીખવાડે છે. એ કહે છે કે જોતાં શીખો, અર્થઘટન કે વિવેચના નહીં. કારણ કે કાવ્યસત્યાર્થ ઘણીવાર શબ્દો કે રૂપકમાંથી નહીં, પણ છબીની સટિકતા અને શુદ્ધતામાંથી સ્ફુટ થતો હોય છે.
તારા દુઃખોથી ઘવાયેલા અંતરના ઊંડાણથી
મને તારો હાથ આપ.
તું હવે આ પથ્થરની કિલ્લેબંધીમાંથી પાછો નહીં ફરે.
તું હવે આ સમયના ભૂગર્ભમાંથી બહાર નહીં આવે.
તારો તૂટેલો અવાજ પાછો નહીં આવે,
ને તારી ફૂટી ગયેલી આંખો ફરી નહીં ઉઘડે.
ધરતીના તળિયેથી મારી સામે જો,
ખેતરના ખેડનાર, વણકર, નરમ ભરવાડ,
કુળપ્રતીક ગાયોના પાલક,
જોખમી પાલખ પર ઉભેલા કડિયા,
એન્ડીઝના આંસુ ખાળનાર,
રુક્ષ આંગળીઓવાળા ઝવેરી,
રોપાઓ વચ્ચે બેચેન ખેડૂત,
પોતાની માટીમાં ઓગળી ગયેલા કુંભાર—
આ નવજીવનના પ્યાલામાં
તારા પ્રાચીન દફન થયેલા દુઃખો ભરી દે.
મને તારું લોહી અને તારો ચાસ બતાવ;
મને કહે: અહીં મને કોડા મારવામાં આવ્યા હતા
કારણ કે રત્ન જરા ઝાંખું હતું અથવા તો ધરતીએ
ધર્માદો ભરવા જેટલા ય પાક કે પથ્થર ન આપ્યા.
મને એ પથ્થર બતાવ જેના પર ઠોકર ખાઈને તું પડ્યો હતો,
અને એ ક્રોસ બતાવ જેના પર તેમણે તારા શરીરને જડી દીધું હતું.
જૂનાં ચકમક ઘસીને સળગાવ પુરાણા દીવાઓને, સળગાવ સદીઓથી ઘા પર
ચોંટેલા ચાબુકને અને સળગાવ લોહીથી ચમકતી કુહાડીઓને.
હું તમારા મૃત મુખ વતી બોલવા આવ્યો છું.
આખી ધરતી પરના
મૃત હોઠોને એકઠા કરો,
આ લાંબી રાતને મારી બાજુમાં એવી ગોઠવો
જેથી લાગે કે હું તમારી સાથે જ અહીં લંગર નાખીને પડ્યો છું.
અને કહો મને બધી કથા, સાંકળ દર સાંકળ,
કડી દર કડી, અને પગલે દર પગલે;
એ છરીઓની ધાર કાઢો જે તમે છુપાવી રાખી હતી,
તેમને મારી છાતીમાં અને મારા હાથમાં ભોંકી દો,
સૂર્યકિરણોના ધાડાની જેમ,
ધસમસતા મૃત દીપડાઓની જેમ,
અને મને રડવા દો: કલાકો સુધી, દિવસો સુધી, વર્ષો સુધી,
અંધ યુગો સુધી, યુગાંતરો સુધી.
અને આપો મને મૌન, આપો મને પાણી, આપો આશા.
મને સંઘર્ષ આપો, લોઢું આપો, જ્વાળામુખી આપો.
તમારા શરીરોને ચુંબકની જેમ મારા શરીર સાથે ચોંટી જવા દો.
ઝડપભેર મારી નસોમાં અને મારા મુખ સુધી આવો.
બોલો મારા શબ્દોથી, અને મારા લોહીથી બોલો.
– પાબ્લો નેરુદા
(અનુવાદઃ ધવલ શાહ)
આજે પથપ્રવર્તક રચનાઓમાં બીજી પસંદગી હું ચીલી દેશના મેઘાવી કવિ પાબ્લો નેરુદાની શિરમોર રચના ‘માચુ પિચ્ચુની ઊંચાઈઓ’ની કરું છું.
આ કવિતા સમજવા માટે પહેલા આપણે નેરુદા અને એમના સમય-સ્થાનને સમજવા રહ્યા.
પાબ્લો નેરુદાએ એમના લેખનની શરૂઆત ઉત્કટ પ્રેમ કવિતાઓથી કરી. એમનો પ્રેમકાવ્યોનો પહેલો જ સંગ્રહ એવો તો અદભુત હતો કે આજે પણ એમની પ્રેમ-કવિતાઓ વંચાય, વખણાય અને જીવાય છે. (એ કવિતાઓનો જાદુ સમજવા માટે રસિકોને Il Postino: The Postman ફિલ્મ જોવા ભલામણ છે.)
પણ સમય જતા અને દુનિયાને જોવાના અનુભવમાંથી પસાર થતા (નેરુદાએ દસ વર્ષથી વધુ સમય એશિયા અને યુરોપના વિવિધ દેશોમાં ચિલીની દૂતાવાસોમાં કાઢેલો) કવિ ધીરે ધીરે રાજકીય વિચારો તરફ ખેંચાતા ગયા અને સામ્યવાદના રંગે રંગાતા ગયા.
1940ના દાયકાની શરૂઆતમાં કવિ માચુ પિચ્ચુની મુલાકાતે ગયા. માચુ પિચ્ચુ એ પંદરમી સદીમાં ઈન્કા સંસ્કુતિના લોકોએ એન્ડિઝના ઊંચા શિખરોની ઉપર બનાવેલું શહેર છે. પથ્થરમાં જાણે કવિતા રચી છે એમ કહી શકો. આ શહેર ચાર સદીઓ સુધી ભુલાઈ ગયેલું અને 1911માં ફરી મળી આવેલું.
માચુ પિચ્ચુની સફર નેરુદા મારે પ્રસવપીડા સમાન નીવડી.
નેરુદા એક તો દુનિયા જોઈને માણસાઈથી હાથ ધોવા પર આવી ગયેલા. શહેરોમાં વસતા માણસોની એકલાતા અને પીડા એમના મનમાં ઘૂમતી હતી. સામે સામ્યવાદી વિચારધારા એમને બીજી બાજુ ખેંચાતી હતી. આ બધાની વચ્ચે માચુ પિચ્ચુની પાષાણ-દુનિયાની યાત્રા એમના પર સિદ્ધાર્થની નગરયાત્રા જેવી અસર કરી ગઈ.
થોડા સમય પછી એમણે ‘માચુ પિચ્ચુની ઊંચાઈઓ’ નામનું દીર્ઘ કાવ્ય પ્રગટ કર્યું. એના બાર સર્ગ છે. શરૂઆતમાં કવિ આધુનિક નાગરોના ખાલીપા, નૈતિક અધઃપતન, માણસને મારી નાખરી એકવિધતા અને એક માત્ર વિકલ્પ મૃત્યુની વાત કરે છે. માચુ પિચ્ચુને જોતા જ એ એના પ્રેમ પડી જાય છે. પહેલા એ નગરનો અને પછી એ નગરના નિવાસીઓનો વિચાર કરવા માંડે છે. એમને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે આ નગર કોઈ રાજાનું નગર નથી. આ તો ત્યાંની સ્થાનિક પ્રજાનું સર્જન છે જેને ઇતિહાસ સંપૂર્ણપણે ભૂલી ગયો છે.
અને કવિતાની ચરમસીમા એના બારમા સર્ગમાં આવે છે જેને અહીં રજુ કર્યો છે.
પેહેલી જ પંક્તિમાં કવિ માચુ પિચ્ચુના ભૂલાયેલા સ્થાનિક લોકોને આવાહન કરે છે: ‘ઊઠ મારી સાથે જન્મ લે, મારા ભાઈ.’ કવિ પોતાનો નવો જન્મ થતો જુવે છે અને સાથે જ ભુલાયેલી પ્રજાને પણ ફરી જન્મ લેવા કહે છે.
ધરતીના ઊંડાણમાંથી, સમયની ગર્તમાંથી, પથ્થરની કેદમાંથી એ ભુલાયેલી પ્રજાને બહાર આવવા માટે સમજાવે છે. એ રાજાને નથી બોલાવતા પણ ખરી પ્રજા – ખેડૂત, વણકર, ભરવાડ, કડિયા, ઝવેરી, કુંભાર – ને બોલાવે છે. એ એમના દુઃખો અને એમના પાર થયેલા સીતમોમાં ભાગીદાર થવા માંગે છે.
કવિ ઈચ્છે છે કે મૃત લોકો એમના મોઢા દ્વારા ફરી બોલે. અને શું બોલે? એમની ભુલાયેલી કથા બોલે. એક એક ઘા ની કથા બોલે. સાંકળોની વચ્ચે જીવાયલી એમની જિંદગીની વ્યથાઓ બોલે. એમની એક એક પીડાઓ બોલે. અને કવિ આ પીડાને યુગો સુધી જીવ્યા કરે.
કવિના માટે આ યુગોની પીડામાંથી ફરી ને ફરી પસાર થવાની સફર છે. એટલે જ એ છેલ્લી પંક્તિમાં લખે છે: “બોલો મારા શબ્દોથી, અને મારા લોહીથી બોલો.”
કવિ પોતે ભુલાઈ ગયેલી સ્થાનિક પ્રજાની પીડાને પ્રગટ કરવાનું સાધન માત્ર બની જાય છે.
કવિતા પ્રગટ થતા જ આ પ્રચંડ અનુભવના વિશાળ પડઘા ચારે તરફ પડ્યા. આ કવિતા -અને એને સમાવતા આખા સંગ્રહ Canto General (‘સાર્વત્રિક ગીત’)- એ લેટિન અમેરિકાના લોકોની સામુહિક ચેતનાને જગાડી દીધી. અત્યાર સુધી લેટિન અમેરિકન પ્રજા પોતાને colonial નજરથી જ જોવા ટેવાયેલી હતી. આ કવિતાએ એમને પોતાની સંસ્કૃતિને માન આપતા શીખવાડ્યું. દેશની સીમાઓ તોડીને લેટિન અમેરિકા એક ખંડ તરીકે સાથે ઉભો રહેતો થયો. એ યુરોપિયન ઘૂસ્ણખોરોએ ભેટ આપેલી લઘુતાગ્રંથીમાંથી બહાર આવીને પોતાની એક ઓળખાણ ઉભી કરી શક્યો.
થોડા લોકો પર અસર કરી શકે તો ય કવિતાનું જીવન સિધ્ધ થયું ગણાય. અને આ કવિતાએ તો એક ઝાટકે એક આખા ખંડની દિશા બદલી નાખી.
જ્યારે નેરુદાને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે નોબેલ કમીટીએ નોંધેલું: “….a poetry that with the action of an elemental force brings alive a continent’s destiny and dreams.”
નીચતાએ નીચ લોકોને મળેલો પરવાનો છે,
ઉમદાપણું એ ઉમદા લોકોનો સમાધિ-લેખ છે.
જુઓ, આ સોનામઢયું આકાશ કેવું ઘેરાયેલું છે,
મૃતકોના તરતા બેડોળ પડછાયાઓથી.
હિમયુગ હવે વીતી ગયો છે,
તો પછી ચારેબાજુ બરફ કેમ છે?
‘કેપ ઓફ ગુડ હોપ’ શોધાઈ ગઈ છે,
તો પછી હજારો વહાણો મૃત સમુદ્રમાં કેમ ઝઝૂમે છે?
હું આ દુનિયામાં આવ્યો છું,
માત્ર કાગળ, દોરડું અને પડછાયો લઈને,
ચુકાદા પહેલાં એ અવાજની ઘોષણા કરવા,
જેને પહેલેથી જ દોષિત ઠેરવવામાં આવ્યો છે:
સાંભળી લે, ઓ દુનિયા,
હું—માનતો—નથી!
જો તારા પગ નીચે હજારો પડકારનારાઓ કચડાયેલા પડ્યા હોય,
તો મને ગણજે એક હજાર ને એકમો.
હું નથી માનતો કે આકાશ ભૂરું છે;
હું નથી માનતો ગાજવીજના પડઘાઓમાં;
હું નથી માનતો કે સપનાઓ જુઠ્ઠા હોય છે;
હું નથી માનતો કે મૃત્યુનો કોઈ બદલો નથી હોતો.
જો સમુદ્ર કિનારાની પાળ તોડવા જ સર્જાયો હોય,
તો ભલે બધું ખારું પાણી મારા હૃદયમાં ભરાઈ જાય;
જો જમીન ઊંચે આવવા જ સર્જાઈ હોય,
તો માનવજાતને અસ્તિત્વ માટે ફરી કોઈ શિખર પસંદ કરી લેવા દે.
એક નવો સંયોગ અને ટમટમતા તારલાઓ
હવે ખુલ્લા આકાશને શણગારે છે;
એ પાંચ હજાર વર્ષની ચિત્રલિપીઓ છે,
એ આવનારી પેઢીઓની ચાંપતી નજર રાખતી આંખો છે.
– બેઈ દાઓ
(અનુવાદઃ ધવલ શાહ)
જગતનો ઇતિહાસ બદલવામાં ચાવીરૂપ કવિતાઓમાં આ પહેલી પસંદગી છે ચીનના વિદ્રોહી કવિ બેઈ દાઓની સૌથી જાણીતી રચના.
ટિઆનનમેન સ્કવેરમાં જ્યારે દેખાવો થાય હતા ત્યારે હજારો લોકો આ કવિતાની ધ્રુવપંક્તિ “”સાંભળી લે, ઓ દુનિયા, હું—માનતો—નથી!”ના પોકારો કરતા નીકળી પડેલા. આખી દુનિયા ક્રાંતિના પડઘમને બહુ આશાભરી નજરથી જોઈ રહી હતી. કમનસીબે એ ક્રાંતિને ચીનની સરકારે દાબી દીધી. હજારો લોકોનું લોહી વહ્યું અને તો ય સ્વતાંત્રતાનું સપનું તો વાંઝણું જ રહ્યું.
એના પરિણામે, બેઈ દાઓએ વર્ષો સુધી દેશ છોડી દેવો પડ્યો. આ બધા છતાં બેવતન કવિએ પોતાનો અવાજ કદી મોળો પાડવા દીધો નથી.
આ તો વાત થઇ પૃષ્ઠભુમીની. હવે વાત કરીએ કવિતાની.
આ કવિતા લખાયેલી છેક 1976માં એપ્રિલ 5ની ચળવળના અનુસંધાનમાં. (એ ચળવળના ઇતિહાસમાં ઊંડો ઉતરવાનું અહીં અસ્થાને છે) આ કવિતાએ ચીનમાં એક નવી જાતના કવિતા પ્રકારને -જેને ‘ધુમ્મસની કવિતા’ કે ‘અમૂર્ત કવિતા’ કહેવાય છે – જન્મ આપ્યો. આ કવિતામાં વિદ્રોહ અને મુક્તિની વાત રૂપકોની મદદથી કહેવાઈ છે.
કવિ શરૂઆત કરે છે કે નીચતાએ નીચ લોકોને નીચ કામ કરવાનો જાણે પરવાનો છે. જ્યારે ઉમદાપણું એ ઉમદા લોકોની કબર પરનો સમાધિ-લેખ છે એટલે કે એમને પોતાને જ દબાવી રાખે છે. સરકારે બતાવેલા સપના માટે કવિ સોનામઢયું આકાશ એવો શબ્દ વાપરે છે પણ એમાં એમને મૃતકોના પડછાયા દેખાય છે.
કવિ કહે છે કે હિમયુગ વીતી ગયો છે અને ‘કેપ ઓફ ગુડ હોપ’ શોધાઈ ગઈ છે – એટલે કે કહેવાતી ‘ક્રાંતિ’ થઇ ગઈ છે તો પછી હજુ પણ કેમ ચારે બાજુ બરફ છે અને લોકો હજુ દિશા વિહોણા છે?
કવિ એવા અવાજને વાચા આપવા માંગે છે જેને ચુકાદા પહેલાં જ દોષી જાહેર કરવામાં આવ્યો છે.
અને પછી આવે છે કવિતાની ધ્રુવપંક્તિ :
“સાંભળી લે, ઓ દુનિયા,
હું—માનતો—નથી!”
એ આકાશના ભૂરા હોવા જેવી વાત પણ માનવાનો ઇન્કાર કરે છે. એ પણ માનવાનો ઇન્કાર કરે છે કે ગાજવીજના પડઘા એટલે કે અત્યાચારનું પુનરાવર્તન થશે. એ સપનાઓની સચ્ચાઈ અને અત્યાચારના બદલામાં પોતાની માન્યતા જાહેર કરે છે.
જો અત્યાચારનો સાગર પાળ તોડીને આવવાનો જ હોય તો કવિ પોતાના હૃદયમાં એ ખારું પાણી ભરી લેવા તૈયાર છે. (અહીં વિષ પી જવા તૈયાર શંકર ભગવાન યાદ આવે છે) અને સાથે માનવજાતને આવાહન કરે છે કે એણે પોતે જ નવું શિખર શોધી કાઢવું પડશે જ્યાં અત્યાચારી સાગર પહોંચી શકે નહીં.
કવિ છેલ્લે આશા ભરી વાત કરે છે. એ આ નવા સંજોગને આવકારે છે. તારાભર્યાં આકાશમાં એમને એકસાથે પાંચ હજાર વર્ષોની ચિત્રલિપી (ચીનની આદિ સંસ્કૃતિ) અને આવનારી પેઢીઓની ચાંપતી નજર બંને એક સાથે દેખાય છે.
હજુ સુધી બેઈ દાઓને નોબેલ પુરસ્કાર મળ્યો નથી. પણ મારું માનવું છે કે નજીકના ભવિષ્યમાં જ એમને એ પુરસ્કાર અવશ્ય મળશે.
એ ભીતર જ છે, જે બહાર પ્રગટે છે, જ્યારે હું એમને
ત્યાં ભરતડકામાં ખંતપૂર્વક મધ્યપશ્ચિમી લૉન કાપતા
વિચારું છું. મારી પાસે બચી છે કેવળ કેટલીક નોંધ,
એક વસૂકાઈ ગયેલ કલમ, અને બારીમાં આવતી ડુંગળીના
પુષ્પોની સુગંધની સ્મૃતિ. ચિંતન જ મારું જન્મજાત માધ્યમ છે.
હું ક્યારેય પહોંચતી નથી, બસ ક્ષણિક સંવાદ સાધુ છું સ્વયં
અને અન્યો વચ્ચેની વસ્તુગત સ્થિતિઓ પર. મારો દેશ
મને પ્રેમથી, કાળાંતરે પ્રતિરક્ષિત કરી રહ્યો છે. મારો દેશ જકડી રહ્યો છે
મને ઇચ્છાની પેઠે. અગર આપ અનુરોધ કરશો તો હું આપને દેખાડીશ મારાં
પ્રમાણ, યાને કે મારી જીવંત વ્યાખ્યા. આ રહ્યાં અમે, મારા પિતા
અને હું, ન કોઈ વિરોધ, ન ટકરાવ, બસ, એક નાનકડી ભેટ: જીવનમાં જ્યારે
થોડી ઉપલક આવકનો સમાસ થાય છે, ત્યારે નિષ્પ્રયોજન કપાયેલ પુષ્પો
રસોડાના મેજ પર ઊગી આવે છે. હજીય સંભવ છે. શું હું સાચે જ જીવી રહી છું? શું હું
પુનરીક્ષણનો મારા દેવતા અને ઉદ્ધારક તરીકે અંગીકાર કરું છું?
હા, હું કરું છું, અને હું છું, અને મારા ચીની પિતાના નામ પર, જે હવે ઓજારો સમેટીને
ભીતર લાવી રહ્યા છે, માથે પરિશ્રમનું તેજ, પણ હોઠો પર કાયમી સ્મિત,
શ્રદ્ધાહીન પરંતુ સતર્ક– એ સમયના સંરક્ષણાર્થે, જેમાં હજીય હું કંઈક
બની શકું, આમીન.
ચીનથી અમેરિકા આવીને સ્થાયી થવા છતાં વતન સાથે જોડાઈને જીવતાં પિતા-પુત્રીના સંબંધનું ગણિત દીકરી માંડે છે. ભરતડકે ઘરનું રોજિંદુ કામ કરતાં પિતાને નિહાળતાં નિહાળતાં દીકરીનું અંતસ્તત્વ પ્રગટ થાય છે. એનું વર્તમાન અને ભાવિ બંને અવઢવમાં છે. સિલકમાં કેટલીક નોંધ, રાઇટર્સ બ્લૉકના શરણે જઈ ચડેલ કલમ અને કેટલીક યાદો જ બચ્યાં છે. પણ વતનપ્રેમ અને વતનનાં સંસ્કાર એને નવા દેશ અને સ્વયં- બંને સામે રક્ષણ આપે છે. રહી રહીને પોતાના અસ્તિત્વ અંગે શંકા પણ જન્મે છે, અને પોતાના ભવિષ્ય માટે સતત સતર્ક અને પ્રયત્નશીલ પિતાને જોઈને એનું આપોઆપ નિવારણ પણ થઈ જાય છે.
Looking at My Father
It’s the inside which comes out, as I contemplate
him there half in sunlight, weeding diligently
a Midwestern lawn. On my persons, I have only notes
and a drying pen, the memory of onion blossoms
scenting in a window. Reflection is my native medium.
I am never arriving, only speaking briefly on material
conditions between myself and others. My country
inoculates me lovingly, over time. My country grasps me
like desire. I will show you my credentials, which is to say
my vivid description, if you ask. Here we are, my father
and I, never hostile, a small offering: pointless cut flowers
appear on the kitchen table when one finally arrives
into disposable income. Still possible. Am I living? Do I
accept revision as my godhead and savior?
I do and I am, and in the name of my Chinese father now
dragging the tools back inside, brow shining but always
a grin, faithless except to protect whatever I still have time
to become, Amen.
લઘુકાવ્યની એક આખી અલગ જ દુનિયા છે. ઇમેજિસ્ટ પોએટ એઝરા પાઉન્ડે દોઢ જ પંક્તિમાં અજરામર કાવ્ય આપ્યું -‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો!’ ગુજરાતી કવિઓય કંઈ પાછા પડે એમ નથી. સુન્દરમે દોઢ જ પંક્તિમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ આપ્યો છે –તને મેં ઝંખી છે… તો રાજેન્દ્ર શાહે પણ બે પંક્તિમાં સંકુચિતતાના ત્યાગનો મહિમા વર્ણવ્યો છે- ઘરને ત્યજી જનારને… લઘુકાવ્ય એટલે જાણે કે હાઇકુ. પીંછીના ઓછામાં ઓછા લસરકે સર્જક આખેઆખું ચિત્ર કે મનોભાવ તાદૃશ કરી બતાવે. પ્રસ્તુત કાવ્ય પણ આવું જ મજાનું લઘુકાવ્ય છે. કોઈપણ પ્રકારની સરખામણી કર્યા વિના જ કહી શકાય કે દોઢ જ પંક્તિમાં કવિએ અલ્ઝાઇમરની બિમારીનું સુવાંગ ચિત્રાંકન સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. બાહોશ ફોટોગ્રાફર કોઈ મનહર દૃશ્યને આખેઆખું આબાદ ઝડપી લે એ જ કુશળતાથી દોઢ જ પંક્તિમાં કવિએ બિમારીને ઝીલી બતાવી છે…
તારી યાદથી
જેકરંદાને ફૂલ ખીલે છે
ને જાંબુડી પર બેસે છે
ભૂખરાં ફળ.
તારા હસવાથી
થઈ પાણી વહે છે
શરીરની તમામ સરહદો
તારી કસ્તૂરીનજર
દોડતાં કરી મૂકે છે
મારી અંદર મૃગલાઓને
કોઈ અજાણી શોધમાં.
તારો અવાજ
ભરી દે છે શ્વાસમાં
ભીની માટી, સુક્કાં બીજ,
ને માદક સાલનાં ફૂલોની
ઓળઘોળ થઈ જતી સુવાસને
તું કોણ છે જે ઊઘડે છે આમ
મારામાં થઈને વનરાજી?
– પ્રતિષ્ઠા પંડ્યા
પરમેશ્વર, પ્રકૃતિ અને પ્રણય –વિશ્વની દરેક ભાષાની કવિતાઓના કેન્દ્રમાં રહ્યા છે. પ્રસ્તુત રચનામાં પ્રકૃતિને માધ્યમ બનાવીને સર્જકે પ્રણયની પરમોત્કૃષ્ટ પળ આલેખી છે. યાદ રહે, અહીં કેવળ પ્રિયતમની યાદ, હાસ્ય, નજર અને અવાજથી નાયિકાના તનમનમાં થતા જાદુની જ વાત છે. સ્પર્શ, આલિંગન કે ચુંબનને તો હજી કાવ્યપ્રવેશનું સુખ પણ મળ્યું નથી. સ્પર્શ પહેલાં જ શરીરની તમામ સરહદો પાણી પાણી થઈ જાય છે, કાંઠાઓ ઓગાળી વહી નીકળે છે… પ્રણયનો આ કેવો ઉચ્ચ તબક્કો હશે, જ્યાં એક પાત્ર બીજી પાત્રમાં સમસ્ત વનરાજી થઈને ઉઘડતી હશે!
(જેકરંદા અને સાલનાં વૃક્ષથી અજાણ મિત્રો માટે ગૂગલદેવતાની મદદથી મેળવેલ ફોટોગ્રાફ્સ હાજર છે.)
વર્ષોની શબ્દસાધનાથી
ખુશ થઈ
વહેલી સવારે મા શારદા પ્રગટ થયાં.
એમણે કહ્યું, “માગ માગ, માગે તે આપું’
મેં કહ્યું, ‘કલ્પવૃક્ષ’.
માએ કહ્યું, “તથાસ્તુ”.
બીજી ક્ષણે તો હું કલ્પવૃક્ષ પાસે.
એવું કહેવાય છે કે,
‘કલ્પવૃક્ષની નીચે બેસીએ તો બધી ઇચ્છા પૂર્ણ થઈ જાય છે’
હું એની નીચે બેસવા જાઉં ત્યાં જ
કલ્પવૃક્ષ બોલી ઊઠ્યું…
‘આવો કવિરાજ,
તમે અહીં
અમારું સદભાગ્ય.
આજે ચોથા પહોરમાં મને સપનામાં
મા શારદા આવ્યાં અને કહ્યું કે,
“જા તને કલમવૃક્ષ નીચે બેસવા મળશે”
હજુ તો આંખ ખોલું ત્યાં સામે તમે…
બાય ધ વે…
તમે કેમ આ બાજુ પધાર્યા?
કોઈ ઇચ્છા હોય તો બોલો
તુરંત પૂર્ણ થશે.’
મેં સંકોચાતાં કહ્યું,
‘કોઈ ઇચ્છા નહીં,
અમસ્તો આ બાજુ આંટો મારવા નીકળ્યો.’
– હરદ્વાર ગોસ્વામી
દેવો અને દાનવોએ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે અમૃત હાથ લાગતા પહેલાં જે ચૌદ રત્નો નીકળ્યાં એમાંનું એક તે કલ્પવૃક્ષ. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષ નીચે બેસીને જે કોઈ ઇચ્છા કરવામાં આવે એની પૂર્તિ થાય છે. કલ્પવૃક્ષને કેન્દ્રમાં રાખીને કવિએ કલમવૃક્ષ નામે સરસ મજાની સહજસાધ્ય રચના કરી છે…
અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ –
અમારા વડવા તો
ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા.
એમના વડવાના વડવા તો
કફનને જ કામળીની જેમ અંગે વીંટાળતા હતા.
એમના વડવાના વડવાના વડવા તો
નરી ચામડીને જ ઓઢીને ફરતા હતા.
હુંય કાંઈ ઓછો વરણાગિયો નથી –
સી. જી. રોડના શૉ રૂમ સામેની ફૂટપાથ વાળતો હતો
ને શેઠે આપ્યું
કાંઠલા વગરનું, બટન વગરનું, બાંય વગરનું એક બાંડિયું.
તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું
ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને.
જાતવાન જુવાનિયા તો
મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઈ ઊઠે છે.
બિચ્ચારા…
મારી અસ્પૃશ્ય બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે
કે આ તો ઑડ-સાઈઝનું પીટર ઈંગ્લૅન્ડ છે!
અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ.
– નીરવ પટેલ
કવિતા વાંચી ત્યારે ત્રણ બાંયના ખમીસે ખૂબ ગૂંચવાડો સર્જ્યો. ત્રણબાંયવાળું ખમીસ કોઈ પ્રકારનું રૂપક હશે કે સાચે જ એવા ખમીસ કોઈક જમાનામાં અસ્તિત્વમાં હશે કે પછી આ કોઈ પ્રકારનો રુઢિપ્રયોગ હશે? મુરબ્બી કાનજી પટેલે દલપત ચૌહાણ જેવા કવિઓ સુધી પહોંચ લંબાવી બે-ત્રણ સંપર્કોના આધારે તારણ આપ્યું કે, દલિત બંડી સીવે ત્યારે બે હાથ માટે બે બાય, અને વધારામાં પીઠ પર ત્રીજી લટકતી બાય રાખવી પડતી. જેથી પાછળથી પણ દલિત ઓળખાઈ જાય. દલિતો માટે શહેરમાં તો પરિસ્થિતિ થોડી સુધરી છે, પણ અંતરિયાળ ગમાડાઓમાં કદાચ આજેય અસ્પૃશ્યતાનો અજગર જનમાનસને ભરડો લઈ ગૂંગળાવી રહ્યો છે. એક જમાનામા દલિતોએ જાહેરમાં જવાનું થાય ત્યારે પાંચ વાનાં ધારણ કરવાં પડતાં- ૧) માથે કાચા સૂતરની આંટી પાઘડી તરીકે બાંધવાની રહેતી, ૨) પીઠે ત્રીજી બાંય હોય એવી બંડી કે ખમીસ પહેરવાનાં રહેતાં, ૩) થૂંકવા માટે ગળામા કુલડી લટકાવી રાખવાની રહેતી, ૪) જમીન પર પોતાનાં જે પગલાં પડે એને સતત ભૂંસતા રહેવા માટે કમરે ઝાંખરાં લટકાવવાના રહેતા, અને ૫) સવર્ણ વ્યક્તિ ભૂલથી પણ પોતાને અડી ન લે એ માટે મોટેથી પોશ પોશ બોલતા રહેવું. નેટવિહાર કરવાનું ચાલુ રાખતાં અંતે કવિએ પોતે લખેલ પાદટીપ પણ જડી આવી: In medieval Gujarat, untouchables, now known as dalits, were forced to wear 3-sleeved shirt so that caste-Hindus could identify them easily and keep away from them. The local dalit folklore has a hero called Mayo Dhed who sacrificed his life for doing away with such humiliating practice.
The Song Of Our Shirt – Neerav Patel
We are a fashionable caste
Or tribe you may call :
Our forefather Mayo Dhed
Had a shirt of 3 sleeves,
His father had a shroud as his shirt
And his father wore a shirt of his own skin.
I am no less fashionable –
Just got a pocketless, sleeveless, buttonless
Peter England, the second
From the pavements I sweep.
Every passerby is tempted to pay his respects
To the label of the lords
But without touching my collar-bone.
Our shirt has a song to sing.
Of bizarre fashions.
– Neerav Patel
(Eng. Translation from Gujarati by poet himself)
September 19, 2025 at 11:16 AM by વિવેક · Filed under અછાંદસ, કમલ વોરા
એક વૃદ્ધ અને
સરખામણીએ થોડો ઓછો વૃદ્ધ
ક્યારના
પાસપાસે મૂંગેમૂંગા બેઠા છે
હવે
કહેવા-સાંભળવાનું કંઈ બચ્યું નથી
અમથી અમથી આડીઅવળી વાતો
હોઠોને ફફડાવે તે અગાઉ તો
ઓસરી જાય છે
વૃદ્ધો ખાલી નજરથી
એકમેકને સતત જોયા કરે છે
એમને એ
વસ્તી ઉચાળા ભરી ગઈ હોય તે પછીના
વેરાન જેવી લાગે છે
ક્યારેક કંપ—વાથી ધ્રૂજતો એક હાથ આગળ વધી
બીજો હાથ હાથમાં લેવા જાય છે
એટલું જ
પાસપાસે બે ખડક પડ્યા હોય એમ
બન્ને બેસી રહે છે
થોડી વારે
એક વૃદ્ધ બીજાને પથારી સુધી
દોરી જાય છે
માથે હાથ પસવારતો કોઈ ગીત ગણગણે છે
ઘેરા અંધારામાં
નિસ્તેજ આંખો
બિડાવા માટે મથ્યા કરે છે
– કમલ વોરા
ગુજરાતી સાહિત્યજગતમાં કેટલીક ઘટનાઓ એમની અભૂતપૂર્વતાના કારણે નોંધનીય બની છે, એમાંની એક તે કવિનો ‘વૃદ્ધશતક’ નામે અછાંદસસંગ્રહ. સંગ્રહમાં વૃદ્ધ અને વૃદ્ધત્વને કેંદ્રમાં રાખીને લખાયેલ એક-બે નહીં, સો-સો રચનાઓ છે. સમજી શકાય એવી વાત છે કે કવિએ વૃદ્ધાવસ્થાના તમામ પાસાંઓને બે પૂઠા વચ્ચે આવરી લેવાની કોશિશ કરી હશે. સંગ્રહમાંથી એક રચના અહીં રજૂ કરીએ છીએ. રચના વિશે એકેય શબ્દ મારે કહેવો નથી. રચના આપના ભાવવિશ્વને જે રીતે સ્પર્શે એ જ કવિની અને આપની –ઉભયની ઉપલબ્ધિ!
મા, સાવ નાનકડા ઘરમાં
-અરે ઘર શાનું? ઝૂંપડું જ-
એમાં કોઈ કબાટ, તિજોરી, પેટી વગર
વ્યવસ્થાના અભાવને અવગણીને
માત્ર ઘર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને
તું શું કરી શકે છે એના ઉપર ધ્યાન આપીને
ઘરના બધા જ સભ્યોનો સામાન
વ્યવસ્થિત ગોઠવવાની તારી જે સૂઝ હતી
એ મને કામ આવી
હું પણ હવે પીડાને અવગણીને
અભાવોને નજરઅંદાજ કરીને
માત્ર હું શું કરી શકું છું એના ઉપર ધ્યાન આપીને
જેના ફકરાના ફકરા ભરાઈ શકે
એવા વિચારોને માત્ર બે લીટીમાં ગોઠવી શકું છું!
– વિકી ત્રિવેદી
લયસ્તરો પર આજે કવિના અછાંદસ સંગ્રહ ‘સંવેદનાનો વેદ’ને પોંખીએ…
નાનું અમથું પણ સ્વયંસ્પષ્ટ કાવ્ય. ગઝલના શેરની બે લીટીના ઘરમાં જે કવિને માફક આવી ગયું છે, એ પોતાની આવડતના મૂળ સાથે આપણો પરિચય કરાવવા માટે નાનકડા પણ મજાના અછાંદસનું માધ્યમ પ્રયોજે છે…
હું હજી આંખ ખોલતી નથી
એક સપનું ચાલ્યા કરે છે મનમાં
આંખના કમાડ પર હલ્લો બોલતી
કાળીડિબાંગ રાતોને સાવ અવગણીને
એ ભર્યે રાખે છે
ઝીણીઝીણી ટીલડીઓ
ફાટેલા આકાશમાં
રાતને અંદર ધસી આવતી રોકવા
ધણધણતા કમાડ પર પીઠ ટેકવીને ઊભી છું
ઊંડા શ્વાસ ભરતી રાહ જોઉં છું
પણ રાત મૂકતી નથી છેડો
ચાંપે છે અંધારાભરી મશાલ
મારા ઘરના છાપરા પર
એની કાળી જ્વાલાઓની લપેટમાં
ઇચ્છે છે મને ભસ્મ કરવા
નરસિંહના હાથની જેમ બળું છું
આખેઆખી મશાલ ભેગી
ને તોય જોયે રાખું છું સપનાં
કોઈ ઝાંખા અજવાળાનાં
જેમાં જોવાં મારે પરવાળાં ખીલતાં
મારા બાળની આંખોમાં.
– પ્રતિષ્ઠા પંડ્યા
લયસ્તરો પર આજે કવયિત્રીના નવ્ય સંગ્રહ ‘નરસંહારના સમયમાં પ્રેમ’ને સ્નેહપૂર્વક આવકારીએ…
સ્ત્રી અને પુરુષ સર્જકોને અલગ વિભાગમાં ન વહેંચીએ, તોય સુશ્રી પ્રતિષ્ઠા પંડ્યાનું કવિકર્મ નોખી નિજી તરેહ પાડતું અને હાંસિયામાં ધકેલી ન શકાય એવું બળકટ છે. જે સંગ્રહમાંથી આજની રચના ઉદ્ઘૃત કરી છે, એ સંગ્રહમાંથી પસાર થતાં મારે નવ નેજાં પાણી ઉતર્યાં છે. માનવસ્વભાવની કાળી બાજુ અને શોષણખોરીને હળવા પણ મક્કમ હાથે મીઠામાં બોળેલ ચાબખા મારતાં આ કાવ્યો એકી બેઠકે વાંચવા શક્ય જ ન બને. વારંવાર છાતીમાં ભરાઈ આવતો ડચૂરો પુસ્તકને બાજુમાં મૂકાવીને જ જંપે. આ કવિતા જ જુઓ ને…
सोचती हूँ कि तुम्हें एक घर तोड़ने का इल्ज़ाम दूँ
या कि उस पुरुष के कहीं रिक्त रह गए हृदय को भरने का श्रेय
जो घर गृहस्थी के झमेलों में
शायद मेरे प्रेम को ठीक से ग्रहण नहीं कर पाया था,
तुम्हारे और मेरे मध्य
एक दूसरे से बँधने के कई कारण थे
हम उसी पुरुष से जुड़े थे
जो मुझे रिक्त कर
तुममें ख़ुद को ख़ाली कर रहा था
तुम्हारे पास जो आया था
वह मेरे प्रेम का शेष था
हमारे संबंध की बची रह गई
इच्छाओं का प्रेत,
यह कितना कठिन रहा होगा
कि तमाम समय मुझ-सा नहीं होने की चेष्टा में
मैं मौजूद रहती होऊँगी तुम्हारे अंदर
और उसकी सुनाई कहानियों के साये
आ जाते होंगे तुम्हारे बिस्तर तक
तुम मुझसे अधिक आकर्षक
अधिक स्नेहिल
अधिक गुणवती होने की अघोषित चेष्टा में
ख़ुद को खोती गईं
और मुझसे मेरा जब सब छिन गया
मैं ख़ुद को खोजने निकली
हमने जी भर कर एक दूसरे को कोसा
एक दूसरे के मरने की दुआएँ माँगीं,
हमारे मध्य एक पुरुष के प्रेम का ही नहीं
घृणा का भी अटूट रिश्ता था
मेरे पास था
एक प्रेम का अतीत
एक बीत गई उम्र
और एक बीतती जा रही देह के साथ
उसके प्रणय का प्रतीक
एक और जीवन
तुम्हारे पास था
एक प्रेम का वर्तमान
यौवन का उन्माद
देह का समर्पण
अपने रूप का अभिमान
और मेरे लिए एक चुनौती
लेकिन अपना भविष्य तो हम दोनों ने
किसी और को सौंप रखा था
यह होता कि तुमने मेरा अतीत
और मैंने तुम्हारे वर्तमान का
साझा दुःख पढ़ा होता
काश कि हमें दुखों ने भी बाँधा होता
– रश्मि भारद्वाज
વિવિધ ભાષાની મજાની કવિતાઓનો અનુવાદ કરી ગુજરાતી વાચકવર્ગ સમક્ષ રજૂ કરવું મને ગમે છે, પણ હિંદી કવિતાએ મને કાયમ મૂંઝવ્યો છે. હિંદી ભાષા આપણા વ્યવહારમાં એ રીતે અને એ હદે રચી-બસી છે કે હિંદીમાં સમજ ન પડતી હોય એવો ગુજરાતી કદાચ સપનામાં જ મળે. એમાંય આ કવિતામાં ભાષા તો કેવળ હૃદયની લાગણીઓના વહન કરવા પૂરતી જ ખપમાં લેવાઈ છે. એટલે આટલી સરળ કવિતાનો અનુવાદ કરવાના બદલે રચનાને યથાતથ આસ્વાદીએ એમાં જ ખરી મજા છે.
જે દિવસે લગ્નસંસ્થાની રચના થઈ હશે, કદાચ એ જ દિવસથી લગ્નેતર સંબંધની શરૂઆત પણ થઈ હશે. એક પત્ની પોતાના પતિની પ્રેમિકાને સંબોધવાને મિષે પોતાનું હૃદય ખાલી કરે છે એની આ રચના છે. લાખ અનિચ્છા છતાં પત્ની સ્વીકારે છે કે પોતે અને આ પરકીયા – બંને કોઈક રીતે એકમેક સાથે બંધાયેલા છે. પ્રથમ દૃષ્ટિએ બંને સ્ત્રીને બાંધનાર લઘુત્તમ સામાન્ય અવયવ એ પુરુષ છે જે કથકનો પતિ છે અને અવર સ્ત્રીનો પ્રેમી છે. પ્રેમિકા માટે પણ આ સંબંધ આસાન નથી, કારણ પ્રતિપળ સ્વયંને પુરુષની પત્નીથી ચડિયાતી સિદ્ધ કરવાની કોશિશ એને પ્રેમીની પત્ની સાથે બાંધી જ રાખે છે. પ્રેમીપત્નીથી શ્રેષ્ઠ હોવાના પ્રયત્નોમાં એ ખુદને ગુમાવે છે. બંને સ્ત્રી એકમેક સાથે ઘૃણાના બંધને પણ જોડાયેલ છે. બંને સ્ત્રી પોતાના ભવિષ્યની દોર એક જ પુરુષના હાથમાં દોંપી હોવાના તાંતણે પણ પરસ્પર સાથે સંપૃક્ત છે. બંને સ્ત્રીઓ કોઈકને કોઈક રીતે દુઃખી જ છે, પણ એકમેક સાથે નફરતથી જોડાવાના બદલે દુઃખોની ભાગીદારીથી જોડાઈ હોત તો જિંદગી કદાચ બંને માટે સહ્ય બની હોત એ સ્વીકાર આખી વાતને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે.
જાણીતા લેખિક અને અનુવાદક શરીફાબેન વીજળીવાળાના કંઠે આ રચનાનું પઠન-
August 29, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જયા મહેતા
જતાં પહેલાં બધું આવું કેમ થતું હશે?
શ્વાસ ઊંડા ઊતરવા માંડે
આંખે નિસ્તેજ થતી જાય
જીભ થોથવાવા માંડે
શરીર આખું શિથિલ થઈ જાય..
આવું બધું થાય એ પહેલાં..
અહીંથી વિદાય ન લઈ શકાય?
ગુલાબની પાંદડીઓ પરથી
ઝાકળ હળવેથી અદૃશ્ય થાય…એમ
દૂધમલ બાળક ખિલખિલ હસતું જાગે
ને નિદ્રા સરી જાય…એમ
નવીનવી પાંખો ફફડાવતું
પંખીબાળ માળામાંથી ઊડી જાય…એમ
કોશેટાના તાંતણા વીંધી
રંગસભર પતંગિયું
બહાર નીકળી જાય એમ…
નૂરજહાનના કંઠમાંથી સરતા સૂર
ધીરેધીરે હવામાં વિલીન થાય…એમ
બધું વિવર્ણ થાય એ પહેલાં…
– જયા મહેતા
(૧૬-૦૮-૧૯૩૨ ૨૭-૦૮-૨૦૨૫)
૯૩ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી ખ્યાતનામ સર્જક – કવિ, અનુવાદક અને વિવેચક જયા મહેતાનો ક્ષર દેહ પોતાની પાછળ અ-ક્ષરદેહ મૂકીને પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. એમના ગદ્ય કૃતિઓના અને ખાસ તો વિશ્વકવિતાઓના અનુવાદોએ મને કાયમ આકર્ષ્યો છે. ઘરે રિનોવેશનના કામ સબબ તમામ પુસ્તકો ૨૦-૨૫ ખોખાઓમાં કેદ હોવાથી કમનસીબે કવિ ઉદયન ઠક્કરની ફેસબુક વૉલ પરથી મળેલ આ એક જ કવિતા એમને સ્મરણાંજલિ આપવા માટે રજૂ કરી શકાઈ છે. મૃત્યુની – સોરી, ભારતીય સંસ્કાર મુજબ આત્મા એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે એ ટ્રાન્સમાઇગ્રેશનની પ્રક્રિયા કવિએ કેવી સરળતમ ભાષામાં આલેખી છે!
અમે
એકબીજાની જાતની અદલાબદલી કરી.
હું એનું જીવન જીવવા લાગ્યો
અને એ મારું.
બહુ સારું લાગ્યું.
એની જાતમાં હું રમમાણ હતો.
મારા સિવાય એની હયાતીમાં કોઈ બીજું નામ ન હતું.
મારા ઘરના બધા લોકો માટે પણ
એને સદ્ભાવ અને સમભાવ હતો.
‘ઈગો’ને બદલે ‘લેટ ગો’ને પ્રાધાન્ય આપ્યું.
હું એનો આશિક હતો
પણ આ અદલાબદલી પછી તો
સાત જનમનો દીવાનો થઈ ગયો.
આજે અમારે જાત બદલવાની હતી
હું એને ચોખ્ખું કહેવાનો છું કે
તારી જાત પાછી નહીં આપું.
એ મળી
હું કંઈ કહું એ પહેલાં તો
એણે ફટાફટ જાત બદલાવી
અને
જતાં જતાં કહેતી ગઈ
સાત જનમ સુધી ન મળતા…
સ્ત્રી-પુરુષના સ્વભાવ અને વ્યક્તિત્વની વિસંગતતા વિશે ઘણું લખાયું છે, પણ અહીં જે કુમાશથી આખી વાત રજૂ થઈ છે એ અલગ જ છે. સરળતમ ભાષામાં કવિએ જે કવિકર્મ કરી બતાવ્યું છે એ કાબિલ-એ-દાદ છે. પતિ અને પત્ની બંને મનમરજીથી જાતની અદલાબદલી કરે છે. પુરુસઃ સ્ત્રીનું જીવન જીવવું શરૂ કરે છે અને સ્ત્રી પુરુષનું. પુરુષને એ તો ખ્યાલ આવે છે કે સ્ત્રી એકીસાથે કેટકેટલા મોરચા સાચવતી હતી અને કેટકેટલા સંબંધોમાં પ્રાણ સીંચતી હતી. પુરુષ પહેલાં પણ એનો દીવાનો હતો જ. સ્ત્રીના આંતરમનના પ્રવાસ બાદ આ દીવાનગી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ, પણ પુરુષ આ તબક્કે પણ પોતાની મર્યાદાઓ, પોતાની ખામીઓ, પોતાની ખરાબીઓને ઓળખી શકતો નથી એ વિડંબના શબ્દોની વચ્ચેની ખાલી જગ્યામાં સફળતાપૂર્વક છૂપાવી દઈને કવિએ મુખર લાગતી કવિતાના કાવ્યતત્ત્વને સુપેરે ઉજાગર કરી બતાવ્યું છે. કવિતાનો અંત કોઈપણ સંવેદનશીલ પુરુષને (જો એ સંવેદનશીલ હોય તો!) હચમચાવી દેવા માટે સક્ષમ છે.
June 7, 2025 at 12:30 AM by ઊર્મિ · Filed under અછાંદસ, વિપિન પરીખ
જેના હાથમાં આપણે
દિવસે અને રાતે, કૂદકે ને ભૂસકે,
મોટા થયા
તે
આપણા જ હાથમાં
ક્ષણે ક્ષણે, સંકોડાતી સંકોડાતી
નાની થતી જાય
અને એક દિવસ
ડૂસકાં ભીના ખાલી હાથ
પાછળ મૂકી
અલોપ થઈ જાય.
– વિપિન પરીખ
માખણના લોંદામાં છરી ઉતરી જાય એમ વાંચતાવેંત આપણી સોંસરવી ઉતરી જતી નાનકડી રચના…
કાગળની હોડી લઈને
તને મળવા નીકળ્યો છું.
અફવાઓ તો એવી છે કે,
આપણી વચ્ચેના દરિયા તો રેતીના છે.
પ્રકૃતિએ જ મને પ્રેમ શીખવ્યો હતો
મૃગજળમાં જ મારા શબ્દોની હોડીઓ
હરણ બની બનીને મરણ-શરણ થઈ
તેં મને વસંત આપવાનું વચન આપેલું –
એ ક્યાં છે?
મને પાનખર તો આપ
જેથી હું ખરી શકું…
હું તરી શકું એટલાં આંસુઓ તો
મારે માટે કોણ વહાવે હવે?
હું જાણું છું કે – પ્રવાહ બદલતી નદીને રોકી શકાતી નથી
ને તોષી શકાતી નથી તરસ લોહીની!
છતાં
કાગળની હોડી લઈને નીકળ્યો છું તને મળવા –
એ અફવા નથી
તું ડુબાડી આપ મારી હોડીઓ
મારે તરતાં શીખવું છે.
– મણિલાલ હ. પટેલ
‘કાગળની હોડી’ આટલું વાંચતાવેંત નજર સમક્ષ બાળપણ, વરસાદ અને કાગળની હોડીઓની રમત તાદૃશ થઈ ઊઠે, પણ ભાવક બાળપણની ગલીઓમાં ઝડપથી પાછા ન ફરી શકાય એટલે ઊંડે ઊતરી જાય એ પહેલાં જ કવિ એને આંચકા સાથે યૌવનની કગારે પરત લઈ આણે છે. કાગળની નાવ લઈને નાયિકાને મળવા નીકળ્યા હોવાની વાત પળાર્ધમાં જ આખી વાતની અર્થચ્છાયા અને પૃષ્ઠભૂ બંને બદલી દે છે. સમજાય છે કે બાળકોના સપનાં ઝીલે એવી આ કાગળની નાવ નથી. આ નાવમાં બેસીને નાયક નાયિકા સુધીનું અંતર કાપવા ઇચ્છે છે. કાગળની હોડી એટલે કવિતા, એમ પણ સમજી શકાય. પણ અફવાઓ (અફવા નહીં, હં) એવી છે કે બે જણ વચ્ચે જે દરિયા (દરિયો નહીં, હં) પથરાઈ પડ્યા છે એ રેતીના છે. હોડી કાગળની, અને સમુદ્રો રેતીના – સાધન તકલાદી અને ચઢાણ એવરેસ્ટ જેવું! પણ કવિ મુશ્તાક છે, કેમ કે પ્રેમના પદાર્થપાઠ એમને પ્રકૃતિએ શીખવ્યા છે. પ્રેમરસ પીધો હોય એને તો તત્ત્વનું ટૂંપણું પણ તુચ્છ લાગે, તો રેતસંમદરો વળી શી મોટી ચીજ છે! ભર્યાભાદર્યા જીવનનું વચન આપીને ફરી ગયેલી નાયિકા પાસે નાયક પાનખર માંગે છે, જેથી ખીલી ન શકાય તો ભલે, પણ ખરી તો શકાય.
બેવફાઈની આંધીઓની વચ્ચે ટકી રહેલ આશાના દીવડાના અજવાળામાં આ અછાંદસનું પોત બંધાયું હોવાથી પ્રવર્તમાન અછાંદસોની સાપેક્ષે એ મુઠી ઉંચેરું અનુભવાય છે.
‘તું કેટલી ડાહી દીકરી છે!”
વ્હિસ્કીવાળો ખાટો શ્વાસ મારા ગાલ પર ફરી વળે છે.
“તને આ જોઈએ છે ને?”
શ્વાસ લેવા મથતી, હું માથું ધુણાવું છું, ચિલ્લાવા ચાહું છું ના! મને નથી જોઈતું!
“હા, તને જોઈએ છે, મારી ડાહી દીકરી”
ના, મને નથી જોઈતું!
“તું મારી ડાહી દીકરી બનશે ને?”
હું વચન આપું છું કે હું તમારી ડાહી દીકરી બનીને રહીશ, વચન આપું છું, બસ, ફરી આ નહીં કરતા.
“તું મારી ડાહી દીકરી છે.”
પપ્પા, પ્લીઝ નહીં.
– એલિઝા ટોરિસ
(અનુ.: વિવેક મનહર ટેલર)
ડાહીડાહી વાતોથી ટેવાઈ ગયેલી ગુજરાતી કવિતાઓમાં જીવનની વરવી કડવી વાસ્તવિક્તાઓ પ્રમાણમાં ઓછી જ નજરે ચડે છે. લયસ્તરો પર પિતૃવિશેષ શ્રેણી પ્રગટ કરી હતી, ત્યારથી આ એક નાનકડી રચના મનમાં ઘુમરાયા કરતી હતી. આપણને માતા-પિતાને હંમેશા ભગવાનના સ્થાને મૂકીને પૂજવાની ટેવ પડી ગઈ છે, પણ હકીકત એ છે કે આ રચનામાં રજૂ છે એવા પિતા (માતા પણ!) આપણા સમાજમાં ઉપસ્થિત છે જ. સગા મા-બાપ પોતાના જ સંતાનો માટે શા માટે હેવાન બનતાં હશે એ સવાલ મને સતત પીડી રહ્યો છે. જવાબ પણ અંદરથી જ પ્રાપ્ત થાય છે – ઉછેર, પરિ-આવરણ, સંજોગો અને જનીન –આમાંથી જ એકાધિક પાસા અવળા પડતા હશે ને!
કવિતાના શીર્ષકનો અનુવાદ કરવું મને ઉચિત નથી લાગ્યું. ‘Daddys Bed Girl’ માં ‘Bed’ એટલે આમ તો ‘શય્યા’ જ પણ દસ પંક્તિની નાનકડી રચનામાં પાંચ-પાંચવાર ‘ડાહી’ શબ્દનું પુનરાવર્તન કરાયું હોવાથી ‘ખરાબ’નો કાકુ પણ સતત ધ્વનિત થતો અનુભવાય છે. દીકરીને ખરાબ ગણી લીધી હશે ત્યારે જ બાપ દુષ્કૃત્ય કરવા પ્રેરાતો હશે ને!
Daddys Bed Girl
“you’re such a good girl.”
Sour whiskey breath spread against my cheek.
“do you want this?”
I shook my head, trying to breath, to scream the words no! I don’t!
“yes, you do, my good girl”
no, I don’t!
“will you be my good girl?”
I promise I will be your good girl, I promise, just please don’t do it again.
“you’re my good girl.”
daddy, please stop
April 15, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લતા હિરાણી
ચટ્ટાનો ખુશ છે
ખુશ છે પાણા પથ્થર
વધી રહી છે એની વસ્તી
ગામ, શહેર, નગર…
પેલી પર્વતશિલા હતી કેવી
જંગલ આડે સંતાયેલી
હવે આખે આખ્ખો પર્વત
નાગોપૂગો બિચ્ચારો
ફાટી આંખે જોઈ રહ્યો ને રોઈ રહ્યો
કોઈ નથી એનું તારણ
હારી ગયા ને હરી ગયા
ઝાડ, પાન ને જંગલ
ખુશ છે પાણા પથ્થર
વિશ્વાસ છે એમનો જબ્બર
કરશું અમે તો રાજ અહીં
વાર હવે ક્યાં?
આમ જુઓ
આ માણસનાયે પેટે હવે
પાકી રહ્યા છે પથ્થરો.
વધતા જતા શહેરીકરણ અને જંગલોના વિનાશની વ્યથાની સમતુલિત રજૂઆત કરતી રચના. રચના સ્વયંસ્પષ્ટ હોવાથી વિશેષ ટિપ્પણીની આવશ્યક્તા જણાતી નથી. પણ કવયિત્રીના સંગ્રહમાંથી પસાર થતાં એક બાબતે મારું સવિશેષ ધ્યાન ખેંચ્યું. કવયિત્રીએ સમગ્ર સંગ્રહમાં અલ્પવિરામ, ઉદગારચિહ્ન, અવતરણચિહ્ન તથા પ્રશ્નચિહ્ન બાબતે જેટલી સજગતા દાખવી છે, એટલી જ ઉદાસીનતા પૂર્ણવિરામ બાબત સેવી છે. આ ટિપ્પણી અત્રે કરવા પાછળનો પ્રમુખ હેતુ કેવળ એ જ છે કે આજકાલ ગુજરાતી કવિઓમાં વિરામચિહ્નો અને જોડણી સહિત ભાષાશુદ્ધિ બાબતે ખાસ્સી નીરસતા પ્રવર્તે છે. હમણાં એક જાણીતા કવિએ ‘પહેરણ’ માટે ‘તૂટવું’ ક્રિયાપદ પ્રયોજ્યું હતું. એમનું ધ્યાન એ તરફ દોર્યું તો એમની પાસે વ્યાકરણના નિયમોના આધારના બદલે કેવળ એક જ દલીલ હતી કે બીજાઓએ પણ આ ક્રિયાપદ પહેરણ માટે વાપર્યું છે. પણ પોતાની વાતના સમર્થન માટે તેઓ કથિત ઉદાહરણો રજૂ ન કરી શક્યા. સામાન્ય ગદ્યમાં નિયમાનુસાર પ્રયોજાતા વિરામચિહ્નો જ્યારે કવિતામાં પ્રયોજાય, ત્યારે ઘણીવાર કવિ નિયમોને ચાતરીને ચાલતો નજરે ચડે છે. પણ આવું કવિ ત્યારે જ કરે જ્યારે એ કવિતાને ઉપકારક નીવડવાનું હોય. ફ્રેન્ક ઓ’ હારાની એક અંગ્રેજી કવિતાનું દૃષ્ટાંત લઈએ-
Lana Turner has collapsed!
I was trotting along and suddenly
it started raining and snowing
and you said it was hailing
but hailing hits you on the head
hard so it was really snowing and
raining and I was in such a hurry
to meet you but the traffic
was acting exactly like the sky
and suddenly I see a headline
LANA TURNER HAS COLLAPSED!
there is no snow in Hollywood
there is no rain in California
I have been to lots of parties
and acted perfectly disgraceful
but I never actually collapsed
oh Lana Turner we love you get up
સત્તર પંક્તિની આ કવિતામાં કવિતાનું શીર્ષક કાવ્યારંભે અને કાવ્યમધ્યે પુનરોક્તિ પામે છે, ત્યાં ઉદગારચિહ્નવાપરવા સિવાય કવિએ આખી રચનામાં એકેય વિરામચિહ્ન વાપર્યા નથી. આના કારણે કવિ સ્વયં જે ગડમથલ અને નિરવરુદ્ધ વિચાર-વાવંટોળના શિકાર બન્યા છે, એનો ભાવકને યથાતથ સાક્ષાત્કાર કરાવવામાં સફળ થાય છે.
બોરસલ્લીના ઝાડ ઉપર બેસીને ઝૂલતા પીળક પંખીમાં સમેટાઈ ઘનીભૂત થતી જતી એક સાંજે મારું કાદવથી ખરડાયેલું શરીર જંગલની ભૂખરી કેડીઓ પાસેથી આડાઅવળા વળાંક ખરીદતું ખરીદતું ડાંગરની ક્યારી પાસે આવીને અટકી પડ્યું. અટક્યું ત્યાં તો મારું આસપાસ બનીને ચક્કર ચક્કર ફરતી સૃષ્ટિ કોઈ રંગીન પતંગિયાની માફક ઊડવા લાગી. અરે, સારા સારા કવિઓને પણ વાચાળ કરી મૂકે એવાં મકાઈનાં લીલ્લાં લીલ્લાં ખેતરો—ધોરિયા વાટે ખળખળ વહેવા લાગ્યાં. ઘાસની પીળચટ્ટી ગંજીઓમાં વેરાઈ પડેલા સાંજના તડકાને ઊંચકવા મથતા રખડું પવનના સુસવાટાઓ તો રમૂજ ઉત્પન્ન કરવા લાગ્યા. અને ખિસ્સામાં ઠાંસીઠાંસીને ભરી લેવાનું મન થાય એવી આ ડાંગરની ક્યારીઓ પાસે મારું હોવું મને પૂરતું લાગ્યું. આ ક્ષણે અચાનક મારા ખમીસ પર આવીને બેસી જતું અટ્ટાપટ્ટા રંગવાળું પતંગિયું જો હિલ્લોળા લેતું તળાવ હોત તો હું નિર્વસ્ત્ર બનીને એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું….
– અનિલ જોશી
બંધન કદી કોઈને રાસ આવતું નથી. વિશ્વની દરેક ભાષામાં કાવ્યસર્જનનો પ્રારંભ છંદોબદ્ધ કવિતાઓથી જ થયો છે. સમયનાં વહેણ સાથે કાવ્યના આકાર અને કદ અવશ્ય બદલાયા, પણ છંદ ટકી રહ્યા. પણ ઇતિહાસ સાક્ષી છે કે સમય સાથે દરેક ભાષાના કવિઓએ છંદ સામે બળવો કરી મુક્તવિહાર કર્યો જ છે. ગુજરાતી ભાષામાં પણ અછાંદસ કાવ્ય અને પરિચ્છેદકાવ્યની પ્રણાલિ સમાંતરે વિકસતી નજરે પડે છે. પંક્તિઓને તોડીને અનિયત આકાર સાથે લખાતા અછાંદસ કાવ્યથી વિપરિત ગદ્યફકરાની જેમ જ આલેખાતા પરિચ્છેદકાવ્ય કે ગદ્યકાવ્ય માટે કોઈ સંજ્ઞા નિયત થઈ છે કે કેમ એ બાબતે જાણકાર મિત્રો પ્રકાશ ફેંકી શકે. સમય સાથે આ રીતે અછાંદસ કવિતા લખવાનો ચાલ ઓસરતો ગયો છે. પણ અનિલ જોશીની કલમે આવાં કેટલાંક કાવ્ય અવતર્યાં છે, જેમાંનું એક અત્રે રજૂ કરીએ છીએ…
પણ શબ્દ સરોવરના હંસ!
તમે ક્યાં ચાલ્યા? બેસો. બેસો.
આ તો રાજાબાઈ ટાવરના કાંટા ઉપર
કબૂતર બેઠું ને સાડા પાંચ વાગ્યા.
– અનિલ જોશી
માછલી જે રીતે પાણીમાંસરકતી હોય એ રીતે કવિની કલમ ગીતોમાં સરતી રહી હોવા છતાં એમણે અછાંદસ અને છંદોબદ્ધ કાવ્યોમાં પણ પ્રમાણમાં ઠીકઠાક કહી શકાય એવું ખેડાણ અને એય અધિકારપૂર્વક કર્યું છે. સારો કવિ એ જે એક શબ્દથી કામ ચાલી જતું હોય ત્યાં સવા શબ્દ પણ ન વાપરે. પ્રસ્તુત રચના એનું એક ઉદાહરણ ગણી શકાય. વાત એક કવિના મૃત્યુની છે અને એનું આલેખન પણ એક કવિ જ કરી રહ્યા છે. બ્લેક એન્ડ વાઇટ જિંદગીના પિયાના પર ખરતા પાન જેવી પીળી આંગળીઓ ફરતી નથી, પણ પગથિયાં ઊતરી રહી છે એટલામાં જ ઘણું સમજાઈ જાય છે. મૃતક પાછળા પળાતું બે મિનિટના મૌનમાં સાહજિકતા ઓછી અને ખોખલો શિષ્ટાચાર વધુ હોય છે એ વાત બે મિનિટની દાબડીમાં મૌન ગોઠવવાના રૂપક વડે કવિએ કેવી સ-રસ રીતે રજૂ કરી છે! શબ્દ સરોવરના હંસ જેવો કવિ અકાળે ચાલ્યો જાય એ વાત હજી ગળે ન ઊતરતી હોવાથી કથક એને ચાલ્યા ન જતાં એમ કહીને બેસવાની તાકીદ કરે છે કે રાજાબાઈ ટાવરના કાંટામાં સાડા પાંચ થવાને આમ તો વાર હતી, પણ કબૂતરના કાંટા પર બેસવાથી સાડા પાંચ થોડા વહેલા વાગી ગયા છે… મુંબઈનો સુપ્રસિદ્ધ રાજાબાઈ ટાવર મુંબઈ વિશ્વવિદ્યાલયના પટાંગણમાં આવ્યો છે. સાડા પાંચે ટકોરા વાગે અને વિદ્યાર્થીઓ ક્લાસ અને કેમ્પસ છોડી પોતાના ઘરે જવા હડી કાઢે એ ઘટનાને કવિએ પ્રાણપંખેરુ ઊડી જવા સાથે આબાદ સાંકળી લીધી છે.
રાત્રિના છેલ્લા પહોરે એક સપનું આવ્યું
ને
સપનામાં આવ્યો સૂરજ!
મધરો મધરો મલકે મારી સામે.
કહેઃ
‘ચાલ, મારું ચિત્ર બનાવ.’
મેં કહ્યું, ‘પહેલા સવારની ચા તો બનાવી લઉં..’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર પછી કહે,
‘આપણી મુલાકાત પર એક કવિતા લખ.’
મેં કહ્યું, ‘નાસ્તો તૈયાર કરું છું. એમને ઓફિસ મોકલી દઉં પછી…’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર રાહ જોઈ કહે:
‘મંડલા આર્ટ તો ફટાફટ થઈ જાય ને! એમાં મારું ચિત્ર કરી દે તો?’
મેં કહ્યું: ‘સાસુ-સસરાને ભૂખ લાગી હશે. રસોઈ કરી દઉં?’
એની માંગણી તો ચાલુ ને ચાલુ.
પણ બપોરે પહેલાં સફાઈ યાદ આવી, ને પછી વાસણ.
પછી આવ્યો કપડાંનો વારો ને પછી કચરાંપોતાંનો ને ફરી સાંજની ચાનો ને ફરી રાતની રસોઈનો.
એ તો કેવળ મધરો મધરો મલકાતો જ રહ્યો,
ને કહેતો રહ્યો,
તથાસ્તુ!
આજે જરા સમય મળ્યો તો થયું,
લાવ, કવિતાય બનાવી દઉં ને ચિત્ર પણ.
દેવતા કહેવાય એ તો.
ક્યાં સુધી વાટ જોવરાવવી?
બહુ કોશિશ કરી,
ઊભી થવા ગઈ
તો ધ્રુજતા હાથથી
લાકડી પણ છટકી ગઈ
ને…
– નેહા પુરોહિત
આજે વિશ્વ મહિલા દિવસ. આમ તો અંગત રીતે હું આ દિવસનો પ્રખર વિરોધી છું, કારણ કે વરસની ત્રણસો ચોંસઠ ચોકલેટ પોતાના ખિસ્સામાં રાખી સ્ત્રીઓને એક ચોકલેટ આપી રાજી રાખવાની પુરુષોની આ ચાલ મને પસંદ નથી. સ્ત્રી-પુરુષ સમાનતા તો રામાયણ-મહાભારતમાં પણ જોવા નથી મળતાં. લક્ષ્મણરેખા-અગ્નિપરીક્ષા-ઘરનિકાલ અને વસ્ત્રાહરણ ત્યારે પણ પુરુષો માટે નહોતાં અને આજે પણ નથી. પ્રસ્તુત રચના સીધી રીતે તો સ્ત્રી-પુરુષ અસમાનતાની વાત નથી કરતી, પણ બહુ સરસ અને વેધક રીતે ઘરમાં સ્ત્રીના નીચલા સ્થાનને ચાક્ષુષ કરે છે. રાતના છેલ્લા પહોરે જોયેલું સપનું કવયિત્રી આપણને બતાવે છે. કહે છે કે વહેલી સવારનું સપનું સાચું પડતું હોય છે. આપણને પણ સમજાય છે કે જે છે, એ નક્કર હકીકતથી જરાય ઓછું નથી.
નાનકડી માંગણીના બદલામાં સૂરજદાદા વરદાન આપવા તત્પર થયા છે, પણ સ્ત્રીનો આખો જન્મારો ઘરનું વૈતરું કરવામાં જ પસાર થઈ જાય છે. મોટા શહેરોમાં કંઈક અંશે પરિસ્થિતિ બદલાઈ છે એની ના નહીં, પણ હજી આજે પણ મોટાભાગના ભારતીય સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓએ જ ઘર સંભાળવું પડતું હોય છે. કવિતાના અંતે અચાનક ઘડપણનો અણસાર આપી ધ્રુજતા હાથમાંથી છટકે જતી લાકડી સાથે ‘ને…’ કહીને કવયિત્રીએ કાવ્ય અધૂરું છોડી દઈ સ્ત્રીની વેદનામાં સમભાગી થવા ઈજન આપ્યું છે…
આજે મૂડ નહોતો,
બંને કીકીઓને બહાર કાઢીને-
લખોટીઓ રમવા માંડ્યો.
વાળને હવામાં ખુલ્લા મૂકી દીધા.
હોઠને મૌન શું છે
એ શોધવા મોકલ્યા…
કાનને નકરા ઘોંઘાટ વચ્ચેથી
ટાંકણીનો અવાજ શોધી લાવવા કહ્યું.
હાથને એકબીજા સાથે બાંધી દીધા,
પગને ખીંટી ઉપર ટાંગી દીધા.
પેટને ભૂખમાં ઓગાળી દીધું.
ત્યાં મારા નાકને પાંપણ ઢળી ગયાની ગંધ આવી!
પણ,
હું કંઈ કરું એ પહેલાં જ કોઈએ મને—
ચંદન વચ્ચે સુવાડી ધુમાડો બનાવી દીધો.
– બ્રિજેશ પંચાલ
લયસ્તરો પર કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’નું સ્વાગત…
જીવન જીવવાના મૂડના અભાવનું બીજું નામ મૃત્યુ. આમ તો આવાં મૂડ-ઑફ મૃત્યુ આપણે હજારોવાર જીવતાં હોઈએ છીએ, પણ કવિએ આખરી મૂડ-ઑફની કવિતા કરી છે. સામાન્યરીતે મન ઉદાસીન હોય અને કશામાં લાગતું ન હોય એ પળે આપણે કાચબો સ્વયંને કોચલામાં સંકોરી લે એમ આપણા અસ્તિત્ત્વને બને એટલું સંકોરી લેતાં હોઈએ છીએ, પણ અહીં આથી સાવ વિપરીત ક્રિયાઓ થઈ રહી છે. કીકીઓને આંખના ગોખલામાંથી બહાર કાઢી કથક લખોટીઓ રમવા માંડે છે. જેનું કામ બોલવાનું છે એને ન બોલવાનું શોધવા માટે મોકલી દેવાય છે, અને કાનને ઘાસની ગંજી જેવા અવાજના ખડકલામાંથી ટાંકણીનો અવાજ શોધવાનું અશક્યવત્ કામ સોંપવામાં આવે છે. હાથ-પગ-પેટ બધા જ અવયવોને નિષ્ક્રિયતાની સજા આપવામાં આવી છે… સ્વયંનું મૃત્યુ થવાની ગંધ નાકને આવે એ પહેલાં તો મૃતદેહ ચંદનની ચિતા પર ભડભડ બળી રહે છે… પ્રસ્તુત કાવ્ય બિનજરૂરી વાણીપ્રલાપથી દૂર રહી શક્યું છે એ આપણું સદનસીબ. સરવાળે, આ કાવ્ય અનુભૂતિનું કાવ્ય છે. સામાન્ય ગુજરાતી અછાંદસોથી એ અલગ તરી આવે છે.
આખા દેશમાંથી
હૃદય સુધી કોઈ પહોંચ્યું હોય તો
ત્રણ ગોળીઓ જ.
– રમણીક અગ્રાવત
ગાંધીજીના હૃદયમાં ઉતરી ગયેલી ત્રણ ગોળીઓની જેમ વાંચતાવેંત આપણા હૃદયમાં ઉતરી જતી ત્રણ નાની-નાની પંક્તિઓ અને ચિરકાળ માટે અસર મૂકી જાય એવા કેવળ એક જ વાક્યની આ કવિતા માટે વધુ કશું જ કહેવાની જરૂર નથી… બે મિનિટનું મૌન રાખીએ અને સ્વયંને અવલોકીએ…
વાત તો આટલી જ હતી
કે આપણે મળીએ
પણ ન મળ્યાં
વચ્ચે કેટલાં બધાં ફૂલો ખીલ્યાં
કેટલાં બધાંએ
એ
એકબીજાને આપ્યાં
કેટલું બધું પાણી હેતની જેમ વહ્યું
ને
કેટલાં બધાંએ એકબીજાને પાયું
કેટલાં બધાંએ એકબીજાનાં સપનાં જોયાં
ને એકબીજાને બતાવ્યાં
કેટલાં બધાંએ આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભર્યું
સૂર્ય એક જ હતો
પણ દરેકના સૂર્યોએ એકબીજાને હૂંફ આપી
ચંદ્ર પણ એકબીજાને
ચાંદની આપતો રહ્યો
કેટલી બધી ઋતુઓ એકબીજા વચ્ચે બદલાઈ
આટલું બધું થયું
વચ્ચે
પણ આપણે ન મળ્યાં
એક પણ વાર…
– રવીન્દ્ર પારેખ
કવિતાના શીર્ષક ‘ક્ષિતિજ’ પરથી ખ્યાલ આવે કે આકાશ અને ધરતીની જેમ ક્ષિતિજે ભેગા થયેલ ભાસતા પણ સદાકાળ એકબીજાથી અળગા જ રહેવાનું જેમના ભાગ્યમાં નિર્માયું હશે એવા બે પ્રિયજનની આ વાત છે. રચના તો સાવ સરળ છે, પણ જે મજા છે એ વાતની પ્રસ્તુતિ અને માવજતમાં છે. પ્રકૃતિના અહર્નિશ ફર્યે રાખતા ઋતુચક્રમાંથી જ કવિએ કેટલાક ઘટકત્ત્વોની પસંદગી કરી છે પણ નદીનું પાણી હેતની જેમ વહી જાય કે એકમેકને આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભરવાની વાત જેવી ભાષાની અનૂઠી સારવારના કારણે રચનામાં કાવ્યત્વ ઘટ્ટ બન્યું છે. સરવાળે, વાંચવા બેસીએ તો અડધી મિનિટથીય ઓછા સમયમાં વંચાઈ જાય પણ વાંચી લીધા બાદ અડધો દિવસ ચિત્તતંત્રમાં રણઝણ થયે રાખે એવી છે આ કવિતા…
અજાણ્યા શહેરના સ્ટેશન પર
નિયત સ્થળે જતા જનપ્રવાહની વચ્ચે
એકલી અટવાતી હોઉં:
નવી જગ્યાના નકશાની ગલીઓ પર
અચોક્કસ આંગળી ફેરવી
રસ્તો શોધવા મથતી હોઉં;
ભાંગ્યાતૂટયા ફ્રેન્ચ કે સ્પેનિશમાં
સમજાવવા – સમજવાની
ચેષ્ટા કરતી હોઉં :
મિત્રોની વચમાં–
જાણીતી ગલીઓમાં–
રોજિંદી ભાષામાં–
મારી પોતાની સાથે પણ–
કોઈ વાર
આવા ભાવ થાય છે.
– પ્રીતિ સેનગુપ્તા
અજાણ્યા સ્થળે અજાણ્યા લોકો વચ્ચે અજાણી ભાષાના કારણે પ્રવાસી જે અસમંજસ અને લાચારીની અવસ્થા અનુભવે એ સમજી શકાય એમ છે. આસપાસનો સમસ્ત જનપ્રવાહ નિયત દિશામાં પાણીના રેલાની જેમ સડસડાટ વહેતો હોય પણ નક્શા પર ગોથાં ખાતી ‘અચોક્કસ’ આંગળીઓની જેમ આપણે અટવાતા હોઈએ અને કોઈ વાર્તાલાપ કામ ન આવે ત્યારે જે પારાવાર પરવશતા અનુભવાય એ આપણે સહુએ જીવનના કોઈને કોઈ તબક્કે અનુભવી જ છે. પણ કવયિત્રીનું નિશાન તો સાવ અલગ જ છે. જાણીતા લોકો, જાણીતા સ્થળો અને જાણીતી ભાષા હોવા છતાં ક્યારેક આપણને કશું જ જાણીતું ન હોવાનો ભાસ થઈ આવતો હોય છે. ઘણીવાર તો આપણે સ્વયંને પણ ઓળખી શકતાં નથી, સ્વયં સાથે સંવાદ પણ સાધી શકતા નથી… સર્વસામાન્ય પર્યટન અનુભૂતિના મિષે કવયિત્રીએ ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ને કેવી અદભુત વાચા આપી છે!
(મોબાઇલ અને ગૂગલ મેપ હાથવગાં થયાં એ પહેલાંની, લગભગ ચાળીસેક વર્ષ પહેલાંની આ રચના છે, એટલે નક્શાનો સંદર્ભ એ રીતે સમજવો!)
નદીમાં નાવ હાંકતા ખારવાને ઘણીવાર લાગતું
કે એ હલેસાંથી નાવ નહીં
નદી હંકારી રહ્યો છે.
નદી ચૂપ રહેતી
ક્યારેય કશું બોલતી નહિ
વર્ષાઋતુમાં નદી છલકાતી
તો એ એને ચિડાઈને સમજાવતો
આ બરાબર નથી
નદીની એક ગરિમા હોય
આ શું ?
કિનારે ઊભેલાં વૃક્ષ પણ તને
ઝૂકીને સ્પર્શી રહ્યાં છે.
નદી સંભાળપૂર્વક વહેવા લાગતી
ઉનાળામાં નદી સંકોચાઈ જતી
તો એ બૂમ પાડતો – ક્યારેક મારા વિષે પણ વિચાર કરજે
સૂર્યની દૃષ્ટિથી બાષ્પિત ન થા
એ જળ છે જે નદીને નદી બનાવે છે
નદી કશું ન કહેતી
બસ ધસતી જાતી સમુદ્ર તરફ
દરેક મોસમમાં ખારવાની ચિત્ર – વિચિત્ર સૂચનાઓ હોય
એને ક્યારેક આ ન ગમતું
તો ક્યારેક તે
નદી અવનવાં ગીત ગણગણતાં વહેતી જ જાતી
સુનેત્રા,
નદી સ્ત્રી હતી કે નહીં એ તને વધારે ખબર
પરંતુ હું આશ્વસ્ત છું
કે ખારવો તો પુરુષ જ..
– રાજેશ્વર વશિષ્ઠ
(હિન્દી પરથી અનુવાદ: ભગવાન થાવરાણી)
એ સાચું કે હિન્દી કવિતા ગુજરાતી અનુવાદની મહોતાજ નથી, ને એય ખરું કે અનુવાદ ન કરાયો હોત તો આ રચના લયસ્તરો સુધી પહોંચી જ ન હોત. ગુજરાતી કવિતામાં અછાંદસ એટલે સીધીસાદી પૂર્વભૂમિકા અને કાવ્યાંતે એક ચોટ, બસ! પણ અહીં જુઓ… સારી અછાંદસ કવિતા કોને કહેવાય એની વિભાવના આ રચના સુપેરે સમજાવી શકે એમ છે. આખી રચના કાવ્યાત્મક વાક્ય અને નાની-નાની કવિતાઓથી ભરી પડી છે- ‘ખારવાને લાગતું કે એ નાવ નહીં, નદી હંકારી રહ્યો છે…’ ‘આ શું કે કિનારે ઊભેલાં વૃક્ષો પણ નદીને સ્પર્શી રહ્યાં છે!…’ ‘એ જળ છે જે નદીને નદી બનાવે છે…’ કાવ્યાંતે સ્ત્રી-પુરુષના સ્વભાવનો તફાવત ઉપસાવીને કવિએ કાવ્યને વધારાની ધાર કાઢી છે, એ કદાચ ન કાઢી હોત તોય કવિતા સંપૂર્ણ જ ગણાત…
કવિની અન્ય રચનાઓમાંથી પસાર થતાં ખ્યાલ આવ્યો કે એ પોતાની દરેક અછાંદસ રચનાઓમાં અંતે સુનેત્રાને સંબોધીને વાત પૂરી કરે છે. રમેશ પારેખની સોનલ ને અસીમની લીલા તરત યાદ આવી જાય.
*
।। और नदी बहती रही ।।
नदी में नाव खेते हुए मल्लाह को अक्सर लगता था कि वह अपने चप्पू से नाव को नहीं नदी को चला रहा है।
नदी शांत ही रहती, कभी कुछ नहीं कहती।
बरसात के दिनों में नदी उफनती तो वह उसे चिढ़ कर समझाता – यह ठीक नहीं है। नदी की एक गरिमा होती है। यह क्या है, किनारे के पेड़ तक तुम्हें झुक कर छू रहे हैं।
नदी संभल कर बहने लगती।
गर्मी में नदी सिकुड़ जाती तो वह चिल्लाता – कभी मेरे बारे में भी सोच लिया करो। मत वाष्पित हुआ करो सूर्य की दृष्टि से। जल ही नदी को नदी बनाता है।
नदी कुछ नहीं कहती, चलती जाती समुद्र की ओर।
हर मौसम में मल्लाह की अजीब-अजीब हिदायतें होतीं, उसे कभी कुछ पसंद नहीं आता तो कभी कुछ और।
नदी नए नए गीत गुनगुनाते हुए बहती ही चली जाती।
सुनेत्रा,
नदी स्त्री थी या नहीं तुम बेहतर जानती होगी।
पर मैं आश्वस्त हूँ, मल्लाह पुरुष ही था।
વાંકાચૂકા રસ્તાપર હું ચાલી રહ્યો છું,
એને ગોતવા.
એ પ્રકાંડ પંડિત મારો બાપ હોવાની
મને ચોક્કસ બાતમી મળી છે!
હાલકડોલક છું ત્યારનો.
કહેવાય છે કે :
એક સવારે છાણ વિણવા જતી
અછૂત કન્યાનો પડછાયો પગને સ્પર્શી જતા
આ પુણ્યાત્માએ ત્રણ દિવસના ઉપવાસ
અને સાત નદીઓનાં જળ મંગાવીને
સ્નાન કરેલું!
અવર્ણ કન્યાપર
ટોળાબંધ હાથોના સવર્ણ આકાશમાંથી
વરસેલા પથ્થરોના ધોધમાર વરસાદની વાત
પછી સૂકાઈ ગઈ’તી.
હું ગોતું છું મારા એ પુણ્યશાળી બાપને!
મળે તો મારે
આટલું જ પૂછવું છે :
એક મેઘલી સાંજે,
નદી કાંઠે ખખડધજ શિવાલયનાં
અવાવરુ એકાંતમાં
ફૂટડાં અંગોવાળી
એ જ અછૂત કન્યાનાં
કુંવારા ઉદરમાં ઝનૂનપૂર્વક
મને વાવ્યા પછી તમે–
કેટલા દિવસના ઉપવાસ કરેલા?
કેટલી નદીઓનાં પાણી
તમારી સવર્ણ કાયા પર ઠાલવેલાં??
બોલો, બાપુ બોલો…
મને જવાબ આપો!
મને જવાબ…!
મને…!!!
મ……!!!!
ન જાણે કંઈ કેટકેટલીવાર કોશિશ કરવા છતાંય હું કેમે કરીને મારા પિતાને
રોકી શકતી નથી મારી બહેનના રૂમમાં જતા
અને અહીંથી જ વાંકા વળીને હું એમની આંખોમાં જોવાનો પ્રયત્ન કરું છું,
પણ કંઈ ખાસ જોઈ શકાતું નથી. હૉલમાં અંધારું છે
અને બધા ઊંઘી રહ્યા છે. આ એ ભૂતકાળ છે
જ્યાં બધું પહેલેથી જ પરિપૂર્ણ છે અને કશું જ બદલાતું નથી,
જ્યાં પાણીનો ગ્લાસ બાથરૂમની ફર્શ પર પડે છે
અને તૂટતા પહેલાં એકવાર ઊછળે છે.
કશું જ નથી. પડખું બદલતી વેળા મારી બહેન કાઢે છે
એ નાનો અવાજ પણ નહીં, કૂતરાની પૂંછડીનો ધીમો અવાજ પણ નહીં
જ્યારે એ એક આંખ ઊઘાડી જુએ છે એમને નશામાં ચૂર,
થોડા મૂંઝાયેલા, લડખડાતા પોતાની પથારી તરફ પરત ફરતા.
આ બિલકુલ એવું જ છે જેવું હું જાણતી હતી કે થશે.
અને હું તેણીનું નામ ફુસફુસાવું છું, ચેતવણી ફુત્કારતા,
જે હું વરસોથી કરતી આવી છું, અને કૂતરો પણ
ચોંકે જ છે અને ઘુરકેય છે જ્યાં સુધી એ જોતો નથી
કે એ તો અમારા પિતા જ છે,અને હજીય દરવાજો ખૂલે છે, અને તેણી
પેલો નાનો ઊંહકારો ભરે છે, પાસું બદલતાં બદલતાં.
– મેરી હૉવે
(અનુ. વિવેક મનહર ટેલર)
પિતૃવિશેષ શૃંખલામાં આજે સંવેદનતંત્રમાં હડકંપ સર્જે અને ગળેથી ઉતારતા પારાવાર તકલીફ થાય એવી એક કવિતા જોઈએ. આપણે ગુજરાતીઓને સુષ્ઠુ સુષ્ઠુ રચનાઓ વાંચવાની આદત પડી ગઈ છે, પણ દુનિયા ગુલાબની પથારી ઓછી અને કાંટાની સેજ વધારે છે. સાવકા બાપ દીકરી સાથે યૌન સંબંધ બાંધે એવા સમાચારોની વચ્ચે ઘણીવાર સગો બાપ વર્ષો સુધી સગે દીકરીનું યૌનશોષણ કરી એને ગર્ભવતી બનાવે એવા ચોંકાવી દેતા સમાચારો પણ ગુજરાતી અખબારોમાં આવે જ છે.
પ્રસ્તુત રચના ઇન્સેસ્ટ (incest) વિશેની છે, ઇન્સેસ્ટ અર્થાત્ ગૌત્રગમન એટલે કુટુંબના નજીકના સગાઓ વચ્ચે થતો વ્યભિચાર. મા-બાપના પોતાનાં જ સંતાનો સાથેના અનૌરસ સંબંધને દુનિયાની કોઈ જ સંસ્કૃતિએ કદી પણ બહાલી આપી નથી. પણ આ અવૈધ સંબંધ પણ કદાચ માનવજાત જેટલો જ જૂનો છે. ઝેનોફોનના ‘મેમરાબિલિયા’માં સોક્રેટિસ હિપિયાસને કહે છે કે ઈશ્વરના આ વણલખ્યા નિયમમાંથી જેઓ ચ્યુત થાય છે, તેઓ ખરાબ સંતતિ સ્વરૂપે સજા પામે છે. પ્લેટો પણ ‘લૉઝ’માં એક એથેન્સવાસી દલીલ કરે છે કે વણલખ્યો કાનૂન અને લોકમતની તાકાત મા-બાપને સંતતિ સાથે સૂતાં અટકાવે છે.
આ રચનામાં પણ એક સગો બાપ ઘરના બધા સભ્યો ઊંઘી ગયાં હોય ત્યારે દારૂના નશામાં દીકરીના રૂમમાં જઈને એના પર બળાત્કાર કરે છે. આ ઘરેલુ હિંસા વર્ષોથી ચાલતી આવી છે. દારૂડિયા કામી બાપ માટે દીકરી દીકરી નહીં, બાથરૂમની ફર્શ પર પડીને તૂટતાં પહેલાં એકવાર ઊછળતો ગ્લાસ બનીને રહી ગઈ છે. નાની બહેન લાખ કોશિશો કરવા છતાંય રોજ રાતે આંખો સામે થતા આ દુરાચારને અટકાવી શકતી નથી. ઘરનો વફાદાર કૂતરો પણ રાતે એક રૂમમાંથી બીજા રૂમમાં જતો ઈસમ ઘરનો માલિક જ છે એ જોઈને સહેજ ઘર્રાઈને, સહેજ પૂંછડી થપકારીને ચૂપ રહે છે.
How Many Times
No matter how many times I try I can’t stop my father
from walking into my sister’s room
and I can’t see any better, leaning from here to look
in his eyes. It’s dark in the hall
and everyone’s sleeping. This is the past
where everything is perfect already and nothing changes,
where the water glass falls to the bathroom floor
and bounces once before breaking.
Nothing. Not the small sound my sister makes, turning
over, not the thump of the dog’s tail
when he opens one eye to see him stumbling back to bed
still drunk, a little bewildered.
This is exactly as I knew it would be.
And if I whisper her name, hissing a warning,
I’ve been doing that for years now, and still the dog
startles and growls until he sees
it’s our father, and still the door opens, and she
makes that small oh turning over.