October 29, 2022 at 1:42 PM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
નચાવે જેમ કિસ્મત એમ નાચે તે અનાડી છે,
અમે તો ભાગ્યની રેખા હથેળીમાં રમાડી છે.
મુલાયમ જીભ છે ને ચામડી થોડીક જાડી છે,
મને આ હોંશિયારી જિંદગીએ શીખવાડી છે.
મજા પહેલા મિલનની આપણે કેવી બગાડી છે!
અમે મૂછોને દીધા તાવ, તેં લટને રમાડી છે.
તમારાથી વધારે વહાલી થઈ જાવા એ કરતી’તી,
તમારી ચિઠ્ઠી મેં ચૂમી ભરી, હમણાં જ ફાડી છે.
શરૂઆત આપનાથી થઈ, બસ એનું દુ:ખ રહ્યું અમને,
પછી હરએક વાતે હરકોઈએ ‘ના’ જ પાડી છે.
– હરીશ ઠક્કર
‘તક’લીફ અને ‘તક’દીર –બંનેમાં ‘તક’ શોધી બતાવતા કવિ કિસ્મતના હાથની કઠપૂતળી બનવા તૈયાર ન જ હોય એ સમજી શકાય એમ છે. કવિ તો ભાગ્યરેખાઓને મનમરજી મુજબ રમાડવામાં નિપુણ છે. ભાગ્યની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા, ચાલ તારાઓ ની બદલે એજ શક્તિમાન છે (શેખાદમ ગ્રેટાદમ) જિંદગીના ટાંકણાથી ભલભલાના ઘાટ બદલાઈ જાય છે. જિંદગીની પાઠશાળામાં ભણી લેનારની સંવેદનશીલતા ઓછી થઈ જાય છે અને ચાપલૂસી કરી પોતાનું કામ કઢાવી લેવાની વૃત્તિ સહજ થતી જાય છે એ વાતને કવિએ ગઝલના બીજા મત્લામાં જે સહજ વેધકતાથી રજૂ કરી છે, એ ઉમદા કવિકર્મની સાહેદી પૂરાવે છે. ડૉ. હરીશ ઠક્કરની ગઝલનું સૌથી મોટું સુખ એ કે એમની મોટાભાગની ગઝલો સાદ્યંત આસ્વાદ્ય હોય છે. પ્રસ્તુત રચના એનો જ એક પૂરાવો છે.
સપનું સમજી સાહ્યો જેને
એ નીકળ્યો સંસાર – કરું શું ?
હકડેઠઠ્ઠ હઠીલી દુનિયા
ભીતરથી ભેંકાર – કરું શું ?
કીડી જેવડો પણ ચટકે તો
શબદ બડો ખૂંખાર, કરું શું ?
– હરીશ મીનાશ્રુ
કવિની રચનાઓમાં ગહનને, એ અગમ્યને પામવાની મથામણ અને શબ્દોનું એમાં ઊણાં ઊતરવું વારંવાર આવે છે. આ રચનામાં પણ એ ભાવ તો છે જ, પણ ટૂંકી બહેરમાં કવિએ જે સિધ્ધ કર્યું છે એ અદ્ભુત છે, આપણને નતમસ્તક કરી મૂકે છે. અહીં જીવનરૂપી શોધ યાત્રાનું મંથન વ્યક્ત થયું છે અને આ શોધ કેવી છે? જેનો કોઈ ઈશારો નથી મળતો કે કઇ દિશામાં પ્રયાણ કરવું? હજુ કેટલું દૂર છે? એનો કોઈ અણસાર મળતો નથી.અને શોધના માર્ગમાં મૃગજળ, ઝાંઝવા મળે છે, માત્ર છળ, જેનું હકીકતમાં અસ્તિત્વ જ નથી એવું જ સામે આવે છે.
“અવળમુખે…” વાળી પંક્તિ મને એ રીતે સમજાય છે કે સૃષ્ટિના ઉદગમ કાળથી ઉત્ક્રાંતિની સાથે સાથે એક એક કરીને જે ભગવાનના દશાવતાર આવ્યા તે હવે કવિથી મુખ ફેરવીને સર્વત્ર વ્યાપી ગયા છે. એ પરમ તત્ત્વ ના હોય એવી કોઈ જગ્યા છે? તો પછી એને શોધવું શી રીતે? જળથળમાં ઝળકનાર એ તત્ત્વને શોધવું વધારે દુર્લભ થઈ ગયું છે.
પછીની પંક્તિઓમાં ભાષાની અધૂરપ ‘વજન વિનાની ભાષા’ અને ‘શું શાં પૈસા ચાર’થી દર્શાવ્યું છે. વિચારોની ઉગ્રતામાં, ગરમીમાં વાણી વરાળ થઈ જાય છે, વાણીમાં વ્યક્ત કરવું દુષ્કર થઈ પડે છે.
પછીની પંક્તિઓમાં મારી અલ્પ સમજ પ્રમાણે એવું લાગે છે કે કવિનું જીવન તો ખૂલ્લી કિતાબ જેવું છે, transparent છે અથવા વિચારોના આદાન-પ્રદાન માટે કોઈ અંતરાયરૂપ દિવાલો નથી પણ એ પૂર્વજોના જ્ઞાનના વારસાનો ભાર કેવી રીતે ઊઠાવી શકે?
‘ચણીબોર’ એટલે ‘desires’ ‘તૃષ્ણાઓ’, રાતીચટ, આકર્ષક, લલચાવનારી પણ ચાખો તો…અંગારની જેમ દઝાડે તેવી. ક્યારેય કોઈની બધી ઈચ્છાઓ પૂરી થતી નથી અને એ અધૂરી ઈચ્છાઓ, તૃષ્ણાઓ માનવીને જીવનભર દઝાડે છે. અને આ જીવન કેવું છે, સાવ ટૂંકું એમાં ‘રાત થોડી ને વેશ ઝાઝા’ની જેમ પાર વિનાના પાત્રો ભજવવાના અને એમાં કેટલાંક તો ભજવવા પણ અઘરાં, કેવી વિટંબણા. આ સંસારને સાધકોએ સપનું કહ્યો છે પણ કવિ એ વાત જરા જુદી રીતે મૂકીને ચમત્કૃતિ સાધે છે. એમણે સપનું જાણીને જ પકડ્યો હતો પણ ગૃહસ્થ જીવન જીવતા પ્રત્યેક મનુષ્યને એક વાર તો સમજાય જ છે કે આપણે સંસારના બંદી બની જઈએ છીએ, ‘બાવાજીની લંગોટી’ની જેમ. પછી એ સપનું ન રહેતાં ન ત્યજી શકાય, ન છૂટી શકાય એવી ભીંસ બની જાય છે. એથી કવિને આસપાસ હઠીલી દુનિયાની ભીડ અકળાવે છે. એવી ભીડ ભરેલી દુનિયાની વચ્ચે ભીતરનો ખાલીપો અસહ્ય થઈ જાય છે. અને છેલ્લી બે લીટીમાં શબદનો મહીમા છે. ‘રામબાણ વાગ્યાં હોય એ જાણે’ એમ શબદ ભલે નાનો હોય પણ એક વાર એનો મર્મ હ્રદયમાં ચટક્યો પછી આખું અસ્તિત્વ એમાં વિલીન થઈ જાય છે. અસ્તુ.
– ડો. નેહલ વૈદ્ય ( inmymindinmyheart.com )
( આ કાવ્યનું ચયન અને ભાવાર્થલેખન ડો નેહલ વૈદ્યનું છે )
October 1, 2022 at 11:24 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
અણબૂઝ કામનાઓ અડાબીડ આસપાસ
ઘેરી વળી છે જુગજૂની પીડ આસપાસ
ઘરમાં હળી ગયેલ અભાવોનાં આક્રમણ
કરકોલે ધીરે-ધીરે બની તીડ આસપાસ
તારી ઉદાસ આંખને જોતાં જ લાગ્યું કે
વેરાન ઊગી નીકળ્યું છે નીડ આસપાસ
શ્યામે કહ્યું કે જૂઈ છે, આદિલ કહે: છે ઘાસ
વાસ્તવમાં આપ છો ને છે ઑર્કિડ આસપાસ
દિલચસ્પ કેવા હોય શરૂઆતના સ્તરે!
વિરમે દરેક ભાવ સખત ચીડ આસપાસ
ગળપણ ગઝલ કે કોફીમાં ઝાઝું હો શું મઝા?
બહુ બોલકાપણું તો કરે ભીડ આસપાસ
– સંજુ વાળા
પૂરી ન થયેલ ઇચ્છાઓ આપણને સહુને યુગો જૂની પીડાનો અહેસાસ કરાવતી ઘેરામાં બાંધી રાખે છે. આપણા સહુનું ધ્યાન વિશેષતર શું પામ્યા કરતાં શુ ન પામ્યા તરફ જ જીવનભર રહે છે. આ અભાવો જે રીતે તીડના ટોળાં ઊભા પાકને કરકોલી ખાય એ રીતે આપની સાથે હળીમળી જઈને આપણને કોતરી ખાયે રાખે છે. શ્યામ સાધુ અને આદિલ મન્સૂરીને સ્મરતો શેર ઓર્કિડ પ્રાસપ્રેરિત હોય એમ વધુ અનુભવાય છે, એ એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર અદભુત થયા છે. ગમે એટલી ગમતી કેમ ન હોય, દરેક વસ્તુનો અતિરેક છેવટે તો અણગમામાં જ પરિણમે છે એ વાત છેલ્લા બે શેરમાં સુપેરે પ્રકટ થઈ છે. શરૂઆતમાં દિલચસ્પ લાગતી વાત છેવટે ચીડમાં વિરમે છે અને ગઝલ હોય કે કોફી, ગળપણ વધુ નાંખો તો સાચા ભાવકો એનાથી દૂર જ ભાગશે…
ચાર જ શેરની ગીતનુમા ગઝલ. હો જીનો હલકાર ભાવકને લયના હીંચકે મજાનું ઝૂલાવે છે. ચારેય શેરમાં અંધારું નજરે ચડે છે. પડછાયો આમ તો અજવાળાને આભારી ગણાય પણ પડછાયો પોતે કદી ઊજળો ન હોય. પડછાયામાં તો અંધારું જ હોય. અંધારાંને અજવાળું લેખાવતા કવિની આ રચના છે, એટલું સમજાય તો ગઝલ પર મોહી પડાય એમ છે. માણસની છાયા લોહીમાં દોડતી થઈ જાય, મતલબ પ્રિયજન આત્મસાત થઈ જાય ત્યારે ઉચ્છ્વાસમાં અંગારવાયુના સ્થાને એની ખુશબૂ મહેંકતી અનુભવાય.
September 17, 2022 at 10:58 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
મહદ્અંશે લોકો સજાથી ડરે છે,
કોઈ કોઈ છે, જે ગુનાથી ડરે છે.
એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે.
એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને,
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે!
બધી આપદા એને શોધી જ લેશે,
જે માણસ સતત આપદાથી ડરે છે.
ડરી જાઉં હું જો, તો લોકો શું કહેશે-
ઘણા માત્ર એ ધારણાથી ડરે છે.
જો જીતી શકો તો એ ડરને જ જીતો,
એ શું જીતે, જે હારવાથી ડરે છે!
– હરીશ ઠક્કર
માણસથી વધુ ઘાતકી પ્રાણી કોઈ નથી. ખોટું કરતી વખતે માણસને ક્યાં તો કાયદાનો ડર હોય, ક્યાં તો ઈશ્વરના દરબારનો. ત્રીજો ડર હોય સામાજિક પ્રતિષ્ઠાનો. આવી કોઈ જ પ્રકારની સજાનો કોઈ ડર ન હોય તો ભાગ્યે જ કોઈ માણસ ગુનો આચરતાં પોતાને રોકે, આ સનાતન સત્ય મત્લામાં કેવી સરળ રીતે ઉજાગર થયું છે! આ જ વાત બીજા શેરમાં ખુદામાં માનતા હોય એ લોકો જ ખુદાથી ડરતા હોવાના કથનરૂપે બહુ સરસ રીતે રજૂ થઈ છે. ડર વિશેની આ મુસલસલ રચનામાં કવિ ડરના અલગ-અલગ આયામ જે રીતે રજૂ કરે છે, એ નખશિખ આસ્વાદ્ય છે…
ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.
જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,
તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.
કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.
– સંદીપ પૂજારા
પ્રેમની પરિભાષા ઝડપભેર બદલાઈ રહી છે. જુઓ આ ગઝલ. કોઈક કારણોસર પ્રેમિકા છોડી ગઈ છે, પણ પ્રેમીના દિલમાંથી પ્રેમિકા કે એના માટેની આરત –બંનેમાંથી કશું નામશેષ થયું નથી. પ્રેયસી પરત ફરે તો એને ફેર અપનાવવા નાયક તૈયાર છે, પણ ન આવે તો નમતું જોખવા તૈયાર નથી. ‘આવી શકે તો આવજે’ના રણકામાં આ રણશિંગુ ફૂંકાતું સંભળાય છે. ‘ઇચ્છાઓનું શહેર’ રૂપક એ વાતની પ્રતીતિ કરાવે છે કે નાયકના દિલમાં હજીય અસીમ અપાર અનંત ઇચ્છાઓ છે, પણ ખુદ્દારી એવી છે કે એકપણ ઇચ્છા ફળીભૂત નહીં થાય તોય પોતે નાયિકાની શેરીમાં જઈને ધમાલ નહીં મચાવે. ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઉસ ગલી સે હમેં તો ગુજરના નહીં’થી લઈને પ્રેમ આજે ક્યાં આવી ઊભો છે એ જોવા-સમજવા જેવું છે. જીવે ત્યાં સુધી પોતે રાહ જોનાર છે એવું કહેનાર પ્રેમી ઈશ્વર આગળ પણ કરગરવા તૈયાર નથી. અને આજના પ્રણયની ભાષાની પરાકાષ્ઠા તો દીવાલવાળા શેરમાં વર્તાય છે. બે જણ વચ્ચે દીવાલ ચણાઈ ગઈ હોય તો બંને જણ પોતપોતાની તરફથી પહેલ કરે એ પ્રેમની સનાતન ભાષાના સ્થાને તારો ઇગો છોડી શકે તો આવજે, બાકી હું મારો અહમ તસુભાર પણ છોડવા તૈયાર નથી. જો કે આ એક કવિની પોતાની અભિવ્યક્તિ છે, આ ભાષા આજના પ્રેમ અને પ્રેમીઓની સાર્વત્રિક ભાષા છે કે કેમ એ બાબત ચર્ચાનો વિષય છે.
ક્યાં ભૂલ્યા કથરોટ કહોને મનચંગાજી!
ગંગાજીને કરવા ક્યાં લગ આંટા-ફેરા?
આખ્ખોયે અવતાર હવે તો અટકળ-અટકળ
ઝૂલે અધ્ધરતાલ સકલ આ સાંજ-સવેરા
ચાલો ત્યારે અચરજના ઉત્તુંગ શિખરથી
અંદરખાને કરીએ નિજના ચોકી-પહેરા
– બાબુલાલ ચાવડા ‘આતુર’
ફોર અ ચેઇન્જ, આ વખતે ગઝલ સાથે મિલિન્દ ગઢવીની અર્થગહન ટિપ્પણી:
“કવિતાને positive કે negativeના ત્રાજવે ન તોલવાની હોય. કવિને romantic કે રાષ્ટ્રવાદીના ચોકઠાંમાં ન ગોઠવી દેવાનો હોય. કવિ તો ઝબકેલું ઝીલે અને ઝીલેલું કરી દે તમારે હવાલે. એમનું એમ. પછી તમે એમાં મ્હાલી શકો તો એ તમારી ભાવકતા. ચૂકી જાઓ તો એ તમારી અનુકૂળતા. જેમને ફકરાઓની ટેવ પડી હોય એ બેફિકરાઓ સાથે સમસંવેદન ન સાધી શકે એ પણ હકીકત. રેસિપીના આધારે તૈયાર થયેલી રચનાઓ બીજું જે હોય તે – કવિતા તો નથી જ હોતી.
“ગુજરાતી ભાવક માટે આ સમયમાં સૌથી મોટી કસોટી સાચી કવિતા શોધવાની અને તેને પામવાની છે. ફેક ન્યુઝની જેમ ફેક કવિતાઓની ભરમાર વચ્ચે ક્યાંક કોઈ કવિતા પોતાનું મૌન લઈને ખૂણે જઈ બેઠી હોય છે. એની પાસે જઈને જરાક બેસીએ. એની સાથે અચરજના ઉત્તુંગ શિખર સુધી જઈએ અને નિજના ચોકી પહેરા કરતાં કરતાં એને કહીએ કે – પ્રિય કવિતા, અમે હજી તને ભૂલી નથી ગયા!”
‘બરબાદ’ રાતો વીતે છે પડખાં ફરી ફરી,
પડતી નથી સવાર, તમારા ગયા પછી.
– બરબાદ જૂનાગઢી
સાંઠ-સિત્તેરના દાયકાઓમાં કાર્યરત્ રહેલ ઓસમાણભાઈ બલોચ ઉર્ફે બરબાદ જૂનાગઢીને ગુજરાતી ગઝલ બહુ જલ્દી વિસરી ગઈ. એમનો એકમાત્ર ગઝલસંગ્રહ ‘કણસ’ (૧૯૭૯) પણ અપ્રાપ્ય થઈ ગયો. પણ હાલમાં જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ આ સંગ્રહનું પુનર્મુદ્રણ કરી કવિને અને એમની કલમને પણ પુનર્જીવન બક્ષવાનું પુણ્યકાર્ય કર્યું છે.
જૂનાગઢના નવાબને ત્યાં નોકરી કરતા બરબાદ જૂનાગઢી તરન્નુમમાં ગઝલ રજૂ કરી મુશાયરા લૂંટી લેતા એવું શ્રી વીરુ પુરોહિતે નોંધ્યું છે. પરંપરાના આ શાયરની એક ગઝલ આપણે માણીએ. બધા જ શેર સ્વયંસ્પષ્ટ છે પણ મક્તા સવિશેષ ધ્યાન ખેંચે એવો બળકટ થયો છે. પ્રિયજનના ચાલ્યા ગયા પછી રાતો કેવળ પડખાં ઘસવામાં જ વીતે એ સાવ જ ચર્વિતચર્વણ કહી શકાય એવા કલ્પનને સવાર પડતી જ ન હોવાની કવિની કેફિયત શેરને અલગ જ ધાર કાઢી આપે છે. રાતના સ્થાને રાતો બહુવચન પ્રયોજીને ‘इस रात की सुबह नहीं’થી કવિ એક કદમ આગળ વધ્યા છે. સવાર પડતી નથી મતલબ જીવનમાં રાત પછી રાત જ આવે છે અને આ તમામ રાતો પ્રિયજનની યાદોમાં પડખાં ઘસીઘસીને, ઉજાગરા વેઠીવેઠીને જ પસાર કરવાની છે. ‘સવાર પડવી’ રુઢિપ્રયોગ ધ્યાનમાં લઈએ તો મજાનો શ્લેષ પણ ધ્યાનમાં આવે છે.
વાટ જેની હોય એ આવી ચડે,
તો કહો, ખોલી શકીશું બારણાં?
– હર્ષા દવે.
લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘હરિ! સાંજ ઢળશે’નું સહૃદય સ્વાગત…
ગઝલના મત્લાનો આસ્વાદ મૂર્ધન્ય કવિ શ્રી વિનોદ જોશીના શબ્દોમાં–
“અહીં લક્ષણાની ચડિયાતી ભાતો અનેક રચનાઓમાં મળશે. તેનો અર્થ એ થાય છે કે કવયિત્રી પરિચિત પદાવલિને સૂક્ષ્મ અર્થ કે ભાવસૌન્દર્યના પ્રદેશમાં લઈ જઈ નૂતન અનુભૂતિ જન્માવી શકે છે. અહીં (મત્લામાં) પ્રથમ પંક્તિના ત્રણે શબ્દ અનુક્રમે પ્રતીક્ષા, મિલન અને વિદાયની ઘટનાનો માત્ર અર્થસંકેત આપે છે. પછીની પંક્તિમાં તેની સાથે બારણાંનો સંદર્ભ જોડાય ત્યારે આ ઘટના જે સ્થળે બને છે તેનો અર્થ સાંપડે છે. પણ તેની સાથે જ્યારે ‘સાચવે’ જેવું પદ મુકાય છે ત્યારે વાત બારણાંની મટી જાય છે અને બારણાંની સાક્ષીએ કોઈનામાં સેવાયેલી ઘટનારૂપે મનુષ્યવાચી અર્થમાં ઊઘડે છે. લક્ષણાશક્તિનો આ વિસ્તાર આપણને કાવ્યાત્મક અનુભવ સુધી લઈ જાય છે.”
*
ગઝલમાં કાફિયા બાબતે કવયિત્રીએ કરેલ પ્રયોગ પણ નોંધવા જેવો છે. મત્લામાં કવયિત્રીએ ધારણા, ઓવારણાં, સંભારણાં, અને બારણાં –આ ચાર શબ્દ જે ક્રમમાં વાપર્યા છે, એ જ ક્રમમાં એ જ ચાર શબ્દોને પછીના ચાર શેરમાં કાફિયા તરીકે વાપરીને સફળ અને કાબિલે-તારીફ પ્રયોગ કર્યો છે.
પ્રેમથી જે માંગશો, મળશે જરૂર,
સાચી શ્રદ્ધા હોય તો ફળશે જરૂર.
જે ગયા છોડી નજીવી વાતમાં
જો હશે તારા જ તો વળશે જરૂર.
માર્ચના તડકાને વેઠી લ્યો જરા,
આ વસંતી વાયરા છળશે જરૂર.
જે વીતેલી વાત ના ભૂલી શકે,
તે વિરહની આગમાં બળશે જરૂર.
માવજત સંબંધની સાચી કરો,
પ્રેમની મીઠાશ ત્યાં ભળશે જરૂર.
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘યાદ કર’નું સહૃદય સ્વાગત…
આપણી ભાષા, વિચાર, સંવેદના તમામ ઉધારનાં છે. બધું જ આપણને સમાજ પાસેથી મળેલ છે. આપણી કોરી સ્લેટ ઉપર આપણી સમજણ વિકાસ પામે એ પહેલાં તો દુનિયાએ એટએટલું ચિતરી કાઢ્યું હોય છે કે પોતાનું કહી શકાય એવું આપણી પાસે કંઈ બચતું નથી. ‘व्यासोच्छिष्टं जगत्सर्वम् – ખરું ને? આવી ચર્વિતચર્વણ વાતોમાંથી પોતાનો અલગ અવાજ જન્માવવાનું ક્યારેક અઘરું બની જતું હોય છે, પણ પ્રસ્તુત રચનામાં કવયિત્રી આ કાર્ય સુપેરે પાર પાડી શકયા હોવાનું અનુભવી શકાય છે. આ પાંચ શેરોમાં ભાગ્યે જ કોઈ વાત એવી છે, જે આપણે જોઈ-સાંભળી-અનુભવી નહીં હોય, પણ વાતની રજૂઆત કંઈક એ રીતે થઈ છે કે ગઝલ તરત જ ગમી જાય છે. અભિવ્યક્તિની સરળતા સ્પર્શી ગયા વિના ન રહે એવી મજાની રચના.
મારાં બધાંય કામમાં બે જણને હું પૂછું –
એક તો હું પોતે ને બીજો અંદરનો રામ પણ.
તદ્દન સફેદ ક્યાં છે? એ કાળુંડિબાંગ ક્યાં?
જીવન જરાક શ્વેત છે, થોડુંક શ્યામ પણ.
દોડાય તેટલું હજી દોડી લે દિ’ છતાં,
સૂરજ ડૂબે પછી જરૂરી છે મુકામ પણ.
તારા વિચાર આવે તો એનાથી રૂડું શું?
મનમાં સતત વિચાર તો આવે છે આમ પણ.
આ શાયરો તો બાળકો જેવા જ છે બધા,
માંગે છે દાદ ખૂબ, ઉપરથી ઇનામ પણ.
– હરીશ ઠક્કર
કવિની ખુમારી, સ્વ-ભાવ મત્લામાં આબાદ છતા થાય છે. પૂર્વસૂરિઓની મહાનતાના સ્વીકાર સાથે કવિ પોતાની સર્ગશક્તિમાં આત્મવિશ્વાસ પણ જાહેર કરે છે. પ્રમાણમાં સહજ-સાધ્ય રચના. બધા શેર ગમી જાય એવા.
ત્રીજા શેરમાં ભાષાકર્મ થોડું કઠે છે. ઉલા મિસરામાં કવિ પોતે જે કરે છે એ બધાંય કામમાં બે જણને પોતે કામ કરતાં પહેલાં પૂછે છે એમ કહે છે. વ્યાકરણની રીતે સાની મિસરામાં એક તો મને પોતાને અને બીજા અંદરના રામને -આમ આવવું જોઈએ પણ છંદ અને કાફિયા સાચવવા માટે કવિએ આ જગ્યાએ અનિવાર્ય છઠ્ઠી વિભક્તિનો ભોગ લેવો પડ્યો છે એ ટાળવા જેવું.
July 28, 2022 at 10:50 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
બીજ ભીનું થાય ને ફણગો ફૂટે,
એમ મારી આંખને દૃશ્યો ફૂટે!
માના સપનાને મળે પાંખો નવી,
દીકરાને મૂછનો દોરો ફૂટે!
છોડ સાથે પીંછું મેં વાવી દીધું,
શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે!
એમ સપનું સ્હેજમાં તૂટી ગયું-
જેમ અડતાંવેંત પરપોટો ફૂટે.
એ પછી બહુ જોખમી થઈ જાય છે,
માનવી કે કાચ જો અડધો ફૂટે.
મારા લોહીનું એ ગુજરાતીપણું,
ટેરવાની ટોચ ૫૨ કક્કો ફૂટે!
– શબનમ ખોજા
આખી ગઝલ સંઘેડાઉતાર પણ આપણે કેવળ મત્લાની વાત કરીએ. મત્લા વાંચીએ અને જૉન કિટ્સ યાદ આવે: “If poetry comes not as naturally as leaves to a tree, it had better not come at all.” (જે સાહજિકતાથી ઝાડને પાંદડાં ફૂટે, એ જ રીતે કવિતા આવતી ન હોય તો બહેતર છે કે એ આવે જ નહીં.) અહીં જો કે વાત અલગ છે. અહીં બીજમાંથી ફણગો ફૂટે એ સાહજિકતાથી આંખોને દૃશ્યો ફૂટવાની વાત છે, જો કે ભીનું શબ્દ ચૂકી જવાય તો આખો શેર હાથમાંથી સરી જવાની ભીતિ પણ રહે છે. આખો શેર આ એક શબ્દના જોર પર ઊભો રહ્યો છે. બીજ ભીનું થાય અને ફણગાય એ રીતે આંખ ભીની થાય ત્યારે જાણે કે આંખ ફણગાય છે. આંખ ભીની થતાવેંત આંખ ભીની થવા પાછળનાં કારણો આંખ સમક્ષ આવી જાય છે…
July 15, 2022 at 11:41 AM by વિવેક · Filed under ગઝલ, દર્શક આચાર્ય
કમળને અમે કાગળે ચીતરેલાં,
પછીથી ભ્રમર જેમ એમાં ફસેલા.
બધી વાત પૂરી કરો એ પહેલાં,
પરત આપી દો પત્ર તમને લખેલા.
ચહેરા ઉપરથી જ સમજાઈ જાશું,
અમે એક બાળક સમા સાવ સહેલા.
હતાં વાદળાં ખૂબ સમજુ ને ડાહ્યાં,
થયાં છે પવનના પ્રભાવે જ ઘેલાં.
રહ્યા છે હવે માત્ર કંકુના થાપા,
કદી આપણે જેમાં ઘરઘર રમેલા.
– દર્શક આચાર્ય
પાંચ શેરની ગઝલ. બધા જ નખશિખ આસ્વાદ્ય, પણ હું તો મત્લાથી જ આગળ વધી શકતો નથી. સીદીભાઈને સીદકાં વહાલાં. માણસનો સ્વ-ભાવ છે કે પોતાનું બનાવેલું ગમે તેવું કેમ ન હોય, એને તો ગમે જ. કાગળ પર કમળ દોરીને પછી એ જ કમળમાં ભમરાની જેમ ફસાઈ જવાના પ્રતીક સાથે કવિએ આ વાત કેવી અદભુત રીતે રજૂ કરી છે! આખી જિંદગી આપણે રાત પડતાં બિડાઈ જતા કમળમાં ફસાઈ જતા ભ્રમરની પેઠે જાતના પ્રેમમાં જ ફસાયેલા રહીએ છીએ…
ગઝલની પૂર્વશરત છે કે રદીફ ગઝલમાં ઓગળી જવી જોઈએ. મોટાભાગની ગઝલોમાં રદીફ લટકણિયું બનીને અલગ પડી જતી હોય એવામાં ક્યારેક એવો સુખદ અપવાદ પણ જોવા મળે જ્યાં રદીફ ન માત્ર શેરમાં ઓગળી ગઈ હોય, શેરના અર્થમાં ઉમેરણ કરીને શેરને સવાશેર પણ બનાવતી હોય. પ્રસ્તુત ગઝલ આવો જ એક સુખદ અપવાદ છે. ધુમાડાવાળા એક શેરને બાદ કરતાં બાકીના છએ છ શેર મસ્ત મજાના થયા છે. એમાંય મત્લા, તરફેણનો વરસાદ અને આખરી શેર તો ભાઈ વાહ…! મજા આવી ગઈ કવિ…
June 24, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
સાચું કહું? સપનાં કદી સાચાં નથી પડતાં,
પણ, જાગતાં જોયાં હો તો ખોટાં નથી પડતાં.
પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં,
તેથી જ બીજાં પંખીઓ ભૂલાં નથી પડતાં.
જ્યારે પડે ત્યારે પડે, હમણા નથી પડતા;
કંઈ જિંદગીભર કોઈના સિક્કા નથી પડતા.
એ રાહના રાહી જ વિખૂટા નથી પડતા,
જે રાહના આગળ જતાં ફાંટા નથી પડતા.
‘તક’દીરમાં તક છે જ, તું ‘તક’લીફમાં તક શોધ,
તકલીફમાં તક શોધે એ પાછા નથી પડતા.
દિલ ‘ના’ કહે એ કામ હું કરતો નથી કયારેય,
તેથી મને તકદીરના ફટકા નથી પડતા.
આંબાને સહન કરવા પડે ઘાવ પરંતુ,
બાવળની ઉપર કોઈ દિ’ પથરા નથી પડતા.
આજેય મળે છે તો હસીને જ મળે છે,
કરવામાં પરેશાન એ પાછા નથી પડતા.
– હરીશ ઠક્કર
મુક્ત આકારાંત કાફિયા સાથેના ચાર મત્લા અને ચાર શેરની માતબર ગઝલ. જિંદગીભર કોઈના સિક્કા પડતા નહીં હોવાની વાત કરતા કવિની ગઝલના એક્કેએક શેર સિક્કાની જેમ રણકે એવા મજાના થયા છે. બીજાંઓના પગેરું દબાવવાની અથવા બીજાંઓએ કંડારેલી કેડી પર ચાલવાની ટેવ પડી ગઈ હોવાથી માણસજાત સાચી દિશા પામી શકતી ન હોવાની વાત કરતો બીજો શેર હાંસિલે-ગઝલ થયો છે. બીજાં પંખીઓને અનુસરતાં ન હોવાથી જ પંખીઓ કદી આકાશમાં ભૂલાં પડતાં નથી. કેવી સરસ વાત! વીસમી સદીના પ્રારંભકાળે અલ્પજ્ઞાત કવિ શ્રી રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’એ પણ આવો જ સવાલ પોતાના ગીતમાં કર્યો હતો: ‘સાંજ પડી ન પડી ત્યાં પંખી પળતાં નિજ નિજ માળે, ના કેડી કંડારી ગગને, કેમ કરીને ભાળે?’ તકદીર અને તકલીફમાંથી તક શોધી કાઢવાની શબ્દ રમત પણ કાબિલે-દાદ થઈ છે.
June 23, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શિલ્પીન થાનકી
એકલો ચાલું, સહારો ના ખપે;
માર્ગ છો ભૂલું, સિતારો ના ખપે.
પાનખરને આવકારું હર્ષથી,
કાયમી કેવળ બહારો ના ખપે.
વેગળી મંજિલ રહે મંજૂર છે,
રાહમાં એકે ઉતારો ના ખપે.
સાગરે ડૂબું ભલે મઝધારમાં-
સાવ પાસે હો કિનારો, ના ખપે.
– શિલ્પિન થાનકી
ચાર જ શેરની નાનકડી લાગતી મોટી ગઝલ. મત્લા વાંચતા જ રૉબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘રૉડ નોટ ટેકન’ યાદ આવે- ‘Two roads diverged in a wood, and I— I took the one less traveled by, And that has made all the difference.’ બીજાની સહાય લીધા વિના નિજની કેડી નિજ કંડારવાની વાત કવિએ બે પંક્તિમાં કેવી સ-રસ રીતે કહી છે!
June 9, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લવ સિંહા
હમણાં તો બહુ લગાવ છે, કાયમ નહીં રહે,
મારાપણાનો ભાવ છે, કાયમ નહીં રહે.
થોડા વખત પછી મને આદત પડી જશે,
હમણાં ભલે અભાવ છે, કાયમ નહીં રહે.
એ વાત છે જુદી કે અમે બોલતા નથી,
ઈશ્વરથી મનમુટાવ છે! કાયમ નહીં રહે.
અત્યારે તો મળ્યું એ બધું ભોગવું છું હું,
એનો જરા પ્રભાવ છે કાયમ નહીં રહે.
જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી,
વસ્તુનો જે ઉઠાવ છે કાયમ નહીં રહે.
જો હોય ઓળખાણ ભીતર તો લગાવજે,
તારો જે આ સ્વભાવ છે, કાયમ નહીં રહે.
– લવ સિંહા
તાજેતરમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ ખાતે યોજાયેલ નવોદિત કવિઓના સંમેલનમાં રજૂ થયેલ તમામ કવિઓએ મેદાન મારી લીધું હતું. એ સાંજે લવ સિંહાને પ્રથમવાર મળવા-સાંભળવાનું થયું. મુશાયરો બહુ આસાની અને આત્મવિશ્વાસથી જીતી લેવામાં બાહોશ આ કવિની એક ગઝલ આજે માણીએ. ‘કાયમ નહીં રહે’ જેવી સહજ રદીફને કવિએ કેવી સરસ રીતે મલાવી જાણી છે તે નોંધવા જેવું છે! સમય સાથે ભાષાની બારીકી અને બિનજરૂરી શેરો પર સ્વ-ગત નિયંત્રણ રાખવાની ચોકસાઈ કેળવાશે એટલે ગુજરાતી ગઝલના હારમાં વધુ એક નક્શીદાર મોતી ઉમેરાશે એ બાબતે કોઈ શંકા નથી.
હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.
સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ, મુજને એ નમન દેજે.
– નાઝિર દેખૈયા
ગયું વર્ષ કવિશ્રી નાઝિર દેખૈયાની જન્મશતાબ્દિનું વર્ષ હતું. કવિના પૌત્ર તબીબકવિ ડૉ. ફિરદોસ દેખૈયાએ કવિની તમામ ગ્રંથસ્થ-અગ્રંથસ્થ કૃતિઓનું સંકલન કરીને ભારે જહેમત લઈને ‘એ વાત મને મંજૂર નથી’ નામે કવિની સમગ્ર કવિતા (Oeuvre)નો સંગ્રહ પ્રગટ કર્યો છે. આ દળદાર ગ્રંથ સહુ કાવ્યપ્રેમીઓએ અચૂક વસાવવા જેવો છે. સંગ્રહમાંથી એક રચના આજે આપ સહુ માટે રજૂ કરીએ છીએ…
June 3, 2022 at 11:04 AM by વિવેક · Filed under ગઝલ, હનીફ સાહિલ
રોજ નિશ્ચય કરું ને તૂટે છે
આમ છૂટીને કોણ છૂટે છે
જે ક્ષણે હેાઉં છું હું નિદ્રામાં
તે ક્ષણે કોણ પીડ ઘૂંટે છે
આમ એકાંત ઉમટે ભરચક
આમ ખાલીપણુંય ખૂટે છે
એક પળનેા જ માણીએ મેળો
એક પળ હાથથી વછૂટે છે
કેમ કરતાં ગઝલ લખું છું હું
ઘેન જેવું આ કોણ ઘૂંટે છે
શી ખબર શ્વાસની સફર લાંબી
આજ ખૂટે કે કાલ ખૂટે છે
– હનીફ સાહિલ
ટૂંકી બહરમાં મોટું કામ. બધા શેર ઉમદા થયા છે, પણ આપણે પહેલા બે શેર પર નજર નાંખીએ.
નિશ્ચય કરવા એ તો આપણો સ્વભાવ છે જ, પણ લીધેલા નિશ્ચયનું પાલન ન કરવું એય આપણી પ્રકૃતિ છે. આ તો સર્વવિદિત વાત છે. આમાં કોઈ કવિતા નથી. ખરી કવિતા તો આ તથ્યની માંડણી કરી લીધા બાદ કવિએ કરેલા સવાલમાં છે. કવિનો સવાલ એ છે કે નિશ્ચયપાલનમાંથી આપણું રોજેરોજ છૂટી જવું એ ખરેખર છૂટી જવું ગણાય ખરું? ચક્ર નિશ્ચયનું હોય કે બીજી કોઈ પણ બાબતનું, જ્યાં સુધી ચક્રમાં ફેરા મારી રહ્યાં હોઈએ ત્યાં સુધી છુટ્ટા કઈ રીતે કહેવાઈએ? બે સાવ નાની અમસ્તી પંક્તિઓમાં કેવી મોટી વાત!
ઊંઘ અને મૃત્યુ બન્નેમાં એકમાત્ર તફાવત જાગી અને ન જાગી શકાવાનો છે, અન્યથા બંને એકસમાન છે. કવિને સવાલ એ થાય છે કે જે ક્ષણે હું નિદ્રાધીન હોઉં એ ક્ષણે હું સંસારની તમામ પળોજણોથી, પીડાઓથી મુક્ત હોવો જોઈએ, એના બદલે એવું કોણ છે જે મને સુખેથી સૂવા સુદ્ધાં નથી દેતું?
પૃથ્વીને મન રમત હશે, ફરતી રહે સતત;
અમથા દિવસ ને રાત રવાડે ચડી ગયા…
ક્યાંથી વિચાર આવે છે? ક્યાં જાય છે વિચાર?
એવું વિચારવામાં વિચારે ચડી ગયા!
– હરીશ ઠક્કર
લયસ્તરો પર આજે કવિના બીજા સંગ્રહ ‘અમથા અમે જરાક ઇશારે ચડી ગયા’નું સહૃદય સ્વાગત…
રમતિયાળ ગઝલમાં રદીફને પણ કવિએ બરાબર રમતે ચડાવી છે. ‘ચડી જવું’ ક્રિયાપદ સાથે સંકળાયેલ રુઢિપ્રયોગોને કવિએ બખૂબી ગઝલમાં વણી લીધા છે. કોઈના ઇશારે ચડવામાં બહુ માલ નહીં, સાહેબ… જરા અમથા કોઈના ઇશારે ચડી જવામાં સામા માણસના રંગમાં રંગાઈ જવાય તો કંઈ કહેવાય નહીં. સવારે મુલાયમ લાગતો સૂર્ય બપોરે માથે ચડે એ તથ્યને કવિએ દીકરા મોટા થઈને માથાભારે થઈ જાય કે માણસ પ્રગતિ- સફળતા મેળવીને તુંડમિજાજી થઈ જાય એ વાત સાથે અદભુત રીતે સાંકળી લીધું છે. પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણના કારણે પરિણમતા દિવસ-રાતવાળો શેર તો કેવો અદભુત થયો છે! અને એમાંય ‘રવાડે ચડી જવું’ રુઢિપ્રયોગનો વિનિયોગ કવિની ભાષાસજ્જતાનો દ્યોતક છે. અને ભાષાની જ વાત કરીએ તો છેલ્લો શેર જુઓ… વિચાર સાથે શબ્દરમત આદરીને કવિએ કેવો કમાલ કર્યો છે! આ પ્રકારની શબ્દરમતો કવિની એક આગવી ઓળખ પણ છે, જે એમની ગઝલોમાં વારંવાર જોવા મળે છે.
કોઈ આવી ખટખટાવે બારણે,
લાગતું કે ઝાડવાં આવ્યાં રણે.
કો’ક સાચી, કો’ક જાલી નોટ છે,
કો’ક દી’ તો એ ચળાશે ચારણે!
કાંઈ પણ વ્યાધિ કે ઝંઝાવાત નહિ,
બાળપણ કેવું સૂતું છે પારણે!
તુંય સારું જીવ ને હું પણ જીવું,
બેઉનું બગડે છે ખોટાં કારણે.
જિંદગી એવી નકામી તો નથી,
આખરે આવ્યો હું એવા તારણે.
– ડૉ. જિતુભાઈ વાઢેર
લયસ્તરોના આંગણે કવિ અને કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘એક સદીનો પોરો’ -ઉભયનું સહૃદય સ્વાગત…
સાદગીનું સૌંદર્ય ઊડીને આંખે વળગે છે. જીવન રણ જેવું ઉજ્જડ બની ગયું હોય ત્યારે બારણે દેવાયેલ ટકોરા જાણે ઝાડવાં સામાં ચાલીને રણે આવ્યાં હોવાની સુખદ અનુભૂતિ થાય છે. જિંદગીના ખાલીપાને આવી તીણી ધાર કાઢી આપે છતાં મખમલ સમા મુલાયમ આવા શેર ભાગ્યે જ જોવા મળે છે. વહેલું કે મોડું, પણ સમયના ચાળણો સાચા-ખોટાને અલગ તારવી જ દે છે. મોટાભાગે બન્ને પક્ષ ખોટાં કારણો પકડીને બેસી રહેતાં હોવાથી આપણા સંબંધોમાં જીવન બચતું નથી. સંબંધ ટકાવી રાખવાની ખરી કૂંચી તો ‘खुद जीओ, औरों को भी जीने दो’ની ફિલસૂફી અપનાવવી એ છે. બધું જ નકામું લાગતું હોવા છતાં જિંદગી કંઈને કંઈ તો આપતી જ હોય છે…
May 28, 2022 at 11:22 AM by વિવેક · Filed under ગઝલ, જય કાંટવાલા
છે નાજુક વિચારીને મૂકો ભરોસો,
પડી ભાંગશે કાચ જેવો ભરોસો.
ભલે હોય ભાંગ્યો કે તૂટ્યો ભરોસો,
હજી એમના પર છે થોડો ભરોસો.
બધા વાતે વાતે જ શંકા કરે છે,
કરે છે હવે કોણ પૂરો ભરોસો ?
કે વરસો પછી માંડ બેઠો હતો દોસ્ત,
જરા શંકા પડતા જ ઉઠ્યો ભરોસો.
બીજીવારથી આંખ ખુલી ગઈ છે,
પ્રથમ બંધ આંખે મુક્યો’તો ભરોસો.
વિહગ ડાળે ડાળે ફરે ઉડતું એમ,
બધાનો બધા પર છે ઉડતો ભરોસો.
– જય કાંટવાલા
નવી પેઢીના ઉભરતા ગઝલકારોમાં ભરોસો મૂકી શકાય એવું એક નામ તે જય. ભરોસો રદીફ રાખીને એણે કેવી મજાની સુવાંગ સુંદર ગઝલ આપી છે એ જુઓ… વિશ્વાસના નાનાવિધ પહલૂઓને છ શેરમાં કવિએ આબાદ ઝીલી બતાવ્યા છે. ભરોસો ઊઠવો, ભરોસો મૂકવો, ઉડતો ભરોસો –જેવા રુઢ પ્રયોગોને પણ કવિએ શેરના તાંતણામાં મોતીમાળ બનાવતા હોય એમ તંતોતંત પરોવી બતાવ્યા છે.
આખીય જિંદગી કર્યું ભેગું બે હાથથી,
ને અંતમાં રહ્યું બધું, એ હાથથી છૂટી.
– ડો. સુજ્ઞેષ પરમાર
પોઝિટિવિટીની વેક્સિન.. કળાને આમ તો દર્દ અને દુઃખના ભૂખરા રંગ સાથે જ વધારે નિસબત રહી છે, પણ ક્યારેક આવી ધનમૂલક રચના વાંચવા મળી જાય તો અલગ ચીલે ચાલવાનો આનંદ થઈ જાય… લગભગ બધા જ શેર સરસ થયા છે..
May 14, 2022 at 8:28 AM by વિવેક · Filed under ગઝલ, મયૂર કોલડિયા
મંજિલો નહીં પ્રવાસ જીવન છે,
માર્ગની આસપાસ જીવન છે.
તૃપ્ત થઇ જાવ તો મજા ન રહે,
જ્યાં સુધી છે આ પ્યાસ, જીવન છે.
અંતે જળ હાથ લાગવાનું નથી,
ઝાંઝવાની તપાસ જીવન છે.
મૃત્યુ નિશ્ચિત છે -જીવ જાણે છે
તોય જીવનની પ્યાસ! જીવન છે
સુખની જેમ જ જે દુઃખને ઉજવે છે,
એમને બારેમાસ જીવન છે.
આખરે એટલું સમજ આવ્યું,
ફળ નહીં પણ પ્રયાસ જીવન છે
શક્યતાના તું દ્વાર ખોલી દે
આવશે જે ઉજાસ, જીવન છે.
-મયૂર કોલડિયા
જીવન વિશે તો સંતો, મહાપુરુષો, વિચારકો ગ્રંથોના ગ્રંથ લખી ગયા છે, પણ તોય જીવન વિશે જાણવામાં કઈં ને કઈં બાકી જ રહી જતું હોવાનું અનુભવાતું રહે છે. પ્રત્યક્ષ પળેપળ અનુભવાતું હોવા છતાં જીવન કદીય પૂરેપૂરો ન ઉકેલાય એવો કોયડો જ છે. એટલે જ કવિઓ જીવન વિશે ગાતા અટકતા નથી…
મત્લા જ કેવો અદભુત! જીવનમાં સઘળા ઉધામા મંજિલ મેળવવા માટેના છે પણ મંજિલ મળતાવેંત થાકી જવાય છે. પ્રગતિની ઈચ્છા અવસાન પામે છે. વાત નવી નથી પણ કવિની માવજત કમાલ છે. ખરું જીવન મંજિલ માં નથી, પ્રવાસમાં – માર્ગમાં છે. બીજો શેર પણ આ જ વાતનું પુનર્કથન છે પણ ફરી એકવાર અભિવ્યક્તિની તરેહ કાબિલે દાદ થઈ છે. પ્યાસ હશે ત્યાં સુધી જ જળપ્રાપ્તિની કિંમત રહેવાની. પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે? કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે. લ્યો સાહેબ, જુઓ તો જરા ! ત્રીજો શેર પણ પહેલા બે શેરની જ પ્રતિકૃતિ નથી ? મંજિલ મળી જવાનો અહેસાસ કેવળ ભ્રમણા છે… જીવન આખું મૃગજળ ફંફોસવામાં જ વ્યય થઈ જાય છે. બધા જ શેર ઉત્તમ થયા છે પણ ક્યાંક તો અટકવું પડશે ને….!
ચોક–શેરીનું કુતૂહલ આવી ઊભું બારણા લગ
પ્લીઝ માની જા નહીં તો પ્હોંચી જાશે આપણાં લગ
કાલે અનરાધાર ત્રાટક્વાની છે સંભાવના
જાણતલનું કહેવું છે : આવી ગયો મે ઠામણાં લગ
તું કહે છે : ‘રામરટણા’નાં અનુષ્ઠાનોમાં રત છે
હું કહું છું : કસરતો સૌ પહોંચવા રળિયામણા લગ
હું તને સુંદર, અનુપમ લેખું એ જો ઓછું છે તો
તારી મેળે પહોંચી જા તું ‘કોડિલા– કોડામણા’ લગ
પહેલાં ફરકી આંખ, મલક્યા હોઠ, માન્યું મન, પછીથી
કોળી ઊઠી કામના ને વિસ્તરી ઓવારણાં લગ
આવતાં – જાતાં સ્મરણ પર જો તને શ્રદ્ધા નથી તો
હે હૃદય! તું વાટ જોજે કાયમી પધરામણાં લગ
– સંજુ વાળા
હળવે હાથે ઉકેલવાની રચના. મત્લામાં ‘લેટ-ગો’ નહીં કરી શકાયેલ ‘ઇગો’ કઈ રીતે સ્વથી સર્વ સુધીની બદનામી તરફ લઈ જાય છે એની વાત છે, તો એને જ અનુષંગિક બીજા શેરમાં સમય પર ‘ઇ’ ને ‘ગો’ નહીં કહી શકાય તો દુનિયા(સર્વ)ની આપણી(સ્વ) અંગત બાબતમાં ચંચુપાત કરવાની તત્પરતા સરસ રીતે રજૂ થઈ છે.
જેને નજર કિનારો ગણીને હસી રહી,
ડૂબી છે ત્યાં જ નાવ, મુકદ્દરની વાત છે!
મહેફિલમાં દિલની ધડકનોને ગણગણી તો જો,
પૂછે ન કોઈ ભાવ, મુકદ્દરની વાત છે!
આદમનું સ્થાન જેણે નકારી દીધુ હતુ,
એણે કહ્યું કે ‘આવ,’ મુકદ્દરની વાત છે!
ફરિયાદ ખાલી જામની પણ મેં કરી નથી,
આવો સરસ સ્વભાવ! મુકદ્દરની વાત છે.
‘મનહર’ હું સ્વપ્નમાંય નથી કેાઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
– મનહરલાલ ચોકસી
કેટલાક કવિઓને સમય અને સમાજે આપવું જોઈએ એટલું માન આપ્યું નથી. મનહરલાલ ચોકસીનું નામ એ યાદીમાં ઉમેરી શકાય. ઉસ્તાદ તરીકે જાણીતા શાયરની મરીઝ જેવી સરળ બાનીમાં એક ચોટદાર ગઝલ આજે માણીએ. જેને પ્રિય ગણતાં હોવ એના જ હાથે ઘાવ ખાવા મળે એ તો નસીબની જ વાત હોય ને! અને પ્રિયજનના હાથે ઘાવ ખાધા પછી પણ મૃત્યુ ન થઈ જાય અને બચી જવાય એ તો નસીબ ઓર જોર કરતું હોય તો જ બને ને! બધા જ શેર સંતર્પક થયા છે, પણ છેલ્લા બે શેર કવિના સાચા સ્વ-ભાવનું આબેહૂબ આલેખન છે. જેઓ ઉસ્તાદને ઓળખતા હશે એ બધા કહેશે કે હા, આ બે શેર શેર નથી, કવિની આત્મકથાના અવિભાજ્ય પૃષ્ઠ છે.
તું માર હથેાડા શબ્દો ને સંદર્ભોના,
ને દોસ્ત! ભીતરના દરવાજાને ખેાલ હવે
– રમેશ પટેલ ‘ક્ષ’
ચાર જ શેર, પણ કેવા મજાના!
દરવાજો! કેવી સરસ વિભાવના! જેમાંથી કશું આરપાર જઈ-થઈ જ ન શકે એવી ભીંતમાં શક્યતાઓનું મસમોટું બાકોરું એટલે દરવાજો… પણ આ વાત ઘરના દરવાજાની નહીં, જીવનના દરવાજાની છે… જીવનમાં કેટલી બધી જગ્યાઓએ આપણે કેવળ ભીંત જ બાંધી રાખીએ છીએ એ વિચારવા જેવું છે… આપણે સહુ દરવાજાઓ બંધ કરીને બેઠા છીએ. નવીનતાને કે સત્યને માટે પ્રવેશ જ નથી. નવાઈ વળી એ કે દરવાજાની આ ફ્રેમમાં દ્વાર પણ નથી કે ખોલવાની સંભાવના જન્મે. આપણે સહુ પોતપોતાની માન્યતાઓના બંધ ઘરમાં સદીઓથી કેદ છીએ. નજરની વ્યગ્રતા ઓછી કરી જે છે એનો આનંદ લેવાના બદલે આપણે દુનિયાને અટકાવવા જ મથ્યે રાખીએ છીએ. આ સિકાની બીજી બાજુ એ પણ છે કે બરાબર આ જ રીતે આપણા ભીતરી ભાવ પણ દુનિયા માટે બેઅસરદાર બની ગયા છે. શબ્દો અને સંદર્ભોનો હાથ ઝાલી આ ભીતરી દરવાજા ખોલવાના છે… ખોલીશું?
છાતીમાં અકબંધ રણ સારું નહીં,
હદ વગરનું કાંઈ પણ સારું નહીં.
દિલ સુધી પહોંચે નહીં દિલનો અવાજ,
આટલું પણ શાણપણ સારું નહીં.
જીતનો જુસ્સો ભલેને રાખ પણ,
જીતવાનું ગાંડપણ સારું નહીં.
સૂર્યનું કે ચન્દ્રનું સાંખી શકાય,
પણ સમજ પરનું ગ્રહણ સારું નહીં.
અણજાણ થઈ જવાનો કોઈ મંત્ર હોય તો,
આપીને ભૂલવાનો કોઈ મંત્ર હોય તો.
ઈશ્વર વિશે તો ગ્રંથોના ઢગલા છે ચારેકોર,
દ્યો, ખુદને જાણવાનો કોઈ મંત્ર હોય તો.
ફરીવાર સિક્કો ઊછાળી જુઓ તો,
પરિણામ ત્રીજું જ ધારી જુઓ તો.
કદાચિત મળી જાય દિલને દિલાસો,
ફરીવાર પત્રોને વાંચી જુઓ તો.
જો અજવાસ આવે નહીં તો કહેજો,
ફકત એક બારી ઉઘાડી જુઓ તો.
‘આપ-લે’ની વાત વચ્ચે ના લવાય,
મૈત્રીમાં સર્વસ્વ આપીને પમાય.
રાત-દી’-વરસોવરસ આઠે પ્રહર,
કરગરું છું, યાદ! તું આવ્યા ન કર.
દૂર લગ રણ, રણ અને રણ છે છતાં
આર્દ્ર આંખો, આર્દ્ર હૈયું, આર્દ્ર સ્વર!
– મેહુલ એ. ભટ્ટ
લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘કાન અવાજો ઝંખે છે’નું સહૃદય સ્વાગત.
સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેરોનો ગુલદસ્તો વાચકમિત્રો માટે રજૂ કરું છું…