જાગતી’તી એય મારી સાથમાં,
રાત કોની યાદમાં રાચી હતી?
– રાહુલ શ્રીમાળી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 21, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
તું જળ છે, તો તારી સપાટી જુએ છે,
અહીં તળ સુધી કોણ તાગી જુએ છે?
મૂલવવા સ્વયંને નથી ખુદને જોતાં
જુએ છે, તો બસ, ખુદની ખ્યાતિ જુએ છે
જુએ છે તરણ કે તરસની નજરથી,
નદીનેય કોણ આખેઆખી જુએ છે?
ફૂટેલા ઘડાને ન કુંભાર જોતો
તરત એ નવીનરવી માટી જુએ છે
મળે છે હીરા એને ક્યારેક ક્યારેક
જે પ્રત્યેક કંકર ઉઠાવી જુએ છે
– રઈશ મનીઆર
સમય સાથે માનવીય મૂલ્યોને સતત ઘસારો લાગતો આપણે સહુ જોઈ-અનુભવી રહ્યાં છીએ. માણસ મોટો થતો જાય છે એમ એમ મૂલ્યો છીછરાં થતાં જાય છે. પોતાની કાવ્યસફરના પ્રારંભે ‘કો’ ઉપરછલ્લી ગતિ ફાવી નહીં, જ્યાં ગયા ત્યાં સાવ સોંસરવા ગયા’ લખનાર કવિ આજે ‘તળ સુધી કોણ તાગી જુએ છે?’ લખવા મજબૂર થયા એ કેવી વિડંબના! સપાટીથી ઊંડે ઉતરવા ભાગ્યે જ કોઈ આજે તૈયાર છે. સ્વયંમાં કેટલું સત્ત્વ છે એની પ્રામાણિક ચકાસણી કરવાના બદલે વાડકીવ્યવહારી ફેસબુક કે ઇન્સ્ટાની પૉસ્ટને કેટલી લાઇક્સ, શેર અને કમેન્ટ્સ મળ્યાં છે એના પરથી જ આપણે આપણી જાતની સફળતાનો ક્યાસ કાઢવા માંડ્યા છીએ. જેમ સ્વયંનું એમ માણસ સામાનું આકલન પણ સમૂચુ કરવાના બદલે જરૂર મુજબનું જ કરે છે. નદી સમગ્રને નાણવાના બદલે હેતુસરનો જ સંબંધ આપણે રાખીએ છીએ. જો કે પહેલા ત્રણ શેરમાં કવિહૃદયની વ્યથા રજૂ કર્યા બાદ અંતિમ બે શેરમાં કવિઓ કરવટ બદલે છે. કુંભાર અને કંકરે-કંકરની ઉલટતપાસ કરનાર આશાવાદી અને ખંતીલા મનુષ્યોના પ્રતીકથી કવિ આપણને અમૂલ્ય જીવનપાથેય આપે છે…
Permalink
September 20, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શૈલેશ ગઢવી
રાજદ્વારી વિચાર અજમાવું,
ખુશખબર વારતામાં લઈ આવું.
જાઉં છું કંઈક બોલવા પાસે,
એ કહે છે, પછીથી બોલાવું!
શૂળીનો ઘા સરી ગયો સોયે,
મારા મનને હું રોજ સમજાવું.
પૂરી દુનિયા છે દિલરૂબા મારી,
ક્યાં સુધી મારી બાંહ ફેલાવું?
સૌના જુદા અવાજ ને ચહેરા,
તો પછી અન્ય જેમ શું થાવું!
– શૈલેશ ગઢવી
કવિતા એટલે આઉટ ઑફ ધ બોક્સ વિચારવાની કળા. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. ગઝલમાં રાજદ્વારી વિચાર અજમાવવાની વાત આપણને બે ઘડી વિચારતાં કરી મૂકે એવી અજુગતી છે. કવિ એક તરફ રાજદ્વારી વિચારની વાત કરે છે તો બીજી તરફ વારતામાં ખુશખબર લઈ આવવાની વાત કરે છે. બે સાવ અસંબદ્ધ લાગતા મિસરા સાંધીને કવિએ કેવો મજાનો મત્લા જન્માવ્યો છે એ જોવા જેવું છે. સામાન્યરીતે કળાને ઘેરો રંગ, વિષાદનો રંગ વધુ માફક આવે છે. મિલન કરતાં વિરહની કવિતાઓ જ વધુ લોકભોગ્ય બને છે. એટલે વારતામાં ખુશખબર લઈ આવવી હોય તો રાજદ્વારી અમલ કરવો અનિવાર્ય થઈ પડે. ખાધું, પીધું ને મોજા કરીની વારતાઓ તો પરીકથામાં જ જોવા મળે, જીવનમાં તો કરુણતા જ સવિશેષ જોવા મળે. (સ્મરણ: ‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે…’ નરસિંહરાવ દિવેટિયા)
સરવાળે આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે…
Permalink
September 13, 2024 at 10:54 AM by વિવેક · Filed under અરવિંદ ભટ્ટ, ગઝલ
તણખલે બાંધેલ સગપણ છોડીને ભાગી છૂટો,
પાંખથી આકાશને પરખોડીને ભાગી છૂટો.
કૈંક એવું પણ મળે ખંડેરને ફંફોસતાં
કે તમારું ઘર તમે તરછોડીને ભાગી છૂટો.
તે પછી પંપાળજો જીભથી પરિચયનો ખીલો,
ડોકમાં બાંધેલ સાંકળ તોડીને ભાગી છૂટો.
શક્ય છે કે બ્હાર નીકળવાથી દરિયો પણ મળે,
માછલીઓ, કાચને જો ફોડીને ભાગી છૂટો.
– એક ટોળું સ્તબ્ધતામાં ગુમ થઈ જાશે પછી,
ઊતરો ચિતા ઉપરથી, દેોડીને ભાગી છૂટો
– અરવિંદ ભટ્ટ
જે સગપણોને જીવસોતાં રાખીને આપણે આજીવન બંધાઈ રહીએ છીએ, એ તણખલાં જેવાં ક્ષણભંગુર છે. એને છોડીને ભાગી શકે એ સિદ્ધાર્થ જ બુદ્ધ બની શકે. પાંખથી આકાશને સાફ કરીને ભાગી છૂટવાના પ્રતીક વડે કવિ એ પણ કહે છે કે ભાગવું તો એ રીતે કે પાછળ કોઈ નક્શે-કદમ ન રહી જાય… બીજા શેરને ઘર-ખંડેરના સ્થૂળ અર્થમાં પણ લઈ શકાય અને ભીતરના ખંડેરને ફફોસતા થતી આધ્યાત્મિક અનુભૂતિને પામવા કાયાનું ઘર છોડી શિવ તરફ જવા મથતા જીવના સંદર્ભમાં પણ સમજી શકાય. ત્રીજો શેર પણ સંબંધ વિશે જ છે. પરિચયના ખીલાને જીભથી પંપાળતા પહેલાં ડોકમાં બાંધેલ સંબંધની સાંકળ તોડીને આઝાદ થઈ જવું જોઈએ, કારણ કે સાચો પ્રેમ સ્વતંત્રતા વિના સંભવ જ નથી. ચોથા શેરમાં પણ બંધન અને મુક્તિની જ વાત છે. આખરી શેરમાં પણ સંબંધની કેદમાંથી મુક્ત થવાની વાત સતી અને ચિતાના પ્રતીક વડે સુપેરે કહેવાઈ છે. ટોળાંએ સ્વીકારી લીધેલ નિર્ણયને અવગણીને કોઈ ચાલી નીકળે ત્યારે ટોળાંની પ્રથમ પ્રતિક્રિયા સ્તબ્ધ થઈ જવાની જ હશે. સતીના ચિતા પરથી ઉતરીને ભાગી જવાની વાત હોય કે દુનિયાએ આપણી ઉપર લાદી દીધેલ બંધનો ફગાવીને આઝાદીનો આહલેક લગાવવાની વાત હોય, સરવાળે તો સ્વ-ઇચ્છા અને સ્વ-તંત્રતા મુજબ જીવવાની જ વાત આ મુસલસલ કહી શકાય એવી ગઝલમાં વેધક રીતે કરાઈ છે.
પરખોડી શબ્દએ મને મૂંઝવ્યો. કોઈ શબ્દકોશમાં એનો અર્થ મળ્યો નહીં, પણ દુલા ભાયા કાગના એક ભજનમાં એ જડી આવ્યો:
સમતાની સાવરણીથી પરખોડી વાળ્યાં
જામ્યાં ત્યાં કંઈક જનમોનાં જાળાં રે
આ બે ઉદાહરણા પરથી ‘પરખોડવું’ એટલે સાફ કરવું એમ મને સમજાયું. કવિનો ખુલાસો પણ જોઈએ: ‘અમારા નાઘેર પંથકમાં ( વેરાવળ, પાટણ,માંગરોળ, કોડીનાર વગેરે) આ શબ્દનો વપરાશ બહુ સામાન્ય છે. મેં પણ લોકસાહિત્ય શબ્દકોશ સુધી પ્રાપ્ત બધું ફંફોસી નાખેલું. કશે આ શબ્દ ન મળલો. પરખોડવુંનો અર્થ તમે બરાબર પકડ્યો છે. માત્ર ઝાપટિયું કે કપડાંનાં નેપકિન જેવા કટકાઓથી સાફ કરવું એટલે પરખોડવું. ખાસ કરીને ઝાપટી અને વાળવું, કોશમાં ઝાપટિયું શબ્દ છે. સાવરણીથી પણ ઝાપટી તો શકાય, પણ એમાં પિચ્છાં ખરી જાય તો? કાગબાપુ વખતે ખજૂરીની સાવરણી આવતી તેમાંથી પિચ્છા ન ખરતાં. પાંખનો સંદર્ભ ઇંગિત કરવાની કોશિશ.’
Permalink
September 7, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શૈલેશ ગઢવી

તપાસ થાય પછી સત્ય બ્હાર આવે છે,
પ્રયાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.
ભર્યું છે તેજ-તમસ કેટલું આ સૃષ્ટિમાં?
અમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!
પ્રયાણ સ્વપ્ન સમી જાતરાનું થાય અને
પ્રવાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.
નિહાળી બીજ અભિપ્રાય કેમ આપો છો?
વિકાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!
પ્રથમ નજરથી તમે જેને ખાસ માનો છો,
એ ખાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!
પહેલાં વાત કરે છે એ સાત જન્મોની,
સમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!
– શૈલેશ ગઢવી
મારી પાસે કોઈ પણ સંગ્રહ આવે એટલે સૌપ્રથમ હું પ્રસ્તાવના કોણે કોણે લખી છે એ જોઈ લઉં અને કવિની કેફિયત વાંચી લઉં. કવિની કેફિયત પરથી કવિનો વ્યાપ કેટલોક હશે એનો અંદાજ આવી જાય. પછી પ્રસ્તાવનાઓ ઉપર ઉપરથી વાંચી જાઉં. અને પછી સંગ્રહ વાંચવો શરૂ કરું… મોટાભાગનાં ગીત-ગઝલોમાં પહેલી બે પંક્તિ નક્કી કરી દે કે આખી રચના વાંચવી કે આગળ વધવું.
જેમની સાથે અગાઉ ભાગ્યે જ કોઈ સંપર્ક થયો હતો એવા એક કવિમિત્રએ એમનો પ્રથમ ગઝલસંગ્રહ મોકલાવ્યો. પાછળના કવરપેજ પર ભરત વિંઝુડાની પ્રસ્તાવનાના અંશનું પ્રથમ વાક્ય હતું: ‘ગઝલમાં પોતીકો અવાજ લઈને આ કવિ આવે છે.’ ભરતભાઈ પ્રિય કવિ છે, પણ આજકાલ દરેક પ્રસ્તાવનાકારને દરેક સર્જનમાં સર્જકનો ‘પોતીકો અવાજ’ જ સંભળાય છે. હૈયે હામ રાખીને સંગ્રહની પહેલી ગઝલ વાંચી અને પછી તો બસ… ઘણા લાંબા સમય પછી એવો સંગ્રહ હાથ લાગ્યો, જેણે મને એકી બેઠકે આખો સંગ્રહ વાંચવાની ફરજ પાડી અને પહેલો શેર વાંચીને આગળ વધી જવાના બદલે દરેકે દરેક ગઝલ અને દરેકે દરેક શેર ધ્યાન દઈ વાંચવા માટે મજબૂર કર્યો…
પ્રસ્તાવનામાંથી મળતી માહિતી મુજબ ૯૬ ગઝલોમાં કવિએ ૨૬ છંદ વાપર્યા છે, જે સાચે જ સરાહનીય કહેવાય. પ્રથમ સંગ્રહ છે એટલે ક્યાંક ક્યાંક છંદદોષ અને ભાષાની શિથિલતા તથા શેર પૂરો કરવાની ઉતાવળ નજરે પડે છે. તદોપરાંત છંદવૈવિધ્ય માટેનો વ્યાયામ કેટલીક જગ્યાએ વ્યાયામ જ બનીને રહી જતો પણ દેખાય છે, પણ સરવાળે આખો સંગ્રહ સંતર્પક થયો છે અને આગામી ગઝલો વધુ બુલંદ થવાની પૂરેપૂરી સંભાવનાઓ દૃષ્ટિગોચર થાય છે…
સાચા અર્થમાં આ સંગ્રહમાં એક નવ્ય સર્જકનો ‘પોતીકો અવાજ’ સંભળાયો…
કવિશ્રી શૈલેશ ગઢવીને પ્રથમ ગઝલસંગ્રહ ‘થોડાંઘણાં કબૂતર’ માટે ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…
Permalink
August 24, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
હાર છે, હા, બેઉ પક્ષે હાર છે.
કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર,
આપણે તો આપણો આધાર છે.
આંખ અંજાઈ ગઈ અજવાસથી,
આંખ સામે એટલે અંધાર છે.
આ સકલ સંસાર કંઈ મોટો નથી,
આપણાં મનનો ફકત વિસ્તાર છે.
શબ્દને નાનો-સૂનો સમજો નહીં,
શબ્દ ઈશ્વરનો જ તો અવતાર છે.
– જાતુષ જોશી
સરળ-સહજ-સાધ્ય અને સંતર્પક.
Permalink
August 16, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રકાન્ત શેઠ, શબ્દસુમન

તું ચલવે ને હું અહીં ચાલું, દાવ અજબ એ ખેલી જા;
જે કંઈ તારે પાલવ ગાંઠ્યું, બધું દાવમાં મેલી જા.
હાર-જીતના હિસાબ તે શા? રમાય એની રહે મજા;
રમતાં રમતાં ગૂંચ પડે તો, તક છે, તુરત ઉકેલી જા.
કેટકેટલા ચાંદ-સિતારા એક જ તારા ચ્હેરામાં!
એ સૌ આડે પડદા શેના? સત્વર સૌ સંકેલી જા.
સોનેરી સપનાંને ઝુમ્મર નીંદર મારી ઝળાંઝળાં;
રાતરાણીની સરહદ પરથી સુગંધ અહીંયાં રેલી જા.
જ્યારે તારો ઉઘાડ નીકળે, તારો પાયલ-પંથ ખૂલે;
બંધ બારણું મારી અંદર, તે હળવેથી ઠેલી જા.
– ચંદ્રકાન્ત શેઠ
સામાન્યરીતે છંદોબદ્ધ કવિતા, અછાંદસ અને ગીતોથી જાણીતા કવિ ગઝલોના ચલણથી પરે રહી શક્યા નથી. ગઝલ જેમના રક્તસંસ્કાર ન હોય એવા કવિ જ્યારે ગઝલમાં ખેડાણ કરે ત્યારે ગીત-સૉનેટની બાની ગઝલમાં આવી જવાની વકી પૂરેપૂરી, પણ સદનસીબે ચંદ્રકાન્ત શેઠની મોટાભાગની ગઝલો આમ થવાથી બચી ગઈ છે. ઊલટું, એમનું કવનસામર્થ્ય ગઝલને ઉપકારક નીવડતું જણાય છે. પ્રસ્તુત રચનાને આ દાવા માટેની દલીલ ગણી શકાય. ખરું ને?

Permalink
August 3, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરજીવન દાફડા

એનોય રંગ હોય છે મારા આ રંગમાં,
નહિ તો જીવાય કેમ અહીંયા ઉમંગમાં!
કાંઠો મળ્યા પછીય કાં તૂટી જવાય છે?
એની સમજ ક્યાં હોય છે જળના તરંગમાં!
માથે નિરાંત માણતા માણસને શું ખબર,
પોઢી ગયા છે કેટલા ટહુકા પલંગમાં!
ઊંચી ઉડાનમાં હતો સંચાર દોરનો,
પોતીકી પાંખ ક્યાં હતી નહિ તો પતંગમાં!
ભીતર ભર્યા પોલાણનો પરિચય થયો નહીં,
માહેર હતો હું કેટલો નહિતર મૃદંગમાં!
– હરજીવન દાફડા
લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘સહેજ પોતાની તરફ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક નખશિખ સંતર્પક રચના આપ સહુ માટે…
Permalink
August 2, 2024 at 10:43 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
એક થીજેલા સરોવરની કથા સાંભળ,
એ પછી મન ‘હા’ કહે તો તુંય બનજે જળ.
આ બધું અંધારનું ષડ્યંત્ર લાગે છે,
એ વિના હોતી હશે કૈં આટલી ઝળહળ?
સૂર્યનું છેલ્લું કિરણ ત્યાં ઘાસમાં પેઠું,
ને સવારે ઘાસ પર સૂતું હતું ઝાકળ!
કોઈ બારી બ્હારનાં દૃશ્યો નિહાળે છે,
કોઈ એ દૃશ્યો વિષે કરતું રહે અટકળ.
મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
એ કશું બોલી નહીં, વ્હેતી રહી ખળખળ.
– જાતુષ જોશી
થીજી જવું એટલે અટકી જવું, નિષ્પ્રાણ થઈ જવું. આપણે ત્યાં તો એટલી ઠંડી પડતી નથી, પણ દુનિયામાં ઘણા દેશો એવા છે, જ્યાં સરોવર અને ધોધ થીજી જતાં હોય છે. સરોવર જ્યારે થીજી જાય છે ત્યારે જળનો અર્થ જ બદલાઈ જાય છે. નથી એનું પાણી પી શકાતું કે નથી એ કાંઠાની વનસ્પતિઓને જીવન દેવામાં ખપ લાગતું. થીજી જવાની નિયતિનો સ્વીકાર કરવાની તૈયારી હોય તો જ જળ બનવાની ઇચ્છા કરવી જોઈએ એ વાત સાથે ગઝલનો આરંભ થાય છે. પ્રકાશની મહત્તા અંધકારના અસ્તિત્વ વિના સંભવ જ નથી. સાંજે સૂર્યનું છેલ્લું કિરણ ઘાસમાં પેસે અને સવારે એ ઝાકળમાં પરિવર્તિત થઈ જાય એ કલ્પનચિત્ર પણ કેવું મજાનું થયું છે! દૃશ્યવાળા શેરમાં પણ બે અંતિમોએ જીવતા માનવીને કવિએ ઓછામાં ઓછા શબ્દોની મદદથી તાદૃશ કરી બતાવ્યો છે. છેલ્લો શેર તો ખૂબ જાણીતો છે. આવી જ વાત કરતી કોઈક કવિતા વાંચ્યાનું સ્મરણ થાય છે, પણ યાદદાસ્ત પૂરો સાથ નથી આપી રહી. કોઈ વાચકમિત્ર શોધી આપે તો આનંદ.
Permalink
August 1, 2024 at 10:45 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા
સાંજને રંગીન કરતો જાય છે,
સૂર્ય અમને એટલો સમજાય છે.
ના દિશા, મંઝિલ, ન રસ્તાની ખબર,
જાઉં છું જ્યાં મન મને લઈ જાય છે.
સ્વપ્નમાં પંખીને આવ્યું પિંજરું,
ત્યારનું આખું ગગન મૂંઝાય છે.
એટલે ઝરણાં વહાવે પર્વતો,
ઊભવાનો થાક ઓછો થાય છે.
આંખ સામે સાવ કોરી છે નદી,
બેય કાંઠે તોય શું છલકાય છે?
– મયંક ઓઝા
માણસને પૂરેપૂરો સમજવું આસાન નથી. પણ જરાય ન સમજવા કરતાં સમજવાનો પ્રયત્ન કરવો એ વધારે બહેતર છે. સૂર્યએ દિવસભર શું કર્યું એ ન સમજાય તો વાંધો નહીં, પણ ખતમ થતાં થતાં પણ એ સાંજને રંગીન કરતો જાય છે એટલું સમજી શકાય તોય ઘણું! માણસ જતાં જતાં આસપાસની દુનિયાને વધારે રંગભર, વધારે રસભર અને વધારે જીવવાલાયક બનાવતો જાય એનાથી વિશેષ બીજી શી સાર્થકતા હોઈ શકે જીવનની? મયંક ઓઝાની સરળ અને સહજ બાનીમાં લખાયેલી આ ગઝલ આખેઆખી આસ્વાદ્ય છે. છેલ્લા બે શેર પણ સવિશેષ ગમી ગયા.
Permalink
July 26, 2024 at 12:30 AM by વિવેક · Filed under કિરણ જોગીદાસ 'રોશન', ગઝલ
પામી ગયાં બધું, પછી શું? એ જ પ્રશ્ન છે,
પામ્યા વિના કશું નથી શું? એ જ પ્રશ્ન છે!
મળવું હતું મળ્યાં, ને વિખૂટાં પડી ગયાં,
ચાહત મિલન પછી શમી શું? એ જ પ્રશ્ન છે.
એ અલવિદા કહી જુએ અવળું ફરી મને,
બાકી હશે પ્રણય હજી શું? એ જ પ્રશ્ન છે.
એક પળ દુઃખી રહ્યાં ને બીજી પળ હસી પડ્યાં,
દુ:ખની ઘડી ખરી હતી શું? એ જ પ્રશ્ન છે.
તારાપણાની ચાહમાં મારાપણું ભૂલી,
એ બાદ હું મને મળી શું? એ જ પ્રશ્ન છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’
ગઝલને લોકપ્રિય બનાવવામાં ગઝલની સંરચનાનો બહુ મોટો ફાળો છે. છંદના કારણે જન્મતી રવાની સિવાય યુગ્મક પ્રકારનું બંધારણ અને રદીફ-કાફિયાની મદદથી સધાતું સાંગીતિક અને તાત્ક્ષણિક પ્રત્યાયન આમાં પ્રમુખ ભાગ ભજવે છે. ઉદાહરણરૂપે આજની આ રચના જોઈએ. ગઝલની રદીફ અહીં બે ભાગમાં વહેંચાયેલ છે. પહેલો એકાક્ષરી ભાગ ‘શું?’ પ્રશ્નરૂપે છે અને એ પછી ‘એ જ પ્રશ્ન છે’ કહીને સવાલનું સમાધાન આપતી સાંત્વના –આ પ્રકારની પ્રશ્નોત્તરીના કારણે ગઝલમાં સંવાદાત્મકતા ઉમેરાય છે, જે ગઝલને વધુ હૃદ્ય બનાવે છે. આ પ્રકારની ઉફરી પડતી રદીફ સાથે સૌથી મોટી સમસ્યા એના અવશિષ્ટ અંગ બનીને રહી જવાની છે. સદનસીબે અહીં પાંચેપાંચ શેરમાં શુંનો સવાલ અને એનું સમાધાન બંને તંતોતંત સચવાયા છે અને શેરને યથોચિત ઉંચાઈ આપવામાં સહાયક બન્યા છે.
અધૂરપ જીવનનું ખરું ચાલકબળ છે. બધું જ પામી જાવ તો આગળ શું કરવું એ પ્રાણપ્રશ્ન બની જાય. અને એથી વિપરીત પામવાનું બાકી હોય તો શું એય એવો જ પ્રાણપ્રશ્ન છે. જીવનના આ વૈષમ્યને કવયિત્રીએ કેવી સહજતાથી મત્લામાં રજૂ કર્યું છે! આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે.
Permalink
July 13, 2024 at 4:02 PM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
ફરી આવી ચડે છે કોઈ પગપાળું નદી-કાંઠે
અને ચારે તરફ અજવાળું – અજવાળું નદી–કાંઠે
અને એવું બને કે હોય જળ ત્યાં શિલ્પના રૂપે
અહીં છે પથ્થરોનું રૂપ પાંખાળું નદી-કાંઠે
દિવસભરની મહેનતની તરસનું આ બળદગાડું
હવે આવી રહ્યું છે આમ જળ-ઢાળું નદી-કાંઠે
ઘૂનામાં ધૂબકો મારી દીધો તેં જળ-પરી પાછળ?
કે જોતું સ્તબ્ધ થઈ ઊભું છે આ નાળું નદી-કાંઠે?
છે દરિયો છોકરા જેવો જ નખરાળો નદી-કાંઠે
નદી પણ છોકરી જેવી જ લજજાળુ નદી-કાંઠે
– હર્ષદ ચંદારાણા
કેવી મજાની રચના! ગઝલની ખરી મજા મોટી મોટી વાતો કરવામાં નહીં, પણ કલ્પનોની નાજુક પીંછીથી નમણાં દૃશ્યચિત્રો ખડાં કરવામાં છે. કવિએ જે રીતે કાફિયા પાસેથી કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. જળ-ઢાળું કાફિયા તો કાઠિયાવાડ સિવાય સૂઝવો જ સંભવ નથી. મત્લાના શેરમાં કોઈકના આગમનથી નદીકાંઠે જે અજવાળું અજવાળું થઈ જાય છે એ વાંચતા જ આ બે અમર ચિત્રો તરત જ નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠ્યાં:
આવું અજવાળું ના ઊગે ધણમાં,
કૈંક જાદુ હશે રબારણમાં! (શોભિત દેસાઈ)
लड़कियाँ बैठी थीं पाँव डालकर
रौशनी सी हो गई तालाब में। (પરવીન શાકિર)
Permalink
July 12, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુરેન્દ્ર કડિયા
થતી ભાગ્યે જ હો એવી ખુદાની મહેર, માશાલ્લા
તમારા હોઠ પર મારી ગઝલનો શેર, માશાલ્લા
બને છે એક બીના રોજ, ઘરની બારી ખૂલવાની
પછી સિમસિમ ખૂલી જાતું આ આખું શહેર, માશાલ્લા
તમારી ઉમ્ર સત્તાવીસ કરું છું બાદ સોમાંથી
અહાહા! તોય ઝળહળ બાકીનાં તોંતેર, માશાલ્લા
તમે મીરાં કહ્યું તો ગટગટાવી ગ્યા અમે મીરાં
પચાવ્યાં ઝેર તેમ જ ઝેરનાં ખંડેર માશાલ્લા
મળે લાખો નવાં પગલાં, નથી ભૂંસી શકાતું એ
તમારું સાચવ્યું છે એક પગલું, ખેર! માશાલ્લા
– સુરેન્દ્ર કડિયા
માશાલ્લા એટલે ઈશ્વરે ચાહ્યું એ થયું. આભાર માનવા માટે કે ધન્યતા વ્યક્ત કરવા માટે પણ એ પ્રયોજાય છે. કવિએ આવી અનૂઠી રદીફ સાથે કામ પાર પાડીને મજાની ગઝલ આપી છે. ઝેરનાં ખંડેર સમજાયાં નહીં, એ સિવાય આખીય ગઝલ ઉમદા થઈ છે.
Permalink
June 28, 2024 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
અંદરનો રસ ઘૂંટાઈને ઘેરું દરદ બને,
એવું બને તો શબ્દ ‘કવિની સનદ’ બને.
તારાં તમામ રૂપ મને તો પસંદ છે,
વર્ષા બને, વસંત બને કે શરદ બને.
આ મારા લોહીમાં જો ભળે લાલી સ્પર્શની,
તો શક્ય છે જીવનની પળેપળ સુખદ બને.
હૈયામાં રાખ સંઘરી હૈયાવરાળને,
સંભવ છે એ વરાળ ‘અકાલે જલદ’ બને.
અહીંયાની જિંદગીમાં છે તાસીર મોતની,
અહીંયા તો વાતવાતમાં ઘટના દુઃખદ બને.
સુદ જેવી આમ તો છે ચમક આંખની છતાં,
કહેવાય ના કે ક્યારે એ કજળાઈ વદ બને!
‘ઘાયલ’નો બોલ ઊપડ્યો એનો ન ઉપડે,
અંદરથી માનવી જો ખરેખર નગદ બને.
– અમૃત ઘાયલ
વિન્ટેજ વાઇન.
Permalink
June 27, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

જે પણ સ્વરૂપે આવી, મેં જિંદગીને માણી,
સૂરજ ડૂબી ગયો, તો મેં સાંજને વખાણી.
વળગી શકે નહીં પણ કાયમ ખભો એ આપે,
ઘરની દીવાલો પી લે આંખોનું ખારું પાણી.
વર્ષોથી એ રહે છે, જાકારો ક્યાંથી આપું?
દુઃખ-દર્દ સાથે મારી યારી છે બહુ પુરાણી.
પ્રેમાળ સ્મિત પહેરી બેઠા છે હાથ પકડી,
ચહેરો અસલ બતાવે જો દુઃખતી રગ લે જાણી.
મિસરારૂપે કલમથી રેલાઈ મૂંગી ચીસો,
સમજ્યું ના કોઈ પીડા, સૌએ ગઝલ વખાણી.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
લયસ્તરો પર સર્જકના પ્રથમ ગઝલસંગ્રહ ‘પહેલી સવાર છે’ નું સહૃદય સ્વાગત…
મત્લાની હકારાત્મકતા સ્પર્શી જાય એવી છે. જિંદગીનું તો હરહંમેશ હરએક સ્વરૂપે સ્વાગત જ કરવાનું હોય. માણસને પોતાના આંસુ લૂંછવા માટે વર્ષોની સાથી દીવાલોનો ટેકો લેવો પડે એ વાત એકલતાની પીડાને કેવી ધાર કઢી આપે છે! બાકીના ત્રણેય શેર પણ આસ્વાદ્ય થયા છે.
Permalink
June 20, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા

*
પ્રતીક્ષાની કેવી ફસલ નીપજે છે?
અનાયાસ આખી ગઝલ નીપજે છે.
પ્રતીક્ષા કરી જોઈ હોડી બનીને
પરંતુ ન કાંઠો, ન જલ નીપજે છે.
પ્રતીક્ષાનું છે વૃક્ષ એવું કે જેમાં
ન ડાળી, ન પર્ણો, ન ફલ નીપજે છે.
પ્રતીક્ષા કરું છું વસંતોની જ્યારે
પ્રથમ પાનખર પણ અસલ નીપજે છે
હતી આ સરોવરને કોની પ્રતીક્ષા?
ફરી ને ફરીથી કમલ નીપજે છે.
– હર્ષદ ચંદારાણા
હર્ષદ ચંદારાણા એટલે રમેશ પારેખના શબ્દોમાં કહીએ તો ‘પોતાની પ્રતિભાના વેગથી, આંતરિક સામર્થ્યથી પોતાના બાયોડેટાની બહાર સતત વિસ્તરતી રહેતી’ વ્યક્તિ. થોડા દિવસ પહેલાં ૧૬ જુન, ૨૦૨૪ના રોજ કવિશ્રી હર્ષદ ચંદારાણા એમનો અ-ક્ષરદેહ પાછળ છોડીને પરલોક સિધાવ્યા… લયસ્તરો તરફથી એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…
કવિને શબ્દાંજલિ નિમિત્તે શરૂઆત પ્રતીક્ષા ઉપર લખાયેલી એક મજાની મુસલસલ ગઝલથી કરીએ. પાંચેય શેર સંતર્પક થયા છે.
*

Permalink
June 16, 2024 at 12:39 PM by વિવેક · Filed under ગઝલ, હેમંત પૂણેકર
ઓર પાસે અવાય એમ નથી,
તોય અળગા થવાની નેમ નથી.
એની આંખો બીજું જ બોલે છે,
હોઠ બોલે છે પ્રેમબેમ નથી.
કેમ તમને છૂપાવું મારામાં?
હું જ મારામાં હેમખેમ નથી.
મધ્યમાં કઈ રીતે ઊભા રહીએ?
જિંદગી પોતે આમતેમ નથી?
આ જે કંઈ છે એ કેમ છે હેમંત?
અને જે છે જ નહિ એ કેમ નથી?
– હેમંત પુણેકર
ગુજરાતી ગઝલોનો આજકાલ એવો તો લીલો દુકાળ પડ્યો છે કે સારી ગઝલ શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું દુષ્કર કાર્ય બની ગયું છે. પણ રણમાં મીઠી વીરડી જેવી આ ગઝલ જુઓ. પાંચ જ શેર. ચુસ્ત કાફિયા અને સરળ ભાષામાં કેવી વેધક રજૂઆત! ગાઢમાં ગાઢ આલિંગન પણ કદી શાશ્વત નથી હોતું. ગમે એટલો પ્રેમ હોય, બે જણે આશ્લેષમાંથી અળગાં તો થવું જ પડે એ વાસ્તવિક્તાની સામે કાવ્યનાયકની કેફિયત જુઓ તો જરા. બે જણ એકમેકની એટલી તો નિકટ આવી ગયાં છે કે હવે વધુ નૈકટ્ય સાધવું સંભવ જ નથી, ને એ છતાં એકાકારતાની આ ચરમસીમાએથી પાછા વળવાની બેમાંથી એકેયની તૈયારી પણ નથી. કેવી અદભુત વાત! સરવાળે આખી ગઝલ જ સંતર્પક થઈ છે…
Permalink
June 14, 2024 at 11:23 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
ભૂંસાઈ ગ્રીષ્મની પાટી, પ્રથમ વરસાદની વેળા
પછી મહેકી ઊઠી માટી, પ્રથમ વરસાદની વેળા
ફૂટી નીકળી અચાનક કૂંપળો શૈશવની યાદોની
ભીતર જેને હતી દાટી, પ્રથમ વરસાદની વેળા
મળ્યા છે મોતીઓ મબલખ હથેળી જેમણે ખોલી
ખરેખર એ ગયા ખાટી, પ્રથમ વરસાદની વેળા
નર્યા ઉન્માદથી ડોલે બધાંયે વૃક્ષ મસ્તીમાં
કોઈ ભૂરકી ગયું છાંટી, પ્રથમ વરસાદની વેળા
ક્ષણિક ઝબકા૨માં પણ વીજનું નર્તન પ્રથમ દીઠું
પછી માણી ઘરેરાટી, પ્રથમ વરસાદની વેળા
– ઉર્વીશ વસાવડા
આજે વહેલી સવારે પહેલા વરસાદનો સ્વાદ માણવાનું થતાં જ આ ગઝલ સ્મૃતિપટલ પર તરવરી ઊઠી. વરસાદ વિશે આપણે ત્યાં અસંખ્ય કાવ્યો રચાયાં છે, અને લખાતાં પણ રહેશે… દરેકની પોતીકી મજા છે. પણ આખું ચોમાસું એક તરફ અને પ્રથમ વરસાદની વેળા એક તરફ. ઉનાળાથી ભડભડ બળતી સૃષ્ટિમાં પ્રથમ વરસાદની વેળાએ જે જે પરિવર્તનો અનુભવાય છે એને યથોચિત ઝીલી બતાવતી એક સાંગોપાંગ સુંદર ગઝલ આજે માણીએ…
Permalink
June 7, 2024 at 11:03 AM by વિવેક · Filed under ગઝલ, પરેશ સોલંકી ડૉ.

લાખ કોશિશ બાદ આવી છે,
સાદગી પણ મિજાજ લાવી છે.
થાક ઊંચાઈ પર બહુ લાગ્યો,
હા, તળેટી ચરણને ફાવી છે.
વેરવિખેર જાત સંકોરી,
છેવટે વસ્ત્રમાં દબાવી છે.
ક્ષણ, સ્મરણ, રટણ તથા વળગણ,
પત્રમાં સૌ વિગત જણાવી છે.
ચાલ, ઈશ્વર બતાવ હયાતીને,
કે મુરત પથ્થરે સજાવી છે.
– ડૉ. પરેશ સોલંકી
લયસ્તરો પર કવિના નવ્યસંગ્રહનું સહૃદય સ્વાગત…
સંગ્રહમાંથી એક સરસ મજાની ગઝલ આપ સહુ માટે રજૂ કરીએ છીએ. એકાદ-બે છંદદોષને બાદ કરતાં આખી ગઝલ મનનીય થઈ છે. સરળ બાનીમાં કવિએ આસ્વાદ્ય શેર આપ્યા છે.
Permalink
June 6, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હાર્દિક વ્યાસ

આંગળીઓ હોઠ ભીંસી વાળવી છે,
હસ્તરેખાઓ નવી કંડારવી છે.
આપણે પહોંચી ગયા સામા કિનારે,
ક્યાં સુધી આ હોડીઓ હંકારવી છે?
આ બધું પામ્યા પછી પળ કઈ હશે?
– એટલી સમજણ પછી વિકસાવવી છે!
એ અગાસી પર જઈ નક્કી કરે છે,
કેટલી કોની પતંગો કાપવી છે?
ભેદ ના હો કોઈ દૃષ્ટિ-દૃશ્યમાં પણ;
એટલી સીમા હજી ઓળંગવી છે!
હું રહું ના હું અને ના તું રહે તું
જાતને એવી રીતે ઓગાળવી છે!
વ્હાલથી છૂટું પડે ઓવારણું તો,
માનથી એની પ્રથાને પાળવી છે…!
– હાર્દિક વ્યાસ
લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘શિખર વહે, ધજા વહે’નું સહૃદય સ્વાગત છે…
પોતે જ પોતાના ભાગ્યવિધાતા હોવાની જાહેરાતથી કવિ ગઝલનો ઉઘાડ કરે છે. પોતાની મરજી મુજબની નવી હસ્તરેખાઓ કંડારવા માટે કવિએ હોઠ ભીંસીને મુઠ્ઠીઓ વાળી છે. હોઠ ભીંસવાની ક્રિયા ઈરાદાની મક્કમતાની પુષ્ટિ કરતી હોવાથી શેરને ઉપકારક નીવડે છે. ઘણીવાર ગંતવ્યસ્થાને પહોંચી ગયા પછી પણ આપણા જીવને જંપ વળતો નથી. આવી પરિસ્થિતિને હોડી અને સામા કિનારાના રૂપકની મદદથી કવિએ સુપેરે ચીતરી બતાવી છે. ‘ઓળંગવી’ એ એક કાફિયાદોષને બાદ કરતાં સરવાળે આખી ગઝલ સરસ થઈ છે,
Permalink
June 1, 2024 at 12:00 PM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
દૃશ્યની ઠેસ વાગી? હે આંખો!
તો જગતને જરા ઝીણું ઝાંખો!
ચાખવું હોય તો અમી ચાખો!
અન્ય રસમાં વળી શું રસ દાખો?
ડાળે બેઠાં જ નહિ, તેં ઉડાડ્યાં,
આટલેથી હવે તો બસ રાખો.
એની મરજી હશે તો ઊઘડશે,
એમ સમજીને બારણાં વાખો.
ના મળ્યું આભ, ના મળ્યું ઊડવું;
ભાર વેંઢારવા મળી પાંખો?
એક ખાલી, તો છે સભર બીજો;
છે જીવન-દેરડીમાં ઘટ લાખો.
– સંજુ વાળા
આખેઆખી સંઘેડાઉતાર ગઝલ… એકેએક શેર પાણીદાર.
Permalink
May 17, 2024 at 12:30 PM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
જાતને અજરાઅમર કલ્પી તો જો,
જીર્ણ ઘર, ભેંકાર ઘર કલ્પી તો જો.
કોક દરિયાને મળેલી હે નદી!
તું તને મારા વગર કલ્પી તો જો.
રાત, સન્નાટો અને તારી ગલી,
પાણીની આ ચડઉતર કલ્પી તો જો.
આંસુ આપે છે, બધા સંબંધમાં
કેટલો છું માતબર, કલ્પી તો જો.
મોત વાસી વાત છે ‘ઇર્શાદ’ પણ
અન્ય તું તાજા ખબર કલ્પી તો જો.
– ચિનુ મોદી
Permalink
May 10, 2024 at 12:17 PM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
પળપળનો ઈંતેજાર છળે એવું પણ બને,
જીવનની સાંજ આમ ઢળે એવું પણ બને.
સપનામાં ઊંઘતા જ કરી લીધું જાગરણ,
આવી દશા તમોને મળે એવું પણ બને.
આ બોલકાં નયનની પરિભાષા છે અજબ,
બોલે નહીં કશું ને કળે એવું પણ બને.
સૂરજની ગતિનો ભલે મોહતાજ હો સમય
તું જ્યારે ચહે રાત ઢળે એવું પણ બને!
ફૂલોની ઠેસ કેટલી કોમળ અને છતાં,
વર્ષો પછીયે કળ ના વળે એવું પણ બને.
આ ભાનની કક્ષાને વટાવી તો જવા દે,
એક જામમાં બ્રહ્માંડ ભળે એવું પણ બને.
બસ એક મુલાકાત પરિચય નથી ખરો,
એ મળતા-મળતા ‘મીર’ હળે એવું પણ બને.
– રશીદ મીર
Permalink
May 9, 2024 at 10:38 AM by વિવેક · Filed under ગઝલ, સુનીલ શાહ

એવું થોડું છે, દોડીને આગળ જઈએ?
ચાલીને, થોડું અટકીને આગળ જઈએ.
એવું નહીં છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.
એમ બને, એ સાથે આવે, ના પણ આવે,
બૂમ જરા એને પાડીને આગળ જઈએ.
એને પણ પૂરો હક છે આગળ વધવાનો,
સહેજ જગા એની છોડીને આગળ જઈએ.
કોઈ હતાશા લઈ પાછળ પાછળ આવે છે,
સ્મિત સમા પગલાં પાડીને આગળ જઈએ.
– સુનીલ શાહ
લયસ્તરો પર કવિના દ્વિતીય ગઝલસંગ્રહ ‘વાદળો વચ્ચે સૂર્યોદય’નું સહૃદય સ્વાગત.
આચાર્ય સુનીલ શાહનું શરીર તો શિક્ષણક્ષેત્રમાંથી નિવૃત્ત થઈ શક્યું, પણ મન આજપર્યંત નિવૃત્ત થઈ શક્યું નથી. Once a teacher is always a teacher. એમની રચનાઓ આ વાતની સાહેદી પૂરાવે છે. જિંદગી પરત્વેનો ધનમૂલક અભિગમ અને જીવનમૂલ્યોની શિક્ષા એમની રચનાઓના પાયામાં છે. સરળ સહજ બાનીમાં કહેવાયેલી આ ગઝલ વિશેષ ટિપ્પણીની મહોતાજ નથી. એને સ્વતઃ આસ્વાદીએ.
Permalink
May 2, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ત્રિવેદી
આ જગત ક્યારેય ક્યાં ખારું હતું?
આપણી વચ્ચે જ અંધારું હતું.
ભીતરે દરિયો હતો, બારું હતું,
નાવડું એથી તો નોંધારું હતું.
કોઈ ઈથર જેમ ઊડી જાય એ-
ધારણા માટે ઘણું સારું હતું!
આપણે તો માત્ર પગરવ સાંભળ્યો,
જે ગયું તે સાવ પરબારું હતું.
હોય, તેઓ પણ કદી આવી શકે,
છેવટે આ ઘર તો સહિયારું હતું.
– હર્ષદ ત્રિવેદી
ખારું એટલે આમ તો જરૂરિયાતથી વધારે મીઠું પડી ગયું હોય એવા ખારા સ્વાદવાળું. પણ ખારુંનો બીજો અર્થ અકારું, અપ્રિય અને અદેખું પણ થાય. બે જણની વચ્ચે અજવાસ ન હોય, કેવળ ગેરસમજણોનું અંધારું જ પ્રવર્તતું હોય તો દુનિયા અકારી લાગે, ખારી લાગે, બેસ્વાદ લાગે એમાં શી નવાઈ? માર્ગ અને મંઝિલ –બંને આપણી ભીતર જ છે, પણ આપણૉ પ્રવાસ કાયમ બહારનો હોવાથી આપણી જિંદગી નોંધારી જ વીતે છે. જે ભીતરના સમંદરમાં તરી શકે એને મુક્તિના બારે નાંગરતા કોણ રોકી શકે? ખુલ્લું રખાતા ઊડી જવાના ઈથરના રાસાયણિક ગુણધર્મને આધાર બનાવી ધારણાઓના ક્ષણજીવી હોવા બાબતે હાશકારો વ્યક્ત કર્યો છે. ઇચ્છા ચિરંજીવી બની રહે તો તણાવનું કારણ પણ બની શકે. છેલ્લા બે શેર પણ સહજ સાધ્ય થયા છે.
Permalink
April 27, 2024 at 11:32 AM by વિવેક · Filed under ગઝલ, ધૂની માંડલિયા
કોઈ હરણું કયાંક લપસી જાય છે,
ઝાંઝવામાં લ્યો, ધબાકો થાય છે.
ઊઠ તડકા! જા, જરી તું વાત કર,
આંધળાનો જીવ છે, હરખાય છે.
એક સુક્કા નામની પણ જો અસર,
ભીંત પર વાદળ હવે ચિતરાય છે.
હું અનાગત નામનો સંબંધ છું,
એમ જન્મોજન્મથી કહેવાય છે.
એક પડછાયો ઘૂઘવતો ઓરડો,
એક દરિયો રાતભર રેલાય છે.
સૂર્ય! તારા દેશમાં મંદિર ઉપર,
રોજ ઝાકળનો હજી વધ થાય છે.
– ધૂની માંડલિયા
ગઝલમાં આધ્યાત્મ, ચિંતનાત્મક વાતો અને બોધ વગેરેનું ચલણ હાલ એટલું વધી ગયું છે કે ક્યારેક તો શંકા પડે કે ગઝલકારનું પ્રમુખ કામ જ સમાજસુધારણા કે ધર્મોત્થાન તો નથી ને! એવામાં આવી વિશુદ્ધ સૌંદર્યબોધ કરાવતી ગઝલ હાથ લાગે એટલે આનંદ થઈ જાય. મૃગજળના મૃગ અને જળના સંદર્ભો વાપર્યા હોય એવા સેંકડો શેર આપણી ભાષામાં મળી આવશે પણ એ બધામાં પ્રસ્તુત ગઝલનો મત્લા નોખો તરી આવે છે. હરણના લપસી પડવાના દુર્લભ અકસ્માત સમેત ઝાંઝવામાં ધબાકો થવાની આખી વાત કેવળ કવિકલ્પના હોવા છતાં આપણી નજર સમક્ષ ક્ષણાર્ધમાં આખું દૃશ્ય રચાઈ જાય છે. આંધળા માણસના જીવનમાં અંધારપટ સિવાય કશું હોતું નથી, પણ આંખ ઉપર તડકો પડે ત્યારે અંધારું આછું થતું તો એય અનુભવી શકતા હશે. તડકાને ઊઠવાનું આહ્વાન દઈ અંધજન સાથે વાત કરવાનું કહેતો શેર પણ કવિની સૌંદર્યાનુરાગી નજરનો દ્યોતક છે. બધા જ શેર મજાના થયા છે, ખરું ને?
Permalink
April 20, 2024 at 11:43 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
આભની ડાળી ઉપર સૂરજનું ફળ પાકી ગયું,
ઝુંડ એકલતાનું આવી ક્યાંકથી ચાખી ગયું.
બોલ મારા આ જનમને તે જનમના ભાગિયા;
કોણ ઉમ્બર ૫ર અધૂરી સાંજ આ નાખી ગયું ?
આજ પાછી યાદની અગ્નિવીણા વાગી ઊઠી;
સ્વપ્નવત્ હિરણ્યમય આકાશ એક દાઝી ગયું.
આ ધુમાડો થઈ ગઈ તે સાંજ કે સ્વપ્ન હતું ?
શ્વાસના તળિયે સૂતેલું કો’ક જણ ચોંકી ગયું.
ગંધ – શબ્દો – સ્પર્શ ધુમાડો ધુમાડો થઈ જશે;
વારસાગત આ નગર નિયમ મુજબ સળગી ગયું.
લોક ધુમાડાની સાથે વાત પણ કરતું નથી;
લોક ધુમાડાના ઝાંપે આવીને અટકી ગયું.
હું નદીવત્ હું નદીવત્ મંત્રના ઉદ્ગાર હે !
સપ્તસિંધુનું ફરી મોજું મને ભીંજવી ગયું.
બારણે બાંધેલ પડછાયાનું તોરણ – સળવળ્યું;
બારણે બુઝાયેલું આકાશ કો’ ટાંગી ગયું.
ધૂળથી તે આભમાં સૂરજની છાતી વચ્ચોવચ્ચ;
મંદ પગલે કોઈ આવી સાંજ પ્રગટાવી ગયું.
– નયન દેસાઈ
નયન દેસાઈની રચના વાંચો અને કંઈ સાવ જ અનોખું હાથ ન લાગે તો જ નવાઈ. મૌલિકતાથી છલોછલ આ માણસને ભાષાદેવીએ સામે ચાલીને વરમાળા પહેરાવી હોવી જોઈએ, એ વિના ભાષામાં આવું પોત પ્રકટે ક્યાંથી? ગઝલશાસ્ત્રીઓ આ ગઝલમાંથી કાફિયાદોષ શોધી કાઢશે, પણ ગઝલના દરેકેદરેક શેરમાં કવિએ જે વાતાવરણ બાંધી બતાવ્યું છે એનો કોઈ તોડ ખરો એમની પાસે? ગઝલના એકેય શેર ટિપ્પણીના મહોતાજ નથી. પણ એકેય શેરને ત્રણ-ચાર વાંચ્યા વિના આગળ ન વધવા નમ્ર વિનંતી છે… વાંચો, ફરી વાંચો, મમળાવો અને જુઓ ખરી મજા!
Permalink
April 14, 2024 at 11:57 AM by વિવેક · Filed under એસ. એસ. રાહી, ગઝલ
ભીંતમાં રસ્તા નીકળતા હોય છે,
આ અવસ્થા કઈ અવસ્થા હોય છે?
ખોટું સાચું કઈ રીતે નક્કી થશે?
સહુને પોતામાં જ શ્રદ્ધા હોય છે.
દોસ્તોમાંથી ઘણું મળશે તને,
દુશ્મનોનાં ઘાવ અમથા હોય છે.
આપણે કયાં કઈ કરી શકીએ છીએ?
જાતની સામે જ મ્હોરાં હોય છે.
આભ જેવું આભ કાં ઓછું પડે?
પંખીને શેની સમસ્યા હોય છે?
– એસ. એસ. રાહી
ભીંત એટલે શક્યતાઓનું આખરી નાકું. ડેડએન્ડ. પણ જીવનમાં ક્યારેક એવી અવસ્થા પણ આવે છે, જ્યારે અંતમાંથી જ પ્રારંભ કરતા શીખી જાય છે. દીવાલ ફાડીને દરવાજો નહીં, મારગ બનાવી શકે એને કોઈ ક્યાંય રોકી શકતું નથી. ભીંતમાંથી રસ્તો નીકળવો શરૂ થાય એ અવસ્થા કઈ અવસ્થા હોય છે એવો દેખીતો સવાલ કવિ આપણને કરે છે. ખરેખર તો આ સવાલ તો કેવળ બાહ્યાવરણ છે. સવાલની આડમાં છૂપાઈને હકીકતમાં કવિ આપણને ભીંતમાંથી રસ્તો કાઢતા શીખવા માટે આહ્વાન આપે છે. આ પડકાર સ્વીકારવા આપણે તૈયાર છીએ ને?
Permalink
April 13, 2024 at 11:00 AM by વિવેક · Filed under કિરણ જોગીદાસ 'રોશન', ગઝલ

આ સ્થિરતા હવે ગતિ થઈ જાય તો મજા,
ઇચ્છાઓ ‘છે’ મટી, ‘હતી’ થઈ જાય તો મજા.
તણખો હતો હવે એ અગનઝાળ થઈ ગયો,
શંકા એ આગમાં સતી થઈ જાય તો મજા.
ખુલ્લી કે બંધ આંખ હો, રહે એક સમાન દૃશ્ય,
જીવને આ સ્થિતિની રતિ થઈ જાય તો મજા.
જગથી છૂપી હૃદયમાં બદીઓ હશે ઘણી,
ખુદની જ સામે એ છતી થઈ જાય તો મજા.
વૈરાગ્ય માટે ત્યાગ જગતનો કર્યા વગર,
સંસારમાં જ મન યતિ થઈ જાય તો મજા.
– કિરણ જોગીદાસ ‘રોશન’
લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ ‘ક્યાં ખબર હતી!’નું સહૃદય સ્વાગત.
આમ તો બધા શેર સરસ છે, પણ મત્લા સવિશેષ ધ્યાન ખેંચે છે. પહેલી નજરે મત્લાના બે મિસરા વચ્ચે વાબસ્તગી ન હોવાનું પ્રતીત થાય, પણ પછી ખ્યાલ આવે સર્જક શું કહેવા માંગતા હશે. ઇચ્છાઓ આપણને કેદી બનાવી અટકાવી રાખે છે. ઇચ્છાઓથી આઝાદ થઈ જવાય તો સ્થિરતા ગતિમાં પરિણમે. ‘આમ થાય તો મજા’ કહેતી ગઝલ આખેઆખી મજેદાર થઈ છે…
Permalink
March 22, 2024 at 12:30 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
ક્યારે ઊઘડે એ જ વિચારે,
હું ઊભો છું એનાં દ્વારે.
સાવ એકલું કાં લાગે છે?
ચાલું છું હું સહુની હારે.
જે ખોવાયું અજવાળામાં,
એને શોધું છું અંધારે.
મુઠ્ઠીમાં તો ખાલીપો છે,
દુનિયા છોને કંઈ પણ ધારે.
કોક અકળ હેતુથી મારું,
પરિભ્રમણ ચાલે સંસારે.
– ઉર્વીશ વસાવડા
ટૂંકી બહરમાં સરસ ગઝલ. પાંચેય શેર ઊંડું મનન માંગી લે એવા સરસ મજાના થયા છે.
Permalink
March 16, 2024 at 11:07 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
જીવનના જે વળાંકે આવીને ઊભો છું હું ત્યાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
ફગાવી દઈ બધા કિંતુ-પરંતુઓની વરણાગી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
મળ્યા જે પણ મને રસ્તામાં એ હરએક પાસેથી વધારે નહીં તો ઓછું પણ સતત મેં લીધે રાખ્યું છે,
જીવનભર ભેગાં કીધાં એ બધાંયે પોટલાંમાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
કોઈએ ઈર્ષ્યા આપી છે, કોઈએ શંકા ચાંપી છે, કોઈએ દ્રોહ, શ્રદ્ધાભંગ કે અપમાન આપ્યા છે;
કશું નહિ છોડવાની લ્હાયમાં અંતે ગયો થાકી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
મળ્યાં જે માન-કીર્તિ, સાચાં-ખોટાં રામ જાણે પણ, અહમ્ પાશેરથી વાધ્યો, થયો તે શેર-તોલો-મણ;
અખા! હલકાથી ભારીની એ તારી શીખને માની બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
વિતાવી છે ઘણી રાતો ઉઘાડી પાંપણો સાથે, કશું હાંસિલ થયું નહિ, બસ, કરચલીઓ પડી માથે;
ચિતાથી ભૂંડી ચિંતાને બનાવી શાથી મેં સાથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
હવે રહીરહીને સમજાયું રહ્યો છું ઠેરનો ઠેર જ, કશે પહોંચી શકાયું ક્યાં ઉપાડી મનમુટાવોને?
રહે ગજગ્રાહમાં જે વ્યસ્ત એ આગળ વધે ક્યાંથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
ગયાં એને નમન છે, ને જે આવ્યાં એને પણ વંદન; દીધાં હો ફૂલ કે પથ્થર – એ સઘળાંને નમું છું હું;
બધા માટે હૃદયમાં એકસરખી લાગણી રાખી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
અરીસામાં પ્રથમવાર જ સ્વયં સામે નજર માંડી, કહ્યું એણે, ભીતર તો જો, પછી બનજે જગતકાજી;
સ્વીકાર્યું મેં, નમાવ્યું સિર, કહ્યું, ‘હા જી અરીસાજી! બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!’
તું બાવનબા’રો છે એ વાત લાગે છે હવે સાચી, મને પણ બાવને પહોંચ્યા પછી સાચી સમજ લાધી;
ભલે મોડી તો મોડી પણ સમજ જ્યારે ખરી આવી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
– વિવેક મનહર ટેલર
(૧૧/૧૬-૦૮-૨૦૨૩)
તિલક કરતાં ત્રેપન વહ્યાં, તંઈ જંઈ આ બ્રહાજ્ઞાન લાધ્યું, અખા!
બધા ગજગ્રાહ છોડી જીવતાં શીખો એ જ સાચું જીવન, સખા…
Permalink
March 15, 2024 at 11:41 AM by વિવેક · Filed under ગઝલ, વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
આજ નહીં તો કાલ થવાનું,
વહેલું મોડું ભાન થવાનું.
અડચણ તો થોડી આવે પણ,
થાય શરૂ જો કામ, થવાનું.
એક અગર થાશું તું ને હું,
સામે આખું ગામ થવાનું.
ત્યાગ અને કષ્ટો જાણીને,
પડતું મૂક્યું રામ થવાનું.
આંખોની મસ્તીથી દિલમાં
થોડું તો રમખાણ થવાનું.
આજ ગમ્યું જે મનને થોડું,
કાલે એ અરમાન થવાનું.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
*
એક મુક્તક સાથે આજની વાત માંડવી છે:
સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે. (?મનસુખલાલ ઝવેરી)
કવિની ક્ષમાયાચના સાથે આમ કહી શકાય:
સરળતા છે અગ્નિના જેવી, સાવધાન સદા રહો,
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.
કવિતામાં સરળતા અગ્નિ સમી છે. માફકસર ન હોય તો અસર ન કરે અને વધુ પડતી હોય તો દાહક બની રહે. કવિતા જ ખતમ થઈ જાય. હવે અહીં પ્રસ્તુત ગઝલ જોઈએ. માફકસરના સરળ શબ્દો અને સહજ શૈલીમાં કવિએ સ-રસ કેવી મજાની ગઝલ કહી બતાવી છે! રચના સહજસાધ્ય હોવાથી એના વિશે વિશેષ કહેવાની આવશ્યકતા અનુભવાતી નથી.
Permalink
March 14, 2024 at 11:05 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
આ ખાલી ખિસ્સાને ખંખેરતાં ઘણું નીકળ્યું
સિલક સફરની, અનુભવનું રોકડું નીકળ્યું
મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું
તળાવ થઈ તું પહાડોની ભીંસમાં જીવ્યો
મળ્યો જો ઢાળ તો તારું નદીપણું નીકળ્યું
ભલે હું કંઈ જ ઉમેરી શક્યો ન મારામાં
છતાં જે ઘર કરી બેઠું’તું, એ ઘણું નીકળ્યું
અમીર દોસ્ત! આ પૈસાના ઢગની નીચેથી,
ખમીર તારું જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું
– રઈશ મનીઆર
પાંચશેરી જેવા પાંચ શેરની દમદાર ગઝલ. કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ નક્કી કરવું દોહ્યલું થઈ પડે એ જ ઉત્તમ ગઝલનું લક્ષણ. હળવે હાથે દરેકેદરેક શેર ખોલવા જેવા અને ગૂંઠે બાંધી રાખવા જેવા.
Permalink
March 9, 2024 at 3:28 PM by વિવેક · Filed under ગઝલ, રીનલ પટેલ
હજીયે આ તરફની ભીંત બાકી છે,
હજી થોડી ઘણી ઉમ્મીદ બાકી છે.
હજી રમવાને આવે કહાન ગોકુળમાં,
હજી રાધા-રમણની પ્રીત બાકી છે.
અમે છેડ્યો છે એ આલાપ છે કેવળ,
અમારે ગાવું છે એ ગીત બાકી છે.
મળી છે હાર જીવનમાં અનેકોવાર,
હજી હાર્યા પછીની જીત બાકી છે.
કદી આવેશમા બોલ્યા નથી સામે,
હજીયે મૌનમાં એક ચીસ બાકી છે.
– રીનલ પટેલ
ભીંત હોય તો તૂટવાની શક્યતા પણ હોય. કદાચ એટલે જ વધુ નહીં તોય થોડી ઘણી આશા હજી બચી રહી છે એમ કવયિત્રીને લાગી રહ્યું છે. આલાપ અને ગીતવાળો શેર તો શિરમોર થયો છે. જે ઘડીએ આપણને એમ લાગે કે આપણે આપણું શ્રેષ્ઠ આપી દીધું છે, એ ઘડીએ આપણો વિકાસ સ્થગિત થઈ જાય છે. “લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ- ‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’”
Permalink
March 8, 2024 at 12:33 PM by વિવેક · Filed under ગઝલ, લિપિ ઓઝા
રોજની માફક એ આજે ના ગઈ,
સાંજની પળ સાંજ સાથે ના ગઈ.
જાણ થઈ એને ઘણાં વર્ષો પછી,
ટ્રેન ખાલી ગઈ હતી,એ ના ગઈ.
સ્વપ્નમાં ફૂલો બધાં ઊડી ગયાં,
એક કળી રહી ગઈ સવારે, ના ગઈ.
કોઈ અંગત દૂર થઈને થાય ના,
ગઈ પનોતી એમ જાણે ના ગઈ.
સ્ત્રી ખરી ને! એટલે રોકાઈ ગઈ,
‘સ્તબ્ધતા’ સાથે સ્મશાને ના ગઈ.
ભૂલકાનો ભોગ લેવાયો પછી,
તે નદી ક્યારેય કાંઠે ના ગઈ.
અંધતા સીમિત નથી આંખો સુધી,
છે કયું એ અંગ જ્યાં તે ના ગઈ!
– લિપિ ઓઝા
એક સજ્જ કવયિત્રીની સશક્ત રચના આજે મહિલા દિવસના ઉપક્રમે માણીએ…
Permalink
February 9, 2024 at 12:16 PM by વિવેક · Filed under ગઝલ, લિપિ ઓઝા
દયાને આવકારો આપવામાં,
ગુમાવ્યું ઘર વિસામો આપવામાં.
પછી જો હાલ સામો એ પૂછે તો?
હતું જોખમ દિલાસો આપવામાં.
કદી લાગે છે કે મરવુંય પડશે,
‘જીવું છું’નો પુરાવો આપવામાં.
પછીથી આંખ આરોપીની વાંચી,
ઉતાવળ થઈ ચુકાદો આપવામાં.
મળ્યો સંતોષ જનસેવા કર્યાનો,
વિનામૂલ્યે તમાશો આપવામાં.
હલેસા એની પાસે રાખશે બસ,
નથી વાંધો તરાપો આપવામાં.
– લિપિ ઓઝા
સંઘેડાઉતાર રચના. દરેક શેર મનનીય.
Permalink
February 8, 2024 at 12:30 AM by વિવેક · Filed under અગન રાજ્યગુરુ, ગઝલ
કોને ખબર છે ક્યારે તારી જુદાઈ જાશે,
લાગે છે વૃક્ષનાં સૌ પર્ણો ગણાઈ જાશે.
એવા વિચારે મારા છે શ્વાસ શ્વાસ રણઝણ,
એ આવશે ને પળમાં સઘળે છવાઈ જાશે.
એની નજર પડે આ સંયમ ઉપર તો સારું,
ઝાઝું હસાવશે તો શાયદ રડાઈ જાશે.
છે ભાગ્ય પર ભરોસો કે ચાલવા જશું તો,
રસ્તા વચાળે ઊંચી ભીંતો ચણાઈ જશે.
તો પણ મને છે આશા કાગળની નાવ પાસે,
જાણું છું મેઘ વધતાં હમણાં તણાઈ જશે.
તારા વિરહની પીડા એવી હદે વધી છે,
કે બોલવા જશું તો ગઝલો ગવાઈ જાશે.
મારા જીવન વિશે કૈં પૂછો નહીં તો સારું,
બાકી ‘અગન’ તમારી આંખો ભરાઈ જાશે.
– ‘અગન’ રાજ્યગુરુ
લયસ્તરો પર કવિના બીજા સંગ્રહ ‘તમારી રાહમાં’નું સહૃદય સ્વાગત. સંગ્રહમાંથી એક સરસ મજાની ગઝલ આજે આપ સહુ મિત્રો માટે…
‘(S)he loves me, (s)he loves me not’ કહીને ફૂલની પાંખડીઓ એક પછી એક તોડતાં જઈ પ્રિયજનની પ્રતીક્ષા કરતા પ્રેમીઓનો આપણને અનુભવ છે, પણ કવિતાની ખરી મજા ત્યારે છે જ્યારે આ નાનકડી ચેષ્ટા અતિશયોક્તિ અલંકાર બનીને વૃક્ષના તમામ પર્ણો ગણી લેવા સુધી વિસ્તરે. આખેઆખી ગઝલ જ સ-રસ થઈ છે, પણ લગભગ બધા જ શેર સહજ-સાધ્ય હોવાથી ગઝલને એના ભાવકોની મહેફિલમાં એમ જ રમતી મૂકવામાં વધુ મજા છે…

Permalink
January 25, 2024 at 11:49 AM by વિવેક · Filed under ગઝલ, મનોહર ત્રિવેદી
ઊંઘ ખેંચું ને રામ જાગે છે
શ્વાસ પ્રત્યેક આમ જાગે છે
દેશ અથવા ન ગામ જાગે છે
જાગ તું, તો તમામ જાગે છે
રાતનું આ વજૂદ સમજી લે
સૂર્ય જોતાં જ હામ જાગે છે
માર્ગ રોકાય કેમ પળભર પણ
મીટ માંડી મુકામ જાગે છે
રાખ ચિંતા ન દ્વાર ખૂલવાની
એક ત્યાં મુક્તિધામ જાગે છે
– મનોહ૨ ત્રિવેદી
ઊંઘ અને મૃત્યુ વચ્ચે એક જ ફરક છે કે ઊંઘમાંથી જાગી શકાય છે. જીવન ઉપરની શ્રદ્ધા કહો કે રામ ઉપરનો ભરોસો, ઊંઘતી વખતે આપણે સવારે આંખ નહીં ખૂલે તો શું થશે એવું વિચારતા નથી. જીવનની આ રોજિંદી હકીકતને ઉપાદાન બનાવીને કવિએ મજાનો મત્લા સિદ્ધ કર્યો છે. જાગવું અને જાગૃતિ વચ્ચે પણ બહુ મોટો તફાવત છે. આજે પરિસ્થિતિ એવી છે કે ઘર, ગામ કે દેશ આખામાં કોઈ જાગતું નજરે ચડતું નથી. દરેક જણ કોઈ તો કરશે, કોઈ તો જાગશેની આશામાં ઊંઘી રહ્યા છે. કવિ બહુ સચોટ ટકોર કરે છે. બીજાના જાગવાની રાહ કેમ જોવી? જાતે જ ન જાગી જઈએ? દરેક માણસ પોતાના ઘરનું આંગણું સ્વચ્છ રાખે તો દેશ આખો સ્વચ્છ થઈ જાય. આખી ગઝલ જ સહજસાધ્ય થઈ છે.
Permalink
January 19, 2024 at 11:26 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
કેમ જીવાતું નથી એ ક્ષણ વગર?
જે મળી’તી કોઈ પણ કારણ વગર.
છે અધૂરો ગ્રંથ જે પ્રકરણ વગર,
એ પડ્યું છે મેજ પર સાંધણ વગર.
કેવા અઘરા નામવાળા રોગ છે!
સાથે રહેતા હોય છે લક્ષણ વગર.
જિંદગી એને જ તો કહેવાય છે,
ઝાંઝવા જોવા મળે જ્યાં રણ વગર.
મિત્રની યાદીમાં મારા નામ પર,
ભાર મૂકો છો તમે ભારણ વગર.
– કિરણસિંહ ચૌહાણ
ઉમદા સ્વયંસિદ્ધ ગઝલ.
Permalink
January 18, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
ઢબૂરી ઢબૂરીને રાખેલ સપનાં,
જગાડો ને જાગો પછી થાય ખપનાં!
અમે ચાને ચુસ્કીઓ લઈલઈને પીધી,
તમે ધીમે રહીને પૂછ્યા ભાવ કપના!
અમે નામ ધબકારે-ધબકારે લીધું,
તમે પુસ્તકો ચીતર્યાં નામજપનાં.
ન પૂર્વે ભૂમિકા, ન પ્રસ્તાવના કંઈ;
મને જોઈએ તું; બીજી કોઈ લપ ના!
ગુફામાં કે જંગલમાં જઈને શું કરશો?
ફરજથી વધી ક્યાંય પણ કોઈ તપ ના!
– ડૉ.મનોજ જોશી ‘મન’
કેવળ સૂતેલ સ્વપ્નોને જગાડવું પૂરતું નથી. આપણે ન જાગીએ ત્યાં સુધી બધું નકામું. ‘પ્રાઇઝ ટેગ’ની ચિંતામાં ડૂબેલા જિંદગી માણવાનું ચૂકી જાય છે. ત્રીજો શેર તો રામમંદિર શિલાન્યાસના ટાંકણે ખૂબ જ સંતર્પક બની રહે છે. ઈશ્વરને હૃદયમાં ઘર આપ્યું હોય એ બીજાઓ જોઈ શકે એવી દેખાડાની તપસાધના કરતાં વધુ અગત્યનું છે. છેલ્લો શેર પણ આ વાત સાથે એક કડી વધારાની જોડી આપે છે. એમાં ઝેન સાધનાનો સિદ્ધાંત પણ નજરે ચડે છે.
Permalink
January 13, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વર્ષા પ્રજાપતિ 'ઝરમર'
બીજ મહીંથી વૃક્ષ થવાનું, ઉગવાનું ને ખરવાનું?
ખર્યા પછીની પોકળ પીડા પૂછે, ‘પાછું ઉગવાનું?’
નહીં ફાવે ભઈ, નહીં ફાવે આ શ્વાસો વચ્ચે બળવાનું
દિલનો ખાલી ખૂણો ભરવા આખું જીવન તપવાનું?
છળવું કે છેતરવું ખુદને, અમને માફક નહીં આવે
રહેવા દો આ હરવું ફરવું, આંખોમાં વિસ્તરવાનું
બે રસ્તા છે આંખો સામે, અટકી જા કાં આગળ વધ,
સંશયની તોડીને સાંકળ, બોલ હવે શું જપવાનું?
આ જન્મે તો પીડા નામે મોક્ષ થયો છે ‘ઝરમર’નો
હવે ફરીથી પીડા નામે નહીં ફાવે અવતરવાનુ
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’
લયસ્તરો પર સર્જકના ગઝલ સંગ્રહ ‘હાથ જાજમ થઈ જતા’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક સરસ રચના આજે માણીએ…

Permalink
January 12, 2024 at 10:56 AM by વિવેક · Filed under ગઝલ, રવીન્દ્ર પારેખ
સ્વપ્નમાં નીકળી પડે તું આવવા,
સ્વપ્નની બદલી જશે આખી હવા.
સ્વપ્ન તોડીને તરત જાગી પડું,
બ્હાર તું આવે અગર બોલાવવા.
સ્વપ્નમાં અજવાળું પડશે, માની તું—
આંગણે બેસે દીવા પ્રગટાવવા.
સ્વપ્નમાં રહેશે નહીં કાળી તરસ,
છો મને આપે ભલે તું ઝાંઝવા.
સ્વપ્નનો વસવાટ દૃષ્ટિમાં સીમિત,
ત્યાંથી મથતું, પાર સૃષ્ટિની જવા.
સ્વપ્ન કૈં મૃત્યુ પછી આવે નહીં,
ના જીવનમાં આવતું પૂરું થવા.
સ્વપ્ન એ પૂરું કદી ના થાય, જો—
આંખ મીંચી હો ફરી ના ખોલવા.
– રવીન્દ્ર પારેખ
સ્વપ્ન વિશેની ખૂબ મજાની મુસલસલ ગઝલ. બધા જ શેર હળવે હળવે ખોલવા જેવા… કવિની ચિંતનશીલ પ્રકૃતિ અને અર્થગાંભીર્ય એક જ વસ્તુની બહુઆયામી રજૂઆતમાં ડગલપગલે ઝળકે છે.
Permalink
January 11, 2024 at 10:52 AM by વિવેક · Filed under ગઝલ, માધવ આસ્તિક
અહીં, ત્યાં, બધીયે જગામાં અધૂરપ
ઠસોઠસ ભરી છે બધામાં અધૂરપ
બધું આપ્યું છે થોડું અધકચરું અમને
પરંતુ ન આપી વ્યથામાં અધૂરપ
ઘણાં એવાં ફૂલો જે ખુશબૂ ન આપે
એ ફેલાવતાં રહે હવામાં અધૂરપ
છલોછલ કરી ના શકે તો ન પાજે,
મને ફાવશે નહિ નશામાં અધૂરપ
તું દર્શન દે એ પળ છે નક્ષત્ર સ્વાતિ
અમે બેઠા લઈ પોપચામાં અધૂરપ
ચલો એ હિસાબેય હાજર તો છે તું
રહે તારા નામે ઘણામાં અધૂરપ
ફકત એક ખટખટની આશા જીવાડે
કે મરવા પડી બારણામાં અધૂરપ
તું સ્પર્શે એ પહેલાં, તું સ્પર્શે પછી પણ
સતત હોય હાજર ત્વચામાં અધૂરપ
ખૂલે બારી પણ ત્યાંથી પડદો હટે નહિ
તો લાગે કે રહી ગઈ નફામાં અધૂરપ
કરી સહેજ શંકા મે મંજિલ વિશે ને
તરત પેસી ગઈ કાફલામાં અધૂરપ
બધાં એનાં સર્જન એ દાટી જ દેશે
જો કુંભાર જોવે ધરામાં અધૂરપ
સ્વપન મોકલીને એ પૂરી કરે છે
જે એણે મૂકી આંધળામાં અધૂરપ
તને શોધવાનુંય કારણ છે એક જ
ફરી માંગશું આયખામાં અધૂરપ
બધા પાત્ર શોધે છે સર્જકના એને
રહી શું ગઈ કલ્પનામાં અધૂરપ!
મિલન નહિ ફકત એ મુલાકાત ગણજો
જો ના પાંગરે બે જણામાં અધૂરપ
– માધવ આસ્તિક
ગઝલ તો છે અધૂરપની પણ કવિએ શેર ગૂંથ્યા છે પૂરા પંદર. મજા તો એ છે કે પંદરે-પંદર શેર મજબૂત થયા છે. મત્લામાં જ અત્ર-તત્ર, સર્વત્ર બધામાં બધેબધ ઠસોઠસ અધૂરપ ભરી હોવાની વાતમાં કવિએ ઠસોઠસ અને અધૂરપનો વિરોધાભાસ કેવી સહજતાથી વણી લીધો છે! ક્યાંય કોઈ અઘરા કલ્પન કે મથામણ કરવા મજબૂર કરે એવા રૂપકો નથી. કવિએ તદ્દન સરળ બાનીમાં અધૂરપના દરેક શેરોને પૂર્ણપણે અર્થગાંભીર્ય બક્ષ્યું છે.
Permalink
December 29, 2023 at 10:53 AM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ
સાથે રહ્યો છું તારી, આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયા કલામ છે.
મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.
પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે!
પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું,
સપનામાં તારા આવીને, મારે શું કામ છે?
નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે.
– અંકિત ત્રિવેદી
ગઝલનો મત્લા વ્યંગ્યોક્તિની પરાકાષ્ઠાએ ઊભો છે. પ્રિયજનની સાથે રહેવાને લઈને શું દબદબો નસીબ થયો, તો કે’ ચોવીસે કલાકનાં આંસુ. શ્વાસોચ્છ્વાસની દેહધાર્મિક ક્રિયાને પણ કવિએ કેવી નજાકતથી શેરમાં વણી લીધી છે! આખી ગઝલ જ મનનીય થઈ છે.
Permalink
December 28, 2023 at 10:39 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
રસ્તો તારો, ન આ સફર તારી,
માત્ર છે થાકની અસર તારી.
દૃશ્યો તારાં છે એવું તેં માન્યું,
છે હકીકતમાં બસ નજર તારી.
આ સમય જે વહે છે, તારો નથી;
તું તો પામ્યો છે બસ ઉંમર તારી.
તું તો શાયર છે, તારું દર્દ અમાપ!
આહ નીકળે છે માપસર તારી.
તું સમંદર નથી, ભલેને નથી!
છે સમંદરમાં એક લહર તારી..
જાણું છું, તું પતંગિયું છે ‘રઈશ’,
કોઈ બેઠું છે પાંખ પર તારી.
– રઈશ મનીઆર
લાખ અવરોધ અને નાકચડામણાં છતાં ગઝલ ઝડપભેર તમામ કાવ્યપ્રકારોને અતિક્રમીને આગળ નીકળી ગઈ એનું એક કારણ તે ઓછામાં ઓછા શબ્દોમાં ઊંડામાં ઊંડી વાત કહી શકવાની એની ખાસિયત અને બીજું તે શીઘ્ર પ્રત્યાયનક્ષમતા. આ ગઝલ જુઓ. નાની બહેરમાં કવિએ કેવું ઉંચેરું ખેડાણ કરી બતાવ્યું છે! આખી ગઝલ સંઘેડાઉતાર થઈ છે, પણ આપણે કેવળ મત્લાની જ વાત કરીએ. નથી રસ્તો આપણે બનાવેલો, નથી મંઝિલ આપણું સર્જન. આપણે માનીએ છીએ કે આપણે સફર ખેડી રહ્યાં છીએ, પણ હકીકતમાં એ મુસાફરી પણ આપણા પૂર્ણાખ્ત્યારમાં નથી. થાકી જવાની એકમેવ ઘટના એ જ આપણું ખરું કર્તૃત્વ. આ રસ્તા અને સફરને સ્થૂળ અર્થમાં પણ લઈ શકાય અને જન્મથી મરણ વચ્ચેની યાત્રા તરીકે પણ ગણી શકાય. ચંદ શબ્દોની ઈંટ લઈને બે મિસરાની દીવાલો ઊભી કરી કવિ શેરિયતનું મજાનું મકાન સર્જી બતાવે ત્યારે બે’ક ઘડી સફરનો થાક ભૂલીને રેનબસેરા કરવાનું મન ન થાય?!
Permalink
December 24, 2023 at 9:07 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
સાવ ખાલી રમત છે… ખેલું છું,
આ હવાની લિપિ ઉકેલું છું.
આવ, તડકા મને તું ઘેરી લે,
એક પડછાયો તરતો મેલું છું.
હાથ ધ્રુજે કોઈ અજાણ્યાનો,
બારણું એમ ઘરનું ઠેલું છું.
પાંપણોમાં પુરાઈ તવ યાદો,
સ્વપ્નનગરી મહીં ટહેલું છું.
સાંજ દીવાલ છે પ્રતીક્ષાની,
જૂઈની મ્હેકને અઢેલું છું.
– નયન હ. દેસાઈ
હળવે હાથે ખોલતા જાવ… અને ખોવાઈ જાવ કવિતાની કુંજગલીમાં…
Permalink
December 21, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રીનલ પટેલ

જિંદગી ગોથું ખાય તો સારું,
એ બહાને શીખાય તો સારું
બસ, અહીંથી એ જાય તો સારું,
ભીડ મનમાં ન થાય તો સારું.
જે ભરોસે ટક્યું છે ધૈર્ય હજી,
એ સમય દે ઉપાય, તો સારું.
હોય એવી, જરાય ફર્ક વગર
છાપ સઘળે છપાય તો સારું
જેના કાજે લખાય છે ગઝલો,
સાંભળી, મુગ્ધ થાય તો સારું.
સાવ પાસે ગયાં પછી લાગ્યું,
થોડું અંતર રખાય તો સારું.
– રીનલ પટેલ
લયસ્તરો પર કવયિત્રીના સંગ્રહ ‘એ તરફ ઢોળાવ’નું સહૃદય સ્વાગત છે.
એકદમ સરળ બાનીમાં સ્વયંસ્પષ્ટ પરંતુ અર્થગહન રચના. દરેક શેર ખરા સોના જેવા.
Permalink
December 2, 2023 at 10:52 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે!
ચડાવેલું ચૂલા પર કોઈએ આંધણ છીએ જાણે!
નથી આવી શકાયું બ્હાર કોઈ શબ્દની માફક,
અમે વર્ષો જૂની છાતીની રુંધામણ છીએ જાણે!
કદી અમને પૂછીને માર્ગ જે આગળ વધેલા છે,
હવે એના જ રસ્તાની કોઈ અડચણ છીએ જાણે!
અમારી જીર્ણતા પહેલાં હતી, છે એ જ આજે પણ,
જનમથી રંકનું ફાટ્યુંતૂટ્યું પહેરણ છીએ જાણે!
કરે છે સામનો હોવું અમારું રોજ પ્રશ્નોનો,
ન હોવું જોઈએ જાણે અને તો પણ છીએ જાણે!
– બાબુલાલ ચાવડા ‘ આતુર ‘
આજે ટિપ્પણી કવિ મિલિન્દ ગઢવીના શબ્દોમાં:
“વાહ વાહ અને વાહ!
‘મરીઝ’ જ્યારે કહે કે ‘ગઝલો ફકત લખાય છે દિલની જબાનમાં’ તો આ દિલની જબાન એટલે શું? એનો જવાબ આ ગઝલ છે. આ હિબકે ચડેલી કવિતા નથી, પરંતુ હોવાની લ્હાયને લય બનાવીને જીવતા અક્ષરની કથા છે. અહીં એવું નથી કે સાવ નવાં જ કલ્પનો કે પ્રતીકોનો પ્રયોગ થયો હોય, કે નોખા લય કે ઓછા જાણીતા કાફિયા કે જુદી ભાત પાડતી રદીફ વપરાઈ હોય! અને તેમ છતાં વાત બહુ બળકટતાથી, તલસાટનો અનુભવ થાય એ રીતે કહેવાઈ છે. અને એટલે જ ફરીથી અહીં સમજાય છે કે કવિતા એના વાઘામાં નથી હોતી, એને એમાં શોધવાની ભૂલો ન કરીએ. કવિતા costume નહીં, content છે. વળી આવી સરળ વાતને આસ્વાદની પણ શી જરૂર! આ તો સીધી જ communicate થાય. પછી connect થાય છે કે કેમ એ જુદો વિષય છે. મારી અંદર રહેલા chaos સાથે તો connect થઈ, તમારી સાથે પણ થાય તો કવિને એક clap જરૂર આપજો અને તમને જે લાગે તે comment કરજો.”
(આસ્વાદ: મિલિન્દ ગઢવી)
Permalink
October 28, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
જીવવા-મરવાની ખુદ્દારી બહુ મોંઘી પડી,
જિંદગી સાથે વફાદારી બહુ મોંઘી પડી.
કામ આવી છે મને દીવાનગી વર્ષો સુધી,
થોડા દિવસોની સમજદારી બહુ મોંઘી પડી.
ઊંઘ આપીને પછી વિહ્વળ બનાવ્યો છે મને,
રેશમી ઝુલ્ફોની દિલદારી બહુ મોંઘી પડી.
આભ આખી રાત મારી આંખમાં વરસ્યું છતાં,
ભાગ્યના તારાની નાદારી બહુ મોંઘી પડી.
એક ડૂસકું ખાઈને જંપી ગઈ આ રાત પણ—
પાછલી રાતોની બેદારી બહુ મોંઘી પડી.
કેટલા પોકળ ખુલાસા તે પછી કરવા પડ્યા,
તારા પ્રત્યેની તરફદારી બહુ મોંઘી પડી.
મીર જેવા મીર’ પણ અંતે સવાલી નીકળ્યા,
ઓ ગઝલ! તારી વફાદારી બહુ મોંઘી પડી.
– રશીદ મીર
સહજ-સંતર્પક…
Permalink
October 22, 2023 at 11:36 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
પ્રમેય:
અસ્તિત્વ બિંદુ છેઃ
પૂર્વધારણા :
બિન્દુનો આ વિરાટ અને એમાં આપણે
ખાલી હિંડોળા ખાટ અને એમાં આપણે
ઉદાહરણઃ
ઝાકળથી કોઈ આંખના અશ્રુ સુધીનો આ
બિન્દુનો રઝળપાટ અને એમાં આપણે.
પક્ષ:
બિન્દુથી… એક બિન્દુથી… બિન્દુ જ બિન્દુઓ
બિન્દુઓ ધડધડાટ અને એમાં આપણે
સાધ્યઃ
કો’ એક अ નું આમ આ ધસમસવું ब તરફ
વચ્ચે ક્ષણોની વાટ અને એમાં આપણે
સાબિતીઃ
નીકળી જવાની આસમાં ભેગાં થયા કરે
બિન્દુઓ મુશ્કેટાટ અને એમાં આપણે.
– નયન દેસાઈ
‘નયનનાં મોતી’ શબ્દાંજલિ શ્રેણીમાં આ સાતમી અને અંતિમ કડી…
પ્રમેય (થિયરમ) એટલે ગણિતમાં સ્વીકૃત પદ્ધતિ મુજબ સાબિત કરાતું મહત્વનું પરિણામ. પ્રમેયની સાબિતી સામાન્ય રીતે તે તે વિષયની પૂર્વધારણાઓ તથા તાર્કિક ક્રમમાં અગાઉ સાબિત થઈ ચૂકેલાં અન્ય પ્રમેયો પરથી તાર્કિક દલીલો વડે અપાય છે. નયન દેસાઈએ આપણને કેટલીક પ્રમેયગઝલો પણ આપી છે. ગણિતનો વિદ્યાર્થી જે રીતે દાખલો માંડીને પ્રમેય સિદ્ધ કરે, બરાબર એ જ રીતે કવિ પણ જે સિદ્ધ કરવાનું છે એ વાત કહીને પૂર્વધારણા, ઉદાહરણ, પક્ષ, સાધ્ય અને સાબિતી –એમ પ્રમેયના અંગોને એક પછી એક ન્યાય આપતાં જઈને દાખલો અને ગઝલ બંને સિદ્ધ કરે છે.
વિશાળ અનંત બ્રહ્માંડમાં આપણું અસ્તિત્ત્વ એક બિંદુથી વિશેષ કશું નથી આ વાતને તેઓએ ગઝલ-ગણિતથી રજૂ કરી છે. વાત પૂર્વધારણાથી શરૂ થાય છે, અને સાબિતી પર જઈને અટકે છે. નયન દેસાઈની પ્રયોગગઝલ છે એટલે એબ્સર્ડિટી કે એબ્સ્ટ્રેક્ટેશનથી અલિપ્ત તો હોય જ નહીં. કાવ્યાર્થથી વિશેષ આ રચનાઓ કાવ્યાનુભૂતિની રચનાઓ જ હોવાની. પોતપોતાની ક્ષમતા મુજબ એમાંથી આચમન કરી લઈએ એ જ ઉચિત.
Permalink
October 20, 2023 at 11:35 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ

અમે ઊભા એવા સમય તટ પે જ્યાં ગગન પડછાયો પાથરતું રહે,
ટહુકે શબ્દો ને ગઝલ ઊડતી પાંપણેથી ઘેન ઝરમરતું રહે.
પુરાણી યાદોના નીરવ ઝરૂખે કોઈ સદા વ્યાકુળ બની ફરતું રહે,
ક્ષણો થીજેલી સૌ બરફ સમ ને મન હઠીલું સૂર્ય કોતરતું રહે.
અજાણ્યા રસ્તાઓ પરિચય સૂંઘે, લોકનું ટોળુંય કરગરતું રહે,
છતાં દોડી જાયે નગર રઝળું, રોજ એને કોણ આંતરતુ રહે?
સમુદ્રોનાં મોજાં વહન કરતું, આપણું હોડીપણું તરતું રહે,
કિનારે શ્વાસોના છળકપટનું દૃશ્ય ઝાંખુ સાથમાં સરતું રહે.
છરી જેવી સાંજો કતલ કરતી સૂર્યની દરરોજ સાંજે, હે ‘નયન’!
પછી પીંછાં ઊડે ખરખર અને શબ્દનું આકાશ ભાંભરતું રહે…
– નયન દેસાઈ
કલમ હાથ ઝાલે અને પ્રયોગ ન કરે એ કવિ ગમે તે હોય, નયન દેસાઈ તો નહીં જ. આપણે ત્યાં ઘણા સાહિત્યકારોએ સંસ્કૃત છંદોનો પ્રયોગ કરીને શુદ્ધ વૃત્ત ગઝલો આપી છે, પણ નયન દેસાઈ એક ડગલું આગળ જઈ સંસ્કૃત વૃત્ત અને ગઝલના છંદને એક જ ગઝલમાં ભેગા કરીને આપણને હાઈબ્રીડ ગઝલ આપે છે. ગઝલના દરેક મિસરાનો પૂર્વાર્ધ ખંડ શિખરિણી છંદમાં અને ઉત્તરાર્ધ ગઝલમાં સૌથી પ્રચલિત રમલ છંદમાં છે. સરવાળે આપણને સાંપડે છે એક સફળ પ્રયોગ-ગઝલ.
Permalink
Page 3 of 50« First«...234...»Last »