આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું,
કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું!
સ્નેહી પરમાર

(નોખો છે) – નેહા પુરોહિત

આ તરફનો હકાર નોખો છે,
એ તરફનો નકાર નોખો છે.

એય બાવન ને સાતમાં રમતો,
એ છતાં ગીતકાર નોખો છે.

આજ નોખી તરસને માણી મેં,
આજનો ઓડકાર નોખો છે.

એટલેથી પડે નહીં પડઘો,
એટલે ઉંહકાર નોખો છે.

કેમ મારી ગતિ થતી જ નથી?
કેમ, આ ઓમકાર નોખો છે?

– નેહા પુરોહિત

મત્લાના ‘આ’ અને ‘એ’ને બાદ કરીએ, તો બાકીના ચારેય શેરના બંને મિસરાની શરૂઆત સમાન શબ્દો – એ-એ, આજ-આજ, એટલે-એટલે, કેમ-કેમ -થી થઈ છે. શબ્દોની આ નાનકડી રમત ટૂંકી બહેરની ગઝલમાં કવિરમણાનો અવકાશ ઓર ઘટાડીને કવિકર્મ વધુ મુશ્કેલ બનાવે છે, પણ સર્જક બહુ ઓછા શબ્દોમાં જાતને વ્યકત કરવાનો પડકાર સુપેરે ઝીલી લઈને સંઘેડાઉતાર ગઝલ આપી શક્યાં છે એનો આનંદ. ‘એટલે’ની પુનરુક્તિમાં યમક અલંકાર ચૂકવા જેવો નથી. સર્જકે એટલેથી પડઘો નહીં પડે એમ કહ્યું છે. અહીં એટલેથી એટલે એટલા અંતરથી એમ અર્થબોધ થાય છે, પણ આ અંતર વધુ છે કે ઓછું એ બાબતે ફોડ પાડવામાં આવ્યો નથી. બહુ નજીકથી બોલવામાં આવે કે બહુ દૂરથી બોલવામાં આવે – આ બંને અવસ્થામાં કહેલી વાતનો પડઘો-પ્રતિસાદ સાંપડતો નથી એટલે નોખો ઉંહકાર સાંપડે છે. સરળ સહજ મત્લા પછીના બધા જ શેર ખાસ્સા અર્થગહન છે..

17 Comments »

  1. kishor Barot said,

    November 24, 2022 @ 11:08 AM

    અદ્ભૂત કવિકર્મ.
    નેહાબેનની ગઝલો પણ તેમનાં ગીતો જેટલી જ મીઠડી હોય છે.

  2. રાજેશ હિંગુ said,

    November 24, 2022 @ 11:11 AM

    વાહ વાહ વાહ… ટુંકી બહરમાં અદ્ભુત કવિકર્મ… નેહાબેનને અભિનંદન

  3. યોગેશ પંડ્યા said,

    November 24, 2022 @ 11:20 AM

    સરસ ગઝલ.
    નવાં કાફિયા ધ્યાનપાત્ર!
    નેહાબેન ને અભિનંદન.

  4. Harsha Dave said,

    November 24, 2022 @ 12:41 PM

    વાહ….સાધ્યાંત સુંદર અને આસ્વાદ્ય ગઝલ
    નેહાબેન… અભિનંદન
    લયસ્તરોને શુભેચ્છાઓ 💐

  5. Mayurika Leuva said,

    November 24, 2022 @ 2:52 PM

    સુંદર ગઝલ.

  6. રિયાઝ લાંગડા (મહુવા). said,

    November 24, 2022 @ 3:35 PM

    વાહ…👌👌

  7. Himadri Acharya Dave said,

    November 24, 2022 @ 6:09 PM

    વાહહ… ખૂબ જ સરસ

  8. Himadri Acharya Dave said,

    November 24, 2022 @ 6:11 PM

    ગઝલ ખૂબ જ ગમી… વાહ

  9. Bharati gada said,

    November 24, 2022 @ 6:20 PM

    એય બાવન અને સાતમાં …. વાહ ખૂબ સરસ રચના 👌👌

  10. Shah Raxa said,

    November 24, 2022 @ 7:43 PM

    વાહ..નેહાબેન વાહ.. ખૂબ ખૂબ અભિનંદન💐

  11. Varij Luhar said,

    November 24, 2022 @ 7:53 PM

    વાહ… સરસ ગઝલ અને આસ્વાદ

  12. pragnajuvyas said,

    November 24, 2022 @ 8:56 PM

    આ સત્વશીલ કવિયત્રી નેહા પુરોહિતની કલમે સંઘેડાઉતાર અર્થગહન ગઝલનો ડૉ. વિવેક દ્વારા સ રસ આસ્વાદ.
    ખૂબ સરસ મક્તા
    કેમ મારી ગતિ થતી જ નથી?
    કેમ, આ ઓમકાર નોખો છે?
    આપણા સૌના મનમા સહજ આ પ્રશ્ન થાય …
    વિચારવમળે
    વિજ્ઞાનની દ્રુષ્ટીએ- ગતિ ઊર્જા – પદાર્થ પાસે તે જયારે ગતિમાં હોય ત્યારે હોય છે.જો આપણે પદાર્થને પ્રવેગિત કરાવવા માંગતા હોય, તો આપણે બળ લગાડવું જ જોઈએ. બળ લગાડવા માટે કાર્ય કરવું પડે છે. કાર્ય થઈ ગયા બાદ, ઊર્જાનું પદાર્થમાં વહન થાય છે, અને પદાર્થ નવી અચળ ઝડપ સાથે ગતિ કરે છે. વહન પામતી ઊર્જાને ગતિ ઊર્જા કહેવામાં આવે છે.
    ऊँ कार बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना:।
    कामदं मोक्षदं चैव ऊँकाराय नमो नम:॥ પરમાત્મતત્વનું દર્શન માટેની સાધના કોહમ થી સોહમ્ .
    સોહમ્ એટલે કે હું પરમાત્મા છું .ऊँ કારના તરંગો દ્વારા મનની સ્વસ્થતાને એક સંતુલિત સ્તરે લાવી શકીએ છીએ. ધ્યાનમાર્ગે પાંચ ઇન્દ્રિયોના ઘોડા સાથે મન, બુધ્ધિ અને અહમ્‍ને અંદર વાળી આત્મા સુધી પહોંચવાની પ્રક્રિયા જો માનવ શીખી જાય તો અનાહતનાદ સંભળાય જ!

  13. Yamini Vyas said,

    November 25, 2022 @ 6:07 AM

    Wah Neha

  14. Poonam said,

    November 26, 2022 @ 4:41 PM

    કેમ મારી ગતિ થતી જ નથી?
    કેમ, આ ઓમકાર નોખો છે?
    – નેહા પુરોહિત – Aaha !

    Aaswad swadisth sir ji 👌🏻

  15. નેહા પુરોહિત said,

    November 27, 2022 @ 6:53 AM

    મારી આ કૃતિને લયસ્તરો પર પ્રકાશિત કરવા બદલ
    ખૂબખૂબ આભારી છું.
    સાથે જ પ્રોત્સાહક કમેન્ટ્સ માટે સહુ મિત્રોનો
    પણ હ્યદયપૂર્વક આભાર.

  16. Aasofkhan said,

    November 28, 2022 @ 12:50 AM

    વાહ સરસ ગઝલ

  17. Lata Hirani said,

    December 4, 2022 @ 10:41 PM

    કવિતા નોખી તો ખરી !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment