મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કંઈ ડૂસકાં,
અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.?
નયન દેસાઈ

(સતત બદલાય છે) – કુણાલ શાહ

કૈંક અપવાદો નિયમ થઈ જાય છે,
સત્યનો ચહેરો સતત બદલાય છે.

દોડતા રસ્તાના પગ લથડ્યા હશે?
કે પછી કિસ્સો અહીં ફંટાય છે?

જે સમજની કૂખથી જન્મી હતી,
એ સમસ્યા પુખ્ત વયની થાય છે.

આપણા સંબંધ કહેવત પર ગયા,
તેર તૂટે એક જ્યાં સંધાય છે.

સ્પષ્ટતા કરવા ગયો ઘટના વિશે,
કારણો કારણ વિના અકળાય છે.

– કુણાલ શાહ

સરળ ભાષામાં સીધી વાત. વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. સત્યનો ચહેરો સતત બદલાય છે એ વાત પર જરા ભાર મૂકીને વાંચીએ તો તરત જ સાવ સાદો લાગતો મત્લા કેટલો અર્થગહન છે એનો ખ્યાલ આવે છે. સમસ્યાવાળો શેર પણ ઉત્તમ થયો છે. જીવન (આપણા અને ખાસ તો, સામી વ્યક્તિના)ને જેમ આવે એમ સ્વીકારતાં શીખી લઈએ તો દુનિયાની મોટાભાગની સમસ્યાઓ શમી જાય. કારણ વિના ઘટી ગયેલ ઘટનાની સ્પષ્ટતા કરવા જઈએ એમાંથી જ મહદતર સમસ્યાઓ સર્જાતી હોય છે.

2 Comments »

  1. pragnajuvyas said,

    December 29, 2022 @ 12:50 AM

    કવિ કુણાલ શાહ બધા શેર ગમી જાય તેવા છે.
    તેમા મત્લા
    કૈંક અપવાદો નિયમ થઈ જાય છે,
    સત્યનો ચહેરો સતત બદલાય છે.
    ખૂબ ગમ્યો
    યાદ આવે
    ये पाप है क्या, ये पुण्य है क्या, रीतोंपर धर्म की मोहरें हैं
    हर युग में बदलते धर्मोंको कैसे आदर्श बनाओगे
    संसार से भागे फिरते हो, भगवान को तुम क्या पाओगे !
    ડૉ વિવેકનો ગમી જાય તેવો આસ્વાદ

  2. kantilal sopariwala said,

    March 21, 2024 @ 6:14 PM

    જે સમજની કૂખથી જન્મી હતી,
    એ સમસ્યા પુખ્ત વયની થાય છે
    ખુબ સુંદર ભાવ સાથે લખાયેલી
    ગઝલ ગુજરાતી ગઝલો ને હજુ વેગ
    આપવાની જરૂર છે સંગીત સાથે
    મઢવાની જરૂરછે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment