રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હનીફ સાહિલ

હનીફ સાહિલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(સરક્યાં હો જી) – હનીફ સાહિલ

અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી
મારી ભીતર તેજ તમસનાં પ્રગટયાં હો જી

ઊંડે ઊંડે લોહીમાં તરતા પડછાયા
શ્વાસે શ્વાસે અત્તર થઈને મ્હેંકયા હો જી

અધરાતે મધરાતે કોના પગરવથી આ
ઝબ્બ દઈને સમણાંમાંથી ઝબક્યા હો જી

પડછાયાનો સ્પર્શ થતાં અંધારું ગ્હેક્યું
અલકમલકનાં રાજ અમારાં મલક્યાં હો જી

– હનીફ સાહિલ

ચાર જ શેરની ગીતનુમા ગઝલ. હો જીનો હલકાર ભાવકને લયના હીંચકે મજાનું ઝૂલાવે છે. ચારેય શેરમાં અંધારું નજરે ચડે છે. પડછાયો આમ તો અજવાળાને આભારી ગણાય પણ પડછાયો પોતે કદી ઊજળો ન હોય. પડછાયામાં તો અંધારું જ હોય. અંધારાંને અજવાળું લેખાવતા કવિની આ રચના છે, એટલું સમજાય તો ગઝલ પર મોહી પડાય એમ છે. માણસની છાયા લોહીમાં દોડતી થઈ જાય, મતલબ પ્રિયજન આત્મસાત થઈ જાય ત્યારે ઉચ્છ્વાસમાં અંગારવાયુના સ્થાને એની ખુશબૂ મહેંકતી અનુભવાય.

Comments (4)

(રોજ નિશ્ચય કરું તે તૂટે છે) – હનીફ સાહિલ

રોજ નિશ્ચય કરું ને તૂટે છે
આમ છૂટીને કોણ છૂટે છે

જે ક્ષણે હેાઉં છું હું નિદ્રામાં
તે ક્ષણે કોણ પીડ ઘૂંટે છે

આમ એકાંત ઉમટે ભરચક
આમ ખાલીપણુંય ખૂટે છે

એક પળનેા જ માણીએ મેળો
એક પળ હાથથી વછૂટે છે

કેમ કરતાં ગઝલ લખું છું હું
ઘેન જેવું આ કોણ ઘૂંટે છે

શી ખબર શ્વાસની સફર લાંબી
આજ ખૂટે કે કાલ ખૂટે છે

– હનીફ સાહિલ

ટૂંકી બહરમાં મોટું કામ. બધા શેર ઉમદા થયા છે, પણ આપણે પહેલા બે શેર પર નજર નાંખીએ.

નિશ્ચય કરવા એ તો આપણો સ્વભાવ છે જ, પણ લીધેલા નિશ્ચયનું પાલન ન કરવું એય આપણી પ્રકૃતિ છે. આ તો સર્વવિદિત વાત છે. આમાં કોઈ કવિતા નથી. ખરી કવિતા તો આ તથ્યની માંડણી કરી લીધા બાદ કવિએ કરેલા સવાલમાં છે. કવિનો સવાલ એ છે કે નિશ્ચયપાલનમાંથી આપણું રોજેરોજ છૂટી જવું એ ખરેખર છૂટી જવું ગણાય ખરું? ચક્ર નિશ્ચયનું હોય કે બીજી કોઈ પણ બાબતનું, જ્યાં સુધી ચક્રમાં ફેરા મારી રહ્યાં હોઈએ ત્યાં સુધી છુટ્ટા કઈ રીતે કહેવાઈએ? બે સાવ નાની અમસ્તી પંક્તિઓમાં કેવી મોટી વાત!

ઊંઘ અને મૃત્યુ બન્નેમાં એકમાત્ર તફાવત જાગી અને ન જાગી શકાવાનો છે, અન્યથા બંને એકસમાન છે. કવિને સવાલ એ થાય છે કે જે ક્ષણે હું નિદ્રાધીન હોઉં એ ક્ષણે હું સંસારની તમામ પળોજણોથી, પીડાઓથી મુક્ત હોવો જોઈએ, એના બદલે એવું કોણ છે જે મને સુખેથી સૂવા સુદ્ધાં નથી દેતું?

Comments (8)

(રાખે છે) – હનીફ સાહિલ

એ કોઈ રીતે આ અસ્તિત્વ રણમાં રાખે છે
સતત એ દોડતો મુજને હરણમાં રાખે છે

ન તો સંબંધમાં, સંદર્ભમાં કે ઘટનામાં
સતત અભાવના વાતાવરણમાં રાખે છે

સમયની જેમ વહેંચે અનેક હિસ્સામાં
કદી સદીમાં, કદી એક ક્ષણમાં રાખે છે

એ પાસે રાખે છે મુજનેય દૂર રાખીને
ઉપેક્ષામાંય પરંતુ શરણમાં રાખે છે

કદી એ આપે તરસ માંહે તડપવાની સજા
કદી એ નીરથી ખળખળ ઝરણમાં રાખે છે

ન ખુલ્લી આંખમાં રાખે, ન બંધ આંખોમાં
છતાંય રાતદિવસ એ સ્મરણમાં રાખે છે

હનીફ એથી તગઝ્ઝુલ છે તારી ગઝલોમાં
કૃપા છે એની, એ તુજને ચરણમાં રાખે છે

– હનીફ સાહિલ

પરમ કૃપાળુની પરમ કૃપાની અભિવ્યક્તિની ગઝલ….

Comments (5)

ગઝલ – હનીફ સાહિલ

મારા સર્વે ગુમાનથી આગળ,
તીર કોઈ નિશાનથી આગળ.

ત્યાં હતું શહેર એક વસાવેલું,
મારા ઉજ્જડ મકાનથી આગળ.

થાય છે એવી તીવ્ર ઇચ્છા કે,
જઈને રહીએ જહાનથી આગળ.

હોય પંખી ભલે ને પીંજરમાં,
પણ છે દૃષ્ટિ ઉડાનથી આગળ.

શક્ય છે હો જમીન જેવું કંઈક,
દૂર આ આસમાનથી આગળ.

સાથ આપે તને તો લઈ ચાલું,
આ ધરા આસમાનથી આગળ.

દિલ ને દુનિયાની હકીકતથી હનીફ,
છે ગઝલ દાસ્તાનથી આગળ.

– હનીફ સાહિલ

ભલે પિંજરામાં કેદ કેમ ન હોઈએ, પણ દૃષ્ટિ ઉડાનથી, આસમાનથી આગળ હોય ત્યાં સુધી જ કંઈક થવાની સંભાવના જીવતી રહે છે…

Comments (6)

ગઝલ – હનીફ સાહિલ

એકીટશ એકધારી જાગે છે,
આ પ્રતીક્ષા બિચારી જાગે છે.

એકલો હું જ કંઈ નથી જાગૃત,
દ્વાર, ભીંતો, અટારી જાગે છે.

તું ગઈ જાણે કે વસંત ગઈ,
બાગ જાગે છે, ક્યારી જાગે છે.

સ્વપ્ન સળગાવી પાંપણો ઉપર,
કોઈ દીવાને ઠારી જાગે છે.

વાટ જોઈને તપ્ત આ આંખો,
ઓશીકે અશ્રુ સારી જાગે છે.

સાવ સૂમસામ થઈ ગઈ શેરી,
એક એની જ બારી જાગે છે.

કાલ જાગ્યો’તો પ્રતીક્ષામાં ‘હનીફ’,
આજ એની છે વારી, જાગે છે.

– હનીફ સાહિલ

જાગરણની ગઝલ… એક-એક શેર પાણીદાર…

Comments (6)

કોણ છે ? – હનીફ સાહિલ

બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?

લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?

કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?

કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?

કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે અનુત્તર, કોણ છે ?

– હનીફ સાહિલ

જવાબ ભલે ન એકેય આપતો. સવાલો મારા દિલને બેસુમાર દે.

Comments (13)

મોકલું – હનીફ સાહિલ

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું.

તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.

વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.

– હનીફ સાહિલ

ત્રણ શેરમાં વિરહ-ખાલીપણાના ત્રણ વિશ્વ માપી લેતી ગઝલ. આ ગઝલ વાંચતા જ ભગવતીકુમારનો ઉત્તમ શેર તુજને ગમે તો મોકલું ખાલીપણાના ફૂલ / અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું (યાદદાસ્તને આધારે ટાંકેલો આ શેર, યાદ હોય તો સુધારશો.) તરત જ યાદ આવે. વિવેકે આગળ રજૂ કરેલી કબૂલ મને ગઝલ પણ સાથે જોશો.

Comments (9)

કબૂલ મને – હનીફ સાહિલ

કોઈ પણ  હો  ડગર કબૂલ મને,
એની  સાથે  સફર   કબૂલ મને.

એક એનો વિચાર, એનું સ્મરણ
સાંજ  હો  કે  સહર  કબૂલ મને.

કોઈ પણ  સ્થાન તને મળવાનું
કોઈ  પણ  હો પ્રહર કબૂલ મને.

તારી  ખુશ્બૂ  લઈને   આવે  જે
એ  પવનની  લહર કબૂલ મને.

જે  નશાનો  ન  હો  ઉતાર કોઈ
એ  નશીલી  નજર  કબૂલ મને.

ખૂબ  જીવ્યો  છું  રોશનીમાં   હું
આ તિમિરતમ કબર કબૂલ મને.

જેનો આદિ ન અંત હોય ‘હનીફ’
એ  પ્રલંબિત  સફર  કબૂલ મને.

-હનીફ સાહિલ

નખશિખ પ્રણયોર્મિભરી આ ગઝલ ‘કબૂલ મને’ જેવી રદીફના કારણે વાંચતાની સાથે આપણી પોતાની લાગે છે (જે પ્રેમમાં પડ્યા છે એ લોકોને જ, હં!). બધા જ શેર પ્રેમની ઉત્કટ અને બળકટ લાગણીઓ ગઝલના પરંપરાગત સ્વરૂપમાં લઈને આવ્યા છે પરંતુ આખરી બે શેર સાવ મારા હૃદયને અડોઅડ થઈ ગયા. કવિ કઈ કબરની વાત કરે છે? પ્રેમભરી જિંદગીને રોશની કહીને કવિ મર્યા બાદ અંધારી કબરમાં સૂવાની  વાત કરે છે કે પછી દુનિયાદારીને રોશનીની ઉપમા આપી ખુદ પ્રેમને જ અંધારી કબર કહે છે? રોશનીનો અંત હોય છે, કબરમાંના અંધારાનો અંત હોય ખરો? કબરના અ-સીમ અનંત અંધારામાં સૂવું એટલે તિમિરના સનાતનત્વનો કાયમી અંગીકાર. એક એવું વિશ્વ જે ભલે પ્રકાશહીન હોય, કાયમ તમારું થઈને તમારી પાસે જ રહેવાનું છે, જેને કોઈ છીનવી શકવાનું નથી. આજ રીતે આખરી શેરમાં કવિ કઈ અનાદિ અનંત પ્રલંબિત સફરની વાત કરે છે?  પ્રેમના તગઝ્ઝુલથી રંગાયેલી આ ગઝલનો આખરી શેર પ્રણયની ભાવનાને જ ઉજાગર કરે છે કે જીવનની ફિલસૂફીથી છલકાઈ રહ્યો છે? કે પછી પ્રેમ એ જ જીવનની ખરી ફિલસૂફી છે? શેરને આખેઆખો ખોલી ન દેતાં થોડો ગોપિત રાખીને કવિ ગઝલનું કાવ્યત્વ જે રીતે ઊઘાડે છે એ આ ગઝલનો સાચો પ્રાણ નથી?

Comments (29)