ગઝલની વિચક્ષણ લાક્ષણિકતા એ છે કે ઓછામાં ઓછા શબ્દોમાં એ મોટામાં મોટી વાત કહી શકે છે. ટૂંકી બહરની આ ગઝલના તમામ શેર અદભુત થયા છે. તીરના તેજ પ્રહાર વિના સંસારનો નશો ઉતરતો નથી એ સાચું પણ એ વાતનો અહેસાસ આપણામાંથી કેટલાને હોય છે? ઈશ્વર પાસેથી સારું જીવન તો આપણે સહુ માંગીએ છીએ, પણ શિલ્પી જે રીતે છીણી-હથોડી વડે પથ્થરને નિર્મમપણે કોતરીને શિલ્પ સર્જે એ રીતે સર્જનહાર પણ કોઈપણ જાતની દયા દાખવ્યા વિના સ્વયંને મઠારે એવી ઇચ્છા પોતે જ કેટલી મોટી વાત કહેવાય! કોઈના નિઃશ્વાસ ઝીલી લઈ એને સહાયભૂત થવાની મનોકામના પણ સ્પર્શી જાય એવી છે.
February 7, 2026 at 12:03 PM by વિવેક · Filed under કુણાલ શાહ, ગઝલ
આખર તું દોસ્ત છે તો તને ફાવતું કર્યું,
પહોંચી વળાય એમ હતું પણ જતું કર્યું.
વિશ્વાસઘાતનું તને કુરિયર મળ્યું હશે-
તારું હતું એ યાર તને પહોંચતું કર્યું.
ઠલવાઈ જાય એમ હતી લાગણી છતાં
વ્યવહાર સાચવીને જે ઘટતું હતું કર્યું
પહેલાં તો એની સાથે કરી કાલીઘેલી વાત
સપનાને માંડમાંડ અમે બોલતું કર્યું
શોધે સિપાઈ રાતદિવસ એક શખ્સને
જેણે નગરને આજ ફરી વાંચતું કર્યું
– કુણાલ શાહ
ભાષા વહેતી નદી જેવી છે… નદી મૂળથી નીકળે ત્યારે અલગ હોય પણ સમુદ્ર સુધી પહોંચતામાં તો એના રંગ-રૂપ બધું જ બદલાઈ જાય. ભાષા પણ સમયના અલગ-અલગ ખંડોમાં વહેતી જાય એમ એમ એના રંગરૂપ બદલાતા જાય.. નરસિંહથી નીકળીને આજના કિનારાઓ વચ્ચે વહેતી વહેતી આવેલ ગુજરાતી ભાષા પણ કેવી બદલાઈ ચૂકી છે! પરિણામે આજની ગુજરાતી કવિતામાં વિશ્વાસઘાત કરનાર મિત્રને સામો વિશ્વાસઘાત કુરિયરમાં પરત મોકલી શકાય છે. મત્લા અને એના પછીના શેર- બંનેનું ભાવવિશ્વ પરસ્પરથી સાવ વિરુદ્ધ દિશાનું હોવા છતાં ગઝલની સ્વીકૃત વ્યાખ્યા મુજબ એ નિર્વાહ્ય બને છે. સપનાંને બોલતું કરવાવાળા શેરમાં ઉલા મિસરાના ‘પહેલાં’ સાથે સાની મિસરામાં ભાષાકીય દૃષ્ટિએ ‘અમે’ના સ્થાને ‘પછી’ શબ્દપ્રયોગ કદાચ વધુ ઉચિત ગણાય. પણ એનાથી શેરની મજામાં વાંધો નથી પડતો અને આપણને તો એનાથી જ કામ હોય ને! છેલ્લો શેર સરમુખત્યારશાહી તરફ ગતિ કરી રહેલ લોકશાહીને તંતોતંત તાદૃશ કરે છે. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય.
બાવડાનું બળ બિચારું થઈ ગયું,
નાવમાં નખ જેવું બારું થઈ ગયું.
મેં મને મહુડો કર્યો જાહેર ને
ગામ આખ્ખું દારૂ દારૂ થઈ ગયું
એમણે અમથું જ પૂછ્યું, ‘કેમ છો?’
એટલામાં અમને સારું થઈ ગયું
માએ સાર્યાં બે’ક ટીપાં આંસુ ત્યાં
આખ્ખુંયે ઘર ખારું ખારું થઈ ગયું.
હું ગયો ‘નારાજ’ દાંડી પીટવા તો
આ જગત મૂંગું નગારું થઈ ગયું
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
વિશાળ ટાઇટેનિક જેવા જહાજને ડૂબાડવા માટે એક કાણું જ પૂરતું છે… વાત હોડીની છે કે આપણી હયાતિની એ વિચારવા જેવું… નખ જેવડું બારું થઈ જાય તો નાવને બચાવવા કોઈ કારી કામ લાગતી નથી. બીજો શેર ઠીકઠાક છે, પણ ત્રીજો શેર વાંચો અને મિરઝા ગાલિબ યાદ ન આવે એ કેમ બને?-
उन के देखे से जो आ जाती है मुँह पर रौनक़
वो समझते हैं कि बीमार का हाल अच्छा है
પોસ્ટ વાંચીને જાણીતા કવયિત્રી શબનમ ખોજાએ ફહમી બદાયુનીનો એક શેર મોકલી આપ્યો.. એ પણ અહીં ઉમેરી દઉં-
पूछ लेते वो बस मिज़ाज मिरा
कितना आसान था इलाज मिरा
છેલ્લા બે શેર પણ ખૂબ મજાના થયા છે. સરવાળે મૌજ-એ-દરિયા ગઝલ…
ટૂંકી બહરમાં સરસ મજાનું ભરતકામ. એક તો અભિવ્યક્તિ માટેની જગ્યા નાની અને એમાંય મોટાભાગના શેરમાં સર્જકે જંતરમંતર, પર્વત પર્વત, કાંઠેકાંઠા, ડગલેડગલાં જેવા શબ્દયુગ્મો પ્રયોજીને તંગ દોરી પર સમતુલન જાળવવાની વધારાની કસોટી સ્વયં માટે સર્જી છે. મજા એ વાતની છે કે લગભગ બધા જ શેર સાંગોપાંગ સંતર્પક થયા છે. છેલ્લા બે શેરમાં બંને મિસરામાં કાફિયા જળવાયા હોવાથી એ સાની મત્લાની જગ્યા પણ લઈ શક્યા હોત. સર્જકનું તખલ્લુસ ઝરમર હોવાથી મક્તાનો સાની મિસરા તો એમના હસ્તાક્ષર જ જાણે!
કવિતા પસંદ પડવી-ન પડવી એ ભાવકની જે તે સમયની મનોસ્થિતિ પર અવલંબે છે. એની એ કવિતા ક્યારેક વાંચતાવેંત ખૂબ જ ગમી જાય અને ક્યારેક દીઠી ન ગમે એવું બની શકે. આ ગઝલ પહેલી વાર વાંચી હતી ત્યારે મન મોહી ગયું હતુ. આજેય પહેલા ત્રણ શેર એ જ રીતે મોહે છે, પણ ચોથો શેર થોડો સાધારણ લાગ્યો ને વળી પાંચમો શેર એવો જ સરસ. વાદળની બાધા રાખી આકાશમાંના ચાંદને અદૃશ્ય કરાવી કેવળ ચંદ્રમુખી પ્રિયાને જ નજર સન્મુખ રાખવાની વાત જ કેવી સરસ! અને વાદળની બાધા જેવો અનૂઠો પ્રયોગ તો જગદીપા નાણાવટી જેવા હટ કે ગઝલકાર જ કરી શકે…
ગઝલનો એક ફાયદો છે. જે કહેવું હોય એ બે પંક્તિમાં સમેટી લેવાનું. ગીત કે સૉનેટની જેમ લાંબું મમળાવવું નહીં પડે. પણ આ ફાયદો જ એક પડકાર પણ છે. જે કહેવું હોય એ બે પંક્તિમાં કહી જ દેવું પડે. ત્રીજી પંક્તિનો અવકાશ મળે નહીં. અને એમાંય કવિ ટૂંકી બહર પસંદ કરે એટલે તો આ પડકાર પહાડ જેવો થઈ જાય… પ્રસ્તુત ગઝલમાં પ્રવર્તમાન ચાલ મુજબ પાંચ શેર કહીને અટકી જવાના બદલે કવિએ નવ-નવ શેર કહ્યા છે, પણ આનંદ એ વાતનો છે કે આ નવ શેર નવસેરા હાર જેવા થયા છે…
સશક્ત હો ભૂજા અને સમર્થ સારથિ છતાં
વિશાદભાવ ઉદ્ભવે તું બેધડક સવાલ કર!
– ભાર્ગવ ઠાકર
* * *
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.
સંવાદનો અભાવ એ પ્રવર્તમાન સમાજની કદાચ સૌથી વિકટ સમસ્યા છે. માણસ ભીતર જે અનુભવે છે એ સામી વ્યક્તિ સાથે સહિયારતા ડરે છે. અને સવાલ? રામ રામ… સવાલ પૂછવાનો ડર તો એથીય મોટો… એટલે જ કવિ સીધા મૂળમાં જ ઘા કરે છે. કહે છે- ‘તું બેધડક સવાલ કર!’ હવે મૌન પાલવે એમ જ નથી, કેમ કે સમય જ વિકટ છે… સ્વીકાર કે ઇનકાર જીવન-મરણનો પ્રશ્ન કેમ ન બની ગયો હોય, સવાલ જ નહીં કરો તો વાતનો નિવેડો કઈ રીતે આવશે? ત્રીજો શેર સાધારણ થયો છે, પણ સીતાની અગ્નિપરીક્ષા અને અર્જુનના વિષાદયોગના સંદર્ભ સાથે લખાયેલ છેલ્લા બે શેર સરસ થયા છે.
December 19, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
તને ગઝલ કઊં કે ગઝલિકા
હે શમણિકા હે નમણિકા!
રૂમઝૂમ રૂમઝૂમ વહે નિશિકા
ને મર્મરતી મધુર પરણિકા!
સબદઅરથ ઔર સબ જવનિકા
સરકાવી દે, અભિસારિકા!
ના સુરભી કે સુરખી વચમાં
ઔર ઔર નજદીક, નજદિકા!
મિટાવ અંતર ને તર થૈ જા…
હે રમણી હરણી તરલિકા!
પ્રિયે! મિલનની ટગલી ડાળે
નહિ લલિત કે નહિ લલિતિકા!
ગઝલ કહી મેં એમ લલિતજી
પૂરપાટ મધ્યે તરણિકા!
– લલિત ત્રિવેદી
ગઝલકારોનો મેળો જામ્યો છે.. કેટલાક ગઝલકાર ગઝલના અંતસ્તત્ત્વની મદદથી આગળ આવે છે, તો કેટલાક દમામદાર રજૂઆતને લઈને ખ્યાતિ પ્રાપ્ત કરે છે… કેટલાક પ્રદેશવાદના કારણે નોખા તરી આવે છે તો કેટલાક જૂથવાદના કારણે તરી જાય છે… પણ વ્યવસાયે તબીબ એવા લલિત ત્રિવેદી કોઈપણ જાતનો ઉહાપોહ કર્યા વિના એક ખૂણામાં બેસીને ગઝલસાધના કરે છે… ગઝલકારોના મેળામાં તેઓ એવી ભાતનાં વસ્ત્રો ધારીને સંમિલિત થયા છે કે દૂરથી જ નોખા તરી આવે… એમની ગઝલ જોતાવેંત ખ્યાલ આવે કે કંઈક અલગ જ ચીજ હાથ ચડી છે… એમની ભાષા અને આવશ્યકતા મુજબ નવતર કાફિયા ઘડી કાઢવાની આવડત એમને બધાથી અલાયદા સિદ્ધ કરે છે… લયસ્તરો પર આપણે અગાઉ પણ એમની રચનાઓ સાથે પરિચય કેળવ્યો જ છે… આજે એ પરિચય વધુ ગાઢ બનાવીએ…
નયનભાઈના કહેવા મુજબ તેઓ મૂળે તો ઉર્દૂના જ કવિ હતા, પણ પછી ગુજરાતીમાં આવ્યા. ઉર્દૂ ગઝલના પ્રેમવશ એમણે શરૂમાં ‘જફર વાલોડી’ તખલ્લુસ પણ રાખ્યું હતું અને આ પ્રેમને ખાતર જ તેઓ ખાસ ઉર્દૂ શીખ્યા પણ હતા. ૧૯૯૩માં એમનો એકમાત્ર ઉર્દૂ ગઝલસંગ્રહ ‘ધૂપ કા સાયા’ પ્રગટ થયો હતો, જેને ઉર્દૂ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. ભાષા ગુજરાતી હોય કે પછી ઉર્દૂ, નયન દેસાઈ છૂપ્યા છૂપાતા નથી. સંગ્રહમાંથી એક ગઝલ આજે લયસ્તરોના ભાવકો માટે…
सारे जहाँ से अच्छा हिन्दोस्ताँ हमारा
हम बुलबुलें हैं इस की ये गुलसिताँ हमारा
ग़ुर्बत में हों अगर हम रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा
(गुर्बत = પરદેશ,ઉદાસી)
पर्बत वो सब से ऊँचा हम-साया आसमाँ का
वो संतरी हमारा वो पासबाँ हमारा
गोदी में खेलती हैं इस की हज़ारों नदियाँ
गुलशन है जिन के दम से रश्क-ए-जिनाँ हमारा
( रश्क-ए-जिनाँ = સ્વર્ગને પણ ઈર્ષ્યા થાય તેવું)
ऐ आब-रूद-ए-गंगा वो दिन है याद तुझ को
उतरा तिरे किनारे जब कारवाँ हमारा
(आब-रूद-ए-गंगा=ગંગાનો પ્રવાહ)
मज़हब नहीं सिखाता आपस में बैर रखना
हिन्दी हैं हम वतन है हिन्दोस्ताँ हमारा
यूनान ओ मिस्र ओ रूमा सब मिट गए जहाँ से
अब तक मगर है बाक़ी नाम-ओ-निशाँ हमारा
कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा
(दौर-ए-ज़माँ=કાળનું ચક્ર)
‘इक़बाल’ कोई महरम अपना नहीं जहाँ में
मालूम क्या किसी को दर्द-ए-निहाँ हमारा
(महरम=વર્જિત, બીજો અર્થ:ભરોસાપાત્ર વ્યક્તિ;. दर्द-ए-निहाँ=છૂપું દર્દ)
-अल्लामा इक़बाल
પ્રસ્તુત શ્રેણીમાં આપણે આઝાદીના જંગ સાથે જોડાયેલી બે યુગપ્રવર્તક રચનાઓ માણી – વંદે માતરમ્ અને સરફરોશી કી તમન્ના – કે જે બંને એક પ્રકારનો યુદ્ધઘોષ બની ગઈ હતી. આજની રચના એ કોઈ યુદ્ધઘોષ નથી,કોઈ ક્રાંતિકારીની ત્રાડ નથી….આ એક કોમળ સુમધુર તરાના છે જેને “તરાના-એ-હિંદ” નામ હેઠળ પાકિસ્તાનના રાષ્ટ્રકવિ ઈકબાલે ગાયું હતું…
પ્રથમ આ હ્રદયસ્પર્શી નાજુક ગઝલ વિશે વાત કરીએ – આ ગઝલને કોઈ અનુવાદ અથવા ટિપ્પણીની જરૂર જ નથી-આ તો દરેક હિન્દુસ્તાનીના દિલમાં વસેલી છે. “મજહબ નહીં સિખાતા…” શેર તો યાવત્ચંદ્રદિવાકરૌ અમર છે. “ગુર્બત મેં હો અગર હમ….” શેર પણ એ જ કક્ષાનો છે. સમગ્ર ગઝલ જ હ્રદયની વાણી છે.
આ ગઝલ સૌપ્રથમ ૧૬ ઓગસ્ટ ૧૯૦૪ ના રોજ “ઈત્તેહાદ” નામક સાપ્તાહિકમાં પ્રગટ થઈ. અલ્લામાએ મૂળે આ બાળકોને માટે રચેલી. તેઓએ પોતે જ ૧૯૦૫ માં લાહોર ગવર્નમેન્ટ કોલેજમાં પ્રવચનના સ્થાને માત્ર ગઝલ સંભળાવી. સમય બંગભંગ ચળવળનો હતો – સમગ્ર અખંડ ભારતે તેને વધાવી લીધી. બાપુને તો એ એટલી ગમી ગઈ કે તેમણે ૧૯૩૦ યરવાડા જેલમાં ૧૦૦થી વધુ વખત ગાઈ ! ત્યાર બાદ પંડિત રવિશંકરે આશરે ૧૯૪૫ આસપાસ તેને સંગીતબદ્ધ કરી. હાલ પણ આ રચના ભારતીય સૈન્યની ક્વિક માર્ચની ધૂન છે.
Yuval Noah Harari એ લખ્યું છે તેમ તમામ સંસ્કૃતિઓ/સભ્યતાઓ પોતાની સંસ્કૃતિ/સભ્યતાને શ્રેષ્ઠ અને સૌથી પુરાતન માને છે. તે જ સંવેદના આ ગઝલમાં અભિપ્રેત છે. પરંતુ અંગત રીતે મને આ ગઝલ વારંવાર વાંચતા આખી ગઝલમાં એક unmistakable ગર્ભિત વિષાદનો ભાવ અનુભવાય છે-કદાચ હું ખોટો પણ હોઉં. એક શક્યતા એ પણ ખરી કે જે તે સમયની માભોમની બદહાલીને લીધે આ ભાવ હોઈ શકે. જે પણ હોય – સમગ્ર રચના કાવ્યદ્રષ્ટિએ તમામ રીતે ઉત્કૃષ્ટ છે એમાં બેમત નથી. લોકહ્રદયે બિરાજે તે જ ઉત્તમ સાહિત્ય !!
હવે થોડી વાત અલ્લામા ઇકબાલ વિશે કરીએ – હું બહુ જ સભાનતાપૂર્વક કહું છું કે ગાલિબની કક્ષાનું ફિલોસોફિકલ ઊંડાણ મને માત્ર ઈકબાલમાં જ દેખાયું છે. તેઓનો અંદાઝે-બયાં પણ ગાલિબને ટક્કર આપે તેવો છે. તેઓનું ખાસ્સું ક્લિષ્ટ ઉર્દૂ હોવા છતાં મેં ખૂબ મહેનતે સમગ્ર “કુલ્લિયાત-એ-ઈકબાલ” વાંચી છે અને અભિભૂત થયો છું. કદાચ “તરાના-એ-હિંદ” તેઓનું અંતિમ સર્જન હતું કે જે અખંડ ભારતમાતાની સ્તુતિ હતું – ત્યારબાદ તેઓ ત્રણ વર્ષ યુરોપ જાય છે અને તેઓની સંપૂર્ણ વૈચારિક કાયાપલટ થઈ જાય છે – એક નોંધ અનુસાર તેઓને “તરાના-એ-હિંદ” રચવા બદલ કચવાટ પણ થયો હતો !!! યુરોપયાત્રા પછી તેઓ ધાર્મિક કટ્ટરવાદ તરફ ધીમી પણ ચોક્કસ ગતિએ આગળ વધે છે જે તેઓના ગદ્ય લખાણોમાં સ્પષ્ટ દેખાય છે. વળી તેઓ સામ્યવાદના રંગે પણ આ જ અરસામાં રંગાય છે.
મેં તે બધું લખાણ પણ વાંચ્યું પરંતુ તેઓની વૈચારિક કાયાપલટનું કારણ હું કદી સમજી નથી શક્યો. ૧૯૩૦ના મુસ્લિમ લીગના રાષ્ટ્રીય અધિવેશનમાં તેઓનું અતિપ્રખ્યાત વ્યાખ્યાન કે જેમાં તેઓ ધર્મ આધારિત અલગ રાષ્ટ્રની રચનાના ખ્યાલનો મજબૂત પાયો નાંખે છે અને મુસ્લિમ લીગ તેને પૂરા ઉત્સાહથી વધાવી લે છે. અલ્લામા પાકિસ્તાનના “વૈચારિક પિતા” કહેવાય છે. મોપિલાહ હિંદુ જિનોસાઈડ અને “રંગીલા રસૂલ” પ્રકરણમાં પણ તેઓની ધાર્મિક કટ્ટરતા સમગ્ર દેશ જૂએ છે. ૧૯૩૮માં તેઓના અવસાન સુધી તેઓ કટ્ટરવાદનું સતત સમર્થન કરતા રહે છે અને અખંડ ભારતના ખ્યાલનો ઉઘાડો ઉપહાસ કરે છે. તેઓ મુસ્લિમ લીગની મિટિંગમાં ગાંધીજીને “અત્યંત ચાલાક અને ખતરનાક ચુસ્ત હિંદુ” તરીકે વર્ણવતા અને ગાંધીજીને સતત ગહેરા સંશયની દ્રષ્ટિએ જોતા પરંતુ જાહેરમાં કદી એ વિશે કંઈ બોલ્યા નથી.
આપણું ખૂબ જ પ્રિય પાત્ર અચાનક જ આપણી ધારણા કરતાં તદ્દન વિરુદ્ધ વર્તન અખત્યાર કરે ત્યારે આપણને જેવો ઊંડો આઘાત લાગે તેવો મને આ બાબતે સતત લાગતો આવ્યો છે. ખૂબ જ દુઃખ થાય કે અલ્લામા આવું કઈ રીતે કરી જ શકે……
આ દુખદ પરિવર્તનને નજરઅંદાજ કરીએ તો અલ્લામાની પ્રતિભા અને અવિસ્મરણીય વારસા માટે તેમને દિલથી સલામ છે….તેઓની અતિપ્રસિદ્ધ બે નઝમો – “ शिकवा “ અને “ जवाब-ए-शिकवा “ ઈસ્લામિક ટ્રેડિશનમાં એક અદભૂત બેન્ચમાર્ક છે – નુસરતસાહેબે આ બંને જબરદસ્ત લાક્ષણિક અંદાજમાં ગાઈ છે….હિંદુસ્તાન જ્યાં સુધી છે ત્યાં સુધી “સારે જહાં સે અચ્છા….” ગઝલ ગુંજતી જ રહેવાની છે….
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाज़ू-ए-क़ातिल में है
સરળ અર્થ છે.
ऐ शहीद-ए-मुल्क-ओ-मिल्लत मैं तिरे ऊपर निसार
ले तिरी हिम्मत का चर्चा ग़ैर की महफ़िल में है
ઐ દેશ અને ધર્મ ઉપર શહીદી વહોરનાર ! હું તારા પર કુરબાન છું, તારી હિંમતની ચર્ચા દુશ્મનોની મહેફિલમાં પણ છે !
वाए क़िस्मत पाँव की ऐ ज़ोफ़ कुछ चलती नहीं
कारवाँ अपना अभी तक पहली ही मंज़िल में है
હાય આ પગોની કિસ્મત…અશક્તિ જરાય ચાલે તેમ નથી,હજુ તો આપણો કારવાં પહેલા પડાવ પર છે….ઘણો લાંબો રસ્તો બાકી છે….
रहरव-ए-राह-ए-मोहब्बत रह न जाना राह में
लज़्ज़त-ए-सहरा-नवर्दी दूरी-ए-मंज़िल में है
મહોબ્બતના માર્ગના યાત્રી ! તું ક્યાંક રસ્તે અટકી ન જતો – રણમાં રખડવાની મજા તો મંઝિલ દૂરસુદૂર હોય તો જ છે.
शौक़ से राह-ए-मोहब्बत की मुसीबत झेल ले
इक ख़ुशी का राज़ पिन्हाँ जादा-ए-मंज़िल में है
મહોબ્બતની રાહની મુસીબતો પ્રસન્નતાથી સહી લે….આનંદનું એક રહસ્ય મંઝિલ પર પહોંચવાના રસ્તામાં છૂપાયેલું છે.
आज फिर मक़्तल में क़ातिल कह रहा है बार बार
आएँ वो शौक़-ए-शहादत जिन के जिन के दिल में है
આજે વધસ્તંભ ઉપર જલ્લાદ વારે વારે કહી રહ્યો છે – જેના જેના હૈયે સરફરોશીનો ઉન્માદ હોય તે આવો !
मरने वालो आओ अब गर्दन कटाओ शौक़ से
ये ग़नीमत वक़्त है ख़ंजर कफ़-ए-क़ातिल में है
વધ થનારાઓ આવો….ઉત્સાહભેર ગરદન કપાવો – આ જ યોગ્ય સમય છે,કાતિલના હાથે ખંજર છે.
माने-ए-इज़हार तुम को है हया, हम को अदब
कुछ तुम्हारे दिल के अंदर कुछ हमारे दिल में है
લજ્જા તારા બયાનમાં બાધા છે અને મારા માટે બાધક છે મારી તમીઝ….કંઈક તારા દિલમાં છે કંઈક મારા દિલમાં.
मय-कदा सुनसान ख़ुम उल्टे पड़े हैं जाम चूर
सर-निगूँ बैठा है साक़ी जो तिरी महफ़िल में है
મયકદા સુમસામ છે,સુરાહી ઉલટી પડેલી છે અને પ્યાલા ચૂરેચૂરા છે…તારી મહેફિલમાં સાકી સર ઝૂકાવી નિરાશ બેઠો છે ( પીઠામાં તબાહીનો માહોલ છે )
खींच कर लाई है सब को कत्ल होने की उम्मींद,
आशिकों का जमघट आज कूंचे-ऐ-कातिल में है **
સરળ અર્થ છે.
वक्त आने दे बता देंगे तुझे ऐ आसमां,
हम अभी से क्या बतायें क्या हमारे दिल में है **
અર્થ સરળ છે
अब न अगले वलवले हैं और न वो अरमाँ की भीड़
सिर्फ़ मिट जाने की इक हसरत दिल-ए-‘बिस्मिल’ में है
હવે કોઈ બેસબરી નથી,નથી અરમાનોની ભીડ…હવે “બિસ્મિલ”ના હૈયે માત્ર મરી ફીટવાની તમન્ના છે….
– બિસ્મિલ અઝીમાબાદી
(ભાવાનુવાદ: તીર્થેશ મહેતા)
આ અમર ગઝલ લખાઈ હતી ૧૯૨૧ માં અને અખંડ ભારતની ધડકન બની ગઈ ૧૯૨૫ અને ૧૯૨૭ની આજુબાજુમાં. આ ગઝલના શાયરનું કોઈ પુસ્તક પ્રકાશિત હોવાનું જાણમાં નથી,તેઓની ડાયરીમાં અગિયાર શેરની આ ગઝલ સચવાયેલી હતી. સમય સાથે આ ગઝલમાં અમુક શેર અજ્ઞાત હસ્તોએ ઉમેરાયા છે,કોઈકે આ આખી ગઝલને અમુક ફેરફાર સાથે નઝમના સ્વરૂપમાં આલેખી છે ( જે પણ સુંદર છે ) અને ૫-૬ હિન્દી પિક્ચરમાં પણ આ ગઝલના અમુક ભાગ લેવાયા છે – એટલે ચોક્કસપણે મૂળ ૧૧ શેર ક્યા છે તે બાબતે કોઈ એકમત નથી. મેં અહીં કુલ ૧૨ શેર લીધા છે અને જે પંક્તિઓ જરાપણ બંધબેસતી નથી તેને અવગણી છે. ** નિશાન ધરાવતા શેરની અધિકૃતતા શંકાસ્પદ છે. એ સિવાયના શેર ચોક્કસપણે આ શાયર વડે રચાયા છે.
૧૯૨૫માં થયેલા “કાકોરી ટ્રેન રોબરી” નામના એક દિલધડક ક્રાંતિકારી હુમલા માટે જવાબદાર રામપ્રસાદ બિસ્મિલ અને તેઓના સાથીઓની ગિરફતારી બાદ તેઓએ કોર્ટમાં બચાવ દરમ્યાન કઠેડામાંથી આ ગઝલનો મત્લો બુલંદ સ્વરે લલકાર્યો હતો એવી પણ નોંધ છે અને ૧૯૨૭માં તેઓની ફાંસીની સજાના અમલ ટાણે અંતિમ ક્ષણોમાં ફાંસીના માંચડેથી પણ આ જ મત્લો લલકાર્યો હતો તેવી પણ નોંધ છે – અને આ ઘટના આ ગઝલને અખંડ ભારતના દિલની ધડકન બનાવી દે છે….મા ભારતીના સપૂતોના હૈયે અને હોઠે આ શેર સતત પ્રેરણાસ્ત્રોત બનતો રહે છે… વળી,ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ અને શાયરની અટક એક જ હોવાથી હજુ આજેપણ અમુક લોકો આ ગઝલના શાયર રામપ્રસાદ બિસ્મિલને માને છે 😁😁
કવિતાની આ જ ખરી તાકાત છે – અમુક કવિતામાં ઇતિહાસના પાનાં પલટી નાંખવાની ક્ષમતા હોય છે. સામાન્ય રીતે કવિતા માનવીના જીવનના એક અંગત ખૂણાની સાથી/સાક્ષી હોય છે,પરંતુ આવી અમુક યુગપ્રવર્તક રચનાઓ રાષ્ટ્રીય/સામાજિક ચેતનાને ઝંઝોડી મૂકતી હોય છે. “વંદે માતરમ્” કક્ષાની આવી કવિતાઓ માત્ર કવિતા નથી રહેતી,એ લોહીમાં વણાઈ જાય છે.
અંગત રીતે મને કોઈપણ આઈડિયોલોજી/આદર્શ માટે સાચા અર્થમાં જાનની બાજી લગાવનાર સરફિરાઓ માટે કૂણી લાગણી રહી છે. અમુક સંજોગોમાં કદાચ તેઓની આઈડિયોલોજીનું હું સમર્થન ન પણ કરતો હોઉં,પણ તેઓની જાનફેસાનીની ઈમાનદાર તૈયારી માટે હ્રદય હંમેશા સલામ કરવા ઉભું થઈ જાય. હું જાણું છું કે નક્સલવાદીઓની આઈડિયોલોજી સાચી નથી-પણ તેઓ માટે ઘ્રુણા નથી થતી. એ લોકો પણ ભારતમાતાના જ સંતાનો છે અને એક તક આપવી જોઈએ એવો વિચાર આવે. પોતાના વિચાર માટે જાન કુરબાન કરવા સિંહનું જિગર જોઈએ. રામપ્રસાદ બિસ્મિલ અને તેમના વીર સાથીઓની મન:સ્થિતિ અંગે સદાય કૌતુક થાય કે તેઓ કેવા પ્રચંડ મનોબળના સ્વામી હશે જે લોકો જીવનની અંતિમ ક્ષણે આ મત્લો લલકારે….!!!!
આઝાદ ભારતે ૧૯૪૭ બાદ સતત પોતાના સશસ્ત્ર ક્રાંતિકારીઓને હડહડતો નીચતાપૂર્ણ અન્યાય કર્યો છે. રાજનૈતિક લાભ ખાટવાના મલિન ઈરાદે આઝાદીના આવા અપ્રતિમ વીરતા બતાવનારા સશસ્ત્ર ક્રાંતિકારીઓને કદી ઉચિત સન્માન નથી આપ્યું તેમજ બહુ જ જૂજના કુટુંબીજનોને કોઈ સરકારી સહાય મળી છે. નહેરુંએ પોતે પોતાની જાતને ભારતરત્ન ૧૯૫૬ આસપાસ સત્વરે આપી દીધો પરંતુ એકપણ સશસ્ત્ર ક્રાંતિકારીને ભારતરત્ન કોઈપણ સરકારે આપ્યો નથી-સુભાષચંદ્ર બોઝને પણ નહીં !!! મા ભારતીની સેવામાં કોનું યોગદાન મોટું – સુભાષબાબુનું કે રાજીવ ગાંધીનું ????? આઝાદ હિંદ ફોજના સૈનિકોને આઝાદ ભારતની ફોજમાં સમાવવામાં ન આવ્યા એટલું જ નહીં – અમુક સૈનિકો ઉપરના ક્રિમિનલ કેસ પણ પરત લેવામાં નહોતા આવ્યા !!! આઝાદ ભારતના બાળકોને એક જ પિપૂડી સંભળાવવામાં આવી કે – “ દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ,સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ “ !!! જાણે કે સશસ્ત્ર ક્રાંતિકારીઓનો કોઈ ફાળો કદીપણ કશે જ હતો જ નહીં !! એક ભગતસિંહના અમર ક્રુત્યએ એવી પ્રચંડ રાષ્ટ્રીય ચેતના જગાવી હતી કે જેની સરખામણીએ સમગ્ર કોંગ્રેસના તમામ કાર્યક્રમો પાણી ભરે છે !!! તો આવા તો કેટલા ભગતસિંહ મા ભારતીની કૂખ ઉજાળી ચૂક્યા છે !! અત્રે અહિંસક ચળવળનો કોઈ વિરોધ નથી પરંતુ ૧૯૪૭ બાદની સરકારોની અંગત લાભ ખાટવા આવા અકલ્પ્ય બલિદાનોને કુટિલતાપૂર્વક નજરઅંદાજ કરવાની દુષ્ટ પેરવીની ભર્ત્સના છે.
આ ગઝલ “વંદે માતરમ્”ની સાથે સાથે તે સમયનો એક યુદ્ધઘોષ બની ગઈ હતી….આજે પણ આ ગઝલનું પિક્ચર “રંગ દે બસંતી” માં કરવામાં આવેલું ભાવવાહી પઠન આપણા રૂંવાડાં ખડા કરી દે છે….
કવિતાનું શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશ કરવા માટેનો દરવાજો ઉઘાડી આપે છે. ‘ગઝલ હાર્મની’ શીર્ષક પરથી ખ્યાલ આવે કે ગઝલના પરંપરાગત અંગોમાં હાર્મની- સંવાદિતા, સૂરસામંજસ્ય, સ્વરૈક્ય ઉમેરવાની વાત ગઝલના કેન્દ્રમાં હોવી ઘટે. ગઝલની શરૂઆત હિંડોળાથી થાય છે અને ગઝલમાં હિંડોળાને ધક્કો દેતી વેળાના ‘હેઈ હો! હેઈ’ ‘હેઈ હો! હેઈ’ ઉદગારની હાર્મની પણ સિદ્ધ થઈ છે. કવિએ દરેક શેરમાં ઉલા મિસરામાં ‘હેઈ હો’ અને સાનીમાં ‘હેઈ’ ઉમેરી સાચા અર્થમાં હાર્મની સર્જી પણ બતાવી છે. ઉલાના ‘હેઈ હો!’ના પોકારને સાનીનો ‘હેઈ’ આબાદ ઝીલી લે છે.
કવિના બચવાની એકમેવ શરત છે કે કવિતા ડંખ ન મારે! પણ એ તો બનવાનું નથી. સર્જક બચી જવાની વાત તો કરે છે, પણ સર્જકની તો વાતો સુદ્ધાં કવિતા જેવી હોય. ઉપરથી કંઈ કહે પણ અંદરથી અર્થ કંઈ અલગ જ હોવાનો. એમ ન હોય તો છંદોની સાંઢણીને ઉપર તુર્ત જ સવાર થઈ શકાય એમ નમાવીને નહીંતર શીદ તૈયાર રાખી હોય? છંદોની સાંઢણીને ઝોકારવાની વાત કવિતાની રીતે તો ઉત્તમ છે જ, પણ વ્યવહારમાં ઘસાતા શબ્દોને કવિતાની કલાઈ કરીને ઊજળા-ચળકતા રાખવાની કવિની મથામણની પણ એ દ્યોતક છે. ત્રીજો શેર મૂળ સંગ્રહમાં આ મુજબ છે:
નિયમ છે હેઈ હો, હંમેશ હું ઊઠી જાઉં
સવારે કેમ હેઈ? ઘટના બને એ ગોઝારી.
નયન-ઑમ્નિબસ ‘નયનનાં મોતી’ના પ્રકાશનકાળે કવિએ આ શેર શા માટે બદલી નાંખ્યો એ કોયડો છે. મૂળ શેરમાં ઉલા-સાનીની હેઈ હો-હેઈની સાંકળી પણ જળવાઈ રહેલ છે અને કાફિયો પણ દુરસ્ત છે, જ્યારે નવ્ય સંસ્કરણમાં સાંકળી તો તૂટે જ છે, નજીવો કાફિયાદોષ પણ થયો છે. સ્વતંત્ર શેર તરીકે જો કે બંને જ સંતર્પક છે, મૂળ શેર કદાચ થોડો વધારે.
એક તો આ છંદ પરત્વે ગુજરાતી ગઝલકારોનું વલણ પહેલેથી જ સહેજ ઓરમાયું ને ઉપરથી ‘જીવ્યા કરવાનું’ જેવી અનૂઠી રદીફનો પડકાર ઝીલી ચુસ્ત કાફિયા વડે રચાયેલ દુરસ્ત ગઝલ– એટલે મારે તો પહેલી નજરના પ્રેમમાં પડવા જેવું થયું. ગઝલના પાંચેય શેર સંતર્પક થયા છે.
November 22, 2025 at 11:11 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી!
ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી!
કદી તારી ભાવસભર નજર, એ હકાર કેમ થતી નથી?
ને કદી કળાય ઉપેક્ષા જે એ નકાર કેમ થતી નથી?
બધી બારીઓને ઉઘાડી મેં, તે છતાં પ્રવેશી ન ખુશબૂઓ
અને ઘરમાં છે જે હવડ હવા તે ફરાર કેમ થતી નથી?
ખુશી સ્વાંગ બદલીને જે રીતે સદા વેદના બની જાય છે,
કદી રૂપ બદલી, મનોવ્યથા! તું કરાર કેમ થતી નથી?
મને ખ્યાલ છે કે આ જિંદગી એ ગતિનું નામ છે તે છતાં
એ રઝળવું કેમ બની જતી? એ લટાર કેમ થતી નથી?
કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા,
એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી?
– હર્ષવી પટેલ
હર્ષવી પટેલ ગુજરાતી ગઝલની તેજસ્વી આજ છે. આપણી ભાષામાં પ્રમાણમાં જૂજ ખેડાયેલ કામિલ છંદમાં એક સરસ મજાની ગઝલ તેઓ લઈ આવ્યાં છે. આખેઆખી રચના જ આસ્વાદ્ય થઈ છે… દરેક શેર હળવેથી હાથમાં લેવા જેવા… મને જો કે ફરાર-કરાર અને લટાર સવિશેષ ગમ્યા.. બધી જ બારીઓ ખોલી નાંખવા છતાં બહારથી ખુશબૂ અંદર ન આવે અને અંદરની હવડ હવા બહાર ન નીકળી જાય એ પરિસ્થિતિ આપણે સહુએ ક્યારેક ને ક્યારેક અનુભવી જ હશે. ખોલવા ને ખૂલવામાં ક્યાંક કોઈક ઉણપ રહી ન ગઈ હોય તો આ બને નહીં. ખુશી અને વ્યથાને સર્જક જે સવાલ કરે છે, એય મજાનો છે. ખુશીને નાનકડી વાતે દુઃખ બની જતાં વાર નથી લાગતી, પણ વ્યથા શા માટે આ જ નિયમ અપનાવીને ખુશીમાં નથી ફેરવાતી? રઝળવું અને લટાર તો ભઈ વાહ!
ખરી કવિતા જ એ જે સાંપ્રત સમયના પડઘા ઝીલે… આપણે ભણતાં હતાં ત્યારે ચોમાસુ ચાર મહિનાનું ગણાતું અને વરસાદ પણ પાઠ્યપુસ્તકની શિસ્તનું પાલન કરતો. પણ હવે વારે-તહેવારે સમુદ્રમાં સર્જાતા દબાણોના પ્રતાપે વિદેશોની જેમ આપણે ત્યાં પણ વરસાદ ગમે ત્યારે આવતો થઈ ગયો છે. આ વરસે તો હજી એની બેટિંગ પૂરી થતી નથી. બારમાસી થઈ ગયા જણાતા વરસાદને કવિએ મત્લામાં આબાદ ઝીલી બતાવ્યો છે. વાત તો બારેમાસ રોજેરોજ વરસતા રહી તરબતર રાખતી પ્રિયજનની યાદોની છે, પણ રૂપક તરીકે કવિએ ઋતુરાજની પ્રવર્તમાન પરિસ્થિતિને ખપમાં લીધી છે… દસેક વર્ષ પહેલાં લયસ્તરો પર કવિની જ એક ગઝલ પ્રગટ કરી હતી… એમાં વરસાદ માપસર પડતો ન હોવાની ફરિયાદ હતી. આજના આ બારમાસી વરસાદ સાથે એ વરસાદને પણ સાથોસાથ સરખાવી જોજો.
વાત અને સંવાદ વચ્ચેનો તફાવત પણ કવિએ કેવી હળવાશથી સમજાવ્યો છે! વાત સમ-વાત ન થાય ત્યાં સુધી બધું નકામું. બે જણ વચ્ચે વાત નહીં, સમ-વાદ થાય ત્યારે સાથે હોવું સાર્થક થાય. ચોથો શેર પણ મત્લાની જેમ સ્મૃતિલોકનો જ મહિમા કરે છે.
કોઈપણ દેશકાળમાં સાહિત્ય જે તે સમયના સમાજનો સાચો અરીસો કહેવાય છે. નયનભાઈની રચનાઓ આ બાબતમાં પ્રતીતિકર કહી શકાય. આસપાસના સમાજની બોલી અને રિવાજોને એમણે પોતાની કવિતાઓમાં અમરત્વ બક્ષ્યું છે. ‘ઘેરિયા ગઝલ’ એનો એક દાખલો છે.
અત્યારે નવરાત્રિ ચાલે છે એ નિમિત્તે આ રચના પ્રસ્તુત પણ ગણાશે. ઘેરિયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ. તાપીથી વાપી – દક્ષિણ ગુજરાતના હળપતિઓ નવરાત્રિથી દેવદિવાળી સુધી માતાની આરાધના માટે ૨૦થી ૨૫ના સમૂહમાં, અર્ધનારીનો વેશ ધારી ગામેગામ અને ઘરેઘરે ફરીને ઘેર, ઘેરિયા કે ઘેરૈયા નૃત્ય કરે છે. ઘેરિયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ. ગળામાં મણકા-મોતી કે ગલગોટાનો હાર, કમરે ઘૂઘરા, કેડે કંદોરો, આંખે કાજળ, પગમાં ઝાંઝર, કાનમાં લટકણિયાં, એક હાથમાં મોરપીંછનો ઝૂડો ને બીજામાં દાંડીયું -આ એમનો શણગાર અને ત્રણ સાડીનો પોશાક. એક સાડી માથા ઉપર ફેંટારૂપે, બીજી કબજાની ઉપર ખભે બાંધીને અને ત્રીજી ડબલ ફાડના ધોતિયાની શૈલીથી પહેરવામાં આવે. સમૂહનો વડો એટલે કવિયો. એ ગીત ગાય-ગવડાવે તથા નાચે-નચાવે. એક ઘેરિયો આખા શરીરે કાળો રંગ અને પાછળ ઘંટ બાંધેલી પૂંછડી લગાવી કાળી બિલાડી બને. બાળકો ‘કાળી બિલાડી ઘંટા ચોર, મંદિરમાંના પૈસા ચોર’ એમ બૂમો પાડીને એને ચીડવતા ચાલે. ઘેરૈયાનૃત્યમાં જન્મથી મરણ સુધીનું જીવન ગવાય છે, પણ મુખ્યત્વે વિવિધ દેવીદેવતાઓનું સ્તવન કરાય. ગાતા-નાચતા ઘેરિયાઓ ગામના દરેક ઘર પાસે થોભે. ઘરની સ્ત્રીઓ એમની પૂજા કરી, મોરપીંછની આરતીના ઓવારણા લઈ કૃતાર્થ થાય. કાળી બિલાડી ઘરની અંદર જઈ ભૂત-પ્રેત ભગાડે. એકહાથે મોરપીંછનો ઝૂડો હલાવતા અને બીજા હાથના દાંડિયાથી અન્ય ઘેરિયા સાથે રાસ રમી ગરબા ગાતા ઘેરિયાઓ કવિયો જે ગાય એને ‘હાં રે હાં ભાઈ’ કહી સમૂહમાં ઝીલી લે છે. મોટાભાગનાં ગીતોમાં આ સિવાય ‘સામળેક’ અર્થાત્ ‘સાંભળે છે ને?’ અને ‘મોરચા’ યાને ‘બચ્ચા’ પણ કડીએ કડીએ આવે. આટલી પૃષ્ઠભૂ જાણ્યા વિના ઘેરિયા ગઝલ વાંચીશું તો કવિની સમાજ-ચેતનાને ઘોર અન્યાય થશે.
એક જણ આવે અને સાતેય રંગો અવતરે.
એક જણ જાતાં જ માથે આભ કાં તૂટી પડે?
એક જણ આવે અને અવસર રચાતો ઉંબરે.
એક જણ જાતાં જ આખું આંગણું હીબકે ચડે!
એક જણ આવે અને મનનું સરોવર આછરે.
એક જણ જાતાં જ જળની સાથ કાંઠા ખળભળે!
એક જણ આવે અને અજવાસ ઊગે કાંગરે.
એક જણ જાતાં જ અંધારું બધે ઘેરી વળે!
એક જણ આવે અને ઠૂંઠુંય પાછું પાંગરે.
એક જણ જાતાં જ કૈં કાતિલ કુહાડી ઊછળે!
એક જણ આવે અને રણને ઝરણમાં ફેરવે.
એક જણ જાતાં જ આ વહેતી નદી ભડકે બળે!
એક જણ આવે અને આયાત આખી ઊતરે.
એક જણ જાતાં જ કાગળ સાવ કોરો તરફડે!*
– નીતિન વડગામા
(*સ્મરણ : થાઈલેન્ડની રામકથામાંથી મોરારિબાપુની વિદાય)
.
કવિએ ભલે મોરારિબાપુને સ્મરણમાં રાખીને રચના કેમ ન કરી હોય, પણ કવિતા કાગળ પર અવતરે પછી કંઈ કવિના કાબૂમાં રહે? કવિતામાં જે ‘એક જણ’ની વાત છે, એ કવિ માટે ભલે ગમે તે હોય, પણ મારા-તમારા સૌ માટે એ અલગ અલગ છે. કવિતા વાંચતા જ આપણા સહુના મનમાં એ ‘એક જણ’ તરવરી આવે છે, જેના આવવાથી જીવન સપ્તરંગી મેઘધનુષ્ય જેવું સોહામણું બની જાય અને જતાવેંત માથે આભ તૂટી પડે. રચનાને ગઝલ કહો, ગીત કહો કે વિશુદ્ધ ઊર્મિકાવ્ય- અંતે તો હેમનું હેમ હોયે, ખરું ને!
September 12, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
બે ઘડીની નિરાંત હો મનવા,
એટલા શબ્દ શાંત હો મનવા.
જ્યાં ખરીદી શકાય ટહુકાઓ,
એક એવોય પ્રાંત હો મનવા.
અશ્રુઓ કેમ સ્હેજ અટકે છે?
જે મળે તે નિતાંત હો મનવા.
સાંજ ડૂબે તો થોડાં સ્મરણોની
સ્વપ્નજોગી પુરાંત હો મનવા.
મૂળ સૂરજનાં શોધવા નીકળે,
કો’ નગર એમ ભ્રાંત હો મનવા.
મોન જેવી જ મારી વાણી હો,
શબ્દ સઘળા પ્રશાંત હો મનવા.
– નયન હ. દેસાઈ
નયન દેસાઈએ ૧૯૯૯ની સાલમાં ‘અનુષ્ઠાન’ નામે એક ગઝલસંગ્રહ આપ્યો હતો. આ સંગ્રહ ગુજરાતી ગઝલના ઇતિહાસમાં આગવું અને અલગ સ્થાન ધરાવે છે, કારણ કે સંગ્રહની કુલ એકતાળીસે એકતાળીસ ગઝલમાં એક જ રદીફ છે- ‘મનવા’. સંગ્રહ મોરારી બાપુને અર્પણ કરતી વખતે કવિએ કૌંસમાં ગઝલ તેંતાલીસા લખ્યું છે, પણ પહેલાં બે પાનાં અર્પણ અને આમુખ માટે ફળવાયા હોવાથી કુલ ગઝલ ૪૩ નહીં, પણ ૪૧ જ છે. સંગ્રહ વિશે જણાવતાં કવિ લખે છે કે, ‘જીવનમાં એવી ઘટના પણ બનતી હોય છે કે વિચાર પણ ન હોય તે કાર્ય અચાનક થઈ જાય છે. આમ જ એક દિવસ વિચાર આવ્યો કે ‘મનવા’ રદીફ પર થોડી ગઝલો લખવી છે. રોજ એક ગઝલ લખવી અને એવી ૪૦ પૂરી કરવી એવો મનમાં સ&કલ્પ કર્યો. મોટે ભાગે રોજ સવારે લખાયેલી આ ગઝલો છે.’
આ ગઝલોમાંથી કોઈ એક પર આંગળી મૂકવાનું કામ બહુ કપરું છે. પોતાના સ્વ-ભાવથી સહેજ ઉફરા ચાલીને નયનભાઈ આખા સંગ્રહમાં પ્રયોગ કરવાથી દૂર રહ્યા છે, પણ એકેએક શેરમાંથી નયન દેસાઈ ટપકે છે એય હકીકત છે. ટૂંકી બહરની આ ગઝલના દરેક શેર પાસાદાર થયા છે. પુરાંત કાફિયાને કવિએ જે રીતે અજમાવ્યો છે એના પર તો કઈ રીતે ફિદા ન થઈ જવાય?
September 4, 2025 at 11:03 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
છાતીને વીંધી જે સોંસરવો નીકળ્યો એ શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો છે;
અગ્નિ ને વાયુ બે ભેગા થયા પછી સૃષ્ટિનો મોટામાં મોટો નિહાકો છે.
ટાવરનો દરવાજો ખોલીને કોઈ માણસ ભાગ્યો તો આખા શહેર સાથે પકડાયો
પૂછ્યું તો ‘હેં હેં’ એ બોલ્યો કે ખિસ્સામાં થોડી મિનિટો ને થોડા કલાકો છે.
એક ઘરમાંથી નીકળી બીજા ઘરમાં જઈએ તો માણસને બદલે દીવાલો મળે છે,
આખી ને આખી આ શેરીઓ જાણે કે ફાંસીના કેદીની તોતિંગ બરાકો છે.
બારીમાં આવીને હડુડુડુ બેઠા ને સળિયામાં ભચ્ચક ભચ્ચક ભીંસાયા,
ખિસ્સામાં નાંખેલા આ દિવસો પણ જાણે કે, ઊઠતી એકલતાના બાંધ્યા ઘરાકો છે.
મારા ગ્રીટિંગ કાર્ડ પર સાંજનું પીળુંપચ્ચ ચિત્ર, આખું વરસ સૂર્ય થઈને ડૂબ્યું,
તું માને છે જેને ‘નયન’ નામનો શખ્સ, આંસુમાં ડૂબેલો એ તો ઈલાકો છે.
– નયન હ. દેસાઈ
ગણતરી માંડવા બેસીએ તો નયન દેસાઈએ જેટલી ગઝલો લખી છે, એનાથી ત્રીજા ભાગનાં જ ગીતો લખ્યાં હશે, પણ નયનસમગ્રમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે ભલે કવિએ નિજી અભિવ્યક્તિની નૌકા બહુધા ગઝલસાગરમાં કેમ ન તરાવી હોય, મૂળે તો એ જીવ ગીતોનો જ હતો. નયન દેસાઈની જેમ જ છ અક્ષરનું નામ ધરાવતા રમેશ પારેખ વિશે પણ આવું જ કહી શકાય. ર.પા. પણ મૂળે ગીત અને લયનામાણસ હોવાથી ગઝલના રુઢ છંદોને એમણે લયથી જ તોળ્યા હતા અને એ જ કારણોસર ર.પા.ની ગઝલોમાં અનેકાનેક છંદદોષ જડી આવે છે.
નયન દેસાઈની આ ગઝલની વિશેષતા એ છે કે એમણે ગઝલમાં પ્રયોજાતા આઠ માત્રાના છંદના સ્થાને ગીતમાં વપરાતો ષટકલનો લય ખપમાં લીધો છે. એટલે ગઝલની છંદપટ્ટી લઈને માપવા બેસીશું તો મેળ જ નહીં ખાય.
ખેર, આ તો થઈ ગઝલકાર-ગીતકારો માટેની માહિતી. આપણને તો ગઝલ આસ્વાદવા સાથે મતલબ છે ને! કવિતાને સૃષ્ટિનો મોટામાં મોટો નિઃસાસો ગણાવતો મત્લા કેવો અફલાતૂન થયો છે. હૈયાની આગ અને શ્વાસોની હવા જ્યારે કાગળ પર શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો બનીને ઉતરે છે ત્યારે જ ખરી કવિતા થાય. સુરતના ભાગળ ચાર રસ્તા પાસેનો એક વિસ્તાર હજી આજેય ટાવરના નામે ઓળખાય છે. ટાવર તો આજેય છે, પણ ઘડિયાળ દાયકાઓથી બંધ પડી છે. જાણે શહેરનું ઋણ ઉતારવા ન માંગતા હોય, એ રીતે કવિએ સુરતને એમની કૃતિઓમાં ક્યાંક ને ક્યાંક ધબકતું રાખ્યું છે. જે ટાવર એક સમયે આખા શહેરની ઓળખ હતો, એ ટાવરનો દરવાજો ખોલીને ભાગી નીકળેલ માણસના ખિસ્સામાં તો થોડી મિનિટો અને કલાકો છે, પણ એ પકડાયો છે આખા શહેર સાથે… કેવી સૂક્ષ્મ વાત!
August 28, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
અર્થ વગરની આવન-જાવન પારુલને મંજૂર નથી,
તમને લાગે છો મનભાવન, પારુલને મંજૂર નથી.
હોય ન જેમાં આંસુ-પીડા, હોય ન જેમાં વિરહ સજનનો,
એવા ફિક્કા ફિક્કા સાવન પારુલને મંજૂર નથી.
રાસે રમતાં ગોપ-ગોપીકા, હોય ભલેને બંસીના સૂર,
કૃષ્ણ નથી જ્યાં એ વનરાવન પારુલને મંજૂર નથી.
સાથે ડૂબી, તરતાં શીખવે, પાર ઉતારે – એ છે સાચા,
તીર ઉભેલા પતિત-પાવન પારુલને મંજૂર નથી.
એવું કંઈક લખાવો, સ્વામી! જેની કિંમત કોટિ કોટિ,
ક.ખ.ગ.ના ફદિયા બાવન પારુલને મંજૂર નથી.
– પારુલ ખખ્ખર
ગીતનું ધ્રુવપદ હોય કે ગઝલની રદીફ, સર્જકને હરહંમેશ કંઈક નવીન, કંઈક અનૂઠાની તલાશ રહે છે. ઘણીવાર સર્જક પોતાના નામને જ અવનવી રીતે કવિતાના તારમાં વણી લઈને ભાવકને સાનંદાશ્ચર્યાની ભાવાનુભૂતિ પણ કરાવતો હોય છે. સુરતના નયન દેસાઈએ પોતાના નામને ખૂબ લાડ લડાવ્યા છે: ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન, લોહી વચ્ચેથી નીકળીને નાઠો ‘નયન’ નાગડો પૂગડો, સાંભળીને લોક વદે બોલો, હે ‘નયનરામ’. અમરેલીના પારુલ ખખ્ખરની રચનાઓમાં પણ ક્યારેક આ પ્રકારની વિધા નજરે ચડે છે- ‘પારુલને મંજૂર નથી,’ ‘પારુલ ખખ્ખર! જવાબ આપો,’ ‘પારુલદે મરશિયાં ગાય…,’ ‘પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા’
પારુલને મંજૂર નથી કહીને સર્જક પોતાની અપેક્ષાઓની યાદી આપણને આપે છે, ત્યારે એ વૈયક્તિક નથી રહેતી. સ્વાનુભૂતિ સર્વાનુભૂતિ બની જાય છે, પરિણામે રચના વાંચતાવેંત ગમી જાય છે. બધા જ શેર ઉમદા થયા છે, પણ મને કખગના બાવન ફદિયા કોટિ કોટિ કિંમતનો શેર લાગ્યો.
મત્લા સિવાય ગઝલના તમામ ઉલા મિસરામાં એક ગુરુ વધારાનો છે એ મને અંગત ધોરણે બહુ ન રુચ્યું એ અલગ વાત છે.
August 14, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જગદીપ નાણાવટી
ટેરવાં, તારે ભરોસે છે બધું,
શ્રી સવા, તારે ભરોસે છે બધું.
પાંખમાં એકાદ પણ પીંછું નથી,
એ હવા, તારે ભરોસે છે બધું.
દીપચંદી, દાદરા, જપતાલ ક્યાં?
કહેરવા, તારે ભરોસે છે બધું.
રણ બન્યો દરિયો, હલેસા ઝાંઝવા;
ખારવા, તારે ભરોસે છે બધું.
બદદુઆનો દૌર ચાલે છે હજી
બસ દવા, તારે ભરોસે છે બધું.
– જગદીપ નાણાવટી
નાની બહેરની ગઝલમાં લાંબી રદીફ રાખીને કામ કરવું એ દોરી પર ચાલવા જેવું કપરું કામ છે. અહીં ‘તારે ભરોસે છે બધું’ રદીફ મિસરાની મોટાભાગની જગ્યા રોકી લેતી હોવાના કારણે કાફિયા માટે કવિને કેવળ પાંચ માત્રા –ગાલગા- જેટલો જ અવકાશ બચે છે, ને એમાંય કવિ મુક્ત કાફિયાની મોકળાશ ત્યજીને ચુસ્ત કાફિયા ઉપર પોતાની પસંદગી ઉતારે એટલે કામ વધુ કઠીન બને. આટલું ઓછું હોય એમ તારે ભરોસે છે બધું જેવી રદીફને તંતોતંત નિભાવી બતાવવાનો પડકાર… અને એ પછી આપણને આટલી સરસ ગઝલ સાંપડે એટલે આપણે તો એક જ વાત કહેવી પડે- ભઈ વાહ!
કવયિત્રીના શબ્દવિશ્વ સાથે આ મારો પ્રથમ પરિચય પણ ગઝલના વિષયે પહેલી નજરે કુતૂહલ જન્માવ્યું. ગઝલમાં ગીતાજ્ઞાન? અગિયાર શેરની ગઝલ પણ વાંચતાવેંત દિલને સ્પર્શી ગઈ. ગીતાના અલગ-અલગ અધ્યાયોના અલગ-અલગ સાર સર્જકે બહુ સરસ રીતે ગઝલમાં વણી લીધા છે. કાફિયાની પસંદગી તો કાબિલ-એ-દાદ છે જ, અરવની શૂન્યતા, આહત-અનાહત નાદ, સમરવેળા, અપરાપરા, વાગીશા જેવા શબ્દોની પસંદગી પણ સર્જકની સપૂરતી સજ્જતાના દ્યોતક છે. લગભગબધા જ શેર ધ્યાનાર્હ થયા છે…
વધુ એક ‘નયન’ બ્રાન્ડ ગઝલ. આવા કાફિયા અને આવી બાની કેવળ નયન દેસાઈની કલમથી જ અવતરી સકે. કવિએ જે જમાનામાં ઇન્ટરનેટ નહોતું અને વૉટ્સએપ-ઇન્સ્ટા તો સ્વપ્નમાંય આવતા નહોતા એ જમાનામાં આજના જમાનાની પ્રેમની ભાષાવાળો શેર લખ્યો છે. કવિને આર્ષદૃષ્ટા કહેવામાં આવે છે. આ કવિને ખ્યાલ આવી ગયો હશે કે આવતી કાલની પેઢી એમનું અડધોઅડધ કામ હમ્મ– hmm -થી ચલાવવાની છે?
(કેટલાક છંદ-દોષ અવગણી શકાયા હોત, પણ નયનભાઈ કોઈક અલગ જ દુનિયામાંથી આવ્યા હતા…)
ફૂલ બેબસ હતાં તો બેસી રહ્યાં,
ખુશબૂ ગઈ ફૂલદાન છોડીને.
રાધા વરદાન માંગવા કહે છે,
એમ પણ કહે છે, ક્હાન છોડીને.
તું કરે એ જ ઠીક થાય છે તો
ચાલ, બેસું સુકાન છોડીને.
મેરુ છું, મણકામાં મળું તને, પણ
એકસો આઠ સ્થાન છોડીને.
– ગૌરાંગ ઠાકર
લયસ્તરો પર આજે સત્કારીએ કવિશ્રીના નૂતન ગઝલસંગ્રહ ‘તમને ગઝલ તો કહેવી છે’ને!
મત્લામાં માનપાન અને સ્વમાન વચ્ચેનો બારીક તફાવત જોયો? આમા તો માનપાનમાં પણ માન આવી જજાય છે, પણ કવિ જ્યારે બેને અલગ તારવી બતાવે છે, ત્યારે આપણી સમજણના ઓરડામાં સૂક્ષ્મ ચમકારો થાય છે. માનપાન એ કેવળ દેખાડાના દાંત છે. ઘર મકાન છોડીને ચાલ્યું ગયું હોવાની વ્યંગોક્તિ અને રાધાની વરદાન આપવાની અનૂઠી પદ્ધતિ ઉપર તો સમરકંદો બુખારા ઓવારી દેવાનું મન થાય. ઈશ્વરને પડકાર ફેંકતો સુકાન છોડી બેસી જવાની વાત કરતો શેર પણ હૃદયસ્પર્શી થયો છે.
ભૂતકાળ આખોય ભીનો થઈ ગયો,
આહ થોડીક નીતરી’તી પત્રમાં.
એક અક્ષરમાં સમાવીને જગત,
ભીંત જાણે કે ચણી’તી પત્રમાં,
પત્ર ખોલ્યા બાદ આંખો કેદ થઈ,
બેડીઓ જાણે જડી’તી પત્રમાં.
હોશમાં આવ્યો નથી વાંચ્યા પછી,
ગમખ્વાર ઘટના ઘટી’તી પત્રમાં.
– જિતેન્દ્ર પ્રજાપતિ
લયસ્તરો પર આજે કવિશ્રીના ગઝલસંગ્રહ ‘સાદના દીવા’નું અજવાળું આવકારીએ…
મજાની મુસલસલ રચના… પત્રોનો એક જમાનો હતો, એક દબદબો હતો… સદીઓના એકહથ્થુ શાસન બાદ એનું સ્થાન ઇમેલે લઈ લીધું. પણ ત્રણેક દાયકામાં તો ઇમેલનું સ્થાન પણ હતું ન હતું થઈ ગયું. પણ મારા સહિતના અનેક ભાવકોની ઘણી બધી જિંદગી પત્રોના સધિયારે વીતી છે. એવા મિત્રો માટેની આ ગઝલ. છેલ્લા શેરની છેલ્લી પંક્તિના છંદદોષને બાદ કરતાં આખી ગઝલ કેવી સ-રસ થઈ છે!
July 18, 2025 at 11:37 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
મને પાગલ બનાવી મારવા જેવો હતો,
હજી થોડો વધારે ચાહવા જેવો હતો.
બધી વાતે ખુલાસો ટાળવા જેવો હતો,
સમજદારીને મોકો આપવા જેવો હતો.
તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા,
એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો.
હું માનું છું, બહુ ખોટું થયું, છુટ્ટા પડ્યા,
એ માને છે કે છેડો ફાડવા જેવો હતો.
હતો પાતાળને લાયક, મળ્યું આકાશ છે,
ઉછાળ્યો છે, જે કિસ્સો દાટવા જેવો હતો.
તમે ભગવાનની તસવીર ટાંગી ભીંત પર?
તમારે તો અરીસો ટાંગવા જેવો હતો.
ન ફરક્યું સ્મિત ને ફરક્યું તો લાંબું ના ટક્યું,
ઉદાસી પર ભરોસો રાખવા જેવો હતો.
અમુકને તેડવા મજધારમાં પહોંચી ગયો!
કિનારાને કિનારે બાંધવા જેવો હતો.
ઊઠ્યો પડદો અને નાટક થયું એવું શરૂ,
હવે લાગે છે પડદો માણવા જેવો હતો.
– ભાવિન ગોપાણી
કવિના વધુ એક ગઝલ સંગ્રહ ‘ઓસરી’નું લયસ્તરોના આંગણે પ્રેમપૂર્વક સ્વાગત કરીએ…
સરળ ભાષામાં સરસ ગઝલ કઈ રીતે કહી શકાય એ જાણવું હોય તો આ કવિ પાસે આવવું રહ્યું. આજે મોટાભાગના ગઝલકાર જ્યાં પાંચ શેર પર અટકી જાય છે, ત્યાં પરંપરાના શાયરો સાથે કોઈ પરાપૂર્વનો નાતો ન હોય એમ લાંબી ગઝલ આપવામાં, શક્ય કાફિયાઓનો કસ કાઢવામાં આ ગઝલકાર અચકાતા નથી. નવ શેરની નવસેરા હાર જેવી મજાની ગઝલ સાથે શાયરને સત્કારીએ…
જો અટકશે કોઈ વેળા ક્યાંક આ પાકી સડક,
ધૂળિયો એકાદ રસ્તો આવશે આગળ જતાં.
શક્ય છે આગળ જતાં હું હોઉં કે ના હોઉં પણ,
શક્ય છે મારા વિકલ્પો આવશે આગળ જતાં.
– બાબુલાલ ચાવડા ‘આતુર
‘આગળ જતાં’ ગઝલ સ-રસ થઈ છે. બધા જ શેર વારંવાર મમળાવ્યા કરવા ગમે એવા મજાના થયા છે. ગઝલ તો સહજ-સાધ્ય છે, એટલે દરેક ભાવકહૃદય સુધી આપબળે પહોંચી જ જશે, પણ મારું ધ્યાન સતત આખરી શેરમાં ‘શક્ય છે’ના બીજીવારના પ્રયોગ તરફ જયા કરે છે. શક્ય છે કે મારો આ ખટકો ખોટો પણ હોઈ શકે. નાના મોઢે મોટી વાત પણ છેલ્લા શેરના સાની મિસરામાં કાવ્યાનુભૂતિ સઘન બનવામાં ‘શક્ય છે’ પ્રયોગ અડચણરૂપ બનતો હોય એમ લાગ્યું. કાલે આપણે હોઈએ પણ અને ન પણ હોઈએ એ વાત જે રીતે સંભાવનાઓથી ભરી પડી છે, એથી વિપરિત ‘મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ’*ના ન્યાયે વિકલ્પોવાળી શક્યતા કરતાં નક્કર હકીકતદર્શક ન ગણાય? વિકલ્પો તો મળે જ મળે ને!
એક (મુઠ્ઠી વાળતાં): ‘રાહ જોવાની છે કોની?
(સ્હેજ ચાલી) છાપ પગલાંની સમય ક્યાં સાચવે છે?
બે (અચાનક ભીંત પાસે જઈ): ‘મને તું છોડી દે,
કાલના કરમાયલા સ્પર્શો હજી તો ટેરવે છે!
‘હું નથી તો કેમ પડછાયો લઈ કેડે ફરે છે?’
‘સાંભળે છે? (એક પાસે જઈ) વિહંગો કલરવે છે!’
એક (બોલે છે સ્વગત): ‘આકાશમાંના હે પિતા!’
—બે ત૨ફ ધારીને જુએ, મીણબત્તી હોલવે છે!
– નયન દેસાઈ
જીવનના સુનિશ્ચિત અર્થની શોધ અને અસ્તિત્ત્વની દેખીતી નિરર્થકતા અને અનિશ્ચિતતા – આ બે અંતિમોમાંથી કોઈ એક તારતમ્ય સુધી પહોંચવાની મનુષ્યજાતની ખેવનામાંથી જે સાહિત્ય સર્જાયું એને આપણે એબ્સર્ડ સાહિત્ય કહીએ છીએ. સમજણના પ્રદેશની બહારનું વિષયવસ્તુ, અસંગત અર્થહીન સંવાદો, વાસ્તવથી વિમુખતા, જીવનની અર્થહીનતા બાબતનો વ્યંગ વગેરે એના પ્રાણ છે. એબ્સર્ડ સાહિત્યનો હેતુ નિરર્થકમાંથી અર્થ શોધી બતાવવાનો નથી, પણ આપણને આ બાબતમાં વિચારતા કરવાનો છે… આપણી ચેતનાને ઝંકોરીને એ આપણને અસ્તિત્ત્વ બાબતે વિચારવા મજબૂર કરે છે.
નયન દેસાઈએ સાહિત્યના શક્ય કોઈ આયામને સ્પર્શવાનું કદાચ બાકી નથી રાખ્યું. પ્રસ્તુત એબ્સર્ડ નાટ્યગઝલ એનું એક ઉમદા ઉદાહરણ છે. અહીં બે પાત્રો છે –એક અને બે. એક આવીને સ્ટેજ વચ્ચે સળગતી મીણબત્તી ગોઠવે છે. (મીણબત્તી સળગતી છે એ બીજી વ્યક્તિના સંવાદ ઉપરથી આપણને ખબર પડે છે.) સ્ટેજ ઉપર બીજું કોઈ નથી, એટલે એને એકાંત ઘુઘવતું હોવનું અનુભવાય છે. હવા ફેફસામાં કણસતી લાગે છે, પણ આમાંનું કશું નવીન નથી. યુગો-યુગોથી આ જ હાલત હોવાની વાત ગીતાનો સંદર્હ લઈ કવિએ કેવી પ્રભાવક રીતે કરી છે એ પણ જોવા જેવું છે. બીજું પાત્ર સ્ટેજ પર આવતાં જ સળગતી મીણબત્તીની ગંધમાં એને લોહી જેવું કશુંક બળતું હોવાનું અનુભવાય છે. બંધ કમરામાં એકત્ર થયેલ ધુમાડાના રાજને એ જે રીતે રજૂ કરે છે એ પણ અદભુત છે. આખી ગઝલ સમજી શકાય એવી પણ છે, અને આખી ગઝલમાંથી શબ્દે શબ્દે અનિશ્ચિતતા અને નિરર્થકતા ટપકતી પણ અનુભવાય છે. સરવાળે, લાંબા સમય સુધી મનોમસ્તિષ્ક પર ભરડો જમાવી રાખે એવી ગઝલ આપણને સાંપડી છે.
*******
કવિ-તબીબ શ્રી ભાસ્ક્ર વખારિયા તરફથી મજાની પૂરક માહિતી-
સુરતમાં waiting for godot અને happy days નું મંચન દિવંગત ગાંધીસ્મૃતિભવનમાં થયેલું તે પછી ની તરતની આ ગઝલ છે. નાટકો તો સહુએ પોતાની ક્ષમતા મુજબ માણ્યા પણ એ અનુભવમાંથી જે રસાઈને ગઝલરુપે નયનભાઈએ આપ્યું તે લાજવાબ છે….
May 31, 2025 at 11:41 AM by વિવેક · Filed under ગઝલ, શૈલેશ ગઢવી
કેવી રીતે કહું કે તમે ખાસ કેટલાં?
આવ્યાં કરો છો યાદ અનાયાસ કેટલાં!
બારી ખૂલી સહેજ અને બંધ થઈ ગઈ,
કાઢી રહ્યા છે લોક હવે ક્યાસ કેટલા!
એકાંતમાં ન એકલો પડવા દે એ મને,
મળતાં નથી ને તોય રહે પાસ કેટલાં!
એકસામટા પ્રસંગ અને એકલું હૃદય!
બિંદુ ઉપર પસાર થતા વ્યાસ કેટલા!
વર્તુળ જુઓ તો એક નહીં પણ અનેક છે,
રમવા પડે છે રોજ અહીં રાસ કેટલા!
– શૈલેશ ગઢવી
ગઝલ એક જમાનામાં ઉમદા કાવ્યકળા અને દીર્ઘ સાધનાનું ફરજંદ હતી. આજે સૉશ્યલ મિડિયાના અતિક્રમણના યુગમાં સંઘેડાઉતાર ગઝલોની સરખામણીમાં કારખાનેબંધ તુકબંધીનું ઉત્પાદન ઘાસના ખડમાં પળભરમાં ફેલાઈ વળતા દાવાનળ જેવું છે. સારા ગઝલકારો પાસેથી હજીય મળતી રહેતી સારી ગઝલોએ કવિતાના ધોવાણને હજી અટકાવી રાખ્યું છે એ ભાષાનું સદનસીબ. પ્રસ્તુત રચના આજની સારી ગણાતી ગઝલોમાંય અલગ અને આગવી તરી આવે છે. દરેક શેર આસ્તેથી અને આરામથી મમળાવવા જેવા.
દેખીને રોમરોમ કાંપે કે આંખ,
વણખાળ્યાં અમી દ્રવે? ઓળખો તમે.
લેનાં-દેણાંનો રહ્યો અરધો હિસાબ,
માગે કે ચૂકવે?! ઓળખો તમે.
કંકુ છાંટીને લ્યો, માંડો ગણેશ,
ના લહ્યુંય સંભવે! ઓળખો તમે.
– પ્રદ્યુમ્ન તન્ના
(હસ્તાક્ષર ફોટો સૌજન્ય: શ્રી જયેન્દ્ર શેખડીવાલા)
ચોટીના ગીતકારોની યાદી તૈયાર કરવા બેસીએ તો પ્રદ્યુમ્ન તન્નાને માન સહિત યાદ કરવા પડે. ઇટાલિયન છોકરીને પરણીને ઇટલીમાં જ સ્થાયી થયા હોવા છતાં તળપદા ગુજરાતી પરનું એમનું પ્રભુત્વ ભલભલા ચમરબંધોને ભૂ પીવડાવે એવું અદભુત હતું. મૂળે એ ગીતકાર એટલે એમની પાસેથી ગઝલ મળે એ ઘટના જ મૂળે અલભ્ય અને એમાંય એમના હસ્તાક્ષરમાં મળે એ તો દુર્લભ જ. ગઝલનો છંદ પ્રમુખતઃ ગાલગાલા ગાલગા ગાલગાલ ગા હોય એમ પ્રતીત તો થાય છે પણ ઘણી જગ્યાએ એ જળવાયો જણાતો નથી. ગીતકવિઓ ગઝલના ચીલે ચાલવા જાય ત્યારે આવું ઘણીવાર થતું જોવામળે છે, કારણા કે એમના લોહીમાં ગઝલનો રુઢ છંદના સથાને ગીતનો લય જ વહેતો હોવાનો… ‘પ્રાણ સું પિયારું’ કે ‘લહ્યું’ જેવા શબ્દપ્રયોગોમાં પણ ગીતસંસ્કાર સાફ સાફ વર્તાય છે.
May 22, 2025 at 11:04 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
પીડા સાથે પ્રેમ થયો છે,
કવિને એવો વહેમ થયો છે.
બાકોરાં છે જેની છતમાં,
એ જગનો હાકેમ થયો છે!
સૌ જાણે છે પાગલ છે એ,
કોઈ ન જાણે કેમ થયો છે!
મોટો થઈને શું પામ્યો એ?
નામ મટી સરનેમ થયો છે.
જેણે લોઢું ચમકાવ્યું એ
પારસ ક્યારે હેમ થયો છે?
છલકે છે હૈયામાં નદીઓ,
પાંપણ ઉપર ડેમ થયો છે.
– હર્ષવી પટેલ
આમ તો આખી ગઝલ સરસ થઈ છે, પણ મને એવું લાગ્યું કે જેમ જેમ એ આગળ વધે છે એમ વધુ જામતી જાય છે. છેલ્લા ત્રણ શેર સવિશેષ સ્પર્શી ગયા… અન્ય એક ગઝલના એક શેરમાં ગાલિબના નિવાસસ્થાન બલ્લીમારાં અને પોતાના વતન બિલીમોરા વચ્ચે કવયિત્રીએ જે રીતે શબ્દક્રીડાની મદદથી ગઝલસંબંધ પ્રસ્થાપિત કરી બતાવ્યો છે એ આ સાથે માણવાની લાલચ જતી કરી શકાય એમ નથી-
વસુંધરા હજારો જાતનાં પ્રાણીઓથી ભરી પડી છે, પણ એકેય પ્રાણીને આપણે જીવન ટકાવવા સિવાયની પ્રવૃત્તિઓ કરતાં જોતાં નથી. મનુષ્ય પણ પ્રાણી જ છે, પણ સામાજિક. કદાચ એટલે જ મોટાભાગના મનુષ્યો જન્મથી મૃત્યુ પર્યંત સમાજમાં રહીને જીવન નિર્વાહ કરવા આવશ્યક ક્રિયાઓ સિવાય ભાગ્યે જ કશું કરતા જોવા મળશે. પણ કેટલાક મનુષ્યો અવળે વહેણે તરનાર પણ જોવા મળે છે. પૂર્વનિર્ધારિત દિશાઓમાં જવાના બદલે તેઓ અજાણી દિશામાં જવાનું પસંદ કરે છે. આવા રોબર્ટ ફ્રોસ્ટના ‘રોડ લેસ ટ્રાવેલ્ડ’ કક્ષાના માનવીઓની આ ગઝલ છે.
વાવડો એટલે પવન યાને શ્વાસ અને પાંચ પાણી એટલે પંચેન્દ્રિય. શ્વાસને પલાણીને,શ્વાસ અને ઇન્દ્રિયોને નિયંત્રિત કર્યા બાદ જ હોકાયંત્રમાં પણ જોવા ન મળે એવી બિલકુલ અજાણી દિશામાં પ્રયાણ કરવાનું છે એટલી સમજ સાથે આ ગઝલના શેર એક પછી એક ખોલવાના છે… પહેલા વાંચને કદાચ બધૂં ન પણ સમજાય… પણ અજાણી દિશા તરફની ગતિ તો એવી જ હોય ને!
May 9, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન,
દૃશ્યની ઉઘાડ-મીંચનો આ નયન.
કૈંક કહેવું છે ને કૈં કહેતો નથી,
કે ગળાની ખીચખીંચનો આ નયન.
રિક્ત ખોબામાં લઈ તડકા ફરે
પનઘટે પાણીની સીંચનો આ નયન.
ઠોકરોમાં માપતો રસ્તા હવે
બાળપણ ઝૂલાની હીંચનો આ નયન.
ગૂમ ટ્રાફિકની ચીસોમાં થઈ ગયો,
મૂળમાં ચકલીની ચીંચનો આ નયન.
– નયન હ. દેસાઈ
એક અદભુત કવિ નામે નયન દેસાઈ… ગુજરાતી કવિતાને તો એણે હૈયું ફાડીને લાડ કર્યાં જ છે, પોતાના નામનેય ઓછું નથી રમાડ્યું… ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ વગેરે રચનાઓ અને એક અહીં પેશ કરી છે એય… નામની રદીફ તો ખરી જ, પણ સાથોસાથ પોતાની ઓછી ઊંચાઈને પણ શેરનો વિષય બનાવી કવિ નવી ઊંચાઈઓ સર કરે છે. પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે…
લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘મૌન પણ સંભળાય છે’નું સપ્રેમ સ્વાગત…
સરળ ભાષામાં સુંદર મજાની ગઝલ. આમ તો બધા જ શેર સરસ થયા છે, પણ મહાભારતની ઉપકથાનો સંદર્ભ આગળ વધારતો શેર મને સવિશેષ સ્પર્શી ગયો. ગરીબ બ્રાહ્મણને ત્યાં એંઠી પતરાળીમાં આળોટતાં નોળિયાનું અડધું અંગ સોનાનું થઈ ગયું હતું. બાકીનું અડધું અંગ પણ સોનાનું થઈ જાય એ આશાએ નોળિયો યુધિષ્ઠિરને ત્યાં યજ્ઞમાં આળોટવા આવે છે પણ સફલા થતો નથી. ત્યાગનો મહિમા સમજાવતી આ મહાકથાને કવિ એક કદમ આગળ વધારે છે એમાં વાતને સાર્થક્ય સાંપડે છે. નોળિયાનું તો અડધું જ શરીર સોનાનું થયું હતું, પણ વતનની ધૂળમાં આળોટવાથી કવિની આખી કાયા કંચનની બની ગઈ છે… વતનનો મહિમા કેવી અદભુત રીતે અને કેવી સહજતાથી કવિએ કર્યો છે!
April 19, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિનોદ રાવલ
સ્વપ્ન જેવો ફૂલગજરો કોણ આપી જાય છે?
પૂછ મા તું પ્રશ્ન અઘરો, કોણ આપી જાય છે?
જાત જેવો બંધ કમરો કોણ આપી જાય છે?
જીવ એમાં એક અથરો કોણ આપી જાય છે?
કેસૂડાનાં ફૂલ, ટહુકા, એમાં તારું આવવું,
એકધારી મીઠી અસરો કોણ આપી જાય છે?
પ્રિય તારું નામ લખતાં પેન હાંફી જાય જ્યાં,
એ ક્ષણે તૈયાર ફકરો કોણ આપી જાય છે?
કોઈની સુંદર સ્મૃતિ ભુંસાઈ જાવાની ક્ષણે,
મસ્ત ફોટો સાફસૂથરો કોણ આપી જાય છે?
– વિનોદ રાવલ
લયસ્તરો પર આજે અમરેલીના તબીબ-કવિના પ્રથમ સંગ્રહ ‘હરિ આવ્યા તળેટીમાં’ને મીઠો આવકાર આપીએ…
‘કોણ આપી જાય છે’ જેવી પ્રશ્નવાચક રદીફ કવિએ બખૂબી નિભાવી તો છે જ, મત્લામાં ‘પૂછ મા તું પ્રશ્ન અઘરો’ કહીને જવાબ પણ આપી દીધો છે. છેલ્લો શેર સહેજ સામાન્ય થયો છે, પણ એ સિવાયના ચારેય શેર કેવા બળકટ થયા છે! મત્લામાં કેવળ ફૂલગજરાની જ વાત કરી હોત તો શેર કદાચ સાધારણ બનીને રહી ગયો હોત, પણ આ ફૂલગજરો સ્વપ્નનો છે એમ કહી જ્યારે કોણ આપી જાય છેનો સવાલ કવિ ઊઠાવે છે ત્યારે લાંબો સમય મનોમસ્તિષ્કના ગુંબજમાં પડઘાયે રાખે એવો સ-રસ શેર જન્મેછે!
લયસ્તરો પર કવિના તાજા સંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ની આગતાસ્વાગતા કરીએ…
માંગણીનો પનો જેટલો ટૂંકાવી શકાય, જીવન એટલું જ સુખસભર બને. આ વાત કહેતી કવિતાઓ તો ઘણી જડી આવશે. પણ અહીં વાત જરા નોખી છે. અહીં તો આખેઆખું આભ મળે તો એય ગુંજે ભરવાની તૈયારી છે. પણ હા, સકળના સ્વીકારની તત્પરતાની હારોહાર જ સકળ ન મળે તો કેવળ એક આંગણથી ચલાવી લેવાની સજ્જતા પણ છે. ઝંખના તો મેળાભર માનવમહેરામણને ચાહવાની છે, પણ એના વિકલ્પે કેવળ એક મનગમતી વ્યક્તિથી ચલાવી લેવાની તૈયારી પણ છે. બીજો શેર પણ એવો જ જાનદાર થયો છે. સરવાળેઆખી ગઝલ જ આસ્વાદ્ય.
April 14, 2025 at 10:43 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા
સહેજ લખવા જાઉં સન્નાટા ઉપર,
ત્યાં ટકોરા થાય દરવાજા ઉપર.
આગગાડી જેમ છે મારી ગતિ,
દોડવાનું પણ ફકત પાટા ઉપર.
માત્ર હું ખળખળ ધ્વનિને પી શકું,
આમ રહેવાનું સતત કાંઠા ઉપર.
કેટલી અફવાઓ લટકે છે હજી,
બંધ ઘરનાં બારણે તાળા ઉપર.
પ્રેમ, પીડા ને વિરહ મહેકી ઊઠે,
જો રચાતી હો ગઝલ રાધા ઉપર.
સુખ હથેળીમાં જ શોધે છે ‘મયંક’,
ના કરી દૃષ્ટિ કદી કાંડા ઉપર.
– મયંક ઓઝા
લયસ્તરો પર કવિના નવલા સંગ્રહ ‘ક્ષણોના પ્રતિબિંબ’ને આવકારીએ…
સામાન્યરીતે એક કે બે શેર ઉપર આખી ગઝલ તરી જતી જોવા મળતી હોય છે, પણ અહીં કાંઠાવાળા એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર ખૂબ જ બળકટ થયા છે એની મજા છે… પાટા અને તાળાવાળા શેર પર તો કુરબાન થઈ જવાનું મન થાય…
બાર ગાઉએ બદલાતી બોલી જે-તે પ્રદેશના સમાજનું વિશિષ્ટ અંગ છે. મોટાભાગનું સાહિત્ય શિષ્ટ ભાષામાં રચાતું હોવા છતાં દુનિયામાં ભાગ્યે જ કોઈ ભાષા એવી હશે જેણે લોકબોલીનો પડઘો ન ઝીલ્યો હોય. આ ગઝલ જુઓ. જે રીતે છંદ-કાફિયા-રદીફ-શેરિયત ગઝલના અનિવાર્ય અંગ ગણાય એ જ રીતે પ્રસ્તુત રચનામાં ઉત્તર ગુજરાતમાં વસતા મુસલમાનોની બોલી પણ અવિભાજ્ય અંગ બની અહીં ઊભરી આવી છે. એમ પણ કહી શકાય કે આ બોલી જ આ ગઝલનો પ્રમુખ વિશેષ છે. પાલનપુરી મુસ્લિમોની આ બોલીને પંચામૃત બોલી (ગુજરાતી-હિંદી-ઉર્દૂ-ફારસી-મારવાડી) તરીકે પણ ઓળખવામાં આવે છે. રચના ગઝલિયતની કસોટીએ ખરી ઉતરે છે કે કેમ એ સવાલ વિવેચકો પર છોડી દઈ આપણે તો બસ, બોલીનો આસ્વાદ લઈએ…
આશિખાનખ આગવા ઉન્માદના માણસ છીએ,
એટલે કે સાવ માણસ બાદના માણસ છીએ.
ક્યાંક વરવી વાસ્તવિકતા કોઈ માટે થઈ ગયા,
કોઈ માટે ક્યાંક ભીની યાદના માણસ છીએ.
કોઈએ જોયા છે અમને રોજ નકરી મોજમાં,
કોઈ માને છે નર્યા અવસાદના માણસ છીએ.
ક્યાંય ક્યાં સાધી શકાઈ છે કદી સંવાદિતા!
કોણ માને કે અમે સંવાદના માણસ છીએ!
એટલે લખતા રહ્યા કે માંહ્યલો રાજી રહે,
માત્ર મૂંગા માંહ્યલાની દાદના માણસ છીએ.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
ગઝલોના અડાબીડ જંગલમાં ક્યારેક આવી રચના હાથ ચડી આવે તો દિવસ આખો મઘમઘ થઈ ઊઠે. આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલ પાંચેય શેર એક એકથી ચડિયાતા થયા છે. પહેલાં તો ગુજરાતી ગઝલમાં આશિખાનખ જેવો શબ્દ વાંચીને જ આગવો રોમાંચ થઈ જાય. પણ ખરું કવિકર્મ ભાવકને આંજી દે એવા અરુઢ શબ્દપ્રયોજનમાં નહીં, પણ એના નિર્વાહમાં છે.
April 10, 2025 at 11:47 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
આ હવામાં આજ કેવળ ભેજ છે
આંસુઓનો એક દસ્તાવેજ છે
દૃશ્ય ઉપર કાટ જેવો સ્હેજ છે
કૈં સ્મૃતિનો આંખમાં જે ભેજ છે
સૂર્ય જેવો સૂર્ય પણ નિસ્તેજ છે
ત્યાં સુધી પહોંચી ગયેલો ભેજ છે?
હાથ પાસે પેન, કાગળ, મેજ છે
નહિ લખાતો પત્ર ઉર્ફે ભેજ છે
જેમ પાણીમાં વમળ આમેજ છે
આ હવામાં એમ છૂપો ભેજ છે
– હર્ષદ ચંદારાણા
આમ જુઓ તો મત્લાગઝલ અને આમ જુઓ તો પ્રયોગાત્મક રચના… આખી ગઝલમાં ઉલા મિસરા-પ્રથમ પંક્તિમાં કવિએ અલગ-અલગ ચુસ્ત કાફિયાઓ વાપર્યા છે, પણ સાની મિસરા- બીજી પંક્તિમાં એક જ કાફિયો ‘ભેજ’ પ્રયોજ્યો છે. મત્લામાં પણ આ જ પ્રમાણે ‘ભેજ’ કાફિયો સાની મિસરામાં વાપરી શકાયો હોત, પણ કોઈક કારણોસર કવિ એમ કરવાથી દૂર રહ્યા છે. પણ સરવાળે પાંચેપાંચ શેરમાં ‘ભેજ’ કાફિયો વાપરીને કવિએ કાફિયાનો સારો એવો કસ કાઢ્યો છે અને આપણને વારંવાર મમળાવવી ગમે એવી સુંદર મજાની ગઝલ આપી છે.
ટ્વેન્ટી- ટ્વેન્ટીના જમાનામાં ટેસ્ટ મેચ ગઝલ… ચૌદ-ચૌદ શેર પણ લગભગ બધા જ મનનીય… આખી ગઝલમાં આધુનિક ગઝલ અને પરંપરાની કૃતિ વચ્ચેની આવનજાવન મનભાવન રીતે સતત વર્તાયે રાખે છે. કવિ પડછાયા ઉપરથી ધૂળ ખંખેરવા કહે છે ત્યારે નવી ગઝલનો રણકો સંભળાય છે, એ જ રીતે પ્રણયના કિસ્સા પરથી ધૂળ ખંખેરવા આહ્વાન આપે છે ત્યારે પરંપરાની ગઝલરીતિ પ્રતીત થાય છે. બંનેની મજા છે અને બંને અહીં હારોહાર માણી શકાય છે. ‘ધૂળ ખંખેરવી’ રુઢિપ્રયોગનો કવિએ વાચ્યાર્થ મુજબનો કસ તો કાઢ્યો છે, પણ એનો જે ખરો અર્થ છે – સખત ધમકાવવું, ખૂબ ઠપકો આપવો-એ ઉજાગર કરતો એકાદ શેર પણ અહીં ઉમેર્યો હોત તો ગઝલ છે એથી વધુ સરાહનીય થઈ શકી હોત.