જીવની સન્મુખ મેં સ્થાપી દીધો,
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.
રમેશ પારેખ

કાગળ છું – ભગવતીકુમાર શર્મા

વાંચીને હવે તું શું કરશે ? ચૂંથાઈ. ગયેલો કાગળ છું;
વંચાયો હતો ક્યારેક; હવે વિસરાઈ ગયેલો કાગળ છું;

શંકા ન પડે તે માટે હું ચીરાઈ ગયેલો કાગળ છું;
છાતીમાં વસેલો છું તોયે ખોવાઈ ગયેલો કાગળ છું;

ઝાકળની સાથે સ્પર્ધામાં હર રાત ટપકતાં આંસુઓ;
ખુશ્બૂ તો ગઈ ઊડી; હું હવે ચેહરાઈ ગયેલો કાગળ છું;

આ રણની સફર એકલવાયા કરવાનું બહુ કપરું નીવડ્યું;
મૃગજળનો ભરોસો રાખીને ભીંજાઈ ગયેલો કાગળ છું;

અક્ષર તૂટ્યા, શબ્દો રૂઠ્યા, કાના-માતરથી વૈર પડ્યું;
ખૂણે ખૂણેથી ફાટીને વિખરાઈ ગયેલો કાગળ છું;

પારેવાની પાંખેય નહીં; પંખી કેરી ચાંચેય નહીં,
આંસુભીની આંખેય નહીં; ફેંકાઈ ગયેલો કાગળ છું.

કાસદ જેવો કાસદ પણ જો ખૂટલ નીવડે તો શું કરવું ?
ખોટે સરનામે પહોંચીને મૂંઝાઈ ગયેલો કાગળ છું

– ભગવતીકુમાર શર્મા

દરેક શેર એક કહાની છે જાણે…..

3 Comments »

  1. pragnajuvyas said,

    July 19, 2023 @ 9:53 PM

    આખી ગઝલ સંઘેડા ઉતાર
    ચૂસ્ત બંધારણ તથા શબ્દ પસંદગી ધ્યાનાકર્ષક
    પ્રત્યેક શેર બળકટ…

  2. વિવેક said,

    July 20, 2023 @ 11:54 AM

    સંઘેડાઉતાર રચના

  3. dhruv kumar said,

    September 6, 2026 @ 6:42 PM

    કવિ નામી હોય તો પણ જો સ્વ વિવેચના વગર રચનાઓ પ્રકાશિત કરતા હોય ત્યારે એમની 10 રચનામાંથી 2 રચના પણ અર્થપૂર્ણ નથી હોતી..

    એમાં પણ ગઝલ ક્ષેત્રે તો નામી અનામી,નવા જૂના કવિઓએ કચરો જ સાહિત્યમાં ઠાલવ્યો છે ,એ જોઈને ખરેખર એમને સર્જક કહેવા કરતા પ્રોડક્શન મશિન કહેવું વધુ યોગ્ય લાગે છે..

    ભગવતીકુમાર શર્મા જેવા નામી કવિની આ ગઝલ એનું ઉદાહરણ છે..આખી ગઝલના સાત માંથી અંતિમ શેર જ ચોટદાર છે.જ્યારે બાકીના શેરોમાં કવિએ ‘કાગળ છું’ જેવી રદીફ સાથે કાગળની સ્થિતિઓના પ્રાસ (ચૂંથાઈ, ચીરાઈ, ચેહરાઈ, ભીંજાઈ, વિખરાઈ, ફેંકાઈ) બેસાડવાની કસરત વધારે કરી છે.

    “કાસદ જેવો કાસદ પણ જો ખૂટલ નીવડે તો શું કરવું ?
    ખોટે સરનામે પહોંચીને મૂંઝાઈ ગયેલો કાગળ છું”
    ચમત્કૃતિ અને તાર્કિક સંગતતા: આ શેરમાં કાગળ, કાસદ (સંદેશાવાહક), દગો (ખૂટલતા) અને ખોટું સરનામું—એ બધા જ કલ્પનો વચ્ચે એક કુદરતી અને ઓર્ગેનિક સંબંધ (Organic Link) રચાય છે.
    નાવીન્ય: પ્રેમ કે સંવેદનાનો પત્ર જ્યારે કાસદના દગાને કારણે કે ભૂલથી ખોટી જગ્યાએ પહોંચી જાય ત્યારે એ ‘ચિઠ્ઠી’ કે ‘કાગળ’ જે મૂંઝવણ અનુભવે, તેની કાવ્યાત્મક ચોટ વાચકને હચમચાવી મૂકે છે. આ શેરમાં સાચે જ ‘ગઝલિયત’ છે.

    મત્લા (પ્રથમ શેર): “ચૂંથાઈ ગયેલો કાગળ છું… વિસરાઈ ગયેલો કાગળ છું” — કાગળનું ચૂંથાવાનું અને વિસરાઈ જવાનું કલ્પન સાવ સપાટ અને બોલચાલની ભાષા જેવું છે. કાવ્યાત્મક ચમત્કૃતિ શૂન્ય છે.
    બીજો શેર: “છાતીમાં વસેલો છું તોયે ખોવાઈ ગયેલો કાગળ છું” — છાતીમાં વસવું અને ખોવાઈ જવું—આ બંને વિરોધાભાસી વાતો વચ્ચેનો તાર્કિક સેતુ સાવ નબળો છે. શંકા ન પડે એટલે ‘ચીરાઈ જવું’ એ વિધાન પણ કૃત્રિમ લાગે છે.
    ત્રીજો શેર: “ઝાકળની સાથે સ્પર્ધામાં… ચેહરાઈ ગયેલો કાગળ છું” — અહીં ઝાકળ, આંસુ અને ખુશ્બૂ ભેગા કરીને કાગળ ‘ચેહરાઈ’ (કરમાઈ/ચોળાઈ) જવાની વાતમાં કવિએ ઉપજાવી કાઢેલી શબ્દ-રમત કરી છે, પણ ચોટ ઊભી થતી નથી.
    ચોથો શેર: “મૃગજળનો ભરોસો રાખીને ભીંજાઈ ગયેલો કાગળ છું” — મૃગજળ પોતે જ કાલ્પનિક/ઝાંઝવાંનું જળ છે, તો એના ભરોસે કાગળ ‘ભીંજાઈ’ કેવી રીતે શકે? જો એ ‘સુકાયેલો’ રહ્યો હોત તો તર્ક બેસત. પ્રાસ (ભીંજાઈ) મેળવવાની મથામણમાં અહીં કાવ્યાત્મક તર્કનો ભંગ થયો છે.
    પાંચમો શેર: “અક્ષર તૂટ્યા, શબ્દો રૂઠ્યા, કાના-માતરથી વૈર પડ્યું” — ભાષાકીય સંકેતો (કાના-માતર) વાપરીને વિખરાવાની વાત કહેવી એ ગઝલોમાં વપરાઈ ગયેલું પરંપરાગત પિષ્ટપિંજણ છે.
    છઠ્ઠો શેર: “પારેવાની પાંખેય નહીં… ફેંકાઈ ગયેલો કાગળ છું” — આ શેર માત્ર વિરહની સપાટ નાટ્યાત્મકતા (Melodrama) ઊભી કરે છે, જેમાં કાવ્યાત્મક ઊંડાણ નથી.

    આ ગઝલમાં છેલ્લા શેર સિવાયના બાકીના શેરો માત્ર પ્રાસ અને રદીફની કસરત પૂરતા સીમિત રહેતા ‘ભરતીના શેર’ જ સાબિત થાય છે. …ધીરૂ..06/09/26..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment