ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.
અમૃત ઘાયલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઇન્કાર – શિલ્પિન થાનકી

એકલો ચાલું, સહારો ના ખપે;
માર્ગ છો ભૂલું, સિતારો ના ખપે.

પાનખરને આવકારું હર્ષથી,
કાયમી કેવળ બહારો ના ખપે.

વેગળી મંજિલ રહે મંજૂર છે,
રાહમાં એકે ઉતારો ના ખપે.

સાગરે ડૂબું ભલે મઝધારમાં-
સાવ પાસે હો કિનારો, ના ખપે.

– શિલ્પિન થાનકી

ચાર જ શેરની નાનકડી લાગતી મોટી ગઝલ. મત્લા વાંચતા જ રૉબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘રૉડ નોટ ટેકન’ યાદ આવે- ‘Two roads diverged in a wood, and I— I took the one less traveled by, And that has made all the difference.’ બીજાની સહાય લીધા વિના નિજની કેડી નિજ કંડારવાની વાત કવિએ બે પંક્તિમાં કેવી સ-રસ રીતે કહી છે!

Comments (6)

मुद्दतें हो गई हैं चुप रहते – ‘महशर’ काज़िम हुसैन लखनवी

मुद्दतें हो गई हैं चुप रहते
कोई सुनता तो हम भी कुछ कहते

અર્થ સ્પષ્ટ છે.

जल गया ख़ुश्क हो के दामन-ए-दिल
अश्क आँखों से और क्या बहते

સૂક્કોભઠ્ઠ થઈને દિલના પાલવ/છેડો બળી ગયો….આંખોમાંથી વધુ તો કેટલા આંસુ વહેતે…. [ વક્રોક્તિ છે ]

बात की और मुँह को आया जिगर
इस से बेहतर यही था चुप रहते

વાત કરી તો આખું હૈયું જ હોઠે આવી ગયું….એથી બહેતર તો એ જ હતું કે મૂંગા મરતે…..

हम को जल्दी ने मौत की मारा
और जीते तो और ग़म सहते

દુનિયા છોડવાની ઉતાવળે અમને ઉપર મોકલી જ આપ્યા…. ભલું થયું, જો વધુ જીવતે તો વધુ ઝૂરતે…..

सब ही सुनते तुम्हारी ऐ ‘महशर’
कोई कहने की बात अगर कहते

સાંભળવાલાયક કશું બોલતે તો સહુ તારી વાત સાંભળતે !!

– ‘महशर’ काज़िम हुसैन लखनवी

 

જીવવું એટલે ઝૂરવું…..ઝૂરવું એટલે જીવવું…..

 

જનાબ ગુલામઅલી સાહેબ 👇👇

 

Comments (1)

આરામ થઈ જાશે – નાઝિર દેખૈયા

તમે બોલાવશો એને તો મારું કામ થઈ જાશે;
વિના ઉપચાર આ બીમારને આરામ થઈ જાશે.

પછી મંદિર કે મસ્જિદ જે ગણું તે ઘર હશે મારું;
કદમથી આપના મુજ દ્વાર તીરથધામ થઈ જાશે.

નિછાવર થઈ જનારા! આટલો તો ખ્યાલ કરવો’તો;
જગતમાં રૂપવાળાઓ બધે બદનામ થઈ જાશે.

ખબર કરશો નહીં નિજ આગમનની હર્ષઘેલાને;
નકર એ કે’ણ એના મોતનો પયગામ થઈ જાશે.

તૃષાતુર જાઉં છું કિન્તુ તૃષા કેરી અસર જોજો;
છલકતા કંઈક સાકીના નયનના જામ થઈ જાશે.

ચૂક્યા અવસર કૃપાનો તો વગોવાઈ જશો વિશ્વે;
થવું છે એ તો જ્યાંને ત્યાં ઠરીને ઠામ થઈ જાશે.

દયાળુ! દાન જો કરવું ઘટે તો પાત્રને જોજો;
નહીં તો કંઈક આ ‘નાઝિર’ સમા બેફામ થઈ જાશે.

– નાઝિર દેખૈયા

ટાઇમલેસ ક્લાસિક.

Comments (3)

સંકેલો હવે – મુકેશ જોષી

શ્વાસ ખૂટતા જાય છે આ જાત સંકેલો હવે
આ કૈંક સંકોચાય છે આ વાત સંકેલો હવે

ના તમે ઊડી શકો, ના સ્વપ્ન પણ ઊડી શકે
આ પાંખ પણ વહેરાય છે આ આભ સંકેલો હવે

આંખ મીંચી તીર મારીને નિશાનો સાંધતા
એ તીર ખાલી જાય છે આ હાથ સંકેલો હવે

સૂર્યની તો વાટ જોવાનું હવે રહેવા જ દો
આ આગિયા બુઝાય છે આ રાત સંકેલો હવે

એક પળ ઊભા રહે, ના એમ પણ ઇચ્છો તમે
આ લોક ક્યાં રોકાય છે આ સાથ સંકેલો હવે

– મુકેશ જોષી

Comments (1)

(કાયમ નહીં રહે) – લવ સિંહા

હમણાં તો બહુ લગાવ છે, કાયમ નહીં રહે,
મારાપણાનો ભાવ છે, કાયમ નહીં રહે.

થોડા ‌વખત પછી મને આદત પડી જશે,
હમણાં ભલે અભાવ છે, કાયમ નહીં રહે.

એ વાત છે જુદી કે અમે બોલતા નથી,
ઈશ્વરથી મનમુટાવ ‌છે! કાયમ નહીં રહે.

અત્યારે તો મળ્યું એ બધું ભોગવું છું હું,
એનો જરા પ્રભાવ છે કાયમ નહીં રહે.

જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી,
વસ્તુનો‌ જે ઉઠાવ છે કાયમ નહીં રહે.

જો હોય ઓળખાણ ભીતર તો‌ લગાવજે,
તારો જે આ સ્વભાવ છે, કાયમ નહીં રહે.

– લવ સિંહા

તાજેતરમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ ખાતે યોજાયેલ નવોદિત કવિઓના સંમેલનમાં રજૂ થયેલ તમામ કવિઓએ મેદાન મારી લીધું હતું. એ સાંજે લવ સિંહાને પ્રથમવાર મળવા-સાંભળવાનું થયું. મુશાયરો બહુ આસાની અને આત્મવિશ્વાસથી જીતી લેવામાં બાહોશ આ કવિની એક ગઝલ આજે માણીએ. ‘કાયમ નહીં રહે’ જેવી સહજ રદીફને કવિએ કેવી સરસ રીતે મલાવી જાણી છે તે નોંધવા જેવું છે! સમય સાથે ભાષાની બારીકી અને બિનજરૂરી શેરો પર સ્વ-ગત નિયંત્રણ રાખવાની ચોકસાઈ કેળવાશે એટલે ગુજરાતી ગઝલના હારમાં વધુ એક નક્શીદાર મોતી ઉમેરાશે એ બાબતે કોઈ શંકા નથી.

Comments (10)

નમન દેજે – નાઝિર દેખૈયા

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.

જુદાઈ જિંદગીની, કાં જીવનભરનું મિલન દેજે;
મને તું બે મહીંથી એકનું સાચું વચન દેજે.

જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે.

હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ, મુજને એ નમન દેજે.

– નાઝિર દેખૈયા

ગયું વર્ષ કવિશ્રી નાઝિર દેખૈયાની જન્મશતાબ્દિનું વર્ષ હતું. કવિના પૌત્ર તબીબકવિ ડૉ. ફિરદોસ દેખૈયાએ કવિની તમામ ગ્રંથસ્થ-અગ્રંથસ્થ કૃતિઓનું સંકલન કરીને ભારે જહેમત લઈને ‘એ વાત મને મંજૂર નથી’ નામે કવિની સમગ્ર કવિતા (Oeuvre)નો સંગ્રહ પ્રગટ કર્યો છે. આ દળદાર ગ્રંથ સહુ કાવ્યપ્રેમીઓએ અચૂક વસાવવા જેવો છે. સંગ્રહમાંથી એક રચના આજે આપ સહુ માટે રજૂ કરીએ છીએ…

Comments (11)

(રોજ નિશ્ચય કરું તે તૂટે છે) – હનીફ સાહિલ

રોજ નિશ્ચય કરું ને તૂટે છે
આમ છૂટીને કોણ છૂટે છે

જે ક્ષણે હેાઉં છું હું નિદ્રામાં
તે ક્ષણે કોણ પીડ ઘૂંટે છે

આમ એકાંત ઉમટે ભરચક
આમ ખાલીપણુંય ખૂટે છે

એક પળનેા જ માણીએ મેળો
એક પળ હાથથી વછૂટે છે

કેમ કરતાં ગઝલ લખું છું હું
ઘેન જેવું આ કોણ ઘૂંટે છે

શી ખબર શ્વાસની સફર લાંબી
આજ ખૂટે કે કાલ ખૂટે છે

– હનીફ સાહિલ

ટૂંકી બહરમાં મોટું કામ. બધા શેર ઉમદા થયા છે, પણ આપણે પહેલા બે શેર પર નજર નાંખીએ.

નિશ્ચય કરવા એ તો આપણો સ્વભાવ છે જ, પણ લીધેલા નિશ્ચયનું પાલન ન કરવું એય આપણી પ્રકૃતિ છે. આ તો સર્વવિદિત વાત છે. આમાં કોઈ કવિતા નથી. ખરી કવિતા તો આ તથ્યની માંડણી કરી લીધા બાદ કવિએ કરેલા સવાલમાં છે. કવિનો સવાલ એ છે કે નિશ્ચયપાલનમાંથી આપણું રોજેરોજ છૂટી જવું એ ખરેખર છૂટી જવું ગણાય ખરું? ચક્ર નિશ્ચયનું હોય કે બીજી કોઈ પણ બાબતનું, જ્યાં સુધી ચક્રમાં ફેરા મારી રહ્યાં હોઈએ ત્યાં સુધી છુટ્ટા કઈ રીતે કહેવાઈએ? બે સાવ નાની અમસ્તી પંક્તિઓમાં કેવી મોટી વાત!

ઊંઘ અને મૃત્યુ બન્નેમાં એકમાત્ર તફાવત જાગી અને ન જાગી શકાવાનો છે, અન્યથા બંને એકસમાન છે. કવિને સવાલ એ થાય છે કે જે ક્ષણે હું નિદ્રાધીન હોઉં એ ક્ષણે હું સંસારની તમામ પળોજણોથી, પીડાઓથી મુક્ત હોવો જોઈએ, એના બદલે એવું કોણ છે જે મને સુખેથી સૂવા સુદ્ધાં નથી દેતું?

Comments (8)

(ઇશારે ચડી ગયા) – હરીશ ઠક્કર

અમથા અમે જરાક ઇશારે ચડી ગયા,
એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!

એની નજરમાં આવવા વાચાળ જો થયા,
એમાં તો કઈકની અમે આંખે ચડી ગયા!

કરતો હતો હું વાતને બહેલાવીને જરા,
કિસ્સા કોઈના કોઈને નામે ચડી ગયા!

રમતું હતું સવારનું અજવાળુ આંગણે,
તડકા જુવાન શું થયા, માથે ચડી ગયા!

પૃથ્વીને મન રમત હશે, ફરતી રહે સતત;
અમથા દિવસ ને રાત રવાડે ચડી ગયા…

ક્યાંથી વિચાર આવે છે? ક્યાં જાય છે વિચાર?
એવું વિચારવામાં વિચારે ચડી ગયા!

– હરીશ ઠક્કર

લયસ્તરો પર આજે કવિના બીજા સંગ્રહ ‘અમથા અમે જરાક ઇશારે ચડી ગયા’નું સહૃદય સ્વાગત…

રમતિયાળ ગઝલમાં રદીફને પણ કવિએ બરાબર રમતે ચડાવી છે. ‘ચડી જવું’ ક્રિયાપદ સાથે સંકળાયેલ રુઢિપ્રયોગોને કવિએ બખૂબી ગઝલમાં વણી લીધા છે. કોઈના ઇશારે ચડવામાં બહુ માલ નહીં, સાહેબ… જરા અમથા કોઈના ઇશારે ચડી જવામાં સામા માણસના રંગમાં રંગાઈ જવાય તો કંઈ કહેવાય નહીં. સવારે મુલાયમ લાગતો સૂર્ય બપોરે માથે ચડે એ તથ્યને કવિએ દીકરા મોટા થઈને માથાભારે થઈ જાય કે માણસ પ્રગતિ- સફળતા મેળવીને તુંડમિજાજી થઈ જાય એ વાત સાથે અદભુત રીતે સાંકળી લીધું છે. પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણના કારણે પરિણમતા દિવસ-રાતવાળો શેર તો કેવો અદભુત થયો છે! અને એમાંય ‘રવાડે ચડી જવું’ રુઢિપ્રયોગનો વિનિયોગ કવિની ભાષાસજ્જતાનો દ્યોતક છે. અને ભાષાની જ વાત કરીએ તો છેલ્લો શેર જુઓ… વિચાર સાથે શબ્દરમત આદરીને કવિએ કેવો કમાલ કર્યો છે! આ પ્રકારની શબ્દરમતો કવિની એક આગવી ઓળખ પણ છે, જે એમની ગઝલોમાં વારંવાર જોવા મળે છે.

Comments (22)

(ઝાડવાં આવ્યાં રણે) – ડૉ. જિતુભાઈ વાઢેર

કોઈ આવી ખટખટાવે બારણે,
લાગતું કે ઝાડવાં આવ્યાં રણે.

કો’ક સાચી, કો’ક જાલી નોટ છે,
કો’ક દી’ તો એ ચળાશે ચારણે!

કાંઈ પણ વ્યાધિ કે ઝંઝાવાત નહિ,
બાળપણ કેવું સૂતું છે પારણે!

તુંય સારું જીવ ને હું પણ જીવું,
બેઉનું બગડે છે ખોટાં કારણે.

જિંદગી એવી નકામી તો નથી,
આખરે આવ્યો હું એવા તારણે.

– ડૉ. જિતુભાઈ વાઢેર

લયસ્તરોના આંગણે કવિ અને કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘એક સદીનો પોરો’ -ઉભયનું સહૃદય સ્વાગત…

સાદગીનું સૌંદર્ય ઊડીને આંખે વળગે છે. જીવન રણ જેવું ઉજ્જડ બની ગયું હોય ત્યારે બારણે દેવાયેલ ટકોરા જાણે ઝાડવાં સામાં ચાલીને રણે આવ્યાં હોવાની સુખદ અનુભૂતિ થાય છે. જિંદગીના ખાલીપાને આવી તીણી ધાર કાઢી આપે છતાં મખમલ સમા મુલાયમ આવા શેર ભાગ્યે જ જોવા મળે છે. વહેલું કે મોડું, પણ સમયના ચાળણો સાચા-ખોટાને અલગ તારવી જ દે છે. મોટાભાગે બન્ને પક્ષ ખોટાં કારણો પકડીને બેસી રહેતાં હોવાથી આપણા સંબંધોમાં જીવન બચતું નથી. સંબંધ ટકાવી રાખવાની ખરી કૂંચી તો ‘खुद जीओ, औरों को भी जीने दो’ની ફિલસૂફી અપનાવવી એ છે. બધું જ નકામું લાગતું હોવા છતાં જિંદગી કંઈને કંઈ તો આપતી જ હોય છે…

Comments (11)

ભરોસો – જય કાંટવાલા

છે નાજુક વિચારીને મૂકો ભરોસો,
પડી ભાંગશે કાચ જેવો ભરોસો.

ભલે હોય ભાંગ્યો કે તૂટ્યો ભરોસો,
હજી એમના પર છે થોડો ભરોસો.

બધા વાતે વાતે જ શંકા કરે છે,
કરે છે હવે કોણ પૂરો ભરોસો ?

કે વરસો પછી માંડ બેઠો હતો દોસ્ત,
જરા શંકા પડતા જ ઉઠ્યો ભરોસો.

બીજીવારથી આંખ ખુલી ગઈ છે,
પ્રથમ બંધ આંખે મુક્યો’તો ભરોસો.

વિહગ ડાળે ડાળે ફરે ઉડતું એમ,
બધાનો બધા પર છે ઉડતો ભરોસો.

– જય કાંટવાલા

નવી પેઢીના ઉભરતા ગઝલકારોમાં ભરોસો મૂકી શકાય એવું એક નામ તે જય. ભરોસો રદીફ રાખીને એણે કેવી મજાની સુવાંગ સુંદર ગઝલ આપી છે એ જુઓ… વિશ્વાસના નાનાવિધ પહલૂઓને છ શેરમાં કવિએ આબાદ ઝીલી બતાવ્યા છે. ભરોસો ઊઠવો, ભરોસો મૂકવો, ઉડતો ભરોસો –જેવા રુઢ પ્રયોગોને પણ કવિએ શેરના તાંતણામાં મોતીમાળ બનાવતા હોય એમ તંતોતંત પરોવી બતાવ્યા છે.

Comments (20)

(હિંમત નથી તૂટી) – ડો. સુજ્ઞેષ પરમાર

સપનાં ભલે તૂટી જતાં, હિંમત નથી તૂટી,
પૂરાં કરીશ હું એક દી’, એ વાત છે ઘૂંટી.

જીવન છે એવરેસ્ટનો પર્વત, બીજું તો શું!
કપરું ભલે ચઢાણ હો, ધીરજ નથી ખૂટી.

સંજોગ છે વિષમ છતાં હું ઊભો થઈ જઈશ,
દીવાલમાંથી જેમ આ કૂંપળ નવી ફૂટી.

છું કેટલો અમીર હું એની જ યાદથી,
ને એજ લઈને જાય છે મારું બધું લૂંટી.

એ હાથ ફેરવે, બધી પીડા જતી રહે,
છે ‘મા’ સ્વરૂપ આપણી પાસે જડીબુટી.

ફૂલોની જેમ આપણું જીવન બનાવીએ,
ખુશ્બૂ મૂકી જવાનું ,લે ઈશ્વર ભલે ચૂંટી.

આખીય જિંદગી કર્યું ભેગું બે હાથથી,
ને અંતમાં રહ્યું બધું, એ હાથથી છૂટી.

– ડો. સુજ્ઞેષ પરમાર

પોઝિટિવિટીની વેક્સિન.. કળાને આમ તો દર્દ અને દુઃખના ભૂખરા રંગ સાથે જ વધારે નિસબત રહી છે, પણ ક્યારેક આવી ધનમૂલક રચના વાંચવા મળી જાય તો અલગ ચીલે ચાલવાનો આનંદ થઈ જાય… લગભગ બધા જ શેર સરસ થયા છે..

Comments (18)

(જીવન છે) – મયૂર કોલડિયા

મંજિલો નહીં પ્રવાસ જીવન છે,
માર્ગની આસપાસ જીવન છે.

તૃપ્ત થઇ જાવ તો મજા ન રહે,
જ્યાં સુધી છે આ પ્યાસ, જીવન છે.

અંતે જળ હાથ લાગવાનું નથી,
ઝાંઝવાની તપાસ જીવન છે.

મૃત્યુ નિશ્ચિત છે -જીવ જાણે છે
તોય જીવનની પ્યાસ! જીવન છે

સુખની જેમ જ જે દુઃખને ઉજવે છે,
એમને બારેમાસ જીવન છે.

આખરે એટલું સમજ આવ્યું,
ફળ નહીં પણ પ્રયાસ જીવન છે

શક્યતાના તું દ્વાર ખોલી દે
આવશે જે ઉજાસ, જીવન છે.

-મયૂર કોલડિયા

જીવન વિશે તો સંતો, મહાપુરુષો, વિચારકો ગ્રંથોના ગ્રંથ લખી ગયા છે, પણ તોય જીવન વિશે જાણવામાં કઈં ને કઈં બાકી જ રહી જતું હોવાનું અનુભવાતું રહે છે. પ્રત્યક્ષ પળેપળ અનુભવાતું હોવા છતાં જીવન કદીય પૂરેપૂરો ન ઉકેલાય એવો કોયડો જ છે. એટલે જ કવિઓ જીવન વિશે ગાતા અટકતા નથી…

મત્લા જ કેવો અદભુત! જીવનમાં સઘળા ઉધામા મંજિલ મેળવવા માટેના છે પણ મંજિલ મળતાવેંત થાકી જવાય છે. પ્રગતિની ઈચ્છા અવસાન પામે છે. વાત નવી નથી પણ કવિની માવજત કમાલ છે. ખરું જીવન મંજિલ માં નથી, પ્રવાસમાં – માર્ગમાં છે. બીજો શેર પણ આ જ વાતનું પુનર્કથન છે પણ ફરી એકવાર અભિવ્યક્તિની તરેહ કાબિલે દાદ થઈ છે. પ્યાસ હશે ત્યાં સુધી જ જળપ્રાપ્તિની કિંમત રહેવાની. પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે? કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે. લ્યો સાહેબ, જુઓ તો જરા ! ત્રીજો શેર પણ પહેલા બે શેરની જ પ્રતિકૃતિ નથી ? મંજિલ મળી જવાનો અહેસાસ કેવળ ભ્રમણા છે… જીવન આખું મૃગજળ ફંફોસવામાં જ વ્યય થઈ જાય છે. બધા જ શેર ઉત્તમ થયા છે પણ ક્યાંક તો અટકવું પડશે ને….!

Comments (26)

( ટેવ છે) – વિકી ત્રિવેદી

ઝંખનાને સ૨ભરાની ટેવ છે,
એટલે કે મંથરાની ટેવ છે.

આંસુ જોઈને ભરોસો ના કરો,
માણસોને ખરખરાની ટેવ છે.

દોસ્ત આવા પ્રેમથી પસવા૨ મા,
પીઠને કેવળ છરાની ટેવ છે.

એટલે તો આપણી થઈ જાય છે,
વેદનાને આશરાની ટેવ છે.

આટલી ઊંચી ગઝલ ના લખ કવિ,
આ જગતને છીછરાની ટેવ છે.

– વિકી ત્રિવેદી

સહજ. સાધ્ય. સંતર્પક.

Comments (9)

હોવાપણાં લગ – સંજુ વાળા

ઓરડેથી ઓસરી ને ઓસરીથી આંગણા લગ
વાત ડમરાઈને અટકી બેઉનાં હોવાપણાં લગ

ચોક–શેરીનું કુતૂહલ આવી ઊભું બારણા લગ
પ્લીઝ માની જા નહીં તો પ્હોંચી જાશે આપણાં લગ

કાલે અનરાધાર ત્રાટક્વાની છે સંભાવના
જાણતલનું કહેવું છે : આવી ગયો મે ઠામણાં લગ

તું કહે છે : ‘રામરટણા’નાં અનુષ્ઠાનોમાં રત છે
હું કહું છું : કસરતો સૌ પહોંચવા રળિયામણા લગ

હું તને સુંદર, અનુપમ લેખું એ જો ઓછું છે તો
તારી મેળે પહોંચી જા તું ‘કોડિલા– કોડામણા’ લગ

પહેલાં ફરકી આંખ, મલક્યા હોઠ, માન્યું મન, પછીથી
કોળી ઊઠી કામના ને વિસ્તરી ઓવારણાં લગ

આવતાં – જાતાં સ્મરણ પર જો તને શ્રદ્ધા નથી તો
હે હૃદય! તું વાટ જોજે કાયમી પધરામણાં લગ

– સંજુ વાળા

હળવે હાથે ઉકેલવાની રચના. મત્લામાં ‘લેટ-ગો’ નહીં કરી શકાયેલ ‘ઇગો’ કઈ રીતે સ્વથી સર્વ સુધીની બદનામી તરફ લઈ જાય છે એની વાત છે, તો એને જ અનુષંગિક બીજા શેરમાં સમય પર ‘ઇ’ ને ‘ગો’ નહીં કહી શકાય તો દુનિયા(સર્વ)ની આપણી(સ્વ) અંગત બાબતમાં ચંચુપાત કરવાની તત્પરતા સરસ રીતે રજૂ થઈ છે.

Comments (5)

મુકદ્દરની વાત છે – મનહરલાલ ચોકસી

તારે જ હાથે ઘાવ, મુકદ્દરની વાત છે!
મારો વળી બચાવ, મુકદ્દરની વાત છે!

જેને નજર કિનારો ગણીને હસી રહી,
ડૂબી છે ત્યાં જ નાવ, મુકદ્દરની વાત છે!

મહેફિલમાં દિલની ધડકનોને ગણગણી તો જો,
પૂછે ન કોઈ ભાવ, મુકદ્દરની વાત છે!

આદમનું સ્થાન જેણે નકારી દીધુ હતુ,
એણે કહ્યું કે ‘આવ,’ મુકદ્દરની વાત છે!

ફરિયાદ ખાલી જામની પણ મેં કરી નથી,
આવો સરસ સ્વભાવ! મુકદ્દરની વાત છે.

‘મનહર’ હું સ્વપ્નમાંય નથી કેાઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.

– મનહરલાલ ચોકસી

કેટલાક કવિઓને સમય અને સમાજે આપવું જોઈએ એટલું માન આપ્યું નથી. મનહરલાલ ચોકસીનું નામ એ યાદીમાં ઉમેરી શકાય. ઉસ્તાદ તરીકે જાણીતા શાયરની મરીઝ જેવી સરળ બાનીમાં એક ચોટદાર ગઝલ આજે માણીએ. જેને પ્રિય ગણતાં હોવ એના જ હાથે ઘાવ ખાવા મળે એ તો નસીબની જ વાત હોય ને! અને પ્રિયજનના હાથે ઘાવ ખાધા પછી પણ મૃત્યુ ન થઈ જાય અને બચી જવાય એ તો નસીબ ઓર જોર કરતું હોય તો જ બને ને! બધા જ શેર સંતર્પક થયા છે, પણ છેલ્લા બે શેર કવિના સાચા સ્વ-ભાવનું આબેહૂબ આલેખન છે. જેઓ ઉસ્તાદને ઓળખતા હશે એ બધા કહેશે કે હા, આ બે શેર શેર નથી, કવિની આત્મકથાના અવિભાજ્ય પૃષ્ઠ છે.

Comments (13)

(નહીં આવે) – નીરવ વ્યાસ

ગમે છે ખૂબ પણ એ એમ સપનામાં નહીં આવે,
કે મંઝિલ દોડીને સામેથી રસ્તામાં નહીં આવે.

કબૂલાતો તમારી ખાનગીમાં સાંભળી છે જે,
તમે ચિંતા ન ક૨શો એ બધું ચર્ચામાં નહીં આવે.

અરે ઓ જિંદગી! તું આ રીતે પજવીશ જો સૌને,
જતા રહેશે, જનારા પાછા દુનિયામાં નહીં આવે.

લડત લડશું, તો મુદ્દાસ૨ કરીશું વાત ઘટનાની,
કશી અંગત બયાની દોસ્ત ઝઘડામાં નહીં આવે.

ગઝલ લાધ્યા પછી એને કશી પરવા નથી ‘ની૨વ’,
એ પૂજામાં નહીં બેસે કે સજદામાં નહીં આવે.

– નીરવ વ્યાસ

સરળ બાનીમાં સહજ-સાધ્ય ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

Comments (16)

(મારી કથા લોહિયાળ છે) – વિકી ત્રિવેદી

હમણાં જગતમાં પ્રેમકથાનો જુવાળ છે,
હું શું લખું કે મારી કથા લોહિયાળ છે.

હું પુરી લઈને બેઠો એ છો ઊંચી ડાળ છે,
પણ નીચે એક લુચ્ચું સમયનું શિયાળ છે.

આ ચાંદ જેનો ચાંદલો છે એનું મુખ બતાવ,
હે! આસમાન, બોલ તું કોનું કપાળ છે?

હું પાણી પાણી થઈ ગયો છું તમને જોઈને,
ને જ્યાં તમે ઊભા છો એ બાજુ જ ઢાળ છે.

છૂટ્યો છતાંય બહાર નથી નીકળી શક્યો,
આ દુનિયા જાળ છે અને સાલી વિશાળ છે.

મારા અસલ વિચાર તો કચડી ગયો સમય,
ગઝલોમાં જે બતાવું એ તો કાટમાળ છે.

બહુ બહુ તો ગર્વ લઈ શકો બીજું કશું ન થાય,
‘હું આપનો હતો…’ એ હવે ભૂતકાળ છે.

– વિકી ત્રિવેદી

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘હાજ૨ હૃદયથી હોઈએ’નું સહૃદય સ્વાગત.

મત્લા સરસ થયો છે, પણ કપાળ અને ઢાળવાળા બે શેર તો શિરમોર થયા છે. છેલ્લા બે શેર પણ જાનદાર થયા છે.

Comments (18)

જલનની નમાઝ – ‘જલન’માતરી

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.

હું જો અનુકરણ ન કરું તો કરું યે શું ?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઇલાજ છે ?

દુનિયાના લોક હાથ પણ ના મૂકવા દિયે
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.

ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ જલનની નમાઝ છે.

– ‘જલન’માતરી

યાદ આવે –

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’?
આ જીવનની ઠેસની તો હજી કળ વળી નથી ?

Comments (2)

સાકી ! – અમૃત ઘાયલ

કહીં છે લ્હેર લીલા, ક્યાંક કાળો કેર છે સાકી !
કહું શું કે જગતમાં કેટલું અંધેર છે સાકી !

અહીં દુઃખ એ જ છે મોટું, સમજમાં ફેર છે સાકી !
અને તેથી હૃદય સાથે હૃદયને વેર છે સાકી !

દુખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી !
છતાં કે’વું પડે છે કે પ્રભુની મ્હેર છે સાકી !

જવાનીને હું વશમાં રાખું તો કેવી રીતે રાખું ?
અચાનક ઊઠતા તોફાનની એ લ્હેર છે સાકી !

કહું તો ક્યાં કહું? કોને કહું? જઈ વાત અંતરની,
જગતમાં ધૂમ આજે બુદ્ધિની ચોમેર છે સાકી !

જગતની ખાનગી વાતોથી કંટાળી ગયો છું હું,
મને તું ત્યાં લઈ જા, જ્યાં બધું જાહેર છે સાકી !

નહીં મસ્તી, નહિ સાહસ, નહિ પૌરુષ, નહિ ઓજસ,
અમારી જિન્દગી ને મોતમાં શો ફેર છે સાકી?

પરિવર્તન થયું છે મૂલ્યમાં એવું કે બસ તૌબા,
હતા જે લાખના તે ત્રાંબિયાના તેર છે સાકી !

કરી દે અન્ય સાથોસાથ જીર્ણોદ્ધાર એનો પણ,
હૃદય ઘાયલ તણું વર્ષો થયાં ખંડેર છે સાકી !

– અમૃત ઘાયલ

અમૃતના ટીપાં !!!!

Comments (1)

(દરવાજાને ખેાલ હવે) – રમેશ પટેલ ‘ક્ષ’

આ સ્તબ્ધ નગરના દરવાજાને ખેાલ હવે,
તું દ્વાર વગરના દરવાજાને ખેાલ હવે!

આ સરસર સરતાં દૃશ્યોને અટકાવ નહીં,
વિક્ષુબ્ધ નજરના દરવાજાને ખોલ હવે !

કંઈ કેમ ભીતરના ભાવ જગતને સ્પર્શે ના?
લે, આજ અસરના દરવાજાને ખેાલ હવે !

તું માર હથેાડા શબ્દો ને સંદર્ભોના,
ને દોસ્ત! ભીતરના દરવાજાને ખેાલ હવે

– રમેશ પટેલ ‘ક્ષ’

ચાર જ શેર, પણ કેવા મજાના!

દરવાજો! કેવી સરસ વિભાવના! જેમાંથી કશું આરપાર જઈ-થઈ જ ન શકે એવી ભીંતમાં શક્યતાઓનું મસમોટું બાકોરું એટલે દરવાજો… પણ આ વાત ઘરના દરવાજાની નહીં, જીવનના દરવાજાની છે… જીવનમાં કેટલી બધી જગ્યાઓએ આપણે કેવળ ભીંત જ બાંધી રાખીએ છીએ એ વિચારવા જેવું છે… આપણે સહુ દરવાજાઓ બંધ કરીને બેઠા છીએ. નવીનતાને કે સત્યને માટે પ્રવેશ જ નથી. નવાઈ વળી એ કે દરવાજાની આ ફ્રેમમાં દ્વાર પણ નથી કે ખોલવાની સંભાવના જન્મે. આપણે સહુ પોતપોતાની માન્યતાઓના બંધ ઘરમાં સદીઓથી કેદ છીએ. નજરની વ્યગ્રતા ઓછી કરી જે છે એનો આનંદ લેવાના બદલે આપણે દુનિયાને અટકાવવા જ મથ્યે રાખીએ છીએ. આ સિકાની બીજી બાજુ એ પણ છે કે બરાબર આ જ રીતે આપણા ભીતરી ભાવ પણ દુનિયા માટે બેઅસરદાર બની ગયા છે. શબ્દો અને સંદર્ભોનો હાથ ઝાલી આ ભીતરી દરવાજા ખોલવાના છે… ખોલીશું?

Comments (6)

સહારા મળ્યા – ગૌરાંગ ઠાકર

એક નદીને અલગ બે કિનારા મળ્યા,
છેક સાગર સુધીના સહારા મળ્યા.

આ તમારાં નયન જોઈ એવું થયું,
સ્વપ્નને સિંચવા જાણે ક્યારા મળ્યા.

કોઈ પાંખોમાં પીછાં ઉમેરી ગયું,
ત્યારથી અમને આભે ઉતારા મળ્યા.

ફાળવેલા અમે શ્વાસ લેતા હતા,
ને ઉપરથી આ મનના ધખારા મળ્યા.

કૈંક નોખું નવું તો થશે કઈ રીતે ?
આ વિચારોય અમને તમારા મળ્યા.

હાથમાંથી હથેળી તમે જ્યાં લીધી,
ના પછી કોઇથી હાથ મારા મળ્યા.

– ગૌરાંગ ઠાકર

કવિને જન્મદિન મુબારક

Comments (3)

એવું કંઈ નથી…. – ભગવતીકુમાર શર્મા

તારા વિના જિવાય નહીં, એવું કંઈ નથી,
જીવ્યા છતાં મરાય નહીં, એવું કંઈ નથી.

ટેકો લઈને બેઠો છું, તૂટેલી ભીંતનો;
પડછાયો પણ દટાય નહીં, એવું કંઈ નથી.

મૃગજળમાં ઝૂકી ઝૂકીને પ્રતિબિંબ જોઉં છું;
આછી છબી કળાય નહીં, એવું કંઈ નથી.

છબીના કોટ-કિલ્લા રચાયા સડક ઉપ૨;
વાદળથી ઝરમરાય નહીં, એવું કંઈ નથી.

હાથે-પગે છે બેડીઓ, પાટો છે આંખ પર;
તેથી ગઝલ લખાય નહીં, એવું કંઈ નથી.

વીતી ગયેલી ક્ષણ અને છૂટેલું તીર છું;
પાછા વળી શકાય નહીં, એવું કંઈ નથી.

માણસ મરે ને સ્વપ્નાઓ જીવતાં રહે છતાં
કબરો કદી ચણાય નહીં, એવું કંઈ નથી.

– ભગવતીકુમાર શર્મા

અર્થગંભીર ગઝલ….

Comments (3)

એના કરતાં – હરદ્વાર ગોસ્વામી

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

એ જ પામશે પાન નવાં ને નવી હવા,
જેણે શીખ્યું દોસ્ત, સમયસ૨ ખ૨વાનું.

મોજું આવ્યું માથે ત્યારે સમજાયું,
પુસ્તક વાંચી શીખાશે નહીં તરવાનું.

બટન ટાંકવાનો લાગે છે વેંત નથી,
તો જ બને ખુલ્લી છાતીએ ફ૨વાનું.

ઈશ્વરથી પણ મોટો હો તો કહી દે તું,
શરૂ આજથી તને સલામો ભરવાનું.

– હરદ્વાર ગોસ્વામી

લયસ્તરોના આંગણે કવિશ્રીના નૂતન સંગ્રહ ‘લખચોરાશી લાગણી’નું સહૃદય સ્વાગત..

આપણી ભાષાની સાંપ્રત કરુણતાને યથાતથ રજૂ કરતો મત્લા તો વર્ષોથી સાચા ગુજરાતીઓના હૈયે મઢાઈ ગયેલ છે. પણ એ સિવાયના શેર પણ બધા જ સુવાંગ સંતર્પક થયા છે.

Comments (1)

વીણેલાં મોતી – મેહુલ એ. ભટ્ટ

છાતીમાં અકબંધ રણ સારું નહીં,
હદ વગરનું કાંઈ પણ સારું નહીં.
દિલ સુધી પહોંચે નહીં દિલનો અવાજ,
આટલું પણ શાણપણ સારું નહીં.
જીતનો જુસ્સો ભલેને રાખ પણ,
જીતવાનું ગાંડપણ સારું નહીં.
સૂર્યનું કે ચન્દ્રનું સાંખી શકાય,
પણ સમજ પરનું ગ્રહણ સારું નહીં.

અણજાણ થઈ જવાનો કોઈ મંત્ર હોય તો,
આપીને ભૂલવાનો કોઈ મંત્ર હોય તો.
ઈશ્વર વિશે તો ગ્રંથોના ઢગલા છે ચારેકોર,
દ્યો, ખુદને જાણવાનો કોઈ મંત્ર હોય તો.

ફરીવાર સિક્કો ઊછાળી જુઓ તો,
પરિણામ ત્રીજું જ ધારી જુઓ તો.
કદાચિત મળી જાય દિલને દિલાસો,
ફરીવાર પત્રોને વાંચી જુઓ તો.
જો અજવાસ આવે નહીં તો કહેજો,
ફકત એક બારી ઉઘાડી જુઓ તો.

‘આપ-લે’ની વાત વચ્ચે ના લવાય,
મૈત્રીમાં સર્વસ્વ આપીને પમાય.

રાત-દી’-વરસોવરસ આઠે પ્રહર,
કરગરું છું, યાદ! તું આવ્યા ન કર.
દૂર લગ રણ, રણ અને રણ છે છતાં
આર્દ્ર આંખો, આર્દ્ર હૈયું, આર્દ્ર સ્વર!

– મેહુલ એ. ભટ્ટ

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘કાન અવાજો ઝંખે છે’નું સહૃદય સ્વાગત.

સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેરોનો ગુલદસ્તો વાચકમિત્રો માટે રજૂ કરું છું…

Comments (3)

मेरे हम-नफ़स मेरे हम-नवा….- શકીલ બદાયૂંની

मेरे हम-नफ़स मेरे हम-नवा मुझे दोस्त बन के दग़ा न दे
मैं हूँ दर्द-ए-इश्क़ से जाँ-ब-लब मुझे ज़िंदगी की दुआ न दे

ઐ મારા દોસ્ત, મારા હમજબાં, મને મિત્ર બની દગો ન દે….ઈશ્કના દર્દથી હું મૃતઃપ્રાય છું, મને જિંદગીની દુઆઓ ન દે…..

मेरे दाग़-ए-दिल से है रौशनी इसी रौशनी से है ज़िंदगी
मुझे डर है ऐ मिरे चारा-गर ये चराग़ तू ही बुझा न दे

મારા સળગતા હૈયાથી જે રોશની છે, તે રોશનીથી જ તો મારી જિંદગી છે ! મને ડર છે ઐ મારા હકીમ, કે તું પોતે જ આ ચિરાગને બુઝાવી ન દે….[ અર્થાત – મને તારું ડહાપણ નહીં આપ, મને સળગવા જ દે….]

मुझे छोड़ दे मिरे हाल पर तिरा क्या भरोसा है चारा-गर
ये तिरी नवाज़िश-ए-मुख़्तसर मिरा दर्द और बढ़ा न दे

મને મારા હાલ પર છોડી દે ઐ મારા હકીમ, તારો વળી શું ભરોસો ?! આ તારી નાનકડી મહેરબાની ક્યાંક મારુ દર્દ વધારી ન દે… [ આગલા શેરના અનુસંધાનમાં આ શેર કહ્યો લાગે છે – તારી દવા કદાચ ક્ષણભર માટે મને સારો કરી પણ દે, પણ એ ક્ષણિક રાહતને લીધે ત્યાર પછી પાછું જે દર્દ મારી તકદીરમાં છે તે દર્દ તો મીનમેખ છે જ ! ક્ષણભરની રાહત પછી એ દર્દ અસહ્ય થઈ પડશે…. ]

मेरा अज़्म इतना बुलंद है कि पराए शो’लों का डर नहीं
मुझे ख़ौफ़ आतिश-ए-गुल से है ये कहीं चमन को जला न दे

મારો હૌંસલોં એટલો બુલન્દ છે કે પરાયા અગનગોળાઓનો લેશ ડર નથી. મને ડર પુષ્પોતણી આગનો છે, જે જરૂર ચમનને ફૂંકી મારશે… [ મારી દુશમન મારી અંદર રહેલી જ્વાળામુખી સમી ઊર્મિઓ છે….]

वो उठे हैं ले के ख़ुम-ओ-सुबू अरे ओ ‘शकील’ कहाँ है तू
तिरा जाम लेने को बज़्म में कोई और हाथ बढ़ा न दे

તેઓ સુરાહી-જામ લઈને ઉઠ્યા છે, અરે શકીલ ! ક્યાં છે તું ? તારો જામ લેવા તારે બદલે કોઈ બીજું હાથ લંબાવી ન દે !!

– શકીલ બદાયૂંની

 

બેગમ અખ્તરસાહેબા 👇🏻👇🏻

 

Comments (1)

ક્યાં ગયો ? – ભગવતીકુમાર શર્મા

ક્યાં ગયો ?

આંસુનાં ઝુમ્મરોનો એ શણગાર ક્યાં ગયો ?
ભરતો હતો હું ઊર્મિનો દરબાર; ક્યાં ગયો ?

આકાર ક્યાં ગયો ને નિરાકાર ક્યાં ગયો ?
માણસને નામે ઈશ્વરી અવતાર ક્યાં ગયો ?

મારા મરણની નોંધ તો એમાં નથી લખી ?
પડછાયો મારો આંચકી અખબાર ક્યાં ગયો ?

ધુમ્મસના રાજહંસનો કલરવ મેં સાંભળ્યો;
પૂછો નહીં કે છોડી હું ઘરબાર ક્યાં ગયો ?

બોલાશ છે, પરંતુ ઉછીનો છે; શું કરું ?
મારો હતો જે પોતીકો સૂનકા૨; ક્યાં ગયો ?

કરતો હતો એ વાત ધુમાડા વિશે સતત;
માણસ હતો એ પોતે ધુંઆધાર; ક્યાં ગયો ?

આ શૂન્યતાનો શાપ સહન શી રીતે કરું ?
તારાં સ્મરણનો જે હતો આધાર ક્યાં ગયો ?

– ભગવતીકુમાર શર્મા

Comments

બધાંએ બોલવું પડશે – નીતિન વડગામા

સત્ય ટૂંપાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
ચિત્ર ભુંસાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

અહીં ખુદ ભોમિયાને પણ નથી કંઈ ભાન મારગનું,
દિશા ફંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

સુગંધોનેય કરવા કેદ આ ટોળું થયું ભેગું,
ફૂલો મૂરઝાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

નથી કંઈ સૂરની સમજણ છતાંયે સાજ શણગાર્યાં !
બસૂરું ગાય એ પહેલાં પહેલાં બધાંએ બોલવું પડશે.

નર્યો ઉપજાઉ વાતો ને નિરંતર જૂઠનો રેલો,
વધુ લંબાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

જતન એનું કર્યું છે પૂર્વજોએ પ્રાણ પૂરીને,
મતા લુંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

સતત થાક્યા વિના બોલ્યા કરે છે એ ફકીરોનું –
ગળું રૂંધાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

હજી તો ઝળહળે છે આ સનાતન ધર્મનો દીવો,
તિમિર ઘેરાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.

– નીતિન વડગામા

” કશ્મીર ફાઇલ્સ ” મૂવીના સંદર્ભે એક મિત્રએ આ ગઝલ મને મોકલી. વાત સુસંગત છે. દુ:ખ એ વાતનું તો છે જ કે HINDU GENOCIDE થયો હતો, કારમો આઘાત તો એ વાતનો છે કે દેશની ધૂરા ઝાલનારાઓ આવો કોઈ નરસંહાર થયો પણ છે એ વાત માનવા સુદ્ધા તૈયાર નહોતા !!!!! “બિનસાંપ્રદાયિકતા” શબ્દ મુસ્લિમ તુષ્ટિકરણ અને હિન્દૂ-ધિક્કાર – આ બે અર્થઘટનમાં કેદ થઈને રહી ગયો છે……

Comments (7)

શાલીન લાગે છે – જાતુષ જોશી

સપાટી ચાર ભીંતોની ભલે રંગીન લાગે છે,
સકળ અવકાશ વચ્ચેનો ઘણો ગમગીન લાગે છે.

સમયની ભોંયનું તળ ખોદવાથીયે નથી મળતું,
સમય કરતાંય ઊંડું મન ઘણું પ્રાચીન લાગે છે.

ઘણું સૂતાં પછી જાગી ગયો છે આખરે એ જણ,
હવે એને જગત આખુંય નિદ્રાધીન લાગે છે.

ઘડીભર ઢીલ દે, ખેંચે ઘડીમાં શ્વાસની દોરી,
કે જીવ ઉડાવવાનો એ અજબ શોખીન લાગે છે.

બધાંની હાજરીના ખ્યાલથી એ બ્હાર ના આવ્યું,
મને એ આંખનું આંસુંય તે શાલીન લાગે છે.

– જાતુષ જોશી

આજે ચારે તરફ જેનું ત્સુનામી ફરી વળ્યું છે એ ગઝલોના ટોળામાંથી સાવ અલગ અને અડીખમ ઊભી રહી શકે એવી કાવ્યબાની અહીં સાંભળવા મળે છે. રંગીન દીવાલોની વચ્ચેના ખાલી કમરાની ગમગીની જોઈ શકનાર કવિ આમેય અન્યોથી અલગ જ હોવાનો. સંસારમાં એવું કશું નથી જે સમયના ગર્ભમાં દટાયું પડ્યું ન હોય. પણ સાચો કવિ જ એ જે એ જોઈ શકે, જે અન્યોની નજરથી ઓઝલ હોય. સમયને ગમે એટલો ખોડો, ગમે એટલા ઊંડે જાવ પણ મન સમયથી પણ વધુ ઊંડું છે, મનનો તાગ મેળવવો સંભવ જ નથી. અને બીજાની હાજરીનો ખ્યાલ કરી જે આંસુ આંખનો ઉંબરો ઓળંગીને બહાર આવવું ટાળે છે એ આંસુને શાલીનકરાર આપતો શેર તો ભાઈ વાહ ! સરવાળે અદભુત ગઝલ…

Comments (17)

છેલ્લો જનમ – જવાહર બક્ષી

તું મળશે મને, એવો ભ્રમ તો નથી,
નહીં મળવું એ પણ નિયમ તો નથી.

વિરહની વ્યથામાં મિલનની મજા,
વિરહ ક્યાંક પોતે સનમ તો નથી.

ન ડરશો કે આયુષ્ય લાંબું મળ્યું,
જીવન જીવવું એકદમ તો નથી.

ગઝલ લખવા જાઉં ને શંકા પડે,
હું પોતે કોઈની કલમ તો નથી.

હવે કેમ એકેય ઇચ્છા નથી,
‘ફના’ ક્યાંક છેલ્લો જનમ તો નથી.

– જવાહર બક્ષી

આમ તો આખી ગઝલ સરસ છે, પણ બીજો, ચોથો અને છેલ્લો શેર સ-વિશેષ ધ્યાનાર્હ થયા છે. પહેલીવાર વાંચતાવેંત ગમી જાય એવા, પણ બીજી-ત્રીજી વાર વાંચો તો કવિને સલામ ભરવાનું મન થાય એવા…

Comments (3)

પૃથ્વી – મનોજ ખંડેરિયા

અહીં ખંડિત થવાનો અર્થ માણસ એટલે માટી
ચહેરો તૂટવાનો અર્થ માણસ એટલે માટી

હજારો સાલ પહેલાંના મળે અવશેષ ભીતરથી
જીવનને ખોદવાનો અર્થ માણસ એટલે માટી

મલય–લ્હેરે સૂકી ઘટનાની કચારી હલબલી ઊઠી
કે ઇચ્છા મ્હોરવાનો અર્થ માણસ એટલે માટી

સતત ફરતા રહે છે ચાકનાં પૈડાંની ઝડપે સહુ
અહીંયા ઘૂમવાનો અર્થ માણસ એટલે માટી

ખૂલી વરસો પછી મુઠ્ઠી તો ચપટી ધૂળ નીકળી’તી
રહસ્યો ખોલવાનો અર્થ માણસ એટલે માટી

ઘણા વખતે અમે ઝીલ્યા છે વ્હેલી વારના છાંટા
ત્વચા મ્હેકી જવાનો અર્થ માણસ એટલે માટી

અમે તો માટીનાં પૂતળાં કે રમતાં રમતાં તૂટવાના
નથી સમજાવવાનો અર્થ માણસ એટલે માટી

– મનોજ ખંડેરિયા

ટૂંકમાં કેટલું બધું કહી દીધું !!!

Comments (4)

આ ઘર, ઉંબર ને ફળિયામાં – ભગવતીકુમાર શર્મા

હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં ;
હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

તું રાત બની અંજાઈ જજે આ ગામનાં ભીનાં લોચનમાં ;
હું ઘેનભર્યું શમણાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

આ માઢ,મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસ્ ;
હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

કંકુ ખરખર, તોરણ સૂકાં, દીવાની ધોળી રાખ ઊડે;
હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં

સાન્નિધ્યનો તુલસીક્યારો થૈ તું આંગણમાં કૉળી ઊઠે;
હું પાંદ-પાંદ વીખરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

શ્વાસોના પાંખાળા અશ્વો કંઈ વાંસવનો વીંધી ઊડ્યાં ;
હું જડ થઈને જકડાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

ગઈકાલના ઘૂઘરાઓ ઘમક્યા, સ્મરણોનાં ઠલવાયાં ગાડાં;
હું શીંગડીએ વીંધાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

– ભગવતીકુમાર શર્મા

સમગ્ર કવિકર્મ મજબૂત ! કવિના સ્વમુખે આ ગઝલનો પાઠ સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ ગઝલનો મત્લો મનમાં સ્ફૂર્યો એના ચાર-પાંચ વર્ષે તેઓએ આ ગઝલ પૂરી કરેલી ! તેઓને મત્લો એટલો ગમી ગયેલો કે તેઓ ઇચ્છતા હતા કે સમગ્ર ગઝલ બળૂકી બને…

સુરતના ખૂબ જ મજબૂત અને રંગભૂમિને સમર્પિત નાટ્યકાર શ્રી કપિલદેવ શુક્લ મત્લાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ એ જાતે આ જ નામથી એક કરુણરસનું એકાંકી લખ્યું હતું જે ઘણું સફળ થયું હતું…

Comments (3)

(મજા થઈ જશે) – નીરવ વ્યાસ

કોણ ક્યારે ખફા થઈ જશે?
આપણાં, પારકાં થઈ જશે.

જો વધારે ઘસાશે હજુ,
પથ્થરો આયના થઈ જશે.

રક્ત થીજી જશે તે પછી,
ઘા રુઝાઈ મતા થઈ જશે.

પાથરો છો ભલે ખાર પણ,
કૂંપળો તે છતાં થઈ જશે.

સ્હેજ નીરવ’ પડો-આથડો,
દોસ્તોને મજા થઈ જશે.

– નીરવ વ્યાસ

ટૂંકી બહરમાં સરળ અને મજાની ગઝલ…

Comments (1)

(ત્યાં કશું નથી) – રિન્કુ રાઠોડ ‘શર્વરી’

અરે ઓ દિલ ! જરાક થોભ, યાર, ત્યાં કશું નથી,
જવાને થાય જ્યાં તું બેકરાર, ત્યાં કશું નથી.

અમારી લઈ લીધી તલાશી, બાપ, બસ કરો હવે;
એ મારી ઝૂંપડી છે નામદાર, ત્યાં કશું નથી.

હૃદયમાં ના મળી જગા તો તમને દોષ શાને દઉં?
તમે કહ્યું હતું અનેક વાર, ત્યાં કશું નથી.

અમારી જિંદગીય ઐતિહાસિક એ રીતે થઈ,
લડાઈથી વધીને યાદગાર ત્યાં કશું નથી.

ભલે ને લાગતું કે પ્રેમમાં બધાંય સુખ મળે,
કહે છે એ વિષયના જાણકાર ત્યાં કશું નથી.

– રિન્કુ રાઠોડ ‘શર્વરી’

આશ્ચર્ય જન્માવે એવા બહુ જ ટૂંકા ગાળામાં કવયિત્રી એમના ત્રીજા ગઝલસંગ્રહ ‘તો તમે રાજી?’ લઈને આપણી વચ્ચે આવ્યા છે. કવયિત્રી અને એમના સંગ્રહનું લયસ્તરો પર સહ્રદય સ્વાગત…

‘ત્યાં કશું નથી’ જેવી રદીફને કવયિત્રીએ યથોચિત નિભાવી જાણી છે. પાંચેપાંચ શેર આસ્વાદ્ય થયા છે..

Comments (7)

(મુફલિસની રેવડી) – હરીશ મીનાશ્રુ

એક મુફલિસની રેવડી જાણે
છે કયામતની આ ઘડી જાણે.

તરસને ઘૂંટણે પડી જાણે,
એ જ પી જાણે લડખડી જાણે.

રિન્દની આ રસમ ઈબાદતની,
તેજ સાથે તડાફડી જાણે.

મૂક પરથમ પહેલાં મસ્તક તું,
એ રીતે કે ન પાઘડી જાણે.

આભ ફાડે છે ખુદ રફુગર થૈ,
ચાલ ચાલે છે બેવડી જાણે.

કોણ આવ્યું કે ઘરની ભીંતો પણ
આમ કરતી પડાપડી જાણે.

તોછડી છે એની રહેમતની અદા,
આપણી કૈં નથી પડી જાણે.

એને મઝધાર શું કિનારો શું ?
પાણી વચ્ચે જે તરફડી જાણે.

એના આવ્યાના સહેજ ભણકારે,
આ ગલી પડશે સાંકડી જાણે.

આ ગઝલ એમની ઇશારત પર,
વાત પરખાવે રોકડી જાણે.

–હરીશ મીનાશ્રુ

અદા અનોખી છે, વાતો નોખી છે. મજબૂત ગઝલ….

Comments (2)

નથી…… – મરીઝ

નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી,
મળું હું તમને તો એમાં તમારું હિત નથી.

હવે કહો કે જીવન-દાસ્તાન કેમ લખાય?
અહીં તો જે જે પ્રસંગો છે સંકલિત નથી.

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

મળે ન લય તો ધમાલોમાં જિંદગી વીતે,
કે કોઈ શોર તો સંભળાવીએ જો ગીત નથી.

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

એ મારા પ્રેમમાં જોતા રહ્યાં સ્વાભાવિકતા,
કે મારો હાલ જુએ છે અને ચકિત નથી.

ભલે એ એક કે બે હો પછી ખતમ થઈ જાય,
મિલન સિવાય વિરહ મારો સંભવિત નથી.

જગતના દર્દ અને દુઃખને એ હસી કાઢે,
કરી દ્યો માફ હ્રદય એટલું વ્યથિત નથી.

ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’,
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

– મરીઝ

1917 ની 22 ફેબ્રુઆરી મરીઝસાહેબનો જન્મદિન….

ત્રીજો શેર જુઓ –

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

હું તો આ શેર પર જ જાણે અટકી ગયો છું…. શું સરળ વાણી અને કેવી ઊંડી વાત !! તું જીતતી હોય તો હાર શું ચીજ છે ! પણ આમ તો તારી જીત પણ નથી….. લાજવાબ !!

 

છેલ્લેથી બીજો શેર – જગતના દર્દ અને દુખને….. – આ શેરની ઊંચાઈ પણ જબરદસ્ત !

Comments (4)

(જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ!) – પારુલ ખખ્ખર

ફરી દીવા, ફરી સરઘસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ,
તું જોયા કર બધા ફારસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

લઈ અંધારનું ખંજર કરી ગઈ રાત કારી ઘા,
ફફડતું ધ્રુજતું ફાનસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

ભલે ઝંડા ઉપાડે ને ભલે ડંડા ઉપાડે, પણ
નથી જીવતો અસલ માણસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

નથી લોહી ઉકળતું કે હવે આંસુ નથી વહેતાં,
ઉપરથી જીભની આળસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

રગેરગ લ્હાય બળશે ને પછી જાતે ઠરી જાશે,
કકળશે વાંઝિયા ખૂન્નસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

કલમને લાખ સમજાવી પરંતુ ચૂપ નથી મરતી,
કરી બેઠી ફરી સાહસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

લખી શકતા, કહી શકતા, મરી શકતા -એ પેઢીના
છે ‘પારુલ’ આખરી વારસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

– પારુલ ખખ્ખર

સારી કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચે જે પાતળો તફાવત છે એ યોગ્ય શબ્દની યથોચિત પસંદગીનો કહી શકાય. અહીં ‘જમૂરા’ને આવો જ શબ્દ ગણી શકાય. ગઝલમાં ભાગ્યે જ પ્રયોજાતો આ શબ્દ આખી ગઝલને જાણે પોતાના ખભે ઊંચકી લઈ રચનાને નવી જ ઊંચાઈ આપવામાં સફળ થયો છે.

જે ઘટનાના પ્રતિઘાતે આ રચનાને જન્મ આપ્યો એ કોઈથી અછતી નથી. સુરતમાં એક લબરમૂછિયા પ્રેમીએ છોકરીએ લગ્ન કરવાની ના કહેતાં સરેઆમ સહુની સામે છોકરીના ગળા પર છરી ફેરવીને નિર્મમ હત્યા કરી અને તમાશબીન લોકો હિંમત કરી આગળ આવવાના બદલે વિડિયો ઊતારીને ફોરવર્ડ કરવામાં રત રહ્યા. જો કે રચનાની ઇબારત કંઈક એવી ઘડવામાં આવી છે કે એ આવા કોઈ પણ સંદર્ભોથી પર અને કાલાતીત થઈ છે.

ન ઘટવાનું ઘટી ગયું. સમય પર ફારસ જોતાં રહેલ લોકો હવે દીવા-મીણબત્તી લઈને વિરોધ સરઘસ કાઢશે. આવી ઘટનાઓ સતત બનતી જ રહે છે કારણ કે અસલી માણસ તો હવે જીવતો જ નથી. ‘શબવાહિની ગંગા’ વખતે પ્રચંડ લોક આક્રોશનો ભોગ બની હોવા છતાં કવયિત્રીની કલમ સામાજિક દાયિત્વ ચૂકી શકવા અસમર્થ છે. લાખ સમજાવવા છતાં કલમ ચૂપ મરવાના બદલે ફરી સાહસ કરી બેઠી છે. મક્તા તો અદભુત થયો છે. જે લોકો સંવેદનશીલ છે, વ્યક્ત થઈ શકે છે એવા લોકોની આખેઆખી પ્રજાતિ હવે નેષ્ટનાબૂદ થવા પર આવી હોવાની વાત મીઠામાં બોળેલા ચાબખાની જેમ આપણી ઊઘાડી સંવેદનાઓની પીઠ પર વીંઝાય છે…

જમૂરા! ઓમ શાંતિ બોલ… કેમ કે આપણે બીજું તો કશું કરી શકવાને સમર્થ નથી…

Comments (16)

નૈં થાય…. – અનિલ ચાવડા

આનંદ પજવશે, ને ઉલ્લાસ સહન નૈં થાય,
એવી ય ઘડી ઘટશે કે શ્વાસ સહન નૈં થાય.

તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને;
ઘૂવડથી કદી સ્હેજે અજવાસ સહન નૈં થાય.

બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો?
વિશ્વાસ મૂકી દેને, વિશ્વાસ સહન નૈં થાય.

છે માપ મુજબ ફળિયે તેથી જ વખાણે છે!
જો સ્હેજ વધુ ઊગશે તો ઘાસ સહન નૈં થાય.

મારી જ ભીતર રહીને ધબકે તું બીજા માટે?
નૈં થાય, હૃદય! આવો ઉપહાસ સહન નૈં થાય.

– અનિલ ચાવડા

Comments (4)

रंजिश ही सही – અહમદ ફરાઝ

रंजिश ही सही दिल ही दुखाने के लिए आ
आ फिर से मुझे छोड़ के जाने के लिये आ

ભલે રહી નારાજગી, દિલને દુઃખવવા તો આવ ! આવ, ફરીથી મને છોડી જવા માટે આવ.

कुछ तो मेरे पिन्दार-ए-मोहब्बत का भरम रख
तू भी तो कभी मुझ को मनाने के लिये आ

મારા પ્રેમના ગર્વનો થોડો તો ભ્રમ રહેવા દે ! તું પણ ક્યારેક મને મનાવવા આવ !

पहले से मरासिम ना सही फिर भी कभी तो
रस्म-ओ-रहे दुनिया ही निभाने के लिये आ

ભલે પહેલા જેવો મેળ ન હોય, તો પણ ક્યારેક તો દુનિયાદારીની રસ્મ નિભાવવા ખાતર તો આવ !

इक उम्र से हूँ लज्ज़त-ए-गिरया से भी महरूम
ऐ राहत-ए-जां मुझको रुलाने के लिये आ

એક આખી જિંદગીથી દિલ ખોલીને રડવું પણ નસીબ નથી, ઓ પ્રાણપ્રિયા મને રડાવવા ખાતર તો આવ !

माना के मोहब्बत का छुपाना है मोहब्बत
चुपके से किसी रोज़ जताने के लिए आ

માન્યું કે મહોબ્બ્તને છુપાવવું એ પણ મહોબ્બત જ તો છે ! ચુપકીથી કોઈ દિવસ તે સાબિત કરવા આવ !

जैसे तुम्हें आते हैं ना आने के बहाने
ऐसे ही किसी रोज़ न जाने के लिए आ

જેમ તને ન આવવાના બહાનાઓ આવડે છે, તે જ રીતે કોઈ દિ’ ન જવા માટે આવ !

किस किस को बताएँगे जुदाई का सबब हम
तू मुझ से खफा है तो ज़माने के लिये आ

કોને કોને કહેતા ફરીશું જુદાઈના કારણો ? તું મારાથી નારાજ છે તો કમ સે કમ જમાનાને ખાતર તો આવ !

अब तक दिल-ए-खुशफ़हम को हैं तुझ से उम्मीदें
ये आखिरी शम्में भी बुझाने के लिये आ

આ દિશાભ્રમિત દિલને હજુ તારાથી ઉમ્મીદ છે, બસ, હવે આ આખરી શમાને પણ બુઝાવવા આવ !

– અહમદ ફરાઝ

વેલેંટાઈન ડે પર એક શુદ્ધ પ્રેમનું ગાન મૂકવું હતું, આંખો બંધ કરી તો પહેલી આ ગઝલ યાદ આવી. એક એક શેર એક એક કિતાબ બરાબર છે….

એક માન્યતા એવી છે કે રોમેન્ટિક પ્રેમ એ આત્મવંચનાનો જ એક પ્રકાર છે. આ વાતથી વધુ હાસ્યાસ્પદ વાત મને કોઈ નથી લાગી. જિબ્રાન કહે છે ને કે – ” તમારામાં પાત્રતા હશે તો પ્રેમ તમને એના આગોશમાં સમાવશે.”

ગઝલનો ભાવ કરુણ છે, પણ વાત તડપની છે. પ્રેમની છટપટાહટની છે. ભક્ત જેમ ભિન્નભિન્ન પ્રકારે ભગવાનને આવવા વિનવે છે તેમ માશૂકને આવવા હજાર વિનંતી આશિક કરે છે. કારણ તારી મરજીનું રાખ પ્રિયે, પણ એકવાર આવ…..

મહેંદી હસનસાહેબના અવાજમાં –

 

 

Comments (3)

(છતાંયે ઘાવ તાજો છે) – પારુલ ખખ્ખર

થયો છે સાવ ઘરડોખખ છતાંયે ઘાવ તાજો છે,
કરી જોઈ દવા નવલખ છતાંયે ઘાવ તાજો છે.

ઘણો આપ્યો સમય આ ભીંગડું વળવાની ઘટનાને
અને નાથીને રાખ્યાં નખ છતાંયે ઘાવ તાજો છે.

થયું કે વ્યક્ત કરવાથી દરદ હળવું પડી જાશે,
કર્યું છે એટલે લખ-લખ છતાંયે ઘાવ તાજો છે.

મગજ નેવે મૂકીને અવનવા નુસ્ખા કરી જોયાં,
બન્યા જાણીજોઈ મૂરખ છતાંયે ઘાવ તાજો છે.

જૂનો થાશે- મટી જાશે, જૂનો થાશે- મટી જાશે,
કરું છું ક્યારની ભખભખ છતાંયે ઘાવ તાજો છે.

હજારો લોઢ લોઢાયા અને કરમાઈ ગઈ કાયા,
થઈ છે જિંદગી દોઝખ છતાંયે ઘાવ તાજો છે.

વિચાર્યું, ઝેરનું મારણ કદાચિત ઝેર હો- તેથી
મલમ સાથે લગાડ્યું વખ છતાંયે ઘાવ તાજો છે.

– પારુલ ખખ્ખર

આજની તારીખે કાવ્યક્ષેત્રે સક્રિય તમામ સર્જકોમાં પારુલ ખખ્ખરનું સ્થાન સાવ નોખું તરી આવે છે. ગીતોમાં તો એમની ગતિ સૌથી ન્યારી છે જ, ગઝલોમાં પણ એમણે અલગ કાઠુ કાઢ્યું છે. ‘છતાંયે ઘાવ તાજો છે’ જેવી નિભાવવી અઘરી પડે એવી રદીફને કવયિત્રીએ તંતોતંત સાચવી છે. ઊડીને આંખે વળગે એવું ગઝલનું બીજું જમા પાસું છે પ્રમાણમાં અરુઢ અને ચુસ્ત કાફિયાઓની પસંદગી. રદીફ-કાફિયાની બેવડી કસોટીમાંથી પાર ઉતરીને સર્જકે આપણને લાંબો સમય મનોમસ્તિષ્કમાં તાજી રહે એવી મજાની સંઘેડાઉતાર રચના આપી છે, એને હળવે હળવે મમળાવીએ…

Comments (13)

रात भर – ફૈઝ અહમદ ફૈઝ

आप की याद आती रही रात भर
चाँदनी दिल दुखाती रही रात भर

રાતભર આપણી યાદ આવતી જ રહી….રાતભર ચાંદની દિલ દુઃખવતી રહી…

गाह जलती हुई गाह बुझती हुई
शम-ए-ग़म झिलमिलाती रही रात भर

કદીક જલતી રહી કદીક બુઝતી રહી, દર્દની શમા રાતભર ટમટમતી રહી..

कोई ख़ुशबू बदलती रही पैरहन
कोई तस्वीर गाती रही रात भर

કોઈ ખુશ્બુ વસ્ત્રો બદલતી રહી, કોઈ તસ્વીર ગાતી રહી…..

फिर सबा साया-ए-शाख़-ए-गुल के तले
कोई क़िस्सा सुनाती रही रात भर

ફૂલની ડાળીના છાંયે હવાની લહેર આખી રાત કોઈ કિસ્સો સંભળાવતી રહી….

जो न आया उसे कोई ज़ंजीर-ए-दर
हर सदा पर बुलाती रही रात भर

જે ન આવ્યું તેને કમાડની સાંકળ દરેક અવાજે બોલાવતી રહી…

एक उम्मीद से दिल बहलता रहा
इक तमन्ना सताती रही रात भर

એક ઉમ્મીદથી દિલ બહેલતું રહ્યું, એક તમન્ના રાતભર સતાવતી રહી…

– ફૈઝ અહમદ ફૈઝ

છાયા ગાંગુલીને કંઠે ગવાયેલી એક મશહૂર ફિલ્મી ગઝલ – કે જેની સાથે આ ગઝલને ઘણું સામ્ય છે તેના શાયર ફૈઝસાહેબ નથી, તે ગઝલ મખદૂમ મોહીઉદ્દીનસાહેબની છે. આ ગઝલ મુકવાનો ખાસ હેતુ એ કે કોઈ શેર એવો કંઈ ખાસ નથી, ન તો અર્થનું ઊંડાણ છે. પરંતુ આ ગઝલ એક ચિત્ર સર્જે છે, એક માહોલ ઊભો કરે છે, એક મૂડ બનાવે છે અને ભાવક એક અલગ જ ભાવવિશ્વમાં પહોંચી જાય છે. જો આ ગઝલ સાંભળીએ તો આખો દિવસ આ જ ગઝલ મનમાં ગૂંજ્યા કરે અને દિલને સતાવતી રહે….આ જ ખૂબી છે આ ગઝલની અને આ જ સફળતા છે આ શાયરની….

Comments (3)

જીવન રમકડું છે – વિકી ત્રિવેદી

પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું બટકણું છે,
પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે.

યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો-
હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે!

સમંદર વિફર્યો તો એમને હું યાદ આવી ગ્યો,
મને કહેતા હતા જેઓ કે તું તો બસ, તણખલું છે.

પ્રભુ! મેં કેવી કેવી જંગ જોઈ એ તું જાણે છે,
આ દુનિયાને કહી દે, એ કરે છે એ છમકલું છે.

જે આવે છે એ મોટાભાગે પડતા હોય છે નીચે,
શું આ મારી નજરનું આંગણું એવું લપસણું છે?

તને જોશે તો એ ભાગી જશે, તું ચાલ આથમણો,
આ પૃથ્વી ગોળ છે સમજ્યો, ભલે ને સુખ ઉગમણું છે.

જરા ચાલું અને સાલું, મને એ ખૂંચવા લાગે,
જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે.

ન દુઃખનું દુઃખ, ન સુખનું સુખ, ન કોઈ પ્રેમ કે નફરત,
નવાઈ છે ‘વિકી’ તો પણ હજુ આ દિલ ધબકતું છે!

– વિકી ત્રિવેદી

સરસ મજાની ગઝલ. મન ઊઠાવી ન શકે એટલો બોજ વેંઢારી વેંઢારીને આપણે સહુ અકાળે તૂટી-ઝૂકી-હારી જતાં હોઈએ છીએ. પણ સમજુ માણસ એ જ કે પહેલાં મનની ક્ષમતાનો તાગ મેળવી લે અને પછી માફકસરનો બોજો લઈને જ દુનિયામાં ભટકવા નીકળે. રમકડાંવાળો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. ઈશ્વરને સંબોધીને દુનિયાને સંભળાવવામાં આવેલી વાત કવિની પોતાની આપવીતી છે. ભલભલાની છાતીનાં પાટિયાં બેસી જાય જીવનના દારૂણતમ સંજોગોનો માર વેઠીનેય અડીખમ રહી સ્વબળે આગળ આવેલ માણસ જ આ શેર કહી શકે. વગર માપે બનેલ પગરખું પહેરવાથી જે તકલીફ થાય એની વાત જિંદગીના ઉપલક્ષમાં કરતો શેર પણ ખૂબ મજબૂત થયો છે. લખાયેલ બધા જ શેર પ્રગટ કરવા બાબત થોડી તાકીદ કેળવી શકાય તો આ ગઝલકાર ટૂંકા સમયમાં કાઠુ કાઢવાની ક્ષમતા ધરાવે છે. સ્નેહકામનાઓ…

Comments (22)

(શિરામણમાં) – ડૉ.મનોજ જોશી ‘મન’

ખુશીમાં હોય કે દુઃખમાં, નિરાશા કે વિમાસણમાં,
ખરો માણસ છે! આપે છે બીજાના નામ કારણમાં.

પડી’તી મોજ ખૂબાખૂબ જે આખી મથામણમાં,
ખરેખર સાચું કહું? એવી મજા આવી ન તારણમાં.

તમારી યાદ અમને અવનવા પકવાન પીરસે છે,
ડૂમા રોંઢે ને ડૂસકાં વાળુએ, આંસુ શિરામણમાં.

મિલનની પળમાં અમને એક પણ શબ્દો ન યાદ આવ્યા,
વિરહની પળમાં અમને જાળવે છે એ જ સમજણમાં.

ખબર નહિ કેમ જ્યાં ને ત્યાં એ નફરત ઓકતો રે’ છે!
બધાની જેમ એણે પણ પીધો છે પ્રેમ ધાવણમાં.

– ડૉ.મનોજ જોશી ‘મન’

મનુષ્યસ્વભાવની ખરી વિડંબના ઉજાગર કરતા મત્લાથી પ્રારંભાતી આ આખી ગઝલ મનભાવન છે. ખરી મજા મંઝિલ-પ્રાપ્તિમાં નહીં, પણ સફરમાં હોય છે એ વાતને સાવ અલગ અભિગમથી રજૂ કરતો બીજો મત્લા પણ સરસ. ત્રીજો શેર શિરમોર થયો છે. પ્રિયજનની યાદો આખો દિવસ રડાવવા સિવાય બીજું કશું જ કરતી નથી એ વાતને કવિએ જે રીતે રજૂ કરી છે, એ કાબિલે-દાદ છે. પહેલાં તો કવિ યાદો અવનવાં પકવાન પીરસે છે એમ કહીને વાતને વળ ચડાવે છે પણ પછી દિવસના ત્રણેય ભોજનમાં એ કયાં-કયાં પકવાન પીરસે છે એનો ઘટસ્ફોટ કરે છે ત્યાં કવિકર્મને સલામ ભરવાનું મન થઈ જાય. મિલન-વિરહ અને શબ્દોની જમાવટ કરતો શેર પણ એવો જ સશક્ત થયો છે.

Comments (10)

…….શૂન્યતા – મનોજ ખંડેરિયા

પથરાઈ ગઈ છે આંખમાં સપનાંની શૂન્યતા
કોઈ વહી ગયું, રહી છાયાની શૂન્યતા

મૂંગો અવાજ આજ હજી કોરતો મને
પોલો બનાવી રહી મને પડઘાની શૂન્યતા

એકાંત કાળું ભીડનું વળગી ગયું મને
મારી જ સાથે આવતી રસ્તાની શૂન્યતા

પગરવની મ્હેક તો હવામાં ઓગળી ગઈ
કણસી રહી છે ધૂળમાં પગલાંની શૂન્યતા

સ્પર્શી રહી નગરનાં મકાનોની ભીંતને
જૂનાપુરાણા ધૂળિયા કિલ્લાની શૂન્યતા

– મનોજ ખંડેરિયા

મત્લાથી આગળ વધાયું જ નહીં જાણે કે મારા થી…..

Comments (5)

ખાનગી વાત – ધ્રુવ ભટ્ટ

નામ સ્મરણ ને સ્તુતિકથા સહુ મારું લોલમલોલ છે લલ્લા
કારણ તરત જ હું કહેવાનો अब तू इनका मोल दे अल्ला

કોણ છું હું ને કોણ તું ક્યાંની શોધ બધીયે બંધ કરાવું
લે હું કદી દઉં નામ तिहारा तू भी मेरा बोल दे अल्ला

કલ્પ કલ્પથી આ શું માંડી સંતાકૂકડી જેવી ગમ્મત
આજ કહું છું ખૂલ જા સીમ સીમ अब दरवाजा खोल दे अल्ला

જાનીવાલીપીનારાને હવે રંગનો થાક ચડયો છે
નામ પડેલા રંગો લઈ बेरंग इश्क में घोल दे अल्ला

એથી આગળ શું કહેવાનું સમજદાર છે સમજી લેજે
ચાલ પરસ્પરને કહી દઈએ तुझ को मुझ में छोड दे अल्ला

– ધ્રુવ ભટ્ટ

હિંદી-ગુજરાતી મિશ્રભાષી આ રચનાને ગઝલ કહેવી કે ગઝલનુમા ગીત કહેવું એ જરા દોહ્યલું છે. ગઝલ ગણીએ તો મત્લામાં લલ્લા સાથે અલ્લાનો પ્રાસ બેસાડ્યો હોવાથી એને કાફિયા ગણવા પડે પણ આગળ જતાં બાકીના શેરોમાં અલ્લા રદીફનો એક ભાગ હોવાનું પ્રમાણિત થાય છે અને લોલમલોલ-મોલ-બોલ વગેરે કાફિયાની જગ્યા લે છે, પણ આખરી શેરમાં વળી છોડ વાપર્યું છે ત્યાં કાફિયાદોષ થયો ગણાય.

પણ બે ઘડી રચનાના સ્વરૂપને બાજુએ મૂકીને એને ફક્ત કવિતા તરીકે એને પ્રમાણીએ તો આખી રચના મસ્ત મજાની થઈ છે. પાંચેય શેર જાનદાર થયા છે અને વાંચતાવેંત સોંસરવા ઉતરી જાય છે. ફરી-ફરીને વાંચો તો વધુ ને વધુ ગમતા જાય એવા…

Comments (8)

(મારા જ ઘરમાં) – ચંદ્રેશ મકવાણા

શોધ મારી ચાલતી આખ્ખા નગ૨માં,
ને થયો છું કેદ હું મારા જ ઘરમાં.

એ કમળમાં બંધ ને હું પાંપણોમાં,
એટલો છે ભેદ મારા ને ભ્રમરમાં.

આખરે ખેંચી લીધી તલવા૨ મેં પણ,
ક્યાં સુધી જીવ્યા કરું ડ૨માંને ડરમાં?

સ્હેજ કંપન આવતાવેંત જ નજરમાં
એમણે મૂકી દીધો ક૨ મારા ક૨માં.

ગીરવે મૂકીને પડછાયોય અંતે,
નીકળ્યો ‘નારાજ’ વણથંભી સફરમાં.

– ચંદ્રેશ મકવાણા

સરસ મજાની ગઝલ. ભમરાવાળો શેર શિરમોર.

Comments (4)

(તમે પણ ન છોડી હોડી) – હેમંત ધોરડા

ન અમેય નમતું જોખ્યું, ન તમેય જીદ છોડી,
અમે પણ ન નાવ વાળી, તમે પણ ન છોડી હોડી.

હવે પર્વતોના રસ્તા સમી વાત આપણી છે,
અમે મૌન વાંકું વાળ્યું, તમે ચુપકીદી મરોડી.

એ સુવાસ આપણી ક્યાં હવે કંઈ બચી કે કૂચી,
જે અમે પવનમાં બાંધી, જે તમે હવામાં ખોડી.

હતી આપણી પળો પણ જે સમય વીત્યો, હા, એમાં
અમે પણ ઉઠાવી ઓછી, તમે પણ વીણી એ થોડી.

હતી હઠ લખેલી મુખ ૫૨ કદી આપણે ન વાંચી,
અમે સરવરો ડહોળ્યાં, તમે આરસીઓ ફોડી.

– હેમંત ધોરડા

(છંદવિધાન: લલગાલગા લગાગા લલગાલગા લગાગા)

સંબંધના સાગરમાં ક્યારેક સાથે સફર ખેડી હોય એવી બે વ્યક્તિ જીવનના કોઈક દોરાહે આવીને અલગ થઈ જાય એ સમયની સમ-વેદનાની સ-રસ મુસલસલ ગઝલ. પાંચેય શેરમાં બે જણની બદલાયેલી દિશાઓ અને દશાઓનો વિરોધાભાસ આપણા હૈયાને આરપાર વીંધી જાય એ રીતે રજૂ થયો છે… મજાની સંઘેડાઉતાર રચના…

Comments (5)

(બોલ ને!) – અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

કેમ આજે ચૂપ છે કંઈ બોલ ને!
છે ધુમાડો ખૂબ, બારી ખોલ ને.

ટેક મૂકી છે કોઈની યાદની,
તું સ્મરણનું જૂનું શ્રીફળ છોલ ને.

હોય શંકા જો જરા પણ ન્યાયમાં,
ત્રાજવે તું કર્મ તારાં તોલ ને.

જે મિલનનો કેફ આપ્યો તેં મને,
એ નશામાં સાથે તું પણ ડોલ ને.

મેં ઉદાસીને વળાવી આખરે,
ના રડું દુઃખના વગાડી ઢોલ ને.

– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

ચુસ્ત કાફિયા સાથે આખા વાક્યનો કાકુ બદલી નાંખતી એકાક્ષરી ‘ને’ રદીફ તંતોતંત નિભાવાઈ હોવાથી સહજ સરળ ભાષામાં એક સ-રસ મજાની ગઝલ આપણને સાંપડે છે.

નવી વાત ન હોવા છતાં સબળ રજૂઆતના જોર પર રચાયેલ મત્લા તો આફરીન પોકારાવે એવો. બાકીના શેરો પણ આસ્વાદ્ય થયા છે…

Comments (8)

એ ધારજે – અંકિત ત્રિવેદી

ચાહવાથી જે કશું આગળ હશે એ ધા૨જે,
પામવાથી જે કશું આગળ હશે એ ધારજે.

આપણે પહોંચી ગયાની રાહ જોવે છે સમય,
આવવાથી જે કશું આગળ હશે એ ધારજે.

હીંચકે એમ જ નથી બેસી અને ઝૂલી રહ્યાં,
ચાલવાથી જે કશું આગળ હશે એ ધારજે.

તું ખુમારીને કહી દેજે મને પૂછ્યા વગર,
ધા૨વાથી જે કશું આગળ હશે એ ધારજે.

તું કહે છે રાતભર ઊંઘ્યો નથી એવું નથી,
જાગવાથી જે કશું આગળ હશે એ ધારજે.

– અંકિત ત્રિવેદી

સરળ સહજસાધ્ય ગઝલ… સાદી ભાસતી વાતને આગળ ઉપર ધારવાનું આહ્વાન આપતી રદીફ વાતને વધુ વળ ચડાવી આપે છે…

Comments (5)

વરસાદ ક્યાં હતો ? – ભગવતીકુમાર શર્મા

જ્યારે મળ્યાં’તાં આપણે, વરસાદ ક્યાં હતો ?
તડકો હતો ને તેય પછી યાદ ક્યાં હતો ?

ફૂલો ભરી શક્યાં ન વસંતે મુશાયરો ;
સુરભિત હવામાં દાદનો ઉન્માદ ક્યાં હતો ?

ચારેય ભીંતો શાંત હતી ને અલગ અલગ ;
બારી ને બારણાંઓમાં વિખવાદ ક્યાં હતો ?

જીવનના રસના ઘૂંટડા એમ જ ભર્યાં હતા ;
કડવો કે મીઠો એમાં કશો સ્વાદ ક્યાં હતો ?

પંખી પ્રસારી પાંખ સતત ઊડતાં રહ્યાં ;
ગુંબજ ગગનનો એટલો આઝાદ ક્યાં હતો ?

વધઘટ થતો રહ્યો છે એ સૂરજની સાથ સાથ,
પડછાયો મારો એવો અમર્યાદ ક્યાં હતો ?

– ભગવતીકુમાર શર્મા

વ્યથાસભર ઓબ્ઝર્વેશન્સ…..ત્રીજો શેર – ” ચારેય ભીંતો….” એક ઊંડી સ્તબ્ધતા છોડી જાય છે…

Comments (5)

વ્હાણની આંખે – જિતેન્દ્ર પ્રજાપતિ

એમ તારી યાદનાં પગલાં ફૂટ્યાં,
રાખથી જાણે ફરી તણખા ફૂટ્યા.

આગલી પીડાને અવગણતા ફૂટ્યા,
જખ્મથી જે કૈ નવા સણકા ફૂટ્યા.

ઝાડ છોડીને ઉડ્યાં જ્યાં પંખીઓ,
ઝાડના સૂનકારને ફણગા ફૂટ્યા.

રાતના થૈ સ્વપ્ન તારું આવવું,
ઘોર અંધારા મહીં તડકા ફૂટ્યા.

જોઈ દીવાદાંડીને આજે જુઓ;
વ્હાણની આંખે નવા નકશા ફૂટ્યા!

આંખ પણ છે પહાડનો પર્યાય દોસ્ત;
અશ્રુના આકારે જ્યાં ઝરણાં ફૂટ્યાં!

– જિતેન્દ્ર પ્રજાપતિ

લયસ્તરો પર કવિશ્રીના નવા સંગ્રહ ‘પાછો ફર્યો છું હું’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી એક રચના આપ સહુ માટે…

આમ તો બધા શેર મજાના થયા છે પણ પંખીઓ ઝાડ છોડી જાય એ પછી ઝાડના સૂનકારને ફણગા ફૂટવાની વાત શિરમોર છે. રાત્રે પ્રિયજનનું સ્વપ્ન આવતાં ઘોર અંધારામાં તડકા ફૂટવાવાળો શેર વાંચતા હરીન્દ્ર દવેનો ‘તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું? મધરાતે મારા આભમાં આવે છે, શું કરું?’ શેર સહજ યાદ આવે… બંને શેર પોતપોતાની રીતે અલગ અને બળુકા છે.

Comments (4)