પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી.
અંકિત ત્રિવેદી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 18, 2021 at 9:09 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
અમે તો છીએ રાંક ધરતીના જાયા,
કયામતના ધાકે અમોને ન ડારો;
અભિમાન જેનું નથી ઓગળ્યું એ,
ગુમાની ગગનને જ હેઠે ઉતારો!
જગે જળ ને જ્વાળાનું સિંચન કર્યું છે,
અમે આંખથી એક બિંદુ વહાવી;
ઠરેલાં હૃદય એને પાણી સમજશે,
બળેલાં હૃદય એને ગણશે તિખારો.
અમારી આ નિર્દોષ પ્રીતિને છળવા,
તમારેય કરવું રહ્યું આકરું તપ;
પ્રથમ રણ બનીને તપો ઝાંઝવાં સમ,
તૃષાતુર હરણને પછી હાંક મારો.
હૃદય આગ સરખું અને પ્યાર એમાં,
દીસે જિંદગી કીમિયાગરની ભઠ્ઠી;
ટકી જાય તો જાણજો એને કુંદન,
ઊડી જાય તો માનજો એને પારો.
ઘણા રૂપમાં તમને કલ્પી અમોએ,
અમુક રૂપ પોતાનાં માની લીધાં છે:
અમારે ખરીદાર બનવું રહ્યું ને,
અમારે જ શણગારવાનાં બજારો.
ભલે ને તમે દૂર રાખ્યો મને પણ,
જગે છે ઘણા દૂરથી દેખનારા;
ક્ષિતિજ માંહે જોનારને તો જણાશે,
સમંદરમાં ડૂબી ગયો છે સિતારો.
ગની જિંદગીની કવિતા વિષે પણ
ગજબનો અસંતોષ રે’ છે, પરંતુ
ઘણી વાર મૌલિક વિચારો કહે છે,
ન એને સુધારો, ન એને મઠારો.
– ‘ગની’ દહીંવાળા
ઘણા રૂપમાં તમને કલ્પી અમોએ……- શેરમાં માત્ર ચાર લીટીમાં આખી ઈશ્વરની પરિકલ્પના [ God hypothesis ] સમજાવી છે !!! અન્ય તમામ શેર પણ ગનીચાચાની માસ્ટરીની શાખ પૂરે છે.
Permalink
May 15, 2021 at 1:47 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
જામની ખાલી ક્ષણને પી જાઉં
આમ, , તારા સ્મરણને પી જાઉં.
હું ચસોચસ પીવાનો આદી છું,
બુંદ હો કે ઝરણને પી જાઉં.
મારા હોવાપણામાં તું રજરજ,
તારા એક એક કણને પી જાઉં.
જેમાં તારા બદનની ખુશ્બૂ હો,
એવા વાતાવરણને પી જાઉં.
તેં જે મળવાની શકયતા આપી,
એવા પ્રત્યેક પણને પી જાઉં,
ઝાંઝવાને નીચાવી જાણું છું,
‘મીર’ ધગધગતા રણને પી જાઉં.
– રશીદ મીર
કિડનીની બિમારીના કારણે જાણીતા કવિ, વિવેચક, આસ્વાદક શ્રી રશીદ મીર ૧૧-૦૫-૨૦૨૧ના રોજ જન્નતનશીન થયા. લયસ્તરો તરફથી કવિને ભાવભીની શબ્દાંજલિ…
Permalink
May 11, 2021 at 10:09 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
ક્યારેક મને એમ લાગે છે કે મારી નજરમાં કોઈ નથી;
ખાલી પડછાયા ને પડઘા વિણ દુનિયાભરમાં કોઈ નથી.
આ યુગયુગથી કંઈ કોટી જીવો તમને જીવ સાટે ચાહે છે;
મારા સમ એટલું તો કહી દો, શું તમ અંતરમાં કોઈ નથી ?
તમ દર્શનના અભિલાષીઓ જઈ દ્વાર દિશાના ખખડાવે;
કાં કોઈ જવાબ જરા ન દિયે, શું આખા ઘરમાં કોઈ નથી ?
છે કૈંક મુસાફર પૃથ્વી તણા આ જહાજ મહીં સાથે સરતા;
ને તોય મને કાં લાગી રહ્યું કે સાથ સફરમાં કોઈ નથી ?
જો પ્રેમ નહીં તો વેર વડે યા કોઈ ને કોઈ ઉપાય કરી;
પ્રત્યક્ષ કરે તમને એવું શું સચરાચરમાં કોઈ નથી ?
લાવ્યા છો તમે સુન્દર ચાદર, દઈ દેશો નામ કફન કેરું ?
વાળી દેશો એ ૫૨ માટી, શું એ ચાદરમાં કોઈ નથી ?
‘ગાફિલ’ જો નથી કોઈ તો કહો, આ ખેલ છે શાનો દુનિયામાં ?
આ પરદા પર તો પાર નથી, પરદા ભીતરમાં કોઈ નથી.
– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
સરળ વાણી, સીધી જ દિલની વાત…..
Permalink
May 8, 2021 at 1:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજેશ હિંગુ
મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે,
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!
કેવી રીતે કહું કે શ્રાપીને એ ગયાં છે!
શાશ્વત પીડા સ્મરણની આપીને એ ગયાં છે.
આખી સફરમાં સાથે ચાલ્યા નહીં તો શું ગમ!
સંગાથે થોડું અંતર કાપીને એ ગયાં છે.
છે ખાતરી કે ચુસકી ભૂલી નહીં શકે એ,
મીઠી કડક પ્રણયની ચા પીને એ ગયાં છે.
કેવી રીતે ઉતારું હું ઋણ એમનું આ?
મહોબતની મોંઘી મિલકત આપીને એ ગયાં છે.
– રાજેશ હિંગુ
કેવી સરસ સંઘેડાઉતાર રચના! કવિ પુરુષ છે એટલે જનાર વ્યક્તિ સ્ત્રી છે એ તો તરત સમજાઈ જાય પણ ગુજરાતી ભાષામાં અનુસ્વારનો ખરો મહિમા શું છે એ આ ગઝલ વાંચતા ખ્યાલ આવે છે. કવિ ‘એ ગયા છે’ એમ પણ લખી શક્યા હોત. પણ કવિએ ગયાના માથે અનુસ્વાર મૂકવાનું પસંદ કર્યું છે. સ્ત્રીને ‘ગયા’ કહીએ એમાં પણ એના માટેનું માન તો દેખાઈ જ આવે છે પણ જ્યારે આ જ વાત માથે અનુસ્વાર મૂકીને કરવામાં આવે ત્યારે સ્ત્રી માટે કથકના હૃદયમાં રહેલો ઊંડો આદર વધુ પ્રભાવકતાથી છતો થાય છે. જો કે મારા જેવા સોમાંથી નેવુ-પંચાણું ગુજરાતીઓને અનુસ્વાર વાપરતાં જ આવડતું નથી. આપણે તો’મા’ના સ્થાને પણ ‘માં’ લખીએ છીએ, પણ એમાં મા પરત્વેનો આદર ઓછો અને આપણું અનુસ્વાર-અજ્ઞાન વધુ છતુ થાય છે.
બંને મત્લા લાજવાબ. પ્રિયજન માત્ર દિલમાં નહીં, નસે-નસમાં ઘર કરી ગયાં છે એ વાત કવિએ જે રીતે વ્યાપી-સ્થાપીના ચુસ્ત કાફિયાઓ વડે કહી છે એ કાબિલે-સલામ છે. એ જ રીતે સાની મત્લામાં શ્રાપી પણ બેમિસાલ છે. જનાર તો ગયાં, પણ કદી મરણ ન પામનાર સ્મરણોની પીડા આપીને ગયાં છે. હવે જીવનભર એની યાદોના સહારે જ રહેવાનું. આ તે કેવો શ્રાપ! કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં…
બાકીના ત્રણેય શેર પણ નિરવદ્યપણે આસ્વાદ્ય છે. ‘ચા પીને’માં કાફિયાના બે ટુકડા કરવાનું જે કવિકર્મ થયું છે, એ નવું તો નથી, પણ અહીં જે રીતે કરવામાં આવ્યું છે એની ફ્લેવર સાવ જ મૌલિક છે…
Permalink
May 7, 2021 at 1:30 AM by વિવેક · Filed under ગઝલ, જિત ચુડાસમા
હથેળીમાં વૃક્ષો ઉગાડ્યાં છે આપે,
તો લ્યો, મારાં અશ્રુઓ સિંચાઈ માટે.
રઝળતી દીવાલોને ઘરભેગી કરવા,
અમે સાથિયા ચીતર્યા છે કમાડે.
એ શોધે છે જગ્યા પીડા સ્થાપવાની,
કહી આવો એને કે મારામાં સ્થાપે.
જણસમાં તો કેવળ નિસાસા રહ્યા છે,
હું ઇચ્છું કે કોઈ દિલાસા ન આપે.
તમે આંખ ઢાળી શું રસ્તો બતાવ્યો!
અમે ઊભા ઊભા જ પહોંચ્યા મુકામે.
– જિત ચુડાસમા
કશી પણ ટિપ્પણી વિના નખશિખ માણી લેવાની ગઝલ… દરેકે દરેક શેર અદભુત !
Permalink
May 4, 2021 at 3:21 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
મારા કવનમાં ભિન્ન કલા હોવી જોઈએ,
મારા નશામાં નોખી સુરા હોવી જોઈએ.
લાગી રહ્યું છે સંસ્કૃતિ જાણે મરી ગઈ,
આ સૃષ્ટિ એની શોકસભા હોવી જોઈએ.
આ પ્રેમનો પ્રસંગ તો આરંભ છે ફકત,
બાકી હજીયે મારી કથા હોવી જોઈએ.
એ શર્ત ૫૨ કબૂલ છે કાનૂન સૃષ્ટિના,
હું બંડ પણ કરું તો રજા હોવી જોઈએ.
ફૂલો ઉદાસ છે અને કંટક ખીલી રહ્યા,
રણમાં વસંત કેરી હવા હોવી જોઈએ.
તારા ખરી ખરીને નિમંત્રણ દઈ રહ્યા,
મારીયે એક ખાલી જગા હોવી જોઈએ.
અટકી રહ્યો’તો શ્વાસ તે પાછો ફરી ગયો,
વાતાવરણમાં એની હવા હોવી જોઈએ.
ઊઠે છે પાછું દર્દ હૃદયમાં ઘડીઘડી,
છેડાતી ક્યાંક મારી કથા હોવી જોઈએ.
સચવાઈ જાય કોઈની શરમિન્દગીની લાજ,
મિત્રો, શમા વિનાની સભા હોવી જોઈએ.
– હરીન્દ્ર દવે
ઊઠે છે પાછું દર્દ હૃદયમાં ઘડીઘડી,
છેડાતી ક્યાંક મારી કથા હોવી જોઈએ…….. અફલાતૂન…..
ફૈઝ યાદ આવી જાય –
क़फ़स उदास है यारो सबा से कुछ तो कहो
कहीं तो बहर-ए-ख़ुदा आज ज़िक्र-ए-यार चले
પિંજર ઉદાસ છે, યારની કોઈ ખબર નથી. કોઈ હવાને કહો કે જ્યાં યારનો જીક્ર થાય છે ત્યાંથી વહીને અહીં સુધી એ જીક્રની ખુશ્બુ લેતી આવે…..
Permalink
April 30, 2021 at 12:30 AM by વિવેક · Filed under કમલ પાલનપુરી, ગઝલ
થોડો સમય પડાવ છે, કાયમ નહીં રહે,
ક્ષણભરનો આ લગાવ છે, કાયમ નહીં રહે.
આઘાતનો બનાવ છે, કાયમ નહીં રહે,
એના જે હાવભાવ છે, કાયમ નહીં રહે.
હાંફી ગયો ભલેને પછી ઢાળ આવશે,
જીવન તણો ચડાવ છે, કાયમ નહીં રહે.
ઈશ્વર જડે તો શોધી લે, ફેરો ફળી જશે,
શ્વાસોની આવજાવ છે, કાયમ નહીં રહે.
વારો તો આપણોય છે નક્કી આ ખેલમાં,
એનો ભલે ને દાવ છે, કાયમ નહીં રહે.
પથરા તર્યા હતાને જે શ્રદ્ધાના કારણે,
માણસ ડગે, સ્વભાવ છે, કાયમ નહીં રહે.
છોડી જશે તનેય ઉદાસી તો ફાવશે?
મોંઘો આ રખરખાવ છે, કાયમ નહીં રહે.
ખંખેર જાત ક્યાંક જડી જાય તું તને,
આ મોહનો દબાવ છે, કાયમ નહીં રહે.
પ્રગટાવ દીવડો પછી અજવાસ આવશે,
અંધારનો પ્રભાવ છે, કાયમ નહીં રહે.
તાજાં છે એટલે તું પરેશાન છે ‘કમલ’,
જખ્મોથી અણબનાવ છે, કાયમ નહીં રહે.
વિશ્વાસ છે કે આવશે, અફવા નથી ‘કમલ’,
એનો સતત અભાવ છે, કાયમ નહીં રહે.
– કમલ પાલનપુરી
આજે લખાતી ગઝલોના મુકાબલે પ્રમાણમાં લાંબી કહી શકાય એવી ગઝલ પણ મોટાભાગના શેર મજાના થયા છે એની મજા છે. એકદમ સરળ અને સહજ ભાષામાં આ રચના લખાઈ છે એની પણ મજા છે. આજે મોટાભાગના કવિઓની રચનાઓમાં પદવિન્યાસ જળવાયેલો જોવા મળતો નથી, જ્યારે અહીં અગિયારે અગિયાર શેરમાં ક્યાંય પદવિન્યાસવ્યુત્ક્રમ નજરે ચડતો નથી. કાયમ નહીં રહે જેવી રદીફ પણ કવિએ ચપોચપ નિભાવી જાણી છે અને કાફિયા એટલા તો સાહજિક રીતે શેરમાં વણાઈ ગયા છે કે વાંચતાવેંત ગઝલ ગમી જાય. કવિનો મને કોઈ પ્રત્યક્ષ પરિચય નથી પણ એમ લાગે કે એમનું નામ કમલના સ્થાને કમાલ હોવું જોઈતું હતું!
Permalink
April 28, 2021 at 10:07 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
દ્વાર ખખડે અને કોઈ ટપાલી હોઈ શકે
ન કોઈ હોય, ગલી સાવ ખાલી હોઈ શકે
સમયના હાથને કઈ રીતે ઠેલશો પાછો?
એ માગે ચીજ તે તમને ય વ્હાલી હોઈ શકે
કોઈ લઈ આવ્યું મને આ ધધખતા રણ વચ્ચે
બીજું તો કોણ, આ શ્રદ્ધા જ સાલી હોઈ શકે
જો સ્થાનભેદ ના ગણીએ તો એક સંભવ છેઃ
તમાચા જેવો તમાચો ય તાલી હોઈ શકે
અમે ન ચાંગળું ચપટીક માગી પીનારા
હોય તો હાથમાં છલકાતી પ્યાલી હોઈ શકે
રમેશ, હોય છે સાપેક્ષ સર્વ ઘટનાઓ
તમારી પીડા બીજાની ખુશાલી હોઈ શકે
– રમેશ પારેખ
ર.પા.ની ગઝલ જ આવી ન્યારી હોઈ શકે……
Permalink
April 28, 2021 at 9:43 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
મનહર છબી લટકતી રહી’તી જે સ્થાન પર
ખીલી જ રહી ગઈ છે હવે એ દીવાલ પર
એ પીછું કે જે આંગણે ખૂણે પડ્યું રહ્યું
માંડીને આંખ બેઠું છે વૃક્ષોની ડાળ પર
સૂની સડકની વેદના અડક્યા કરે મને
પગલુંય સ્પષ્ટ રહી ન શક્યું ફૂટપાથ પર
ખંડિત થયેલ મૂર્તિની છાયામાં ઓગળું
ને મારા ટુકડાઓ તરે ભૂતકાળ પર
એકેય પાન શબ્દનું લીલું નહીં રહે
ઊડી રહ્યાં છે તીડનાં ટોળાંઓ ગામ પર
– મનોજ ખંડેરિયા
ચોતરફ વ્યગ્રતા છવાયેલી છે. જો ઈશ્વર જેવું કોઈ તત્વ હોય તો તે અત્યારે વેકેશન પર છે. ચોપાસ મૃત્યુનું તાંડવ મચ્યું છે. માનવી વામણો તો હતો,છે અને રહેશે જ, પરંતુ જે રીતે સાર્ત્રેએ યહૂદી નરસંહાર માટે કહ્યું હતું – ” Shouldn’t God be held answerable in Neuremberg trials ? ” – તે વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આવા માહોલમાં મન મત્લા પર જ અટકી ગયું…..
Permalink
April 22, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
જીવનને થાય છે હેરત, મને મેં જીવતો રાખ્યો!
મરણથી કેળવી નિસ્બત, મને મેં જીવતો રાખ્યો
ઉઠાવીને ઘણી દિક્કત, મને મેં જીવતો રાખ્યો
પરાઈ છે ભલે મિલકત, મને મેં જીવતો રાખ્યો
બળદની જેમ અટકું તો સમય ભોંકાય છે પીઠે
ખમી એવી પરોણા-ગત, મને મેં જીવતો રાખ્યો
ટકી રહેવાનાં સૃષ્ટિમાં નથી કારણ કોઈ ઝાઝાં
ગમી ગઈ એકબે બાબત, મને મેં જીવતો રાખ્યો
ઉપાડી લઈ મૂડી અસ્તિત્વની નીકળી શકાયું નહીં,
કે બાંધેલી હતી મુદ્દત, મને મેં જીવતો રાખ્યો
ઝુકાવ્યું શીશ જ્યાં-ત્યાં, પાઘડી આ ધૂળભેગી થઈ
પછી ર્હી નમ્ર, પણ ઉન્નત, મને મેં જીવતો રાખ્યો
‘જગત મિથ્યા’ ‘જગત મિથ્યા’ ‘જગત મિથ્યા’ જ ચારેકોર
નિરંતર શોધવા ‘તત્સત’, મને મેં જીવતો રાખ્યો
જો ઉત્પાદન તૂટે તો શાખ ઉત્પાદકની બગડે છે,
ખુદાની હું ય એક સરજત, મને મેં જીવતો રાખ્યો
જણાવી લાભ શો, તો યે, પ્રભુ તમને જણાવું જત..
ભલે ને, ના મળી લિજ્જત, મને મેં જીવતો રાખ્યો
– રઈશ મનીઆર
મિત્રો,
કોરોનાના આ કપરાકાળમાં મિત્રોને જાણ્યા-અજાણ્યા માનવબંધુઓને અકાળે આપણી વચ્ચે સરકી જતાં જોઈને, એ ખાલીપા વચ્ચે જીવતા રહેવું, ખુદને જીવાડતાં રહેવું પણ કપરું છે, ‘મને મેં જીવતો રાખ્યો’ એમાં ‘જીવતા રહ્યા’નું અભિમાન નથી, જિજીવિષા જરાસરખી ખૂટી ગયાની વિવશતા છે. આપ સહુને સાંત્વના અને સંવેદનાઓ સાથે આ ગઝલ અર્પણ કરું છું.
– રઈશ મનીઆર
Permalink
April 17, 2021 at 7:02 AM by વિવેક · Filed under ગઝલ, રિષભ મહેતા
ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.
તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.
ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.
ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
– રિષભ મહેતા
બહુ ઓછા માણસ હોય છે જે જિંદગીમાં જેને મળે એ બધા એના મિત્રો જ બની જાય… શત્રુ કોઈ ધારે તોય બની ન શકે એવા મીઠડા તો કોઈક વીરલા જ હોય ને ! રિષભ મહેતા આવું જ એક નામ હતું… આજે આ નામ સાથે ‘હતું‘ લખતાં હાથ કાંપે છે… અદભુત કવિ, મજાના સંગીતકાર, બેનમૂન ગાયક અને સહુથી વધીને મુઠ્ઠી ઊંચેરા માણસ એવા રિષભભાઈ જીવનના દરેક ક્ષેત્રમાં અજાતશત્રુ અને સર્વામિત્ર રહ્યા… ગુજરાતી કવિતા સંગીત હંમેશા એમને miss કરશે…
Permalink
April 16, 2021 at 12:30 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
હવે બસ ઝડપથી મુસીબત ટળી જાય,
કશુંક એવું કર, તારી દુનિયા બચી જાય.
ખુશી સાંપડે કાં ઉદાસી ગમી જાય,
ગમે તે રીતે બસ આ જીવન ટકી જાય.
અહીં ગમતાં લોકો નથી આવી શકતાં,
તું કોયલને કહેને કે ટહુકો કરી જાય!
નથી કોઈ જીવાણુંને માટે છાતી,
ચહું, એને કાઢીને ત્યાં તું વસી જાય.
હવે લઈ લે તારું આ ઝીણું રમકડું,
એ પહેલાં કે સૌ ભેટવાનું ભૂલી જાય!
– કિરણસિંહ ચૌહાણ
કોરોનાકાળમાં વાંચેલી ઉમદા રચનાઓમાંની શિરમોર… વાત તો વર્તમાન પરિસ્થિતિની જ છે પણ કોઈપણ સામયિક રચના સમયને અતિક્રમી શકે ત્યારે એ કવિતા બને છે. કવિ એ કવિકર્મ કરી શક્યા છે એનો આનંદ…
Permalink
April 15, 2021 at 1:24 AM by વિવેક · Filed under ગઝલ, મેગી અસનાની
બસ, બહુ મોડું થયું છે, જાઉં હું,
બે ઘડી દુનિયાને પણ દેખાઉં હું.
ખૂબ ચાહું છું તને, પણ બોલતા
કોણ જાણે કેમ રે મૂંઝાઉં હું?
બે ઘડી જો વાત મીઠી તું કરે,
એ પછી બે ત્રણ દિવસ હરખાઉં હું.
હું જ જ્યાં ખુદને હજુ સમજી નથી,
અન્યને તો શી રીતે પરખાઉં હું?
એટલી યાદો તું આપીને ગયો,
ખાલી ઘરમાં ચાલતા અથડાઉં હું.
– મેગી અસનાની
સરળ સહજ ભાષામાં સ્ત્રી હૃદયના ભાવોની નાજુક મીનાકારી. પ્રિયજનમાં સમગ્રતયા ખોવાઈ ગઈ હોવા છતાં સ્ત્રી દુનિયા તરફની પોતાની જવાબદારી તરફ મોઢું ફેરવી શકતી નથી. બે ઘડી તો બે ઘડી, પણ દુનિયાની સામે હાજરી તો પૂરાવવી જ પડે. આ સ્ત્રી જ કરી શકે. એ કદી બેપરવા બની શકતી નથી.
Permalink
April 13, 2021 at 8:37 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
તું જે કહે કબૂલ છે ચર્ચા કર્યા વગર;
ચાહું છું હું કશીય અપેક્ષા કર્યા વગર,
ટિપ્પણ કર્યા વગર અને ટીકા કર્યા વગર;
જીવી શકું તો જીવવું હો-હા કર્યા વગર,
ઇચ્છા છે એટલી કે હું ઇચ્છા નહીં કરું;
શી રીતે રહી શકાય છે ઇચ્છા કર્યા વગર,
સંબંધમાં જરૂરી છે સમજણની હાજરી;
ચાહી શકાય તો જ ખુલાસા કર્યા વગર.
સરનામું મારું કોઈએ ચીંધ્યું નહીં મને;
મેં પણ ગલી વટાવી’તી પૃચ્છા કર્યા વગર.
એમાં તે શી મજા કે સમયસર તમે મળો?
મળવું ગમે જ કેમ પ્રતીક્ષા કર્યા વગર?
અધવચ્ચે શ્વાસ અટકે તો આશ્ચર્ય કંઈ નથી;
છોડ્યાં ઘણાં યે કામ મેં પૂરાં કર્યા વગર.
– ભગવતીકુમાર શર્મા
Permalink
April 11, 2021 at 12:30 AM by વિવેક · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
अब मैं राशन की क़तारों में नज़र आता हूँ
अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूँ
इतनी महँगाई के बाज़ार से कुछ लाता हूँ
अपने बच्चों में उसे बाँट के शरमाता हूँ
अपनी नींदों का लहू पोंछने की कोशिश में
जागते जागते थक जाता हूँ सो जाता हूँ
कोई चादर समझ के खींच ना ले फिर से ‘ख़लील’
मैं कफ़न ओढ़ के फुटपाथ पे सो जाता हूँ
– ख़लील धनतेजवी
જેમ ગુજરાતીમાં, એમ ઉર્દૂમાં પણ ખલીલભાઈની કલમ ખૂબ ખીલી હતી. એમની સૌથી વધુ પ્રસિદ્ધ રચના આ, જેને જગજીતસિંહે કંઠ આપીને અમર બનાવી દીધી છે. એકેએક શેર અદભુત થયા છે…
Permalink
April 10, 2021 at 12:30 AM by વિવેક · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
એના ઘરની એક બારી મારા ઘર સામે હતી
મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી
એક સરખો ગર્વ બંનેને હતો વ્યક્તિત્વનો
એક ઊંડી ખીણ પર્વતના શિખર સામે હતી
રાતે ચિંતા કે સવારે સૂર્ય કેવો ઊગશે
ને સવારે, સાંજ પડવાની ફિકર સામે હતી
ને વસંતોને ઊમળકાભેર માણી લેત પણ
હાય રે! એક વેંત છેટે પાનખર સામે હતી
હું જ અંધારાના ડર થી આંખ ન ખોલી શક્યો
એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી
મિત્રને શત્રૂની વચ્ચોવચ ખલીલ ઊભો હતો
એક આફત પીઠ પાછળ એક નજર સામે હતી.
– ખલીલ ધનતેજવી
કેવી સંઘેડાઉતાર રચના… એક-એક શેર ખરું સોનુ જ જોઈ લ્યો…
Permalink
April 9, 2021 at 12:30 AM by વિવેક · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
ઘર તો તારાથી ખરેખર ઘર થયું,
જે કશું ખૂટતું હતું સરભર થયું.
તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,
તારું કોરું વસ્ત્ર પાનેતર થયું.
જિંદગીભર જાતને તડકે મૂકી,
એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.
શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,
જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું.
એકધારું ક્યાં જિવાયું છે ખલીલ,
કટકે કટકે પૂરું આ જીવતર થયું.
– ખલીલ ધનતેજવી
સભારંજની શેર મોટાભાગે કવિતાની એરણ પર ફટકિયું મોતી સાબિત થતા હોય છે. પણ ખલીલભાઈની આ ગઝલ જુઓ. જે શેરો પર કવિ મહેફિલ ડોલાવતા હતા, એ શેરોમાં કેવા અમૂલ્ય મોતીનો ચળકાટ છે એ જોવા જેવું છે…
Permalink
April 8, 2021 at 3:04 AM by વિવેક · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
કાચના મહેલોમાં કાગારોળ છે,
પથ્થરોની આંખ પણ તરબોળ છે.
કલ્પના સુંદર હતી, રૂડી હતી,
વાસ્તવિકતા કેટલી બેડોળ છે!
રાતદિ’ ચાલું છું ત્યાંનો ત્યાં જ છું,
મારું જીવન જાણે કે ચકડોળ છે!
મારા દિલમાં જીવતી ચિનગારીઓ,
એની આંખોમાં નર્યો વંટોળ છે.
કોણ એનું રૂપ બદલે, શી મજાલ?
આ તો મારા ગામની ભૂગોળ છે.
ઘાણીએ ફરતો બળદ અટકી જશે,
એને ના કહેશો કે પૃથ્વી ગોળ છે.
– ખલીલ ધનતેજવી
ગુજરાતી ગઝલના આકાશમાં દાયકાઓથી એકધારું મધ્યાહ્ને તપતો એક સૂર્ય ૮૫ વર્ષની વયે અચાનક આથમી ગયો… ગુજરાતી ગઝલના આકાશમાં અનેક સૂર્યો અને સિતારો આવતા રહેશે પણ ખલીલસાહેબની જગ્યા ભાગ્યે જ કોઈ લઈ શકશે. ઊંચી કદાવર કાઠી અને ઘોઘરા અવાજ સાથે એ જે અંદાજે-બયાંથી ગઝલ કહેતા, એ પણ હવે સ્મૃતિશેષ જ રહેશે. ભાગ્યે જ કોઈ મુશાયરો એવો થયો હશે, જેમાં ખલીલસાહેબને એમનો કાવ્યપાઠ પતી ગયા પછી દર્શકોના ‘વન્સમોર’ને માન આપીને પુનઃ માઇક ગ્રહણ કરવું ન પડ્યું હોય…
Permalink
April 6, 2021 at 1:28 PM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
अब के बरस भी किस्से बनेंगे कमाल के,
पिछला बरस गया है कलेजा निकाल के।
अपनी तरफ से सबकी दलीलों को टाल के,
मनवा ले अपनी बात को सिक्का उछाल के।
ये ख़त किसी को खून के आँसू रुलाएगा,
कागज़ पे रख दिया है कलेजा निकाल के।
माना कि ज़िन्दगी से बहुत प्यार है मगर,
कब तक रखोगे काँच का बर्तन संभाल के।
ऐ मीर-ए-कारवाँ मुझे मुड़ कर ना देख तू,
मैं आ रहा हूँ पाँव से काँटे निकाल के।
तुमको नया ये साल मुबारक हो दोस्तों,
मैं ज़ख्म गिन रहा हूँ अभी पिछले साल के।
– ख़लील धनतेजवी
ખલીલસાહેબ ઉર્દુમાં પણ ગઝલ કહેતા…..તેઓની એક ગઝલને જગજીતજીએ કંઠ પણ આપ્યો હતો….આ એક તેઓની જાણીતી રચના….
Permalink
April 6, 2021 at 1:01 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!
આપણે એકાંતમાં ક્યારેય ભેગા ક્યાં થયાં ?
તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!
આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી!
કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું ?
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી!
આપણે તો પ્રેમનાં અરમાન પુરવાના હતા,
કાં અજુગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી!
આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી!
યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!
એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!
– ખલીલ ધનતેજવી
ખલીલસાહેબનો ખરો રંગ મક્તામાં વ્યક્ત થાય છે – છેલ્લેથી બીજો શેર પણ મજબૂત છે. જો કે તમામ શેર સાહેબની પ્રજ્ઞાનો અંદાજ આપે છે….
Permalink
April 5, 2021 at 3:59 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,
ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.
કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,
જે દશા તારી થઈ છે એ દશા મારી નથી.
જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,
એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.
મારવા ચાહે તો આંખોમાં ડુબાડી દે મને,
આમ આ તડકે મૂકી દેવો, સજા મારી નથી.
પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,
જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી.
તું નજર વાળે ને કંઈ ટુચકો કરે તો શક્ય છે,
દાક્તર કે વૈદ્ય પાસે પણ દવા મારી નથી.
દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું,
ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી.
– ખલીલ ધનતેજવી
તેજ ના ધની – ધનતેજવી અનંત તેજમાં વિલીન થઇ ગયા……
Permalink
March 27, 2021 at 1:23 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
પછી મરજી મુજબ નફરત કરો, વંદન કરો,
તમારા દેવતાનું ખુદ તમે સર્જન કરો.
કશું બોલો, તમારા મૌન સામે છે વિરોધ,
સમર્થન ના કરો તો વાતનું ખંડન કરો.
હજી થોડો સમય એની નજર છે આ તરફ,
હજી થોડા સમય માટે સરસ વર્તન કરો.
હવે મરવું જ છે તો આંખ બે મીંચો અને
જગતના આખરી અંધારના દર્શન કરો.
હયાતી અન્યની તો ક્યાં તમે માનો જ છો?
તમે બસ આયના સામે ભજન કિર્તન કરો.
– ભાવિન ગોપાણી
સશક્ત ગઝલ. બધા જ શેર સ-રસ થયા છે. ઈશ્વરની હયાતી સૃષ્ટિનો સનાતન પ્રશ્ન છે. ઈશ્વર એટલે મૂળભૂતપણે આપણી માન્યતા અને માન્યતા માટેની શ્રદ્ધાનું પ્રતીક. દરેકની આસ્થા અલગ. માટે જ બધાનો ઈશ્વર પણ અલગ. ઈશ્વર હોય કે કોઈ વ્યક્તિ – એને માથે ચડાવવું કે હડસેલવું એ અંતે તો આપણી મરજી પર જ આધારિત છે, કેમકે આ આદર-અનાદર બધું જ અંતે તો આપણી જ સરજત છે.
Permalink
March 25, 2021 at 2:12 AM by વિવેક · Filed under ગઝલ, રિન્કુ રાઠોડ ‘શર્વરી’
આપણે છત્રી નહીં, માણસ હતા,
એટલે પલળ્યા નહીં, ભીના થયા.
સપ્તરંગી આભના અશ્રુ ઝર્યાં,
એ જ દ્રાવણ મોરનાં પીંછા થયાં.
શ્વાસ તો દોડી ગયા ધસમસ પછી,
બંધ જોયાં દ્વાર તો ધીમા થયા.
જ્યાં ફક્ત રાધાનો ડૂમો ઓગળે ?
વાંસળીના સૂર પણ તીણા થયા.
મેં સતત ઔષધ ગણી લીધાં કર્યાં,
એ જ સગપણ આખરે પીડા થયાં.
– રિન્કુ રાઠોડ ‘શર્વરી’
આખી ગઝલ સ-રસ છે પણ હું મત્લા પર જ અટકી ગયો છું. પલળવું અને ભીના થવાનો તફાવત કવયિત્રીએ છત્રી અને માણસના રૂપક પ્રયોજી જે બખૂબીથી સમજાવ્યો છે, એ સાચે જ કાબિલે-દાદ છે.
Permalink
March 23, 2021 at 4:03 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ઘણા વિકલ્પ છે, છતાં નિતાન્ત નિર્વિકલ્પ છું;
અસંખ્ય અંક છે, પરંતુ આખરે હું શૂન્ય છું.
પ્રતીતિ કેમ હું કરું કે સત્ય છું, અસત્ય છું?
હું મેદનીનો અંશ છું કે એક ને અનન્ય છું?
મને ન શોધજો તમે કો ગ્રંથના મહાર્ણવે; [ મહાર્ણવ = મહાસાગર ]
હું કોઈના હૃદય વિશે વસેલું રમ્ય કાવ્ય છું.
મને ગણીને ક્ષીણ તો ય અવગણો નહીં તમે.
ભલે હું જળની મંદ ધાર કિન્તુ હું અજસ્ર છું. [ અજસ્ર = સતત ]
મને સદૈવ પ્રેરતી રહી છે શબ્દ-ખેવના;
પરંતુ મૂળમાંથી હું અવ્યક્ત છું, અજન્મ છું.
– ભગવતીકુમાર શર્મા
આખી ગઝલ ‘મને’ અને ‘હું’ -કેન્દ્રી છે. અસલમાં કવિ ‘હું’ ને શું જોવા ઈચ્છે છે તેની કથની છે. એમ કહી શકાય કે “મારી કલ્પનાનું ‘હું’ ” વિષય ઉપરના કવિના વિચારોની માળા છે…..ક્યાંક કવિને સ્પષ્ટતા નથી અને પ્રશ્ન છે, ક્યાંક સ્પષ્ટતા છે, ક્યાંક આકાંક્ષા છે…..
Permalink
March 18, 2021 at 12:50 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
એની આંખોથી જ્યારે પણ આદર વરસે,
એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે !
હોય નહીં આવી મીઠી ધારા વાદળની,
આકાશેથી સીધેસીધું ઈશ્વર વરસે !
મૂળ સુધી તો કોઈ રેલો પહોંચે ક્યાંથી?
સગપણનાં ચોમાસાં ઉપર-ઉપર વરસે.
રાતોની રાતો તાકીને મેં જોયો છે,
ઘરની છતથી ઝીણોઝીણો જે ડર વરસે.
કોણ કરે ફરિયાદ તડપની, માફ કરી છે,
તરસાવી તરસાવીને પણ આખર વરસે.
તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે,
‘હર્ષ’ બિચારો ખુલ્લા મનથી નહિતર વરસે !
– હર્ષ બ્રહ્મભટ્ટ
કેવી મજાની ગઝલ! દરેકે દરેક શેર ધ્યાન માંગી લે એવા થયા છે…
Permalink
March 13, 2021 at 1:31 AM by વિવેક · Filed under ગઝલ, ગુણવંત ઠક્કર
સજાવટ હોય સુંદર તે છતાં સુંદર નથી હોતાં,
છે કારણ એ જ કે સઘળાં મકાનો ઘર નથી હોતાં.
અહીં તો પડતા આખડતા બધું જાતે જ શીખવાનું,
અનુભવની નિશાળોમાં કોઈ માસ્તર નથી હોતા.
સમય તો આપણી સાથે જ રહેતો હોય છે હરપળ,
ખરેખર આપણે જે તે સમય હાજર નથી હોતા.
કોઈ બીજાના જીવનમાં પછી ક્યાંથી એ હોવાના!
ઘણા પોતાના જીવનમાંય જીવનભર નથી હોતા.
– ગુણવંત ઠક્કર ‘ધીરજ
ચાર શેરથી કામ ચાલી જતું હોય તો ભાવકના માથે પાંચમો ન ફટકારે એવી જવાબદારીથી ગઝલસાધના કરતા કવિની કલમનું એક ઓર નજરાણું આજે માણીએ. કવિએ જે કાફિયા-રદીફ વાપર્યા છે, એ પાયા ઉપર તો કંઈ કેટલીય ગગનચુંબી ઈમારતો ખડી થઈ શકે એમ છે; પણ કવિ સંયમપૂર્વક ચાર મજબૂત શેર આપીને અટકી ગયા છે. ચારેય શેર વાંચતા જાવ એમ વધુ વહાલા લાગતા જાય એવા થયા છે.
Permalink
March 5, 2021 at 12:30 AM by વિવેક · Filed under અગન રાજ્યગુરુ, ગઝલ
(કવિના મિત્રના હસ્તાક્ષરમાં કવિની ગઝલ)
*
એમ શમણાં આંખમાં અટકી ગયાં,
શ્વાસ જાણે શ્વાસમાં અટકી ગયા.
સાથમાં ચાલી શકાયું હોત પણ;
વાતમાં ને વાતમાં અટકી ગયા.
એક ઝટકે જીભ પર આવ્યા હતા;
શબ્દ સઘળા બાદમાં અટકી ગયા
હું સતત ચાલ્યાં કર્યો છું એ રીતે:
જેમ કે પગ રાહમાં અટકી ગયા.
આયનો ફૂટી ગયો તરડ્યા પછી;
બિંબ કિન્તુ કાચમાં અટકી ગયાં
ઠીક છે છોડો બધા એ વાયદા;
એ કહો, કઈ વાતમાં અટકી ગયા?
આંખથી ઓઝલ થયેલાં વાદળાં;
કયાંક તારી યાદમાં અટકી ગયાં.
ઝાંઝવાઓ જોઇને લાગ્યું ‘અગન’
કે અમે પણ પ્યાસમાં અટકી ગયા.
– ‘અગન’ રાજ્યગુરુ
‘લયસ્તરો’ પર કવિમિત્ર શ્રી ‘અગન’ રાજ્યગુરુ (યજ્ઞેશ દવે) અને એમના પ્રથમ ગઝલ સંગ્રહ ‘તારી યાદમાં’ –બંનેનું સહૃદય સ્વાગત…
સંગ્રહમાંથી એક મજાની ગઝલ માણીએ. તમામ શેર શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવે છે, પણ હું ચોથા શેર પર અટકી ગયો છું. કેવી સરસ વાત કવિએ કહી છે! કથક અનવરત મુસાફરી કરી રહ્યો છે. મંઝિલ આવશે કે આવી ગઈ એની કોઈ પણ તમા રાખ્યા વિના કથક એ રીતે ચાલ-ચાલ કરી રહ્યો છે, જાણે કે પગ રસ્તામાં અટકી ન ગયા હોય! પગ રસ્તો છોડતા જ નથી. ચાલવું મૂકતાં જ નથી. ગતિભાવ અધોરેખિત કરવા માટે કવિએ સ્થિતિભાવ દર્શાવતું ક્રિયાપદ કેવું બખૂબી પ્રયોજ્યું છે!
આ સાથે જ ‘તરડાયા’ના સ્થાને ‘તરડયા’ ક્રિયાપદ વાપરવું ટાળી શકાયું હોત તો સોનામાં સુગંધ ભળત. કવિને સ્નેહકામનાઓ…
Permalink
March 4, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રીનલ પટેલ
આંખ ખુલતાવેંત સામે એ જ આવે,
એવી ક્ષણ જીવન મહીં ભાગ્યે જ આવે.
એમ આવે સટસટાસટ યાદ એની,
જેમ સિગ્નલ આવતાં મેસેજ આવે.
બેઉને, બન્નેની, એ પણ એક સરખી,
હોય લત,સાચી મજા ત્યારે જ આવે.
એટલા હકથી પધારે આપદા કે-
જાણે મામાના ઘરે ભાણેજ આવે.
આમ લાવી ના શકો એને પરાણે,
આ ગઝલ છે, એ તો સ્વેચ્છાએ જ આવે.
– રીનલ પટેલ
વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. કૃષ્ણને મળવા દુર્યોધન વહેલો આવ્યો હતો પણ ઓશિકા પાસેના આસન પર બેઠો. અર્જુન મોડો આવ્યો પણ પગ પાસે ઊભો રહ્યો. કૃષ્ણની આંખ ખુલતાં એને સૌપ્રથમ અર્જુન નજરે ચડ્યો. પણ આંખ ખૂલે અને ગમતી વ્યક્તિ સામે ઊભી હોય એવી ક્ષણો તો જીવનમાં ભાગ્યે જ આવે ને! આવું સદભાગ્ય બધાનું થોડું હોય? અને કાયમનું થોડું હોય? ક્યાંક કશેક અટકી ગયા હોઈએ, વધુ પડતા વ્યસ્ત હોઈએ ત્યારે બની શકે કે પ્રિયજનની યાદ ન આવે, પણ મન જેવું નવરું પડ્યું નથી કે મોબાઇલ આઉટ-ઑફ-રેન્જમાંથી રેન્જમાં આવતાં જ જે રીતે અટકી પડેલા મેસેજિસ એક પછી એક સટાસટ આવવા માંદે એ જ રીતે યાદો પણ ધસમસી આવે. મોબાઇલ-સિગ્નલ અને મેસેજ હવા-પાણી-ખોરાક પછીની ચોથી આવશ્યકતા બની ગયા હોય ત્યારે કવિતા એનો પડઘો ન ઝીલવામાંથી કેમ બાકાત રહી જાય? કવિતા તો સાંપ્રત સમય અને સમાજનો અરીસો છે. ત્રીજો-ચોથો શેર ગઝલના શિરમોર શેર છે. બંને અદભુત થયા છે. કવિતા કઈ વસ્તુને ક્યાં અને કેવી રીતે સાંકળી લે એ આપણી સહજ સમજણની બહાર છે. કદાચ એટલે જ કવિતા બધાનો ‘કપ-ઑફ-ટી’ ન હોવા છતાંય સ્પર્શી જાય છે. ભાણેજ અને વિપત્તિઓને આમ તો સ્નાનસૂતકનોય સંબંધ નથી, પણ કવિતા એ બેને જે અધિકારપૂર્વક સાંકળી લે છે એ જોવા જેવું છે…
કવયિત્રીનું લયસ્તરો પર સહૃદય સ્વાગત!
Permalink
March 1, 2021 at 12:44 AM by તીર્થેશ · Filed under અહમદ ફરાઝ, ગઝલ
इस से पहले कि बे-वफ़ा हो जाएँ
क्यूँ न ऐ दोस्त हम जुदा हो जाएँ
तू भी हीरे से बन गया पत्थर
हम भी कल जाने क्या से क्या हो जाएँ
तू कि यकता था बे-शुमार हुआ
हम भी टूटें तो जा-ब-जा हो जाएँ
તું અદ્વિતીયમાંથી સામાન્ય થઈ ગયો, હું પણ તૂટીશ તો ઠેરઠેર ફેલાઈ જઈશ
हम भी मजबूरियों का उज़्र करें
फिर कहीं और मुब्तला हो जाएँ
હું કોઈ મજબૂરીનું બહાનું કાઢું, ક્યાંક ફરીથી બીજે કશેક વધુ ફસાઈ ન પડું
हम अगर मंज़िलें न बन पाए
मंज़िलों तक का रास्ता हो जाएँ
देर से सोच में हैं परवाने
राख हो जाएँ या हवा हो जाएँ
इश्क़ भी खेल है नसीबों का
ख़ाक हो जाएँ कीमिया हो जाएँ
પ્રેમ પણ નસીબનો ખેલ છે, ખાખ પણ થઈ જવાય, પારસમણિ પણ થઈ જવાય…
अब के गर तू मिले तो हम तुझ से
ऐसे लिपटें तिरी क़बा हो जाएँ [ क़बा = વસ્ત્ર ]
बंदगी हम ने छोड़ दी है ‘फ़राज़’
क्या करें लोग जब ख़ुदा हो जाएँ
– અહમદ ફરાઝ
મક્તો મશહૂર છે, આખી ગઝલ સૉલિડ છે. એકસૂત્રી ગઝલ નથી, પણ પ્રત્યેક ભાવ મજબૂતીથી અભિવ્યક્ત થયો છે.
પહેલા ચાર શેર ક્રૂર અનુભૂતિજન્ય નારાજગીનું બયાન છે અને પછી બધા શેર છૂટક અર્થ ધરાવે છે. એક ઘેરી લાગણી જન્માવતી આ ગઝલ વચ્ચે ભાવ બદલે છે અને મકતાએ ફરી મૂળ ભાવ પકડે છે તે થોડું કઠે છે પણ એને બાદ કરતા તમામ શેર કાબિલેતારીફ છે….
Permalink
February 25, 2021 at 12:30 AM by વિવેક · Filed under અંજના ભાવસાર 'અંજુ', ગઝલ
આમ, તું ના હોય તો ગમતું નથી
પણ હૃદય જિદ્દી છે, કરગરતું નથી
હું શરમ છોડું , તું રહેવા દે વિવેક
સ્વપ્ન છે, અહીં કોઈ ઓળખતું નથી
નામ સંયમનું ધરી રોક્યું છે તેં
આ રીતે મનને કોઈ છળતું નથી!
એવું તે શું કહીને છોડી આંગળી?
ટેરવું પણ સહેજે ટળવળતું નથી!
પ્રેમથી આપ્યું દરદ તેં ભેટમાં
એ જ કારણ છે કે એ ઘટતું નથી
કોણ જાણે કોની લાગી છે નજર!
આંખમાં કાજળ હવે ટકતું નથી
– અંજના ભાવસાર ‘અંજુ’
આવી ગઝલ હાથ ચડે ત્યારે થાય કે હા, ગુજરાતી કવિતાનું ભવિષ્ય ઉજ્જવળ છે. લગભગ બધા જ શેર સંતર્પક થયા છે. મત્લામાં ખુદ્દારીનો કેવો સ-રસ અંદાજ વ્યક્ત થયો છે! વિરહ ગમે એટલી તકલીફ કેમ ન આપે, હૃદય ભીખ તો નહીં જ માંગે. પિયુમિલનની ઝંખના કોને ન હોય! પણ કોઈક કારણોસર બે જણે એકમેકથી દૂર રહેવાની ફરજ પડતી હોય તો તેનો ઉપાય કવયિત્રી પાસે છે જ. સ્વપ્નપ્રદેશમાં ન શરમ, ન વિવેક – કશુંય પહેરી રાખવાની આવશ્યક્તા નથી. ‘ટેરવું સહેજ પણ ટળવળતું નથી’નું કલ્પન ગઝલને એક અલગ જ ઊંચાઈએ લઈ જાય છે, તો આખરી શેર સ્ત્રીસહજ સંવેદનની પરાકાષ્ઠાનો શેર છે, કદાચ આંસુ વિશે લખાયેલા ઉત્તમ શેરોમાં સમાવી શકાય એવો…
Permalink
February 24, 2021 at 3:11 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
જન્મ-ક્ષણથી હું ચાલ્યા કરું છું છતાં ગામ આવ્યું નહીં;
ડગ તો સાચા જ માર્ગે ભરું છું છતાં ગામ આવ્યું નહીં.
ગામ-ભાગોળના ઝાંખા દીવાના અણસાર વર્તાય છે;
આંખ પર નેજવું હું ધરું છું છતાં ગામ આવ્યું નહીં.
ચિરપરિચિત પડોશી, સ્વજન સર્વનાં નામ સંભારીને;
મોટે સાદેથી હું ઉચ્ચરું છું છતાં ગામ આવ્યું નહીં.
વાવ, કૂવા, સરોવર, નદી સર્વ સુક્કાં અને ખાલીખમ;
મારા પડઘાઓ એમાં ભરું છું છતાં ગામ આવ્યું નહીં.
ઘરના વાડામાં રોપ્યું’તું જે ઝાડવું એની લીલાશ ક્યાં?
પીંછાં શો હું ટપોટપ ખરું છું, છતાં ગામ આવ્યું નહીં.
હું વિખૂટો છું મારા વતન-ગામથી જન્મજન્માંતરે;
મૂળથી તૂટીને થરથરું છું છતાં ગામ આવ્યું નહીં.
– ભગવતીકુમાર શર્મા
સહેલું નથી. આદિ શંકરાચાર્યએ કહ્યું છે – ” કોટિ એ એકને બ્રહ્મજિજ્ઞાસા જાગૃત થાય. જેની જિજ્ઞાસા જાગે એવા કોટિ માંથી એક બ્રહ્મને પામે ”
ગામ આવવું સહેલું નથી.
Permalink
February 23, 2021 at 2:17 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.
છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.
મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે.
તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહીં,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.
એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.
એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે.
એ અડધી મૌત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.
આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખયાલો નવા ન દે.
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું “મરીઝ’
પોતે ન દે, બીજાની કને માગવા ન દે.
– મરીઝ
સદીએ માંડ એક મરીઝ પાકે !! મત્લો, મક્તો અને પાંચમો શેર તો સુવિખ્યાત છે જ પણ બાકીના પણ કમ નથી. “આનંદ કેટલો છે બધી જૂની યાદમાં….” – આ શેર જરા મમળાવીએ તો કેવો સરસ ખુલે છે ! માનવીના મનની ગહેરાઈ છતી કરે છે, અંતહીન અપેક્ષાઓની હિન્ટ આપે છે.
ઘણીવાર એવું લાગે કે જેમ રસોઈમાં નમક છે તેમ કવિકર્મમાં જગતનું તલસ્પર્શી દર્શન છે. દર્શનના ઊંડાણ વગર કવિકર્મ અધૂરું છે અને દર્શન જો સ્પષ્ટ હો તો કવિકર્મ [ છંદ ઇત્યાદિ ] optional છે.
Permalink
February 20, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
ક્યારેય તમને ક્યાં કહ્યું કે અમને ઓળખો,
જો ઓળખી શકો તો તમે – તમને ઓળખો.
સામો કિનારો લાગવાનો હાથવેંતમાં,
દરિયો અજાણ્યો હો ભલે – માલમને ઓળખો.
દૃશ્યોની પારદર્શિતાની પાર હો જવું,
તો જીવને વરેલા બધા ભ્રમને ઓળખો.
ઈશ્વર અને તમારી નિકટતા વધી જશે,
આલમના બદલે જો તમે આતમને ઓળખો.
આસાન છે સમયનાં બધાં વ્હેણ વીંધવા,
ક્યારેક તો ભીતરની ગતાગમને ઓળખો.
બુદ્ધિ અને સમજના પરિમાણ છે અલગ,
વાણીને સાંભળો અને મોઘમને ઓળખો.
જડબેસલાક બંધ કમાડો ખુલી જશે,
જો શબ્દ બદલે શબ્દની સરગમને ઓળખો.
– સાહિલ
મજબૂત ગઝલ. લગભગ બધા જ શેર સંતર્પક.
Permalink
February 19, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગુલામ અબ્બાસ 'નાશાદ'
એકધારું તાકતાં થાકી નજર;
આભને જોયા કર્યું કારણ વગર,
માર્ગમાં અટવાઈ જાવાનું થયું;
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.
આ ઉદાસી એટલે એનું પ્રમાણ;
કોશિશો નિષ્ફળ, દુઆઓ બેઅસર.
ભરવસંતે પાનખર જેવી ઋતુ;
એક પણ ટહુકો ન ગુંજ્યો ડાળ પર.
ભાવિને શણગારવાની હોડમાં;
હું જમાનાથીય છું તો બેખબર.
આ ભલા કેવું સુરાલય છે કે જ્યાં;
આંખમાં આંસુ ને કોરા છે અધર.
મુંઝવણ ‘નાશાદ’ હંમેશાં રહી;
આપણું કહેવાય એવું ક્યાં છે ઘર !
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’
લગભગ બધા જ શેર મનનીય… સહજસાધ્ય ગઝલ.
Permalink
February 18, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ધોબી
ઓછું-વત્તું, હલકા-ભારી જીવી લીધું,
જેવું તેવું મનને મારી જીવી લીધું.
ખૂબ જ કરતી’તી નખરાં એ મારી આગળ,
ઇચ્છાને ઠોકર ફટકારી જીવી લીધું.
ખુશ કરવી’તી દુનિયાને બસ એ કારણસર,
જીવતરને ચાંપી ચિનગારી જીવી લીધું.
જીવવા જેવું જીવવા ખાતર મૃત્યુને પણ,
ડગલે ને પગલે પડકારી જીવી લીધું.
કોઈ દિલાસો દેનારું ના દેખાયું તો,
મેં ખુદનો વાંસો પસવારી જીવી લીધું.
ઘર આગળના રસ્તાઓ ખામોશ થયા તો,
મેં પણ બંધ કરીને બારી જીવી લીધું.
– હરીશ ધોબી
ખુમારી અને લાચારીના બે અંતિમ ધ્રુવોની વચ્ચે ગતિ કરીને જીવી લેવાની સ્વાનુભૂતિની સ-રસ ગઝલ.
Permalink
February 13, 2021 at 1:37 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
દિવસે વિકસે, રાતે વિકસે,
વાત તો વાતેવાતે વિકસે.
આનંદ વચ્ચે ઓછી થઈ ગઈ,
એ સમજણ આઘાતે વિકસે.
ચાંદીની ચમચી લઈ જન્મે,
એ કિસ્મતની લાતે વિકસે.
આ ઋણાનુબંધો કેવળ,
માણસાઈના નાતે વિકસે.
દ્રોણ, કરો અર્જુનની ચિંતા,
એકલવ્ય તો જાતે વિકસે.
– કિરણસિંહ ચૌહાણ
મજાની રદીફ ઉપર અદભુત નક્શીકામ ! બધા જ શેર કાબિલે-દાદ થયા છે. સહજ સરળ ભાષા અને ઊંડી વાત એ કવિની લાક્ષણિકતા છે..
Permalink
February 12, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા
કોઈ આવ્યું માત્ર તારું નામ લઈ,
એમના માટે ઊભો છું પ્રાણ લઈ.
ઠેસ વાગી એક પાલવની જરા,
આજીવન ફરવું પડ્યું આઘાત લઈ.
જાગવાની જેને બીમારી હતી,
એ બધે જાતો હંમેશાં ખાટ લઈ.
કોઈને ક્યાં બેસવા દે છે નજીક,
જ્યારથી આવ્યા છે પંડિત જ્ઞાન લઈ.
છે કસોટીનો સમય તારો હવે
સૌ ઊભા છે આંખમાં સન્માન લઈ.
બુંદ સામે આખરે ઝૂકી ગયો,
હર ઘડી ફરતો હતો જે આગ લઈ.
એ વિચારે દ્વારને હું ખોલું છું,
કોઈ આવ્યું હોય તારી વાત લઈ.
– રાકેશ હાંસલિયા
ગઝલનો મત્લા પ્રેમની ચરમસીમાથી શરૂ થાય છે અને આખરી શેર પરમસીમા સુધી લઈ જાય છે. કોઈ સદેહે (દ્વાર પર) પ્રિયજનનું નામ લેતું આવ્યું છે, એટલામાં કથક પ્રાણ આપવાની તૈયારી સાથે ઊભા છે. આ થઈ ચરમસીમા. આખરી શેરમાં કોઈ સદેહે દ્વાર પર આવ્યું જ નથી. ખાલી એક વિચાર કથકને આવ્યો છે. એટલામાં કવિએ (દિલ અને દુનિયાના) દ્વાર ખોલી નાંખ્યા છે. બંને શેરમાં પ્રિયજનનું નામ કે વાત લઈ કોઈ આવ્યું હોય તો જીજાનથી સ્વાગત કરવાની તૈયારીની જ વાત છે પણ મત્લામાં મૂર્તનો સાક્ષાત્કાર હતો એ આખરી શેરમાં અમૂર્ત સુધી પહોંચ્યો. આ થઈ પરમસીમા.
આ બે શેર વચ્ચેના તમામ શેર પણ માંડીને વાત કરવાનું મન થાય એવા પાણીદાર થયા છે. આવી સંગોપાંગ સુંદર ગઝલ આજકાલ બહુ ઓછી જ મળે છે.
Permalink
February 11, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રેશ મકવાણા 'નારાજ'
રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
આ બધી નકલી છે આંબાવાડીઓ?
કોઈ કોયલ કેમ અહીં ગાતી નથી?
કાં રમકડું લઈ શકું કાં રોટલી,
વાત એ બાળકને સમજાતી નથી.
કાં ચરણ ફંટાય છે કાં ચાહના
કેડીઓ ક્યારેય ફંટાતી નથી.
વેંત ઊંચી વાડ છે વિખવાદની
આપણાથી એય ઠેકાતી નથી.
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
માની હાજરી એના મૃત્યુ પછી પણ ઓસરતી ન હોવાની વાત કરતો મત્લા તરત જ સ્પર્શી જાય એવો છે. વાસ્તવિક્તા સાથે સંધાન ન હોવું એ બાળક હોવાનું સુખેય ખરું અને દુઃખેય ગણી શકાય. બાળકને બધું જ જોઈતું હોય છે. ગરીબમાં ગરીબ બાળકને પણ પેલા બાળકને મળે છે એ મને કેમ નથી મળતું એ સહજ સમજાતું નથી. છેલ્લા બે શેર તો શિરમોર થયા છે.
Permalink
February 9, 2021 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
કર્યો’તો ઉમ્રભર એ ઇન્તજાર પણ રહ્યો નહીં;
તું આવશે કદીક એ વિચાર પણ રહ્યો નહીં.
પ્રતીક્ષા વાંઝણી તો વાંઝણી યે આથમી ગઈ;
ઝરૂખા ઉમ્બરાનો આવકાર પણ રહ્યો નહીં.
જુદા જ કો’ વિકલ્પને કિનારે આવી લાંગર્યો,
સ્વીકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં.
અચેત સૂર્ય વ્યોમમાં છે સ્તબ્ધ મ્લાન ને સ્થગિત;
ચઢાવ ખોટકાયો ને ઉતાર પણ રહ્યો નહીં.
છુપાવી જેની આડશે શકું હું મારા અશ્રુઓ,
સદાના ભેરુ જેવો અંધકાર પણ રહ્યો નહીં.
– ભગવતીકુમાર શર્મા
સ્વીકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં……… – અદ્દભૂત !!
ગાલિબ યાદ આવી જાય –
आगे आती थी हाल-ए-दिल पे हँसी
अब किसी बात पर नहीं आती
નકરી શૂન્યતા-સ્તબ્ધતા !!
Permalink
February 6, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
જે નથી જાણતા શું છે મોકો
દોસ્ત એવાય છે ઘણા લોકો
આપનાથી થશે ન કૈં બીજું
અમને આગળ જતાં તમે રોકો !
આપ વિદ્વાન છો તો માથા પર
ના મને વાતવાતમાં ટોકો
આપણી થઈ જતી નથી એ કૈં
જેટલી ભીંત પર ખીલી ઠોકો
એની આંખોને જ્યારે પણ જોઉં
તો મને સંભળાય છે શ્લોકો !
– હર્ષ બ્રહ્મભટ્ટ
જાણીતા કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ એમનો નવમો ગઝલસંગ્રહ ‘તું મળે ત્યારે જડું છું’ લઈને ઉપસ્થિત થયા છે. લયસ્તરોના ઉંબરે કવિશ્રીનું અને સંગ્રહનું સહૃદય સ્વાગત છે. સંગ્રહમાંથી એક મજાની રચના માણીએ…
ટૂંકી બહરની હમરદીફ-હમકાફિયા ગઝલ અને એમાંય સાચવવા અઘરા પડે એવા ચુસ્ત કાફિયાઓનો કવિએ કેવો બખૂબી નિર્વાહ કર્યો છે તે જોવા જેવું છે… બધા જ શેર ધ્યાનાર્હ થયા છે.
Permalink
February 5, 2021 at 12:38 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
તમે મન ભરીને પલળવાનું ધારો,
ને વરસાદ ના પણ પડે એકધારો.
હું મારા જ ઘરમાં રહેતો નથી તો,
કહું આપને શી રીતે કે પધારો?
હિસાબો મળે નહીં જે કોઈ સ્મરણનાં,
તમે એને મારા જ ખાતે ઉધારો.
મને પત્રમાં રસ પડ્યો એ જગા પર,
તમે જે જગા પર કર્યો’તો સુધારો.
અમારું કરેલું બધું જાય બાતલ,
તમે કંઈ કરો તો બની જાય ધારો.
ફરી આજ એને મળ્યો તો વિચાર્યું,
અધૂરી ગઝલને જ આગળ વધારો.
– ભાવિન ગોપાણી
આમ જોઈએ તો ચુસ્ત કાફિયાની ગઝલ પણ ધારીને જોઈએ તો ખ્યાલ આવે કે કાફિયામાં ‘ધારો’ એકધારો આવે છે એટલે એને રદીફનો જ એક ભાગ ગણી શકાય. અને એમ ગણીએ તો ગઝલ કાફિયા વગરની ગઝલ ગણાય. શાસ્ત્ર શું કહેશે એ પંડિતો પર છોડી દઈએ, આપણે તો કેવળ નિજાનંદનો વેપલો લઈ બેઠા છીએ, તે એની જ વાત કરીએ. હું આને પ્રયોગ-ગઝલ ગણવું વધુ પસંદ કરીશ. કેમકે દરેક શેરમાં કાફિયાના સ્થાને ‘ધારો’ એકધારો રાખીને કવિએ અદભુત કામ કર્યું છે.
બધા જ શેર મજબૂત થયા છે. લગભગ બધા જ શેર પહેલી નજરે સમજાઈ જાય એવા પણ બીજી નજરે ઊંડો વિચાર કરતાં કરી દે એવા સંતર્પક થયા છે. ટૂંકમાં, ધીમે ધીમે બે-ચાર વાર મમળાવવા જેવી રચના.
Permalink
February 4, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રણવ પંડ્યા
તૃણ સાચવ અને તરુ સાચવ
ઝાડની સાથે ઝાંખરું સાચવ
ભાદર્યું કે અવાવરું સાચવ
નહીં રહે કૈં અણોસરું, સાચવ
વાંસળીવાળા વાછરું સાચવ
પણ જે ભૂખ્યું છે એ વરુ સાચવ
આંખમાં સ્વપ્ન, હૈયે મનસૂબા
તેં ભર્યાં છે તો તું ચરુ સાચવ
રૂમઝુમાટીની કર પ્રથમ રક્ષા
ને પછી પગના ઘૂંઘરું સાચવ
એમ સાચવ ધરેલી ધરતીને
કેડમાં તેડ્યું છોકરું સાચવ
ખેડ કર બસ ખળાને ભૂલીને
માત્ર તું તારું ધૂંસરું સાચવ
સંભવામીનું વેણ રાખી લે
એકદા અમને રૂબરૂ સાચવ
જેણે પાટો તને નથી બાંધ્યો
એ બધાનીય આબરૂ સાચવ
– પ્રણવ પંડ્યા
સાચવવું એ આપણો સ્વભાવ છે. નાની-નકામી વસ્તુઓ પણ આપણે આખી જિંદગી સાચવી રાખતા હોઈએ છીએ. પ્રસ્તુત ગઝલમાં પ્રથમદર્શી વાત તો સાચવવાની છે પણ ગઝલ વાંચતા સમજાય છે કે કવિની ટકોર આપણે કશું સાચવી શકતા નથી એ બાબત વધુ છે. તૃણ હોય કે તરુ – બધાને સાચવી લેવાનું છે. લીલા સાથે સૂકાને અને ભર્યા સાથે ઉજ્જડનેય સાચવી લેવાય તો કશું અણોસરું નહીં રહે. ચરુ સાચવવાની સલાહ આપતો શેર તો શિરમોર થયો છે. આખી ગઝલ કૃષ્ણને સંબોધીને લખાઈ હોય એમ માનવાને પણ મન થાય કેમકે માથે ધરેલી ધરતી-ગોવર્ધન પર્વતવાળો શેર અને આખરી બે શેર તો સીધા કૃષ્ણને સંબોધીને જ લખાયા છે, અને બાકીના તમામ શેરોમાંથી પણ કૃષ્ણની સોડમ આવ્યા વિના રહેતી નથી… કવિતા છે… જેમ મૂલવવી હોય એમ મૂલવી શકાય… મજા આવવી જોઈએ અને અહીં તો આખી ગઝલ જ મજેદાર છે… વાહ!
Permalink
January 28, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગુણવંત ઠક્કર
પાંખોને એ વિશે હવે ફરિયાદ પણ નથી,
ઊડી શકું હું એટલો આઝાદ પણ નથી.
કોરા હૃદયમાં ભીનો એ અવસાદ પણ નથી,
વરસોથી મારી આંખમાં વરસાદ પણ નથી.
મતભેદ પણ નથી અને વિખવાદ પણ નથી,
બન્નેની વચ્ચે એટલે સંવાદ પણ નથી.
મારી મથામણોની એ બહુ મોટી જીત છે,
આબાદ ના થયો તો હું બરબાદ પણ નથી.
લોકો છે, એ તો તાકશે પથ્થર કે આંગળી,
તારી દિવાનગી કોઈ અપવાદ પણ નથી.
ટોળાંની સાથે ચાલતાં ટોળું બની ગયો,
ક્યાં પહોંચવા કરું છું સફર, યાદ પણ નથી.
– ગુણવંત ઠક્કર ‘ધીરજ’
ગુલામીની પણ ધીમે ધીમે આદત પડતી જાય છે. સમય સાથે બંધન પણ કોઠે પડી જાય એ માનસિકતા કવિએ મત્લામાં બખૂબી રજૂ કરી છે. બરાબર એ જ રીતે આખરી શેરમાં પણ કવિએ કુશળ મનોચિકિત્સકની જેમ આપણી માનસિકતા બરાબર પકડી બતાવી છે. ટોળાંમાં ભળી જવાની આપણી કુ-ટેવ અને ટોળાંશાહીમાં ગુમ થવાથી તતી લક્ષ્યચૂક પર એમણે આબાદ નિશાન સાધ્યું છે. આ ટોળાંમાં હવે તો સોશ્યલ મિડિયાને પણ ઉમેરી શકાય. હોંશિયારમાં હોંશિયાર આમાંથી છટકી શકતો નથી ને માણસ કરવાનાં કામ ભૂલી જાય છે. મત્લા અને આખરી શેરની વચ્ચેની આખી ગઝલ તો સ્વયંસિદ્ધ છે જ.
Permalink
January 21, 2021 at 12:30 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
કાંઈ પણ કીધા વગર નીકળી ગયો,
શબ્દ; ખોલીને અધર, નીકળી ગયો.
હોઉઁ છું હાજર છતાં નડતો નથી,
હું બધેથી માપસર નીકળી ગયો.
એની આંખોમાં ઘણી વાતો હતી,
મૂકીને ખાલી કવર, નીકળી ગયો.
રોજ આવી તો ઘરોબો થઈ ગયો,
આફતો પ્રત્યેનો ડર નીકળી ગયો.
સોંપીને બીજા પ્રહરને કામકાજ,
રાતનો પહેલો પ્રહર નીકળી ગયો.
આપણી યારી તો નીચે રહી ગઈ,
તું હવે એથી ઉપર નીકળી ગયો.
મૂર્તિની લાચાર હાલત જોઈને,
હું કશું માંગ્યા વગર નીકળી ગયો.
– કિરણસિંહ ચૌહાણ
કિરણસિંહ ચૌહાણ એમનો ત્રીજો સંગ્રહ ‘દરજ્જો’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. નવા સંગ્રહમાં કવિએ ટૂંકી બહરની ગઝલો પર સવિશેષ કામ કર્યું છે અને ભાષામાં રોજિંદી બોલચાલનો કાકુ પણ આબાદ ઝીલ્યો છે… આલા દરજ્જાની રચનાઓ ધરાવતા ‘દરજ્જો’નું સહૃદય સ્વાગત. સંગ્રહમાં પ્રકાશિત રચનાઓમાંથી કેટલીક આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યાં છીએ. આજે માણીએ એક નવી ગઝલ.
Permalink
January 20, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પરબતકુમાર નાયી 'દર્દ'
વિસામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે,
ચરણને થાક લાગે એ સમયમાં તું મને મળજે !
કદી સૂરજ થવાનો ફંદ લઈ ફેરામાં ના પડતો,
જગતના કો’ક ખૂણે ટમટમીને ધૂળમાં ભળજે !
ચમનમાં રોજ ફરનારા, તને એક વાત કહેવી છે,
ભ્રમરના ગુંજનો વચ્ચે કળીની ચીસ સાંભળજે !
શરત એક જ છે દુનિયાની: અહીં જીવંત દેખાવું.
ભલે અંતિમ દશા આવે છતાં, પણ સ્હેજ સળવળજે !
નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ,
લખે તારી કથા તો હાંસિયામાં ક્યાંક સાંકળજે !
– પરબતકુમાર નાયી ‘દર્દ’
સુંદર મજાની ગઝલ. સરળ. સહજ. સંતર્પક. છેલ્લો શેર હાંસિલે-ગઝલ. પ્રેમકથામાં પોતે હાંસિયામાં મૂકી દેવાયેલ છે એ બાબતની કથકને સુપેરે જાણ છે એટલે પોતે પ્રિયજનની કથામાં ક્યાંય નથી એની જાણ હોવા છતાં પ્રિયજન પોતાને કમ સે કમ હાંસિયામાંય સાંકળી લે તો ભયો ભયોની જે આરત શેરમાંથી ચીસ બનીને ઊઠે છે, એ આપણને ભીતર ક્યાંક સ્પર્શી જાય છે!
Permalink
January 15, 2021 at 7:03 AM by વિવેક · Filed under ગઝલ, બિનિતા પુરોહિત
દરિયો જોવામાં નદી ચૂકી ગઈ,
એક ક્ષણમાં હું સદી ચૂકી ગઈ.
એક સરખી એની ચાહત તો મળી,
હું કદી પામી, કદી ચૂકી ગઈ.
ફિલસૂફીને હાંકવામાં હું સદા,
સત-અસત, નેકી-બદી ચૂકી ગઈ.
કહેવા જેવું હોય તે કીધું જ છે,
બોલવામાં ક્યા કદી ચૂકી ગઈ?
કૃષ્ણને પહેલાથી કહેવાનું હતું,
એ જ બાબત દ્રૌપદી ચૂકી ગઈ.
– બિનીતા
આપણી પાસે તથાગત જેવી all-encompassing દૃષ્ટિ નથી. આપણે એક જોવા જઈએ ત્યાં તેર ચૂકી જવાય છે. દરિયાની વિશાળતા જોવામાં ક્યારેક નદીને જોવાનું રહી જાય છે. સાની મિસરામાં કવયિત્રી વિશાળતાના આયામોની ઉલટાસૂલટી કરે છે. કદને સામસામે મૂકીએ તો દરિયો સદી જેવો વિશાળ છે અને એની સાપેક્ષે નદી ક્ષણ જેવી નાનકી. પણ કવયિત્રી એક તરફ વિશાળતા જોવા જતાં અલ્પતા તરફ ધ્યાન આપવાનું રહી ગયું હોવાનો એકરાર કરે છે તો બીજી તરફ અલ્પતા તરફ ધ્યાન હોવાથી વિશાળતા હાથમાંથી સરકી ગઈ હોવાની વાત કરે છે. થોડું અસંગત લાગે પણ આ જ તો કવિતાની મજા છે. મોટાને જોવામાં નાનાને જોવાનું ચૂકી જવાય એ વાત હકીકતમાં ક્ષણમાં સદી ચૂકવા જેવી જ છે. દરિયો મોટો પણ ખારો. વૃકોદર. અગણિત નદીઓની મીઠાશ પી જાય. નદી નાની પણ મીઠી. પોતાની જાત આખી આપી દે દરિયાને પણ બદલામાં કશું માંગે પણ નહીં. જીવનમાં નાની-નાની વસ્તુઓ પર ધ્યાન નહીં આપીએ તો ક્ષણમાં સદી ગુમાવવાનો વારો આવી શકેની વાત કરતો, અને જરા અવળા હાથે કાન પકડાવતો આ મત્લા મને તો ખૂબ ગમી ગયો. આપનું શું કહેવું છે?
બાકીના શેર પણ મનનીય. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય.
Permalink
January 8, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
થોડું હસી-હસીને, થોડું રડી-રડીને,
જોયા કરું છું એના ફોટા અડી-અડીને !
લસરીને ગાલ પરથી સીધ્ધું હૃદયને અડતું,
આંસુય જાય તો ક્યાં આખર દડી-દડીને ?
તું જીવવાનું કહે છે આ વર્તમાનમાં પણ-
ભૂતકાળ બીવડાવે પાછળ પડી-પડીને !
આંસુથી તરબતર છો ? ચિંતા જરા ન કરશો !
સોનું બને છે સુંદર હીરા જડી-જડીને.
માણસ બન્યો તવંગર મૂર્તિ બનાવી તારી,
ઈશ્વર તને મળ્યું શું માણસ ઘડી-ઘડીને ?
તારી નજર હમેશા શિખર ઉપર જરૂરી,
નીચે જરા ન જોતો ઉપર ચડી-ચડીને.
જીવનના છોડ માટે ‘નિનાદ’ ખુશખબર છે:
ખાતર બની ગયા છે સપના સડી-સડીને !
– નિનાદ અધ્યારુ
વાંચતાવેંત સહજ પ્રત્યાયન કરી દે એવી મજાની ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
Permalink
January 7, 2021 at 12:30 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,
સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!
ટેરવાએ તો ટકોરા ક્યારના વેરી દીધા,
પણ હવે આ બારણું ઊઘડે તો વાત આગળ વધે!
બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,
બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!
હોઠ પર મનગમતા ઉત્તર ટાંપીને બેઠા છે પણ,
એ જરા હિંમત કરી પૂછે તો વાત આગળ વધે!
આંગળી ઝાલીને મારી ક્યારના બેઠા છે એ,
હાથને કાંડા સુધી પકડે તો વાત આગળ વધે!
સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,
બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!
ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,
બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!
-ખલીલ ધનતેજવી
ખલીલભાઈની ગઝલો એટલે ટકોરાબંધ ગઝલો. સરળ ભાષા અને સીધી વાત… વાંચતાવેંત ગમી જાય અને એમના મોઢે સાંભળૉ તો તો પ્રેમમાં જ પડી જવાય… વાત આગળ વધારવાની વાત કરતી એક ગઝલ આજે મનભર માણીએ…
Permalink
December 31, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
લ્યો, ફરી પલળી ગયાં. સૌ બાકસો,
આપણે આજેય બે પથ્થર ઘસો.
આ નગરમાં ફૂલથી પણ છે વધુ,
ફૂલને ચૂંટી રહેલા માણસો.
એ હતી સામે, આ એનો છે પ્રભાવ,
મેં કહ્યું ઈશ્વરને કે આઘા ખસો.
સ્વપ્ન મારાં એમ પજવે આંખને,
બાપની સામે પડેલા વારસો.
હાથ હું ખિસ્સામાં નાખું છું અને,
નીકળે છે એક મુઠ્ઠી વસવસો.
આટલો સંબંધ તો રાખો હવે,
ક્યાંક જો સામા મળો, થોડું હસો.
એ તરફ છે આપની સેના અને,
આ તરફ છે હું ને મારો કારસો.
હાથ એનો એટલે ઊંચો રહ્યો,
હાથમાં એના હતી સૌની નસો.
મહેક તારા સ્પર્શની ઉભો છે લઈ,
દાયકાથી મારી છાતી પર મસો.
બહુ થયું છોડો હવે માણસપણું,
સાપ છો તો સાપને તો ના ડસો.
હું મને વેચ્યા વગર પાછો ફરું,
ભાવ મારો એટલો પણ ના કસો.
– ભાવિન ગોપાણી
લયસ્તરોના આંગણે કવિમિત્ર ભાવિન ગોપાણીના ત્રીજા ગઝલસંગ્રહ ‘અગાશી’નું સહૃદય સ્વાગત છે. ગઝલસંગ્રહમાંથી એક સુંદર રચના આપ સહુ માટે. મોટાભાગના શેર સુંદર થયા છે.
Permalink
December 30, 2020 at 8:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
જખમના અધર પર દીઠું સ્મિત આછું મુહોબ્બત મઝાના પ્રયત્નો કરે છે,
હૃદયમાં હવે દર્દ પણ દુ:ખ વિસારી વધુ જીવવાના પ્રયત્નો કરે છે.
ખરી પડતાં આંસુને પાલવ પ્રસારી કોઈ ઝીલવાના પ્રયત્નો કરે છે,
પ્રણયની પ્રણાલીનું આજે થશે શું? રુદન રીઝવાના પ્રયત્નો કરે છે !
થયો છું સદા એની પાછળ ફના હું, હવે એ થવાના પ્રયત્નો કરે છે;
ન જાણે હૃદયને થયું આજ છે શું ! કે જંપી જવાના પ્રયત્નો કરે છે !
જીવન જાણે રાધાની મટકી સમું છે, અને ભાગ્ય છે કૃષ્ણની કાંકરી સમ,
રસીલી રમત છે : કોઈ સાચવે છે, કોઈ ભાંગવાના પ્રયત્નો કરે છે !
છે એવું વહન ઊર્મિઓનું હૃદયમાં, છે એવું શમન ઊર્મિઓનું હૃદયમાં,
સદા જાણે સાગર ઉગારી રહ્યો છે, નદી ડૂબવાના પ્રયત્નો કરે છે !
જૂઠી આશનાં ઝાંઝવાંને સહારે વટાવી ગયા રણ અમે જિંદગીનું,
તરસ જાણે તૃપ્તિના વાઘા સજીને સ્વભાવિકપણાના પ્રયત્નો કરે છે.
દિમાગોની દુનિયા પ્રકાશી રહી છે, છતાં દીપ દિલના નથી ઓલવાતા,
‘ગની’, કોઈને એ ડહાપણ ન લાગે, પરંતુ દીવાના પ્રયત્નો કરે છે.
– ‘ગની’ દહીંવાળા
ખરી પડતાં આંસુને પાલવ પ્રસારી કોઈ ઝીલવાના પ્રયત્નો કરે છે,
પ્રણયની પ્રણાલીનું આજે થશે શું? રુદન રીઝવાના પ્રયત્નો કરે છે ! – ક્યા બાત હૈ……!!! કાશ……આવું ભાગ્ય હોતે……!!!
Permalink
Page 6 of 48« First«...567...»Last »