આપણી વચ્ચે હવે કંઈ પણ નથી,
જે હતી ક્યારેક એ સમજણ નથી.

આપણી વચ્ચે શું એવું થઈ ગયું?
હું નથી એ જણ, તું પણ એ જણ નથી.
- વિવેક મનહર ટેલર

ચર્ચા કર્યા વગર – ભગવતીકુમાર શર્મા

તું જે કહે કબૂલ છે ચર્ચા કર્યા વગર;
ચાહું છું હું કશીય અપેક્ષા કર્યા વગર,

ટિપ્પણ કર્યા વગર અને ટીકા કર્યા વગર;
જીવી શકું તો જીવવું હો-હા કર્યા વગર,

ઇચ્છા છે એટલી કે હું ઇચ્છા નહીં કરું;
શી રીતે રહી શકાય છે ઇચ્છા કર્યા વગર,

સંબંધમાં જરૂરી છે સમજણની હાજરી;
ચાહી શકાય તો જ ખુલાસા કર્યા વગર.

સરનામું મારું કોઈએ ચીંધ્યું નહીં મને;
મેં પણ ગલી વટાવી’તી પૃચ્છા કર્યા વગર.

એમાં તે શી મજા કે સમયસર તમે મળો?
મળવું ગમે જ કેમ પ્રતીક્ષા કર્યા વગર?

અધવચ્ચે શ્વાસ અટકે તો આશ્ચર્ય કંઈ નથી;
છોડ્યાં ઘણાં યે કામ મેં પૂરાં કર્યા વગર.

– ભગવતીકુમાર શર્મા

4 Comments »

  1. pragnajuvyas said,

    April 13, 2021 @ 11:24 AM

    મા.ભગવતીકુમાર શર્માની સુંદર ગઝલનો અફલાતુન મત્લા
    તું જે કહે કબૂલ છે ચર્ચા કર્યા વગર;
    ચાહું છું હું કશીય અપેક્ષા કર્યા વગર,
    વાહ
    ચર્ચા કર્યા વગર નો નિર્ણય હંમેશાં તમારા સંબંધો ને સમાપ્તિ તરફ દોરી જતો હોય છે
    પણ અહીં દિવ્યપ્રેમમા ચાહું છું હું કશીય અપેક્ષા કર્યા વગર…!

  2. Lata Hirani said,

    April 14, 2021 @ 8:02 AM

    ‘સંબંધમાં જરૂરી છે સમજણની હાજરી;
    ચાહી શકાય તો જ ખુલાસા કર્યા વગર.
    વાહ વાહ વાહ

    હું જ બેસી રહું મારામાં પલાંઠી દઈને,
    ચાંપતી નજરે એ જોવાને કે હું ક્યાંય ગયો?
    – વિવેક મનહર ટેલર
    આ બહુ ગમ્યો

  3. kantilal babulal sopariwala said,

    April 30, 2025 @ 9:59 AM

    khub sundr kavyo ane bhajno
    ishvar aapne aemna sharan ma rakhe aevi prathna
    k.b………………

  4. Kishor Ahya said,

    April 30, 2025 @ 10:55 PM

    મા.ભગવતીકુમાર શર્મા ની ‘ ચર્ચા કર્યા વગર ‘ ગઝલ નો છેલ્લો શેર ….

    અધવચ્ચે શ્વાસ અટકે તો આશ્ચર્ય કંઈ નથી,
    છોડ્યા ઘણાયે કામ મે પૂરા કર્યા વગર.

    મોટા ભાગે દરેક મનુષ્યની
    જિંદગીનો આ સાર નિચોડ છે, ગમે તેટલું કામ કરશો પણ છેલ્લે તો કંઈક અધૂરું રહી જ જવાનું છે, ભલે પછી એ પ્રેમ હોય કે કોઈ ઇચ્છા હોય કે ખરેખર કોઈ કામ હોય.

    કવિ કહે છે મારા શ્વાસ અટકી જશે , કામ અધવચ્ચે છૂટી જશે પણ મને તેનું આશ્ચર્ય નથી કેમકે શ્વાસ હોવા છતાં આ રીતે મે ઘણા કામ અધૂરા છોડ્યા છે!

    મૃત્યું ના સમયે કામ અધૂરું રહી જાય એ તો સમજી શકાય પણ જીવતા હોય ત્યારે આ રીતે કામ અધૂરું છોડવું સહેલું હોતું નથી પણ આજ સાચી જીવંતતા છે , કવિ રાજાધિરાજ છે , પોતાની મરજીના માલિક છે, કવિ ને જીવનના મૂલ્યની જાણકારી છે, જે કામ નથી પસંદ તે છોડીજ દેવું જોઈએ.

    મૃત્યુ નિશ્ચિત બાબત છે , કવિ કહે છે મારા શ્વાસ રોકાઈ જશે અને કામો અધૂરા છૂટી જશે પણ મને તેનું આશ્ચર્ય નથી કેમકે જે એક દિવસ થવાનું નક્કી છે જ, તેજ થવાનું છે.

    બીજો એક શેર

    સરનામું મારું કોઈએ ચીંધ્યું નહિ મને,
    મે પણ ગલી વટાવી’તી પુચછા કર્યા વગર.

    આ શેરમાં સરનામું તારું એવા શબ્દો હોત તો , ગલી, ઓળખાતા શબ્દો છે, પણ કવિ એ ‘સરનામું મારું’ શબ્દ પ્રયોગ કર્યો છે જે એક ઉચી આધ્યાત્મિક વાત હોય શકે (પોતાને જાણવું) અથવા તો કવિનો પોતાનો કોઈ અર્થ હોય શકે. અન્ય અર્થ પણ હોય શકે.

    બધાજ શેર એક એક થી ચડિયાતા છે. સ્વ.ભગવતીકુમાર હવે આપણી વચ્ચે રહ્યા નથી પણ વર્ષો સુધી સાહિત્ય ક્ષેત્રે તેમણે આપેલું પ્રદાન હમેશા સાહિત્ય જગત યાદ રાખશે.

    🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment