આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લૈને, કોઈ રાત લઈને આવ્યા છે.
રમેશ પારેખ

પ્યારનો પારો – વેણીભાઈ પુરોહિત

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમનો પોરો ખાવો છે,
કોઈ દિલની સરાઈ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હૃદયને રોજ દિલાસો આપું છું,
કે તુંય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાનું રેશમ જાય બળીને આશાની મુરઝાય કળી,
કોઈ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુઃખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો શા માટે?

– વેણીભાઈ પુરોહિત

વેણીભાઈને ગીત-કવિ તરીકે હું પીછણતો. આવી સરસ ગઝલ વાંચીને મજા આવી ગઈ. દરેક શેર મજબૂત. પરંપરાગત કલ્પનો પણ વાત ક્રાંતિકારી. છેલ્લેથી બીજો શેર જુઓ….. વળી ‘પ્યારનો પારો’ કલ્પન પણ કેટલું બંધબેસતું છે !!

3 Comments »

  1. pragnajuvyas said,

    July 20, 2021 @ 8:56 PM

    કવિશ્રી – વેણીભાઈ પુરોહિતની ખૂબ સુંદર ગઝલ
    હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
    ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો શા માટે?
    અદભુત મક્તા

  2. સ્મિત said,

    July 22, 2021 @ 3:35 PM

    વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
    છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે ?

    ગનીચાચા યાદ આવે!

  3. Parbatkumar said,

    July 25, 2021 @ 12:02 PM

    વાહ…
    ગમતા કવિ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment