હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અનિલ ચાવડા

અનિલ ચાવડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૨ : વાચકોની કલમે… : ૦૨

રવીન્દ્ર પારેખ લખે છે-

‘ન કહેવાયેલી પીડા ભાગ્યે જ હોય છે.’

આ કોઈ અંગ્રેજી ચિંતકનું વિધાન હતું. વર્ષો પર એ લાઇબ્રેરીમાં વાંચેલું. સુખ સંતાડી શકાય, પણ પીડા વાચાળ છે, તે અપ્રગટ ભાગ્યે જ રહે છે. સુખ, ઐશ્વર્ય સાધનોથી પ્રગટ થાય છે. તો, પીડા પણ ઠાવકી ક્યાં છે? કોઈ અંગત દેખાય છે તો એ આંખોને આંસુ કરી મૂકે છે. વિધાન, વિધિનું વિધાન થયું. વાંચ્યા પછી થયું કે ન કહેવાયેલી પીડા કહી શકું તો, હું મને પણ કહી શકું.

– ને એમ હું લખતો થયો…

ભાવિન ગોપાણી લખે છે –

“એ જ ભિખારીને આજે સ્હેજ હસતો જોઇને,
આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા !”
કવિ – ભાવેશ ભટ્ટ

માત્ર બે જ પંક્તિમાં ગઝલનો એક શેર સમગ્ર ઘટના, ચિત્ર, પરિસ્થિતિ કે સમગ્ર મનોસ્થિતિનું સચોટ વિવરણ કે દ્રશ્ય ઊભું કરી જવાની ક્ષમતા ધરાવે છે એનો આ ઉત્તમ દાખલો છે.

આપણને કોઈને તકલીફમાં મદદરૂપ થવું તો ગમે છે પરંતુ કોઈનું દુ:ખ જો કોઈ અન્ય કારણસર પણ સ્હેજ ઓછું કે દૂર થતું હોય તો આપણે એમાં પણ આપણી ઈર્ષ્યા કે અહંકાર કે પછી ધારણાઓના બિનજરૂરી ઘોડાઓ દોડાવી કોઈના માટે પૂર્વગ્રહ કે અનુમાન બાંધી લેવાની આપણી આદતોના કારણોસર આપણે આપણા કર્તવ્યથી પાછા હટી જઈએ છે….. અહીં વાત માત્ર ભિખારી કે સિક્કાની નથી આપણી આસપાસ ઘણાં લોકો ઘણાં જીવો જેમને આપણાથી કંઈક પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે બધાને આપણે આપણી આ માનસિકતાના કારણોસર અન્યાય કરતા હોઈએ છીએ

કવિનો આ શેર આપણને અંદરથી જગાડવા સક્ષમ છે. આ શેર વાંચ્યા પછી મને મારી આસપાસના એવા ઘણાં લોકો યાદ આવ્યાં જેમની સાથે હું ક્યારેક આ રીતે જ વર્ત્યો છું અથવા એ લોકો મારી સાથે આ રીતે વર્ત્યા છે.. આ શેર સાંભળ્યો ત્યારે હું કવિતા નહોતો લખતો, માત્ર ભાવક હતો અને આ શેરની ગૂંથણીએ મને કવિતા કેવી રીતે રચવી જોઈએ? અને કેવી રીતે રચી શકાય? તેનું માર્ગદર્શન પુરું પાડ્યું છે

મેહુલ જયાણી લખે છે –

થોડા વર્ષો પૂર્વે મારા પેકેઝિંગના ધંધાનાં કરઝમાં હું ડૂબી ગયો હતો. એ કરઝમાંથી મુક્ત થવા જીવનનને ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન્હતો. એજ સમય દરમ્યાન હતાશામાં ગરકાવ થયો અને ફેસબુક પર નેગેટિવ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું કારણ એટલું જ કે ફેસબુક સિવાય હું કોઈને મારી વ્યથા કહી શકું એમ નહોતો. એ વાંચીને મુંબઈના એક કવિયત્રી રીટા શાહે મને મેસેજ કર્યો કે દિકરા કેમ આચાનકથી નેગેટિવ પોસ્ટ મુકવા લાગ્યો છે, કોઈ મુશેકલીમાં છો.? એના વળતા જવાબમાં વિસ્તારથી ન કહી શકતા એટલું જ બોલ્યો કે હા મારે મરી જવું છે. ત્યારે રીટા શાહે કહેલું કે જ્યારે પરિસ્થિતિ વળાંક લે ત્યારે ‘કોઈ એક ખૂણો પકડીને રડી લેવાનું, કા પછી દુનિયા સામે લડી લેવું’ અને મેં ખૂણો પકડીને રડવાનું શરૂ કર્યું પણ કરઝ ઓછું ના થયું ઉલટાનું રડી રડીને શરીરની ઉર્જા બળી ગઇ. છેલ્લે એવો વિચાર કર્યો કે આમેય મરવું જ છે તો એક ચાન્સ દુનિયા સામે લડી લેવનો તો છે જ અને હું લડ્યો પણ એક પંક્તિના સહારે અને એ પંક્તિ હતી.

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
(અનિલ ચાવડા)

આ શેર મળ્યો એનાથી એટલી સમજ પડી કે ના તો હું કોઈ સાત આસમાને પહોંચી ગયો છું, ના હું મુકેશ અંબાણી જેટલી ઊંચાઈનો અમીર બની ગયો છું, ના તો હું સાવ રોડ પર આવી ગયેલા કોઈ ફકીર જેવો થઈ ચૂકયો છું. હું તો ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું તો બિલકુલ નથી.

મયુર કોલડિયા લખે છે –

કવિતાના એક શબ્દે મને જીપીએસસીની તૈયારી કરાવડાવી છે
જયારે હું કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો ત્યારે ત્યાંનું વાતાવરણ અને મશીનરી કરતા કોઈ બીજા વાતાવરણમાં જવાની ઈચ્છા હતી. . બીજી બાજુ એકેડેમિક્સ અને સાહિત્ય તરફનું ખેચાણ. કંપનીની નોકરીમાંથી નીકળવું એમ નક્કી કર્યું પણ કામ અઘરું હતું. લેક્ચરર માટેની જીપીએસસીનું ફોર્મ ભર્યું પણ 12 થી 14 કલાકની નોકરી પછી તેની તૈયારી કરવી વધારે અઘરું હતું. ત્યારે કવિ ‘કાગ’ની આ પંક્તિઓ સતત ધક્કો મારતી રહી.

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી..

મારી સાથે જોઈન થયેલા કેટલાંક engineersને કંપનીએ કાઢ્યા ત્યારે નોકરીની વનરાઈઓ સળગતી લાગી ત્યારે ઘણા લોકો હતા જે ઉડી જવા માંગતા હતા. આ સમય દરમિયાન ઉપરની પંક્તિઓ સતત મનમાં ઘૂંટાતી રહી. ખાસ કરીને છેલ્લો શબ્દ ‘પાખ્યુંવાળા’ મને સતત રંજાડવાનું અને ઢંઢોળવાનું કામ કરતો રહ્યો. પાંખો હોય તો ઉડી જાવ એવી તાકીદ કરતો હતો. એ શબ્દ હંમેશા પ્રશ્નાતો કે શું મારી પાસે પાંખ એટલે કે ઉડવાની ક્ષમતા છે?

પછી તો તૈયારી કરી, GPSC exam અને ઇન્ટર્વ્યૂ થયા અને ગમતી જગ્યા સાથે જોડાયો. (જો કે ગીતમાં કવિ છેલ્લે ભેળાં મરશું, ભેળાં બળીશુંની ભાવના તરફ લઇ જાય છે પણ મારે ઉડ્ડયન ભરવું થયું)

પરબતકુમાર નાયી લખે છે-

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
(અમૃત ઘાયલ)

ગુજરાતી ગઝલના શિરમોર શાયર આદરણીય ઘાયલ સાહેબના આ ગઝલ હું પી. ટી.સી. કોલેજમાં (પાલનપુર) હતો ત્યારે વાંચવામાં આવેલ. એ સમયગાળો મારા જીવન માટે કઠિન હતો, એકદમ ગરીબ કુટુંબમાંથી, ગામડેથી કોલેજ કરવા આવેલો, પિતાજી ગામડે મજૂરી કરતા હતા, એકાદ વખત તો અભ્યાસ પડતો મૂકવાનું વિચારેલું, પછી કોલેજ સાથે વેકેશનમાં ટ્યુશન શરૂ કરેલું, મેં મનોમન નક્કી કરેલું કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક જરૂર બનીશ અને એ સ્વપ્ન પૂર્ણ થયું, મારા ગામમાં પ્રથમ શિક્ષક બનવાનું ગૌરવ મેળવ્યું.

હરીશ જસદણવાલા લખે છે-

“સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
(અકબરઅલી જસદણવાલા)

લોકપ્રિય શાયર અકબર અલી જસદણવાલાનો આ અમર શેર માણસને આત્મનિરીક્ષણ કરવાનું અને સુખદ જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. શેર વાંચીને મને આશાવાદી જીવનની પ્રેરણા મળી છે. આ શેર મને ખૂબ ગમે છે.

ક્રિષ્ણા હિતેન આશર લખે છે-

કવિશ્રી સંદીપ ભાટીયાની કવિતા.. “માણસ જેવો માણસ પળમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી…” કોરોનામાં મારા વ્હાલા મોટા ભાભી શ્રીજીચરણ પામ્યાં ત્યારે આ કવિતાની એક એક પંક્તિ પર હું ખૂબ રડેલી. એની દીકરીને પણ મે સજળ આંખે સંભળાવેલી આ કવિતા. પણ એ કવિતા સધિયારો આપવામાં નિમિત્ત બની કે મનની વાત શબ્દો દ્વારા પ્રગટ થયેલી એટલે કે આંસુ દ્વારા દર્દને વહાવવા માં સહારો બની એટલે… ખબર નથી કેમ..પણ ખૂબ ગમેલી એ કવિતા. રચયિતા શ્રી સંદીપભાઈને પણ ધન્યવાદ સાથે ખૂબ આભાર માન્યો આવી સરસ , સંવેદનશીલ કવિતાનું સર્જન કરવા બદલ

બારીન દીક્ષિત અમદાવાદથી લખે છે-

તારું કશું ના હોય તો છોડી ને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

આ પંક્તિઓ મને ખુબ ગમે છે. મને જ્યારે જ્યારે એમ લાગે કે કોઇ એક વસ્તુ મને ગમતી -નથી મળતી ત્યારે ત્યારે મારી જાત માટે આ પંક્તિ યાદ કરું છું. મારા હાર્ટ ના ઓપેરેશન વખતે પણ આ પંક્તિઓ ના સહારે જલ્દી રિકવર થયો હતો એમ લાગે.

વિભા કિકાણી લખે છે –

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું માત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની આ ગઝલ ખરેખર મારા માટે પ્રેરણાપુંજ બની છે. આવનારી ખુશીની વાત કરવાની સાથે શરૂ થતી ગઝલ… મળ્યું છે એને સવાયું કરીને કાલને સોગાત કરવાની વાત સાથે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાવકના હૃદયને હળવુફૂલ બનાવી જાય છે. દુઃખ સામે લડવાનું તો સૌ કહે પણ, દુઃખને હરાવવાની વાત તો કવિ જ કરી શકે.
આ ગઝલ સાથે મારે ગાઢ નાતો બંધાઈ ગયો છે. આઘાત અને દુઃખની ભીંસ વચ્ચે જીવન દુષ્કર લાગતું હતું ત્યારે વર્ગમાં ગઝલના પહેલા શેરનો ભાવાનુવાદ કરતાં હું રડી પડી હતી. જો કે બીજી જ ક્ષણે હું સ્વસ્થ થઈ ગઈ હતી કારણ કે બીજા શેરમાં કહેલી વાત મારે મારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવી હતી. એક દસકાથી મને જિંદગી જીવવાની હિંમત આપનાર કવિતા અને કવિ બંનેની હું ઋણી છું.

જ્યોતિ ત્રિવેદી લખે છે-

એક બારણું બંધ થયું તો રંજ શું એનો
દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો
જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો
(રિષભ મહેતા)

તારીખ 19/10/22 થી અમે અમારી વહાલી બહેનને શોધી રહ્યા છીએ. આજ સુધી કોઈ પણ ખબર પડી નથી. ડભોઈ સુખધામ આશ્રમમાં ભજન દ્વારા ઈશ્વરની પ્રતીતિ કરાવતી આ રચના અમને ભજનસ્વરૂપે સાંભળવા મળી. આ રચનાએ અમોને ખૂબ માનસિક બળ આપી અમારી શ્રદ્ધા ને ફરી એકવાર અડગ કરીને અમોને નવેસરથી જીવન જીવવાનું ઔષધ પૂરું પાડયું છે.

વિપુલ જોશી લખે છે –

જે કાજે ઊતર્યા નીચે, તે હેતુને ફળાવવા,
પ્રભુ ! જગાડતો રે’જે, હૈયે મને ઉગાડવા.
(શ્રી મોટા)

મનુષ્ય જન્મનો હેતુ એક વાર ખબર પડી જાય પછી જે હેતુ માટે દેહ ધારણ કર્યો છે એ આધિભૌતિક, આધિદૈવીક અને આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ ચલાવજે અમને. શ્રીમોટાની આ રચના મારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગઇ છે.

શ્રીદેવી શાહ લખે છે-

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી,
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી.

પૂ. કવિ શ્રી “સાંઈ” મકરંદ દવે ની આ કવિતા મન અને આત્માને ઝંકૃત કરી ગઈ… જાણે આઝાન અને આરતીના પવિત્ર સ્વરોથી આર્દ્ર હ્રદયથી પરમને પોકારતું હૃદય….અને હાથોહાથ ઉત્તરની ચિઠ્ઠી આપવા આવેલો પ્રેમી ઇશ્વર.. થોડા દુન્યવી ભારથી થાકી જતા….તું બહુ દૂર છે, તું ક્યાંય જડતો નથી કે મારી નજરે ચડતો નથી એવી ફરિયાદો કરતા.. અજંપાથી વ્યાકુળ થતા મારા મનને બે વરદ હસ્ત જેવા શબ્દોથી જાણે આશીર્વાદના અજવાળા કરી દીધા…. હું મને મારામાં જ જડી ગઈ….મારા આતમના બીજને પ્રેમની ભૂમિમાં રોપ્યું…. મારા અહમ્ અને અભિમાનને આંસુના અષાઢમાં ઓગાળી અને આહા.. નિર્મળ, સ્વચ્છ શ્રાવણી પૂનમનું અજવાળું જાણે ચોમેર અનુભવ્યું…. ભીતરના ભેરૂ ને મળવાનો આનંદ અને અંદર નું અજવાળું આપનાર સંત કવિના શબ્દોને સાષ્ટાંગ પ્રણામ…..

Comments (9)

મળવું’તું…. – અનિલ ચાવડા

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું;
નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું’તું.

ના ના એવું ખાસ નથી,
પણ છાતી અંદર શ્વાસ નથી;
હમણા હમણાથી આંખોમાં
ટકતું બહુ આકાશ નથી.
આંખો અંદર આભ ભરીને મારે તો વાદળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

રુવાંટીઓ ક્યે,”એ ફૂંકે ને
તો જ અમે ફરફરીએ;
એમનેમ મળવાની વાતો
અમે ય થોડા કરીએ?
પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

ઘણી વાર આવ્યો છું મળવા
છેક તમારા ઘર લગ,
મને પૂછ્યા વિણ મને લઈને
ચાલી નીકળે છે પગ,
તમારી જ શેરીમાં પગને પણ જાણે કે વળવું ‘તું,
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

– અનિલ ચાવડા

આ રચના અનિલભાઇની જ હોઈ શકે…😀 લાક્ષણિક શૈલી…..રમતિયાળ ભાષામાં ગહેરી વાત – ” હમણા હમણાથી આંખોમાં…..ટકતું બહુ આકાશ નથી…..” – વાહ….

Comments (1)

ખુશબૂથી મારું…..- અનિલ ચાવડા

ખુશબૂથી મારું ગળું ટૂંપાવ નહિ.
છોડ, આ રીતે મને મ્હેંકાવ નહિ.

છું પ્રતીક્ષાના પરમ આનંદમાં,
તું મને મળવા સમયસર આવ નહિ.

હું પળેપળ ખૂબ બદલાતો રહું,
મારી સાથે પણ મને સરખાવ નહિ.

મારું આ ઊંડાણ છે મારા સમું,
ખીણ, દરિયો, ખાઈ, કૂવો, વાવ નહિ.

એમ ભીતરમાં અનામત ક્યાંથી દઉં?
જ્યાં સુધી તું યોગ્યતા દર્શાવ નહિ.

ખાલીપાનો આ કૂવો અકબંધ રાખ,
હાજરી નાખીને તારી પૂરાવ નહિ.

– અનિલ ચાવડા

છું પ્રતીક્ષાના પરમ આનંદમાં…..- આ શેર પર હું અટકી ગયો….

આખી ગઝલ મજબૂત….

Comments (3)

ભણકારા પહેરીએ! – અનિલ ચાવડા

ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!
સાચુકલા આવ્યા હો એમ મારી આંખ મને ખેંચીને લઈ આવે શેરીએ!

ઝાંપે જઈ નિરખીએ, ઊગેલું દેખાતું
મસમોટું ભોંઠપનું ઝાડ!
એકએક પાંદડાના કાન મહીં કહીએ કે
ધારણાને સાચી તો પાડ!

પોતે પોતાની પર ધૂળ જેમ બાઝ્યા તે પોતે પોતાને ખંખેરીએ
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!

ધારો કે રસ્તો આ રસ્તો ના હોત
અને હોત કોઈ સૂતરનું દોરડું
પકડી હું ખેંચત, એ જલદીથી આવત,
ને મહેકી ઊઠત મારું ખોરડું!

આવી તો કેટલીય કલ્પનાઓ રાત દાડો મનમાં ને મનમાં ઉછેરીએ!
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!

~ અનિલ ચાવડા

ઝિંદગી કે સફરમેં ગુઝર જાતે હૈ જો મકાં
વો…..ફિર નહીં આતે….વો…..ફિર નહીં આતે….

Comments (4)

નૈં થાય…. – અનિલ ચાવડા

આનંદ પજવશે, ને ઉલ્લાસ સહન નૈં થાય,
એવી ય ઘડી ઘટશે કે શ્વાસ સહન નૈં થાય.

તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને;
ઘૂવડથી કદી સ્હેજે અજવાસ સહન નૈં થાય.

બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો?
વિશ્વાસ મૂકી દેને, વિશ્વાસ સહન નૈં થાય.

છે માપ મુજબ ફળિયે તેથી જ વખાણે છે!
જો સ્હેજ વધુ ઊગશે તો ઘાસ સહન નૈં થાય.

મારી જ ભીતર રહીને ધબકે તું બીજા માટે?
નૈં થાય, હૃદય! આવો ઉપહાસ સહન નૈં થાય.

– અનિલ ચાવડા

Comments (4)

ઝુરાપાનું ગીત – અનિલ ચાવડા

ખીણ જેમ ખોદાતું જાય રોજ મારામાં સુક્કા એક ઝાડ જેમ ઝૂરવું,
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

પડતર જમીન ઉપર એકલા ઊગીને કેમ
નીકળે આ એકએક દાડો?
મારાં આ મૂળિયામાં દિવસે ને દિવસે તો
થાતો જાય ઊંડો એક ખાડો;

બીજાની કરવી શું વાત સાલું વધતું જાય મારું મારી જ સામે ઘૂરવું.
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

આસપાસ મુઠ્ઠીઓ વાળીને આમતેમ
રોજરોજ દોડે વેરાન,
મને ફરકાવવામાં વાયુ પણ હાંફ્યો પણ
હોય તો જ ફરકે ને પાન!

જીવનની ધાધર પર ઇચ્છાની આંગળીનું અટકે નહીં સ્હેજે વલૂરવું.
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

– અનિલ ચાવડા

કવિએ ગીતનું શીર્ષક આપ્યું છે – ” ઝૂરાપાનું ગીત ” – શીર્ષક બધું જ કહી દે છે….

Comments (5)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

(હાશ!) – અનિલ ચાવડા

આખરે તૂટી ગયા શંકાના સૌ ઉપવાસ, હાશ!
મારી શ્રદ્ધા ધીમે ધીમે લેતી થઈ ગઈ શ્વાસ, હાશ!

ભીની કેડી ૫૨ જતાં પગલાં થવાનો ભય હતો,
પણ હવે એની ઉ૫૨ ઊગી ગયું છે ઘાસ, હાશ!

સાંજના રંગોને જોવામાં હતા તલ્લીન સૌ,
કોઈ જાણી ના શક્યું કે હું હતો ઉદાસ, હાશ!

જે ક્ષણો જોવી જ ન્હોતી, એ ક્ષણો સામી મળી,
એ જ વખતે વીજળી ગઈ, ના રહ્યો અજવાસ, હાશ!

આંખ વ૨સી તો હૃદયની ભોંય પણ ભીની થઈ,
પોચી માટીમાં હવે પાડી શકાશે ચાસ, હાશ!

– અનિલ ચાવડા

હંમેશ મુજબ અનિલ ચાવડાની એક સંઘેડાઉતાર રચના આજે માણીએ….

Comments (11)

(રંગાયા વગર) – અનિલ ચાવડા

રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું જગતથી સ્હેજે અંજાયા વગર.

આવ, તારા પ્રેમનું એક થીંગડું તું મારી દે,
જિંદગી રહી જાશે નહિતર મારી સંધાયા વગર,

મૃત્યુ! કેવળ તારી એક જ સેજ એવી છે કે જ્યાં.
ચેનથી ઊંઘી શકાશે આંખ મીંચાયા વગર.

માર્ગની મૈત્રીમાં આ એક વાત જાણી લે ચરણ;
બહુ વખત એનાથી નહિ રહેવાય ફંટાયા વગર!

પંખી તું તો ઝાડની સૌ ડાળથી વાકેફ છે,
કોણ હાથો બનશે એ ટહુકી દે મૂંઝાયા વગર.

મારી ટીકામાં પડ્યા છે જાણતલ, વિદ્વાન સૌ,
હું પડી છું ડાયરીમાં બંધ વંચાયા વગર.

– અનિલ ચાવડા

ગઝલનો મત્લા વાંચતા જ અકબર ઇલાહાબાદીનો ‘दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ, बाज़ार से गुज़रा हूँ, ख़रीददार नहीं हूँ’ શેર યાદ આવે. વાત એ જ છે પણ અંદાજે બયાં નોખો છે. પ્રેમ અને મૃત્યુની વાત કરતા બીજા-ત્રીજા શેર પણ સરસ થયા છે. પણ મને માર્ગ અને પંખીવાળા શેર સ-વિશેષ સ્પર્શી ગયા. જેનો સ્વભાવ જ ફંટાવાનો છે, એવા સાથે મૈત્રી સાચવીને જ કરવી. અને ભીતરના ભેદ જાણનાર જો મૂંઝાયા વગર મોઢું ખોલવાની હિંમત ન કરે તો આજે નહીં તો કાલે ઘર કા ભેદી લંકા ઢાયેનો ઘાટ થવાનો જ છે. છેલ્લા શેરમાં કવિએ ‘ગઝલ’ શબ્દ અધ્યાહાર રાખ્યો છે એ બાબત થોડો વિચાર માંગી લે છે. ગઝલના પહેલા બે શેર કવિ કે કથકની સ્વગતોક્તિના શેર છે, જ્યારે છેલ્લા શેરમાં ગઝલ અથવા કવિતા પોતાની આપવીતી રજૂ કરે છે. આમ તો ગઝલના દરેક શેર સ્વતંત્ર એકમ ગણાય પણ કથનકેન્દ્રનો આ વિરોધાભાસ કથકને અધ્યાહાર રાખ્યો હોવાથી થોડો ખટકે છે. શેર જો કે સરસ થયો છે. ગઝલે દાયકાઓ સુધી ઓરમાયું વર્તન સહન કર્યું છે. કવિતાના જાણકાર લોકો અને વિદ્વાન-પંડિતોએ ગઝલમાંથી સાચા અર્થમાં પસાર થયા વિના જ એની વર્ષો સુધી અવગણના કરી. થોડું extrapolate કરીએ તો આ વાત ગઝલની જેમ જ જિંદગીને પણ લાગુ પાડી શકાય. મૂળ સુધી ઉતરવાના બદલે આપણે સહુ ટીકા-ટિપ્પણીઓમાં જ સમય વેડફતાં રહીએ છીએ, પરિણામે અર્ક તો નજર બહાર જ રહી જાય છે… સરવાળે મજાની ગઝલ!

Comments (10)

સોરી! – અનિલ ચાવડા

સોરી!    (પ્રકૃતિકાવ્ય નહીં લખી શકવા બાબત એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)

પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો
ત્યારે અમે અમારા ટાઢાબોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતાં…
એવું નથી કે મને સ્પર્શતું નથી આ મૃદુ ઝાકળ
ગમે છે,
પણ પરોઢના ગર્ભમાં પાંગરેલું આ ઓસ
સુંવાળા ઘાસ પર બેસીને તેની મહાન ગાથા સંભળાવે તે પહેલાં
મારી માના હાથમાં ઊપસી આવેલા ફોલ્લા
એની વાર્તા શરૂ કરી દે છે
ઝાકળ પોતાને મોતી સિદ્ધ કરે તે પહેલાં
પગમાં પડેલા ઢીમડાં
પોતાને કોહિનૂર સાબિત કરી ચૂક્યા હોય છે
‘પરોઢે કમલ સરોવરે અંગ જબોળાય’ની કલ્પનાને ટાણે તો
અમે ધૂળમાટીથી રગદોળાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબઝેબ…

વંદન! વરસતા વરસાદની દોમદોમ સાહ્યબીને બે હાથે વંદન!
પણ મને તો ધોધમાર વરસાદમાં માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે વહાલી લાગે છે

મને યાદ છે,
એક દી કોલસાની ભઠ્ઠીમાં કામ કરતાં મા દાઝી ગયેલી
એક મોટા અર્ધ વર્તુળાકાર ફરફોલા સાથે ઊપસી આવેલા અનેક ફોલ્લા શરીર પર
મને તેમાં દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુઝાતા સિતારા દેખાયેલા
બસ આટલું નાનું (પ્રકૃતિ?) કાવ્ય રચાયું હતું ચિત્તમાં….
મારું કલ્પનાશીલ મો જોઈ માએ પૂછેલું
‘ધરાએલો લાગે છે, કંઈ ખાઈને આવ્યો કે શું?
હું કશું બોલ્યો નહીં,
કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની…

તમે જ્યારે ‘સીમ દોમદોમ તડકામાં નહાય’નું અદ્ભુત કલ્પનાચિત્ર રજૂ કરો છો,
ત્યારે મારી હોજરીમાં તપતું હોય છે એક ગીતનું મુખડું, કે-
‘આખું આકાશ એક ધગધગતો ચૂલો ને સૂરજ એક શેકાતી રોટલી…’

તમે કહો છો,
‘સમી સાંજે સૂરજ કેવા અદ્ભુત રંગો પૂરે છે ક્ષિતિજ પર, નહી?’
આઈ એગ્રી,
લાખલાખ સલામ એના કેસરિયાપણાને!
કિરણોની ફરતી પીંછીને!
પણ અમારા જીવનમાંથી બુઝાઈ ગયેલો સૂર્ય
મને ક્ષિતિજના રંગોની કલ્પના નથી કરવા દેતો…
મને તો તેમાં મારી માના સેંથીના આકાશમાંથી આથમી ગયેલા સૂર્યને કારણે
ભૂંસાયેલા સિંદૂરના લાલપીળા ડાઘા દેખાય છે,
જેને હું કોઈ જ રીતે સાફ નથી કરી શકતો…
પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં
મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે.

પ્લીઝ! એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી
પણ હાલ પૂરતું
હું તેનું કાવ્ય સર્જી શકું તેમ નથી, સોરી!

– અનિલ ચાવડા

કાવ્યપાઠ :-

 

Comments (8)

સુધી…..– અનિલ ચાવડા

શ્વાસ મારે લઈ જવા’તા છેક મ્હેકાવા સુધી,
બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી.

ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો,
પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી.

વસ્ત્ર કે દીવેટ થાવું એ પછીની વાત છે,
રૂ ! પ્રથમ તો જાવું પડશે તારે પીંજાવા સુધી.

આપણી કરતાં પવનની નમ્રતા કેવી, જુઓ!
કમ સે કમ એ રાહ જુએ ફૂલ કરમાવા સુધી.

લાશને પણ નાવ સમજી પાર કરશે એ નદી,
પ્રેમ ઓછો રાહ જુએ પુલ બંધાવા સુધી?

‘આવજો’ બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત?
હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી.

– અનિલ ચાવડા

Comments (4)

એવા હાલ પર આવી ગયા – અનિલ ચાવડા

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં.

એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયા.

– અનિલ ચાવડા

Comments (3)

(સ્મરણોની ગલીમાંથી) – અનિલ ચાવડા

કહ્યું ‘તું કે જશો નૈં આમ સ્મરણોની ગલીમાંથી,
ધધખતા તાપમાં આવી ગયાને ચાંદનીમાંથી?

તમે દીધેલ આંસુને ય શાહી ઠાઠથી રાખ્યાં,
ન ઉતરવા દીધાં નીચે નયનની પાલખીમાંથી.

હૃદય કાઢી ન લીધું હોય! એવું કેમ વર્તે છે?
ફકત વીંટી જ તો કાઢી છે તારી આંગળીમાંથી!

ચડ્યો હું ઝાડ ઉપર દીકરીના કાતરા માટે,
ને મારું બાળપણ પડઘાયું આખી આંબલીમાંથી.

ફકત વ્હેંચાય છે બેચાર જણમાં ફૂલના ઢગલા,
પડે છે ભાગ આખ્ખા દેશનો એક પાંખડીમાંથી.

– અનિલ ચાવડા

અનિલ ચાવડા કદાચ આજની પેઢીના કવિઓમાં લયસ્તરોનો સૌથી ચહીતો કવિ છે. લયસ્તરો પર એની રચનાઓની સંખ્યા જોઈએ તો એમ લાગે કે એક નાનકડો કાવ્યસંગ્રહ જ આખો અહીં હાજર છીએ. આ સંગ્રહમાં આજે વળી એક રચનાનો ઉમેરો કરીએ…

Comments (8)

તો થાય શું? – અનિલ ચાવડા

અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?
ધોધમાર ચોમાસું ખાબકે ને તોય પછી પથ્થરની આંખો ભીંજાય શું?

અધકચરા માળાને છોડી જાય પંખી તો
વસમું બહુ લાગે છે ડાળને!
એમ કર્યો દૂર તમે જીવનથી જાણે કોઈ
ભોજનમાં આવેલા વાળને!

હોઠે લગાડવાની વાંસળીને પથ્થર પર પટકી પટકીને તોડાય શું?
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?

માથા પછાડતા આ દરિયાના કાંઠે હું
જોઉં છું દૂર જતી નાવને,
ઊછળતાં મોજાંના ઘૂઘવાટા વચ્ચે ક્યાં
સાંભળશે એ મારું, “આવને!”

જળમાં જળ ભેળવીને જાય નદી ચાલી તો પાછળ જઈ શકશે તળાવ શું?
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?

– અનિલ ચાવડા

 

રામબાણ વાગ્યા રે હોય તે જાણે….

Comments (2)

ગમતી વ્યક્તિને બોલાવવાનું ગીત – અનિલ ચાવડા

અડાબીડ ભીડી બેઠા છો શબ્દોના આ કમાડ ખોલો,
બોલો, કંઈક તો બોલો…

એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
છીપ હોઠની ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?
મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો,
બોલો, કંઈક તો બોલો…

કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો, કંઈક તો બોલો…

જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…

– અનિલ ચાવડા

કવિ જે કહેવા માંગે છે એ એમણે શીર્ષકમાં કહી જ દીધું છે. અને ગીત એટલું તો સંઘેડાઉતાર થયું છે કે કવિ ભલે ‘બોલો, કંઈક તો બોલો’ કહેતાં હોય, વિવેચકે કશું બોલવા જેવું રહ્યું જ નથી…

Comments (7)

પી ગયો છું ઝેર…..- અનિલ ચાવડા

જીવનના સૌ અભાવોએ વગાડ્યો ઢોલ એવો ધમધમાવીને,
ઉદાસી નાચવા લાગી તરત પોતાનાં ઝાંઝર ઝણઝણાવીને.

હવે જો આંખમાંથી લોહીના ટશિયા ન ફૂટે તો બીજું શું થાય?
ઘણાં વર્ષોથી એક તસવીર એ જોયા કરે છે કચકચાવીને.

પ્રવાસે નીકળો, ને માર્ગમાં આવે અચાનક ફૂલનાં ખેતર,
ઘણા જીવનમાં આવે એ જ રીતે, ને જતા રહે મઘમઘાવીને.

અમારા ગામના પુજારી એવું શહેરમાં લેવા શું આવ્યા ‘તા?
મને જોયો બજારે કે તરત ભાગ્યા એ ત્યાંથી રમરમાવીને.

અગર જો છોડવા જઉ તો હૃદયની પોટલી તૂટવાનો ખતરો છે,
મેં મારી દીધી છે સંબંધની એક ગાંઠ એવી કસકસાવીને.

જુએ છે સાવ ઝીણી આંખથી એ મેં ધરેલી ચાની પ્યાલીને,
છે કારણ એ જ કે હું પી ગયો છું ઝેર એનું ગટગટાવીને.

– અનિલ ચાવડા

Comments

કોણ – અનિલ ચાવડા

સમી સાંજના રંગ ભગવા ઉડાડીને આ કોણ સૂરજને દાટી રહ્યું છે?
પ્રભાતે ઉલેચીને અંધાર સઘળો ફરી કોઈ સૂરજને કાઢી રહ્યું છે!

ખબર છે બધી વૃક્ષને પોટલીમાં શું લાવ્યું ઘણાં વર્ષે આવેલ પંખી,
જુઓ વૃક્ષ રઘવાયું થઈ કૃષ્ણ જેમ જ આ ટહુકાના તાંદુલને ચાખી રહ્યું છે!

તમારી પ્રતીક્ષામાં વાવ્યું’તું એ વૃક્ષ દિવસે ને દિવસે થતું જાય ઉજ્જડ,
તમે એમ કીધું કે, ‘આવું છું મળવા’ તો લાગ્યું કે ફળ કોઈ પાકી રહ્યું છે!

મનાવી, પટાવી અને ફોસલાવી મને લઈ ગયું સુખ ફરવાને બ્હાને,
મેં જોયું મને એકલો સાવ ભેંકાર જગ્યામાં છોડી એ નાસી રહ્યું છે.

ઉપાડ્યાં છે સ્મરણોની રેતીના થેલા અને માર્ગમાં એક લાંબી નદી છે,
હું બેવડ વળી સાવ ચાલું છું તોયે હજી ભાર પીઠે કોઈ લાદી રહ્યું છે.

– અનિલ ચાવડા

ખાસ તો મક્તો જુઓ……!

Comments (2)

ડાયરીનું એક પાનું….- અનિલ ચાવડા

ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મુકવાની ઘટના આપણી અંદર ખૂટે છે.

કાચીંડો ભગવતગીતા પર બેઠો ‘તો સંયોગવસ, બસ!
પંડિતો એમાં ય ઊંડા અર્થસંકેતો જુએ છે.

છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારનાં ઈંડાં મુકે છે.

ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.

પંડની પીડા વિશે કહેતા મને આવું સુજે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બુજે છે !

ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એક ને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.

જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પુરે છે.

– અનિલ ચાવડા

Comments (6)

‘ચી…’ – અનિલ ચાવડા

સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

મને થયું કે લાવ હવાના
કાગળ પર કંઈ ચીતરું
ધોયેલા કપડા નીતરે છે
એ રીતે હું નીતરું
માંડ મૌનના ગુલમ્હોરોમાં થ્યો’તો મ્હોરું મ્હોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

એક પડ્યું ટીપું ત્યાં
આખો દરિયો કાં ડહોળાય?
સમજી સમજી થાક્યો તોયે
કશું જ ના સમજાય
અણસમજણની શગને હું શંકોરું ના શકોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

– અનિલ ચાવડા

Comments (1)

(ઝૂકું નહીં) – અનિલ ચાવડા

સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં;
બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં.

કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ,
પ્રાર્થના કરતો હતો કે, ‘કાશ હું ફૂટું નહીં.’

કોઈએ પકડી મને ફેંક્યું હશે બાકી તો હું,
આબરૂનું ચીંથરું છું જાતે કંઈ ઊડું નહીં.

લાગણીનું તેલ રેડ્યા કર હૃદયના કોડિયે,
જેથી અંદર હું સતત પ્રગટેલો રહું, બુઝું નહીં.

સાંજ, તું, હું, આંખમાં છલકાતો આલ્કોહોલ, મૌન;
એક પણ કારણ નથી એવું કે હું ઝૂમું નહીં.

જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં,
હું ય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.

ઊઠતા જોયો મને એણે સભામાંથી, થયું;
કે ભલે દુનિયાથી ઊઠી જઉં હવે, ઊઠું નહીં.

બોજ ઉંમરનો મને દઈ તું નમાવી નૈં શકે;
એથી બહુ બહુ તો કમરમાંથી વળું, ઝૂકું નહીં.

~ અનિલ ચાવડા

અનિલ ચાવડાની ગઝલો આજની ગુજરાતીનું ઘરેણું છે. બહુ ઓછા કવિઓ સમજીને આ કાવ્યપ્રકારમાં ખેડાણ કરે છે. બહુ ઓછા કવિઓ પોતાની રચનાઓના સારા-નરસા પાસાંઓ વિશેની ચર્ચાને મોકળા મને આવકારે છે. પ્રતિષ્ઠાના સર્વોત્કૃષ્ટ મુકામે પહોંચ્યા પછી પણ અનિલે આ મોકળાશ અને સાલસતા ગુમાવી નથી એની પ્રતીતિ એ સતત કરાવ્યે રાખે છે… કવિતાના આસ્વાદના સ્થાને આજે આ આડવાત એટલા માટે કે….

Comments (8)

અનેક…… – અનિલ ચાવડા

ઘર તો હતાં અનેક ને ઝાંપા હતા અનેક,
પણ આશરાના આપણે ફાંફા હતા અનેક.

એકાદ ડગની દૂરી યે કાપી શકાઈ નૈં,
એકાદ ડગના માર્ગમાં ફાંટા હતા અનેક.

વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દૃશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.

ખીલાઓ ખૂબ માર્યા છે એ સ્પષ્ટ થાય છે
સંબંધની દીવાલમાં ટાંચા હતા અનેક.

આ જિંદગી વિશે જરા પૂછ્યું’તું મેં મને જ,
થોડાં સમર્થનો હતાં, વાંધા હતા અનેક.

ખોલીને એની કેદથી આવી શક્યો ન બ્હાર
સ્મરણોની બંધ શીશીને આંટા હતા અનેક.

બીમાર આંખને ગણી કરતા રહ્યા ઇલાજ,
જોયું નહીં કે સપનાંઓ માંદાં હતાં અનેક.

મૃત્યુ સિવાય શ્વાસને ના લાંગરી શક્યા,
જીવનની આ નદીને તો કાંઠા હતા અનેક.

એક દોરડે મદદ કરી કૂવાની ડોલને,
તેથી કૂવાના પથ્થરે આંકા હતા અનેક.

ચોર્યાસી લાખ બાદ ક્યાં નિશ્ચિત હતું કશુંય,
જન્મોની એક ગલી હતી, ટાંપા હતા અનેક.

– અનિલ ચાવડા

Comments (6)

(મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ) – અનિલ ચાવડા

મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ
ઠૂંઠવાતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડી ચાદર કે વહાલ?

ક્યારની કરું છું એવી રે અટકળ કે
મહેક્યા છે પુષ્પો કે શ્વાસ?
સહેજ કરી આંખો જ્યાં બંધ અમે ત્યાં તો
સાવ નાનકડું લાગ્યું આકાશ
ગાલ ઉપર ફરતું’તું પીંછું કે પીંછા પર ફરતા’તા ગાલ?
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ

ક્યારે આવીને તમે પ્રગટાવી દીધો રે
છાતીના કોડિયામાં દીવો,
શરબતની જેમ મારા હોઠ લગી આવીને
હળવેથી બોલ્યા કે ‘પીઓ!’
શરમે રતુંબડા છે ગાલ થયા મારા કે ઊડ્યો છે સઘળે ગુલાલ?
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ.

– અનિલ ચાવડા

રમતિયાળ સ્વયંસ્પષ્ટ સ્વયંસિદ્ધ ગીત… પ્રણયની તાજા અનુભૂતિ…

Comments (6)

સવાર લઈને……- અનિલ ચાવડા

આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઈ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.

તું નીકળે અહીંથી રસ્તો જ હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.

આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે અગન ભરીને કેડે કટાર લઈને.

જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.

હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.

– અનિલ ચાવડા

Comments (6)

ઉનાળો કાળઝાળ થાય છે….– અનિલ ચાવડા

ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.​​

તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.

આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

– અનિલ ચાવડા

એક્દમ આવી જ હાલત છે અત્યારે…….

Comments (12)

વર્ષો પછી પ્રેમિકાને મળતાં…- અનિલ ચાવડા

ઓળખ્યોને કોણ છું?
પાંપણ પર ઝૂલતો ‘તો, તમને કબૂલતો ‘તો, આભ જેમ ખૂલતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

ચોપડીના પાનાંમાં સૂક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું ‘તું કોણ?
તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં બોલાવી લાવ્યું ‘તું કોણ?
કળી જેમ ફૂટતો ‘તો, તમને જે ઘૂંટતો ‘તો, તોય સ્હેજ ખૂટતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

લાગતો ‘તો જીવનમાં તમને દુકાળ ત્યારે આવ્યો તો થઈને વરસાદ,
સૂક્કા ભઠ ખેતરમાં ત્યારબાદ મોલ ખૂબ ખીલ્યો ‘તો આવ્યું કંઈ યાદ?
યાદ ન’તો રહેતો જે, આંસુ થઈ વહેતો જે, તોય કંઈક કહેતો જે, એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

-અનિલ ચાવડા

Comments (11)

એવું લાગે છે – અનિલ ચાવડા

સાવ અણધારી નહીં પણ જોઈ વિચારી વળી ગઈ હોય એવું લાગે છે.
રોજ ઘર લગ આવનારી કેડી પરબારી વળી ગઈ હોય એવું લાગે છે.

એ તમારામાં હજી હમણાં જ તો જન્મી હતી ને વૃદ્ધ પણ થઈ ગઈ તરત?
બાળવયની છે, કમરથી તોય ખુમારી વળી ગઈ હોય એવું લાગે છે.

ક્યાંક ખૂણામાં જઈને જા રડી લે ખારું પાણી સાચવીને રાખ નૈં,
સ્હેજ દર્પણમાં નજર કર આંખમાં છારી વળી ગઈ હોય એવું લાગે છે.

સંભળાશે ચીસ દેખાશે નહીં એ સત્ય બિચારી ભણી ગઈ એટલે,
સ્કૂલ છોડી અન્ય રસ્તે ક્યાંક લાચારી વળી ગઈ હોય એવું લાગે છે.

લોહમાં ઉદારતા આવી કે જાગ્યું શૌર્ય સુંવાળી આ મજબુતાઈનું?
ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ હોય એવું લાગે છે.

– અનિલ ચાવડા

Comments (4)

(અનિલ ફિનિક્સ છે) – અનિલ ચાવડા

ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે,
જિંદગી તો કોઈ ભેજાએ લખી કોમિક્સ છે.

બહુ વધુ ચાહતનો ડેટા રાખવામાં રિસ્ક છે,
આપણામાં માત્ર એક જ હાર્ટ છે ક્યાં ડિસ્ક છે

મેં કરી વરસાદના સંગીતની વ્યાખ્યા, કહું?
વર્ષા : ઈશ્વરના રુદનનું કુદરતી રિમિક્સ છે.

કોઈ ગમતું જણ કહે સામેથી ચાહુ છું તને,
જિંદગીની મેચ અંદર આ તમારી સિક્સ છે!

મેં અલગ થાવા વિશે કારણ પૂછ્યું તો એ કહે,
‘પ્લીઝ! ચર્ચા માટેના બીજા ઘણા ટોપિક્સ છે.

સાંભળ્યું છે કોક દિ’ મનને ય ખાંસી થાય છે,
થાય તો ઉપચારમાં કહેજો ગઝલની વિક્સ છે.

આમ કહી કહીને મને બાળ્યા કરો નૈં સૌ હવે,
‘રાખમાંથી થઈ જશે બેઠો અનિલ ફિનિક્સ છે.’

– અનિલ ચાવડા

ભાષા વહેતી નદી જેવી છે… એક બાજુ એ સતત વહેતી રહે છે તો બીજી તરફ જે કંઈ નાળાં-વેકળા એમાં ભળે એ તમામને ખુદમાં સમાવીને આગળ વધે છે… અંગ્રેજી ભાષા આપણી ભાષાના સમાંતરે ચલણમાં આવી પરિણામે અંગ્રેજી શબ્દોનો પ્રયોગ પણ વધતો ગયો… ફળસ્વરૂપ આવી મજાની ગુજલિશ ગઝલો…

Comments (5)

ગોફણ છે…..- અનિલ ચાવડા

ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી ગોફણ છે ગોફણ છે ગોફણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું ધોબણ છે ધોબણ છે ધોબણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

કોની તે ઝંખનામાં વરસોથી ટળવળતાં
મારાં બધીર સાવ ટેરવાં,
વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા?
પથ્થર પર ઢીંચણિયે ચાલવામાં છોલાયા ગોઠણ છે ગોઠણ છે ગોઠણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

– અનિલ ચાવડા

કવિની લાક્ષણિક અદા ઉજાગર કરતું મઝાનું ગીત…..

Comments (2)

દ્રષ્ટિકોણ – અનિલ ચાવડા

ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મૂકવાની ઘટના આપણી અંદર ખૂટે છે.

કાચીંડો ભવદ્દગીતા પર બેઠો તો સંયોગવશ બસ !
પંડિતો એમાંય ઊંડા અર્થ સંકેતો જુએ છે.

છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારના ઈંડાં મૂકે છે.

ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.

પંડની પીડા વિશે કહેતા મને આવું સૂઝે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બૂઝે છે !

ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એકને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.

જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પૂરે છે.

– અનિલ ચાવડા

જેમ જેમ ગઝલ આગળ વધે છે તેમ તેમ વધુને વધુ સરસ શેર આવતા જાય છે. અંગત રીતે મને પાંચમો શેર શિરમોર લાગ્યો…

Comments (8)

જીવી રહ્યા છીએ – અનિલ ચાવડા

ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ,
એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.

પર્ણમાં, ડાળમાં, કે બીજમાં જીવી રહ્યા છીએ ?
આપણે વૃક્ષત્વની કઈ રીતમાં જીવી રહ્યા છીએ ?

હોઉં હું મારા ગળામાં, હોય છે તારા ગળામાં તું,
પોતપોતાના ગળે તાવીજમાં જીવી રહ્યા છીએ.

તું જ આવીને મને સમજાવ તો સમજું નહીંતર નૈં,
એકધારા આ અમે કઈ ચીજમાં જીવી રહ્યા છીએ ?

અર્થ જીવનનો ફકત છે એ જ કે વ્હેવું સતત વ્હેવું,
’ને યુગોથી આપણે સૌ ફ્રીજમાં જીવી રહ્યા છીએ.

–અનિલ ચાવડા

મત્લાથી જ મજબૂત પકડ ધરાવે છે આ ગઝલ. યંત્રવત એકરાગિતા તેમ જ absence of free will/choice મત્લામાં આલેખાયેલી છે. મક્તો બહુ ન ગમ્યો. પ્રથમ ચરણ જેટલું મજબૂત છે તે પ્રમાણે અંતિમ ચરણ તેને ઊઠાવ આપતું નથી. કંઈક વધુ ઊંડાણ હોતે તો પ્રથમ ચરણ ઝળહળી ઊઠતે.

Comments (1)

કેમ કરી કરીએ હે રામ ? – અનિલ ચાવડા

કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ હે રામ ?
ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ !

દૂર દૂર ખૂબ દૂર આવ્યો પ્રદેશ, મારાં પગલાંમાં ઠેશ
હવે ચાલી ચાલીને કેમ ચાલું ?
વરસોથી પજવે છે છાતીમાં હાંફ મારી આંખોમાં થાક
વળી જીવતરમાં મસમોટું ખાલું;
ચરણો ગુમાવ્યાં બાદ રસ્તાઓ આવ્યા ને દોડવાનું આવ્યું બેફામ !
અમે કેમ કરી કરીએ હે રામ ?

અંદર ને અંદરથી રોજ રોજ આમ મને ધીમે ધીમેથી
કોઈ કરકોલે ઉંદરની જેમ,
એક પછી એક બધી મારી પર આવીને પડતી ઉપાધિઓ
ખેતરમાં તીડ પડે એમ;
જીવ્યા અમે જે રાત કાળી ડિબાંગ એને દેવાનું દિવસોનું નામ ?
અમે કેમ કરી કરીએ હે રામ ?

– અનિલ ચાવડા

અલગ અંદાઝનું ગીત……

Comments (3)

સ્ટેપ્લર – અનિલ ચાવડા

ચમકતું સ્ટીલ જેવું
લાલ પટ્ટીવાળું
લાગણીદાર પીનો પોતાની ભીતર સમાવી રાખતું
ને
વિખરાયેલા સંબંધોના કાગળોને સ્ટેપલ કરતું
એક સ્ટેપ્લર હતું મારી પાસે
નકામા ને ખોટી રીતે સ્ટેપલ થઈ ગયેલા સંબંધોને
ઉખાડવા માટેનો અણીદાર ભાગ પણ હતો તેમાં
હમણાથી એ ભાગ થોડો વધારે પડતો વળી ગયો છે
કંઈ પણ ખોટી રીતે સ્ટેપલ થઈ જાય તો ઉખાડી નથી શકાતું
પીન પણ બરોબર નથી લાગતી કાગળોમાં
સંબંધો વિખેરાઈ જાય છે
ફાટી પણ જાય છે
ક્યારેક હાથમાં વાગી જાય તો લોહીઝાણ થઈ જાય છે આંગળી
બહુ મથ્યો તેને રિપેર કરવા
પણ ન થયું તે ન જ થયું
છેવટે દુકાને ગયો, રિપેર કરાવવા
દુકાનદાર કહે,
‘સ્ટેપ્લર તે કંઈ રિપેર કરાવવાનું હોય? બદલી નાખવાનું હોય!’
પણ એ સ્ટેપ્લર મારી છાતીમાં છે
અને હું એને બદલી નથી શકતો.

– અનિલ ચાવડા

ધારદાર……

Comments (11)

બોલો, કંઈક તો બોલો… – અનિલ ચાવડા

અડાબીડ ભીડી બેઠા છો શબ્દોના એ કમાડ ખોલો,
બોલો, કંઈક તો બોલો…

એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
છીપ હોઠનું ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?
મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો,
બોલો, કંઈક તો બોલો…

કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો, કંઈક તો બોલો…

જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…

– અનિલ ચાવડા

સંબંધોમાં મૌન સૌથી ઘાતક શસ્ત્ર પૂરવાર થાય છે. વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે… મગફળી જેવું મૌન થોડું ફોલીએ તો ભીતરથી સિંગદાણા હાથ આવે, હોઠની છીપ ન ખુલે ત્યાં લગ સમાધાનનું મોતી કંઈ હાથ લાગે? બીજા અંતરામાં કાનના ફળિયું થવાનું અને મૂક પ્રેયસીના શબ્દોનું ચંપો થઈ કોળવાનું કલ્પન સર્વશ્રેષ્ઠ છે. વાંસળી જેવી વાંસલી પણ બે હોઠ ફૂંક ન મારે તો પોલા વાંસથી વિશેષ શું છે? રિસાઈ ગયેલા પ્રિયજનો માટેનું રાષ્ટ્રગીત થઈ શકે એવું ઉત્તમ ગીતકાવ્ય…

Comments (16)

બીજું પણ કંઈ ઘણું બધું છે – અનિલ ચાવડા

આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;
‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા, જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે?
ફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો,
દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મનુ, પયંગબર સઘળા અહીંથી ચાલ્યા,
તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

– અનિલ ચાવડા

કાયમ નવતર કલેવર અને માવજત સાથે સર્જન કરનાર અનિલની આ એક તાજગીસભર રચના….વાતચીતની ભાષામાં આખી રચના છે.

Comments (9)

દીકરીની વિદાય – અનિલ ચાવડા

anil-chavda

આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

રંગોળીમાં પડશે નહીં રે
પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જાશે
ઘરની આ મિરાત
આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

– અનિલ ચાવડા

અનિલ ચાવડાની આ કવિતા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના અભ્યાસક્રમમાં ધોરણ ૯માં સમાવિષ્ટ કરવામાં આવી છે. કદાચ પ્રવર્તમાન પેઢીના કવિઓમાં ‘અનિલ ચાવડા’ પાઠ્યપુસ્તકમાં સ્થાન પામનાર પ્રથમ નામ હશે… ચાલો, છોકરાઓનો પણ ઉદ્ધાર થશે… સમજણો થયો ત્યારથી મને એક વસ્તુ કદી સમજાઈ નથી કે શા માટે બાળકોના માથે ચલણમાંથી નીકળી ગયેલ “એક્સપાઇરી ડેટ”વાળી ભાષામાં લખાયેલી કવિતાઓ જ નાખવામાં આવે છે. આપણી ભાષાના સાંસ્કૃતિક વારસા સમી રચનાઓની સાથોસાથ કન્ટેમ્પરરી પોએટ્રી પણ અભ્યાસક્રમમાં હોવી જ ઘટે. અનિલની રચનાને પાઠ્યપુસ્તકમાં મળેલું સ્થાન આ દિશા તરફનું પહેલું પગલું ગણી શકાય. એ ન્યાયે પાઠ્યપુસ્તકમંડળને અભિનંદન.

પણ સાથેસાથે પાઠ્યપુસ્તક મંડળે જે અક્ષમ્ય ક્ષતિઓ આચરી છે એની પણ સખેદ નોંધ લેવી જરૂરી છે કેમકે એક તરફ આપણે ‘ગુજરાતી મરી રહી છે’ના રોદણાં રડી રહ્યાં છીએ અને બીજી તરફ બાળકોને ભાષા શીખવવામાં જ આવી જઘન્ય લાપરવાહી ?

‘લેખનનું કામ કરી રહ્યાં છે’ – પુલ્લિંગ સર્વનામ સાથે અનુસ્વાર?

‘તેમના ચિંતન, નિંબધોનાં પુસ્તકો છે’ – નિંબધો? કે નિબંધો?

મિરાંત‘ – કે મિરાત ? હદ તો ત્યાં થઈ છે કે ખોટો શબ્દ છાપ્યો છે એટલું જ નહીં, એનો શબ્દાર્થ આપીને એને કોઇન પણ કરી દીધો…

 

Comments (6)

કમાલ થઈ ગઈ – અનિલ ચાવડા

કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.

કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.

ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.

ઝાકળની જયાં વાત કરી ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.

– અનિલ ચાવડા

Comments (6)

ઓલ્યું… હિન્દીમાં કે’ છે….. – અનિલ ચાવડા

ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં,
તો પછી આ જિંદગીભર આંસુઓ શું સારવાં, જખ મારવા?

એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, સુધરી જતે;
પણ હવે આ ઉંમરે કયાં બેસવું પાછું બધું વિચારવા?

હોય માથે પોટલું તો એ તરત ભફ દઈ અને પડતું કરું,
પણ સમયના પ્હાડ જેવા ભારને કઈ રીતથી ઉતારવા?

સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.

ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.

– અનિલ ચાવડા

માત્ર તળપદી તેમજ રોજિંદા વપરાશની ભાષાના અનોખા પ્રયોગો પણ આ ગઝલને આકર્ષક બનાવવા પૂરતા છે, પણ અહીં તો અર્થગાંભીર્ય પણ કાબિલ-એ-દાદ છે !!

Comments (13)

એવી ખબર થોડી જ હોય? – અનિલ ચાવડા

એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?

હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?

જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?

મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?

ભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,
માથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય?

ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?

– અનિલ ચાવડા

પ્રત્યેક શેર એક કહાની છે….. બળકટ ગઝલ

Comments (9)

અધીરો છે ઈશ્વર – અનિલ ચાવડા

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?

નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું,
અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે.

કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક,
ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે.

સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક,
ફક્ત ખાબોચિયાં છે આ બધાં તો ખારવા માટે.

કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.

– અનિલ ચાવડા

દરેક શેર એક કહાની છે….

Comments (13)

એક નાના કાંકરે… – અનિલ ચાવડા

એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં,
પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં?

આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
“આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં.”

એ કહે કે બહુ બટકણી ડાળ છે વિશ્વાસની,
ત્યાં જ બટક્યો હું ને એણે શું કહ્યું સંભળાય નૈં.

મજબૂરી – બજબૂરી જે કે તે બધુંયે સાચું પણ,
આ રીતે તો કોઈને ક્યારેય તરછોડાય નૈં.

લાગણી છે એટલે લપસાય પણ, છોલાય પણ;
લીલવાળા માર્ગ પર ઝાઝો સમય દોડાય નૈં.

તારું લેવલ તો શિખર કરતાં ય ઊંચું છે અનિલ,
પણ રહે તું મધ્યમાં જ્યાં ટોચ નૈં તળિયાં ય નૈં.

– અનિલ ચાવડા

Comments (6)

એ સમજની બ્હાર છે – અનિલ ચાવડા

તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,
કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે.

ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા!
તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે.

સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,
ફાટશે જ્વાળામુખી થઈ, એ શમનની બ્હાર છે.

ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય?
છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે.

પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,
કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે.

– અનિલ ચાવડા

ત્રીજો શેર વાંચતા એક જાણીતી ઉક્તિ યાદ આવી – Old sins cast long shadows…… આખી ગઝલ મનનીય અને મજબૂત છે

Comments (3)

ગઝલ – અનિલ ચાવડા

આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,
જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં.

રૂપિયા ખૂટી જશે-ની સ્હેજ પણ પરવા નથી,
ખૂટવી ના જોઈએ હિમ્મત હૃદયના પર્સમાં.

એક પણ સંકલ્પ નૈં એવોય ક્યાં સંકલ્પ લઉં !
હું મને શું કામ બાંધું કોઈ પણ આદર્શમાં ?

માત્ર સુખને શું કરું બચકાં ભરું ? પપ્પી કરું ?
જોઈએ પીડાય મારે આખરી નિષ્કર્ષમાં.

પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું,
દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં.

– અનિલ ચાવડા

હળવાફૂલકા બાંધાવાળી પણ ગંજાવર ગઝલ સાથે લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રો ને ખ્રિસ્તી નવું વર્ષ મુબારક…

Comments (6)

મૂક – અનિલ ચાવડા

બી, પછી કૂંપળ, પછી ડાળી, પછી ઉપર કળી મૂક;
એમ મારી જિંદગીને પણ વ્યવસ્થિત સાંકળી મૂક.

બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું,
સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.

ખૂબ તરણાં ગોઠવ્યાં માળો થયો નહિ, થાય ક્યાંથી?
જ્યાં સુધી ના લાગણીની લીલીછમ તારી સળી મૂક!

એકઃ હું છું, બેઃ નથી, ત્રણઃ હું છું પણ ને હું નથી પણ;
આ ત્રણેમાંથી ગમે તે એક ઉપર આંગળી મૂક.

આમ લોહીઝાણ એ ના થાય તો એ થાય શું, બોલ?
ખૂબ સમજાવ્યો હતો સૌએ ન શ્રદ્ધા આંધળી મૂક.

આબરુ ખોઈ દીધેલા દીકરીના બાપ જેવું-
એક રણ છું; હે ગગન મારા શિરે તું વાદળી મૂક.

– અનિલ ચાવડા

હું તો બીજા શેર પર ઓવારી ગયો !!!!!!

Comments (7)

પીડાને ઠપકો – અનિલ ચાવડા

તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!

તેં કીધું’તુંઃ ‘અમથી અમથી બેઠી છું હું ઝળઝળિયાને કાંઠે’,
હળવે રહી તેં ચરણ ઝબોળ્યાં, ઊતરી અંદર, પછી મને તું ગાંઠે?
આંખોનું આ તળાવ આખ્ખું ડ્હોળી નાખ્યું લિમિટ જરાયે રૈ?
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?

તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું ‘તું નામ; ઉઝરડો?
તમે બેઉં જ્યાં ન્હોર લઈને મળી રહ્યા છો એ છે મારો બરડો;
મારામાંથી કાઢી મૂકો બહાર મને અંદરથી તાળું દૈ!
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?

– અનિલ ચાવડા

નવતર પ્રયોગ, પણ બળકટ……..

Comments (9)

શું જોઈતું’તું ? – અનિલ ચાવડા

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

– અનિલ ચાવડા

 

થોડીક પ્રયોગાત્મક ગઝલ છે. કદાચ શાસ્ત્રીય ગઝલકારની ભૃકુટી તણાય પણ ખરી પરંતુ કલ્પનોની તાજગી કાબિલ-એ-તારીફ છે.

Comments (10)

જડ્યો જડ્યો હું જડ્યો – અનિલ ચાવડા

જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.

નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા?
ધૂળ અને ઢેફાની માફક
પડ્યો હતો માટીમાં;
પિંડ તમે બાંધ્યો મારો તો હુંય ચાકડે ચડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું;
છાતી અંદર રોકાયું ના
રોકાતું કૂંપળવું !
પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

– અનિલ ચાવડા

કેવા સરળ શબ્દો, કેવા સહજ કલ્પન અને કેવી મોટી વાત ! વાહ કવિ !!

*

દિલ્હી સાહિત્ય અકાદમી’ દ્વારા આપવામાં આવતો ‘યુવાગૌરવ પુરસ્કાર’ આ વર્ષે કવિમિત્ર અનિલ ચાવડાને ‘સવાર લઈને’ સંગ્રહ માટે મળનાર છે. ટીમ લયસ્તરો તરફથી અનિલને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ….

Comments (11)

કામ સોપ્યું – અનિલ ચાવડા

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.

છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું.

જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?

વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં !
એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.

દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.

– અનિલ ચાવડા

Comments (22)

વાત જવા દે – અનિલ ચાવડા

ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…

પ્હેલાં તો હું પોતે પણ એક મ્હેલ હતો ને મારો વૈભવ હતો કોઈ કુબેર સરીખો,
કંઈક થયું ઓછું ભીતર ને થતો ગયો હું ધીરે ધીરે ખખડેલાં ખંડેર સરીખો.
પછી હૃદયમાં કરોળિયાના જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં વાત જવા દે…

રોજ વિચારું ભીતરનો આ જ્વાળામુખી સઘળે સઘળો સાવ ઓલવી નાખું,
પળ બે પળ તો એમ થાય કે આંસુ અંદર ડૂબાડીને સૂરજ સુદ્ધાં લાવ ઓલવી નાખું
કશું થયું નૈં અંદર અંદર એવા લાજ્યા એવા લાજ્યા એવા લાજ્યા વાત જવા દે…
ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…

– અનિલ ચાવડા

ક્યારેક સપનાં મોંઘા પણ પડી જાય…

Comments (6)

બાંધ્યું છે – અનિલ ચાવડા

આ કેવું બંધન બાંધ્યું છે ?
માણસ અંદર મન બાંધ્યું છે.

જીવ આવ્યો છે પ્રવાસ કરવા,
શરીરનું વાહન બાંધ્યું છે.

મેઘધનુના નામે આભે,
માદળિયું પાવન બાંધ્યું છે.

તું પોતે જો ફૂલ હોય તો,
હાથે કાં ચંદન બાંધ્યું છે ?

– અનિલ ચાવડા

સ્વયંસિદ્ધ કવિની સ્વયંસિદ્ધા ગઝલ… બીજા અને ત્રીજા શેરમાં કવિની કલ્પનાશક્તિ એની ચરમસીમાએ પહોંચી છે.

Comments (9)

…બેઠા – અનિલ ચાવડા

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા

આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા

મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.

– અનિલ ચાવડા

એક જુદી જ જાતની freshness છે આ ગઝલમાં…..

Comments (12)