January 25, 2019 at 1:27 AM by વિવેક · Filed under ઉષા ઉપાધ્યાય, ગીત
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…
વાદળ વરસે ને કહે
ઘરમાં તું કેમ છે?
વાયરો વહે ને કહે
ઉડવું હેમખેમ છે?
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…
ભીડેલાં બારણાંની
કેવી આ ભીંસ છે!,
ટહુકામાં ઓગળતી
મૂંગી આ રીસ છે,
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…
– ઉષા ઉપાધ્યાય
ગીતનું મુખડું વાંચતાં જ ‘તેરી દો ટકિયા કી નૌકરી મેં મેરા લાખોં કા સાવન જાય રે’ કહી મનોજકુમારને લોભાવતી ઝિન્નત અમાન નજર સામે આવી જાય.આ મુખડું પણ કંઈક એવી જ વાત કરતું હોવા છતાં એટલું બળકટ બન્યું છે કે સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય… પરંપરાગત ગીતોમાં જોવા મળતી ક્રોસલાઇન અહીં હાજર ન હોવા છતાં સાવ ટૂંકુ ને ટચરક આ ગીત આપણને સરાબોળ ભીંજવી જાય એવું છે….
એકાધિક કાવ્યસંગ્રહો, નિબંધો, પ્રવાસપત્રો, એકાંકી, ત્રિઅંકી જેવા એક ડઝનથીય વધુ પુસ્તકો આપનાર વલસાડના સર્જક શ્રી ઈશ્વરચંદ્ર ભટ્ટના નામથી આપણે લગભગ અપરિચિત છીએ. ‘સુદામો ૫૧મો’ જેવું અટપટું ઉપનામ ધરાવનાર આ કવિના સૉનેટસંગ્રહ ‘મધુસ્યંદ’ (૧૯૯૨), જેની પ્રસ્તાવના મકરંદ દવે અને ઉશનસ્ જેવા સમર્થ કવિઓએ એ લખી છે તથા કે. કા. શાસ્ત્રી, રાજેન્દ્ર શાહ, જયન્ત પાઠક અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા સાક્ષરોએ જેના વિશે અભિપ્રાય લખી આપ્યા છે એમાંથી એક સૉનેટ અહીં રજૂ કરીએ છીએ.
‘મધુસ્યંદ’ એટલે મધનો પ્રવાહ… મધુર ઝરણ… સદગત પત્નીના સ્મરણમાં કવિએ ૫૮ જેટલા સૉનેટ રચ્યા છે, જેમાં નારીજીવનના રજોનિવૃત્તિ સહિતના લગભગ તમામ પાસાંઓ કવિએ આવરી લીધાં છે. ઉચ્ચ કવિત્વનો અભાવ છતાં આ સૉનેટસંગ્રહ આપની ભાષામાં પોતાનું આગવું સ્થાન સર્જે છે. અહીં ગરીબ ઘરમાં પરણીને આવતી અને સહુની સેવાનો વિકટ પંથ હસતે મોંએ સ્વીકારીને મૃત્યુ પામીને પતિના ખભે ચડીને સ્મશાન જતી પત્નીની લગ્નથી મરણની જીવનયાત્રા અને જે કંકણ પહેરીને એ પતિગૃહે આવી હતી, એ કંકણ મૃત્યુ બાદ સ્મશાનનો ‘સૌમ્ય’ અગ્નિ પણ ભસ્મ કરી શક્યો ન હોવાની વાતથી કવિ પત્નીના સ્મરણ કેવાં અવિનાશી છે એની વાત બખૂબી કરે છે. પત્નીની યાદને ખાખ ન કરી શકનાર અગ્નિને સૌમ્ય વિશેષણ અપાયું છે એમાં ખરું કવિકર્મ નજરે ચડે છે..
કોઈ મળે ના સંગી-સાથી, કોઈ લિયે ના તેડી સાવ સૂની પાદરની કેડી.
– જગદીશ ધનેશ્વર ભટ્ટ
રવીન્દ્રનાથની ‘तबे एकला चलो रे’ તરત યાદ આવી જાય એવું ગીત. જિંદગીની આ રાહમાં કોઈ સાથી કે તેડી લે એવો સહારો નથી, આ સફર સૌએ એકલા જ કાપવાની છે. આગળ વધવું એ જ એકમાત્ર પ્રાર્થના હોય તો નજર અંધારાં પણ ભેદી શકે છે ને ગંગાસતીની જેમ વીજળીના ચમકારે ભવની ભાવટના મોતી પણ પરોવી શકાય છે. આંતર્ચક્ષુ ખૂલી જાય એ ઘડી પ્રકાશના સાક્ષાત્કારની અને ચોર્યાસી લાખ ફેરાની માયાજાળની બેડીઓ તૂટવાની ઘડી છે.
January 16, 2019 at 2:16 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
પાછલા જનમની પ્રીત ભલે ફળતી એ… આવતા જનમમાં
પણ આ ભવનું શું?
પાછલા જન્મે હો ચોમાસાં, આવતા જન્મે છો દરિયા
પણ આ દવનું શું?
શ્રદ્ધાના ચોઘડિયે, ફૂલના શુકનમાં
દીવો કરીને જે કીધાં સ્તવન
ખાલીપો રોજ એના મંત્રો ઉચ્ચારે ને
એકલતાનો જ હજુ ચાલતો હવન
આચમની લઈને હું છોડું સંકલ્પ
પણ હાથમાં હોમવાના આ જવનું શું?
અમથુંય તરણું જો નાખો તો પાંગરે એવું એ પોચી જમીન સમું મન આ ભવમાં તરણુંયે ઊગતું નથી તો કેમ માનવું કે ઊગશે આખો પવન પાછલા ને આવતા ભવમાં તહેવાર પણ ઝાંખા પડેલા આ ઉત્સવનું શું?
-મુકેશ જોષી
વિરહને શબ્દોના રૂપાળા વાઘા વધારે વસમો બનાવતા હોય છે…..પ્રિયજનનો પ્રતિસાદ નથી તે નથી, બાકી બધી વાતો મન મનાવવાની…..
આ પવન તમામ નિર્જીવ વસ્તુઓને સજીવ કરી દે છે,
ડાળીઓ જે હવાને ચાબુકની જેમ ફટકારે છે
અને સૂક્કાં પાન ઉતાવળે ગડથોલિયાં ખાય છે
અથવા સસલાંની બખોલમાં ઝાંકે છે
અથવા એક ઝાડને નીચે પાડવા મથે છે;
દરવાજાઓ જેઓ પવનથી ફટાક કરતાં ખૂલી જાય છે
અને ફરી પાછાં બિડાઈ થઈ જાય છે,
અને ખેતરો જેઓ છે વહેતો દરિયો,
અને ઢોર એમાં જહાજો જેવાં દેખાય છે;
ચળકતાં અને અક્કડ તણખલાં
હવા પર સૂતાં છે જાણે કે છાજલી પર ન હોય
અને તળાવ જે પોતાને ત્યાગવા માટે કૂદે છે;
અને પીંછાં પણ ઊંચે ઊઠે છે અને તરે છે,
પ્રત્યેક પીછું એક પક્ષીમાં પલટાઈ ગયું છે,
અને દોરી પર સૂકવેલ ચાદરો જે ફડફડે છે અને તણાય છે;
કંઈ કેટલાય પવનો સામે જેણે કામ આપ્યું છે,
એ તડકામાં તપીને લીલા થયેલ ડગલાને પણ,
ચાડિયો ફરીથી પહેરવા મથે છે.
– એન્ડ્રૂ યંગ
(અનુ.: વિવેક મનહર ટેલર)
પવન સૃષ્ટિના કણ-કણને સજીવન કરી દે છે… એ ધૂળને પણ પાંખ આપે છે… પવન વિશેની આ કવિતા કવિતા નથી, નજરે જોઈ ન શકાતા પવનનો અદૃશ્ય ગ્લાસ છે, જેમાં છલોછલ જીવનરસ-ગતિરસ ભર્યો પડ્યો છે, જેને એક જ ઘૂંટડે ગટગટાવતામાં તો આપણી અંદરની તમામ શલ્યાઓ અહલ્યાઓ બનીને શ્વાસ ભરવા માંડે છે… પવનનું એક તોફાની ઝાપટું આવે અને પસાર થઈ જાય એ જ રીતે આ કવિતા આપણામાંથી પસાર થઈ જાય છે અને આપણી અંદર વેરવિખેર પડેલ અસ્તિત્વના ટુકડાઓને વાળીઝૂડીને નવો આકાર આપતી જાય છે.
A Windy Day
This wind brings all dead things to life,
Branches that lash the air like whips
And dead leaves rolling in a hurry
Or peering in rabbit’s bury
Or trying to push down a tree;
Gates that fly open to the wind
And close again behind,
And fields that are a flowing sea,
And make the cattle look like ships;
Straws glistening and stiff
Lying on air as on a shelf
And pond that leaps to leave itself;
And feathers too that rise and float,
Each feather changed into a bird,
And line-hung sheets that crack and strain;
Even the sun-greened coat,
That through so many winds has served,
The scarecrow struggles to put on again.
January 11, 2019 at 1:26 AM by વિવેક · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
‘ભાઈશ્રી,
કોઈ પુસ્તક વાંચીને, સંતના સમાગમથી કે પછી ચમત્કારિક અનુભવથી જીવન બદલાઈ જાય.
તમારે આવું થયું છે? તમારા જીવનનો વળાંક કયો?
લિ. સંપાદક’
સંપાદકશ્રી,
તમે માથેરાન ગયા છો?
સ્ટેશનની બહાર ટાંપીને બેઠું હોય
એનું નામ બજાર
જૂતા પગના માપના ન હોય
તો પગ જૂતાના માપના કરી નાખે
એનું નામ બજાર
સકારામ તુકારામ પોઇંટથી શરૂ થાય
અને પૈસા ખૂટે ત્યાં પૂરું થાય
એનું નામ બજાર
લાલ માટીનો રસ્તો
બજારથી મોં ફેરવી લઈને
વગડે જાય
વગડો એટલે
સેલ્લારા લેતી સિસોટી
તડકાને ટપ ટપ ટીપતો કંસારો
જીભ કાઢીને હસતી જાસવંતી
શિખાઉ ભગવાને બનાવ્યા હોય
એવા ગલગોટા
સિંડ્રેલાની સેન્ડલ જેવું ફૂલ
જેનું નામ…ખોવાઈ ગયું છે
વગડો એટલે
ફૂલ વતી બોલતા ભમરા
સીમ વતી બોલતાં તમરાં
સદીઓથી ચુપચાપ ઊભેલા બે પહાડ
…વાતની શરૂઆત કોણ કરે?
સંપાદકશ્રી,
બજારથી વગડે જતો મારગ
મારા જીવનનો વળાંક છે
-ઉદયન ઠક્કર
સંપાદન આજકાલ મૂલ્યહીન બની ગયું છે. કોઈકના મનમાં વિચાર આવે કે મિત્રતા વિશે એક સંપાદન કરવા જેવું છે એટલે એ પત્રો દ્વારા, સોશ્યલ મિડિયા દ્વારા વાત વહેતી મૂકે કે આ વિષય પર તમારા લેખો, કવિતાઓ લખી મોકલાવો. સર્જકોમાં તરત જ પ્રેરણાનો જુવાળ આવે અને ઢગલોક લેખ-કાવ્યો સંપાદકને વિના મહેનતે ઘર બેઠાં મળી જાય. સામે ચાલીને મંગાવ્યું હોય એટલે ‘સાભાર પરત’ તો કરી ન શકાય એટલે જે આવ્યું એ બધું પ્રેસમાં પહોંચી જાય અને એક પુસ્તક બજારમાં તરતું થઈ જાય. સંપાદકના છોગામાં વળી એક પીછું ઉમેરાય. જાતમહેનત અને વિશદ સંશોધન કરવા જેટલો રસ અને સમય ભાગ્યે જ કોઈ પાસે છે. સાચો સંપાદક તો મહીસાગરમાં ઝંપલાવીને મોતી લઈ આવે છે.
નથી આ કૈં કાવ્યો : નથી પ્રણયના ઓઘ ઊભરા!
વિમર્શો કૈં છે ના, ન પરિણત પ્રજ્ઞા તણી કૃતિ!!
બહુરૂપા સૃષ્ટિ સજતી નિજ સૌંદર્ય પણ ક્યાં?
તરંગોની લીલા નહિ નવીન, ના કલ્પન નવાં!
ન કે કાવ્યાભાસી સહજ પદવિન્યાસ નવલા,
નવા ઉન્મેષો ના, નવ નવીનતા છંદ-લયની,
ન વા શોભે કોઈ નવતર અલંકાર કૃતિમાં,
કવ્યા ના સંસ્કારો નવ રસ રૂપે પૂર્વસૂરિના.
નથી ભાષાપ્રૌઢી કવનની, ન લક્ષ્યા, શું અભિધા!
ગિરા જે ગીર્વાણ પ્રભવતી નહીં કૈં ગુણવતી,
ન વાણીની આમાં મનસ ભરતી કૈ& ધ્વનિ-કલા,
ન વાગ્મિતા કેરી મનહર મધુરી મુખરતા.
નિનાદો તારા જે અહરનિશના પ્રીત-ટહુકા,
સખી! તેના આ તો હૃદ-વિવરમાં આર્દ્ર પડઘા.
કવિતા શું છે એનો તાગ મેળવવા કવિઓ પરાપૂર્વથી મથતા આવ્યા છે. બહુ ઓછા જાણીતા કવિ શ્રી પ્રિયવદન પ્રસ્તુત સૉનેટમાં નથી-નથીની રીતિ અપનાવીને પોતાની કવિતાના મૂળ સુધી પહોંચે છે. કવિતાની શરૂઆત જ આ કંઈ કાવ્યો નથીની નિખાલસ કબૂલાતથી થાય છે. કવિ કહે છે કે એનાં સર્જન પ્રણયના ધોધમાર ઊભરા નથી, ઊંડાવિચારવિમર્શોનું તારતમ્ય પણ નથી, પરિપક્વ પ્રજ્ઞાનું નવનીત પણ નથી, ને અહીં બહુરૂપી સૃષ્ટિની પોતિકી સૌંદર્યલીલા પણ નથી. અહીં કાવ્યનો આભાસ જન્માવે એ નવીન પદવિન્યાસ નથી, નૂતન ઉન્મેષો નથી, છંદોલયના નવીનતમ પ્રયોગો કે અલંકારોની શોભા પણ નથી, ને પૂર્વસૂરિઓ પાસેથી મળેલા સંસ્કારો નવા રસમાં ઢળાઈને પણ રજૂ થયા નથી. કવિ પાસે ગંભીર-પ્રૌઢ ભાષા નથી, જે અભિધા-લક્ષણા-વ્યંજનાની કસોટીએ ખરી ઊતરે, ગુણવતી દેવોની ભાષા પણ નથી ને કાવ્યશાસ્ત્રની મધુર મુખરતા પણ નથી.
આમ, નથી-નથી કરતાં કવિ પોતાની કવિતાની ગંગોત્રી સુધી પહોંચે છે. એમની સખીના અહર્નિશ પ્રીત-ટહુકાઓનો જે અવાજ છે, એના કવિહૃદયમાં જે આર્દ્ર પડઘા ઊઠે છે એ જ છે એમની કવિતા…
અનિલ ચાવડાની ગઝલો આજની ગુજરાતીનું ઘરેણું છે. બહુ ઓછા કવિઓ સમજીને આ કાવ્યપ્રકારમાં ખેડાણ કરે છે. બહુ ઓછા કવિઓ પોતાની રચનાઓના સારા-નરસા પાસાંઓ વિશેની ચર્ચાને મોકળા મને આવકારે છે. પ્રતિષ્ઠાના સર્વોત્કૃષ્ટ મુકામે પહોંચ્યા પછી પણ અનિલે આ મોકળાશ અને સાલસતા ગુમાવી નથી એની પ્રતીતિ એ સતત કરાવ્યે રાખે છે… કવિતાના આસ્વાદના સ્થાને આજે આ આડવાત એટલા માટે કે….
પ્રેમીની જોડી તૂટે તો થાય શું બીજું
પક્ષીને ચાહવામાં પક્ષી મરી ગયું
નીકળ્યું હતું ઘરેથી આકાશ આંબવા
પથ્થરના એક ઘામાં પક્ષી મરી ગયું
– મેહુલ પટેલ ‘ઈશ’
તમસા નદીમાં સ્નાન કરતી વખતે વાલ્મિકીની નજર સામે કોઈકે એક સારસનો વધ કર્યો અને સારસબેલડીમાં બચી ગયેલ પાત્રે માથું પટકી પટકીને પ્રાણત્યાગ કર્યા એ જોઈને ઋષિમુખેથી એક શ્લોક સરી પડ્યો અને રામાયણની રચના થઈ… આવી જ કોઈ ક્ષણે ઘરમાં પાળેલ પક્ષી અકસ્માત મૃત્યુ પામતાં આજના કવિના હૈયેથી એક ગઝલ સરી આવી છે… માણીએ…
‘અહાહા’, ‘વાહ’, ‘દોબારા’, અને ‘ક્યા-બાત’ વાગે છે,
ગઝલને દાદ રૂપે ફેંકો એ ખેરાત વાગે છે.
ગતિથી અળગા થઈને સહેજ શું થંભી ગયા વચમાં,
હવે ઠોકરની જગ્યાએ આ યાતાયાત વાગે છે.
કશુંક આવીને મારામાં ધૂણે છે કંઈક સદીઓથી,
કે ભીતર ડાકલા ઝીણા દિવસ ને રાત વાગે છે.
નગારા, ઘંટ, મંજીરા, પૂજારી, શંખ ને ઈશ્વર,
સજીવન થઈ ઊઠે ઘડિયાળમાં જ્યાં સાત વાગે છે.
ઉપરથી આભ વરસે છે, ઉપરથી આપ વરસો છો
આ છાંટાથી વધારે તો તમારી વાત વાગે છે.
જરા જો શ્વાસમાં આવી ભળે તરણેતરી મેળો,
આ પાવા જોડમાં આખું પછી ગુજરાત વાગે છે.
ઘણી ખમ્મા આ મારા જખ્મકેરા શિલ્પકારોને,
તમારી ભાત વાગે છે, પ્રસંગોપાત વાગે છે.
– જુગલ દરજી
ગઝલનું સામાન્ય જનમાનસ સુધી પહોંચવું કદાચ મુશાયરાઓ વિના સંભવ જ નહોતું પણ એ જ મુશાયરાઓએ ગઝલને જે ક્ષતિ પહોંચાડી છે અને કવિતાના સ્તરના કથળવામાં જે દુસ્સહાય કરી છે એ આજે અસહ્ય બન્યું છે. અર્થ વિનાની દાદ ગઝલનું પોષણ નહીં, કવિતાનું શોષણ કરે છે. આવા મજાના મત્લાથી શરૂ થતી આખી ગઝલ જો કે એવી મજાની થઈ છે કે કવિના મત્લાને બાજુએ મૂકીને પણ અહાહા, વાહ, દોબારા, ક્યા બાત કહેવાનું મન થઈ જાય…
તેઓ ભીના છે એ ત્વચાને આવરવા
જે રોમાંચે છે, સળગી રહી છે,
ફૂટી રહી છે ઇચ્છાના પ્રસ્વેદોમાં-
મીઠા રસ કલ્પનાઓના.
પણ હકીકતમાં તો, હું હજી અડ્યોય નથી
તને. કમ સે કમ, હજી સુધી તો નહીં જ.
– સુદીપ સેન
(અનુ.: વિવેક મનહર ટેલર)
ઇચ્છા એટલે માચિસને અડ્યા વિના જ સળગી ઊઠતી દિવાસળી. અતૃપ્ત ઇચ્છાઓ આપણને જીવનભર કેદમાં રાખે છે. અધૂરી ઇચ્છાઓ માણસને અટકવા દેતી નથી. ઇચ્છાઓ અને અપેક્ષાઓ આપણા જીવનનું પ્રમુખ ચાલકબળ છે. અપેક્ષાના એવેરેસ્ટ પર પર્વતારોહણની મજા બેવડી-ત્રેવડી નહીં, અનેકગણી વધી જતી હોય છે. ઇચ્છા શરીર જેવા શરીરને ટપી જાય છે. ભારતીય અંગ્રેજી કવિ સુદીપ સેન શારીરિક પ્રેમના સંદર્ભમાં ઇચ્છા સાક્ષાત્ શરીરથીય વધુ પ્રાધાન્ય કેવી રીતે મેળવે છે એની વાત કરે છે.
કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે.
Desire
Under the soft translucent linen,
the ridges around your nipples
harden at the thought of my tongue.
You — lying inverted like the letter ‘c’ —
arch yourself deliberately
wanting the warm press of my lips,
it’s wet to coat the skin
that is bristling, burning,
breaking into sweats of desire —
sweet juices of imagination.
But in fact, I haven’t even touched
you. At least, not yet.
ક્રિયાપદને ‘હાઇલાઇટ’ કરીને કવિએ એમની પાસેથી જે રીતે કામ કઢાવ્યું છે એ કાબિલે-દાદ છે. પ્રિયપાત્ર આવશે-આવશેની વિફળ પ્રતીક્ષામાં રત આંખોને હવે થાક લાગ્યો છે ને અફસોસ પણ થાય છે એ વાતનો કે આવશે-આવશેની રાહ જોયે રાખી બેસી રહેવાના બદલે જરા તસ્દી લઈને જાતે જ એ દિશામાં ચાલી કાઢ્યું હોત તો કદાચ કોઈ પરિણામ હાથ આવત… જે અંતર કાપવાનું બાકી રહી ગયું એ ન કપાયેલા અંતરનો હવે પગને થાક લાગે છે. કેવો અદભુત મત્લા! સરવાળે સાદ્યંત સુંદર ગઝલ…
December 27, 2018 at 1:19 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
‘ચિત્રલેખા’ જેવું માતબર ગુજરાતી સામયિક ગુજરાતી કવિતાઓની સૌથી વિશાળ વેબસાઇટની વિગતવાર નોંધ લે ત્યારે હર્ષોલ્લાસની લાગણી તો જન્મે જ ને…! અને આ ગૌરવવંતી પળ આપ જેવા વાચકોના સ્નેહ વિના શક્ય જ નહોતી એટલે આ પળે ચિત્રલેખા, પત્રકાર ફયઝલ બકીલી તથા આપ સહુનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…
આજે ક્રિસમસના દિવસે આજેબાજુ આખું ન્યુયોર્ક ઝળહળ ચમકી રહ્યું છે. આ રંગો અને રોશની જોવાને દૂર દૂરથી લોકો અહીં ઉમટે છે. આ બધી ઝાક્ઝમાળની વચ્ચે અમારા જેવા બેવતન લોકોને પોતાનું શહેર યાદ આવે છે. સુરતમાં જન્મીને, સુરતમાં જ છેલ્લા શ્વાસ સુધી જીવવાના સદભાગી ભગવતીકુમાર શર્માનો સુરતના નામે આ લવ-લેટર છે. ભગવતીકુમાર સુરતને માશૂકાની જેમ કેવા લાડ લડાવે છે એ જુઓ. અમારા જેવા NRS (એટલે કે નોન-રેસિડન્ટ સુરતી) લોકો માટે તો આ નકરો નશો છે!
મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને, બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.
રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’ ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.
. મરીઝ
મરીઝની બહુ જાણીતી ગઝલ આજે યાદ આવી. આમ તો બધા જ શેર સરસ છે. પણ ગઝલ યાદ આવવાનું કારણ ‘હદથી વધી જઈશ તો …’ એ શેર છે. બિંદુને સુક્ષમતા સાથ અનંતતા પણ મળેલી છે. જે એ સૂક્ષમતા જો ગુમાવી દે તો અનંતતા પણ ગુમાવી દે. પોતાની સીમાની પરખ રાખવી બહુ મોટી વાત છે.
ક્ષણાર્ધ બેદરકાર અને મેં મારા બાળકના આંગળા બારસાખમાં કચડી નાંખ્યા. તેણીએ
શ્વાસ રોકી લીધો, આખેઆખી અમળાઈ ઊઠી, ભ્રૂણ-પેઠે
પીડાની બળબળતી હકીકત સામે. અને એક પળ માટે
મેં ઇચ્છ્યું કે હું વિખેરાઈ જાઉં સેંકડો હજાર ટુકડાઓ થઈ
મૃત ચળકતા તારાઓમાં. બચ્ચી આક્રંદી ઊઠી,
એ મને વળગી પડી, અને મને સમજાયું કે તે અને હું કઈ રીતે
પ્રકાશ-વર્ષો વેગળાં છીએ કોઈ પણ પારસ્પરિક સહાય કે આશ્વાસનથી. એના માટે મેં બી વેર્યાં’તા એની માના ગર્ભમાં; કોષ વિકસ્યા અને એક અસ્તિત્વ તરીકે આકારાયા:
કશું જ એને મારા હોવામાં પુનઃસ્થાપિત નહીં કરે, અથવા અમારામાં, કે એની માતામાં પણ જેણે
પોતાની અંદર
એને ધારી અને અવતારી, અને જે એના નાળવિચ્છેદ પર રડી હતી, મારી તમામ ઇર્ષ્યા ઉપરાંત,
કશું જ પુનઃસ્થાપિત નહીં કરી શકે. તેણી, હું, મા, બહેન, વસીએ છીએ વિખેરાઈને મૃત ચળકતાં તારાઓ વચ્ચે:
અમે છીએ ત્યાં અમારા સેંકડો હજાર ટુકડાઓમાં !
– ડેવિડ હૉલબ્રુક
અનુ. વિવેક મનહર ટેલર
પ્રેમ ગમે એટલો સાચો કેમ ન હોય, સંબંધ ભલે ને પાકા હોય પણ શું કોઈ કોઈની પીડામાં સહભાગી થઈ શકે ખરું? એક સ્નેહીજનની તકલીફ બીજો અનુભવી શકે? એક આપ્તજનના સંવેદનમાંથી સાચા અર્થમાં બીજો કદી પણ પસાર થઈ શકે? માનવસંબંધોની મર્યાદાઓ પર નગ્ન પ્રકાશ ફેંકતી ડેવિડ હૉલબ્રુક ની આ તેજાબી કવિતા પચાવવી જરા અઘરી છે…
કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે: http://tahuko.com/?p=17654
Fingers in the Door
Careless for an instant I closed my child’s fingers in the jamb. She
Held her breath, contorted the whole of her being, foetus-wise against the
Burning fact of the pain. And for a moment
I wished myself dispersed in a hundred thousand pieces
Among the dead bright stars. The child’s cry broke,
She clung to me, and it crowded in to me how she and I were
Light-years from any mutual help or comfort. For her I cast seed
Into her mother’s womb; cells grew and launched itself as a being:
Nothing restores her to my being, or ours, even to the mother who within her
Carried and quickened, bore, and sobbed at her separation, despite all my envy,
Nothing can restore. She, I, mother, sister, dwell dispersed among dead bright stars:
We are there in our hundred thousand pieces!
કવિતાને વિષયનો છોછ નથી. સાવ ક્ષુલ્લકથી લઈને અત્યંત મહત્ત્વપૂર્ણ વસ્તુઓ કવિ માટે વિષયવસ્તુ બની શકે છે. ગીતો તો આપણે હજારો વાંચ્યાં હશે પણ અહીં જે ગીત છે એ વિષય પર કદાચ ક્યારેય કોઈ કવિતા લખાઈ નહીં હોય એવું મારું માનવું છે… એક જ સ્થિતિમાં શરીરનું કોઈ અંગ પડી રહે અને જે-તે ભાગના ચેતાતંતુઓ લાંબા સમય સુધી એકધારા દબાણના કારણે હંગામી ધોરણે લકવાગ્રસ્ત થઈ જાય ત્યારે આપણને ‘ખાલી’ ચડી જતી હોય છે. જે ભાગમાં ખાલી ચડી હોય એને થોડીવાર આમતેમ હલાવીએ એટલે પૂર્વવત્ થઈ જવાય… આ ઘટના દરેકના જીવનમાં કેટલીયવાર બનતી હશે પણ ભાગ્યે જ કોઈ કવિતાને આવી અર્થહીન ઘટનામાં કવિતા નજરે ચડતી હોય છે.
જમણા હાથના અંગૂઠેથી થઈને ખાલી એવી ભરાઈ છે કે નાયિકાનું આખુંયે અસ્તિત્વ એની અસરમાં આવી ગયું છે. આંગળીઓ કામ ન કરી શકે એવી નોંધારી થઈ ગઈ છે, શાહીનો ખડિયો વાપરી ન શકાય એવી હાલત થઈ છે, કાગળ પર અક્ષરોની નાની-નાની જ્યોત ઝળહળતી હતી, એ જ્યોત ખાલીની ફૂંકે ઓલવાતી જાય છે. ને નાયિકા ખાલી ઉતરાવવા નીકળે છે. ખાલીના પ્રતાપે ખાલીપો અનુભવાય છે. નાયિકા ઠમ-ઠામ ભટકે છે ને લખવાના બાકી રહી ગયેલાં ગીતો રઝળી પડ્યાં છે. વૈદરાજને ખાલી ચડેલી હથેળીમાં હાથલો થોર નજરે ચડે છે… કેવું અદભુત રુપક! ખાલી ચડે ત્યારે સાચે જ હથેળીમાં એવા કાંટા ભોંકાતા હોય છે જાણે હાથ હાથલો થોર ન હોય! જોશી-ભૂવા બધા જ નિષ્ફળ જાય છે ત્યારે નાયિકાના મનનો માણીગર આવીને રક્તધાર કરે છે ને ખાલી દૂર થાય છે… આ શોણિતની ધાર પ્રેમની ધાર છે, સુહાગની ધાર પણ હોઈ શકે… પણ નાયિકાના જીવતરનો કાગળ રાતા રંગે છલકાઈ ઊઠે છે… શું કહીશું આ ગીતને? ખાલીનું ભરેલું ગીત?
December 20, 2018 at 12:25 AM by વિવેક · Filed under અછાંદસ, ભરત ઠક્કર
બપોરના ત્રણ વાગ્યા પછીનો સમય છે.
આજની બપોર અતિ શાંત છે.
પવન જંપી ગયો છે.
વાદળ બધાં સ્થિર છે.
એરોપ્લેનની પાતળી ધૂમ્રસેર
આકાશના શરીર પર કાપો પાડી રહી છે.
લોહીનો છાંટોય જોવા મળતો નથી.
બેકયાર્ડમાં તડકો છે.
સસલાં આરામ કરે છે.
ફળો ફૂલો ગરમીમાં તપ કરે છે.
ઘરમાં એર કન્ડિશનર ચાલુ છે.
મને ચેન પડતું નથી.
આજે સ્ટૉક માર્કેટ ડાઉન છે.
– ભરત ઠક્કર
તેર પંક્તિના નાનકડા કાવ્યમાં એક પંક્તિને બાદ કરતાં બધા જ વાક્ય પંક્તિના અંતે પૂરા થઈ જાય છે. ટૂંકા વાક્યો અને દરેક પંક્તિના અંતે આવતા પૂર્ણવિરામ ‘અતિ શાંત’ બપોરની શાંતિનો અહેસાસ કરાવે છે. આ એવી બપોર છે જ્યાં બધું જ આરામમાં છે અને કવિએ આ કાવ્યરીતિ સાયાસ પ્રયોજી હોય કે અનાયાસ, એ કવિતાના ભાવને દૃઢીભૂત કરવામાં ખાસ્સી ઉપકારક બને છે. એરોપ્લેનમાંથી પાછળ વછૂટતી પાતળી ધૂમ્રસેર જાણે કે છરી છે અને આકાશને બે ભાગમાં ચીરી રહી છે પણ બપોરે ત્રણની આસપાસનો સમય હોવાથી ક્યાંય લાલાશ નજરે ચડતી નથી. કવિ આસપાસ ઉપસ્થિત તમામ પ્રકૃતિત્ત્વના સ્થિતિભાવને જુએ છે. બહાર ગરમી છે પણ શાંતિ છે. અંદર વાતાનુકૂલન છે પણ બેચેની છે કેમકે સ્ટૉક માર્કેટમાં આજે કડાકો થયો છે…
પરોઢના તડકામાં અંધારાની સાથે માણસ પોતે પણ પીગળતો જાય છે. તડકો સંવેદનના એક પછી એક પડને પીગળાવીને છેક અંદરથી માણસને ‘જ્ગાડી’ દે એ અનુભૂતિને કવિએ અદભૂત રીતે રજૂ કરી છે.
દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયાં છે. આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય. ભીંજાવું અને દાઝવું એક જ છે.
સાગરના તળિયેથી જયારે હું બહાર આવું ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય. હું મરજીવો નથી હું કવિ છું. જે છે તે કેવળ મારી આંખોમાં.
-સિતાંશુ યશશ્ચંદ્ર
સર્જનપ્રક્રિયાનું વર્ણન અહીં કવિ સમુદ્રના રૂપકથી કરે છે.
ભાષાને સમુદ્ર કહી છે. દેવો અને દાનવોએ – એટલે કે જગતના સારા અને નસરા પરિબળોએ- વલોવીને સરળ કરી નાખી એ પહેલાની ભાષા સુધી કવિ પહોંચ્યા છે. ભાષા પહેલા શબ્દ હતો ને શબ્દ પહેલા સ્વર હતો. ને એનાથી ય પહેલા આદિ રવ હતો – એને પુરાણોમાં નાદ-બ્રહ્મ કહ્યો છે. આપણે ત્યાં વેદના સમયથી નાદ-બ્રહ્મ નો મહિમા છે. સાહિત્ય અને સંગીત બધું એમાંથી ઉતારી આવ્યું છે. ખરા કવિ થવું હોય તો એ નાદ-બ્રહ્મ સુધી પહોંચવું પડે.
વડવાનલ એ સર્જનપ્રક્રિયા સાથે વણાયેલી વેદનાનું પ્રતીક છે. ભીંજાવું (એટલે કે સર્જન કરવું) અને દાઝવું (એટલે કે વેદનામાંથી પસાર થવું) બન્ને અભિન્ન છે.
કવિ ભાષા-સાગરમાં ડૂબકી મારીને આવે તો શું લઈને આવે? એ ભૌતિક કિંમત ધરાવતું કાંઈ ના લાવે. એ તો માત્ર લાવે – આંખમાં નવી ચમક, નવા વિચારો, નવી રચનાઓ!
આ કવિતા મારા દિલની બહુ નજીક છે. વારંવાર હું આ કવિતા વાંચતો રહું છું. કવિએ જે વાત સર્જનપ્રક્રિયા મારે કરી છે એ જ વાત બીજા કોઈ પણ કામને લાગુ પડે છે. કોઈ પણ ચીજનો ખરો અભ્યાસ કરવો હોય તો એના મૂળ સુધી ઉતારવું જોઇએ. અને વેદનામાંથી- જેને આજની ભાષામાં લર્નિગ કર્વ કહે છે- પસાર થવાની તૈયારી રાખવી જ પડે. સાચો અભ્યાસ કર્યા પછી જે જ્ઞાન મળે છે તેને ઉંચકીને ફરવું પડતું નથી. એ તો આંખમાં સ્વતઃ ચમકતું રહે છે.
મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન) સંખ્યાબંધ લોકોની આંખ સામે ધોળે દહાડે ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે મરવાનું અંગત કાર્ય કરી ગયો એને આજે વરસો થયાં.
હવે સમય પાકી ગયો છે કે હું એને અંજલી આપું; એની કરુણભવ્ય ગાથા રચું; જેથી કેટલાક વધુ માણસો જાણે કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો. ભડનો દીકરો હતો એ, તડ ને ફડ હતો એ, મને એકંદરે ગમતો.
શરૂઆતરૂપે હું કહી શકું કે મથુરાદાસને ધરતીનો લગાવ હતો. એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો, મન મૂકીને ખડખડ હસતો, તક મળ્યે બહારગામ જઈ રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો, ઝનૂની ઘોડાઓ પલાણતો, અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ તારાઓની નિકટમાં સૂઈ જતો.
( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો. એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)
પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં. ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો’રે. દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા ખાઈને પડી રે’વું. કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ, ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા. બધે અજવાળું વિખેરાતું હતું, જાણે. – મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.
(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ. કદાચ તમારી ઓફિસનો બોસ સાવ સામાન્ય ગુમાસ્તામાંથી આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય. તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય. મથુરાદાસનું તો જાણે… સમજ્યા.)
જોકે મારે ઉમેરવું જોઈએ કે પાછલાં વરસોમાં મથુરાદાસ સામે અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું એના શરીરે. તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં. વગડાઉં કાગડાનો પગ તૂટી જાય, પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે, ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન, એવી કપરી સ્થિતિ એની થઈ હતી. પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો. આ મોત સાથેનો પ્રવાસ હતો, અને હંમેશા તેણે એ સહપ્રવાસીની ઠેકડી ઉડાવી.
(માળું આયે તમને નહિ જામે. કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે. ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)
તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ, હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી. વાતચીત કે વર્ણનોથી હું એક્કેય વાઙમયમંદિર ચણી શકતો નથી, કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી તારા સંદર્ભના નગ્ન ડિલ પર. એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી, ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.
– ઉદયન ઠક્કર
આ કાવ્ય કોઈને સમજાવવું પડે એવું નથી. કથા આ કાવ્યમાં સહજતાથી વહે છે. વચ્ચે કવિની ટિપ્પણી પણ એટલી જ સહજતાથી આવે છે. અને છેલ્લે ઉઘડે છે કવિતાનું હાર્દ. આધુનિક કથા-કાવ્યો આપણે ત્યાં ઓછા જ છે. ‘કથા-કાવ્ય’ને ખાલી ‘કથા’ થઇ જતા રોકાવું એ એક અઘરી કળા છે. અહીં એ કળા તમે બખૂબી નિહાળી શકો છો. ભીની થયેલી આંખને સહેજ લૂછી લેજો અને કવિતાની સચ્ચાઈને એક સલામ કરી લેજો .. આ કવિતા માટે એનાથી ઓછું કાંઈ ચાલશે નહિ, ને એનાથી વધારે આ કવિતાને કાંઈ ખપશે નહિ.
मुझे स्वीकार हैं वे हवाएँ भी
जो तुम्हें शीत देतीं
और मुझे जलाती हैं
किन्तु
इन हवाओं को यह पता नहीं है
मुझमें ज्वालामुखी है
तुममें शीत का हिमालय है
फूटा हूँ अनेक बार मैं,
पर तुम कभी नहीं पिघली हो,
अनेक अवसरों पर मेरी आकृतियाँ बदलीं
पर तुम्हारे माथे की शिकनें वैसी ही रहीं
तनी हुई.
तुम्हें ज़रूरत है उस हवा की
जो गर्म हो
और मुझे उसकी जो ठण्डी!
फिर भी मुझे स्वीकार है यह परिस्थिति
जो दुखाती है
फिर भी स्वागत है हर उस सीढ़ी का
जो मुझे नीचे, तुम्हें उपर ले जाती है
काश! इन हवाओं को यह सब पता होता।
तुम जो चारों ओर
बर्फ़ की ऊँचाइयाँ खड़ी किए बैठी हो
(लीन… समाधिस्थ)
भ्रम में हो।
अहम् है मुझमें भी
चारों ओर मैं भी दीवारें उठा सकता हूँ
लेकिन क्यों?
मुझे मालूम है
दीवारों को
मेरी आँच जा छुएगी कभी
और बर्फ़ पिघलेगी
पिघलेगी!
मैंने देखा है
(तुमने भी अनुभव किया होगा)
मैदानों में बहते हुए उन शान्त निर्झरों को
जो कभी बर्फ़ के बड़े-बड़े पर्वत थे
लेकिन जिन्हें सूरज की गर्मी समतल पर ले आई.
देखो ना!
मुझमें ही डूबा था सूर्य कभी,
सूर्योदय मुझमें ही होना है,
मेरी किरणों से भी बर्फ़ को पिघलना है,
इसी लिए कहता हूँ-
अकुलाती छाती से सट जाओ,
क्योंकि हमें मिलना है।
– दुष्यंत कुमार
અછાંદસના બાદશાહ દુષ્યંતકુમારની રચના મૂકવાની લાલચ રોકી ન શક્યો – શીર્ષકમાં કવિ સ્પષ્ટ કરી દે છે કવિતાનો ભાવાર્થ, પણ સુંદરતા કાવ્યતત્વની છે. અંતિમ પંક્તિમાં જે નિર્ધાર છે તે સમગ્ર કાવ્યને એક relevance પૂરું પાડે છે અને આખા કાવ્યમાં જે એક હઠ નો, એક ગર્વનો, એક અધિકારનો સૂર છે તેની હેઠળ જે અમાપ સ્નેહ છુપાયેલો છે તેને છતો કરે છે. કનૈયાલાલ મુનશીની મંજરી યાદ આવી જાય એવી નાયિકા છે અને નાયક પરશુરામના અવતાર સમો છે….. એકત્વ પામવું નક્કી છે- બાકીનું બધું જોયું જશે……
હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે
હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.
હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં
તેં મારા માટે વધારે કર્યું છે.
તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.
– અનામી [અંગ્રેજી]
– અનુવાદ: જગદીશ જોષી
કવિશ્રીના જ શબ્દોમાં – ” મને તો આ કૃતિ નખશિખ ગમે છે કારણ કે એમાં સચ્ચાઈનો રણકો છે. સાદગીની શોભા છે અને વહાલની વેધકતા છે. એક જ વાક્યમાં કહીએ તો એ મૈત્રીનું ઉપનિષદ છે. ”
વધુ કશું બોલવું જરૂરી નથી – હા, માત્ર અલ્પ ફેરફાર કરીએ તો આ જ વાત પ્રેમ અને લગ્ન [સાચા અર્થમાં લગ્ન – બે હૈયાનું આધ્યાત્મિક અને દૈહિક ઐક્ય]ને પણ સચોટ લાગુ પડે છે……
જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું !
પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત.
રોજ એક નવા કેદીને હાથ-પગ બાંધીને
મારા પર સુવડાવવામાં આવે છે.
એ ખૂબ તરફડે છે પણ મોઢામાંથી એક હરફ બોલતો નથી,
થોડીવારમાં મરી જાય છે.
છેક બીજા દિવસે સિપાહીઓ એને ઊપાડી જાય છે.
હું ઠંડીગાર, સ્થિતપ્રજ્ઞ પડી રહું છું.
એણે એકરાર ન કરેલા ગુનાઓ મારામાં સમાઈ જાય છે.
હું એવી જ અકથ્ય, વધારે ને વધારે જિદ્દી બનતી જઉં છું.
મારામાંથી પણ એક ટીપું યે બરફ
પાણી બનીને વહેતો નથી.
જેલના લોખંડી સળિયાઓ પાછળ
કડક ચોકી-પહેરા વચ્ચે હું પડી છું.
જેલર એનો પગ મારા પર ટેકવીને, થાકેલો ઊભો છે.
એના બુટની અણીદાર ખીલીઓ મને ઉઝરડા પાડે છે.
એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે.
મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે…
– મનીષા જોષી
અછાંદસ રચનાઓમાં એક સાંપ્રત-બળકટ પ્રતિભા એ મનીષા જોશી.
તેઓની મોટાભાગની રચનાઓની જેમ આ રચનાને પણ એક થી વધુ રીતે મૂલવી શકાય…..કાળની થાપટો ખાઈખાઈને સંવેદનહીન બની ચૂકેલો માંહ્યલો હોઈ શકે બરફની પાટ…..એક સામાજિક ચેતનાનું મૂર્ત સ્વરૂપ હોઈ શકે બરફની પાટ…..એક ચિત્ત, કે જેના પાર અસંખ્ય સંસ્કારો અમીટ છાપ છોડી જતા હોય છે તેવું ચિત્ત હોઈ શકે બરફની પાટ……જેવી જેની પ્રજ્ઞા…..
લાંબા લાં…બા અછાંદસ કાવ્યોમાં પોતાના અસ્તિત્વનો ખાલીપો રેડ્યે જનાર કવિઓ માટે આ અછાંદસ કાવ્ય લાલ બત્તી ધરે છે. અહીં, એક પણ શબ્દ, સૉરી, એક અક્ષર પણ વધારાનો નથી. સાવ પાંચ જ પંક્તિઓ અને ૧૨ જ શબ્દોમાં કવિએ અદભુત કામ કર્યું છે…
કવિતા કોને કહે છે ? થોડા ચબરાકીભર્યા શબ્દોની કોઈક નિયમાનુસાર ગોઠવણી ? પતંજલિએ કહ્યું હતું, एक: शब्दः सम्यगधीतः सम्यक प्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति | એરિસ્ટોટલે કહ્યું હતું, The object of poetry, as of all the fine arts, is to produce an emotional delight, a pure and elevated pleasure. આ લઘુકાવ્ય આ બંને શરતો પર ખરું ઉતરતું જણાય છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગથી કવિએ અહીં આખું શબ્દચિત્ર તાદૃશ કરી આપ્યું છે… દિવસના અજવાળામાં આકાશ ધરતીથી ઉપર અને અલગ નજરે ચડે છે પણ અંધારું ઉપર-નીચે, દૂર-નજીક બધાંયને એક જ રંગે રંગી નાંખે છે. અંધારામાં બધું ઓગળી જાય છે એટલે આકાશ પણ જાણે ધરતીનો જ એક હિસ્સો બની ગયું છે… પ્રભાતે પંખીઓ સહુથી પહેલાં ઊઠીને અજવાળાંની સાથોસાથ જાણે આકાશને અધ્ધર ઊંચકી ન લેતાં હોય !
પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.
એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.
સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.
સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.
-રમેશ પારેખ
અછાંદસ કવિતા કેવી હોવી જોઈએ એ સવાલનો જવાબ આ કવિતા તંતોતંત આપી શકે એમ મને લાગે છે… ર.પા.નું આ અછાંદસ કાવ્ય તો ખરી કવિતાની વિભાવના સમજવામાં પણ ખાસ્સી મદદ કરે એવું છે.
કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. ધક્કેલ્યુંમાં આવતો બેવડો ‘ક’કાર નાવને સમુદ્રમાં આગળ ધકેલવાની ક્રિયાને વધુ વેગવંતી બનાવી કાવ્યને વધુ દૃશ્યક્ષમ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત કરે છે. કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે સમુદ્ર પડકાર સમો ઊભો છે અને હોડીમાંના વધારે પડતા વજન સામે ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. નાયક એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં એ હલેસાં હોમે છે, પછી પોતાના પગ, પછી હાથ અને છેલ્લે આખેઆખું ધડ હોમી દે છે.
આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. ત્રણવાર પુનરાવર્તિત થતા એક જ વાક્યમાં ખડખડ શબ્દનું સ્થાન બદલીને કવિ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે.
ધડના હોમવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે અને આખી સૃષ્ટિ આવી ઊભે છે. હવાઓનું ચિરાઈ જવું, આકાશના રંગોનું ભર ભર ખરી પડવું અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થવાં આ ઘટનાઓ કવિ શબ્દમાં આલેખે છે પણ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સામે મૂર્ત થાય છે, સાકાર થાય છે. આ કવિના શબ્દની સાચી તાકાત છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખુલે છે.
અંતે નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરીને ચુપ થઈ જાય છે. આગળ વધવાની ઈચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. વહાણમાં પડી રહેલા બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. અને એ માથામાં થતી વીજળીઓને કાળી સંબોધીને કવિ વહાણવટા પાછળના આંધળૂકિયા સાહસ સુધી અર્થવલયોનું વિસ્તરણ કરે છે.
અહીં મનુષ્યને તમે ખતમ કરી શકો પણ એને તમે પરાસ્ત નહીં કરી શકો એવી વિભાવના ઉજાગર થાય છે….
જલાશય આવે એટલે વળાવવા આવનારે
પાછા વળી જવું,
તમે પગ ઉપાડ્યો
અને આંખો તો મારી છલકી ઊઠી !
જલાશય આવી ગયું.
હું હવે પાછો વળું.
-પ્રિયકાન્ત મણિયાર
પ્રસ્તુત કવિતા સાચા અર્થમાં અછાંદસ કવિતા કોને કહેવાય એ સમજવા માટેના ઉત્તમ ઉદાહરણોમાંની એક ગણી શકાય. શબ્દોની યોગ્ય કરકસર, ભાવની સઘનતા અને એક-બે લસરકામાં જ આખું ચિત્ર દોરી આપવું- આ બધું જ આ કવિતામાં ઉપસ્થિત છે.
છ જ પંક્તિની લઘુત્તમ કવિતામાં એકેય અક્ષર કે એકેય ચિહ્ન પણ અનાયાસ વપરાયા નથી. ગામડામાં રિવાજ છે કે મહેમાન પાછો વળતો હોય ત્યારે એને વળાવવા જવું અને ગામના પાદરે જ્યાં જલાશય આવે ત્યાંથી વળાવનારે પાછા ફરવું. અહીં પાછા વળી જવું વાક્ય પછી કવિએ પૂર્ણવિરામ વાપરવાને બદલે અલ્પવિરામ વાપર્યું છે. આ અલ્પવિરામ નવોઢા પગના અંગૂઠા વડે ઘૂળમાં જે કુંડાળા કરે એવા સંકોચનો શબ્દાકાર છે જાણે. પછીની પંક્તિમાં પગ ઉપાડ્યાના બદલે ઉપાડ્યો શબ્દ પણ એટલો જ સૂચક છે. હજી તો જનારે ચાલવાની શરૂઆત પણ નથી કરી. ચાલવા માટે બંને પગ ઉપાડવા પડે, જ્યારે અહીં તો હજી એક જ પગ ઉપાડ્યો છે એટલે હજી તો જવાની વાત જ થઈ છે અને એટલામાં જ કવિની આંખો છલકાઈ આવી છે. અને આંખોના છલકાયાની ઘટનાના અંતે કવિએ ફરીથી પૂર્ણવિરામનો પ્રયોગ ટાળીને ઉદ્દગાર ચિહ્ન મૂક્યું છે, જાણે આંખોમાંથી ટપકતા આંસુના ટીપાનો આકાર ન હોય જાણે ! આ આંખોનું છલકાવું એ જ જાણે જલાશય… જલાશય આવી ગયું. આખી કવિતામાં પ્રથમવાર કવિએ અહીં પૂર્ણવિરામ મૂક્યું છે, જાણે કે જલાશયનો ગોળ આકાર બનાવ્યો. હવે અહીંથી તો પાછા વળી જવાનું. જનારે હજી તો માંડ પગ ઉપાડ્યો છે. એ હજી નથી ગયો કે નથી જવાની શરૂઆત કરી અને હવે મારે પાછા વળવાનું. ક્યાં? કોનામાં? કઈ રીતે? હું તો હજી ઉભો પણ થયો નથી. કોઈકને વળાવવા માટે મેં હજી તો ઘરના બારણા બહાર પણ પગ મૂક્યો નથી. તો પછી? આ ન મૂકાયેલા પ્રશ્નાર્થચિહ્નો જ તો છે કવિતા.
લયસ્તરોની વર્ષગાંઠ પર દર વર્ષે વાચકોને કંઈક નવીન આપવાની અમારી નેમ રહેતી હોય છે. આ રહ્યો વીતેલા વર્ષોનો હિસાબ… જે તે પ્રકાર પર ક્લિક કરીને આપ જે તે પ્રકારની રચનાઓનો પુનઃઆસ્વાદ પણ લઈ શકશો..
વિશ્વામિત્ર સાહિત્યદર્પણના પ્રથમ પરિચ્છેદમાં જ લખે છે: ‘वाक्यं रसात्मकं काव्यम्’ (જેમાં રસ પડે એ વાક્ય કવિતા છે) છંદના બંધન ફગાવવાની મથામણ દરેક અભિવ્યક્તિની અનિવાર્યતા છે. એટલે જ દરેક ભાષામાં છાંદસ અને અછાંદસ કાવ્યપ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે.
અછાંદસ કવિતા સૌથી સરળ ભાસતી પણ વાસ્તવમાં સૌથી કઠિન કાવ્યપ્રકાર છે. કમનસીબે ગુજરાતી ભાષામાં બહુ ઓછા કવિઓ સાચા અર્થમાં ઉત્તમ અછાંદસ કવિતા આપવામાં સફળ રહ્યા છો. મોટાભાગના કવિઓ ચાટુક્તિસભર અને ચોટસભર ગદ્યલખાણને જ અછાંદસ કવિતા ગણીને ચાલે છે અને ગુજરાતી વાચકોને પણ આ પ્રથા માફક આવી ગઈ હોઈ એમ લાગે છે, કેમકે ક્યાંય કોઈ વિરોધ છે જ નહીં. હશે, આપણે તો અહીં મજા કરવા માટે ભેગાં થયાં છીએ એટલે ઉત્તમ કે શ્રેષ્ઠ નહીં, પણ માણવાની મજા પડે એવા અછાંદસ કાવ્યોનો રસથાળ અત્રે પીરસવું શરૂ કરીએ છીએ…
આપના પ્રતિભાવ જ અમારું ખરું ચાલકબળ છે, એટલે પ્રતિભાવ આપવામાં કચાશ કે કંજૂસાઈ ન કરશો…
ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરોએ ૦૪-૧૨-૦૨૦૧૮ના રોજ ચૌદ વર્ષનું સીમાચિહ્ન સર કર્યું. ૧૪ વર્ષ, ૯૫૦થી વધુ કવિઓ અને ૪૩૦૦થી વધુ પૉસ્ટ્સ…
ચૌદ વર્ષે તો રામનો વનવાસ પણ ખતમ થઈ ગયો હતો… પણ લયસ્તરો પર ચાલતો આ કવન-વાસ કદી પૂરો ન થાય એમ અમે ઇચ્છીએ છીએ…
કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..
હું રાત્રે જાગ્યો અને મારી ભાષા ચાલી ગઈ હતી
નહીં ભાષાનું કોઈ નિશાન ન લખાણ ન કક્કો
ન ચિહ્ન ન શબ્દ કોઈ જબાનમાં
અને પ્રાકૃત હતો મારો ભય – એ આતંક સમો જે કદાચ
જમીનથી ખૂબ ઊંચા ઝાડની ટોચેથી ફેંકાયેલ માણસ અનુભવે
ભરતીએ ગળી લીધેલા રેતકાંઠા પર ભગ્ન જહાજી વ્યક્તિ અનુભવે
જેનું પેરાશૂટ ખૂલે જ નહીં એ વિમાનચાલક અનુભવે
અથવા ડર જે તળહીન ખાડામાં એક પથરો અનુભવે
અને ભય અઘોષ અનક્ષરિત અનુચ્ચરિત હતો
અને અસ્ફુટ રે કેટલો અસ્ફુટ હતો
અને હું એકલો જ હતો અંધારામાં
એક બિન-હું સર્વવ્યાપી ઉદાસીમાં
ન કોઈ પકડ ન કશું અઢેલવાને
સર્વસ્વ ઉતરડી લેવાયેલું સર્વસ્વથી
અને ધ્વનિ હતો વાચાહીન અને અવાજહીન
અને હું શૂન્ય અને કંઈ જ નહોતો
લટકવા માટે વધસ્તંભ વિનાનો
લટકવા માટે એકેય ખૂંટી વિનાનો
અને હવે હું જાણતો જ નહોતો કે હું કોણ કે શું હતો
અને હું હતો જ નહીં
– આહારોન આમીર (હિબ્રૂ)
(અંગ્રેજી પરથી અનુવાદ વિવેક મનહર ટેલર)
ભાષા વગર, વિચાર વગર, અભિવ્યક્તિ વગર તમે શું કરો? કહો તો… ધારો કે એક રાત્રે અચાનક તમારી ઊંઘ ઊડી જાય છે અને તમને અહેસાસ થાય છે કે તમારી પાસે નથી કોઈ વાચા કે નથી કોઈ વિચાર. અક્ષરો, શબ્દો, વાક્યો – બધું જ બાષ્પીભવન થઈ ગયું છે. ભાષાના અભાવે તમે કંઈ વિચારવા માટે પણ સક્ષમ નથી. શૂન્યતાના આવા આકરા બ્લેકહૉલમાં જે ઘડી અંતહીન પડવાનું આવે એ ઘડીએ તમે આવી ઊભા છો. હવે તમે શું કરશો? શૂન્યતાની ચરમસીમાની આવી જ ક્ષણો લઈને આજની ગ્લૉબલ કવિતામાં ઈઝરાઈલી હિબ્રૂ કવિ આહરોન આમીર ઉપસ્થિત થયા છે.
I woke up at night and my language was gone
No sign of language no writing no alphabet
nor symbol nor word in any tongue
and raw was my fear-like the terror perhaps
of a man flung from a treetop far above the ground
a shipwrecked person on a tide-engulfed sandbank
a pilot whose parachute would not open
or the fear of a stone in a bottomless pit
and the fright was unvoiced unlettered unuttered
and inarticulate O how inarticulate
and I was alone in the dark
a non-I in the all-pervading gloom
with no grasp no leaning point
everything stripped of everything
and the sound was speechless and voiceless
and I was naught and nothing
without even a gibbet to hang onto
without a single peg to hang onto
and I no longer knew who or what I was
and I was no more
– Aharon Amir
(translated from the Hebrew by Abraham Birman)
એક ભડકો થઈ સ્મૃતિ અંધારમાં ઊડી ગઈ
આંખ સામેથી હજી એ દ્રશ્ય આઘું ના સરે
એક કાગળ વાયકાની વાવ શો ઊંડો હતો
લોક કહેતાં : જે જતું એમાં તે પાછું ના ફરે !
– મનોજ ખંડેરિયા
ચોથા શેરની ચમત્કૃતિ જુઓ !!! સ્મૃતિ ઊડી ગઈ પણ એ ઘટનાની સ્મૃતિ રહી ગઈ ! વિચારશૂન્ય થવાના પ્રયત્નોમાં વિચારશૂન્યતાના વિચાર તો રહી જ ગયા……! ત્રીજો શેર પણ લાજવાબ છે.
એકદમ ટૂંકી બહેર… લગાગાના બે જ આવર્તન… દસ જ માત્રાનો એક મિસરો. હરિ-ફરી જેવા બે અક્ષરના કાફિયા અને અને એમાંય ‘રી’ તો લઘુત્તમ સામાન્ય અવયવ. દસ માત્રાની પંક્તિમાં નવ માત્રાની રદીફ એટલે કવિ પાસે કવિકર્મ કરવા માટે ફક્ત એક જ માત્રા બચે છે. મત્લામાં તો વધુ તકલીફ છે. મત્લામાં તો બંને પંક્તિઓમાં એક જ લઘુ અક્ષરની મદદથી પંક્તિનો અર્થ પણ જન્માવવાનો અને બે પંક્તિ જોડીને આખો શેર પણ નીપજાવવાનો. મત્લા સિવાય પણ આખી ગઝલમાં બીજા મિસરામાં કેવળ એક જ અક્ષર જેટલો અવકાશ કવિ પાસે છે. એક શબ્દ નહીં, પણ માત્ર એક અક્ષરની જ હેરફેર કરીને શેર જન્માવવાનો. કેવું કપરું કામ! સોયના કાણાંમાંથી આખેઆખું ઊંટ પસાર કરાવી દેવાની પરીક્ષા અને એમાં કવયિત્રી સોમાંથી સો ગુણ મેળવી ઉત્તીર્ણ થયાં છે. લગભગ બધા જ શેર આસ્વાદ્ય અને અર્થસભર થયા છે…
November 22, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ
કઈ રીતે જગ થાય રોશન, શું ખબર?
ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ
દેહ તો કંતાનથી ઢાંકી શકો
આયનો બોલ્યો કે અતલસ જોઈએ
એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ
ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ
એકરસ થઈને ગઝલ લખતો રહ્યો
એ ખબર નહોતી કે નવરસ જોઈએ
– રઈશ મનીઆર
કવિતાની ખરી કમાલ એ છે કે કવિ મરજીવો બનીને મહાસાગરના અતળ ઊંડાણ તાગીને અમૂલ્ય મોતી વીણી લાવીને કાંઠે ઊભેલા ભાવકના હાથમાં મૂકે છે અને દરિયામાં પગ ભીનો કર્યા વિના જ ભાવક મોતીનો લ્હાવો માણી શકે છે. જો કે આજકાલ જે પ્રકારની ગઝલો અને ગીતોનો ફાલ ફાટી નીકળ્યો છે, એમાં ખાલી છીપ વધારે છે અને મોતી તો ભાગ્યે જ જડે છે. રઈશભાઈની ગઝલો જો કે પ્રારંભથી જ મોતીનું તેજ ધરાવતી ગઝલો છે. જરાય અઘરી ભાષા વાપર્યા વિના સાવ સહજ રીતે બોલચાલની ભાષામાં જ એ અદભુત ગઝલો આપણને આપતા આવ્યા છે. આ ગઝલ જુઓ… એકેય શેર સમજાવવાની જરૂર નથી પણ એકેય શેર સમજ્યા વિના પડતો મૂકાય એવોય નથી…
એલેક્ઝાન્ડ્રિયાનો મહેલ
એક મીઠા છાંયડાથી ઢંકાયેલો છે.
– પુશ્કિન
(તેણીએ) ક્યારના ચૂમી લીધા છે એન્ટનીના મૃત હોઠો,
અને ઑગસ્ટસ સામે ઘૂંટણિયે પડીને ક્યારના આંસુ વહાવી દીધાં છે…
અને સેવકોએ દગો દીધો છે. વિજયી રણશિંગાઓ ગાજી રહ્યાં છે
રોમન ગરુડના ઓથા તળે, અને સાંજના ઓળા ઊતરી રહ્યાં છે.
અને પ્રવેશે છે એના સૌંદર્યનો આખરી ગુલામ,
ઊંચો અને ઉદાત્ત, અને એ મૂંઝાતા-મૂંઝાતા કાનાફૂસી કરે છે:
“તમને –ગુલામ તરીકે- તેની આગળ વિજયની ખુમારીમાં લઈ જશે…”
પણ હંસની ડોકનો ઝુકાવ હજીય અકંપ છે.
અને કાલે બાળકોને મારી નંખાશે. ઓહ, કેટલું ઓછું બચ્યું છે
પૃથ્વી પર કરવા માટે – આ માણસ સાથે હંસીમજાક કરો,
અને, જાણે કે વિદાયનો કરુણાસભર ઈશારો ન હોય,
એમ એક કાળા સાપને મૂકી દો શામળા સ્તન પર બેપરવા હાથ વડે.
– આન્ના આખ્માતોવા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
કવિતા એટલે કવિની આત્મકથા. ખરું ને? સ્થૂળ સ્વરૂપે નહીં તો સૂક્ષ્મ સ્વરૂપે પણ સર્જક જે કંઈ લખે છે, એ એની ઇન્દ્રિયોના ચશ્માંમાંથી જોયેલી, જાણેલી, અનુભવેલી દુનિયા જ છે. સ્ટાલિન જેવા સરમુખત્યારની દાદાગીરી અને એક પછી એક સ્વજનોના એના હાથે મૃત્યુની વચ્ચે પણ વતન છોડી ભાગી જવાના બદલે છાતી તાણીને કલમ ચાલુ રાખવાની જે મર્દાનગી રશિયન રજતયુગના સામ્રાજ્ઞી કવયિત્રી આન્ના આખ્માતોવાએ બતાવી હતી એ અભૂતપૂર્વ છે.. આજની ગ્લૉબલ કવિતામાં આન્ના ક્લિઓપેટ્રા જેવા મહાન ઐતિહાસિક પાત્રના સ્વાંગમાં પોતાની આત્મકથા – પોતાનું સ્વાન-સૉંગ કેવી બખૂબી આલેખે છે તે જોઈએ….
Cleopatra
I am air and fire.
Shakespeare
Alexandria’s palace
Has been covered by a sweet shade.
Puškin
[She] has already kissed Antony’s dead lips,
And on [her] knees before Augustus has already poured out [her] tears…
And the servants have betrayed [her]. Victorious trumpets are blaring
Under the Roman eagle, and the mist of evening is drifting.
And enters the last captive of her beauty,
Tall and stately, and he whispers in confusion:
“[He] will send you – like a slave… before him in the triumph…”
But the inclination of [her] swan-like neck is still serene.
And tomorrow they will put [her] children in chains. Oh, how little remains
[For her] to do on earth – to joke with a man,
And, as if in a farewell gesture of compassion,
Place a black [small] snake on [her] swarthy breast with an indifferent hand.)
– Anna Akhmatova
(Eng. Translation: Judith Hemschemeyer)