નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.
મહેક ટંકારવી

અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે – મનોજ ખંડેરિયા

અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે
ત્યાં તરત અફવા ઊડી કે હાથથી કંકુ ખરે

અર્થની આ આંબલીમાં ભૂતનો વાસો હશે
રોજ મધરાતે દીવાઓ પાંદડા પર તરવરે

ઝંખનાના બંધ ખાલી સાવ જૂના ઓરડે-
કોણ હરતુંફરતું ? ઝીણી ઝાંઝરી રણક્યા કરે !

એક ભડકો થઈ સ્મૃતિ અંધારમાં ઊડી ગઈ
આંખ સામેથી હજી એ દ્રશ્ય આઘું ના સરે

એક કાગળ વાયકાની વાવ શો ઊંડો હતો
લોક કહેતાં : જે જતું એમાં તે પાછું ના ફરે !

– મનોજ ખંડેરિયા

ચોથા શેરની ચમત્કૃતિ જુઓ !!! સ્મૃતિ ઊડી ગઈ પણ એ ઘટનાની સ્મૃતિ રહી ગઈ ! વિચારશૂન્ય થવાના પ્રયત્નોમાં વિચારશૂન્યતાના વિચાર તો રહી જ ગયા……! ત્રીજો શેર પણ લાજવાબ છે.

4 Comments »

  1. Jay said,

    November 27, 2018 @ 6:09 AM

    મનોજભઈ છે ખંડેરિયા, પણ શ્બ્દોના જે મહેલ રચે છે તેની સરખામણીમાં કોઈ ના ઉતરે!

  2. વિવેક said,

    November 27, 2018 @ 7:14 AM

    ત્રીજા અને ચોથાની જ વાત શા માટે કરવી? મને તો પાંચેય શેર લાજવાબ લાગ્યા…

  3. SARYU PARIKH said,

    November 27, 2018 @ 9:11 AM

    અર્થની આ આંબલીમાં ભૂતનો વાસો હશે
    રોજ મધરાતે દીવાઓ પાંદડા પર તરવરે..સરસ રચના,
    સરયૂ

  4. PALASH SHAH said,

    April 14, 2020 @ 5:56 AM

    જાદુગર ની જેમ મનોજભાઈએ શબ્દો નો મહેલ વાવ માં ગાયબ કારીનાખ્યો …
    સુંદર રચના …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment