નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
મનોજ ખંડેરિયા

જેગવી દીધાં તન – ઊજમશી પરમાર

કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન,
જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.

સાંજ પડે ને વાયરે કોનાં પગલાં ભીનાં વાય?
દોડવું મારે નહીં ને અલી દોડું દોડું થાય;
ભીંતમાં ગરું તોય તે યાંથી આવશે રે સાજન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.

ટોડલાં મૂઆં ટહુકે મારે શરમાવાનું રયું,
નેવાં ઊઠી ડોકિયાં કરે, રોજનું આ તો થ્યું;
હીંચવા માંડે ઘર ભરીને ગાણાનું ગવન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.

કોક જો આવે હાથનું ભરત મેલી ઊભી થઉં;
ફળિયું મારી મોર્ય લળીને જોવે પછી, હઉં;
‘ઇ’ હશે તો દોટ મેલીને પરખી લ્યે પવન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.

– ઊજમશી પરમાર

દુનિયાની કોઈપણ ભાષાનું સાહિત્ય જે તે સમયના સમાજનો આયનો હોય છે. તળપદી ભાષાની આવી કવિતા સાંપ્રત સમયની બોલીને સમયની કિતાબના કોઈ એક પાનામાં ઈતિહાસ બનીને જાળવી રાખે છે. જો કે આજે તો હવે આવી ગામઠી બાનીને સર્વાંગ સાચવી શકે એવા કવિઓ અને કવિતાઓ જ લુપ્ત થવાના આરે છે…

આ વર્ષે જ કવિ દુનિયાને અલવિદા કરી ગયા. પ્રસ્તુત રચના એમની સિગ્નેચર પોએમ બની રહી હતી. મિત્રો એમની પાસે આ કવિતા વારંવાર ગવડાવતા.

1 Comment »

  1. Lalit Trivedi said,

    September 28, 2018 @ 3:32 AM

    બહુ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment