ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.​​
– અનિલ ચાવડા

ઉદાસીને શી ખબર – શ્યામ સાધુ

ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર,
હું પાનખરના નામથી પણ થરથર્યા કરું.

આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા,
પીંછાના જેવો હું જ ફક્ત ફરફર્યા કરું.

બહુ બહુ તો એક પળને લીલીછમ બનાવશે,
હું ક્યાં સુધી પતંગિયાને કરગર્યા કરું?

બોલો હે અંધકાર ! અજંપાની રાતના,
કોને સ્મરણ હું સૂર્ય બની તરવર્યા કરું ?

મારા વિષાદનાં ગુલાબો મ્હેકતા રહો,
હું તો આ બારમાસી ફૂલે ઝરમર્યા કરું.

– શ્યામ સાધુ

Leave a Comment