ખંડખંડે જુદા જીવન જોઈ;
ઘર ગયું છે મકાન છોડીને.
ગૌરાંગ ઠાકર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
September 20, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પીયૂષ ચાવડા
તું મને ભૂલી ગઈ એ રંજ છે,
આપણો બસ આટલો સંબંધ છે!?
વાત મીરાંની બધા કરતા રહ્યા,
એક રાણાની પીડા અકબંધ છે.
ક્યાં જીવાતું સાવ હળવાફૂલ થઈ?
શ્વાસ પર પીડાનો મોટો ગંજ છે.
ધાબળા તારા કશા ના કામના,
ભીતરેથી લાગતી આ ઠંડ છે.
કેટલા આઘાત તું આપીશ મને?
યાર.. આ પથ્થર નથી કૈં, પંડ છે.
– પીયૂષ ચાવડા
મીરાંની પીડાનું ગાન સકિઓ અનવરત કરતા આવ્યા છે… પણ રાણાના પૉઇન્ટ ઑફ વ્યૂથી આખી ઘટનાને જોઈએ તો? રાણાને કોઈ તકલીફ જ નહીં થઈ હોય? શા માટે એ મીરાંબાઈને ઝેરનો પ્યાલો આપવા તૈયાર થયો હશે? વિચારવા જેવું કે નહીં?
લયસ્તરોના આંગણે કવિ પીયૂષ ચાવડા તથા એમના ગઝલ સંગ્રહ ‘હાથ સળગે છે’ – બંનેનું સહૃદય સ્વાગત છે…
Permalink
September 19, 2018 at 3:26 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
જે ક્ષિતિજો પર વિખેરાયા હશે
એ વિરહના ધુમ્મસી ચહેરા હશે
લાગણી ક્યારેય પૂરી થાય નહી
એને માટે જે હતી, ઈચ્છા હશે
બારણું નહીં ખોલું તો કોઈ હશે
બારણું ખોલીશ તો ભણકારા હશે
આગની આવી તો હિંમત હોય નહી
જે મને બાળી ગયા, તણખા હશે
કેમ એ આવ્યા નહીં કોને ખબર?
એમને પણ કોઈ મર્યાદા હશે
-જવાહર બક્ષી
ત્રીજો શેર જુઓ !!!
Permalink
September 18, 2018 at 9:03 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
સામાંય ધસી જઇએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇએ.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.
– રાજેન્દ્ર શુકલ
બીજો શેર શિરમોર લાગ્યો….બંધન અનુભવીશું તો જ મુક્તિની કિંમત સમજાશે. ‘ health, wealth and sleep are best appreciated when interrupted ‘
Permalink
September 15, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિલિયમ બ્લેક, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
જ્યારે મારી મમ્મી ગુજરી ગઈ હું તો હતો બહુ નાનો,
અને મને પપ્પાએ વેચી કાઢ્યો, જ્યારે જીભ હજુ તો
માંડ માંડ પોકારી શક્તી હતી: ’વીપ! ’વીપ! ’વીપ! ’વીપ!
સાફ કરું છું એથી ચીમની, ને લઉં છું હું મેંશમાં નીંદ.
નાનો ટોમ ડેક્રી, ખૂબ રડ્યો હતો જ્યારે એનું માથું
ઘેંટાની પીઠ જેવું વાંકડિયું, મૂંડાયું’તું: મેં કહ્યું’તું,
“ચુપ, ટોમ! દિલ પર ન લે તું, ટકોમૂંડો ભલેને થઈ ગ્યો,
મેંશ હવે નહીં બગાડી શકશે, તારા ધોળા વાળનો જથ્થો.
અને પછી એ શાંત થઈ ગ્યો; અને બરાબર એ જ રાત્રે,
ટોમ સૂઈ રહ્યો’તો જ્યારે, એણે એવું દૃશ્ય જોયું કે –
એક નહીં પણ હજારો મહેતર, ડિક, જૉ, નેડ અને જેક,
બધા જ થઈ ગયા’તા કાળી કોફિનોની અંદર કેદ.
એવામાં એક દેવદૂત આવ્યો સાથે લઈ તેજસ્વી ચાવી,
સૌ કોફિન ઊઘાડી એણે, દરેક જણને મુક્તિ આપી;
દોડ્યાં સૌએ, નીચે લીલાં મેદાનોમાં, હસતાં-કૂદતાં,
નાહ્યાં સૌ નદીમાં ભરપૂર, અને થયા તડકામાં ચમકતાં.
પછી તો નાગાંપૂગાં ધોળાં, સૌ થેલીઓ છોડી પાછળ,
પવનમાં મસ્તીએ સૌ ચડ્યાં, ચડીને ઊંચે ઊંચે વાદળ;
પછી કહ્યું દેવદૂતે ટોમને, જો એ સારો બાળક બનશે,
પામશે પિતાના સ્થાને ઈશ્વર, અને કદી આનંદ ન ખૂટશે.
અને આમ જાગી ગ્યો ટોમ ને અમેય ઊઠ્યા અંધારામાં,
અને ઊઠાવી થેલીઓ ને બ્રશ અમે સૌ કામે ઊપડ્યાં.
ટોમ હતો ખુશ ને હૂંફાળો, હતી ભલેને સવાર ઠંડી,
જો સૌ સૌની ફરજ બજાવે, હાનિનો ડર બિનજરૂરી.
– વિલિયમ બ્લેક
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
દુનિયાનું સૌથી ક્રૂર પ્રાણી કયું? વાઘ? સિંહ? મગરમચ્છ?
દુનિયામાં સૌથી મોટો રાક્ષસ કયો? ભૂખ? ભય? ભ્રષ્ટાચાર?
ના.
દુનિયામાં સૌથી ક્રૂર પ્રાણી મનુષ્ય. સૌથી મોટો રાક્ષસ પણ મનુષ્ય. મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે જે કોઈપણ જાતની છંછેડ વિના, બિલકુલ જરૂર ન હોય તો પણ હુમલો અને હત્યા બંને કરી શકે છે, અને નિતાંત કરી શકે છે. વયનો ફાયદો મળે કે પદનો, જૂથનો ફાયદો મળે કે ધર્મનો, સ્થળનો ફાયદો મળે કે સમયનો; માણસ પોતાનાથી નીચેનાનું શોષણ કરવાની તક ભાગ્યે જ જતી કરી શકે છે. શોષણની પરાકાષ્ઠા એટલે ફૂલ જેવા કોમળ બાળકો પર મોટાઓ વડે કરાતો અત્યાચાર. વિલિયમ બ્લેકની આ સુપ્રસિદ્ધ ચિમનીસ્વીપર રચનાના સવિસ્તર આસ્વાદ માટે ફેસબુક પર પધારવાની જહેમત લેવા વિનંતી…
Permalink
September 14, 2018 at 1:46 AM by વિવેક · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ભડભડ બળતું શહેર હવે તો
ખુલ્લું પડતું શહેર હવે તો
સૂરજ થઈને સિગ્નલ ઊગ્યાં
એને નમતું શહેર હવે તો
દરિયો ક્યાં છે, આભ ગયું ક્યાં?
ભૂલું પડતું, શહેર હવે તો
ખાંસી ખાતી લોકલ એમાં
ધક્કે ચડતું શહેર હવે તો
ભીંત રચી સહુ ચાલે ભેગા
ટોળે વળતું શહેર હવે તો
લાશ ઊઠાવી ખુદની ખાંધે
રોજ નીકળતું શહેર હવે તો
– કૈલાસ પંડિત
દરિયો અને લોકલની વાત પરથી સમજી શકાય છે કે કૈલાસ પંડિત મુંબઈની વાત કરે છે પણ આજની તારીખે આ ગઝલ બધા જ શહેરની આત્મકથા નથી?
Permalink
September 13, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
મોસમ આ માતબર છે,
ખુશ્બૂની બસ ખબર છે,
ફૂલોય ડાક-ઘર છે!
જો કે નુપૂર બગર છે,
તાદારે દિન તનન-શી
કોની ચપળ નજર છે?
ઉત્મત્ત શું ઉ’મર છે,
પુષ્પોને, પાંદડાંને,
પૂછું છું કોનું ઘર છે?
ખામોશીનો પ્રહર છે,
દરિયાઈ વાયરાની
પાંખી અવરજવર છે.
દ્રુત તાલની અસર છે,
વાજિંત્ર હો કે માણ્સ,
બંનેના તંગ સ્વર છે!
અંદર બધું ઈતર છે,
નિષ્ઠા, ઈમાન, ગૌરવ,
એ તો ઉપર ઉપર છે!
આગળ વિકટ સફર છે,
ચશ્માં ને લાકડી પર
ખરતું જતું નગર છે.
– હેમેન શાહ
મજાની અર્થસભર ત્રિપદ ગઝલ. રમતિયાળ લય. ચુસ્ત કાફિયા અને બધા જ શેર અર્થગંભીર થયા છે.
Permalink
September 12, 2018 at 1:14 PM by તીર્થેશ · Filed under અમિના સૈદ, હરીશ મીનાશ્રુ
કવિતામાં
શબ્દો પૂર્વે હું હંમેશાં
સાંભળું છું નિઃશબ્દતાને, પીઉં છું
એના અસલ સ્રોતમાંથી
પછી બધું થાય છે શબ્દાયમાન
પૂરી થાય છે શોધ શબ્દની
હું કહું છું : કવિતામાં
શબ્દો પૂર્વે હું હંમેશાં સાંભળું છું નિઃશબ્દતાને
ને તું ઉત્તર વાળે છે : જો હશે કોઈ ઈશ્વરનું અસ્તિત્વ
તો એ ત્યાં જ હશે
હું શોધી કાઢું છું એ ચોક્કસ ઢોળાવ
જ્યાં તેજ અને છાયાનો
થાય છે આરંભ અને અંત
અને ધબકે છે નિઃશબ્દતા
લવણોદર સમુદ્રની જેમ
હળવે હળવે આકાશથી
ટેવાતી જતી પંખીની પાંખની પેઠે કંપે છે
પવન, પૃથ્વી ને પ્રાણની જેમ ધબકે છે
ને હા, જો હશે કોઈ ઈશ્વરનું અસ્તિત્વ
તો એ ત્યાં જ હશે.
– અમિના સૈદ
[ મૂળ ફ્રેન્ચ કાવ્ય – અનુવાદ – અમિના સૈદ અને હરીશ મીનાશ્રુ ]
[ સૌજન્ય – ડો. નેહલ – inmymindinmyheart.com ]
કાવ્યના જન્મ વિષે આ થી અદભૂત વાત બીજી કોઈ વાંચી નથી……
Permalink
September 12, 2018 at 2:19 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુ:ખ :-
ઇસ્ત્રી સાથે પણ
અસહકાર કરે.
જે પહેરે તે અદલોઅદલ શોભી ઊઠે
યરવડાના કેદી સમો;
ઉતારનારને મળી જાય
આઝાદી.
હતું મારી પાસે પણ એક—
ન બાંય, ન બટન
સાલું સાવ સેવાગ્રામી!
એક વાર ધોબીમાં આપેલું, તે બદલાઈ ગયું.
ટાઢે પાણીએ ખસ ગઈ.
બદલીમાં મળ્યો કોઈ ઝભ્ભો.
ખોલ્યો ડરી ડરીને
પારકા પ્રેમપત્રની જેમ.
ઘૂંટણ સુધી પહોંચતું રેશમ, મુલાયમ,
બદામી દોરાનું બારીક ભરતકામ,
બંગાલી ગળું, બટનપટ્ટી ઝૂલે…
ધોબી, તેં તો જિંદગી બદલી નાખી
રામની અને આ રમતારામની.
ઝભ્ભો હતો બાકી ઝાકઝમાળ!
ધબ્બો મારીને પડોશી બોલ્યા,
‘હવે તું માણસમાં આવ્યો ખરો!’
બીજાં બધાં તો ઠીક,
પાનવાળાએ પણ ઉધારી ચાલુ કરી આપી.
પછી તો ધીરે ધીરે આદત પડી ગઈ
મોંઘાદાટ રેશમી ઝભ્ભા પહેરવાની.
રેશમ જોઈએ તો માંહ્યલાને મારવો પડે.
એકસાથે બન્ને તો ક્યાંથી મળે—
સેંથી અને ટાલ
કબરની શાંતિ અને સૂર્યપ્રકાશ
રેશમ અને પતંગિયું.
ફળિયે પીંજારો બેઠો હોય
હવામાં ઊડતા જતા હોય રૂના પોલ
એવો હળવો હતો હું;
પુરાઈ ગયો એકાએક, કોશેટામાં.
કાલ રાતે મને સપનું આવ્યું.
સપનામાં બુઢ્ઢો જાદુગર શેરીએ શેરીએ સાદ પાડતો જાય,
‘એ . . . ઈ, જરીપુરાણા ચિરાગ આપો . . .
બદલામાં નવાનક્કોર લો . . .’
. . . ક્યાં હશે એ અસલનો ચિરાગ?
હજીયે નજર ફરી વળે છે, ધોવાઈને આવેલાં કપડાંમાં—
ક્યાંક પેલું જૂનું પહેરણ…
પણ ના, એનો એ મોંઘો પડેલો રેશમી ઝભ્ભો
ચડી બેસે છે મારા પર, વેતાળની જેમ.
– ઉદયન ઠક્કર
કવિના લાક્ષણિક અંદાઝમાં કરુણાસભર વ્યંગ……
Permalink
September 8, 2018 at 2:32 AM by વિવેક · Filed under ભગવતીકુમાર શર્મા, સોનેટ
(પૃથ્વી)
મને જ હતી જાણ ક્યાં મુજ પતાળ શા અંતરે
અગાધ, તટહીન કો’ જલધિ જેટલો પ્રેમ છે
નિતાન્ત ખડકાયલો, ગુપત જાહ્નવીના રૂપે
હતી ફકત તું જ તું સુભગ મધ્યબિંદુ સમી?!
સુદીર્ઘ સહજીવને સરજી દીધી’તી શુષ્કતા;
બધું નીરસ લાગતું સઘન સંનિધિ કારણે;
યથાસ્થિતિ હતી બહુ, ખૂટતી લાગતી હૂંફ યે;
હતી સફર ચાલતી અલગ રેલ-પાટા સમી.
કરાલ કર ત્રાટક્યો મરણનો અરે! તું પરે
અને બધુંય મૂળથી હચમચી ઊઠ્યું સામટું;
ગયું પડ ચિરાઈ ને ધસમસી રહી જાહ્નવી
અદમ્ય હૃદયોર્મિથી સકળ આર્દ્ર ને પ્રાંજલ!
પ્રણામ શત મૃત્યુ હે! ઋણસ્વીકાર તારો કરું;
મને પ્રબળ પ્રેમની પ્રતીતિ પ્રાપ્ત તારા થકી!
– ભગવતીકુમાર શર્મા
દીર્ઘદામ્પત્યજીવનના અંતે પત્ની જ્યારે જીવનસફરમાં અધવચ્ચે એકલા મૂકીને ચાલ્યા ગયા ત્યારે કવિએ દામ્પત્યજીવનની ખટમીઠી યાદો, મૃત્યુ અને મૃત્યુએ સર્જેલા શૂન્યાવકાશ વિશે સૉનેટ લખવા આદર્યા અને એક આખો સરસ મજાનો સૉનેટસંગ્રહ આપણને આપ્યો. આ સૉનેટ પણ એમાનું જ એક છે.
સાથે રહેતાં હોઈએ ત્યારે હૈયામાં બીજા પાત્ર માટે કેટલો પ્રેમ છે એનો ખ્યાલ જ આવતો નથી. ગંગા જે રીતે ગુપ્ત હતી એમ જ એ પ્રેમ આપણાથી ગુપ્ત રહે છે. લાંબા સહવાસના કારણે બધું શુષ્ક અને નીરસ લાગવા માંડે છે અને પરસ્પર માટેની હૂંફમાં પણ ઓટ આવી અનુભવાય છે. સાથે તોય અલગ એવી રેલવેના પાટાની જેમ સફર ચાલ્યા કરતી હોય એવામાં મૃત્યુનો ઘાતકી હાથ ત્રાટકે અને જોડી ખંડિત થાય એ ઘડીએ જ પેલી ગુપ્ત રહેલી ગંગા પૂરજોશથી પ્રગટ થાય છે અને પ્રિયજન માટે ભીતર અગાધ, તટહીન સાગર જેવો પ્રેમ હતો એ વાતનો અહેસાસ થાય છે. પોતાને આવો અહેસાસ કરાવવા માટે કવિ મૃત્યુને પ્રણામ કરે છે અને એનો ઋણસ્વીકાર કરે છે… સૉનેટને એક નવી જ ઊંચાઈ પ્રાપ્ત થાય છે.
Permalink
September 7, 2018 at 1:30 AM by વિવેક · Filed under ગીત, ભગવતીકુમાર શર્મા
હરિ, સુપણે મત આવો!
મોઢામોઢ મળો તો મળવું,
મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું,
આ બદરાથીતે બદરા તક
ચાતકનો ચકરાવો…
પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?
મોહક હોય ભલે, ફોગટ છે ચીતરેલો મધુમાસ.
મુંને બ્રજ કી બાટ બતાવો…
હરિ, સુપણે મત આવો!…
સુપણામાં સો ભવનું સુખ ને સમ્મુખની એક ક્ષણ,
નવલખ તારા ભલે ગગનમાં, ચન્દ્રનું એક કિરણ.
કાં આવો, કાં તેડાવો!
હરિ, સુપણે મત આવો!…
– ભગવતીકુમાર શર્મા
ભગવતીકુમાર શર્માની કલમ ગદ્યથી લઈને પદ્ય સુધીના સાહિત્યના લગભગ તમામ પ્રકારોમાં એકસમાન ચાલી છે. પ્રસ્તુત હરિગીતમાં હરિને સપનાંમાં આવવાની ના કહીને જે રીતે એ સાક્ષાત્ ઈશ્વરને ભીડાવે છે એની મજા છે…
Permalink
September 6, 2018 at 9:23 AM by તીર્થેશ · Filed under ગીત, ભગવતીકુમાર શર્મા
હરિ તમે પારિજાતનું ઝાડ……
રહું છાંયડે ઊભો ને હું ઝીલું તમારા લાડ….હરિ.
શ્રાવણમાં આકાશ ઝરેને તમેય ટપટપ વરસો;
સુગંધભીની બાથભરી મુંને ચાંપો છાતી સરસો.
તમે ઊજળું હસો, મુંને તો વ્હાલપનો વળગાડ……હરિ.
ઓરસિયા પર બની સુખડ હું ઘસું કેસરી દાંડી;
ચંદન તિલક કરું તમને: મેં હોડ હોંશથી માંડી.
તમે મ્હેક થઈ કર્યો ટકોરો; ઊઘડ્યાં હૃદય-કમાડ.
હરિ તમે પારિજાતનું ઝાડ………..
-ભગવતીકુમાર શર્મા
અત્યારે કવિ કનૈયાને શણગારતા હશે……..સાક્ષાત….
Permalink
September 6, 2018 at 1:56 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
કિનારો હોય કે મઝધાર : મારે શો ફરક પડશે?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
સ્મરણ એકેય રહેવા નહિ દઉં હું ઘરની ભીંતો પર;
છબીઓ સર્વ ફોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
મને ઘોડેસવારીનો અનુભવ તો નથી કિન્તુ,
સખત ચાબુક સબોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
કથા પૂરી થવા આવી તો તેના અંતની સાથે,
તમારું નામ જોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
નદીકાંઠો, સ્વજનની હાજરી, સૂર્યાસ્તની વેળા,
ચિતામાં યાદ ખોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
– ભગવતીકુમાર શર્મા
લાંબા સમયથી નાદુરસ્ત તબિયતના શિકાર શ્રી ભગવતીકુમાર શર્માનો ક્ષરદેહ ગઈકાલે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો… એમની પ્રસ્તુત ગઝલના ત્રણ શેર લયસ્તરો સહિત ઇન્ટરનેટ પર સતત ફરતા જોવા મળી રહ્યા છે પણ આખી ગઝલ આજે અહીં પહેલીવાર રજૂ કરીએ છીએ…
કવિએ જાણે પોતાની વિદાય માટે જ લખી હોય એવી આ ગઝલ વાંચતાં આંખ ભીની થયાં વિના નહીં રહે…
Permalink
September 5, 2018 at 2:30 AM by તીર્થેશ · Filed under ગીત, ભગવતીકુમાર શર્મા
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા
સુરતના ગૌરવ સમાન કવિ હવે અનહદની યાત્રાએ નીકળી ગયા…..અજાણી દુનિયામાં શબ્દ-અજવાસ ફેલાવવા નીકળી ગયા….વરસાદ તો વરસતો જ રહેશે પણ હવે એક ચાતક ઘટી ગયું……
Permalink
September 5, 2018 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે સવારમાં.
જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઇએ રે ઘર,
એવું તે શું કે આખું જીવન જાય દ્વારમાં..!
શ્રધ્ધા તો ઠીક કોઇ અશ્રધ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.
ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.
કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં.
– જવાહર બક્ષી
Permalink
September 4, 2018 at 7:58 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેશ રેડ્ડી
यहाँ हर शख़्स हर पल हादसा होने से डरता है
खिलौना है जो मिट्टी का फ़ना होने से डरता है
मिरे दिल के किसी कोने में इक मासूम सा बच्चा
बड़ों की देख कर दुनिया बड़ा होने से डरता है
न बस में ज़िंदगी उस के न क़ाबू मौत पर उस का
मगर इंसान फिर भी कब ख़ुदा होने से डरता है
अजब ये ज़िंदगी की क़ैद है दुनिया का हर इंसाँ
रिहाई माँगता है और रिहा होने से डरता है
– राजेश रेड्डी
આમ તો આખી ગઝલ સરસ છે પણ મક્તાને લીધે આખી ગઝલની ઊંચાઈ બદલાઈ જાય છે…..
Permalink
September 2, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શૈલેષ પંડ્યા 'ભીનાશ'
હીંચકો છુટ્ટો મૂકીને ઝૂલવું છે,
આપણે હાથે કરીને ભૂલવું છે.
એ ખરું ખોટું કરી જીવી રહ્યા ને
આપણે સાંધા કરી સંતુલવું છે.
નાળ નાભિ સ્હેજમાં ખેંચાય વ્હાલા,
પોતને એકાંતમાં સંકેલવું છે.
ફૂંક ઊછીની લઈ ફુગ્ગો ભર્યો છે,
ફૂલવા દે, એમને બસ ફૂલવું છે.
સાંભળ્યું ઝાકળ બધું ઊડી ગયું છે,
બેસ ને, ‘ભીનાશ’ રણને ખૂલવું છે
– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
સરળ ભાષામાં મજા પડી જાય એવી વાત કરતી ગઝલ. લગભગ બધા જ શેર વાંચતાવેંત સ્પર્શી જાય એવા…
Permalink
September 1, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિલિયમ અર્નેસ્ટ હેન્લી, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
મને આવરે છે જે આ છેડાથી લઈ પેલા છેડા લગ
ફેલાયેલા ખાડા જેવા અંધારેથી કાળી રાતના,
આભારી છું હું તેઓનો જે કોઈ પણ હશે દેવગણ,
બહાર આણવા મને ને દેવા માટે આવો અજેય આત્મા.
ભલે ફસાયો હોઉં સંજોગોની કાતિલ નાગચૂડમાં
નથી કરી મેં પીછેહઠ કે નથી કર્યું મેં જરા આક્રંદ.
દૈવયોગનો ગદામાર વેઠી વેઠી મારું માથું આ
રક્તરંજિત ભલે થયું હો, ઉન્નત એ રહ્યું છે કાયમ.
ક્રોધ અને આંસુઓથી ભર્યા-ભર્યા આ સ્થળથી દૂર
કાંઈ નહીં, લળુંબે છે બસ, કેવળ ઓછાયાનો ભય,
અને છતાંયે આવનારા એ વર્ષોનો કેર તુમુલ,
મને શોધશે અને પામશે હરહંમેશ મને નિર્ભય.
નથી અર્થ કો એનો કે છે સાંકડો કેટલો દરવાજો,
કે છે ખાતાવહીયે ત્યાંની કેવી સજાઓથી ભરેલ,
હા હા, હું છું એકમાત્ર જ સ્વામી મારા ભાગ્ય તણો,
હા હા, આ મારા આત્માનો હું જ સુકાની, હું ટંડેલ.
– વિલિયમ અર્નેસ્ટ હેન્લી
(અનુ. વિવેક મનહર ટેલર)
શું એક કવિતા, એક પ્રવચન, એક પુસ્તક સીધાસાદા માણસની આખેઆખી જિંદગી બદલી નાંખી શકે ખરી? શું એક કવિતા માનવને મહામાનવ અને નાયકને મહાનાયક બનવાનું પ્રેરક્બળ પૂરું પાડી શકે ખરી? શું કલમમાં સાચે જ આવી તાકાત હોઈ શકે? ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકની મહાત્મા ગાંધીના જીવન પર થયેલી અસર વિશે તો આપણે જાણીએ જ છીએ… આજે ઇંગ્લિશ કવિ વિલિયમ અર્નેસ્ટ હેન્લી ની કલમે એક સાવ નાની અમથી કવિતાએ નેલ્સન મન્ડેલાના જીવનમાં શો ભાગ ભજવ્યો એ જોઈએ…
પ્રસ્તુત રચનાની વિશદ છણાવટ આપ મારી ફેસબુક વૉલ ઉપર આવીને માણી શકો છો….
Invictus
Out of the night that covers me,
Black as the Pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.
In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.
Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds and shall find me unafraid.
It matters not how strait the gate,
How charged with punishments the scroll,
I am the master of my fate,
I am the captain of my soul.
– William Ernest Henley
Permalink
August 31, 2018 at 4:07 AM by તીર્થેશ · Filed under બઝ્મ-એ-ઉર્દૂ, શેર
गरूरे-खुल्द जाहिद तर्के-दुनिया के भरोसे पर
संभल ऐ बेखबर क्यों खानुमा बर्बाद होता है
[ શાયર કોણ છે તેની જાણકારી નથી ]
હે ધર્મઉપદેશક ! સંસાર ત્યાગવાની વાતથી તારો ઘમંડ જરૂર વધી જશે ! રે મૂઢ…..સંભલી જા હજુ ! શા માટે નાહક બરબાદી નોતરે છે !!!?? [ ભાવાનુવાદ ]
એક જ શેરમાં એટલી મહત્વની વાત છે કે એક પુસ્તક લખાય…. જે. કૃષ્ણમૂર્તિ સતત આ જ વાત કહેતા – ” તમે એક બંધનમાંથી બીજા બંધનમાં માત્ર શિફ્ટ થાવ છો -સત્યની ઢૂંકડા તો લગીરે નથી જતા , તો આ સંસાર ત્યાગ એ અહંના પોષણ સિવાય બીજા શું કામનો છે ? ”
આત્મશોધ એ કોઈ એટલી આસાન વાત નથી કે સંસાર ત્યાગવાથી તે ચરિતાર્થ થાય ! આદિ શંકરાચાર્યએ કહ્યું હતું કે કરોડોમાંથી એકાદને બ્રહ્મજિજ્ઞાસા હોય,અને એવા કરોડો જિજ્ઞાસુમાંથી એકાદ મઁઝીલ પામે…..સંસાર ત્યાગવા જેવી ક્ષુલ્લક વાતથી શું વળે ? બંધનોથી ભાગવાનું નથી, બંધનોના સાચા સ્વરૂપને સમજીને તેઓને અર્થહીન કરી દેવાના છે…..
Permalink
August 30, 2018 at 2:01 AM by વિવેક · Filed under ગઝલ, નેહા પુરોહિત
તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?
છે યમુના ઘાટ, વિષધર, આપણે સૌ ત્રસ્ત, પણ-
કૃષ્ણ અહીં રમવા કરે એવી દડી શોધી શકે?
કેડ તેડાયા હતા, જે કેડ પર ઝૂડો હતો;
કેડથી ભાંગેલ મા ક્યારે નડી, શોધી શકે?
ઊડવું તો સહેલ છે, પાંખો નથી તો શું થયું?
તું અગર તારી ભીતર મનપાવડી શોધી શકે!
સૂર્ય છે તો શું થયું? તારો ય પડછાયો હશે;
તારી છાંયા કઈ જગાએ જઈ પડી શોધી શકે?
– નેહા પુરોહિત
કવયિત્રી પડકાર ફેંકે છે. શું તમે શોધી શકશો? કરો કોશિશ… મજાની ગઝલ. પાંચેય શેર આસ્વાદ્ય. માવાળા શેરમાં પણ કેડનો ત્રિવિધ ઉલ્લેખ અવગણનાની જે ધાર કાઢે છે એ સરાહનીય છે…
જો કે ક્યારેક ઉતાવળે રચનામાંથી પસાર થઈએ તો લોચા પણ મારી દેવાય.. એ લોચાને બદલ્યા વિના ભૂલસ્વીકાર સાથે અહીં રજૂ કરું છું.
મત્લો મેં તને ના સ્થાને મને મૂકીને વાંચી લીધો:
તું મને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?
અને એ પ્રમાણે અર્થઘટન પણ કરી નાંખ્યું:
પ્રેમ એ સાર્વત્રિક અનુભૂતિ છે પણ શું આપણે આપણી જાતમાંથી બહાર આવી શકીએ છીએ ખરા? શું આપણે સામા પાત્રને સાચા અર્થમાં શોધી શકીએ છીએ ખરા? કવયિત્રીનો પડકાર આખા જીવન માટે પણ નથી. શું માત્ર એક ઘડી એવી શોધી શકાય જેમાં આપણે હું નહીં, તુંને શોધી શક્યા હોઈએ? અને જો આ ઘડી શોધી કાઢીએ તો એમાં આપણું મન સાચા અર્થમાં પરોવી શકાય એવી કોઈ કડી આપણને જડે છે ખરી?
ખરો શેર આ મુજબ છે…
તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?
આખી જિંદગી આપણી ‘સ્વ’માં ‘સ્વ-અર્થ’માં વીતી જાય છે પણ આ અવ અને સ્વ-અર્થ એ અરીસામાં નજરે ચડતી વ્યક્તિ છે. આપણે આપણી ભીતર ઊતરવાની કદી કોશિશ કરીએ છીએ ખરા? હજારો માણસો સાથે વાતો કરવાનું જેટલું સહેલું છે એટલું જ કપરું છે ભીતરની જાતરા કરવું. કવયિત્રી આપણને ચેલેન્જ આપે છે. શું આપણે આપણી પોતાની જાતને શોધી શક્યા હોઈ એવી વધુ નહીં, માત્ર એક ઘડી પણ શોધી શકવા સમર્થ ખરા? અને આ એક જ ઘડીમાં વળી મન પણ પરોવી શકીએ એ પાત્રતા કેળવાયેલી છે ખરી?
જોયું? એક જ અક્ષર બદલાઈ જાય તો આખું અર્થઘટન કેવી રીતે બદલાઈ જઈ શકે છે?!
Permalink
August 28, 2018 at 4:21 AM by તીર્થેશ · Filed under ગીત, સંજુ વાળા
મારામાંથી છટકીને તું
મને પરાયો ગણે !
ઓળખ નામે ચિહ્ન હતું ત્યાં મૂક્યું મોટું મીંડું
તે દિવસથી પડવા લાગ્યું મારાપણામાં છીંડું
હું અહીંથી ત્યાં આવું પણ
તું પણે નો પણે… મને પરાયો ગણે !
બની બ્હાવરા ચપટી આંખે તાક્યું આખ્ખું આભ
પગપાનીથી પાંપણ પર્યન્ત આભ પછીથી ડાભ
ઝાંય ઝાંય જન્મોની ડાળો
કોરીકટ રણઝણે… મને પરાયો ગણે !
છળ તરંગો છળની ઘટના છળવત માણી મજા
છળમય થઈને છળથી અળગા રહેવાની આ સજા
છળપણાનો જીવ પછીથી
ફૂટતો ક્ષણે… ક્ષણે… મને પરાયો ગણે !
-સંજુ વાળા
એકથી વધુ રીતે કાવ્યાર્થ કરી શકાય – કો’ક પ્રિયજનની પણ વાત હોઈ શકે….. આત્મશોધનના યાત્રીને આમાં અનહદનો સૂર સાંભળી ચૂકેલો અંતરાત્મા દીસે કે જે હવે ચર્મદેહમાં વસવા તૈયાર નથી…..સત્યની શોધમાં નીકળેલા મુસાફરને ગેબી ઈશારો સતાવતો હોય એવું પણ ભાસે….જેવી જેની પ્રજ્ઞા……
Permalink
August 25, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, થોમસ હાર્ડી, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
“ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર
પ્રિયતમ, શું આપ છો? – વાવો છો શું?”
—“ના રે; ગઈકાલે પ્રભુતામાં દીધાં એણે કદમ
એની સાથે જેણે શ્રીમંતાઈમાં લીધો જનમ.
‘વાત એ,’ એણે કહ્યું, ‘નહીં દે હવે એને કો’ ગમ
કે રહ્યો કે ન રહ્યો સંનિષ્ઠ હું’.“
“તો પછી છે કોણ જે ખોદે છે મારી કબ્ર પર?
છે નિકટનાં સૌથી વહાલાં એ સ્વજન?”
— “આહ, ના; તેઓ તો બેઠા છે, વિચારે છે, ‘શો અર્થ?
ફૂલછોડો રોપવાથી શું હવે કંઈ પડશે ફર્ક?
કાળજીમાં એના ટીંબાની ભલેને થાવ ગર્ક,
જાળથી રૂહ મુક્ત ના કરશે મરણ’.”
“પણ કોઈ ખોદી રહ્યું છે સાચે મારી કબ્ર પર?
કોણ કરતું ઘોંચપરોણો? —શત્રુ કો’?”
— “ના; જ્યાં જાણ્યું તેણીએ: ઓળંગી ગ્યાં છો આપ દ્વાર,
જે બધા પર વહેલુંમોડું બંધ થાયે છે ધરાર,
તેને લાગ્યું આપ ઘૃણાના રહ્યાં ના હક્કદાર
ને નથી પરવા ક્યાં સૂતાં આપ છો?”
“તો પછી છે કોણ જે ખોદે છે મારી કબ્ર પર?
બોલો—અટકળ હું કરી શકતી નથી!”
— “ઓહ એ તો હું જ છું, મારી વહાલી માલકિન,
કૂતરો નાનો તમારો, જે હજી રહે છે નજીક,
ને અહીં મારી આ હલચલ, હા, મને તો છે યકીન
આપના આરામને ના ડહોળતી.”
“આહ, હા! તો તું છે જે ખોદે છે મારી કબ્ર પર…
શાને આ સૂઝ્યું નહીં પહેલાં મને
કે બચ્યું છે કંઈ નહીં તો એક સાચું દિલ હજી!
શું કદી પણ જડશે માનવજાતમાં એ લાગણી
આપણે જેને ગણી શકીએ એના સમકક્ષની
જે વફાદારી છે હાંસિલ શ્વાનને!”
“માલકિન, મેં ખોદ્યું એ ધારી તમારી કબ્ર પર
કે હું ભીતર દાટી રાખું હાડકું,
કામ લાગે એ મને ક્યારેક થાઉં હું ભૂખો,
દુલકી ભરતો રોજની જો પાસમાં હું હોઉં તો.
માફી ચાહું છું પરંતુ સાવ હું ભૂલી ગયો,
કે આ તો વિશ્રામસ્થળ છે આપનું.”
– થોમસ હાર્ડી
(અનુ. વિવેક મનહર ટેલર)
આપણા મોટાભાગના સંબંધ રાજા વિક્રમના ખભા પર લટકતી વેતાળની લાશ જેવા હોય છે… ઘડી-ઘડી ખભેથી છટકી જાય છે ને ઘડી-ઘડી આપણે સમાધાનના હાથથી ખેંચી-તૂસીને એને ફરી ખભે બેસાડીને આગળ ચાલવાની કોશિશમાં જિંદગી વ્યતીત કરીએ છીએ. પછી, આવા સંબંધો પાસે મરણ પછી શું સ્મરણની અપેક્ષા રાખી શકાય? મહાન નવલકથાકાર અને મહાન કવિ થોમસ હાર્ડી પ્રસ્તુત રચનામાં દુન્યવી સંબંધોની વાસ્તવિક્તાના ચહેરા પર રમૂજના મખમલમાં વીંટાળીને કટાક્ષનું જૂતું ફટકારે છે…
કવિતાના સવિસ્તાર આસ્વાદ માટે ફેસબુક પેજ પર સ્વાગત છે…
Ah, are you digging on my grave?
“Ah, are you digging on my grave
My loved one?—planting rue?”
—“No; yesterday he went to wed
One of the brightest wealth has bred.
‘It cannot hurt her now,’ he said,
‘That I should not be true’.”
“Then who is digging on my grave?
My nearest dearest kin?”
—“Ah, no; they sit and think, ‘What use!
What good will planting flowers produce?
No tendance of her mound can loose
Her spirit from Death’s gin’.”
“But someone digs upon my grave?
My enemy?—prodding sly?”
—“Nay; when she heard you had passed the Gate
That shuts on all flesh soon or late,
She thought you no more worth her hate,
And cares not where you lie.”
“Then, who is digging on my grave?
Say—since I have not guessed!”
—“O it is I, my mistress dear,
Your little dog, who still lives near,
And much I hope my movements here
Have not disturbed your rest?”
“Ah, yes! You dig upon my grave …
Why flashed it not on me
That one true heart was left behind!
What feeling do we ever find
To equal among human kind
A dog’s fidelity!”
“Mistress, I dug upon your grave
To bury a bone, in case
I should be hungry near this spot
When passing on my daily trot.
I am sorry, but I quite forgot
It was your resting place.”
– Thomas Hardy
Permalink
August 24, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રિષભ મહેતા
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…
ઉજ્જડ આંખોના પાણીમાં તર્યા કરે
સ્મરણોના ફોટા
આજે અંતે એ સમજાયું
ફોટા આખર છે પરપોટા!
પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે…!
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…
થાય મને તું પાછો આવી
સઘળાં તાળાંઓ ખોલી દે
બંધ ગુફાને દ્વારે આવી
‘સિમ સિમ ખૂલ જા’-તું બોલી દે…..
મારાં સઘળાં તળિયાં તૂટે એવું આ ઇચ્છા બબડે રે …!
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…
– રિષભ મહેતા
આમ તો કવિએ ચાર મહિના યુ.કે. રહીને વતન પરત ફરતા પોતાના મિત્રની યાદના ખાલીપાને સભર કરવા માટે આ ગીત લખ્યું હતું પણ સ્વતંત્ર રીતે ગીત કેટલું મજબૂત બન્યું છે એ જુઓ! જે ખાલી છે એ કેવી રીતે ખખડે? પણ ઘરમાં -કાયાનું ઘર? સ્મરણોનું ઘર?- એકલતા સિવાય કંઈ હોય જ નહીં ત્યારે ખાલીપો જ ખખડે ને! ખાલીપાના ખખડવાનું રૂપક જ એટલું વેધક થયું છે કે પહેલી પંક્તિ વાંચતા જ કલેજું ચીરાઈ જાય… આંખો ઉજ્જડ છે કેમકે હવે પ્રિયપાત્ર નજરના સીમાડાઓથી પર છે. આંસુઓ રોકાતા નથી અને આંસુઓના જળાશયમાં સ્મરણોના ફોટોગ્રાફ્સ સતત તર્યા કરે છે. સ્મરણોના ફોટાને પરપોટા સાથે સાંકળીને ક્ષણજીવી સધિયારાને અદભૂતરીતે તાદૃશ કરી આપ્યો છે. આમ તો શ્વાસ હવાથી બને છે અને એ પણ પરપોટાની જેમ ક્ષણિક જ હોય છે પણ અહીં પોતાની વેરાનીને પરાકાષ્ઠાએ લઈ જવા માટે કવિ હવાના શ્વાસને સ્મરણોના ફોટાના પરપોટામાં કેદ આલેખે છે… સલામ કવિ!
Permalink
August 23, 2018 at 2:09 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને;
નામ અમારું એવું પાડ્યું : નહીં માતર કે કાનો જોને!
સડી ગયેલાં શ્વાસો વચ્ચે આવે-જાય અભરખા જોને;
લાશ બળે કે લાઈટર સળગે : બંને દૃશ્યો સરખા જોને!
ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને?
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
અમે કાચની પૂતળીને પહેરાવ્યા એવા વાઘા જોને;
સાવ અજાણ્યા થઈને ફરીએ અમે પંડથી આઘા જોને!
અમે નથી ને નામ અમારે આવે રોજ ચબરખી જોને;
હૈયું તૂટી પડે કે જમ્બો બન્ને ઘટના સરખી જોને!
અમે નયનભાઈ ફાટી ગયેલા પાના પરનું સાંધણ જોને !
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !
હવે આંખ પર નીંદરને બદલે સળગાવ્યો લાવા જોને!
છબી બનેલી મા ક્યાંથી બોલાવે ઘોઘર બાવા જોને?
જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને!
સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને!
મળીએ શ્વાસે શ્વાસે નયનભાઈ! છૂટા પડીએ ક્ષણક્ષણ જોને!
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !
– નયન દેસાઈ
નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ગઝલ અને ગીતોમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા છે એટલું કદાચ જ કોઈ કવિ લાવી શક્યા હોય પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નથી… આ ગીત જુઓ અને નક્કી કરો…
Permalink
August 22, 2018 at 8:52 AM by તીર્થેશ · Filed under ગઝલ, નયન દેસાઈ
સાંજના બિસ્માર રસ્તા પર ખખડધજ ડાબલા,
આ રઝળતા શહેરમાં ઓળા વસે છે કેટલા ?
સ્તબ્ધતા ટોળે વળી મારી કલમની ટાંક પર,
રિકત કાગળ પર ચિતરાવતા મઝાના મોરલા.
દૂર સૂરજ હોય એવુ લાગવું ને ક્ષણ પછી,
હાથ દાબી દે કોઈ બે આંખ ઉપર લાગલા.
થાય છે કે હું સૂકીભઠ વાવનું એકાંત છું,
કોણ પ્રગટાવે દીવો ને કોણ પૂજે નાગલા ?
હાથમાં મારું જ ધડ લઈ સામો પડછાયો મળે,
હું ઝરૂખેથી અતીતના જોઉં જન્મો પાછલા.
– નયન હ. દેસાઈ
Permalink
August 21, 2018 at 8:54 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઈ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.
તું નીકળે અહીંથી રસ્તો જ હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.
આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે અગન ભરીને કેડે કટાર લઈને.
જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.
હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.
– અનિલ ચાવડા
Permalink
August 18, 2018 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, યોના વૉલાચ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
તમે ફરી સૂઈ ગયા મિ. કોઈ નહીં સાથે
એના શૂન્ય દૃષ્ટિપાતને પ્યાર કરીને
અને એના ગેરહાજર શરીરને આલિંગીને.
તમારા પ્રેમીની આંખો એક અજાણ્યા કેન્દ્રને તાકે છે
જરાય તમારા તરફ નહીં તમારા પર નહીં
એ યુવાન છે અને પહેલેથી જ ખૂબ કડવો છે.
પ્રેમ જેણે ક્ષણભર માટે તમારા માંસને ભેદ્યું છે
તમારા શરીર અને આત્માને ગરમીથી ભરી દે છે
તમારા વાળના છેડાથી લઈને તમારા આંતરિક અવયવો સુધી,
તમને ફરી મિ. કોઈ નહીં સાથે છોડીને
જે શૂન્ય હાથ વડે પસવારે છે તમારા શરીરને
જે પ્રતિક્રિયા આપે છે શૂન્ય લાગણી શૂન્ય હાવભાવ
શૂન્ય ઉષ્મા વડે દરેક સ્પર્શ પર –
તમે તમારા યુવા પ્રેમીને આ કવિતા બતાવો છો
એ ગુસ્સા સાથે પ્રતિક્રિયા આપે છે અને કહે છે કે એ ખરાબ છે
અને કવિતા છે જ નહીં અને પીઠ ફેરવી લે છે,
કદાચ એ વિચારે છે કે એ કોઈ નહીં છે,
તમે કોઈ નહીંને ઠંડી નજરે જુઓ છો
અને વચન આપો છો એને ફરીથી સાંજે મળવાનું
એ ચોક્કસ જ પાછો ફરશે, એ આત્મિક મૃત્યુ છે
એ ઠંડોગાર દૃષ્ટિપાત કરે છે
અને તમને સધિયારો આપે છે રાહ જોતો ઝાલવાની દરેક લાગણીને
હવામાં થઈને, એને ફેરવી દેવાની સંપૂર્ણ ખાલીપામાં શૂન્યતામાં.
એ જૂના ગીતોમાંથી પ્રગટ થાય છે અને એ
એમના નાયકોમાંથી જ એક છે, વળી એનું સૌંદર્ય
પણ એવું છે, એ આશ્ચર્યકારક નામોમાંનું એક છે
જે ખોવાઈ ગયું છે ભયભીત બેચેન
અસ્તિત્વમાં સમાજના ગર્ભમાં,
એ ફરીથી જન્મશે અને તમને પ્રેમ કરશે
દરરોજ સવારે જેમ કરવો જોઈએ જેમ એ સક્ષમ છે,
અને તમે ફરીથી મિ. કોઈ નહીંને તાબે થઈ જશો
કપરી ક્ષણોમાં એ તમારી આંગળીઓ ઠીજવી નંખશે
તમને પસવારતો નાનાવિધ લાલસાઓથી,
પણ કવિતાઓ તો માત્ર પ્રવિધિ છે
જીવનના વર્ષો દરમિયાન પ્રાપ્ત થયેલી
નાયક દરેક કાવ્યસ્વરૂપમાં જીવંત રહેશે
ત્રીજા પુરુષ તરીકે, અથવા પ્રથમ અથવા બીજા,
તમે એની જનેતા છો એનું પાલનપોષણ કરો
એને પાછો આપો એનો વિશ્વાસ એની શ્રદ્ધા ખુદમાં
કેમકે પ્રેમનું ફળ તો અલ્પજીવી છે
કદાચ આના જેવી કવિતાના ફળો કરતાંય વધારે.
– યોના વૉલાચ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
હસ્તમૈથુન. સેક્સનો એક એવો પ્રકાર જે સૌથી સરળ છે, કાયમ હાથવગો છે, હાનિરહિત છે, સો ટકા સ્વાવલંબી છે અને અંદરખાનેથી સાર્વત્રિક અને સર્વસ્વીકૃત છે… જી હા, ૯૨-૯૭ ટકા પુરુષો અને ૬૨થી ૮૦ ટકા સ્ત્રીઓ જીવનમાં હસ્તમૈથુન કરે જ છે પણ એના વિશે વાતો કરવામાં આપણે સૌ મહત્તમ શરમ-સંકોચ તથા અસ્વસ્થતા અનુભવીએ છીએ. એક સ્ત્રી નામે યોના વૉલાચ હસ્તમૈથુન જેવા લગભગ અસ્પૃશ્ય વિષય પર ખુલીને જે વાત કરે છે એ વાંચીને આપણો સમાજ ક્યાં તો પથ્થર જેવું મૌન ધારી લેશે અથવા થૂ..થૂ કરશે.. મન મોકળું રાખી શકાય તો આ કવિતા નિજાનંદની ચરમસીમાનું ઉત્કૃષ્ટ શિખર છે…
પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે ફેસબુક પર પધારવા નમ્ર ગુજારિશ છે…
મૂળે હિબ્રૂ ભાષામાં લખેલી આ કવિતાનો અંગ્રેજી તરજૂમો કવયિત્રીએ જાતે જ કર્યો છે.
Permalink
August 17, 2018 at 1:45 AM by વિવેક · Filed under ગઝલ, રક્ષા શુકલ
એક સપનુ સાવ બોગસ નીકળ્યું,
એ પછી આંસુય ચોરસ નીકળ્યું.
કેમ આ દરિયો અચાનક ઊછળે?
આંખનું જળ એમ ધસમસ નીકળ્યું.
શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,
કાગડાનું વેણ ફારસ નીકળ્યું.
ના કદી એણે મને દર્પણ ધર્યું,
એક જણ નખશિખ સાલસ નીકળ્યું.
પાન સાથે બિંબ પણ એનું ખર્યું,
વૃક્ષનું સાક્ષાત્ વારસ નીકળ્યું.
એક ટીપાંએ ભરી મુઠ્ઠી હવાની,
એ નર્યું જળકૃત સાહસ નીકળ્યું.
એમના સ્વરમાં જ સાંભળવું હતું,
ગીત એનું દોસ્ત, કોરસ નીકળ્યું.
– રક્ષા શુકલ
કાગડો બોલે અને મહેમાન આવે એ વાયકા પણ અહીં તો શૂન્યતા પધારે છે. ફારસ કાફિયાનો કેવો સ-રસ પ્રયોગ અહીં થયો છે! સામાને એની ભૂલો બતાવવાની આપણા સૌની આદત છે પણ કવયિત્રીને નખશિખ સાલસ વ્યક્તિનો ભેટો થયો છે એ શેર પણ ખૂબ મજાનો. જળકૃત સાહસ જેવા અનૂઠા પ્રયોગ સાથે કવયિત્રી પાણીનું ટીપું હવાની મુઠ્ઠી ભરે છે એમ કહીને જે રીતે પરપોટાનો સાક્ષાત્કાર કરાવે છે એ પણ અભૂતપૂર્વ છે.
ગઝલનો મત્લા અને વૃક્ષના વારસવાળો શેર મને સમજાયો નહીં. મિત્રો મદદ કરશે તો ગમશે…
Permalink
August 16, 2018 at 2:05 AM by વિવેક · Filed under ગીત, તેજસ દવે
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
પાંપણ પર…
યાદ છે એ સાંજ ? તું બોલ્યા વિના જ મને
તગતગતી આંખથી વઢેલી!
એ ઘટના તો ત્યાંજ હજી બર્ફ જેમ થીજીને
ઊભી છે સાંજને અઢેલી
આથમતા સૂરજના કેસરી એ રંગોમાં
ઓગળતાં આપણે એ યાદ છે?
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
વરસોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ
દિવસોને ચોરી ફરાર થઈ
એમ ઉભાં’તાં રસ્તાની સામસામે આપણે
ને વચ્ચેથી જિંદગી પસાર થઈ
દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યાં ને
છાંયડાઓ શોધ્યાં’તાં યાદ છે ?
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?
– તેજસ દવે
બે જણ એક હોય ત્યારે જિંદગીની આંખો સપનાંઓથી છકલાતી હોય છે, એકના સપનાંમાં બીજું ને બીજાના સપનાંમાં પહેલું, એમ જિંદગી ઝૂલતી રહે છે પણ ક્યાંક કોઈક ઘટના એવી બની જાય, એક જણ લડી-ઝઘડીને ચાલતું થઈ જાય ને બીજાની સાંજ સમયના ટેકે ત્યાંને ત્યાં જ થીજી જાય છે. બે જણ સામસામે ઊભા રહી જાય છે ને વચ્ચેથી આખી જિંદગી વહી જાય છે… જીવનમાં પછી એ સોનેરી યાદ સિવાય કશું બચતું નથી.
Permalink
August 15, 2018 at 8:47 AM by તીર્થેશ · Filed under ગઝલ, પ્રકીર્ણ, ભગવતીકુમાર શર્મા
અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે,
તળેટીથી યે શિખરે પહોંચવું છે.
કોઈ રીતે સમીપે પહોંચવું છે,
‘હું’ -’તું’ – ‘તે’ ના અભેદે પહોંચવું છે.
હતો, છું, ને હઈશ કેવળ નદીમાં,
કહ્યું કોણે કે કાંઠે પહોંચવું છે?
બધે રસ્તેથી હું પાછો વળ્યો છું,
ફક્ત એનાં જ દ્વારે પહોંચવું છે.
છે રણમાં સૂર્યની શિરમોર સત્તા,
આ નદી મૃગજળની, તીરે પહોંચવું છે.
કોઈ તારાને ખરતો રોકવાને,
મળે જો પાંખ આભે પહોંચવું છે.
ઢળી છે સાંજ, ઈંધણ ભીનાં ભીનાં,
ઉતાવળ છે, ચિતાએ પહોંચવું છે.
– ભગવતીકુમાર શર્મા
Permalink
August 14, 2018 at 10:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !
બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.
કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !
તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !
સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !
ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !
‘લ્યો, નજરું વાળી લઉં પાંછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !
– હરીન્દ્ર દવે
truly masterclass………કોઈ ગૂઢાર્થની ઝંઝટમાં પડ્યા વગર મમળાવ્યા કરવું ગમે તેવું ગીત……
Permalink
August 11, 2018 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ચેસ્વાફ મિવોશ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
તું જેને હું બચાવી નથી શક્યો
સાંભળ મને.
આ સરળ વક્તવ્યને સમજવાની કોશિશ કર કેમકે બીજી વાર કહેતાં મને શરમ આવશે.
હું સોગંદ ખાઉં છું, મારામાં શબ્દોની કોઈ જાદુગરી નથી.
હું તારી સાથે વાત કરું છું વાદળ અથવા વૃક્ષ જેવા મૌનથી.
જે મને મજબૂતી બક્ષે છે, તારા માટે ઘાતક હતું.
તેં વિદાયને ભેળવી દીધી નવયુગની શરૂઆતવાળા એક યુગ સાથે,
નફરતની પ્રેરણાને લયાન્વિત સૌંદર્ય સાથે;
આંધળા બળને પરિપૂર્ણ આકાર સાથે.
અહીં એક ખીણ છે છીછરી પૉલિશ નદીઓની. અને એક તોતિંગ પુલ
શ્વેત ધુમ્મસમાં ચલ્યો જતો. અહીં એક તૂટ્યું શહેર છે;
અને પવન ફેંકે છે સીગલોની ચિચિયારીઓને તારી કબર પર
જ્યારે હું તારી સાથે વાત કરી રહ્યો છું.
એ કવિતા જ શું છે જે બચાવી નથી શકતી
દેશોને કે લોકોને?
સત્તાવાર જૂઠાણાંઓ સાથે આંખમીંચામણાં,
એક ગીત દારૂડિયાઓનું જેમના ગળાં પળવારમાં જ કાપી લેવાશે,
બીજા વર્ગની છોકરીઓ માટેનું વાંચન.
એ કે મારે સારી કવિતા જોઈતી હતી મારી જાણ બહાર,
એ મેં શોધી કાઢ્યું, મોડેથી, એનું લાભદાયક લક્ષ્ય,
આમાં અને માત્ર આમાં જ હું મોક્ષ શોધી શક્યો.
એ લોકો કબરો પર બાજરી નાંખતા હતા અથવા ખસખસના દાણા
મૃતકોને ખબડાવવા માટે જેઓ પક્ષીઓના છદ્મવેશમાં આવશે.
હું તારા માટે, જે કદી જીવંત હતો, અહીં એક પુસ્તક મૂકું છું,
જેથી તું અમારી મુલાકાતે કદી નહીં આવે.
– ચેસ્વાફ મિવોશ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
સરહદ પર જાન ન્યોછાવર કરનાર અને ઘરે બેસીને તાળીઓ પાડનારની કોઈ સરખામણી નથી. આપણી આવતીકાલ માટે એ લોકો પોતાની આજ ખર્ચી નાંખે છે. યુદ્ધ હંમેશા વિનાશ જ લઈને આવે છે એ જાણવા છતાં દુનિયાની કોઈ પ્રજા કોઈ સમયગાળામાં યુદ્ધ વિના રહી શકી નથી. દેશની સરહદો પર બીજાની બંદૂકોથી પોતાના લોહીથી જે લોકો શહીદીની કવિતાઓ લખી જાય છે એ લોકો જ ખરા અર્થમાં મોક્ષ પામે છે. દેશ માટે શહીદ થઈ ગયેલાઓ માટે સાવ અનૂઠી શ્રદ્ધાંજલિ પૉલિશ કવિ ચેસ્વાફ મિવોશ અહીં આપે છે… અને શ્રદ્ધાંજલિની સાથોસાથ કવિતાનું ખરું ગંતવ્ય શું હોવું ઘટે એ પણ સમજાવે છે.
કવિતાના સવિસ્તાર આસ્વાદ માટે મારી ફેસબુક વૉલની મુલાકાત લેવા વિનંતી છે…
*
Dedication
You whom I could not save
Listen to me.
Try to understand this simple speech as I would be ashamed of another.
I swear, there is in me no wizardry of words.
I speak to you with silence like a cloud or a tree.
What strengthened me, for you was lethal.
You mixed up farewell to an epoch with the beginning of a new one,
Inspiration of hatred with lyrical beauty;
Blind force with accomplished shape.
Here is a valley of shallow Polish rivers. And an immense bridge
Going into white fog. Here is a broken city;
And the wind throws the screams of gulls on your grave
When I am talking with you.
What is poetry which does not save
Nations or people?
A connivance with official lies,
A song of drunkards whose throats will be cut in a moment,
Readings for sophomore girls.
That I wanted good poetry without knowing it,
That I discovered, late, its salutary aim,
In this and only this I find salvation.
They used to pour millet on graves or poppy seeds
To feed the dead who would come disguised as birds.
I put this book here for you, who once lived
So that you should visit us no more.
– Czesław Miłosz
(English Translation from Polish by poet himself)
Permalink
August 10, 2018 at 12:30 AM by વિવેક · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.
વિચારો વટાવીને આગળ જજો,
ન કાપી શકો એ મજલ આવશે.
નમાવે જો મસ્તક તું કાગળ ઉપર,
શબદના લિબાસે કતલ આવશે.
સમાધિમાં ઊંડે ને ઊંડે જશું,
પછી કોઈ આંખો તરલ આવશે.
કદી સાચનો કિલ્લો તોડી જવા,
ધરમની ધજાની નકલ આવશે.
સજાને ક્ષમાની વચોવચ હશું,
ને ઇન્સાફ તારી અદલ આવશે.
આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા,
મરણ આવશે તે અટલ આવશે.
– અશરફ ડબાવાલા
ઇડનના બાગમાં આદમ અને ઇવ સુખેથી રહેતા હતા. શેતાનને ભગવાને સ્વર્ગ બહાર કાઢી મૂક્યો એટલે એને ભગવાન સામે બદલો લેવો હતો. એણે ઇવને સાધન બનાવી અને લલચાવી. બાગના ફળ ખાવાની મનાઈ હોવા છતાં શેતાનના પ્રભાવમાં આવી ગયેલી ઇવના કહેવાથી આદમે સફરજન ખાધું અને ઈશ્વરના રોષનું બંને કારણ બન્યા. બંનેએ પૃથ્વી પર આવવું પડ્યું. સીધી વાત કરે તો એ કવિતા નહીં, માત્ર કથન બની રહે. અહીં મીઠી એ કટાક્ષ છે. સફરજનની મીઠી ફસલ અર્થાત્ લાલચ, છેતરામણીના સંજોગો.. માણસ ફરી છેતરાશે અને ફરી આદમની જેમ એનું પતન થશે.. ટૂંકમાં આ શેર નકારાત્મક વાત કરીને એ હકીકત બયાન કરે છે કે માનવજાત જ્યાં સુધી લલચાવાનું બંધ નહીં કરે, પતનનો સિલસિલો ચાલુ જ રહેશે.
Permalink
August 9, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર

મને કાગળ-કલમ ને અક્ષરો સૂવા નથી દેતાં,
કવિતાનાં બળૂકાં લશ્કરો સૂવા નથી દેતાં.
અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું,
કબર મારી જ છે પણ પથ્થરો સૂવા નથી દેતાં.
હજારો વાર ધોઈ છે છતાંયે જાત મહેકે છે,
ગુલાબી સ્પર્શનાં એ અત્તરો સૂવા નથી દેતાં.
પલાંઠી ચુસ્ત વાળીને કરે છે ધ્યાન મારામાં,
સ્મરણનાં જોગણી-જોગંદરો સૂવા નથી દેતાં.
વિસામો શ્વાસને આપી હવે પોઢી જવું છે બસ,
પરંતુ કામઢા કારીગરો સૂવા નથી દેતાં.
-પારુલ ખખ્ખર
લયસ્તરોના વાચકમિત્રો માટે પારુલ ખખ્ખરનું નામ અજાણ્યું નથી. આજે તેઓ પોતાનો પ્રથમ સ્વતંત્ર સંગ્રહ લઈને લયસ્તરોના આંગણે આવ્યાં છે, ત્યારે એમનું સહૃદય સ્વાગત કરીએ છીએ…
Permalink
August 8, 2018 at 9:09 AM by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
અષાઢી વાદળોનો ઊડ્યો ઉમંગ
મારી આંખમાં ચણોઠિયું ઊગી રે સૈ
આંગળીની જેમ રાખી ઇચ્છાઓ હાથમાં તે
આજ હવે આકાશે પૂગી રે સૈ
મારા કમખાની કસમાં બંધાઈ ગઈ રાત
થાય તૂટું તૂટું રે મારી સૈ
કાચ જેવી હું તો કિરણ જોઈ ઝબકું ને
ફટ કરતી પળમાં ફૂટું રે મારી સૈ
પરસાળે પગલું હું કેમ કરી માંડું કે
મેંદીની ભાત પગે કરડે રે સૈ
મૂઠીની જેમ હું તો થઈ જાઉં બંધ ને
મનમાં પરોઢ રાતું ઊઘડે રે સૈ
નળિયાંને એવું તો થઈ બેઠું શુંય કે
આખો દિ’ કાગ જેમ બોલે રે સૈ
આભને ઊતરતું રોકી લ્યો કોઈ
મારા સપનામાં ડુંગરા ડોલે રે સૈ
– મનોજ ખંડેરિયા
લાંબા વખતે નખશિખ નમણું રૂપાળું ગીત માણવા મળ્યું…..કદાચ સ્વરબદ્ધ થાય તો મજા પડી જાય……
Permalink
August 8, 2018 at 2:29 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
પ્રસંગો પાંદડાના ઢગમાં બાળતા રહીએ,
પરિસ્થિતિનાં ધુમાડાને ઘુંટતા રહીએ.
હવે અવાજનું ઊંડાણ તું ય જાણે છે,
તને ગમે તો જરા વાર બોલતા રહીએ.
ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં,
ફરીથી આપણાં પથ્થરને ફેંકતાં રહીએ.
થીજી ગયો છે હવે પ્રેમ પણ અતીતની જેમ,
સમય ની જેમ ચાલો આપણે જતા રહીએ.
‘ફના’ ચાલોને આ પગલાંને મુકવા જવું છે,
જરા ક્ષિતિજ સુધી જઈને આવતા રહીએ.
-જવાહર બક્ષી
Permalink
August 4, 2018 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એન્સેલ એલ્કિન્સ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
કશું જ પહેર્યાં વિના સિવાય કે સાપની કાંચળીનાં
જૂતાં, મેં એક ચીલો ચાતર્યો, એ જૂના
સામ્રાજ્યમાંથી નીકળીને નૂતન અજ્ઞાત તરફ જતા
પ્રથમ આમૂલ માર્ગનો.
જ્યારે હું સળગતા સોનાંના એ મહાન
પ્રજ્વલિત દ્વારો પાસે આવી હતી,
ત્યારે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેની
સીમા પર ભયભીત એકલી ઊભી હતી.
ત્યાં મેં એક ગૂઢ પડઘો સાંભળ્યો:
મારો પોતાનો જ અવાજ
મને જ ગાઈ સંભળાવતો પ્રતિબંધિત
બાજુએથી. હું ઝબકીને જાગી-
એકાએક જ હરિત અગનજ્વાળાઓમાં જીવિત.
સૌને વિદિત થાય: હું પતન નહોતી પામી સન્માનથી.
મેં છલાંગ ભરી હતી
આઝાદીની.
– એન્સેલ એલ્કિન્સ
(અનુ.: વિવેક મનહર ટેલર)
દુનિયાની સૌપ્રથમ સ્ત્રી ઇવ એની આત્મકથા લખે તો શું લખે? શું એમ લખે કે ઇડનના બગીચામાં ફળ તોડવું અને ખાવું એ એની ભૂલ હતી? ઈશ્વરે એને સ્વર્ગમાંથી ખદેડી કાઢી એ સજા શું એને મંજૂર હશે? સંસારની પહેલી નારી ઇવની આત્મકથાના રૂપમાં ઇવથી લઈને આજદિન સુધી થઈ ગયેલી તમામ સ્ત્રીઓ અને આવનારા યુગોમાં જન્મનાર તમામ સ્ત્રીઓની આત્મકથા આજની ગ્લૉબલ કવિતામાં માત્ર ૩૬ વર્ષની વયની અમેરિકન કવયિત્રી એન્સેલ એલ્કિન્સ લઈને આવે છે. આ છે આજની સ્ત્રીની આઝાદી, સશક્તિકરણ અને જાતીયતાનું રાષ્ટ્રગીત…
વિગતવાર આસ્વાદ માટે ફેસબુક પર પધારવા આમંત્રણ છે…
Autobiography of Eve
Wearing nothing but snakeskin
boots, I blazed a footpath, the first
radical road out of that old kingdom
toward a new unknown.
When I came to those great flaming gates
of burning gold,
I stood alone in terror at the threshold
between Paradise and Earth.
There I heard a mysterious echo:
my own voice
singing to me from across the forbidden
side. I shook awake—
at once alive in a blaze of green fire.
Let it be known: I did not fall from grace.
I leapt
to freedom.
– Ansel Elkins
Permalink
August 3, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રેણુકા દવે
ટેકરીઓના ઢાળે એના ઝળહળ ઝળહળ તડકા ઢોળી સૂરજ નીકળ્યો,
વર્ષાએ ગલીઓમાં રેલ્યા ખળખળ ખળખળ નીર પીવાને સૂરજ નીકળ્યો.
ઝાકળમાં નાહેલાં પેલાં પુષ્પોનું તન કોરું કરવા સૂરજ નીકળ્યો,
ધુમ્મસ હેઠળ દબાઈ બેઠા સમીરનું મન ફોરું કરવા સૂરજ નીકળ્યો.
હારબંધ આ પંખીઓની પાંખો માંહી જોમ જગવવા સૂરજ નીકળ્યો,
નીડ મહીં તાજાં જન્મેલાં બચ્છાંઓના ડરને હરવા સૂરજ નીકળ્યો.
લીલાં ઘેઘૂર વૃક્ષોના પ્રત્યેક માનને જગાડવાને સૂરજ નીકળ્યો,
આંખો ઊંચકી ઊગવા મથતા અંકુરોને ઉગાડવાને સૂરજ નીકળ્યો.
તુલસીક્યારે નમતી ઘરની નારી ઉપર વહાલ વરસતો સૂરજ નીકળ્યો,
ગૃહસ્થની જળ ધારે પુલકિત થઈને આશિષ ધરતો સૂરજ નીકળ્યો.
– રેણુકા દવે
નખશિખ સૌંદર્યની કવિતા. સૂર્યોદયના નાનાવિધ આયામોને કવયિત્રી કલમના લસરકે જોડી આપીને એક નવું જ ચિત્ર ખડું કરે છે. ક્યાંક રચના થોદી ગદ્યાળુ બની હોવાનું પણ અનુભવાય છે તો ક્યાંક લય થોડો ખોરવાતો પણ લાગે છે પણ સરવાળે સર્વાંગ અનુભૂતિથી તર કરી દેતું ગીત મજાનું છે…
Permalink
August 2, 2018 at 2:01 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
રસ્તા જ્યારે સીધા થાય,
ત્યારે લોકો વાંકા થાય.
લોહી ન નીકળે, પીડા થાય,
એ જખ્મોની ચિંતા થાય.
બે જણ જ્યારે સરખા થાય,
ચારેબાજુ પડઘા થાય.
ખૂલે ભેદ પછી પણ શું?
થોડા દિવસ હોહા થાય.
આભ ગમે જે બાળકને,
અંગૂઠા પર ઊંચા થાય.
– કિરણસિંહ ચૌહાણ
ટૂંકી બહેરની અને સાવ સહજ ભાષામાં લખાયેલી ગઝલ. બધા જ શેર શીરાની જેમ તરત જ ગળે ઊતરી જાય એવા. પરંપરાનો હાથ ઝાલીને ચાલતી હોવા છતાં રચનામાંથી સાંપ્રત સમાજનો પડઘો સંભળાયા વિના રહેતો નથી.
Permalink
August 1, 2018 at 3:29 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
એનું કારણ પૂછું તો કહે તું,
વરસે વરસાદને મળવા ન જાઉં તોયે
એકાંતે તરસું છું હું.
ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતને
સમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,
મારે વ્હાલમને કહેવું રે શું?
એકાંતે તરસું છું હું.
વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,
મારે કરવું તો કરવું યે શું?
એકાંતે તરસું છું હું.
મળવા આવું ને પછી વરસે વરસાદ જો
પાછા જવાનું મને આવે ના યાદ તો,
કોઈ ગમતું મળે તો કરું શું?
એકાંતે તરસું છું હું.
– તુષાર શુક્લ
Permalink
July 30, 2018 at 2:10 AM by તીર્થેશ · Filed under ગઝલ, માધવ રામાનુજ
આ સમયને પાર કરવા નીકળ્યા-
ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા!
સ્વચ્છ, પાવન, પારદર્શી વહેણ કેવું?
દોડતાં પહોંચ્યા અને મૃગજળમાં ડૂબ્યા.
નામ સંબંધોને નહોતું આપવાનું-
નામ દીધું ને જુઓ, અંજળમાં ડૂબ્યા.
જે દીવાએ સ્હેજ અજવાળું વધાર્યું-
એ દીવાની મેશના કાજળમાં ડૂબ્યા.
પ્રેમની વાતોય લાગી પ્રેમ જેવી,
એમ ને એમ જ અમે અટકળમાં ડૂબ્યા.
કોઈ માને કે ન માને, સત્યનું શું?
સ્વપ્ન જે જોયાં હતાં, ઝાકળમાં ડૂબ્યા.
પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં,
તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા!
સાવ પોતાનું જ લાગ્યું હોય એવા,
આંસુ જેવા એ રૂપાળા છળમાં ડૂબ્યા!
આ સમયને પાર કરવા નીકળ્યા,
ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા!
– માધવ રામાનુજ
[ સૌજન્ય :- inmymindinmyheart.com – ડો. નેહલ વૈદ્ય ]
મૃદુ ભાષામાં તાતા તીર વછોડ્યા છે…..જેમ કે ‘ પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં, તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા! ‘
Permalink
July 28, 2018 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એડવર્ડ હર્શ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
આજે રાત્રે હું કંઈક અદભુત કહેવા માંગું છું
નિદ્રાચારીઓ માટે જેમને આટલો બધો વિશ્વાસ છે
પોતાના પગો પર, એટલો બધો વિશ્વાસ જાજમમાં
કંડારાયેલા અદૃશ્ય નિર્દેશ-ચિહ્ન પર, ઘસાયેલા માર્ગ પર
જે બારીના બદલે સીડી તરફ દોરી જાય છે,
ખુલ્લા દ્વારમાર્ગ, નહીં કે સાંધારહિત અરીસા તરફ.
મને ગમે છે જે રીતે નિદ્રાચારીઓ તૈયાર હોય છે
પોતાના શરીરમાંથી નીકળીને રાતમાં પગલાં માંડવા માટે,,
હાથ ઊઠાવીને અંધારાને આવકારવા માટે,
ખાલી જગ્યાઓને માપતા, દરેક વસ્તુને સ્પર્શતા.
તેઓ હંમેશા સુરક્ષિત રીતે ઘરે પરત ફરે છે, આંધળા માણસોની જેમ
જે ઓછાયાઓને અનુભવીને જાણી લે છે કે સવાર પડી ગઈ છે.
અને તેઓ હંમેશા જાગે છે ફરીથી ખુદ તરીકે જ.
એટલા માટે જ હું કંઈક આશ્ચર્યકારક કહેવા ઇચ્છું છું
જેમ કે: આપણાં હૃદય આપણાં શરીર છોડી રહ્યાં છે.
આપણાં હૃદય તરસ્યા કાળા હાથરૂમાલો છે
જે રાતે વૃક્ષોમાં થઈને ઊડે છે, ભીંજવતા
ચાંદનીના અંધારા કિરણોને, ઘુવડોના
સંગીતને, પવનથી તૂટેલી શાખાઓની ગતિને.
અને હવે આપણાં હૃદય છે જાડી કાળી હથેળીઓ
પરત ઊડી આવતી આપણી છાતીઓના હાથમોજાંમાં.
આપણે આપણાં દિલો પર એ રીતે વિશ્વાસ કરતાં શીખવું પડશે.
આપણે શીખવો પડશે બેકરાર ભરોસો આ નિદ્રા-
ચારીઓનો જેઓ તેમની શાંત પથારીઓમાંથી ઊઠી બહાર આવે છે
અને બીજી જિંદગીની ત્વચામાંથી પસાર થાય છે.
આપણે અંધારાના મદહોશ કરનાર પ્યાલાને પીવો પડશે
અને આપણી જાત પ્રત્યે જાગવું પડશે, પોષિત અને આશ્ચર્યચકિત.
– એડવર્ડ હર્શ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
ઊંઘમાં ચાલનારાઓ વિશે પણ કવિતા? બોલો, હદ છે ને! કવિઓ કોઈને જ છોડશે નહીં કે શું? પણ થોભો… સાચે જ શું આ કવિતા અડધી રાત્રે ઘોર અંધારામાં બિન્દાસ ચાલનાર નિદ્રાચારીઓ વિશેની છે કે પછી એ ધોળા દિવસે અજવાળામાં ચાલતા આપણા જેવા દેખતા આંધળાઓમાં રહેલા વિશ્વાસના અભાવ સામે પ્રશ્ન ખડો કરે છે? ઊંઘમાં ચાલનારાઓ ભરોસોની આંખોથી જુએ છે… આપણે?
કવિતાની વિશદ છણાવટ માટે ફેસબુકના આંગણે પધારવા વિનંતી છે…
*
For The Sleepwalkers
Tonight I want to say something wonderful
for the sleepwalkers who have so much faith
in their legs, so much faith in the invisible
arrow carved into the carpet, the worn path
that leads to the stairs instead of the window,
the gaping doorway instead of the seamless mirror.
I love the way that sleepwalkers are willing
to step out of their bodies into the night,
to raise their arms and welcome the darkness,
palming the blank spaces, touching everything.
Always they return home safely, like blind men
who know it is morning by feeling shadows.
And always they wake up as themselves again.
That’s why I want to say something astonishing
like: Our hearts are leaving our bodies.
Our hearts are thirsty black handkerchiefs
flying through the trees at night, soaking up
the darkest beams of moonlight, the music
of owls, the motion of wind-torn branches.
And now our hearts are thick black fists
flying back to the glove of our chests.
We have to learn to trust our hearts like that.
We have to learn the desperate faith of sleep-
walkers who rise out of their calm beds
and walk through the skin of another life.
We have to drink the stupefying cup of darkness
and wake up to ourselves, nourished and surprised.
– Edward Hirsch
Permalink
July 27, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિમલ અગ્રાવત
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું!
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું!
કદી નજરુંથી દરિયો વલોવ્યો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
મોજાંની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો!
આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો છો, ‘દરિયો શેં ખારો?’
કદી શ્વાસોમાં દરિયો પરોવ્યો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
– વિમલ અગ્રાવત
કિનારે ઊભા રહીને કૉમેન્ટરી આપવી અલગ વાત છે અને વચ્ચોવચ ઝંપલાવી દીધા બાદ વાત કરવામાં જમીન-આકાશનો ફરક છે. મહાસુખ તો મહીં પડ્યા એ જ માણી શકે. દરિયો બની જાવ એ પછી જ દરિયાને જોઈ શકાય, બાકી ઠાલી વાતો માત્ર…
Permalink
July 26, 2018 at 1:29 AM by વિવેક · Filed under ગીત, મનોહર ત્રિવેદી
(શિખરિણી)
ચરણ સરતાં જાય મિતવા…
ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા…
અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો
હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…
વળાંકો, છાયાઓ, નભ, પથ અને ઢાળ નમણાં
કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…
પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વહાલ વરસે
ભર્યાં એકાંતોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…
– મનોહર ત્રિવેદી
ક્યાંક અખંડ તો ક્યાંક ખંડિત લયના ગીતોની ભરમારની વચ્ચે શુદ્ધ શિખરિણી છંદમાં લખાયેલું આવું મજાનું ગીત માણવા મળી જાય તો આખો દિવસ જ સુધરી જાય… પણ રહો! આ ગીત વાંચવા માટે નથી, એને તમે ગાઈને સાંભળશો તો જ એની ખરી મજા માણી શકશો.
એક તરફ કવિને કૅલેન્ડર જેવો શબ્દ વાપરવામાંય છોછ નથી તો બીજી તરફ લગભગ વિસરાઈ ગયેલો તક્તા જેવો શબ્દ (જેનો કદાચ આજની પેઢીને તો અર્થ પણ સમજાવવો પડે!) વાપરવાનો બાધ પણ નથી… બે અલગ પેઢીના શબ્દોને કવિ જેરીતે એક દોરામાં પરોવી શકે છે જ ખરા કવિકર્મની સાહેદી છે.
સવારથી શરૂ થતો દિવસ સાંજે ફરી ઘરે પાછો વળે એ કાળક્રમને કવિનો કેમેરા બખૂબી ઝીલે છે. સવારે ઘરવાળી તક્તામાં કુમકુમનો ચાંલ્લો કરતાં-કરતાં મીરાંના પદ ગાતી જાય છે… દિવસ સૃષ્ટિના ખોળે વીતે છે અને દિવસના અંતે ઝાંપામાં પ્રવેશતાં જ વહાલના દીપ પ્રગટી ઊઠે છે…
Permalink
July 25, 2018 at 1:36 AM by વિવેક · Filed under કુતુબ આઝાદ, ગઝલ
મન માનવીનું એટલું માયામાં અંધ છે,
આંખો તો છે ઉઘાડી હૃદયદ્વાર બંધ છે.
લીધો છે એક શ્વાસ બીજો લઈ નહીં શકે,
પ્રત્યેક શ્વાસ વિશ્વથી છેલ્લો સંબંધ છે.
માગું છું ફૂલ જેવું જીવન હું મર્યા પછી,
ખર્યા પછીયે ફૂલમાં બાકી સુગંધ છે.
સથવારો જો પ્રકાશનો સાથે ન હોય તો,
જેને કહો છો આંખ એ આંખોયે અંધ છે.
મમતાના તાર મોતની સાથે તૂટી જશે,
કાલે નહીં જ હોય જે આજે સંબંધ છે.
અંતિમ ટાણે એટલી અમને સમજ પડી,
જીવન એ પાપકર્મનો મોટો નિબંધ છે.
‘આઝાદ’ રોકશો મા, ભલે એ વહી જતાં,
આંસુઓ પશ્ચાતાપનો તૂટેલ બંધ છે.
– કુતુબ ‘આઝાદ’
પરંપરાના શાયરની કલમે પરંપરાની ગઝલ પણ બીજા-ત્રીજા અને ચોથા શેરના કલ્પન એટલા મજબૂત છે કે આધુનિક કવિતામાંથી પસાર થતાં હોવાની અનુભૂતિ થયા વિના નહીં રહે.
Permalink
July 21, 2018 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, યેહુદા અમિચાઈ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની અસરકારક પહોંચનો વ્યાસ લગભગ સાત મીટર હતો,
જેમાં છે ચાર મૃતક અને અગિયાર ઘાયલ.
અને એની ફરતે, દર્દ અને કાળના
વધુ મોટા વર્તુળમાં, પથરાયેલ છે બે હૉસ્પિટલ
અને એક કબ્રસ્તાન. પણ યુવાન સ્ત્રી
જેને દફનાવાઈ, જ્યાંથી એ આવી હતી એ શહેરમાં
જે સો કિલોમીટરથીય વધુ અંતરે છે,
વર્તુળને નોંધપાત્ર રીતે વિસ્તારે છે;
અને દરિયાપારના એક દેશના દૂરના કિનારાઓ પર
એના મોત પર શોક કરનાર એકાકી પુરુષ
આખી દુનિયાને વર્તુળમાં સમાવી લે છે.
અને અનાથોના હીબકાંઓનો તો હું ઉલ્લેખ પણ નહીં કરું
જે પહોંચે છે ઈશ્વરના સિંહાસન સુધી અને
એથીય આગળ, એક વર્તુળ
બનાવતાં જેનો નથી કોઈ અંત અને નથી ઈશ્વર.
– યહુદા અમિચાઈ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
*
વિનાશનો કોઈ વ્યાસ હોતો નથી. એની અસર આપણા વિચારવર્તુળથી ક્યાંય આગળ સુધી પહોંચતી હોય છે. વિશાળ તળાવના શાંત પાણીમાં એક નાનો અમથો પથરો પડે પછી ઊઠતા વમળ લાંબા સમય સુધી દૂર-દૂર સુધી વિસ્તરતા રહે છે. પથ્થર તો પાણીની સપાટીને સેકન્ડના હજારમાં ભાગ જેટલીવાર જ માંડ અડતો હશે ને ઊંડે ગરકાવ થઈ જતો હશે પણ વમળ ક્યાંય સુધી વર્તુળાયા કરે છે. નાના અમથા પથ્થરના પાણીમાં પડવાની ક્ષણાર્ધથીય નાની અમથી ઘટનાને સમય અને ક્ષેત્રના પરિમાણથી માપવા બેસીએ ત્યારે જ સમજી શકાય છે કે દરેક નાની અમથી ઘટનામાંથી ઊઠતો પડઘો એ મૂળ ઘટના કરતાં અનેકગણો પ્રચંડ જ હોવાનો. બૉમ્બથી થતા પ્રલયનો કોઈ લય નથી હોતો અને વિનાશમાં પ્રાસ નથી હોતો.
વિસ્તૃત આસ્વાદ માટે મારી ફેસબુક વૉલ પર પધારો…
*
The Diameter of the Bomb
The diameter of the bomb was thirty centimeters
and the diameter of its effective range about seven meters,
with four dead and eleven wounded.
And around these, in a larger circle
of pain and time, two hospitals are scattered
and one graveyard. But the young woman
who was buried in the city she came from,
at a distance of more than a hundred kilometers,
enlarges the circle considerably,
and the solitary man mourning her death
at the distant shores of a country far across the sea
includes the entire world in the circle.
And I won’t even mention the howl of orphans
that reaches up to the throne of God and
beyond, making
a circle with no end and no God.
– Yehuda Amichai
(Eng Translation: Chana Bloch)
Permalink
July 20, 2018 at 2:26 AM by વિવેક · Filed under અછાંદસ, રીટા ડવ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
હું દૂધ છું અને દૂધ મારામાં છે!… હું મિકી છું!
મારી દીકરી એના પગ ફેલાવે છે
એની યોનિને શોધવા માટે:
વાળહીન, નામકરણનો
આ ભૂલભરેલ ભાગ
છે જેને અજાણ્યો સ્પર્શી નથી શકતો
તેણીના ચીસ પાડ્યા સિવાય. તેણી માંગ કરે છે
મારી યોનિ જોવા માટે અને ક્ષણ પૂરતાં
અમે એક અસમતોલ તારો છીએ
છલકાયેલાં રમકડાંઓ વચ્ચે,
મારા મોટા ભગોષ્ઠ
એના સુઘડ કેમિઓ સમક્ષ ઉઘાડા.
અને તોય એ જ ચળકતી
સુરંગ, બહુપરતીય અનુક્રમ.
એ ત્રણ વર્ષની છે: એ આને
નિર્દોષ બનાવે છે. આપણે ગુલાબી છીએ!
એ ચીખે છે, અને મર્યાદાઓ અંત પામે છે.
દર મહિને તેણી ઇચ્છે છે
એ જાણવા કે ક્યાં તકલીફ થાય છે
અને શું મતલબ છે મારા પગ વચ્ચેની
કરચલિયાળી દોરીનો. આ સારું લોહી છે
હું કહું છુ, પરંતુ એ પણ ખોટું છે.
એને શી રીતે કહેવું કે એ જ આપણને બનાવે છે-
શ્યામ માતા, ક્રીમ બાળક.
કે આપણે ગુલાબીમાં છીએ
અને ગુલાબી આપણામાં છે.
– રીટા ડવ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
શરીરની ઉજવણી અને સંબંધની પારદર્શિતાની આ કવિતા છે.
બાથરૂમમાં નહાતા હોઈએ અને અચાનક આપણું સંતાન દરવાજો ખોલીને અંદર આવી ચડે અને આપણને નિર્વસ્ત્ર જોઈ લે ત્યારે આપણી તાત્ક્ષણિક પ્રતિક્રિયા શું હોઈ શકે? શું આપણે સંતાનને ઝાટકી નાંખીએ છીએ? કે આપણી નગ્નતાથી શરમાયા વિના એની સાથે વાત કરવાની સાહજિકતા રાખી શકીએ છીએ? દિલ પર હાથ રાખીને આપણે આ વાતનો જવાબ આપવાનો છે. સંબંધના પારદર્શક સાયુજ્યની આ ચરમસીમા, સેક્સ-એજ્યુકેશનની બારાખડીનો પહેલો અક્ષર પ્રસ્તુત કવિતામાં આફ્રિકન-અમેરિકન કવયિત્રી રીટા ડવ લઈને આવ્યાં છે.
કવિતાના સંપૂર્ણ આસ્વાદ માટે મારી ફેસબુક વૉલ પર પધારો:
*
After Reading Mickey in the Night Kitchen for the Third Time Before Bed
I’m the milk and the milk’s in me! . . . I’m Mickey!
My daughter spreads her legs
to find her vagina:
hairless, this mistaken
bit of nomenclature
is what a stranger cannot touch
without her yelling. She demands
to see mine and momentarily
we’re a lopsided star
among the spilled toys,
my prodigious scallops
exposed to her neat cameo.
And yet the same glazed
tunnel, layered sequences.
She is three; that makes this
innocent. We’re pink!
she shrieks, and bounds off.
Every month she wants
to know where it hurts
and what the wrinkled string means
between my legs. This is good blood
I say, but that’s wrong, too.
How to tell her that it’s what makes us–
black mother, cream child.
That we’re in the pink
and the pink’s in us.
– Rita Dove
Permalink
July 19, 2018 at 2:25 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
આંખ સામે છે દર્દનાક બધું
તોય કહેવાનું ઠીકઠાક બધું
મેં રહસ્યોની હાટ ખોલી’તી
લઈ ગયા એક-બે ઘરાક બધું
જે સફર આદરી શક્યો જ નથી
એને છે ભૂખ, પ્યાસ, થાક બધું
સ્થળની ચોરી થઈ છે રાતોરાત
ક્યાં ગયાં ખેતરો ને પાક બધું ?
દોસ્ત, ના બોલ આંસુની ભાષા
એમને લાગશે મજાક બધું
કોઈ પાસેથી એ મળ્યું જ નહીં
મેં તો માંગ્યું હતું જરાક બધું
-હર્ષ બ્રહ્મભટ્ટ
કેવી સરળ ભાષા અને કેવી અર્થસભર વાત! આખી ગઝલ જ અદભુત!
Permalink
July 17, 2018 at 2:44 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
હૃદયમાં પ્રેમની પધરામણી સાથે વ્યથા આવી,
જીવનના પાલવે બંધાઈને જાણે કઝા આવી !
કોઈ સ્વપ્નસ્થનાં બીડાએલાં નયનો જુઓ ક્યાંથી !
કે એક બેચેનની આંખોને અડવા ઊંઘ ના આવી.
સ્મરણ-પુસ્તક અચાનક બંધ તેઓએ કરી દીધું,
લખેલી લોહીથી જ્યારે અમારી વારતા આવી.
ન કંટાળી જશો જીવન-સભાના પ્રિય શ્રોતાઓ !
ઊઠી જાઉં છું હું પોતે, કથા પૂરી થવા આવી.
સિતમનાં વાદળોએ એનું રૂપાંતર કરી દીધું,
દુઆ આકાશમાં જે ગઈ, બનીને આપદા આવી.
મહોબ્બતની મહામૂલી મળી સોગાદ બન્નેને,
હૃદયને જખ્મ દીધા, મારે ભાગે વેદના આવી.
જીવન-રજની હૃદયપટ પર હજી અંધાર રહેવા ડે,
મધુરું સ્વપ્ન તોડી નાખશે મારું, ઉષા આવી.
‘ગની’, હું કેટલો છું ક્રૂર એ આજે જ સમજાયું,
કે દુનિયાનાં દુઃખો જોયાં અને નિજ પર દયા આવી.
– ‘ગની’ દહીંવાલા
સરળ ભાષાના સરતાજ ગનીચાચાની રચનામાં રહેલું ઊંડાણ તો જુઓ !!!
Permalink
July 13, 2018 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અલ ઝોલિનાસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
હું જોઉં છું મારા ખભા પરથી
નીચે મારા બાવડાં
જ્યાં તેઓ પાણી હેઠળ ગાયબ થઈ જાય છે
હાથોમાં ગુલાબી હાથમોજાંની અંદર
વાળુની થાળીઓની વચ્ચે મજૂરી કરતાં.
મારા હાથ એક શરાબનો પ્યાલો ઊઠાવે છે,
એને વાટકાની નીચેથી અને દાંડીથી પકડીને.
એ સપાટી તોડે છે
મધ્યયુગીન તળાવમાંથી ઊઠતા
ધાર્મિક મદિરાપાત્રની જેમ.
ગૃહજીવનની ભૂખરી શરાબથી
છલોછલ, પ્યાલો તરી રહ્યો છે
મારી આંખો સમક્ષ.
એની પછીતે, બારીમાંથી
સિંક ઉપર, સૂર્ય, ચકલીઓ
અને નગ્ન ડાળીઓના સમારોહ વચ્ચે,
આથમી રહ્યો છે પશ્ચિમ અમેરિકામાં.
હું જોઈ શકું છું હજારો શીકર
વરાળની- દરેક એક સૂક્ષ્મ વર્ણપટ- ઊઠતી
મારી ભૂખરી શરાબના જામમાંથી.
તેઓ ઝોલાં ખાય છે, સતત
દિશાઓ બદલતાં રહીને- રમતિયાળ માછલીઓની શાળાની જેમ,
અથવા નકરા પડદાની જેમ
એક બીજી દુનિયા તરફની બારી પરના.
આહ, તુચ્છ લૌકિકતાના ભૂખરા ધર્મસંસ્કાર!
– અલ ઝોલિનાસ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
કવિતા શું છે? કવિતા ક્યાંથી આવે છે? કવિતા કોણ લખી શકે? સામાન્ય માણસને આવા પ્રશ્ન પૂછીએ તો જવાબ એમ જ મળે કે ભાઈ, કવિતા કંઈ બધાના વશની વાત નથી. It’s not everyone’s cup of tea. હકીકતમાં, કવિતા લખવી, ડીશ ધોવી અને ધ્યાન કરવું અલગ નથી, એક જ છે. વાસણ ઉટકવા જેવું બેકાર લાગતું કામ પણ કળાનો એક ઉત્તમ નમૂનો બની શકે છે, જો એમાં આપણે આપણી જાતને ઓગાળી દઈ શકીએ તો.
કવિતાના વિગતવાર આસ્વાદ માટે ફેસબુકની આ લિન્ક પર ક્લિક કરવા વિનંતી:
*
The Zen of Housework
I look over my shoulder
down my arms
to where they disappear under water
into hands inside pink rubber gloves
moiling among dinner dishes.
My hands lift a wine glass,
holding it by the stem and under the bowl.
It breaks the surface
like a chalice
rising from a medieval lake.
Full of the grey wine
of domesticity, the glass floats
to the level of my eyes.
Behind it, through the window
above the sink, the sun, among
a ceremony of sparrows and bare branches,
is setting in Western America.
I can see thousands of droplets
of steam- each a tiny spectrum- rising
from my goblet of grey wine.
They sway, changing directions
constantly- like a school of playful fish,
or like the sheer curtain
on the window to another world.
Ah, grey sacrament of the mundane!
– Al Zolynas
Permalink
July 12, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
ખમે છે ભાર જે મારો હું એ કણ-કણનો ૠણી છું,
છતાં માતા-પિતા, શિક્ષક- વિશેષ એ ત્રણનો ૠણી છું.
મળ્યું વર્ષો પછી તો જળ મને અમૃત લાગ્યું છે,
તરસ મારી વધારી છે સતત એ રણનો ૠણી છું.
ભલે છૂટાછવાયાં છે છતાં રેખાને જોડે જે
સીધી લીટીમાં રહેનારા એ બિંદુગણનો ૠણી છું.
કહ્યું’તું જેમણે કે એ મને કંઈ પણ નહીં આપે,
રહી છે આબરૂ તો એમના ‘કંઈ પણ’નો ૠણી છું.
મે ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ૠણી છું.
– સંદીપ પુજારા
બહુ સરળ ભાષામાં અલગ અલગ આયામ દર્શાવીને કવિ પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરે છે જે હૃદયને તરત જ સ્પર્શી જાય છે.
Permalink
Page 34 of 118« First«...333435...»Last »