આંખ હમારી ટપટપ ચૂઇ લૈ ઔર બાજી ઊઠે છે પાંપણ;
સાજ કરૈ કા ? સૂર ન અજહૂ સમ પર આવ્યા આયે ન બાલમ.
– નયન દેસાઈ

શ્રીભગવતી-સ્મરણ: ૦૨ : હું ચાલ્યો જઈશ…

ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કિનારો હોય કે મઝધાર : મારે શો ફરક પડશે?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

સ્મરણ એકેય રહેવા નહિ દઉં હું ઘરની ભીંતો પર;
છબીઓ સર્વ ફોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

મને ઘોડેસવારીનો અનુભવ તો નથી કિન્તુ,
સખત ચાબુક સબોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કથા પૂરી થવા આવી તો તેના અંતની સાથે,
તમારું નામ જોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

નદીકાંઠો, સ્વજનની હાજરી, સૂર્યાસ્તની વેળા,
ચિતામાં યાદ ખોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

– ભગવતીકુમાર શર્મા

લાંબા સમયથી નાદુરસ્ત તબિયતના શિકાર શ્રી ભગવતીકુમાર શર્માનો ક્ષરદેહ ગઈકાલે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો… એમની પ્રસ્તુત ગઝલના ત્રણ શેર લયસ્તરો સહિત ઇન્ટરનેટ પર સતત ફરતા જોવા મળી રહ્યા છે પણ આખી ગઝલ આજે અહીં પહેલીવાર રજૂ કરીએ છીએ…

કવિએ જાણે પોતાની વિદાય માટે જ લખી હોય એવી આ ગઝલ વાંચતાં આંખ ભીની થયાં વિના નહીં રહે…

2 Comments »

  1. JAFFER Kassam said,

    September 6, 2018 @ 7:36 AM

    અંધારું છે એથી ના દેખાઉં પરંતુ,
    દૂર કરીશ તું ક્યાંથી ? તારો પડછાયો છું.

  2. ketan yajnik said,

    September 6, 2018 @ 5:05 PM

    ખુુુબ જ સુુ્ઁઁદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment