અનિલ ચાવડાની ગઝલો આજની ગુજરાતીનું ઘરેણું છે. બહુ ઓછા કવિઓ સમજીને આ કાવ્યપ્રકારમાં ખેડાણ કરે છે. બહુ ઓછા કવિઓ પોતાની રચનાઓના સારા-નરસા પાસાંઓ વિશેની ચર્ચાને મોકળા મને આવકારે છે. પ્રતિષ્ઠાના સર્વોત્કૃષ્ટ મુકામે પહોંચ્યા પછી પણ અનિલે આ મોકળાશ અને સાલસતા ગુમાવી નથી એની પ્રતીતિ એ સતત કરાવ્યે રાખે છે… કવિતાના આસ્વાદના સ્થાને આજે આ આડવાત એટલા માટે કે….
પ્રેમીની જોડી તૂટે તો થાય શું બીજું
પક્ષીને ચાહવામાં પક્ષી મરી ગયું
નીકળ્યું હતું ઘરેથી આકાશ આંબવા
પથ્થરના એક ઘામાં પક્ષી મરી ગયું
– મેહુલ પટેલ ‘ઈશ’
તમસા નદીમાં સ્નાન કરતી વખતે વાલ્મિકીની નજર સામે કોઈકે એક સારસનો વધ કર્યો અને સારસબેલડીમાં બચી ગયેલ પાત્રે માથું પટકી પટકીને પ્રાણત્યાગ કર્યા એ જોઈને ઋષિમુખેથી એક શ્લોક સરી પડ્યો અને રામાયણની રચના થઈ… આવી જ કોઈ ક્ષણે ઘરમાં પાળેલ પક્ષી અકસ્માત મૃત્યુ પામતાં આજના કવિના હૈયેથી એક ગઝલ સરી આવી છે… માણીએ…
‘અહાહા’, ‘વાહ’, ‘દોબારા’, અને ‘ક્યા-બાત’ વાગે છે,
ગઝલને દાદ રૂપે ફેંકો એ ખેરાત વાગે છે.
ગતિથી અળગા થઈને સહેજ શું થંભી ગયા વચમાં,
હવે ઠોકરની જગ્યાએ આ યાતાયાત વાગે છે.
કશુંક આવીને મારામાં ધૂણે છે કંઈક સદીઓથી,
કે ભીતર ડાકલા ઝીણા દિવસ ને રાત વાગે છે.
નગારા, ઘંટ, મંજીરા, પૂજારી, શંખ ને ઈશ્વર,
સજીવન થઈ ઊઠે ઘડિયાળમાં જ્યાં સાત વાગે છે.
ઉપરથી આભ વરસે છે, ઉપરથી આપ વરસો છો
આ છાંટાથી વધારે તો તમારી વાત વાગે છે.
જરા જો શ્વાસમાં આવી ભળે તરણેતરી મેળો,
આ પાવા જોડમાં આખું પછી ગુજરાત વાગે છે.
ઘણી ખમ્મા આ મારા જખ્મકેરા શિલ્પકારોને,
તમારી ભાત વાગે છે, પ્રસંગોપાત વાગે છે.
– જુગલ દરજી
ગઝલનું સામાન્ય જનમાનસ સુધી પહોંચવું કદાચ મુશાયરાઓ વિના સંભવ જ નહોતું પણ એ જ મુશાયરાઓએ ગઝલને જે ક્ષતિ પહોંચાડી છે અને કવિતાના સ્તરના કથળવામાં જે દુસ્સહાય કરી છે એ આજે અસહ્ય બન્યું છે. અર્થ વિનાની દાદ ગઝલનું પોષણ નહીં, કવિતાનું શોષણ કરે છે. આવા મજાના મત્લાથી શરૂ થતી આખી ગઝલ જો કે એવી મજાની થઈ છે કે કવિના મત્લાને બાજુએ મૂકીને પણ અહાહા, વાહ, દોબારા, ક્યા બાત કહેવાનું મન થઈ જાય…
તેઓ ભીના છે એ ત્વચાને આવરવા
જે રોમાંચે છે, સળગી રહી છે,
ફૂટી રહી છે ઇચ્છાના પ્રસ્વેદોમાં-
મીઠા રસ કલ્પનાઓના.
પણ હકીકતમાં તો, હું હજી અડ્યોય નથી
તને. કમ સે કમ, હજી સુધી તો નહીં જ.
– સુદીપ સેન
(અનુ.: વિવેક મનહર ટેલર)
ઇચ્છા એટલે માચિસને અડ્યા વિના જ સળગી ઊઠતી દિવાસળી. અતૃપ્ત ઇચ્છાઓ આપણને જીવનભર કેદમાં રાખે છે. અધૂરી ઇચ્છાઓ માણસને અટકવા દેતી નથી. ઇચ્છાઓ અને અપેક્ષાઓ આપણા જીવનનું પ્રમુખ ચાલકબળ છે. અપેક્ષાના એવેરેસ્ટ પર પર્વતારોહણની મજા બેવડી-ત્રેવડી નહીં, અનેકગણી વધી જતી હોય છે. ઇચ્છા શરીર જેવા શરીરને ટપી જાય છે. ભારતીય અંગ્રેજી કવિ સુદીપ સેન શારીરિક પ્રેમના સંદર્ભમાં ઇચ્છા સાક્ષાત્ શરીરથીય વધુ પ્રાધાન્ય કેવી રીતે મેળવે છે એની વાત કરે છે.
કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે.
Desire
Under the soft translucent linen,
the ridges around your nipples
harden at the thought of my tongue.
You — lying inverted like the letter ‘c’ —
arch yourself deliberately
wanting the warm press of my lips,
it’s wet to coat the skin
that is bristling, burning,
breaking into sweats of desire —
sweet juices of imagination.
But in fact, I haven’t even touched
you. At least, not yet.
ક્રિયાપદને ‘હાઇલાઇટ’ કરીને કવિએ એમની પાસેથી જે રીતે કામ કઢાવ્યું છે એ કાબિલે-દાદ છે. પ્રિયપાત્ર આવશે-આવશેની વિફળ પ્રતીક્ષામાં રત આંખોને હવે થાક લાગ્યો છે ને અફસોસ પણ થાય છે એ વાતનો કે આવશે-આવશેની રાહ જોયે રાખી બેસી રહેવાના બદલે જરા તસ્દી લઈને જાતે જ એ દિશામાં ચાલી કાઢ્યું હોત તો કદાચ કોઈ પરિણામ હાથ આવત… જે અંતર કાપવાનું બાકી રહી ગયું એ ન કપાયેલા અંતરનો હવે પગને થાક લાગે છે. કેવો અદભુત મત્લા! સરવાળે સાદ્યંત સુંદર ગઝલ…
December 27, 2018 at 1:19 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
‘ચિત્રલેખા’ જેવું માતબર ગુજરાતી સામયિક ગુજરાતી કવિતાઓની સૌથી વિશાળ વેબસાઇટની વિગતવાર નોંધ લે ત્યારે હર્ષોલ્લાસની લાગણી તો જન્મે જ ને…! અને આ ગૌરવવંતી પળ આપ જેવા વાચકોના સ્નેહ વિના શક્ય જ નહોતી એટલે આ પળે ચિત્રલેખા, પત્રકાર ફયઝલ બકીલી તથા આપ સહુનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…
આજે ક્રિસમસના દિવસે આજેબાજુ આખું ન્યુયોર્ક ઝળહળ ચમકી રહ્યું છે. આ રંગો અને રોશની જોવાને દૂર દૂરથી લોકો અહીં ઉમટે છે. આ બધી ઝાક્ઝમાળની વચ્ચે અમારા જેવા બેવતન લોકોને પોતાનું શહેર યાદ આવે છે. સુરતમાં જન્મીને, સુરતમાં જ છેલ્લા શ્વાસ સુધી જીવવાના સદભાગી ભગવતીકુમાર શર્માનો સુરતના નામે આ લવ-લેટર છે. ભગવતીકુમાર સુરતને માશૂકાની જેમ કેવા લાડ લડાવે છે એ જુઓ. અમારા જેવા NRS (એટલે કે નોન-રેસિડન્ટ સુરતી) લોકો માટે તો આ નકરો નશો છે!
મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને, બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.
રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’ ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.
. મરીઝ
મરીઝની બહુ જાણીતી ગઝલ આજે યાદ આવી. આમ તો બધા જ શેર સરસ છે. પણ ગઝલ યાદ આવવાનું કારણ ‘હદથી વધી જઈશ તો …’ એ શેર છે. બિંદુને સુક્ષમતા સાથ અનંતતા પણ મળેલી છે. જે એ સૂક્ષમતા જો ગુમાવી દે તો અનંતતા પણ ગુમાવી દે. પોતાની સીમાની પરખ રાખવી બહુ મોટી વાત છે.
ક્ષણાર્ધ બેદરકાર અને મેં મારા બાળકના આંગળા બારસાખમાં કચડી નાંખ્યા. તેણીએ
શ્વાસ રોકી લીધો, આખેઆખી અમળાઈ ઊઠી, ભ્રૂણ-પેઠે
પીડાની બળબળતી હકીકત સામે. અને એક પળ માટે
મેં ઇચ્છ્યું કે હું વિખેરાઈ જાઉં સેંકડો હજાર ટુકડાઓ થઈ
મૃત ચળકતા તારાઓમાં. બચ્ચી આક્રંદી ઊઠી,
એ મને વળગી પડી, અને મને સમજાયું કે તે અને હું કઈ રીતે
પ્રકાશ-વર્ષો વેગળાં છીએ કોઈ પણ પારસ્પરિક સહાય કે આશ્વાસનથી. એના માટે મેં બી વેર્યાં’તા એની માના ગર્ભમાં; કોષ વિકસ્યા અને એક અસ્તિત્વ તરીકે આકારાયા:
કશું જ એને મારા હોવામાં પુનઃસ્થાપિત નહીં કરે, અથવા અમારામાં, કે એની માતામાં પણ જેણે
પોતાની અંદર
એને ધારી અને અવતારી, અને જે એના નાળવિચ્છેદ પર રડી હતી, મારી તમામ ઇર્ષ્યા ઉપરાંત,
કશું જ પુનઃસ્થાપિત નહીં કરી શકે. તેણી, હું, મા, બહેન, વસીએ છીએ વિખેરાઈને મૃત ચળકતાં તારાઓ વચ્ચે:
અમે છીએ ત્યાં અમારા સેંકડો હજાર ટુકડાઓમાં !
– ડેવિડ હૉલબ્રુક
અનુ. વિવેક મનહર ટેલર
પ્રેમ ગમે એટલો સાચો કેમ ન હોય, સંબંધ ભલે ને પાકા હોય પણ શું કોઈ કોઈની પીડામાં સહભાગી થઈ શકે ખરું? એક સ્નેહીજનની તકલીફ બીજો અનુભવી શકે? એક આપ્તજનના સંવેદનમાંથી સાચા અર્થમાં બીજો કદી પણ પસાર થઈ શકે? માનવસંબંધોની મર્યાદાઓ પર નગ્ન પ્રકાશ ફેંકતી ડેવિડ હૉલબ્રુક ની આ તેજાબી કવિતા પચાવવી જરા અઘરી છે…
કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે: http://tahuko.com/?p=17654
Fingers in the Door
Careless for an instant I closed my child’s fingers in the jamb. She
Held her breath, contorted the whole of her being, foetus-wise against the
Burning fact of the pain. And for a moment
I wished myself dispersed in a hundred thousand pieces
Among the dead bright stars. The child’s cry broke,
She clung to me, and it crowded in to me how she and I were
Light-years from any mutual help or comfort. For her I cast seed
Into her mother’s womb; cells grew and launched itself as a being:
Nothing restores her to my being, or ours, even to the mother who within her
Carried and quickened, bore, and sobbed at her separation, despite all my envy,
Nothing can restore. She, I, mother, sister, dwell dispersed among dead bright stars:
We are there in our hundred thousand pieces!
કવિતાને વિષયનો છોછ નથી. સાવ ક્ષુલ્લકથી લઈને અત્યંત મહત્ત્વપૂર્ણ વસ્તુઓ કવિ માટે વિષયવસ્તુ બની શકે છે. ગીતો તો આપણે હજારો વાંચ્યાં હશે પણ અહીં જે ગીત છે એ વિષય પર કદાચ ક્યારેય કોઈ કવિતા લખાઈ નહીં હોય એવું મારું માનવું છે… એક જ સ્થિતિમાં શરીરનું કોઈ અંગ પડી રહે અને જે-તે ભાગના ચેતાતંતુઓ લાંબા સમય સુધી એકધારા દબાણના કારણે હંગામી ધોરણે લકવાગ્રસ્ત થઈ જાય ત્યારે આપણને ‘ખાલી’ ચડી જતી હોય છે. જે ભાગમાં ખાલી ચડી હોય એને થોડીવાર આમતેમ હલાવીએ એટલે પૂર્વવત્ થઈ જવાય… આ ઘટના દરેકના જીવનમાં કેટલીયવાર બનતી હશે પણ ભાગ્યે જ કોઈ કવિતાને આવી અર્થહીન ઘટનામાં કવિતા નજરે ચડતી હોય છે.
જમણા હાથના અંગૂઠેથી થઈને ખાલી એવી ભરાઈ છે કે નાયિકાનું આખુંયે અસ્તિત્વ એની અસરમાં આવી ગયું છે. આંગળીઓ કામ ન કરી શકે એવી નોંધારી થઈ ગઈ છે, શાહીનો ખડિયો વાપરી ન શકાય એવી હાલત થઈ છે, કાગળ પર અક્ષરોની નાની-નાની જ્યોત ઝળહળતી હતી, એ જ્યોત ખાલીની ફૂંકે ઓલવાતી જાય છે. ને નાયિકા ખાલી ઉતરાવવા નીકળે છે. ખાલીના પ્રતાપે ખાલીપો અનુભવાય છે. નાયિકા ઠમ-ઠામ ભટકે છે ને લખવાના બાકી રહી ગયેલાં ગીતો રઝળી પડ્યાં છે. વૈદરાજને ખાલી ચડેલી હથેળીમાં હાથલો થોર નજરે ચડે છે… કેવું અદભુત રુપક! ખાલી ચડે ત્યારે સાચે જ હથેળીમાં એવા કાંટા ભોંકાતા હોય છે જાણે હાથ હાથલો થોર ન હોય! જોશી-ભૂવા બધા જ નિષ્ફળ જાય છે ત્યારે નાયિકાના મનનો માણીગર આવીને રક્તધાર કરે છે ને ખાલી દૂર થાય છે… આ શોણિતની ધાર પ્રેમની ધાર છે, સુહાગની ધાર પણ હોઈ શકે… પણ નાયિકાના જીવતરનો કાગળ રાતા રંગે છલકાઈ ઊઠે છે… શું કહીશું આ ગીતને? ખાલીનું ભરેલું ગીત?
December 20, 2018 at 12:25 AM by વિવેક · Filed under અછાંદસ, ભરત ઠક્કર
બપોરના ત્રણ વાગ્યા પછીનો સમય છે.
આજની બપોર અતિ શાંત છે.
પવન જંપી ગયો છે.
વાદળ બધાં સ્થિર છે.
એરોપ્લેનની પાતળી ધૂમ્રસેર
આકાશના શરીર પર કાપો પાડી રહી છે.
લોહીનો છાંટોય જોવા મળતો નથી.
બેકયાર્ડમાં તડકો છે.
સસલાં આરામ કરે છે.
ફળો ફૂલો ગરમીમાં તપ કરે છે.
ઘરમાં એર કન્ડિશનર ચાલુ છે.
મને ચેન પડતું નથી.
આજે સ્ટૉક માર્કેટ ડાઉન છે.
– ભરત ઠક્કર
તેર પંક્તિના નાનકડા કાવ્યમાં એક પંક્તિને બાદ કરતાં બધા જ વાક્ય પંક્તિના અંતે પૂરા થઈ જાય છે. ટૂંકા વાક્યો અને દરેક પંક્તિના અંતે આવતા પૂર્ણવિરામ ‘અતિ શાંત’ બપોરની શાંતિનો અહેસાસ કરાવે છે. આ એવી બપોર છે જ્યાં બધું જ આરામમાં છે અને કવિએ આ કાવ્યરીતિ સાયાસ પ્રયોજી હોય કે અનાયાસ, એ કવિતાના ભાવને દૃઢીભૂત કરવામાં ખાસ્સી ઉપકારક બને છે. એરોપ્લેનમાંથી પાછળ વછૂટતી પાતળી ધૂમ્રસેર જાણે કે છરી છે અને આકાશને બે ભાગમાં ચીરી રહી છે પણ બપોરે ત્રણની આસપાસનો સમય હોવાથી ક્યાંય લાલાશ નજરે ચડતી નથી. કવિ આસપાસ ઉપસ્થિત તમામ પ્રકૃતિત્ત્વના સ્થિતિભાવને જુએ છે. બહાર ગરમી છે પણ શાંતિ છે. અંદર વાતાનુકૂલન છે પણ બેચેની છે કેમકે સ્ટૉક માર્કેટમાં આજે કડાકો થયો છે…
પરોઢના તડકામાં અંધારાની સાથે માણસ પોતે પણ પીગળતો જાય છે. તડકો સંવેદનના એક પછી એક પડને પીગળાવીને છેક અંદરથી માણસને ‘જ્ગાડી’ દે એ અનુભૂતિને કવિએ અદભૂત રીતે રજૂ કરી છે.
દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયાં છે. આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય. ભીંજાવું અને દાઝવું એક જ છે.
સાગરના તળિયેથી જયારે હું બહાર આવું ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય. હું મરજીવો નથી હું કવિ છું. જે છે તે કેવળ મારી આંખોમાં.
-સિતાંશુ યશશ્ચંદ્ર
સર્જનપ્રક્રિયાનું વર્ણન અહીં કવિ સમુદ્રના રૂપકથી કરે છે.
ભાષાને સમુદ્ર કહી છે. દેવો અને દાનવોએ – એટલે કે જગતના સારા અને નસરા પરિબળોએ- વલોવીને સરળ કરી નાખી એ પહેલાની ભાષા સુધી કવિ પહોંચ્યા છે. ભાષા પહેલા શબ્દ હતો ને શબ્દ પહેલા સ્વર હતો. ને એનાથી ય પહેલા આદિ રવ હતો – એને પુરાણોમાં નાદ-બ્રહ્મ કહ્યો છે. આપણે ત્યાં વેદના સમયથી નાદ-બ્રહ્મ નો મહિમા છે. સાહિત્ય અને સંગીત બધું એમાંથી ઉતારી આવ્યું છે. ખરા કવિ થવું હોય તો એ નાદ-બ્રહ્મ સુધી પહોંચવું પડે.
વડવાનલ એ સર્જનપ્રક્રિયા સાથે વણાયેલી વેદનાનું પ્રતીક છે. ભીંજાવું (એટલે કે સર્જન કરવું) અને દાઝવું (એટલે કે વેદનામાંથી પસાર થવું) બન્ને અભિન્ન છે.
કવિ ભાષા-સાગરમાં ડૂબકી મારીને આવે તો શું લઈને આવે? એ ભૌતિક કિંમત ધરાવતું કાંઈ ના લાવે. એ તો માત્ર લાવે – આંખમાં નવી ચમક, નવા વિચારો, નવી રચનાઓ!
આ કવિતા મારા દિલની બહુ નજીક છે. વારંવાર હું આ કવિતા વાંચતો રહું છું. કવિએ જે વાત સર્જનપ્રક્રિયા મારે કરી છે એ જ વાત બીજા કોઈ પણ કામને લાગુ પડે છે. કોઈ પણ ચીજનો ખરો અભ્યાસ કરવો હોય તો એના મૂળ સુધી ઉતારવું જોઇએ. અને વેદનામાંથી- જેને આજની ભાષામાં લર્નિગ કર્વ કહે છે- પસાર થવાની તૈયારી રાખવી જ પડે. સાચો અભ્યાસ કર્યા પછી જે જ્ઞાન મળે છે તેને ઉંચકીને ફરવું પડતું નથી. એ તો આંખમાં સ્વતઃ ચમકતું રહે છે.
મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન) સંખ્યાબંધ લોકોની આંખ સામે ધોળે દહાડે ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે મરવાનું અંગત કાર્ય કરી ગયો એને આજે વરસો થયાં.
હવે સમય પાકી ગયો છે કે હું એને અંજલી આપું; એની કરુણભવ્ય ગાથા રચું; જેથી કેટલાક વધુ માણસો જાણે કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો. ભડનો દીકરો હતો એ, તડ ને ફડ હતો એ, મને એકંદરે ગમતો.
શરૂઆતરૂપે હું કહી શકું કે મથુરાદાસને ધરતીનો લગાવ હતો. એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો, મન મૂકીને ખડખડ હસતો, તક મળ્યે બહારગામ જઈ રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો, ઝનૂની ઘોડાઓ પલાણતો, અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ તારાઓની નિકટમાં સૂઈ જતો.
( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો. એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)
પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં. ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો’રે. દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા ખાઈને પડી રે’વું. કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ, ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા. બધે અજવાળું વિખેરાતું હતું, જાણે. – મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.
(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ. કદાચ તમારી ઓફિસનો બોસ સાવ સામાન્ય ગુમાસ્તામાંથી આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય. તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય. મથુરાદાસનું તો જાણે… સમજ્યા.)
જોકે મારે ઉમેરવું જોઈએ કે પાછલાં વરસોમાં મથુરાદાસ સામે અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું એના શરીરે. તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં. વગડાઉં કાગડાનો પગ તૂટી જાય, પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે, ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન, એવી કપરી સ્થિતિ એની થઈ હતી. પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો. આ મોત સાથેનો પ્રવાસ હતો, અને હંમેશા તેણે એ સહપ્રવાસીની ઠેકડી ઉડાવી.
(માળું આયે તમને નહિ જામે. કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે. ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)
તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ, હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી. વાતચીત કે વર્ણનોથી હું એક્કેય વાઙમયમંદિર ચણી શકતો નથી, કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી તારા સંદર્ભના નગ્ન ડિલ પર. એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી, ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.
– ઉદયન ઠક્કર
આ કાવ્ય કોઈને સમજાવવું પડે એવું નથી. કથા આ કાવ્યમાં સહજતાથી વહે છે. વચ્ચે કવિની ટિપ્પણી પણ એટલી જ સહજતાથી આવે છે. અને છેલ્લે ઉઘડે છે કવિતાનું હાર્દ. આધુનિક કથા-કાવ્યો આપણે ત્યાં ઓછા જ છે. ‘કથા-કાવ્ય’ને ખાલી ‘કથા’ થઇ જતા રોકાવું એ એક અઘરી કળા છે. અહીં એ કળા તમે બખૂબી નિહાળી શકો છો. ભીની થયેલી આંખને સહેજ લૂછી લેજો અને કવિતાની સચ્ચાઈને એક સલામ કરી લેજો .. આ કવિતા માટે એનાથી ઓછું કાંઈ ચાલશે નહિ, ને એનાથી વધારે આ કવિતાને કાંઈ ખપશે નહિ.
मुझे स्वीकार हैं वे हवाएँ भी
जो तुम्हें शीत देतीं
और मुझे जलाती हैं
किन्तु
इन हवाओं को यह पता नहीं है
मुझमें ज्वालामुखी है
तुममें शीत का हिमालय है
फूटा हूँ अनेक बार मैं,
पर तुम कभी नहीं पिघली हो,
अनेक अवसरों पर मेरी आकृतियाँ बदलीं
पर तुम्हारे माथे की शिकनें वैसी ही रहीं
तनी हुई.
तुम्हें ज़रूरत है उस हवा की
जो गर्म हो
और मुझे उसकी जो ठण्डी!
फिर भी मुझे स्वीकार है यह परिस्थिति
जो दुखाती है
फिर भी स्वागत है हर उस सीढ़ी का
जो मुझे नीचे, तुम्हें उपर ले जाती है
काश! इन हवाओं को यह सब पता होता।
तुम जो चारों ओर
बर्फ़ की ऊँचाइयाँ खड़ी किए बैठी हो
(लीन… समाधिस्थ)
भ्रम में हो।
अहम् है मुझमें भी
चारों ओर मैं भी दीवारें उठा सकता हूँ
लेकिन क्यों?
मुझे मालूम है
दीवारों को
मेरी आँच जा छुएगी कभी
और बर्फ़ पिघलेगी
पिघलेगी!
मैंने देखा है
(तुमने भी अनुभव किया होगा)
मैदानों में बहते हुए उन शान्त निर्झरों को
जो कभी बर्फ़ के बड़े-बड़े पर्वत थे
लेकिन जिन्हें सूरज की गर्मी समतल पर ले आई.
देखो ना!
मुझमें ही डूबा था सूर्य कभी,
सूर्योदय मुझमें ही होना है,
मेरी किरणों से भी बर्फ़ को पिघलना है,
इसी लिए कहता हूँ-
अकुलाती छाती से सट जाओ,
क्योंकि हमें मिलना है।
– दुष्यंत कुमार
અછાંદસના બાદશાહ દુષ્યંતકુમારની રચના મૂકવાની લાલચ રોકી ન શક્યો – શીર્ષકમાં કવિ સ્પષ્ટ કરી દે છે કવિતાનો ભાવાર્થ, પણ સુંદરતા કાવ્યતત્વની છે. અંતિમ પંક્તિમાં જે નિર્ધાર છે તે સમગ્ર કાવ્યને એક relevance પૂરું પાડે છે અને આખા કાવ્યમાં જે એક હઠ નો, એક ગર્વનો, એક અધિકારનો સૂર છે તેની હેઠળ જે અમાપ સ્નેહ છુપાયેલો છે તેને છતો કરે છે. કનૈયાલાલ મુનશીની મંજરી યાદ આવી જાય એવી નાયિકા છે અને નાયક પરશુરામના અવતાર સમો છે….. એકત્વ પામવું નક્કી છે- બાકીનું બધું જોયું જશે……
હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે
હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.
હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં
તેં મારા માટે વધારે કર્યું છે.
તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.
– અનામી [અંગ્રેજી]
– અનુવાદ: જગદીશ જોષી
કવિશ્રીના જ શબ્દોમાં – ” મને તો આ કૃતિ નખશિખ ગમે છે કારણ કે એમાં સચ્ચાઈનો રણકો છે. સાદગીની શોભા છે અને વહાલની વેધકતા છે. એક જ વાક્યમાં કહીએ તો એ મૈત્રીનું ઉપનિષદ છે. ”
વધુ કશું બોલવું જરૂરી નથી – હા, માત્ર અલ્પ ફેરફાર કરીએ તો આ જ વાત પ્રેમ અને લગ્ન [સાચા અર્થમાં લગ્ન – બે હૈયાનું આધ્યાત્મિક અને દૈહિક ઐક્ય]ને પણ સચોટ લાગુ પડે છે……
જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું !
પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત.
રોજ એક નવા કેદીને હાથ-પગ બાંધીને
મારા પર સુવડાવવામાં આવે છે.
એ ખૂબ તરફડે છે પણ મોઢામાંથી એક હરફ બોલતો નથી,
થોડીવારમાં મરી જાય છે.
છેક બીજા દિવસે સિપાહીઓ એને ઊપાડી જાય છે.
હું ઠંડીગાર, સ્થિતપ્રજ્ઞ પડી રહું છું.
એણે એકરાર ન કરેલા ગુનાઓ મારામાં સમાઈ જાય છે.
હું એવી જ અકથ્ય, વધારે ને વધારે જિદ્દી બનતી જઉં છું.
મારામાંથી પણ એક ટીપું યે બરફ
પાણી બનીને વહેતો નથી.
જેલના લોખંડી સળિયાઓ પાછળ
કડક ચોકી-પહેરા વચ્ચે હું પડી છું.
જેલર એનો પગ મારા પર ટેકવીને, થાકેલો ઊભો છે.
એના બુટની અણીદાર ખીલીઓ મને ઉઝરડા પાડે છે.
એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે.
મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે…
– મનીષા જોષી
અછાંદસ રચનાઓમાં એક સાંપ્રત-બળકટ પ્રતિભા એ મનીષા જોશી.
તેઓની મોટાભાગની રચનાઓની જેમ આ રચનાને પણ એક થી વધુ રીતે મૂલવી શકાય…..કાળની થાપટો ખાઈખાઈને સંવેદનહીન બની ચૂકેલો માંહ્યલો હોઈ શકે બરફની પાટ…..એક સામાજિક ચેતનાનું મૂર્ત સ્વરૂપ હોઈ શકે બરફની પાટ…..એક ચિત્ત, કે જેના પાર અસંખ્ય સંસ્કારો અમીટ છાપ છોડી જતા હોય છે તેવું ચિત્ત હોઈ શકે બરફની પાટ……જેવી જેની પ્રજ્ઞા…..
લાંબા લાં…બા અછાંદસ કાવ્યોમાં પોતાના અસ્તિત્વનો ખાલીપો રેડ્યે જનાર કવિઓ માટે આ અછાંદસ કાવ્ય લાલ બત્તી ધરે છે. અહીં, એક પણ શબ્દ, સૉરી, એક અક્ષર પણ વધારાનો નથી. સાવ પાંચ જ પંક્તિઓ અને ૧૨ જ શબ્દોમાં કવિએ અદભુત કામ કર્યું છે…
કવિતા કોને કહે છે ? થોડા ચબરાકીભર્યા શબ્દોની કોઈક નિયમાનુસાર ગોઠવણી ? પતંજલિએ કહ્યું હતું, एक: शब्दः सम्यगधीतः सम्यक प्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति | એરિસ્ટોટલે કહ્યું હતું, The object of poetry, as of all the fine arts, is to produce an emotional delight, a pure and elevated pleasure. આ લઘુકાવ્ય આ બંને શરતો પર ખરું ઉતરતું જણાય છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગથી કવિએ અહીં આખું શબ્દચિત્ર તાદૃશ કરી આપ્યું છે… દિવસના અજવાળામાં આકાશ ધરતીથી ઉપર અને અલગ નજરે ચડે છે પણ અંધારું ઉપર-નીચે, દૂર-નજીક બધાંયને એક જ રંગે રંગી નાંખે છે. અંધારામાં બધું ઓગળી જાય છે એટલે આકાશ પણ જાણે ધરતીનો જ એક હિસ્સો બની ગયું છે… પ્રભાતે પંખીઓ સહુથી પહેલાં ઊઠીને અજવાળાંની સાથોસાથ જાણે આકાશને અધ્ધર ઊંચકી ન લેતાં હોય !
પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.
એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.
સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.
સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.
-રમેશ પારેખ
અછાંદસ કવિતા કેવી હોવી જોઈએ એ સવાલનો જવાબ આ કવિતા તંતોતંત આપી શકે એમ મને લાગે છે… ર.પા.નું આ અછાંદસ કાવ્ય તો ખરી કવિતાની વિભાવના સમજવામાં પણ ખાસ્સી મદદ કરે એવું છે.
કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. ધક્કેલ્યુંમાં આવતો બેવડો ‘ક’કાર નાવને સમુદ્રમાં આગળ ધકેલવાની ક્રિયાને વધુ વેગવંતી બનાવી કાવ્યને વધુ દૃશ્યક્ષમ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત કરે છે. કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે સમુદ્ર પડકાર સમો ઊભો છે અને હોડીમાંના વધારે પડતા વજન સામે ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. નાયક એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં એ હલેસાં હોમે છે, પછી પોતાના પગ, પછી હાથ અને છેલ્લે આખેઆખું ધડ હોમી દે છે.
આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. ત્રણવાર પુનરાવર્તિત થતા એક જ વાક્યમાં ખડખડ શબ્દનું સ્થાન બદલીને કવિ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે.
ધડના હોમવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે અને આખી સૃષ્ટિ આવી ઊભે છે. હવાઓનું ચિરાઈ જવું, આકાશના રંગોનું ભર ભર ખરી પડવું અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થવાં આ ઘટનાઓ કવિ શબ્દમાં આલેખે છે પણ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સામે મૂર્ત થાય છે, સાકાર થાય છે. આ કવિના શબ્દની સાચી તાકાત છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખુલે છે.
અંતે નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરીને ચુપ થઈ જાય છે. આગળ વધવાની ઈચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. વહાણમાં પડી રહેલા બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. અને એ માથામાં થતી વીજળીઓને કાળી સંબોધીને કવિ વહાણવટા પાછળના આંધળૂકિયા સાહસ સુધી અર્થવલયોનું વિસ્તરણ કરે છે.
અહીં મનુષ્યને તમે ખતમ કરી શકો પણ એને તમે પરાસ્ત નહીં કરી શકો એવી વિભાવના ઉજાગર થાય છે….
જલાશય આવે એટલે વળાવવા આવનારે
પાછા વળી જવું,
તમે પગ ઉપાડ્યો
અને આંખો તો મારી છલકી ઊઠી !
જલાશય આવી ગયું.
હું હવે પાછો વળું.
-પ્રિયકાન્ત મણિયાર
પ્રસ્તુત કવિતા સાચા અર્થમાં અછાંદસ કવિતા કોને કહેવાય એ સમજવા માટેના ઉત્તમ ઉદાહરણોમાંની એક ગણી શકાય. શબ્દોની યોગ્ય કરકસર, ભાવની સઘનતા અને એક-બે લસરકામાં જ આખું ચિત્ર દોરી આપવું- આ બધું જ આ કવિતામાં ઉપસ્થિત છે.
છ જ પંક્તિની લઘુત્તમ કવિતામાં એકેય અક્ષર કે એકેય ચિહ્ન પણ અનાયાસ વપરાયા નથી. ગામડામાં રિવાજ છે કે મહેમાન પાછો વળતો હોય ત્યારે એને વળાવવા જવું અને ગામના પાદરે જ્યાં જલાશય આવે ત્યાંથી વળાવનારે પાછા ફરવું. અહીં પાછા વળી જવું વાક્ય પછી કવિએ પૂર્ણવિરામ વાપરવાને બદલે અલ્પવિરામ વાપર્યું છે. આ અલ્પવિરામ નવોઢા પગના અંગૂઠા વડે ઘૂળમાં જે કુંડાળા કરે એવા સંકોચનો શબ્દાકાર છે જાણે. પછીની પંક્તિમાં પગ ઉપાડ્યાના બદલે ઉપાડ્યો શબ્દ પણ એટલો જ સૂચક છે. હજી તો જનારે ચાલવાની શરૂઆત પણ નથી કરી. ચાલવા માટે બંને પગ ઉપાડવા પડે, જ્યારે અહીં તો હજી એક જ પગ ઉપાડ્યો છે એટલે હજી તો જવાની વાત જ થઈ છે અને એટલામાં જ કવિની આંખો છલકાઈ આવી છે. અને આંખોના છલકાયાની ઘટનાના અંતે કવિએ ફરીથી પૂર્ણવિરામનો પ્રયોગ ટાળીને ઉદ્દગાર ચિહ્ન મૂક્યું છે, જાણે આંખોમાંથી ટપકતા આંસુના ટીપાનો આકાર ન હોય જાણે ! આ આંખોનું છલકાવું એ જ જાણે જલાશય… જલાશય આવી ગયું. આખી કવિતામાં પ્રથમવાર કવિએ અહીં પૂર્ણવિરામ મૂક્યું છે, જાણે કે જલાશયનો ગોળ આકાર બનાવ્યો. હવે અહીંથી તો પાછા વળી જવાનું. જનારે હજી તો માંડ પગ ઉપાડ્યો છે. એ હજી નથી ગયો કે નથી જવાની શરૂઆત કરી અને હવે મારે પાછા વળવાનું. ક્યાં? કોનામાં? કઈ રીતે? હું તો હજી ઉભો પણ થયો નથી. કોઈકને વળાવવા માટે મેં હજી તો ઘરના બારણા બહાર પણ પગ મૂક્યો નથી. તો પછી? આ ન મૂકાયેલા પ્રશ્નાર્થચિહ્નો જ તો છે કવિતા.
લયસ્તરોની વર્ષગાંઠ પર દર વર્ષે વાચકોને કંઈક નવીન આપવાની અમારી નેમ રહેતી હોય છે. આ રહ્યો વીતેલા વર્ષોનો હિસાબ… જે તે પ્રકાર પર ક્લિક કરીને આપ જે તે પ્રકારની રચનાઓનો પુનઃઆસ્વાદ પણ લઈ શકશો..
વિશ્વામિત્ર સાહિત્યદર્પણના પ્રથમ પરિચ્છેદમાં જ લખે છે: ‘वाक्यं रसात्मकं काव्यम्’ (જેમાં રસ પડે એ વાક્ય કવિતા છે) છંદના બંધન ફગાવવાની મથામણ દરેક અભિવ્યક્તિની અનિવાર્યતા છે. એટલે જ દરેક ભાષામાં છાંદસ અને અછાંદસ કાવ્યપ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે.
અછાંદસ કવિતા સૌથી સરળ ભાસતી પણ વાસ્તવમાં સૌથી કઠિન કાવ્યપ્રકાર છે. કમનસીબે ગુજરાતી ભાષામાં બહુ ઓછા કવિઓ સાચા અર્થમાં ઉત્તમ અછાંદસ કવિતા આપવામાં સફળ રહ્યા છો. મોટાભાગના કવિઓ ચાટુક્તિસભર અને ચોટસભર ગદ્યલખાણને જ અછાંદસ કવિતા ગણીને ચાલે છે અને ગુજરાતી વાચકોને પણ આ પ્રથા માફક આવી ગઈ હોઈ એમ લાગે છે, કેમકે ક્યાંય કોઈ વિરોધ છે જ નહીં. હશે, આપણે તો અહીં મજા કરવા માટે ભેગાં થયાં છીએ એટલે ઉત્તમ કે શ્રેષ્ઠ નહીં, પણ માણવાની મજા પડે એવા અછાંદસ કાવ્યોનો રસથાળ અત્રે પીરસવું શરૂ કરીએ છીએ…
આપના પ્રતિભાવ જ અમારું ખરું ચાલકબળ છે, એટલે પ્રતિભાવ આપવામાં કચાશ કે કંજૂસાઈ ન કરશો…
ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરોએ ૦૪-૧૨-૦૨૦૧૮ના રોજ ચૌદ વર્ષનું સીમાચિહ્ન સર કર્યું. ૧૪ વર્ષ, ૯૫૦થી વધુ કવિઓ અને ૪૩૦૦થી વધુ પૉસ્ટ્સ…
ચૌદ વર્ષે તો રામનો વનવાસ પણ ખતમ થઈ ગયો હતો… પણ લયસ્તરો પર ચાલતો આ કવન-વાસ કદી પૂરો ન થાય એમ અમે ઇચ્છીએ છીએ…
કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..
હું રાત્રે જાગ્યો અને મારી ભાષા ચાલી ગઈ હતી
નહીં ભાષાનું કોઈ નિશાન ન લખાણ ન કક્કો
ન ચિહ્ન ન શબ્દ કોઈ જબાનમાં
અને પ્રાકૃત હતો મારો ભય – એ આતંક સમો જે કદાચ
જમીનથી ખૂબ ઊંચા ઝાડની ટોચેથી ફેંકાયેલ માણસ અનુભવે
ભરતીએ ગળી લીધેલા રેતકાંઠા પર ભગ્ન જહાજી વ્યક્તિ અનુભવે
જેનું પેરાશૂટ ખૂલે જ નહીં એ વિમાનચાલક અનુભવે
અથવા ડર જે તળહીન ખાડામાં એક પથરો અનુભવે
અને ભય અઘોષ અનક્ષરિત અનુચ્ચરિત હતો
અને અસ્ફુટ રે કેટલો અસ્ફુટ હતો
અને હું એકલો જ હતો અંધારામાં
એક બિન-હું સર્વવ્યાપી ઉદાસીમાં
ન કોઈ પકડ ન કશું અઢેલવાને
સર્વસ્વ ઉતરડી લેવાયેલું સર્વસ્વથી
અને ધ્વનિ હતો વાચાહીન અને અવાજહીન
અને હું શૂન્ય અને કંઈ જ નહોતો
લટકવા માટે વધસ્તંભ વિનાનો
લટકવા માટે એકેય ખૂંટી વિનાનો
અને હવે હું જાણતો જ નહોતો કે હું કોણ કે શું હતો
અને હું હતો જ નહીં
– આહારોન આમીર (હિબ્રૂ)
(અંગ્રેજી પરથી અનુવાદ વિવેક મનહર ટેલર)
ભાષા વગર, વિચાર વગર, અભિવ્યક્તિ વગર તમે શું કરો? કહો તો… ધારો કે એક રાત્રે અચાનક તમારી ઊંઘ ઊડી જાય છે અને તમને અહેસાસ થાય છે કે તમારી પાસે નથી કોઈ વાચા કે નથી કોઈ વિચાર. અક્ષરો, શબ્દો, વાક્યો – બધું જ બાષ્પીભવન થઈ ગયું છે. ભાષાના અભાવે તમે કંઈ વિચારવા માટે પણ સક્ષમ નથી. શૂન્યતાના આવા આકરા બ્લેકહૉલમાં જે ઘડી અંતહીન પડવાનું આવે એ ઘડીએ તમે આવી ઊભા છો. હવે તમે શું કરશો? શૂન્યતાની ચરમસીમાની આવી જ ક્ષણો લઈને આજની ગ્લૉબલ કવિતામાં ઈઝરાઈલી હિબ્રૂ કવિ આહરોન આમીર ઉપસ્થિત થયા છે.
I woke up at night and my language was gone
No sign of language no writing no alphabet
nor symbol nor word in any tongue
and raw was my fear-like the terror perhaps
of a man flung from a treetop far above the ground
a shipwrecked person on a tide-engulfed sandbank
a pilot whose parachute would not open
or the fear of a stone in a bottomless pit
and the fright was unvoiced unlettered unuttered
and inarticulate O how inarticulate
and I was alone in the dark
a non-I in the all-pervading gloom
with no grasp no leaning point
everything stripped of everything
and the sound was speechless and voiceless
and I was naught and nothing
without even a gibbet to hang onto
without a single peg to hang onto
and I no longer knew who or what I was
and I was no more
– Aharon Amir
(translated from the Hebrew by Abraham Birman)
એક ભડકો થઈ સ્મૃતિ અંધારમાં ઊડી ગઈ
આંખ સામેથી હજી એ દ્રશ્ય આઘું ના સરે
એક કાગળ વાયકાની વાવ શો ઊંડો હતો
લોક કહેતાં : જે જતું એમાં તે પાછું ના ફરે !
– મનોજ ખંડેરિયા
ચોથા શેરની ચમત્કૃતિ જુઓ !!! સ્મૃતિ ઊડી ગઈ પણ એ ઘટનાની સ્મૃતિ રહી ગઈ ! વિચારશૂન્ય થવાના પ્રયત્નોમાં વિચારશૂન્યતાના વિચાર તો રહી જ ગયા……! ત્રીજો શેર પણ લાજવાબ છે.
એકદમ ટૂંકી બહેર… લગાગાના બે જ આવર્તન… દસ જ માત્રાનો એક મિસરો. હરિ-ફરી જેવા બે અક્ષરના કાફિયા અને અને એમાંય ‘રી’ તો લઘુત્તમ સામાન્ય અવયવ. દસ માત્રાની પંક્તિમાં નવ માત્રાની રદીફ એટલે કવિ પાસે કવિકર્મ કરવા માટે ફક્ત એક જ માત્રા બચે છે. મત્લામાં તો વધુ તકલીફ છે. મત્લામાં તો બંને પંક્તિઓમાં એક જ લઘુ અક્ષરની મદદથી પંક્તિનો અર્થ પણ જન્માવવાનો અને બે પંક્તિ જોડીને આખો શેર પણ નીપજાવવાનો. મત્લા સિવાય પણ આખી ગઝલમાં બીજા મિસરામાં કેવળ એક જ અક્ષર જેટલો અવકાશ કવિ પાસે છે. એક શબ્દ નહીં, પણ માત્ર એક અક્ષરની જ હેરફેર કરીને શેર જન્માવવાનો. કેવું કપરું કામ! સોયના કાણાંમાંથી આખેઆખું ઊંટ પસાર કરાવી દેવાની પરીક્ષા અને એમાં કવયિત્રી સોમાંથી સો ગુણ મેળવી ઉત્તીર્ણ થયાં છે. લગભગ બધા જ શેર આસ્વાદ્ય અને અર્થસભર થયા છે…
November 22, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ
કઈ રીતે જગ થાય રોશન, શું ખબર?
ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ
દેહ તો કંતાનથી ઢાંકી શકો
આયનો બોલ્યો કે અતલસ જોઈએ
એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ
ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ
એકરસ થઈને ગઝલ લખતો રહ્યો
એ ખબર નહોતી કે નવરસ જોઈએ
– રઈશ મનીઆર
કવિતાની ખરી કમાલ એ છે કે કવિ મરજીવો બનીને મહાસાગરના અતળ ઊંડાણ તાગીને અમૂલ્ય મોતી વીણી લાવીને કાંઠે ઊભેલા ભાવકના હાથમાં મૂકે છે અને દરિયામાં પગ ભીનો કર્યા વિના જ ભાવક મોતીનો લ્હાવો માણી શકે છે. જો કે આજકાલ જે પ્રકારની ગઝલો અને ગીતોનો ફાલ ફાટી નીકળ્યો છે, એમાં ખાલી છીપ વધારે છે અને મોતી તો ભાગ્યે જ જડે છે. રઈશભાઈની ગઝલો જો કે પ્રારંભથી જ મોતીનું તેજ ધરાવતી ગઝલો છે. જરાય અઘરી ભાષા વાપર્યા વિના સાવ સહજ રીતે બોલચાલની ભાષામાં જ એ અદભુત ગઝલો આપણને આપતા આવ્યા છે. આ ગઝલ જુઓ… એકેય શેર સમજાવવાની જરૂર નથી પણ એકેય શેર સમજ્યા વિના પડતો મૂકાય એવોય નથી…
એલેક્ઝાન્ડ્રિયાનો મહેલ
એક મીઠા છાંયડાથી ઢંકાયેલો છે.
– પુશ્કિન
(તેણીએ) ક્યારના ચૂમી લીધા છે એન્ટનીના મૃત હોઠો,
અને ઑગસ્ટસ સામે ઘૂંટણિયે પડીને ક્યારના આંસુ વહાવી દીધાં છે…
અને સેવકોએ દગો દીધો છે. વિજયી રણશિંગાઓ ગાજી રહ્યાં છે
રોમન ગરુડના ઓથા તળે, અને સાંજના ઓળા ઊતરી રહ્યાં છે.
અને પ્રવેશે છે એના સૌંદર્યનો આખરી ગુલામ,
ઊંચો અને ઉદાત્ત, અને એ મૂંઝાતા-મૂંઝાતા કાનાફૂસી કરે છે:
“તમને –ગુલામ તરીકે- તેની આગળ વિજયની ખુમારીમાં લઈ જશે…”
પણ હંસની ડોકનો ઝુકાવ હજીય અકંપ છે.
અને કાલે બાળકોને મારી નંખાશે. ઓહ, કેટલું ઓછું બચ્યું છે
પૃથ્વી પર કરવા માટે – આ માણસ સાથે હંસીમજાક કરો,
અને, જાણે કે વિદાયનો કરુણાસભર ઈશારો ન હોય,
એમ એક કાળા સાપને મૂકી દો શામળા સ્તન પર બેપરવા હાથ વડે.
– આન્ના આખ્માતોવા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
કવિતા એટલે કવિની આત્મકથા. ખરું ને? સ્થૂળ સ્વરૂપે નહીં તો સૂક્ષ્મ સ્વરૂપે પણ સર્જક જે કંઈ લખે છે, એ એની ઇન્દ્રિયોના ચશ્માંમાંથી જોયેલી, જાણેલી, અનુભવેલી દુનિયા જ છે. સ્ટાલિન જેવા સરમુખત્યારની દાદાગીરી અને એક પછી એક સ્વજનોના એના હાથે મૃત્યુની વચ્ચે પણ વતન છોડી ભાગી જવાના બદલે છાતી તાણીને કલમ ચાલુ રાખવાની જે મર્દાનગી રશિયન રજતયુગના સામ્રાજ્ઞી કવયિત્રી આન્ના આખ્માતોવાએ બતાવી હતી એ અભૂતપૂર્વ છે.. આજની ગ્લૉબલ કવિતામાં આન્ના ક્લિઓપેટ્રા જેવા મહાન ઐતિહાસિક પાત્રના સ્વાંગમાં પોતાની આત્મકથા – પોતાનું સ્વાન-સૉંગ કેવી બખૂબી આલેખે છે તે જોઈએ….
Cleopatra
I am air and fire.
Shakespeare
Alexandria’s palace
Has been covered by a sweet shade.
Puškin
[She] has already kissed Antony’s dead lips,
And on [her] knees before Augustus has already poured out [her] tears…
And the servants have betrayed [her]. Victorious trumpets are blaring
Under the Roman eagle, and the mist of evening is drifting.
And enters the last captive of her beauty,
Tall and stately, and he whispers in confusion:
“[He] will send you – like a slave… before him in the triumph…”
But the inclination of [her] swan-like neck is still serene.
And tomorrow they will put [her] children in chains. Oh, how little remains
[For her] to do on earth – to joke with a man,
And, as if in a farewell gesture of compassion,
Place a black [small] snake on [her] swarthy breast with an indifferent hand.)
– Anna Akhmatova
(Eng. Translation: Judith Hemschemeyer)
દાદ એને આપશો તો દુઃખ વધુ દુઃખ આપશે,
સુખ વધુ સુખ આપશે જો નિત્ય સહિયારું થશે.
મન હવે ચાલ્યું છે ભીતરના પ્રવાસે બસ, ‘કિરીટ’;
બસ, હવે જે કંઈ થશે તે કામ કંઈ ન્યારું થશે.
– કિરીટ ગોસ્વામી
આમ તો આખી ગઝલ મસ્ત છે પણ મત્લાનો શેર જ સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થઈ જાય એવો અફલાતૂન થયો છે. બે પંક્તિના ઘરમાં કવિએ જે કમાલ કરી છે એ શબ્દાતીત છે… આવી જ રદીફવાળી એક બીજી ગઝલ –હવે જે થાય તે સાચું– પણ કવિએ લખી છે, એ પણ આ સાથે માણવી ચૂકશો નહીં…
એ દરેક અવાજની સામે દલીલમાં,
જે મને ફરજ પાડી શકે એને સાંભળવાની. હું જોતરાતી નથી
કારણ વિનાની સ્વયંસ્ફૂર્તતામાં પણ
ઘાસ તરફ વળું છું. આ દિવસનો એ સમય છે
જ્યારે સૂર્ય આળસે છે અને ટેકરીઓની બાજુઓ પરથી
ઊગવાનો ડોળ કરે છે
અને હું મારું માથું બહાર કાઢીશ, જે કંઈ પણ
એની પાછળ છે એનું પ્રસારણ
સમજાવી ન શકાય એમ થશે.
પહેલેથી જ થઈ ચૂક્યો છે
અહીં મારા હોવાનો અકસ્માત તમે જુઓ
અને ગુરુવારની ગંધ અને અવાજ
મૃત પાંદડાઓને વાળીને પરતદાર પ્રવેશપત્રો બનાવવાનો.
શાખા પરથી ચિરાયેલી ડાળખી સુદ્ધાં શરીરથી છૂટી પડેલી આંગળીની જેમ
ચીંધી રહી છે. નિર્દોષતાથી
હું ડેન્ટિસ્ટ પાસેથી આવી રહી હતી પણ બાળકો
બધાં એમાં જોતરાયેલાં છે તેમના કાન છેદાયેલ છે
બાહરી હસ્તક્ષેપના ડેટા માટે; એ લોકો વાઇકિંગ છે
એક નાનકડી ઘેરાબંધીની તૈયારી કરતા રાજ્યમાં.
હું આડી પડી છું કેન્દ્રમાં આહુતિ થઈ ફેલાઈને.
– જૉર્ડન જોય હ્યુસન
(અનુ. વિવેક મનહર ટેલર)
ટોળાંની વચ્ચે પણ ટોળાંથી દૂર રહેવાની વાત… આજુબાજુ આખી દુનિયા આમથી તમે દોડી રહી હોય પણ આપણી ખુલ્લી આંખોના કેમેરા એકેય દૃશ્ય ક્લિક્ જ ન કરતા હોય, આપણા કાનના રડાર એકેય અવાજની નોંધ જ ન લેતા હોય એવી સમાધિવત્ અવસ્થામાં આપણે સહુ જાણ્યે-અજાણ્યે અવારનવાર મૂકાઈ જતાં હોઈએ છીએ. ભીડની વચ્ચેની આ એકલતા પાણી વચ્ચે ખીલેલા કમળ જેવી નિસ્પૃહ છે. ધ્યાન અને સમાધિ સુધી જવા માટેનું કદાચ આ પહેલું પગથિયું છે. યુવા અમેરિકન કવયિત્રી જૉર્ડન જોય હ્યુસન પ્રસ્તુત રચનામાં કંઈક આવો જ સૂર લઈને આવે છે.
June Devotional
I’m walking into Central Park
wearing my cobalt blue headphones
in argument with every voice
that could compel me to its call. I do not indulge
in spontaneity without cause but turn
onto the lawn. It’s that time of day
when the sun lets up and feigns an arousal
on the sides of the hills
and I might let my head out, the transmission
of whatever is
behind this will unexplainably perform.
There is already the accident
of my being here you see
and the smell of a Thursday and the sound
of dead leaves being folded into laminate access passes.
Even a torn twig from a branch like a disembodied finger
pointing. Innocently
I was coming from the dentist but the children
are all in on it their ears pricked for data
of outside interference; they are Vikings in the kingdom
preparing a tiny siege.
I lie in the center spread out in offering.
November 9, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેહુલ ભટ્ટ
પડું-આખડું છું,
પ્રયત્નો કરું છું.
નસીબે લખેલા
કદી ક્યાં ગણું છું?
સજા ક્યાં દે ઈશ્વર,
છતાં પણ ડરું છું.
નયનમાં ઘણાની
ખટકતું કણું છું.
લખીને ગયા એ
ફરીથી લખું છું.
પ્રણયમાં જે છૂટ્યું
કલમથી ભરું છું.
અણી પર જે ચુક્યો
હવે આવરું છું.
ઘણી ભીડમાં પણ
‘સ્વ’ને સાંભળું છું.
હું સર્જાઉં રોજ્જે,
ને રોજ્જે મરું છું.
– મેહુલ ભટ્ટ
ટૂંકી બહેરમાં મોટી વાત કરતી મજાની ગઝલ… મોટાભાગે ટૂંકી બહેરની ગઝલ નાના વિધાન બનીને રહી જતી હોય છે પણ આ ગઝલના મોટાભાગના શેર વિધાન બનીને રહી જવાના અભિશાપથી ઊગરી ગયા છે. લગભગ બધા જ શેર વિચાર માંગી લે એવા…
ગઝલ કાવ્યપ્રકારની ખાસિયત એ છે કે એ બે પંક્તિના મકાનમાં આખી દુનિયા વસાવી આપે છે. સંજુ વાળાની ગઝલોમાં તો આ ખાસિયત ખાસ ઉપસી આવે છે. ખૂબ મજાની રદીફવાળી મજાની ગઝલ કવિ લઈ આવ્યા છે. દરેક શેર ખૂબ ધીમે રહીને ઊઘાડવાલાયક…
આવો, છે સ્વાગત હર કોઈનું હાઇ-સ્કૂલના અંતહીન
પુનર્મિલનમાં. ને સદા સ્વાગત છે જૂના મિત્રો ને
પ્રેમીજનોનું, હો ગમે તેવા ભલા કે ક્રૂર પણ.
ચાલો, તો અવમૂલ્યન કરો ને નાદુરસ્તી પણ કરો
આ આજની. શા માટે એ ધારી ના શકીએ આપણે
કે એકસરખા જિંદગીના સૌ તબક્કા હોય છે?
ખોદીએ, ચાલો તો, પુનઃ આરંભીએ, વિસ્તારીએ
એ બાળપણ. ચાલો રમીએ સાથે એ સઘળી રમત
જે વ્યસ્ત રાખે છે યુવાનોને. શરમ ને ખ્યાતિને
એકમેકમાં લપટાવા દો. ને થઈ જવા દો કો’કની
ઈશ્વરતલાશીને સરાજાહેર ડોમેન નેટ પર.
બનવા દો દેવળ.કોમને દેવળ ચલો, હરકોઈનું.
તો, કરીએ સાઇન અપ, ને સાઇન ઇન તથા એકરાર પણ
કરીએ ચલો, અહીંયા આ એકલતા તણી વેદી ઉપર.
– શર્મન એલેક્સી
(અનુ. વિવેક મનહર ટેલર)
ફેસબુક આપણને આજને ભૂલીને ગઈકાલમાં જીવતાં શીખવે છે. ફેસબુક જીવનના દરેક તબક્કે એકસરખી લાઇક્સ અને કોમેન્ટ્સ લઈને આવે છે. જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે એની એ જ કી વાપરીને કામ કરતાં શીખી જઈએ છીએ. ફેસબુકના દરિયામાં લાગણીઓની ભરતી-ઓટ છે જ નહીં, કેમકે ફેસબુકનો દરિયો તો પથ્થરનો દરિયો છે. ભલે આનું નામ સોશિઅલ મીડિયા કેમ ન હોય, અહીં કશું જ સોશિઅલ નથી. આ તો માત્ર સમાજનો આભાસ છે. વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની હોડમાં ને દોડમાં આપણે જાત સુધી પહોંચવાનું જ વિસરી ગયાં છીએ. #MeToo ના આરોપનો ભોગ બનેલા અમેરિકન કવિ શર્મન એલેક્સી ફેસબુકના સંદર્ભે સોશિઅલ મિડીયાના આક્રમણ સામે લાલ બત્તી ધરે છે…
November 1, 2018 at 12:30 AM by વિવેક · Filed under નિરંજન ભગત, સોનેટ
તારે પ્રાણે પુલકમય કૈં રાગિણી રમ્ય સૂરે
જાગી રહેતી, મધુર લયનો દોલ દૈ મંદ મંદ;
તાલે તાલે સ્વરપરશથી વિશ્વનો નૃત્યછંદ
ડોલી રહે ને પલ પલ કશો મુગ્ધ થૈ તાલ પૂરે!
મેં એમાંથી અધરસ્મિતનો શાંત પ્રચ્છન્ન સૂર
માગ્યો, જેથી સ્વરમધુર એ દોરમાં ગીતફૂલે
માળા ગૂંથું, ચિરજનમ જે તાહરે કંઠ ઝૂલે;
રે એ આશા ક્ષિતિજ સરખી રહૈ ગઈ દૂર દૂર!
મેં માગ્યું’તું અધરસ્મિત, તેં અશ્રુનું દાન દીધું;
તારે પ્રાણે મુજ હૃદયની માગણીને જડી દૈ,
થંભી તારી શત શત કશી રાગિણી, તું રડી ગૈ!
હું શું જાણું પ્રિય, પ્રણયનું એમ તેં ગાન કીધું!
રે તારું એ અરવ સરતું અશ્રુનું એક બિન્દુ
જાતે સપ્ત સ્વરે શું છલછલ પ્રણયોન્માદનો મત્ત સિન્ધુ!
– નિરંજન ભગત
રવીન્દ્રનાથની ગીતાંજલિમાંથી પસાર થતા હોવાની અનુભૂતિ આ સૉનેટ વાંચતા થયા વિના રહેતી નથી. સહવાસના સંગીતની પરાકાષ્ઠાની વાત છે. પ્રિયપાત્રના સ્મિતને ગીતમાં ઢાળવા માંગતા પ્રિયજનને સ્મિતના સ્થાને સામેથી અશ્રુ પ્રાપ્ત થાય છે ત્યારે પહેલાં તો પ્રિયજન વિમાસણમાં પડે છે પણ પછી એને તરત જ સમજાય છે કે આ અશ્રુ એ પ્રણયની ચરમસીમા છે. આ એક બિંદુમાં પ્રણયોન્માદનો મત્ત સિંધુ ભર્યો પડ્યો છે…
આખું સૉનેટ શિખરિણીમાં લખીને આખરી પંક્તિ સ્ત્રગ્ધરા છંદમાં લખીને કવિ પ્રિયાના અશ્રુની માળાને જરા અલગ તારવી આપે છે એની પણ એક મજા છે.
October 31, 2018 at 4:13 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
કોઈ કોઈ વાર મારાં ટેરવાંને
રડવાની એવી તો ઇચ્છાઓ જાગે
મૂકી કલમની છાતી પર માથું ને
હીબકાંઓ ભરવાને લાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે
કોઈ મનગમતી વાત, કોઈ અણગમતી રાત
અમે દાટી તો દેતાં પાતાળે
કેમ કરી સમજાવું લાગણીને
ટેરવાંની માંહેથી ડોકિયાંઓ કાઢે
ટેરવાંથી દદડે આ ચોમાસાં ધોધમાર
વેદનાની ઠેસ સ્હેજ વાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે
લયના ઊંડાણમાં હું ડૂબકી મારું ને
આમ શબ્દોનાં છીપ ઘણાં નીકળે
કાગળ પર મૂકીને છીપલાંઓ ખોલું તો
અર્થોનાં મોતી કંઈ વીખરે
મોતી પર ઊર્મિઓ કોતરવા માટેની
જીદ હું ગાતો જે રાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે
બંને એક જ સેજ પે અવળું મોં રાખી, જવાબો વિના
મૂંઝાતા, હૃદયે મનામણું છતાંયે ગર્વ રક્ષી સૂતાં.
થોડી આંખ ફરી, મળી નજર ને ટંટો હતો બેઉમાં
એ આલિંગન સાથ તુર્ત જ તૂટ્યો આવેગથી હાસ્યના.
હતી પ્રીતિ એવી, તન ઉભયના એક જ હતા
તમે પ્રેમી થૈ ગ્યા, હું થઈ ગઈ આશાહીન પ્રિયા,
તમે બન્યા સ્વામી, હુંય ફકત પત્ની થઈ રહી.
અરે! નક્કી આ વજ્ર સમ મુજ પ્રાણોનું ફળ છે.
સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં ચઢી જાય છે. સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે કામદેવ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે પૂર્ણોત્થ શિશ્ન અને સંભોગરત યોનિની પૂજા કરે છે… ખજૂરાહો, કામસૂત્ર, શૃંગારશતક, અમરુશતકનો આ દેશ છે… આપણી સાચી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી, નિખાલસ અને નિર્ભીક છે. આજે સંસ્કૃતિના નામે આપણે આજે જે ‘ઇનટોલરન્સ’ (અસહિષ્ણુતા) ફેલાવી છે એના જ દુષ્પરિણામે શેરી-શેરીમાં માસૂમ બાળાઓ વાસનાભૂખ્યા શિકારીઓના હાથે પીંખાઈ રહી છે.. આવા સમયે ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા સંભોગશૃંગારરસના કવિ અમરુના સુપ્રસિદ્ધ અમરુશતકનું અલ્પ આચમન યથાર્થ બની રહે છે…
અમરુશતકના આ મુક્તકોના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે…
ફૂલને ના કોઈ કુળ છે એને કેવળ મૂળ
એ ચાહે આકાશને પણ ના ભૂલે મૂળ
માટી એને આપતી જાતજાતના રંગ
મળતો ફૂલને એટલે પતંગિયાનો સંગ
ફૂલને કાંટા હોય છે હોય ઘણાં સુખદુઃખ
ટગટગ હસતાં ફૂલ તો શૂળને માને સુખ
ફૂલ નેહનું નામ છે ફોરમને ના રોક
પડદે ઢાંક્યું નહીં રહે એમાં સૂતું કોક
– મણિલાલ હ પટેલ
સામાન્ય ઘરેડમાં વહ્યા કરતી કવિતાઓની ભરમારની વચ્ચે ક્યારેક આવી સાવ અલગ રચના હાથ જડી આવે તો આખો દિવસ મઘમઘ થઈ ગયો હોવાનું અનુભવાય. ફૂલની વાત છે. આપણા કોઈથી કશું અજાણ્યું નથી, પણ કવિ કેવી રીતે ફૂલની એક-એક પાંખડી ઊઘાડીને રસરંગથાળ સજાવે છે એની જ મજા છે. ફરી-ફરીને માણ્યા કરવાનું મન થાય એવી ખુશબૂદાર રચના…
October 25, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મકરંદ મુસળે
કોણ ખરું છે ખોટું શું છે? હું પણ જાણું તું પણ જાણે,
મનમાં કોના ઓછું શું છે? હું પણ જાણું તું પણ જાણે.
સૌનું હસવું રડવું સરખું, ચઢવું ને ઓસરવું સરખું,
તોય બધામાં નોખું શું છે? હું પણ જાણું તું પણ જાણે.
ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશો, બાકી,
ઊંટ, વજીર ને ઘોડુ શું છે? હું પણ જાણું તું પણ જાણે.
દિલ પર રોજે રોજનું ભારણ, સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું નહીં તો થોડું શુ છે? હું પણ જાણું તું પણ જાણે.
તારો મોભો, માન, પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ ર’વા દે,
કાળું શું છે, ધોળું શું છે? હું પણ જાણું તું પણ જાણે.
– મકરંદ મુસળે
મજાની રમતિયાળ રદીફ અને એકદમ સરળ સહજ ભાષાનું પોત લઈને આ ગઝલ જિગરજાન યારની જેમ સીધી જ આવીને ગળે મળે છે. પણ બધા જ શેર જેટલા હલકાફુલકા લાગે છે એટલા જ ધીરગંભીર છે.